એ જ છે – અબ્દુલ મૌલિક
એ નથી ને એ જ છે
વાત તેની તે જ છે
થડ ગણો કે પાંદડું
વિસ્તરેલો ભેજ છે
– અબ્દુલ મૌલિક
લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.
એ નથી ને એ જ છે
વાત તેની તે જ છે
થડ ગણો કે પાંદડું
વિસ્તરેલો ભેજ છે
– અબ્દુલ મૌલિક
લાગી આવે હાડોહાડ
ભાઇ કરે આંગણમાં વાડ
જીવન ખુદનો આપે અર્થ :
ગણ દિવસો ને વરસો કાઢ
જે બંધાવે એ પણ જાય
મૂકી સૂનાં મેડી માઢ.
ના છાંયો ના ફળની આશ,
‘ઊંચા લોકો’ એવા તાડ
ઝાડ નથી એ છે જીવતર
બેઠો છે એ ડાળ ન વાઢ
મતલબ બ્હેરાં સઘળાં લોક
ફોગટ તારી રાડારાડ
– મણિલાલ હ. પટેલ
રોજબરોજની ભાષામાં જીવનના કડવા સત્ય વણી લેતી ગઝલ. એક એક શેર જતા દિવસે રૂઢિપ્રયોગ તરીકે વપરાતો જોવા મળે તો નવાઈ નહીં એવો સરળ અને સચોટ થયો છે.
તપ્ત યાદોથી સભર સહવાસનું
આંખ સામે છે નગર આભાસનું
ભીતરે પોલાણ વાગ્યે જાય છે
આયખું હો સાવ જાણે વાંસનું
કલ્પના કર મન પછી કેવું હશે ?
સ્વપ્ન ઝાકળમાં પડ્યું છે ઘાસનું
આંખમાં કણ જેમ ખૂંચે છે હવે
ક્ષુબ્ધ કાંટાળાપણું આ શ્વાસનું
– વ્રજેશ જયંતિલાલ મિસ્ત્રી
ધોમધખતા તાપથી તપી ઊઠેલું રણ એટલે મૃગજળની વસંતઋતુ. જીવતરનું રણ જ્યારે ખેદ અને વિચ્છેદના તાપથી તપે છે ત્યારે આવા ઉષ્ણ સહવાસની તપ્ત યાદો દૃષ્ટિપટ પર આભાસનું આખું નગર સર્જી દે છે. આંખના ખૂણાંઓ આ ઝાંઝવાથી ભીનાં થતા રહે છે. જીવતર આખું પોલું હોય એમ વાગતું રહે છે અને ક્ષોભિત શ્વાસ કાંટાની જેમ આંખમાં ખૂંચતા રહે છે….

(કિશોરભાઈની એક અક્ષુણ્ણ કૃતિ એમનાં હસ્તાક્ષરમાં પહેલવહેલીવાર લયસ્તરો માટે)
હીરા તળકામાં નખે કંઇ બોલતો,
હાવ વાખામાં નખે કંઇ બોલતો.
હરાદમાં બામણને હઉં બોલાવહે,
તોય ફરિયામાં નખે કંઇ બોલતો.
ભૂતભૂવાની વચે રે’વાનું છે,
ગામ ચોરામાં નખે કંઇ બોલતો.
અંઈ અટકળી ખાઈ ઓંચાઈ ગિયા,
જાત પળખામાં નખે કંઇ બોલતો.
છે જીવન કિસોર તરગાળા હમું,
એ ભવાળામાં નખે કંઇ બોલતો.
– કિશોર મોદી
(હુરતી શબ્દોનાં શુદ્ધ શબ્દો… : હીરા તળકામાં = છાયા તડકામાં; નખે = નહીં; હાવ = સાવ; વાખામાં = ભૂખમરાના સંકટમાં; હરાદ = શ્રાધ્ધ; બામણને = બ્રાહ્મણને; હઉં = સૌ; બોલાવહે = બોલાવશે; રે’વાનું = રહેવાનું; અંઈ = અહીં; અટકળી = હેડકી; ઓંચાઈ ગિયા = ધરાઈ ગયા; પળખામાં = પડખામાં; કિસોર = કિશોર; તરગાળા = ભવાયાની એક જાતિ; હમું = સમું; ભવાળામાં = ભવાડામાં, ભવાઈમાં)
*
વર્જિનિયામાં રે’તા ને અવે રિટાયર થેઈ ગેયલા કિશોરભાઈ ખાલી કવિતા ને ગઝલ જ નથી લખતા, પણ હાથે હાથે આપણા જેવાની જનમકુંડળી હો બનાવે છે હોં… અરે બાબા, ઉં એકદમ હાચ્ચું કઉં છું, એ તો જ્યોતિસી હો છે… ને પાછું હાંભળ્યું છે કે બો હારા બી છે. અઈંયા આગળ મૂકેલી એમની એક હુરતી કવિતા તો તમે વાંચલી જ અહે ને?!! અરે પેલી… એ વીહલા વાળી. કંઈ નીં, પેલ્લા નીં વાંચી ઓય તો અવે તો ચોક્કસ વાંચી લેજો હં કે… એકદમ જક્કાસ કવિતા છે હારી એ બી! આ હુરતી ગઝલમાં બી ‘નખે કંઇ બોલતો’ બોલી બોલીને કેટલું બધું આપળાને બોલી ગ્યા છે, નીં ?!!
-ઊર્મિ
હાલી આવતી’તી રાત્ય ઘમ્મરઘોરી, રે સૈયર મોરી !
વળી વીસરી ગાગરની તે દોરી, રે સૈયર મોરી;
. કે’ને પાણીડાં શેણે ભરાય ?
બાંધી ઓઢણી મેં કોરીધાકોરી, રે સૈયર મોરી !
તો યે પ્હોંચે નંઈ જળને બિલોરી, રે સૈયર મોરી; -કે’નેo
કૂવા કાંઠે મહૂડી કાંઈ મ્હોરી, રે સૈયર મોરી !
માથે બેઠો’તો આહીરનો ધોરી, રે સૈયર મોરી; -કે’નેo
કરી આંખે અણસારા ચોરીચોરી, રે સૈયર મોરી !
મુંને બોલાવે આમ ઓરી ઓરી, રે સૈયર મોરી; -કે’નેo
હું તો નાગરના ઘરની રૈ’ ગોરી, રે સૈયર મોરી !
ઝટ્ટ નાઠી ગાગર લઈને કોરી, રે સૈયર મોરી. -કે’નેo
– પ્રદ્યુમ્ન તન્ના
ગામના પાદરની વહેલી પરોઢને ચિત્રિત કરતું મજાનું રમતિયાળ ગીત. રાતના અંધારા હજી ઓસર્યા નહીં હોય એવામાં ઘડે બાંધવાની દોરી ભૂલી આવેલી પનિહારી પોતાની ‘કોરીધાકોર’ ચુંદડી ટૂંકી પડે એવા બિલોરી કાચ જેવા પાણી ભરવા મથે છે ત્યારે આહિર જાતિનો આગેવાન ચોરીચોરી એને ઇજન આપી કેડે બોલાવે છે. પણ નાગરની છોરી કંઈ એંઠી થાય? કોરી ઓઢણી અને ઈજ્જતની કોરી ગાગર લઈ એ ઝટપટ પાછી ન નાસી જાય?
એક છે દોરો, બીજું તાવીજ છે;
આ બધી પીડા હવે શું ચીજ છે ?
એ અલગ છે, કે મને રસ ના પડે;
તું કરે છે વાત, તે સારી જ છે !
કઈ ક્ષણે પ્રગટી રહે, કોને ખબર ?
ગર્ભમાં આજે ઊછરતું બીજ છે !
આ સભા તરબોળ છે આલાપમાં;
રાગનો જાદુ હજી બાકી જ છે !
સાવ પથ્થર થઈ ગયેલા શ્હેરમાં;
એક તું સુણે ગઝલ, કાફી જ છે !
ફૂલની ખુશબૂમાં ખોવાઈ ન જા;
તો અહીંની કેડીઓ સીધી જ છે !
-અમિત વ્યાસ
આખી ગઝલમાં એકેય શેર લખ્યા જ ન હોત અને માત્ર ‘આ સભા તરબોળ છે આલાપમાં, રાગનો જાદુ હજી બાકી જ છે‘ – આ એક જ શેર લખ્યો હોત તોય આ ગઝલને સોમાંથી સો માર્ક્સ આપી શકાયા હોત. જીવનનું કોઈપણ પરિમાણ તમે નજર સામે મૂકો અને પછી આ શેર લલકારો, વાત સાચી જ લાગશે. આપણે સૌ આંગણાની શોભામાં જ પડી રહીએ છીએ, અંદરનું ઘર દીપાવવાનો તો વિચાર જ ક્યાં કરીએ છીએ. રસ્તાની પળોજણમાં જ અટવાઈ રહીએ છીએ, મંઝિલ સામે મીટ પણ માંડી શક્તા નથી…
આખી સવારથી હું કામ કરું છું
મધરાતથી તે ઠેઠ અગિયાર સુધી
પહાડ પરના પહેલા બરફને જોતો
હવે હું બેઠો છું ‘માઉરી’ આસવ પીતો
આસાવની રાતાશ કે શિખરોની ધવલતા
– બેમાંથી કશાને હું વર્ણવી શકું એમ નથી.
– કેનેથ વ્હાઈટ
(અનુ. સુરેશ દલાલ)
દરેક અસાધારણ પળ એ વિશ્વવિજયની પળ હોય એ જરૂરી નથી. રોજબરોજની કેટલીક પળો એવી હોય છે કે મનની અંદરથી આનંદ ઊગી આવે – એવી એક અસાધારણ પળની આ વાત છે. માણસ આવી જ પળો માટે જીવતો હોય છે ને ?
જ્યારે ગ્રહોને રમાડવાનું
મન થયું
ત્યારે મેં એક પ્લેનેટોરિયમ બાંધી લીધું છે !
સ્કાયસ્ક્રેપરની
અગાસી પર
વાસી વસંતોને મ્હોરવા દીધી છે !
ભૂતકાળને મેં તસવીરમાં મઢી લીધો છે
અને એ તસવીરનું પ્રદર્શન કરી
મેં લોપ્યા છે કાળના સીમાડા.
એક સ્વીચ ઑન :
– અને બળબળતા ઉનાળામાં
ઊતરી પડી છે શીતળ અનુકૂળતા.
પાતળા તારમાં પૂર્યા છે શબ્દો
અને એને મુક્ત કરવાની
ચાવી મારા હાથમાં રાખી છે !
દવાની શીશીઓમાં
તંદુરસ્તી ભરી
મેં મૃત્યુ સામે પણ ચાલ ચાલી લીધી છે !
મારા બેચેન આકાશમાં
સૂર્ય-ચંદ્રને મેં સાથે પ્રગટાવ્યા… …
… … પણ
કોઈ તો કહો
– હું થીજી રહ્યો છું
કે ભડકે બળી રહ્યો છું ?
– જગદીશ જોષી
We have managed to answer all the ‘Hows’ in the world but none of the ‘Whys’. દુનિયા આખીને નાથીને મગરૂર થતો માણસ પોતાની જાત વિષે ખાસ કાંઈ જાણતો નથી.
રસ્તે રસ્તે શઠ ઊભા છે
મંદિર, મસ્જિદ, મઠ ઊભાં છે.
પાણી લઈને હઠ, ઊભાં છે
ખેતર સૂકાં ભઠ ઊભાં છે.
કાચાં, લીલાં પાન ખરે છે,
ઠૂઠાં સાવ જરઠ ઊભાં છે.
કોઈ ફરકતું ચકલું ક્યાં છે ?
લોકો હકડેઠઠ ઊભા છે.
પ્રશ્ન હજી તો એક જ ઊકલ્યો,
ત્રણસો તે ચોસઠ ઊભા છે.
-હેમેન શાહ
ઈશ્વર અને ધર્મના નામે બિલાડીના ટોપની જેમ ફાટી નીકળતા ધર્મસ્થાનોને સીધેસીધી ભાષામાં ધૂતારા કહી રોકડું પરખાવી દેતો મત્લાનો શેર મને ખૂબ ગમે છે. પાણીનું હઠ લઈને ઊભા રહેવું અને ખેતરનું સૂક્કુંભઠ રહી જવું એ શેરમાં પણ દૃશ્યચિત્રની પેલે પારનું કલ્પન નજરે ચડે છે. આ પાણી લાગણીનું, પ્રેમનું હોઈ શકે. હઠ અહમની હોઈ શકે અને પરિણામે સૂકી રહી જતી જિંદગીનું ખેતર પણ કવિને અભિપ્રેત હોઈ શકે…
![]()
(ખાસ ‘લયસ્તરો’ માટે સંદીપ ભાટિયાનું એક સુંદર ગીત એમના પોતાના અક્ષરોમાં)
*
મારી નીંદરમાં વ્યાપ્યા અંધારાં
મા મારી પાંપણની બારસાખે ટાંગી દે
વારતામાં ટમટમતા તારા
આયખાના બંધબંધ ઓરડામાં
મા મને એકલું જાવાને લાગે બીક
આંગળી ઝાલીને તારાં હાલરડાં ચાલતાં’તાં
ત્યાં લગી લાગતું’તું ઠીક
મેળાની ભીડ મહીં ખોવાયા મા
હવે મારાં સૌ સપનાં નોંધારાં
લખભૂંસ છેકછાક એટલી કરી
કે નથી ઊકલતો એક મને અક્ષર
પાસે બેસાડી તું એકડો ઘૂંટાવે
એ આપ ફરી સોનાનો અવસર
ઝાઝેરું જાણવાની કેડીઓમાં
મા હવે અટવાઈ ઊભા વણઝારા
-સંદીપ ભાટિયા
અંધારું એટલે કાળાશનું હોવું નહીં, અંધારું એટલે સૂરજનું ન હોવું તે. અંધારું એટલે પ્રકાશની ગેરહાજરી. અંધારું એટલે જીવનના ધનમૂલક પરિબળોની બાદબાકી. ઊંઘમાં વ્યાપ્યા અંધારાં કહીને કવિ કેવો મજાનો કાકુ સિદ્ધ કરે છે! ઊંઘવા મથતા પણ ઊંઘી ન શકતા બાળકની નીંદરમાં વ્યાપેલ આ અંધારું -ઊંઘ નામના પ્રકાશની ગેરહાજરી- તો હવે મા મજેદાર વાર્તાઓના ટમટમતા તારાઓ પાંપણની બારસાખે બાંધે તો જ દૂર થવાનું છે… એક બાળકના મા સાથેના સંબંધની સુંદર પરિભાષા વ્યક્ત કરતું આજે બાળક બનીને માણીએ…
સંદીપ ભાટિયાની એક અદભુત ગઝલ -કાચનદીને પેલે કાંઠે- આપે વાંચી છે? અહીં ક્લિક્ કરો.
તારા વિશે જે નીકળ્યાં ઊંડી તપાસમાં;
તેઓ બધા જ હોય છે કાયમ પ્રવાસમાં !
સાંઈ ! તમે જ કંઈક કહો તાંતણા વિશે;
લોકો તો ગૂંચવાઈ ગયા છે, કપાસમાં !
જ્યારે સ્વયમના તેજથી અંધાર ઓગળે;
ત્યારે ફરક રહે નહીં પૂનમ-અમાસમાં !
તારા વિરુદ્ધ કાન ભરે છે અનેકના;
એનોય હાથ હોય છે તારા વિકાસમાં !
ઝોલે ચડી છે રાજકુમારીની વારતા;
ગોખે થરકતા એક દીવાના ઉજાસમાં !
સેવી શકે, તો સંતની કોટિને પામશે;
જે શબ્દ વેડફે છે તું વાણી-વિલાસમાં !
– અમિત વ્યાસ
ગઝલના બધા જ શેર સુંદર થયા છે પણ મને તો દાદીમાની રાજકુમારીની વારતા વધુ ગમી ગઈ. દાદા-દાદી ભલેને ઘરના એક ગોખલામાં મૂકાઈ ગયેલા દીવા જેવા થઈ ગયા હોય, ઉજાસ આપતા રહેવાનું ભૂલતા કે છોડતા નથી. ઉંમર ઝોલે ચડી હોય એમ ભલે ડગુમગુ થતી હોય પરંતુ પોત્ર-પૌત્રી માટે રાજકુમારીની વારતાઓનું અજવાળું પાથરવાનું છોડતી નથી. અને ગઝલનો આખરી શેર ઉચ્ચ કક્ષાનો મનનીય શેર બન્યો છે. શબ્દને વેડફવાને બદલે એની સાચી શક્તિ જો પામી શકાય તો જીવનનો સાચો અર્થ સરે. શબ્દનું સત પમાય તો સંત થવાય.
ખુલ્લી હદથી વધારે જાત ન કર,
આંખ ભીની કર, અશ્રુપાત ન કર.
તું ભલે મારો પક્ષપાત ન કર,
પણ ગમે તેની સાથે વાત ન કર.
થોડા બીજાને માટે રહેવા દે,
સઘળા સત્વોથી મુજને જ્ઞાત ન કર.
બૂટ પહેરી નીકળતા પગ માટે,
આંગણે ફૂલની બિછાત ન કર.
જીતનારાઓને જ જીતી જો,
હારનારાઓને મહાત ન કર.
મારો ચહેરો બીજાનો ચહેરો હોય,
એવી રીતે તું દૃષ્ટિપાત ન કર.
કર, સવારો વિશે તું ચિંતા કર,
પણ એ ચિંતાઓ આખી રાત ન કર.
-મુકુલ ચોક્સી
મુકુલભાઈની એક ખુશનુમા ગઝલ જે કશી પણ પૂર્વભૂમિકાની મહોતાજ નથી… બધા જ શેર ગમી જાય એવા છે…
ચાલો એક ઈચ્છા ખણી નાખીએ
અને એક મનને હણી નાખીએ
ફરી પાછી પીડા પ્રસવની ઊઠી છે
ફરીથી ગઝલને જણી નાખીએ
– દિલીપ રાવલ
સાજન !
મારી બંધ આંખ તો
ગીત-સરોવર
ગીત-સરોવર
એના
લય-નીતરતા કાંઠે બેસી
દેશવટો ભોગવતી
સુંદર રાજકુમારી સમી જિન્દગી
ઝરમર
ઝરમર ન્હાય !
નિર્મલ
મારી બંધ આંખ તો
ગીત-સરોવર
ગીત-સરોવર.
– અનિલ જોશી
છલકાતી આંખ એ ગીત-સરોવર જેમાં (સુંદર પણ દેશવટો ભોગવતી!) જિન્દગી ઝરમર ઝરમર ન્હાય. કરૂરણતા નો કોમળતા સાથે નાજુક પ્રાસ બેસાડતું, ટચુકડુ, ગીત થવા મથતું પણ ‘કવિતા’ થઈને સંતોષ માણતું સ્નિગ્ધ કલ્પન.
એ રીતે એ છવાઈ ગયાં છે ખયાલમાં;
આવેશને ગણી મેં લીધો છે વહાલમાં.
તારા વચનનો કેટલો આભાર માનીએ,
વરસો કઠણ હતાં તે ગયાં આજકાલમાં.
સારું છે એની સાથે કશી ગુફતગૂ નથી,
નહિતર હું કંઈક ભૂલ કરત બોલચાલમાં.
કરતો હતો જે પહેલાં તે પ્રસ્તાવના ગઈ,
લઈ લઉં છું એનું નામ હવે બોલચાલમાં.
લય પણ જરૂર હોય છે મારી ગતિની સાથ,
હું છું ધ્વનિ સમાન જમાનાની ચાલમાં.
મુજ પર સિતમ કરી ગયા મારી ગઝલના શેર,
વાંચીને એ રહે છે બીજાના ખયાલમાં.
એ ‘ના’ કહીને સહેજમાં છૂટી ગયા ‘મરીઝ’,
કરવી ન જોઈતી’તી ઉતાવળ સવાલમાં.
– મરીઝ
પરંપરાગત વિષય પરની આ ગઝલમાં પણ મરીઝે યાદગાર શેર ઘડી દીધા છે. મરીઝ પ્રેમની સાઈકોલોજીને બખૂબી સમજે છે. એટલે જ લઈ લઉં છું એનું નામ હવે બોલચાલમાં જેવો શેર રચી શકે છે. જો કે ગઝલનો સૌથી યાદગાર શેર છેલ્લો શેર છે. રોજબરોજની વાતમાં આ શેર ઘણી વાત વપરાયા કરે છે. શેર અનાયાસ જ કહેવતની જેમ વાતવાતમાં વપરાઈ જાય એનાથી વધારે કવિની કાબેલિયતનો પૂરાવો શું હોઈ શકે ?
આપણા ખીસાના પાકીટમાં શું હોય
જેમ કે:
પૂરો થવા આવેલો રેલવેપાસ
કામનાં અને નકામાં વિઝિટિંગ કાર્ડસ. રેવન્યૂ સ્ટેમ્પ્સ
રબર બેન્ડ્સ
બેંકનો હપ્તો ભર્યાની રસીદ
સાંઈબાબાના કવરેજવાળું ચાલુ વર્ષનું નાનકડું કેલેંડર
કાલાતીત થયેલો પાંચ પૈસાનો સિક્કો
બસ ટિકિટ અને એની પાછળ ઉતાવળે લખી લીધેલો દોસ્તનો
ફોન નંબર અને ઇ-મેઈલ એડ્રેસ
બાએ આસ્થાથી રખાવડાવેલી ભભૂતીની પડીકી
લોકલની ગિરદીમાંય સૂઝી આવેલી કવિતાની કેટલીક ચબરખીઓ
કોલેજના જમાનાનો ડાચાં બેસી ગયેલો પોતાનો
પીળો પડી ગયેલો ફોટો
અને પાકીટના એક ખૂણામાં ચૂપચાપ પડી રહેલું
કુદરત સાથે ઉન્નીસ-બીસ કરતું વિતાવેલું સડકછાપ આયખું
નવા-કોરા શર્ટ પર પડેલા દાળના ડાઘ સરખું.
-વર્જેશ સોલંકી
અનુ. અરુણા જાડેજા
જન્મે ગુજરાતી પણ કર્મે મરાઠી એવા મુંબઈના વર્જેશ સોલંકી ખીસાના પાકીટનો અસબાબ કાઢતા જઈને જાણે જિંદગીનો જાયજો લઈ રહ્યા છે. જીવનના પાકીટમાં આપણે કામનો અને નકામો કેટકેટલો કચરો ભરી રાખીએ છીએ. પૂરી થવા આવેલી વસ્તુઓ પણ ફેંકાતી નથી. કામ લાગી શકે એ આશામાં સંઘરેલી વસ્તુઓ કદી કામમાં આવતી નથી પણ એનો મોહ છૂટતો નથી. ચલણમાંથી નીકળી ગઈ હોય એવી યાદ કે સંબંધ પણ ફેંકી દઈ શકાતા નથી. ભભૂતીની પડીકી જેવા વડીલોએ વારસામાં આપેલા રિવાજોથી પણ ક્યાં મુક્તિ મળી જ શકે છે? આપણા સગપણ બસ ટિકિટની પાછળ ઉતાવળથી લખી દેવા પડતા ફોન નંબર કે ઇ-મેઈલ આઈ.ડી. જેવા બની ગયા છે જે કદાચ લેનાર અને દેનાર બંનેને ખબર જ છે કે ‘એક્સેસ’ કરી શકાવાના નથી કેમકે જો કરી શકાવાના હોત તો ઉતાવળમાં ટિકિટ પાછળ લખાયા ન જ હોત. પણ લોકલની ગિરદી જેવી દુનિયાની વચ્ચેય આપણે ક્યારેક તો કવિતાની જેમ આપણી જાત સાથેનો સંપર્ક સાધી જ લેતા હોઈએ છીએ. ક્યારેક આપણું વ્યક્તિત્વ પીળું પડી જતું હોય છે અને આપણને અહેસાસ થાય છે કે આ ખી જિંદગી આપ અને આપણા સાથે ઓગણીસ-વીસના સમાધાન કરવામાં જ ચૂપચાપ એવી રીતે વીતી ગઈ જાણે એક નવાનક્કોર અને અક્ષુણ્ણ બુશશર્ટ પર પડી ગયેલ દાળનો ડાઘ ન હોય ! એ પૂરો સાફેય કરી શકાતો નથી અને શર્ટ પણ નવો ને કોરો નથી રહી શક્તો…
![]()
(ખાસ લયસ્તરો માટે મહેશ દાવડકરના હસ્તાક્ષરમાં એક અક્ષુણ્ણ ગઝલ)
*
આંસુઓને રોકવામાં લોહીનું પાણી થયું,
ને ડૂમો પીગાળવામાં લોહીનું પાણી થયું.
આગ અંદરની આ પાણીથી કદી બૂઝાય નહિ,
આગ આ પ્રગટાવવામાં લોહીનું પાણી થયું.
કેમ આવ્યો ચિત્રનો ઉઠાવ એ તું જાણે છે?
દોસ્ત ! રંગો પૂરવામાં લોહીનું પાણી થયું.
આ ગઝલ વહેતી નદી છે હો તરસ તો આવજે,
આ નદી છલકાવવામાં લોહીનું પાણી થયું.
લે નસેનસમાં વહીને આજ તું એ જાણી લે,
કે ખરેખર જીવવામાં લોહીનું પાણી થયું.
-મહેશ દાવડકર
કેટલાક ગઝલકાર કૌવત કે કૌશલ્ય ન હોવા છતાં છાપરે ગાજીને પોકારતા રહે છે તો કેટલાક સંત ગઝલકાર એક ખૂણામાં પોતાની શબ્દની ધૂણી જગાવીને બેફિકર નિસ્પૃહ સાધનામાં રત રહે છે. મહેશ દાવડકર આ સંત કોટિના ગઝલકાર છે. સુરતમાં રહે છે. મજાના ચિત્રો દોરે છે. ઓછું લખે છે પણ આછું નથી લખતા. કોઈપણ જાતની પ્રસિદ્ધિની ખેવના વિના એ કળાને માત્ર કળાની રૂએ આરાધે છે અને પરિણામે એમની ગઝલમાં એક નકારી ન શકાય એવી ચુંબકીયતા જોવા મળે છે. જુઓ આ દાદુ ગઝલ… લોહીનું પાણી થયું જેવી રદીફને જે કુશળતાથી એમણે નિભાવી છે એ ખરેખર કાબિલે-દાદ છે…
ख़ुद का ख़ुद से हो गया था सामना
और उसने फ़ोड डाला आईना |
मार कर सच को की उसने ख़ुदकुशी
फिर बचा बस खुद से ख़ुद का भागना |
गुफ्तगू होती रही चुपचाप बस
साथ तारों के हुआ था जागना |
छु रहा था कुछ हवाओं सा मुझे
नाम उसका क्या कहा था साजना ?
बस सितारों से भरा था आसमाँ
रातभर जायज्ञ था मेरा जागना |
-कु. कवि रावल
‘ફોર અ ચેઇન્જ’ આજે કુ. કવિ રાવલની એક હિન્દી ગઝલ…
In the arid dark space
In such a vast pathlessness
Rises
A tiny fingerlike crescent
which beckons like an arrow-
and reads
‘The Road to Fullmoonness‘.
*
વેરાન ને કાજળ શ્યામ આભમાં
અનંત આ નિષ્પથતા વિશે ઊગી
પ્રતિપદા, દેવની અંગુલિશી,
જે તીરની જેમ અણીથી દાખવે:
વંચાય છે-
‘આ પૂર્ણિમા તરફ જાય વળી વળાંક’.
-ઉશનસ્
કવિ ઉશનસ્.ના આ અંગ્રેજી કાવ્યનો અનુવાદ એમણે પોતે જ કર્યો છે. અને ગુજરાતી કવિતા કરતાં અંગ્રેજી કાવ્ય કદાચ વધુ સહજ-સાધ્ય બન્યું છે. અમાસ પછીની પહેલી રાતે ઘેરું કાળું આકાશ પથહિનતાનો આભાસ કરાવતું હોય તેવામાં નાનકડી આંગળી સમો ચંદ્ર માર્ગદર્શક તીરની જેમ ઊગે ત્યારે આકાશમાં આ રસ્તો પૂર્ણિમા તરફ લઈ જાય છે એવું કવિને વંચાય છે. આ ‘વંચાય છે’ શબ્દપ્રયોગ નાની અમથી આ વાતને ‘કવિતા’ બનાવે છે…
(પ્રતિપદા=હિંદુ મહિનાનાં બે પખવાડિયાંની પહેલી તિથિ, એકમ, પડવો.)
તમારા હાથમાં
મઘમઘતો પુષ્પગુચ્છ જોઈને,
મનમાં થયું;
આટલાં બધાંને શું કરશો ?
એકાદ ફૂલ માંગી લઉં.
ને-
મેં તમારો હાથ માંગી લીધો.
– ગુલાબ દેઢિયા
અમેરિકા આવ્યો તો બધે ફૂલ આપવાનો મહિમા જોયો – વર્ષગાંઠ પર ફૂલ, લગ્ન પર ફૂલ, પ્રેમના પ્રસંગે ફૂલ અને મરણ-પ્રસંગે પણ ફૂલ. દેસી મગજમાં ફૂલ માણવાની વાત સમજાય પણ (ફૂલને તોડીને એ) ફૂલનો ગુલદસ્તો લઈ જવાની વાત ઝટ લઈને બેસે નહીં. જોકે હવે સમય જતા એ પણ શીખ્યો છું. એટલે આજે આ ફૂલને બદલે હાથ માંગી લેવાની વાતવાળું કાવ્ય હાથમાં આવ્યું તો દીલ અનાયાસ જ ‘બાગ-બાગ’ થઈ ગયું 🙂
જયંતીની
પાછલી રાતે
ચારે બાજુ સૂમસામ થયા પછી
પૂતળાએ
ખંખેરી નાખ્યા
શરીર પર ભેગા થયેલા
અસંખ્ય નમસ્કાર
અને તે ગણગણ્યું :
સદભાગ્યે
આવતી જયંતી સુધી
મારે ફક્ત
કાગડા જ
સહન કરવા પડશે.
– કુસુમાગ્રજ
(અનુ. – જયા મહેતા)
હમણા જ ગાંધી-જયંતી ગઈ છે. ગાંધીને ભૂલવાની મોસમ આવતા વર્ષ સુધી રહેશે. આપણા ઠાલા નમસ્કાર કરતા ગાંધી કાગડાની ‘કંપની’ પંસદ કરે એમા કોઈ શંકા નથી. કુસુમાગ્રજનું આ જ વિષય પરનું બીજું આટલું જ ધારદાર કાવ્ય પણ જોશો.
રેત છું પણ શીશીમાં ખરતો નથી,
શૂન્યતાને ‘હું’ વડે ભરતો નથી;
મારા પડછાયા કરે છે ઘાવ પણ
હું સમય છું એટલે મરતો નથી.
– ભગવતીકુમાર શર્મા
કયારેક પગ મહીંથી આ રસ્તો વિદાય થાય.
તો થાકનો ય કંઇક નિરાંતે ઉપાય થાય.
હાલત અમારી જોઇને બીજા ય વ્યાકુળ થાય.
પર્વત ઢળી પડે અને સાગર ઊભા ય થાય.
અમને હસી જ કાઢજો એ છે અતિ ઉચિત,
ઠલવાય લાગણી, તો નીપજ વેદના ય થાય.
ખીલ્યું હો બાર માસી અજંપાનું ફૂલ જ્યાં,
ત્યાં મુંઝવણની વેલ તો વાવ્યા વિના ય થાય.
પાડી ઊઠ્યો છે જામનો ખાલીપો એવી ચીસ,
મદડાં તરસનાં જીવ લઇ દોડતાં ય થાય.
આદિથી એજ આગના સંચયથી લાલસા,
સૂરજ ન હોય તો અહીં તો દિનકર ઘણા ય થાય.
સંતાપિયા સ્વભાવને આઘાત શા ‘ગની’?
વેરણ તો એવા જીવની ઠંડી હવા ય થાય.
–ગની દહીંવાળા
(આમ તો ગનીચાચાની જન્મશતાબ્દી વર્ષની ઉજવણીની સાત કડી પૂરી થઈ ગઈ છે પણ કેટલાંક ઈન્દ્રધનુષને આઠમો રંગ પણ હોય છે. એટલે આજે આ આઠમો રંગ મારા -ઊર્મિ- તરફથી…)
આમ તો ગઝલનું શિર્ષક જ ગઝલમાં આવતાં અજંપાનો નિર્દેશ કરી દે છે, પરંતુ ગનીચાચાએ અહીં ગઝલનું શિર્ષક માત્ર અજંપો નથી આપ્યું પણ અજંપાનું ફૂલ આપ્યું છે ! એ જોઈને મને તો એવો વિચાર આવ્યો કે… ફૂલ તો એકદમ સુકોમળ હોય, તો શું આ અજંપો પણ ફૂલ જેવો જ કોમળ હશે? તો પછી એની હયાતી આપણને કરવત જેવી કેમ લાગતી હશે? કે કદાચ અજંપાના મટવાની ઘટનાની હળવાશને લીધે પાછળથી એ કોમળ લાગતી હોય એવુંયે બને…?! ખેર, હું તો હજીયે કોશીશ કરું છું આ ગઝલની ભીતર ઘૂસવાની… તમે જો છેક અંદર સુધી પહોંચી જાવ તો મને સાદ દઈને રસ્તો બતાવજો હોં ! 🙂 ત્રીજા શેરમાં વેદનાની નીપજ વિના લાગણી ક્યાંય ઠલવાઈ જ ન શકે એ વાત વધુ સ્પર્શી ગઈ…!
(ગનીચાચાની એક વિરલ તસ્વીર)
*
દુઃખ અમર હોય તો વાંક મારો નથી,
હદ વગર હોય તો વાંક મારો નથી;
ચુપ અધર હોય તો વાંક મારો નથી,
આંખ તર હોય તો વાંક મારો નથી.
થૈને સાગર રહે દૂર આરાથી તું,જોઈ
બિન્દુને વેગળું રાખે ધારાથી તું;
એથી આગળ વધી કહું તો મારાથી તું –
બેફિકર હોય તો વાંક મારો નથી.
એક આવાસ. જે હરઘડી શોકમય,
ઊર્મિ-અભિલાષ સેવી રહ્યા એમાં ભય,
હાય બરબાદ જે થૈ ગયું એ હૃદય,
તારું ઘર હોય તો વાંક મારો નથી.
હું તો પાગલ ગણાયો સદાનો, પ્રભુ !
પણ વિચારું છું એકાંતે છાનો, પ્રભુ !
હું મુસાફર અને આ જમાનો, પ્રભુ !
રાહબર હોય તો વાંક મારો નથી.
કોઈનું હું બૂરું ચાહું, મારું થજો !
મારા દિલની વ્યથા કોટિ દિલમાં હજો;
મેં જગતને વહેંચ્યું છે એ દર્દ જો
શ્રેયકર હોય તો વાંક મારો નથી.
એક તણખો ઝગે છે ‘ગની’ અંતરે,
લોક અવળો ભલે અર્થ એનો કરે,
કોઈની નેહ-તરબોળ મારા પરે
જો નજર હોય તો વાંક મારો નથી.
-ગની દહીંવાલા
ગનીચાચાની આ ગઝલની એક વિશેષતા નોંધી ? ગાલગાના આઠ આવર્તનોના મિસરાવાળી આ ગઝલના આંતર્પ્રાસ ધ્યાનાર્હ છે. સાયાસ બંને મિસરાના પ્રથમ ત્રણ ભાગના પ્રાસ મેળવ્યા હોવાથી આ ગઝલ નઝમનુમા ગઝલ બને છે અને માત્ર ત્રણ જ ચોપડીના અભ્યાસી હોવા છતાં ગઝલદેવી જેમને સાદ્યંત વરેલી હતી એવા ગનીચાચાની આ ગઝલમાં ક્યાંય શિથિલતા વર્તાતી નથી એ પણ નોંધનીય છે.
તું ન માને કહ્યું, તું ન વર્તે સમય, લાગણીવશ હૃદય ! લાગણીવશ હૃદય !
છે મને રાત દી એક તારો જ ભય, લાગણીવશ હૃદય ! લાગણીવશ હૃદય !
જોતજોતામાં થઇ જાય તારું દહન, વાતોવાતોમાં થઇ જાય અશ્રુ-વહન,
દવ દીસે છે કદી તો કદી જળપ્રલય, લાગણીવશ હૃદય ! લાગણીવશ હૃદય !
કોઇ દુખિયાનું દુઃખ જોઇ ડૂબી જવું, હોય સૌન્દર્ય સામે તો કહેવું જ શું !
અસ્ત તારો ઘડીમાં, ઘડીમાં ઉદય, લાગણીવશ હૃદય ! લાગણીવશ હૃદય !
એ ખરું છે, કે દુઃખ મુજથી સે’વાય ના, એ ય સાચું તને કાંઈ કે’વાય ના,
હાર એને ગણું કે ગણું હું વિજય ? લાગણીવશ હૃદય ! લાગણીવશ હૃદય !
આભ ધરતીને આવી ભલેને અડે, તારે પગલે જ મારે વિહરવું પડે !
તારી હઠ પર છે કુરબાન લાખો વિનય, લાગણીવશ હૃદય ! લાગણીવશ હૃદય !
મારે પડખે રહી કોઈનો દમ ન ભર, સાવ બાળક ન બન, ઉદ્ધતાઈ ન કર !
બીક સંજોગની છે, બૂરો છે સમય, લાગણીવશ હૃદય ! લાગણીવશ હૃદય !
એક વાતાવરણ સરજીએ હર પળે, આ જગતની સભા કાન દઈ સાંભળે,
હું કવિતા બનું, તું બની જા વિષય, લાગણીવશ હૃદય ! લાગણીવશ હૃદય !
એક સોનેરી અપરાધની તું સજા, પાત્રમાં દુઃખના જાણે ભરી છે મઝા,
જખ્મ રંગીન છે, દર્દ આનંદમય, લાગણીવશ હૃદય ! લાગણીવશ હૃદય !
પારકી આગમાં જઈને હોમાય છે, તારે કારણ ‘ગની’ પણ વગોવાય છે,
લોકચર્ચાનો એ થઈ પડ્યો છે વિષય, લાગણીવશ હૃદય ! લાગણીવશ હૃદય !
– ગની દહીંવાલા
ગનીચાચાની હૃદયને, લાગણીવશ હૃદયને ધ્યાનમાં રાખીને લખાયેલી આ ગઝલ છંદના હિંડોળા લેતા આવર્તનોના કારણે જેટલી ગેય બની છે એનાથી વધુ ગુણવત્તાસભર પણ બની છે. દરેક શેર દાદનો હકદાર બન્યો છે… ગનીભાઈ વિશે ટૂંકમાં જાણવું હોય તો અહીં ક્લિક્ કરશો.
માર હલેસાં માર , ખલાસી !
. માર હલેસાં માર,
નાવને પાર ઉતાર, ખલાસી !
. માર હલેસાં માર.
જો સામે વિકરાળ વમળ છે,
કાળ સમું તોફાન પ્રબળ છે,
જ્યાં ઊભો ત્યાં ઊંડાં જળ છે,
. નાવડી ના લંગાર ,
. ખલાસી !…
તારું પાણી બતાવ ગગનને,
દે લપડાક વિરોધી પવનને,
હોડમાં મૂકજે તારા જીવનને,
. મૃત્યુને પડકાર,
. ખલાસી !
લક્ષ્ય ઉપર દે દૃષ્ટિ બાંધી,
શ્રદ્ધાનો સઢ લેજે સાંધી,
જો સામેથી આવે આંધી,
. વીજ કરે ચમકાર,
. ખલાસી !…
આજ ભલેને તારી હોડી
મજલ કાપતી થોડી થોડી,
યત્ન હશે તો વહેલી મોડી,
. એ જ ઊતરશે પાર,
. ખલાસી !…
-ગની દહીંવાલા
ગનીચાચા જેટલા ઉત્તમ ગઝલકાર હતા એટલા જ સુંદર ગીતકાર પણ હતા. એમનું આ ગીત પાઠ્યપુસ્તકમાં ભણવામાં આવતું ત્યારનું કંઠસ્થ થઈ ગયેલું. ગીતનો લય જેટલો સરળ અને અનવરુદ્ધ છે, ખુમારી એટલી જ છલોછલ. નિરાશાના વાદળ ઊમટી આવ્યા હોય એવા સમયે મોટેથી લલકારવા જેવું આ ગીત ફ્રેમ કરીને રૂમમાં અને પ્રેમ કરીને દિલમાં મઢાવી રાખવા જેવું છે…
ચાહું છું કોઈમાં વિશ્વાસ મૂકી દઉં આજે,
જિંદગી કોઈનો એ રીતે સહારો લઈ લે;
જે રીતે આવીને ઠલવાય હજારો મોજાં,
જેમ સાગરનો બધો ભાર કિનારો લઈ લે !
– ગની દહીંવાલા
મારું ખોવાણું રે સપનું,
ક્યાંક જડે તો દઈ દેજો એ બીજાને ના ખપનું,
મારું ખોવાણું રે સપનું.
પૂર્વ કહે છે પશ્ચિમ તસ્કર, દક્ષિણ કે’છે ઉત્તર,
વગડા કે’છે ચોર આ વસતિ, પર્વત કે’છે સાગર,
ધરતીને પૂછું તો દે છે નામ ગગનમંડપનું,
મારું ખોવાણું રે સપનું.
વ્હારે ધાજો જડ ને ચેતન મારી પીડ પિછાની,
અણુ અણુ સાંભળજો માર સમણાની એંધાણી;
તેજ તણા અંબાર ભર્યા છે, નામ નથી ઝાંખપનું,
મારું ખોવાણું રે સપનું.
ખોળે મસ્તક લૈ બેઠી’તી એક દી રજની કાળી,
જીવનની જંજાળો સઘળી સૂતી પાંપળ ઢાળી;
નીંદરના પગથારે કોઈ આવ્યું છાનુંછપનું,
મારું ખોવાણું રે સપનું.
– ગની દહીંવાલા
ગનીચાચાનું મઝાનું ગીત.
તમારાં અહીં આજ પગલાં થવાનાં,
ચમનમાં બધાંને ખબર થૈ ગઈ છે.
ઝુકાવી છે ગરદન બધી ડાળીઓએ,
ફૂલોની ય નીચી નજર થૈ ગઈ છે.
શરમનો કરી ડોળ સઘળું જુએ છે
કળી પાંદડીઓના પડદે રહીને,
ખરું જો કહી દઉં તો વાતાવરણ પર
તમારાં નયનની અસર થૈ ગઈ છે.
બધી રાત લોહીનું પાણી કરીને
બિછાવી છે મોતીની સેજો ઉષાએ,
પધારો કે આજે ચમનની યુવાની
બધાં સાધનોથી સભર થૈ ગઈ છે.
હરીફો ય મેદાન છોડી ગયા છે
નિહાળીને કીકી તમારાં નયનની,
મહેકંત કોમળ ગુલાબોની કાયા
ભ્રમર – ડંખથી બેફિકર થૈ ગઇ છે.
પરિમલની સાથે ગળે હાથ નાખી-
કરે છે અનિલ છેડતી કૂંપળોની,
ગજબની ઘડી છે તે પ્રત્યેક વસ્તુ,
પુરાણા મલાજાથી પર થૈ ગઈ છે.
ઉપસ્થિત તમે છો તો લાગે છે ઉપવન,
કલાકારનું ચિત્ર સંપૂર્ણ જાણે,
તમે જો ન હો તો બધા કહી ઊઠે કે;
વિધાતાથી કોઇ કસર થૈ ગઇ છે.
‘ગની’, કલ્પનાનું જગત પણ છે કેવું,
કે આવી રહી છે મને મારી ઇર્ષ્યા !
ઘણી વાર આ જર્જરિત જગમાં રહીને,
ઘણી જન્નતોમાં સફર થૈ ગઇ છે.
– ગની દહીંવાલા
પ્રિયજનની હાજરીની કલ્પના માત્રથી ઉપવન કેવું જન્નત થઈ જાય છે – આટલા સાદા વિચાર તંતુથી લખાયેલી આ ગઝલ ગુજરાતી ગઝલનો એક યાદગાર મુકામ છે. ઉપવનમાં હાજર બધી જ ઉપમાઓ અને કલ્પનોને કવિએ અહીં આબાદ કામે લગાડ્યાં છે. આટલી બધી વાર વાંચ્યા-સાંભળ્યા પછી પણ આ ગઝલની તાજગી ઓછી થતી નથી એ કવિકર્મની સિદ્ધિ છે.
વિપદના કંટકોને ધૈર્યથી પુષ્પો બનાવીને,
જીવનની ફૂલદાની એમ બેઠો છું સજાવીને.
તમારી આકૃતિ એને કહું કે પ્રકૃતિદર્શન ?
સકળ વાતાવરણ થંભી ગયું આંખોમાં આવીને.
તમે આવો જીવનમાં, કાં મને આદેશ આપી દો,
કે ચાલ્યો આવ અહીંયા, જિંદગીની હદ વટાવીને.
તમારી યાદમાં ફૂલોથી અદકું હાસ્ય વેર્યું છે,
નવી રીતે હસી લીધું અમે આંસુ વહાવીને.
સુખી કરવો હતો હૈયે વસેલા એક તિખારાને,
ભરી દીધી હ્રદયમાં આગ દુનિયાભરની લાવીને.
મહેકો એમના સાંનિધ્યમાં, હે શ્વાસ-ઉચ્છવાસો !
પવન ફોરમ બને છે પુષ્પની નજદીક આવીને.
બચાવી નાવ તોફાનો થકી, પણ એ નહીં જાણ્યું,
કે તોફાનો ઊગરવા ચ્હાય છે નૌકામાં આવીને.
ગ્રહી લીધાં ચરણ અહીંયાં ‘ગની’, વાસ્તવની ધરતીએ,
ઉષા-સંધ્યા કહે છે રોજ, બેસો આંહી આવીને.
-ગની દહીંવાલા
ગનીચાચાની આ ગઝલનો પહેલો શેર બહુ જાણીતો છે. આખી ગઝલ ગનીચાચાની આગવી શૈલીની ગવાહી પૂરે છે.
(ગઈકાલે કડી: ૧ આપે વાંચી?)
ગનીચાચાની હાસ્યપ્રવૃત્તિની અને એમની હઝલો (હાસ્ય ગઝલ)ની વાત નીકળી ત્યારે એમની પ્રસિદ્ધ ‘દિવસો જુદાઈના જાય છે’ ગઝલ પરથી રચેલ પ્રતિકાવ્ય શ્રી રવીન્દ્ર પારેખે રજૂ કરી વાતાવરણને હાસ્યના રંગે રંગી દીધું હતું. સંચાલક શ્રી રઈશ મનીઆર કવિગણના સંક્ષિપ્ત પરિચય સાથે ગનીચાચાની બહુઆયામી પ્રતિભાને ઉજાગર કરતી ઘણી બધી અપરિચિત વાતો વડે સભાગણ સાથે સંવાદ સાધતા રહ્યા. અને એક પછી એક કવિ મિત્રોને આવકારતા રહ્યા:
ગૌરાંગ ઠાકર:
આ રાત પડી આડે પડખે, ને ચાંદ કરે ચોકીદારી,
કંઈ લાખ સિતારા ચમકે છે, આ નભનો નજારો શા માટે?
મહેશ દાવડકર:
ન કંઈ આ પાર લાગે છે ન કંઈ ઓ પાર લાગે છે,
અહીં ક્ષણક્ષણને બસ જીવી જવામાં સાર લાગે છે.
ધ્વનિલ પારેખ:
સુરત છૂટ્યું, ગઝલ છૂટી પછી શબ્દો મળ્યા જ્યારે,
વીતેલા દિવસોના ખોળિયામાં મન ગયું પાછું.
કિરણ ચૌહાણ:
કદી ના હાથ જોડે, શિશ પણ તેઓ નમાવે નહીં,
એ સસ્મિત પાંપણો ઢાળે અને મીઠું નમન લાગે.
રઈશ મનીઆર:
અઘટિત ઘણું થયું છે, અલિખિત ઘણું રહ્યું છે,
અજીવિત ઘણું બન્યું છે અને હું મરી ગયો છું.
(ડાબેથી રૂપિન પચ્ચીગર, હરીશ ઠક્કર, ભગવતીકુમાર શર્મા, પ્રજ્ઞા વશી, રતિલાલ અનિલ, ચંદ્રકાંત પુરોહિત. જમણી બાજુથી નયન દેસાઈ, રવીન્દ્ર પારેખ અને બકુલેશ દેસાઈ)
-સંચાલકે દરેક કવિને આપવામાં આવેલી ગનીચાચાની મૂળ પંક્તિઓથી ભાવકોને પરિચિત કર્યા હતા અને દરેક પંક્તિની ખાસિયત અને છંદની બારીકી પારેખનજરે સમજાવી હતી. ગનીચાચાની ગઝલોનું પરંપરા તથા આધુનિક્તા સાથેનું સંધાન અને સમતુલન પણ મજાના દૃષ્ટાંતો આપી એમણે સમજાવ્યા હતા. સાથેસાથે છેક પીઢ ગઝલકારોથી માંડીને નવોદિત કવિઓ એમના સંનિષ્ઠ સર્જનની સરવાણી રેલાવતાં રહ્યા.
જય નાયક:
પ્રયાસો લાખ કીધાં મેં છતાં ફાવી નથી શક્તો,
સભામાં ભગ્ન હૈયે રંગ રેલાવી નથી શક્તો.
રમેશ ગાંધી:
શૂન્ય, શયદા, મીર, મનહર, હો મરીઝ કે હો ગની,
હોય ના વ્યક્તિ ને એનું નામ બોલાયા કરે.
દિલીપ ઘાસવાલા
વિશ્વ આખુંયે થયું જુઓ ઝળહળ,
પ્રેમથી જ્યાં સ્મરણ કરી લીધું.
ગુણવંત ઠક્કર:
યાત્રીએ જોયા મજાના તીર્થધામો, દોસ્તો,
ઈશ્વર અલ્લા શોધવામાં ખોયા વરસો, દોસ્તો;
પ્રજ્ઞા વશી:
ચરણ, રસ્તો અને આ આભ પણ છોને તમે લઈ લો,
ફકત ત્યાં પહોંચવાના લક્ષ્યની આરત મને આપો.
સુનિલ શાહ:
નથી સમજાતું કે આ આંસુ છે કે છે કોઈ પથ્થર,
હું મારી પાંપણોનો બોજ ઉઠાવી નથી શક્તો.
પ્રમોદ અહિરે:
ગનીની સાદગી ને નેકદિલનો આ પુરાવો છે,
એ કાગળ પર લખે અક્ષર અને એ લય થવા લાગે.
પ્રફુલ્લ દેસાઈ:
અમે થોભ્યા મિલનની વારતા અડધી સુણાવીને,
ઉઠેલા કેટલા પ્રશ્નો પછી મનમાં સમાવીને.
બકુલેશ દેસાઈ:
તમે ક્યારેય શું સંવેદી છે એવી દશા જેમાં
ઉપરથી હોય અણનમતા, ભીતરથી કરગરે કોઈ.
નયન દેસાઈ:
હાથમાં એના સળગતા બૉમ્બ ને વિસ્ફોટ છે,
હામ હૈયામાં ભલે હો પણ ધીરજની ખોટ છે,
કિસન સોસા:
પણે છાતી કૂટે પાદર અહીં હલકાય હાલરડું,
ગયું અરથી ચડી કોઈ ને કોઈ પારણે આવ્યા.
(ડાબેથી રૂપિન પચ્ચીગર અને ભગવતીકુમાર શર્મા)
રતિલાલ અનિલ:
હવાને પણ અઢેલી બેસવા દેતી નથી દુનિયા,
મને તું વાંચ, હું શાયર તણા અશઆર જેવો છું.
ભગવતીકુમાર શર્મા:
સરળ ને સીધો છું હું, બે અને બે ચાર જેવો છું,
અતળથી આવતા કો’ ઓમના ઉદગાર જેવો છું.
સળંગ ત્રણ કલાક ચાલેલા આ અદ્વિતીય તરહી મુશાયરાનું જી-ન્યુઝ ચેનલ પરથી લાઈવ પ્રસારણ થયું હતું તથા ઝી-ગુજરાતી ચેનલ માટે પણ રેકૉર્ડિંગ કરાયું હતું. 94.3 માય એફ.એમ. રેડિયો પર પણ આ કાર્યક્રમની ઝલક પ્રસારિત થનાર છે. રાષ્ટ્રીય કળા કેન્દ્ર તરફથી આ સમારોહમાં રજૂ થયેલી તમામ ગઝલોને ગ્રંથસ્થ કરવાનું સૂચન પણ આવકારાયું હતું અને આખા વર્ષને ગનીવર્ષ તરીકે ઉજવવાનો સંકલ્પ વ્યક્ત કરાયો હતો જેને સહુ શ્રોતાજનો તથા કવિમિત્રોએ વધાવી લીધો હતો. ખીચોખીચ ભરેલા રાષ્ટ્રીય કળા કેન્દ્રના ખીચોખીચ ભરેલા હૉલમાં ખુરશી ન મળવાના કારણે ત્રણ-ત્રણ કલાક ખડે પગે આ ગઝલવર્ષામાં ગચકાબોળ થનારા ભાવકમિત્રો એ પણ ઈશારો કરતા હતા કે આવનારા કાર્યક્રમો સમિતિએ આ સભાખંડની સીમા વળોટીને મોટી જગ્યાએ કરવા પડવાના… સુરતની ગઝલપ્રેમી જનતાને સલામ !
-રઈશ મનીઆર, વિવેક ટેલર
હોય ના વ્યક્તિ ને એનું નામ બોલાયા કરે
-ગનીચાચાના જન્મશતાબ્દી વર્ષની ઉજવણીનો દબદબાભેર પ્રારંભ-
અહેવાલ: રઈશ મનીઆર, વિવેક ટેલર
કોઈપણ કળાકારને સાચી અંજલિ શી રીતે આપી શકાય આ પ્રશ્નનો ઉત્તર તા. 21મી સપ્ટેમ્બરે, રવિવારે સાંજે રાષ્ટ્રીય કળા કેન્દ્ર હસ્તક સુરતના કળાપ્રેમી શ્રોતાઓને સાંપડ્યો. પ્રસંગ હતો 17 ઑગસ્ટ, 1908ના રોજ જન્મેલા સુરતના શાયર શ્રી ગનીભાઈ દહીંવાલાના શતાબ્દી વર્ષની દબદબાભેર કરાનારી ઉજવણીનું પ્રથમ સોપાન અને ઉજવણીની રીત હતી ગુજરાતભરમાં કદાચ સર્વપ્રથમવાર યોજાયેલ વિશિષ્ટ પ્રકારના તરહી મુશાયરાની. શહેરના 24 જેટલા નામાંકિત અને નવોદિત ગઝલકારો એકસાથે એક જ મંચ પર બિરાજમાન થાય અને ગનીચાચાની ગઝલોની અલગ-અલગ 24 જેટલી પંક્તિઓ પર પાદપૂર્તિ કરીને ગઝલો કહેવા ઉપસ્થિત થયા હોય એવો પ્રસંગ કદાચ ગઝલગુર્જરીના આંગણે પ્રથમવાર આવ્યો હતો…
તમારા અહીં આજ પગલાં થવાના, ચમનમાં બધાંને ખબર થઈ ગઈ છે,
ઝુકાવી છે ગરદન બધી ડાળીઓ ને ફૂલોનીય નીચી નજર થઈ ગઈ છે.
-ગનીચાચાની આ અમર પંક્તિઓ વડે ડૉ. રઈશ મનીઆરે શ્રોતાજનોનું સ્વાગત કર્યું હતું. રાષ્ટ્રીય કળાકેન્દ્રના પ્રમુખ શ્રી રૂપિન પચ્ચીગરે આવકારવચન કહી ગની જન્મ શતાબ્દિ પ્રસંગ ઉજવણીની આ પહેલી કડીની આલબેલ પોકારી હતી. ભારત સાહિત્ય અકાદમી પુરસ્કૃત જૈફ સાહિત્યકાર શ્રી રતિલાલ અનિલે ગનીચાચા સાથેની પોતાની સ્મૃતિઓ વાગોળી હતી અને છે…ક 1943ની સાલમાં યોજાયેલ ગનીચાચાના સર્વપ્રથમ મુશાયરાને તાદૃશ્ય કર્યો હતો. અને એ મુશાયરામાં ગનીચાચાએ રજૂ કરેલ ગઝલનો શેર 86 વર્ષની ઉંમરે યાદદાસ્તના બળે રજૂ કરી શ્રોતાઓને ચકિત કર્યા હતા:
મારવાને જ્યાં મને કાતિલ ધસ્યો,
લાગણી વળગી પડી તલવારને.
અમર પાલનપુરી, ચંદ્રકાંત પુરોહિત તથા ભગવતીકુમાર શર્માએ પણ ગનીચાચા સાથેના મજાના સંસ્મરણો તાજા કર્યા હતા. મુરબ્બી શ્રી ભગવતીકાકાએ ગનીચાચાના વિનય, પ્રેમબાની અને તરન્નુમથી છલકાતા સમૂચા વ્યક્તિત્વને સુપેરે વ્યક્ત કરતા એમના જ શેર વિશે શ્રોતાજનોને સવિસ્તર સમજાવ્યું હતું:
‘ગની’ ગુજરાત મારો બાગ છે, હું છું ગઝલ બુલબુલ,
વિનયથી સજ્જ એવી પ્રેમબાની લઈને આવ્યો છું.
વિનયથી સજ્જ પ્રેમબાનીથી ગુજરાતને ગૂંજતું કરનાર આ મહાન શાયરને એમની જન્મશતાબ્દિ પર એમની જ ગઝલો પર પાદપૂર્તિ કરી કાવ્યાત્મક અંજલિ આપવાનો મનોહર ઉપક્રમ શરૂ કર્યો અને ગનીપ્રેમી અને ગઝલપ્રેમી શ્રોતાજનોનુ હૈયું ડોલાવી મૂક્યુ.
(ડાબેથી વિવેક ટેલર, સંચાલક રઈશ મનીઆર અને ગૌરાંગ ઠાકર)
જિંદગીનો એજ સાચેસાચો પડઘો છે ‘ગની’,
હોય ના વ્યક્તિ ને એનું નામ બોલાયા કરે.
આ શેર પરથી રચાયેલી ગઝલથી મુશાયરાની શમા ફરતી થઇ અને એક પછી એક શાયર ગનીચાચાની અલગ અલગ છંદ, અલગ અલગ રદીફ-કાફિયાથી બંધાયેલી પંક્તિ ઉપર ગિરહ લગાવીને રચેલી પોતાની ગઝલ રજૂ કરતા ગયા અને શ્રોતાજનોને રસતરબોળ કરતા ગયા: ખાસ કરીને ડૉ. હરીશ ઠક્કર, ડૉ.વિવેક ટેલર અને પંકજ વખારિયાની સાદ્યંત સુન્દર ગઝલો સભાગણ અને પીઢ કવિઓની પ્રશંસા મેળવી ગઇ.
પંકજ વખારિયા:
સરે છે અર્થ શું સગવડથી, કોણ સમજે છે?
ઉજાગરા નથી જોયા, પલંગ જોઈ ગયા.
સ્વયંની રંગછટાને વિશે છે મૌન હવે,
ગગનની રંગલીલાને પતંગ જોઈ ગયા.
વિવેક ટેલર:
જરા આ પાંખને ઓછી પ્રસારીએ, આવો,
જગતના વ્યાપને એ રીતે વધારીએ, આવો.
સ્મરણ છુપાયાં છે બે-ચાર મનના કાતરિયે,
પડે જો મેળ તો સાથે ઉતારીએ, આવો.
હરીશ ઠક્કર:
તમે સંભવામિ યુગે યુગે, અમે રોજ મરીએ ક્ષણે ક્ષણે,
હું અબુધ ભક્ત ના જઈ શકું એ વચનના અર્થઘટન સુધી.
તું અધૂરી છે, તું મધુરી છે, તને ચાહવાની પળેપળે,
ઓ હયાતિ ! તું તો કળાકૃતિ, હું મઠારું છેલ્લા શ્વસન સુધી.
મુકુલ ચોક્સી:
નહીં ગવાયેલા સઘળા સ્વરોને હાશ થઈ,
તમારી આંખના બે જલતરંગ જોઈ ગયા.
રવીન્દ્ર પારેખ:
અમારા માર્ગ પર મુશ્કેલીનું વળવું હતું નક્કી,
બધાય માર્ગ ક્યાંક્યાંથી જુઓ, ફંટાઈને આવ્યા.
અમર પાલનપુરી:
અત્તર કહો છો જેને એ ફૂલોનું લોહી છે,
એ કારણે હું લેતો નથી છાંટવાનું નામ.
(ક્રમશઃ)
વ્હાલા મિત્રો,
13 એપ્રિલ, 2008ના રોજ લયસ્તરો પર એક પોસ્ટ મૂકી હતી જેના ઢગલાબંધ મિશ્ર પ્રતિભાવો સાઈટ ઉપર અને ઈ-મેઈલ દ્વારા સાંપડ્યા હતા. પોસ્ટ હતી, “દાળભાતખાઉં ગુજરાતીપણાને ખુલ્લો પડકાર…“. વાત હતી ગુજરાતી ભાષાના મહાન જ્ઞાનકોશ ‘ભગવદ્ગોમંડલ’ના પુન: પ્રકાશન અંગેની અને માત્ર એક હજાર નકલો વેચવા માટે પડતી તકલીફની. (એક ખુશીની વાત જોકે એ પણ હતી કે આ પોસ્ટની સહાયથી કુલ્લે દસ નકલો (1%) વેચાવડાવવામાં હું સહાયભૂત બની શક્યો!) આ વાતને હજી પાંચ મહિના પણ માંડ થયા છે અને આ આખ્ખેઆખ્ખો ખજાનો ‘મફત’માં ઓન-લાઈન ઉપલબ્ધ થઈ ગયો છે. છાપેલા ચોપડાઓ માથે પડે એ હકીકતથી જ્ઞાત હોવા છતાં આવું મોટ્ટું સાહસ ખેડનાર પ્રવીણ પ્રકાશન ફરી ફરીને અભિનંદનના અધિકારી બને છે.
મોટી ‘જમ્બો’ સાઈઝના નવ-નવ દળદાર ગ્રંથોના ૯૨૭૦ સુવર્ણ પૃષ્ઠોની વચ્ચે આશરે ૨,૮૧,૩૭૭ શબ્દોના ૫,૪૦,૪૫૫ જેટલા અર્થો અને બોનસમાં ૨૮,૧૫૬ જેટલા રૂઢિપ્રયોગો ધરાવતો આ મહાજ્ઞાનકોશ સ્કૅન કરીને ઓન-લાઈન ઉપલબ્ધ કરાયો છે જે કોઈ પણ શબ્દનો અર્થ તમારા ક્મ્પ્યુટરની એક જ ક્લિક્ પર ક્ષણાર્ધમાં શોધી આણે છે. જેમને યુનિકોડમાં ટાઈપ કરતાં ન ફાવે એમના માટે કી-બૉર્ડ પણ હાજર છે.ઈચ્છિત શબ્દને ટાઈપ કરી Exact word અથવા Anywhere in the word અથવા Start with the word આ ત્રણ વિકલ્પમાંથી કોઈ એક પસંદ કરી સર્ચ ક્લિક્ કરવાથી કી-બૉર્ડની નીચે એ શબ્દ લખાયેલો જોવા મળશે. એ શબ્દ પર ક્લિક્ કરવાથી એ શબ્દ જે પાનાં પર હશે એ આખું સ્કૅન કરેલું પાનું ખૂલશે અને તમને સતત આશ્ચર્યમાં રમમાણ રાખે એવા અર્થોની કદી ન જોઈ હોય એવી અને કદી ન વિચારી હોય એવી એક આખી દુનિયા તમારી સમક્ષ ઉઘડવા માંડશે….
તો મિત્રો, રાહ શાની જુઓ છો? કરવા માંડો ક્લિક્ ક્લિક્ ક્લિક્ :
બારણાં ખુલ્લાં હતાં
ધીમે ધીમે
મંદ પગલે
એ આવી.
જુલ્ફને જરાક
રમાડી…
કોણ છે
જોઉં છું ત્યાં તો
એવી જ રીતે
ચાલી ગઈ
સઢની જેમ ઊડીને
સંકેલાઈ જતા, બારીના
પડદાએ કહ્યું,
‘હવા હતી.’
– પ્રદીપ પંડ્યા
એક કલ્પન એટલું નાજુક-નમણું હતું કે એના ‘હોવા’ અને ‘ન-હોવા’ વચ્ચે મન અટવાયું હતું !
મેં જ્યારે તને પહેર્યો
ત્યારે બંનેના શરીર અંતર્ધાન હતાં,
શરીર ફૂલોની જે ગૂંથાયાં
અને આત્માની દરગાહ પર
અર્પિત થઈ ગયાં…
તું અને હું હવનના અગ્નિ,
તું અને હું સુગંધિત સામગ્રી,
એકબીજાના હોઠેથી નીકળ્યાં
તો એ જ નામ પૂજાના મંત્ર હતાં,
આ તારા અને મારા
અસ્તિત્વનો એક યજ્ઞ હતો.
ધર્મકર્મની કથા
તો બહુ પછીની વાત છે…
– અમૃતા પ્રીતમ
ધર્મની શરૂઆત થઈ એ પહેલા ય પ્રેમ તો હતો જ.બલ્કે એ વખતે પ્રેમ જ ધર્મ હતો. કહે છે કે, એક માણસ બીજા માણસની આંખમાં પ્રેમથી જુએ છે ત્યારે ઈશ્વરનું નામકરણ થાય છે.
જેટલી વેદના એટલો સ્નેહ !
જેટલી લૂ ઝરે એટલો મેહ !
ધન્ય છે, વાહ, કિરતાર તારી કળા !
તેં દીધી ચેતના ને દીધી ચેહ.
– મકરંદ દવે
તું મારી મોઢામોઢ ઊભી હોય છે
ત્યારે મને ઈર્ષ્યા થતી નથી.
ભલે ને તારી પાછળ કોઈ એકાદને લઈ આવ,
કે તારા કેશમાં સેંકડોને લઈને આવ,
કે તારાં સ્તન અને ચરણ વચ્ચે હજારોને લઈ આવ,
ડૂબેલાં માણસોથી ભરેલી
નદીની જેમ આવ
જે ક્રુદ્ધ સમુદ્રને જઈને મળે-
અનન્ત ફીણ, ગાંડોતૂર પવન.
હું તારી પ્રતીક્ષા કરું છું ત્યાં
બધાંને લઈ આવ :
તો ય આપણે તો સદા એકલાં જ હોઈશું,
માત્ર આપણે બે જ હોઈશું – તું અને હું,
જીવનનો પ્રારમ્ભ કરવાને,
આ ધરતી પર, એકલાં આપણે બે.
-પાબ્લો નેરૂદા (અનુ. સુરેશ જોષી)
પ્રિયપાત્ર સન્મુખ ઊભું હોય તો આખી દુનિયા જખ મારે છેની વાત કવિ પાબ્લો નેરૂદા કેવી સ-રસ રીતે ચિત્રીત કરે છે! પ્રિયતમા પોતાની સાથે કોઈ એક હરીફને લઈ આવે, સેંકડોને લઈ આવે, હજારોને લાવે કે અનંતને, એમ બિંદુથી શરૂ કરી કવિ સિંધુ સુધી અને વ્યક્તિથી સમષ્ટિ સુધી પહોંચે છે. પણ આ બધાથી પોતાને કોઈ ઈર્ષ્યા કે ખલેલ પહોંચવાની નથી એ એક બાબતમાં પ્રતીક્ષારત કવિ શરૂથી જ સ્વયંસ્પષ્ટ છે. પ્રેમની અલૌકિક તાકાત આખી દુનિયાને વચમાંથી ઓગાળી દે છે અને રહી જાય છે કેવળ તું અને હું થી બનતા આપણે બે!
કવિએ આયાસપૂર્વક કરેલા કવિતાના બે ભાગ પણ ધ્યાનાર્હ બની રહે છે. કવિતાની શરૂઆતમાં બે જ લીટીમાં એક ભાગ અને પછી તેર લીટીના બીજા ટુકડાની યોજના કવિના સ્વથી વિશ્વ સુધીના વિસ્તરણના ભાવજગતને ઉપકૃત નિવડતા હોય એમ લાગે છે. પહેલી બે લીટીમાં પોતા સુધી સીમિત રહી જતા કવિ બીજા ભાગમાં ખંડની લંબાઈને અનુરૂપ સતત પોતાના પ્રેમને ચકાસનારી શક્યતાઓને પણ વિસ્તારતા રહે છે. કવિતાને લઘુત્તમ અને દીર્ઘત્તમ એમ બે ખંડમાં વહેંચી દેતી આ તરકીબ કવિતાને શું વધુ પ્રાણવંતી નથી બનાવતી?
અંધારી આ રજની સજની, મેઘબિહામણી રે,
વારે વારે દરશન દઈ, ચોંકવે દામણી રે;
ધો ધો ધો ધો, ઉદક પડતું, પહાણ ઉપેર ભારી,
દેખી સંધું ક્યમ ન ટટળું નાથ સારુ હું નારી ?
આ તોફાને, ખૂબ કરી કળા, ડુંગરે નાચતા રે,
‘ટેહુ’ ‘ટેહુ’, વદી હરખમાં, મોર તે વૃંદમાં રે;
દેખી દાઝું ઊંચકી તન ના, જંગી વિલાસ કીધો,
માદા પેરે, ઝીલી સુરસ મેં, હાય રે ના જ પીધો !
દિલાસાથી, ધીરજ ધરવી, ચાતકા, જોઈ તુંને,
તારું સીઝ્યું, મુજ નવ સીઝ્યું, લહાય વાધી જ મુને;
રે દાદુરા, ઘન વરસતો જોઈ ફુલાઈને રે,
‘ડ્રૌંઊ’ ‘ડ્રૌંઊ’, અતિસ લવી કાં ચીડવે છે મને રે ?
શા સારુ ઓ, દરદી હું છતાં બહેની કોયલડી રે,
ટૂઊ ટૂઊ કરતી હું વિના, મેઘસૂરે ચડી રે
તોબાકારી તીણી જ ચીસથી, સારસા, ભાઈ તારી,
કેશો ઊભા, કરી કણકણે, પેટ બાળે છ ભારી.
-નર્મદાશંકર
વિરહીણી સ્ત્રી માટે તો વિયોગ જ કાળી રાતના અંધાર સમો છે એ હકીકતને ધાર કાઢવી હોય એમ કવિ કાજળઘેરી રાત અને પડ્યા પર પાટુ સમા બિહામણું સ્વરૂપ આપતા મેઘને અહીં લઈ આવ્યા છે. વારંવાર ચમકી જતી વીજળી ડરમાં ઉમેરો કરે છે અને ધો ધો ધો ધો કરીને વિપુલ માત્રામાં વરસાદ પડી રહ્યો હોય એવામાં નાથ માટે હું કઈ રીતે મારી જાતને ટટળતી રોકું એવા પ્રશ્ન સાથે કવિ કાવ્યની જમાવટ કરે છે. સાંબેલાધાર વરસતા વરસાદ માટે ધો ધો ધો ધો જેવો અભૂતપૂર્વ શબ્દ તો નર્મદ જ પ્રયોજી શકે… મોર, ચાતક, દેડકો, કોયલ, સારસ તમામ વર્ષાની મસ્તીમાં મસ્ત છે ત્યારે એમની પ્રણયોર્મિ નીરખી કાવ્યનાયિકા વિયોગભાવ બળવત્તર બનતાં ઈર્ષ્યાના દાહક અગ્નિની જલન રોમ-રોમે અનુભવે છે.
પ્રોષિતભર્તૃકા
(દામણી= વીજળી, ઉદક=પાણી, દાદુર= દેડકો)
વ્હાલ અપાર ઉમટે સખા,
ટેરવા નિતરે સખા.
એમ યાદો ધસમસે,
જાહ્નવી ઉતરે સખા.
શ્વાસના ઉત્પાતમાં,
તું સતત મહેંકે સખા!
શબ્દ સૌ ઠાલા બની,
મૌન થઈ બહેકે સખા!
જિન્દગીનાં સારમાં,
તું જ તું વિચરે સખા!
ક્યાં લખું છું કાવ્ય કોઈ!
યાદ તવ નિતરે સખા…
-’ઊર્મિ’
ઊર્મિસાગર ડૉટ કોમથી ગુજરાતી વેબવિશ્વમાં પરિચિત અને લાડકી બનેલી ઊર્મિનો આજે જન્મદિવસ છે. એની જ એક ગઝલ આજે લયસ્તરો પર જન્મદિવસની એક નાનકડી ભેટ તરીકે. ગંગાનું અવતરણ થતું હોય એમ ધસમસતી યાદોના પ્રપાતમાં શબ્દોનું ખાલીખમ થઈ જવું સ્વાભાવિક છે અને જ્યારે શબ્દ સાવ ખાલી થઈ જાય છે ત્યારે વરસાદ વરસી ગયા પછીના આભ જેવું સ્વચ્છ મૌન બહેકી ઊઠે છે. આવી મદમસ્ત યાદો નિતરતી હોય ત્યારે કાગળ પર જે કંઈ શબ્દ-ચિત્ર દોરાતા હોય છે એ જ તો છે સાચી કવિતા…
વર્ષગાંઠ મુબારક હો, ઊર્મિ!
ઢળતી સાંજે
એક કાશ્મીરી બાળક
ગયું દોડતું મા પાસે…
લઈ હાથમાં લીલી ગ્રેનેડ
હરખે પૂછ્યું:
મા… મા…
આ ફળ વાવું તો શું ઊગશે ?
અશ્રુભીની આંખે
બાળકના માથે ફેરવતા હાથે
ચીંધી આંગળી
પતિની કબર તરફ.. !
– નીલેશ રાણા
‘પૃથ્વી પરના સ્વર્ગ’ને નરકમાં બદલનારાઓને સમર્પિત.
છોરી પંજાબની છે, ફુટડી છે, ગોરી છે
હો !
ચાલે તો ચાલે જાણે ધરતી ટટ્ટાર થઈને,
ચુન્નીનાં જલ ખાબકતાં ટેકરીની ધાર્ય થઈને,
તાપણાં જાળવતાં લોચન, શિયાળુ અંધાર થઈને,
અષાઢે લથબથ પાછી આસોમાં કોરી છે !
આવડે છે શું શું એને ? થોડું થોડું વાંચતા યે,
વંટોળે વણતૂટેલા વૃક્ષ જેવું નાચતાં યે,
હાથવગાં સુખમાં ઝાઝું આવડે છે રાચતાં યે,
ઘઉંના એક છોડ જેવી સહજ એ કિશોરી છે.
વ્હાલ અને વેર એના પંચનદે લહેરાતાં,
ઠંડા આકાશ ઝૂકી હૂંફ લેવા વીંટળાતા,
વૈશાખી ડમ્મર એની છાતીએ પોરો ખાતા,
તીખાં અમરતની ભંગૂર માટી-કટોરી છે…
– સિતાંશુ યશશ્ચંદ્ર
પંજાબી છોકરીનું વ્યક્તિત્વ કાબેલ પીંછીના લસરકાથી આબાદ ઊપસી આવે છે. ગીતનો લય, વિચારનો તંતુ અને વર્ણનની ગરિમા – ત્રણે ક્યાંય ખોટકાતા નથી. ‘તીખાં અમરતની ભંગૂર માટી-કટોરી’ – પાંચ શબ્દોમાં કવિએ એક આખા અધ્યાય જેટલી વાત કરી દીધી છે ! સરખાવો : કેરલ કન્યા.
(પંચનદ=પંજાબ)
સત છે અસત છે
સરતું જગત છે
કેવી લડત છે
હું છું જગત છે
દિલની લડત પર
સૌ એકમત છે
ગમ ને ખુશીનું
દિલ પાણીપત છે
તારાં નયનમાં
શી આવડત છે
શાયરનું સ્વપ્નું
શાયરની લત છે
દિલ પાળી શકશે
દિલની શરત છે
મંઝિલ બરાબર
રસ્તો ગલત છે
સર્જન વિસર્જન
જાણે રમત છે
– શેખાદમ આબુવાલા
ટૂંકી બહેરની ગઝલમાં શેખાદમ કેવી ખૂબીથી ઊંડી વાત કરે છે તે જુઓ. એક એક શેર મઝાના ચોટદાર થયા છે. અને લાઘવની એની પોતાની મઝા છે એ અલગ !
લખાવટ સુઘડ ને લચકદાર છે,
સુમન પ્રકૃતિના લલિત અક્ષરો,
ભ્રમર જાણે ખસતા અનુસ્વાર છે !
*
ભ્રમર ને પતંગાઓ મોડા પડ્યા,
ખતમ રાતભરમાં જ થઈ ગઈ મહેક,
હવાના ફૂલો પર દરોડા પડ્યા !
*
ચમનમાં છે મેળાવડાની ઝલક
ચમેલી, જૂઈ, કેતકી, ગુલછડી,
હલો ! આપનું નામ શું ? શું અટક ?
– હેમેન શાહ
ત્રિપદીઓ એટલી તાજી હવાની લહેરખી. વાંચો અને ચહેરા પર સ્મિત આવી જાય એટલું જ શું ઘણું નથી ?
આકાશી આંબાને આવ્યો મૉર અને છે જળબિલ્લોરી,
ચાંદની આંખોમાં છલક્યો તૉર અને છે જળબિલ્લોરી.
આ વાદળનાં પાનાં ખોલી કોણ પઢાવે અમને નિશદિન,
ઠોઠ નિશાળી ફોરાં કરતાં શોર અને છે જળબિલ્લોરી.
ઘનઘોર ઘટાના મેળામાં જ્યાં વાગી ઢોલે થાપ જરી, કે-
આકાશી નટ રમતો બીજલ દોર અને છે જળબિલ્લોરી.
ધરતીના ખાંડણિયે નભની નાર કયું આ ધાન છડે છે !
ઝીંકાતા આ સાંબેલાનું જોર અને છે જળબિલ્લોરી.
વરસાદે ભીંજાતાં – ન્હાતાં છોરાં શો કલશોર મચાવે,
કે ન્હાવા આવે તડકો થૈને ચોર અને છે જળબિલ્લોરી.
-ઉષા ઉપાધ્યાય
આ ગીતનુમા ગઝલનો લય એટલો પ્રબળ છે કે છત્રી વિના સાંબેલાધાર વરસાદમાં ભીંજાયાની અનુભૂતિ થયા વિના નહીં રહે. જળબિલ્લોરી જેવો નવો જ શબ્દ રદીફ તરીકે ‘કૉઈન’ કર્યા પછી કવયિત્રી એને પૂરી પ્રામાણિક્તાથી નિભાવી શક્યા છે અને એટલે જ આ ગઝલ આસ્વાદ્ય બની રહે છે. આકાશી આંબો, વાદળનાં પાનાં, ઠોઠ નિશાળિયા જેવા ફોરાં, આકાશના નટનું વીજળીની દોરી પર રમવું, નભની નાર અને ચોરપગલે ભીંજાવા આવતા તડકા જેવા કલ્પનો કવિએ એવા બખૂબી વણી લીધાં છે કે સહેજે થઈ આવે કે ચાલ, ન્હાવા જઈએ…
આવ-જા અમથી બધાંની થાય છે,
શ્વાસ પણ એમ જ અહીં લેવાય છે.
વાત જુદી છે અધૂરા પાત્રની,
કોઈ દરિયો ક્યાં કદી છલકાય છે ?
જીવ પામર પામવા મથતો રહે,
એ પદારથ તો ય ક્યાં પકડાય છે ?
આંખમાંથી કેટલું ભૂંસવું પડે –
આંખ પંખીની પછી દેખાય છે.
સ્હેજ અજવાળું નથી થાતું અને,
કૈંક ડહાપણ દીવડા બુઝાય છે !
કોઈ પરપોટો નથી કાયમ અહીં,
આખરે એ સત્ય પણ સમજાય છે.
સાવ કોરા કાગળો વાંચ્યા પછી
અક્ષરોનો મર્મ કૈં પકડાય છે !
-નીતિન વડગામા
મહાભારતનો ગુરુ દ્રોણ દ્વારા કૌરવ-પાંડવોની કરાયેલી પંખીની આંખ વીંધવાની કસોટીનો સંદર્ભ લઈ નીતિન વડગામા કેવા મજાનાં અર્થવલયો સર્જે છે !
(આ મજાની ગઝલ મોકલવા બદલ રાહુલ શાહ, સુરતનો આભાર..!)
એક મોજું એ રીતે અથડાય છે,
સ્વપ્નમાં સૌ વ્હાણ ડૂબી જાય છે.
આ દિવસ ક્યારેય પણ ઊગતો નથી,
રાતનો ખાલી કલર બદલાય છે.
આમ કરતાં આમ કર્યું હોત તો ?
એ બધું વીત્યા પછી સમજાય છે.
તોડવું કઈ રીતથી પેન્સિલ પણું ?
શ્વાસ જન્મે ને તરત બટકાય છે.
માત્ર હું દીવાસળી બોલું અને-
ચોતરફથી આગ લાગી જાય છે.
-અનિલ ચાવડા
જીવનમાં સોમાંથી નવ્વાણુંવાર આપણને વિચાર આવતો હોય છે કે અરેરેરે… આના બદલે આમ કર્યું હોત તો સારું થાત… આમ બોલાઈ ગયું એના બદલે કદાચ આમ બોલ્યો હોત તો સારું થાત… દોઢસો રૂપિયા નક્કામા કહી દીધા…સો કહ્યા હોત તો પણ એ આપી જ દેવાનો હતો…રાંડ્યા પછીનું ડહાપણ દરેકને સૂઝતું જ હોય છે. અનિલ કેવી સહજતાથી આટલી સર્વસામાન્ય વાતને અસામાન્ય કવિતાનું રૂપ આપી દે છે! વળી શ્વાસને પેન્સિલની બટકી જતી અણી સાથે સરખાવી કવિ બટકી ન શકે એવો ગંભીર વિચાર લઈને આવે છે. શ્વાસ તો જે ઘડીએ લઈએ એ જ ઘડીએ નાશ પામવા સર્જાયો છે. એ લેવાયો નથી કે પાછો મૂકવાનું કામ અનાયાસ થઈ જાય છે. આપણી જિંદગી પણ જે ક્ષણે શરૂ થાય છે એ જ ક્ષણે એનો અંત પણ નિશ્ચિત જ થઈ જાય છે. જીવનની આ ક્ષણભંગુરતાને શી રીતે શાશ્વત કરવી? કવિ કોઈ ઉકેલ લઈને નથી આવ્યા. કવિ માત્ર પ્રશ્ન લઈને આવ્યા છે અને એ પ્રસ્તુત પણ છે કેમકે આપણા વ્હાણો સ્વપ્નમાં જ ડૂબતા રહે છે. આપણી પાસે પ્રશ્ન પૂછવાનો અવકાશ પણ નથી. આપણા જીવનમાં ક્યારેય સવાર થતું જ નથી. માત્ર રાત્રિનો રંગ જ બદલાતો હોય છે જેને આપણે સવાર ગણીને જાતને છેતરતા રહીએ છીએ. પણ ખરું અજવાળું તો આપણે આપણા પેન્સિલપણાંને સમજીને અનહદ સાથે સૂર સાધીશું પછી જ થવાનું છે…
પહેલાં હતું એ આજનું વાતાવરણ નથી;
રસ્તો અહીં પડ્યો છે ને તારા ચરણ નથી !
તેં જે નથી કહી એ બધી વાત યાદ છે;
તેં જે કહી એ વાતનું કોઈ સ્મરણ નથી !
પડદો પડી ગયો છે હવે સૌ પ્રસંગ પર;
કહેતા હતા મને કે કોઈ આવરણ નથી !
હું છું તમારી પાસ : ઉપેક્ષાની રીત આ;
આંખો મીંચાઈ નહીં ને મીઠું જાગરણ નથી !
અહીંયા બધી દિશાએથી પડતો રહ્યો બરફ;
દુનિયામાં માત્ર એકલાં રેતીનાં રણ નથી !
તૂટેલી સર્વ ચીજ કરું એકઠી સદા;
શું કાળ પાસે એકે અખંડિત ક્ષણ નથી !
– સુરેશ દલાલ
આપણે કહેલી બધી વાતોને ભૂલીને ન કહેલી વાતોને પકડી રાખીએ છીએ.. એવુ કેમ ? કેમ મન જે અપ્રાપ્ય રહી ગયું એને જ પંપાળ્યા કરે છે ? કેમ દિલ બધા સહારાને ભૂલી જાય છે પણ દરેક ઘાવને ‘સમી સાંજ’ સુધી યાદ રાખે છે ?
જે અક્ષરો કાગળ ઉપર આંક્યા હતા
એ લાગણીને ટાંકણે ટાંક્યા હતા
તેં કફન ખોલી કદી જોયું નહીં
મેં શ્વાસ થોડા સાચવી રાખ્યા હતા
– વિનોદ ગાંધી
હું એ શહેરમાં આવી છું
જ્યાં આપણી મુગ્ધતાના અવશેષો
ક્યારેક જોવા મળે છે.
જેની ધૂળ પર
આપણા પ્રેમાધિકારના પગલાં પાડ્યાં હતાં
તે રસ્તાઓ પણ કેટલા રહ્યા છે?
નદીની વ્યાખ્યા પર હસતા પટમાં
વાવેતર થાય છે,
ખેતરોના વિનાશ પર
સંસારની ભીડ થઈ ગઈ છે.
આ શહેરમાં કશું અપેક્ષિત નથી.
વર્ષોથી અહીં પડી રહેલી
પેલી જૂની કાંચળીમાં પ્રવેશી જાઉં છું –
પછી ગોઠવાઈ જાઉં છું
પ્રાણને પીડતા ચક્રવ્યૂહમાં,
નવાં નવાં લઘુનગરોના
અપરિચિત આકારોમાં.
નિમંત્રણ વગર,
મહેમાન બનીને આવી છું.
અધિકાર ખોઈને
પ્રગલ્ભતાનાં ચણતર કરવા આવી છું.
આપણું હતું તે બધાંનું
નિલામ કરવા આવી છું.
– પ્રીતિ સેનગુપ્તા
મને મારા પોતાના શહેર -સુરત-માં વર્ષો પછી માત્ર મહેમાન તરીકે જવાનો અનુભવ છે એટલે આ કવિતા મને મારી પોતાની લાગે છે. જે શહેરની નસે નસ જાણવાનો કેફ હતો એ શહેર અજાણ્યુ લાગે એ જીવનની એક વિચિત્ર અવસ્થા છે. પ્રગતિ – માણસ માટે અને શહેર માટે – બન્ને માટે જરૂરી છે. કોઈને સ્થગિત રહેવું પાલવે એમ નથી. પણ દોસ્ત, આંખનો એક ખૂણો ભીનો રાખીને જીવે જવાની પણ એક ખુમારી છે. ને વળી દૂર ખૂણેથી રાજેન્દ્ર શાહ ટેકો કરે છે : ઘરને ત્યજી જનારને / મળતી વિશ્વ તણી વિશાળતા.
લોકો કહે છે કે મારો બૌદ્ધિક વિકાસ થયો છે.
હું
મૌન, ચુપકીદી અને નિ:શબ્દતા વચ્ચેનો ફરક
સમજી શકું છું.
કેડી, મારગ અને રસ્તાઓનો તફાવત
મારા મગજમાં બરાબર બેસી ગયો છે.
નજર નાખવી, નીરખવું, ધ્યાન દેવું
વગેરે મને સમજાવવું નથી પડતું.
મારું, અમારું,
તારું, તમારું,
પારકું, પરાયું,
બીજાનું, આપણું
આ ભેદભાવો મનમાં
રેતીમાં પડતા પગલાની જેમ ચોખ્ખા દેખાય છે
સર્વાનુમતે જાહેર થયું છે કે હું સમજણો થયો છું.
મને લોકોની નાદાની ઉપર હસવું આવે છે.
તેઓને આની ખબર નથી :
હું બધાને
બહુ સારી રીતે ઓળખી ગયો છું.
– શકૂર સરવૈયા
કોઈએ ખરૂ જ કહ્યું છે, વહેવારની સમજ એટલે લાગણીને બુરખો પહેરાવવાની કેળવણી 🙂