જીવતું રાખવા તાપણું આપણે,
ચાંપવું રોજ સંભારણું આપણે.
જયંત ડાંગોદરા

ઝાલાવાડી ધરતી – પ્રજારામ રાવળ

આ ઝાલાવાડી ધરતી
આવળ, બાવળ, કેર, બોરડી, શુષ્ક રુક્ષ ચોફરતી

અહીં ફૂલ કેવળ આવળનાં
અહીં નીર અધિકાં મૃગજળનાં
પુષ્પ, પત્ર, પાણી વિણ કાયા ઘોર ઉનાળે બળતી

જોજનના જોજન લગ દેખો
એક નહીં ડુંગરને પેખો
વિરાટ જાણે કુલ્લી હથેળી સમથળ ક્ષિતિજે ઢળતી

આ તે કોઇ જનમ-વેરાગણ
કે, કો ઉગ્ર તપંતી જોગણ
સન્યાસિની તણા નિર્મળ શુભ્ર વેશે ઉર મુજ ભરતી

– પ્રજારામ રાવળ

‘વાયુ’ વાવાઝોડું આવી ચડ્યું એના થોડાક દિવસ પહેલાં માત્ર ઝાલાવાડ જ નહીં, દેશ આખાની કદાચ આ જ હાલત હતી…

ઉનાળાના દિવસોમાં ઝાલાવાડની ધરતીની માઠી દુર્દશાનું કવિએ જે વર્ણન કર્યું છે એ કોઈ સમયગાળાનું મહોતાજ નથી. કાંટાળા અને છાંયા રહિત રુક્ષ વૃક્ષસભર આ ધરતી પણ પાણી અધિકતર તો મૃગજળનાં જ જોવાં મળે છે. પણ જે રીતે આ શુષ્ક ધરતી કોઈ સંન્યાસિનીની જેમ કવિનું હૃદય ભરી દે છે એ જ આ ધરતીની સાર્થકતા સૂચવે છે…

Leave a Comment