કેમ એ આવ્યા નહીં કોને ખબર?
એમને પણ કોઈ મર્યાદા હશે
-જવાહર બક્ષી

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for કવિ

કવિ શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.




(शेर सुनाया करते हैं) – मिलिन्द गढ़वी

हम अपनी मस्ती में गाया करते हैं
दुनिया वाले आया-जाया करते हैं |

जब भी उनकी यादें मिलने आती है
आँसू अपना धर्म निभाया करते हैं |

तन्हाई पास आकर बैठा करती है,
हम भी उसको शेर सुनाया करते हैं |

– मिलिन्द गढ़वी

મૂળે ગુજરાતી પણ બધી ભાષાને છાતી ફાડીને ચાહી શકે એવો આ કવિ હિંદી ગઝલ પણ કેવી અફલાતૂન કહે છે તે જુઓ! મુક્તકથી થોડી વધારે અને ગઝલથી થોડી ઓછી કહી શકાય એવી માત્ર ત્રણ જ શેરની ગઝલ, ને તોય કેવી સર્વાંગ સંપૂર્ણ! કવિ એની મસ્તીનો માલિક છે. દુનિયા એને ચાહીનેય દખલ ન પહોંચાડી શકે. પહેલો શેર વાંચીએ ત્યારે બાળાશંકરની પંક્તિ યાદ આવ્યા વિના નહીં રહે: ‘નિજાનંદે રહેજે બાલ, મસ્તીમાં મજા લેજે.’

Comments (1)

અર્થ મળે છે – પન્ના નાયક

સાંજનો સમય : દરિયાકાંઠો : પાંખ પસારીને ઊડતાં દેવદૂત જેવાં પંખીઓ
પાંખની ઉપર પ્રસરેલું આકાશ અને આંખની નીચે દરિયાનો રંગ
આ દૃશ્ય જોઈ જોઈને એક ક્ષણ હું પંખી થઈ જાઉં છું
ખભાને વળગેલા મારા હાથ પાંખ તો નથી થઈ ગયા ને ?
જોઉં છું મને ક્યાંય ચાંચ તો નથી ફૂટી ને?
થાય છે કે હું મારા ઈંડામાંથી બહાર આવું છું
અને ઊડું છું આકાશમાં મારા કોઈ પંખી સાથે.
સાથે રહીને ઊડવાનો આનંદ ઉઘાડી આપે છે એક નવું આકાશ.

હું સાંજે પાછી વળું છું ત્યારે મારા વૃક્ષમાં આકાશ લઈને આવું છું.
પણ આકાશમાં જાઉં છું ત્યારે આકાશને વૃક્ષ કરી દઉં છું.
કેટલાંય સ્વપ્નોનાં સોનેરી તણખલાં લઈને મેં એક માળો રચ્યો છે
આકાશ અને વૃક્ષની વચ્ચે જે અવકાશ છે એ જ મારો માળો.
સાંજને સમયે પોતાની પાંખ પર ચંચલ આકાશને લઈને ઊડતાં પંખીઓને જોઈ
મારા અસ્તિત્વને એક અર્થ મળે છે અને એ થઈ જાય છે સ્વયં પક્ષીતીર્થ.

– પન્ના નાયક

સાંજનો સમય, દરિયાકાંઠો અને દેવદૂત જેવા પક્ષીઓના ત્રણ ભાગ પાડીને કવયિત્રી કવિતા આરંભે છે. સાંજ એ દિવસ અને રાત વચ્ચેનો સંધિકાળ છે, દરિયો અને આકાશ અને પાણી વચ્ચેનું સંધિસ્થળ છે અને પક્ષીઓની સાથેનો દેવદૂતનો સંદર્ભ પૃથ્વી અને સ્વર્ગ વચ્ચેની સંધિ-અવસ્થા સૂચવે છે. બે અલગ-અલગ વસ્તુઓ જ્યાં ભેગી થાય છે, ત્યાંથી જ કંઈક નવાની શરૂઆત થાય છે. આ કવિતા આ નવાની કવિતા છે, જીવનનો નવા અર્થ મળવાની કવિતા છે. સંધ્યાકાળે દરિયાકાંઠે ઊભા રહીને આકાશમાં ઊંચે ઊદતા પંખીઓને જોઈને નાયિકા ખુદનું પક્ષીમાં રૂપાંતરણ થતું અનુભવે છે. માણસ પોતાનું કોચલું તોડી શકે તો આખું આકાશ પછી એનું છે. દરેક માણસની અંદર એક પક્ષી છે, જે નિતનવાં આકાશ આંબવા સ્વપ્ન જુએ છે. એ પક્ષીનો સાથ લઈને જે ઘડીએ ઊડવું શરૂ કરીએ, એ ઘડીએ શક્યતાઓનું નવું જ આકાશ સામે ઊઘડી આવે છે.

બીજા ભાગમાં નાયિકા આકાશને વૃક્ષ અને વૃક્ષને આકાશમાં એકાકાર કરી દે છે. સીમિત અને અસીમિતની આ સંધિ જ સ્વપ્નોને નિવાસસ્થાન પૂરું પાડે છે. અસ્તિત્વ પક્ષીતીર્થ થઈ જાય ત્યારે આકાશ પાંખો પર લઈને ઊડી શકાય છે, જીવનનો ખરો અર્થ સાંપડે છે.

આઠ અને છ –એમ બે ભાગ મળીને કુલ ચૌદ પંક્તિના બનેલ આ કાવ્યને ગદ્ય સૉનેટ પણ ગણી શકાય.

Comments (3)

નખી સરોવર ઉપર શરત્ પૂર્ણિમા – ઉમાશંકર જોશી

પેલી આછા ધૂમસ મહીંથી શૃંગમાલા જણાય,
નામી નીચાં તટતરુ ચૂમે મંદ વારિતરંગ
વ્યોમે ખીલ્યાં જલઉર ઝીલે અભ્રનાં શુભ્ર રંગ,
સૂતું તોયે સરઉદરમાં ચિત્ર કાંઈ વણાય.
વીચીમાલા સુભગ હસતી જ્યાં લસે પૂર્ણ ચંદ;
શીળી મીઠી અનિલલહરી વૃક્ષની વલ્લરીમાં
સૂતી’તી તે ઢળતી જલસેજે મૂકે ગાત્ર ધીમાં
સંકોરીને પરિમલ મૃદુ પલ્લવપ્રાન્ત મંદ.

ત્યાં તો જાણે જલવિધુ તણાં ચારુ સંયોગમાંથી,
હૃત્તંત્રીને કુસુમકુમળી સ્પર્શતી અંગુલિ કો.
અર્ધાં મીંચ્યાં નયન નમતાં ગાન આ આવ્યું ક્યાંથી ?
એકાન્તોમાં પ્રકૃતિ કવતી મંજુ શબ્દાવલિ કો.
એવે અંત:શ્રુતિપટ પરે ધન્ય એ મંત્ર રેલે :
સૌન્દર્યો પી, ઉરઝરણ ગાશે પછી આપમેળે.

– ઉમાશંકર જોશી
(ઑક્ટોબર, ૧૯૨૮)

માત્ર સત્તર વર્ષની વયનો લબરમૂછિયો છોકરો એની જિંદગીની પહેલી કવિતા લખે એ કેવી હોય, કહો તો! મોટાભાગના કવિઓ આ વયે કવિતાના સ્થાને કવિતડાં જ રચતા હોય છે. જ્યારે કેટલાક જન્મજાત ‘ગિફ્ટેડ’ હોય છે. ઉમાશંકરે ૧૭ વર્ષની વયે પહેલી કવિતા લખી, એ પણ મંદાક્રાન્તા છંદમાં સૉનેટ. અને જિંદગીની પહેલી કવિતાની છેલ્લી પંક્તિમાં એમણે સાહિત્યસર્જન માટેનો જે મંત્ર આપ્યો, એ અમર થઈ ગયો…

બ. ક. ઠાકોરે ૧૮૮૮માં ગુજરાતી ભાષાનું સર્વપ્રથમ સૉનેટ લખ્યું, જે આજદિનપર્યંતનુ સર્વશ્રેષ્ઠ સૉનેટ પણ ગણાય છે. બંને સૉનેટમાં થોડીઘણી સામ્યતા નજરે ચડે છે. પચાસ વર્ષ પહેલાં લખાયેલ ઠાકોરના સફળ સૉનેટની લબરમૂછીયા કવિની કવિતા પર અસર હોય એ નકારી ન જ શકાય. બંને સૉનેટ મંદાક્રાન્તામાં લખાયેલા છે, બંને સૉનેટમાં અષ્ટક-ષટક પ્રમાણે વિભાજન થયેલું છે, બંને સૉનેટ કાવ્યસર્જનની પ્રક્રિયાના રહસ્યોનો તાગ મેળવવા મથે છે. બંનેનો પ્રારંભ ધુમસમાં થઈને દેખાતી પ્રકૃતિથી થાય છે. બંનેમાં શાંત જળની વાત છે, હળુ-હળુ વાતા પવનની વાત છે, ચાંદની અને પુષ્પોની સુવાસની વાત પણ છે. બેંને સૉનેટના ષટકની શરૂઆત ‘ત્યાં’ શબ્દથી થાય છે. બંનેમાં નાયક અર્ધનિમિલિત નેત્રે સૂતો છે અને અનાયાસે બંનેના હૃદયમાંથી કાવ્યસ્ફુરણ થાય છે. બ.ક.ઠા. કાવ્યસર્જનના પિંડમાં કુદરતની રમણીયતાના ભણકારાઓ કેવી રીતે ભાગ ભજવે છે એ સમજાવે છે, તો ઉ.જો. પ્રકૃતિ સૌંદર્યનું યથાર્થ પાન કરવામાં આવે તો હૈયું આપમેળે ગીત ગાશે એ સમજાવે છે.

બે સૉનેટની સમાનતાની સરખામણી કરવા પાછળનો હેતુ બેમાંથી એકેયને એક-બીજાથી ચડિયાતાં કે ઉતરતાં સાબિત કરવાનો નથી, ફક્ત બે પ્રથમની વચ્ચે રહેલ સામ્ય તરફ ધ્યાન દોરવું એ જ છે. બંને કૃતિ પોતપોતાના સ્થાને ઉત્તમ જ છે અને બંનેની પોતપોતાની મજા છે…

Comments (2)

તમને ફૂલ બહુ ગમે – કાબેરી રાય ( અનુ. પ્રીતિ સેનગુપ્તા )

તમે કહો,
તમને ફૂલ બહુ ગમે –
પણ જ્યારે ફૂલ ખીલે છે
તમે ફૂલ તોડી નાખો છો.

તમે કહો,
તમને વરસાદ બહુ ગમે –
દિવસને અંતે જ્યારે વરસાદ પડે
તમે એનાથી જાત બચાવો છો.

તમે કહો,
દક્ષિણ દિશાથી આવતો પવન બહુ ગમે
પણ જ્યારે મોટી ડમરી ચઢે
બારી એકદમ બંધ રાખો છો.

હું ભય પામી જાઉં છું ત્યારે
જ્યારે તમે કહો છો,
તમે મને ચાહો છો.

– કાબેરી રાય (બંગાળી)
(અનુ. પ્રીતિ સેનગુપ્તા)

સરળ વાણી…..વેધક વાત. આખી વાત vulnerability ની છે. વેદનાથી બચવા જાત ફરતે કિલ્લો બાંધી બેસે છે મનુષ્ય, વેદનાથી બચે છે કે નહિ તે તો ભગવાન જાણે પણ સાચી લાગણીથી, ક્ષણક્ષણના સૌંદર્યથી, અનિશ્ચિતતાની રોમાંચથી, ભરતી-ઓટની વિવિધતાથી – તમામ જીવન-પ્રસાદથી વંચિત રહી જાય છે તે મનુષ્ય, અને તેની સાથેની વ્યક્તિ વગર લેવેદેવે શહીદ થઇ જાય છે…..

Comments (2)

શું સમજાવું ! – સંજુ વાળા

બહુ બહુ તો એક્ કરું ઈશારો બીજું તો હું શું સમજાવું ?
બની રહે જે ધોરણ – ધારો બીજું તો હું શું સમજાવું ?

હું વણજારો – તું વણજારો બીજું તો હું શું સમજાવું ?
વણજ વિના નહીં આરો-વારો બીજું તો હું શું સમજાવું ?

ઘૂમરાતું ચગડોળ જગત આ તું ‘ને હું સરખા સહેલાણી
ચડ-ઊતર છે નિયમ નઠારો બીજું તો હું શું સમજાવું ?

પોત હશે પાણીનું તારું તો જ શક્યતા બરફ થવાની
નાહક ના વેડફ જન્મારો બીજું તો હું શું સમજાવું?

શબદબીજને શબદનું સિંચન શબદ નીપજ ‘ને સાળ શબદની
શબદ રંગ ‘ને ખુદ રંગારો બીજું તો હું શું સમજાવું?

ચતુર્મુખ ત્રિગુણા ભગવતી હે ભાષા ! તું ભેરે રહેજે
ભીડ પડ્યે સાચો સધિયારો બીજું તો હું શું સમજાવું ?

ઇચ્છાઓ આડી ઊભી છે વળગણથી બોઝિલ છે પાંખો
એમ નહીં સીઝે સંથારો બીજું તો હું શું સમજાવું ?

– સંજુ વાળા

ચોથો શેર જુઓ !! આમ તો બધા જ મજબૂત છે પણ ચોથો સવિશેષ વેધક છે….

Comments (3)

(કેવું થશે?) – મુકુલ ચોક્સી

છીછરા પાણીમાં ડૂબકી મારવા જેવું થશે,
તો મને ઉર્ફે આ લાંબા વાંસને કેવું થશે?

તે ક્ષણે ખૂલી જવા ખુદ પિંજરું તત્પર થશે,
જે ક્ષણે સંપૂર્ણ રીતે સ્વસ્થ પારેવું થશે.

આપને અજવાસને બદલે વિકલ્પી જોઉં તો,
સૂર્યને બદલે તમારું મારા પર દેવું થશે

લોહીના પોલાણમાં વૈશાખના અડ્ડા ઉપર,
બોલ, છાપો મારતાં આષાઢને કેવું થશે?

– મુકુલ ચોક્સી

અનુભૂતિની ગઝલ… એકવાર વાંચો, બે વાર વાંચો, ત્રણવાર વાંચો અને જે અનુભૂતિ થાય એ આ ગઝલની સાચી ઉપલબ્ધિ…

આ મુકુલ ચોક્સી કોઈને ક્યાંય મળી જાય તો તાત્કાલિક જાણ કરવા વિનંતી. ખબર આપનારને ઝોળી ભરાય જાય એટલું મોટું ઈનામ આપવામાં આવશે…

Comments (4)

સાતે રવિવાર – ઉમાશંકર જોશી

સા તે  ર વિ વા ર
.            મારે સાતે રવિવાર,
આખા અઠવાડિયામાં
.            સાતે રવિવાર.

.            ચાલ્યો હું એક સવારે
.            નગરીની ભરી બજારે.
.            સામે મળિયો ત્યાં મુજને ક્યાંથી રવિવાર!
.            બોલે: ‘જોતો નથી? છે આજે રવિવાર!’
.                                             મારે સાતે રવિવાર.

.            બોલું હું: ‘ભાઈ, આજે
.            પેલી જો ગુજરી ગાજે
.            શુક્રની, હમણાં હું આવું, લાગે નહીં વાર.’
.                                             મારે સાતે રવિવાર.

.            ‘જગની ગુજરી આ જોવા
.            ચાલ! સમય છે ક્યાં રે ખોવા?
.            જીવતર લાધ્યું છે કે ફરી લાધે બીજી વાર!
.                                             ભાઈ, સાતે રવિવાર.

.            ‘આળસનો સોમ રસ પી,
.            જંગલમાં મંગલ નીરખી,
.            બુધની ના રાખ સૂધ તું સાંજ કે સવાર,’
.                                             ભાઈ, સાતે રવિવાર.

.            ‘શિષ્યોને ગુરુ કરે જો,
.            તારો શુક્રવાર વળે તો,
.            શનિને રવિ કરી દઈ વક્રતા નિવાર.’
.                                             ભાઈ, સાતે રવિવાર.

સા તે  ર વિ વા ર
.            મારે સાતે રવિવાર,
આખા અઠવાડિયામાં
.            સા તે  ર વિ વા ર.
.                 રવિ છે સૌ માનવકુળનો સાચો કવિવાર.
.                                             ભાઈ, સાતે રવિવાર,
.                                             મારે સાતે રવિવાર.

 

– ઉમાશંકર જોશી

ઉમાશંકર જોશી જેવા અતિગંભીર પ્રકૃતિના કવિ પાસેથી આવું રમતિયાળ ગીત મળે એની મજા જ અલગ.  આ ગીત કવિતાના માઇક્રોસ્કોપની નીચે મૂકીને એનું ડિસેક્શન કરવા માટેનું નથી.જીવનમાં ક્યારેક તો દરેકને સોમવાર જાની દુશ્મન જેવો લાગ્યો જ હશે. રોજ રવિવાર હોય તો કેવી મજા એવું સ્વપ્ન કદી જોયું ન હોય એવો કોઈ માણસ હશે ખરો? જો કે ઉમાશંકર મસ્તીના મૂડમાં હોય તોય કવિતાને બાજુએ ભાગ્યે જ મૂકી શકે છે.  સાતેય વારોના વ્યવહારુ અર્થોને કવિતામાં પ્રયોજવાનું કવિ ચૂક્યા નથી.  ‘સાતે રવિવાર’ના સ્થાને ‘સા તે  ર વિ વા ર’ -એમ વચ્ચે એક-એક ખાલી જગ્યા મૂકીને રજાનો અવકાશ શબ્દાનુભૂતિથી કવિ કેવો બખૂબી ચાક્ષુષ કરાવે છે!

Comments

ઉદ્ગાર – કાન્ત

વસ્યો હૈયે તારે :
રહ્યો એ આધારે :

પ્રિયે, તેમાં મારે પ્રણય દુનિયાથી નવ થયો!
નવા સંબંધોનો સમય રસભીનો પણ ગયો!

નહિ તદપિ ઉદ્વેગ મુજને :
નયન નીરખે માત્ર તુજને :

હરે દૃષ્ટિ, વ્હાલી! સદય મૃદુ તારી જ રુજને!

સદા રે’શે એવી :
સુધાવર્ષા જેવી :

કૃતી માનું, દેવી! ક્ષણ સકલને જીવન તણી :
પ્રમત્તાવસ્થામાં નજર પણ નાખું જગ ભણી!

– કાન્ત

મનગમતી એક વ્યક્તિ સાથે તાર જોડાઈ જતાં માણસ દુનિયા સાથે તાર જોડવું નિરર્થક સમજે છે. કોઈકના હૈયામાં વસવાટ કર્યાના આધારે પ્રેમીજન દુનિયાથી પ્રેમ કરતો નથી અને નવા સંબંધો બાંધવાનો સમય જતો કરે છે. પણ આમ એકલવાયા પડવાનો એને કોઈ ઉદ્વેગ પણ નથી હોતો. અર્જુન જેમ પક્ષીની આંખને એમ પ્રેમી માત્ર પ્રિયજનને જ નીરખે છે. પ્રિયાની પ્યારભરી દયાવાન દૃષ્ટિ સર્વ બિમારીઓ પણ હરી લે છે. પ્રણયની આ અમૃતવર્ષા સદાકાળ આવી ને આવી જ રહેશે એવી આસ્થાના લીધે જીવનની પ્રત્યેક ક્ષણ કૃતાર્થતા અનુભવાય છે…

ખંડ શિખરિણી અને શિખરિણીમાં લખાયેલ આ ગીત પ્રેમોદ્ગારની ચરમસીમાને સ્પર્શે છે…

(સદય = દયાળુ; રુજ = બિમારી; કૃતી = કૃતકૃત્ય,ભાગ્યશાળી; પ્રમત્તાવસ્થા= ઉન્મત્તાવસ્થા,પ્રમાદયુક્ત)

Comments

અમે – નયન દેસાઈ

શ્વાસોની શેરીમાં ઊગેલા શમણાંઓ વીણીને ગાતા ફટાણાં અમે;
સાંકળ સંબંધોની બાંધીને ફરનારા કોઈ નામ વગરના ફલાણા અમે.

સાલો પવન રોજ ઊઠીને ચૂંથે છે મુદડું અમારું, અમે ચૂપ છીએ;
ઘેરી ઉદાસીનું વાગે છે જંતર; કાં છાતીમાં આવી ભરાણા અમે ?

ભીંતોને આવીને અડ્ડો જમાવ્યો તો પડછાયાં રસ્તામાં વેચી દીધા;
ફાટ્ટીમૂઓ સૂર્ય ડંફાસ મારે, પણ એનાથી છઈએ પુરાણા અમે.

બખ્તરના લીરેલીરા થૈ ગયા, ઢાલ ફાટીને ને ભાલાની તૂટી અણી;
પોતાની સાથે જ લડવામાં ડૂબ્યાં કૈં લોહીમાં ઘૂંટણ સમાણા અમે.

અમથું થયું કે ‘જરા લાવ કોરાકટ કાગળ ઉપર કોઈ ગઝલ ગાઈએ’
શબ્દોનો દાવાનળ એવો તો વળગ્યો કે અંગૂઠે સખ્ખત દઝાણા અમે.

– નયન દેસાઈ

Comments (2)

અહીં રઝળતા કાગળો – રમેશ પારેખ

અહીં રઝળતા કાગળો છોડીને શબ્દો ક્યાં ગયાં ?
વાવને વગડે મૂકી ખાલી, કહો, જળ ક્યાં ગયાં ?

પહાડ પરથી દડદડીને ખીણમાં પડતી સવાર –
ઘાસની કેડીને જઈ પૂછે કે ઝાકળ ક્યાં ગયાં ?

આંખ અશ્રુપાતથી પાલવને કાળો ભીંજવે :
કેમ પૂછે છે સહુ : આંખોનાં કાજળ ક્યાં ગયાં ?

ગંધ તરસી તરફડી રહી છે ફૂલોનાં બારણે –
બાગને ભૂલી પવન સૌ કેમ અસ્તાચળ ગયાં ?

બારણું ખોલું તે પહેલાં તો તમે ચાલ્યાં ગયાં –
મેં તમારા સમ, કરી’તી બહુ ઉતાવળ, ક્યાં ગયાં ?

હું અને મારો વિરહ રણમાં રઝળતાં પૂછીએ –
આપણાં સાથી મૂકીને આમ પાછળ, ક્યાં ગયાં ?

– રમેશ પારેખ

દરેક શેર એક કહાની છે……સમર્થ સર્જકની આ નિશાની છે….ત્રીજો શેર અંતર વલોવી નાખે છે, તો પાંચમો શેર આંખના ખૂણા ભીના કરે છે. છેલ્લો શેર શિરમોર છે – નિ:શબ્દ કરી દે છે….

Comments (1)

બાઈ, કિયાં તે… — મનોહર ત્રિવેદી

બાઈ કિયાં તે કામણ ને કારણે
બારસાખ ઝાલીને ઊભી’તી ક્યારની બે લોચનને ધક્કેલી બારણે

અડાઝૂડ ઝાંખરાંની વચ્ચે લ્હેરાય દૂર વાયરાની ભૂરી પછેડી
ઉઘાડેછોગ પણે વગડે ઉતાવળી જાય નહીં અમથી કો’ કેડી
ખેંચાતી જાઉં તેમ ગૂંથાતી જાઉં હુંય કાચી તે અટકળને તાંતણે.

સીમે ત્યાં ધોધમાર વરસ્યો વરસાદ એનું ઉંબર લગ પૂગ્યું ખેંચાણ
કોણ આમ મારામાં હેલે ચડ્યું કે જેની પોતાને હોય નહીં જાણ?
લથબથ ભીંજાઈ પ્હેલવેલ્લી : ભીંજાઈ નો’તી આવું હું સોળસોળ શ્રાવણે

— મનોહર ત્રિવેદી

વરસાદ પ્રેમની ઋતુ છે, પણ સોળમા શ્રાવણે અચાનક ભીંજાવાની વ્યાખ્યા જ બદલાઈ જાય છે. મર્યાદા બારસાખથી આગળ વધવા દેતી નથી પણ અટકળના તાંતણે બંધાઈને ષોડશીની આંખો અને મન ઉતાવળે વગડે દોડતાં જાય છે. કોઈક સીમમાં વરસ્યું છે પણ એનું ખેંચાણ ઘરના ઉંબર સુધી પહોંચ્યું છે. પોતાની જાણ બહાર જ નાયિકા કોઈકથી એ રીતે લથબથ ભીંજાય છે, જે રીતે ભીંજાવાનું સોળ વર્ષોમાં કદી બન્યું નહોતું.

મુખડામાં ‘કામણ’ અને ‘કારણે’ની વચ્ચે કવિએ ‘ને’ મૂક્યો છે. છઠ્ઠી વિભક્તિ તરીકે એ લખાઈ જાય તો અર્થ બદલાઈ જાય અને વચ્ચે કવિએ પ્રયોજી છે એ મુજબ જગ્યા રાખવામાં આવે તો અર્થ અલગ થાય છે એ સમજવું જરૂરી છે. પહેલા વિકલ્પમાં ‘કોઈક કામણને કારણે’ની વાત છે, તો બીજા વિકલ્પમાં ‘કામણ અને કારણ’ બન્ને અલગ પડી જાય છે. વાત એની એ જ રહે છે પણ અર્થ બેવડાઈ છે એની મજા છે. ને એક અક્ષરની હેરફેરથી ભાષા કેવું વૈવિધ્ય સર્જી શકે છે એનો પ્રત્યક્ષ દાખલો મળે છે.

Comments

ઝાલાવાડી ધરતી – પ્રજારામ રાવળ

આ ઝાલાવાડી ધરતી
આવળ, બાવળ, કેર, બોરડી, શુષ્ક રુક્ષ ચોફરતી

અહીં ફૂલ કેવળ આવળનાં
અહીં નીર અધિકાં મૃગજળનાં
પુષ્પ, પત્ર, પાણી વિણ કાયા ઘોર ઉનાળે બળતી

જોજનના જોજન લગ દેખો
એક નહીં ડુંગરને પેખો
વિરાટ જાણે કુલ્લી હથેળી સમથળ ક્ષિતિજે ઢળતી

આ તે કોઇ જનમ-વેરાગણ
કે, કો ઉગ્ર તપંતી જોગણ
સન્યાસિની તણા નિર્મળ શુભ્ર વેશે ઉર મુજ ભરતી

– પ્રજારામ રાવળ

‘વાયુ’ વાવાઝોડું આવી ચડ્યું એના થોડાક દિવસ પહેલાં માત્ર ઝાલાવાડ જ નહીં, દેશ આખાની કદાચ આ જ હાલત હતી…

ઉનાળાના દિવસોમાં ઝાલાવાડની ધરતીની માઠી દુર્દશાનું કવિએ જે વર્ણન કર્યું છે એ કોઈ સમયગાળાનું મહોતાજ નથી. કાંટાળા અને છાંયા રહિત રુક્ષ વૃક્ષસભર આ ધરતી પણ પાણી અધિકતર તો મૃગજળનાં જ જોવાં મળે છે. પણ જે રીતે આ શુષ્ક ધરતી કોઈ સંન્યાસિનીની જેમ કવિનું હૃદય ભરી દે છે એ જ આ ધરતીની સાર્થકતા સૂચવે છે…

Comments

(ઉદાસ થઈ જાશે) – મિલિન્દ ગઢવી

તું મળે તો ઉજાસ થઈ જાશે
આંખનો પણ વિકાસ થઈ જાશે

ચાલ તારા વિચારમાં આવું
એ બહાને પ્રવાસ થઈ જાશે

એમ માનીને રોજ જીવું છું
કાલે દુનિયા ખલાસ થઈ જાશે

એક દિ’ આ બધાં સ્મરણ તારાં
મારી ગઝલોના પ્રાસ થઈ જાશે

એને મંદિરની બ્હાર ના કાઢો
ખાલી ખોટો ઉદાસ થઈ જાશે

– મિલિન્દ ગઢવી

સાદ્યંત સંતર્પક ગઝલ. પ્રિયતમાના વિચારમાં જવા જેટલાથી પણ પ્રવાસ થઈ ગયો હોવાની વાત તો ગઢવી જ કરી શકે!!

 

Comments (6)

મારી એક વારની પ્રેમિકાને બાળક જન્મ્યું છે – ઉદયન ઠક્કર

મારી એક વારની પ્રેમિકાને બાળક જન્મ્યું છે
એવું કોઈએ કહ્યું
ત્યારે હું રામકૃષ્ણ લૉજમાં રાઇસ પ્લેટ જમતો હતો
મારે વિચારવું જોઈતું હતું
દીકરો ? કે દીકરી ?
પણ મેં વિચાર્યું
વેઇટર ઠંડી ઠીબરા જેવી ચપાટી મૂકી ગયો છે
સાલો હાડકાંનો હરામી છે અને જીભનો છૂટો
આ વખતે એણે ટીપ ગુમાવી
પણ આજે જયારે મન એકલું છે
અને શાંત પણ
ત્યારે વિચારું છું
એની રૂંવાટી પરનું કાંચન
એણે બાળકની રૂવાંટી પર પણ છાંટ્યું હશે ?
શું એનું બાળક પણ શુભ્ર અને ઉન્ન્તગ્રીવ હશે ?
પછી મૂરખની જેમ વિચારું છું
શું એ બાળકની આંખમાં
મારી વ્યાકુળતાનો અંશ હશે ?
ભઈ શું સમય હતો
કે એકેએક દિવસ
અત્તરની શીશી નહીં
પવાલું લઈને ઊગતો
એની છબી છવાયેલી રહેતી
મારા પૂર્ણ આકાશ પર
વિસ્તારપૂર્વક કહું તો
મધ્ય આકાશમાં કેશ
પૂર્વમાં સાઠ અંશને ખૂણે ભ્રૂકૂટિ
પચાસ અંશ પર આંખો
ત્રીસ પર ઓષ્ઠ
અને ક્ષિતિજે ચિબુક
(પહેલી-પહેલી પ્રેમિકાનું વિરાટરૂપદર્શન
સમજી ગયા ને ?)
એના સુવર્ણ અશ્વત્થમાં       [ અશ્વત્થ = પીપળો  ]
શતકંઠે કલશોર થતો હતો
એમાંનો હું એક ‘ચીં’ હતો
મારો કશોય સ્વરવિશેષ નહોતો
પણ વૃક્ષને ઘસાઈને
તેજ આવતું
એમાં ઝગમગીને મને આભાસ થતો કે ના
હું પણ દેવચકલી છું સોનેમઢેલ.
જો કે હસવાની વાત તો એ છે મહેરબાન
કે વર્ષો સુધી નજરને
એનો ચહેરો જોવામાંથી જ નવરાશ ન મળી
બંદા એના ચહેરાની ચુંગાલના બંદી હતા !!
(સારો શબ્દપ્રયોગ છે નહીં –
ચહેરાની ચુંગાલના બંદી !)
એ સ્કર્ટ પહેરતી કે પંજાબી ?
કોણી મેલથી કાળી રહેતી ?
કેટલી જોડી ચપ્પલ રાખતી ?
રૂમાલ ખોઈ નાખતી ?
મહીને એક વાર વૅક્સિંગ કરતી ?
ડીઝાઇનર બ્રા પહેરતી ?
પહેરતી કે નહીં ?
મને ખબર નથી, મને ખબર નથી.
એના ચહેરાથી અલાવા મને કોઈ કશી વિગતની ખબર નથી
તંગ સમય હતો
એના ચહેરાના પરિઘ બહાર
લટાર મારવા જઈ શકી
ન દ્રષ્ટિ
ન અટકળ
એવો વિચાર જ ન આવ્યો
કે કરમાતી બપોરે
ગ્રીવાની મ્હેક કેવી ખીલતી હશે ?
વાંસો ઉઝરડાઈ જાય
એવા તીક્ષ્ણ હશે એના ન્હોર ?
કામનાથી ઉદ્દીપ્ત અવાજ
કાળીયાકોશીની જેમ
ફફડતો હશે ?
હાથ ફેરવવા દેતી હશે
સાથળની ખિસકોલીઓ ?
મહેરબાન, સમ ખાવા પૂરતો
આવો વિચાર પણ ન આવ્યો
તોય જલસો હતો સાહેબ !
મુગ્ધ અને પહોળી આંખના દિવસો હતા
ટેકરીએથી તળેટીનાં બળબળતાં જંગલો દેખાય એમ
આજે
એ સ્મરણો આકર્ષક દેખાય છે.

– ઉદયન ઠક્કર

 

આ કવિ હંમેશા આંખના ખૂણા ભીના કરી દે છે…..આડીતેડી વાતોમાં ઘેઘૂર વેદના છુપાયેલી છે. રજૂઆતની આ પદ્ધતિ આપણે ઘણીવાર પ્રમાણમાં જૂની નવલકથાઓમાં જોઈ છે. પ્રથમ વાંચને સંપૂર્ણ ભેદ ન ખૂલે. બીજી-ત્રીજી વારે દરેક punchline સમજાય…..

Comments (5)

કોણ – અનિલ ચાવડા

સમી સાંજના રંગ ભગવા ઉડાડીને આ કોણ સૂરજને દાટી રહ્યું છે?
પ્રભાતે ઉલેચીને અંધાર સઘળો ફરી કોઈ સૂરજને કાઢી રહ્યું છે!

ખબર છે બધી વૃક્ષને પોટલીમાં શું લાવ્યું ઘણાં વર્ષે આવેલ પંખી,
જુઓ વૃક્ષ રઘવાયું થઈ કૃષ્ણ જેમ જ આ ટહુકાના તાંદુલને ચાખી રહ્યું છે!

તમારી પ્રતીક્ષામાં વાવ્યું’તું એ વૃક્ષ દિવસે ને દિવસે થતું જાય ઉજ્જડ,
તમે એમ કીધું કે, ‘આવું છું મળવા’ તો લાગ્યું કે ફળ કોઈ પાકી રહ્યું છે!

મનાવી, પટાવી અને ફોસલાવી મને લઈ ગયું સુખ ફરવાને બ્હાને,
મેં જોયું મને એકલો સાવ ભેંકાર જગ્યામાં છોડી એ નાસી રહ્યું છે.

ઉપાડ્યાં છે સ્મરણોની રેતીના થેલા અને માર્ગમાં એક લાંબી નદી છે,
હું બેવડ વળી સાવ ચાલું છું તોયે હજી ભાર પીઠે કોઈ લાદી રહ્યું છે.

– અનિલ ચાવડા

ખાસ તો મક્તો જુઓ……!

Comments (2)

નહીં મંદિર નહીં દેરું – જિગર જોષી ‘પ્રેમ’

સ્વપ્ન જોયું અદકેરું
કોઇ લખાવી રહ્યું હતું – હું કરતો’તો એ ઘેરું.

અવાજ જેવું કૈં જ હતું નહીં – એનું મૌન પડઘાતું
કશુંક નીકળે આરપાર ને ક્યાંક કૈંક અથડાતું
એકલવાયો દીવો જલતો – નહીં મંદિર નહીં દેરું !

‘નમ: કવિતા’ લખી ને એણે પ્રાણ પૂર્યા કાગળિયે
એવું લાગ્યું હરિએ કીધું : “આવને વ્હાલાં મળીએ.”
આંખ આંજી નાખે એવું દૂર થયું અંધારું

– જિગર જોષી ‘પ્રેમ’

કવિમિત્ર જિગર જોષી પ્રેમ એમનો નવોનકોર ગીત-ગઝલ સંગ્રહ –હથેળીમાં સાક્ષાત્ સરસતી– લઈને ઉપસ્થિત થયા છે… લયસ્તરોના આંગણે એમનું સહૃદય સ્વાગત.

સર્જનપ્રક્રિયા વિશે લખવું દરેક સર્જકને પસંદ હોય છે. જિગર પણ હાથ અજમાવે છે. ખુલ્લી આંખે જે દેખી શકાતું નથી એ ઘણીવાર બંધ આંખે અચેતાવસ્થામાં સ્વપ્નરૂપે નજર આવતું હોય છે. એ લખાવે છે અને હું લખું છું એવી વાત જે ઘણા કવિઓ કરી ગયા છે એ જ વાત આ કવિ પણ કરે છે – કોઈ લખાવી રહ્યું હતું, હું કરતો’તો એ ઘેરું. પણ પછી કવિ કેવી મજાની વાત કરે છે. આપણા અવાજ જેવું હકીકતમાં કંઈ છે જ નહીં. જે છે એ માત્ર એના મૌનના પડઘા છે. સર્જન એ એકલવાયો દીવો છે, એને મંદિર કે દેરાની દીવાલોનો કોઈ ખપ નથી. એના ઈશારે કાગળમાં પ્રાણ પૂરાય છે ત્યારે એમ જ લાગે જાણે હરિ ખુદ મળવાનું ઈજન આપતા ન હોય! આમ તો અજવાળું આંખ આંજતું હોય છે પણ સર્જનની વાત અવળી છે. કશું લખાતું ન હોવાનું અંધારું કવિની આંખને વધુ કનડતું હોય છે. ઈશ્વરકૃપાથી એ દૂર થાય અને કવિતાનો પ્રકાશ પથરાય છે…

Comments (1)

(વાહ-વા!) – શબનમ

યાદ આવ્યા તું અને તારી વફા
એટલે મેં હોઠ બે સીવી લીધા.

સાંજ સાથે રોજ ઢળતી એષણા
સૂર્ય ઉગતા રોજની પાછી જફા !

શું કીધું ? એની કથા બેદાગ છે ?
કેટલા ભ્રમ પાળશો રોજે નવા !

એક મિસરો માંડ જ્યાં બોલ્યા અમે
સ્તબ્ધતામાં જઈ સરી આખી સભા

જે રીતે ઘેરે તણખલાને અગન
એ રીતે ઘેરી રહી છે વાહ-વા!

– શબનમ

સરળ અને સહજ. ગઝલમાંથી પસાર થતાં સમજાય છે કે ગઝલ સહજભાવે આવી હશે અને આયાસ ઓછા કરવા પડ્યા હશે, એટલે ટાંકા-ટેભા ઓછા નજરે ચડે છે. વફાની વ્યાખ્યા કવયિત્રી ખૂબ સરસ રીતે બે જ પંક્તિમાં આપે છે : સામું પાત્ર વફા નિભાવી જાણે કે ન જાણે, નાયિકા નિભાવી જાણે છે -બખૂબી…!

Comments (13)

તું હતી સાથમાં – નિરંજન ભગત

તું હતી સાથમાં!
તું પ્રિયે, રમ્યગાત્રી,
હતી વિજન વનને પથે પૂર્ણિમારાત્રિ,
ને હું અને તું હતાં બે જ યાત્રી,
જતાં હાથ લૈ હાથમાં!
તું હતી સાથમાં!

જાણ્યું ના આપણે બે જણે
એવી તે કઈ ક્ષણે
કોઈ મુગ્ધા સમી મંજરી
ડાળથી મ્લાન થઈ મૂર્છિતા ગઈ ખરી,
એક નિઃશ્વાસ નમણો ભરી
આપણા માર્ગમાં ગઈ સુગંધો ઝરી!

જાણ્યું ના આપણે બે જણે
એવી તે કઈ ક્ષણે
કુંજની કામિની કોકિલા,
કંઠ પર મેલતું કોઈ જાણે શિલા,
એમ ટહુકાર છેલ્લો કરી રોષથી,
ક્યાંક ચાલી ગઈ દૃષ્ટિના દોષથી!

જાણ્યું ના આપણે બે જણે
એવી તે કઈ ક્ષણે
ચન્દ્રીએ ચારુ ને ચંચલ
દૃષ્ટિએ જોઈને દ્વેષથી
આડું ધારી લીધું વૈરના વેષથી
મુખ પરે શ્યામ કો મેઘનું અંચલ!

જાણ્યું ના આપણે બે જણે
એવી તે કઈ ક્ષણે
વાયુની લ્હેરે ભાળી ગઈ
આપણા સંગને,
ને પછી આછું આછું અડી અંગને
એવું તે શુંય એ વેર વાળી ગઈ!
મૌનમાં મગ્ન થૈ આપણે બે જણે
એમ ચાલ્યાં કર્યું હાથ લૈ હાથમાં!

જાણ્યું ના એય તે એવી તે કઈ ક્ષણે
વાયુની લ્હેરશું તુંય ચાલી ગઈ,
ને અચાનક મને શૂન્યતા શીય સાલી ગઈ,
એ જ ક્ષણે જાંયું કે તું ન’તી સાથમાં!

– નિરંજન ભગત

પહેલી નજરે અછાંદસ કહી દેવાનું મન થાય એવી આ કવિતા હકીકતમાં ઝુલણા છંદના ગાલગા ગાલગાના અનિયત પણ ચુસ્ત આવર્તનોમાં રચાયેલ છંદોબદ્ધ કવિતા છે.

તું હતી સાથમાં કવિતાનું શીર્ષક પણ છે અને ઊઘડતી પંક્તિ પણ. આટલા પરથી જ સમજાઈ જાય છે કે જે પ્રિયજનની આ વાત છે એ હવે સાથે નથી. વિજન વનના કેડે પૂનમની રાતે બે પ્રેમભીનાં હૈયાં હાથ હાથમાં લઈને ચાલી રહ્યાં છે. અને એકમેકમાં રત પ્રેમીઓને એમ લાગે છે કે પ્રકૃતિ સમસ્ત એ બેની ઈર્ષ્યા કરે છે. ડાળ પરની મંજરીઓ મ્લાન વદને નમણો નિઃશ્વાસ ભરી એમના માર્ગમાં ખરી જાય છે, કોકિલા કંઠ પર કોઈ શિલા મૂકીને રૂંધતું ન હોય એમ છેલ્લો ટહુકાર કરી ગુસ્સામાં ક્યાંક ચાલી જાય છે, ચંદ્ર પણ દ્વેષભાવે આ લોકોને જોઈને કાળા વાદળના આંચલમાં લપાઈ જાય છે અને વાયુની લ્હેરખીય બંનેને આછું આછું અડીને કંઈક વેર વાળીને ચાલી જાય છે. બંને પ્રેમીઓ તો મૌનસમાધિમાં જ લીન રહી હાથ હાથમાં લઈને આ બધું જોયું-ન જોયું કરીને પોતાને મારગ ચાલ્યા કરે છે. સાયુજ્યની આ એવી પળ છે, આ એવી સમાધિ છે કે વાયુની લહેરખી સમી પ્રિયા કઈ ક્ષણે હાથ છોડાવીને ચાલી ગઈ એય નાયકને ખબર પડી નહીં… જીવનમાં અચાનક ખાલીપો અનુભવાયો ત્યારે જ નાયકને નાયિકાની ગેરહાજરીની પ્રતીતિ થાય છે…

Comments (2)

આપણી વચ્ચે – મુકેશ જોષી

આપણી વચ્ચે હવે નક્કર થતી આ લાગણીનું શું કરીશું?
સૂર્યના ચિક્કાર પડતા તાપ વચ્ચે એક ટુકડો બર્ફ લઈને ક્યાં ફરીશું?

ને, હવાના આ સુકોમળ અંગ પર હું શબ્દની પીંછી લઈ તવ નામ દોરું ને
હવાનું અંગ આખું રણઝણે
કોક, મનની પાર, પેલે પાર તારા નામની નદીઓ ભરે ખાલી કરે ને
તરફડેલી માછલી જેવું મળે મનને ખૂણે
હોય ના રેતી, કશે ના છીપ કે ના શંખ ના મોતી અરે ના જળ : કહે
એવા કોઈ દરિયા મહીં ક્યાંથી તરીશું? … આપણી વચ્ચે.

દૂર પેલા આભમાં બેઠેલ તારાઓ લગોલગ હોય તોયે થાય શંકા કે
કદીયે હાથ બેના સ્પર્શને અડતા હશે?
પારકા આકાશમાંના ચંદ્રમાની કુંડળી સાથે કદીયે આપણા
જન્માક્ષરો મળતા હશે?
રાતના અંધાર વચ્ચે આ પ્રણય-ઝબકારનો કોઈ લિસોટો પામવાને
આભનો ટેકો મૂકી ધરતી ઉપર ક્યારે ખરીશું? … આપણી વચ્ચે.

-મુકેશ જોષી

 

ધન્ય થઈ ગયો…..!! આટલું સરસ ગીત આજસુધી નજરે જ નો’તું ચડ્યું…..!! માસ્ટરપિસ !!!!! ટિપ્પણીના કોઈપણ શબ્દો ઝાંખા જ પાડવાના….. આ ગીત તો અનેકાનેકવાર વાંચવું-મમળાવવું જ રહ્યું…..

Comments (6)

હોઈ શકે – જીગર જોષી ‘પ્રેમ’

બને કે આપણી સમજણમાં ભેદ હોઈ શકે !
તું જેને મુક્તિ ગણે છે એ કેદ હોઈ શકે !

દિવસ રૂપાળો અને રાત કાળી ભમ્મર છે,
શું પ્રકૃતિમાં વળી રંગભેદ હોઈ શકે ?

પ્રથમ એ માની લો કે આભ એક ચાદર છે,
પછી સિતારા બધા એના છેદ હોઈ શકે !

પલાંઠીવાળીને બેઠું છે તત્વ જે – એનું,
આ સૃષ્ટિ કદાચિત નિવેદ હોઈ શકે !

તમારું શ્હેર તો જાદૂગરીનું શ્હેર ‘જિગર’ !
અહીં તો કાગડાઓ પણ સફેદ હોઈ શકે !

– જિગર જોષી ‘પ્રેમ’

આખી ગઝલમાં શિરમોર મત્લો છે…..બીજો અને છેલ્લો શેર નબળા લાગ્યા.

Comments (1)

(જડ્યું નહીં કૈં) – હરીશ મીનાશ્રુ

જાણ્યું એવું જડ્યું નહીં કૈં,
બહુ ઝંઝેડ્યાં ઝાડ પરંતુ પડ્યું નહીં કૈં.

-સંજુ વાળા

બહુ ઝંઝેડ્યાં ઝાડ પરંતુ પડ્યું નહીં કૈં
બીજ ગયું ખોવાઈ કશેથી જડ્યું નહીં કૈં

સ્વાતિનાં અચરજ તો અનરાધાર વરસતાં
કરમફૂટલી બંધ છિપોલી: અડ્યું નહીં કૈં

પલળીને બળવું ને બળબળતાં ભીંજાવું
સતત ધૂમાતું રહ્યું હૃદય, ભડભડ્યું નહીં કૈં

ગ કોનો? –પૂછીને માંડી ગઝલ તમે તો
ઘૂંટી ઘૂંટી થાક્યા પણ આવડ્યું નહીં કૈં

સૌ કહે છે લોચન છે એનાં અમરતકુપ્પી
ખરે વખત તો એકે ટીપું દડ્યું નહીં કૈં

ભીંત ભૂલ્યા’તા તમે, અમે નીસર્યા સોંસરવા
ભીંતપણું અમને તો સ્હેજે નડ્યું નહીં કૈં

મન મારું મક્તામાં મઘમઘ મૌન ધરે છે
નામ હતું જે હૈયે, હોઠે ચડ્યું નહીં કૈં

– હરીશ મીનાશ્રુ

સંજુ વાળાની પંક્તિનો હાથ ઝાલીને કવિ શ્રી હરીશ મીનાશ્રુ મજાની તરહી ગઝલ રજૂ કરે છે. કવિનું ભાષાકર્મ સ-વિશેષ ધ્યાનાર્હ છે. કરમફૂટલી, છિપોલી, અમરતકુપ્પી જેવા શબ્દો તો ગુજરાતી ગઝલમાં દીવો લઈને શોધવા નીકળો તોય નહીં જડે. પણ અહીં જે પ્રવાહિતાથી આ શબ્દો વહી આવ્યા છે, એ કવિની સિદ્ધહસ્તતાના દ્યોતક છે. બધા જ શેર આસ્વાદ્ય થયા છે.

Comments (3)

ઉમા-મહેશ્વર – રામનારાયણ વિ. પાઠક

(શિખરિણી)

‘અરે ભોળા સ્વામી ! પ્રથમથી જ હું જાણતી હતી,
ઠગાવાના છો જી જલધિમથને વ્હેંચણી મહીં.
જુઓ ઇન્દ્રે લીધો તુરગમણિ ઉચ્ચૈ:શ્રવસ, ને
વળી લીધો ઐરાવત જગતના કૌતુક સમો;
લીધી કૃષ્ણે લક્ષ્મી, હિમ સમ લીધો શંખ ધવલ,
અને છૂટો મૂક્યો શશિયર સુધાનાં કિરણનો.
બધાએ ભેગા થૈ અમૃત તમને છેતરી પીધું
અને- ‘ભૂલે ! ભૂલે અમૃત, ઉદધિનું વસત શી ?
રહી જેને ભાગ્યે અનુપમ સુધા આ અધરની !’
‘રહો જોયા એ તો, જગ મહીં બધે છેતરાઈને
શીખ્યા છો આવીને ઘરની ધરૂણી એક ઠગતાં.
બીજું તો જાણે કે ઠીક જ. વિષ પીધું ક્યમ કહો ?’
‘બન્યું એ તો એવું, કની સખી ! તહીં મંથન સમે,
દીઠી મેં આલિંગી જલનિધિસુતા કૃષ્ણતનુને,
અને કાળા કંઠે સુભગ કર એવો ભજી રહ્યો,
મને મારા કંઠે મન થયું બસ્ એ રંગ ધરવા,-
મૂકી જો, આ બાહુ ઘન મહીં ન વિદ્યુત્ સમ દીસે ?’
તહીં વિશ્વે આખે પ્રણયઘન નિ:સીમ ઊલટ્યો;
અને એ આશ્લેષે વિષ જગતનું સાર્થક બન્યું !

-રામનારાયણ વિ. પાઠક

દેવો અને દાનવોએ અમૃત મેળવવા માટે સમુદ્રમંથન કર્યું અને વિષ સહિત ચૌદ રત્નો પ્રાપ્ત થયા. ઐરાવત હાથી, ઉચ્ચૈઃશ્રવા ઘોડો, કલ્પવૃક્ષ, અપ્સરા રંભા તથા પારિજાત વૃક્ષ ઇન્દ્રએ લઈ લીધા, કામધેનુ ગાય ઋષિઓ લઈ ગયા, લક્ષ્મી દેવી, કૌસ્તુભમણિ, પંચરત્ન શંખ વિષ્ણુએ કબ્જે કર્યા, વારૂણીદેવી અસુરોએ રાખ્યાં, ચંદ્રમા વિહાર પર નીકળ્યા જેને પાછળથી શિવે જટા પર ધાર્યા, ધન્વન્તરી વૈદ્ય સ્વર્ગલોકમાં રહ્યા અને અમૃત માટે આખરે બધા લડી પડ્યા. હળાહળ વિષ લેવા કોઈ તૈયાર નહોતું, એ માટે ભોળા ભગવાન શંભુએ આગેકદમ કર્યા અને વિષ પીને ગળામાં ધારી લીધું અને નીલકંઠ તરીકે ઓળખાયા.

ભોળા શંભુને દેવતાઓ ઉલ્લુ બનાવી ગયા એ બાબતમાં પાર્વતી એમને વઢતા હોય એવી કલ્પનાને વિષય બનાવીને મજાનું સૉનેટ કવિ અહીં લઈ આવ્યા છે. પહેલી પંક્તિમાં જ ભોળા સ્વામી કહીને એ ઉધડો લે છે અને જેને હોઠે તમારા (પાર્વતીના) હોઠોની અનુપમ સુધાની તરસ વસતી હોય એ બીજા અમૃતની પરવા શીદ કરે એમ કહીને શિવ પોતાનો બચાવ પણ કરે છે અને પાર્વતીને મસકા પણ મારે છે. પણ પાર્વતી પણ કાચાં નથી. એ કહે છે, રહો હવે! તમને એક ઘરવાળીને જ ઠગતા આવડે છે. બીજું બધું છોડીને ઝેર જ કેમ પીધું એનો ખુલાસો કરો. ભોળાનાથ ખુલાસો કરતાં કહે છે કે સમુદ્રમંથન સમયે સાગરમાં સૂતેલા વિષ્ણુના કંઠે લક્ષ્મીનો હાથ એવો સોહી રહ્યો હતો કે મને પણ કાળો રંગ ધારવાનું મન થયું એટલે મેં ઝેર ગટગટાવીને ગળું શ્યામ કર્યું. હવે આ કાળા ગળા ઉપર આપનો હાથ કેવો વીજળી જેવો સુંદર લાગશે!

પાર્વતી પણ આખરે તો સ્ત્રી જ હતાં. એ શિવને વળગી પડે છે અને એ આશ્લેષમાં જગતભરનું વિષ સાર્થકત્વ પામે છે… કેવી મજાની વાત!

Comments (2)

(રહેવા દે) – ગૌરાંગ ઠાકર

ફક્ત જાગી જા, ત્યાગ રહેવા દે,
તું બધે તારો ભાગ રહેવા દે.

જાય છે તો બધું જ લઇ જા, પણ
આ સ્મરણનો વિભાગ રહેવા દે.

ઢાંક ચહેરો, ક્યાં તો બુઝાવ દીવો,
એક સ્થળે બે ચિરાગ, રહેવા દે.

કોઇ વંટોળને કહી દો કે,
ફૂલ ઊપર પરાગ રહેવા દે.

તું હૃદયથી જ કામ લઈ લે બસ,
ચાહવામાં દિમાગ રહેવા દે.

આગ હૈયામાં લાગી હો તો લખ,
માત્ર લખવાની આગ રહેવા દે.

– ગૌરાંગ ઠાકર

મજાની ગઝલ. છેલ્લો શેર તો દરેક સર્જકે પોતાના ડેસ્ક પર ચોવીસ કલાક નજર સામે જ રાખવા જેવો…

Comments (6)

એક પંક્તિ ખૂબ રખડાવી ગઈ – હર્ષ બ્રહ્મભટ્ટ

એક પંક્તિ ખૂબ રખડાવી ગઈ,
કેટલો ઊલટાવી – સુલટાવી ગઈ.

સાવ ખાલી આંખનું કેવું ગજું,
ચોતરફ બધ્ધુંય છલકાવી ગઈ.

કો’ક જન્મે આપણે પંખી હશું,
લાગણીઓ પાંખ ફફડાવી ગઈ.

જિંદગી આખી ગઝલ લખતો રહ્યો,
વાત જે ચુપકીદી સમજાવી ગઈ.

કેટલા, કેવા ખજાના નીકળ્યા ?
યાદ તાળાં એમ ઉઘડાવી ગઈ.

-હર્ષ બ્રહ્મભટ્ટ

Comments (2)

ત્રિપદી – ઉદયન ઠક્કર

એક કલરવતી કેડી પર ચાલ્યા
હાં રે ગમતાને હારે રાખી ને
જો ઇશારાની એડી પર ચાલ્યા !

એક ઠેસે કમાડ ખોલીને
ઝીણું ઝરણું રણક ઝણક ચાલ્યું
પહાડ જેવો પહાડ ખોલીને !

કેટલી ખુશખુશાલ જગ્યા છે !
પીપળે હીંચવું કે આંબલિયે ?
એ વિના ક્યાં કોઈ સમસ્યા છે…

ના કોઈ ભીંસ ના કોઈ અડચણ
કંઠમાં વાયરાની વરમાળા
આંખમાં ઓસબિંદુનું આંજણ

વાયરામાં વહી જતા પહાડો
જોઈને ખીણના વળાંકોને
પાણીપાણી થઈ જતા પહાડો !

હે જી ઝીણાં ઝરણ મળી આવ્યાં
ટહેલતાં ટેકરીએ અલગારી
સોનવર્ણા સ્મરણ મળી આવ્યા !

– ઉદયન ઠક્કર

Comments (3)

ચુંબન – સારા ટિસડેલ (અનુ.: વિવેક મનહર ટેલર)

આશ હતી એ મને ચાહશે,
ને એણે ચૂમ્યું મુજ મુખ,
પણ હું જાણે ઘાયલ પંખી
દખ્ખન ન પહોંચું એ દુઃખ

જાણું છું એ મને ચાહે છે,
આજ રાત દિલ તો પણ ખિન્ન;
ચુંબન એવું નહોતું અદભુત,
જોયેલ સૌ સ્વપ્નોથી ભિન્ન.

– સારા ટિસડેલ
(અનુ.: વિવેક મનહર ટેલર)

પ્રથમની તો વાત જ અલગ. પ્રથમ શાળા, પ્રથમ સાઇકલ, પ્રથમ કાર, પ્રથમ પ્રેમ, પ્રથમ ચુંબન, પ્રથમ ઘર, પ્રથમ બાળક – પહેલું એ કાયમ પહેલું જ રહેવાનું. અજોડ અને અનન્ય. સર્વોત્તમ. પણ ધમધોકાર તૈયારી બાદ મળેલું ‘પહેલું’ તમારી અપેક્ષા પર ખરું ન ઊતરે તો? તો શું થાય? સારા ટિસડેલની આ કવિતા આવી ‘પહેલા’ની નિષ્ફળતાની જ વાત કરે છે, કેમકે પૂર્વાનુભૂતિનો હાથ અનુભૂતિથી હંમેશા ઉપર જ રહેવાનો…

કવિતાના વિશદ રસાસ્વાદ માટે અહીં ક્લિક કરવા નમ્ર અનુરોધ છે.

The Kiss

I hoped that he would love me,
And he has kissed my mouth,
But I am like a stricken bird
That cannot reach the south.

For though I know he loves me,
To-night my heart is sad;
His kiss was not so wonderful
As all the dreams I had.

– Sara Teasdale

Comments

મોચી – ઉદયન ઠક્કર

મારા રોજના રસ્તા ઉપર એક મોચી
કૅન્સલ થયેલા બસસ્ટૉપની જેમ બેઠો છે
સ્મિતની રેખાઓ તેના ચહેરા પરથી
ચપ્પલના અંગૂઠાની જેમ વરસોથી
ઊખડી ગઈ છે
રસ્તાને ખૂણે મોચી
વીરગતિ પામનારના પાળિયા પેઠે
ખોડાઈ ગયો છે
અને જીવન ચંચળ પગલે ચાલ્યું જાય છે

તે ઊભો થાય ત્યારે
ધનુષ્યાકાર પીઠને કારણે બેઠેલો લાગે છે
ઘરાકોને અને દિવસોને
તે આવે તેવા
સમારતો જાય છે
ચોમાસામાં છિદ્રો પડેલા નસીબ નીચે
પડ્યો રહી
જૂતા સાથે પેટે ટાંકા લે છે

રાત્રે શરીરને બહેલાવવા જાય તો
બદનમાંથી બૂ આવતી હોવાથી
બજારભાવ કરતાં રૂા. ૨/- વધારે ચૂકવવા પડે છે

ફાજલ સમયમાં ચામડાની પેટી-બેટી બનાવતા રહી
પોતાની આવક ઉપર કેમ નથી લાવતો ?

પણ ના, જિંદગીના પગ પાસે બેસીને
નમ્ર થઈ ગયો છે
ઊંચે નજર કરી શકતો નથી

મોચીને નિવૃત્ત થવાની સવલતો અપાતી નથી
રસ્તાને ખૂણે તમને મોચી બેઠેલો ન દેખાય
તો સમજવું
કે જરા મોટા ગામતરે ગયો હશે.

– ઉદયન ઠક્કર

કવિનો કેમેરા માત્ર કુદરતના કે સ્ત્રીઓના સૌંદર્ય પૂરતો સીમિત હોતો નથી. એ સમાજના દરેક ખૂણામાં ફરી વળે છે અને અને એવા દૃશ્યો આપણી સમક્ષ તાદૃશ કરે છે, જે અન્યથા આપણે અચૂક ચૂકી જ જવાના હોઈએ. શહેરની ફૂતપાટ પર કોઈ બસસ્ટૉપ પાસે કે કોઈ ઝાડ નીચે અડ્ડો જમાવીને કોઈ મોચી બેઠો હોય અને બૂત-ચંપલ રિપેર કરીને રૂપિયા-બે રૂપિયાની આમદની કરી માંડ ગુજરાન ચલાવતો આપણે બધાએ જ લગભગ જોયો હશે પણ જ્યાં સુધી આપણી ચપ્પલની પટ્ટી તૂટી ન જાય કે બૂતમાં ખીલી ભોંકાય નહીં ત્યાં સુધી એના અસ્તિત્વ તરફ આપણે નજર નાંખતા નથી. એનું સ્થાન આપણા જીવનમાં કૅન્સલ થયેલા બસસ્ટૉપ જેવું છે. કવિ ઉદયન ઠક્કર મોચી વિશે એક અદભુત કાવ્ય લઈ આવ્યા છે. વિષય કરતાંય વિષયની માવજત એક સામાન્ય અવલોકનને ઉમદા કવિતાની કક્ષાએ લઈ જાય છે. અછાંદસ કવિતાઓને ડાબા હાથનો ખેલ ગણતા આજના કવિઓએ આ કવિતા પાસેથી અછાંદસ કવિતા કોને કહેવાય એના પાઠ ભણવા જોઈએ…

Comments (5)

ત્રુઠા.. ત્રુઠા – સંજુ વાળા

વિચારને વલોવી કરે પ્રયત્ન જૂઠા
એ તીર હોય તો પણ છે જન્મજાત બૂઠાં

જરાંક ઝીણવટથી તું કાન માંડી જો, તો
તને ય સંભળાશે બબડતાં બેઉં પૂઠાં

જગત છે કાચનું ઘર, સૌ ચીજ કાચની આ-
છે પોત તારું – મારું ય કાચ મુઠ્ઠેમૂઠા

હો પાંખની પ્રતીતિ ‘ને આભ માટે ઝંખા
હું શોધવાને આવ્યો છું પંખી એ અનૂઠાં

સ્વભાવગત્ ફકીરી મિજાજનો મહોત્સવ
એ રેવડી ય પામીને બોલે ત્રુઠા… ત્રુઠા

– સંજુ વાળા

કવિતા હોય કે વિચાર, જે સહજ આવે એ જ ઉત્તમ. વિચારોને વલોવી વલોવીને ખૂબ ઉમદા ભાષામાં પંડિતોય બે ઘડી માથું ખંજવાળતાં થઈ જાય એવું લખાણ કેમ ન કર્યું હોય, એ એટલું અસરદાર બનતું નથી, જેટલી અસરકારકતા સહજ અભિવ્યક્તિમાં જોવા મળે છે. આયાસવાળા વિચાર જન્મજાત બૂઠાં તીર જેવા હોય છે. છેલ્લા શેરમાં રેવડી પામીનેય પ્રસન્નતાની ડબલ રિસિપ્ટ આપતા ફકીરના મિજાજનો મહોત્સવ પણ સામેલ થવા જેવો છે. એકતરફ સ્વભાવગત ફકીરી છે અને એના મિજાજનો વળી મહોત્સવ- સમર્થ કવિને ભાષા વશવર્તી ચાલે છે તે આનું નામ…  અરે હા! વચ્ચેના ત્રણ શેર? એ બધાય સવાશેર છે… મમળાવી મમળાવીને માણો અને કહો કે ત્રુઠા.. ત્રુઠા…

Comments (4)

અવાજ જુદો! – રાજેન્દ્ર શુક્લ

જુદી જ તાસિર, અસર અલગ છે,
જુદી ભોમકા, અવાજ જુદો;
પ્રવાહ જુદો, જુદું વહન છે,
જુદી ગઝલ ને મિજાજ જુદો!

રસમ શબદની અહીં અનોખી,
અકળ મૌનનો રિવાજ જુદો;
જુદી જ મ્હેફિલ, શમા જુદી છે,
જુદી સમજ ને સમાજ જુદો!

જૂની પુરાણી અસલની ઓળખ,
અમે અકારણ જુદા ગણાયા,
અમારે મન તો ન કોઈ જુદું,
શું કરિયેં પામ્યા અવાજ જુદો!

મલક બધોયે ફરીફરીને
અહીં અચાનક મળ્યો વિસામો,
અમે અમારી સમીપ ઊભા,
નથી દરદથી ઈલાજ જુદો!

ગઝલ આખરી ગવાઈ રહી આ,
અહો ખમોશી છવાઈ રહી આ;
હું બંદગી યે કરું કિંહા લગ,
રહ્યો ન બંદાનવાજ જુદો!

– રાજેન્દ્ર શુક્લ

તમામ શેર સંકળાયેલા છે, પ્રથમ બે શેરમાં એક પશ્ચાદભૂ બને છે અને પછી મુદ્દો આવે છે – એકરૂપતા…..ભક્ત,ભક્તિ અને ભગવાન અલગ નથી એ realisation ઊભરે છે….

Comments

વેરી વૈશાખ….- તુષાર શુક્લ

વેરી વૈશાખ તારી કેવી રે શાખ
ના’વે નાહોલિયો, ના આવે મારી પાસ.
કોરું આકાશ, મારી ભીની રે આંખ
ના’એવ નાહોલિયો, ના આવે મારી પાસ….

સ્પર્શ્યાનું ફૂલ બની મહેક્યા કરે છે
મારી છાતીમાં તડકા બપોરનાં.
વ્હાલપનું વાદળ થઈ વરસ્યા કરે છે
મારાં ટેરવાં એ ટહૂકાઓ મોરના.
અંગમાં અનંગ રંગ ખેલાતા રાસ
તો ય ના’વે નાહોલિયો, ના આવે મારી પાસ…

ગુલમ્હોરી છાંયડાના તમને સોગંદ
હવે અંતરના અંતર ઓગાળો,
વીતેલા દિવસોની પીળચટ્ટી યાદોમાં
કેટલું રડે છે ગરમાળો !
પૂનમની ચાંદની થૈ રેલે અમાસ
તોય ના’વે નાહોલિયો, ના આવે મારી પાસ…

– તુષાર શુક્લ

Comments

નહિ રે વિસારું હરિ… – મીરાંબાઈ

નહિ રે વિસારું હરિ,
અંતરમાંથી નહિ રે વિસારું હરિ.

જલ જમુનાનાં પાણી રે જાતાં
શિર પર મટકી ધરી;
આવતાં ને જાતાં મારગ વચ્ચે
અમૂલખ વસ્તુ જડી. અતંરo

આવતાં ને જાતાં વૃન્દા રે વનમાં
ચરણ તમારે પડી;
પીળાં પીતાંબર, જરકસી જામા,
કેસર આડ કરી. અતંરo

મોરમુગટ ને કાને રે કુંડલ,
મુખ પર મોરલી ધરી;
બાઈ મીરાં કહે પ્રભુ ગિરધરનાં ગુણ,
વિઠ્ઠલવરને વરી. અતંરo

– મીરાંબાઈ

આજન્મ કૃષ્ણઘેલી મીરાં રાધાનો સ્વાંગ લઈને કેવી મજાની રીતથી કૃષ્ણને ચાહે છે! વાંચતાવેંત દિલને સ્પર્શી જાય એવી રચના છે…

Comments

ચાલને વાદળ થઈએ – ધ્રુવ ભટ્ટ

ચાલને વાદળ થઈએ અને જોઈએ કે ક્યાંક થાય છે ધોધમધોધ જેવું કંઈ આપણી વિશે
આપણામાં કોઈ હળ જોડે કે કોઈ બે જણા જાય ભીંજાતા ખેતરો ભણી જાય ભીંજાતાં વાવણી મિષે

આપણે તો આકાશ ભરીને આવવું અને છલકી જવું એવડું વનેવન
નાગડા નાતાં છોકરાંને જોઈ થાય તો આખા ગામને એની જેમ નાવાનું મન
હોય એવું તો થાય ગણીને આપણે તો બસ વરસી જાવું ગામને માથે સીમને માથે, ઉગમણે આથમણી દિશે
ચાલને વાદળ થઈએ અને જોઈએ કે ક્યાંક થાય છે ધોધમધોધ જેવું કંઈ આપણી વિશે

સાવ ધોળાં કે સાવ કાળાં જેમ ચાહીએ એવા ફૂલ-ગુલાબી રંગની રેલમછેલ
આપણી મોજે આપણાં ચિત્તર કાઢીએ એવું આયખું મળે દેહની તૂટે જેલ
આપણામાંથી આપણે તો બસ નીકળી જાવું ઝરમરીને કોઈ અજાણી ઝાકળ ઘેલી પાંદડી વિશે
ચાલને વાદળ થઈએ અને જોઈએ કે ક્યાંક થાય છે ધોધમધોધ જેવું કંઈ આપણી વિશે

– ધ્રુવ ભટ્ટ

ફરજિયાત ગાતા-ગાતાં વાંચવું પડે એવું ગીત. ગદ્યાળુ પઠન કરવા જાવ તો ગીતની મીઠાશ મરી પરવારવાની ગેરંટી.

Comments (2)

દુકાળ – રામચન્દ્ર પટેલ

સામે
સૂમસામ ઊભાં બુઠ્ઠાં ઝાડ,
પહાડ, ઉઘાડાં હાડ…
પથર પથરા પડ્યા ખખડિયાં નારિયેળ !

નદી તો,
કોક આદિવાસી કન્યાનું હાડખોખું
આંખો ફોડીને
ઊભી દિશાઓ,
વેળુ લઈને વાયરો ઊડે…

આભ
છાબ ભરી ભરીને નાંખે અંગારા
બળે પર્ણપીંછાં
વીંઝાય જટાયુ શો સીમવગડો
અહીં કોઈ અગ્નિમુખો ફરે…

પ્હેરો ભરે…
સૂર્યના હાથમાં આપીને ધારિયું !

– રામચન્દ્ર પટેલ

કવિ પણ એક રીતે ચિતારો છે. ચિતારો પીંછી અને રંગોથી સૃષ્ટિ સર્જે છે, કવિ કલમ અને શબ્દોથી. અહીં કવિ રામચન્દ્ર દુકાળનું જે શબ્દચિત્ર દોરી આપે છે, એ કોઈ રીતે ઉત્તમ ચિત્રકારની ઉમદા કળાકૃતિથી ઉતરતું નથી. નજર સામે ઝાડ બધા બુઠ્ઠાં થઈ ગયાં છે. પાંદડાંઓ બચ્યાં જ નથી એટલે કવિ સૂમસામ શબ્દ પ્રયોજી નીરવતા દોરી આપે છે. પહાડો બધા માંસ-મજ્જા ઉતરડી લેવાઈ હોય એમ લીલોતરી નંદવાઈ જવાના કારણે ખુલ્લા પડી ગયેલા હાડપિંજર જેવા ભાસે છે. નદી પણ હાડપિંજર જેવી જ….. સાવ ખાલીખમ. પથરાંઓ જાણે ઝાડ પરથી ખરેલાં નારિયેળ! દિશાઓ પણ જડ જેવી આંખો ફાડીને ઊભી છે. સૂકી ધૂળની ડમરીઓ ઊડાડતો વાયરો ફૂંકાય છે. આકાશમાંથી જાણે ટોપલે ટોપલે અંગારા વરસતા હોય એમ સૃષ્ટિ આખી સળગી રહી છે. સીમવગડાના ઝાડો જાણે અગ્નિમુખા રાવણ સામે લડત આપવા ઝઝૂમતા ઘાયલ જટાયુ હોય અને પાંદડાં જાણે એના પાંખ-પીછાં હોય જે સૂર્ય હાથમાં ધારિયું લઈને બાળતો-કાપતો હોય એવું ભાસે છે. પર્યાવરણને જાળવી રાખવા માટે વૃક્ષોની અનિવાર્યતા આથી વધુ વેધક શબ્દોમાં ભાગ્યે જ વર્ણવાઈ હશે.

શબ્દોમાંથી જન્મતા સંગીતના કારણે કવિતાને વળી ચિત્રથી એક વેંત ઊંચી કળા પણ ગણી શકાય. પહેલી પંક્તિથી જ કવિ અદભુત વર્ણસગાઈ લઈ આવે છે. સામે સૂમસામ – એકીસાથે સ-મ સ-મ સ-મ એમ ત્રણવાર સકાર અને મકાર કવિતા ઊઘડતાંની સાથે જ નૃત્યનો અનુભવ કરાવે છે પણ આગળ જતાં ક્રમશઃ સમજાય છે કે આ નર્તન કોઈ અપ્સરાનું નથી, આ તો સાક્ષાત્ કાળનું નર્તન છે. ઝાડ-પહાડ-હાડ, પથરા-પથરા-પડ્યા, પડ્યા-ખખડ્યા – alliterationના ખૂબસૂરત સાધનને કવિ બખૂબી દૃશ્યેન્દ્રિયની સાથોસાથ શ્રવણેન્દ્રિયને પણ ઉત્તેજે છે.

Comments (5)

કોણ… – રમેશ પારેખ

સાંજરે
મારાં શ્રમિત લોચનવિહંગો
વ્રુક્ષ પર એવી ગીચોગીચ રાત લઈ પાછાં વળે
કે કોઈ ડાળે પાંદડું એકકે ય તે ના ફરફરે
ને બોલકા સૌ છાંયડા પણ રાતભર મૂંગા રહે

પડતી સવારે
એમ કાંઈ પ્રશ્નનું આકાશ પાછું સાંજ સુધી
આંખે વાગ્યા કરે
કે રાતની ચુપકીદીને પણ જાણ ના થઈ એ રીતે
આ કોણ
મારા બંધ ઘરનાં આંગણે આવ્યું હતું…
આંગળીની છાપ કોની રહી ગઈ છે બારણે…
કોનું મન પાછું વળ્યું સાંકળમાં ખખડાયા વગર…

– રમેશ પારેખ

બળકટ શબ્દચિત્ર ! ગમે તે સંબંધ હોય, કોઈક પાત્ર મુક્તમને બધું જ કહે….કોઈક માત્ર સાંભળે….કોઈક કંઈ જ ન કહી શકે….કોઈક ઇંગિતમાંજ બોલે….સામા પાત્રની પ્રજ્ઞાથી અનભિજ્ઞ વ્યક્તિના સંકોચનો તો વળી કોઈ પાર જ ન હોય….સમજ-ગેરસમજ-અણસમજ-નાસમજ…….આટલા પરિમાણો બન્ને પક્ષના !!!!!

Comments (6)

મૃગજળ – મુકેશ જોષી

હવે મૃગજળ મને તો બહુ વહાલ કરે છે
હાથ સ્હેજ લંબાવું ભીનો કરવા
છતાં રેતીના બાચકા ન્યાલ કરે છે

તરવા માટે હવે રેતી ને
આંખેથી ઝરવા માટેય હવે રેતી
ઇચ્છાના સાગરની કોણે કરી હશે
આવડી તે મોટી ફજેતી
અટકળની લહેરો તો આવી આવીને
ચૂંટી ખણીને સવાલ કરે છે
આ મૃગજળ તને કેમ વહાલ કરે છે.

શ્વાસોથી ફૂંકાતી કાળઝાળ લૂ :
રોજ શેકાતા જીવતરના ઓરતા
પાણીનું નામઠામ સાંભળ્યા છતાં
હજુ હોઠ નથી આછુંય મ્હોરતા
દરવાજે ટાંગી ગયું કોઈ સૂરજ
ને કિરણો આ ઘરમાં ધમાલ કરે છે
જાણે જીવતરમાં ઝાંઝવાંનો ફાલ ખરે છે

– મુકેશ જોષી

એક એક શબ્દે વેદના ઘૂંટાયેલી છે……

 

Comments (3)

આપણા સંત્રીઓ – આલ્બ્રેશ્ટ હૌસહૉફર (અનુ.: વિવેક મનહર ટેલર)

જે હાથમાં છે જેલવાસાનો હવાલો આપણા,
એ સંત્રીઓ માણસ છે સારા. ખેડૂતોનું છે રુધિર.
છૂટા પડ્યા છે પંડના ગામોથી તેઓ ને લગીર
આવી પડ્યા આ વિશ્વમાં અણજાણ, સમજણ પારના.

તેઓ કદીક જ બોલે છે. બસ, આંખ તેઓની કદી
મૂંગી-મૂંગી પૂછે છે, જાણે જાણવું હો એ જ કે,
ક્યારેય અનુભવવાનો નહોતો તેઓના હૃદયોએ જે
માભોમની કિસ્મતનો બોજો, વેઠ્યો એ શી રીતથી.

પૂર્વીય પ્રાંતોમાંથી તેઓ આવ્યા છે જે ક્યારના
તારાજ બિલકુલ થઈ ગયા છે યુદ્ધના પરિણામથી.
પરિવાર કહો કે માલમત્તા – કંઈ હવે સાબૂત નથી.

સંભવ છે, તેઓ છે હજી જીવન પ્રતીકની રાહમાં
ચુપચાપ કામે રત રહે છે. કેદીઓ છે – તેઓ પણ.
સમજી શું શક્શે તેઓ આ? કાલે? પછી? ક્યારેય પણ?

– આલ્બ્રેશ્ટ હૌસહૉફર
(અંગ્રેજી પરથી અનુવાદ: વિવેક મનહર ટેલર)

મૃત્યુનો અનુભવ ફર્સ્ટ હેન્ડ કોઈ કહી શકતું નથી પરંતુ મૃત્યુની પ્રતીક્ષાનો રંગ મૃત્યુના ઉંબરે આવી ઊભેલા ઘણા બધા કવિઓએ પોતપોતાની રીતે આલેખ્યો છે. આપણે ત્યાં રાવજી પટેલ અને જગદીશ વ્યાસના કાવ્યો આંગણે આવી ઊભેલા મૃત્યુના રંગોથી રંગાયેલા જોવા મળે છે. જર્મન ભૂગોળવિદ્ આલ્બ્રેશ્ટ હૌસહૉફર નાઝીઓ સામેના વિરોધના કારણે બર્લિનના મુઆબિત જિલ્લાની જેલમાં નિશ્ચિત મૃત્યુની અનિશ્ચિત રાહ જોતા હતા ત્યારે માંડ મળી શકેલા કાગળો પર જેલની અંદરની અને બહારની દુનિયા ઉતારતા રહ્યા.. 23 એપ્રિલ, 1945ના રોજ સૉવિયેટ સૈનિકોએ બર્લિન પર કબ્જો મેળવ્યો ત્યારે જેલના અધિકારીઓએ કેદીઓને છોડી મૂક્યા પણ જેલની બહાર જ સૈનિકો એમની રાહ જોતા હતા. એક નિર્જન જગ્યા પર લઈ જઈને તમામને ગોળી મારી દેવામાં આવી. ત્રણ અઠવાડિયા પછી કવિના નાના ભાઈને એમનું શબ જડ્યું ત્યારે કવિનો જમણો હાથ કોટની અંદર પાંચ કાગળોને હૃદયસરખો દાબીને પડ્યો હતો. આ પાંચ કાગળમાંથી જડી આવેલા એંસી સોનેટ્સ મુઆબિત સૉનેટ્સ તરીકે જાણીતા થયા. આ કવિતાઓએ વિશ્વને ખળભળાવી મૂક્યું. આ એંસી સોનેટ્સ મૃત્યુ અને અન્યાય સામે લખાયેલી આજ પર્યંતની શ્રેષ્ઠ કવિતાઓમાં સ્થાન પામ્યાં છે…

કવિતાના વિશદ રસાસ્વાદ માટે આપ અહીં ક્લિક કરી શકો છો.

Our wardens

The wardens put in charge of our detention
are good fellows. Of farmer blood. Torn
from the protection of their villages
into a strange, not understood world.

They hardly speak. Only their eyes from time
to time ask humbly, as though they wanted to know
what their hearts were never to experience
that bear so heavily their homeland’s fate.

They come from Danube’s eastern regions
already devastated by the war.
Their families dead. Their goods and chattels wasted.

Perhaps they’re waiting still for a sign of life.
They work in silence. Prisoners – they too. Will they
understand that? Tomorrow? Later? Ever?

– Albrecht Haushofer
(Eng Translation from Germany: M. D. Herter Norton)

Comments (4)

કબીર – સંજુ વાળા

ઘટ ઘટ રામ તિહારો
અરધ પોતડી જર્જર પહેરણ વચ્ચે મ્હાલે ન્યારો…
ઘટ ઘટ રામ તિહારો…

તિનકે તિનકે તરુ જગાડ્યા કંકર કંકર પહાડ
વાળીછોળી અણસમજણની સૌ વિખેરી વાડ

બાંધ્યો ના બંધાય તું, છાપ-તિલકની પાર
પટ ભીતર, પટ બહારનો તેં સમજાવ્યો સાર

તાણે-વાણે ગહનગુંજનો ઈલમી વણ્યો ઈશારો
અરધ પોતડી જર્જર પહેરણ વચ્ચે મ્હાલે ન્યારો
ઘટ ઘટ રામ તિહારો…

તલમાં ચીંધ્યા તેલને, ચકમક ચીંધી આગ
દરિયા દાખ્યા બુન્દમાં ભાખ્યો બુન્દ અતાગ

ભક્તન કે મન ભજન બડો કાજી કહે અજાન
તેં બન્ને પલ્લે રહી, પરખ્યા એક સમાન

પૂરણ પ્રગટ્યો સધ્ધુકડીમાં વાણીવચ રણુંકારો
ઘટ ઘટ રામ તિહારો…

– સંજુ વાળા

કવિ સંજુ વાળાએ મધ્યયુગીન સંતોના કેટલાક શબ્દચિત્રો દોર્યાં છે. એમાનું એક તે કબીર.  ગીતની પહેલી જ કડીમાં કવિ કબીરને સાંગોપાંગ આપણી સમક્ષ સફળતાપૂર્વક લઈ આવે છે- ઘટ ઘટ રામ તિહારો- તારા રોમ-રોમમાં, અંગેઅંગમાં રામ છે! આથી અદકી બીજી કઈ ઓળખ હોય સંતની? આગળ કબીરના જાણીતા દોહાઓની આંગળી ઝાલીને કવિ એમની આગવી શૈલીમાં સંતનું શબ્દચિત્ર પૂરું કરી આપે છે.

Comments (7)

(હું તો જીવતરિયું ગૂંથતી રૈ) – ભરત ખેની

ટેભો ગૂંથાયો મારી આંગળીના ટેરવે, જીવતરિયું ગૂંથાયું નૈ,
સૈ, હું તો જીવતરિયું ગૂંથતી રૈ…

સગપણના સૂતરથી સમણાંઓ ટાંક્યાં
પણ આભલામાં ઝબકારો નૈ,
કાપડે ભરી ભાત ભારે સોહામણી
પણ મોરલામાં ટહુકારો નૈ

સખદખના ટેરવાંઓ માગે હિસાબ હું તો લોહીઝાણ ઝૂરતી રૈ.
સૈ, હું તો જીવતરિયું ગૂંથતી રૈ…

ઝમરખિયા દીવડાના ઝાંખા અજવાસમાં
ચાકળાને ચંદરવા જોતી,
ઓરતાઓ અંતરમાં સાવ રે અણોહરા
હું આણાં અભાગિયાંને રોતી

વરણાગી સપનાંની લાંબી વણજાર મારી આંખ્યુંમાં ખૂંચતી રૈ
સૈ, હું તો જીવતરિયું ગૂંથતી રૈ…

– ભરત ખેની

સ્ત્રી અને પુરુષના જીવન જીવવાના માપદંડ સાવ અલગ હોય છે. પુરુષ બહુધા સ્વકેન્દ્રી જીવે છે, જ્યારે સ્ત્રીના જીવનમાં સ્વકેન્દ્રિતા બહુ પાછળથી અને બહુ અલ્પમાત્રામાં આવે છે. એનું જીવન એના પરિવારની સાથે જ ગૂંથાયેલું હોય છે. આખી જિંદગી એ પોતાનું જીવતર ગૂંથવા મથે છે પણ ટાંકો એની આંગળીના ટેરવાં લોહીલુહાણ કરે છે પણ એનું જીવતર ગૂંથ્યું ગૂંથાતું નથી. સગપણના સૂતરથી એ પોતાના સ્વપ્નો ટાંકીને કપડામાં સોહામણી ભાત રચે છે પણ આ ભાતમાં જીવન પૂરાતું નથી. એના સ્નેહનો પડઘો પડતો નથી, એના જીવનમાં ઝબકારો જોવા મળતો નથી. આયખામાં પ્રકાશ પણ ઝમરખિયા દીવા જેવો આછો જ રહી ગયો છે, જેમાં પિયરથી ઉત્સાહભેર આણેલ ચાકળા અને ચંદરવા નાયિકા જોઈ રહી છે. ક્યારેક રંગસભર, ભાતસભર એ ચાકળા-ચંદરવા અંતરના ઉદાસ, ઝાંખા પડી ગયેલા ઓરતાઓ જેવા જ ઝાંખા પડી ગયેલ નજરે ચડે છે. અભાગી નાયિકા આણાંમાં તો કંઈ કંઈ વરણાગી સપનાંઓ લઈને અહીં આવી હતી, પણ આજે એ જ આંખોમાં ખૂંચી રહ્યાં છે ને જીવતર ગૂંથવા માંગતા ટેરવાંઓ સુખદુઃખના હિસાબ કરતાં લોહીઝાણ થઈ રહ્યાં છે.

Comments (10)

ઉદાસી- તુષાર શુક્લ

તને મળતાં ઉદાસી મને ઘેરી વળે
તો ય મળવાનું થાય મને મન.
આંખોથી અડકીને અળગો થઈ જાય
તો ય મ્હેકી ઉઠે છે મારું તન.
તને મળવાનું થાય મને મન.

મળવાને જાતી ને જઈને શરમાતી હું
શાને આવું તે મને થાતું.
કહી ના શકાય અને રહી ના શકાય
એનું કારણ મને ન સમજાતું
ઉંબર ઓળંગવાનું ઇજન આપે છે મને
આંગણામાં ઊભેલું યૌવન
તને મળવાનું થાય મને મન.

દિવસોની ભાષામાં ઓળખ પૂછો તો
થાય પૂરાં નહીં આંગળીનાં વેઢાં
તારા દીધેલાં ફૂલ છો ને સુકાઈ જાય
મેલું ના એક ઘડી રેઢાં
નામ તારું ફોઈજીએ પાડ્યું ગમે તે હોય
હું તો કહેવાની તને ‘સાજન’
તને મળવાનું થાય મને મન.

– તુષાર શુક્લ

Comments (6)

(બેઉનો વરસાદ) – ગૌરાંગ ઠાકર

બેઉની વચ્ચે વખત એવો પડ્યો,
બેઉનો વરસાદ પાણીમાં ગયો.

કેટલો અણઘડ ઈરાદો નીકળ્યો,
એમની આંખોમાં જઈ પાછો ફર્યો.

વાયરો ને વહેણ તો સંમત હતાં,
વહાણને જૂનો સુકાની બહુ નડ્યો.

આખરે લોહીલુહાણ આવ્યો પરત,
હોંશિયારી જ્યારે સાથે લઈ ગયો.

વાત કરવી એને બહુ ગમતી હતી,
ભીંત પર પોતે છબી થઈને રહ્યો .

ઓ કુંવારા શબ્દોના ધાડા! ખમો,
હું હજી હમણાં કવિતાને મળ્યો .

– ગૌરાંગ ઠાકર

ગૌરાંગ ઠાકર એમનો ત્રીજો ગઝલસંગ્રહ ‘કોઈ હૈયામાં ગયું લાગે છે’ લઈને આપણી વચ્ચે ઉપસ્થિત થયા છે. લયસ્તરોના આંગણે એમનું સહૃદય સ્વાગત છે. ક્રિયાપદના કાફિયા કવિને વધુ માફક આવતા જણાય છે. પણ ગઝલની ફ્લેવર આહ્લાદક બની છે એની વિશેષ મજા છે.

સંબંધમાં કપરો વખત આવે ત્યારે જેમાં સાથે તરબતર થવાનું હોય એ વરસાદ પણ એળે જાય છે. પાણી વરસાવતા વરસાદનું પાણીમાં જવાનું કલ્પન ગઝલને કેવો મજાનો ઉઠાવ આપે છે! જૂની વિચારધારાવાળા માણસોની જડતા કઈ રીતે નડતરરૂપ બનતી હોય છે એની વાત જૂનો સુકાનીવાળો શેર બખૂબી ટાંકે છે. અને આખરી શેરમાં કવિના ચિત્તતંત્ર પર ઊમડી આવેલ ‘કુંવારા’ શબ્દોના ધાડા પણ ખૂબ સ-રસ શેર સર્જે છે.

Comments (4)

(ક્યાં છે દોસ્ત !) – કિરણસિંહ ચૌહાણ

એટલી પણ હાડમારી ક્યાં છે દોસ્ત !
આપદાઓ એકધારી ક્યાં છે દોસ્ત !

ખૂબ વાતો કરીએ પણ પહેલાં કહે,
આટલામાં ચાની લારી ક્યાં છે દોસ્ત ?

લાગણી તારી સુરક્ષિત છે હજી,
એને કાગળ પર ઉતારી ક્યાં છે દોસ્ત !

એટલે એ રાત રોકાતો નથી,
સૂર્યને માટે પથારી ક્યાં છે દોસ્ત !

મંચ માટે લીધું લંપટનું શરણ,
ક્યાં છે, સર્જકની ખુમારી ક્યાં છે દોસ્ત !

– કિરણસિંહ ચૌહાણ

મજાની ગઝલ… બધા જ શેર આસ્વાદ્ય થયા છે અને કોઈપણ જાતના પૃથક્કરણના મહોતાજ નથી. છેલ્લો શેર કવિતાની કક્ષાએ પહોંચતો નથી પણ આજે ગુજરાતી ગઝલમાં કવિસંમેલનમાં ભાગ લેવા માટે કવિઓ જે કક્ષાએ પહોંચ્યા છે એ વરવી વાસ્તવિક્તા પર અખાના છપ્પાની જેમ એ સમસમટો ચાબખો મારે છે. કવિની સામાજિક ચેતનાનો એ દ્યોતક બને છે.

Comments (7)

હૈયું મારું ઠારે રે! – દેવેન્દ્ર દવે

(મનહર)

સ્વર્ગ મધ્યે સુરગણો ભેળા થઈ ગર્વ કરે
સુખડ શું સુખ મળ્યું ભાર્યા થકી ભારે રે!
બ્રહ્મા કહે: ગૃહિણીએ શિરે લીધી ફરજ સૌ
એથી નિત રત રહું સર્જનમાં ત્યારે રે!
વિષ્ણુ વદ્યાઃ લક્ષ્મી મારે દ્વાર આવી ત્યાર કેડે
સૃષ્ટિ તણાં પાલનની ફિકર ના મારે રે!
મહાદેવ બોલ્યા: જુઓ ધણિયાણી અન્નપૂર્ણા,
પછી કોણ પેટ કાજે ભાઈ! ઘેટાં ચારે રે?!
કામદેવ થનગની સૂર કાઢે: રતિ રોજ
શય્યા મારી કુસુમોથી હોંશે શણગારે રે!
અચંબાથી બાઘા પેરે જોઈ રહું ચારે કોરે
હતપ્રભ મન ડૂબ્યું વમળ-વિચારે રે!
‘કેમ ભૂલે? ભાર્યા થકી ભોગવતો સુખ ચારે’
ઓચિંતાની ગેબી વાણી હૈયું મારું ઠારે રે!

– દેવેન્દ્ર દવે

દલપતરામના પ્રિય મનહર છંદમાં એમની જ નામરાશિવાળા કવિ દેવેન્દ્ર દવે મજાનું સૉનેટ લઈ આવ્યા છે. કવિતાના મૂળ સ્વભાવથી થોડું વિપરિત આ સૉનેટ ખાસ્સું મુખર છે પણ મુખરતા વાતને હળવી બનાવે છે અને ખૂંચતી નથી એટલે સૉનેટ આસ્વાદ્ય બન્યું છે. કવિ મજાની કલ્પના કરે છે. સ્વર્ગમાં ચાર મુખ્ય દેવો પોતપોતાની પત્નીનાં ગુણગાન ગાય છે. સરસ્વતીએ ઘરની જવાબદારી માથે લઈ લીધી હોવાથી બ્રહ્મા બેરોકટોક સર્જનકાર્યમાં પ્રવૃત્ત રહી શકે છે. લક્ષ્મીના લીધે વિષ્ણુ સૃષ્ટિના પાલનની ચિંતાથી મુક્ત થઈ ગયા છે. તો પાર્વતી અન્નપૂર્ણા હોવાથી શંકર ભગવાન કોઈ પણ જાતના કામકાજ કરવાના બદલે કૈલાસ પર ધૂણી ધખાવી શકે છે. કામદેવને તો રતિ જેવી પત્ની હોવાથી રોજેરોજ બખ્ખા જ છે. અને લાડુ હંમેશા પારકે ભાણે જ મોટો લાગે એ ન્યાયે કથક બાઘા જેવો પોતાની કમનસીબી અને દેવોના સદભાગ્યની તુલના કરતો દુઃખી થાય છે. એવામાં કોઈક ગેબી વાણી એનું હૈયું ઠારતાં કહે છે કે આ બધાને તો એક-એક પત્ની થકી એક-એક જ સુખ છે પણ તારે તો એક જ પત્ની થકી આ ચારેય સુખ છે. कार्येषु मन्त्री करणेषु दासी भोज्येषु माता शयनेषु रम्भाની આપણે ત્યાંની જાણીતી વિભાવના જ સૉનેટમાં જરા અલગ રીતે ઉપસી આવી છે.

Comments (2)

ડાયરીનું એક પાનું….- અનિલ ચાવડા

ડાયરીનું એક પાનું બીજા પાનાંને પૂછે છે,
ફૂલ નહીં મુકવાની ઘટના આપણી અંદર ખૂટે છે.

કાચીંડો ભગવતગીતા પર બેઠો ‘તો સંયોગવસ, બસ!
પંડિતો એમાં ય ઊંડા અર્થસંકેતો જુએ છે.

છેવટે એમાંથી તો અજવાસનાં બચ્ચાં જનમશે,
રાત આખી રાત જે અંધારનાં ઈંડાં મુકે છે.

ભેદરેખા પાતળી લાગે પરંતુ છે નહીં હો,
એ કહે સૂરજ ડૂબે છે; હું કહું સંધ્યા ઊગે છે.

પંડની પીડા વિશે કહેતા મને આવું સુજે છે,
ફૂંક માર્યે ચિત્રમાં દોરેલ અગ્નિ ક્યાં બુજે છે !

ભાઈ સમ પથ્થર મળ્યા વર્ષો પછી મંદિરમાં બે,
એક ને લોકો પૂજે છે ને બીજા પર પગ લૂછે છે.

જિંદગીની ખાલી જગ્યાનું કહું છું હું, અને એ,
છાપામાં આવેલ કોઠામાંની જગ્યાઓ પુરે છે.

– અનિલ ચાવડા

Comments (6)

જે થશે સારું થશે….- કિરીટ ગોસ્વામી

જે થયું સારું થયું ને જે થશે સારું થશે;
એટલી સમજણ હશે તો આ જગત તારું થશે.

થાય છે માઠા દિવસ પણ આખરે મીઠા કદી,
આજ નહિ તો કાલ, સઘળું દૂર અંધારું થશે.

જોઈએ બસ જોઈએ ખુદનો ભરોસો સામટો;
એ વિના જીવન પળેપળ સાવ નોંધારું થશે.

દાદ એને આપશો તો દુઃખ વધુ દુઃખ આપશે,
સુખ વધુ સુખ આપશે જો નિત્ય સહિયારું થશે.

મન હવે ચાલ્યું છે ભીતરના પ્રવાસે બસ, ‘કિરીટ’;
બસ, હવે જે કંઈ થશે તે કામ કંઈ ન્યારું થશે.

– કિરીટ ગોસ્વામી

એક ચોક્કસ હેતુથી આ રરચના મૂકી છે – કવિ તો પોતાની સ્ફૂરણાને આધારે કાવ્ય કરે છે, કવિ સામાન્ય રીતે પોતાની વાતને logic ના ત્રાજવે જોખતો નથી હોતો, પણ મારુ સડેલું મગજ logic સિવાય કશું સમજતું નથી…..હું સ્વભાવે પ્રશ્નકર્તા છું – મને તરત સવાલ થાય કે નાઝી કોન્સન્ટ્રેશન કેમ્પમાં મૃત્યુના આરે ઊભેલા કેદીને આવી ફીલિંગ થતી હશે ખરી ? ન્યુઝીલેન્ડમાં બંદૂકધારી ગોળી વરસાવતો હોય ત્યારે તે મસ્જિદમાં હાજર વ્યક્તિને આ લાગણી થઇ શકે ??

Life is never fair……

Comments (3)

મારી કબર પર થોભશો કે, રડશો નહિ – મેરી એલિઝાબેથ ફ્રે (અનુ. વિવેક મનહર ટેલર)

મારી કબર પર થોભશો કે, રડશો નહિ,
હું ત્યાં નથી. હા, હું હજી ઊંઘી નથી.
હું છું હજારો પવનો જે ફૂંકાય છે.
હીરાકણીઓ છું બરફ પર ચળકે જે.
હું પક્વ દાણા પર કિરણ છું સૂર્યનું.
વરસાદ હું તો પાનખરનો છું ઋજુ.
જ્યારે તમે નિદ્રા ત્યજી જાગો પ્રભાતી ચુપકીમાં
જે શાંત પક્ષી ઝુંડ ઊઠે આભમાં
એને ગતિ દેનાર અબાબીલ હું જ છું.
રાતે ચમકતા મૃદુ તારાઓ છું હું.
મારી કબર પર થોભશો, વિલપશો નહિ,
હું ત્યાં નથી. હા, હું મરણ પામી નથી.

– મેરી એલિઝાબેથ ફ્રે
(અનુ. વિવેક મનહર ટેલર)

કોઈ કવિને કવિ તરીકેની ઓળખ મળે એ માટે એણે કેટલી કવિતાઓ લખવી પડે એની કોઈ રુલ-બુક ખરી? આપણે ત્યાં એક જમાનો એવો હતો કે ‘કુમાર’માં કવિતા છપાય તો જ કવિને કવિનો દરજ્જો મળતો. એક જમાનો એવો હતો કે સૉનેટ ન લખ્યું હોય એના કવિ હોવા વિશે શંકા કરાતી. પણ શું એક જ કવિતા લખી હોય અને કવિ તરીકે આખી દુનિયાએ એનો સ્વીકાર કર્યો હોય એવું શક્ય ખરું? અને કવિ તરીકેના સ્વીકારને બાજુએ રાખીએ… એક જ કવિતા લખીને કોઈ અમર થઈ શકે ખરું? શું સૂંઠના ગાંગડે ગાંધી થવાય? એક જ કવિતાથી અમરત્વ પ્રાપ્ત કરનાર વિરલ કવયિત્રી અને એ કવિતાના સંદર્ભમાં જવલ્લે જ જોવા મળતી દિવ્ય ચમત્કાર સમી ઘટનાનો આપણે આજે સાક્ષાત્કાર કરીએ.

પ્રસ્તુત રચનાના વિશદ આસ્વાદ માટે અહીં ક્લિક કરો.

Do Not Stand At My Grave And Weep

Do not stand at my grave and weep
I am not there. I do not sleep.
I am a thousand winds that blow.
I am the diamond glints on snow.
I am the sunlight on ripened grain.
I am the gentle autumn rain.
When you awaken in the morning’s hush
I am the swift uplifting rush
Of quiet birds in circled flight.
I am the soft stars that shine at night.
Do not stand at my grave and cry;
I am not there. I did not die.

– Mary Elizabeth Frye

Comments (3)

છગન ટપાલી – કિશોર બારોટ

એને મન સહુ ડેલી સરખી, ના દવલી ના વહાલી,
ગામ તણી પરકમ્મા કરવા નીકળે છગન ટપાલી.

કોઈને આખો ફાગણ આપી મહેકાવી દે શ્વાસ,
કોઈને કાળું માતમ આપી, છીનવી લે અજવાસ,
કોઈની આંખે આંસુ મૂકે, કોઈની ગાલે લાલી,
ગામ તણી પરકમ્મા કરવા નીકળે છગન ટપાલી.

પીડા-સપનાં-હરખ-દિલાસા-ઉઘરાણી ને જાસા,
એના થેલે વિધવિધ રંગી ભરચક કૈં ચામાસાં,
ક્યાંક તમાચો થઈને વરસે ક્યાંક હુંફાળી તાલી,
ગામ તણી પરકમ્મા કરવા નીકળે છગન ટપાલી.

પત્રોના રેશમ દોરા લઈ ગલીએ ગલીએ ફરતો,
સંવેદનના વેલબુટ્ટાઓ હૈયે હૈયે ભરતો,
પછી સોયની માફક વચ્ચેથીખસતો, થઈ ખાલી,
ગામ તણી પરકમ્મા કરવા નીકળે છગન ટપાલી.

– કિશોર બારોટ

હવે તો જો કે ટપાલ અને ટપાલી -બંનેનો એકડો લગભગ નીકળી જવા પર છે પણ અલી ડોસા અને મરિયમની વાર્તા લખવામાં ધૂમકેતુને જીવન સાર્થક થયું લાગ્યું હોય એવા સમય અને એવા કોઈક ગામડાના ટપાલીની આ વાત છે. ગીતની પહેલી જ પંક્તિમાં ટપાલીની તટસ્થતા કવિએ બખૂબી ઉપસાવી આપી છે. આખું ગીત સંઘેડાઉતાર છે અને કોઈ ટિપ્પણીનું મહોતાજ નથી. એને એમ જ માણીએ.. ગીત વાંચતાવેંત જ નિદા ફાઝલીનો આ અમર દોહો પણ તરત જ યાદ આવે:

सीधा-साधा डाकिया जादू करे महान
एक ही थैले में भरे आँसू और मुस्कान

Comments (13)

નાનાં બાળ અમે – પૂર્વી અપૂર્વ બ્રહ્મભટ્ટ

.          હજુ તો નાનાં બાળ અમે સૌ,
.          નાખે કેવો ભાર અરે! સૌ.

આ જુઓ, બોલાવે માટી, સાથે એની રમવા દો ને,
છીપલાં, મોતી, શંખ જણસ છે, ગજવે થોડાં ભરવા દો ને,
કાલે મોટાં થઈ જાશું તો આજે થોડું જીવવા દો ને,
.          સમજો થોડી વાત તમે સૌ
.          હજુ તો નાના બાળ અમે સૌ.

શૈશવની શેરીમાં મારે મનમોજી થઈ ફરવું છે,
આવડતું ના હોય ભલે ને, છબ્બાક દઈને તરવું છે,
જે કરવાની ના પાડો એ સૌથી પહેલાં કરવું છે,
.          છો ને કાઢો આંખ તમે સૌ
.          હજુ તો નાનાં બાળ અમે સૌ

ખુલ્લા આકાશે ઊડવાનું લાગે વહાલું વહાલું અમને,
મોજ પડે જો કોઈ કહે કે, જા બહારે જઈને રમ ને,
અમ સૌનું મન કળવા ઈશ્વર,થોડી સમજણ આપે તમને,
.          સંભાળો આ બાગ તમે સૌ
.          હજુ તો નાનાં બાળ અમે સૌ.

– પૂર્વી અપૂર્વ બ્રહ્મભટ્ટ

લયસ્તરો પર બાળગીતો મૂકવાનું ઓછું જ થાય છે પણ આ ગીત તો વાંચતાવેંત મન પર કબજો કરી બેઠું. એકદમ બાળસહજ ભાષા અને અનવરત પ્રવાહી લયવાળું આ ગીત આપના ઘરમાં બાળકો હોય તો જરૂર ગાઈને સંભળાવજો…

 

Comments (1)

જલમાં ઝૂરે માછલી – સુરેશ દલાલ

જલમાં ઝૂરે માછલી ને વનમાં ઝૂરે ફૂલ :
ભરવસંતે છાનું ઝૂરે કોયલ ને બુલબુલ
અમારી એવી તે કઈ ભૂલ :
તમે તો પાસે તોયે દૂર દૂર ને દૂર….

દરિયામાં એક ઝૂરે હોડી અને હલેસાં ઝૂરે :
નાવિકને અહીં આવવાનું કેમ કહો નહીં સ્ફુરે ?
અમારી એવી તે કઈ ભૂલ :
તમે તો પાસે તોયે દૂર દૂર ને દૂર….

વૃંદાવનમાં ઝૂરે વાંસળી ; ઝૂરે મીરાંનું મન.
જે મુખડાની માયા લાગી ક્યાં છે એ મોહન ?
અમારી એવી તે કઈ ભૂલ :
તમે તો પાસે તોયે દૂર દૂર ને દૂર….

– સુરેશ દલાલ

Comments (2)

ખાલી ગજવામાં – મનોજ ખંડેરિયા

ઝીણી ઝાકળના ઝબકારા ભરું છું ખાલી ગજવામાં
અછડતા આછા અણસારા ભરું છું ખાલી ગજવામાં

પડ્યું છે એક એવું છિદ્ર જેમાંથી બધું સરકે
છતાં હું કૈંક જન્મારા ભરું છું ખાલી ગજવામાં

કરું છું એકઠી વરસોથી મૂડી હું પ્રતીક્ષાની
ખર્યા પાંપણથી પલકારા ભરું છું ખાલી ગજવામાં

ભરું છું એટલું કોઈ રહ્યું સેરવતું ચુપકીથી
છતાં ધીરજના ધબકારા ભરું છું ખાલી ગજવામાં

કશું ઝાલર સમું વાગી રહ્યું નિત સાંજે મારામાં
રગેરગમાંથી રણકારા ભરું છું ખાલી ગજવામાં

કદી આવીશ તો કેવો સમય ગાળ્યો બતા’વાને
સૂનાં દ્વારોના ભણકારા ભરું છું ખાલી ગજવામાં

નગરમાં એકલા ક્યારે પડી જઈએ, ખબર કોને !
હું એથી શબ્દ –સથવારા ભરું છું ખાલી ગજવામાં

-મનોજ ખંડેરિયા

Comments (1)

દ્વિભાષી ગઝલ – રાજેશ હિંગુ

ભીતર ગૂંજે નાદ शिवोहम्।
તેથી લાગે अखिलं मधुरम्।

એ કાયમ સાથે ના રહેશે,
सर्वम् दुःखं सर्वम् क्षणिकम्।

ગુર્જરી ગળથૂથીમાં પીધી,
દ્વિજ થયો पीत्वा संस्कृतम्।

મિત્રો, મહેફિલ, ચાની ચુસ્કી,
એ જ ખરું છે मम ऐश्वर्यम्।

હું ક્યાંથી કંઈ નવતર લાવું?
છે व्यासोच्छिष्ट जगत्सर्वम्।

– રાજેશ હિંગુ

કવિતા આત્માની માતૃભાષા છે. એટલે જ કવિતાનો આત્મા કોઈ એક ભાષાની કાયામાં પૂરાઈને રહેવામાં માનતો નથી. કવિ રાજેશ હિંગુ ગુજરાતી ગઝલમાં સંસ્કૃતને જે રીતે વણી લાવ્યા છે એ આ વાતની પ્રતીતિ કરાવે છે. જેની ભીતર હું જ શિવ છું નો નાદ ગૂંજે છે, એના માટે બધું જ મધુરુ છે. કવિએ નાદ ગૂંજવાની વાત કરી છે એ શબ્દપ્રયોગ ધ્યાન માંગી લે છે, કેમ કે નાદ હંમેશા ગુંબજ જેવી પોલી વસ્તુમાં જ ગૂંજી શકે છે. જ્યારે અહંકાર વગેરેથી ભીતર ખાલી થઈ જાય ત્યારે જ એમાં નાદગૂંજ જન્મી શકે છે. બીજા શેરમાં બુદ્ધની ચાર ભાવનાઓ सर्वं क्षणिकं क्षणिकम्, सर्वं दुःखं दुःखम्, सर्वं स्वलक्षणं स्वलक्षणम्, અને सर्वं शून्यं शून्यम् માંથી પહેલી બે નજરે ચડે છે. બધું જ ક્ષણભંગુર છે, પછી દુઃખનુંય દુઃખ શું? ગુજરાતમાં જન્મ્યા એટલે ગુજરાતી તો ગળથૂથીમાં જ મળી પણ સંસ્કૃતનું પાન કર્યું એટલે ખરું બ્રાહ્મણત્વ (દ્વિજ-બે વાર જન્મેલો, બ્રાહ્મણ) મળ્યું. કેવો ઉમદા શેર! મિત્રો, મહેફિલ અને ચાની ચુસ્કી જ પોતાનું ખરું ઐશ્વર્ય છે એમ કવિ કહે છે ત્યારે એમની મહેફિલમાં સામેલ થવાની ઇચ્છા અનાયાસ થઈ આવે છે. અને અંતે કવિ બહુ મોટી વાત કરે છે. વ્યાસ જે કહી ગયા એમાં બધું જ આવી ગયું એમ માહાભારતના સંદર્ભમાં આપણે કહીએ છીએ. એવું કશું છે જ નહીં, જે વ્યાસે કહેવાનું બાકી રાખ્યું હોય. તો કવિ નવું ક્યાંથી લાવે?

આવી મજબૂત ગઝલ ભાગ્યે જ મળતી હોય છે. કવિને સો સો સલામ..

Comments (13)