મન ન માને એ જગાઓ પર જવાનું છોડીએ,
કોઈના દરબારમાં હાજર થવાનું છોડીએ.
હેમેન શાહ

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for જગદીશ જોષી

જગદીશ જોષી શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.




છોકરી – ગ્રેસ – અનુ.- જગદીશ જોષી

આયુષ્ય નકારવાનો અને સ્વીકારવાનો
આ પ્રશ્ન નથી.
રેતીમાંના પાણી માટે તો નાનકડાં ઘર હોય છે.
તે બંધાવાં જોઈએ; પૂરી સમજદારીથી ફરી વાર
તેની રેતી એકઠી કરીને
રાખવી.
હું કેરળમાં હતો ત્યારે એક છોકરી મળી ગઈ.
એ વેળા જૂના ચર્ચનું દુરસ્તીનું કામ
ચાલુ હતું. ઇટાલિયન સંગેમરમ૨ના એક
ટુકડા પાસે તે ઊભી હતી.
ફૂલ તોડો; ઋતુના આવિર્ભાવોમાં ઘણા
સૂક્ષ્મ પલટાની નોંધ લો.
બસ, એટલું જ.
એક દિવસ કોઈ પણ પૂર્વ-એંધાણી આપ્યા વગર
તે મરી ગઈ.
સીધુંસાદું છે આટલું જ!

– ગ્રેસ – અનુ.-જગદીશ જોષી

એક પ્રચલિત ફિલોસોફિકલ થિયરી છે – LIFE IS RANDOM. અર્થાત્ – ન તો જીવનનો કોઈ અર્થ છે ન તો કોઇ હેતુ. જે થાય છે તેનું કોઈ કારણ નથી. આ થિયરી એટલી નિષ્ઠુર છે કે લોકો એને માનવાથી ડરે છે….અને ધર્મ તો તેને લગીરે સ્વીકારવા રાજી ન જ હોય – સ્વાભાવિક છે. બસ, આ કાવ્યને આ થિયરી સંદર્ભે માણો…

Comments (1)

તમને તો – જગદીશ જોષી

તમને તો કોઈ દિવસ વાંકું પડે ને કદી ખોટું લાગે ને વળી કેટલોય રોષ અને રીસ :
અમને તો એ જ લાગે સાચું : કે ભમરાને હોય કદી ફૂલોની, ફોરમની ભીંસ ?

કેવો ઉમંગ લઈ વૈશાખી વાયરો વગડાને વીંધીને આવ્યો ?
ફોરમનાં જુલ્ફમાં ક્યાંક હું લપાઉં એવા મનગમતા ખ્યાલને ઝુલાવ્યો !
જરા મરમ કરીને તમે પાસે આવો, પછી પડખું ફરો : અને અમરતને કહી દિયો વિષ
તમને તો કોઈ દિવસ વાંકું પડે ને કદી ખોટું લાગે ને વળી કેટલોય રોષ અને રીસ.

તમને તો ગુલછડી હાથમાં ખપે : નહીં વાળમાં ગૂંથાયેલું ફૂલ :
ઝરતાં આંસુને તમે ઓળખો નહીં ને તમે ધોળાં વાદળમાં મશગૂલ :
આઘેની મીટ અને પાસેની પ્રીત અને તૂટેલો લય અને નંદવાયું ગીત – મારા
મૂગાં આ હોઠે ગુંજીશ !

તમને તો કોઈ દિવસ વાંકું પડે ને કદી ખોટું લાગે ને વળી કેટલોય રોષ અને રીસ.

– જગદીશ જોષી

પ્રેમ હોય, સહવાસ હોય, કદાચ લગ્નનું બંધન પણ હોય…પરંતુ કોઈક વાર બે હૈયા વચ્ચે તાદાત્મ્ય નથી હોતું….ક્યાં તો ભાષા અલગ છે, ક્યાં તો અભિવ્યક્તિ ભિન્ન છે, ક્યાં તો એષણાઓ જુદી છે….પ્રેમ છે, પણ હૈયા એકતાલે ધબકતા નથી.

આ કોઈ કવિ-કલ્પના નથી. આ વાસ્તવિકતા છે અને ઘણી વ્યાપક વાસ્તવિકતા છે. આ પરિસ્થિતિનું કોઈ સરળ નિવારણ નથી. શનૈઃ શનૈઃ આ જ સ્થિતિ બે હૈયાને વિખૂટા કરતી જતી હોય છે….

Comments (4)

અબોલડા – જગદીશ જોષી

તેર વરસના અબોલડા ને બાર વરસની પ્રીત !
આ તે કેવી રીત, સજનવા ! આ તે કેવી રીત ?

પગમાં ઊગ્યાં વંન અને આંખોમાં સૂકો દરિયો
ગઢના ઝૂક્યા ઝરૂખડાને ખૂંચે છે કાંકરિયો ;
ભવ આ ભાંગી રાત બની ગઈ દિવસ થકી વંચિત :
તેર વરસના અબોલડા ને બાર વરસની પ્રીત.

નહીં વરસેલા મેઘ ને એના પડછાયા ગૂંગળાય ;
બંધ હોઠની વાત ક્યારની વીજ થઈ અમળાય ;
ખડકી આગળ ખીણ ધૂંધળી, રણમાં ૨ડે પછીત :
તેર વરસના અબોલડા ને બાર વરસની પ્રીત.

– જગદીશ જોષી

પ્રેમની આ જ તકલીફ છે. જેટલો પ્રેમ ગહેરો તેટલી અપેક્ષા વધે ! ભલેને ફિલોસોફી એમ કહેતી રહે કે પ્રેમમાં અપેક્ષાને સ્થાન નથી…. સાજન મનની વાત સમજતો નથી. મારે બોલીને કહેવી નથી, ભલેને યુગ વીતી જાય… લાગણી હશે તો સમજશે. ” નહીં વરસેલા મેઘ…” એ ન વહેલા આંસુ…ડૂમો જેમ નો તેમ રહી ગયો. વીજળીના ઝબકારાની જેમ વણકહી વાત બંધ હોઠે આવી આવીને ગાયબ થઈ જાય…. અંત શું ?? – એ વિચારીને થોડો પ્રેમ થાય છે ?? શેર યાદ આવી જાય –

મુદ્દતેં હો ગઈ હૈ ચૂપ રહતે
કોઈ સુનતા અગર તો કુછ કહેતે

Comments (2)

સળિયા પાછળ – જગદીશ જોષી

 

સાત જનમના સળિયા પાછળ પુરાયેલી એક વાત હોઠ પર આવી
એને પાછી દીધી ધકેલી સળિયે.
અરસપરસનાં તરસ્યાં વાદળ હરણ થઈને ભટક્યાં હવે તો મૃગજળ થઈ વળગીએ.

પીંછેપીંછે પીંખી દીધેલી વીંખી દીધેલી રાત હવે તો પાંખ થઈને ચીખે
શ્રાવણની આ સાંજ તણાં અંધારની ઓથે વૈશાખી આકાશ વલખતું ધીખે
બે આંખો કૈં આંખ નહીં પણ આંસુ : આ તે કયા કૂવા ?
કે ઝીણાં ઝીણાં જળની સાથે ઝમ્યા કરે છે તળિયે !

સૂનો સૂનો મ્હેલ હવાનો : સુગંધની આ કયા ઝરૂખે ઝૂરે કુંવરી લઈ કુંવારી વાત ?
પીળીપીળી પડી ગયેલી મેંદીને આ સાવ અભાગી બિંદી પૂછે :
શરણાઈના સૂર વરસશે કયા જનમને ઘાટ ?

રાધા ને આ શ્યામ વિનાના વૃંદાવનમાં અમે સળગતા
રાન અને વેરાન થઈને મળીએ.

– જગદીશ જોષી

ખાસ તો આ કાવ્યની માવજત જુઓ….મને ટેકનિકલ વાતો નથી આવડતી પણ આ પ્રકારનું કાવ્ય રચવું સહેલું નથી. જગદીશ જોષી હોય એટલે મૂળ ભાવ તો મજબૂત હોય જ. વેદનાની અનૂઠી રજૂઆત…..

Comments (1)

રહસ્યો – ડેની એબ્સે – અનુ: જગદીશ જોષી

રાત્રે, હું જાણતો નથી હોતો હું કોણ છું
જ્યારે સ્વપ્નમાં હોઉં, જ્યારે હું સૂતો હોઉં.

જાગતાં, મારો શ્વાસ થંભાવું છું ને સાંભળી રહું છું;
દીવાલની પાછળની બાજુને ખણે છે એક કઠણ નખ.

મધ્યાહૂને, સૂર્યથી ઝળાંહળાં ઓરડામાં પ્રવેશું છું
વગર કારણે બળતી બત્તીને નીરખવા.

આજ સુધીમાં હું પામી જ ગયો છું કે ભાગ્યે જ કોઈ સ્વરસપ્તકો સાંભળી શકાય છે,
કે વધુ પડતા લાંબા સમય સુધી તાકી રહેવાથી કોઈ ‘દર્શન’ નષ્ટ થાય છે;
કે નોંધાયેલો સમગ્ર ઇતિહાસ ખુદ
મહાન સૂનકારમાં એક એલફેલ ગપસપ સિવાય બીજું કંઈ નથી;
કે એક મૅગ્નેશિયમનો ઝબકારો ઉજાળી નથી શકતો
અદૃશ્યને એક ક્ષણ માટે પણ.

હું રાવફરિયાદ કરતો નથી. હું પ્રારંભ કરું છું દશ્યથી
અને દિગ્મૂઢ થઈ જાઉં છું હું દશ્યથી.

– ડેની એબ્સે – અનુ: જગદીશ જોષી

ગહન વાતની સરસ કાવ્યાત્મક રજૂઆત !

કાવ્યની ચાવી અંતિમ બે પંક્તિમાં છે. કાવ્યનો ઉઘાડ અને વિસ્તાર દ્વંદ્વ પ્રત્યેની અચરજભરી દ્રષ્ટિથી થાય છે અને મધ્યે કવિ કહે છે કે સમગ્ર ઇતિહાસ અર્થાત માનવજ્ઞાન એ અનંત બ્રહ્માંડના સાપેક્ષે કશું જ નથી. એકાદ પ્રજ્ઞાના ઝબકારે અદ્રષ્ટ ઊજળી શકતું નથી. ગૂઢ઼તત્વની ગૂઢતા ખૂલતી નથી. અંતે કવિ કહે છે કે જીવનની શરૂઆત દ્રષ્ટ-વિશ્વને સમજવાના પ્રયત્નથી થાય છે અને જેમ જેમ સમજણ વિકસિત થતી જાય છે તેમ તેમ આ વિશ્વની ભવ્યતા/ગૂઢ સૌંદર્ય મને દિગ્મૂઢ કરી મૂકે છે…….જે રીતે અર્જુન દિગ્મૂઢ થઈ જાય છે કૃષ્ણના વિશ્વરૂપદર્શનથી !

Comments (2)

અવહેલા – જગદીશ જોષી

સૂરજને જોઈ મુખ કમલિની ફેરવે
હવે સૂરજને ઢૂંઢવું પાતાળ.
મોઢું દેખાડવાનો મહિમા નહીં: એને
પાંદડીને ચૂમવી વાચાળ.

ખોવાયો ખોવાયો ફરતો રહે બાવરો
ને ઓછપને ઓઢી સંતાય.
નભનો મારગ મથે ટૂંકવવા, સમણાંઓ
પળપળને કાંતી કંતાય.
ઝાઝેરું જીવ્યાનો થાતો અફસોસ : એને
કિરણો પણ લાગે જંજાળ.

વાદળના મ્હેલ સૂના સૂના લાગે ને
હવે જળના દર્પણમાં તિરાડ,
ઝંખેલા પ્રેમને પામ્યા વિના તો હવે
પાંપણ પર પથરાતા પ્હાડ.
આભના બે છેડાની વચ્ચે આ રણ, અને
મૃગજળની ઝળહળતી ઝાળ!

– જગદીશ જોષી

સૂર્યની વ્યથા !!!! પણ અભિવ્યક્તિ જુઓ – માવજત જુઓ !!!! ” ઝાઝેરું જીવ્યાનો થાતો અફસોસ : એને કિરણો પણ લાગે જંજાળ. ” – અદભૂત !!!! સૂર્ય હોય કે મામૂલી મર્ત્ય માનવી – ઝંખેલો પ્રેમ ન મળે તો નભમંડળનું આધિપત્ય પણ નકામું…….

Comments (2)

નિવેદન – જગદીશ જોષી

માફ કરજે દોસ્ત,
તું પાસે છે છતાંય હું મારામાં સંકોચાઈ જાઉં છું.
આ ઢળતી સાંજની ગમગીનીના પડછાયાનાં વૃક્ષો
મારા રસ્તા પર ઝૂક્યાં છે.
આ વૃક્ષની નીચે
તું મંદિર થઈને મ્હોરી શકે એમ છે,-
છતાંય મારે નીકળી પડવું છે ક્યાંક એકલા
-સાવ એકલવાયા.
હોટલના ખૂણાના સૂનકારમાં
ખાલી ગ્લાસની સાથે
આજની સાંજનો સંબંધ બાંધીશ.
માફ કરજે દોસ્ત,
I’d rather be alone….

વેદનાને જ્યારે શબ્દો જડતા નથી
ત્યારે હું એને પી જાઉં છું.
મારા નશામાં
કેટલીયે મ્હેફિલો ભાંગી પડી છે-
એ હકીકત તું જ જાણે છે;
એટલે જ
બીજા પાસે બોલબોલ કરતો
તારી પાસે ખૂબ ઉદાસ થઈને બેઠો છું.
મારા એકાન્તની ઈજ્જત કરનાર, દોસ્ત !
એક તને જ કહી શકું છું:
I’d rather be alone….

-જગદીશ જોષી

અંતે તો એ જ રહે છે……’ મૈં, ઔર મેરી તન્હાઈ…..’

Comments (3)

મારા નાવિક – જગદીશ જોષી

સાવ સીધી નદીનાં વ્હેણ વાંકા થયાં
અને વાંકી નદીનાં વ્હેણ સીધાં;
કાંટા પર મ્હોરેલા લીલા પડછાયાનાં,
વેણ અમે પાંપણથી પીધાં.

સૌરભની શાલ હવે ઓઢે હવા,
પણ વાયરાનો સોળ તોય વાગે,
રણઝણતા ક્યાંક ક્યાંક ઊડે છે આગિયા
પણ આંખોમાં અંધારું જાગે !

તારી નદીની અમે નાવ, મારા નાવિક !
એવા સોગંદ અમે લીધાં.

ચરણોને ચાલવાની ઝંખના જાગી,
ત્યાં રસ્તાએ જોઈ લીધું આડું,
આંખોના કૂવામાં આંસુના મધપૂડા,
તરસ્યાંને કેમ સાદ પાડું ?

તારી વાતોમાં અમે કેવા ડૂબ્યાં
કે અમે અમને અળખામણાં કીધાં !

– જગદીશ જોષી

આંખોના કૂવામાં આંસુના મધપૂડા…….!!!!! શું કવિકર્મ છે !!! અદભૂત !!!!

Comments (3)

આપણે હવે મળવું નથી… – જગદીશ જોષી

વાતને રસ્તે વળવું નથી,
આપણે હવે મળવું નથી…

આપણો મારગ એકલવાયો,
આપણે આપણો તડકો-છાંયો,
ઊગવું નથી, ઢળવું નથી,
આપણે હવે મળવું નથી…

હોઠથી હવે એક ના હરફ,
આંખમાં હવે જામતો બરફ,
અમથા અમથા ગળવું નથી,
આપણે હવે મળવું નથી…

– જગદીશ જોષી

મર્મસ્થાને ઘા થાય ત્યારે હ્ર્દય ફરિયાદ કરવી મુનાસીબ નથી સમજતું , હ્ર્દય આઘું ચાલ્યું જવાનું પસંદ કરે છે….

Comments (3)

વિષમભોગ… – જગદીશ જોષી

…તો વાતો પ્રેમની વાતો તો પ્રેમની વાતો વ્હેમની તો
ને આરસના સિંહે ત્રાડ પાડી ને રૂનું કબૂતર ઊડી ગયું.
ચોકીપ્હેરો ભરતી શયનખંડની ચાર દીવાલો ખૂબ પાસે આવી
અને બે પલંગ પરની પથારીઓ એક થઈ ગઈ.
ઓશીકા પર ફેલાયેલા વાળમાં ઍરકન્ડીશનરનો અવાજ ગૂંચવાઈ ગયો,
અને મીંચાયેલી આંખોએ હોઠ પરની વાતો સાંભળીને પરિતૃપ્તિ પામ્યાનો પ્રયત્ન કર્યો.
લગ્નજીવનનાં વીતી ગયેલાં વર્ષો કબાટમાં સૂટ અને સાડી થઈને લટકે છે.
સવારે ના’વા જાઉં છું ત્યારે બાથરૂમમાં હું પહોંચું એ પહેલાં જ મારો ટુવાલ પહોંચી જાય છે,
અને નાહીને ભીનો થયેલો હું નક્કી નથી કરી શકતો કે એમાં routine છે કે પ્રેમ…
મારાં બૂટ, મોજાં, ટાઈ, રૂમાલ –ની જેમ હું વ્યવસ્થિત રીતે કેમ નહીં ગોઠવાતો હોઉં ?
શયનખડની બત્તી બુઝાઈ જાય છે, હું પડખું ફરી જાઉં છું :
અને હવે તો સપનાંઓ પણ આવતાં નથી.

– જગદીશ જોષી

લગ્ન પછી થોડાં વર્ષ તો જીવન બહુ મજાનું લાગે છે પણ પછી સમયના ભેજના હાથે એને કટાતાંય બહુ વાર નથી લાગતી. પ્રેમની વાતો ધીમે ધીમે વ્હેમની વાતો બની જાય છે. પુરુષ આમ આરસ જેવો ઠંડો પણ આમ સિંહની જેમ ત્રાડવાનું ચૂકતો નથી. નરમ હૃદય સ્ત્રીની અંદરનું ભોળું પારેવડું પણ ક્યાંક ઊડી જાય છે. બે શરીર તો ભેગાં થાય છે પણ સમ્-ભોગ વિષમ-ભોગ બનીને રહી જાય છે. ચરમસીમાની પરિતૃપ્તિની પણ કલ્પના કરવાની રહે છે. જીવન એક routine બનીને રહી જાય છે. ચાવી દીધેલા પૂતળાંની જેમ સ્ત્રી સ્ત્રીની અને પુરુષ પુરુષની ફરજ બજાવ્યે રાખે છે. પોતાના અસ્તિઓત્વ અંગે પ્રશ્ન થાય અને પ્રેમનાં સ્વપ્નો પણ આંખમાંથી ગાયબ થઈ જાય ત્યારે પડખું ફરીને પસાં ઘસવાથી વિશેષ જીવનમાં કંઈ બચતું નથી. જગદીશ જોષીની આ રચના સાથે પ્રગટપણે સહમત થવામાં તો આપણામાંના મોટાભાગનાંનો અહમ્ ઘવાય પણ અંદરખાનેથી આપણે સહુ જાણીએ છીએ કે કવિએ લગભગ સાર્વત્રિક સત્ય જ ઉચ્ચાર્યું છે…

Comments (2)

અછાંદસોત્સવ: ૦૫ : હું તને પ્રેમ કરું છું – અનામી [અંગ્રેજી] – અનુવાદ: જગદીશ જોષી

હું તને પ્રેમ કરું છું માત્ર એટલા માટે નહીં કે તું તું છે,
પણ તારી સાથે હોઉં ત્યારે હું જે હોઉં છું એટલા માટે

હું તને પ્રેમ કરું છું તેં તારી જાતને જે રીતે આકારી છે
એટલા માટે જ નહીં, પણ તું મને જેવો ઘડ્યા કરે છે
એટલા માટે પણ.

હું તને એટલા માટે પ્રેમ કરું છું કે મને એક અચ્છો જીવ બનાવવા માટે
કોઈ પણ સંપ્રદાય જે કંઈ કરી શક્યો હોત એના કરતાં અને
મને સુખી કરવા માટે કોઈ પણ વિધાતા જે કંઈ કરી શકી હોત એના કરતાં
તેં મારા માટે વધારે કર્યું છે.

તું આ સાધે છે તે પોતાપણું જાળવીને જ.
અંતે તો,
મિત્ર બનવાનો મરમ જ કદાચ આ છે.

– અનામી [અંગ્રેજી]
– અનુવાદ: જગદીશ જોષી

કવિશ્રીના જ શબ્દોમાં – ” મને તો આ કૃતિ નખશિખ ગમે છે કારણ કે એમાં સચ્ચાઈનો રણકો છે. સાદગીની શોભા છે અને વહાલની વેધકતા છે. એક જ વાક્યમાં કહીએ તો એ મૈત્રીનું ઉપનિષદ છે. ”

વધુ કશું બોલવું જરૂરી નથી – હા, માત્ર અલ્પ ફેરફાર કરીએ તો આ જ વાત પ્રેમ અને લગ્ન [સાચા અર્થમાં લગ્ન – બે હૈયાનું આધ્યાત્મિક અને દૈહિક ઐક્ય]ને પણ સચોટ લાગુ પડે છે……

Comments (5)

કેમ કરીને – જગદીશ જોષી

આટલા બધા સંબંધ : એને કેમ કરીને રાખું ?
શબરીની જેમ એક પછી એક બોરને જાણે ચાખું !

નહિ જાણું હું કઈ ઘડીએ આવશે છેવટ રામ
રાતાં રાતાં બોરની પાછળ ધબકે કોનું નામ ?

પહેલાં મને રામજી, ચાખો : લાગણી મારી લીલી
ઝૂંપડીની આસપાસમાં જુઓ, વાડી કેવી ખીલી !

રામજી ! આ તો તારી વાડી, ખીલ્યાં તારાં ઝાડ
બોરના કરું ઢગલા જાણી ફૂલના મ્હેકે પ્હાડ.

પ્હાડની પડખે રામજી ! તમે નદી થઈને વહો
લયનો દીવો તરતો તરતો કોઈ કિનારો લહો !

– જગદીશ જોષી

એક તરફ શબરીને શબ્દાંકિત કરીને કવિ સહજતાથી માનવસંબંધોની વાત કરે છે અને સાથોસાથ જ માનવસંબંધોના ચિત્રણ વડે શબરીની પ્રતીક્ષાને પણ ઉજાગર કરે છે. નાનાવિધ સંબંધો તાણાવાણાની જેમ આપણા જીવતરના વસ્ત્રમાં વણાયેલા છે. પણ આ સંબંધોને આપણે ઉપરછલ્લા મૂલવવાના કે માણવા-જાણવાના નથી. શબરી એક-એક બોર ચાખતી હતી… એ દરેક બોરની સાથે એની અપાર રામભક્તિ અને અસીમ પ્રતીક્ષા સંકળાયેલ હતી. આપણે આપણા સંબંધોને આ પ્રમાણે મૂલવશું તો જ દરેક સંબંધમાં છૂપાયેલ ઈશ્વરનો સાક્ષાત્કાર શક્ય છે.

Comments (5)

આણ છે – જગદીશ જોષી

કોઈના અણસારે તમે દૂર જઈ બેઠાં
હવે પાસે આવો તો મારી આણ છે :
તમને તો ઠીક, જાણે છબછબિયાં વહેણમાં,
પણ ઊંડા વમળાય તે આ પ્રાણ છે.

કોઈના હલેસાંથી વ્હેણ ના કપાય,નહીં
માપ્યાં મપાય વેણ પ્યારનાં :
દરિયાને નાથવાની લાયમાં ને લાયમાં,
કાંઠા તણાઈ ગયા ક્યારના
સઢના લીરા થી હવે બાંધી છો નાવ,એની
વાયરાને થોડી તો જાણ છે !

લીલીછમ વાડીમાં ગોફણનાં ઘાવ હવે
ઠાલા, હોંકારા હવે ઠાલા,
પંખી તો ટાઢકથી ચૂગે છે, આમ તેમ
ઊડે છે ચાડીયા નમાલા :
વેલાને તાણો તો સમજીને તાણજો, કે
આસપાસ થડનીયે તાણ છે !

– જગદીશ જોષી

તદ્દન મૌલિક કલ્પનો એક અલગ જ ભાત પડે છે. આખું કાવ્ય એકવાર વાંચતા ખુલતું નથી. વક્રોક્તિઓ ભારોભાર છે. સંબંધમાં ક્યાંક એક સૂક્ષ્મ ગાંઠ પડી છે અને અત્યંત સંવેદનશીલ પ્રેમી એનાથી અનભિજ્ઞ નથી. એ ફરિયાદ નથી કરતો, માત્ર જાણે કે એક હળવી, કોમળ ચેતવણી આપે છે, મૃદુ ઉપાલંભ આપે છે…. કાવ્યસર્જનને એક નવું શિખર સાંપડે છે.

Comments (4)

અદીઠો પહાડ – જગદીશ જોષી

યાતનાનાં બારણાંને કીધાં મેં બંધ
અને ઉઘાડી એક એક બારી
જાગીને જોઉં છું તો વહેલા પ્રભાતે
કેવી કિરણોની ઝારે ફૂલ-ઝારી !

આંગણાની બ્હાર એક ઊભું છે ઝાડ
એની ડાળ ઉપર પાંદડાંનાં પંખી
ઝાડના આ લીલા તળાવણા તળિયે તો
ભૂરું આકાશ ગયું જંપી !
વ્હૈ જાતી લ્હેરખીએ બાંધ્યો હિંડોળો
એને તારલાથી દીધો શણગારી.

ક્યાંકથી અદીઠો એક પ્રગટ્યો છે પહાડ
એની પછવાડે જોઉં એક દેરી
તુલસીના ક્યારાની જેમ મારા મનને હું
રાત-દિવસ રહું છું ઉછેરી :
રાધાનાં ઝાંઝરને વાંસરીના સૂર રોજ
જોયા કરે છે ધારી-ધારી.

– જગદીશ જોષી

જગદીશભાઈની આ typical શૈલી છે. તેઓ અર્થગંભીર વાતને પ્રકૃતિના સુંદર આલેખન સાથે વણી લે છે. ઘણીવાર આખા કાવ્યમાંથી એક સૂર ન નીકળતો હોય એવું લાગે પરંતુ એ જ તેઓની શૈલી છે. ઘણીવાર આખું કાવ્ય સ્વગતોક્તિ જેવું હોય !

પ્રસ્તુત કાવ્યમાં એક મીઠા ઝૂરાપાને પ્રકૃતિનો શણગાર રચીને મઢાયો છે.

Comments (2)

ખટકો – જગદીશ જોષી

એવી વેદનાનો ખટકો લઇ જીવું
કે જીવવા જેવી નથી આ મારી જિન્દગી.

ખીલેલા ફૂલની પાછળથી જોઇ શકો
સુક્કો આ ડાળખીનો દેહ ?
પાલખી આ આજ ભલે ઊંચકાતી :
ક્યાંક મારી ભડભડતી દેખું છું ચેહ !….
હું તો આંસુથી આયખાને સીવું
કે જીવવા જેવી નથી આ મારી જિન્દગી.

ઝળહળતી રોશનીની ભીતર ઝૂરે છે
મારૂં અંધારૂં એકલું અનાથ:
મારાં અંધારાંમાં દીવા પ્રગટાવે
એવો ઝંખું છું એનો સંગાથ
મારે પોપચાંમાં પ્હાડ લઇ સૂવું
કે જીવવા જેવી નથી આ મારી જિન્દગી.

– જગદીશ જોષી

નિષ્ફળ પ્રેમ એટલે શું ? તેમાં વેદનાનું ઉદગમસ્થાન કયું ? અહંકાર ઘવાય તે – હાર સ્વીકારી ન શકાય તે ? હાંસી ઊડે તે ? પોતાની ન્યૂનતા નગ્ન થઈને સામે ઊભી રહી જાય તે ? જે ચીજ અપ્રાપ્ય લાગે તે માટે નો તલસાટ અનેકગણો થઇ જાય એવું મનોવૈજ્ઞાનિકો કહે છે તે ? અસંખ્ય સ્વપ્નોની લાશ લઇને જીવવું પડે તે ? આ સઘળી વેદના છતાં વ્યવહાર નિભાવવો પડે તે ?

મને એવું લાગે છે કે વ્યક્તિની પ્રજ્ઞા અને સંવેદનશીલતા અનુસાર ઉત્તર ભિન્ન હોઈ શકે. હ્રદય ધબકતું તો રહે, પણ પ્રત્યેક ધબકારા સાથે કોઈને ઝંખતું રહે…..ઝૂરતું રહે…..

કદાચ ગુલઝારસાહેબે બહુ ખૂબીપૂર્વક જવાબ આપ્યો છે – ‘ તેરે બીના ઝીંદગી સે શિકવા તો નહીં, તેરે બીના ઝીંદગી ભી લેકિન ઝીંદગી તો નહીં……’

Comments (4)

અરે, કોઈ તો….. – જગદીશ જોષી

હું એકાગ્ર ચિત્તે વાંચું છું.

સામેની બારીનો રેડિયો
મારા કાનમાં કંઈક ગર્જે છે.
દીવાલ પરનું ઈલેકિટ્રક ઘડિયાળ
વર્તમાન સાથે ઘસાતું ચાલે છે.
ટ્યૂબલાઈટનું સ્ટાર્ટર
તમરાંનું ટોળું થૈ કણસ્યા કરે છે.
ઉઘાડા પડેલા દરવાજાની ઘંટી
ડચકાં ભરતી રણકે છે.
ઘરનો નોકર દૂધવાળા જોડે
અફવાઓની આપલે કરે છે.
પડોશણનો અપરિચિત ચહેરો
કૂથલીના ડાયલ ફેરવે છે.
રસ્તા પરનો નાહકનો ઝઘડો
બારી વાટે મારા ઘરમાં પ્રવેશે છે.

ઓચિંતો ફ્યૂઝ જતાં, લાઈટ
અંધારું થઈને પથરાઈ જાય છે.
મારો આખો માળો અંધારો ધબ…

નીચલે માળથી વ્યાસ બૂમ પાડે છે:

‘‘કાલિદાસ! તુકારામ! અલ્યા નરસિંહ ! અરે, કોઈ તો
ઈલેક્ટ્રિશ્યનને બોલાવો !”
બાજુવાળાં મીરાંબહેન સ્વસ્થ અવાજે કહે છે:
” અરે, ગિરિધર ! સાંભળે છે કે,-
પહેલાં મીણબત્તી તો લાવ…”

અને-
મારી ચાલીમાં
મારા માળામાં
મારા ઘરમાં
મારા દેશમાં
મીણબત્તીની શોધાશોધ ચાલે છે…

-જગદીશ જોષી

પ્રત્યેક પંક્તિમાં સૂચિતાર્થો છે. પ્રત્યેક નામમાં પણ ગુહ્યાર્થ ભર્યા છે. ફ્યૂઝ જતાં લાઈટ અંધારું થઈને પથરાઈ જાય છે……. – અદભૂત satire…..

ગંભીર વ્યંગ છે. ડંખીલો કે મારકણો વ્યંગ નથી. વિચારતા કરી દે એવો વ્યંગ છે. વાત માત્ર કવિના દેશને લાગુ પડતી નથી. સમગ્ર વિશ્વને સુપેરે લાગુ પડે છે. મીણબત્તી એટલે જેને બુદ્ધ ‘સમ્યક દર્શન’ કહે છે તેવી unbiased અને free દ્રષ્ટિ. દુનિયાના સૌથી કઠીન કામોમાંનું એક કામ છે – સ્વતંત્ર વિચાર કરવો. માનવજાત કોઈને કોઈ ઓઠા હેઠળ આ કામને ચતુરાઈપૂર્વક ટાળતી આવી છે.

Comments (12)

ખોવાયું ગીત – જગદીશ જોષી

શબ્દોના નીડમાં ખોવાયું ગીત
હવે મારે એકાંત એને ખોળું;
માણસની ભીડમાં ખોવાયું સ્મીત
હવે આંસુમાં કેમ કરી ખોળું !

કોઇ દિવસ સાંભળ્યું કે ફૂલોના બાગમાં
રઝળે છે સૂનમુન સુગંધ !
કોઇ દિવસ સાંભળ્યું કે વાદળના કાફલાને
હૈયે ના જળનો ઉમંગ !
આ તે અભાગિયાની રીત કે બાવળના
કાંટે પતંગિયાનું ટોળું !

પાસે બોલાવીને પૂછશો નહીં કે મારા
લયની ઘૂઘરીઓ કેમ ટૂટી !
રસ્તામાં ક્યાં ? કેમ ? છૂટ્યો છે હાથ
બંધ પોપચામાં વેદનાને ઘૂંટી !
રેતીમાં ક્યાંય નથી ચરણો અંકિત હવે
શમણાંના દરિયાને ઢહોળું !

– જગદીશ જોષી

કેટલા નાજુક શબ્દોથી ફરિયાદ રચી છે !!! એક અંગત સૂક્ષ્મ વિચ્છેદને કેવી સંવેદનશીલતાથી કંડાર્યો છે !!

Comments (3)

વિદાય ? – જગદીશ જોષી

આંગળીએ ફરકી કહ્યું ‘આવજો’ ને તોય અહીં આંસુ કેમ ટપક્યું રે આંખથી ?
હોઠેથી ચપટું એક ખરી ગયું સ્મિત અને અમળાયું મૌન મારા શ્વાસથી !

પારેવાની પાંખ પરે અક્ષર આંકીને આછો
સંદેશો કહાવે તણખલું ;
એકાંતે અટવાતું સાંભળે ન તાડ, છતાં
આભ શાને છ્ળતું આછકલું….
પાદરની પરસાળે બેસીને મોરલો ચીતરતો ટોડલાને ચાંચથી ;
આંગળીએ ફરકી કહ્યું ‘આવજો’ ને તોય અહીં આંસુ કેમ ટપક્યું રે આખથી ?

ભીની આ લ્હેરખીને વીંધીને વહી ગઈ
ફૂલોની ફોરમતી ચેતના ;
કોકિલના કંઠે કાં વ્હેતી મૂકી છે આજ
વણસેલી વાંસતી વેદના ?
લીમડાની ડાળીઓની વચ્ચેથી મોગરાનું ખરતું મેં ફૂલ જોયું ક્યાંકથી !
આંગળીએ ફરકી કહ્યું ‘આવજો’ ને તોય અહીં આંસુ કેમ ટપક્યું રે આંખથી ?

– જગદીશ જોષી

વિરહી હૈયાને પ્રકૃતિની તમામ લીલા પોતાની વેદનાને ઘેરી કરતી જ ભાસે છે….. એની આંખના મહીંનાં આંસુ મેઘધનુષ્ય તો નથી જ રચી શકતા, એટલું જ નહીં પણ રચાયેલું મેઘધનુષ્ય એને દ્રષ્ટિગોચર પણ નથી થવા દેતા…

Comments (3)

ઇન્દ્રિયોપનિષદ – જગદીશ જોષી

આદિમાનવને જ્યારે ભાષા નહોતી ફૂટી
ત્યારે એ કેટલો બધો સુખી હશે !
શબ્દો સ્પર્શને બુઠ્ઠો કરી મૂકે છે.

– જગદીશ જોષી

કવિની એક લાંબી-લચક કવિતામાંથી માત્ર ત્રણ જ પંક્તિઓ આજે આપ સહુ માટે…

ત્રણ જ પંક્તિમાં સંબંધનો મહાવેદ જાણે !

Comments (10)

થાક ! – જગદીશ જોષી

હવે,
સપનાંને લાગે છે આછેરો થાક !
મારાં સપનાંઓ કેમ નહીં જંપો જરાક ?

પાંખ રે ખોલી ને ત્યાં તો આભ રે અલોપ:
આંખો ખોલ્યાનો આ તો કેવો રે કોપ !
નહીં પાછા ફરવાનો મળે કયાંય રે વળાંક
હવે, સપનાંને લાગે છે આછેરો થાક !

રેતી પર ટળવળતી માછલીઓ જેમ
કૂણાં સપનાંઓ આજ લગી આળોટ્યાં કેમ ?
દરિયો આ ઘૂઘવે ને કાંઠા અવાક !
હવે, સપનાંને લાગે છે આછેરો થાક !

– જગદીશ જોષી

આ કવિના ગીતોમાં જે માધુર્ય છે તે અદ્વિતીય છે…….

Comments (5)

પાગલ – જગદીશ જોષી

અમને પાગલને પાગલ કહી વારો નહીં,
આમ બીડેલા હોઠે પુકારો નહી.

બારી ખોલો ને કરો બારણા તો બંધ
છલકાય નહીં એ તો કેવો ઉમંગ
માટીમાં મ્હેક છે, માટીમાં મ્હેક છે..
તારો (?) નહીં રે…

જળની આ માયા મેં છોડી નહીં
અમને આપ્યા હલેસા પણ હોડી નહીં
હું તો મારો નહી, હું તો મારો નહી..
ને હું તો તારો નહીં રે

અમને પાગલને પાગલ કહી વારો નહીં,
આમ બીડેલા હોઠે પુકારો નહી.

-જગદીશ જોષી

કેવા કોમળ શબ્દોથી કેટલી નાજુક ફરિયાદ કરી છે !!

Comments (1)

તને પ્રેમ કરું છું – જગદીશ જોષી

કહી ન શકાય એટલો તને પ્રેમ કરું છું
સહી ન શકાય એટલો તને પ્રેમ કરું છું

આકાશ હવે આવડું અમથું નાનકું લાગે
ધરતી હવે જાણે કે પરમાણું લાગે
મન આ મારું ક્યારેક તો ઉખાણું લાગે
સહી ન શકાય એટલો તને પ્રેમ કરું છું

કેટલાંયે આ શબ્દો જાણે તરણાં જેવાં
આવરું બહાવરું દોડતાં જાણે હરણાં જેંવાં
પહાડથી જાણે દડતાં ઝીણાં ઝરણાં જેવાં
વહી ના શકાય એટલો તને પ્રેમ કરું છું

ખડક થાઉં તોયે હવે તો તારા વિના
રહી ન શકાય એટલો તને પ્રેમ કરું છું .

– જગદીશ જોષી

Comments (7)

કુવામાં વાંસ વાંસ પાણી – જગદીશ જોષી

કુવામાં વાંસ વાંસ પાણી
ને તો ય કોરી નજરું લઇ એમ વળી જાશું
આવ્યું, પણ આવીને અટક્યું રે આંખમાં
સૂની આ સાંજ સમું આંસુ

ઘેરાતી સાંજના તમને સોગંદ
હવે વાદળાઓ વીખેરી નાખો
જળમાં આ પંખીનો છાંયો પડે
ને તોય પંખીની થાય ભીની આંખો

છૂટા પડેલા આ ટહુકાના પીંછામાં
અંકાશી ગીત કેમ ગાશું
તો ય કોરી નજરું લઇ એમ વળી જાશું

નહીં આવો તો યે આશ તો ઉજાસની
પણ જાશો તો ઘેરો અંધાર
ઝાલરનું ટાણું ને ગાયો ઉભરાઇ
એની આંખોમાં ડંખે ઓથાર

ચૈતરનો વાયરો વાવડ પૂછે છે
કે ક્યારે અહીં વરસે ચોમાસું

કુવામાં વાંસ વાંસ પાણી
ને તો ય કોરી નજરું લઇ એમ વળી જાશું
આવ્યું, પણ આવીને અટક્યું રે આંખમાં
સૂની આ સાંજ સમું આંસુ

– જગદીશ જોષી

ધીમે ધીમે બે-ત્રણ વાર વાંચતા આ કાવ્ય એક જબરદસ્ત ઘેરું વિષાદ-વિશ્વ નિષ્પન્ન કરે છે…. સૂની સાંજે આપણે કૂવા-કાંઠે ઊભા હોઈએ એ કલ્પન સાથે આ ગીત ખૂબ ધીમેથી વાંચી જુઓ….

Comments (7)

ઘર-બંદર – લિન શિલ્ડર – અનુ. જગદીશ જોષી

અમારા સંબંધ માટે લોકોને કૌતુક છે.
લોકોનું કહેવું છે-તેઓ માને છે-કે સંબંધ સુંવાળો હશે.
હું પણ માનું છું સુંવાળો છે,
જોકે જાણવું મુશ્કેલ છે,ક્યારેય મેં એ રીતે
વિચાર્યું નથી.

કેન્ડલલાઈટમાં ડીનર
અને ફક્કડ શરાબથી
કામ ચાલે છે
પણ,
નાંગરવા વિશે, ને
મારાં મૂળિયાં ઊખડી ન જવા પામે એ વિશે
બેફિકર થવા
મારે ક્યારેક ક્યારેક
મથામણ તો કરવી જ પડે છે.

-લિન શિલ્ડર – અનુ. જગદીશ જોષી

બહુ જ સૂક્ષ્મ ઈશારો છે…. ધ્યાનપૂર્વક બે-ત્રણ વાર વાંચતા તે સમજાય છે…. નાયિકા સ્વ ને છોડવા નથી માંગતી…. પણ તે તેનું conscious decision છે. આ નિર્ણયને વળગી રહેતા તે પ્રેમની મસ્તી માણી નથી શકતી. સ્વ ને છોડવાની કોશિશ કરવી પડે છે,સહજ રીતે તે છૂટતું નથી ….અર્થાત સંબંધ હજુ તે ઊંડાણ સુધી પહોચ્યા નથી . હજુ તે કેન્ડલ લાઈટ ડીનર અને ફક્કડ શરાબના સ્તર ઉપર જ છે.

Comments (4)

– ભૂલ -જગદીશ જોષી

પાણી-કઠ્ઠણ દરિયો ને આ સુવાસ-કઠ્ઠણ ફૂલ :
પ્રેમથી કઠ્ઠણ થઈ ગયું છે જીવન જાણે ભૂલ !

અરસપરસની વાત : રાત તો દીવાલ પરનો રંગ,
દીવાલ પાછળ ઝૂરી રહે છે જીવ બનીને તંગ
કુરુક્ષેત્ર પર વાવી દીધું આખુંયે ગોકુળ :
પાણી-કઠ્ઠણ દરિયો ને આ સુવાસ-કઠ્ઠણ ફૂલ.

હોઠે ભમતાં ગીતની પાછળ અવળાસવળા સૂર,
આગળ પાછળ પાગલ પગલાં : પ્રાણ વહે છે દૂર;
સરવર, તારા તળિયે જોને ધૂળ,ધૂળ ને ધૂળ !
પાણી-કઠ્ઠણ દરિયો ને આ સુવાસ-કઠ્ઠણ ફૂલ.

-જગદીશ જોષી

પહેલી પંક્તિ જ સોંસરવી ઉતરી ગઈ….. એક અકથ્ય વેદનાનું કાવ્ય છે……વ્યક્તિ સ્વ-ભાવ ગુમાવી બેઠી છે કે પ્રકૃતિ ? જેવી દ્રષ્ટિ તેવી સૃષ્ટિ…..

Comments (7)

પહેલું પગલું – ગેવિન એવર્ટ -અનુ- જગદીશ જોષી

જગતના આ વિશાળ કીડિયારામાં
એક નાનકડી કીડી કૈંક જુદી રીતે વિચારે છે.

મહાનગરના ઘુરકિયાળા ટ્રાફિકમાં
એક નાનકડી ફેમિલી કાર’ દીવાઓનો ભુક્કો બોલાવી દે છે.

ખાસ સીવેલા રૂઢિચૂસ્ત કોટ-પાટલૂનની ભીતર
એક હૈયું ઉઘાડો લય ધબકે છે.

કમરાના કદના રંગીન ફુગ્ગાની જેમ
એક માણસ ધરમને ફાટી જાય ત્યાં સુધી ફુલાવે છે.

કીર્તિની ઝળહળતી યુદ્ધપતાકામાં
કોઈક ક્યાંક ટેભા તોડવા શરૂ કરે છે.

– ગેવિન એવર્ટ -અનુ- જગદીશ જોષી

પ્રથમ પંક્તિમાં એક ક્રાંતિકારી આત્માની વાત છે જે કૈક જુદું વિચારે છે- પણ ત્યાં અટકી જાય છે. માત્ર જુદું વિચારે જ છે. આચરણ વિષે અધ્યાહાર સેવાયો છે. ટ્રાફિકને નિયંત્રિત કરતા દીવાઓ એટલે સમાજના કાયદા-કાનૂન રૂપી જડ બંધનો. કોઈક એને તોડી-ફોડી નાખે છે-ક્યાંક એક મુક્ત હૃદય ધબકે છે… ધર્મ વિષે બહુ ચોટદાર વ્યંગ છે – એક પશ્ચિમી લેખકે પૂર્વમાં અસંખ્ય દેવી-દેવતાઓની કરતી પૂજા માટે કટાક્ષ કર્યો હતો કે તમને એક ઈશ્વરમાં વિશ્વાસ નથી એટલે અનેક સર્જી કાઢ્યા છે ! અંતિમ પંક્તિમાં ભૌતિક સફળતાઓની નિરર્થકતા સમજાયા બાદની માનવીની નવા પથ ઉપરના માંડવામાં આવતા પહેલા કદમની વાત છે. દસ જ લીટીના આ નાનકડા કાવ્યમાં શબ્દે શબ્દે વિદ્રોહ નીતરે છે. ક્યારેક તો સૌ કોઈએ પહેલું પગલું ભરવાનું જ છે….

Comments (7)

અ-પ્રતિભાવ – જગદીશ જોષી

તારા ખોબામાં પારિજાત હશે
એમ માની હું પાસે આવ્યો.
પણ તારા ખાલી ખોબામાં
ઝાકળના બિંદુનોય કંપ નહોતો.

થોર જેવી તારી હથેલીમાં
સ્પર્શનું પંખી ટહુકવાનું ભૂલીને
સૂનમૂન પડ્યું હતું.

તારી કનેથી
પાછો વળી જોઉં છું તો
મારી એકલતાનું વૃક્ષ
પારિજાત ઝરે છે.

-જગદીશ જોષી

જે અંતરમાં નથી, તે ક્યાંય નથી…..

Comments (3)

-મળશે ત્યારે – જગદીશ જોષી

તમને ટપાલમાં કાગળ નહીં,
ફૂલો મોકલવાનું મન થાય છે.
અને….જયારે તમને ફૂલો મળશે
ત્યારે એ કરમાઈ ગયાં હશે…..
અત્યારે
તમારા વિનાની
મારી સાંજની જેમ.

– જગદીશ જોષી

Comments (8)

પથ્થર – ફૂયુહિકા કિટાગાવા – અનુ. જગદીશ જોષી

પથ્થર ઠંડોગાર છે;
એ ખરબચડો,ખૂણાળો અને કઠોર.

પણ નદીના વ્હેણમાં
એણે ગોળ થયે જ છૂટકો,
વહી જાતાં વર્ષોમાં
બીજાઓ સાથે અથડાતાં-કુટાતાં,
એવું નથી કે પથ્થરને ઉષ્માળો ન જ હોય.
તમે જો એને હૃદયને ગજવે-છાતીસરસો-રાખો તો
તે હૂંફાળો થશે જ, થશે.

માત્ર એટલું જ, કે એની ટાઢીબોળ જડતાને ખંખેરવા મથતાં
તમારે ધરપત રાખવી પડે.

-ફૂયુહિકા કિટાગાવા [ જાપાન ]

Comments (6)

આપણી જ વાત – જગદીશ જોષી

વાતને ઝરૂખે એક ઝૂરે છે લાગણી
…..આપણી !

એક એક પળ હવે પીગળીને પ્હાડ થાય
આપણી જ વાત હવે આપણી જ વાડ થાય
વાયરાને સંગ તોયે રાતરાણી એકલી
એકલી ઝૂરે છે અભાગણી.

હોઠો આ શબ્દોના પડછાયા પાથરે
સમણાંએ લંબાવ્યું આંખોને સાથરે
આગિયાની પાંખ પરે બેઠો સૂરજ : એની
રગરગમાં મારગની માગણી.

– જગદીશ જોષી

કોઈ શબ્દો જડતા જ નથી આ કાવ્યની ટિપ્પણ લખવા માટે……..

Comments (1)

એકલતા – જગદીશ જોષી

એકલતા હોય છે બરફ જેવી

નહીં બોલાયેલા હરફ જેવી
તમે જેવું રાખો છો વર્તન
                                       – મારા તરફ
                                             – એના જેવી
એકલતા –
મને પૂછશો નહીં એકલતાનો અર્થ :
અર્થ તો શબ્દને હોય છે….
….મારે માટે તમે શબ્દ નથી
મારે માટે તમે છો
                તમે નહીં બોલાયેલો હરફ
એકલતા હંમેશા હોય છે-
                                     …..બરફ.
મારી પળેપળનાં દહન, વમળનાં વન… એકલતા !
.
 – જગદીશ જોષી
.
 .
અહીં aloneness ની વાત નથી, lonliness ની વાત છે.

Comments (9)

વિસ્મય – જગદીશ જોષી

આ તો બીજમાંથી ફૂટી છે ડાળ
કે એક એક પાંદડીમાં પ્રગટ્યું પાતાળ !

આખુંય આભ મારી આંખોમાં જાગે
લઈ પંખીના સૂરની સુવાસ:
તૃણતૃણમાં ફરકે છે પીંછાનો સ્પર્શ, અહીં
ઝાકળનો ભીનો ઉજાસ.
એક એક બિંદુમાં સમદરની ફાળ:
કે એક એક પાંદડીમાં પ્રગટ્યું પાતાળ !

સળવળતી કળીઓમાં રાધાની વેદના
ને ખીલેલાં ફૂલોમાં છે શ્યામ:
ડાળીએથી ડોકાતા તડકામાં જોઈ લીધી
ક્યાંક મારી લાગણી લલામ.
પળપળનાં પોપચાંમાં મરકે ત્રિકાળ:
કે એક એક પાંદડીમાં પ્રગટ્યું પાતાળ.

– જગદીશ જોષી

અસ્તિત્વનો ઓચ્છવ……બિંદુ એ જ સિંધુ અને સિંધુ એ જ બિંદુ….

Comments (10)

અહીં હું આ કરી રહ્યો છું – લિયોનાર્ડ કોહેન (અનુ. જગદીશ જોષી)

દુનિયાએ જુઠાણું હાંક્યું હોય તો મને ખબર નથી
મેં હાંક્યું છે
દુનિયાએ પ્રેમ સામે કાવતરાં કર્યાં હોય તો મને ખબર નથી
મેં કાવતરાં કર્યાં છે
જુલ્મના વાતાવરણમાં ચેન ક્યાંય નથી
મેં જુલ્મો કર્યાં છે
વાદળના ખીચોખીચ ખડકલા વગર પણ
મેં તો ધિક્કાર કર્યો જ હોત.

સાંભળી લ્યો:
મૃત્યુ જેવું કંઈ ન હોત તો પણ
મેં તો જે કૈં કર્યું… એ જ કર્યું હોત
કોઈ દારૂડિયાની માફક
હકીકતના ઠંડા નળ નીચે
મને નહીં રાખી શકો
એ સર્વસામાન્ય બહાનું મને ખપતું નથી.

રાત્રે પસાર કરી ગયેલા ખાલી ટેલિફોન-બૂથની જેમ,
સિને-ગૃહમાંથી બહાર નીકળતાં-નીકળતાં સંતલસ કરી લેવા માટે,
છેક છેલ્લી પળે યાદ આવી જતાં લૉબીના અરીસાઓ જેમ,
સેંકડોને વિચિત્ર બંધુભાવે સાંકળતી કોઈ નિમ્ફોમેનિઍકની જેમ,
હું પ્રતીક્ષા કરી રહ્યો છું –
તમારામાંનો પ્રત્યેક… એકરાર કરે તેની.

– લ્યૉનાર્ડ કોહેન (કેનેડા)
(અનુ. જગદીશ જોષી)

*

પહેલો પથ્થર એ મારે જેણે પાપ ન કર્યું હોય…

*

What I’m doing here

I do not know if the world has lied
I have lied
I do not know if the world has conspired against love
I have conspired against love
The atmosphere of torture is no comfort
I have tortured
Even without the mushroom cloud
still I would have hated
Listen
I would have done the same things
even if there were no death
I will not be held like a drunkard
under the cold tap of facts
I refuse the universal alibi

Like an empty telephone booth passed at night
and remembered
like mirrors in a movie palace lobby consulted
only on the way out
like a nymphomaniac who binds a thousand
into strange brotherhood
I wait
for each one of you to confess

Comments (5)

હે, મિત્ર ! – અનામી – અનુ.જગદીશ જોષી

હું તને પ્રેમ કરું છું માત્ર એટલા માટે નહીં કે તું તું છે,
પણ તારી સાથે હોઉં ત્યારે હું જે હોઉં છું એટલા માટે પણ.
હું તને પ્રેમ કરું છું તેં તારી જાતને જે રીતે આકારી છે
એટલા માટે જ નહીં, પણ તું મને જેવો ઘડ્યા કરે છે
એટલા માટે પણ.

હું તને એટલા માટે પ્રેમ કરું છું કે મને એક અચ્છો જીવ બનાવવા માટે
કોઈ પણ સંપ્રદાય જે કંઈ કરી શક્યો હોત એના કરતાં અને
મને સુખી કરવા માટે કોઈ પણ વિધાતા જે કંઈ કરી શકી હોત એના કરતાં
તેં મારા માટે વધારે કર્યું છે.

તું આ સાધે છે તે પોતાપણું જાળવીને જ.
અંતે તો,
મિત્ર બનવાનો મરમ જ કદાચ આ છે.

અંગત રીતે ઈશ્વરે મારા પર એટલી કૃપા અવશ્ય કરી છે કે હું કાવ્યને મારી પોતાની લાગણીઓની અભિવ્યક્તિ માની શકું તેવા ચંદ મિત્રો એણે મને આપ્યા છે…..

Comments (7)

અનુભૂતિ-જગદીશ જોષી

પાંદડી તે પી પી ને કેટલું રે પીશે
કે મૂળિયાંને પાડવાનો શોષ ?
આભ જેવા આભને હૈયામાં હોય કદી
જળના વરસ્યાનો અફસોસ ?

એક પછી એક મોજાં આવે ને જાય
એને કાંઠે બેસીને કોણ ગણતું ?
વાદળના કાફલાનું ગીત અહીં લ્હેરખીમાં
રેશમનો સૂર રહે વણતું;
ઉઘાડી આંખે આ જાગતા ઉજાગરાને
આઘાં પરોઢ આઠ કોશ !

નીંદરતી આંખમહીં ઊમટીને ઊભરાતું
જાગે છે સપનાંનું ટોળું,
કિરણોની એક એક કાંકરીઓ નાખીને
જંપ્યું તળાવ તહીં ડહોળું:
આખા આકાશને ઓઢીને ઠરવાનો
જળને છે ઝીણો સંતોષ !

પાંદડી તે પી પી ને કેટલું રે પીશે
કે મૂળિયાંને પાડવાનો શોષ ?
આભ જેવા આભને હૈયામાં હોય કદી
જળના વરસ્યાનો અફસોસ ?

અત્યંત રમણીય કલ્પનો મઢ્યું રળીયામણું ગીત….એટલા બધા અર્થો છુપાયા પડ્યા છે કે એક અર્થ આપવો ગીતને અન્યાય કરવા બરાબર છે. વારંવાર વાંચીને ગણગણ્યા કરવાથી આપોઆપ ભાવાકાશ ખુલે છે.

Comments (7)

અંગત અંગત : ૧૩ : વાચકોની કલમે – ૦૯

કોઈ એક કવિતા કે કાવ્યાંશના કારણે શું કોઈ માણસની આખી જિંદગી, જિંદગી તરફનો અભિગમ બદલાઈ શકે ખરો ? એક કવિની ભીતરની બારી શું ખુલીને આકાશ થઈ શકે ખરી? તો ચાલો, આજે જોઈએ મુકુલ ચોક્સીની કબૂલાત…

*

સૂર્યઘટિકાયંત્ર

પ્રણય એટલે પોતાના બધા નામો
એક્સાથે ઉતરડી નાખવા તે:
મને યાદ આવે છે મેડ્રિડ 1937
એંજલનો ચોકમાં સ્ત્રીઓ
પોતાના બાળકો સાથે સીવતી’તી ને ગાતી’તી
ત્યારે ઓચિંતી બૂમરાણ સંભળાઈ’તી ને સાયરનો ચીસી ઊઠી’તી
જ્યારે મકાનોને ધૂળ ચાટતા કરાયા’તા
ઈમારતોના ચહેરા ભાંગતા’તા
અને વિમાનોના યંત્રોનો સતત ઝંઝાવાત
બે વ્યક્તિઓએ પોતાના કપડા ફાડી નાખ્યા
અને સ્નેહ સંભોગ કર્યો
ઊગારી તેવા માટે શાશ્વતીના આપણા હિસ્સાને
સમયના અને સ્વર્ગના આપણા હિસ્સાને ઊગારી લેવા માટે,
આપણા મૂળિયા સુધી છેક ઊંડે જઈને આપણને તારવા માટે,
હજારો વર્ષ પહેલાં જીવનના લૂંટારાઓ આપણી પાસેથી જે
જીવનનો વારસો ચોરી ગયા હતા તે વારસાને બચાવી લેવા માટે
પેલા બન્નેએ પોતાના વસ્ત્રો ફાડી નાખ્યાં અને બાથ ભીડી દીધી
કારણ કે જ્યારે બે નગ્ન, નિઃસ્વાર્થ વ્યક્તિઓ ભેગી મળે છે
ત્યારે તેઓ સમયની આરપાર ઊડી જાય છે અને અભય બની રહે છે
કંઈ કરતાં કંઈ પણ તેમને સ્પર્શી શકતું નથી
ત્યાં કોઈ હું કે તું નથી, કે નથી આવતીકાલ
ગઈકાલ કે નથી નામો,
હું મારા ઉન્માદને, ઓરડીઓને, ગલીઓને અનુસરું છું
સમયની પરસાળોમાં હું ફંફોસતો ફંફોસતો ભમું છું
હું પગથિયા ચડું છું ને ઊતરું છું
હલનચલન વગર હું દીવાલો માટે આથડું છું
જ્યાંથી શરૂ કર્યું ત્યાં જ પાછો ફરું છું
હું તારો ચહેરો ઢૂંઢૂં છું
એક અનાદિ સૂર્ય તળેની મારી પોતાની
હયાતિની ગલીઓમાં હું પળું છું અને તું મારી પડખે
ચાલે છે એક વૃક્ષની જેમ
તું નદીની જેમ ચાલે છે,
મારા હાથમાં એક ખિસકોલીની જેમ તું સ્પંદે છે
તું ઊડે છે સેંકડો પંખીઓની જેમ, તારું હાસ્ય
મને પાણીના છંટકાવની જેમ ભીનાવે છે,
તારું માથું મારા હાથમાં એક નાનકડો તારલો છે
તું જ્યારે સંતરું ખાતાં ખાતાં હસે છે ત્યારે દુનિયા
ફરી હરિયાળી બની જાય છે.

– ઑક્તોવિયો પાઝ
(અનુ. જગદીશ જોષી)

એ જમાનો કોલેજકાળનો હતો, સ્વ. સુરેશ જોષીની અસરમાં પશ્ચિમના કવિઓના કાવ્યો વાંચવાનો હતો, નેરુદા, લોકૉ, યેસેનીન, હાલાન અને વાસ્કો પોપાના કાવ્યો મમળાવવાનો હતો. ત્યારે આ બધા કવિઓની ભાષાપ્રચૂરતા જોઈને દંગ રહી જવાતું. એ કાળ સંવેદનોનો, સંબંધોનો અને તીવ્ર લાગણીઓના ઊછાળનો કાળ હતો. પ્રણયની આવેશમય અનુભૂતિઓથી મન સતત તરંગિત રહેતું. ત્યારે સ્વ. જગદીશ જોષી  દ્વારા લેટિન અમેરિકન કવિ ઓક્તોવિયો પાઝની આ દીર્ઘ કવિતાનો તૃતીય એવો ગુજરાતી અનુવાદ વાંચવામાં આવ્યો. સંવેદનાઓની અતિશયોક્તિ શું હોઈ શકે તે આ કાવ્ય પરથી સમજાયું. એટલું જ નહીં, જીવનના અનુભવોને અતિક્રમી જઈને જીવન તથા ભાષાના બેવડા પટ ઉપર હિલોળા લેવાનો અવર્ણનીય અનુભવ આ કાવ્ય કરાવે છે. આ કવિતાએ કવિતા અંગેના મારા નાનકડા વિઝનને ખૂબ ખૂબ મોટું અને વિશાળ કરી નાંખ્યું. ઉપર પેશ છે એમાંની જ કેટલીક પંક્તિઓ…

-મુકુલ ચોક્સી

Comments (7)

એક પગલાની પીછેહઠ – રોબર્ટ ફ્રોસ્ટ (અનુ. જગદીશ જોષી)

રેતી,ધૂળ,ઢેફાં અને કાંકરા જ માત્ર
ફરી એક વાર પોતીકી સફરે નીકળ્યાં હતાં એમ નહીં,
પણ હંમેશ કાદવ ગળચતી,
સમતુલા ગુમાવી બેઠેલી, તોતિંગ ભેખડોએ
એકમેકના મૂંડા આછેરા અફાળ્યા
અને કંદરાઓમાં ગબડવા લાગી.
આખા ને આખા ભૂમિખંડો પોપડે પોપડે ઉતરડાઈ ગયા.
આ વૈશ્વિક કટોકટીમાં મારા મૂલ્યોની આધારશિલા
મને હચમચી ગઈ લાગી.
પણ પીછેહઠના એક જ પગલાથી
મેં મારી જાતને પડવાગબડવામાંથી ઉગારી લીધી.
છિન્નવિચ્છિન્ન થયેલું એક વિશ્વ
મારી આંખ સામેથી પસાર થઇ ગયું.
ત્યાર પછી વરસાદ ને વાવાઝોડું જંપ્યાં
અને મને કોરો કરવા માટે સૂરજ બહાર પડ્યો.

-રોબર્ટ ફ્રોસ્ટ
(અનુ.- જગદીશ જોષી)

Exsistentialism (અસ્તિત્વવાદ) ની વાત છે…. કવિની ખાસિયત પ્રમાણે નાનાંનાનાં સૂચક શબ્દો ખૂબી થી પ્રયોજ્યાં છે (દા.ત. બીજી પંક્તિમાં ‘ફરી એક વાર….’). મૂલ્યો ખાતર કુરબાન થવું કે પછી એક પગલાની પીછેહઠથી મૂલ્યોના ભોગે જાતને બચાવવી અને એક નવી સવારની આશા અને પ્રતિક્ષામાં તોફાનને પસાર થઇ જવા દેવું-અત્યંત અંગત પ્રશ્ન છે અને ઉત્તર સરળ નથી. અસ્તિત્વ જ ન રહે તો મૂલ્યોનો શો અર્થ ? મૂલ્યો વગરના અસ્તિત્વનો શો અર્થ ?

***

One Step Backward Taken – Robert Frost

Not only sands and gravels
Were once more on their travels,
But gulping muddy gallons
Great boulders off their balance
Bumped heads together dully
And started down the gully.
Whole capes caked off in slices.
I felt my standpoint shaken
In the universal crisis.
But with one step backward taken
I saved myself from going.
A world torn loose went by me.
Then the rain stopped and the blowing,
And the sun came out to dry me.

Comments (5)

મળો તો- -જગદીશ જોષી

તમે સાંજે મળો તો મને એકલા મળો
કે મારા દિવસ આખાને વળે હાશ :
આવનારી રાતના ઝુમ્મરમાં સળગે નહીં
ઊના ઉજાગરાની પ્યાસ.

આંખો મીંચાય, પછી સમણું ઊગે-
એ તો નીંદરમાં બાવળની શૂળ;
ઝાંઝવાની જીવલેણ નદીયું પર બાંધો નહીં
વાયદાના ભાંગેલા પુલ :
એવી તે વાવી કઈ જીવતરમાં ભૂલ
કે તમે મળવામાં આટલા ઉદાસ !

ધોધમાર તડકો કંઈ આછો થયો
અને સાંજની હવા તો હવે બાવરી;
કાળી કાળી વાદળી ખુલ્લા આકાશમાં
વરસી નહીં કે નહીં આછરી :
આદરેલી વાત તમે અધવચ્ચે આંતરી
ને શબ્દોના ટૂંપાયા શ્વાસ !

– જગદીશ જોષી

અનેક આવરણો ઓઢીને આપણે આયખું વ્યતિત કરીએ છીએ….ઘણીવાર તો દર્પણ મૂંઝાતો હશે કે ઉપસ્થિત થનાર માનવ-આકારનો મૂળભૂત ચહેરો કયો હશે ! ઝંખના છે આવરણરહિત મિલનની…પરંતુ ઝંખનારે આવરણો ત્યજ્યા છે ખરા ? અમૃત ની કામના છે તો સમુદ્રમંથન અનિવાર્ય છે. ક્યાંક કશુંક ખૂટે છે તે વાત કાવ્યમાં ખૂબીથી વણાયેલી છે.

Comments (7)

નદી – જગદીશ જોષી

સ્મૃતિઓ અને સ્વપ્નો વચ્ચે
એક નદી.

નદીમાં માછલીનાં પ્રતિબિંબ ઊડે છે,
સૂરજ કાદવમાં ફસડાઈ-તરડાઈ રહ્યો છે.
નદી પાસેના વૃક્ષ પર
પંખીના ઓછાયા માળો બાંધે છે;
માળાને સેવે છે શિકારીની આંખ.

નદી શિયાળામાં થીજી જાય છે
અને ઉનાળામાં સુકાઈ જાય છે :
સદીઓથી જાણે કે
વરસાદ પડ્યો નથી, અને
ઈન્દ્રધનુઓ જળમાં ખીલ્યાં નથી.

સ્મૃતિઓ અને સ્વપ્નોની વચ્ચે
એક નદી…

– જગદીશ જોષી

સૂકી નદી કવિનું અતૃપ્ત જીવન છે. સ્મૃતિઓ અને સ્વપ્નોની વચ્ચે ફસડાઈ પડેલી હકીકતને કવિએ કવિતામાં ઝીલી લીધી છે.

એક વાત વિચારવા જેવી છે – નદીમાં જરાય પાણી ન હોય તો પણ એને નદી જ કહેવાય છે.  નદી સૂકી હોય તો પણ એ પાણીની શક્યતાથી તો સભર જ હોય છે !

Comments (11)

(વિ) ચિત્ર – જગદીશ જોષી

વેરાનોમાં તરસ-તરસી ચીસ થીજી,અને આ
વૃક્ષો કેરી હરિત ભ્રમણા : આંખમાં રેત સુક્કી,
મેઘો ગાજે અજલ, વળથી ઊછળીને સમુદ્રો
કાંઠે આવી વ્યરથ પટકે શ્વેત, ફેનિલ મુઠ્ઠી.

ઊગે-ડૂબે અવિરત નભે સૂર્ય આ અંધ, મારો
ઝાંખો-પાંખો સતત કરતો ચંદ્ર આક્રંદ મંદ.
તોયે વૃક્ષો,ખળખળ વહતી આ નદી,ખેતરોયે
ઝૂલે-ખૂલે, ગગન-ધરતીનો કશો આ સંબંધ!

ઊગે લીલી કૂંપળ જડ આ ભીંત ફાડી અચિન્તી,
કંપે એના હલચલ થતી પિંડ-બ્રહ્માંડમાં આ :
આવેગે કે અરવ પગલે આવવાનો ફરીને,
ભીડ્યાં દ્વારો પરિમલ થઇ ખોલવાનો,ઝરીને !

તારી આંખે તગતગ થતા તારલાઓ નિહાળું
કે આ મારું હરણ-સપનું…ચીસ થીજી,અને આ….

-જગદીશ જોષી.

પ્રકૃતિના તત્વોના સ્વ-ભાવને કેટલી સુંદરતાથી કવિએ ઉપયોગમાં લીધા છે ! પ્રચંડ શક્તિશાળી તત્વોની નપુંસકતા એક ઘેરી નિરાશાની લાગણી સૂચવે છે. અચાનક મધ્યકાવ્યમાં સૂર બદલાય છે અને એક કૂંપળ ફૂટે છે-એક શાંત ક્રાંતિ થાય છે જાણે… અંતિમ બે પંક્તિઓ એક અનુત્તર પ્રશ્ન છોડી દે છે… જગદીશ જોષીની વીણાને સામાન્યત: કરુણ ગાન વિશેષ રુચે છે પરંતુ અહીં કંઈક અનોખી છટા ખીલી ઊઠી છે.

Comments (8)

યાદગાર ગીતો :૧૯: ધારો કે એક સાંજ આપણે મળ્યા – જગદીશ જોષી

ધારો કે એક સાંજ આપણે મળ્યાં અને આપણે હળ્યાં
પણ આખા આ આયખાનું શું?
ખુલ્લી આ આંખ અને કોરી કિતાબ
એને ફરીફરી કેમ કરી વાંચશું?

માનો કે હોઠ સ્હેજ મ્હોરી ઉઠ્યા
ને છાતીમાં મેઘધનુષ ફોરી ઉઠ્યાં
પણ બળબળતી રેખાનું શું?

આકાશે આમ ક્યાંક ઝુકી લીધું
ને ફૂલોને ‘કેમ છો?’ પૂછી લીધું
પણ મૂંગી આ વેદનાનું શું?

માનો કે આપણે ખાધું-પીધું
અને માનો કે રાજ! થોડું કીધુંયે રાજ,
પણ ઝૂરતા આ ઓરતાનું શું?

ધારો કે રાણી! તમે જીતી ગયાં
અને ધારો કે વાયરા વીતી ગયા
પણ આ માંડેલી વારતાનું શું?

– જગદીશ જોષી

[audio:http://urmisaagar.com/saagar/audio/Dharo-ke-ek-sanj-Aapne-Malya-Bhupinder.mp3]
સંગીત: અજીત શેઠ
સ્વર: ભૂપિંદર

જગદીશ જોષી (જન્મ:9/10/ 1932, મુંબઇ. અવસાન: 21/9/1978) એટલે અભાવનો કવિ, વિષાદનો કવિ. પણ એમની જીવનકથા એમની કવિતાથી તદ્દન ઊલટી. મુંબઈમાં સદ્ધર કુટુંબમાં ઉછરેલા કવિને શરૂઆતથી શિક્ષણમાં રસ. એ જમાનામાં શિક્ષણનો અભ્યાસ કરવા માટે કવિ અમેરિકાની ખ્યાતનામ સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાં ગયેલા. પાછા ફરીને મુંબઈની શાળામાં પ્રિંસિપાલ થયા. સફળ કેરિયર છતાં કોઈક કારણસર શિક્ષણમાંથી એમનો રસ ઓછો થતો ગયો અને એ માણસ કવિતાનો થતો ગયો. 1968 પછી જ, એટલે કે છેલ્લા દસ વર્ષમાં જ એમણે ખરી કવિતા લખી. વિશ્વકવિતાના આસ્વાદ અને અનુવાદ પણ પુષ્કળ કર્યા. એમની કવિતામાં અભાવ અને વિષાદ શાને એ તો કોઈને કદી ખ્યાલ જ ન આવ્યો. પોતાની તબિયત પ્રત્યે બહુ બેદરકારી રાખી અને નાની ઉમ્મરે ચાલી નીકળ્યા. (કાવ્યસંગ્રહ : આકાશ, વમળનાં વન, મોન્ટા-કોલાજ)

દરેક સંબંધની એક ‘એક્સપાઈરી ડેટ’ હોય છે. એનાથી વધારે સંબંધને ચલાવી શકાતો નથી. પણ આપણે તો દરેક સંબંધ ખાધું પીધું ને રાજ કીધું ની જેમ જાણે સનાતન સંબંધ હોય એમ વિચારીને ચાલ્યા કરીએ છીએ. જ્યારે સંબંધ તૂટે અને સત્યની સમજણ આવે ત્યારે દિલમાંથી એક ચીસની જેમ સવાલ આવે … આવું કેમ ? આ ગીત એ વેદનાને વાચા આપવા માટે લખેલું છે.  પ્રેમના ઉડાન પછી જ્યારે વાસ્તવિકતાની ધરતી પર પાછું ‘ક્રેશ લેન્ડીંગ’ કરવાનું આવે ત્યારની આ વાત છે.  એ વખતે કવિનો પ્રશ્ન પણ આ માંડેલી વારતાનું શું? એક ઠંડા સૂસવાટાની જેમ ભોંકાય છે. …. કાશ, એ પ્રશ્નનો જવાબ કોઈને ખબર હોત.

Comments (11)

પ્રવાહ – જગદીશ જોષી

નદીનો પ્રવાહ ગતિ કરે છે
મહાસાગરમાં સ્થિર થવા માટે.
નદીની સ્થિરતા જ મહાસાગર,
અને સાગરની સ્થિરતા તે
આકાશનું એક વાદળ.

વિશ્વના આ મહામેળામાં
ગતિ અને સ્થિતિનું જાયન્ટ વ્હીલ –
મેરી… ગો… રાઉન્ડ…

મારા ભગવાન માટે મેં એક મંદિર રચ્યું છે.
અગરબત્તીની સુવાસના સ્તંભો ઉપર
લીલી કેળનાં પાનનું છાપરું ગોઠવ્યું છે.

ફૂલોમાં ‘તથાસ્તુ’ શબ્દનું એક સરોવર
કમળ થઈને ઊઘડ્યું છે:
અને બિડાયેલી આંખો સામે ઊભા છે તથાગત;
કહે છે કે
સિદ્ધાર્થ તો ભિક્ષાપાત્ર થઈ ગયો.

વિગત, સાંપ્રત અને અનાગતની પાર
અજવાળાંના આરસમાં
ઘીનો દીવો રણકે છે :
સુવાસના સ્તંભમાંથી પ્રગટે છે
નદીનો પ્રવાહ
મહાસાગરમાં સ્થિર થવા માટે  !

– જગદીશ જોષી

જીવનચક્રની ગતિ અવિરત અને અકળ છે. કવિ જીવનનો અર્થ સમજાવવાને બદલે, આપણને પોતાની સાથે, એક શોધયાત્રા પર લઈ જાય છે.

કવિતા પર બુદ્ધધર્મની વિચારસરણીની છાપ છે. કવિતાની શરૂઆત કવિ નદીની સ્થિરતા સાગર, અને સાગરની સ્થિરતા વાદળ – એવું કહીને કરે છે. સ્થિરતા પામવા માટે દરેકે પોતાના અસ્તિત્વની કિંમત ચૂકવવી પડે છે. (માણસની સ્થિરતા એટલે મૃત્યુ એટલું કવિ અધ્યાહાર રાખે છે !) ગતિ જ જીવન છે – અવિરત, અનાગત, થકવી નાખે એવી ગતિ.

કવિ સ્થિરતાની-જીવન લક્ષની- શોધ માટે મંદિર રચે છે. સુવાસનાં મંદિરમાં ઈશ્વર ભગવાન બુદ્ધ તરીકે પ્રગટ થાય છે અને એક જ વાત કરે છે, ‘સિદ્ધાર્થ તો ભિક્ષાપાત્ર થઈ ગયો’… એટલે કે કોઈ જ્ઞાન ત્યાગ વગર શક્ય નથી. પણ એટલું જો કરો તો ખરું જ્ઞાન મળે… અને ખરું જ્ઞાન એ જ કે આપણું જીવન એટલે ગતિ અને આપણું ગંતવ્ય તે મહાસાગરમાં મળી જવું. જીવન-મૃત્યુનો જીવન-મૃત્યુની સચ્ચાઈ સિવાય બીજો કોઈ અર્થ શોધવો જરૂરી નથી, જરૂરી છે તો બસ પ્રવાહ બની જવું ને ગતિને જીવી જવું.

Comments (7)

કોઈ તો કહો !

જ્યારે ગ્રહોને રમાડવાનું
મન થયું
ત્યારે મેં એક પ્લેનેટોરિયમ બાંધી લીધું છે !

સ્કાયસ્ક્રેપરની
અગાસી પર
વાસી વસંતોને મ્હોરવા દીધી છે !

ભૂતકાળને મેં તસવીરમાં મઢી લીધો છે
અને એ તસવીરનું પ્રદર્શન કરી
મેં લોપ્યા છે કાળના સીમાડા.

એક સ્વીચ ઑન :
– અને બળબળતા ઉનાળામાં
ઊતરી પડી છે શીતળ અનુકૂળતા.

પાતળા તારમાં પૂર્યા છે શબ્દો
અને એને મુક્ત કરવાની
ચાવી મારા હાથમાં રાખી છે !

દવાની શીશીઓમાં
તંદુરસ્તી ભરી
મેં મૃત્યુ સામે પણ ચાલ ચાલી લીધી છે !

મારા બેચેન આકાશમાં
સૂર્ય-ચંદ્રને મેં સાથે પ્રગટાવ્યા… …

… … પણ
કોઈ તો કહો 
               – હું થીજી રહ્યો છું
કે ભડકે બળી રહ્યો છું ?

– જગદીશ જોષી

We have managed to answer all the ‘Hows’ in the world but none of the ‘Whys’. દુનિયા આખીને નાથીને મગરૂર થતો માણસ પોતાની જાત વિષે ખાસ કાંઈ જાણતો નથી.

Comments (16)

અનુભવ – જગદીશ જોષી

સિગ્નલ પાસે
ટેક્સી ઊભી-ન-ઊભી ત્યાં તો
એક ભિખારણે હાથ લંબાવ્યો
અને બોલવા લાગી, બોલ્યે જ ગઈ…
“ભગવાન તમને સુખી રાખે, મારા રાજા !”

સુખ…
શબ્દને મેં હોઠ વચ્ચેની કડવાશથી ભીંસી દીધો
અને
ઝટપટ બારીનો કાચ ચડાવતાં ચડાવતાં
કેવળ એટલું જ બબડ્યો:
“ભગવાનની બહેરાશનો મને પણ છે આવો જ અનુભવ…”

– જગદીશ જોષી

Comments (8)

એક હતી સર્વકાલીન વારતા -જગદીશ જોષી

ધારો કે એક સાંજ આપણે મળ્યાં અને આપણે હળ્યાં
પણ આખા આ આયખાનું શું?
ખુલ્લી આ આંખ અને કોરી કિતાબ
એને ફરીફરી કેમ કરી વાંચશું?    

માનો કે હોઠ સ્હેજ મ્હોરી ઉઠ્યા
ને છાતીમાં મેઘધનુષ ફોરી ઉઠ્યાં
પણ બળબળતી રેખાનું શું?

આકાશે આમ ક્યાંક ઝુકી લીધું
ને ફૂલોને ‘કેમ છો?’ પૂછી લીધું
પણ મૂંગી આ વેદનાનું શું?

માનો કે આપણે ખાધું-પીધું
અને માનો કે રાજ! થોડું કીધુંયે રાજ,
પણ ઝૂરતા આ ઓરતાનું શું?

ધારો કે રાણી! તમે જીતી ગયાં
અને ધારો કે વાયરા વીતી ગયા
પણ આ માંડેલી વારતાનું શું?

– જગદીશ જોષી

Comments (3)

ડંખ – જગદીશ જોષી

વીંછીના આંકડાની જેમ મારી વેદનાઓ
ડંખે છે વળી વળી કેમ ?

સીમે આળોટે લીલી વાડીની યાદ,અને
કૂવે ઝળુંબે એક વેલો :
થાળમાં કાંકરાને ડાળીને ઝાંખરા
પાણીનો ક્યાંય નહીં રેલો.

ચગદીને ચાલી જતી કોમળ પાનીઓ કેમ
આવે ને જાય હેમખેમ ?

બપ્પોરે આભમાંથી સપનાં સાપોલિયાં
થઇને આ આંખમાં લપાયાં:
સ્મરણોએ શ્વાસ જરી લીધો ન લીધો ત્યાં તો
નસનસમાં ઝેર થૈ છવાયાં.

રજકાના ભૂરા આ નિસાસે કોસતણો
વરસે છે જરી જરી વ્હેમ !

– જગદીશ જોષી

Comments

વિષમ ભોગ -જગદીશ જોશી

 … તો વાતો પ્રેમની વાતો તો પ્રેમની વાતો વ્હેમની તો
ને આરસના સિંહે ત્રાડ પાડી ને રૂનું કબૂતર ઊડી ગયું.

ચોકીપ્હેરો ભરતી શયનખંડની ચાર દીવાલો ખૂબ પાસે આવી
અને બે પલંગ પરની પથારીઓ એક થઇ ગઇ.
ઓશીકા પર ફેલાયેલા વાળમાં એરકન્ડિશનરનો અવાજ ગૂંચવાઇ ગયો,
અને મીંચાયેલી આંખોએ હોઠ પરની વાતો સાંભળીને પરિતૃપ્તિ પામ્યાનો પ્રયત્ન કર્યો.

લગ્નજીવનનાં વીતી ગયેલાં વર્ષો કબાટમાં સૂટ અને સાડી થઇને લટકે છે.
સવારે ના’વા જાઉં છું ત્યારે બાથરૂમમાં હું પહોંચું એ પહેલાં જ મારો ટુવાલ પહોંચી જાય છે ,
અને નાહીને ભીનો થયેલો હું નક્કી નથી કરી શકતો કે એમાં routine છે કે પ્રેમ …

મારાં બૂટ, મોજાં, ટાઇ, રૂમાલ – ની જેમ હું વ્યવસ્થિત રીતે કેમ નહીં ગોઠવાતો હોઉં ?
શયનખડની બત્તી બુઝાઇ જાય છે, હું પડખું ફરી જાઉં છું :
અને હવે તો સપનાંઓ પણ આવતાં નથી.

જગદીશ જોશી

યુવાનીમાં જે સંબંધ બાંધવા માટે કેટકેટલાં ગીતો ગાયાં હોય, પ્રેમપત્રો લખ્યા હોય, આકાશના તારા નીચે લાવવાની હોડ બકી હોય, તે સમય જતાં કેવળ routine થઇ ગયાની સામાન્ય વ્યથાનું અહીં કવિએ અજબ નિરૂપણ કર્યું છે.
આ માનવ જીવનની વાસ્તવિકતા છે.

Comments (6)

શબ્દોત્સવ – ૪: ગીત: અનુભૂતિ – જગદીશ જોષી

પાંદડી તે પી પીને કેટલું રે પીશે
                  કે મૂળિયાંને પડવાનો શોષ ?
આભ જેવા આભને હૈયામાં હોય કદી
                  જળના વરસ્યાનો અફસોસ ?

એક પછી એક મોજાં આવે ને જાય
                  એને કાંઠે બેસીને કોણ ગણતું ?
વાદળના કાફલાનું ગીત અહીં લ્હેરખીમાં
                  રેશમનો સૂર વણતું;
ઉઘાડી આંખે આ જાગતા ઊજાગરાને
                  આઘાં પરોઢ આઠ કોશ !

નીંદરાતી આંખ મહીં ઊમટીને ઊભરાતું
                  જાગે છે સપનાંનું ટોળું,
કિરણોની એક એક કાંકરીઓ નાખીને
                  જંપ્યું તળાવ નહીં ડહોળું;
આખા આકાશને ઓઢીને  ઠરવાનો
                  જળને છે ઝીણો સંતોષ !

– જગદીશ જોષી

Comments (1)

હું જોઉં છું મારી ઉત્તરક્રિયા – જગદીશ જોષી

તળિયે નાવ ડૂબે એમ મારી શૈયામાં સમાતો જાઉં છું.
હોઠ ખોલ્યા વિના ડૉકટરે કહેવું પડશે, “હવે… આમાં કાંઈ નથી.”
પછી – થોડાં આંસું, થોડાંક હીબકાં, થોડાક ફોન, થોડાક માણસો.
મારે અહીંથી જવું નથી, પણ ગયા વિના મરો છૂટકો નથી.
શરીર અને જીવનો આમ પણ ક્યાં મેળ મળ્યો’તો ?
પહેલાં હું શરીરનું કહ્યું માનતો ન’તો અને હવે શરીર…

શરીર હવે સાવ ઉદાસીન થઈ ગયું છે – આગથી ને આંસુથી.
ભડભડ બળતી ચિતા પાસે માણસો વાતો કરતા હશે,
પણ બહેરા કાનથી સંભળાશે નહીં. સ્મશાનમાં પ્રવેશતાં જ
મંદિર આવશે પણ મને દેખાશે નહીં અને હાથ જોડાશે નહીં,
સ્મશાનની બહાર વહી જતાં વહાનોની ભીડ કાયમને માટે ક્રોસ કરીને આવ્યો છું…

છાપામાં યુદ્ધના, ખૂનના, વિમાન પડવાના, આગના સમાચાર હશે:
પણ, એથી શું? મારું પાંચ માળનું મકાન થોડી જ વારમાં ભસ્મીભૂત થઈ જશે
અને એની નોંધ છાપામાં ‘ન્યૂઝ વેલ્યુ’ વિનાની.

– જગદીશ જોષી

કાવ્ય મૃત્યુનું છે પણ એમાં શોક નથી. એમાં બસ ઉદાસીનતા છે. જીવવાનો કંટાળો જાણે મરણમાં પણ છલકાયો હોય એમ. જીવનનો ખાલીપો મોતને પણ નડશે. મોત પૂર્ણવિરામ તરીકે નહીં પણ એક વધુ ખાલીપાની શરૂઆત તરીકે આવશે. કાવ્ય પોતે ખૂબ સશક્ત છે પણ વાંચ્યા પછી વિચાર આવે છે કે પોતાના મૃત્યુનું આવું ખાલીખમ વર્ણન કરતું કાવ્ય કવિએ કેવી મનોસ્થિતીમાં લખ્યું હશે ?

Comments (1)

સૂર્યની કરચો – જગદીશ જોષી

પડઘાની આંખ આંજીને બેહદનું ખુશ થવું,
બસ આટલો આ મારી તિતિક્ષાનો ભાર છે.

પહેલાંની જે બપોર તે મધરાત થઈ બળે,
તારાઓ રૂપે સૂર્યની કરચોની ધાર છે.

નવરાશના તટે જે ચણ્યા મ્હેલ મેં-તમે,
બારી મૂકી’તી ત્યાં હવે ભૂરો ઉભાર છે.

– જગદીશ જોષી

જે કલમે ખોબો ભરીને અમે અને એક હતી સર્વકાલિન વાર્તા જેવી રચનાઓ આપી એને રૂપકોની અછત હોય જ નહી. જેવો સ્નિગ્ધ વિષાદ આ ગઝલમાં જોવા મળે છે, એ જગદીશ જોષી સિવાય કોઈની રચનામાં જોવા મળતો નથી.

(તિતિક્ષા=સહનશીલતા,ધૈર્ય)

Comments