સેવી શકે, તો સંતની કોટિને પામશે;
જે શબ્દ વેડફે છે તું વાણી-વિલાસમાં !
અમિત વ્યાસ
લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.
Archive for ગઝલ
ગઝલ શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.
January 12, 2007 at 6:31 PM by ધવલ · Filed under ગઝલ, મણિલાલ હ. પટેલ
કાગળો અક્ષર વગર તે આપણે,
શબ્દ-વિણ ખાલી નગર તે આપણે.
લાગણીની ઓટ છે, ભરતી નથી,
સાવ ખારા દવ અગર તે આપણે.
આજ પાછી યાદ આવી છે તરસ,
વિસ્મરણથી તરબતર તે આપણે.
આજના છાપા સમા તાજા છતાં
જિંદગીથી બેખબર તે આપણે.
ટેરવાંમાં સ્પર્શ નામે શ્હેર છે
આમ જોકે ઘર વગર તે આપણે.
– મણિલાલ હ. પટેલ
અહીં ‘આપણે’માં કવિએ વાચકને પણ સમાવી લીધો છે. જીવનના ખાલીપણાને વર્ણવતી આ ગઝલમાં મારો સૌથી ગમતો શેર – આજના છાપા સમા તાજા છતાં, જિંદગીથી બેખબર તે આપણે. ને છેલ્લો શેર પણ ઘણો સરસ થયો છે.
Permalink
January 7, 2007 at 9:20 AM by વિવેક · Filed under ગઝલ, રઈશ મનીયાર
મને ભાવની હો તલાશ તો પછી ભવ્યતાનું હું શું કરું ?
ઊભું સત્ય આવીને બારણે હવે માન્યતાનું હું શું કરું ?
હું અલગ રહું, તું અલગ રહે, એ વિશાળતાનું હું શું કરું ?
જવું એકમેકમાં ઓગળી હવે ભિન્નતાનું હું શું કરું ?
જે જહાજ પાર ઉતારશે એ વજન વધુ ન ખમી શકે
કરી એકઠી જે મેં ઉમ્રભર હવે એ મતાનુ હું શું કરું ?
છે કમાન તારા મહાલયે કે નમ્યા વિના ન પ્રવેશ હો
હું બહાર ઊભો વિચારતો હવે ઉચ્ચતાનું હું શું કરું ?
હશે હાથ ખાલી તો લાભ છે કે શરણ મળે તો ગ્રહી શકું
ભરી હાથ જે કરી દે અપંગ એ સહાયતાનું હું શું કરું ?
મારું શ્રેય શું, મારું ધ્યેય શું ? છું હું બેખબર છે તને ખબર
તું સજાગ છે, તું સચેત છે તો સભાનતાનું હું શું કરું ?
તું કૃપા કરે છે જો મારા પર તો ઉપેક્ષા અન્યની થાય છે
કે સમાનતાનો જ્યાં ભંગ હો , એ ઉદારતાનું હું શું કરું ?
-રઈશ મનીઆર.
રઈશભાઈ અને એમની ગઝલો પ્રત્યે મને સદા એક પક્ષપાત રહ્યો છે. એટલે નહીં કે ગઝલના ગામની ગલીકૂંચીઓમાં એમણે આપેલી આંગળી પકડીને જ હું પ્રવેશ્યો ને ફર્યો છું, પણ એટલે કે એ મને હંમેશા ગુજરાતી ગઝલની ઉજળી આજ અને દેદિપ્યમાન આવતીકાલ સમી લાગી છે. ‘હું શું કરું?’નો પ્રશ્ન લઈને આપણી અંદર કશુંક ઝંઝોળતી આ ગઝલ મારી પ્રિય ગઝલોમાંની એક છે.
Permalink
January 6, 2007 at 9:12 AM by વિવેક · Filed under ગઝલ, જિતુ પુરોહિત
કહી દે એ વાતો દટાઇ જે મનમાં,
થઇ જા પછી સાવ હળવો વજનમાં.
તમારાથી જુદો નથી હું ઓ સંતો !
લખ્યું મેં ગઝલમાં , તમે જે ભજનમાં.
ભરી લે જે ગમતું હો આંખોમાં આજે ;
નથી એકે હોવાનું ગજવું કફનમાં.
અહીં જાત સાથે થયો શ્વાસ મઘમઘ ;
મહેક એવી કેવી ભળી આ પવનમાં.
રહસ્યો બધાં એનાં પામી જવાને;
ફર્યો ખૂબ રણમાં ને ભટક્યો હું વનમાં.
ફકીરી અમીરીથી ચડિયાતી લાગી;
કર્યો જો મેં ભરોસો એનાં વચનમાં.
ઉગાડયા છે બે-પાંચ સ્વપ્નોના રોપા;
છે અસબાબ સરખો બધાના ચમનમાં.
-જિતુ પુરોહિત.
મનની વાત મનમાં ન રાખતા કહી દેતા મળતી હળવાશની વાત કેટલી હળવાશથી કહી દીધી છે. એ જ નજાકતથી મર્યા પછી કશું સાથે લઈ જઈ શકાવાનું નથી એ પણ કવિ આબાદ રીતે કહી શક્યા છે.
Permalink
January 4, 2007 at 1:00 AM by સુરેશ · Filed under ગઝલ, મનોજ મુની
આજે ફરીથી સાંજ પડે, દિલ ઉદાસ છે.
છે સાથ તારો આજે, છતાં મન ઉદાસ છે.
– આજે ફરીથી…
ઢળતા સૂરજની લાલી ભરી ચકચૂર છે ગગન,
આછો ઉભરતો ચાંદ ક્ષિતિજે ઉદાસ છે.
– આજે ફરીથી…
હાથોમાં લઇને હાથ, બસ જોતો રહ્યો તને,
આશ્લેષમાં શ્વાસો તણા સ્પંદન ઉદાસ છે.
– આજે ફરીથી…
આ શું જુદા પડી અને મળશું ફરી કદી ?
મિલનમાં હસતી આંખમાં કીકી ઉદાસ છે.
– આજે ફરીથી…
પૂજ્યા’તા દેવ કેટલા તેં પામવા મને ?
દઇ ના શક્યો વરદાન, પ્રભુ પણ ઉદાસ છે.
– આજે ફરીથી…
– મનોજ મુની
મને બહુ જ પ્રિય આ ગઝલ/ ગીત …
જીવનભર સાથે રહેવાના કોલ આપ્યા હોય, પણ છેલ્લી મુલાકાતમાં કદી ફરી મળવાની આશા ન હોય તેવી કરૂણ ક્ષણનો આ ચિતાર, જ્યારે સોલી કાપડીયાના ધીર ગંભીર સ્વરમાં અને સંતૂરના અત્યંત કર્ણપ્રિય, છતાં શોક ભર્યા સંગીતમા સાંભળીયે ત્યારે જુદાઇની છાયા આપણા ચિત્તને પણ ઉદાસીમાં ગરકાવ કરી દે છે.
ઢળતો સૂરજ ( નિષ્ફળ પ્રેમ), ચકચૂર ગગન (સમાજ), આછો ચાંદ (પ્રેમનો ઉદાસ દેવ) હસતી આંખમાં ઉદાસ કીકી(તમાચો મારીને ગાલ લાલ રખવા જેવી મનોવ્યથા) આ બધાં રૂપક એક કરૂણ સંવાદિતા ખડી કરી દે છે.
Permalink
January 3, 2007 at 1:00 AM by સુરેશ · Filed under ગઝલ, સુધીર દવે
જે છે તે છે, ને જે નથી તે નથી.
નથીને છે કરવાનો વ્યર્થ કોઇ અર્થ નથી.
***
છે બધું, તત્ક્ષણ નથી,
કોઇને રક્ષણ નથી.
ઝાંઝવાને જઇ કહો,
તું નથી, હું પણ નથી.
સોનું ક્યાં સુંદર બને?
સાથ જો ઝારણ નથી.
વાત જે અધ્ધર કરે,
એ ખરો ચારણ નથી.
લોક તો કૈં પણ કહે,
વાતમાં કારણ નથી.
સત્યનું તો છે વજન,
એનું કૈં ભારણ નથી.
ભલ ભલો મનુષ્ય પણ,
કોઇનું તારણ નથી.
– સુધીર દવે
ચાલીસ વર્ષથી ડલાસમાં સ્થાયી થયેલા શ્રી. સુધીર દવેના બે કાવ્ય સંગ્રહો પ્રકાશિત થયા છે – ‘પ્રયાસ’ અને ‘અનુભવ’. સુધીરભાઇ કવિ ઉપરાંત સારા ગાયક અને સંગીતજ્ઞ પણ છે.
Permalink
December 31, 2006 at 1:00 AM by સુરેશ · Filed under ગઝલ, શયદા
તમારા પગ મહીં જ્યારે પડ્યો છું ;
હું સમજ્યો એમ – આકાશે ચડ્યો છું.
જતાં ને આવતાં મારે જ રસ્તે,
બની પથ્થર, હું પોતાને નડ્યો છું.
ઊછળતું દૂર ઘોડાપૂર જોયું,
અને પાસે જતાં ભોંઠો પડ્યો છું.
તમો શોધો તમોને એ જ રીતે,
હું ખોવાયા બાદ મુજને જડ્યો છું.
ખુશી ને શોક, આશા ને નિરાશા,
નિરંતર એ બધાં સાથે લડ્યો છું.
પરાજય પામનારા, પૂછવું છે –
વિજય મળવા છતાં હું કાં રડ્યો છું?
પ્રભુ જાણે કે મારું ઘર હશે ક્યાં?
અનાદિ કાળથી ભૂલો પડ્યો છું!
મને ‘શયદા’ મળી રહેશે વિસામો,
પ્રભુનું નામ લઇ પંથે પડ્યો છું.
***
હૃદય-મંથન કરી મેં વાત કાઢી છે મનન માટે;
મળી છે દૃષ્ટિ જોવા કાજ, ને આંખો રૂદન માટે.
ધરા પર અશ્રુ વરસાવી કરે છે નાશ કાં એનો?
અનોખા તારલા છે એ, તું રહેવા દે ગગન માટે.
યુગે યુગેથી સકળ આ વિશ્વ એનું એ જ નીરખું છું,
હવે કોઇ નવી દૃષ્ટિ મને આપો નયન માટે.
સુધારા કે કુધારા ધોઇ નાખ્યા અશ્રુધારાએ,
ઊભો થા જીવ, આગળ સાફ રસ્તો છે જીવન માટે.
હૃદય મારા બળેલા, એટલું પણ ના થયું તુજથી?
બળીને પથ્થરો જો થાય છે સુરમો નયન માટે.
તમે જે ચાહ્ય તે લઇ જાવ, મારી ના નથી કાંઇ,
તમારી યાદ રહેવા દો ફકત મારા જીવન માટે.
દયા મેં દેવની માગી , તો ઉત્તર એ મળ્યો ત્યાંથી –
ધરાવાળા ધરા માટે, ગગનવાળા ગગન માટે.
મને પૂછો, મને પૂછો – ફૂલો કાં થઇ ગયા કાંટા?
બગીચામાં તમે આવી ઊભાં છો, ગુલબદન, માટે.
વિચારી વાંચનારા વાંચશે, ને સાફ કહેશે કે,
ગઝલ ‘શયદા’ ની સાદી સાવ છે, પણ છે મનન માટે.
– શયદા ( હરજી લવજી દામાણી )
જે જમાનામાં અરબી કે ફારસી શબ્દોથી અને ચીલાચાલુ વિષયોથી ગુજરાતી ગઝલો પ્રચૂર રહેતી તે જમાનામાં શયદા નવો પ્રવાહ લઇ ને આવ્યા હતા. ( કલાપી અને મણિલાલ નભુભાઇની ગઝલો સાથે આ બે રચનાઓને સરખાવીએ તો આપણને આ વાતની પ્રતીતિ થશે. ) ગુજરાતી ગઝલના આ મહાન પ્રણેતાને ‘ગઝલ સમ્રાટ’ યોગ્ય રીતે જ ગણવામાં આવે છે.
Permalink
December 27, 2006 at 1:00 AM by સુરેશ · Filed under ગઝલ, ભગવતીકુમાર શર્મા
હા, બને ઘટનાઓ, પણ દૃષ્યો વગર;
ફૂલ મારાં ઊઘડે સૂર્યો વગર,
હું અવાજોની સપાટી પર તરું;
મારું પુસ્તક હોય છે પૃષ્ઠો વગર.
શ્વાસમાં છે ટેરવાંનું દળકટક;
પુષ્પને પામી શકું રંગો વગર.
સપ્તરંગી મારાં આકાશો નથી:
ઊડતાં શીખ્યો છું હું પાંખો વગર.
એક નહિં, પણ સૂર્ય ડૂબ્યા બે ભલે:
રથ તો ચાલે છે અહીં અશ્વો વગર.
ક્યાં છે? શું છે? કોણ છે? કેવુંક છે?
જીવવાની ટેવ છે પ્રશ્નો વગર.
રંગ, રેખા, રૂપ, આકારોથી દૂર;
તોય હું જીવ્યા કરું સૂર્યો વગર.
આંખ પર છે કાળા સૂરજનો કડપ;
કિન્તુ ક્ષણ પણ ક્યાં વીતે સ્વપ્નો વગર?
– ભગવતી કુમાર શર્મા
Permalink
December 25, 2006 at 12:31 PM by ધવલ · Filed under ગઝલ, રતિલાલ 'અનિલ'
શહેરોમાં રહે છે, જંગલોમાં જાય છે રસ્તો;
કહીં સંસાર માંડે છે, ક્યાંક સાધુ થાય છે રસ્તો !
અહીંથી સાવ સીધો ને સીધો આ જાય છે રસ્તો,
તમારા ધામ પાસે કેટલો વંકાય છે રસ્તો !
હું ઈશ્વરની કને તો ક્યારનો પહોંચી ગયો હોત,
અરે, આ મારાં ચરણોમાં બહુ અટવાય છે રસ્તો !
નથી જોતા મુસાફર એક બીજાને નથી જોતા,
નજરની શું થયું છે કે ફક્ત દેખાય છે રસ્તો !
મનુષ્યો ચાલે છે ત્યારે થાય છે કેડી કે પગદંડી,
કે પયગમ્બર જો જાય તો થઈ જાય છે રસ્તો.
નથી એક માનવી પાસે બીજો માનવી હજી પહોંચ્યો,
‘અનિલ’, મેં સાંભળ્યું છે, ક્યારનો બંધાય છે રસ્તો !
– રતિલાલ અનિલ
શુક્રવારે રતિલાલ ‘અનિલ’ની વાત નીકળી એટલે એમની આ સરસ ગઝલ યાદ આવી ગઈ. રસ્તાના પ્રતિકથી આ ગઝલમાં એમણે બહુ ઊંડી વાત કરી છે. છેલ્લો શેર તો યાદગાર શેરમાંથી એક છે. ખરી જ વાત છે, આપણે બધાને એ જ રસ્તાને તલાશ છે !
Permalink
December 23, 2006 at 4:33 AM by વિવેક · Filed under ગઝલ, રિષભ મહેતા
આ કંઈ રહેવા જેવું સ્થળ છે ? ચાલ, અહીંથી ભાગી છૂટીએ
માણસો છે કે મૃગજળ છે ? ચાલ, અહીંથી ભાગી છૂટીએ.
ઉપર ઉપરથી આઝાદી, વાસ્તવમાં તો કેદ છે સાદી
સંબંધો નામે સાંકળ છે ! ચાલ, અહીંથી ભાગી છૂટીએ.
એમ છલોછલ લાગ્યા કરતી, ક્યાં આવે છે એમાં ભરતી ?
કેવળ કાગળ પર ખળખળ છે ! ચાલ, અહીંથી ભાગી છૂટીએ.
ચારે બાજુ બસ અંધારું, હો તારું કે જીવન મારું
આ તો સપનાંની ઝળહળ છે ! ચાલ, અહીંથી ભાગી છૂટીએ.
હોય ભલે વરસાદી મોસમ; તું સુક્કી હું કોરો હરદમ
છત કે છત્રી બંને છળ છે ! ચાલ, અહીંથી ભાગી છૂટીએ.
હું ન લાગું માણસ જેવો; તું ન લાગે પારસ જેવો
ઓળખ બંનેની નિષ્ફળ છે ! ચાલ, અહીંથી ભાગી છૂટીએ.
હુંય એકલો તુંય એકલો; કરીએ ઈશ્વર એક ફેંસલો
કોઈ ક્યાં આગળ પાછળ છે ? ચાલ, અહીંથી ભાગી છૂટીએ.
મેં જોયા શબ્દોને ડરતા; અંદર અંદર વાતો કરતા;
‘જીર્ણ થયેલો આ કાગળ છે, ચાલ, અહીંથી ભાગી છૂટીએ !’
અહીંથી ક્યાં ભાગીને જઈશું ? જ્યાં જઈશું ભાગેડુ થઈશું
મુક્તિની આશા પોકળ છે, (પણ) ચાલ, અહીંથી ભાગી છૂટીએ.
-રિષભ મહેતા
આ સરસ મજાની ગઝલની બીજી એક ખૂબીએની આંતરિક પ્રાસરચના છે. દરેક શેરની પહેલી પંક્તિના બન્ને ટુકડામાં અંત્યાનુપ્રાસ જળવાયો હોવાથી ગઝલમાં એક અનોખો લય ઉપસી આવે છે. રિષભ મહેતા કોલેજમાં આચાર્ય છે. જન્મ: વેડછા ગામ (નવસારી), 16-12-1949. કાવ્યસંગ્રહો: ‘આશકા’, ‘સંભવામિ ગઝલે ગઝલે’, ‘તિરાડ’.
Permalink
December 19, 2006 at 6:50 PM by ધવલ · Filed under અમૃત ઘાયલ, ગઝલ
મન મરણ પહેલા મરી જાય તો કહેવાય નહીં
વેદના કામ કરી જાય તો કહેવાય નહીં
આંખથી અશ્રુ ખરી જાય તો કહેવાય નહીં
ધૈર્ય પર પાણી ફરી જાય તો કહેવાય નહીં
એની આંખોને ફરી આજ સુઝી છે મસ્તી
દીલ ફરી મુજથી ફરી જાય તો કહેવાય નહીં
આંખનો દોષ ગણે છે બધા દીલને બદલે
ચોર નિર્દોષ ઠરી જાય તો કહેવાય નહીં
શોક્નો માર્યો તો મરશે ન તમારો “ઘાયલ”
ખુશીનો માર્યો મરી જાય તો કહેવાય નહીં
– અમૃત ઘાયલ
આ ગઝલ મોકલવા માટે આભાર વિરલ બુટાણી.
Permalink
December 18, 2006 at 9:12 PM by ધવલ · Filed under ગઝલ, શ્યામ સાધુ
પાંચ-સાત તારીખની વચ્ચે અટવાયો છે,
રહેવા દે ફૂલોની વાત, રઘવાયો છે !
જીવવા જેવી વાત ભીંતમાં ચણી છતાં પણ,
કમળપત્રની જેમ ક્યારનો કચવાયો છે !
અખબારોના ટોળાંઓમાં અક્ષર થઈને,
રોજ સવારે નાટક જેવું ભજવાયો છે !
માણસભીની મહેક નથી પણ અફવાઓ છે,
માણસ, માણસ વચ્ચે માણસ ખોવાયો છે !
– શ્યામ સાધુ
Permalink
December 11, 2006 at 1:00 AM by સુરેશ · Filed under ગઝલ, રૂસવા
આજે પાજોદ દરબાર શ્રી ઇમામુદ્દીન મુર્તુઝાખાન બાબી – ‘રૂસ્વા’ મઝલૂમી – નો જન્મદિન છે. 91 વર્ષના આ શાયર ગુજરાતી સાહિત્યનું એક ઘરેણું છે. જેને માણસ કહી શકાય તેવા આ માણસે પોતે તો બહુ જ ઉચ્ચ કક્ષાની ગઝલો સરજી છે, પણ તેથી પણ વધારે સારું કામ તેમણે આપણા સાહિત્યના અણમોલ રત્ન જેવા બે ગઝલકારો અમૃત ‘ઘાયલ’ અને ‘શૂન્ય’ પાલનપુરીના ઘડતરનું કર્યું છે. તેમના જ બાગમાં આ બે છોડ પાંગર્યા હતાં. આ ઉપરાંત તેમણે લખેલી સ્વાનુભવ આધારિત વાર્તાઓ પણ અણમોલ રત્ન જેવી છે.
નવાબી ઠાઠમાં ઉછરેલા અને નવાબી શોખવાળા આ ‘માણસ’ને નવાબી જતાં જીવનના સંઘર્ષોનો ઘણો સામનો કરવો પડ્યો. છતાં 91 વર્ષની ઉમ્મરે પણ જળવાઇ રહેલી તેમની મગરૂરી અને જિંદાદિલી આ ગઝલોમાં બહુ સરસ રીતે ઉપસી છે.
આજના શુભ દિને આપણે તેમને શુભ કામનાઓ અર્પીએ અને કમ સે કમ આપણી ભાષાના આ પ્રેમને ટકાવી રાખી તેમને એહસાસ આપીએ કે, તેમણે ગુજરાતી સાહિત્યની કરેલી સેવા આપણે હંમેશાં યાદ રાખીશું.
તેમના જીવન વિશે વધુ જાણવા અહીં ‘ક્લીક’ કરો.
તેમની રચનાઓ – તેમના જ શબ્દોમાં – તેમના જીવન વિશે કેટલું બધું કહી જાય છે?
જીવન સિધ્ધિનો કેવળ સાર સાધનમાં નથી હોતો,
ફકીરી કે અમીરી ફેર વર્તનમાં નથી હોતો;
સદા રહેશે અમારો આ નવાબી ઠાઠ ઓ ‘રૂસ્વા’ ,
ખરો વૈભવ તો મનમાં હોય છે, ધનમાં નથી હોતો.
*** વધુ આગળ વાંચો…
Permalink
December 5, 2006 at 12:40 AM by વિવેક · Filed under ગઝલ, ગની દહીંવાળા, શબ્દોત્સવ
સાવ અમસ્તું નાહક નાહક નિષ્ફળ નિષ્ફળ રમીએ,
ચાલ મજાની આંબાવાડી! આવળબાવળ રમીએ.
બાળસહજ હોડી જેવું કંઈ કાગળ કાગળ રમીએ,
પાછળ વહેતું આવે જીવન, આગળ આગળ રમીએ.
માંદા મનને દઈએ મોટું માદળિયું પહેરાવી,
બાધાને પણ બાધ ન આવે, શ્રીફળ શ્રીફળ રમીએ.
તરસ ભલેને જાય તણાતી શ્રાવણની હેલીમાં,
છળના રણમાં છાનાંમાનાં મૃગજળ મૃગજળ રમીએ.
હોય હકીકત હતભાગી તો સંઘરીએ સ્વપ્નાંઓ,
પ્રારબ્ધી પથ્થરની સાથે પોકળ પોકળ રમીએ.
ફરફર ઊડતું રાખી પવને પાન સરીખું પહેરણ,
મર્મર સરખા પારાવારે ખળખળ ખળખળ રમીએ.
હું ય ‘ગની’, નીકળ્યો છું લઈને આખોમાખો સૂરજ,
અડધીપડધી રાત મળે તો ઝાકળ ઝાકળ રમીએ.
-‘ગની’ દહીંવાળા
અબ્દુલગની અબ્દુલકરીમ દહીંવાળા (જન્મ:17-08-1908, મૃત્યુ: 05-03-1987) ગુજરાતીના પ્રથમ પંક્તિના ગઝલકાર અને ગીતકાર છે એમ કહીએ તો કદાચ એમનું નહીં, આપણી ભાષાનું જ બહુમાન કરીએ છીએ. સુરતના વતની અને ધંધે દરજી. રીતસરનું શિક્ષણ માત્ર ત્રણ ચોપડીનું પણ કવિતાની ભાષામાં જાણે કે ડૉક્ટરેટ. આપસૂઝથી જ ગુજરાતી અને ઉર્દૂ ભાષા પર એવી હથોટી મેળવી કે એમની કવિતાઓ ભાષાની છટા, લઢણ, ધ્વન્યાત્મક્તા, લાલિત્ય અને ભારતીય સંસ્કૃતિના આદર્શોથી મઘમઘી ઊઠે છે. ગઝલ એમનો સહજોદ્ ગાર છે અને એટલે જ બાલાશંકર- કલાપી પછી ગઝલને ગુજરાતીપણું અપાવવામાં એમણે નોંધપાત્ર ફાળો આપ્યો.
કાવ્યસંગ્રહ: ‘ગાતાં ઝરણાં’, ‘મહેંક’, મધુરપ’, ‘ગનીમત’ (મુક્તક સંગ્રહ), ‘નિરાંત’, ‘ફાંસ ફૂલની’
Permalink
December 5, 2006 at 12:35 AM by સુરેશ · Filed under ગઝલ, જવાહર બક્ષી, શબ્દોત્સવ
ફરી ન છૂટવાનું બળ જમા કરે કોઇ
પ્રસંગ, નહિ તો મિલનના જતા કરે કોઇ
મને ઘણાય તમારો સંબંધ પૂછે છે
તમારી પણ કદી એવી દશા કરે કોઇ
તમારી પાસ જવાની નથી થતી ઇચ્છા
મને ફરીથી જવાની મના કરે કોઇ
ભલે અવાજની ક્ષિતીજમાં જઇ ન શકાય
વિચારને તો જતા – આવતા કરે કોઇ
કોઇ નજીક નથી – એ વિષે હું કૈં ન કહું
આ સંકડાશ વિષે સ્પષ્ટતા કરે કોઇ
ગુન્હા કર્યા તો ‘ફના’ મેં ગુન્હા તમારા કર્યા
મને એ માન્ય નથી કે સજા કરે કોઈ.
– જવાહર બક્ષી
Permalink
December 5, 2006 at 12:30 AM by ધવલ · Filed under ગઝલ, મુકુલ ચૉકસી, શબ્દોત્સવ
શબ્દને શોભે નહીં આ કાગઝી વસ્ત્રો સજનવા
આજથી પત્રોને બદલે લખજે નક્ષત્રો સજનવા
હાથમાં પકડ્યો તમારો હાથ તો લાગ્યું સજનવા
મન પ્રથમ વાર જ ઊઘાડી પોપચાં જાગ્યું સજનવા
હાથમાં રાખ્યા જીવનભર પેન ને પોથી સજનવા
પણ લખી અંતે જીવનની જોડણી ખોટી સજનવા
કોરા અંતરપટના કંઈ ઓછા નથી કામણ સજનવા
આપણે નાહક ઉપર શાં કરવાં ચિતરામણ સજનવા
સૂર્ય સામે એક આછું સ્મિત કર એવું સજનવા
થઈ પડે મુશ્કેલ એને ત્યાં ટકી રહેવુ સજનવા
સાવ અલગ રીતે મુહબ્બતને છતી કરીએ સજનવા
આપને મળવાની સઘળી તક જતી કરીએ સજનવા
હાથમાં દરિયાઓ રાખીને દઈશ દસ્તક સજનવા
ના મળે ઉત્તર તો ચાલ્યો જઈશ નતમસ્તક સજનવા
ખાલી કૂવાના અને કોરી પરબનાં છે સજનવા
આ બધાં સપનાં રાબેતા મુજબના છે સજનવા
ટેરવાં માગે છે તમને આટલું પૂછવા સજનવા
આંસુઓ સાથે અવાજો કઈ રીતે લૂછવા સજનવા
– મુકુલ ચોકસી
સૌથી મોઘાં વાઈનની બાટલી લોકો વર્ષો સુધી સંઘરી રાખે છે. અને કોઈ ખાસ અવસરના દિવસે જ એને ખોલે છે. આ ગઝલનું મારાં માટે એવું છે. મુકુલ ચોકસીની આ ગઝલ મારા માટે ખૂબ ખાસ છે. અમે આ ગઝલ સ્કૂલકાળમાં મહિનાઓ સુધી રોજ થોડી થોડી માણતા. દોસ્તો આના શેર અવારનવાર ટાંકતા. એ રીતે અમારા દોસ્તોમાં બધાની ખાસ ગઝલ થઈ ગયેલી. એના એક એક શેર સાથે કેટલીય યાદો સંકળાયેલી છે. મૂળ ગઝલ તો લગભગ પચ્ચીસ પાના લાંબી છે. એમાં ગહનચિંતનથી માંડીને તદ્દન રમતિયાળ એવા બધા પ્રકારના શેર છે. અહીં તો માત્ર થોડા શેર ટાંકુ છું. આ ગઝલ, એ દિવસોની યાદમાં જ્યારે ગઝલ એ વાંચવાની નહીં પણ જીવવાની ચીજ હતી !
Permalink
November 30, 2006 at 2:00 AM by સુરેશ · Filed under અહમદ ‘ ગુલ’, ગઝલ
ગહનતા ઘાવની માપી શકું, એવું ગજું ક્યાં છે?
વળી હર ઝખ્મ પંપાળી શકું, એવું ગજું ક્યાં છે?
સતત ઝરતી રહે છે લૂ, છતાં પણ ચાલવું તો છે,
ઘડીભર છાંયડો પામી શકું, એવું ગજું ક્યાં છે?
પડી છે વીજળી માળા ઉપર એની ખબર છે પણ,
તણખલાંઓ હવે લાવી શકું, એવું ગજું ક્યાં છે?
અમારી દુર્દશાની વાત હર મહફીલમાં ચર્ચાઇ,
જરા હું આયનો ઝાંખી શકું, એવું ગજું ક્યાં છે?
ઘણી લાંબી બની ગઇ છે હવે ઝખ્મો તણી યાદી,
બધાં નામો ભલા વાંચી શકું , એવું ગજું ક્યાં છે?
હવે એકાંતની ઝાલી જ લીધી આંગળીઓ ‘ ગુલ’
ફરીથી ભીડમાં ચાલી શકું, એવું ગજું ક્યાં છે?
– અહમદ ‘ ગુલ’
બહુ જ સૌમ્ય વાણી વાળા આ શાયર ત્રીસ વર્ષથી બ્રિટનના ‘બાટલી’ શહેરમાં રહે છે.
બ્રિટનમાં ‘ગુજરાતી રાઇટર્સ ક્લબના તેઓ સ્થાપક છે.
‘પમરાટ’ અને ‘મૌન પડઘાયા કરે’ – તેમના કાવ્ય સંગ્રહો .
Permalink
November 26, 2006 at 3:48 AM by વિવેક · Filed under ગઝલ, હરિશ્ચન્દ્ર જોશી
કોણ ભીનો આપે આધાર
છેડીને રણમાં મલ્હાર ?
કોણ હુલાવે શબ્દકટાર
બન્ને બાજુ કાઢી ધાર ?
ડોળીમાં શ્લથ સૂરજ લઈ
સાંજ નીકળે બની કહાર.
આખી રાત રડ્યું કોઈ –
ઝાકળ ઝાકળ ઊગી સવાર.
લોહી સોંસરું ધિરકિટ ધિર
લયનું લશ્કર થયું પસાર.
બીનવારસી આંખ પડી
સપનાં ફરતાં અંદર-બ્હાર.
– હરિશ્ચંદ્ર જોશી
હરિશ્ચંદ્ર જોશી (31-08-1948) બોટાદમાં પ્રાધ્યાપક છે અને સારા ગાયક પણ. ગીત પણ સારા લખે અને ગઝલના પિંડને પણ સ-રસ રીતે બાંધી જાણે.રણની બળતી કોરાશમાં મલ્હારની ભીનાશ લઈને આવતા આ કવિ સાંજને સૂરજને ડોલીમાં લઈ જતા કહાર તરીકેના નવોન્મેષી કલ્પનથી સ્પર્શે છે. અને લયના લશ્કરના લોહીમાંથી પસાર થવાની વાત કદાચ આ આખી ગઝલનો શિરમોર શેર બની રહે છે.
Permalink
November 25, 2006 at 12:30 AM by વિવેક · Filed under અદમ ટંકારવી, ગઝલ
લઈને તમારું નામ, અમે ન્યાલ થઈ ગયા,
દ્વિધા મટી તમામ, અમે ન્યાલ થઈ ગયા.
શોધીને એક મુકામ, અમે ન્યાલ થઈ ગયા,
છોડીને દોડધામ, અમે ન્યાલ થઈ ગયા.
ડહાપણને રામ રામ, અમે ન્યાલ થઈ ગયા,
દીવાનગી સલામ ! અમે ન્યાલ થઈ ગયા.
યુગયુગની તરસનો હવે અંત આવશે,
તેઓ ધરે છે જામ, અમે ન્યાલ થઈ ગયા.
છેવટનાં બંધનોથીય મુક્તિ મળી ગઈ,
ના કોઈ નામઠામ, અમે ન્યાલ થઈ ગયા.
છે ઓર સાદગીમાં હવે ઠાઠ આપણો,
ત્યાગીને સૌ દમામ, અમે ન્યાલ થઈ ગયા.
સોંપી હવે તો દિલની મતા એમને અદમ,
માંગી લીધો વિરામ, અમે ન્યાલ થઈ ગયા.
-‘અદમ‘ ટંકારવી
Permalink
November 24, 2006 at 10:16 PM by ધવલ · Filed under ગઝલ, રમેશ પારેખ
ખંડમાં આંખ છતની વરસતી રહી કોઈ ચાલ્યું ગયું;
શૂન્યતા ખાલી ખીંટીને ડસતી રહી કોઈ ચાલ્યું ગયું.
છાપરું શ્વાસ રૂંધી ધીમાં ધીમાં પગલાંઓ ગણતું રહ્યું,
ભીંત ભયભીત થઈને કણસતી રહી કોઈ ચાલ્યું ગયું.
બારીએ બારીએ ઘરના ટુકડાઓ બેસીને જોતા રહ્યા,
સાંકળો બારણે હાથ ઘસતી રહી કોઈ ચાલ્યું ગયું.
બેક પગલાંનો સંગાથ આપીને પડછાયા ભાંગી પડ્યા,
શેરીનાકામાં બત્તીઓ ભસતી રહી કોઈ ચાલ્યું ગયું.
– રમેશ પારેખ
પ્રિયજનનું જવું – જતા રહેવું – એટલે કે નકરા વિષાદનું ખાબકવું. પ્રિયજનના ગયા પછી ઘર એટલું ખાલી ખાલી લાગે છે કે ખુદ પોતાની હાજરી પણ ભૂલાઈ જાય છે. વિષાદ અહીં ખાલી ઘરના માધ્યમથી જ રજૂ થાય છે. ડસતી ખીંટીઓ, ભયભીત ભીંતો, ભાંગી પડેલા પડછાયા અને ભસતી બત્તીઓથી માત્ર આંઠ લીટીમાં કવિ વિષાદનું એવું ઘેરું પોત રચે છે જેની અસર મનમાંથી જવાનું નામ જ લેતી નથી. કોઈ દરવાજો ખોલીને જાય પછી દરવાજા પરની સાંકળ થોડી વાર હાલ્યા કરે એ વાતને કવિ કેવી અલગ રીતે રજૂ કરે છે એ તો જુઓ – સાંકળો બારણે હાથ ઘસતી રહી કોઈ ચાલ્યું ગયું !
Permalink
November 23, 2006 at 3:00 AM by સુરેશ · Filed under ગઝલ, રૂસવા
રંગ છું હું, રોશની છું, નૂર છું;
માનવીના રૂપમાં મનસૂર છું.
પાપ પૂણ્યોની સીમાથી દૂર છું,
માફ કર, ફિતરતથી હું મજબૂર છું.
ઘેન આંખોમાં છે ઘેરી આંખનું,
કોણ કે’છે હું નશમાં ચૂર છું?
કૈં નથી તો યે જુઓ શું શું નથી,
હું સ્વયં કુમકુમ છું, સિન્દૂર છું.
ભીંત છે વચ્ચે ફકત અવકાશની,
કેમ માનું તુજ થકી હું દૂર છું?
બંધ મુઠ્ઠી જેવું છે મારું જીવન,
આમ છું ખાલી છતાં ભરપૂર છું.
હું ઇમામુદ્દીન ફક્ત ‘રૂસ્વા’ નથી,
ખૂબ છું બદનામ, પણ મશહૂર છું.
– ‘રૂસ્વા’ મઝલુમી
Permalink
November 22, 2006 at 3:00 AM by સુરેશ · Filed under ગઝલ, જવાહર બક્ષી
એક અણસારનો પડદો છે ને ઘર ખુલ્લું છે
રોજ બત્તીનો સમય છે અને અંધારું છે.
ભૂખરાં વાદળો સાથે કરો તારા-મૈત્રી
ક્યાં કોઇ ખાસ પ્રતીક્ષામાં ભીંજાવાનું છે
ખીણમાં રોજ ગબડવાનું છે ખુલ્લી આંખે
ને ફરી ટોચ સુધી એકલા ચડવાનું છે
કોઇ પછડાટ નહીં, વ્હાણ નહીં, ફીણ નહીં
સંગે-મરમરની લહેરોમાં તણાવાનું છે
આ નગરમાં તો સંબંધોના ધૂમાડા જ ખપે
અહીંયાં ઊર્મિ તો અગરબત્તીનું અજવાળું છે.
– જવાહર બક્ષી
સ્ત્રી પુરુષ વચ્ચેના પ્રેમ, આકર્ષણ અને આવેગોની ઘણી રચનાઓ વિશ્વભરના સાહિત્યમાં લખાઇ છે, અને લખાતી રહેશે. પણ માનવ જીવનના આ મૂળભૂત આવેગનું જે કદરૂપું રૂપ દરેક સમાજમાં ઉપસ્યા વગર નથી રહ્યું, તેવી રૂપજીવિનીની સંસ્થા બહુ ઓછી આલેખિત થઇ છે.
લાલ બત્તી હોય પણ દિલમાં તો અંધારું હોય; કોઇ પ્રિય પાત્રની પ્રતીક્ષા નહીં પણ ઉદાસીના પ્રતિક જેવા ભૂખરા વાદળોને કોઇ ભાવ વિહોણી આંખે જોયા કરવાનું હોય ; કોઇ શીતળ જળમાં તણાતા હોય તેવો પ્રેમનો અનુભવ નહીં પણ જડ સંગેમરમરની લહેરમાં તણાવાનો અનુભવ; અગરબત્તીની સુગંધ નહીં પણ તેના અજવાળા જેવી ઉર્મિ …..
આધિભૌતિક બાબતના ઉદ્ ગાતા એવા જવાહર જ્યારે આ વાત લઇને આવે છે ત્યારે તે અભાગિણી નારીનું આક્રંદ, વ્યથા અને ખાલીપો આપણને પણ ઉદાસ અને આક્રોશિત કરી દે છે.
Permalink
November 21, 2006 at 6:35 PM by ધવલ · Filed under અનિલ જોશી, ગઝલ
આશ્ચર્ય એ જ વાતનું મનમાં રહ્યા કરે,
ખાલીપણાનું ભાન કોઈને નડે નહીં.
વનમાં, ભૂલીને ભાન, રઝળતા પ્રવાસને,
ઊડતાં ઝીણાં પતંગિયા નજરે ચડે નહીં.
દૃશ્યોની પાર જાઉં છું ક્યારેક ટહેલવા,
આંખો મીંચાઈ જાય પછી ઊઘડે નહીં.
મારી લથડતી ચાલના કારણમાં એટલું,
હોવાપણાનો ભાર હવે ઉપડે નહીં.
રસ્તામાં કોઈ ફૂલ શા માણસ મળ્યા હશે,
નહીંતર ‘અનિલ’ આટલો મોડો પડે નહીં.
– અનિલ જોશી
અસ્તિત્વના ભારને સમજવા મથતો આ ગઝલનો પ્રથમ શેર મારો પ્રિય શેર છે. ખાલીપણાનું ભાન કોઈને નડે નહીં – એ આજનો પાયાનો પ્રશ્ન છે. છેલ્લા શેરમાં કવિએ પોતાના નામ સાથે શ્લેષ કરીને સરસ વાત કરી છે.
Permalink
November 18, 2006 at 1:12 AM by વિવેક · Filed under ગઝલ, ચિનુ મોદી
તું મને મળતી ખરી પણ મન વગર,
ઝાંઝવા બનતાં સરોવર જળ વગર.
શૂન્ય મારું મન થયું છે એટલું,
કે હવે ખડ ખડ હસું છું ભય વગર.
જ્યાં જઉં છું ત્યાં મને સામી મળે
ભીંત પણ ચાલી શકે છે પગ વગર.
દૂર તારાથી થતો હું જાઉં છું
એમ લાગે છે, હવે છું ઘર વગર.
સૂર્ય સ્પર્શે ઓસ તો ઊડી ગયું
હું તને મળતો રહ્યો કારણ વગર.
-ચિનુ મોદી ‘ઈર્શાદ’
મહેસાણાના વિજાપુરના વતની અમદાવાદ નિવાસી ચિનુ મોદી ‘ઈર્શાદ’ (જન્મ: ૩૦-૦૯-૧૯૩૯)નો ગુજરાતી ગઝલના નવોન્મેષમાં અમૂલ્ય ફાળો છે. ગઝલને બીબાઢાળ બનતી અટકાવનાર સજાગ પ્રહરીઓમાં એ મોખરે આવે. મજાના ગીત, નાટક અને સોનેટ પણ લખે. ઉર્દૂમાં પણ ગઝલો લખે પરંતુ બે ભાષા પરની હથોટી કદી સીમા વળોટતી ન ભાસે એ એમની સિદ્ધહસ્તતા. ચીલાચાલુ રદીફ-કાફિયાથી દૂર રહી આડંબરી ભાષાથી હટીને લપસણા વિશેષણોમાં લપસ્યા વિના પુનરાવર્તન અને પુનરોક્તિના ભયસ્થાનોથી અળગા ચાલતા ચિનુ મોદીની ગઝલો એ ગુજરાતી ભાષાની સવારની ચા સમી તાજગી છે. એમના જ શબ્દોમાં કહીએ તો, ” ગઝલ એ હું આત્મકથાની અવેજીમાં લખું છું એટલું જ નહીં, ગઝલના રદીફ-કાફિયા મારે માટે શ્વાસ અને ઉચ્છવાસ જેટલા જ સહજ અને અ-નિવાર્ય બન્યા છે. હજી પણ પ્રત્યેક ગઝલ શરૂ થાય ત્યારે કાબો લૂંટી જશે એવો ડર લાગે છે. ગઝલથી વધારે છેતરામણું સ્વરૂપ ન સોનેટ છે, ન ખંડકાવ્ય છે. અ-છાંદસ, ગીત અને ગઝલ મને સૌથી છેતરામણાં કાવ્ય સ્વરૂપ લાગ્યાં છે.”
કાવ્યસંગ્રહ: ‘ઊર્ણનાભ’, ‘ક્ષણોના મહેલમાં’, ‘દર્પણની ગલીમાં’, ‘ઈર્શાદગઢ’, ‘બાહુક’, ‘અફવા’, ‘ઈનાયત’. શ્રેષ્ઠ ગઝલોનો સંગ્રહ: ‘પર્વતને નામે પથ્થર’.
Permalink
November 17, 2006 at 9:36 PM by ધવલ · Filed under ગઝલ, હેમેન શાહ
મન ન માને એ જગાઓ પર જવાનું છોડીએ
કોઈના દરબારમાં હાજર થવાનું છોડીએ.
રોજ વિઘ્નો પાર કરતાં દોડવાનું છોડીએ,
પાતળી સરસાઈથી આ જીતવાનું છોડીએ.
પ્રેમના પ્રકરણ વિષે કંઈ બોલવાનું છોડીએ,
ચોપડીમાં એક વચ્ચે કોરું પાનું છોડીએ.
આવશે,જે આવવાનું છે, એ પાસે ખુદ-બ-ખુદ
અહીં કે ત્યાં, આજે કે કાલે, શોધવાનું છોડીએ.
મ્હેકની ભાષા સમજીએ, જેટલી સમજાય તે,
કિંતુ પાટક પથ્થરોને પૂછવાનું છોડીએ.
હોય જો તાકાત તો બે-ત્રણ હલેસાં મારીએ
જળને વ્હેવાની ૨સમ શિખવાડવાનું છોડીએ.
કંઠમાં શોભે તો શોભે, માત્ર પોતાનો અવાજ
પારકી રૂપાળી કંઠી બાંધવાનું છોડીએ.
કોઈ દુર્ગમ પથ ઉપર તૂટેલી ભેખડ કાં બનો ?
છોડીએ તો એક સીમાચિહ્ન નાનું છોડીએ !
– હેમેન શાહ
જીવનને સહજ અને સરળ કરી નાખવાની સલાહ ગઝલરૂપે. આપણે આપણી જાતને નડ્યા કરીએ એવી આદતોમાંથી આપણે છૂટીએ અને જીવનને અંતરથી માણીએ. (ધવલ)
કાશ…..શાયરની વાતો અમલ કરવી સ્હેલ હોત…..(તીર્થેશ)
Permalink
November 13, 2006 at 7:00 AM by ધવલ · Filed under ગઝલ, બકુલેશ દેસાઈ
અલગતા જુઓ વસ્ત્ર જેવી તમારી,
અમે છુંદણા થૈ જડાયાં ત્વચા પર.
તમારું સ્મરણ થૈ જતાં માત્રમાં તો,
શીળા સ્પર્શની છે બળતરા ત્વચા પર.
સડોસડ પડે દ્રશ્યના ચાબખા ને-
વીતી જિંદગીના ઉઝરડા ત્વચા પર!
મુલાયમપણાના ગયા સર્પ સરકી…
હવે તો કરચલીની ભાષા ત્વચા પર.
નિકટતા અહીં તો ઘડી બે ઘડીની !
દિવસરાત પ્રસ્વેદી છલના ત્વચા પર.
– બકુલેશ દેસાઈ
વાત વિરહની છે, એ રજૂ કરી છે ત્વચાના માધ્યમથી. કવિએ અલગ ભાત પાડતા કેટલા સચોટ શબ્દ પ્રયોગો વાપર્યા છે એ જુઓ – દ્રશ્યના ચાબખા, કરચલીની ભાષા, પ્રસ્વેદી છલના … વાંચતા અનાયાસ જ ર.પા.ની ગઝલ હસ્તાયણ યાદ આવી જાય છે.
Permalink
November 12, 2006 at 7:29 AM by વિવેક · Filed under ઉદયન ઠક્કર, ગઝલ
એકનું, કે શૂન્યનું, કે આઠડાનું
ઓલિયાને કામ કેવું આંકડાનું ?
આ જગાએ કેમ શીતળ થાય રસ્તો ?
રહી ગયું છે ચિહ્ન જૂના છાંયડાનું ?
પાનખર વીતી છતાં ખરતાં રહે છે
પાંદડાને લાગી આવ્યું પાંદડાનું.
રૂપિયાને રાત-દિવસ સાચવે જે
શું કહીશું એને? પાકીટ ચામડાનું ?
રેતી, કપચી, કાચ, ચૂનો, ઈંટ, આરસ
એક દિવસ કામ પડશે લાકડાનું
ક્યાં કવિતા ! ક્યાં મુ જેડો કચ્છી માડુ !
કોકિલાએ ઘર વસાવ્યું કાગડાનું.
-ઉદયન ઠક્કર
લયસ્તરો સાથે જોડાયો ત્યારથી લગભગ રોજની બે થી ત્રણ ગઝલો સરેરાશ વાંચવાનો નિત્યક્રમ સ્થપાયો એ લયસ્તરોમાં જોડાવાની સૌથી મહામૂલી ફળશ્રુતિ. ઢગલાબંધ સામયિકો અને પુસ્તકોની નિયમિત લટાર લેવાની યુવાનીના ચઢતા દિવસોની આદત ફરીથી પુનર્જીવિત થઈ એ અર્થમાં લયસ્તરોએ મને નવયૌવન બક્ષ્યું. આટલા બધા વાંચનમાં વાંચતા જ સર્વશ્રેષ્ઠ લાગેલી કોઈ ગઝલ મારે પસંદ કરવાની હોય તો ઉદયન ઠક્કરની આ ગઝલ પર હું પસંદગી ઉતારું. પાંદડાને પાંદડાનું લાગી આવે? કલ્પના જ કેટલી રોચક અને દુર્લભ છે! ભૂતકાળની કોઈ શીળી યાદ વર્તમાનના આકરા રસ્તાને પણ શીતળતા બક્ષે છે…કેવી સરસ વાત કહી દીધી! રૂપિયાને આપણેચામડાના પાકીટમાં જ સાચવીએ છીએ, પણ અહીં ચામડાનું પાકીટ શબ્દ શું શબ્દશઃ પાકીટ માટે વપરાયો છે? પાકીટની જેમ આખી જિંદગી રૂપિયાને સાચવવામાં જ કાઢતા ચામડાના દેહધારીઓ પર કેવો વેધક કટાક્ષ છે ! ફક્ત એક પ્રશ્ન ચિહ્ન આખા શેરના અર્થને બદલી નાંખે છે. લાકડાની નિશ્ચિતતાવાળી વાત પણ એટલી જ સુંદર છે. અંતે મક્તામાં કચ્છી ભાષામાં કોયલ કાગડાના માળામાં ઈંડા મૂકે છે એ લોકોક્તિનો અને પોતાના જેવા કચ્છી માણસને ક્યાંથી કવિતા આવડી ગઈ એ વાતની સુંદર હૃદયસ્પર્શી રજૂઆત કરીને ઉદયનભાઈ મેદાન મારીગયા છે એવું નથી લાગતું?
Permalink
November 11, 2006 at 5:45 AM by વિવેક · Filed under અઝીઝ ટંકારવી, ગઝલ
ક્યાં આરો ઓવારો હો જી
ઉતારશું ક્યાં ભારો હો જી
થોડી ઠોકર થોડાં ફૂલો
સપનાનો અણસારો હો જી
પહોંચી જાશો સામે પાળે
સ્હેજ તમે જો ધારો હો જી
આમ સાચવીને શું કરશું?
જળ જેવો જન્મારો હો જી
એ કેડીથી ગુમ થવાનું
વારા ફરતી વારો હો જી
-અઝીઝ ટંકારવી
અઝીઝ ટંકારવીની આ ગઝલ પહેલી નજરના પ્રેમ જેવી અનુભૂતિ છે. સાવ સરળ શબ્દો અને સુંદર ઉપલબ્ધિ. આમ તો બધા જ શેર સુંદર છે પણ જાતને સાચવીને બેસી રહેવાને બદલે વહેતા રહેવાનો અણસાર આપતો ‘આમ સાચવીને શું કરશું? જળ જેવો જન્મારો હો જી ‘ વાળી વાત મને ખૂબ સ્પર્શી ગઈ.
Permalink
November 5, 2006 at 3:03 AM by વિવેક · Filed under ગઝલ, ચિનુ મોદી
શ્વાસમાં છલકાય છાની ગંધ તો ?
ને બધે ચર્ચાય આ સંબંધ તો ?
કંઠથી છટક્યો ટહુકો મોરનો
ડાળ પરથી જો મળે અકબંધ તો ?
આંખમાંથી આંસુઓ લૂછો નહીં
તૂટશે પે….લો ઋણાનુબંધ તો ?
લાગણીભીના અવાજો ક્યાં ગયા ?
પૂછશે મારા વિશેનો અંધ તો ?
હું ક્ષણોના મ્હેલમાં જાઉં અને
કોક દરવાજો કરી દે બંધ તો ?
– ચિનુ મોદી “ઇર્શાદ”
Permalink
November 4, 2006 at 3:05 PM by વિવેક · Filed under ગઝલ, રમેશ પારેખ
બન્યો બનાવ અને નીરખ્યા કર્યું તેં પણ
હું તારા હાથમાંથી છટકેલું કાચનું વાસણ.
અણીને વખતે મદદગાર થઈ પડી કેવી
આપણા વચ્ચે છટકબારીઓ સમી સમજણ.
તું બગીચાનો કોઈ બાંકડો નથી, સોનલ
ખરી ગ્યાં ફૂલ છતાં તારી ના ઝૂકી પાંપણ ?
જખમની જેવું હતું એક સ્વપ્ન આપણને
એને પંપાળતાં રહ્યાં’તાં આપણે બે જણ.
રહી ગઈ છે અમસ્થી જ બારીઓ ખુલ્લી
રમેશ, બંધ ઘરને હોય ના કશું વળગણ.
રમેશ પારેખ
Permalink
October 31, 2006 at 11:13 PM by સુરેશ · Filed under ગઝલ, રઈશ મનીયાર
દરેક વાતે વિચારવાનું ત્યજી દઇને નિહાળતો જા.
સ્વીકારવાનું, નકારવાનું ત્યજી દઇને નિહાળતો જા.
સમસ્ત દુનિયા છે એક રચના, જો થાય મનમાં વહી જા લયમાં
ન તોલ એને, મઠારવાનું ત્યજી દઇને નિહાળતો જા.
પસાર થાતી ઘડી ઘડીમાં જુદી જુદી જે છબી ચમકતી
તમામ ઊંડે ઉતારવાનું ત્યજી દઇને નિહાળતો જા.
આ આંસુ કરતાં છે પૃથ્વી મોટી, હૃદય છે એક જ, હજાર દુઃખ છે
દુઃખે દુઃખે આંસું સારવાનું ત્યજી દઇને નિહાળતો જા.
ઉઘડતું આથમતું રૂપ શાશ્વત ને એક પલકારો તારું જીવન
તું એની લટને નિખારવાનું ત્યજી દઇને નિહાળતો જા.
તું આજીવન માત્ર જોતો રહેશે છતાંય તું અંશમાત્ર જોશે
સમગ્ર અંગે તું ધારવાનું ત્યજી દઇને નિહાળતો જા.
– રઈશ મનીઆર
Permalink
October 29, 2006 at 2:53 AM by વિવેક · Filed under ગઝલ, હિમાંશુ ભટ્ટ
એક બસ સમજણ જો આવી જાય તો ?
જે મળ્યું તેમાં જો ફાવી જાય તો ?
મોક્ષની વાતો બધા કરતા રહે,
તું ધરા પર સ્વર્ગ પામી જાય તો ?
કેમ છે ભીંતો અને સરહદ બધે ?
ચોતરફ વિશ્વાસ વ્યાપી જાય તો ?
આમ તો એ શું હતું ? શબ્દો હતા..
પણ જરા, જો ક્યાંક વાગી જાય તો ?
જેમનાથી જિંદગી દોડ્યા કર્યું,
એ હતું શું ? યાદ આવી જાય તો ?
જે નથી ભૂલ્યો, નથી કરતો હવે,
વાતમાં એ વાત આવી જાય તો ?
પ્રેમ જ્યાં સાચો હશે, બાંધે નહીં,
લાગણી જો નામ પામી જાય તો ?
પાછલી વાતો બધા ભૂલી જશે,
આખરી તું દાવ જીતી જાય તો !
-હિમાંશુ ભટ્ટ
Permalink
October 28, 2006 at 5:12 AM by વિવેક · Filed under ઉર્વીશ વસાવડા, ગઝલ
મને ગમતી પ્રત્યેક ક્ષણ ગઝલમાં લઈને આવ્યો છું
ઘણી વાતો તમારી પણ ગઝલમાં લઈને આવ્યો છું
સતત ચાહી છે કુદરતને પૂરી નિષ્ઠાથી જીવનમાં
નદી, પર્વત ને તપતું રણ ગઝલમાં લઈને આવ્યો છું
શિલાલેખો, ગિરિ ગિરનાર, દામોકુંડ, કેદારો
જૂનાગઢની ધરાના કણ ગઝલમાં લઈને આવ્યો છું
સમજપૂર્વક હકીકતને જુદી, આભાસથી પાડી
અરીસામાં પ્રગટતો જણ ગઝલમાં લઈને આવ્યો છું
નથી મારી ખૂબી એમાં, લખાવે છે કૃપા એની
સતત એ વાતની સમજણ ગઝલમાં લઈને આવ્યો છું
ઉર્વીશ વસાવડા
ગુજરાતી સાહિત્યજગતમાં તબીબ-કવિઓની ખોટ નથી. ઉર્વીશ વસાવડા એમની સરળ ભાષામાં જ્યારે ખૂલે છે ત્યારે કળાવા નથી દેતા કે તેઓ એક તબીબ – રેડિયોલોજીસ્ટ છે. જૂનાગઢના વતની હોવાના નાતે એમની ગઝલોમાં ગિરનાર, દામોદર કુંડ, નરસિંહ મહેતાનો કેદારો અને અશોકના શિલાલેખો ખૂબ સહજતાથી વણાઈ જાય છે. સાવ સરળ ભાસતા કાફિયાઓ પાસે પણ એ બેનમૂન કામ લઈ શક્યા છે એ એમની કવિ તરીકેની સાર્થક્તા સૂચવે છે. કાવ્યસંગ્રહ: “પીંછાનું ઘર”. જન્મ: ૧૩-૦૪-૧૯૫૬.
Permalink
October 27, 2006 at 7:53 AM by વિવેક · Filed under ગઝલ, મણિલાલ ન. દ્વિવેદી
કહીં લાખો નિરાશામાં, અમર આશા છુપાઈ છે,
ખફા ખંજર સનમનામાં, રહમ ઊંડી લપાઈ છે.
જુદાઈ જિંદગીભરની, કરી રો રો બધી કાઢી,
રહી ગઈ વસ્લની આશા, અગર ગરદન કપાઈ છે.
ઘડી ના વસ્લની આવી, સનમ પણ છેતરી ચાલી,
હજારો રાત વાતોમાં, ગમાવી એ કમાઈ છે.
જખમ દુનિયાં જબાનોના, મુસીબત ખોફના ખંજર,
કતલમાંયે કદમબોસી, ઉપર કયામત ખુદાઈ છે.
શમા પર જાય પરવાના, મરે શીરીં ઉપર ફરહાદ,
અગમ ગમની ખરાબીમાં, મજેદારી લૂંટાઈ છે.
ફના કરવું – ફના થાવું, ફનામાં શહ સમાઈ છે,
મરીને જીવવાનો મન્ત્ર, દિલબરની દુહાઈ છે.
ઝહરનું નામ લે શોધી, તુરત પી લે ખુશી થી તું,
સનમના હાથની છેલ્લી, હકીકતની રફાઈ છે.
સદા દિલના તડપવામાં, સનમની રાહ રોશન છે,
તડપ તે તૂટતાં અન્દર ખડી માશૂક સાંઈ છે.
ચમનમાં આવીને ઊભો, ગુલો પર આફરીં થઈ તું;
ગુલોના ખારથી બચતાં, બદનગુલને નવાઈ છે.
હજારો ઓલિયા મુરશિદ, ગયા માશૂકમાં ડૂલી,
ન ડૂલ્યા તે મૂવા એવી, કલામો સખ્ત ગાઈ છે.
-મણિલાલ દ્વિવેદી
મણિલાલ ન. દ્વિવેદી ‘અભેદમાર્ગપ્રવાસી’ તરીકે જાણીતા સાહિત્યકાર હતા. કવિતા ઉપરાંત નાટક, નિબંધ, સંશોધન, વિવેચન, સંપાદન અને અનુવાદ ઉપર પણ એમની હથોટી રહી. સંસ્કૃતના પ્રખર વિદ્વાન અને અધ્યાપક. નર્મદના અનુગામી લેખકોમાંનો એક સશક્ત સ્તંભ એમને ગણી શકાય. ગુજરાતી ગઝલના ઉત્થાનમાં એમનું પ્રદાન નોંધપાત્ર છે. ‘અમર આશા’ એમના જીવનની સીમાચિહ્નરૂપ ગઝલ છે જે ગાંધીજીને પણ પ્રિય હતી. જન્મ અને મૃત્યુ નડિયાદમાં. (જન્મ : ૨૬-૦૯-૧૮૫૮, મૃત્યુ : ૦૧-૧૦-૧૮૯૮) કાવ્ય સંગ્રહ:”આત્મનિમજ્જન”
(વસ્લ= સમાગમ, મિલન; કદમબોસી= ચરણચંપી; અગમ= અગમ્ય, ભવિષ્ય; શહ્= સામર્થ્ય; રફાઈ=આત્મબલિદાન; મુરશિદ=ધર્મોપદેશક)
Permalink
October 24, 2006 at 3:49 AM by વિવેક · Filed under ગઝલ, હરકિશન જોષી
પરમ ચેતનાની પ્રસરતી સુવાસે
હૃદય ધડકનો તારી મૂર્તિ તરાશે
દીવાલો ખસેડી ને છતને હટાવી
હવે કંઈક આકાશ લાગે છે પાસે
કશું ક્યાંક પથરાળ અટકી પડ્યું છે
વહે મારું હોવું તો શ્વાસે ને શ્વાસે
મળે ક્યાંથી આવે છે પૂનમ થઈને
અહીં શોધ ચાલે અમાસે અમાસે
અકિંચન હતા સાવ તો પણ જુઓને
અમે જીવી નાંખ્યું તમારા દિલાસે
-હરકિસન જોષી
માણસના વહેવાપણા અને હોવાપણાને અટકાવી રાખતી દિવાલો અને છતો જ્યાં સુધી હટાવી ન લેવાય ત્યાં સુધી આકાશની અસીમતા નજીક આવી શક્તી નથી… સરળ શબ્દોમાં અઘરી વાત !
Permalink
October 22, 2006 at 3:55 AM by વિવેક · Filed under ગઝલ, નીતિન વડગામા
આજે કેવળ આપણામાં વ્યસ્ત છીએ આપણે,
પોતપોતની કથામાં વ્યસ્ત છીએ આપણે.
આમ તો સુખનાં સગડ ક્યાં સાંપડે છે સ્હેજ પણ,
ને નિરર્થક આવ-જામાં વ્યસ્ત છીએ આપણે.
ભીંત તોડી બ્હાર નીકળવું જરૂરી છે છતાં,
પાંગળી પોકળ પ્રથામાં વ્યસ્ત છીએ આપણે.
આંખની ભીનાશ તો ઊડી ગઈ છે ક્યારની,
સાવ સુક્કી સરભરામાં વ્યસ્ત છીએ આપણે.
છેદવામાં, ભૂંસવામાં ને બધુંયે લૂંટવામાં,
કાં હજી પણ આ બધામાં વ્યસ્ત છીએ આપણે ?
-નીતિન વડગામા
Permalink
October 21, 2006 at 4:44 AM by વિવેક · Filed under ઉશનસ્, ગઝલ
લયસ્તરોની ટીમ તરફથી સર્વ વાચકમિત્રોને દિવાળીની હાર્દિક શુભકામનાઓ અને નૂતન વર્ષની ખૂબ ખૂબ વધાઈ…. નવું વરસ…સૌનું વીતે સરસ…!
ક્યાંય ના જરી ક્લેશ હો; ને ક્યાંય ના જરી ક્લાન્તિ હો;
સર્વને હો તાઝગી પ્રાતઃફૂલોની, શાન્તિ હો.
વ્યોમમાંયે શાન્તિ હો, ને ભોમમાંયે શાન્તિ હો,
વ્યોમભોમની મધ્ય રોમેરોમ સોમ શી શાન્તિ હો.
પૃથ્વી તો કંપે હજી ક્યારેક; એ જંપી નથી,
હો ધરીમાં સ્નિગ્ધતા, ને ક્ષુબ્ધતાને શાન્તિ હો.
એક જે હતું પૂર્ણ તે ખુદ કણકણોમાં ચૂર્ણ છે,
એ પૂર્ણપણમાં હોય તેવી ચૂર્ણકણમાં શાન્તિ હો.
ભવભવાટવિમાં ભટકવું છે લખ્યું જો ભાગ્ય; તો
એ ભાગ્યને પણ શાન્તિ હો, એ ભ્રાન્તિને પણ શાન્તિ હો.
પંચભૂતોની મહીં, ને સર્વ ઋતુઓના ઋતે
સંક્રાન્તિઓને શાન્તિ હો, ને ક્રાન્તિમાંયે શાન્તિ હો.
શપ્ત શાં સંતપ્ત રણ, નિઃસૂર્ય અંધારાં વનો;
એ રણો શાં, એ વનો શાં સૌ મનોમાં શાન્તિ હો.
કેટલું છે દુઃખ ઉશનસ્ ! ચેતનાથી ચિત્તમાં !
એ ચેહનેયે શાન્તિ હો, એ દેહનેયે શાન્તિ હો.
-ઉશનસ્
(સૂક્ત= વેદમંત્રો અથવા ઋચાઓનો સમૂહ, ભવભવાટવિ= જન્મ-જન્માંતરરૂપી વન, ઋતે= સિવાય, સિવાય કે, ચેહ= ચિતા)
Permalink
October 19, 2006 at 12:40 AM by સુરેશ · Filed under ગઝલ, સતીન દેસાઇ ‘પરવેઝ’
ઝરણાંની ઘેલછામાં ભૂલી ગયો દિશાઓ;
દરિયો કઇ દશામાં, ભૂલી ગયો દિશાઓ.
ભીતર લપાઇ શ્વાસો શતરંજ ખેલ ખેલે,
કઇ ચાલ ચાલવામાં, ભૂલી ગયો દિશાઓ.
ઓ જીવ, આખરે તો દેતી દગો સુગંધો,
કેવી અજબ હવામાં, ભૂલી ગયો દિશાઓ.
ટટ્ટાર ઊભવું’તું જનમોજનમની આણે,
તરણું જ તોડવામાં, ભૂલી ગયો દિશાઓ.
છાયાની બસ મમતમાં રઝળે છે રાતદિન એ,
કેવી એ સૂર્યતામાં, ભૂલી ગયો દિશાઓ.
હું વ્હાણમય હતો ને, જળમય હવે થયો છું,
જળનેજ તારવામાં, ભૂલી ગયો દિશાઓ.
દર્શન કે દ્વાર સાથે નાતો નથી રહ્યો કે,
એની જ તો કથામાં, ભૂલી ગયો દિશાઓ.
ગાથા ગવાય ક્યાં લગ ‘પરવેઝ’ બે ચરણની,
ઉંબરને ઠેકવામાં, ભૂલી ગયો દિશાઓ.
– સતીન દેસાઇ ‘પરવેઝ’
Permalink
October 16, 2006 at 10:46 PM by ધવલ · Filed under ગઝલ, રમેશ પારેખ
એકલા સાંજે બગીચે બેસવું શું ચીજ છે ?
બાંકડો શું ચીજ છે ? બુઢઢા થવું શું ચીજ છે ?
ચીજવસ્તુ થઈ ગયેલી આંખને પૂછી જુઓ
સાવ ખાલીખમ સડકને તાકવું શું ચીજ છે ?
કઈ તરસ છે એ કે એને આમ પાલવવી પડે ?
રોજ આખેઆખું છાપું પી જવું શું ચીજ છે ?
રોજ એનાં એ જ સાલાં ફેફસાં વેંઢારવાં
રોજ એનું એ જ જીવ પર આવવું શું ચીજ છે ?
ગોળ ચશ્માં, ગોળ દિવસો, ગોળ ઝળઝળિયાં, રમેશ
ગોળ રસ્તા, ગોળ જીવે હાંફવું શું ચીજ છે ?
વિશ્વ સામે જીભ આખી હોડમાં મૂકવી, રમેશ
હોડ શું છે ? હાર શું છે ? ઝૂઝવું શું ચીજ છે ?
– રમેશ પારેખ
જ્યારે જ્યારે આ ગઝલ વાંચું છું ત્યારે એક ખાલીપો ધેરી વળે છે. ગોળ ચશ્માં… શેરમાં રમેશ પારેખે ઘડપણની એકલતા અને ખાલીપાને આબાદ ઝીલ્યા છે. જીવનમાંથી ધ્યેય ખૂટી જાય અને સમય કોકડું વળી જાય એ અવસ્થા કેમ કરી જીરવવી ? ઘડપણની જેમ જ, આ ગઝલમાં ખાલી પ્રશ્નો જ છે કોઈ ઉત્તર નથી. ઉત્તરો શોધવાની સતત મથામણને કારણે જ કદાચ ઘડપણને ઉત્તરાવસ્થા કહેતા હશે ?
Permalink
October 14, 2006 at 5:34 AM by વિવેક · Filed under ગઝલ, જાતુષ જોશી
આમ તો બસ એ જ અંતિમ લક્ષ્ય છે
એ વિષે પણ કેટલાં મંતવ્ય છે.
કૈંક ખૂણા ગોળ પૃથ્વીમાં જડે !
જો, અહીં અગ્નિ, પણે વાયવ્ય છે.
આપણો સંતત્વનો દાવો નથી,
આપણી ભૂલો બધીયે ક્ષમ્ય છે.
વ્હેંચવાથી જે સતત વધતું રહે,
આ હૃદયમાં એક એવું દ્રવ્ય છે.
સ્વપ્નનો છે અર્થ કેવળ શક્યતા;
સ્વપ્ન પણ આવે નહીં એ શક્ય છે.
જાતુષ જોશી
-આપણી ભૂલો બધીયે ક્ષમ્ય છે કહીને કેટલી સરળતાથી મનુષ્યજીવનની નબળાઈનો કવિએ સ્વીકાર કરી લીધો ! અને સ્વપ્નની વ્યાખ્યા અને વાસ્તવિક્તાને મત્લાની બે કડીમાં સાંકળીને બોટાદના જાતુષ જોશીએ કમાલ નથી કરી લીધી ! (જન્મ : 02-01-1979)
Permalink
October 9, 2006 at 12:23 PM by ધવલ · Filed under ગઝલ, વિવેક મનહર ટેલર
એક જ સ્ખલન આખું જીવન અમને સતત નડતું રહ્યું,
હર રૂપમાં, હર શ્વાસને, હર સ્વપ્નને અડતું રહ્યું.
ક્ષય પામવાનો શાપ છે, છો ચાંદની મુજ શુદ્ધ હો,
માથે કલંક એક જ છે કિંતુ આજીવન નડતું રહ્યું.
એવા સ્મરણનું વિસ્મરણ થાતું નથી કેમે કરી
જેના પડળની વચ્ચે આ મન ધાન થઈ ચડતું રહ્યું.
સૌએ કહ્યું, ભૂંસે પવન થઈ, કાળ રેતીમાંથી છાપ,
પત્થર મહીં પગલાં બનીને કોણ તો પડતું રહ્યું.
સાચે અગર જો આ ક્ષણોને જીવવામાં નહોતો થાક,
થઈને કરચલી કોણ આ માથે કહો, પડતું રહ્યું?!
મારી નજર ભટક્યાં કરી, એકાગ્રચિત્ત જ તું સદા,
કિલ્લો અડીખમ લાગે છો ને, કૈંક ઉખડતું રહ્યું.
રાતે પ્રિયાના ગર્ભમાં પગરવ થયો નક્કી કશોક,
ગળપણ વધારે ચામાં બાકી શાને ઉમડતું રહ્યું ?
આ ઘર તરફ આવી રહ્યો શબ્દોને પહેરીને પવન,
સુંદર મજાનું કાવ્ય બારી જેમ ઊઘડતું રહ્યું.
– ડૉ. વિવેક મનહર ટેલર
Permalink
October 8, 2006 at 3:57 AM by વિવેક · Filed under ગઝલ, રાજેન્દ્ર શુક્લ
ખંડેરના એકાંતને પણ એક જણ મળતું રહ્યું,
તે એક સાથે બીજી પળને કોક સાંકળતું રહ્યું.
ઊંચાઈઓને આંબવાનું ચંદ્ર તો બ્હાનું હશે,
ના વ્યર્થ કૈં સાગર તણું ઊંડાણ ખળભળતું રહ્યું !
આ જિંદગીની ચાર ક્ષણનું ગીત તો પૂરું થયું;
મુજ શૂન્યતા ગાતી રહી તુજ મૌન સાંભળતું રહ્યું.
ઊગ્યા કર્યું સ્વપ્નોનું લીલું ઘાસ કબરો પર અને
આકાશની આંખો થકી મુજ દર્દ ઓગળતું રહ્યું.
આ વન્ય કેડીઓ સમય ગાતો રહ્યો, ગાતો રહ્યો,
ને તે ક્ષિતિજની રેખ પર કોનું વદન ઢળતું રહ્યું !
‘ના કોઈની યે વાટ….’ કહી જેણે ક્ષિતિજ તાક્યા કર્યું,
છેવટ સુધી એ આંખમાં આકાશ ટળવળતું રહ્યું.
હું તો સમયની જ્યમ બધુંયે ભૂલવા મથતો ગયો,
યુગ-અંતનું ખાલીપણું મુજ રક્તમાં ભળતું રહ્યું.
રાજેન્દ્ર અનંતરાય શુક્લ (૧૨-૧૦-૧૯૪૨) નો જન્મ બાંટવા, જૂનાગઢ. હાલ અમદાવાદ. શબ્દના તળમાં ઠેઠ ઊંડે ડૂબકી લગાવ્યા બાદ હાથમાં આવેલા અલભ્ય મોતીની ચમક એમના કાવ્યોમાં આવ્યા વિના રહેતી નથી. મૌનને બોલતું સાંભળવું હોય તો એમની કવિતાનો ભગવો ધારણ કરવો પડે. આ ગઝલના બધા જ શેર એક વિશિષ્ટ અભિવ્યંજના લઈને સામાન્ય પ્રતીકોમાંથી અસામાન્ય કલ્પનલીલા સર્જે છે, જેના અર્થ-વર્તુળો ધીમે-ધીમે આપણી અંદર કંઈક હચમચાવતા હોય એવું ભાસે છે…
કાવ્યસંગ્રહ: ‘કોમલ રિષભ’, ‘સ્વવાચકની શોધમાં’, ‘અંતર ગાંધાર’, ‘ગઝલ સંહિતા’- ૧ થી ૫ (સભર સુરાહિ, મેઘધનુના ઢાળ પર, આ અમે નીકળ્યા, ઝળહળ પડાવ, ઘિર આઈ ગિરનારી છાયા).
Permalink
October 7, 2006 at 6:26 AM by વિવેક · Filed under ગઝલ, રાજેન્દ્ર શુક્લ
હજો હાથ કરતાલ ને ચિત્ત ચાનક;
તળેટી સમીપે હજો ક્યાંક થાનક.
લઈ નાંવ થારો સમયરો હળાહળ,
ધર્યો હોઠ ત્યાં તો અમિયેલ પાનક.
સુખડ જેમ શબ્દો ઊતરતા રહે છે,
તિલક કોઈ આવીને કરશે અચાનક.
અમે જાળવ્યું છે ઝીણેરા જતનથી,
મળ્યું તેવું સોંપીશું કોરું કથાનક.
છે ચન જેનું એનાં જ પંખી ચૂગે આ,
રખી હથ્થ હેઠા નિહાળે છે નાનક.
નયનથી નીતરતી મહાભાવ મધુરા,
બહો ધૌત ધારા બહો ગૌડ ગાનક.
શબોરોજ એની મહેકનો મુસલસલ,
અજબ હાલ હો ને અનલહક હો આનક.
-રાજેન્દ્ર શુક્લ
ગિરનારની તળેટીમાં આજે શરદપૂર્ણિમાના રોજ તારીખ ૦૭-૧૦-૨૦૦૬ નો દિવસ સાક્ષાત્ સરસ્વતીના અવતરણ સમો યાદગાર બની રહેશે. જૂનાગઢના ‘આદ્યકવિ નરસિંહ મહેતા સાહિત્ય નિધિ ટ્રસ્ટ’ તરફથી દરવર્ષે અપાતો ગુજરાતી કવિતા માટેનો સૌથી મોટો અને પ્રતિષ્ઠિત “નરસિંહ મહેતા પુરસ્કાર” રૂપાયતન સંસ્થાના પ્રાંગણમાં આ વર્ષે મોરારિબાપુના વરદ્ હસ્તે કવિશિરોમણી શ્રી રાજેન્દ્ર શુક્લાને અપાશે ત્યારે એમનું આ બહુમાન છે કે ગુજરાતી કવિતાનું- એ નક્કી કરવું આકરું થઈ રહેશે…
રાજેન્દ્ર શુક્લ એ ગુજરાતી કવિતાના લલાટ પરનું જાજવલ્યમાન તિલક છે. એમની કવિતા વાંચીએ તો લાગે કે એ શબ્દો કને નથી જતા, શબ્દો એમની કને સહસા સરી આવે છે, જાણે કે આ એમનું એકમાત્ર સાચું સરનામું ન હોય! ભગવો માત્ર એમના દેહ પર જ નહીં, એમના શબ્દોમાં પણ સરી આવ્યો છે. રાજેન્દ્રભાઈની કવિતા એટલે જાણે આત્માનો પરમાત્મા સાથેનો ચિરંતન વાર્તાલાપ. લાંબા સફેદ દાઢી-મૂછ, સાક્ષાત્ શિવનું સ્મરણ કરાવે એવા લાંબા છૂટા જટા સમ વાળ, કેસરી ઝભ્ભો, ગળામાં રુદ્રાક્ષની માળા, ખભે થેલો અને આંખે ચશ્માં- ‘બાપુ’ને જોઈએ ત્યારેકોઈ અલગારી ઓલિયાને મળ્યાનો ભાસ થયા વિના ન રહે. આધુનિક ગઝલની કરોડરજ્જુને સ્થિરતા બક્ષનાર શિલ્પીઓના નામ લેવા હોય ત્યારે બાપુનું નામ મોખરે સ્વયંભૂ જ આવી જાય.
(ચાનક= કાળજી, (૨) ઉત્તેજન, ઉત્સાહ, જાગૃતિ; થાનક =સ્થાનક; નાંવ = નામ; સમયરો = સમર્યો; અમિયેલ = અમૃત સીંચેલું; પાનક =પીણું, પેય; ચન = ચણ; હથ્થ = હાથ; નાનક = ગુરૂ નાનક; ધૌત=ધોયેલું, (૨) સ્વચ્છ; ગૌડ = એ નામનો એક શાસ્ત્રીય રાગ; ગાનક = ગાવામાં હોશિયારી, સંગીતમાં પ્રવીણતા; શબોરોજ = રાત-દિન; મુસલસલ= લગાતાર, નિરંતર, ક્રમબદ્ધ; અનલહક = ‘હું બ્રહ્મ-પરમાત્મા છું’ એ અર્થ આપતો શબ્દ; આનક = નગારું )
Permalink
October 4, 2006 at 8:43 AM by સુરેશ · Filed under ગઝલ, વિનય ઘાસવાલા
કોઇની પણ વાતમાં પડતો નથી,
એટલે હું કોઇને નડતો નથી.
જે ઘડીએ જે મળ્યું મંજૂર છે,
ભાગ્ય સાથે હું કદી લડતો નથી.
કોણે છલકાવ્યા નજરના જામને,
આમ તો હું જામને અડતો નથી.
હામ હૈયામાં છે મારા એટલે,
ઠોકરો ખાઉં છું પણ પડતો નથી.
ઠેસ પહોંચે કોઇના સન્માનને,
મનસૂબા એવા ‘વિનય’ ઘડતો નથી.
– વિનય ઘાસવાલા
Permalink
October 3, 2006 at 6:58 PM by ધવલ · Filed under ગઝલ, રાજેશ વ્યાસ મિસ્કીન
જુદા જુદા ધરમ મળે જુદા ખયાલ મળે,
નવાઈ છે કે સૌનું લોહી તો ય લાલ મળે.
એ ખજાનો હશે ખુશીનો ઉઘાડી જોજે,
તને જે આદમી ઉપરથી પાયમાલ મળે.
ઉપાય એ જ હશે તારી સૌ સમસ્યાનો
પાતાળ સાત તોડી જે તને સવાલ મળે.
આ કોણ આવીને બેઠું છે મારી આંખમાં,
ભરું હું મુઠ્ઠી ધૂળની અને ગુલાલ મળે.
કોણ અક્ષર નથી ઓળખતું ઓ ખુશી, તારા
અધૂરા સરનામે ય પણ મને ટપાલ મળે.
આંગણે કોડિયું ‘મિસ્કીન’ એક મૂકવું છે,
ફક્ત જો એક ઘડીભર વીતેલ કાલ મળે.
– રાજેશ વ્યાસ ‘મિસ્કીન’
એકથી એક ચડિયાતા શેરથી સજાવેલી આ ગઝલ જોઈને તરત જ મરીઝની યાદ આવી જાય. આ પહેલા વિવેકે રજૂ કરેલી એમની જ ગઝલ પણ ફરી જોઈ જવાનું ચૂકશો નહીં.
Permalink
September 29, 2006 at 11:27 PM by ધવલ · Filed under ગઝલ, રમેશ પારેખ
અસંખ્ય ઝાંઝવા ઘરની હવામાં ભટકે છે,
પછીથી હાથની રેખા બનીને અટકે છે.
હવે આ વૃક્ષને કેવી રીતે હું વૃક્ષ કહું ?
વસંત ડાળીએ બેસે તો ડાળ બટકે છે !
દીવાલ જેવી સલામત જગાઓ શોધીને
જુઓ, બધાં જ છબીમાં નિરાંતે લટકે છે.
– રમેશ પારેખ
પૂરી ન થઈ શકે એવી ઈચ્છાઓ આખરે હાથની રેખામાં, ભાગ્ય આગળ આવીને અટકે છે. સાદીસીધી લાગતી વાતમાં ઊંડો અર્થ ને આગવી અભિવ્યક્તિ = રમેશ પારેખ !
Permalink
September 28, 2006 at 9:39 AM by સુરેશ · Filed under ગઝલ, હેમન્ત દેસાઇ
કહું જો વાત મારી તો ખરે એ વારતા લાગે;
પ્રસંગો રાતરાણીની સુગંધે ઠારતા લાગે !
જગતના મંચ પર હું ફૂલશો ઊભો, કદી કિન્તુ,
ઊઘડવું કષ્ટ લાગે, ફોરવું નિસ્સારતા લાગે!
ન તોડું મૌનની આ વાડ , – પણ શેં કેદ પણ વેઠું?
નથી શ્રધ્ધા છતાં શબ્દો મને વિસ્તારતા લાગે!
અકિંચન છું પરંતુ રાજરાજેશ્વર સમું જીવતો,
નગરના લોક શું રસ્તાય સૌ સત્કારતા લાગે!
કદી ના કોઇ આલંબન લઉં, વિહરું સ્વયં નિત્યે,
છતાં દુર્ભાગ્ય કે મિત્રો મને શણગારતા લાગે!
કશામાં હું નથી એવી ચઢી મસ્તી, નશામાં છું,
હું ડૂબું છું, મને કો હાથ દરિયો તારતા લાગે!
ઊઠી જાઉં થતું કે મ્હેફિલેથી જામ ફોડીને;
વિખૂટા સાથી જન્મો જન્મના સંભારતા લાગે!
– હેમન્ત દેસાઇ
Permalink
September 25, 2006 at 9:52 PM by ધવલ · Filed under ગઝલ, મકરન્દ દવે
કોઈ ગુનો કર્યો જ નથી, એમ પણ નથી,
એને હું સાંભર્યો જ નથી, એમ પણ નથી.
મારે લથડતી ચાલ મને ક્યાં લઈ જશે ?
તેં હાથ આ ધર્યો જ નથી, એમ પણ નથી.
આ ગામ, આ ગલી, આ ઝરૂખો તો ગયાં પણ,
પાછો હું ત્યાં ફર્યો જ નથી, એમ પણ નથી.
તારાથી હોઠ ભીડી મેં નજરોને હટાવી,
ને કાંઈ કરગર્યો જ નથી, એમ પણ નથી.
તારી નજરની બ્હાર ગયો તો નથી, સનમ !
ચીલો મેં ચાતર્યો જ નથી, એમ પણ નથી.
દોસ્તો, હવે તો મારી હયાતીને દુવા દો !
કહેશો મા કે મર્યો જ નથી, એમ પણ નથી.
– મકરંદ દવે
જીવનની અપુર્ણતાઓ અને અસંગતિઓ જે જીવનને વધારે ચોટદાર બનાવે છે (અને કયારેક ચોટ પણ ખવડાવે છે!) એને કવિ એ ‘એમ પણ નથી’ કહીને અહીં ટાંકી છે. પોતાના સ્ખલનોની આપકબૂલાતથી વધારે સીધો સચ્ચાઈનો રસ્તો ક્યો હોય શકે ?
Permalink
September 24, 2006 at 4:48 AM by વિવેક · Filed under ગઝલ, મહેશ રાવલ ડૉ.
ક્યાંક દરિયો અને ક્યાંક રણની કથા
જિંદગી એટલે, આવરણની કથા.
આમ અકબંધ સંબંધની વારતા
આમ, અણછાજતા અવતરણની કથા.
એ અલગ વાત છે કે, ન ભૂલી શકો
પણ સ્મરણ માત્ર, છે વિસ્મરણની કથા !
ડૉ. મહેશ રાવલ
કુમારના એક અંકમાં આ ગઝલ વાંચી હતી. આ ગઝલમાં બીજા શેર છે કે નહીં તે તો હું જાણતો નથી, પણ એટલું જાણું છું કે આ ત્રણ શેર વડે પણ આ ગઝલ અધૂરી નથી લાગતી… આપનું શું માનવું છે?
તા.ક. : સંપૂર્ણ ગઝલ નીચે કોમેંટમાં છે. આભાર, સુનીલ.
Permalink
September 23, 2006 at 5:26 AM by વિવેક · Filed under ગઝલ, હિમાંશુ ભટ્ટ
મુસાફિરને આજે, દિશાઓ નડે છે,
વિકલ્પો નડે છે, વિસામો નડે છે.
ન હો જો કશું તો, અભાવો નડે છે,
મળે જો બધું તો, સ્વભાવો નડે છે.
લઈ એ ફરે છે હૃદયમાં દીવાલો
ના ભૂલી શક્યો જે, બનાવો નડે છે.
નવા નેત્રથી એને, જોવું છે જીવન
ઊગી છે જે આંખે, અમાસો નડે છે.
તને તારું જીવન, ફરી પાછું દેતાં,
હવે એને થોડા, લગાવો નડે છે.
હિમાંશુ ભટ્ટ
કોઈ એક ગઝલના બધા જ શેર સુંદર હોય એવું કવચિત્ જ બનતું હોય છે. આ ગઝલને જરા ઝીણવટથી જોઈએ તો આવું સુખદ આશ્ચર્ય અહીં શબ્દના પગલે-પગલે વેરાયેલું ભાસે છે. નડવું એ મૂળે માણસની પ્રકૃતિ છે. કંઈ ન હોય તો અભાવ અને બધું જ હોય તો સ્વભાવ નડે છે. ગઈ ગુજરી ભૂલી ન શક્વાના કારણે આપણે આવનારી જીંદગી પ્રેમથી જીવી નથી શક્તાં એ વાત પણ કેટલી સહજતાથી કહી દીધી છે! અને જીવનનો મોહ કોને ન હોય? ગઝલના મક્તાના શેરમાં લગાવોની વાત કરીને કવિએ કમાલ કરી દીધી છે એવું નથી લાગતું?!
Permalink
September 19, 2006 at 11:30 PM by ધવલ · Filed under ગઝલ, હરીન્દ્ર દવે
હું સરેરાશનો માણસ છું, નીકળી જઈશ,
કોઈ ઓળખશે નહીં. સર્વને મળી જઈશ.
યાદના જલતા દીવાઓથી વધ્યું અંધારું,
હું નર્યા મીણનો માણસ છું ઓગળી જઈશ.
છું હવા, ને એ હવાને વળી વિસ્તાર ક્યો ?
નમતી પાંપણમાં થઈ સ્વપ્ન હું ઢળી જઈશ.
મારી ધરતી તો શું આકાશમાંય આવી જુઓ,
હું તો પગલાંથી નહીં ગંધથી કળી જઈશ.
કાંકરી તમે નાહક નહીં શોધો અય દોસ્ત,
જળનાં ટીપાંથી હું આખોય ખળભળી જઈશ.
– હરીન્દ્ર દવે
મીણના માણસ હરીન્દ્ર દવે યાદ, જુદાઈ અને ઝંખનાની વાત માંડે ત્યારે આવી ગઝલ રચાય છે. કાંકરી તો કવિના જળસપાટી-વત મનને માટે બહુ મોટી વાત છે, એમાં તો જળનું જ એક ટીપું પડે તોય મસમોટાં વમળો રચાય છે – અંતરમનની વ્યથિત અવસ્થાની કેવી નાજુક અને અસરદાર રજૂઆત !
Permalink
Page 46 of 49« First«...454647...»Last »