કૂંપળ ફૂટું ફૂટું થાતી જોઈને
પીળા પાને વાર ન કીધી ખરવામાં
– શબનમ ખોજા

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for ગીત

ગીત શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.




– ભૂલ -જગદીશ જોષી

પાણી-કઠ્ઠણ દરિયો ને આ સુવાસ-કઠ્ઠણ ફૂલ :
પ્રેમથી કઠ્ઠણ થઈ ગયું છે જીવન જાણે ભૂલ !

અરસપરસની વાત : રાત તો દીવાલ પરનો રંગ,
દીવાલ પાછળ ઝૂરી રહે છે જીવ બનીને તંગ
કુરુક્ષેત્ર પર વાવી દીધું આખુંયે ગોકુળ :
પાણી-કઠ્ઠણ દરિયો ને આ સુવાસ-કઠ્ઠણ ફૂલ.

હોઠે ભમતાં ગીતની પાછળ અવળાસવળા સૂર,
આગળ પાછળ પાગલ પગલાં : પ્રાણ વહે છે દૂર;
સરવર, તારા તળિયે જોને ધૂળ,ધૂળ ને ધૂળ !
પાણી-કઠ્ઠણ દરિયો ને આ સુવાસ-કઠ્ઠણ ફૂલ.

-જગદીશ જોષી

પહેલી પંક્તિ જ સોંસરવી ઉતરી ગઈ….. એક અકથ્ય વેદનાનું કાવ્ય છે……વ્યક્તિ સ્વ-ભાવ ગુમાવી બેઠી છે કે પ્રકૃતિ ? જેવી દ્રષ્ટિ તેવી સૃષ્ટિ…..

Comments (7)

હિન્દી કાવ્ય – [ ઓશો ]

जब तक यह शीशे का घर है
तब तक ही पत्थर का डर है

हर आँगन जलता जंगल है
दरवाजे सांपो का पहरा
ज़रती रोशनियों में अब भी
लगता कहीं अँधेरा ठहरा

जब तक यह बालू घर है
तब तक ही लहरों का डर है

हर खूँटी पर टंगा हुआ है
जख्म भरे मौसम का चेहरा
शोर सडक पर थम हुआ है
गलियों में सन्नाटा गहरा

जब तक यह काजल का घर है
तब तक ही दर्पण का डर है

हर क्षण धरती टूट रही है
जर्रा-जर्रा पिघल रहा है
चाँद-सूर्य को कोई अजगर
धीरे-धीरे निगल रहा है

जब तक यह बारूदी घर है
तब तक चिनगारी का डर है

[ આ કાવ્યના કવિ વિષે કોઈ માહિતી નથી . જો કોઈ ભાવકને હોય તો પ્રકાશ પાડવા વિનંતી . કાવ્ય ઓશો રજનીશના પુસ્તક “અથાતો ભક્તિ જીજ્ઞાસા” માંથી લીધું છે .]

સમગ્ર તકલીફ identification [ મોહ ] ની છે . કાવ્યનો મૂળ સૂર identification થી આપણને સાવચેત કરવાનો છે….

Comments (9)

ગીત – અશરફ ડબાવાલા

કંઠી બાંધી છે તારા નામની
અઢળક અને અઢીમાં ફેર નહીં કાંઈ એવી લાગી મમત તારા ગામની.

માગ્યું મળે ને મન છલકાતું હોય ત્યારે કાંઠાનું ભાન રહે કેમ ?
કેટલા કોરા ને અમે કેટલા ભીંજાણા ઇ પૂછો ના મે’તાજી જેમ.
સાચું પૂછો તો એક જણને મળ્યા અને જાતરા ગણો તો ચાર ધામની
… કંઠી બાંધી છે તારા નામની

કેડીથી આડી ફંટાઈ મારી ઘેલછા કાંડું પકડીને મને દોરે
ચરણો ને ચાલની તો વાત જ શું કરવી ? હું ચાલું છું કોઈના જોરે
મોજડીની સાથ મોજ રસ્તે ઉતારી, હવે મારે નથી કોઈ કામની
… કંઠી બાંધી છે તારા નામની

– અશરફ ડબાવાલા

એના નામની કંઠી બાંધી લઈએ પછી નથી જરૂર રહેતી મોજડીની કે નથી જરૂર રહેતી મોજની… ચરણ કે ચાલ બધું અર્થહીન બની રહે છે. જીવન આખું એના જ જોરે ચાલે છે…

Comments (5)

ભીતરનો સૂર – મકરંદ દવે

ભીતરનો સૂર તારો સ્હેજે મળે તો ભલે
દુનિયાનો સૂર જાય દૂર.

એકાંતે બાજતું જે આતમનું બીન,
એનો કોઈની સંગાથ તાર બાંધે !
લાખ લાખ વાર એ તો તૂટી પડે ને
તું તો તૂટે તૂટે ને ફરી સાંધે !
ઊંડો અંધાર તને મૌનમાં ડૂબાડે ને
અંદર તો નાદનાં નૂર.

બીજાની સાથ તને સંવાદે ગૂંથતો
બંધુ, એ તાર નથી બીજે,
હૈયે હજાર રમે તારો ઝંકાર,
એક પોતાનો રામ જો રીઝે;
મનમાં બેઠેલ તારા માનવીનું એકલું
સાંભળને, મીઠું : ‘ મંજૂર !’

સામે જુએ તો હશે વમળો વિષાદનાં,
સામે તો શંકાની ખાઈ,
અંતરનો સૂર તારો સેતુ બનીને વણે
સામેથી નેહની સગાઈ ;
આંકડા ભીડીને અહીં આવે આનંદમાં
સૂરના સંબંધ ભરપૂર.
ભીતરનો સૂર તારો સ્હેજે મળે તો ભલે
દુનિયાનો સૂર જાય દૂર.

-મકરંદ દવે

સાંઈકવિની એક લાક્ષણિક રચના…. થોડું ધીમે ધીમે બે થી ત્રણ વાર વાંચીને મમળાવવા જેવી રચના…..

Comments (7)

હરિગીત – રવીન્દ્ર પારેખ

બંધ આંખમાં આંસુ
લાંબો કાળ રહે ના જેમ,
હરિ, તમે તો પાક્યું મોતી
છીપમાં રહેશો કેમ ?

હરિ, તમારે લીધે છીએ
તે વાત નવી ના કંઈ,
છતાં અમારા વગર તમારું
કંઈ પણ ઉપજે નંઈ,
હરિ, અમે ના હશું તો
ક્યાંથી તમેય કુશળક્ષેમ…..

હરિ, તમે ના ઈચ્છો તો
એક પાન ન ફરકે ક્યાંય,
અમે ફરકશું તો જ તમારો
અર્થ હશે કંઈ ત્યાંય !
જનમ-મરણ કબજે રાખીને
દીધો જીવનનો વ્હેમ…..

-રવીન્દ્ર પારેખ

સુરતના વરિષ્ઠ અને પ્રતિભાસંપન્ન કવિશ્રી રવીન્દ્ર પારેખ પોતાના અતિનમ્ર અને અંતર્મુખ સ્વભાવને લીધે સર્વદા પોતાના કોઇપણ જાતના marketing થી જોજનો દૂર રહ્યા છે.પરંતુ રવિ છાબડે કદી ન ઢંકાય, ત્યાં આ તો રવીન્દ્ર !!!
પ્રવાહી શૈલીમાં રચાયેલા પ્રસ્તુત હરિગીતમાં એક અતિમહત્વની વાત છુપાયેલી છે – ઈશ્વર આપણી પોતાની રચના છે !

Comments (9)

લા – પરવા ! – મકરન્દ દવે

કોક દિન ઇદ અને કોક દિન રોજા
ઊછળે ને પડે નીચે જિંદગીનાં મોજાં.

કાંઈ અફસોસ નહીં કાંઈ નહીં ફિકર,
કોઈ ચીજ તણી નહીં જિંદગીમાં જિકર,
આવે ને જાય એના વેઠવા શા બોજા !
કોક દિન ઇદ અને કોક દિન રોજા.

માન મળે, મળે ધનધાન, મળે સત્તા,
પાન ચાવી બીજી પળે ખાવા પડે ખત્તા.
વાહ ભાખે કોઈ રૂડી આંખે વેશ ભાળી,
આહ નાખે કોઈ ભૂંડી મોઢે મેશ ઢાળી.
રામ મારો રૂદે હસે રંગ નહિ દૂજા,
કોક દિન ઇદ અને કોક દિન રોજા.

હાલ્યા કરે દુનિયાની વણજાર ગાંડી,
કોણ બેઠું રહે એની સામે મીટ માંડી ?
દૂધ મળે વાટમાં કે મળે ઝેર પીવા
આપણા તો થિર બળે આતમાના દીવા.
લાંબી લાંબી લેખણે ત્યાં નોંધાવી શી યાદી,
બેય કોરે આપી જવી મુબારકબાદી,
ઘેલાં ભલે ઘૂઘવે આ જિંદગીનાં મોજાં,
આવો તમો ઇદ અને આવો તમે રોજા.

– મકરન્દ દવે

આ કવિતાની ધ્રુવપંક્તિ તો આજે કહેવતકક્ષાએ બિરાજમાન છે. દુનિયાની પરવા રાખીએ તો દુનિયા જીવવા નહીં દે અને રુદિયામાં વસેલા રામને ધ્યાનમાં રાખીને મસ્ત થઈ જીવતા રહીએ તો કોઈ વાળ પણ વાંકો કરી શકવાનું નથી એવો લાપરવાહીનો ભાવ ધરાવતું આ ગીત એના સ્વરૂપની બાબતમાં પણ એ જ અભિગમ દેખાડે છે. પહેલો અંતરો બે કડીનો, બીજો ચાર, ત્રીજો છ અને આખરી અંતરો આઠ કડીનો.

Comments (5)

દિવાળી – ચંદ્રવદન મહેતા

‘ઈલા, દિવાળી ! દીવડા કરીશું;
તારા સર્યા વ્યોમ થકી અહીં શું ?
કેવા ફટાકા આ અહીં ફૂટે છે !
આ કાનના તો પડદા તૂટે છે.’

‘સુણ્યા નથી તેં વીજના કડાકા ?
એ સ્વર્ગમાંના ફૂટતા ફટાકા !
ત્યાં વાદળવાદળીઓ અફાળી
સૌ દેવબાલો ઊજવે દિવાળી.’

‘તું બ્હેન જ્યારે કદી લે અબોલા,
ઝીલું ન તારાં વચનો અમોલાં;
મૂંગા ફટાકા દિલમાંહી ફૂટે
ને એ સમે તો ઉરતંતુ તૂટે.’

– ચંદ્રવદન મહેતા

દિવાળીની સૌ મિત્રોને શુભેચ્છાઓ !

Comments (6)

ખોબે ખોબે આપું – મકરંદ દવે

ગુલમહોરનાં ઝીણાં ઝીણાં પાન પરે
જે પ્રભાતના મખમલિયાં કિરણો ભરત ભરે,
તે ભરત, કહો તો, આપું.
લહર લહર આ તલાવડીનાં નીર મહીં
લહેરાતાં વૃક્ષોની છાયા જે છાઈ રહી
તે ચંદનભીની આપું.

ચોગમ ચોગમ હરિયાળીની હવા શ્વાસમાં ઊભરાતી
ને ખુલ્લા આભતણા આરે આ નૌકા નયનોની તરતી,
લો,આજ ખરેખર લાગે છે કે સુંદર સુંદર છે ધરતી,
ને જન્મતણું વરદાન સહજરૂપે ઝીલી
આ ખુશ્બો જે ખીલી ખીલી,
તે ખોબે ખોબે આપું.

હા, ભીંસી દેતી ચોગરદમ દીવાલો દીવાલો ભેદી
આ મનનો આજ ફરીને મેદાનમાં આવ્યો છે કેદી,
આ બંધન રૂંધન ક્રંદન સહુ બસ મૂળ મહીંથી ઉચ્છેદી
લો, ફરી જેલના બંધ ભયાનક દરવાજે
આવીને ઊભો છે આજે
ને કહે, કહો , સહુ આપું ?

-મકરંદ દવે

અત્યંત રમણીય કાવ્ય…..અસ્તિત્વનો અદભૂત ઉત્સવ….

Comments (9)

કમ સે કમ આટલું તો થાય… – અનિલ ચાવડા

કમ સે કમ આટલું તો થાય,
પ્હાડ જેમ ખળભળતું હોય કોઈ ત્યારે ત્યાં ઝરણું થઈ ખળખળ વહાય.

આંગણામાં આવે જો એકાદું પંખી તો રાખવાનું હોય ખૂબ માનથી,
ટહુકાની ઝેરોક્ષો થાય નહિ એને તો ઘટ ઘટ પીવાય સાવ કાનથી;
ખીલે એકાદ પળ કૂંપળની જેમ તો એ કૂંપળને મબલખ જીવાય.
કમ સે કમ આટલું તો થાય…

માણસ ખુદ હાજર છે ત્યારે પણ એના આ પડછાયા પૂજવાના કેમ ?
કોઈનાય ઘાસ ઉપર ઝાકળનો હાથફેરો કરવો શું સૂરજની જેમ !
ભીતરથી કાળઝાળ બળતું હો કોઈ એને મીઠેરું સ્મિત તો અપાય.
કમ સે કમ આટલું તો થાય…

– અનિલ ચાવડા

રમતિયાળ ભાષામાં અંતરને અડી જાય એવું એક મજાનું ગીત આપ સહુ માટે, તહેવારના દિવસો માટે ખાસ !

Comments (14)

હોઠ હસે તો – હરીન્દ્ર દવે

હોઠ હસે તો ફાગુન
ગોરી ! આંખ ઝરે તો સાવન,
મોસમ મારી તું જ,
કાળની મિથ્યા આવનજાવન.

તવ દર્શનની પાર સજન,બે લોચન મારાં અંધ,
અવર વાણીને કાજ શ્રવણનાં દ્વાર કર્યાં મેં બંધ;
એક જ તવ અણસારે
મારા વિશ્વ તણું સંચાલન.

અણુ જેવડું અંતર ને તવ મબલખ આ અનુરાગ,
એક હતું વેરાન હવે ત્યાં ખીલ્યો વસંતી બાગ ;
તવ શ્વાસોનો સ્પર્શ
હૃદય પર મલયહાર મનભાવન.

કોઈને મન એ ભરમ,કોઈ મરમીના મનનું મિત,
બે અક્ષર પણ ભર્યાભર્યા,પ્રિય,માની એવી પ્રીત;
પલ પલ પામી રહી
પરમ કો મુદા મહીં અવગાહન.

-હરીન્દ્ર દવે

[   અવગાહન=વિષયનું ઊંડુ અધ્યયન. ]

પ્રેમ એવો દરિયો છે જેમાં જેટલી ઊંડી ડૂબકી મારો, તળ એટલું જ ઊંડું ઉતરતું જાય….અર્થાત તે અતળ છે. વાચાળતા પ્રેમનું લક્ષણ નથી. પ્રેમ એટલે harmony . રૂમી એ અદભૂત વાતો કરી છે પ્રેમ વિષે. રસિકજનોને અવકાશે રૂમીને વાંચવા નમ્ર અનુરોધ છે.

Comments (10)

નિરંતર – હસિત બૂચ

એક નિરંતર લગન ;
.       અમે રસ પાયા કરિયેં :
એકબીજામાં મગન :
.       અમે બસ ગાયા કરિયેં.

કોઈ ચાંગળું લિયે, પવાલું-
.       કુંભ ભરે, જો રાજી !
કોઈ કરે મુખ છોને આડું ,
.       કે ઈતરાજી ઝાઝી ,
.              છાંય હોય કે અગન ; -અમે 0

સફર મહીં હો ઉજ્જડ વગડો,
.       કે નગરો ઝળહળતાં,
યાળ ઉછાળે ખારો દરિયો,
.       કે ઝરણાં ખળખળતાં ;
.              હવે મુઠ્ઠીમાં ગગન ; -અમે 0

-હસિત બૂચ

આવી અદભુત ગીતરચના આટલા વરસો સુધી નજરમાં આવી જ નહીં ! આવી રચના વાંચવાની-ગણગણવાની-જીવનમાં ઉતારવાની બાકી રહી જાય તો આખો જન્મારો એળે ગયો જાણવો.

Comments (10)

હરિ, તેં મુજને બહુ હરસાવી

હરિ, તેં મુજને બહુ હરસાવી
મિષ્ટ મદનરસ ઢળ્યો તું મુજને તરસાવી-તરસાવી

મારી રસના પર રસ ઊમટ્યા તું-દીધા તાંબૂલથી
મેંય તને કવરાવ્યો કેવો કરી પ્રહારો ફૂલથી !

તેં ચૂમીની હેલી પડતર હોઠો પર વરસાવી…

વાઢ પડ્યા વાંસામાં મુજને તારાં આલિંગનથી
પીન પયોધર કચરાયાં ભીંસાઈ તારા તનથી

હસીહસી કર મારો મરડી તુંથી હું પરસાવી

– રમેશ પારેખ

શૃંગારરસથી છલોછલ છલકાતું સાવ નાનકડું ગીત. પ્રિયતમ પ્રભુ સાથે ઝઘડાના ઝીણેરા ભાવ સાથોસાથ સંપૂર્ણ સમર્પણની સ્વીકાર્યતા વહન થઈ રહી છે.

હરસાવવું – હર્ષ કરાવવો, મિષ્ટ – મીઠું, મદનરસ – ઝેર/કામરસ, રસના – જીભ, તાંબૂલ – પાનબીડું, કવરાવવું – સતાવવું, વાઢ – જખ્મ, નિશાની, પીન પયોધર – પુષ્ટ (ભરાવદાર) સ્તન, પરસાવવું – સ્પર્શાવવું (?)

Comments (5)

આજ હવે – મનોજ ખંડેરિયા

આભના જેવો જ કંઈ લાગે છે આજ હવે
મારા હોવાનો મને ભાર.

કેડીની જેમ હું તો રઝળું ચોમેર
મારા ભ્રમણનો આવતો ન અંત
આંબાની ડાળ જેવું આભ ભરી ઊગું ને
હાથ છેટી રહી જાય વસંત
ઓગળતો જાય હવે મીણની જેમ કાળ મારો
જેનો લઇ ઊભી આધાર.

છતટાંગ્યાં ઝુમ્મરની હું તો રે જ્યોત
મારી કાચમાંથી કાયા ઢોળાય
પછડાતી જાઉં આમ આખાયે ઓરડે ને
આમ નથી ઓરડે હું ક્યાંય

તારા ન આવવામાં ચંદનના ધૂપ શી હું-
બળતી ને મ્હેકે અંધાર.

-મનોજ ખંડેરિયા

કૃષ્ણ-વિરહમાં ઝૂરતી ગોપીનું ગીત છે…… સ્વ ની સંપૂર્ણ વિસ્મૃતિ…..

Comments (5)

મરસિયો – શેક્સપિઅર (અનુ. વિવેક મનહર ટેલર)

ડરવાની જરૂર નથી સૂર્યના તાપથી
કે ક્રુદ્ધ શિયાળાના ક્રોધાવેશથી,
તારું દુન્યવી કાર્ય સંપૂર્ણ થયું છે,
તું ઘરે પહોંચી ગયો છે, તારું મહેનતાણું લઈને.
તવંગર છોકરા-છોકરીઓ હોય કે પછી
ચીમની સાફ કરનાર, બધાએ ધૂળ ભેગાં થવાનું જ છે.

ડરવાની જરૂર નથી તારે મોટા માણસોની નાખુશીથી.
તું પર છે જુલ્મીઓના ત્રાસથી,
નથી હવે પહેરવાની કે ખાવાની ચિંતા,
શું ઘાસ કે શું વૃક્ષ- તારે બધું એકસમાન છે.
રાજા, વિદ્વાન કે તબીબ બધાએ ધૂળ ભેગાં થવાનું જ છે.

ડરવાની જરૂર નથી વીજળીના ચમકારાથી,
કે દારુણ તોફાનોથી,
ડર નથી બદનક્ષી કે અવિચારી નિંદાનો,
સુખ અને દુઃખથી તું હવે પર છે.
દરેક પ્રેમી, યુવાન હોય કે ન હોય,
તારી સાથે જોડાવાના જ છે, બધાએ ધૂળ ભેગાં થવાનું જ છે.

– વિલિઅમ શેક્સપિઅર
અનુ. વિવેક મનહર ટેલર

*

શેક્સપિઅરના નાટક ‘સિમ્બેલાઇન’ના ચોથા અંકના બીજા દૃશ્યમાં ફિડેલ (જે હકીકતમાં ઇમોજન નામની છોકરી છે) નામના છોકરાને મરણ પામેલો માનીને દફનાવતી વખતે ગિડેરિયસ અને અર્વિરેગસ નામના પાત્રો દ્વારા વારાફરતી આ ગીત ગાવામાં આવે છે. ત્રણ અંતરાના ગીતમાં શરૂઆતમાં “ડરવાની જરૂર નથી” અને અંતમાં “બધાએ ધૂળ ભેગાં થવાનું જ છે” પંક્તિ પુનરાવર્તિત થતી રહે છે. પહેલી કડીનું પુનરાવર્તન બાંહેધરી આપે છે અને બીજી કડીનું પુનરાવર્તન મૃત્યુની અફરતા દૃઢીભૂત કરે છે.

મૃત્યુ સંસારનો અફર નિયમ છે. ભલભલા ચમરબંધ પણ મૃત્યુથી બચી શકતા નથી. મૃત્યુ આપણને ભલભલાના ડરથી અને સંસારની આધિ-વ્યાધિ-ઉપાધિથી કાયમી મુક્તિ આપે છે.

*

A requiem

Fear no more the heat o’ the sun
Nor the furious winter’s rages;
Thou thy worldly task hast done,
Home art gone, and ta’en thy wages:
Golden lads and girls all must,
As chimney-sweepers, come to dust.

Fear no more the frown o’ the great,
Thou art past the tyrant’s stroke;
Care no more to clothe and eat;
To thee the reed is as the oak:
The scepter, learning, physic, must
All follow this and come to dust.

Fear no more the lightning-flash,
Nor the all-dreaded thunder-stone;
Fear not slander, censure rash;
Thou hast finish’d joy and moan:
All lovers young, all lovers must
Consign to thee, and come to dust.

-William Shakespeare

Comments (12)

મરીચિકા – રવીન્દ્રનાથ ઠાકુર – અનુ-નગીનદાસ પારેખ

પાગલ હઇયા વને વને ફિરિ આપન ગન્ધે મમ
કસ્તુરીમૃગસમ ;
ફાલ્ગુન રાતે દક્ષિણ બાયે કોથા દિશા ખુંજે પાઇ ના –
યાહા ચાઇ તાહા ભૂલ કરે ચાઇ, યાહા પાઇ તાહા ચાઇ ના.

વક્ષ હઇતે બાહિર હઇયા આપન વાસના મમ
ફિરે મરીચિકાસમ.
બાહુ મેલિ તારે વક્ષે લઇતે વક્ષે ફિરિયા પાઇ ના.
યાહા ચાઇ તાહા ભૂલ કરે ચાઇ, યાહા પાઇ તાહા ચાઇ ના.

નિજેર ગાનેર બાંધિયા ધરિતે ચાહે યેન બાંશિ મમ
ઉતલા પાગલ-સમ.
યારે બાંધિ ધરે તાર માઝે આર રાગિણી ખુંજિયા પાઇ ના.
યાહા ચાઇ તાહા ભૂલ કરે ચાઇ, યાહા પાઇ તાહા ચાઇ ના.

 

મારી પોતાની ગંધથી પાગલ બનીને હું
કસ્તુરીમૃગની પેઠે વનવનમાં ભટકું છું.
ફાગણની રાતે દક્ષિણના પવનમાં દિશા ક્યાં છે
તે મને શોધી જડતી નથી-
જે ચાહું છું તે ખોટું ચાહું છું,
જે મળે છે તે મને જોઈતું નથી.

છાતીમાંથી બહાર નીકળીને મારી પોતાની વાસના
મરીચિકા[મૃગજળ]ની પેઠે ફરે છે.
હાથ લંબાવીને તેને છાતીસરસી લેવા જતાં
પાછી છાતીમાં લઇ શકતો નથી.
જે ચાહું છું તે ખોટું ચાહું છું,
જે મળે છે તે મને જોઈતું નથી.

જાણે મારી વાંસળી વ્યાકુળ પાગલની પેઠે
પોતાના ગીતને બાંધીને પકડવા માગે છે.
એ જેને બાંધીને પકડે છે તેમાં
રાગિણી શોધી જડતી નથી.
જે ચાહું છું તે ખોટું ચાહું છું,
જે મળે છે તે મને જોઈતું નથી.

-રવીન્દ્રનાથ ઠાકુર

અતિસૂક્ષ્મ વાત છે. કદાચ ગુરુદેવની પ્રજ્ઞા ધરાવતા કવિની આજ ખૂબી હશે ! આત્મસંવાદ છે આ…. હું સ્થૂળ વસ્તુઓના મોહમાં ભટકું છું,તેને મેળવી લઉં છું ત્યારે તે મને કોઈ જ આનંદ કે પરિતૃપ્તિ આપતી નથી. તેમાં મને જેની ખરેખર શોધ છે તે જડતું નથી. – આ મૂળભૂત સૂર છે. એમાં ‘મારી પોતાની ગંધથી પાગલ બનીને હું કસ્તુરીમૃગની પેઠે વનવનમાં ભટકું છું.’ – જેવી અભિવ્યક્તિ દ્વારા કવિ પોતાની મહત્વકાંક્ષા,સ્પર્ધાત્મકતા જેવા ગુણોને ઈંગિત કરે છે. આ વાત સંબંધોને પણ લાગુ પડી શકે છે. અંતિમ ફકરામાં ભગવદ ગીતાની philosophy પડઘાય છે. આ સમગ્ર content ને અત્યંત ખૂબીપૂર્વક ગૂંથવામાં આવ્યો છે. વળી દરેક ફકરે પુનરાવર્તિત થતી પંક્તિઓ – ” જે ચાહું છું તે ખોટું ચાહું છું, જે મળે છે તે મને જોઈતું નથી.”- દ્વારા એક સઘન અનુભૂતિ સર્જાય છે,એક તીવ્ર આત્મમંથન આલેખાય છે.

Comments (5)

ભગ્ન સ્વપ્નની નાવ – સ્નેહરશ્મિ

મારી નાવ કરે કો પાર ?

કાળાં ભમ્મર જેવાં પાણી,
જુગ જુગ સંચિત રે ! અંધાર;
સૂર્યચંદ્ર નહિ, નહિ નભજ્યોતિ,
રાતદિવસ નહિ સાંજસવાર !
મારી નાવ કરે કો પાર ?

ભાવિના નહિ પ્રેરક વાયુ,
ભૂત તણો દાબે ઓથાર;
અધડૂબી દીવાદાંડી પર
ખાતી આશા મોતપછાડ !
મારી નાવ કરે કો પાર ?

નથી હીરા, નથી માણેક મોતી,
કનક તણો નથી એમાં ભાર;
ભગ્ન સ્વપ્નના ખંડિત ટુકડા
તારી કોણ ઉતારે પાર ?
મારી નાવ કરે કો પાર ?

-સ્નેહરશ્મિ

ટાગોરની ‘એકલો જાને રે’ની હાકલથી વિપરીત વાણી અહીં તારસ્વરે રજૂ થઈ છે. જીવનનૈયાને ભવસાગર પાર ઉતારવી હોય તો ખુદા કે નાખુદા – કોઈ તો હોવું ઘટે. જ્યાં સૂર્ય-ચંદ્રના અજવાળાં નથી, સમય પણ ગતિહીન છે એવા યુગો-યુગોના અંધારા ભરેલ કાળાંભમ્મર સાગરમાં આગળ શી રીતે વધી શકાય? ઉજ્જવળ ભવિષ્યનો વાયુ નથી જે સઢ ફૂલાવી ગતિ આપે પણ ભૂતકાળના ઓથારના ભાર નીચે દબાઈ

Comments (3)

પ્રાર્થના – રવીન્દ્રનાથ ઠાકુર – અનુ-નગીનદાસ પારેખ

ચિત્ત યેથા ભયશૂન્ય,ઉચ્ચ યેથા શિર,
જ્ઞાન યેથા મુક્ત, યેથા ગૃહેર પ્રાચીર
આપન પ્રાંગણતલે દિવસશર્વરી
વસુધારે રાખે નાઇ ખણ્ડ ક્ષુદ્ર કરિ,
યેથા વાક્ય હૃદયેર ઉત્સમુખ હતે
ઉચ્છવસિયા ઉઠે, યેથા નિર્વારિત સ્ત્રોતે
દેશે દેશે દિશે દિશે કર્મધારા ધાય
અજસ્ત્ર સહસ્ત્રવિધ ચરિતાર્થતાય
યેથા તુચ્છ આચારેર મરુબાલુરાશિ
વિચારેર સ્ત્રોત:પથ ફેલે નાઇ ગ્રાસિ-
પૌરુષેરે કરેનિ શતધા, નિત્ય યેથા
તુમિં સર્વ કર્મ-ચિન્તા-આનન્દેર નેતા,
નિજ હસ્તે નિર્દય અઘાત કરિ પિત:,
ભારતેરે સેઇ સ્વર્ગે કરો જાગરિત.

ચિત્ત જ્યાં ભયશૂન્ય છે, શિર જ્યાં ઉન્નત રહે છે,
જ્ઞાન જ્યાં મુક્ત છે,જ્યાં ઘર ઘરના વાડાઓએ
રાતદિવસ પોતાના આગણામાં વસુધાના
નાના નાના ટુકડા નથી કરી મૂક્યા,
વાણી જ્યાં હ્રદયઝરણમાંથી સીધી વહે છે,
કર્મનો પ્રવાહ જ્યાં અનિવાર રીતે
દેશે દેશે અને દિશાએ દિશાએ અજસ્રપણે
સહસ્ત્રવિધ સફળતા પ્રતિ ધસે છે,
તુચ્છ આચારની મરુનિ રેતી જ્યાં
વિચારનાં ઝરણાંને ગ્રસી લેતી નથી-
પૌરુષને શતધા છિન્નભિન્ન કરી નાખતી નથી,
હંમેશા તુ જ્યાં સકલ કર્મ,વિચાર અને આનંદનો નેતા છે,
તે સ્વર્ગમાં તારે પોતાને હાથે
નિર્દય આઘાત કરીને,
હે પિતા,
ભારતને જગાડ.

– રવીન્દ્રનાથ ઠાકુર

આ પ્રાર્થના ગુરુદેવના જીવનકાળ દરમ્યાન જેટલી પ્રસ્તુત હતી તેટલી જ – કદાચ વધુ – સાંપ્રત ભારત માટે છે…. Bertrand Russel એ કહ્યું હતું – ભારતની પ્રજા અંગ્રેજોની ગુલામ નથી,એ ગુલામ છે પોતાના ભૂતકાળની.

Comments (8)

ઠેસ વાગી ને – વિનોદ જોષી

ઠેસ વાગી ને નખ્ખ નંદવાયો રે, સૈ !

પડ્યા આડા ઊંબર આડી ઓસરી,
છેક છાતીમાં તૈડ પડી સોંસરી;
જડ્યો પડછાયો સાવ ઓરમાયો રે, સૈ !

મેં તો ધબકારો લીંપીને આળખી,
મારાં ભોળાં પારેવડાંની પાલખી;
એક સોનેરી સૂર સંભળાયો રે, સૈ !

હતી સાકરની સાવ હું તો પૂતળી,
દોટ કાઢીને દરિયામાં ઊતરી;
મુંને મારો મુકામ ઓળખાયો રે, સૈ !

-વિનોદ જોષી

સાસરે પગ મૂકતી પરણેતરની હૈયાવિમાસણનું ચિત્ર કવિ આબાદ તાદૃશ કરે છે. પિયરમાં આંખ મીંચીને ઊડાઊડ કરતી છોકરી માટે ઓસરી-ઊંબરા, સાસુ-સસરા બધા જ જાણે રસ્તામાં આડા ન પડ્યા હોય એમ ચાલવું પણ દોહ્યલું બની જાય છે. એક ઠેસ વાગે અને જાણે ખાલી નખ જ નથી તૂટતો, છે…ક હૈયા સુધી તિરાડ પડી જાય છે. પોતીકો પડછાયો પણ ખોવાઈ જાય છે અને જડે તો એ પારકો લાગવા માંડે છે. એક-એક ધબકારા ચીપી-ચીપીને લીપવા પડે એવામાં પ્રિયતમનો સૂર જાણે સોનાનો સૂરજ બનીને ઊગે છે અને સંસારના ખારા સાગરમાં આખરે ડૂબી-ઓગળીને જ પોતાની મંઝિલ મળે છે એની નાયિકાને જાણ થાય છે…

Comments (8)

વાતમાં ને – સંજુ વાળા

વાતમાં ને વાતના વળાંક પર
અણધાર્યા ઊખળતા આવે કાંઈ….
એક એક સણસણતી ઘટનાના થર
વાતમાં ને વાતના વળાંક પર….

ફૂગ્ગો ફૂટે તો એમ લાગતું કે આરપાર
ફૂટ્યો પ્રચંડ કોઈ તર્ક,
ઝીલ્યો ઝિલાય નહીં સ્હેજ પણ ખોબામાં
પથ્થરને પીડાનો ફર્ક ;
છાતીમાં સંઘરેલા સૂરજને સળગાવીને
કરવાનું હોય શું સરભર ?
વાતમાં ને વાતના વળાંક પર…

મનને વાગેલ ઠેશ ધરબી દઈ ભીતરમાં
ઉપરથી રહેવાનું રાજી,
પાળી-પંપાળીને જીવ જેવી ક્ષણ બધી
રાખવાની છેક સુધી તાજી,
ઓગળી ના જાય એમ આછા અણસારાને
ઉછેરું અંદરને અંદર !
વાતમાં ને વાતના વળાંક પર….

-સંજુ વાળા

અત્યંત નાજુકાઈથી તીવ્ર વેદનાની વાત થઇ છે આ કાવ્યમાં. ખૂબ જ બારીકીથી આ કાવ્યને ગૂંથવામાં આવ્યું છે. કોમળ શબ્દો દ્વારા ચોકસાઈપૂર્વકના શરસંધાન કરાયા છે…

Comments (11)

તરસ – પ્રજારામ રાવળ

તરસ્યું હૈયા – હરણું !
દોડતું દશે દિશમાં વ્યાકુળ ઢૂંઢતું શીતલ ઝરણું !

તરસ કેરા તીરથી ઘાયલ,
પલ વળે નહીં ચેન;
રાતથી લાંબો દિન થતો, ને
દિનથી લાંબી રેન !
પાગલ પાગલ ઢૂંઢતું ફરે કોઈ સોનાનું શમણું !

ધીકતી ધરા ચાર બાજુએ
આભ ઝરે અંગારા;
શાપિત મૃગની ઘોર તૃષાના
ક્યાંય દેખાય ન આરા,
રણ રેતીનું સળગે કેવળ, છાંય ધરે નહીં તરણું !

-પ્રજારામ રાવળ

તરસ આમ તો અનુભવવાની ચીજ છે પણ કવિતાની કમાલ જ એ છે કે એ અમૂર્તને પણ મૂર્ત કરી શકે છે. આ કવિતા વાંચીએ ત્યારે તરસ આપણને ‘નજરે’ ચડે છે. પહેલા અંતરામાં તૃષા અને પ્રતીક્ષાની વેદનાની લગોલગ રામના બાણથી ઘાયલ સ્વર્ણમૃગ પણ તાદૃશ થાય છે. મૃગજળને કિનારા હોતા નથી એ વાત પણ કવિ કેવી કમાલથી રજૂ કરે છે ! બીજી વાત, આ તરસ પ્રણયની છે કે ઉર્ધ્વ ચેતના માટેની છે એ તો ભાવકે જ નક્કી કરવાનું…

Comments (6)

કાંઈ ખોયું નથી – મકરંદ દવે

કાંઈ ખોયું નથી :
તેં હજી ભાઈ, ભરપૂર ભીતર તણું
પાત્ર જોયું નથી.

વાસનાની જ બધી તારી વેદના ,
ભય બતાવે તને ભૂત સૌ ભેદનાં,
તેં જ મનની હજી કાચ-બારી તણું
દ્વાર ધોયું નથી,
કાંઈ ખોયું નથી.

પૃથ્વી તો લ્હેરથી જાય તરતી નભે,
ને અલ્યા,ભાર લાગે તને કાં ખભે ?
તેં જ તારું હજી આત્મનું અવનિમાં
બીજ બોયું નથી,
કાંઈ ખોયું નથી.

સૃષ્ટિ તો બેય હાથે લૂંટાવી જતી,
તેથી તો છાબ એની ન ખાલી થતી,
એ જ હારી જતું હૈયું જેણે બધે
હેત ટોયું નથી,
કાંઈ ખોયું નથી.

-મકરંદ દવે

અહંભાવ ઓગાળ્યા વિના – અનંતના અણુ હોવાની અનુભૂતિ વિના આત્મજ્ઞાન શક્ય નથી.

Comments (4)

સુ.દ. પર્વ :૧૪: આંખ તો મારી આથમી રહી – સુરેશ દલાલ

Suresh dalal early age photos
(સુરેશ દલાલ….                                              ….ચિરયુવાન)

*

આંખ તો મારી આથમી રહી
કાનના કૂવા ખાલી.
એક પછી એક ઇન્દ્રિય કહે :
હમણાં હું તો ચાલી.

શ્વાસના થાક્યા વણઝારાનો
નાકથી છૂટે નાતો,
ચીમળાયેલી ચામડીને હવે
સ્પર્શ નથી વરતા’તો.

સૂકા હોઠની પાસે રાખો
ગંગાજળને ઝાલી,
એક પછી એક ઇન્દ્રિય કહે :
અબઘડી હું ચાલી.

નસના ધોરી રસ્તા તૂટ્યા
લોહીનો ડૂબે લય.
સ્મરણમાં તો કાંઈ કશું નહીં :
વહી ગયેલી વય.

પંખી ઊડ્યું જાય ને પછી
કંપે જરી ડાળી.

– સુરેશ દલાલ

પંખી તો ઊડી ગયું પણ ડાળ સતત કંપતી રહેશે. સુ.દ.ના જવાથી ગુજરાતી સાહિત્યજગતમાં સર્જાયેલો ખાલીપો લાંબા સમય સુધી અનુભવાતો રહેશે. આ સાથે સાત દિવસથી ચાલી રહેલો અને ચૌદ કવિતાઓ મઢેલ "સુ.દ. પર્વ" અહીં પૂર્ણ કરીએ છીએ. કવિના પોતાના શબ્દોમાં કહીએ તો: "મૃત્યુથી મોટું પૂર્ણવિરામ અન્ય કોઈ નથી".

*

(સુ.દ.પર્વ તસ્વીર સૌજન્ય: શ્રી હિતેન આનંદપરા, શ્રી સંદિપ ભાટિયા)

Comments (5)

સુ.દ. પર્વ :૧૧: તમે-અમે – સુરેશ દલાલ

Suresh Dalal06

રાત દિવસનો રસ્તો વ્હાલમ નહીં તો ખૂટે કેમ ?
તમે પ્રેમની વાતો કરજો : અમે કરીશું પ્રેમ.

તમે રેતી કે હથેલી ઉપર લખો તમારું નામ,
અમે એટલાં ઘેલા, ઘાયલ : નહીં નામ કે ઠામ.

તમને તો કોઈ કારણ અમને નહીં બહાનાં નહીં વ્હેમ
તમે પ્રેમની વાતો કરજો : અમે કરીશું પ્રેમ.,

તમને વાદળ, ધુમ્મસ વહાલાં અમને ઊજળી રાત,
અમે તમારાં ચરણ ચૂમશું થઈને પારિજાત.

અહો આંખથી ગંગાયમુના વહે એમ ને એમ,
તમે પ્રેમની વાતો કરજો : અમે કરીશું પ્રેમ.

-સુરેશ દલાલ

સરળતાનું સૌંદર્ય એ સુ.દ.ની કવિતાઓનું મુખ્ય ઘરેણું છે. અઘરી કવિતાઓથી ભાવકને ગુંચવી મારી પોતાની પંડિતાઈ સાબિત કરવાને બદલે સુ.દ. હંમેશા સરળ બાનીથી આમ આદમીના દિલ સુધી જવાનો પ્રયત્ન કરતા. એટલે જ એમના ગીતોમાં સહજ માધુર્ય અનુભવાય છે. Genuine poetry can communicate before it is understood. (T. S. Eliot). આ વાતની સાબિતી સુ.દ.ના ગીતોમાં સતત મળતી રહે છે.

Comments (6)

સુ.દ. પર્વ :૧૦: પ્રેમ અમારે કરવો – સુરેશ દલાલ

IMG_8412

સ્વર : ઉદિત નારાયણ
સ્વરકાર : શ્યામલ – સૌમિલ મુન્શી

[audio:http://urmisaagar.com/saagar/audio/prem amaare karavo-Suresh Dalal.mp3]

પ્રેમ અમારે કરવો અને આ રીત તમારી,
બાજી રમીએ અમે અને હા, જીત તમારી.

તમે સ્મિતને રહો સાચવી અને અમે અહીં આંસું,
તમે વસંતના કોકિલ, અમે ચાતક ને ચોમાસું;
અમે બારણાં ખુલ્લાં અને આ ભીંત તમારી.

સાવ અચાનક તમને ક્યારેક ખોટું માઠું લાગે,
પત્થર જેવા અમને તો નહીં ક્યાંય કશુંયે વાગે;
તીર મારો ને તોય અમારે કહેવાનું કે ફૂલ જેવી છે પ્રીત તમારી.

– સુરેશ દલાલ

આજે ફરી માણીએ ‘હસ્તાક્ષર’ આલ્બમનું જ સુ.દ.નું બીજું એક હળવું પ્રણયગીત…

એક અંગત વાત… (પ્રજ્ઞાઆંટીએ આ મજાનું યાદ કરાવ્યું!)  2007માં સુ.દ.ની 75મી વર્ષગાંઠ નિમિત્તે યોજાયેલા ‘ઉત્સવ સ્વજનોનો’ કાર્યક્રમમાં સુ.દ. સહિત ઘણા કવિઓને પ્રથમવાર મળવાનું સદભાગ્ય પ્રાપ્ત થયેલું… અને એ કાર્યક્રમનાં બે દિવસો મારે માટે ખૂબ જ યાદગાર રહ્યા હતા.  ‘ઉત્સવ સ્વજનોનો‘ કાર્યક્રમ વિશે લખેલો લેખ અહીં વાંચી શકો છો.

Comments (4)

સુ.દ. પર્વ :૦૯: કમાલ કરે છે, કમાલ કરે છે – સુરેશ દલાલ

Suresh Dalal03

સ્વર : નીરજ પાઠક
સંગીત : શ્યામલ – સૌમિલ મુન્શી

[audio:http://urmisaagar.com/saagar/audio/kamaal kare chhe-SureshDalal.mp3]

કમાલ કરે છે, કમાલ કરે છે,
એક ડોસી ડોસાને હજી વ્હાલ કરે છે.

ડોસો જાગે ત્યારે ચશ્માં આપે અને બ્રશ ઉપર પેસ્ટને લગાડે,
લોકોનું કહેવું છે કે ડોસી તો આમ કરી ડોસાને શાને બગાડે ?
મસાલા ચા અને ગરમ ગરમ નાસ્તો, ડોસી ડોસાનો કેવો ખ્યાલ કરે છે !

નિયમ પ્રમાણે દવા આપે છે રોજ અને રાખે છે ઝીણું ઝીણું ધ્યાન,
બન્નેનો સંબંધ તો એવો રહ્યો છે જાણે તલવાર અને મ્યાન.
દરમ્યાનમાં બન્ને જણ મૂંગાં મૂંગાં એકમેકને તો એવાં ન્યાલ કરે છે.

કાનમાં આપે એ એવાં ઈન્જેકશન કે સિગરેટ શરાબ હવે છોડો,
ડોસો તો પોતાના તાનમાં જીવે કયારેક વહેલો આવે કે ક્યારેક મોડો.
બન્નેની વચ્ચે વહે આછું સંગીત પણ બહારથી ધાંધલધમાલ કરે છે.

ડોસો વાંચે અને ડોસીને મોતિયો બન્ને જણ વચ્ચે આવો છે પ્રેમ,
લડે છે, ઝગડે છે, હસે છે, રડે છે, જીવન તો જળની જેમ વહેતું જાય એમ.
દોસ્ત જેવી દીકરીની હાજરીમાં બન્ને જણ ઘરની દિવાલને ગુલાલ કરે છે.

– સુરેશ દલાલ

આજે સુ.દ. જેવા હળવા મિજાજનાં કવિની શ્રદ્ધાંજલિ પણ એક હળવા મિજાજમાં… ગઈકાલે ધવલે મૂકેલી ડોસા-ડોસીનું ગીત વાંચીને મને ખૂબ ગમતું ડોસા-ડોસીનું આ ગીત યાદ આવ્યું.  પ્રસન્ન દાંપત્યજીવનને મજાની હળવાશથી બખૂબી રીતે આલેખતું ‘હસ્તાક્ષર’ આલ્બમનું આ ગીત મને ઘણું ગમે છે.  મને લાગે છે કે આ ગીત જો એકવાર સાંભળી લે તો ડોસા-ડોસીની કક્ષા તરફ જતા વડીલોને કદાચ ડોસા-ડોસી બની જવાનો બિલકુલ વાંધો નઈં આવે… 🙂

Comments (6)

સુ.દ. પર્વ :૦૮: ડોસાએ ડોસીને જીદ કરી કહ્યું – સુરેશ દલાલ

Sureshbhai-AD-300x199

ડોસાએ ડોસીને જીદ કરી કહ્યું:
હવે હાથમાં તું મેંદી મૂકાવ,
કો’કના લગનમાં જઈએ તો લાગે
કે આપણો પણ કેવો લગાવ.

આપણને જોઈ પછી કોઈને પણ થાય
કે પરણી જઈએ તો કેવું સારું,
મંગળફેરા ફરતા જીવોને લાગે કે
જીવન હોય તો આવું સહિયારું;

ઘેરદાર ઘાઘરો ને ઘરચોળું પ્હેરીને
ઠાઠ અને ઠસ્સો જમાવ.

તારી મેંદીમાં મારું ઉપસશે નામ
અને નામમાં દેખાશે તારો ચહેરો,
હાથમાં હાથ હવે ઝાલીને મ્હાલીએ
ને ફરી લઈએ જીવતરનો ફેરો;

સોનલ કમળ અને રૂપેરી ભમરો છે
ને બિલોરી આપણું તળાવ!

– સુરેશ દલાલ

સુરેશ દલાલના ઘણા ગીત છે જે ગમી જાય એવા છે. એમાં આ ડોસા-ડોસી ગીતો તો વળી પરાણે મીઠા લાગે એટલા સરસ છે. સમયની કસોટી પર ખરા ઉતરેલા પ્રેમનું એમાં અદભૂત ચિત્રણ છે.

Comments (4)

સુ.દ. પર્વ :૦૪: ગીત-સુરેશ દલાલ

DSC_4588

સુખને આપ્યો અંધાપો ને દુ:ખમાં સીવ્યા હોઠ
કિનારાને કાંઈ કશું નહીં: દરિયે ભરતી-ઓટ.

શિખર હોય કે હોય તળેટી:
કાંઈ કશો નહીં ફેર.
અંધારામાં પ્રકાશ જોયો
પ્રકાશમાં અંધેર.
બોલ્યા વિના પણ થઈ શકે છે મનની ગુપત-ગોઠ
સુખને આપ્યો અંધાપો ને દુ:ખમાં સીવ્યા હોઠ.

રણ હોય કે વૃંદાવન
પણ આવનજાવન ચાલે.
હવા સદાયે મીરાં જેવી
નાચે ઘૂંઘરું-તાલે.
વનમાં મન આ રાસ રમે ને રણમાં વહેતી પોઠ
સુખને આપ્યો અંધાપો ને દુ:ખમાં સીવ્યા હોઠ.

-સુરેશ દલાલ

Comments (4)

સુ.દ. પર્વ :૦૩: ગીત – વિદ્યાપતિ [મૈથિલી ભાષા] – અનુ-સુરેશ દલાલ

suresh_dalal_1

સખી ! મારી ઉદાસીનો ક્યાંય નહીં અંત

વરસાદી મોસમમાં વાદળ તો ઝૂક્યાં છે
મારું ઘર નથી: લંબાતો પંથ

ગાજવીજ કરતાં કેવાં જામ્યાં છે વાદળાં
ને ચારેબાજુ વરસે વરસાદ
શ્યામ તો ડૂબ્યો છે મારો પોતાની મસ્તીમાં
અહીં પળેપળે કણસે છે યાદ

વાદળ આ વીંધે મને એના તો તીરથી
ને વીંધાતી જાઉં હું અનંત

આનંદે-આનંદે થનગનતા મોરલા
ને પીધેલા તો કરે છે લવારો
વરસાદી પંખીઓનું એવું આક્રંદ :
મારા હૈયામાં ધગતો અંગારો

વીજળીની બેચેની ઘેરે અંધકારને
ને હું તો ઝબકારે-ઝબકારે અંધ !

-વિદ્યાપતિ – અનુ.-સુરેશ દલાલ

Comments (2)

સુ.દ. પર્વ :૦૨: થાય, આવું પણ થાય – સુરેશ દલાલ

DSC043911

થાય, આવું પણ થાય
કોયલ જયારે ચુપ રહે ત્યારે કાગડાઓ પણ ગાય
કોયલને તો વસંત જોઈએ
કાગડો બારેમાસ
કોઈકના કંઠમાં ફૂલની સુવા
તો કોઈકનું ઉજ્જડ ઘાસ
અલકનંદા છોડી દઈ કોઈ રણમાં જઈને ન્હાય
થાય, આવું પણ થાય
વૈશાખના ગુલમ્હોરની પડખે
બાવળ કેવો લાગે
તોયે આપને ગુંજી લેવું
આપણા ગમતા રાગે
જમીનથી જુઓ તો પગથિયાં ઊંચે ચડતાં જાય
ઉપરથી જુઓ તો પગથિયાં નીચે ઊતરતાં જાય
થાય, આવું પણ થાય.

-સુરેશ દલાલ

કવિશ્રીને અંજલિ આપતાં ગુણવંત શાહે કહ્યું છે – તદ્દન સરળ બાનીમાં ગીત રચીને જનસામાન્ય સુધી તેઓ સાહિત્યને સફળતાપૂર્વક લઈ ગયા છે. જેમ કદ વધતું ગયું તેમ બાની વધુ ને વધુ સરળ થતી ગઈ.

Comments (9)

સુ.દ. પર્વ :૦૧: ગીત – રવીન્દ્રનાથ ઠાકુર – અનુ-સુરેશ દલાલ

images

એક પછી એક અળગા કીધા સઘળા અલંકાર
ગીત મારાને શું હવે શણગાર ? શું અહંકાર ?

ઉરની આપણ આડમાં આવે
અલંકારો કેમ એ ફાવે ?
જાય રે ડૂબી આપણી ઝીણી વાત,એને ઝંકાર,
ગીત મારાને શું હવે શણગાર ? શું અહંકાર ?

પીગળી ગઈ પલમાં મારી,
‘છું કવિ હું’ એની ખુમારી
મહાકવિ! તવ ચરણ કને બંધનનો નહીં ભાર :
ગીત મારાને શું હવે શણગાર ? શું અહંકાર ?

સરળ સીધું,વાંસળી જેવું :
જીવવું મારે જીવન એવું
મધુર મધુર સૂરથી તમે છલકાવો સંસાર :
ગીત મારાને શું હવે શણગાર ? શું અહંકાર ?

-રવીન્દ્રનાથ ઠાકુર – અનુ-સુરેશ દલાલ

Comments (6)

મન ગાવું હો તે ગા-શેખાદમ આબુવાલા

મન ગાવું હો તે ગા
જે કૈં તુજમાં હોય છતું તું તેને કરતું જા

સરવરલહરી સર… સર… કરતી
ગૂંજી રહે સંગીત
ડોલી ડોલી કમલ વહે કંઈ
વાય સમીરણ શીત
પ્રીતની ઘેરી મસ્તી થૈને અંતર અંતર છા
મન ગાવું હો તે ગા

કોમલ હૈયાં ઘાયલ થઈને
છલકાવે નિજ પ્રીત
અમરત દેવી પી ને હલાહલ
એય તો તારી રીત
પહેલા પૂર્ણ છલોછલ થા ને પછી ભલે છલકા
મન ગાવું હો તે ગા.

– શેખાદમ આબુવાલા

Comments (8)

વીર પસલી – કૃષ્ણલાલ શ્રીધરાણી

“વીર પસલી આપે જો વીર!
કેવાં કેવાં દેશે, ચીર ?
મેઘધનુની સાડી કરું,
પહેરી તારી સાથે ફરું.
બીજું શું શું દેશે, બોલ?
આપ્યા કયારે પાળે કોલ? ”

” સપ્તર્ષિના તારા સાત,
પાંચીકડાની કેવી જાત ?
હમણાં લાવું, ગમશે બે’ન?
મૂકીશ ને તું તારું વેણ?
સાથે, બહેની, રમશું રોજ!
છલકાશે હૈયાના હોજ.”

– કૃષ્ણલાલ શ્રીધરાણી

આમ તો રક્ષાબંધન બે દિવસ પહેલાં થઈ ગયું પણ કેટલાક સંબંધમાં ક્યારેય એક્સપાયરી ડેટ નથી હોતી. પંચમ શુક્લએ પ્રેમભાવે મોકલાવેલ આ રચના લયસ્તરોના તમામ ભાઈ-બહેનોને સમર્પિત કરું છું…

Comments (9)

જળબંબોળ – ભગવતીકુમાર શર્મા

મને વીંધતો ચોમાસનો મિજાજ જળબંબોળ;
મુશળધાર પડે સાટકા; રુદિયે ભીના સૉળ.

વીજ-દોરથી આભ-ધરા બંધાયા મુશ્કેટાટ;
મેઘ-ઝરૂખે જળકુંવરીએ માંડી છે ચોપાટ.

કરી સોગઠી ગાંડી, કીધો નભનો નરદમ તોડ;
મને વીંધતો ચોમાસાનો મિજાજ જળબંબોળ.

કુંવરીએ ભીના કાગળના ઠલવ્યા ટપાલથેલા;
મઘમઘ કવિતાના રુદિયેથી ફૂટતા દડદડ રેલા.

જળ-સ્થળની હોંસાતોંસીમાં પળપળ ડામાડોળ;
મને વીંધતો ચોમાસાનો મિજાજ જળબંબોળ.

– ભગવતીકુમાર શર્મા

ચોમાસું ફળે કે ન ફળે, આ ગીત  તો ચોક્કસ ફળે એવું છે. સૂરતને અત્યારે આ જળકુંવરીની ચોપાટની જ જરૂર છે. (આડવાતમાં: જળબંબોળ – ને એનો ભાઈ – જળબંબાકાર બન્ને શબ્દ વિચારી જુઓ. ગુજરાતી ભાષાની બરછટ મીઠાશ આવા મઝાના શબ્દોને આભારી છે. આ શબ્દો ક્યાંથી આવ્યા છે એ શોધતા મળ્યું નથી. તમને ખબર હોય તો જણાવજો. )

Comments (12)

જળઘાત -સંજુ વાળા

પાણીને પરસેવો અથવા જળને આવ્યાં
ઝળઝળિયાંની ખબર પડે શી રીતે ?
તાણ ઘૂમરી તરફડિયાં તલસાટ તૂટામણ
ચગડોળાતું શું શું એના ચિત્તે ?

પડે કાંકરી ધ્રુસાંગ, પડઘે ગિરિ કંદરા ગાજે
લયવલયમાં જળઝાંઝરિયાં ઝીણું ઝીણું લાજે
સમથળ માથાબૂડ ભર્યા ભરપૂર ઓરડે
જળ રઘવાયું પટકે શિર પછીતે
તાણ ઘૂમરી તરફડિયાં તલસાટ તૂટામણ
ચગડોળાતું શું શું એના ચિત્તે?

જળમાથે ઝૂકેલી ડાળી લળે; જળ છળે ફરી…
એક થવાને ઝૂઝે શાપિત યક્ષ અને જળપરી
જળઘાત લઈ જન્મેલું જળ, પળી પાવળે
વહેંચાઈ, વેચાય નજીવાં વિત્તે
તાણ ઘૂમરી તરફડિયાં તલસાટ તૂટામણ
ચગડોળાતું શું શું એના ચિત્તે?

– સંજુ વાળા

જળની કવિતા તમે હાથમાં લો અને તમારી આંખ-કાન-મન સામે જળનો ખળખળાટ ખળખળાટ ખળખળાટ કરી દે એ કવિ સાચો… આ ગીત વાંચીએ… જળનો ઘુઘવાટ નજરે પણ ચડે છે, કાને પણ સંભળાય છે અને ભીંજાતા હોવાની સાહજિક અનુભૂતિ પણ થાય છે…

તાણ ઘૂમરી તરફડિયાં તલસાટ તૂટામણ ચગડોળાતું – એક શ્વાસે વાંચી જુઓ તો…
ડાળી લળે જળ છળે જળપરી જળઘાત જળ પળી પાવળે – જળનો ‘ળ’ સંભળાયો?

ઇન્દ્રિયોને અડી શકે એ કવિતા…

Comments (12)

જિન્દગી-મકરંદ દવે

જિન્દગી તો ધુમ્મસનો પડદો નિગૂઢ,
અને જિન્દગી તો સૂરજનું બિંબ.

આંસુના દરિયાની આંખો લૂછે છે અહીં
સોનેરી હાસ નો કિનારો,
ઊંચા અવિનાશને ઘાટે ગમે છે મને
દુનિયાનો ડૂબતો ઉતારો ;
જિન્દગી તો જંગલમાં કુન્તાનું હેત
અને જિન્દગી તો હિંસક હિડિંબ.

કાદવની ઝંખના ને ઝંખનાની આગમાં
ઊગે કમલ શુચિ અંગે ,
ઘેરા તમસની વેદના તો તેજના
ઊછળે તરંગે તરંગે ;
જિન્દગી તો રગરગમાં કડવો નિતાર
ને શીળી મહેકભર્યો નિંબ

જિન્દગી તો ધુમ્મસનો પડદો નિગૂઢ
અને જિન્દગી તો સૂરજનું બિંબ.

[ નિંબ = લીમડો; લીંબડાનું ઝાડ.]

-મકરંદ દવે

કસાયેલી કલમ અને ચિંતન-સમૃદ્ધ ચિત્તમાંથી જ આવો ઝંકાર નીકળી શકે…

Comments (4)

ગીત – પુષ્પા વ્યાસ

રાંધણિયામાં મોહન મળિયા,
હળવે હળવે હરજી હળિયા !
જીવનભર જે દળણાં દળિયાં,
રાંધણિયામાં કેવાં ફળિયાં !

માળા કે ના મંતર જપિયા,
અગનિ સાખે અંતર ધરિયાં,
અંતર ધરતાં અંતર ટળિયાં,
એમ નિરંતર અંતર મળિયાં !

અંતરગુહમાં જંતર બજિયાં,
સુરતા વાધી સુધબુધ તજિયાં,
ઉભયે કોણે કોને ભજિયાં,
પાર ન એનો કોઈ સમજિયાં.

રાંધણિયામાં રસ ને રસિયા,
સકલ પદારથમાં એ વસિયા –
રાંધી રાંધી જો કુછ રખિયાં,
કઈ હાથોંસે ઉસને ચખિયાં !

– પુષ્પા વ્યાસ

(કવિતા (દ્વિમાસિક- સંપાદક શ્રી સુરેશ દલાલ)ના અંક 267ની સમીક્ષા કરવાનું મારે ભાગે આવ્યું. આખા અંકમાંથી આ કવિતા ઉપર મેં પસંદગીનો કળશ ઢોળ્યો જે અંક 268માં છપાયો. આ સમીક્ષાનો એક ભાગ આપ સહુ માટે)

કોઈ પણ કવિતા વાંચી જવા કરતાં એના વિશે બે વાત લખવાનું કાર્ય મને હંમેશા આકર્ષતું આવ્યું છે. કવિતા ગમે એટલી સુંદર કેમ ન હોય, એના વિશે લખવાની ફરજ જ્યાં સુધી ન પડે, ત્યાં સુધી તમે એને એક-બે કે બહુ બહુ તો ત્રણવાર વાંચીને, એનો આનંદ અનુભવીને, આત્મસાત્ કરીને આગળ જ નીકળી જવાના. પણ કવિતા વિશે જો થોડું લખવાનું હોય તો તમારે એ કવિતાને અલગ-અલગ બધા આયામથી અને વારંવાર જોવાની જરૂર પડે છે – કવિતાનો છંદ-લય, પ્રાસની ગુંથણી, કલ્પન વૈવિધ્ય, ભાષાકર્મ, ભાવસૃષ્ટિ, પ્રત્યાયનક્ષમતા, કેન્દ્રવર્તી વિચાર અને એ વિચારની માવજત, કવિતામાંથી નિષ્પન્ન થતો નિર્ભેળ આનંદ તથા શાતા અને સરવાળે કવિતાનું કાવ્યત્ત્વ. કવિતામાં પ્રવેશવાનો આ સૌથી અસરકારક ઉપાય છે.
“કવિતા” અંક નં. 267ની મારી ગમતી કોઈ એક કવિતા વિશે લખવાનું કામ મારા ભાગે આવ્યું ત્યારે આ વિચારે જ મને ઉત્તેજિત કર્યો. બધી કવિતાઓમાંથી અવારનવાર પસાર થયા પછી મારી પસંદગીનો કળશ પુષ્પા વ્યાસની ગીતરચના પર ઊતર્યો.

મથાળે નામ ન લખ્યું હોય તો કવિવર રાજેન્દ્ર શુક્લની રચના હોવાનો ભાસ થઈ શકે. ટૂંકી બહેરનું આ ગીત મુખડું અને બંધના પારંપારિક ચીલાથી થોડું હટીને ચાલે છે. દરેક પંક્તિ સાથે આવતો અંત્યાનુપ્રાસ, મોટાભાગની પંક્તિઓમાં અવાર-નવાર ડોકિયું કરતા આંતર્પ્રાસ તથા વર્ણાનુપ્રાસ આ ગીતને લયમાધુર્યથી છલક છલક છલકાવે છે.

આમ તો આ વાત લગ્ન કરીને સાસરે આવેલ પત્ની અને એના પતિ વચ્ચેના પ્રેમની છે. આ વાત ઈશ્વર વિશે પણ હોઈ શકે. પણ પતિ કે પરમેશ્વર કે પછી પતિ એ જ પરમેશ્વર એ તો ભાવકે નક્કી કરવાનું. રસોડું અહીં કેન્દ્રસ્થાને છે કેમકે શયનકક્ષ ભલે સંસારચક્રમાં કેન્દ્રસ્થાને કેમ બિરાજતો ન હોય, કુશળ સ્ત્રી જાણે છે કે A way to man’s heart begins from his tummy! (પુરુષના હૈયા તરફનો રસ્તો એના ઉદરથી શરૂ થાય છે). કર્મને જીવનનું કેન્દ્ર બનાવનારને કોઈ માળા કે જંતર-મંતરની જરૂર પડતી નથી. એનું કર્મ એ જ એની ખરી પૂજા. એ જ એનું સાચું તપ. અંતરના શ્લેષની રમત પણ આ ગીતમાં સરસ થઈ છે. જે ઘડીએ અંતર પૂરેપૂરું સમર્પિત થાય એ ઘડીએ અંતર પૂરેપૂરું ટળી જાય છે. સોનેટની જેમ જ આ આખા ગીતની ખરી મજા એની આખરી બે પંક્તિઓમાં છે જ્યાં પ્રેમ, સમર્પણ અને ભક્તિ એની ચરમસીમાએ પહોંચે છે…

Comments (8)

ગીત – મુકેશ જોષી

એને મૂળમાંથી ઝાડવું ઉખાડવું હતું,
મારે માળામાં બુલબુલને પાળવું હતું.

પંખી બનીને એ ઊડી જો હોત તો
જીવતરની ફેર કરત માગણી
બત્તીના થાંભલેથી બલ્બ ઊડી જાય એમ
ઊડી ગઈ ઓચિંતી લાગણી.
એને સૂરજથી જળને દઝાડવું હતું,
મારે પાણીને બર્ફમાં સુવાડવું હતું.

એક એક કિરણોને જીવ જેમ સાચવું
તોય તૂટી જાય રોજ સાંજ,
એક દિવસ સ્વરપેટી જાતે ઉઘાડી,
તો અંદર તૂટેલો અવાજ.
એને મૃગજળથી સપનું પલાળવું હતું
મારે સપનાનું ફૂલ ત્યાં ઉગાડવું હતું.

– મુકેશ જોષી

 

કલાપીની અમર પંક્તિ યાદ આવે છે …..’સાકી જે શરાબ મુજને દીધો,દિલદારને દીધો નહીં; સાકી જે નશો મુજને ચઢ્યો, દિલદાર ને ચઢ્યો નહીં……. ‘

Comments (6)

વાયરા ધીરા ધીરા કળપે – ઊજમશી પરમાર

કોકડ મોકડ વળી અમસ્તો પડ્યો ક્યારનો સોપો,
સવળે નહીં લગરીકે, મારો ડંગોરો કે તોપો.

લહલહ કરતો હાંફે, લાંબી જીભ લટકતી હેઠે,
જરીય પડખું ફેરવવાની તસ્દી ના’વે નેઠે.

હવે વાયરો ફરકે ક્યાંથી, સૂતો હેઠ દબાવી,
કિયા ગુનામાં ઝાડ નમીને ઊભાં પાંદડાં ઢાળી ?

વાટેઘાટે એદી અજગર સમો પડ્યો જળ-સ્થળમાં,
કરે જાગતું પડ એને તો ધરબી દઉં હું તળમાં.

જરી ય ફફડે ધજા તો એના ઉડાડું લીરેલીરા,
સોગ પાળતા ખૂણે વાયરા કળપે ધીરા ધીરા.

– ઊજમશી પરમાર

સન્નાટાની કવિતા… લય અને શબ્દની બાંધણી એવી ચસોચસ થઈ છે કે ભારીખમ્મ સુનકાર આપણી છાતી પર ચડી બેસતો હોય એમ લાગે. કૂકડું વાળીને સોપો એ રીતે પડ્યો છે કે લાકદીથી ફટકારો કે તોપ ફોડો, એ જરાય સવળવાનો નથી. આળસુ અજગર પેઠે જાણે જીભ લટકાવીને એ હાંફી રહ્યો ન હોય… વાયરાને એ જાણે પોતાની નીચે દબાવી બેઠો ન હોય એમ એ વાતો અટકી ગયો છે. ઝાડના પાંદડા પણ વાયરાની ગેરહાજરીમાં નીચા ઢળી પડ્યાં છે. શોકાતુર વાયરો ધીમે ધીમે ઝૂરી રહ્યો છે…

Comments (9)

ગીતો વસંતનાં – ચંદ્રેશ ઠાકોર

ઘંટ નથી શંખ નથી ગૂંજે છે સૂર આ તો ફાગના
ઘેલી હું તો સાંભળું છું હળુહળુ પગલાં વસંતનાં.

આયખાની બપ્પોરે ક્યાં મને પડી’તી
કે લીલાં પણ થઈ જશે પીળાં
અને રાચું છું આજે હું પાનખરી મેળામાં
જોઈ જોઈ ડોકિયાં વસંતનાં
આંજી એનો જાદુ મારી આંખમાં
મારે ગાવાં છે ગીતો વસંતનાં …

ઉજ્જડ બેઠી બધી ડાળીઓ ઉદાસી
ને સોરાતાં વનરાજી નીર
ફેંકે એક કંકર જોને ટીખળી વસંત
પાંખે લીલાં સ્પંદનનાં ચીર
ઘોળી ચૈતન્ય આ નખરાળા ઠાઠમાં
મારે ગાવાં છે ગીતો વસંતનાં …

નીંદરેથી જાગી ઊઠી શરણઈઓ લીલી
ને માલણના છાબ જાણે ખૂટ્યા
મહિયરને માણવા દીકરી આવી
એવાં આંગણનાં ચ્હેરા છે મલક્યા
મોજીલી હું તો લઈ લીલાં ઓવારણાં
મારે ગાવાં છે ગીતો વસંતનાં …

– ચંદ્રેશ ઠાકોર

વસંતને વધાવતું પ્રસન્ન ગીત.

Comments (3)

વચમાં જ્યાં થાય – મનોજ ખંડેરિયા

વચમાં જ્યાં થાય જરા તારો ઉલ્લેખ….
અને સળવળતી થાય પછી પીંછાની જેમ,
પછી ઈચ્છાની જેમ
મારા હાથની હથેળિયુંમાં વરસોથી સૂતેલી
તારા લગ પહોંચવાની રેખ….

ચાક્ળાના આભલામાં કાંઈ નહીં,
સામેની ખાલીખમ ખાલીખમ ભીંત
કેવડાની જેમ નથી ઓરડાઓ કોળતા ને
મૂંગું છે તોરણનું ગીત
સાવે રે સોનાના મારા દિવસો પર લાગી ગઈ
વરસો પર લાગી ગઈ
તારા અભાવની રે મેખ….

સૂકેલી ડાળી પર પાન ફૂટે એમ ફૂટું
સાંભળીને ક્યાંક તારું નામ
તારા હોવાનું ક્યાંય મોતી ન મળતું ને
ખાલી આ છીપ જેવું ગામ
મારા આ શ્વાસ હવે કાળની કંઈ સુકાતી શેરીમાં
લૂની જેમ ફૂંકતી શેરીમાં
ઘૂમે લઇ ઊગવાનો ભેખ….

– મનોજ ખંડેરિયા

એક એક પંક્તિ ખૂબ માવજતથી સર્જાઈ છે…. સંવેદનનું અત્યંત નાજુક આલેખન……

Comments (9)

અનંતે સરું – મકરંદ દવે

મારા નાનકડા ખોરડાની બારી પ્રભુ !
આજ વાસી દઉં
મારા નાનકડા દીવડાને ઠારી પ્રભુ !
આજ બ્હારે જઉં.

જયારે ખૂલે વિરાટ ગૃહ કેરી નભે
તારી જ્યોતિસભા
જ્યારે રેલે અસીમ શ્યામ રાત બધે
તારી સ્મિત પ્રભા.

મારા બારણિયાં બ્હાર ત્યારે બેસી પ્રભુ !
મૂક વંદી રહું
એક ખૂણે અનંતને પ્રવેશી પ્રભુ !
ધનભાગી થઉં.

મારી નાનકડી બારી વચાળે સદા
તને જોવા મથ્યો
મારે દીવાને ઝાંખે અજવાળે વૃથા
તને ખોવા રહ્યો.

હવે એવી તે ભૂલ કદી ના રે કરું
નાથ, વસી બારી
તારી જ્યોતિ અનંતમાં હું જાતે સરું
મારો દીવો ઠારી.

-મકરંદ દવે

ઇન્દ્રિયોરૂપી બારી અને mind – મનરૂપી દીવડો….. આ બે ને અતિક્રમીને વિશ્વચેતનામાં ભળી જવાની ભાવના અહીં નાજુકાઈથી વ્યક્ત થઈ છે…..

Comments (5)

સૈંયર, શું કરિયેં? – અનિલા જોષી

કોયલ ટહુકે સવારના
ને સાંજે કનડે યાદ
સૈંયર, શું કરિયેં?

આંખોમાં છે ફાગણિયો
ને પાંપણમાં વરસાદ
સૈંયર, શું કરિયે?

ઊંઘમાં જાગે ઊજાગરો
ને સમણાંની સોગાદ
સૈંયર, શું કરિયેં?

મૂગામંતર હોઠ મારા
ને હૈયું પાડે સાદ
સૈંયર, શું કરિયેં?

પિયર લાગે પારકું
કે સાસરિયાંનો સ્વાદ
સૈંયર, શું કરિયેં?

પગમાં હીરનો દોર વીંઝાયો
ને ઝરણાનો કદનાદ
સૈંયર, શું કરિયેં?

તનમાં તરણેતરનો મેળો
ને મનમાં છે મરજાદ
સૈંયર, શું કરિયેં?

– અનિલા જોષી

જ્યારે કોઈ ગીત વાંચીને લાગે કે આ તો લોકગીત હશે અને પછી એ ન લોકગીત ન નીકળે ત્યારે માનવું કે એ સો ટચનું ગીત છે. વાત તો એ ની એ જ છે – પ્રેમ રંગે રંગાતી જતી નાયિકા સખીને પોતાના મનની મૂંઝવણ કહે છે. પણ ગીત તરત જ મહેકી ઊઠે એવું થયું છે.

Comments (10)

પ્રેમનો મર્મ – હરીન્દ્ર દવે

તેં પૂછ્યો પ્રેમનો મર્મ
અને હું દઈ બેઠો આલિંગન,
જ્યાં પ્રથમ મેઘ વરસ્યો
સરિતાએ તોડ્યાં તટના બંધન.

કોઈ અગોચર ઇજન દીઠું નયનભૂમિને પ્રાંગણ,
હું સઘળી મોસમમાં માણું એક અહર્નિશ ફાગણ;
શતદલ ખીલ્યા કામ્ય કમલ પર
સૌમ્ય ગીતનું ગુંજન.

નીલ વર્ણનું અંબર એમાં સોનલ વરણી ટીપકી,
વીંધી શ્યામલ ઘટા પલકને અંતર વીજળી ઝબકી.
નયન ઉપર બે હોઠ આંકતા
અજબ નેહનું અંજન.

-હરીન્દ્ર દવે

Comments (6)

દુ:ખની ધરતીના અમે છોડવા – ભનુભાઈ વ્યાસ ‘સ્વપ્નસ્થ’

દુ:ખની ધરતીના અમે છોડવા,
સુખ કાજ તાકીએ અંકાશ;
પવન લહરે લાગીએ ડોલવા;
સુખના કેવા આભાસ ?     દુ:ખની 0

લીલાં લીલાં અમારાં પાંદડાં,
જોઈને મરકીએ મન માંહ્ય,
ઝૂમીએ ધરીને માથે ફૂલડાં,
સપનાં કે સુરભિ સદાય !   દુ:ખની 0

ધરતી છોડીને કોણ કદી ક્યાં ગયાં
ઉપર ઊંચે આકાશ ?
સુખ તે સદાનાં કોને સાંપડ્યા ?
આ તે કેવા વિશ્વાસ ?         દુ:ખની 0

નિતની વિપત કરી વેગળી
માનવી શી વિધ સરજ્યે જાય ?
જાગે જગાડે નવી જિન્દગી
સુખની ભારે નવાઈ !        દુ:ખની 0

– ભનુભાઈ વ્યાસ ‘સ્વપ્નસ્થ’

દુ:ખની ધરતીના અમે છોડવા એટલે કે આપણે, મનુષ્યો.  મનુષ્યનાં ઘડતર અને વિકાસમાં દુ:ખનું યોગદાન મહત્તમ હોય છે.  દુ:ખની ઘટમાળમાંથી પણ મનુષ્ય  સુખ મેળવવાનાં રસ્તા આખરે શોધી જ લે છે.  મનુષ્યની લીલપરૂપી તાજગી, ફુલડારૂપી આનંદ અને સુંગધિત સપનાંઓનો મૂલાધાર છે, દુ:ખની ધરતી.   દુ:ખ મનુષ્યને સુખની આશા અને એના આવવાની શ્રદ્ધા આપે છે.  સુખનો સાચો આધાર દુ:ખ જ છે…

Comments (2)

સખી – મુકેશ જોષી

હે સખી ! તારા વિનાની જિંદગી હું શું કરું ?
ધૂળમાં હું શું ઉમેરીને ફરી કંકુ કરું.

આસમાની ઓસરીમાં વાદળો રહેતાં નથી,
માછલી વિષે પૂછ્યું તો જળ કશું કહેતાં નથી.
સૂર્યની સાથે સંબંધોમાં બહુ ઝાંખપ પડી,
ને, હવા ભૂલી ગઈ ખુશબૂ તણી બારાખડી.
સૂર્યની સામે જ ઝાકળ શી રીતે ભેગું કરું ?

જોઈ લે ઓઢું ઉદાસીનો દુપટ્ટો આજ પણ,
આંખના ઘરથી અલગ રહેવા ગઈ છે સાંજ પણ.
સાચવેલા તારલા ટપટપ ખરે છે એટલા,
હું અને આકાશ બંને સાવ મૂંગાં એકલાં,
એક ખોબા આભને હું કઈ તરફ વ્હેતું કરું .

– મુકેશ જોષી

Comments (11)

કોનો વાંક ? – મકરંદ દવે

કોનો ગણવો વાંક ?
પોતપોતાનો મારગ જ્યારે
લેતો આજ વળાંક.

આજ આ છેડે નીરખી રહીશ
મૂરતિ તવ મધુર,
કોઈ ઝીણેરા તારલા જેવી
સરતી દૂર-સુદૂર;
શૂન્યમાં સૌ સરતાં ભલે
ભણતો જઈશ આંક-
કોનો ગણવો વાંક ?

વળતી નજર વીણતી જશે
કોઈ વિલાયાં ફૂલ,
ખીલતાંને હું ખોજવા કેરી
કરીશ નહીં ભૂલ;
પૂરતી મારે પાંખડી સૂકી
રહી સહી જે રાંક-
કોનો ગણવો વાંક ?

અચ્છા, તારે મારગ હસો
નિત વસંતની લીલા,
પગ ચીરીને ચાહશે મને
પેલા ખડક ખીલા;
મુખ બનીને મ્હોરશે ત્યારે
કાળજે એવું કાંક !-
કોનો ગણવો વાંક ?

– મકરંદ દવે

……અંતે તો એકલા જ ચાલવાનું છે……..

Comments (5)

આપણી જ વાત – જગદીશ જોષી

વાતને ઝરૂખે એક ઝૂરે છે લાગણી
…..આપણી !

એક એક પળ હવે પીગળીને પ્હાડ થાય
આપણી જ વાત હવે આપણી જ વાડ થાય
વાયરાને સંગ તોયે રાતરાણી એકલી
એકલી ઝૂરે છે અભાગણી.

હોઠો આ શબ્દોના પડછાયા પાથરે
સમણાંએ લંબાવ્યું આંખોને સાથરે
આગિયાની પાંખ પરે બેઠો સૂરજ : એની
રગરગમાં મારગની માગણી.

– જગદીશ જોષી

કોઈ શબ્દો જડતા જ નથી આ કાવ્યની ટિપ્પણ લખવા માટે……..

Comments (1)

પથ્થર થરથર ધ્રૂજે – નિરંજન ભગત

પથ્થર થરથર ધ્રૂજે !
હાથ હરખથી જુઠ્ઠા ને જડ, પથ્થરની ત્યાં કોણ વેદના બૂઝે ?

અનાચાર આચરનારી કો અબળા પર, ભાગોળે,
એક ગામના ડાહ્યાજન સૌ ન્યાય નિરાંતે તોળે;
‘આ કુલટાને પથ્થર મારી, મારી નાખો !’ એમ કિલોલે કૂજે !

એક આદમી સાવ ઓલિયો વહી રહ્યો’તો વાટે,
સુણી ચુકાદો ચમક્યો, થંભ્યો, ઉરના કોઈ ઉચાટે;
હાથ અને પથ્થર બંનેને જોઈ એનું દિલ દયાથી દૂઝે !

આ દુનિયાના શાણાઓ ના દુનિયાદારી જાણે,
ટોળા પર ત્યાં એમ હસીને બોલ્યો ટેવ પ્રમાણે :
‘ જેણે પાપ કર્યું ના એકે
તે પથ્થર પહેલો ફેંકે !’
એકે એકે અલોપ પેલા સજ્જન, જ્યારે શું કરવું ના સૂઝે !
અબળા રહી ને રહ્યો ઓલિયો, એનું કવિજન ગીત હજીયે ગુંજે !

– નિરંજન ભગત

સાવ જાણીતી કથાને કવિએ આપેલું સુંદર કાવ્ય-સ્વરૂપ… આ ગીત વાંચીને મને તો રાજેશ ખન્નાની ‘રોટી’ ફિલ્મનું આ ગીત યાદ આવ્યું… 🙂

Comments (13)

એક ઘટનાને કાજે – મકરંદ દવે

એક એવી ઘટનાને કાજે
જિન્દગી આખી ઝૂરતા રહેવાનું
મૌનનો રાખી મલાજો.

જુગજુગનો એક એવો વાયદો
જેને લાગુ પડે ન કોઈ કાયદો
દુનિયાની નજરે તો કાંઈ નહીં ફાયદો,
એમ છતાં દુનિયાને એક એ જ ચાહે
ને દુનિયાને હેતથી નવાજે.

આંખે ઉજાગરા ને ઊંઘવું પોસાય નહીં
સૂકી આ જિન્દગીમાં કરુણા શોષાય નહીં
એના વિશે વળી કાંઈ કહેવાય નહીં,
ક્યારે આવીને ઊભા રહેશે
ને દેશે ટકોરો દરવાજે.

સૂરજ ઊગે ને વળી સૂરજ તો આથમે
એક એવી ધગધગતી ધૂણી કે ના શમે
એક લાગી લગની,બીજે તે ક્યાં ગમે ?

જિન્દગીને રોજ રોજ સુંદર સજાવવાની,
અત્યારે, આજે ને આજે.

-મકરંદ દવે

કવિશ્રીને કોઈએ પૂછતાં તેઓએ જણાવેલું કે આ કાવ્ય તેઓએ આમ તો શબરીના અનુસંધાનમાં લખ્યું છે, પરંતુ તેઓની પોતાની આંતરસ્થિતિ પણ કંઈક આવી જ રહે છે……

 

Comments (5)

ક્યાં ક્યાં છે વનમાળી – વિનોદ ગાંધી

ક્યાંક વાંસળી, ક્યાંક મયૂરપિચ્છ, ક્યાંક કામળી કાળી
ક્યાંક મથુરા, ક્યાંક દ્વારિકા, ક્યાં ક્યાં છે વનમાળી !

કો’ક ગોપીની મટુકીમાંથી
મહીડાં માફક છલકે
વનરાવનની વિકટ વાટમાં
પવન બનીને મલકે
ક્યાંક ધૂળ તો ક્યાંક મૂળ તો ક્યાંક કદંબની ડાળી

કાલિન્દીના જળ માંહીથી
દડો બનીને નીકળે
ક્યાંક કંસની છાતીમાંથી
રુધિર બનીને નીંગળે
ક્યાંક બહાવરી પૂનમ રાતની ગોપિકાની તાળી

-વિનોદ ગાંધી

અનવરત લયથી મઢેલું એક મજાનું ગોપીગીત…

Comments (5)