એક કાગળ વાયકાની વાવ શો ઊંડો હતો
લોક કહેતાં : જે જતું એમાં તે પાછું ના ફરે !
– મનોજ ખંડેરિયા

બગાવત – હરીન્દ્ર દવે

તારા જન્નતની હતી કેટલી ખ્વાહિશ કે ખુદા!
મેં સદા શિશ નમાવીને ઇબાદત તો કરી;
જેવું ટકરાયું ધરા પર, મેં ઉઠાવ્યું મસ્તક,
હું ફર્યો ના, અને કાબાની દિશાઓ તો ફરી.

મારા જીવનને નવા રંગથી ઘડવા લાગ્યો,
મારાં આંસુની સજાવટ મેં બધી દૂર કરી;
મારી આંખોમાં નવાં તેજ સમાયા એથી,
મારી દૃષ્ટિથી ક્ષિતિજો એ બધી દૂર સરી.

મેં ગતિ રોકી હતી કાળની એવી રીતે,
કોઈ સૌંદર્ય જો ખીલ્યું તો એ કરમાયું નહીં;
મારા ઉપવનની નવી રસ્મ મેં એવી પાડી,
કોઈ જો ફૂલ હસ્યું, તો પછી મુરઝાયું નહીં.

મારે હાથે જે જલી જિંદગી કેરી શમ્આ,
કોઈ વાયુના સુસાટાથી એ બુઝાઈ નહીં;
મેં રચ્યું ગીત નવા ઢાળથી જીવન કેરું,
એ પછી કોઈએ મૃત્યુની કથા ગાઈ નહીં.

મેં ઘડી મારી રીતે મારી આ જન્નત જેમાં,
કોઈ ઈશ્વરની અમર્યાદ હકૂમત ન રહી;
કબ્ર સૌ સળવળી ઊઠી, અને સૂતા જાગ્યા,
કોઈને કાંઈ ન પૂછ્યું, ને કયામત ન રહી.

મારી સ૨મસ્ત જવાનીનો નવો રંગ હતો,
પ્રેમની યુગથી પુરાણી એ કહાની બદલી;
રાજમાર્ગોને તજી કેડી અજાણી પકડી,
લ્યો, જમાનાની એ પાબંધ ૨વાની બદલી.

મારી જન્નત કે જહન્નમ આ, મુબારક હો મને,
વ્યર્થ મુજ કાજ તું ભાવી કોઈ સરજીશ નહીં;
જિંદગીનેયે જરૂરત હજી મારી લાગે,
આસમાનોને કહી દો કે હું આવીશ નહીં.

– હરીન્દ્ર દવે

શીર્ષક જ સઘળું કહી દે છે !! ‘ કાબાની દિશાઓ ફરી….’ એ તો જાણીતી પંક્તિ છે જ, પણ અંતિમ ચરણ પણ જોરદાર છે….

1 Comment »

  1. pragnajuvyas said,

    July 7, 2021 @ 10:04 AM

    સ્વ. હરીન્દ્ર દવે મુખ્યત્વે, ગીતકાર અને ગઝલકાર છે. પ્રણય-મસ્તી અને વેદના, ખુમારીનાં સંવેદનોથી રસાયેલી એમની ગઝલો છંદ-લય અને ભાવભાષાની સંવાદિતાથી સફાઈદાર છે
    અદભુત નઝમ બગાવત
    જિંદગીનેયે જરૂરત હજી મારી લાગે,
    આસમાનોને કહી દો કે હું આવીશ નહીં.
    વાહ

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment