January 8, 2015 at 12:30 AM by વિવેક · Filed under ઊર્મિકાવ્ય, સુન્દરમ
(મિશ્ર ઉપજાતિ)
તે રમ્ય રાત્રે
ને રાત્રિથીયે રમણીય ગાત્રે
ઊભી હતી તું ઢળતી લતા સમી
ત્યાં બારસાખે રજ કાય ટેકવી.
ક્યાં સ્પર્શવી ?
ક્યાં ચૂમવી ? નિર્ણય ના થઈ શક્યો
ને આવડી ઉત્તમ કામ્ય કાયા
આલિંગવાને સરજાઈ, માની
શક્યું ન હૈયું. જડ થીજી એ ગયું
એ હૈમ સૌન્દર્ય તણા પ્રવાહમાં.
ને પાય પાછા ફરવા વળ્યા જ્યાં
ત્યાં સોડિયેથી કર બ્હાર નીસરી
મનોજ કેરા શર-શો, સુતન્વી
કાયાકમાને ચડી, વીંધવાને
ધસંત ભાળ્યો : ‘નથી રે જવાનું.’
હલી શક્યો કે ન ચાલી શક્યો ન હું.
નજીક કે દૂર જઈ શક્યો ન હું.
એ મૂક્તા-સાગરમાં વિમૂઢતા
તણા અટૂલા ખડકે છિતાયલા
કો નાવભાંગ્યા જનને ઉગારવા
આવંત હોડી સમ તું સરી રહી.
ક્યાં સ્પર્શવો ? ક્યાં ગ્રહવો ? તને તે
નડી શકી ગૂંચ ન લેશ ત્યારે –
. તે રમ્ય રાત્રે,
. રમણીય ગાત્રે !
-સુન્દરમ્
(રજ=જરાક; કામ્ય=ઈચ્છા કરવા યોગ્ય; હૈમ=હિમ સંબંધી; મનોજ=કામદેવ; સુતન્વી= સુંદર નાજુક શરીરવાળી; મૂક્તા= મૂંગાપણું; છિતાયલા= છીછરા પાણીમાં વહાણનું જમીન સાથે ચોંટવું)
પ્રણયનો અનુવાદ જે ઘડીએ શરીરની ભાષામાં પહેલવહેલો થાય તે ઘડીની વિમાસણ કવિએ એવી અદભુત રીતે આલેખી છે કે આ આપણી ભાષાનું શિરમોર પ્રણયકાવ્ય બની રહે છે.
તે રમ્ય રાત્રે પ્રેયસી બારણાની કમાનને સહેજ ટેકવીને ઊભી છે. શાશ્વત સૌંદર્યની દેવીને જોતાવેંત જ કાવ્યનાયક થીજી જાય છે. સ્પર્શ, ચુંબન અને આલિંગનની હિંમત નાયકના ગાત્રોમાં રહેતી નથી. પણ નાયિકા પ્રણયની આ પહેલવહેલી શારીરિક ક્ષણોમાં કોઈ મૂંઝવણ અનુભવતી નથી. આમેય સ્ત્રી પ્રેમમાં પડે છે ત્યારે પારદર્શક સમજણ સાથે જ પડતી હોય છે. કમાન પર લતાની જેમ ટેકવાયેલી કાયામાંથી નાયિકાનો હાથ એ રીતે આગળ વધે છે જાણે કામદેવ ધનુષબાણ પર તીર ચડાવી શરસંધાન ન કરતા હોય. ચુપકીદી ગંભીર દરિયા જેવડી વધી પડી હતી તેવામાં છીછરા પાણીમાં વિમૂઢતાના ખડક પર ખોટકાઈ તૂટેલી નાવભાંગ્યા જણ જેવા નાયકને ઉગારવા આવતી હોડી સમી નાયિકા સામું સરી આવે છે, પ્રણયની સ્ફટિકસ્પષ્ટ સમજણ સાથે.
હે ઈશ્વર!
મને ખૂબ સહન કરવા દો
અને પછી મરવા દો.
મને મૌનને પંથે ચાલવા દો
અને પાછળ કશુંય ન મૂકી જાઉં – ભય પણ નહીં.
સૃષ્ટિને ચાલવા દો
અને સમુદ્રને રેતીને ચૂમવા દો – પહેલાંની જેમ જ.
ઘાસને એવું ને એવું લીલુંછમ રાખજો
જેથી દેડકાંઓ એમાં સંતાઈ શકે
જેથી કોઈ પોતાનો ચહેરો એમાં દાટી શકે
અને ડૂસકે ડૂસકે પ્રેમને વહી જવા દો.
ધવલ, ઉજજવલ દિવસને એવી રીતે ઊગવા દો
જાણ કે કયાંય કશી કોઈ વેદના નથી.
અને મારી કવિતા બારીની જેમ ચોખ્ખીચટ રહી શકે
કોઈ મોટો ભમરો એના ગુંજાર સાથે માથું પટકતો હોય તો પણ.
-અના કામિએન્સ્કા (પૉલિશ)
(અનુ. સુરેશ દલાલ)
*
નૂતન વર્ષ ૨૦૧૫ માટે લયસ્તરો તરફથી આપ સહુને હાર્દિક શુભકામનાઓ….
*
જ્યારે તમે તમારા પોતાના માટે વેદના અને તકલીફ સિવાય કશું ન માંગતા, માત્ર અન્યો માટે માંગો છો ત્યારે એ પ્રાર્થનાનો હંમેશા પ્રત્યુત્તર મળે જ છે. આપણે ન હોઈએ પછી પણ દુનિયા તો ચાલવાની જ છે, દરિયાનાં મોજાં કિનારા ભીંજવવાનાં જ છે, ઘાસ ઊગવાનું જ છે… કવયિત્રી ક્યાંય કોઈ વેદના ન હોય એવો પ્રકાશિત દિવસ બધા માટે માંગે છે જેથી એના પોતાના જીવનમાં ભલે માત્ર સહન કરી કરીને મરવાનું આવે, ભલે એ માત્ર મૌનના પંથે ચાલે, ભલે એની પાસે વિરાસતમાં મૂકી જવા માટે કશું ન બચે પણ એની કવિતા ચોખ્ખીચટ રહી શકે…
દેવો અને દાનવોએ સરળ કરી નાખ્યો,
તે પહેલાંનો સમુદ્ર મેં જોયો છે.
મેં વડવાનળના પ્રકાશમાં પાણી જોયાં છે.
આગ અને ભીનાશ છૂટાં પાડી ન શકાય.
ભીંજાવું અને દાઝવું એ એક જ છે.
સાગરને તળિયેથી જયારે હું બહાર આવું,
ત્યારે મારા હાથમાં મોતીના મૂઠા ન હોય.
હું મરજીવો નથી.
હું કવિ છું.
જે છે તે છે કેવળ મારી આંખોમાં.
-સિતાંશુ યશશ્ચંદ્ર
સમુદ્રમંથનના રૂપકથી વાત કહી છે કવિએ….. મુખ્ય પંક્તિઓ પાંચમી અને છઠ્ઠી છે – ‘ આગ અને ભીનાશ…’. અદ્વૈતધ્વનિ….
આ દુર્બોધ કવિની કોઇપણ રચના લાગે તેટલી સરળ ન જ હોય !! આ કાવ્યમાં પણ બે-ત્રણ ગર્ભિત અર્થો છુપાયેલા છે….. દેવ-દાનવે સરળ કર્યો-અર્થાત હળાહળ વિષ જેના ગર્ભમાં હતું તેના જ ગર્ભમાં અમૃત હતું….આગ અને ભીનાશ….ભીંજાવું અને દાઝવું… જે એક લેવા જાય તેને આપોઆપ બીજું મળે જ મળે…..
આ મનનું તો એવું કે ભાગ્યા કરે પણ,
દિવસ રાત વાતો તો તારી જ ચાલી.
ન સમજાઈ માયા કદી ઈશ તારી,
ન આપ્યું ભરીને, ન રાખીયે ખાલી.
– નેહા પુરોહિત
ગુજરાતી કવયિત્રીવિશ્વમાં “પરપોટાની જાત” લઈને ભાવનગરથી નેહા દબદબાપૂર્વક અને પૂર્ણ અધિકારપૂર્વક પ્રવેશે છે. નેહાના ગીત-ગઝલ-અછાંદસમાંથી પસાર થતાં જ ઊડીને આંખે વળગે છે એની સ્ત્રીસહજ સુકોમળ સંવેદનની ઓરિજિનાલિટિ, લવચિક શબ્દ-વિન્યાસ અને નાવીન્યતાપૂર્ણ અભિવ્યક્તિ… લયસ્તરો તરફથી નેહાને ખૂબ ખૂબ શુભકામનાઓ અને હાર્દિક અભિનંદન…
બે-ત્રણ કિરણ કરતાં વધુ ચોરી ન થઈ શકે
આખા સૂરજની કોઈથી કોપી ન થઈ શકે
આકાશમાંથી છીપમાં હર જન્મમાં પડે
એક ટીપુ કે જે કોઈ દી’ મોતી ન થઈ શકે
કપમાં ભરીને પીવું છું અફસોસ એ જ કે
તારા કડક સ્વભાવની કોફી ન થઈ શકે
શું એને ફેવિક્વિકથી ચોંટાડી દીધી છે?
કે ભૂખ પેટથી કદી નોખી ન થઈ શકે?
ટેટૂની જેમ જીભ પર ત્રોફાવશે બધા
સૌરાષ્ટ્ર જેવી ક્યાંય પણ બોલી ન થઈ શકે
– કુલદીપ કારિયા
ગુજરાતી ગઝલમાં અગાઉ જોવા ન મળ્યા હોય એવા કલ્પનોથી વધુ આસ્વાદ્ય બનતી ગઝલ… પાંચેય શેર સરસ… પણ કોફીવાળો શેર સૌથી ‘કડક’ ! સ્વાતિ નક્ષત્રની ગેરહાજરીમાં છીપમાં પડી પડીને મોતી બનવામાં વિફળ જતું ટીપું ફરી ફરીને બાષ્પીભૂત થતું રહે અને ફરી ફરીને ઘનીભૂત થઈ ટીપું બની વરસ્યા કરે એ શેર શરૂમાં મને જરાય સમજાયો નહોતો પણ સમજાયો ત્યારે અહો ! અહો ! વાહ, કવિ…
December 25, 2014 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, મુકુલ ચૉકસી
આવી ગયો છે કાળ આ નાટકના અંતનો
ઊભું છે વૃક્ષ કોટ ઉતારી વસંતનો
પૂરો ભલે ન થાય એ કોઈ જગા ઉપર
કિસ્સો શરૂ તો થાય છે ચોક્કસ અનંતનો
કોના તરફ વધારે વફાદાર છે નદી ?
આ પ્રશ્ન કાંઠાઓમાં ઊઠ્યો છે તુરન્તનો
– મુકુલ ચોક્સી
વૃદ્ધાવસ્થા અને સમીપ સરતા મૃત્યુ વિશે કેવો સચોટ શેર કવિ લઈ આવ્યા છે? કાળ શબ્દનું પ્રયોજન સમયની પછીતે છુપાયેલ મૃત્યુને પણ ઇંગિત કરે છે. વસંતનો કોટ ઉતારીને ઊભેલા વૃક્ષનું ચિત્ર ઠંડોગાર ડામ દેતું હોય એમ લાગે છે. અને “અનંતતા” વિશેનો આવો ક્રિએટિવ શેર અગાઉ ક્યાંય વાંચ્યો હોવાનુંય ધ્યાનમાં નથી…
मैं ख़याल हूँ किसी और का मुझे सोचता कोई और है
सर-ए-आईना मेरा अक्स है पस-ए-आइना कोई और है
ખ્યાલ [વિચાર] હું કોઈકનો છું અને વિચારે મને બીજું જ કોઈ છે. આયનામાં દેખાય છે તે મારું પ્રતિબિંબ છે, આયનાની પાછળ કોઈ બીજું જ છે. [ વાચ્યાર્થ સરળ છે પણ થોડીવાર મમળાવતા ચમત્કૃતિ આંજી નાખે છે ! ]
मैं किसी के दस्त-ए-तलब में हूँ तो किसी के हर्फ़-ए-दुआ में हूँ
मैं नसीब हूँ किसी और का मुझे माँगता कोई और है
હું કોઈકના દુઆ માટે[ભિક્ષા માટે] ફેલાયેલા હાથમાં છું તો કોઈકની દુઆના શબ્દોમાં છું. હું કોઈ અન્યનું જ નસીબ છું અને મારી ખેવના કોઈ અન્ય જ કરે છે.
कभी लौट आयें तो न पूछना सिर्फ़ देखना बड़े ग़ौर से
जिन्हें रास्ते में ख़बर हुई कि ये रास्ता कोई और है
અત્યંત નાજુક વાત કહી છે – જયારે કોઈ ભૂલ્યો-ભટક્યો અધવચ્ચેથી પરત ફરે તો ધ્યાનપૂર્વક એનો અભ્યાસ કરજો પણ એને કશું પણ પૂછતાં નહીં. તેના ઘા પર મીઠું ન ભભરાવશો….કરુણાપૂર્વક વર્તજો અને શીખજો… કદી તમારી પણ એ હાલત હોઈ શકે…..એની body language બધું જ કહી દેશે તમને.
अजब ऐतबार ओ बे-ऐतबारी के दर्मियाँ है ज़िन्दगी
मैं क़रीब हूँ किसी और के मुझे जानता कोई और है
વિશ્વાસ અને અવિશ્વાસની વચ્ચેની અત્યંત પાતળી ભેદરેખા ઉપર ચાલે છે જિંદગી….હું કોઈકની અત્યંત નજીક છું અને મને સમજે કોઈ અન્ય છે.
वही मुन्सिफ़ों की रिवायतें वही फ़ैसलों की की इबारतें
मेरा जुर्म तो कोई और था पर मेरी सज़ा कोई और है
કાજીની એ જ પરંપરાગત વાતો અને એ જ ચુકાદાઓના કાળા અક્ષરો…. મારો ગુનો કોઈ અલગ જ હતો અને મારી સજા કૈંક નોખી જ છે !
तेरी रोशनी मेरे ख़द्दो-ख़ाल से मुख़्तलिफ़ तो नहीं मगर
तू क़रीब आ तुझे देख लूँ तू वही है या कोई और है
તારી રોશનીની કોઈ ના નહીં – પરંતુ અંતે તો એ પણ ચર્મદેહ જ છે કે જેવો મારો છે, છતાં…..જરા નજદીક આવ તને નિહાળું….તું એ જ છે કે કોઈ અન્ય છે ! [ વાસ્તવવાદી વાત છે ]
तुझे दुश्मनों की ख़बर न थी मुझे दोस्तों का पता नहीं
तेरी दास्ताँ कोई और थी मेरा वाक़याँ कोई और है
તને દુશ્મનોની કશી ખબર જ નહોતી અને મને દોસ્તો વિષે જાણ નહોતી. તારી કથા કૈક અલગ જ હતી અને મારો પ્રસંગ કૈક અલગ જ છે…..[ અહીં ખૂબીપૂર્વક ઈંગિત કરાયું છે કે તું તો હતી જ અજાતશત્રુ અને હું શત્રુઓને પિછાણી ન શક્યો. આપણા આ નિજી સ્વભાવોએ આપણી મંઝીલ કંડારી.
जो मेरी रियाज़त-ए-नीमशब को “सलीम” सुबह न मिल सकी
तो फिर इस के माने तो ये हुए के यहाँ ख़ुदा कोई और है
મારા મધ્યરાત્રિ સુધીના અથાક પરિશ્રમને જો પ્રભાતનું મ્હો જોવા ન મળે તો એનો અર્થ એ થાય કે અહી કોઈ અલગ જ ખુદાની ખુદાઈ ચાલે છે.
-सलीम कौसर
આ ગઝલ અનેક ગાયકોએ ગાઈ છે…..શ્રેષ્ઠ કૃતિ મહેંદી હસનસાહેબની છે જે તેઓએ માંડીને ગાઈ છે. પ્રમાણમાં સરળ લાગતી આ ગઝલ વારંવાર વાંચતા તેનું ખરું ઊંડાણ સમજાય છે…..
December 16, 2014 at 12:30 AM by ધવલ · Filed under ગઝલ, વિષ્ણુ પટેલ
હું, મને ઢંઢોળતો
જિંદગીને ખોળતો
ખાલીપો ચાલ્યો જતો
સ્વપ્ન કૈં, ધમરોળતો!
આ પવન, આખ્ખી સફર
રેતમાં રગદોળતો
છે બધે અંધારપટ
હું દિવાલો ધોળતો!
રંગ ન, એક્કે બચ્યો
તોય પીંછી બોળતો!
ક્યારનો જોવા મથું
કો’ક અક્ષર કૉળતો
રે! કસુંબા તો ગયા!
હું ગઝલને ઘોળતો!
– વિષ્ણુ પટેલ
કવિતા સાંભળવાની અલગ જ માઝા છે. એ મઝા માણવા માટે આજે ‘કવિતા કાનથી વાંચવાનો’ પ્રયોગ કર્યો છે. આશા છે ‘વાંચકો’ને ગમશે.
ટૂંકી બહેરની ગઝલ મારી કમજોરી છે. ગઝલમાં પણ કમર જેટલી પાતળી એટલી વધારે સારી 🙂 મજાક જવા દો તો, ટૂંકી બહેરની ગઝલો ઓછી જ જોવા મળે છે. કારણ કે ઓછામાં ઘણું કહેવું એ વધારે અઘરું કામ છે. અહીં કવિએ બધા શે’રને બખૂબી કંડાર્યા છે. જુઓ – છે બધે અંધારપટ / હું દિવાલો ધોળતો! – ટચૂકડો પણ ધારદાર શે’ર. ને છેલ્લે, રે થી શરૂ કરીને કવિ કસુંબાને બદલે ગઝલ ઘોળવાની મઝાની વાત લઈ આવ્યા છે.
“લયસ્તરો”ની દસમી વર્ષગાંઠની ઉજવણી નિમિત્તે આજે આ દસમી અને આખરી ઉર્દૂ ગઝલ…
*
गुलों में रंग भरे, बाद-ए-नौबहार चले
चले भी आओ कि गुलशन का कारोबार चले
ફૂલોમાં રંગ આવે, નવી વસંતનો પવન પ્રસરે, ચાલ્યા પણ આવો કે આ બાગનો કારોબાર ચાલે..[જીવનના બાગમાં નવી વસંત તો તારા આગમનથી જ સંભવ છે]
क़फ़स उदास है यारो, सबा से कुछ तो कहो
कहीं तो बहर-ए-ख़ुदा आज ज़िक्र-ए-यार चले
દોસ્તો, કેદખાનું ઉદાસ છે, હવાને કંઈક તો કહો; ખુદાને ખાતર ક્યાંક તો આજે યારનો ઉલ્લેખ થાય… [કાયાના કેદખાનામાં શ્વાસનો પવન પણ જો પ્રિયતમાની વાત લઈને આવે તો ઉલ્લાસ થાય]
कभी तो सुब्ह तेरे कुंज-ए-लब से हो आग़ाज़
कभी तो शब सर-ए-काकुल से मुश्क-ए-बार चले
ક્યારેક તો સવારની શરૂઆત તારા હોઠના કુંજાથી થાય, ક્યારેક તો રાત વાંકડિયા ઝુલ્ફની ખુશબોથી તર થઈ રહે… [સંભોગશૃંગારરસથી ભર્યોભાદર્યો શેર]
बड़ा है दर्द का रिश्ता, ये दिल ग़रीब सही
तुम्हारे नाम पे आयेंगे ग़मगुसार चले
દર્દનો સંબંધ મોટો છે, ભલે આ દિલ ગરીબ કેમ ન હોય, તારા નામ પર દુઃખભંજકો આવી રહેશે… [જેમ અંધારું અલગ અલગ વસ્તુઓના અસ્તિત્વને ઓગાળીને એક કરી દે છે એમ જ દુઃખ-દર્દ માણસોને એકમેક સાથે જોડી દે છે.]
जो हम पे गुज़री सो गुज़री मगर शब-ए-हिज्राँ
हमारे अश्क तेरी आक़बत सँवार चले
હે વિરહ રાત્રિ ! અમારા પર જે વીત્યું એ વીત્યું પણ અમારા આંસુ તારું ભવિષ્ય સજાવી ગયા. [પ્રેમીની બરબાદી જ વિરહની રાત્રિનો સાચો શૃંગાર છે.]
हुज़ूर-ए-यार हुई दफ़्तर-ए-जुनूँ की तलब
गिरह में लेके गरेबाँ का तार तार चले
પ્રિયતમાની હાજરીમાં બેસુમાર ઝનૂનની તલપ થઈ પણ ખિસ્સામાં કોલરના તાર-તાર લઈને ચાલ્યા [પ્રિયજનની ઉપસ્થિતિમાં પ્રેમના ઉન્માદની ને પ્રેમીની પ્રતિષ્ઠા (કોલર) બિચારાની શી કિંમત?!]
मक़ाम ‘फैज़’ कोई राह में जचा ही नहीं
जो कू-ए-यार से निकले तो सू-ए-दार चले
રસ્તામાં બીજો કોઈ વિસામો પસંદ જ ન આવ્યો. જો યારની ગલીમાંથી નીકળ્યા તો સીધા ફાંસીના માંચડા પર ચાલ્યા [દિલરૂબાની ગલી છોડવાનો બીજો મતલબ શો? મૃત્યુ જ સ્તો.]
आदमी आदमी से मिलता है
दिल मगर कम किसी से मिलता है
[સીધી ને સટાક વાત. આપણે એકમેકને મળીએ તો છીએ પણ શું સાચા અર્થમાં?]
भूल जाता हूँ मैं सितम उस के
वो कुछ इस सादगी से मिलता है
[ફરી એકવાર res ipsa loquitar (સ્વયંસ્પષ્ટ) શેર.]
आज क्या बात है के फूलों का
रंग तेरी हँसी से मिलता है
[સૌંદર્યશૃંગારની પરાકાષ્ઠા.]
सिलसिला फ़ित्ना-ए-क़यामत का
तेरी ख़ुश-क़ामती से मिलता है
કયામતની મુસીબતનો સિલસિલો તારી સુડોળ કાયાને જઈ મળે છે [તારા સુંદર શરીરની સુડોળતા પોતે જ કંઈ કયામતથી કમ છે?!]
मिल के भी जो कभी नहीं मिलता
टूट कर दिल उसी से मिलता है
મળીને પણ જે કદી મળતો નથી, આ દિલ તૂટીને પણ એને જ જઈ મળે છે. [જિગર મુરાદાબાદી સરળ શેરોની હરીફાઈ માંડી બેઠા છે કે શું? પ્રથમ દૃષ્ટિએ સરળ ભાસતા આવા શેરને सहल-ए-मुम्तना અર્થાત ‘આભાસી સરળતા’ કહે છે.]
कार-ओ-बार-ए-जहाँ सँवरते हैं
होश जब बेख़ुदी से मिलता है
દુનિયાનો કારોબાર વધુ સારી રીતે ચાલશે જો હોંશ બેહોશીમાં ભળી જશે. [દુનિયાની સહુથી મોટી સમસ્યા એ માનવીનું કહેવાતું ડહાપણ જ છે. “નશામાં હોય છે સુખ દુખ જીવનના એક કક્ષા પર, શરાબીને જ આવે છે મજા સૂવાની રસ્તા પર” (મરીઝ). ગાલિબ પણ યાદ આવે: अच्छा है दिल के पास रहे पास्बान-ए-अक़्ल, लेकिन कभी कभी इसे तन्हा भी छोड दे।]
रुह को भी मज़ा मोहब्बत का,
दिल की हम-साएगी से मिलता है
આત્માને પણ મહોબ્બતની મજા પાડોશી દિલના કારણે જ આવે છે.[નિરંતર આરોહ-અવરોહવાળું દિલ પાસે છે એટલા માટે જ આપણને પ્રેમ કરવાની મજા આવે છે]
सख्तियाँ करता हूँ दिल पर, ग़ैर से ग़ाफ़िल हूँ मैं
हाए क्या अच्छी कही ज़ालिम हूँ मैं , जाहिल हूँ मैं
મારા હૃદય પર હું કડક અંકુશ રાખું છું, અન્યો પરત્વે ક્ષમાશીલ [ ग़ाफ़िल નો એક અર્થ ] છું,
વાહ ! શું વાત કરી તમે ! હું જાલિમ ! અરે હું તો નાદાન છું……
मैं अभी तक था कि तेरी जलवा पैराई न थी
जो नमूदे हक़ से मिट जाता है वो बातिल हूँ मैं
જ્યાં સુધી મમત્વ-અહં હતો ત્યાં સુધી તારા દર્શન માત્ર થી ભવપાર થઇ જવાની કોઈ શક્યતા જ ન હતી
સત્યના પ્રાકટ્ય સાથે જે નષ્ટ થાય છે તે મિથ્યા અહં છું હું…..
इल्म के दरिया से निकले ग़ोताज़न गौहर बदस्त
वाए महरूमी ! ख़ज़फ चैने लबे साहिल हूँ मैं
જ્ઞાનના સાગરમાંથી મરજીવા હાથમાં મોતી લઇ નીકળ્યા,
હાય દુર્ભાગ્ય ! હું તો કિનારે પડેલું એક ઠીકરું છું….
है मिरी ज़िल्लत ही कुछ मेरी शराफत की दलील
जिसकी ग़फ़लत को मुल्क रोते हैं वो ग़ाफ़िल हूँ मैं
મારી નામોશી એ જ મારી શરાફતની દલીલ છે
હું એ જ ગાફિલ છું જેની ગફલતને કારણે આખો મુલક રડે છે. [ ગાફિલ અને ગફલત શબ્દના એક થી વધુ અર્થ લઇ શકાય .]
बज़्मे हस्ती ! अपनी आराइश पे तू नाज़ाँ न हो
तू तो इक तस्वीर है महफ़िल की और महफ़िल हूँ मैं
હે અસ્તિત્વની મહેફિલ ! તારી જાહોજલાલી ઉપર તું ગર્વિત ન થા
તું તો મહેફિલની તસ્વીર માત્ર છે – હું મહેફિલ સ્વયં છું.
ढूँढता फिरता हूँ ऐ इक़बाल अपने आप को
आप ही गोया मुसाफ़िर, आप ही मंज़िल हूँ मैं
ઇકબાલ પોતાની જાતને શોધતો ફર્યા કરે છે
હું પોતે જ જેમ કે મુસાફર અને હું પોતે જ મંઝીલ છું.
– अल्लामा इक़बाल
અલ્લામા ઇકબાલ કદાચ ભારતના સૌથી વધુ અવગણના પામેલા શાયર છે – થોડુક એમની કઠિનતાને લીધે અને થોડુક એમની પાકિસ્તાનના સર્જન માટેની તરફદારી ને લીધે . ઇકબાલનું નામ પણ લેવું એ આઝાદીની આસપાસના દાયકાઓમાં politically incorrect ગણાતું . ‘ સારે જહાં સે અચ્છા હિન્દોસ્તાં હમારા’ ના રચયિતાને ભારતે પ્રયત્નપૂર્વક ભૂલાવી દીધા છે, પરંતુ ‘વોહ શમા ક્યા બુઝે જિસે રોશન ખુદા કરે…….’
ઇકબાલ એ એક માત્ર શાયર છે કે જેઓ દર્શનની એ ઊંડાઈ ધરાવે છે કે જેથી તેઓ ગાલિબ સામે ટક્કર લઇ શકે. જીતે કોણ તે તો ભાવકો જ નક્કી કરી શકે, પરંતુ મુકાબલો જબરદસ્ત થાય.
ઉપરોક્ત ગઝલમાં અનુવાદ કરવાનો કોઈ જ પ્રયાસ નથી-માત્ર સરળ ગુજરાતી સમજૂતી છે. પ્રત્યેક શેરની ગહેરાઈ જુઓ ! સરળ વાચ્યાર્થ આપ્યા બાદ ખાસ કોઈ ટિપ્પણની જરૂર રહેતી નથી. બીજો, પાંચમો અને છઠ્ઠો શેર આ શાયરને અમર બનાવવા પૂરતા છે.
પાંચમાં શેર ને જરાક માણીએ – અહીં તત્વજ્ઞાનની એક થીઅરી બે જ લીટીમાં કહેવાઈ છે – વિશ્વનું હોવું એ મારા હોવાને secondary છે….. ગાલિબને યાદ કરો – ‘ ન હોતા મૈ તો ક્યાં હોતા ?’
न किसी की आँख का नूर हूँ न किसी के दिल का क़रार हूँ
जो किसी के काम न आ सके मैं वो एक मुश्त-ए-गुब़ार हूँ
न तो मैं किसी का हबीब हूँ न तो मैं किसी का रक़ीब हूँ
जो बिगड़ गया वो नसीब हूँ जो उजड़ गया वो दयार हूँ
मेरा रंग रूप बिगड़ गया मेरा यार मुझ से बिछड़ गया
जो चमन ख़िज़ाँ से उजड़ गया मैं उसी की फ़स्ल-ए-बहार हूँ
पए फ़ातिहा कोई आए क्यूँ कोई चार फूल चढ़ाए क्यूँ
कोई आ के शम्मा जलाए क्यूँ मैं वो बे-कसी का मज़ार हूँ
मैं नहीं हूँ नग़मा-ए-जाँ-फज़ा मुझे सुन के कोई करेगा क्या
मैं बड़े बिरोग की हूँ सदा मैं बड़े दुखी की पुकार हूँ
– बहादुर शाह ज़फ़र
આ ગઝલ એ હ્રદયમાંથી નીકળેલી તીણી ચીસ સમાન છે. છેલ્લા મુગલ બાદશાહ બહાદુરશાહ ઝફરના ભાગે મુગલ સલ્તનતનો અસ્ત જોવાનું આવેલું. એની મનોસ્થિતિને ગઝલ બરાબર બંધ બેસે છે. જો કે આ ગઝલ મુજ્તર ખૈરાબાદીએ લખેલી હોવાનું પણ કહેવાય છે. હકીકત જે હોય તે, પણ આ ગઝલ ઉમદા કારીગરીનો નમૂનો છે એમા કોઇ બે મત નથી.
અલગ અલગ શેરમાં કવિ જિંદગીના અલગ અલગ ફોટોગ્રાફ ખેંચી આપે છે. પરપોટા જેવી આપણી આ ક્ષણભંગુર હસ્તીનો દેખાડો મૃગજળથી વિશેષ શું છે? પ્રિયતમાના હોઠની નજાકતનો આ મેટાફર આજે તો ચવાઈ ગયેલો લાગે પણ ઉર્દૂ-રોમેન્ટિક યુગના પહેલા શાયર ગણાતા મીરનો આ શેર સૌંદર્યદર્શનનો સર્વકાલિન શ્રેષ્ઠ શેર ગણાય છે.
મીર કઈ કક્ષાના ગઝલકાર હતા એ તો બે મહાન ગઝલકારોએ આપેલી આ અંજલિ પરથી જ જાણી શકાશે:
रेख्ते के तुम ही उस्ताद नहीं हो ‘गालिब’,
कहते हैं अगले जमाने में कोई मीर भी था । (गालिब)
न हुआ पर न हुआ ‘मीर’ का अन्दाज़ नसीब,
‘ज़ौक़’ यारों ने बहुत ज़ोर ग़ज़ल में मारा । (ज़ौक़)
વનવગડામાં ગાળેલી ક્ષણોનો ખજાનો કવિ તળપદી ભાષામાં આપણી સામે ખોલે છે. કેટલીક ક્ષણો યાદદાસ્તમાં સચવાઈ રહી છે, કેટલીક નહીં. કેટલીક મઘમઘી રહી છે પણ કરમાઈ એકે નથી. જો કે અણુ-અણુને પ્રમાણે એવા વનવગડા અને એવા પ્રમાણનાર પણ હવે ક્યાં બચ્યા જ છે?
હું જાઉં? કેમ, ઉતાવળ છે?
ના. તો, કંટાળો આવે છે?
ના. ઉતાવળ નથી, કંટાળો નથી, તો જવાની વાત કેમ?
જવું નથી એટલે. એ ના સમજાયું.
તારી પાસે સાંભળવું છે ઃ
રોકાઈ જા ને…
– ચંદ્રેશ ઠાકોર
નાનકડું કાવ્ય સંબંધના સમીકરણોની મોટી સમજણ આપી શકે એમ છે.
છૂટા પડવાની વાત આવે અને સામેની વ્યક્તિ અનાયાસ જ કહી ઊઠે, ‘અભી ના જાઓ છોડકર…’ એમાં જ સંબંધની સાચી શક્તિ રહેલી છે. બને એટલો વધુ સમય સાથે રહેવાની ઈચ્છા એ જ સંબંધની મજબૂતી માપવાનું સાચું મીટર.
November 22, 2014 at 12:30 AM by વિવેક · Filed under અછાંદસ, લાભશંકર ઠાકર
નથી નથી
કશુંય સુપથ્ય એવી સમજણ
ખળ ખળ વહ્યા કરે તનમન મહિં-
જ્યારથી આ
ત્યારથી હા
ખોટા ખોટા માણસની ખરી ખરી વાત
ઓગળીને અટકતી
જેના તટ પરે
તારણોની લાશ પછી લાશ બધી
લટકતી
જે
સ્થળ નહિ કાળ નહિ તેવી
આશા અને ભાષા મહિં
. બટ-
કતી આમ:
Nothing is more real than nothing.
– લાભશંકર ઠાકર
ખોટા માણસો પાસેથી મળેલા તારણો પર આપણી સમજણ અટકી-લટકી પડે તો કશું સુપથ્ય લાગતું નથી. બટકતી શબ્દને બટકાવીને કવિ કવિતાને અલગ જ ઓપ સાપે છે. Nothingnessની વાત પર તો ગ્રંથોના ગ્રંથ લખાયા છે-લખાશે…
November 21, 2014 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, મનોજ જોશી ડૉ.
ઘસી ઘસીને ઘણા સાફ તો કરેલા છે,
છતાં વિચાર અમારા હજુય મેલા છે.
દિશાના નામ ફક્ત સૂર્યથી પડેલાં છે,
ઘણાના સ્વપ્ન ઉગમણેય આથમેલાં છે.
નથી હું આપતો ક્યારેય મારું સરનામું,
અનેક પ્રશ્ન છતાં ઉંબરે ઊભેલા છે.
દિવસ ને રાત સતત આવજાવ ચાલુ છે,
આ કોના પ્રેમમાં શ્વાસો બધાય ઘેલા છે ?
ભલેને અટપટા સૌ દાખલા છે સંબંધો,
અહમને બાદ કરો તો જવાબ સહેલા છે.
– મનોજ જોશી
આ કવિની ગઝલો જેમ જેમ વાંચતો જાઉં છું, હું વધુ ને વધુ એના પ્રેમમાં પડતો જાઉં છું. કયા શેર પર આંગળી મૂકવી એ પ્રશ્ન થઈ જાય એવી ગઝલ. હા, જો કે છેલ્લો શેર જરા સપાટ લાગ્યો.
ડાળી ઉપર ફૂલ ખીલ્યાનો અર્થ એટલો,
પાનખરોના વચગાળાની બ્હાર ઊભો છું.
બે પંખીના સૂના ઘરનો કોલાહલ છું,
ટહુકો ક્યાં છે, ક્યાં માળાની બ્હાર ઊભો છું!
ભીડ વચોવચ સૌની સાથે હળીમળીને,
ઊભો છું પણ કૂંડાળાની બ્હાર ઊભો છું.
– અંકિત ત્રિવેદી
ગાડરિયા પ્રવાહથી અલગ ઊભા રહેવાનો મિજાજ… ભલેને મણકો છું પણ માળામાં નથી પરોવાયો. સ્વયંનિર્ભર, પગભર થઈ માળાની બહાર ઊભો છે. જો કે બીજા જ શેરમાં વળી ઉછીનું લેવાની વાત પણ આના વિરોધાભાસમાં નજરે ચડે છે.
November 13, 2014 at 12:30 AM by વિવેક · Filed under અછાંદસ, ચંદ્રા
એક હોસ્પિટલ
ચોધાર આંસુએ રડ્યા કરે
રોજ રોજ ઉભરાતાં મબલખ રોગીઓને જોઈને
રોગ પણ કેવા!
કોઈની નજરમાં કાણું,
કોઈની જીભમાં દોઢું હાડકું,
કોઈના ઉચ્છવાસમાં ‘નજાકત’ ચીમળાઈ જાય એટલું ઝેર,
તો કોઈની બુદ્ધિને દૂરના ચશ્મા
રોગીઓની સંખ્યા વધતી જતી જોઇને
પરાણે-મહાપરાણે,
‘પથારી’ઓની સંખ્યા પણ વધારવી પડી
હોસ્પિટલને દુ:ખ થયું
આમ ને આમ થતું રહેશે તો
એક દિવસ બધી ‘પથારી’ઓ ઓછી પડશે અને,
ખુદ રોગીઓ જ
એકબીજાની સામે જોઈને બોલતા રહેશે:
“આના કરતા ‘પથારી’ બન્યા હોત તો સારું હતું”
આ ‘પથારી’એ તો પથારી ફેરવી નાખી છે,
પેરેલિસિસ થયેલ ઈજ્જતની,
એન્જિયોપ્લાસ્ટિ કરાવેલ આદરની,
ટ્રાન્સપ્લાન્ટ થયેલ સ્વચ્છંદતાની
અને
ઓપરેશન માટે ક્યારની વેઈટીંગમાં ઉભેલ….શર્મની…..
~ચંદ્રા
જોહન ડૉનની મેટાફિઝિકલ કવિતાની યાદ અપાવે એ શૈલીમાં લખાયેલ આ કવિતા બે ઘડી વિચારતા કરી દે છે. A poem should not mean, but be ની પણ સ્મૃતિ થાય. જો કે અહીં કવિતાનો અર્થ અને અસ્તિત્ત્વ બંને રહેલા છે. શહેરીકરણ, વસ્તીવધારા, પ્રદૂષણ જેવા પેટ ચોળીને ઊભા કરાયેલા શૂળના પ્રતીક સમી હૉસ્પિટલ એ ઈંત-રેતી-સિમેન્ટનું બનેલું મકાન જ નહીં, જાત-ભાતની માનસિક રુગ્ણતાઓથી ખબદતી આપણી પોતાની જાત પણ ન હોઈ શકે ?!
November 9, 2014 at 12:30 AM by તીર્થેશ · Filed under અછાંદસ, ઓશો
प्रत्येक अनिश्चय से कुछ नष्ट होता हूं
प्रत्येक निषेध से कुछ खाली
प्रत्येक नए परिचय के बाद दूना अपरिचित
प्रत्येक इच्छा के बाद नयी तरह से पीड़ित
हर अनिर्दिष्ट चरण निर्दिष्ट के समीपतर पड़ता है [ अनिर्दिष्ट = Unspecified ]
हर आसक्ति के बाद मन उदासियों से घिरता है।
जागो और ज़रा देखो।
हर अनुरक्ति मुझे कुछ इस तरह बिता जाती है। [ अनुरक्ति = Attachment ]
मानो फिर जीने के लिए कोई भविष्य नहीं बचता है।
source – ओशो – अजहूं चेत गंवार [ page 51 ]
શું અદભૂત કવિતા છે !!! દરેક પંક્તિ અર્થસભર…. એક શબ્દ પણ વધારાનો નહિ ! તમામ રોજિંદા અનુભવોને પૃથક્કૃત કર્યા છે અને તે પણ પૂરી નિખાલસતાથી અને સભાનતાથી. ખરા અર્થમાં ‘તત્વ’ચિંતન તે આનું નામ ! ઓશોની હિન્દી books માં આવી ઘણી સુંદર કવિતાઓ હોય છે – માત્ર તકલીફ એ છે કે એ કદી કવિનું નામ નથી લખતા.
desires ને નિષ્પક્ષપણે examine કરતા કવિને જે સત્યો દ્રષ્ટિભૂત થયાં છે તે ખૂબીપૂર્વક નિરૂપાયા છે. અહીં जागो શબ્દ બાઈબલમાં જે રીતે વારંવાર Awake શબ્દ પ્રયોજાયો છે તે ધ્વનિમાં પ્રયોજાયો છે. જાગૃતિ [ awareness ] નો કોઈ વિકલ્પ નથી. દરેક ક્ષણની-સતત-નિરંતર-નિરપવાદ જાગૃતિ [ awareness ].
કેમ દેખાયો નહીં હોવા છતાં ?
આડી આવી જાત પોતાની જ, ન્હૈં ?
જ્યાં બિરાજે એ જ ડાળી કાપતો
આપનો ‘ઈર્શાદ’ આ નાચીજ, ન્હૈં ?
– ચિનુ મોદી
મજાની ગઝલ. બધા જ શેર આસ્વાદ્ય. પણ મારું મન ગઝલની રદીફ પર અટકી ગયું – “ન્હૈં” ?! શિષ્ટ ગુજરાતીમાં ‘નહિ’ લખીએ તો પણ છંદ યથાવત્ જ રહે છે તો પછી આ શબ્દપ્રયોગ જ કેમ ? જો તળપદી ભાષાનો આ પ્રયોગ હોય તો આખી ગઝલમાં અન્યત્ર એ દેખાવી ન જોઈએ ?
બોલો તો વેણ બહુ મીઠાં લાગે ને
તમ સ્પર્શે હવા વહે છે શીળી
મધુરપથી સીંચ્યા આ માંડવામાં તોય પડે
પાંદડી સંબંધની પીળી;
સામે જુઓ, આ મારો સમદર અગાધ અને
સમદરમાં એકલો તરાપો .
ઝાંખીપાંખી આ બધી બત્તી બુઝાવો
ને ઘરનું સંગીત કરો બંધ,
અંધારું ધોધ બની તાણી લઈ જાય મને
અંધારે ભાળું હું અંધ;
ઘરની આ માયા ને છાપરીની છાયાને
અધપળમાં આજ તો ઉથાપો !
બંધુ, ન લેશ આજ માઠું લાગે હો ભલા
બંધુ, આ પ્રીત નથી પોચી ,
આઘે કર્યા તે નથી અળગા જરાય
નથી ખાલીપે ગોઠડી ઓછી;
ઊંડે ઊંડે મને પામું, પામું ને બજે
સંગીના ઊંચે આલાપો,
November 1, 2014 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, દિલીપ ઝવેરી
બળતી મીણબત્તીને ફૂંક મારી
કોઈ
બહાર થંભેલા અંધકારને કહે
‘આવ અંદર, અહીં બીવા જેવું કંઈ નથી.’
એમ કવિતા બોલાવે
‘તારું બધું ઓલવીને આવ હવે
. ખોવા જેવું કંઈ નથી.’
ખોવાયેલું ગોતતાં મળી જાય તે કવિતા ન હોય
પણ ખોવાયલાનેય જે મળી શકે તે કવિતા.
પાટણ-નરેશ સિદ્ધરાજ જયસિંહે બંધાવેલા સહસ્ત્રલિંગ તળાવમાં સતી જસમા ઓડણના શ્રાપને લીધે પાણી ટકતું નહોતું. જ્યોતિષીઓએ જણાવ્યું કે કોઈ બત્રીસ લક્ષણા પુરૂષનો ભોગ આપવામાં આવે તો જ તળાવમાં બારેમાસ પાણી રહેશે. ધોળકા પાસેના એક ગામમાં માયા નામના વણકર યુવાન બત્રીસ લક્ષણો હતો. પાટણના નાગરિકોની હાજરીમાં વીર મેઘમાયાએ સ્વેચ્છાએ યજ્ઞવેદીમાં પોતાનું બલિદાન આપ્યું.
વીર મેઘમાયાએ સ્વ-બલિદાન આપતાં પૂર્વે શું કહેવા ધાર્યું હશે એનું આ ગીત… વણાટક્રિયાના તળપદા શબ્દો અને વર્ણાનુપ્રાસના કારણે ગીત વધુ આસ્વાદ્ય બન્યું છે.
October 30, 2014 at 12:30 AM by વિવેક · Filed under ગીત, મણિલાલ હ. પટેલ
અષાઢી મેઘ જેમ અણધાર્યા કોકવાર તારે મલક ચઢી આવશું
ધોધમાર, ઝરમર, ફૂહાર વળી વીજળી ને વાછંટો લાવશું… કોકવાર
આ તો પહેલો વરસાદ પછી બીજો વરસાદ
. એવું ભીંજાતાં ભીંજાતાં ગણવાનું હોય નહીં
ખેતર ને માટીની જેમ બધું લથબથ મહેકાય
. પછી કક્કાની જેમ કશું ભણવાનું હોય નહીં
ઘર આગળ મોગરો, ગુલાબ વળી વાડામાં બારમાસી ગલગોટા વાવશું
. …કોકવાર તારે મલક ચઢી આવશું
વૃક્ષોમાં અજવાળું થાય એવી વેળાનાં
. પંખીઓ તારામાં અટકળને ગાશે
બળબળતી પડસાળો ટળવળતી ઓસરીઓ
. ટાઢોળા વાયરાની જેમ બધે વાશે
માયાળુ લોક મને રોકશે ને કહેશે કે વરસો રે વાદળની જેમ વહી જાવ શું ?
અષાઢી મેઘ જેમ અણધાર્યા કોકવાર તારે મલક ચઢી આવશું
– મણિલાલ હ. પટેલ
અણધાર્યા આવી ચડવાની વાત… પહેલા અને બીજા વરસાદની કક્કાવારી ભગવતીકુમાર શર્માનું ગીતયાદ અપાવી દે.