ઉઘાડાં દ્વાર છોડીને ગમે ત્યારે હું ચાલ્યો જઈશ;
જગતથી મુખ મરોડીને ગમે ત્યારે હું ચાલ્યો જઈશ.
-ભગવતીકુમાર શર્મા

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for સુન્દરમ

સુન્દરમ શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.




પ્રેરણાપુંજ : ૧૦ : મુક્તકો

પ્રેરણાપુંજ – રાહ ચીંધતી કવિતાઓની શ્રેણીમાં આજે આ આખરી કડી…

ઘણીવાર આખી કવિતા ઉપરાંત નાની-નાની કાવ્યકણિકાઓ પણ હૈયામાં કાયમી મુકામ કરી જતી હોય છે અને ટાણેટાંકણે આ કણિકાઓ સ્મરણપટ પર આપોઆપ ઉપસી આવતી હોય છે. જીવનના અલગ-અલગ વળાંકો પર, મનોદશાના અલગ-અલગ પડાવો પર આવી અલગ-અલગ કાવ્યકણિકાઓ આપોઆપ આગળ આવીને આપણો હાથ ઝાલી લેતી હોય છે, અને આવો હૂંફાળો સાથ મળ્યા બાદ આગળ ડગ માંડવાનું થોડું આસાન બની રહેતું હોય છે. અહીં જે મુક્તકો હું આપ સહુ સાથે સહિયારી રહ્યો છું, એ બધાએ ડગલેપગલે વફાદાર પ્રેમિકાની જેમ મારો સાથ નિભાવ્યો છે. આમ તો માબાપે આપેલ જીવન પ્રમાણમાં ખાસ્સું સરસ જ રહ્યું છે, પણ નાનીમોટી તકલીફો અને ઘણુંખરું પેટ ચોળીને ઊભાં કરેલ શૂળ ઈમાનદારીથી મને હંફાવવાની કોશિશ કરતાં આવ્યાં છે. આવા દરેક કપરા સમયમાં આ કવિતાઓએ મને ફરીફરીને બેઠો કર્યો છે. હજારોવાર આ પંક્તિઓને મોટેમોટેથી મેં મનમાં લલકારી છે. (ધવલે શેખાદમનું ‘અમને નાંખો જિંદગીની આગમાં’ મુક્તક પૉસ્ટ કરી દીધું છે એટલે એનું પુનરાવર્તન કરતો નથી.)

આવી જ કોઈ કવિતાઓ આપના માટે ‘પ્રેરણાપુંજ – રાહ ચીંધતી કવિતાઓ’ બની હોય તો કમેન્ટ વિભાગમાં જરૂર સહિયારજો.

*

અફસોસને આસન કદી જો આપશું,
જે રહ્યું થોડુંય તે લૂંટી જાશે;
જો ગુમાવ્યાની ગણત્રીમાં પડયા,
ફૂલ ઊઘડતુંય એ ચૂંટી જશે.
– મકરંદ દવે

કોક દિન ઇદ અને કોક દિન રોજા
ઊછળે ને પડે નીચે જિંદગીનાં મોજાં.
– મકરંદ દવે

ઉરની સાંકલડી શેરીના પંથ વિશાળ રચાવો,
હૈયાનાં ઝરણાં નાનાને સાગર જેવું બનાવો.
– સુન્દરમ્

નથી ઇચ્છા કે કિનારા થઈને પડ્યા રહીશું,
નાનું તોયે ઝરણું થઈને વહેતા રહીશું.
– ?

જીવવું છે, ઝૂરવું છે, ઝૂઝવું છે, જાનેમન !
થોડી અદાઓ ફાંકડી, થોડી ફિતૂરી રાખવી.
બાજ થઈને ઘૂમવું અંદાજની ઊંચાઈ પર,
ઇશ્ક ખાતર બુલબુલોની બેકસૂરી રાખવી
– વેણીભાઈ પુરોહિત

હાથની રેખા પ્રમાણે ચાલનારા છે ઘણા,
ચાલ તારાઓની બદલે એ જ શક્તિમાન છે.
– શેખાદમ આબુવાલા

મને એ નાખુદા પર છે ખુદા કરતાં વધુ શ્રદ્ધા,
કિનારો જોઈ જે પાછો વળી જાયે સમંદરમાં.
– શૂન્ય પાલનપુરી

કદમ અસ્થિર હો એને કદી રસ્તો જડતો નથી,
અડગ મનના મુસાફરને હિમાલય પણ નડતો નથી;
તમારા મનને જીતી લો તો હું માનું. ‘સિકંદર છો’,
નહીંતર દિગ્વિજય ઉચ્ચારવામાં શ્રમ નથી પડતો.
– શૂન્ય પાલનપુરી

ઝુલ્ફ કેરા વાળ સમ છે ભાગ્યની ગૂંચો બધી,
માત્ર એને યત્ન કેરી કાંસકી ઓળી શકે.
– શૂન્ય પાલનપુરી

જિંદગી જીવવાની ફિલસૂફી સમજી લીધી,
જે ખુશી આવી જીવનમાં, આખરી સમજી લીધી.
– મરીઝ

જિગર પર જુલ્મે કે રહેમત, ઘટે જે તે કરી જોજો,
તમારા મ્હેલના મહેમાનની સામું ફરી જોજો;
કટોરા ઝેરના પીતાં કરું છું એ વફાદારી,
કસોટી જો ગમે કરવી, બીજું પ્યાલું ધરી જોજો.
– કપિલરાય ઠક્કર ‘મજનૂ’

ફરીથી વિશ્વને જોવા મળે પુરુષાર્થની સિદ્ધિ,
ફરીથી ભાગ્યરેખાઓ બધી ગૂંચવાઈ જાવા દ્યો.
– ‘દિલહર’ સંઘવી

સફળતા જિંદગીની હસ્તરેખામાં નથી હોતી,
ચણાયેલી ઇમારત એના નક્શામાં નથી હોતી.
– અમૃત ઘાયલ

મને મળી નિષ્ફળતા અનેક,
તેથી થયો સફળ કૈંક હું જિંદગીમાં
– ઉમાશંકર જોશી

Comments (6)

પ્રેરણાપુંજ : ૦૪ : ઘણ ઉઠાવ -સુન્દરમ્

ઘણુંક ઘણું ભાંગવું, ઘણ ઉઠાવ, મારી ભુજા !
ઘણુંક ઘણું તોડવું, તું ફટકાર ઘા, ઓ ભુજા !
અનંત થર માનવી હ્રદય – ચિત્ત – કાર્યે ચઢ્યા
જડત્વ યુગ જીર્ણના, તું ધધડાવી દે ઘાવ ત્યાં.

ધરા ધણધણે ભલે, થરથરે દિશા, વ્યોમમાં
પ્રકંપ પથરાય છો, ઉર ઉરે ઊઠે ભીતિનો
ભયાનક ઉછાળ છો, જગત જાવ ડૂલી ભલે,
પછાડ ઘણ, ઓ ભુજા ! ધમધમાવ સૃષ્ટિ બધી !

અહો યુગયુગાદિનાં પડ પરે પડો જે ચઢ્યાં
લગાવ, ઘણ ! ઘા, ત્રુટો તડતડાટ પાતાળ સૌ,
ધરાઉર દટાઇ મૂર્છિત પ્રચંડ જ્વાલાવલી
બહિર્ગત બની રહો વિલસી રૌદ્ર કૃત્કારથી.

તોડીફોડી પુરાણું,
તાવી તાવી તૂટેલું.

ટીપી ટીપી બધું તે અવલનવલ ત્યાં અર્પવા ઘાટ એને
ઝીંકી રહે ઘા, ભુજા ઓ, લઇ ઘણ, જગને ઘા થકી ઘાટ દેને.

– ત્રિભુવનદાસ પુરુષોત્તમદાસ લુહાર ‘સુન્દરમ્’ (૬ જૂન, ૧૯૩૪)

જેમ સંપૂર્ણપણે ખાલી થવું એ નવેસરથી ભરાવા માટે જરૂરી હોય છે એમ ક્યારેક નવું સર્જન કરવા માટે પણ પ્રથમ જૂનું વિસર્જન કરવું પડે છે. સામાજિક અને આંતરિક વિષમતાની સામે પડકાર ફેંકી જીર્ણ થયેલી જડતાને સમૂળગી દૂર કરવા માટે કવિ પોતાની જ ભુજાનું ઘણ જેવા હથિયાર સહિત આવાહન કરે છે, કે જેથી ઘણું બઘુંને ઊંડે સુધી ઘા કરી તોડીફોડી એનું વિસર્જન કરી શકે… અને ફરી એ જ ઘણથી ટીપી ટીપીને નવો ઘાટ આપી એનું નવસર્જન કરી શકે.  આ કવિતાએ તે સમયે આઝાદી પહેલાની ગુલામીથી ટેવાઈ ગયેલા કેટલાયે જણનાં માનસને ક્રાંતિકારી બનવા માટે નવસર્જનની પ્રેરણા અને પ્રેરકબળ પૂરું પાડ્યું હશે!

રઈશ મણિઆરઃ આ ગીત નથી. પૃથ્વી છંદમાં લખાયેલ આ કાવ્ય અંગ્રેજી બ્લેન્ક વર્સની જેમ પ્રભાવશાળી પઠન માટે છે. છેલ્લી બે પંક્તિ સ્ત્રગ્ધરા છંદમાં છે.

Comments (1)

મેં એક અચંબો દીઠો – સુન્દરમ્

મેં એક અચંબો દીઠો,
દીઠો મેં ઘર ઘર કૃષ્ણ કનૈયો,
હૃદય હૃદય મેં રાધા દીઠી,
હું બન્યો મુગ્ધ નરસૈંયો

મેં વન વન વૃંદાવન દીઠાં,
મેં તરુ તરુ દીઠી વૃંદા,
મેં પર્ણ પર્ણમાં વૃંદા કેરાં
દીઠાં નંદ જશોદા. મેં એક 0

મેં નદી નદીમાં દીઠી યમુના,
મેં દ્રુહ દ્રુહ દીઠો કાલિ,
મેં પળપળ દીઠી કાલિ દહંતી
કાલી મહાકરાળી. મેં એક 0

મેં નયન નયનમાં ઉદ્ધવ દીઠા,
શયન શયન હરિ પોઢ્યા,
મેં અખિલ વ્યોમ પયસાગર દીઠો,
મેં અંગ અંગ હરિ ઓઢ્યા. મેં એક 0

– સુન્દરમ્

માણસ પ્રેમમાં હોય ત્યારે એને પ્રિયજન સિવાય કશું નજરે ચડતું નથી. ને તેમાંય આ તો કૃષ્ણપ્રેમ. એટલે કવિને જ્યાં જુએ ત્યાં ‘જ્યાં જ્યાં નજર મારી ઠરે, યાદી ભરી ત્યાં આપની’ના ન્યાયે માત્ર શ્રીકૃષ્ણ અને એમનો સંસાર જ નજરે ચડે છે. જો કે વાતની શરૂઆત કવિ અલગ રીતે કરે છે. એ કહે છે કે મેં એક અચંબો દીઠો. દીઠો? અચંબો તો થાય… પણ કૃષ્ણ તો સાક્ષાત્ અચંબો છે એટલે કવિ અમૂર્તને પણ ચાક્ષુષ કરી કાવ્યારંભ કરે છે. ઘરઘરમાં એમને કનૈયો દેખાય છે અને હૃદય હૃદયમાં રાધા. વન વૃંદાવન બની ગયાં છે અને તુલસીના પાંદડે-પાંદડે નંદ-જશોદા દેખાય છે. દરેક નદી યમુના લાગે છે અને દરેકમાં ક્રુદ્ધ કાલિનાગ દેખાય છે. જો કે કાલિદહન મહાકરાળી કાળી કરે છે એ વાત કવિએ માત્ર પ્રાસ બેસાડવા ઉમેરી હોવાનું અનુભવાય છે.

Comments (6)

અહો ગાંધી ! – સુન્દરમ્

(શિખરિણી)
અહો ગાંધી ! સાધી સફર સહસા આમ અકળી,
રચી આંધી, શાંતિપ્રિય જન, ન છાજે જ તમને !
ગયા- ના રોકાયા વચન ‘જઉં છું’ એય વદવા,
ઘડી તો પૃથ્વીનું પણ સ્થગિત હૈયું કરી ગયા !

તમારે ના વૈરી, પણ જગતનાં વૈર સહ હા
તમે બાંધી શત્રુવટ, પ્રણયની વેદી રચવા
ચહ્યું, વિશ્વે અદ્રિ સમ વિરચવા શાંતિસદન:
મચ્યા એ સંગ્રામે કવચ ધરીને માત્ર પ્રભુનું.

ઢળ્યા એ સંગ્રામે ! પ્રભુ થકી જ આ ત્રાણ ઊતર્યું ?
તમોને વીંધી ગૈ સનન, કરુણા એ શું પ્રભુની ?
મનુષ્યે ઝંખેલાં પ્રણય-સતનો સિદ્ધિ-પથ આ
અસત્-હસ્તે થાવું સતત હત, એ અંતિમ પથ ?

હજી રોતી પૃથ્વી : પ્રગટ ધરતીનાં રુદન શા
હતા ગાંધી. એને ગત કરી, પ્રભો ! તેં રુદનને
વધાર્યાં. ક્યારે યે રુદન સ્મિતમાં ના પલટશે ?
કહે, પૃથ્વી અર્થે પ્રગટ તવ આનંદ ન થશે ?

(અનુષ્ટુપ)
પૂર્ણથી પૂર્ણ એ તારા સત્ય આનંદનો ઘટ
અક્ષુણ્ણ ધરતીતીરે પ્રગટાવ, મહા નટ !

– સુન્દરમ્
(૧૫-૦૨-૧૯૪૮)

આ અવનિ પર ગાંધીજીએ પ્રથમ શ્વાસ લીધો એને આજે ૧૫૦ વર્ષ પૂર્ણ થયાં. દોઢસોમી જન્મજયંતિ નિમિત્તે ગાંધીજીના અવસાનના પંદર દિવસ પછી લખાયેલું આ કાવ્ય આપ સહુ માટે રજૂ કરીએ છીએ..

કળી ન શકાય એવી સફર સાધીને ગાંધી તો ચાલતા થયા પણ આ શાંતિપ્રિય વ્યક્તિની ગેરહાજરીના કારણે જે આંધી સર્જાય, એ એમની શાંતિપ્રિયતાથી શું વિપરિત નહોતી? શું એ ગાંધીને છાજે ખરું? જાઉં છું એવું કહેવાય એ રોકાયા નહીં, ને ઘડીભર તો પૃથ્વીનું હૈયું પણ સ્થિર થઈ ગયું. અજાતશત્રુ ગાંધીજીની શત્રુતા દુનિયાભરની શત્રુતાની સામે હતી. દુનિયામાંથી વેરભાવ મિટાવી દુનિયાને પ્રણયની વેદી બનાવવી એ એમની એકમાત્ર ઇચ્છા હતી. અને આ સંગ્રામમાં તેઓ માત્ર પ્રભુનામનું કવચ પહેરીને કૂદી પડ્યા હતા. ગાંધી-સાધી અને આંધીનો આંતર્પ્રાસ રચનાને બળકટતા આપે છે.

ત્રણ ગોળી સનન કરતી વીંધી ગઈ, એ બતાવવા કવિએ વાપરેલ ત્રણ અક્ષરનો સ-ન-ન ત્રણ ગોળીઓ જેવો ભાસે છે. આ કવિકર્મની કમાલ છે. ‘અસત્-હસ્તે થાવું સતત હત, એ અંતિમ પથ’ –અહીં પણ જે નાદસૌંદર્ય જન્મ્યું છે એ કાવ્યની કરુણાને વધુ ઘેરી બનાવે છે. પૃથ્વી પરનાં સૌ રુદન દૂર કરી શકે એ પહેલાં જ ગાંધી વિદાય થયા એટલે રુદન ઓર વધી ગયાં. કાવ્યાંતે કવિ આ મહા નટને અરજી કરે છે કે એના સત્ય અને આનંદનો ઘડુલો ધરતીના કાંઠે પ્રગટાવે… એની અનુપસ્થિતિમાં એણે કરેલા કાર્યો અને એણે ચીંધેલા માર્ગે ચાલીને આપણે પરમ શાંતિ અને ચરમ આનંદની પ્રાપ્તિ કરીએ…

Comments (4)

પ્રતિમાની દેવી – શ્રી અરવિંદ (અનુ. સુન્દરમ્)

ત્યહીં નગર દેવને, લઘુક મંદિરે રાજતી
શિલાની પ્રતિમા થકી પ્રભુ રહ્યા લહી હું પ્રતિ:
રહ્યું વિલસી દિવ્ય મૃત્યુ-પર એક સાંનિધ્ય ત્યાં, –
સ્વરૂપ નિજમાં ધરંતું સઘળાં ય આનંત્યને.

વિરાટ જગદંબિકા – પ્રખર એની ઇચ્છા તથા
ધરાની અતલાંત નીંદ મહીં આવી વાસો વાસી,
અશબ્દ, પરમા સમર્થ, અવિગમ્ય, મૂક સ્થિતા
ત્યહીં રણ વિષે અને ગગનમાં તથા સાગરે.

હવાં મનસ-આવૃતા વસતી તે, ન બોલ કશું,
અશબ્દ, અવિગમ્ય, સર્વંવિદ, ગુમ એ તો વસે;
યદા નિરખશે જ આત્મ અમ સૂણશે-શી વિધે
ગ્રહંતી તન એ, પૂજારી પ્રતિમા વિષે એક જે,

શકે પથર કે શરીર ધરી જેનું સૌંદર્ય, હા,
રહસ્ય પણ જેહનું – પ્રગટ એ થશે ત્યાહરે.

– શ્રી અરવિંદ
(અનુ. સુન્દરમ્)

*
મહર્ષિ અરવિંદ પથ્થરની પ્રતિમાને સામે રાખીને સર્વવ્યાપી, સર્વશક્તિમાન, સર્વજ્ઞ પરમેશ્વરપ્રાપ્તિનો માર્ગ પ્રશસ્ત કરે છે. નાશવંત પથ્થરોમાં કેદ ઈશ્વર હકીકતે આપણી પ્રતિક્ષામાં જ છે, આપણને આવકારવા સર્વદા તત્પર જ છે. આપણે જ્યાં સુધી નિદ્રાવશ છીએ ત્યાં સુધી જ એ ચૂપ છે. આપણે આપણો માનસપટ ફગાવીને પરમકૃપાળુનો સાદ સાંભળીએ એ ઘડી આપણી જાગૃતિની ઘડી છે. મૂર્તિ અને જડ આકાર એ પ્રભુ સુધી લઈ જતા માર્ગ માત્ર છે. પથ્થરની પ્રતિમા આપણે વિચારી શકીએ એના કરતાં વધુ સજીવ, વધુ સામર્થ્યશાળી છે.

*

The Stone Goddess

In a town of gods, housed in a little shrine,
From sculptured limbs the Godhead looked at me,–
A living Presence deathless and divine,
A Form that harboured all infinity.

The great World-Mother and her mighty will
Inhabited the earth’s abysmal sleep,
Voiceless, omnipotent, inscrutable,
Mute in the desert and the sky and deep.

Now veiled with mind she dwells and speaks no word,
Voiceless, inscrutable, omniscient,
Hiding until our soul has seen, has heard
The secret of her strange embodiment,

One in the worshipper and the immobile shape,
A beauty and mystery flesh or stone can drape.

– Sri Aurobindo

Comments (2)

તે રમ્ય રાત્રે – સુન્દરમ્

(મિશ્ર ઉપજાતિ)

તે રમ્ય રાત્રે
ને રાત્રિથીયે રમણીય ગાત્રે
ઊભી હતી તું ઢળતી લતા સમી
ત્યાં બારસાખે રજ કાય ટેકવી.

ક્યાં સ્પર્શવી ?
ક્યાં ચૂમવી ? નિર્ણય ના થઈ શક્યો
ને આવડી ઉત્તમ કામ્ય કાયા
આલિંગવાને સરજાઈ, માની
શક્યું ન હૈયું. જડ થીજી એ ગયું
એ હૈમ સૌન્દર્ય તણા પ્રવાહમાં.

ને પાય પાછા ફરવા વળ્યા જ્યાં
ત્યાં સોડિયેથી કર બ્હાર નીસરી
મનોજ કેરા શર-શો, સુતન્વી
કાયાકમાને ચડી, વીંધવાને
ધસંત ભાળ્યો : ‘નથી રે જવાનું.’

હલી શક્યો કે ન ચાલી શક્યો ન હું.
નજીક કે દૂર જઈ શક્યો ન હું.
એ મૂક્તા-સાગરમાં વિમૂઢતા
તણા અટૂલા ખડકે છિતાયલા
કો નાવભાંગ્યા જનને ઉગારવા
આવંત હોડી સમ તું સરી રહી.

ક્યાં સ્પર્શવો ? ક્યાં ગ્રહવો ? તને તે
નડી શકી ગૂંચ ન લેશ ત્યારે –
.                        તે રમ્ય રાત્રે,
.                      રમણીય ગાત્રે !

-સુન્દરમ્

(રજ=જરાક; કામ્ય=ઈચ્છા કરવા યોગ્ય; હૈમ=હિમ સંબંધી; મનોજ=કામદેવ; સુતન્વી= સુંદર નાજુક શરીરવાળી; મૂક્તા= મૂંગાપણું; છિતાયલા= છીછરા પાણીમાં વહાણનું જમીન સાથે ચોંટવું)

પ્રણયનો અનુવાદ જે ઘડીએ શરીરની ભાષામાં પહેલવહેલો થાય તે ઘડીની વિમાસણ કવિએ એવી અદભુત રીતે આલેખી છે કે આ આપણી ભાષાનું શિરમોર પ્રણયકાવ્ય બની રહે છે.

તે રમ્ય રાત્રે પ્રેયસી બારણાની કમાનને સહેજ ટેકવીને ઊભી છે. શાશ્વત સૌંદર્યની દેવીને જોતાવેંત જ કાવ્યનાયક થીજી જાય છે. સ્પર્શ, ચુંબન અને આલિંગનની હિંમત નાયકના ગાત્રોમાં રહેતી નથી. પણ નાયિકા પ્રણયની આ પહેલવહેલી શારીરિક ક્ષણોમાં કોઈ મૂંઝવણ અનુભવતી નથી. આમેય સ્ત્રી પ્રેમમાં પડે છે ત્યારે પારદર્શક સમજણ સાથે જ પડતી હોય છે. કમાન પર લતાની જેમ ટેકવાયેલી કાયામાંથી નાયિકાનો હાથ એ રીતે આગળ વધે છે જાણે કામદેવ ધનુષબાણ પર તીર ચડાવી શરસંધાન ન કરતા હોય. ચુપકીદી ગંભીર દરિયા જેવડી વધી પડી હતી તેવામાં છીછરા પાણીમાં વિમૂઢતાના ખડક પર ખોટકાઈ તૂટેલી નાવભાંગ્યા જણ જેવા નાયકને ઉગારવા આવતી હોડી સમી નાયિકા સામું સરી આવે છે, પ્રણયની સ્ફટિકસ્પષ્ટ સમજણ સાથે.

અદભુત ! અદભુત !! અદભુત !!!

Comments (5)

મેરે પિયા – સુન્દરમ્

મેરે પિયા મૈં કછુ નહિ જાનૂં ,
મૈં તો ચુપચુપ ચાહ રહી

મેરે પિયા, તુમ કિતને સુહાવન,
તુમ બરસો જિમ મેહા સાવન.
મૈં તો ચુપચુપ નાહ રહી

મેરે પિયા તુમ અમર સુહાગી,
તુમ પાયે મૈં બહુ બડભાગી
મૈં તો પલપલ બ્યાહ રહી.

– સુન્દરમ્

વિશુદ્ધ પ્રેમની બાની….. કેટલા સરળ શબ્દો ! એટલો અદભૂત ભાવ છે કે આ વિષે કંઈ પણ બોલવું-લખવું મારા ગજાની બહારની વાત છે…..

Comments

ગાંધી – સુન્દરમ્

પટે પૃથ્વીકેરે ઉદય યુગ પામ્યો બળતણો,
ભર્યાં વિદ્યુત્, વાયુ, સ્થળ, જળ મુઠીમાં જગજને;
શિકારો ખેલ્યા ત્યાં મદભર જનો નિર્બળતણા,
રચ્યાં ને ઊંચેરાં જનરુધિરરંગ્યાં ભવન કૈં.

ધરા ત્રાસી, છાઈ મલિન દુઃખછાયા જગ પરે,
બન્યાં ગાંધીરૂપે પ્રગટ ધરતીનાં રુદન સૌ;
વહેતી એ ધારા ખડક-રણના કાતિલ પથે,
પ્રગલ્ભા અંતે થૈ, ગહન સરલા વાચ પ્રગટી :

હણો ના પાપીને, દ્વિગુણ બનશે પાપ જગનાં,
લડો પાપો સામે વિમળ દિલના ગુપ્ત બળથી,
પ્રભુ સાક્ષી ધારી હૃદયભવને, શાંત મનડે
પ્રતિદ્વેષીકેરું હિત ચહી લડો, પાપ મટશે.

પ્રભો, તેં બી વાવ્યાં જગપ્રણયનાં ભૂમિઉદરે,
ફળ્યાં આજે વૃક્ષો, મરણપથ શું પાપ પળતું !

– સુન્દરમ્

પ્રથમ દૃષ્ટિએ કવિતા વધુપડતી મુખર લાગે પણ કવિએ વાચાળ થઈને પણ સૂક્ષ્મતાપૂર્વક સર્વકાલીન સત્ય અદભુત રીતે કવિતામાં વણી લીધું છે. આ સત્ય દરેક યુગનું સત્ય છે. બળનો યુગ ઉદય પામે, ધરા-આકાશ-સમુદ્ર બધું જ કાબૂમાં કરી લે, નિર્બળ લોકોનો શિકાર ખેલે અને એમના રક્ત સીંચીને મહાલયો ખડા કરે…

ગીતાના यदा यदा हि धर्मस्यના નિયમ મુજબ ક્યારેક ઈસુ તો ક્યારેક બુદ્ધ તો ક્યારેક ગાંધી ધરતીના રુદનમાંથી જન્મ લે છે અને કવિ સુન્દરમ્ ગાંધીવાણીના રૂપે આપણને અજર-અમર કહેવત આપે છે: “હણો ના પાપીને… …ગુપ્ત બળથી”

પણ ધરતીમાં જ કંઈ સમસ્યા છે કે શું પણ વિશ્વપ્રેમના બીજ વાવ્યાં હોવા છતાં મરણપથ સમું પાપ જ ઊગે છે… (જો કે વિશ્વપ્રેમનાં બીજમાંથી આજે વૃક્ષ થયું એવો અર્થ પણ અંતિમ બે પંક્તિનો અન્યો વડે કરવામાં આવ્યો છે)

(છંદ: શિખરિણી, શૈલી: શેઇક્સપિરિઅન)

 

Comments (2)

બક્ષિસ – સુન્દરમ્

રાજાના દરબારમાં રસિકડી મેં બીન છેડી અને
તેં તારા ઠમકારથી સકળનાં ચોરી લીધાં ચિત્તને,
રાજા ત્યાં હરખ્યો, સભા ખુશ થઈ : ‘માંગી લિયો ચાહ્ય સો.’
બંને આપણ થંભિયા પણ ન કૈં સૂઝ્યું જ શું માંગવું,
ને પાછાં હસી આપણે મનભરી ગાયા બજાવ્યું કર્યું.

– સુન્દરમ્

પાંચ જ લીટીમાં કેવી સરસ વાત ! સાચો કળાકાર માત્ર કદરનો જ ભૂખ્યો હોય છે, ઈનામ-અકરામનો નહીં… ખરું ને ?

Comments (1)

કાહેકો ?- સુન્દરમ

કાહેકો રતિયા બનાઈ ?
નહીં આતે, નહીં જાતે મન સે,
તુમ ઐસે ક્યોં શ્યામ કનાઈ ? …..કાહેકો.

હમ જમના કે તીર ભરત જલ,
હમરો ઘટ ન ભરાઈ,
ઐસો ઘટ ક્યોં તુમને દિયો,
જાકે તુમ બિન કો ન સગાઈ ?…..કાહેકો.

ચલત ચલત હમ વૃંદાવન કી
ગલી ગલી ભટકાઈ,
સબ પાયા રસ, પિયા પિલાયા,
તુમરી સૂરત ન દિખાઈ. ….કાહેકો.

હમ ઐસે તો પાગલ હૈં પ્રભુ,
તુમ જાનો સબ પગલાઈ,
પાગલ કી ગત પાગલ સમઝે
હમેં સમઝો, સુંદરાઈ! ……કાહેકો.

કહેવાય છે- ઈશ્વર માનવીના મનનું સર્જન છે. જાતે જ પ્રિયતમનું સર્જન કરે,જાતે જ તેનાથી વિરહની ભાવના અનુભવે અને જાતે જ આવા તલસાટના ગીત સર્જે [વાહ રે મન મર્કટ] !!!!! ……its a journey from emptiness to emptiness …….

Comments (2)

ગઠરિયાં – સુન્દરમ

બાંધ ગઠરિયાં
મૈં તો ચલી

રુમઝુમ બાજત ઝાંઝ પખાજન,
છુમછુમ નર્તન હોવત રી,
પીવકે ગીત બુલાવત મોહે,
બાંધ ગઠરિયાં મૈં તો ચલી

સુન્ના ન લીયા, રૂપા ન લીયા,
ન લીયા સંગ જવાહર રી,
ખાખ ભભૂતકી છોટી સરિખી
બાંધ ગઠરિયાં મૈં તો ચલી

છોટે જનકે પ્યાર તનિકકી
ગઠરી પટકી મૈં ઠહરી,
સુન્દર પ્રભુકે અમર પ્રેમકી
બાંધ ગઠરિયાં મૈં તો ચલી

– સુન્દરમ

શબ્દોની અદભૂત મીઠાશ અને મીરાંસમ સમર્પણથી શોભતું – પ્રેમલક્ષણા ભક્તિના સર્વોતમ પદોની પંગતમાં બેસી શકે એવું – પદ.

Comments (7)

યાદગાર ગીતો :૦૪: રંગ રંગ વાદળિયા -સુન્દરમ્

હાં રે અમે ગ્યાં’તાં
હો રંગના ઓવારે
કે તેજ ના ફુવારે,
અનંતના આરે,
કે રંગ રંગ વાદળિયાં

હાં રે અમે ઊડયાં
હો મોરલાના ગાણે,
કે વાયરાના વહાણે,
આશાના સુકાને,
કે રંગ રંગ વાદળિયાં

હાં રે અમે થંભ્યાં
હો મહેલના કિનારે
પંખીના ઉતારે,
કે ડુંગરાની ધારે,
કે રંગ રંગ વાદળિયાં.

હાં રે અમે પહોંચ્યાં
હો આભલાને આરે,
કે પૃથ્વીની પાળે,
પાણીના પથારે,
કે રંગ રંગ વાદળિયાં.

હાં રે અમે નાહ્યાં
હો રંગના ઓવારે,
કે તેજના ફુવારે,
કુંકુમના ક્યારે,
કે રંગ રંગ વાદળિયાં.

હાં રે અમે પોઢયાં
છલકંતી છોળે,
દરિયાને હિંડોળે,
ગગનને ગોળે,
કે રંગ રંગ વાદળિયાં.

હાં રે અમે જાગ્યાં
ગુલાલ ભરી ગાલે,
ચંદન ધરી ભાલે,
રંગાયા ગુલાલે,
કે રંગ રંગ વાદળિયાં.

હાં રે અમે નાચ્યાં
તારાના તરંગે,
રઢિયાળા રંગે,
આનંદના અભંગે,
કે રંગ રંગ વાદળિયાં.

– સુન્દરમ્

(જન્મ: ૨૨-૩-૧૯૦૮, મૃત્યુ: ૧૩-૧-૧૯૯૧)

સંગીત: રવિન નાયક
સ્વર: બાળવૃંદ

[audio:http://tahuko.com/gaagar/layastaro/Rang rang vadaliya.mp3]

ભરૂચ જિલ્લાના મિયાંમાતર ગામના વતની અને 1945થી પોંડિચેરીના શ્રી અરવિંદ આશ્રમમાં સાધકનું જીવન ગાળનાર કવિશ્રી ત્રિભુવનદાસ પુરુષોત્તમદાસ લુહાર ‘સુંદરમ્’ (જન્મ: 22-03-1908, મૃત્યુ:10-01-1991) ગાંધીકાલિન કવિઓમાંના એક અગ્રણી કવિ છે. દેશના સ્વાતંત્ર્ય યજ્ઞના અદના સેવક રહ્યા હોવાના નાતે એમની કવિતાઓમાં વિશાળ માનવપ્રેમની લાગણી, પીડિતો પ્રત્યે અનુકંપા, રાષ્ટ્ર-મુક્તિનો ઉલ્લાસ સ્વાભાવિક્તાથી નિરૂપાયેલા લાગે. એમના કાવ્યો રંગદર્શી માનસની કલ્પનાશીલતાથી અને ભોવોદ્રેકની ઉત્કટતાથી આપણને સ્પર્શી જાય છે. પ્રેમ, પ્રકૃતિ અને પ્રભુ એમની કવિતાના પ્રધાન વિષયો. કટાક્ષ-કાવ્યો, વાર્તાઓ, વિવેચન, નિબંધો, નાટકો, પ્રવાસકથા જેવા લખાણોમાં એમની બહુમુખી પ્રતિભા છલકાતી નજરે ચડે છે. કાવ્ય સંગ્રહો: ‘કોયા ભગતની કડવી વાણી’, ‘કાવ્યમંગલા’, ‘વસુધા’, ‘યાત્રા’, ‘વરદા’, ‘મુદિતા’, ‘લોકલીલા’, ‘દક્ષિણા-1,2′ જેવા વીસેક કાવ્યસંગ્રહો.

આમ તો સુન્દરમ્ ના અનેક ગીતો યાદગાર છે. પણ આ બાળગીતમાં સુન્દરમ્ ની બાળક બનીને ગીત લખી શકવાની શક્તિના દર્શન થાય છે. સુન્દરમ્ નું આ બાળગીત આપણા શ્રેષ્ઠ બાળગીતોમાંથી એક છે. એક જમાનો હતો જ્યારે મને આ ગીત આખું મોઢે હતું. આજે હવે એવો દાવો તો કરી શકું એમ નથી. પણ આજે ય કોઈ કોઈ વાર આ ગીત, એના લય અને એના કલ્પનોને અવશ્ય માણી લઉં છું. કુદરતના સૌંદર્યની તમામ લીલાને જેણે જીવને સંતોષ થાય એટલી માણી હોય એ જ આવું ગીત લખી શકે. ‘મેઘદૂત’માં કાલીદાસ જેમ વાદળના માધ્યમથી સમગ્ર ભારતવર્ષના સૌંદર્યની ઓળખાણ કરાવે છે એમ અહીં કવિ બાળકોને કલ્પનાના નાનકડા જગતની ઓળખાણ વાદળના માધ્યમથી કરાવે છે. એ રીતે જોઈએ તો આ ગીત બાળગીતોમાં ‘મેઘદૂત’ છે 🙂

તા.ક.: ઓડિયો માટે જયશ્રીનો ખાસ આભાર.

Comments (16)

The Pilgrim of the Night – Arvind (રાત્રિનો યાત્રી – અનુ. સુન્દરમ્)

I made an assignation with the night;
In the abyss was fixed our rendezvous:
In my breast carrying God’s deathless light
I came her dark and dangerous heart to woo.
I left the glory of the illuminated mind
And the calm rapture of the divinised soul
And traveled through a vastness dim and blind
To the gray shore where her ignorant waters roll.
I walk by the chill wave through the dull slime
And still that weary journeying knows no end;
Lost is the lustrous godhead beyond time,
There comes no voice of the celestial Friend,
And yet I know my footprints’ track shall be
A pathway towards immortality.

– Maharshi Arvind

રાત્રિનો યાત્રી

નિશા સહ સુયોજ્યું મેં મિલન; ખીણ પેટાળમાં
સુનિશ્ચિત કરાઈ તે મિલનકેરી ભૂમિ અમ:
અને અમર તે પ્રકાશ પ્રભુનો હું ધારી ઉરે
કરાળ તિમિરાળ એનું ઉર જીતવા સંચર્યો.

પ્રભામય મનસ્ તણા સકલ વૈભવોને તજી,
પ્રશાંત રસ દિવ્ય રૂપ થયલા તજી આત્મનો,
વિશાળ પટ ધૂસરા તિમિરના હું વીંધી પળ્યો
તટે ભુખર, જ્યાં જલો છલકી અજ્ઞ એનાં રહ્યાં.

હવાં વિરસ પંક ખૂંદત ભમું હું ટાઢાં જલો
સમીપ, પણ ના સમાપ્તિ ક્યહીં શુષ્ક યાત્રાની આ;
ત્રિકાલ-પર ઓસરી ય પ્રભુતા પ્રભા-સંભૃતા,
અને સ્વર ન દિવ્ય એ સુહૃદનો ય આવે લવ.

છતાં મન વિશે મને જ – પગલાંની કેડી મુજ
મહા સુપથ હા થવાની અમૃતત્વના ધામનો.

– અનુ. સુન્દરમ્

રાત્રિનું કાળું અને ડરામણું હૈયું જીતવા છાતીમાં ઈશ્વરનો અમર્ત્ય પ્રકાશ લઈને હું ખીણમાં જ્યાં અમારી મુલાકાત નક્કી કરાઈ હતી ત્યાં જવા નીકળ્યો. પ્રકાશિત મનનો વૈભવ અને દિવ્ય આત્માના પ્રશાંત આનંદને છોડી દઈ હું વિશાળ ઝાંખા અને આંધળા પટને વીંધીને ભુખર કિનારે જ્યાં રાત્રિનાં અજ્ઞ જળ વહેતાં હતાં ત્યાં પહોંચ્યો. નિરસ કાદવમાં ઠંડાગાર મોજાંઓ કને થઈને હું નીકળ્યો પણ આ શુષ્ક મુસાફરીનો ક્યાંય અંત દેખાતો નહોતો. સમય પારની ઈશ્વરીય પ્રભા પણ ઓગળી ગઈ અને દિવ્ય મિત્રનો કોઈ અવાજ પણ આવતો નહોતો. છતાં મને ખબર હતી કે મારા પગલાંની કેડી મને એ જ મહાપથ ભણી લઈ જઈ રહી હતી જ્યાં અમૃતત્વ છે…

Comments (6)

સુન્દરમ્-સુધા : બુંદ-૦૮ : ભવ્ય સતાર – સુન્દરમ્

Sundaram

અહોહો ઝનઝન ભવ્ય સતાર !
રણઝણે તાર તાર પર તાર !

અધર ગગનમાં ચડી પૃથ્વીનું તુંબ ગ્રહ્યું તેં ગોદ,
સપ્ત તેજના તંતુ પરોવી તેં છેડ્યો કામોદ.
.                   અહોહો ઝનઝન ભવ્ય સતાર ! રણઝણેo

કુંજ કુંજ કોયલ ગૈ થંભી, થંભી ગ્રહઘટમાળ,
ક્ષીરસિંધુએ તજી સમાધિ, જાગ્યો બ્રહ્મમરાળ.
.                   અહોહો ઝનઝન ભવ્ય સતાર ! રણઝણેo

અમે પૂછતા કોણ વરસતું, નહિ વાદળ નહિ વીજ,
તેં તારો મુખચંદ દરસિયો, મુજને પડી પતીજ.
.                   અહોહો ઝનઝન ભવ્ય સતાર ! રણઝણેo

દૂર દૂર ભીતરની ભીતર, એ જ એક ઝંકાર,
કૈંક કળ્યો, કૈં અકળિત તોયે મીઠો તુજ મલ્હાર.
.                   અહોહો ઝનઝન ભવ્ય સતાર ! રણઝણેo

સૌ માગે છે લલિત વસંતે ભૂપ ભવ્ય કલ્યાણ,
હું માગું આછી આસાનું મંજુલ મંજુલ ગાન.
.                   અહોહો ઝનઝન ભવ્ય સતાર ! રણઝણેo

– સુન્દરમ્

કવિશ્રી સુન્દરમ્ ની જન્મ-શતાબ્દી નિમિત્તે આદરેલી સુન્દરમ્-સુધા શ્રેણીનું આજે એક બોનસપોસ્ટ આપીને સમાપન કરીએ. શૃંખલાની પ્રથમ કડી ઈશ્વરાસ્થાસભર હતી, એ જ અન્વયે અંતિમ કડીમાં પણ પ્રભુ સાથે તાદાત્મ્ય સાધવાની કોશિશ કરીએ…

ગાતાંની સાથે ગમી જાય એવું આ ગીત… (ગાતાંવેંત, વાંચતાવેંત નહીં કેમકે આ અદભુત લયબદ્ધ ગીત વાંચવું તો અશક્ય જ લાગે છે!) કવિ સૃષ્ટિમાંથી નીકળીને સમષ્ટિ તરફ વળે છે. અહીં બ્રહ્માંડની સિતાર રેલાઈ રહી છે. જેમ આ સિતાર જેવી-તેવી નથી એમ એમાંથી નીકળતાં સૂર પણ જેવા-તેવા નથી. સિતારમાં તાર-વ્યવસ્થા અન્ય વાજિંત્રોથી થોડી અલગ પ્રકારની હોય છે. ઉપરની તરફ મુખ્ય સાત તાર અને નીચેની બાજુએ તરપના તેર અન્ય તાર… તાર તાર પર તાર કહેવા પાછળ કવિનો આ વ્યવસ્થા તરફ ઈશારો હશે કે પછી તારના રણઝણવાનો નાદધ્વનિ શબ્દ પુનરોક્તિ દ્વારા ત્રેવડાવવા માંગતા હશે? સપ્તતેજના તંતુમાં ફરી એકવાર સિતારની તાર વ્યવસ્થા ઉપસતી નજરે ચડે છે… બાકી ગીત એવું સહજ છે કે એને માણવા માટે ભાવકને અન્ય કોઈ માધ્યમની જરૂર નથી…

(કામોદ=એક રાગ; ક્ષીર=દૂધ; મરાળ=હંસ; પતીજ=વિશ્વાસ; ભૂપ=રાજા; ભૂપ કલ્યાણ= કલ્યાણ રાગ; આસા=એક રાગિણી)

Comments (5)

સુન્દરમ્-સુધા : બુંદ-૦૭ : નમું તને, પથ્થરને? – સુંદરમ્

Sundaram

નમું તને, પથ્થરને? નહીં, નહીં,
શ્રદ્ધા તણા આસનને નમું નમું :
જ્યાં માનવીનાં શિશુ અંતરોની
શ્રદ્ધાભરી પાવન અર્ચના ઠરી.

કે મુક્ત તલ્લીન પ્રભુપ્રમત્તની
આંખો જહીં પ્રેમળતા ઝરી ઝરી.
તું માનવીના મનમાં વસ્યો અને
તનેય આ માનવ માનવે કર્યો;

મનુષ્યની માનવતાની જીત આ
થયેલ ભાળી અહીં, તેહને નમું.
તું કાષ્ઠમાં, પથ્થર, વૃક્ષ, સર્વમાં,
શ્રદ્ધા ઠરી જ્યાં જઇ ત્યાં, બધે જ તું.

તને નમું, પથ્થરનેય હું નમું,
શ્રદ્ધા તણું આસન જ્યાં નમું તહીં.

– સુંદરમ્
(27, જુલાઇ 1939)

Comments (3)

સુન્દરમ્-સુધા : બુંદ-૦૬ : ગાંધી – સુન્દરમ

Sundaram

પટે પૃથ્વી કેરે ઉદય યુગ પામ્યો બળ તણો,
ભર્યાં વિદ્યુત્, વાયુ, સ્થળ, જળ મૂઠીમાં જગજને,
શિકારો ખેલ્યા ત્યાં મદભર જનો નિર્બળ તણા,
રચ્યાં ત્યાં ઊંચેરાં જનરુધિરરંગ્યાં ભવન કૈં.

ધરા ત્રાસી, છાઈ મલિન દુઃખછાયા જગ પરે,
બન્યાં ગાંધી રૂપે પ્રગટ ધરતીનાં રુદન સૌ,
વહેતી એ ધારા ખડક-રણના કાતિલ પથે,
પ્રગલ્ભા અંતે થૈ, ગહન કરવા વાચ પ્રગટી :

હણો ના પાપીને, દ્વિગુણ બનશે પાપ જગનાં,
લડો પાપો સામે વિમળ દિલના ગુપ્ત બળથી,
પ્રભુ સાક્ષી ધારી હૃદયભવને, શાંત મનડે
પ્રતિદ્વેષી કેરું હિત ચહી લડો; પાપ મટશે.

પ્રભો, તેં બી વાવ્યાં જગપ્રણયનાં ભૂમિઉદરે,
ફળ્યાં આજે વૃક્ષો, મરણપથ શું પાપ પળતું !

-‘સુન્દરમ્’

દશાવતારની કથાઓ વાંચતા હોઈએ અને એમાં જે રીતે પૃથ્વી પર કોઈના પાપનો ઘડો ભરાઈ જાય પછી વિષ્ણુ અવતાર લઈને પૃથ્વી પર એનો નાશ કરવા પધારે એજ શૈલીમાં કવિએ અહીં ગાંધીકથા આલેખી છે. નિર્બળ લોકોનો મદભર્યા લોકો શિકાર ખેલતા હોય, જલિયાવાલાં જેવા સભાગૃહો લોકોના શોણિતથી રંગાતા હોય અને પૃથ્વી ત્રાસી જાય ત્યારે એનું રુદન લોહવા જાણે ગાંધી પ્રગટ થયા.

હણો ના પાપીને, દ્વિગુણ બનશે પાપ જગનાં, લડો પાપો સામે વિમળ દિલના ગુપ્ત બળથી“- આ બે પંક્તિઓ જાણે કે આ યુગની વેદવાણી છે પણ કેટલાએ જાણી છે ?!

(પ્રગલ્ભા=પ્રૌઢા, નિર્ભય)

Comments (7)

સુન્દરમ્-સુધા : બુંદ-૦૫ : મને ફાગણનું એક ફૂલ આપો… -સુન્દરમ્

s2.jpg

મને ફાગણનું એક ફૂલ આપો, કે લાલ મોરા
                  કેસૂડો કામણગારો જી લોલ.

વનની વાટે તે વ્હાલા એક ફૂલ દીઠું લોલ,
        એકલ હો ડાળ, એક એકલડું મીઠું લોલ,
             મેં તો દીઠું દીઠું ને મન મોહ્યું, કે લાલ મોરા,
                    કેસૂડો કામણગારો જી લોલ.

ઉત્તરના વાયરાએ ઢંઢોળ્યાં વન લોલ,
        જાગી વસંત, કૈંક જાગ્યાં જીવન લોલ,
                 મેં તો સુખડાંની સેજ તજી જોયું, કે લાલ મોરા,
                    કેસૂડો કામણગારો જી લોલ.

રૂપલિયા વાટ મારી રૂપલિયા આશ લોલ,
            સોનલા સૂરજ તારા, સોનલ ઉજાસ લોલ,
               તારી વેણુમાં વેણ મેં પરોવ્યું, કે લાલ મોરા,
                    કેસૂડો કામણગારો જી લોલ.

-સુન્દરમ્

Comments (4)

સુન્દરમ્-સુધા : બુંદ-૦૪ : ઘણ ઉઠાવ – સુન્દરમ્

Sundaram

ઘણુંક ઘણું ભાંગવું, ઘણ ઉઠાવ, મારી ભુજા !
ઘણુંક ઘણું તોડવું, તું ફટકાર ઘા, ઓ ભુજા !
અનંત થર માનવી હ્રદય – ચિત્ત – કાર્યે ચઢ્યા
જડત્વ યુગ જીર્ણના, તું ધધડાવી દે ઘાવ ત્યાં.

ધરા ધણધણે ભલે, થરથરે દિશા, વ્યોમમાં
પ્રકંપ પથરાય છો, ઉર ઉરે ઊઠે ભીતિનો
ભયાનક ઉછાળ છો, જગત જાવ ડૂલી ભલે,
પછાડ ઘણ, ઓ ભુજા ! ધમધમાવ સૃષ્ટિ બધી !

અહો યુગયુગાદિનાં પડ પરે પડો જે ચઢ્યાં
લગાવ, ઘણ ! ઘા, ત્રુટો તડતડાટ પાતાળ સૌ,
ધરાઉર દટાઇ મૂર્છિત પ્રચંડ જ્વાલાવલી
બહિર્ગત બની રહો વિલસી રૌદ્ર કૃત્કારથી.

.                          તોડીફોડી પુરાણું,
.                        તાવી તાવી તૂટેલું.

ટીપી ટીપી બધું તે અવલનવલ ત્યાં અર્પવા ઘાટ એને
ઝીંકી રહે ઘા, ભુજા ઓ, લઇ ઘણ, જગને ઘા થકી ઘાટ દેને.

– સુન્દરમ્

જૂની વાસી વિચારસરણીને તોડીને નવસર્જન તરફ આગળ વધવા હાકલ કરતું એ જમાનામાં બહુ જ પ્રખ્યાત થયેલું ગીત. ‘ઘણ’ પ્રતિકની પસંદગી કવિ પર સમાજવાદી વિચારસરણીની અસર બતાવે છે. ગીતનો લય એટલો બુંલદ છે કે વાંચકને પોતાની સાથે તરત જ ખેંચી લે છે.

Comments (4)

સુન્દરમ્-સુધા : બુંદ-૦૩ : ઢૂંઢ ઢૂંઢ – સુન્દરમ્

Sundaram

ઢૂંઢ ઢૂંઢ તોહે હો ગઈ રતિયાં,
રો રો કર મોરી થક ગઈ મતિયાં.
.                           ઢૂંઢ ઢૂંઢ તોહે…

બનબન ઢૂંઢત બની બાવરી,
તુમરી સૂરત પિયા કિતની સાંવરી,
કલ ન પડત કહીં ઔર ઔર મોહે,
.                           ઢૂંઢ ઢૂંઢ તોહે હો ગઈ રતિયાં.

દરસ દિયો પિયા! તરસત નૈના,
તુમ બિન ઔર કહીં નહીં ચૈના,
દિન ભયે રૈન, રૈન ભઈ દિના,
.                           ઢૂંઢ ઢૂંઢ તોહે હો ગઈ રતિયાં.

– સુન્દરમ્

મીરાં-ભાવે મીઠી બ્રજબાનીમાં સુન્દરમે ઘણા પદ લખ્યા છે. કવિએ પોતાનું મોટા ભાગનું જીવન પરમ-તત્વની ઉપાસનામાં અર્પણ કરી દીધેલું અને એમાંથી જે નિચોડ મળ્યો એ આ પદમાં દેખાય છે. શબ્દો અને ભાવને આ સીમા સુધી લઈ જવા માટે માણસ માત્ર કવિ હોય એ ન ચાલે, આ તો જે ‘સાંકડી ગલી’માંથી સોંસરો ગયો હોય તેના જ ગજાનું કામ છે. (એક વધુ પદ અહીં જુઓ.)

Comments (2)

સુન્દરમ્-સુધા : બુંદ-૦૨ : રંગ રંગ વાદળિયાં – સુન્દરમ્

Sundaram

હાં રે અમે ગ્યાં’તાં
હો રંગના ઓવારે
કે તેજ ના ફુવારે,
અનંતના આરે,
કે રંગ રંગ વાદળિયાં

હાં રે અમે ઊડયાં
હો મોરલાના ગાણે,
કે વાયરાના વહાણે,
આશાના સુકાને,
કે રંગ રંગ વાદળિયાં

હાં રે અમે થંભ્યાં
હો મહેલના કિનારે
પંખીના ઉતારે,
કે ડુંગરાની ધારે,
કે રંગ રંગ વાદળિયાં.

હાં રે અમે પહોંચ્યાં
હો આભલાને આરે,
કે પૃથ્વીની પાળે,
પાણીના પથારે,
કે રંગ રંગ વાદળિયાં.

હાં રે અમે નાહ્યાં
હો રંગના ઓવારે,
કે તેજના ફુવારે,
કુંકુમના ક્યારે,
કે રંગ રંગ વાદળિયાં.

હાં રે અમે પોઢયાં
છલકંતી છોળે,
દરિયાને હિંડોળે,
ગગનને ગોળે,
કે રંગ રંગ વાદળિયાં.

હાં રે અમે જાગ્યાં
ગુલાલ ભરી ગાલે,
ચંદન ધરી ભાલે,
રંગાયા ગુલાલે,
કે રંગ રંગ વાદળિયાં.

હાં રે અમે નાચ્યાં
તારાના તરંગે,
રઢિયાળા રંગે,
આનંદના અભંગે,
કે રંગ રંગ વાદળિયાં.

– સુન્દરમ્

સુન્દરમ્ નું આ બાળગીત આપણા શ્રેષ્ઠ બાળગીતોમાંથી એક છે. એક જમાનો હતો જ્યારે મને આ ગીત આખું મોઢે હતું. આજે હવે એવો દાવો તો કરી શકું એમ નથી. પણ આજે ય કોઈ કોઈ વાર આ ગીત, એના લય અને એના કલ્પનોને અવશ્ય માણી લઉં છું. કુદરતના સૌંદર્યની તમામ લીલાને જેણે જીવને સંતોષ થાય એટલી માણી હોય એ જ આવું ગીત લખી શકે. ‘મેઘદૂત’માં કાલીદાસ જેમ વાદળના માધ્યમથી સમગ્ર ભારતવર્ષના સૌંદર્યની ઓળખાણ કરાવે છે એમ અહીં કવિ બાળકોને કલ્પનાના નાનકડા જગતની ઓળખાણ વાદળના માધ્યમથી કરાવે છે. એ રીતે જોઈએ તો આ બાળકોનું ‘મેઘદૂત’ છે.

Comments (6)

સુન્દરમ્-સુધા : બુંદ-૦૧ : કોણ ? – સુન્દરમ્

Sundaram

પુષ્પ તણી પાંદડીએ બેસી હસતું કોણ ચિરંતન હાસ ?
પૃથ્વી ઉરથી ઊઠે કોનો સુરભિત પુલકિત મુખરિત શ્વાસ ?

કોણ બદલતું સન્ધ્યાકાશે પલ પલ નવલાં પ્રેમળ ચીર ?
કોણ ઊછળતી મોકલતું નિજ કુમળી ઊર્મિ સરવરતીર ?

અહો, ગુંથતું કોણ પૃથ્વીને સેંથે ઝાકળમોતીમાળ ?
તરુએ તરુએ ફળતી કોની આશા કેરી શાખ રસાળ ?

કોનાં કંકણ બાજે એકલ સરિતા કેરે સૂને ઘાટ ?
પર્વતને શિખરે સ્થિર બેસી કોણ સનાતન જોતું વાટ ?

ઓ સારસની જોડ વિષે ઊડે છે કોની ઝંખનઝાળ ?
અહો ફલંગે કોણ અધીરું વાદળ વાદળ માંડે ફાળ ?

અંતરની એરણ પર કોની પડે હથોડી ચેતન રૂપ ?
કાળ તણી ધરતીમાં ખોદી કોણ રહ્યું જીવનના કૂપ ?

-ત્રિભુવનદાસ પુરુષોત્તમદાસ લુહાર ‘સુન્દરમ્’

૨૨-૦૩-૨૦૦૮ના રોજ કવિશ્રી સુન્દરમ્ ના જન્મ-શતાબ્દી વર્ષની પૂર્ણાહુતિ થાય છે. વર્ષની ઊજવણીના પ્રારંભકાળે કોઈક કારણોસર ચૂકી જવાયું ત્યારથી મનમાં વિચાર રમતો હતો કે શતાબ્દીવર્ષ પૂર્ણ થાય ત્યારે કવિશ્રીની કેટલીક ઉત્તમ રચનાઓનો સંપુટ લયસ્તરોના મર્મજ્ઞ વાચકોને ભેટ આપીશું. એ સંકલ્પની પરિપૂર્ણતાનો પ્રારંભ આજથી આદરીએ છીએ. આપના અભિપ્રાય હંમેશની જેમ અમારું પૂરક અને પ્રેરક બળ સાબિત થશે…

કવિશ્રીની ટૂંકી જીવન-ઝરમર આપ આ ગીતની ફૂટનોટમાં જોઈ શક્શો.

જે વસ્તુઓ આપણે સહજપણે અને જોવાપણાના અહેસાસ વિના જ જોતાં હોઈએ છીએ એમાં દૃષ્ટિની પેલે પારનું દૃશ્ય નીરખી શકે એનું નામ કવિ. પ્રસ્તુત ગીતમાં ‘કોણ?’ પ્રશ્નનો ઉત્તર શરૂથી જ મુખરિત હોવા છતાં કલ્પનોની તાજગી અને લયમાધુર્યના કારણે કવિતા ક્યાંય ઢીલી પડતી નથી. ઈશ્વર સર્વત્ર છે એ જ સંદેશ છે પણ રજૂઆતની શૈલી એને કળાનું, ઉત્તમ કળાનું સ્વરૂપ બક્ષે છે. અનાયાસે આવતા લાગતા પ્રાસ, ઝાકળમોતીમાળ જેવી અભૂતપૂર્વ અભિવ્યંજના અને નાદસૌંદર્યના કારણે આ ગીતનું સંગીત વાંચતી વખતે આંખોમાં જ નહીં, આત્મામાં પણ ગુંજતું હોય એવું લાગે છે. મારા જેવા નાસ્તિકને ય આસ્તિક બનાવી દે…

(મુખરિત=વાચાળ; સાખ=ઝાડ ઉપર સીધે-સીધું પાકેલું ફળ; કૂપ=કૂવો)

Comments (11)

મળ્યાં – સુન્દરમ્

મળ્યાં વિરહના અનેક કપરાં દિનોની પછી
મહાજન સમૂહમાં કરત માર્ગ ધીરે ધીરે,
ઘડી ઘડી અનેક સંગ કરી ગોઠડી લ્હેરથી,
બધાનું પતવી પછી બહુ નિરાંતથી તે મળ્યાં.
ઘણો સમય તો ન કાંઈ જ વદ્યાં અને જ્યાં વદ્યાં
પૂછી ખબર અન્ય કોક તણી સાવ સાદી સીધી.
અને ખબર એ સુણી નહિ સુણી કરી બેઉ તે
અકંપ અણબોલ મૌન મહીં મૂક પાછાં સર્યાં,
ઘડી ઘડી ઉઠાવી નેણ નીરખ્યા કર્યું અન્યને.

-સુન્દરમ્

વિરહના કપરાં દિવસો વેઠ્યા બાદ મળેલા પ્રેમીજનોનું મિલન કેવું હોય? સુનામીના મોજાં જેવું? પણ સુન્દરમ્ ના કાવ્ય નાયક-નાયિકા એવા અનંગવેગથી ન જ મળે. અહીં તો મિલન પણ લોકોની વચ્ચે થાય છે અને બન્ને જણ “લ્હેર”થી વચ્ચે મળતા જતા લોકો સાથે ગોઠડી કરતાં-કરતાં નજીક આવે છે. એકબીજાને મળે છે તો ખરા પણ ‘બધાનું પતવીને’. પ્રદીર્ઘ વિયોગ જેવું જ લાંબું મૌન સેવ્યા પછી પણ હોઠેથી જે વાત સરે છે એ પોતાની નહીં, અન્યોની જ છે અને વળી બંનેના કાન તો એ દુન્યવી વ્યવહારની વાતો પાછા સાંભળતા જ નથી. અકંપ, અણબોલ અને મૌન એમ ત્રણ વિશેષણોને એક કતારમાં મૂકીને કવિએ મૂક સરવાની વાતને ત્રિગુણિત કરી દીધી છે. પ્રેમ એ કોઈ ઢંઢેરો પીટવાની ઘટના નથી, પ્રેમ તો છે એક અનુભૂતિ… એક સંવેદના… જ્યારે સર્વ ઈંદ્રિય સતેજ થઈ જાય છે ત્યારે વાચાને વહેવા શબ્દોના ખભાની જરૂર નથી રહેતી. ઘડી ઘડી – એમ પુનરાવર્તન કરવાથી એકબીજાને આંખો-આંખોથી ચાહવાની, જોવાની, સાંભળવાની ઘટનાને કવિએ બખૂબી શબ્દાંકિત કરી છે. અહીં સુન્દરમ્ નું જ અન્ય કાવ્ય ‘મેરે પિયા મૈં કછું નહીં જાનૂં,મૈં તો ચુપચુપ ચાહ રહી‘ યાદ આવ્યા વિના રહેતું નથી.

Comments (5)

શેર – સુંદરમ્

ઉચ્છવાસે  નિઃશ્વાસે  મારી  એક  જ  રટણા  હો,
તું મુજમાં તુજ ધામ રચી જા, એ શુભ ઘટના હો.

-સુંદરમ્

બે લીટીના આ કાવ્યને પ્રણયકાવ્ય ગણો કે ભક્તિકાવ્ય ગણો… એનો મહિમા સર્વોપરિ જ રહેવાનો…

Comments (3)

પ્રેમ ( એક પ્રસ્તાવના ) – સુન્દરમ્

આ પ્રેમ,
કેમ આવે છે એ ?
નથી એને પાંખો,
            નથી આંખો,
નથી પગ, નથી હાથ

તોયે કેવું પકડે છે એ ?
                        કેવો પકડે છે એ ?
                        કેવો પાડે છે એ ?
                        કેવો ઉપાડે છે એ ?

આંખો મીંચો ને કહો જા
તો પાંપણની પૂંઠળ પહોંચી જાય છે.

તમે કહો ગા,
       તો વગર કંઠે ગાય છે.

સવારની એ સાંજ બનાવી દે છે,
અને સાંજને સમે
       ઉષાઓ ઉગાડી દે છે.

એને આંધળો કોણે કહ્યો ?
       આંખ તો એની જ છે
કોઈએ તમારી આંખમાં
       શું આંખ માંડી નથી ?

– સુન્દરમ્

પ્રેમ વિષે સુન્દરમે અનરાધાર લખ્યું છે. મેરે પિયા !, હું ચાહું છું  કે તને મેં ઝંખી છે જુઓ તો એમની સૂક્ષ્મ દૃષ્ટિનો ખ્યાલ આવે. એમણે જ આ એમના સમય અને શૈલીથી હટીને આ અછાંદસ કાવ્ય પણ લખ્યું છે. કાવ્યની રચના તદ્દન સરળ છે અને વાત સીધી વર્ણનાત્મક રીતે જ આવે છે, છતાંય કાવ્ય એની પોતાની રીતે મોહક છે. પ્રેમ આંધળો હોય છે એ માન્યતાની સામે કવિએ બહુ ઊંડી વાત કરી છે.

Comments (12)

શબ્દોત્સવ – ૩: સૉનેટ: છેલ્લી મંજિલ – સુંદરમ્

સલામ, ધરતી-ઉરેની મુજ છેલ્લી હે મંજિલ!
સલામ, દિન કો ઊગે, દિન તણી ઊગે કેડી–ઓ
પ્રલમ્બ, મધુરી પ્રભાની, કનકાભ કો મેખલા;
ધરા પ્રણય-ધૂસરા મુજ પદોની ધાત્રી થતી.

અહો સુખ ઉરે ઘણું – ભવન તાહરે, મંજિલ !
હૂંફાળી તવ ગોદ, હૂંફભર તારી શય્યા સુખી,
સુખી મધુર આસવો, સુખભર્યાં ભર્યાં ભોજનો-
સદાય વસવું ગમે સુખદ સોણલે તાહરે.

અરે, પણ સદા ન મંજિલ કદાપિ વાસો બને.
નિશા સમયની ઘડી અબઘડી અહીં ગાળવી :
પ્રભાત કૂકડાની બાંગ સહ વાટને ઝાલવી.
સદા સફરી કાજ તો સ્વ-પથ એ જ સંગાથ હા,

સલામ : મુખ ફેરવી પગ હવે જશે, હા જશે :
ફરી ન મુખ તાહરું દૃગપથે કદી આવશે.

સુંદરમ્

(25-1-1952)

Comments

હંકારી જા – સુંદરમ્

મારી બંસીમાં બોલ બે વગાડી તું જા,
મારી વીણાની વાણી જગાડી તું જા.

ઝંઝાના ઝાંઝરને પહેરી પધાર પિયા,
કાનનાં કમાડ મારાં ઢંઢોળી જા,
પોઢેલી પાંપણના પડદા ઉપાડી જરા,
સોનેરી સોણલું બતાડી તું જા.  …મારીo

સૂની સરિતાને તીર પહેરી પીતાંબરી,
દિલનો દડૂલો રમાડી તું જા,
ભૂખી શબરીનાં બોર બેએક આરોગી,
જનમભૂખીને જમાડી તું જા. …મારીo

ઘાટે બંધાણી મારી હોડી વછોડી જા,
સાગરની સેરે ઉતારી તું જા,
મનના માલિક તારી મોજના હલેસે
ફાવે ત્યાં એને હંકારી તું જા.  …મારીo

– સુંદરમ્

ભરૂચ જિલ્લાના મિયાંમાતર ગામના વતની અને 1945થી પોંડિચેરીના શ્રી અરવિંદ આશ્રમમાં સાધકનું જીવન ગાળનાર કવિશ્રી ત્રિભુવનદાસ પુરુષોત્તમદાસ લુહાર ‘સુંદરમ્’ (જન્મ: 22-03-1908, મૃત્યુ:10-01-1991) ગાંધીકાલિન કવિઓમાંના એક અગ્રણી કવિ છે. દેશના સ્વાતંત્ર્ય યજ્ઞના અદના સેવક રહ્યા હોવાના નાતે એમની કવિતાઓમાં વિશાળ માનવપ્રેમની લાગણી, પીડિતો પ્રત્યે અનુકંપા, રાષ્ટ્ર-મુક્તિનો ઉલ્લાસ સ્વાભાવિક્તાથી નિરૂપાયેલા લાગે. એમના કાવ્યો રંગદર્શી માનસની કલ્પનાશીલતાથી અને ભોવોદ્રેકની ઉત્કટતાથી આપણને સ્પર્શી જાય છે. પ્રેમ, પ્રકૃતિ અને પ્રભુ એમની કવિતાના પ્રધાન વિષયો. કટાક્ષ-કાવ્યો, વાર્તાઓ, વિવેચન, નિબંધો, નાટકો, પ્રવાસકથા જેવા લખાણોમાં એમની બહુમુખી પ્રતિભા છલકાતી નજરે ચડે છે.

કાવ્ય સંગ્રહો: ‘કોયા ભગતની કડવી વાણી’, ‘કાવ્યમંગલા’, ‘વસુધા’, ‘યાત્રા’, ‘વરદા’, ‘મુદિતા’, ‘લોકલીલા’, ‘દક્ષિણા-1,2’ જેવા વીસેક કાવ્યસંગ્રહો.

Comments (2)

બાળદિન વિશેષ : ૨ : બેન અને ચાંદો – સુન્દરમ્

બેન       બેઠી    ગોખમાં,
ચાંદો     આવ્યો   ચૉકમાં.

બેની    લાવી   પાથરણું,
ચાંદો   લાવ્યો   ચાંદરણું.

પાથરણા  પર   ચાંદરણું,
ને ચાંદરણાં પર   પારણું.

ચાંદો      બેઠો    પારણે,
બેની      બેઠી    બારણે.

બેને      ગાયા    હાલા,
ચાંદાને  લાગ્યા  વ્હાલા.

બેનનો  હાલો પૂરો થયો,
ચાંદો રમતાં ઊંઘી ગયો.

– સુન્દરમ્

Comments (1)

બંધાઇ ગયું – સુંદરમ્

( શાર્દૂલ વિક્રીડિત)

બેઠી બિસ્તર બાંધવા પ્રિય તણો,લૈ ત્યાં પ્રવાસે જવા,
બાંધ્યાં કોટ ખમીસ ધોતર ડબી અસ્ત્રો અને સાબુયે,
ને ત્યાં ગાંઠ ઘણી કસી, પણ વળી મંડી જ સૌ છોડવા,
આવ્યો પ્રિતમ પૂછતો, ‘ક્યમ અરે! પાછું બધું છોડતી?’
બોલી : ‘ભૂલથી આ બધાંની ભળતું બંધાઇ હૈયું ગયું.’

– સુંદરમ્

 

Comments (3)

હું ચાહું છું – સુન્દરમ

હું ચાહું છું સુન્દર ચીજ સૃષ્ટિની,
ને જે અસુન્દર રહી તેહ સર્વને
મૂકું કરી સુન્દર ચાહી ચાહી.

– સુન્દરમ

એક આંગળીના વેઢે ગણી શકાય એનાથીયે ઓછી પંક્તિઓમાં પ્રેમ અને સુંદરતાના મર્મને અડકી લેવો એ કવિની સિધ્ધી છે. સરખાવો એમની જ અમર રચના – તને મેં ઝંખી છે.

Comments (1)

પગલાં -સુંદરમ

દરિયાને તીર એક રેતીની ઓટલી
ઊચીં અટૂલી અમે બાંધી જી રે.
પગલું તે એક એક પાડે મહેમાન એમ
રામજીની આણ અમે દીધી જી રે.

પહેલા મહેમાન તમે આવો, સૂરજદેવ,
પગલું સોનેરી એક પાડજો જી રે.
પગલામાં નવલખ તારાની ભાત ને
સંધ્યાના રંગ બે’ક માંડજો જી રે.

બીજા મહેમાન તમે આવો, પવનદેવ,
પગલું પનોતું એક પાડજો જી રે.
પગલામાં વાત લખો પરીઓના દેશની
ફૂલડાંની ફોરમ પૂરજો જી રે.

ત્રીજા મહેમાન તમે આવો, સમદરદેવ,
પગલું મોતીનું એક પાડજો જી રે.
પગલામાં મહેલ ચણી સાતે પાતાળના,
માણેકના દીવા પ્રગટાવજો જી રે.

ઘીરે મહેમાન જરા ધીરેથી આવજો,
પગલાં તે પાડજો જાળવી જી ને,
જોજો વિલાય ના એ પગલાંની પાંદડી,
બાળુડે ઓટલી બનાવી જી રે.

-સુંદરમ

ચોક્ક્સ તો યાદ નથી, પણ મોટે ભાગે પાંચમા ધોરણમાં આ ગીત ભણવામાં આવતું. ત્યારથી આ ગીત મારું અને મારા દોસ્તોનું પ્રિય ગીત રહ્યું છે. જ્યારે જયારે દરિયાકિનારે જઈએ ત્યારે અચૂક આ ગીત યાદ આવે. એક વખત હતો જયારે (લગભગ) આખ્ખું ગીત યાદ હતું. જેમ જેમ વર્ષો વિતતા ગયા તેમ તેમ એક પછી એક પંક્તિઓ ભૂલાતી ગઈ. આજે તો માત્ર પહેલા, બીજા અને ત્રીજા મહેમાનનું નામ જ યાદ છે ! આજે આ ગીત ‘અમીસ્પંદન’ નામના કાવ્યસંચયમાંથી ઉતારું છું ત્યારે એવું લાગે છે કે બીજી લીટીમાં ‘ઊંચી’ શબ્દને બદલે ધણેભાગે ‘એકલી’ શબ્દ હતો. કોઈ પાસે એ અંગે વધારે માહિતી હોય તો જણાવજો.

Comments (5)

તને મેં ઝંખી છે- – સુન્દરમ

તને મેં ઝંખી છે –
યુગોથી ધીખેલા પ્રખર સહરાની તરસથી.

-સુન્દરમ

સુન્દરમે રચેલો દોઢ લીટીનો પ્રેમ-ઉપનિષદ !

Comments (6)

મેરે પિયા ! -સુન્દરમ

મેરે પિયા મૈં કછું નહીં જાનૂં,
મૈં તો ચુપચુપ ચાહ રહી.

મેરે પિયા, તુમ કિતને સુહાવન,
તુમ બરસો જિમ મેહા સાવન,
મૈં તો ચુપચુપ નાહ રહી.

મેરે પિયા તુમ અમર સુહાગી,
તુમ પાયે મૈં બહુ બડભાગી,
મૈં તો પલ પલ બ્યાહ રહી.

-સુન્દરમ

Comments (5)