તું ચૈતરની ચાંદની, તું મંત્રોના જાપ
સ્પર્શું, ચાખું, સાંભળું, સઘળે તારો વ્યાપ
– સંજુ વાળા

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for July, 2021

(બધું તારું જ છે) – કિરણસિંહ ચૌહાણ

આ બધું તારું જ છે,
હા, બધું તારું જ છે.

કાંઈ ના આપી કહ્યું,
જા, બધું તારું જ છે.

અહીં કશું તારું નથી,
ત્યાં બધું તારું જ છે.

સ્વર્ણનો ઢગલો કર્યો,
ખા, બધું તારું જ છે.

‘સા’થી લઈને ‘સાં’ સુધી,
ગા, બધું તારું જ છે.

મારું છે કંઈ? બોલને!
ના… બધું તારું જ છે.

– કિરણસિંહ ચૌહાણ

સાવ ટૂંકી બહેરની ગઝલ. ગાલગાગા ગાલગા. બાર જ માત્રા. બસ. એમાંય દસ માત્રા જેટલી જગ્યા તો ‘બધું તારું જ છે’ જેવી લાંબીલચ્ચ રદીફ રોકી લે છે. એટલે મત્લાના બંને મિસરામાં અને બાકીના તમામ શેરના સાની મિસરામાં કવિ પાસે શેર સિદ્ધ કરવા માટે બે માત્રાના એકાક્ષરી કાફિયા જેટલો જ અવકાશ બચે છે. ટૂંકી બહેરની ગઝલમાં કવિતા સિદ્ધ કરવાનું કામ દોરડા પર ચાલવા જેવું કપરું છે. એમાંય આવી અઘરી શરત લઈને કવિ કામ કરે એનો મતલબ એમ થાય કે કવિએ દોરડા પર અદ્ધર ચાલવાનું નહીં, સાઇકલ ચલાવવાનું બીડું ઝડપ્યું છે. આ કામ વધુ મુશ્કેલ છે, પણ આનંદ એ વાતનો છે કે કવિ મોટાભાગના શેરમાં કાવ્યત્વ સિદ્ધ કરી શક્યા છે. એમાંય સારેગમપધનિસાંના બે છેડા પકડીને આલાપતો શેર તો શિરમોર થયો છે…

Comments (26)

બીજું શું જોઈએ – હિરેન ગઢવી

લય, તાલ, સ્વરમાં હોઈએ, બીજું શું જોઈએ,
આઠે પ્રહરમાં હોઈએ, બીજું શું જોઈએ !

દીવાલ બોલવા ચહે આધારની કથા,
એ વખતે ઘરમાં હોઈએ, બીજું શું જોઈએ !

જે ચાહે તે પહોંચી શકે આપણા સુધી,
કાયમ એ સ્તરમાં હોઈએ, બીજું શું જોઈએ !

જેને નશામાં રાખે સ્વયંની જ જાગૃતિ,
એની અસરમાં હોઈએ, બીજું શું જોઈએ !

તારા થયાની ઘોષણા કરવાનું થાય મન,
ત્યારે સબરમાં હોઈએ, બીજું શું જોઈએ !

નિર્દોષ જો નહીં તો ગુનેગારની રીતે,
એની નજરમાં હોઈએ, બીજું શું જોઈએ !

‘હોવાની’ જેમાં કંઈ જ જરૂરત પડે નહીં,
એવી સફરમાં હોઈએ, બીજું શું જોઈએ !

– હિરેન ગઢવી

સાદ્યંત સુદર ગઝલ. ‘બીજું શું જોઈએ’ જેવી રદીફને તંતોતંત નિભાવતા મેઘધનુષી સાત શેર. હળવે તે હાથ, નાથ! મહીડા વલોવજો…

Comments (5)

તને માફક નહીં આવે – પંકજ વખારિયા ‘પ્રેમકમલ’

ત્યજી દે સત્વરે કાગળ, તને માફક નહીં આવે,
ગઝલ છે ભેજવાળું સ્થળ, તને માફક નહીં આવે.

ભલેને સાવ છે નિર્મળ, તને માફક નહીં આવે
જરા ખારું છે અશ્રુજળ, તને માફક નહીં આવે.

કદી તું ગણગણી લે શામે-ગમનાં ગીત, અલગ છે વાત,
આ રહેવું કાયમી વિહવળ, તને માફક નહીં આવે.

તું ટેવાયો છે ચોક્કસ રાહ પર રહેવાને અગ્રેસર,
ભટકવું કોઈની પાછળ, તને માફક નહીં આવે.

તું તારા ફાર્મહાઉસમાં લગાવી દે ફૂવારાઓ,
વરસતી હેલી ને ખળખળ તને માફક નહીં આવે.

તું ઝુમ્મરની જ ઝાકમઝોળથી કર તારું ઘર રોશન,
મીંચેલી આંખનું ઝળહળ તને માફક નહીં આવે.

ગમે તે પી લઈને તર થવાને નામે ડૂબી મર,
તરસની નાવ ને મૃગજળ તને માફક નહીં આવે.

ચળકતી ચાંદનીમાં શબ્દની, બેફિક્ર બેઠો રહે,
ઉકળતા લોહીની ચળવળ તને માફક નહીં આવે.

તું ચાવ્યાં કર ફકત પીળાં પડેલાં પાન ગ્રંથોના,
વિકસતી તાજી આ કુંપળ તને માફક નહીં આવે.

– પંકજ વખારિયા (પ્રેમકમલ)

(ડૉ. અશરફ ડબાવાલાની પંક્તિ ‘શબદની કેદ કે કાગળ તને માફક નહીં આવે’ની જમીન પર)

નવશેરની નવરંગ ગઝલ. તને માફક નહીં આવે જેવી ભાતીગળ રદીફ બખૂબી નિભાવીને કવિએ સરસ ચાબખા માર્યા છે. કવિઓને સંબોધીને લખાયેલ પ્રથમ અને આખરી શેર તો હૃદયમાં મઢાવી રાખવા જેવા…

Comments (6)

આ ઉદાસી સ્હાંજની – તુષાર શુક્લ

આ ઉદાસી સ્હાંજની આ રેશમી યાદોનાં રણ
ઊંટની આંખોમાં ઝિલમિલ કારવાના રેતકણ

હું ત્વચાનું ગામ, તું બેફામ લીલપ પાંગરે
ને કિનારે સૂર્યના સો સો વહાણો લાંગરે
તું હથેળીમાં સતત ગળતું અનાગતનું કળણ
ઊંટની આંખોમાં ઝિલમિલ કારવાનાં રેતકણ

હું અજાણ્યા શ્હેરમાં, તું ઓગળે ધુમ્મસ બની
હું ગુલાબી શ્વાસ ઓઢી, શોધતો શેરી ગલી
તું મળે મારી જ અંદર, સાદ હું પાડું ય, પણ
ઊંટની આંખોમાં ઝિલમિલ કારવાંના રેતકણ.

હાથમાં અકબંધ છે એ મુગ્ધ ચ્હેરાની ભીનાશ.
આ અડોઅડ પાસ પાસે, આપણા શ્વાસોચ્છ્વાસ
તું સરકતી પળની માફક, હું ચહું પ્રત્યેક ક્ષણ.
ઊંટની આંખોમાં ઝિલમિલ કારવાંના રેતકણ.

– તુષાર શુક્લ

“તું હથેળીમાં સતત ગળતું અનાગતનું કળણ”……અદભૂત !

માશૂકાનો પ્રેમ ક્યારે પરમાત્માના પ્રેમમાં ભળી જાય છે તે નોખું કરી શકાતું નથી. “તું મળે મારી જ અંદર…” – આ અનુભૂતિ પ્રેમની ચરિતાર્થતાની સાક્ષી છે.

Comments (4)

ને જગા પુરાઈ ગઈ….- ઓજસ પાલનપુરી

મારી હસ્તી મારી પાછળ એ રીતે વિસરાઈ ગઈ;
આંગળી જળમાંથી નીકળી ને જગા પુરાઈ ગઈ.

આગમન એનું સુણીને ઊર્મિઓ હરખાઈ ગઈ.
ચાંદ ઊગ્યો પણ નહીં ને ચાંદની ફેલાઈ ગઈ.

દર્દમાં ઠંડક, દિલાસામાં જલન, અશ્રુમાં સ્મિત,
પ્રેમનો ઉત્કર્ષ થાતાં ભાવના બદલાઈ ગઈ.

ભેટવા એને હતો હું એટલો વ્યાકુળ કે,
ખુદ કજા મારો ધસારો જોઈને ગભરાઈ ગઈ.

વાસ્તવમાં વિરહ પણ છે એક મૃત્યુનો પ્રકાર,
એ મરણના મુખ મહીં પણ જિંદગી જિવાઈ ગઈ.

મુજને ‘ઓજસ’ના સ્વરૂપે આ જગત જોતું રહ્યું,
આંખ સૌની એને ઓળખવામાં ઠોકર ખાઈ ગઈ.

– ઓજસ પાલનપુરી

મત્લો એટલા ઊંચા મુકામે જઈ બેઠો છે કે બાકીના શેર એની ઊંચાઈ જોવામાત્રથી હાંફી ગયા છે….ત્રીજો શેર પણ મજબૂત છે,બીજો પણ સરસ છે. મક્તો થોડો વધુ હાંફી ગયો છે.

Comments (7)

વરસાદમાં – હિતેન આનંદપરા

વીજ, વાદળ, વાયરો ઘેરી વળે વરસાદમાં,
છોકરી જેવી ધરાને બથ ભરે વરસાદમાં.

પ્રિયજન સાથે અબોલા આ ઋતુમાં ક્યાં સુધી ?
રીસ સાથે બે જણાંયે ઓગળે વરસાદમાં.

કામ પર જાવાનું મન થાતું નથી તો નહીં જઉં,
બહુ જ થોડાં જણને આવું પરવડે વરસાદમાં.

આમ તો એ આવડત, ને આમ શ્રદ્ધાનો વિષય,
એક કાગળની બની હોડી તરે વરસાદમાં.

સાવ રોજિંદા જીવનમાં શુષ્ક થઈને જીવતો,
આપણી અંદરનો માણસ ખળભળે વરસાદમાં.

મોર જેવી માનવી પાસે પ્રતીક્ષા પણ નથી,
એટલે એની ‘કળા’ જોયા કરે વરસાદમાં.

ઘર પછીતે યાદની વાછટ છવાતી જાય છે,
ટેરવાં પર સ્પર્શ જૂનો તરફડે વરસાદમાં.

– હિતેન આનંદપરા

વરસાદની ફૂલગુલાબી ઋતુમાં મસ્ત મજાની વરસાદી ગઝલમાં ભીનાં થઈએ. વરસાદ વરસતો હોય ત્યારે વીજળી, વાદળ અને વાયરો –બધાં સાગમટે ધરતીને આલિંગન કરતાં હોય એવું મદમત્ત વાતાવરણ સર્જાય છે. વરસાદના પાણીમાં માત્ર બે પ્રેમીજન જ નથી ઓગળતાં, એમના અબોલા અને રીસ પણ ઓગળી જાય છે. સરવાળે નખશિખ આસ્વાદ્ય રચના.

Comments (6)

તથા કુરુ – રાજેન્દ્ર શુક્લ

વદી વદી વદ્યા ગરુ, યથેચ્છસિ તથા કુરુ.
ભર્યો છે ભીતરે ચરુ, યથેચ્છસિ તથા કુરુ.

ન ખોટું કે નથી ખરું, યથેચ્છસિ તથા કુરુ.
જે સૂઝ્યું તે કર શરૂ, યથેચ્છસિ તથા કુરુ.

નથી સરલ ન આકરું, યથેચ્છસિ તથા કુરુ,
થશે બધુંય પાધરું, યથેચ્છસિ તથા કુરુ.

ન ઘેરશે તને ધરું, યથેચ્છસિ તથા કુરુ.
ટકી શકે ન છાપરું, યથેચ્છસિ તથા કુરુ.

ભલે ન મન કહ્યાગરું, યથેચ્છસિ તથા કુરુ,
થવાનું એય પાંસરું, યથેચ્છસિ તથા કુરુ.

સખત છતાંય ફોતરું, યથેચ્છસિ તથા કુરુ,
પલક મહીં થશે પરું, યથેચ્છસિ તથા કુરુ.

સુદૂર છો અરુપરુ, યથેચ્છસિ તથા કુરુ,
સ્વયં થશે હરુભરુ, યથેચ્છસિ તથા કુરુ.

– રાજેન્દ્ર શુક્લ

ગઈકાલે આપણે કવિશ્રી વિરલ શુક્લની ‘યથેચ્છસિ તથા કુરુ’ રદીફવાળી ગઝલ માણી. કવિમિત્ર પ્રણવ પંડ્યાએ તરત જ એમની યાદદાસ્તના ગજવામાં હાથ નાંખીને આ ગઝલની એક પંક્તિની ચબરખી મોકલી આપી, અને ગુજરાતી સાહિત્ય અકાદમી (યુકે)ના ફેસબુક પેજ પરથી આખી રચના પણ મળી ગઈ.

કવિવરે જો કે ચુસ્ત કાફિયા સાથે સાત શેરની સળંગ મત્લા ગઝલ રચી છે.

શિષ્ય ગુરુ પાસે જ્ઞાન ઝંખે છે પણ ગુરુ (ગરુ) કહી કહીને એ જ કહે છે કે તારી ઇચ્છા મુજબ તું કર. ગુરુ જાણે છે કે સર્વેશ્વરની મરજી વિના પાંદડું પણ હલવાનું નથી અને પોતે ગમે એટલું જ્ઞાન કેમ ન આપે, શિષ્ય પણ અંતે તો ઈશ્વર આપેલી બુદ્ધિ અને એના જ ઈશારાને પોતાની મરજી ગણીને પોતાની રીતે જ બધું કરશે. ઈશ્વરરુપી ચરુ આપણા સહુની અંદર છે જ. એમાંથી આપણે આપણી ઇચ્છા મુજબ ગ્રહણ કરવાનું છે. દુનિયામાં કશું ખરું-ખોટું નથી, ઈશ્વરકૃપાથી જે સૂઝે એ જ શરૂ કરવાનું છે. એની કૃપાથી બધું પાધરું થશે અને કહ્યામાં ન હોય એવું મન પણ પાંસરું થશે.

અરુંપરું નો અર્થ આમ તો આડુંઅવળું કે અહીંતહીં થાય છે પણ કવિએ અનુસ્વાર ન વાપર્યા હોવાથી સાની મિસરાના સંદર્ભમાં અરુ એટલે અન્ય કે વિશેષ અને પરુ એટલે સ્વર્ગ એમ વધુ સમજાય છે, ભલેને બીજું કે વિશેષ સ્વર્ગ સુદૂર કેમ ન હોય, એ સ્વયં જ રૂબરૂ (હરુભરુ) થશે.

Comments (5)

યથેચ્છસિ તથા કુરુ – વિરલ શુક્લ

શમાવ આખરી તૃષા; યથેચ્છસિ તથા કુરુ
ન અન્ય કોઈ પ્રાર્થના; યથેચ્છસિ તથા કુરુ

મળે ન મોક્ષ તોય ચાલશે, અપાવ આટલું-
ગઝલ લખાવ નિર્જરા; યથેચ્છસિ તથા કુરુ

અત્ર તત્ર મોજની ઉપાસના અમે કરી,
નથી કશું જ અન્યથા; યથેચ્છસિ તથા કુરુ

વ્યંજના ન વૈખરી કશું મળે નહિ અહીં,
ગઝલ અમારી મધ્યમાં; યથેચ્છસિ તથા કુરુ

કરી શકું ન સામગાન કે નમાજથી પ્રસન્ન,
નથી કશી જ વિદ્વતા; યથેચ્છસિ તથા કુરુ

બિલ્વપત્ર અર્પવાની સૂઝ ના પડી કદી,
સમર્પ઼ું શ્વાસ–શૃંખલા; યથેચ્છસિ તથા કુરુ.

હતાં વળાંક માર્ગ પર પરંતુ હું વળ્યો નથી,
ન વામ કે ન દક્ષિણા; યથેચ્છસિ તથા કુરુ.

સહસ્ત્રજન્મ લગ મળે વિરલ નગર ફરી ફરી,
છે આટલી જ એષણા; યથેચ્છસિ તથા કુરુ.

– વિરલ શુક્લ

શ્રીમદ ભગવદ્ગીતાના આખરી અધ્યાયના શ્લોકમાંથી ‘यथेच्छसि तथा कुरु’ વાક્યાંશ પસંદ કરીને કવિને એને રદીફ તરીકે પ્રયોજીને કવિ સાદ્યંત સુંદર ગઝલ પેશ કરે છે. અર્જુનની જેમ સમર્પણભાવ ગ્રહીને કવિ ઈશ્વર સાથે એકતરફી સંવાદ સાધીને પછી પરિણામ માટે ‘તને જેમ ઠીક લાગે એમ કર’ કહીને પોતાનો ભાર એના પર સોંપી નચિંત થઈ જાય છે. કવિ પાસે ઈશ્વરને કરવા માટે બીજી કોઈ જ પ્રાર્થના નથી, સિવાય એક કે પોતાની આખરી તરસ એ છિપાવે અને આ તરસ કઈ એનોય ફોડ પાડવાને બદલે કવિ એ પણ અંતર્યામી પર જ છોડી દે છે… સમગ્ર ગઝલમાં જે રીતે કવિએ શબ્દવણાટ કર્યું છે એ પણ રદીફની જેમ જ ગઝલને પ્રચલિત ચાલમાં હડિયાદોડ કાઢતી ગઝલોથી નોખી કરી આપે છે.

આ જ રદીફ સાથે કવિવર શ્રી રાજેન્દ્ર શુક્લએ પણ એક મત્લા-ગઝલ કહી છે… એ આવતીકાલે જોઈશું…

इति ते ज्ञानमाख्यातं गुह्याद्गुह्यतरं मया|
विमृश्यैतदशेषेण यथेच्छसि तथा कुरु। ॥ (ભગવદ્ગીતા ૧૮ : ૬૩)

(આ રીતે મેં તને ગુહ્યથીય ગુહ્યતર જ્ઞાન કહી દીધું છે. આના પર પૂરી રીતે વિચાર કર અને જે પ્રકારે ઇચ્છા થાય એ પ્રકારે કર.)

Comments (11)

માનતા બની છે – મકરંદ દવે

મુસીબતોની શું વાત કરવી ! મુસીબતો સૌ મતા બની છે,
અમારે તમરાં થકી જ ઘરની ભરીભરી શૂન્યતા બની છે.

તમારી સૂરત રમી રહી’તી નજર નમી તો નજરની સામે,
નજર ઉઠાવી તો એક પળમાં ન જાણે ક્યાં બેપતા બની છે !

હરેક દિલમાં છે એક દેરી, હરેક દિલમાં છે એક મૂરત,
ફળે ન તોપણ તમામની જિંદગી અહીં માનતા બની છે.

કહો, શું કરવી ફરીફરીને પુરાણા જુલ્મો-સિતમની વાતો ?
મને મહોબ્બત તણી બિછાતે ખુશીની ઝાકળ ખતા બની છે.

અમે તો ખાલી કરીને હૈયું તમોને સારી વ્યથા સુણાવી,
તમે કહો છો, જરૂર સારી, લખી જુઓ, વારતા બની છે.

સમૂળગી જ્યાં ઉખેડી નાખી ફૂટ્યા ત્યાં ટીશી-ટીશીએ ટશિયા,
ઢળી તો રાતાં ફૂલોથી કેવી લચેલ આશા-લતા બની છે !

કહું શું કોને ઇશારે મારી રહીસહીયે સમજ સિધાવી,
હવે ભિખારણ થઈને ભમતાં બની-ઠની સૂરતા બની છે. [ સૂરતા = દેવત્વ ]

– મકરંદ દવે

ઘેરી વેદના છે ભલે મૃદુ શબ્દો વપરાયા છે. કવિ સિદ્ધહસ્ત છે…શબ્દોના જાદુગર છે,ભાષાના સ્વામી છે. ” અમે તો ખાલી કરીને હૈયું તમોને સારી વ્યથા સુણાવી, તમે કહો છો, જરૂર સારી, લખી જુઓ, વારતા બની છે. ” – આ શેરમાં રહેલી વેદના જુઓ ! મત્લો પણ અદભૂત….

Comments (2)

પ્યારનો પારો – વેણીભાઈ પુરોહિત

જીવનના મુસાફર શોધે છે રસ્તામાં ઉતારો શા માટે?
મુજ પ્યારની રંગત ઝંખે છે એનો અણસારો શા માટે?

આ આંખ ભટકતાં થાકી ગઈ, આ પ્રેમનો પોરો ખાવો છે,
કોઈ દિલની સરાઈ છોડીને ગલીઓમાં ગુજારો શા માટે?

છે ચાહતની બલિહારી અજબ, હું એક જ ઉત્તર શોધું છું,
કે આંખોથી સત્કાર કરો ને મુખથી નકારો શા માટે?

હું ઠપકો દઉં છું રોજ, હૃદયને રોજ દિલાસો આપું છું,
કે તુંય પકડવા દોડે છે એ પ્યારનો પારો શા માટે?

સપનાનું રેશમ જાય બળીને આશાની મુરઝાય કળી,
કોઈ લીલાછમ ખેતરને ખોળે ગમનો અંગારો શા માટે?

જ્યાં જોગ નથી, જ્યાં ભોગ નથી, સુખદુઃખના જ્યાં સંજોગ નથી,
જ્યાં પ્યાર કર્યાનું પાપ નથી, એવો જન્મારો શા માટે?

હું મોતનું જીવન જીવું છું, બિસ્મિલની બોલી બોલું છું,
ને શબ જેવા આ દિલમાં યા રબ! આ ધબકારો શા માટે?

– વેણીભાઈ પુરોહિત

વેણીભાઈને ગીત-કવિ તરીકે હું પીછણતો. આવી સરસ ગઝલ વાંચીને મજા આવી ગઈ. દરેક શેર મજબૂત. પરંપરાગત કલ્પનો પણ વાત ક્રાંતિકારી. છેલ્લેથી બીજો શેર જુઓ….. વળી ‘પ્યારનો પારો’ કલ્પન પણ કેટલું બંધબેસતું છે !!

Comments (3)

સાથી – ડોરથી લિવસે (અનુ.: વિવેક મનહર ટેલર)

તારી સાથે સહશયન મેં એકદા માત્ર કીધું;
કેવું મીઠું! અનુભવ હતો ના કદી આજ પૂર્વે
મોઢું ભાંગ્યું લગરિક નહીં, પ્રેમ કેવો હતો એ!
હું અક્ષુણ્ણા; કુસુમકળી તેં જે છટાથી ઉઘાડી,
કોઈ આથી વધુ મૃદુ ઢબે પુષ્પ ખોલી શકે શું?
એ બાંહોની દૃઢપકડમાં સૂતી’તી હું નિરાંતે
ના કો’ ભીતિ, અરવ સુખના કલ્પદેશે સુહાતી,
ના જાગ્યો જ્યાં લગ મુજ મહીં લાગલો એ ફુવારો

વર્ષો વીત્યાં, પ્રિય! બહુ અને આપણે બેઉ મોટાં
જલ્દી થૈ ગ્યાં નિજ નિજ ઢબે, ઝૂઝતાં જાત સાથે
ને હું આજે નિરખી રહી છું વૃદ્ધ આ માનવીને-
ના સ્વપ્નો, કે તન ઉપર ના કોટ, આજીવિકા ના:
છીએ કિંતુ નિકટતમ, હા, આજ સંઘર્ષ વચ્ચે,
પ્રેમાષ્લેષે તન રત રહ્યાં હોત એથી વધારે.

– ડોરથી લિવસે
(અનુ.: વિવેક મનહર ટેલર)

*

સંબંધમાં ક્ષણ અને વરસ વચ્ચેની વિષમતાનું સત્ય સમજાવતું આ સૉનેટ કેવું મજાનું છે, જુઓ! આખી જિંદગી એક જ છત નીચે અને એક જ બિસ્તર પર પસાર કરી દેનાર યુગલ વચ્ચે ટીપુંભર પ્રેમ જ ન હોય એ શક્ય છે તો બીજી તરફ એક મુલાકાતનો પ્રેમ જીવનભરનું ભાથું બની રહેતો હોય છે. દેહયુગ્મ તો બહુધા આદતન જ હોય. અશરીરી નૈકટ્ય શરીરી નિકટતાથી વધુ બળવત્તર અને દીર્ઘજીવી હોય છે. અહીં એકનો મહિમા છે. એકનું માધુર્ય છે. એકવારનો સ્નેહાસિક્ત સહવાસ જીવનભરના ઉપવાસથી વધી ગયો છે. મૃતલોકમાં અમૃતકુંભનો જેકપોટ લાગી ગયો. અને આ અ-મૃત એવું મીઠું છે કે અહેસાસની જીભે કદી કડવાશ પકડી નથી. એકવારની અનુભૂતિ એટલી સાચી હતી કે એ કાળાતીત બની રહી. આજે હવે યુવાની નથી, સંભોગ નથી, સ્વપ્નો નથી, રોજીરોટી નથી, ઓવરકોટ નથી પણ પ્રેમ? એ તો હતો, છે અને રહેશે જ. પ્રેમ નામની ધાતુને ‘નથી’નો કાટ નથી લાગતો. કાળનો કૂચડો માણસો પર ફરી શકે છે, પ્રેમ પર નહીં. આદતવશ સેક્સરત રહેતાં મિકેનિકલ કપલના બદલે સ્વકીય સંઘર્ષમાં રત રહીને, અલગ રહીને પણ આ બે જણ નિકટતમ રહી શક્યાં છે. કારણ કે પ્રેમનું ઊંજણ સગપણ અને સમજણમાં સતત પૂરાતું રહ્યું છે…

*

Comrade

Once only did I sleep with you;
A sleep and love again more sweet than I
Have ever known; without an aftertaste.
It was the first time; and a flower could not
Have been more softly opened, folded out.
Your hands were firm upon me: without fear
I lay arrested in a still delight
Till suddenly the fountain in me woke.

My dear, it’s years between; we’ve grown up fast
Each differently, each striving by itself.
I see you now a grey man without dreams,
Without a living, or an overcoat:
But sealed in struggle now, we are more close
Than if our bodies still were sealed in love.

– Dorothy Livesay

Comments (12)

મેઘની સવારી – જાગ્રત વ્યાસ ‘મધુકર’

(છંદ – ગુલબંકી)

સાવધાન! સાવધાન!
મેઘ પાલખી વિરાટ આવતી, બજે મૃદંગ
વ્યોમનું વિરાટ છત્ર, વીંઝણો હવા ધરંત
સંભળાય ડાબલા નભે પ્રચંડ જાય ખંગ
અંગના અષાઢની લહે અનંગ અંગ અંગ
પાંચ પાંચ પુષ્પનાં શરો કમાન તંગ તંગ
મેઘ થાય આ૨પા૨, સહુ ઘવાય અંગ અંગ

સાવધાન! સાવધાન!
ભીંજવે અષાઢ આજ કો’ રહી ન જાય બ્હાર
વરસતી નભે જુઓ અતીવ ધા૨ ધારદાર
થાય ખૂબ તરસ કંઠ, થાય અંગ તીવ્ર આગ
તોડ મેઘનો કશો ન? એમ થાય વાર વા૨
કોઈને હવે કશુંય ક્યાં જરીય સાનભાન!
આંસુ ને નભજળની તમામ તૂટતી જ પાળ.

– જાગ્રત વ્યાસ ‘મધુકર’

લયસ્તરોના આંગણે કવિશ્રી અને એમના સંગ્રહ દ્યુતિલોકનું સહૃદય સ્વાગત…

બે બંધની ગીતરચનામાં કવિ સાવધાન સાવધાનની દ્વિરુક્તિ કરીને મેઘરાજાના સ્વાગત માટે આપણને તૈયાર કરે છે. મેઘરાજની વિરાટ પાલખીના આગમન પર વાદળોની ગર્જના મૃદંગ વાગતું હોવાની પ્રતીતિ કરાવે છે. રાહાના માથે આભનું વિરાટ છત્ર છે અને વાયુ વીંઝણો ઢાળી રહ્યો છે. આ ગાજવીજને દોડી રહેલા પ્રચંડ અશ્વના ડાબલા પણ ગણી શકાય. અષાઢસુંદરી કામાતુર થઈ છે. અહીં ‘અ’કારના વર્ણાનુપ્રાસ સાથે અંગના-અંગ-અંગ-અનંગનું સંગીત કવિએ સર્જ્યું છે એ અદભુત છે. અંગેઅંગની આરાપાર ઊતરી ઘાયલ કરી જતી આ તીવ્રાનુભૂતિને આપણે પંચેન્દ્રિયની સમગ્રતાથી પામવાની છે.

પહેલા બંધમાં જે રીતે કવિતા પૂર્ણમાસી ચંદ્રની જેમ ખીલી છે એની સરખામણીએ બીજો બંધ થોડો સપાટ થયો છે. અષાઢ ભીંજવે છે અને વરસાદની ધારદાર ધાર વરસી રહી છે, અંગેઅંગે તીવ્ર આગ લાગે છે –આ તમામ વાત પ્રથમ બંધમાં વધુ કાવ્યાત્મક્તાથી થઈ જ ચૂકી છે. હા, ધાર અને ધારદારમાં જે વર્ષાની ધારા અને અણીની ધારનો શ્લેષ છે એ રમણીય થયો છે. સાનભાન ભૂલાવી દે એવા મેઘને તો બસ માણીએ જ…

આખરી પંક્તિને બાદ કરતાં ગુલબંકીનો ગાલ ગાલ લય તાડ્ તાડ્ કરતા તડામાર વરસાદને આબેહૂબ ઝીલી શક્યો છે, જેના કારણે કાવ્ય વધુ આસ્વાદ્ય બન્યું છે.

Comments (7)

આવતો નથી – ચેતન શુક્લ ‘ચેનમ’

વાદળ બની આંખે તમારી આવતો નથી,
વરસાદ જેવી શક્યતાઓ બાંધતો નથી.

એના વગર ચાલે નહીં આદત કહો કે લત,
વાંધા વગરની જિંદગી હું ધારતો નથી.

તું ક્યાં નથી? એ પ્રશ્નનો ઉત્તર બની જવા,
હું ક્યાં નથી? એ પ્રશ્ન સામે રાખતો નથી.

મારા વિશેની બાતમીથી હું અજાણ છું,
વાંચ્યા કરે લોકો મને, હું વાંચતો નથી.

‘છોડી ચૂક્યો છું’ રીતથી, રાખી શકું તને,
જીવી શકું તારા વગર એ માનતો નથી.

– ચેતન શુક્લ ‘ચેનમ’

સરળ સહજ પણ મજાની રચના… ત્રીજો અને પાંચમો શેર સ-વિશેષ સ્પર્શી ગયા…

Comments (1)

કફન પણ ન પામ્યા દુલારા – જમિયત પંડ્યા ‘જિગર’

અમે જિન્દગીનાં ઘણાં અર્ધસત્યો,
ચિરંતન ગણીને ચણ્યા’તા મિનારા;
પરંતુ દિશાહીન શ્રદ્ધા ડૂબે છે,
મળ્યા ના સમંદર મહીં ક્યાંય આરા.

ઝૂરે છે નયન, પ્રાણ તડપી રહ્યા છે,
મિલનની ઘડી જાય છે આવનારા!
હવે વાર કરવી નકામી જ છે જ્યાં,
છૂપા કાળ કરતો રહ્યો છે ઇશારા.

ભટકતો રહ્યો છું મહારણ મહીં હું,
તૃષાતુર કંઠે લઈ કાળ કાંટા;
મળ્યા તો મળ્યા સાવ જૂઠા સહારા,
પડ્યા તો પડ્યા ઝાંઝવાંથી પનારા.

અમે કૈંક જોયા નજરની જ સામે,
ચમકતા હતા જેમના ભાગ્ય-તારા;
પરંતુ પતન જ્યાં થયું ત્યાં બિચારા,
કફન માપસરનું ન પામ્યા દુલારા.

કદાચિત મળી જાય મોતી અમૂલાં,
લઈ આશ મઝધાર આવ્યા હતા, પણ
નિહાળ્યું સમંદરનું રેતાળ હૈયું,
અને દૂર દીઠા છલકતા કિનારા.

પરાયા બનીને નિહાળી રહ્યા છે,
અમારા જીવનની હરાજીના સોદા;
અને તેય જાહેરમાં જે સ્વજનને
અમે માનતા’તા અમારા-અમારા.

‘જિગર’ કોઈની ના થઈ ને થશે ના,
સમયની ગતિ છે અલૌકિક – અજાણી;
અહીં કૈંક સંજોગના દોરડાથી
નથાઈ ગયા કાળને નાથનારા.

– જમિયત પંડ્યા ‘જિગર’

 

પરંપરાગત રચના છે, પણ પ્રત્યેક ચરણ મજબૂત છે – કેન્દ્રવર્તી વિચારની મજબૂતાઇ આખી નઝમને ઊંચકી લે છે….

Comments (1)

ખુદા આવે – ‘કામિલ’ વટવા

હૃદયના દર્દની તમને જરા જો કલ્પના આવે,
કસમથી આપની જીભે સદા સો-સો દુઆ આવે.

તમારી હોય જો ઇચ્છા વધાવી લઉં હું એને પણ,
સકળ બ્રહ્માંડની ઘેરાઈ મુજ ૫૨ જો વ્યથા આવે,

સહન હું તો કરી લઉં છું, ન સહેવાશે તમારાથી,
એ પાનું ફેરવી દેજો, જ્યાં મારી વારતા આવે.

જરા ઘૂંઘટ હટાવી ઝાંખવું નજરો બચાવીને,
અમારી જાન જાએ ને તમોને તો મજા આવે.

તમારા વાયદાઓ છે કે રેતી ૫૨ મિનારાઓ,
તમારું આવવું જાણે કે પશ્ચિમથી ઉષા આવે.

નજર દિલ પર પડે છે તો આ જખ્મો એમ ફૂલે છે,
કે પથ્થર જાય પાણીમાં ને ઉ૫૨ બુદબુદા આવે.

મરણનું મૂલ્ય જીવનથી વધારે એ રીતે લાગ્યું,
ન આવે કોઈ જ્યાં મળવાને ત્યાં આખી સભા આવે.

શિકાયત શું કરે દિલ કોઈ ના આવે ગજું શું છે?
મોહબ્બત હો જો ‘કામિલ’ તો ખુદ પાસે ખુદા આવે.

– ‘કામિલ’ વટવા

આ ગઝલ ઘણા લાંબા સમય પછી વાંચી – આ ગઝલ સાથે એક દિલનો નાતો મુગ્ધાવસ્થાથી જ છે….. “ એ પાનું ફેરવી દેજો, જ્યાં મારી વારતા આવે “ – આ પંક્તિ વીંધી નાખતી… આજે પચાસની ઉંમરે પણ આ પંક્તિ વીંધી નાંખે છે….

જીતવું સહજ/શક્ય ભલેને હોય, પણ ક્યાંક હારી જવામાં જ સાર હોય છે.

Comments (6)

હું તો હિંચકે બેસું ને… – નીતિન પારેખ

હું તો હિંચકે બેસું ને સાજણ સાંભરે રે લોલ!
હું તો ઢોલિયે ઢળું ને સાજણ સાંભરે રે લોલ!

હું તો બચકું બાંધી નદીએ નીસરું રે લોલ,
મોટું બચકું બાંધી નદીએ નીસરું રે લોલ,
ઝાઝાં લૂગડાં ધોઉં ને સાજણ સાંભરે રે લોલ!
.                   હું તો હિંચકે બેસું ને….

હું તો ગામકૂવે જાઉં લઈને બેડલાં રે લોલ!
રોજ ગામકૂવે જાઉં લઈને બેડલાં રે લોલ!
હેલ છલકે – છલકે ને સાજણ સાંભરે રે લોલ!
.                   હું તો હિંચકે બેસું ને….

હું તો દા’ડે ડૂબેલી રહું કામમાં રે લોલ!
આખો દા’ડો ડૂબેલી રહું કામમાં રે લોલ!
રૂડી રજની ઢળે ને સાજણ સાંભરે રે લોલ!
.                   હું તો હિંચકે બેસું ને….

હું તો સપનામાં મૈયરિયે મ્હાલતી રે લોલ!
મીઠા સપનામાં મૈયરિયે મ્હાલતી રે લોલ!
મોર મધરા બોલે ને સાજણ સાંભરે રે લોલ!
.                   હું તો હિંચકે બેસું ને…

– નીતિન પારેખ

અદ્દલ લોકગીતની ચાલમાં લખાયેલું આધુનિક ગીત. કવિએ ક્યાંય સ્પષ્ટતા નથી કરી પણ કાવ્યનાયિકા પ્રોષિતભર્તૃકા હોવાનું વિચારી શકાય. મુખડા અને પ્રથમ ત્રણ બંધ પરથી ખ્યાલ આવે કે પરિણીતા એના પરણ્યાના વિરહમાં છે અને આખરી બંધમાં એ પિયરના સ્વપ્ન પણ જોઈ રહી છે, મતલબ એ સાસરીમાં રહીને મનના માણીગરથી દૂર છે, અર્થાત્ પતિ પરદેશ ગયો હોવો જોઈએ.

ચાર બંધના ગીતમાં શરૂથી અંત સુધી કવિએ નાયિકાનો પતિઝૂરાપો પરોઢિયાથી રાત લગી દિવસની નાની-મોટી તમામ પ્રવૃત્તિઓમાં એકધારો જાળવી રાખ્યો છે. એકાદ શબ્દની સાર્થ હેરફેર સાથે દરેક બંધમાં નાયિકા પોતાની દિનચર્યાની લોકગીતની શૈલીમાં પુનરોક્તિ કરે છે, જેનાથી ભાવ વધુ ઘૂંટાય છે. સરવાળે સ-રસ કવિતા સિદ્ધ થાય છે…

Comments (3)

આરોઓવારો – રવીન્દ્ર પારેખ

ખોબામાં ઝીલું તે તારો વરસાદ
.            અને આંખોમાં ઝીલું તે મારો,
તારો વરસાદ મને મધમીઠો લાગે,
.                              પણ મારો વરસાદ જરા ખારો…
.                              પછી ક્યાંય ન હો આરોઓવારો…

ઓણસાલ ચોમાસું મારવાડી એવું
.            કે ખરચે છે માંડ જરા પાણી,
સૂરજ પર મૂકેલા પેણામાં જળની
.            જુવાર માંડ ફૂટે થઈ ધાણી,
ફોરાં તો ઝીલું ન ઝીલું ત્યાં છટકે
.                              તો થાય આ તે વર્ષા કે પારો?
.                              પછી ક્યાંય ન હો આરોઓવારો…

વાદળાંઓ છાણ જેમ રોજ નડે રસ્તે
.            તો દૂર કોણ કરે એવા ત્રાસને?
સાવરણું લઈને એક થાકેલી ભરવાડણ
.            વાળે છે આખા આકાશને,
જળની સળીનો માંડ ઢગલો ઉપાડે
.                              ને માથે મૂકે કે છૂટો ભારો,
.                              પછી ક્યાંય ન હો આરોઓવારો…

– રવીન્દ્ર પારેખ

વરસાદ સરસ મજાની ઓપનિંગ ઇનિંગ રમીને અચાનક ગાયબ થઈ ગયો છે. મારવાડી હોય એમ ચોમાસાને આ વર્ષે પાણી ખરચવામાં જોર પડે છે. સૂરજ પર પેણો મૂક્યો હોય પણ પેણો જાણે બરાબર ગરમ જ ન થયો હોય અને એમાં મૂકેલી જળની જુવાર માંડ ધાણી થઈ ફૂટે એ કલ્પન જ કેવું મૌલિક અને અનૂઠું છે! હાથમાંથી પારો છટકી જાય એમ હાથમાં આવે, આવે, ને ન આવે એવા ફોરાંનું કલ્પન પણ એવું જ આસ્વાદ્ય થયું છે. બીજા બંધમાં પણ કવિએ એક મજાનું દૃશ્યચિત્ર કલમના લસરકે સુવાંગ દોરી આપ્યું છે. સરવાળે વરસાદ ઉપર લખાયેલી ગુજરાતી કવિતાઓમાં અગ્રસ્થાને બિરાજમાન થઈ શકે એવી રચના…

Comments (8)

(હાશ!) – અનિલ ચાવડા

આખરે તૂટી ગયા શંકાના સૌ ઉપવાસ, હાશ!
મારી શ્રદ્ધા ધીમે ધીમે લેતી થઈ ગઈ શ્વાસ, હાશ!

ભીની કેડી ૫૨ જતાં પગલાં થવાનો ભય હતો,
પણ હવે એની ઉ૫૨ ઊગી ગયું છે ઘાસ, હાશ!

સાંજના રંગોને જોવામાં હતા તલ્લીન સૌ,
કોઈ જાણી ના શક્યું કે હું હતો ઉદાસ, હાશ!

જે ક્ષણો જોવી જ ન્હોતી, એ ક્ષણો સામી મળી,
એ જ વખતે વીજળી ગઈ, ના રહ્યો અજવાસ, હાશ!

આંખ વ૨સી તો હૃદયની ભોંય પણ ભીની થઈ,
પોચી માટીમાં હવે પાડી શકાશે ચાસ, હાશ!

– અનિલ ચાવડા

હંમેશ મુજબ અનિલ ચાવડાની એક સંઘેડાઉતાર રચના આજે માણીએ….

Comments (11)

બગાવત – હરીન્દ્ર દવે

તારા જન્નતની હતી કેટલી ખ્વાહિશ કે ખુદા!
મેં સદા શિશ નમાવીને ઇબાદત તો કરી;
જેવું ટકરાયું ધરા પર, મેં ઉઠાવ્યું મસ્તક,
હું ફર્યો ના, અને કાબાની દિશાઓ તો ફરી.

મારા જીવનને નવા રંગથી ઘડવા લાગ્યો,
મારાં આંસુની સજાવટ મેં બધી દૂર કરી;
મારી આંખોમાં નવાં તેજ સમાયા એથી,
મારી દૃષ્ટિથી ક્ષિતિજો એ બધી દૂર સરી.

મેં ગતિ રોકી હતી કાળની એવી રીતે,
કોઈ સૌંદર્ય જો ખીલ્યું તો એ કરમાયું નહીં;
મારા ઉપવનની નવી રસ્મ મેં એવી પાડી,
કોઈ જો ફૂલ હસ્યું, તો પછી મુરઝાયું નહીં.

મારે હાથે જે જલી જિંદગી કેરી શમ્આ,
કોઈ વાયુના સુસાટાથી એ બુઝાઈ નહીં;
મેં રચ્યું ગીત નવા ઢાળથી જીવન કેરું,
એ પછી કોઈએ મૃત્યુની કથા ગાઈ નહીં.

મેં ઘડી મારી રીતે મારી આ જન્નત જેમાં,
કોઈ ઈશ્વરની અમર્યાદ હકૂમત ન રહી;
કબ્ર સૌ સળવળી ઊઠી, અને સૂતા જાગ્યા,
કોઈને કાંઈ ન પૂછ્યું, ને કયામત ન રહી.

મારી સ૨મસ્ત જવાનીનો નવો રંગ હતો,
પ્રેમની યુગથી પુરાણી એ કહાની બદલી;
રાજમાર્ગોને તજી કેડી અજાણી પકડી,
લ્યો, જમાનાની એ પાબંધ ૨વાની બદલી.

મારી જન્નત કે જહન્નમ આ, મુબારક હો મને,
વ્યર્થ મુજ કાજ તું ભાવી કોઈ સરજીશ નહીં;
જિંદગીનેયે જરૂરત હજી મારી લાગે,
આસમાનોને કહી દો કે હું આવીશ નહીં.

– હરીન્દ્ર દવે

શીર્ષક જ સઘળું કહી દે છે !! ‘ કાબાની દિશાઓ ફરી….’ એ તો જાણીતી પંક્તિ છે જ, પણ અંતિમ ચરણ પણ જોરદાર છે….

Comments (1)

(હરિવર ઊતરી આવ્યા નભથી) – ભગવતીકુમાર શર્મા

હરિવર ઊતરી આવ્યા નભથી ગાતા મેઘમલ્હાર
જળ વરસ્યું ને થયો હરિનો સીધો સાક્ષાત્કાર

ફૂંક હરિએ હળવી મારી, ગાયબ બળબળ લૂ
શ્વાસ હરિના પ્રસર્યાં માટી સ્વયં બની ખુશબૂ

ખોંખારો હરિએ ખાધો ને વાદળ ગરજ્યાં ઘોર
સ્હેજ વાંસળી હોઠ અડાડી, ટહૂક્યાં મનભર મોર

ત્રિભુવનમોહન નેત્રપલક ને ઝળળ વીજ ચમકાર
જળ વરસ્યું ને થયો હરિનો સીધો સાક્ષાત્કાર

વાદળમાં ઘોળાયો હરિનો રંગ સભર ઘનશ્યામ
હરિ પગલે આ ગલી બની શ્રાવણનું ગોકુળગામ

પ્રેમ અમલ રસ હરિને હૈયે તેનું આ ચોમાસું
નામસ્મરણને શબ્દે નભને નેણથી વહેતાં આંસુ

મેઘધનુષમાં મોરપિચ્છના સર્વ રંગ સાકાર
જળ વરસ્યું ને થયો હરિનો સીધો સાક્ષાત્કાર

– ભગવતીકુમાર શર્મા

ચોમાસુ સુવાંગ ખીલ્યું છે એવામાં ભગવતીકુમારનો આ મેઘમલ્હાર યાદ ન આવે તો જ નવાઈ. હરિ અને હરિપ્રસાદી સમો મેઘ અને સચરાચર સૃષ્ટિની ત્રિવેણીની આસપાસ કવિએ ગીતની મજાની ગૂંથણી કરી છે. આકાશથી વરસાદ નથી વરસતો, જાણે સાક્ષાત્ ઈશ્વર મેઘમલ્હાર ગાતા ગાતા ઊતરી આવ્યા છે, પરિણામે વરસાદના છાંટાનો સ્પર્શ પોતે જ હરિનો સાક્ષાત્કાર બની રહે છે. ચોમાસુ વાયરા જાણે હરિએ મારેલી ફૂંક છે, જે બળબળતી લૂને દૂર ઊડાડી જાય છે. ભીની માટીની ગંધ જાણે હરિના શ્વાસ જ જોઈ લ્યો! આખું ગીત આ જ રીતે હળવે હળવેથી ખોલીને માણવા જેવું છે… ચોમાસાની નાનામાં નાની પ્રાકૃતિક બીનાને કવિએ કેવી બખૂબી ઈશ્વર સાથે સાંકળી લીધી છે એ ચમત્કાર પોતે કાવ્યવૃષ્ટિમાં સરાબોળ ભીંજાવા જેવો છે…

Comments (6)

જળને તે શા… – ધીરુ પરીખ

જળને તે શા ઘાટ ને વળી ઘૂટ !
આમ જુઓ તો રાત ને દિવસ અમથાં ગાજી લ્હેરે,
કોઈ વેળા તો જોતજોતાંમાં આભને આંબી ઘેરે,
ક્હેવો હોય તો દરિયો કહો, વાદળાં કહોઃ છૂટ !
જળને તે શા ઘાટ ને વળી ઘૂટ !

ઊંચીનીચી ડુંગરધારે ચડતાં-પડતાં દોડે,
ખીણમાં પડે તોય ફીણાળાં હસતાં કેવાં કોડે !
ઝરણાં ક્હો કે નદીયું હો, પણ અભેદ છે જ્યાં ફૂટ.
જળને તે શા ઘાટ ને વળી ઘૂટ !

ભર ચોમાસે ધસતાં જાણે ગાંડાં હાથી-ઝુંડ,
વાવ કહો કે કૂપ કહો કે સર કે કહો કુંડ,
જળને તમા ના, એ કાંઠાફરતી માથાકૂટ.
જળને તે શા ઘાટ ને વળી ઘૂટ !

– ધીરુ પરીખ

પાણીને કોઈ ઘાટઘૂટ હોતાં નથી. કોઈપણ સ્વરૂપે પાણી પાણી જ રહે છે. દરિયો કહો કે આભને આંબી ઘેરીને ગજવતાં વાદળાં કહો, જે કહેવું હોય એ કહેવાની છૂટ છે. ઊંચાઈએથી સાવ નીચે ખીણમાં પડવાનોય જળને કોઈ રંજ નથી, એ તો ફીણાળું હાસ્ય જ વેરે. ઝરણું-નદી-ધોધ કંઈપણ કહો, જળમાં ફૂટ પાડવી અસંભવ. જળને ટૂંકમાં કશી તમા નથી, માથાકૂટ એને બાંધવા મથતા કિનારાઓની જ છે.

આખી વાતને આપણા વ્યક્તિત્વ સાથે પણ જોડી શકાય. જન્મથી મૃત્યુ સુધી સમાજ આપણને અલગ-અલગ જાતનાં નાનાં-મોટાં ચોકઠાંઓમાં બાંધવા મથતો જ રહે છે, પણ આપણું પોત એ આપણું પોત છે. એને બંધાવા દેવું કે કિનારાઓના મહોતાજ થવા દેવું કે કેમ એ આપણે નક્કી કરવાનું છે… ન સમજાય તો જળ પાસેથી થોડું શીખીએ…

Comments (2)

(કોઈને) – અમિત વ્યાસ

કોઈ ક્યાં ભૂલી શક્યું છે કોઈને?
રોજ વસ્ત્રો પહેરવાનાં ધોઈને.

જાત ઓગળતી રહે એ ક્ષણ સુધી;
આપણે જોયા કરીએ કોઈને!

એક માણસ પાણી-પાણી થઈ ગયો,
આભ ગોરંભાતું માથે જોઈને.

આપણી વચ્ચે પડેલી ખાઈને,
પૂરવા કોશિશ ન કર તું રોઈને.

આપણે સહુ એ રમતમાં ગુમ છીએ,
એક વસ્તુ શોધવાની, ખોઈને.

– અમિત વ્યાસ

મજાની રચના… છેલ્લા બે શેર તો અદભુત.

Comments (7)