શ્વાસોની આવ-જાવને જીવવું ગણે છે જે,
ઈલાજ એમનો કરો, નક્કી બિમાર છે.
– પૂર્વી અપૂર્વ બ્રહ્મભટ્ટ

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for February, 2021

ઉરનું આ તે કેવું પંખી! – ગુણવંત પંડ્યા

ઉરનું આ તે કેવું પંખી –
વર્ષામાં રીબાય તૃષાથી, ઝાકળને રહે ઝંખી:
.                                 ઉરનું આ તે કેવું પંખી!

આગ જલે ભીતરમાં એની, બહાર સદા યે હસતું;
મૃગજળને માની જળબિન્દુ નિત વેરાને ધસતું;
અણદીઠાંની આંખ મહીં પણ નેહ રહે એ ઝંખી:
.                                 ઉરનું આ તે કેવું પંખી!

વસંતના વૈભવમાં એનું બળતું અંતર ઝાળે,
પાનખરે એ થઈને કોકિલ ગૂંજે ગીત સહકારે,
પ્રીતો એની કંટક સાથે, કુસુમો રહેતાં ડંખીઃ
.                                 ઉરનું આ તે કેવું પંખી!

ચિરપરિચિત છોડી મારગ, અણદીઠા પથ ધાતું;
અંધારે અટવાતું, ઠોકર ખાતું, ખાઈ મલકાતું;
મારગ ક્યાંના? જાવું ક્યાં? શીદ? જાણે નહિ પણ પંથી!
.                                 ઉરનું આ તે કેવું પંખી!

– ગુણવંત પંડ્યા

માનવહૈયાના વિરોધાભાસી વલણને કવિએ કુશળ મનોચિકિત્સકની અદાથી ગીતના પ્રવાહી લયમાં ગૂંથી લીધું છે. માણસ પાસે હોય એની કિંમત કરતો નથી અને ન હોય એની આરતમાં ઝૂર્યે રાખે છે. વરસાદ પડે ત્યારે ઝાકળની ઝંખનામાં તૃષાતુર રહે છે. ભીતર આગ હોય ત્યારે બહાર સ્મિત દેખાડે અને મૃગજળની પાછળ દોટ મૂક્યે રાખે છે. પાસે હોય એનો સ્નેહ પામવાના બદલે અણદીઠાંની આંખમાં એ સ્નેહ ઝંખે છે. વસંતનો વૈભવ માણવાના બદલે હૈયાનું આ પંખી બળતું રહે છે અને પાનખરમાં આંબાડાળે ગીત ગાવા કરે છે. પણ આવા વિપરિત વલણ ધરાવતા હૈયાની એક ખાસિયત પણ છે અને તે એ કે ન જોયેલા માર્ગે એ ચાલે છે, અંધારામાં અટવાય છે, ઠોકરો ખાય છે પણ હસવું મૂકતું નથી. માર્ગ, દિશા કશું ખબર ન હોવા છતાં હૈયાપંખી એની મુસાફરી કરવી ચાલુ રાખે છે… માટે જ કવિ ઉરના પંખીના ગીત ગાતા થાકતા નથી.

Comments (8)

શીદ પડ્યો છે પોથે? – દલપત પઢિયાર

વસુધા પરગટ વેદ પાથર્યો;
.                         શીદ પડ્યો છે પોથે?
શબ્દ ઉતારે ભેદ આછર્યો,
.                         શીદ ચડ્યો છે ગોથે?

ઢોળી જો આ જાત પવનમાં,
ડિલે માટી ચોળી જો,
વાંચી જો આ વહેતાં વાદળ,
વૃક્ષ-વેલને વળગી જો,
ઝીણી ઝરમર, ભીની ફરફર
સહેજ પવનની લહેર
.                         અને કંઈ ફૂલડાં દોથે દોથે…!

કાષ્ઠ વિષે સૂતેલો અગ્નિ
દેવતા ક્યાંથી પાડે?
ભીંતે ચીતરી બિલ્લી
ઉંદર કેમ કરી ભગાડે?
જુગત જગાડે જ્યોત
જ્યોતમાં નહીં છોત નહીં છાયા,
દીવા આડે પડ્યું કોડિયું :
.                         ડુંગર તરણા ઓથે!

આભ આખું ખુલ્લંખુલ્લું,
છેક સુધીની ધરતી ખુલ્લી
ખુલ્લાં પંખી, ખુલ્લી નદીઓ,
ખુલ્લા પર્વત-પ્હાડ;
પછાડ બેવડ પંછાયાને
વચલી વાડ ઉખાડ!
.                         જડિયાં વળગ્યાં જૂને ભોથે!

– દલપત પઢિયાર

(ભોથું: માટીને બાઝેલું ઘાસનું જડિયું)

કવિને મન તો ધરતી એ જ વેદ! પ્રકૃતિને વાંચવાની મૂકીને પોથાં શીદ વાંચવા? શબ્દ કુદરતમાં રહેલા રહસ્યો અનુભૂતિના ચશ્માંથી ઊઘડે છે, શબ્દો તો આછરેલા ભેદનો નશો ઉતારી નાંખવાની રમત છે, એના ગોથે શા માટે ચડવું? પવન-ધરતી-વાદળ અને વૃક્ષોમાં જાતને એકાકાર કરીએ તો ભીતર પમરાટ થાય. પ્રકૃતિને પામવી હોય તો એનો સાક્ષાત્કાર કરવો પડે. લાકડામાં અગ્નિ છે પણ એ સળગે નહીં તો દેવતા ક્યાંથી પાડી શકે? ભીંતચિત્રમાંની બિલાડી ઉંદર ભગાડી શકતી નથી. યુક્તિ બરાબર હશે તો જ્યોત પ્રગટશે, અજવાળું થશે, અન્યથા તરણા ઓથે ડુંગર પડ્યો હોય એમ કોડિયું દીવા આડે પડ્યું રહેશે. પ્રકૃતિમાં ક્યાંય સીમા અને બંધનો નથી. પ્રકૃતિ એટલે જ ખુલ્લાપણું, મોકળાશ. આ અનહદ સાથે તાદાત્મ્ય સાધતા જે વાડ આપણને રોકી રહી છે એને ઉખાડી ફેંકવાની છે, તો જ સદીઓથી જૂના ભોથે વળગી રહેલ જડિયાંઓથી મુક્તિ મળશે. સરવાળે, આપણી પ્રકૃતિ પ્રકૃતિને વાંચતી થાય તો જ સાચું જ્ઞાન પ્રાપ્ત થાય.

Comments (5)

(ગમતું નથી) – અંજના ભાવસાર ‘અંજુ’

આમ, તું ના હોય તો ગમતું નથી
પણ હૃદય જિદ્દી છે, કરગરતું નથી

હું શરમ છોડું , તું રહેવા દે વિવેક
સ્વપ્ન છે, અહીં કોઈ ઓળખતું નથી

નામ સંયમનું ધરી રોક્યું છે તેં
આ રીતે મનને કોઈ છળતું નથી!

એવું તે શું કહીને છોડી આંગળી?
ટેરવું પણ સહેજે ટળવળતું નથી!

પ્રેમથી આપ્યું દરદ તેં ભેટમાં
એ જ કારણ છે કે એ ઘટતું નથી

કોણ જાણે કોની લાગી છે નજર!
આંખમાં કાજળ હવે ટકતું નથી

– અંજના ભાવસાર ‘અંજુ’

આવી ગઝલ હાથ ચડે ત્યારે થાય કે હા, ગુજરાતી કવિતાનું ભવિષ્ય ઉજ્જવળ છે. લગભગ બધા જ શેર સંતર્પક થયા છે. મત્લામાં ખુદ્દારીનો કેવો સ-રસ અંદાજ વ્યક્ત થયો છે! વિરહ ગમે એટલી તકલીફ કેમ ન આપે, હૃદય ભીખ તો નહીં જ માંગે. પિયુમિલનની ઝંખના કોને ન હોય! પણ કોઈક કારણોસર બે જણે એકમેકથી દૂર રહેવાની ફરજ પડતી હોય તો તેનો ઉપાય કવયિત્રી પાસે છે જ. સ્વપ્નપ્રદેશમાં ન શરમ, ન વિવેક – કશુંય પહેરી રાખવાની આવશ્યક્તા નથી. ‘ટેરવું સહેજ પણ ટળવળતું નથી’નું કલ્પન ગઝલને એક અલગ જ ઊંચાઈએ લઈ જાય છે, તો આખરી શેર સ્ત્રીસહજ સંવેદનની પરાકાષ્ઠાનો શેર છે, કદાચ આંસુ વિશે લખાયેલા ઉત્તમ શેરોમાં સમાવી શકાય એવો…

Comments (21)

છતાં ગામ આવ્યું નહીં – ભગવતીકુમાર શર્મા

જન્મ-ક્ષણથી હું ચાલ્યા કરું છું છતાં ગામ આવ્યું નહીં;
ડગ તો સાચા જ માર્ગે ભરું છું છતાં ગામ આવ્યું નહીં.

ગામ-ભાગોળના ઝાંખા દીવાના અણસાર વર્તાય છે;
આંખ પર નેજવું હું ધરું છું છતાં ગામ આવ્યું નહીં.

ચિરપરિચિત પડોશી, સ્વજન સર્વનાં નામ સંભારીને;
મોટે સાદેથી હું ઉચ્ચરું છું છતાં ગામ આવ્યું નહીં.

વાવ, કૂવા, સરોવર, નદી સર્વ સુક્કાં અને ખાલીખમ;
મારા પડઘાઓ એમાં ભરું છું છતાં ગામ આવ્યું નહીં.

ઘરના વાડામાં રોપ્યું’તું જે ઝાડવું એની લીલાશ ક્યાં?
પીંછાં શો હું ટપોટપ ખરું છું, છતાં ગામ આવ્યું નહીં.

હું વિખૂટો છું મારા વતન-ગામથી જન્મજન્માંતરે;
મૂળથી તૂટીને થરથરું છું છતાં ગામ આવ્યું નહીં.

– ભગવતીકુમાર શર્મા

સહેલું નથી. આદિ શંકરાચાર્યએ કહ્યું છે – ” કોટિ એ એકને બ્રહ્મજિજ્ઞાસા જાગૃત થાય. જેની જિજ્ઞાસા જાગે એવા કોટિ માંથી એક બ્રહ્મને પામે ”

ગામ આવવું સહેલું નથી.

Comments (1)

છેક છેલ્લે – રાજેન્દ્ર શુક્લ

હું અશ્રુ થઈને વહી શકું
એવું જળ
તેં આપ્યું જ નહીં
મારાં શુષ્ક સંતપ્ત નેત્રોને !

લાગણીઓના દેશમાં
અમારે શું વર્ષાઋતુ જ નહીં ?
ન તો નેવાં ચૂવે અમારે ઘર,
ન શેરીએ ખળખળે જળ
કે કાગળની હોડી યે તરાવિયેં !

મેં બહુ બહુ કહ્યું,
તો ય મારા શબ્દને
તેં રુક્ષ જ રહેવા દીધો.

છેક છેલ્લે
તેં સ્હેજસાજ આ
ભીંજવી આપ્યું મને મારું મૌન
તે હું ફૂંક મારી મારીને
ફરી સૂકવું છું એને…

– રાજેન્દ્ર શુક્લ

કેવી સુંદર ફરિયાદ !! હકીકતમાં પણ આવું જ હોય છે- કોઈક લાગણીને વહેવા દે, કોઈક માટે એ અસહજ હોય…. છેલ્લા અંતરે કવિ ખીલે છે. ભીનાશ સ્વીકારી નથી શકાતી….રુક્ષતાનું conditioning એટલું ખતરનાક છે….

Comments (2)

…….ન દે – મરીઝ

જાહેરમાં એ દમામ કે પાસ આવવા ન દે,
અંદરથી એ સંભાળ કે છેટે જવા ન દે.

છોડ એવા શ્વાસને કે કશો એમાં દમ નથી,
જે મોતનો પસીનો સૂકવવા હવા ન દે.

મનદુઃખ થશે જરામાં કે ઊર્મિપ્રધાન છું,
તારી બધીય વાત મને જાણવા ન દે.

તુજ દર્દ જોઈએ છે મગર આટલું નહીં,
થોડી કચાશ કર, મને પૂરી દવા ન દે.

એના ઇશારા રમ્ય છે પણ એને શું કરું?
રસ્તાની જે સમજ દે, અને ચાલવા ન દે.

એવા કોઈ દિલેરની સંગત દે ઓ ખુદા,
સંજોગને જે મારું મુકદ્દર થવા ન દે.

એ અડધી મૌત કષ્ટ બની ગઈ છે પ્રાણ પર,
જે ઊંઘ પણ ન આપે અને જાગવા ન દે.

આનંદ કેટલો છે બધી જૂની યાદમાં,
કિંતુ સમય જો એમાં ખયાલો નવા ન દે.

કેવો ખુદા મળ્યો છે ભલા શું કહું “મરીઝ’
પોતે ન દે, બીજાની કને માગવા ન દે.

– મરીઝ

સદીએ માંડ એક મરીઝ પાકે !! મત્લો, મક્તો અને પાંચમો શેર તો સુવિખ્યાત છે જ પણ બાકીના પણ કમ નથી. “આનંદ કેટલો છે બધી જૂની યાદમાં….” – આ શેર જરા મમળાવીએ તો કેવો સરસ ખુલે છે ! માનવીના મનની ગહેરાઈ છતી કરે છે, અંતહીન અપેક્ષાઓની હિન્ટ આપે છે.

ઘણીવાર એવું લાગે કે જેમ રસોઈમાં નમક છે તેમ કવિકર્મમાં જગતનું તલસ્પર્શી દર્શન છે. દર્શનના ઊંડાણ વગર કવિકર્મ અધૂરું છે અને દર્શન જો સ્પષ્ટ હો તો કવિકર્મ [ છંદ ઇત્યાદિ ] optional છે.

Comments (3)

માલમને ઓળખો – સાહિલ

ક્યારેય તમને ક્યાં કહ્યું કે અમને ઓળખો,
જો ઓળખી શકો તો તમે – તમને ઓળખો.

સામો કિનારો લાગવાનો હાથવેંતમાં,
દરિયો અજાણ્યો હો ભલે – માલમને ઓળખો.

દૃશ્યોની પારદર્શિતાની પાર હો જવું,
તો જીવને વરેલા બધા ભ્રમને ઓળખો.

ઈશ્વર અને તમારી નિકટતા વધી જશે,
આલમના બદલે જો તમે આતમને ઓળખો.

આસાન છે સમયનાં બધાં વ્હેણ વીંધવા,
ક્યારેક તો ભીતરની ગતાગમને ઓળખો.

બુદ્ધિ અને સમજના પરિમાણ છે અલગ,
વાણીને સાંભળો અને મોઘમને ઓળખો.

જડબેસલાક બંધ કમાડો ખુલી જશે,
જો શબ્દ બદલે શબ્દની સરગમને ઓળખો.

– સાહિલ

મજબૂત ગઝલ. લગભગ બધા જ શેર સંતર્પક.

Comments (10)

શ્વાસોની સફર – ગુલામ અબ્બાસ ‘નાશાદ’

એકધારું તાકતાં થાકી નજર;
આભને જોયા કર્યું કારણ વગર,

માર્ગમાં અટવાઈ જાવાનું થયું;
લક્ષ્ય વિસરી ગઈ છે શ્વાસોની સફર.

આ ઉદાસી એટલે એનું પ્રમાણ;
કોશિશો નિષ્ફળ, દુઆઓ બેઅસર.

ભરવસંતે પાનખર જેવી ઋતુ;
એક પણ ટહુકો ન ગુંજ્યો ડાળ પર.

ભાવિને શણગારવાની હોડમાં;
હું જમાનાથીય છું તો બેખબર.

આ ભલા કેવું સુરાલય છે કે જ્યાં;
આંખમાં આંસુ ને કોરા છે અધર.

મુંઝવણ ‘નાશાદ’ હંમેશાં રહી;
આપણું કહેવાય એવું ક્યાં છે ઘર !

– ગુલામ અબ્બાસ ‘નાશાદ’

લગભગ બધા જ શેર મનનીય… સહજસાધ્ય ગઝલ.

Comments (4)

જીવી લીધું – હરીશ ધોબી

ઓછું-વત્તું, હલકા-ભારી જીવી લીધું,
જેવું તેવું મનને મારી જીવી લીધું.

ખૂબ જ કરતી’તી નખરાં એ મારી આગળ,
ઇચ્છાને ઠોકર ફટકારી જીવી લીધું.

ખુશ કરવી’તી દુનિયાને બસ એ કારણસર,
જીવતરને ચાંપી ચિનગારી જીવી લીધું.

જીવવા જેવું જીવવા ખાતર મૃત્યુને પણ,
ડગલે ને પગલે પડકારી જીવી લીધું.

કોઈ દિલાસો દેનારું ના દેખાયું તો,
મેં ખુદનો વાંસો પસવારી જીવી લીધું.

ઘર આગળના રસ્તાઓ ખામોશ થયા તો,
મેં પણ બંધ કરીને બારી જીવી લીધું.

– હરીશ ધોબી

ખુમારી અને લાચારીના બે અંતિમ ધ્રુવોની વચ્ચે ગતિ કરીને જીવી લેવાની સ્વાનુભૂતિની સ-રસ ગઝલ.

Comments (6)

હું ખેલતો નથી ! – હરીન્દ્ર દવે

સમેટો શેતરંજ, કે હવે
હું ખેલતો નથી !

હવે ન હારની વ્યથા, ન જીતનો રહ્યો નશો,
મળ્યાનો હર્ષ ક્યાં હવે, ગયાનો શોક ક્યાં કશો?
આ મારી જાળમાં ફરી હું ખુદ ચરણ નહીં મૂકું.

આ મારા માયાલોકમાં
કહો, હું ટહેલતો નથી,
સમેટો શેતરંજ કે
હવે હું ખેલતો નથી.

હવે કોઈની ચાલ ચોંપથી નિહાળવી નથી,
હવે ભિડાવવા કોઈને રાત જાગવી નથી,
ખેર હો તમારા વ્યૂહની, ન મારો રાહ એ:

કોઈનું સૈન્ય શું, હું
કાંકરીએ ઠેલતો નથી,
સમેટો શેતરંજ, કે
હવે હું ખેલતો નથી !

હવે ઉદાસ આંખથી કોઈને ના નિહાળવા,
કોઈનાં ત્રસ્ત નેણના પ્રહાર પણ ન ઝીલવા,
આ ઊંટ, હાથી, અશ્વને કહો, હવે ડરે નહીં :

હતો શિકારી વનમાં એ
શિકારે સ્હેલતો નથી,
સમેટો શેતરંજ કે
હવે હું ખેલતો નથી.

– હરીન્દ્ર દવે

 

એવો મુકામ આવી જાય છે કે જ્યાં પછી કોઈ ફરક નથી પડતો. નાજુક એવા લાગણીના સંબંધને કોઈક જયારે taken for granted લઈ લે છે ત્યારે આવી અવસ્થા આવી જાય છે. ” મળ્યાનો હર્ષ ક્યાં હવે, ગયાનો શોક ક્યાં કશો ? ” – આથી વધુ સંબંધ-મૃત્યુની સાબિતી શું હોઈ શકે ! પ્રેમાળ હૈયાને ઠેસ પહોંચાડવાથી ઘોર અન્ય કોઈ અપરાધ નથી.

મુકુલભાઈ યાદ આવી જાય – ” જા નથી રમતા સજનવા…..”

Comments (3)

શેર – अहमद फ़राज़

अब तो ये आरज़ू है कि वो ज़ख़्म खाइए
ता-ज़िंदगी ये दिल न कोई आरज़ू करे

– अहमद फ़राज़

આ નાનાં નાનાં દર્દ તો થાતાં નથી સહન,
દે એક મહાન દર્દ અને પારાવાર દે.

– મરીઝ

અંદાઝ સરખો છે. ભાવાર્થમાં થોડો ફરક ખરો. ફરાઝસાહેબ દિલને સજા આપવા ઈચ્છે છે, મરીઝસાહેબ સૂફીવાણી બોલે છે કે એવું શાશ્વત દર્દ આપ કે પછી તારા સિવાય કંઈ સૂઝે જ નહીં….

પરંતુ અહીં ઈરાદો શેરના વિશ્લેષણનો નથી. બંને શેર એક અનોખું ભાવવિશ્વ ઊભું કરે છે તે અનુભવવાનો છે. જે.કૃષ્ણમૂર્તિ કહે છે – ” Whenever there is feeling of sadness, check your own premises.” કદાચ તેઓની પ્રજ્ઞાના સ્તરે આ સહજ હશે….હાલ તો એવો હાલ છે કે ઝખ્મ થાય છે, ઝખ્મ પીડા દે છે, અને દિલ ફરિયાદ પણ કરે છે….. હૈયું સંવેદનશીલ હશે તો એ બધું અનુભવશે જ, અને અનુભવશે એટલે પીડા પણ પામશે જ…..અને ત્યારે ફરાઝસાહેબ જેવો સૂર પોતીકો લાગશે…..

Comments (1)

हम आप के हैं कौन ? – અમરુ (ભાવાનુવાદ: વિવેક મનહર ટેલર)

बाले नाथ विमुञ्च मानिनि रुषं रोषान्मया किं कृतम्
खेदोऽस्मासु न मेऽपराध्यति भवान्सर्वेऽपराधा मयि ।
तत्किं रोदिषि गद्गदेन वचसा कस्याग्रतो रुद्यते
नन्वेतन्मम का तवास्मि दयिता नास्मीत्यतो रुद्यते ॥५७॥
– अमरू

આજે ‘વેલેન્ટાઇન ડે’ પર લયસ્તરોના વાચકવૃંદ માટે એક વિશેષ પ્રસ્તુતિ:

આશરે તેરસો-ચૌદસો વર્ષ પૂર્વે થઈ ગયેલ અમરુનું ‘અમરુશતકમ્’ વિશ્વસાહિત્યમાં ટોચે બિરાજમાન થવાની લાયકાત ધરાવે છે. અગાઉ આપણે એમના કેટલાક મુક્તકો આસ્વાદ્યા છે. પ્રસ્તુત મુક્તક સંવાદકાવ્યમાં શ્રેષ્ઠતમ લેખી શકાય એવું છે. શાર્દૂલવિક્રીડિત છંદમાં લખાયેલી ચાર પંક્તિઓના સાવ નાનકડા ઘરમાં કવિએ સ્ત્રી-પુરુષ સંબંધ અને પ્રેમનું આખેઆખું આકાશ ખીચોખીચ ભરી દીધું છે જાણે.

પુરુષ : બાળા.
સ્ત્રી : નાથ!
પુરુષ : રોષ ત્યાગ, માનુનિ.
સ્ત્રી : ગુસ્સા વડે મેં શું કર્યું?
પુરુષ : અમને ખેદ થાય છે.
સ્ત્રી : આપનો તો કોઈ જ દોષ નથી. બધા દોષ મારામાં જ છે,
પુરુષ : તો પછી રુંધાયેલી વાણીથી કેમ રડી રહી છે?
સ્ત્રી : કોની આગળ રડી રહી છું?
પુરુષ : અરે! મારી આગળ.
સ્ત્રી : હું તમારી કોણ થાઉં છું?
પુરુષ : દયિતા.
સ્ત્રી : નથી. માટે તો રડી રહી છું.

(ભાવાનુવાદ: વિવેક મનહર ટેલર)

ચાર પંક્તિમાં કેટલી ગહન વાત! પોતાની પ્રિયાને પુરુષ બાળા કહીને સંબોધે છે અને સ્ત્રી એને નાથ કહીને. આ બે જ શબ્દોમાં સંબંધના આખા આકાશનો સંપૂર્ણ ઊઘાડ થઈ જાય છે. પુરુષ માટે પોતાની પ્રિયા બાળક સમાન છે. એના માટે આ સંબંધ સાવ હળવો છે એટલે એ પ્રિયાને લાડમાં બોલાવે છે. પણ સ્ત્રી માટે એ ભગવાન છે, સર્વસ્વ છે. સ્ત્રી આ સંબંધમાં સમાનતા નથી અનુભવતી એટલે એ પુરુષના લાડભર્યા સંબોધનના પ્રત્યુત્તરમાં ‘નાથ’ જેવો ઠંડો ઉદગાર કાઢે છે.

ક્ષણાર્ધપૂર્વે લાડ કરતો પુરુષ આ ઠંડોગાર જવાબ મળતાં જ રંગ બદલે છે. એ સ્ત્રીને માનિની અર્થાત્ માનભૂખી, અભિમાની સંબોધીને ગુસ્સાનો ત્યાગ કરવા કહે છે. સ્ત્રી સામું પૂછે છે કે રોષે ભરાઈને મેં શું કર્યું? મે ંતમને તો કોઈ નુકશાન પહોંચાડ્યું નથી. પુરુષ ‘અમને ખેદ થાય છે’ એમ કહે છે ત્યારે પોતાના માટે માનાર્થે બહુવચન વાપરે છે. એક આત્મસંબોધન માત્રથી પુરુષનું સ્વામિત્વ –superior sex- કવિએ કેવું બખૂબી છટું કર્યું છે!

સ્ત્રી કહે છે કે આપનો તો કોઈ વાંકગુનો છે જ નહીં, પછી આપ શા માટે ખેદ અનુભવો છો? જે કંઈ દોષ છે એ બધા તો માત્ર મારામાં જ છે. નાયિકા પક્ષે પુરુષપ્રધાન સંસ્કૃતિનો આ સહજ સ્વીકાર છે. એ પોતાના દુઃખનું કારણ જે છે, એને દોષીકરાર આપવાના બદલે દોષનો અંચળો પોતાના પર ઓઢી લે છે. પ્રણયની, રિસાવાની આ અદા જાણીતી છે. પણ એનો અવાજ રુંધાયેલો છે. એનો કંઠ બોલતાં-બોલતાં ડૂસકાંઓના કારણે ગદગદ થઈ જાય છે એ અછતું રહેતું નથી એટલે પુરુષ ફરી પૂછે છે કે તો પછી આ રુંધાયેલી વાણી શા માટે? રડે છે શા માટે? સ્ત્રીનો વળતો સવાલ, કે ‘કોની આગળ રડી રહી છું’ સાવ rhetorical question છે, એમાં ભારોભાર ઉપાલંભ છે. સામેનો પુરુષ પથ્થર છે અને પોતાના આંસુ પથ્થર પર પાણી છે એનો ઠંડો ડામ એ પુરુષને દીધા વિના રહેતી નથી. નાયક મારી આગળ એવો જવાબ તો આપે છે પણ એના આ જવાબમાં સ્નેહની ઉષ્મા વર્તાતી નથી. નાયિકા પૂછે છે કે હું તમારી કોણ થાઉં છું? નાયક એક શબ્દમાં દયિતા યાને કે પ્રાણપ્યારી, પત્ની એવો જવાબ આપે છે પણ આ એક શબ્દના સીધાસપાટ જવાબમાં પુરુષની સ્ત્રી પરત્વેની સંવેદનશૂન્યતા છતી થયા વિના રહેતી નથી. નાયિકા વળતો ચાબખો વીંઝે છે. કહે છે, કે હું સાચા અર્થમાં તમારી વહાલી હોત, પ્રાણપ્રિયા હોત, પત્ની હોત તો મારે આમ રોષે ભરાવાની કે રડવાની જરૂર જ શી હોત? તમારો પ્રેમ મારા પર હવે રહ્યો નથી, હું હવે તમારી વહાલી હોવાનો અનુભવ કરતી નથી એ કારણે તો મારાથી રડી પડાય છે.

કેવું અદભુત મુક્તક!

Comments (13)

રાતે વિકસે – કિરણસિંહ ચૌહાણ

દિવસે વિકસે, રાતે વિકસે,
વાત તો વાતેવાતે વિકસે.

આનંદ વચ્ચે ઓછી થઈ ગઈ,
એ સમજણ આઘાતે વિકસે.

ચાંદીની ચમચી લઈ જન્મે,
એ કિસ્મતની લાતે વિકસે.

આ ઋણાનુબંધો કેવળ,
માણસાઈના નાતે વિકસે.

દ્રોણ, કરો અર્જુનની ચિંતા,
એકલવ્ય તો જાતે વિકસે.

– કિરણસિંહ ચૌહાણ

મજાની રદીફ ઉપર અદભુત નક્શીકામ ! બધા જ શેર કાબિલે-દાદ થયા છે. સહજ સરળ ભાષા અને ઊંડી વાત એ કવિની લાક્ષણિકતા છે..

Comments (8)

તારું નામ લઈ – રાકેશ હાંસલિયા

કોઈ આવ્યું માત્ર તારું નામ લઈ,
એમના માટે ઊભો છું પ્રાણ લઈ.

ઠેસ વાગી એક પાલવની જરા,
આજીવન ફરવું પડ્યું આઘાત લઈ.

જાગવાની જેને બીમારી હતી,
એ બધે જાતો હંમેશાં ખાટ લઈ.

કોઈને ક્યાં બેસવા દે છે નજીક,
જ્યારથી આવ્યા છે પંડિત જ્ઞાન લઈ.

છે કસોટીનો સમય તારો હવે
સૌ ઊભા છે આંખમાં સન્માન લઈ.

બુંદ સામે આખરે ઝૂકી ગયો,
હર ઘડી ફરતો હતો જે આગ લઈ.

એ વિચારે દ્વારને હું ખોલું છું,
કોઈ આવ્યું હોય તારી વાત લઈ.

– રાકેશ હાંસલિયા

ગઝલનો મત્લા પ્રેમની ચરમસીમાથી શરૂ થાય છે અને આખરી શેર પરમસીમા સુધી લઈ જાય છે. કોઈ સદેહે (દ્વાર પર) પ્રિયજનનું નામ લેતું આવ્યું છે, એટલામાં કથક પ્રાણ આપવાની તૈયારી સાથે ઊભા છે. આ થઈ ચરમસીમા. આખરી શેરમાં કોઈ સદેહે દ્વાર પર આવ્યું જ નથી. ખાલી એક વિચાર કથકને આવ્યો છે. એટલામાં કવિએ (દિલ અને દુનિયાના) દ્વાર ખોલી નાંખ્યા છે. બંને શેરમાં પ્રિયજનનું નામ કે વાત લઈ કોઈ આવ્યું હોય તો જીજાનથી સ્વાગત કરવાની તૈયારીની જ વાત છે પણ મત્લામાં મૂર્તનો સાક્ષાત્કાર હતો એ આખરી શેરમાં અમૂર્ત સુધી પહોંચ્યો. આ થઈ પરમસીમા.

આ બે શેર વચ્ચેના તમામ શેર પણ માંડીને વાત કરવાનું મન થાય એવા પાણીદાર થયા છે. આવી સંગોપાંગ સુંદર ગઝલ આજકાલ બહુ ઓછી જ મળે છે.

Comments (3)

ચરણ – ચંદ્રેશ મકવાણા ‘નારાજ’

રાજી કે ગુસ્સે હવે થાતી નથી
મા અહીં જ છે પણ એ દેખાતી નથી

આ બધી નકલી છે આંબાવાડીઓ?
કોઈ કોયલ કેમ અહીં ગાતી નથી?

કાં રમકડું લઈ શકું કાં રોટલી,
વાત એ બાળકને સમજાતી નથી.

કાં ચરણ ફંટાય છે કાં ચાહના
કેડીઓ ક્યારેય ફંટાતી નથી.

વેંત ઊંચી વાડ છે વિખવાદની
આપણાથી એય ઠેકાતી નથી.

– ચંદ્રેશ મકવાણા ‘નારાજ’

માની હાજરી એના મૃત્યુ પછી પણ ઓસરતી ન હોવાની વાત કરતો મત્લા તરત જ સ્પર્શી જાય એવો છે. વાસ્તવિક્તા સાથે સંધાન ન હોવું એ બાળક હોવાનું સુખેય ખરું અને દુઃખેય ગણી શકાય. બાળકને બધું જ જોઈતું હોય છે. ગરીબમાં ગરીબ બાળકને પણ પેલા બાળકને મળે છે એ મને કેમ નથી મળતું એ સહજ સમજાતું નથી. છેલ્લા બે શેર તો શિરમોર થયા છે.

Comments (8)

રહ્યો નહીં – ભગવતીકુમાર શર્મા

કર્યો’તો ઉમ્રભર એ ઇન્તજાર પણ રહ્યો નહીં;
તું આવશે કદીક એ વિચાર પણ રહ્યો નહીં.

પ્રતીક્ષા વાંઝણી તો વાંઝણી યે આથમી ગઈ;
ઝરૂખા ઉમ્બરાનો આવકાર પણ રહ્યો નહીં.

જુદા જ કો’ વિકલ્પને કિનારે આવી લાંગર્યો,
સ્વીકાર જ્યાં હતો નહીં, નકાર પણ રહ્યો નહીં.

અચેત સૂર્ય વ્યોમમાં છે સ્તબ્ધ મ્લાન ને સ્થગિત;
ચઢાવ ખોટકાયો ને ઉતાર પણ રહ્યો નહીં.

છુપાવી જેની આડશે શકું હું મારા અશ્રુઓ,
સદાના ભેરુ જેવો અંધકાર પણ રહ્યો નહીં.

– ભગવતીકુમાર શર્મા

સ્વીકાર જ્યાં હતો નહીં, નકાર પણ રહ્યો નહીં……… – અદ્દભૂત !!

ગાલિબ યાદ આવી જાય –

आगे आती थी हाल-ए-दिल पे हँसी
अब किसी बात पर नहीं आती

નકરી શૂન્યતા-સ્તબ્ધતા !!

Comments (5)

બસ એ જ સંબંધો સાચા – મુકેશ જોષી

બસ એ જ સંબંધો સાચા,
જેની પાસે સ્વયં ખૂલતી હોય હૃદયની વાચા.

લાલચોળ તડકાઓ જ્યારે જમણો હાથ ઉગામે,
એવે ટાણે છત્રી લઈને મળી જાય છે સામે.
સાચવવાની લ્હાય નહીં ને છતાં રહે ના કાચા.

સમજણનું આકાશ હોય ને હોય સ્મરણની સીડી,
બંને પાસે સાકર તોય બંને જાણે કીડી.
ગમે ત્યાંથી સ્પર્શી, ના તો ક્યાંય અહમૂના ખાંચા.

-મુકેશ જોષી

સંબંધની કદાચ કોઈ સર્વસામાન્ય/સર્વમાન્ય વ્યાખ્યા નથી. ઘણા બધા ફેક્ટર ઉપર તે આધાર રાખે છે. કદાચ સૌથી વધુ આધાર તે વ્યક્તિની પોતાની પ્રજ્ઞા ઉપર રાખે છે. જેમ વ્યક્તિની પ્રજ્ઞા વિકસતી જાય છે તેમ તેની inclusiveness વધતી જાય છે અને એની ફરિયાદો શમતી જાય છે – અહં ના ખાંચા ઓગળતા જાય છે…..પણ ત્યાં સુધી તો………..

Comments (3)

(શ્લોકો!) – હર્ષ બ્રહ્મભટ્ટ

જે નથી જાણતા શું છે મોકો
દોસ્ત એવાય છે ઘણા લોકો

આપનાથી થશે ન કૈં બીજું
અમને આગળ જતાં તમે રોકો !

આપ વિદ્વાન છો તો માથા પર
ના મને વાતવાતમાં ટોકો

આપણી થઈ જતી નથી એ કૈં
જેટલી ભીંત પર ખીલી ઠોકો

એની આંખોને જ્યારે પણ જોઉં
તો મને સંભળાય છે શ્લોકો !

– હર્ષ બ્રહ્મભટ્ટ

જાણીતા કવિ શ્રી હર્ષ બ્રહ્મભટ્ટ એમનો નવમો ગઝલસંગ્રહ ‘તું મળે ત્યારે જડું છું’ લઈને ઉપસ્થિત થયા છે. લયસ્તરોના ઉંબરે કવિશ્રીનું અને સંગ્રહનું સહૃદય સ્વાગત છે. સંગ્રહમાંથી એક મજાની રચના માણીએ…

ટૂંકી બહરની હમરદીફ-હમકાફિયા ગઝલ અને એમાંય સાચવવા અઘરા પડે એવા ચુસ્ત કાફિયાઓનો કવિએ કેવો બખૂબી નિર્વાહ કર્યો છે તે જોવા જેવું છે… બધા જ શેર ધ્યાનાર્હ થયા છે.

Comments (6)

(ધારો) – ભાવિન ગોપાણી

તમે મન ભરીને પલળવાનું ધારો,
ને વરસાદ ના પણ પડે એકધારો.

હું મારા જ ઘરમાં રહેતો નથી તો,
કહું આપને શી રીતે કે પધારો?

હિસાબો મળે નહીં જે કોઈ સ્મરણનાં,
તમે એને મારા જ ખાતે ઉધારો.

મને પત્રમાં રસ પડ્યો એ જગા પર,
તમે જે જગા પર કર્યો’તો સુધારો.

અમારું કરેલું બધું જાય બાતલ,
તમે કંઈ કરો તો બની જાય ધારો.

ફરી આજ એને મળ્યો તો વિચાર્યું,
અધૂરી ગઝલને જ આગળ વધારો.

– ભાવિન ગોપાણી

આમ જોઈએ તો ચુસ્ત કાફિયાની ગઝલ પણ ધારીને જોઈએ તો ખ્યાલ આવે કે કાફિયામાં ‘ધારો’ એકધારો આવે છે એટલે એને રદીફનો જ એક ભાગ ગણી શકાય. અને એમ ગણીએ તો ગઝલ કાફિયા વગરની ગઝલ ગણાય. શાસ્ત્ર શું કહેશે એ પંડિતો પર છોડી દઈએ, આપણે તો કેવળ નિજાનંદનો વેપલો લઈ બેઠા છીએ, તે એની જ વાત કરીએ. હું આને પ્રયોગ-ગઝલ ગણવું વધુ પસંદ કરીશ. કેમકે દરેક શેરમાં કાફિયાના સ્થાને ‘ધારો’ એકધારો રાખીને કવિએ અદભુત કામ કર્યું છે.

બધા જ શેર મજબૂત થયા છે. લગભગ બધા જ શેર પહેલી નજરે સમજાઈ જાય એવા પણ બીજી નજરે ઊંડો વિચાર કરતાં કરી દે એવા સંતર્પક થયા છે. ટૂંકમાં, ધીમે ધીમે બે-ચાર વાર મમળાવવા જેવી રચના.

Comments (7)

ગઝલ – પ્રણવ પંડ્યા

તૃણ સાચવ અને તરુ સાચવ
ઝાડની સાથે ઝાંખરું સાચવ

ભાદર્યું કે અવાવરું સાચવ
નહીં રહે કૈં અણોસરું, સાચવ

વાંસળીવાળા વાછરું સાચવ
પણ જે ભૂખ્યું છે એ વરુ સાચવ

આંખમાં સ્વપ્ન, હૈયે મનસૂબા
તેં ભર્યાં છે તો તું ચરુ સાચવ

રૂમઝુમાટીની કર પ્રથમ રક્ષા
ને પછી પગના ઘૂંઘરું સાચવ

એમ સાચવ ધરેલી ધરતીને
કેડમાં તેડ્યું છોકરું સાચવ

ખેડ કર બસ ખળાને ભૂલીને
માત્ર તું તારું ધૂંસરું સાચવ

સંભવામીનું વેણ રાખી લે
એકદા અમને રૂબરૂ સાચવ

જેણે પાટો તને નથી બાંધ્યો
એ બધાનીય આબરૂ સાચવ

– પ્રણવ પંડ્યા

સાચવવું એ આપણો સ્વભાવ છે. નાની-નકામી વસ્તુઓ પણ આપણે આખી જિંદગી સાચવી રાખતા હોઈએ છીએ. પ્રસ્તુત ગઝલમાં પ્રથમદર્શી વાત તો સાચવવાની છે પણ ગઝલ વાંચતા સમજાય છે કે કવિની ટકોર આપણે કશું સાચવી શકતા નથી એ બાબત વધુ છે. તૃણ હોય કે તરુ – બધાને સાચવી લેવાનું છે. લીલા સાથે સૂકાને અને ભર્યા સાથે ઉજ્જડનેય સાચવી લેવાય તો કશું અણોસરું નહીં રહે. ચરુ સાચવવાની સલાહ આપતો શેર તો શિરમોર થયો છે. આખી ગઝલ કૃષ્ણને સંબોધીને લખાઈ હોય એમ માનવાને પણ મન થાય કેમકે માથે ધરેલી ધરતી-ગોવર્ધન પર્વતવાળો શેર અને આખરી બે શેર તો સીધા કૃષ્ણને સંબોધીને જ લખાયા છે, અને બાકીના તમામ શેરોમાંથી પણ કૃષ્ણની સોડમ આવ્યા વિના રહેતી નથી… કવિતા છે… જેમ મૂલવવી હોય એમ મૂલવી શકાય… મજા આવવી જોઈએ અને અહીં તો આખી ગઝલ જ મજેદાર છે… વાહ!

Comments (5)

इस मोड़ से तुम मुड़ गई – दुष्यंत कुमार

इस मोड़ से तुम मुड़ गई फिर राह सूनी हो गई।

मालूम था मुझको कि हर धारा नदी होती नहीं
हर वृक्ष की हर शाख फूलों से लदी होती नहीं
फिर भी लगा जब तक क़दम आगे बढ़ाऊँगा नहीं,
कैसे कटेगा रास्ता यदि गुनगुनाऊँगा नहीं,
यह सोचकर सारा सफ़र, मैं इस क़दर धीरे चला
लेकिन तुम्हारे साथ फिर रफ़्तार दूनी हो गई!

तुमसे नहीं कोई गिला, हाँ, मन बहुत संतप्त है,
हर एक आँचल प्यार देने को नहीं अभिशप्त है,
हर एक की करुणा यहाँ पर काव्य की थाती नहीं     [ थाती – અમાનત ]
हर एक की पीड़ा यहाँ संगीत बन पाती नहीं
मैंने बहुत चाहा कि अपने आँसुओं को सोख लूँ
तड़पन मगर उस बार से इस बार दूनी हो गई।

जाने यहाँ, इस राह के, इस मोड़ पर है क्या वजह
हर स्वप्न टूटा इस जगह, हर साथ छूटा इस जगह
इस बार मेरी कल्पना ने फिर वही सपने बुने,
इस बार भी मैंने वही कलियाँ चुनी, काँटे चुने,
मैंने तो बड़ी उम्मीद से तेरी तरफ देखा मगर
जो लग रही थी ज़िन्दगी दुश्वार दूनी हो गई!

इस मोड़ से तुम मुड़ गई, फिर राह सूनी हो गई!

-दुष्यंत कुमार

કવિનું નામ લખ્યું ન હોય તોય પરખાઈ જાય કે આ દુષ્યંતકુમાર જ હોઈ શકે ! કેવી ચોટીલી વાત…!! કોઈ ફરિયાદ નથી, પણ હ્ર્દય વિરાન થઇ ગયું એ વાસ્તવિકતા નું હૂબહૂ ચિત્રણ….

दिल के बोझ को दूना कर गया जो ग़मखार मिला

Comments (2)