આગ રાખીને હૃદયમા કોઈ જીવે,
તો વળી કોઈ બરફમાં પણ બળે છે.
– કિરણ જોગીદાસ ‘રોશન’
લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.
Archive for ગઝલ
ગઝલ શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.
May 13, 2007 at 12:42 AM by વિવેક · Filed under અકબરઅલી જસદણવાલા, ગઝલ
મનોરંજન કરી લઉં છું, મનોમંથન કરી લઉં છું,
પ્રસંગોપાત જીવનમાં પરિવર્તન કરી લઉં છું.
સમજપૂર્વક સમષ્ટિનું સમાલોચન કરી લઉં છું,
જીવનને હું વલોવી આત્મસંશોધન કરી લઉં છું.
મનોબળથી મનોવૃત્તિ ઉપર શાસન કરી લઉં છું
નયન નિર્મળ કરીને રૂપના દર્શન કરી લઉં છું.
નિરંતર શ્વાસ પર જીવનનું અવલંબન નથી હોતું,
બહુધા હું હૃદયમાં એક આંદોલન કરી લઉં છું.
અમે પાગલ, અમારે ભેદ શો ચેતન-અચેતનમાં,
પ્રતિમા હો કે હો પડછાયો હું આલિંગન કરી લઉં છું.
સમય ક્યારે વિસામો ખાય છે ‘અકબર’ના જીવનમાં ?
વિસર્જન થાય છે નિત્, નિત્ નવું સર્જન કરી લઉં છું.
– અકબરઅલી જસદણવાલા
Permalink
May 10, 2007 at 1:00 AM by સુરેશ · Filed under ગઝલ, રાજેન્દ્ર શુક્લ
પલપલ પડે છે છાપ, મને કૈં ખબર નથી.
બસ ઊઘડું અમાપ, મને કૈં ખબર નથી.
પૂછી જુઓને આપ, મને કૈં ખબર નથી.
કોનો છે આ કલાપ, મને કૈં ખબર નથી.
કોનું ધર્યું છે નામ, કયે રૂપ ઝળહળું,
કોને જપુ છું જાપ, મને કૈં ખબર નથી.
રાખે છે તું હિસાબ, પળેપળ અભિજ્ઞતા,
લખ, થાપ કે ઉથાપ, મને કૈં ખબર નથી.
ભૂલું પડ્યું છે આ કોણ તૃણાંકુરની ધાર પર,
કોમળ કિરણને તાપ, મને કૈં ખબર નથી.
– રાજેન્દ્ર શુકલ
Permalink
May 7, 2007 at 11:10 PM by ધવલ · Filed under ઉદયન ઠક્કર, ગઝલ
અહીં મેં પ્રથમ મેઘને વ્યથા સંભળાવી લીધી
અને ત્યાં પ્રિયાએ તરત તાડપત્રી લગાવી લીધી
નયન જો ગમે તો નયન, હ્રદય જો ગમે તો હ્રદય
હવાફેર માટે તને જગા બે બતાવી દીધી
એ તો હસ્તરેખાઓનું નસીબ જોર કરતું હશે
હથેળીમાં લઈ એમણે હથેલી દબાવી લીધી
કોઈ પ્હેરી કંકણ ફરે, કોઈ કુંડળોને ધરે
અમે કંઠી વરસાદની ગળામાં સરાવી લીધી
કે વરસાદના નામ પર તો કૈં કૈં અડપલા થયાં
નદીએ વગર હકની જમીનો દબાવી લીધી
બે આંખોના ગલ્લા ઉપર ધસારો થયો દૃશ્યનો
વરસભરની આવક જુઓ, પલકમાં કમાવી લીધી
આ વરસાદમાં જાતનું થવાનું હતું, તે થયું
જરા ઓગળી ગઈ અને વધી તે વહાવી લીધી
પરોઢે કૂણા તાપને, મળ્યા આપ તો આપને
પહેલું મળ્યું એને મેં ગઝલ સંભળાવી લીધી
– ઉદયન ઠક્કર
આજે અચાનક જ આ રમતિયાળ ગઝલ વાંચવામાં આવી ગઈ અને ખરેખર અષાઢના પ્રથમ દિવસ જેટલો આનંદ થઈ ગયો. આવા નવાનક્કોર કલ્પનો અને ગર્ભિત રમૂજથી ભરીભરી ગઝલ વારંવાર થોડી મળે છે ?! પહેલા જ શેરમાં કવિએ સરસ ગમ્મત કરી છે. કવિ અષાઢના પ્રથમ દિવસે કાલિદાસના નાયકની જેમ મેઘને પોતાની વ્યથા સંભળાવમાં રાચે છે ત્યારે એમની પ્રિયા શું કરે છે ? – કવિનું તદ્દન પોપટ કરે છે અને તાડપત્રી લગાવી દે છે
આ એક જ શેર પરથી ગઝલનો માહોલ બંધાઈ જાય છે. અષાઢનો પહેલો દિવસ તો રુઢિચુસ્ત ગઝલને માળીયે ચડાવીને શબ્દોને છૂટ્ટો દોર આપવાનો દિવસ છે ! એ મસ્તીના માહોલને મનમાં ભરીને તમે પણ આ ગઝલ ફરી એક વાર વાંચી જુઓ.
Permalink
May 5, 2007 at 4:03 AM by વિવેક · Filed under કવિ રાવલ, ગઝલ
એકલો, અવ્વાવરૂ ને સાવ સૂનો,
આપણાં ઘરમાં રહે છે એક ખૂણો.
એ મને લાગે ઢળેલી સાંજ જેવો…
કેટલાંયે આથમે છે ત્યાં અરૂણો
હૂંફ જેવું છે કશુંક એની કને પણ,
આમ છે તડકા સમો ને તો’ય કૂણો.
ત્યાં જ ખરતો હોય છે ક્યારેક ડૂમો,
યાદ આવી જાય છે સંબંધ જૂનો.
આપણે તો એ જ તીરથ, એ જ યાત્રા,
“કવિ” ધખાવી બેસ અહીંયા એ જ ધૂણો.
-કવિ રાવલ
મૂળ નામ (કુમારી) કવિતા રાવલ, પણ કવિતા લખે કવિના નામથી. મૂળ રાજકોટના, પણ રહે છે અમદાવાદ. મૂળે કૉમર્સના સ્નાતક, પણ પનારો પાડે છે આર્ટ્સ (શબ્દો) સાથે! મૂળે શબ્દોની ગલીઓના ભોમિયા, પણ સરકાર માન્ય ટુરિસ્ટ ગાઈડનું લાઈસન્સ પણ ધરાવે. કવિની ગઝલોમાં બળકટ તાજગી અને છંદોની સફાઈ ઊડીને આંખે ચડે છે. ગઝલના છંદો સાથે રમત કરી સતત નવું નિપજાવવાની એમની ચેષ્ટા એમની સંનિષ્ઠતાની સૂચક છે. પ્રસ્તુત ગઝલમાં તડકાની હૂંફ અને કૂણાશ કેવી સંજિદી હળવાશથી આપણને સ્પર્શે છે !
Permalink
May 4, 2007 at 10:48 PM by ધવલ · Filed under ગઝલ, હરીન્દ્ર દવે
મેળો છે એવો મોટો કે મેળાનો થાક છે,
તમને થયું કે આપણી દુનિયાનો થાક છે ?
જેવું તને મેં જોયું ત્યાં ભાંગી પડ્યો, મરણ!
મંજિલ મળી તો લાગે છે મોકાનો થાક છે.
મારા વદનના ભારથી વ્યાકુળ બનો નહીં,
હમણાં જ ઊતરી જશે રસ્તાનો થાક છે.
મારે જો શીખ લ્યો તો મુલાયમ થશો નહીં,
રહીને સુંવાળા સૌને દુભાવ્યાનો થાક છે.
નદીઓ તો સામટી મળી ધોયાં કરે ચરણ,
પણ ક્યાંથી ઊતરે કે જે દરિયાનો થાક છે.
– હરીન્દ્ર દવે
હરીન્દ્ર દવેએ મૃત્યુ વિષય પર ઘણી ઘણી રચનાઓ કરી છે. અહીં પણ મરણ પરનો શેર બહુ સરસ થયો છે. અને ગુજરાતી ભાષાના સૌથી મુલાયમ સ્વભાવના ગણાતા કવિ શીખ શું આપે છે ? – મુલાયમ નહીં થતા !!!
Permalink
May 3, 2007 at 1:00 AM by સુરેશ · Filed under ગઝલ, પ્રફુલ્લ દવે
સાચું ખોટું રમીએ છીએ,
ખાલી થાળી જમીએ છીએ.
ઠંડા શ્વાસો ભરીએ છીએ.
મન માંહે સમસમીએ છીએ.
ક્ષણ માંહે સળગીએ છીએ.
ધીમે ધીમે ઠરીએ છીએ.
ઘા લાગે તરફડીએ છીએ.
પણ મરવાથી ડરીએ છીએ.
કાચના ઘરમાં રહીએ છીએ.
રોજ અજમ્પો સહીએ છીએ.
કેવું કેવું જીવીએ છીએ.
હોઠને કેવા સીવીએ છીએ.
રોજ સરકતા સમયની સાથે,
કાળના મુખમાં સરીએ છીએ.
હર ઘટનામાં જન્મી જન્મી,
હર ઘટનામાં મરીએ છીએ.
– પ્રફુલ્લ દવે
વ્યવસાયે ન્યાયાધીશ એવા આ કવિએ માનવ જીવનની નિયતિનું, માનવની અવશતાનું આ ચિત્ર રજુ કર્યું છે. અને માટે જ ‘આ ક્ષણમાં જ જીવવાનો‘ મંત્ર બહુ સૂચક અને મંગળદાયક અર્થ ધારણ કરે છે.
Permalink
May 2, 2007 at 1:00 AM by સુરેશ · Filed under ગઝલ, પ્રફુલ્લ દવે
‘હા’ અને ‘ના’ નું જ છળ!
કેટલી નાજૂક પળ !
આપણે ‘ને લાગણીઓ,
કેટલાં ઊંડાં વમળ!
’હું’ અને ‘તું’ સામસામે !
આયના કેરું જ છળ!
ડૂબવાનું શબ્દ સાથે,
તળ વિનાનું અર્થનું જળ!
દોડતી ક્ષણ ખોલી જોયું,
કોઇ ના પકડાઇ કળ!
– પ્રફુલ્લ દવે
તેમના તાજેતરમાં પ્રસિદ્ધ થયેલ કાવ્યસંગ્રહ ‘પડઘાતું મૌન’માંથી.
Permalink
April 28, 2007 at 12:19 AM by વિવેક · Filed under ગઝલ, ભરત વિંઝુડા
હોય મનમાં એક-બે જણનો અભાવ
જ્યાં હતો આખીય દુનિયાનો લગાવ
આંખ ખૂલી હોય ને બનતા રહે
આંખ ખોલી નાખનારા કંઈ બનાવ
હું રમતમાં હોઉં નહીં સામેલ ‘ને
તોય દેવાનો થયો મારેય દાવ
જળ વહી આવે તો તરવાની ફરી
મધ્ય રેતીમાં ઊભી છે એક નાવ
ભોગવે છે આજુબાજુમાં સહુ
હું ને તું બેઠાં છીએ એનો તનાવ
-ભરત વિંઝુડા
ભરત વિંઝુડાની આ ગઝલ જેટલી સરળ છે એટલી જ મર્માળી પણ છે. ખુલ્લી આંખનો શ્લેષ પ્રયોજવામાં એમની કલમનું બળકટપણું સ્પષ્ટ ઉપસી આવેલું અનુભવાય છે. અને એ જ રીતે બે જણ શાંતિથી બેઠા હોય એ આપણે જોઈ શકતા નથીની વરવી વાસ્તવિક્તા ગઝલના આખરી શેરમાં કેવી સુપેરે વ્યક્ત થઈ શકી છે !
Permalink
April 26, 2007 at 1:00 AM by સુરેશ · Filed under ગઝલ
કેટલા વરસે મળી ગ્યા ‘કેમ છો?’
સાવ બસ ભૂલી ગયા’તા ‘કેમ છો?’
હું ફકત હસતો રહ્યો ઉત્તર રૂપે
એમણે પૂછ્યું’તું હસતાં ‘કેમ છો?’
શહેર છે ઓ દોસ્તો! આ શહેર છે.
કોઇ નહીં પૂછે અહીંયાં, ‘કેમ છો?’
અર્થ એના કેટલા એ કાઢશે?
કોકને પૂછ્યું’તું અમથા, ‘કેમ છો?’
આંખ મેં બારી તરફ માંડી ફકત,
કોઇએ પૂછ્યું કે ઘરમાં ‘કેમ છો?’
– અજ્ઞાત
ગુજરાતીનું સૌથી નાનું પણ સૌથી વધારે વપરાતું વાક્ય – ‘ કેમ છો?’
શ્રી. મનહર ઉધાસે આ ગઝલ બહુ સરસ મિજાજમાં ગાઇ છે.
Permalink
April 25, 2007 at 1:00 AM by સુરેશ · Filed under ગઝલ, ચિનુ મોદી
રહે એ જ ‘ઇર્શાદ’ને વસવસો
કહી ના શક્યો કોઇને કે ખસો.
પૂછું પ્રશ્ન હું શ્વેત પગલાં વિશે
અને દરવખત આપ ફિક્કું હસો.
સમય નામની બાતમી સાંપડી
પછી લોહી શું કામ નાહક ધસો:
પડે ડાળથી પાંદડું, એ પછી
ઇલાજો કરું એકથી એક સો.
ઇલાજો કરું એકથી એક સો
રહે એ જ ‘ઇર્શાદ’ને વસવસો.
– ચિનુ મોદી ( ઇર્શાદ)
કવિ પરિચય
આધુનિકતાને વરેલા છતાં ગઝલના મૂળ સ્વરૂપની ઇજ્જત જાળવતા આ કવિની, પોતાની આગવી, આ ‘તસબી’ પ્રકારની રચના છે.
Permalink
April 24, 2007 at 10:59 PM by ધવલ · Filed under ગઝલ, મુકુલ ચૉકસી
અમે કેકટસને કાંઠે લાંગરેલા હાથ થઈ બેઠા,
તમે પણ કેટલો લોહીલુહાણ આધાર દઈ બેઠા!
તો વચ્ચેની જગાને સૌ તળેટી નામ દઈ બેઠા,
જો પહાડો ખીણથી બે ચાર ડગલાં દૂર જઈ બેઠા.
નિચોવાઈ ગયેલા હોઠને જોયા તો યાદ આવ્યું;
ફરી ક્યાં કોઈનું ગમતું પલળતું નામ લઈ બેઠા!
અવસ્થાની નદીમાં આજ ઘોડાપૂર આવ્યાં, ને;
અમે કાંઠા કદી નહી છોડવાની હઠ લઈ બેઠા.
– મુકુલ ચોકસી
સંબંધની એક અવસ્થા આવે છે કે સમગ્ર સંબંધ કડવાશથી ભરાઈ જાય છે. એક બીજાને કાંઈ પણ કહો બધુ જ દુ:ખદાયક બની જાય છે. એવી અવસ્થાનું વર્ણન આ ગઝલના પહેલા શેરમાં ધારદાર રીતે કર્યું છે. કેકટસના કાંઠે લાંગરેલા હાથ અને લોહીલુહાણ આધાર – કેટલી સચોટ વાત ! આજે આ એક શેરની વાત ઘણી છે… બાકીના શેરની વાત ફરી કોઈ વાર માંડશું.
Permalink
April 22, 2007 at 1:33 AM by વિવેક · Filed under ગઝલ, જાતુષ જોશી
અંત ને શરૂઆત લઇ ઊભા છીએ,
જાત ખોઇ, જાત લઇ ઊભા છીએ.
ક્યાં અહીં અજવાસ કે અંધાર છે?
ક્યાં દિવસ કે રાત લઇ ઊભા છીએ?
કોઇ પ્રત્યાઘાત તો શોધો જરા,
મર્મ પર આઘાત લઇ ઊભા છીએ.
એક ઢળતી પળ હજી પામી મરણ,
એક પળ નવજાત લઇ ઊભા છીએ.
શબ્દ તો સાપેક્ષ છે, નિરપેક્ષ છે,
શબ્દને સાક્ષાત લઇ ઊભા છીએ.
-જાતુષ જોશી
જાતુષ જોશીની કવિતામાં પરંપરાના પ્રતીકો પોતીકી તાજગી સાથે આવતા હોવાથી એમાં વાસીપણાની બદબૂ નહીં, પણ ઓસની ભીનાશ વર્તાય છે અને એનું કારણ તો વળી એ પોતે જ આપે છે કે શબ્દને સાક્ષાત્ લઈ ઊભા છીએ. એક ક્ષણના મૃત્યુના ગર્ભમાં બીજી ક્ષણ જન્મ લઈ રહી હોવાનો ઈંગિત પણ તરત જ ગમી જાય એવો છે.
Permalink
April 19, 2007 at 1:00 AM by સુરેશ · Filed under કૈલાસ પંડિત, ગઝલ
ન આવ્યું આંખમાં આંસું, વ્યથાએ લાજ રાખી છે.
દવાની ગઇ અસર ત્યારે, દુવાએ લાજ રાખી છે.
તરસનું માન જળવાઇ ગયું, તારા વચન લીધે,
સમયસર આભથી વિખરી, ઘટાએ લાજ રાખી છે.
ઘણું સારું થયું આવ્યા નહિ, મિત્રો મને મળવા,
અજાણે મારી હાલતની, ઘણાંએ લાજ રાખી છે.
પડી ‘કૈલાસ’ ના શબ પર, ઊડીને ધૂળ ધરતીની,
કફન ઓઢાડીને મારી, ખુદાએ લાજ રાખી છે.
– કૈલાસ પંડિત
ગમગીન રચનાઓના ચાહક આ કવિની ગઝલોના મત્લામાં પણ ‘બેફામ’ની ગઝલોની જેમ ઘણી વખત મૃત્યુ આવી જાય છે. શ્રી. મનહર ઉધાસે બહુ જ સુરીલા કંઠે આ ગઝલ ગાઇ છે.
Permalink
April 17, 2007 at 5:27 PM by ધવલ · Filed under અમૃત ઘાયલ, ગઝલ
એવી જ છે ઈચ્છા તો મેં આ ઘૂંટ ભર્યો, લે !
છોડ્યો જ હતો કિન્તુ ફરી મીઠો કર્યો, લે !
લઈ પાંખ મહીં એને ઊગારી લે પવનથી,
સળગે છે હજુ દીપ નથી સાવ ઠર્યો, લે !
તક આવી નિમજ્જનની પછીથી તો ક્યાં મળે
લે આંખ કરી બંધ અતિ ઊંડે સર્યો, લે !
મરવાની અણી પર છું છતાં જીવી શકું છું,
સંદેહ તને હોય તો આ પડખું ફર્યો, લે !
સાચે જ તમાચાઓથી ટેવાઈ ગયો છું,
અજમાવવો છે હાથ તો આ ગાલ ધર્યો, લે !
કેમે ય કરી ડૂબ્યો નહિ જીવ અમારો
ડૂબ્યો તો ફરી થઈ અને પરપોટો તર્યો, લે !
‘ઘાયલ’ને પ્રભુ જાણે ગયું કોણ ઉગારી,
મૃત્યુ ય ગયું સૂંઘી પરંતુ ન મર્યો, લે !
– અમૃત ‘ઘાયલ’
ઘાયલસાહેબની આ રચનાનો …આ પડખું ફર્યો, લે ! શેર તો ખૂબ જાણીતો શેર છે. પરંતુ આખી ગઝલ તો હમણા જ વાંચવામાં આવી. આખી ગઝલ જુઓ તો ઘાયલસાહેબની ‘રેંજ’નો ખ્યાલ આવે… અને ‘નિમજ્જન’ જેવો શબ્દ એ કેવી અદભૂત રીતે ગઝલમાં લઈ આવ્યા છે એ તો જુઓ ! આ ગઝલ જોઈને અનાયાસ જ ડીલન થોમસનું ગીત Do Not Go Gentle Into That Good Night યાદ આવી ગયું. એમાં પણ ઘાયલસાહેબના શેરની જેમ જ મોત સામે છેલ્લા શ્વાસ સુધી લડી લેવાની વાત બહુ ઉમદા રીતે મૂકી છે.
(નિમજ્જન=ડૂબકી મારવી)
Permalink
April 16, 2007 at 8:18 PM by ધવલ · Filed under ગઝલ, મહેશ રાવલ ડૉ.
વીતી ગયેલી પળ વિષે, ચર્ચા ન કર
સપના વિષે, અટકળ વિષે,ચર્ચા ન કર
લોકો ખુલાસા માંગશે, સંબંધનાં
તેં આચરેલા છળ વિષે, ચર્ચા ન કર
ચર્ચાય તો, ચર્ચાય છે સઘળું, પછી
તું આંસુ કે અંજળ વિષે ,ચર્ચા ન કર
એકાદ હરણું હોય છે સહુમાં, અહીં
તું જળ અને મૃગજળ વિષે, ચર્ચા ન કર
જે સત્ય છે તે સત્ય છે, બે મત નથી
અમથી, અસતનાં બળ વિષે, ચર્ચા ન કર
– ડૉ. મહેશ રાવલ
આભાર, સુનીલ.
Permalink
April 12, 2007 at 1:00 AM by સુરેશ · Filed under ગઝલ, મરીઝ
આ મોહબ્બત છે, કે છે એની દયા, કહેતા નથી.
એક મુદ્દત થઇ કે, તેઓ હા કે ના કહેતા નથી.
લ્યો નવાઇ આપની શંકા સુધી પહોંચી ગઇ.
બસ હવે આગળ અમે દિલની કથા કહેતા નથી.
એને તું સંયમ કહે, તારી કૃપા કિંતુ અમે,
મનમાં નબળાઇ છે તેથી દુર્દશા કહેતા નથી.
એ જ લોકો થઇ શકે છે મહેફિલોની આબરૂ,
જેઓ વેરાનીને પણ સૂની જગા કહેતા નથી.
બે જણા દિલથી મળે તો એક મજલીસ છે ‘મરીઝ’
દિલ વિના લાખો મળે, એને સભા કહેતા નથી.
– મરીઝ
ગુજરાતના ગાલીબ ગણાતા આ મહાન શાયરની આ રચનાની છેલ્લી કડી બહુ જ જાણીતી છે.
Permalink
April 11, 2007 at 11:25 AM by સુરેશ · Filed under કૈલાસ પંડિત, ગઝલ
ચમન તુજને સુમન, મારી જ માફક છેતરી જાશે,
પ્રથમ એ પ્યાર કરશે, ને પછી જખ્મો ધરી જાશે.
અનુભવ ખુબ દુનિયાનો લઇને હું ઘડાયો’તો,
ખબર ન્હોતી તમારી, આંખ મુજને છેતરી જાશે.
ફના થાવાને આવ્યો’તો, પરંતુ એ ખબર ન્હોતી,
કે મુજને બાળવા પ્હેલાં , સ્વયમ્ દીપક ઠરી જાશે.
ભરેલો જામ મેં ઢોળી દીધો’તો એવા આશયથી,
હશે જો લાગણી એના દિલે, પાછો ભરી જાશે.
મરણની બાદ પણ ‘કૈલાસ’ ને બસ રાખજો એમ જ,
કફન ઓઢાવવાથી, લાશની શોભા મરી જાશે.
– કૈલાસ પંડિત
ગમગીનીની ગઝલો જેમને વધારે સદતી હતી તેવા આ ઋજુ હૃદયના કવિનું જીવન પણ ગમથી ભરેલું હતું. તેમની આ રચના શ્રી. મનહર ઉધાસના કંઠે સાંભળતાં આપણે પણ એ માહોલમાં ખેંચાઇ જઇએ છીએ.
Permalink
April 6, 2007 at 11:14 AM by ધવલ · Filed under ઉર્વીશ વસાવડા, ગઝલ
કાચના અસ્તિત્વ પર પ્રશ્નાર્થ લાગી જાય છે
હાથમાંથી એક પથ્થર જ્યારે ફંગોળાય છે
બંધ મૂઠ્ઠી ખોલવામાં પ્રશ્ન એ સર્જાય છે
હસ્તરેખાની લીપી ક્યાં કોઈને સમજાય છે
કેમ કોઈ સાંભળી શકતું નથી આ શહેરમાં ?
એક પંખી તારસ્વરમાં ગીત કાયમ ગાય છે
આ જગાએ એક ટહુકો સાંભળ્યો તો મે કદી
એ સતત મારા સ્મરણમાં આજે પણ પડઘાય છે
બુદબુદા ફૂટે સપાટી પર બધા દેખી શકે
કોઈને પેટાળના વિસ્ફોટ ક્યાં દેખાય છે.
– ઉર્વીશ વસાવડા
આમ તો ગઝલ આખી સરસ છે. પણ બીજો શેર મને સૌથી ગમ્યો. હસ્તરેખાની લીપીની વાત સરસ રીતે આવી છે. એક બાજુ મુઠ્ઠી ખોલવાની વાત છે જ્યારે બીજી બાજુ ભવિષ્ય વાંચવાની વાત છે ! આગળ વિવેકે ઉર્વીશભાઈના સંગ્રહ ‘ટહુકાના વન’ની સફર કરાવેલી એ પણ આ સાથે જોશો.
આ ગઝલ મોકલવા માટે આભાર, કલ્પન !
Permalink
April 5, 2007 at 1:00 AM by સુરેશ · Filed under ગઝલ, દિલીપ મોદી
લ્યો, વસંતી સૂર હું સૂણી ગયો
રંગબેરંગી પળે ટહુકી ગયો.
મિત્રતાનું એ કમળ લેવા જતાં
દોસ્ત! કાદવમાં પછી ખૂંપી ગયો.
ખૂટી ગઇ છે મારી પણ ધીરજ હવે
આમ જીવન જીવતા થાકી ગયો.
મારી મરજી હો, ન તારી મરજી હો
આંખથી હું સત્યને સમજી ગયો.
અટકળોની બાહુઓમાં છેવટે
થઇ અધીરો ખુદ સમય વળગી ગયો.
બાગનું સરનામું ક્યાં મળતું હતું?
હું ઇશારે મ્હેંકના પ્હોંચી ગયો.
ગત જમાનાની છબી થઇને ‘દિલીપ’
ભીંતમાંની ખીલી પર લટકી ગયો.
– ડો. દિલીપ મોદી
Permalink
April 4, 2007 at 1:00 AM by સુરેશ · Filed under ગઝલ, હરીશ પંડ્યા
ગાંઠ જૂની આજ છોડી દે હવે,
બંધ કિલ્લો આજ તોડી દે હવે.
બિંબ સાચું એક જેમાં ના મળે,
દર્પણોને આજ ફોડી દે હવે.
સર થશે પર્વત સમો આ માનવી,
લાગણીનો ધ્વજ ખોડી દે હવે.
પ્રેમનું સંગીત ગુંજી તો રહે,
બે હૃદયના તાર જોડી દે હવે.
જિંદગીની પાથરી ચોપાટ છે,
હાથમાં એનાય કોડી દે હવે.
– હરીશ પંડ્યા
પૂર્વગ્રહો અને રૂઢ માન્યતાઓથી સ્વતંત્રતા વાંછતી આ ગઝલ મુક્ત મનના માનવીની ચિત્ત વૃત્તિને અનુકૂળ આવે તેવી છે! મત્લામાં ‘એના’ શબ્દ વાપરીને કવિએ ઘણું બધું કહી દીધું છે. જેના ગુણગાન ગાતાં આપણે થાકતા નથી તેવા પરમ તત્વને ય જિંદગીની ચોપાટમાં રમવા દેવાનું ઇજન આપીને કવિએ બહુ મોટી વાત કરી દીધી છે.
Permalink
April 2, 2007 at 8:21 PM by ધવલ · Filed under ગઝલ, મનોજ ખંડેરિયા
ખૂબ અંદર ભીનો છું નહીં સળગું;
કાષ્ટ સૂકાં ને સૂકાં જ ગોઠવજો.
ના ગમે તો ઊઠીને ચાલ્યા જજો,
શરમે મારી ગઝલ ન સાંભળજો.
એનું માઠું મને નહીં લાગે,
મારું માઠું વરસ છે તે સમજજો.
– મનોજ ખંડેરિયા
ત્રણ જ શેરની આ ગઝલ વરસાદના નાના પણ જોરદાર ઝાપટા જેવી છે. ભીંજાયે જ છુટકો !
Permalink
April 1, 2007 at 12:24 AM by વિવેક · Filed under ગઝલ, મુકુલ ચૉકસી
ઐશ્વર્ય હો અલસનું ઉપર તિલક તમસનું
ઉન્માદ કેવું રક્તિમ છે રૂપ આ રજસનું,
ફાડી નથી શકાતું પાનું વીત્યા વરસનું
મનને છે કેવું ઘેલું આ જર્જરિત જણસનું !
પૂર્વે હો પારિજાતો, પશ્ચિમમાં પૂર્ણિમાઓ
ચારે તરફ હવે તો સામ્રાજ્ય છે સરસનું
બાહુ વહાવી દઈને બારીથી બારણાથી,
ઓછું કરી દો સાજણ, અંતર અરસપરસનું.
પેટાવો પાંદપાંદે એ તળપદાં તરન્નુમ
બુઝાવો ધીમે ધીમે એ તાપણું તરસનું
કેવા અસૂર્ય દિવસો ! કેવી અશ્યામ રાતો !
કેવું ઝળકઝળકતું મોંસૂંઝણું મનસનું
– મુકુલ ચોકસી
મુકુલ મનહરલાલ ચોક્સી. (જ. 21-12-1959). જન્મે ને કર્મે સુરતી. કવિ. હાસ્ય કવિ. મનોચિકિત્સક. સેક્સોલોજીસ્ટ. સરવાળે ન મળ્યા હોય તો પસ્તાવું પડે એવો માણસ. કેટલાક કવિઓ શબ્દ પાસે જઈને યાચના કરે, આરાધના કરે અને કવિતા કરે. આ માણસ એવો કે શબ્દ જાતે એની પાસે આવે અને નવોન્મેષ પામી ગૌરવાન્વિત થાય. એના જબરદસ્ત કવિકર્મને કદાચ ર.પા.ની હરોળમાં મૂકી શકાય. તરસનું તાપણું અને અશ્યામ રાતો એ મુકુલની કવિતામાં જ આવી શકે. પરસ્પરને અત્યંત તીવ્રતાથી મળવાની ઘડીમાં કદાચ આપણા બાહુઓ પણ આડખીલી લાગે. બાહુને વહાવી દઈને એકમેક વચ્ચેનું અંતર શૂન્ય કરવાની વાત ગઝલને અ-લૌકિક અનુભૂતિના સ્તરે મૂકે છે. (કાવ્યસંગ્રહો: ‘તરન્નુમ’, ‘આજથી પત્રોને બદલે લખજે નક્ષત્રો સજનવા’, ‘તાજા કલમમાં એજ કે…’)
Permalink
March 29, 2007 at 1:00 AM by સુરેશ · Filed under ગઝલ, હરીશ પંડ્યા
આપણી વચ્ચે કશું એવું નથી, એવું નથી,
હોય તો પણ એ તને કહેવું નથી, કહેવું નથી.
છે નકી ઝાકળ સરીખો પ્રેમ વેચાતો અહીં,
દર્દ બીજાનું હવે લેવું નથી, લેવું નથી.
રોજ ઊગે ચાંદ- સૂરજ આ ધરા અજવાળવા,
શ્વાસનું તો કાયમી જેવું નથી, જેવું નથી.
હું નજર ઢાળી ધરા પર એમ બસ ફરતો રહું,
પ્રેમનાં એ દર્દને સ્હેવું નથી, સ્હેવું નથી .
ક્યાં મળે છે પાત્ર એવું, કે બધું આપી શકું,
ભીતરી ઝવેરાતને દેવું નથી, દેવું નથી.
– હરીશ પંડ્યા
રદ્દીફ અને કાફીયા બન્ને દોહરાવાય છે તેવી આ ગઝલનું વિશિષ્ઠ સૌંદર્ય આપણા મનને ગમી જાય તેવું છે.
Permalink
March 25, 2007 at 1:39 AM by વિવેક · Filed under અંકિત ત્રિવેદી, ગઝલ
શક્યતાને આ રીતે સાંધો નહીં,
ઉંબરા પર ઘર તમે બાંધો નહીં.
સાચું પડશે તો મઝા મારી જશે,
સ્વપ્ન જોવામાં કશો વાંધો નહીં.
એટલી ખૂબીથી ચાદરને વણી,
ક્યાંયથી પણ પાતળો બાંધો નહીં.
એમને તો જે હશે તે ચાલશે,
એમના નામે કશું રાંધો નહીં.
આ ગઝલ છે, એની રીતે બોલશે,
કોઈ સાધો, કોઈ આરાધો નહીં.
-અંકિત ત્રિવેદી
આમ તો આખી ગઝલ સારી છે, પણ હું પહેલા શેરથી આગળ નહીં વધું. વાત છે શક્યતાને સાંધવાની અને પ્રતીક છે ઉંબરો. ઉંબરો એ ઘર અને બહારની વચ્ચેનો સાંધો છે. તમે ક્યાં ‘ઘર’ની અંદર રહી શકો છો, ક્યાં ‘બહાર’. ઉંબરા પર-વચ્ચે-રહી શકાતું નથી. ઉંબરો ત્યારે જ ઉદભવે જ્યારે પાછળ ‘ઘર’ અને આગળ ‘બહાર’ હોય! ઉંબરા પર ઘર બાંધવું એટલે જાણે સમસ્યાની આ પાર પણ નહીં અને પેલી પાર પણ નહીં. ઉંબરા પર રહેવાની વાત ગતિહીનતાની વાત છે, સ્થગિતતા, નિર્જીવતાની વાત છે. ઉંબરો થીજી ગયેલી જડતા છે. એને વટાવીને જ તમે અંદર કે બહાર જઈ શકો છો. અંકિત ત્રિવેદીના ‘ગઝલપૂર્વક’ના ઘરમાં પ્રવેશવા માટેનો ઉંબરો છે કદાચ આ શેર… હવે આગળ ગઝલ વાંચીએ……
Permalink
March 22, 2007 at 1:00 AM by સુરેશ · Filed under અહમદ ‘ ગુલ’, ગઝલ
પાથરું છું ફૂલ, કાંટા વેરનારો હું નથી,
શાંત જળમાં પથ્થરોને ફેંકનારો હું નથી.
ફાયદો જોયા જ કરવાની છે આદત એમની,
ભાવતાલોથી સંબંધો જોડનારો હું નથી.
મૌન પણ ક્યારેક તો પડઘાય છે મ્હેફિલ મહીં,
શબ્દના ઘોંઘાટ થઇને નાચનારો હું નથી.
માંગવા છે જો ખુલાસા, રૂબરૂ આવી મળો,
કાગળો કે કાસીદોને માનનારો હું નથી.
બસ હવે આ ‘હું’પણાની જેલમાંથી નીકળી,
એમ જીવી જાઉં જાણે, હું જ મારો ‘હું’ નથી.
એમ તો મેં પણ દીધું છે રક્ત વારંવાર ‘ગુલ’
તે છતાં એની નજરમાં કેમ સારો હું નથી.
– અહમદ ‘ ગુલ’
તેમના કાવ્યસંગ્રહ ‘મૌન પડઘાયા કરે’ ના નામને સાર્થક કરતી આ રચના તેમના સ્વગત સંવાદનો પડઘો પાડે છે.
Permalink
March 18, 2007 at 3:23 AM by વિવેક · Filed under ગઝલ, મરીઝ
બસ એટલી સમજ મને પરવરદિગાર દે,
સુખ જ્યારે જ્યાં મળે ત્યાં બધાના વિચાર દે.
માની લીધું કે પ્રેમની કોઈ દવા નથી,
જીવનના દર્દની તો કોઈ સારવાર દે.
ચાહ્યું બીજું બધું તે ખુદાએ મને દીધું,
એ શું કે તારા માટે ફક્ત ઈન્તિઝાર દે.
આવીને આંગળીમાં ટકોરા રહી ગયા,
સંકોચ આટલો ન કોઈ બંધ દ્વાર દે.
પીઠામાં મારું માન સતત હાજરીથી છે
મસ્જિદમાં રોજ જાઉં તો કોણ આવકાર દે !
નવરાશ છે હવે જરા સરખામણી કરું,
કેવો હતો અસલ હું, મને એ ચિતાર દે.
તે બાદ માંગ મારી બધીયે સ્વતંત્રતા,
પહેલાં જરાક તારી ઉપર ઈખ્તિયાર દે.
આ નાનાં નાનાં દર્દ તો થાતાં નથી સહન,
દે એક મહાન દર્દ અને પારાવાર દે.
સૌ પથ્થરોના બોજ તો ઊંચકી લીધા અમે,
અમને નમાવવા હો તો ફૂલોનો ભાર દે.
દુનિયામા કંઇકનો હું કરજદાર છું ‘મરીઝ’,
ચૂકવું બધાનું દેણ જો અલ્લાહ ઉધાર દે.
-મરીઝ
કહેવાય છે કે એક ગઝલમાં એકાદ શેર પણ યાદગાર હોય તો કવિકર્મ સાર્થક થયું. પણ મરીઝની ગઝલ વાંચો તો સાવ ઊલટો જ અનુભવ થાય છે. આ એક ગઝલમાં યાદગાર ન હોય એવા કદાચ એકપણ શેર નથી અને આ જ મરીઝની લાક્ષણિક્તા છે જે એમને ગુજરાતી ગઝલની ચોટી પર મૂકે છે. જીવનની અલગ-અલગ પરિસ્થિતિમાં આ ગઝલ અલગ-અલગ સમયે વાંચો તો દરવખતે એકના એક શેર નવા ભાવવિશ્વ સાથે ઉઘડતા ન જણાય તો જ નવાઈ. મરીઝની જાણીતી ગઝલો લયસ્તરો પર નથી એવી ટકોર થોડા સમય પહેલાં ડૉ. ભાર્ગવે કરી ત્યારે પાછા ફરીને જોવાનું થયું અને વાત સાચી લાગી એટલે હવેથી ગુજરાતી ભાષાની લાડકી કવિતાઓ જે આ ખજાનામાં નથી એ ક્રમશઃ લઈને આવવાની નેમ છે.
Permalink
March 16, 2007 at 11:52 AM by ધવલ · Filed under આદિલ મન્સૂરી, ગઝલ
લોહીની નદીઓ વહે છે રોકો
રોજ નિર્દોષ મરે છે રોકો
આગને કોણ સળગતી રાખે
શહેરનાં શે’ર બળે છે રોકો
ક્યાં સુધી ચાલશે અંધાધૂંધી
પ્રશ્ન હરરોજ ઊઠે છે રોકો
ન્યાય ને રક્ષા કરી જે ન શકે
ભાષણો કેમ કરે છે રોકો
શબની પેટીથી મતોની પેટી
કોઈ સરખાવ્યા કરે છે રોકો
છે ઈમારત પડું પડું ‘આદિલ’
મૂળ આધાર ખસે છે રોકો
– ‘આદિલ’ મન્સૂરી
મૂળ આધાર ખસે છે… એક લીટીમાં બહુ મોટી વાત આવી જાય છે. આપણા દેશમાં, અને કંઈક અંશે લોકોના દિલમાં, જે તિરાડ થઈ ગઈ છે એની વાત છે. મારા પોતાના કહેવાય એવા ‘ભણેલા અને સંસ્કારી’ લોકોને ધર્મના નામે ચાલતી લડવાડનો બચાવ કરતા સાંભળું છું ત્યારે ખ્યાલ આવે છે કે… ખરેખર, આધાર જ ખસી ગયો છે !
Permalink
March 12, 2007 at 9:44 PM by ધવલ · Filed under ગઝલ, જવાહર બક્ષી
આખરે હું ગઝલ લખી બેઠો
રાહ જોઈને ક્યાં સુધી બેઠો
દૂરતા ઓગળી રહી જ હતી…
સ્પર્શ વચ્ચે જ ઘર કરી બેઠો
ઓ વિરહ ! થોડું થોભવું તો હતું
એમનું નામ ક્યાં લઈ બેઠો
કેટલાં કારણો હતાં નહિ તો
કોઈ કારણ વિના ફરી બેઠો
ફક્ત તારા સુધી જ જાવું’તું
પૂછ નહિ ક્યાંનો ક્યાં જઈ બેઠો
આજ પણ એ મને નહીં જ મળે
આજ પાછું સ્મરણ કરી બેઠો
– જવાહર બક્ષી
આ ગઝલના શેર સુંવાળા તો છે જ પણ લપસણા પણ છે. કાળજીથી ન વાંચો તો અર્થ ચૂકી જવાની ગેરેંટી ! આમ તો આ પ્રતિક્ષાની ગઝલ છે. રાહ.. વિરહ.. સ્મરણ આ ગઝલમાં ચારે તરફ વેરાયેલા છે. કવિ એમાં પણ નવી અર્થછાયાઓ સર્જવાનું ચૂકતા નથી. “દૂરતા ઓગળી…” શેરમાં સ્પર્શ વચ્ચે ઘર કરી બેઠાની, તદ્દન અલગ પ્રકારની, ફરિયાદ આવે છે. સંબંધમાં સ્પર્શ એક નડતર બની ગયાની વાત કેટલી સિફતથી આવી ગઈ ! આ એક જ શેરના દસ જુદા જુદા અર્થ કરી શકાય એમ છે. “કેટલા કારણો…” શેર પણ અર્થની દ્રષ્ટિએ અનેક રીતે જોઈ શકાય. કવિતાના જેટલા વધારે અર્થ એટલી કવિતા વધારે મુક્ત. આ ગઝલ આમ તો આસક્તિની ગઝલ છે પણ છે એ એકદમ ‘મુકત’ !
Permalink
March 11, 2007 at 12:35 AM by વિવેક · Filed under કિશોર વાઘેલા, ગઝલ
યાદ એની રોજ વાવી છે અહીં;
છાંયડો થઈ એજ આવી છે અહીં.
પાળિયાને પૂછ વાતો કાલની;
જિંદગી ઢસડીને લાવી છે અહીં.
કોણ ખોલી આપશે તારા વિના;
તું જ મારી એક ચાવી છે અહીં.
કેમ ચળકે હેમ જેવું પૂછ મા;
જાતને એણે તપાવી છે અહીં.
મોતનાં વાગે નગારાં તો ય તે;
જિંદગી કેવી પ્રભાવી છે અહીં.
-કિશોર વાઘેલા
25 ફેબ્રુઆરીના રોજ અમદાવાદ ખાતે યોજાયેલા ગુજરાતભરના તબીબ-કવિમિત્રોના કવિસંમેલનમાં અચાનક એક હાથ ખભા પર લાગણી બનીને અડ્યો. “ડૉ. વિવેક ટેલર?,” મને પૂછ્યું. મેં પ્રશ્નાર્થ નજરે જોયુ એટલે જવાબ મળ્યો: “હું ડૉ. કિશોર વાઘેલા.લયસ્તરો નિયમિત વાંચું છું. મારો સંગ્રહ તમને મોકલ્યો છે, એકાદ-બે દિવસમાં મળી જશે.” કવિસંમેલનમાં સરસ રચના રજૂ કરી મેદાન મારી ગયેલા ભાવનગર ખાતે સ્ત્રીરોગવિશેષજ્ઞ તરીકે પ્રેક્ટિસ કરતા મૂળે અવાણિયા ગામના આ યુવાન તબીબ મજાની ગઝલો લખે છે. કવિતા ઉપરાંત કટારલેખન પણ કરે છે. (જન્મતારીખ: 13-09-1960, ગઝલ સંગ્રહ: “સૂર્યની શોધ પહેલાં”)
(લયસ્તરોને “સૂર્યની શોધ પહેલાં” ગઝલસંગ્રહ ભેટ આપવા બદલ ડૉ. કિશોર વાઘેલાનો આભાર!)
Permalink
March 10, 2007 at 12:28 AM by વિવેક · Filed under અદી મિરઝા, ગઝલ
તું જો આજે મારી સાથે જાગશે;
ચાંદ થોડો ચાંદ જેવો લાગશે !
કોણ તારી વાત સાંભળશે, હૃદય !
એક પથ્થર કોને કોને વાગશે !
તું અમારો છે તો, ધરતીના ખુદા !
તું અમારા જેવો ક્યારે લાગશે ?
જિંદગી શું એટલી નિર્દય હશે ?
એ મને શું એક પળમાં ત્યાગશે ?
હું રડું છું એ જ કારણથી હવે,
હું હસું તો એને કેવું લાગશે !
એણે માંગી છે દુઆ તારી, અદી !
તું ખુદા પાસે હવે શું માંગશે ?
-અદી મિરઝાં
અદી મિરઝાં (જન્મ: ૨૬-૧૦-૧૯૨૮) હવે આપણી વચ્ચે નથી રહ્યા (મૃત્યુ: ૦૧-૦૩-૨૦૦૭). એમની એક લોકપ્રિય ગઝલ અહીં રજૂ કરી લયસ્તરો ટીમ તરફથી એમને શબ્દ-સુમન અર્પણ કરીએ છીએ. એમની અન્ય એક ગઝલ આપ અહીં માણી શકો છો. ગઝલસંગ્રહ: ‘સાદગી’.
Permalink
March 7, 2007 at 1:00 AM by સુરેશ · Filed under ગઝલ, વિનય ઘાસવાલા
છલકતી જોઇને મોસમ તમારી યાદ આવી ગઇ.
હતી આ સુતી આ પૂનમ, તમારી યાદ આવી ગઇ.
પ્રણયના કોલ દીધા‘તા તમે પૂનમની એક રાતે,
ફરીથી આવી એ પૂનમ, તમારી યાદ આવી ગઇ.
નિહાળ્યો જ્યાં કોઇ દુલ્હનનો મેં મહેંદી ભરેલો હાથ,
બસ એ ઘડીએ, તમારા સમ, તમારી યાદ આવી ગઇ.
અધૂરી આ ગઝલ પૂરી કરી લઉં , એવા આશયથી,
ઊઠાવી જ્યાં કલમ પ્રિતમ, તમારી યાદ આવી ગઇ.
– વિનય ઘાસવાલા
ફાગણ સુદ પૂનમ –
યુવાનીનો ઉત્સવ … વસંતનો ઉત્સવ … નવપલ્લવિત જીવનનો ઉત્સવ …
ત્યારે મને બહુ જ ગમતી, સાવ સરળ, અને કોઇ ફિલસૂફીના ભાર વિનાની આ ગઝલ યાદ આવી ગઇ !
શ્રી. મનહર ઉધાસના સૂરીલા કંઠે ગવાયેલ આ ગઝલ મારી બહુ જ પ્રિય ગઝલોમાંની એક છે.
Permalink
March 5, 2007 at 11:05 PM by ધવલ · Filed under ગઝલ, ભાવેશ ભટ્ટ
અંધારા પણ બાંધે માળો;
મારો સૂરજ કેવો કાળો.
જ્યારે આવો સ્વાગત કરશે,
મારા ઘરમાં છે કંટાળો.
લાખો આંસુ આવ્યાં ક્યાંથી?
બે આંખોનો છે સરવાળો!
સમય બતાવે સૌના ચહેરા,
ચારે બાજુ છે ઘડિયાળો.
પિંજરમાં જે રાખે તમને,
એવા ઈશ્વરને ના પાળો.
એકલતા તો બચકાં ભરશે,
જલદી-જલદી પાછી વાળો.
– ભાવેશ ભટ્ટ ‘મન’
ટૂંકી બહેરની સશક્ત ગઝલ. એક એક શેર સરસ થયો છે. દુ:ખમાં પરિણામેલા સંબંધની વાત કવિ કેવી સિફતથી કરે છે – લાખો આંસુ આવ્યાં ક્યાંથી? બે આંખોનો છે સરવાળો!
Permalink
March 3, 2007 at 1:33 AM by વિવેક · Filed under ગઝલ, ભગવતીકુમાર શર્મા
जब से गये हैं छोड के साजन बिदेसवा
કજરી સૂની સૂની અને સૂમસામ નેજવાં.
छू के जो उन को आती है बम्बई से ये हवा,
પુનરાગમનનો એય ક્યાં લાવે સંદેસવા?
पैसे, ख़तों- क़िताब, अंगूठे से दस्तख़त,
વેઢા ગણી ગણી હવે થાક્યાં છે ટેરવાં.
बम्बई की काली सडकों पर रफतारे-टॅक्सी,
હડફટમાં આવી જાય છે સ્વપ્નો નવાંસવાં.
कोडे़ बरस रहे हैं मुहर्रम में जिस्म पर,
શ્વાસોના રણમાં લોહીનાં ઊડે છે ઝાંઝવાં.
– ભગવતીકુમાર શર્મા
ભગવતીકુમાર શર્મા ભલે પોતાની જાતને આંધી વચ્ચે તણખલાંના કે તુચ્છ ઘટનાના માણસ લેખાવતા હોય, કવિ તરીકે એમનું પદાર્પણ અનન્ય છે. પત્રકાર તરીકે દિન-રાત શબ્દોની સાથે પનારો પડતો રહેતો હોવા છતાં પોતાનો કવિ તરીકેનો શબ્દ ઘસાઈ ન જાય એ માટે એમણે સતત કાળજી રાખી છે. ભગવતીકુમારની કવિતા એ પરંપરા અને આધુનિક્તાના સુભગ સમન્વયનું જ્વલંત ઉદાહરણ છે. રૂઢીની ધરતીમાંથી અરુઢતાનો છોડ કેવો ઊગે એ જોવું હોય તો એમની કવિતાઓ તરફ જોવાની ફરજ પડે. પહેલી નજરે દ્વિભાષી ભાસતી આ ગઝલમાં હકીકતે હિંદી, ગુજરાતી ઉપરાંત ક્યાંક ક્યાંક बिदेसवा જેવો વ્રજભાષી શબ્દ, ક્યાંક रफतारे-टॅक्सी જેવો ઉર્દૂ શબ્દ-પ્રયોગ તો ક્યાંક टॅक्सी જેવો અંગ્રેજી શબ્દ પણ નજરે ચડી જાય છે અને આ બધા જ એવી સાહજીકતાથી વણાઈ ગયા છે અહીં કે આ ગઝલ પ્રયોગાત્મક ગઝલ છે એવો તો ભાવકને અહેસાસ થતો જ નથી. (અને આ પ્રયોગ પાછો ઠેઠ 1979ની સાલમાં થયો છે!)
Permalink
March 2, 2007 at 9:05 AM by ધવલ · Filed under ગઝલ, શેખાદમ આબુવાલા
છે સાંજે તો એ લોહીની ધાર જેવું
સવારે હશે એ સમાચાર જેવું
અનાસક્તિના મોહની એ ઘડીઓ
કે લાગ્યું હતું એ ય સંસાર જેવું
વાગોવ્યાં અમે ખંજરને નકામાં
તમારી નજરમાં હતું વાર જેવું
ઊઘડતા ઉમંગો હશે બારી પાછળ
નકર હોત ના બન્ધ આ દ્વાર જેવું
બન્યા બુદ્ધિ પાછળ અમે સાવ ઘેલા
ન સમજ્યા હતું દિલ સમજદાર જેવું
રડ્યા તો નયન સાવ હલકા બન્યાં પણ
હસ્યા તો હતું મન વજનદાર જેવું
મને એક દી ચાંદે પૂછી જ લીધું
નથી ભાઈ તારે શું ઘરબાર જેવું
– શેખાદમ આબુવાલા
શેખાદમની ગઝલ કદી સમજાવવી પડે નહીં. પહેલો શેર તો સૌથી સરસ જ છે. અને ‘અનાસક્તિના મોહની ઘડીઓ’ એવી વાત બીજે ક્યાંય જોવા નહીં મળે એની મારી ગેરેંટી ! બન્યા બુદ્ધિ પાછળ… શેર ઈકબાલના પ્રસિદ્ધ શેર अच्छा है दील के पास रहे ની યાદ અપાવે છે. ને છેલ્લે શેખાદમની ચોક્ખી છાપ ધરાવતો રમતિયાળ શેર જેમા રાતોની રખડપટ્ટીની વાત મઝાની ચમત્કૃતિ સાથે આવે છે.
શેખાદમ મારો પ્રિય ગઝલકાર છે. ઘણા લોકો મને કહે છે કે શેખાદમથી સારા કંઈ કેટલાય ગઝલકારો ગુજરાતીમાં છે. પણ ભાઈ, ગમી તે ગઝલ – શેખાદમની ગઝલો મને કેમ ગમે છે એનું કોઈ કારણ નથી… કારણ નહીં જ આપું, કારણ મને ગમે છે ! ખરી વાત તો એ છે કે જીવનના એવા સોનેરી દીવસોમાં શેખાદમની ગઝલો જોડે ઓળખાણ થયેલી કે એની અમૂક ગઝલો તો એકદમ અંગત યાદ જેવી બની ગઈ છે. હવે કહો કે પોતાની અંગત યાદો કોને પ્રિય ન હોય !
Permalink
February 28, 2007 at 1:00 AM by સુરેશ · Filed under અજય પુરોહિત, ગઝલ
અક્ષાંશે નિનાદિત રૂપાંતર થયો છું;
તરત કોઇમાં હું સ્થળાંતર થયો છું.
હિરોશીમા, લોથલ, હડપ્પા થજે તું-
મુલાકાત નામે અવાંતર થયો છું.
નિરુત્તર હતી આ વ્યથાઓ ય નિર્લજ્જ-
ઉદાસી અલગ છે મતાંતર થયો છું.
નિરાદર સમયની હતી ચાલ કેવી?
સવિસ્તર કથામાં સમાંતર થયો છું.
અનાગત અજાણ્યા મળે શબ્દ સામા-
મુસાફર ગઝલનો નિતાંતર થયો છું.
– અજય પુરોહિત
Permalink
February 22, 2007 at 1:00 AM by સુરેશ · Filed under ગઝલ, સૈફ પાલનપુરી
છે ઘણા એવા કે, જેઓ યુગને પલટાવી ગયા,
પણ બહુ ઓછા છે, જેઓ પ્રેમમાં ફાવી ગયા.
દુર્દશા જેવું હતું, કિંતુ સમજ નો’તી મને,
દોસ્તો આવ્યા અને આવીને સમજાવી ગયા.
હું વીતેલા દિવસો પર એક નજર કરતો હતો,
યાદ કંઈ આવ્યું નહીં, પણ આંસુઓ આવી ગયાં.
મેં લખેલો દઈ ગયા; પોતે લખેલો લઈ ગયા,
છે હજી સંબંધ કે, એ પત્ર બદલાવી ગયા.
‘સૈફ’ આ તાજી કબર પર નામ તો મારું જ છે,
પણ ઉતાવળમાં આ લોકો કોને દફનાવી ગયા ?
– સૈફ પાલનપુરી
Permalink
February 18, 2007 at 6:59 AM by વિવેક · Filed under ગઝલ, દિલીપ જોશી
ચાહવાની પળ પ્રથમ દિનરાત વિસ્તારી હતી.
આગ જેવી જિંદગી બસ એ રીતે ઠારી હતી !
કેદખાનામાં ને ઘરમાં ફર્ક છે બસ આટલો,
એક ને બારી નથી ને એકને બારી હતી !
જાતથી અળગા થવાનો મર્મ જ્યારે જાણશે,
તું જ કહેશે કે ગઝલમાં એક ચિંગારી હતી !
પથ્થરોમાં સ્મિત કરતું શિલ્પ સળવળતું રહે,
દોસ્ત ! કેવી ખૂબ ઊંડે ડૂબકી મારી હતી !
ધારણાઓ માત્ર સુખદુઃખની કથાનું મૂળ છે,
મન પડે ત્યાં મોજ, કોણે વાત સ્વીકારી હતી ?
હો અગર માણસ તો તારે આવવું પડશે અહીં,
લાગણી છો‘ને ભલે તેં ભોંમાં ભંડારી હતી !
દિલીપ જોશી
Permalink
February 15, 2007 at 1:00 AM by સુરેશ · Filed under ગઝલ, દિપક ગણાત્રા ‘સાથી’
કોણ મારા શ્વાસમાં આવી ગયું?
જિંદગીને આજ મહેકાવી ગયું.
દિલની આજે ધડકનો અટકી ગઇ,
કોણ દિલના દ્વાર ખખડાવી ગયું?
આજ તરવાની નથી ઇચ્છા હવે,
ડૂબવાના અર્થ સમજાવી ગયું.
પ્યાસ ‘સાથી’ ની વધી જ્યારે સતત,
કોણ આવી જામ છલકાવી ગયું?
– દિપક ગણાત્રા ‘સાથી’
શ્રી. મનહર ઉધાસના સૂરીલા કંઠમાં આ ગઝલ સાંભળવી તે પણ એક લ્હાવો છે.
આલ્બમ- ‘આલાપ’
Permalink
February 11, 2007 at 1:05 AM by વિવેક · Filed under ગઝલ
હજીયે ગામ તારા શહેરની અંદર વસે છે જો
અને તેથી જ તારું શહેર લાગે કે હસે છે જો
નથી ઉષ્મા; સહુના થીજતા વર્તનથી લાગે કે ….
હિમાલયની તરફ આ શહેર લાગે કે ખસે છે. જો
હવે અહીં લાગણીનો એકપણ ક્યાં છોડ લીલો છે ?
અહીં તો પૂર માફક ચોતરફથી રણ ધસે છે જો
પ્રતીતિ થઈ કે તારું શહેર લોઢાનું બનેલું છે
અમારા ગામ પારસનો મણિ તેને ઘસે છે જો
ટક્યાં છે શી રીતે આ ગામ ? તેનો ના ખુલાસો કૈં;
નહીંતર ગામને તારું શહેર કાયમ ડસે છે જો.
– અશોકપુરી ગોસ્વામી
શહેરમાં ક્યાંક ક્યાંક હજી જીવતા રહી ગયેલા ગામ અને ગામના થતા જતા શહેરીકરણ – બે છેડાની વરવી વાસ્તવિક્તાને આ ગઝલ સુપેરે વ્યક્ત કરી શકી છે એવું લાગ્યા વિના રહેતું નથી. શહેર હજી પણ રહેવા જેવું લાગે છે કારણકે શહેરમાં હજી પણ ક્યાંક ને ક્યાંક તો એક ગામ જળવાઈ જ રહ્યું છે. હિમાલયની જગ્યાએ પહેલા સમુદ્ર હતો અને ભૂખંડ ખસતા ખસતા સમુદ્રની જગ્યાએ બરફના તોતિંગ શિખરો ખડકાઈ ગયા એ સંદર્ભ લાગણીહીન, ઉષ્માહીન બનતા જતા મનુષ્યો અને શહેરના હિમાલય તરફ ખસવાની વાતમાં સુંદર રીતે ઉપસી આવે છે.
Permalink
February 10, 2007 at 5:26 AM by વિવેક · Filed under ગઝલ, શેખાદમ આબુવાલા
સુરાલયમાં જાશું જરા વાત કરશું
અમસ્તી શરાબી મુલાકાત કરશું
મુહબ્બતના રસ્તે સફર આદરી છે
મુહબ્બતના રસ્તે ફના જાત કરશું
જમાનાની મરજીનો આદર કરીને
વિખૂટાં પડીને મુલાકાત કરશું
સલામત રહે સ્વપ્ન નિદ્રાને ખોળે
કરી બંધ આંખો અમે રાત કરશું
સુરાલયમાં, મસ્જિદમાં, મંદિરમાં, ઘરમાં
કે ‘આદમ’ કહો ત્યાં મુલાકાત કરશું
– શેખાદમ આબુવાલા
શેખાદમની કવિતાઓ પ્રત્યે મને અને ખાસ તો ધવલને, પહેલેથી જ થોડો પક્ષપાત રહ્યો છે. એની ગઝલો કલમમાંથી ઓછી અને દિલમાંથી વધુ આવતી લાગે. એના શેરોમાં ક્લિષ્ટતા કે દુર્બોધતા જવલ્લે જ જોવા મળે. કોઈ મજાના વોશિંગ પાવડરથી ધોઈને ખાસ્સા મજાના બગલા જેવા સફેદ કર્યા હોય એવા ચોખ્ખા શેરોની આ એક ટૂંકી ગઝલ મારી વાતની પુષ્ટિ માટે.
Permalink
February 7, 2007 at 1:00 AM by સુરેશ · Filed under ગઝલ, ભગવતીકુમાર શર્મા
ફૂલને ફૂલ સ્વરૂપે જુઓ, ગજરો ન કરો;
ખુશ્બો ચૂપચાપ પ્રસારો, એનો જલસો ન કરો!
જળ છે, ખારાશ છે, ભરતી છે, અજંપો પણ છે.
તો ય માઝામાં રહો, આંખોનો દરિયો ન કરો !
પાનખરની ય અદબ હોય છે; જાળવવી પડે,
જો કે વગડો છે, છતાં ચૂપ રહો, ટહૂકો ન કરો!
સાચી ઓળખનો વધારે હશે સંભવ એમાં,
છો ને અંધાર યથાવત્ રહે, દીવો ન કરો!
છે તમારી જ હયાતિનું એ બીજું પાસું,
મોત આવ્યું તો ભલે, એનો યે પરદો ન કરો!
– ભગવતીકુમાર શર્મા
આને ગદ્ય ગઝલ કહીશું?! કદાચ અગેય કહી શકાય તેવી આ ગઝલમાં ઉપરછલ્લી રીતે અકર્મણ્યતાનો સંદેશ આપણને લાગે,પણ સમતાથી સભર જીવન જીવવાનો બહુ જરૂરી સંદેશો આમાં કવિ આપણને આપે છે. જીવનના સૌથી મોટા ભય મૃત્યુનો પણ પરદો ન રાખવાની વાત કરી, કવિ આપણને અજાતશત્રુ બનવાની સલાહ આપે છે. ગીતાના ભારેખમ શ્લોકોનું આવું સરલીકરણ આપણા તનાવ અને મિથ્યા ખ્યાલોથી ભરેલા જીવનને એક હળવાશ આપી જાય છે.
Permalink
February 6, 2007 at 11:43 PM by ધવલ · Filed under ગઝલ, ચિનુ મોદી
કોણ પૂછે તો કહું કે આ ઉદાસી કેમ છે ?
ગામ, શેરી ને પછી ઘર કુશળ છે, ક્ષેમ છે.
જે હતાં લીલાં હવે સૂકાં થયાં, ઓ ડાળખી!
પાંદડાંને કારણે પોપટ હતા – નો વ્હેમ છે.
બંધ દરવાજે ટકોરા મારતાં તારાં સ્મરણ
નામ સરનામા વગરના કાગળોની જેમ છે.
હું તને મારી ગઝલ દ્વારા ફક્ત ચાહી શકું
એ સમે આ શબ્દ સાલા સાવ ટાઢા હેમ છે.
થાય છે કાયા વગરનો એક પડછાયો હવે
શેખજી! ‘ઈર્શાદગઢ’નો એ નવો હાકેમ છે.
– ચિનુ મોદી
ચિનુ મોદીએ ગુજરાતી ગઝલના નવા દેહને ઘડવામાં બહુ મોટો ફાળો આપ્યો છે. એ તદ્દન નવા વિષયો અને કલ્પનો ગઝલમાં લઈ આવે છે. છેલ્લો શેર મારો બહુ પ્રિય શેર છે. કાયાના બંધનથી પર થઈ જે જીવે એ દુનિયા પર રાજ કરે છે એ વાત કવિએ એમના અંદાજમાં સરસ રીતે કહી છે.
Permalink
February 4, 2007 at 3:57 AM by વિવેક · Filed under ગઝલ, ગની દહીંવાળા
ન તો કંપ છે ધરાનો, ન તો હું ડગી ગયો છું,
કોઈ મારો હાથ ઝાલો, હું કશુંક પી ગયો છું.
જો કહું વિનમ્રભાવે તો સૂરજ સુધી ગયો છું
કે નજરનો તાપ જોવા હું નયન લગી ગયો છું.
હતો હું ય સૂર્ય કિન્તુ ન હતી તમારી છાયા,
ઘણીવાર ભરબપોરે અહીં આથમી ગયો છું.
આ હૃદય સમો તિખારો છે દઈ રહ્યો ઈશારો,
કોઈ કાળે સૂર્યમાંથી હું જુદો પડી ગયો છું.
નથી કંઈ પ્રયાણ સરખું અને પથ કપાઈ ચાલ્યો
નથી કાફલાની હસ્તી અને હું ભળી ગયો છું.
બહુ રાહતે લીધા છે મેં પસંદગીના શ્વાસો,
ન જિવાયું દર્દરૂપે તો સ્વયં મટી ગયો છું.
‘ગની’ પર્વતોની સામે આ રહ્યું છે શીશ અણનમ
કોઈ પાંપણો ઢળ્યાં ત્યાં હું ઝૂકીઝૂકી ગયો છું.
– ગની દહીંવાલા
ગનીચાચાની આ મજાની ગઝલના દરેક શેર સામે નતમસ્તક થયા વિના રહી શકાતું નથી… બસ, એને વાંચીને જ માણીએ… (આ ગઝલના ચૂકી ગયેલા બે શેર તરફ અછડતો અંગૂલિનિર્દેશ કરવા બદલ જયશ્રીનો ખૂબ ખૂબ આભાર…)
Permalink
January 28, 2007 at 1:44 AM by વિવેક · Filed under ગઝલ, શયદા
હાથ આવ્યું હતું, હરણ છૂટ્યું
હાય, મારું એ બાળપણ છૂટ્યું
પગથી છૂટી જવાની પગદંડી
એમનું જો કદી રટણ છૂટ્યું
મદભરી આંખ એમની જોતાં
છૂટી વાણી ન વ્યાકરણ છૂટ્યું
કોઈની આશને ઘરણ લાગ્યું
કોઈની આશનું ઘરણ છૂટ્યું
સ્વપ્નમાં એમનાથી રસ-મસ્તી
નીંદ છૂટી ન જાગરણ છૂટ્યું
એમના પગ પખાળવા કાજે
આંખથી ફૂટીને ઝરણ છૂટ્યુ
કોણ ‘શયદા’ મને દિલાસો દે ?
ચાલ, તારું જીવન-મરણ છૂટ્યું
– શયદા
તમે હરજી લવજી દામાણી બોલો તો કોણ ઓળખે? પણ જો ધીમેથી ‘શયદા’ બોલ્યા તો? આખી મહેફિલમાં એક માનભર્યું મૌન ન છવાઈ જાય?! આંખોમાં ખુમારી, ચાલમાં નફકરાઈ, કવનમાં કમનીયતા અને પઠનમાં માર્દવતા – શાયરોના શાયર ગણાતાં ‘શયદા’ (24-10-1892 થી 30-06-1962) મુશાયરાઓની જાન હતા. અભ્યાસ ફક્ત ચાર જ ચોપડી પણ કોઠાસૂઝમાં પી.એચ.ડી.! ગુજરાતે એમને ‘ગઝલસમ્રાટ’ના બિરૂદથી સર્વોચિત સન્માનેલા. પ્રિયાના પગ પખાળવા માટે આંસુના ઝરણા તો એ જ વહેવડાવી શકે જે પ્રિયાના રટણમાત્ર છૂટી જવાના ભયથી પગદંડી ચૂકી જતા હોય!
Permalink
January 24, 2007 at 1:00 AM by સુરેશ · Filed under ગઝલ, દીનેશ શાહ
જીવનભર જેને ન જાણી શક્યાં,
એનાં અશ્રુ રૂદન હવે શા માટે?
વસ્ત્રો સાદા જેણે પહેર્યાં સદા,
એને કિમતી કફન શા માટે?
જેને ચરણ કદી ના ફુલ ધર્યાં,
ફુલ હાર ગળામાં શા માટે ?
જેને જોવા કદી ના દિલ તડપ્યું,
એના રંગીન ફોટા શા માટે?
એક પ્રેમ સરિતા સુકાઇ ગઇ,
હવે કિનારે જાવું શા માટે?
જેના ચરણોમાં કદી ના નમ્યો,
એની છબીને વંદન શા માટે?
ધૂપસળી સમ જેનું જીવન હતું ,
હવે ધૂપ જલાવો શા માટે?
આંખોના તેજ બુઝાઇ ગયા,
હવે ઘીના દીવા શા માટે?
જેનું જીવન ગીતાનો સાર હતો,
હવે ગીતા વાંચન શા માટે?
જીવનભર સૌના હિત ચાહ્યાં,
એના મોક્ષની વાતો શા માટે?
મળે કદી જો જીવનમાં,
તો ઇશ્વરને મારે પુછવું છે.
સારા માનવની વૈકુંઠમાં
તને જરુર પડે શા માટે?
– ડો. દીનેશ શાહ
ડો. દીનેશ શાહ છેક 1962 થી ફ્લોરીડા, અમેરીકામાં સ્થાયી થયેલા છે. બહુ જ નિપુણ બાયો ફિઝીસીસ્ટ હોવા ઉપરાંત તેઓ હૃદયથી કવિ છે અને ભારતમાં સમાજ સેવાના ઘણા કામોમાં આર્થિક અને સક્રિય ફાળો આપતા એક ‘માણસ’ કહેવાય તેવા માણસ છે.
મૂળ સાથેનો સમ્પર્ક કપાઇ ગયો હોય, કોઇ પણ સ્વજનોની અંતિમ ક્રિયામાં હાજર ન રહી શક્યા હોય, તેમના વિયોગ માટે દિલ હીજરાતું હોય અને છતાંય બધા લૌકિક આચાર માત્ર કરવા પડતા હોય તેવા ગુજરાતી ડાયાસ્પોરાના માનવીઓની હૃદયવેદના, બાહ્યાચારની કૃત્રિમતા અને મનોવ્યથાને આ કાવ્ય વાચા આપે છે.
આ કાવ્ય શ્રી. પુરૂષોત્તમ ઉપાધ્યાયની સ્વર રચનામાં સાંભળીને કેટકેટલા લોકોએ વતન ઝુરાપાના આંસુ સાર્યા છે.
Permalink
January 21, 2007 at 5:16 AM by વિવેક · Filed under ગઝલ, જગદીશ વ્યાસ
(મૃત્યુના દોઢ મહિના પૂર્વે લખેલી ગઝલ)
મઝધારમાં ડૂબી રહ્યું હો વ્હાણ, દીકરી !
એવું જ મારું જીવવું તું જાણ, દીકરી !
હું ક્યાં રમી શકું છું તારી સાથ સ્હેજ પણ
શય્યામાં થનગને છે મારા પ્રાણ, દીકરી !
મારા વિના તું જીવવાનું લાગ શીખવા
ટૂકું છે બહુ મારું અહીં રોકાણ, દીકરી !
ભૂલી નથી શક્તો હું ઘડીકે ય કોઈને,
જબરું છે બહુ કુટુંબનું ખેંચાણ, દીકરી !
સાકાર હું કરતો હતો એક સ્વપ્ન આપણું,
એમાં પડ્યું છે અધવચે ભંગાણ, દીકરી !
જો પ્રાર્થના કરે તો તું એમાં ઉમેરજે:
મારું પ્રભુ પાસે બને રહેઠાણ, દીકરી !
૧૮-૮-૧૯૫૯ના રોજ સુરેન્દ્રનગર ખાતે જન્મીને માત્ર ૪૭ વર્ષની નાની વયે કેન્સરની આગમાં ખૂબ તવાઈને ૧૬-૧૨-૨૦૦૬ના રોજ એક મહિના પહેલાં જ ડ્વાર્ટે, કેલિફૉર્નિયામાં મૃત્યુ પામેલા યુવાન કવિ જગદીશ વ્યાસ કવિ, ગઝલકાર અને વિવેચક તરીકે સદૈવ જાણીતા રહેશે. મૃત્યુ વિશે કવિતા કરવી અને મૃત્યુને જીવનના આંગણે પ્રતિપળ ટકોરા મારતું દેખીને કવિતા કરવા વચ્ચે કદાચ જમીન આસમાનનો ફરક છે. મૃત્યુશૈયા પર બેસીને લખેલી આ ગઝલ ની લગોલગ જ એમના મૃત્યુની વાસ્તવિક્તા અને જીવનની સ્થૂળતા વિશેના થોડા શેર પણ જોઈએ:
જગદીશ નામે ઓળખાયું ખોળિયું ફકત
બાકી હતો ક્યાં કાળ અને સ્થળનો જીવ હું
***
શું રમે પળ વિશે હવે જગદીશ
મેં મહાકાળને ઉરે ચાંપ્યો.
***
ગગનની વીજળી ધરતી ઉપર અંતે હું લઈ આવ્યો
અને થઈ ભસ્મ કિંમત ચૂકવી એ વિજય માટે
***
ઊક્લે ત્યાં જ અક્ષર ઊડી જાય છે
કંઈ અજબ હસ્તપ્રત લઈને બેઠા છીએ.
***
ગમે તે થાય પણ જગદીશ અંતે જીવવાનું છે
મરીને સો વખત હું સો વખત જન્મીશ મારામાં.
***
શરૂમાં શૂન્ય હતું, શૂન્ય આખરે પણ છે
કહો જગદીશ શું રાખે હિસાબ રસ્તામાં
***
નહીં સમજે તું મારું આમ તરફડવું,
તને મારી તરસ તો સાંપડી ક્યાં છે ?
***
થઈ શકે તો જીવવું એવી અનોખી રીતથી
દબદબાથી પામવું ને દબદબાથી પર થવું.
***
કેટલું નહિ તો હું કરવાનો હતો !
જાઉં છું સઘળું હવે ચૂકી પ્રિયે !
***
ઈચ્છું છું તોય તુજને રમાડી શકું છું ક્યાં ?
રમ તું હવે જાતે જ રમતિયાળ દીકરા ! (ચાર વર્ષના દીકરા માટે)
કાવ્યસંગ્રહ : પાર્થિવ (૧૯૯૪), સૂરજનું સત (૨૦૦૬)
Permalink
January 20, 2007 at 6:53 AM by વિવેક · Filed under અનિલ ચાવડા, ગઝલ
વારતા આખી ફરી માંડી શકાતી હોત તો શું જોઇતું’તું?
આંખને જો આંસુથી બાંધી શકાતી હોત તો શું જોઇતું’તું?
આપ બોલ્યા તે બધા શબ્દો પવન વાટે અહીં આવ્યા હશે પણ,
પત્રની માફક હવા વાંચી શકાતી હોત તો શું જોઇતું’તું?
જો પ્રવેશે કોઇ ઘરમાં તો પ્રવેશે ફક્ત સુખની લ્હેરખીઓ ;
એક બારી એટલી વાંખી શકાતી હોત તો શું જોઇતું’તું?
ડાળથી છૂટું પડેલું પાંદડું, તૂટી ગયેલા શ્વાસ, પીંછું,
ને સમયની આ તરડ સાંધી શકાતી હોત તો શું જોઇતું’તું?
આ ઉદાસી કોઇ છેપટ જેમ ખંખેરી શકાતી હોત, અથવા,
વસ્ત્રની નીચેય જો ઢાંકી શકાતી હોત તો શું જોઇતું’તું?
-અનિલ ચાવડા
માણસની જાતને મળે એનાથી કદી સંતોષ થતો નથી. આમ થયું એના બદલે આમ થયું હોત તો કેટલું સારૂં! આ ‘જો’ અને ‘તો’ની વચ્ચે અટવાતી જિંદગી છોને મૃગજળ જેવી કેમ ન હોય, બધાને એ જ રીતે છેતરાવું ખપે છે. આવનાર સાથે ફક્ત સુખ જ લાવતો હોય તો? પત્રની સાથે હવામાં ઓગળેલો ભાવ પણ વાંચી શકાતો હોય તો? સમયના તૂટેલા અનુસંધાનો કે પછી ચહેરા પર તરી આવતી ગમગીનીને સમારી કે છુપાવી શકાતા હોય તો? મનુષ્યજીવનના અધૂરા-મધુરા સ્વપ્નોની વાત લઈ આવી છે આ ગઝલ…
Permalink
January 18, 2007 at 1:00 AM by સુરેશ · Filed under ગઝલ, રસિક મેઘાણી
વીતેલ યાદને તાજી કરી ઘણું રોયાં,
તમે જો નોખા થયા એ પછી ઘણું રોયાં.
છુપાવી પાલવે ચહેરાને અડધી રાતોમાં,
સળગતી વાટને ધીમી કરી ઘણું રોયાં.
કદમ કદમ બધે યાદો તમારી આવે જ્યાં,
હજાર વાર એ રસ્તે ફરી ઘણું રોયાં.
સળગતી ધૂપમાં રોયા નહીં જે રસ્તામાં,
પછીત છાંયડે બેઠા પછી ઘણું રોયાં.
બપોર આખો ઊકળતી વરાળ જોઇને,
ભરેલ વાદળાં સાંજે પછી ઘણું રોયાં.
સમયની સાથ વિલય થાતા છેલ્લા શ્વાસ સુધી,
બધાય દૂરથી જોતા રહી ઘણું રોયાં.
વમળમાં ડૂબી ગઇ નાવ જ્યારે આશાની,
ઉછાળી મોજાં કિનારા પછી ઘણું રોયાં.
‘રસિક’ ને આમ તો રોતા કદી ન જોયા છે,
છતાંય રાતના રોયા પછી ઘણું રોયાં.
– ‘રસિક’ મેઘાણી ( અબ્દુલ રઝાક મેઘાણી – હ્યુસ્ટન )
Permalink
January 15, 2007 at 1:00 AM by ધવલ · Filed under ગઝલ, સરૂપ ધ્રુવ
સળગતી હવાઓ શ્વસું છું હું, મિત્રો !
પથ્થરથી પથ્થર ઘસું છું હું, મિત્રો !
હજારો વરસથી મસાલો ભરેલું ખયાલોનું શબ છું ને ખડખડ હસું છું,
મળ્યો વારસો દાંત ને ન્હોરનો, બસ! અસરગ્રસ્ત ભાષામાં ભસું છું હું, મિત્રો !
અરીસા જડેલું નગર આખું તગતગ, પથ્થર બનીને હું ધસમસ ધસું છું,
તિરાડો વચ્ચેનું અંતર નિરંતર, તસુ બે તસુ બસ, ખસું છું હું, મિત્રો !
સવારે સવારે હું શસ્ત્રો ઉગાડું, હથેલીમાં કરવતનું કૌવત કસું છું;
પછી કાળી રાત્રે, અજગર બનીને, મને પૂંછડીથી ગ્રસું છું હું, મિત્રો !
નથી મારી મરજી, છતાં પણ મરું છું, સતત ફાંસલામાં ફસું છું હું, મિત્રો !
પણે દોર ખેંચાય, ખેચાઉં છું હું, અધવચ નગરમાં વસું છું હું, મિત્રો !
સળગતી હવાઓ શ્વસું છું હું, મિત્રો !
પથ્થરથી પથ્થર ઘસું છું હું, મિત્રો !
– સરૂપ ધ્રુવ
સરૂપ ધ્રુવના કાવ્યો સ્વભાવે વિદ્રોહી છે. એમનો એક એક શબ્દ તણખા જેવો છે. ડાબેરી કવયિત્રીએ એમના સંગ્રહનું નામ પણ ‘સળગતી હવાઓ’ આપેલું. પોતાની જાત માટે હજારો વરસથી મસાલો ભરેલું શબ અને અસરગ્રસ્ત ભાષામાં ભસું છું એવી વાત એમની કવિતામાં જ આવે. ખયાલોનું શબ, હજારો વરસ અને મસાલા ભરીને કરવામાં આવેલી જાળવણી આ ત્રણેય વસ્તુ ખળભળાવી દે એવી ગતિશૂન્યતા અને પ્રગતિશૂન્યતા સૂચવે છે. સમાજના ખયાલો વર્ષો, દાયકાઓ કે શતકો સુધી નહીં, હજ્જારો વર્ષો લગી એમના એમ મૃતઃપ્રાય જ રહે છે, એ કદી બદલાતા નથી. એમાં કોઈ સુધારો શક્ય નથી. બીજાને વડચકાં ભરવાનો જે વારસો માનવજાતને મળ્યો છે, એના બાચકાંઓથી આખી ભાષા જ અસરગ્રસ્ત થઈ હોવાથી હવે અહીં કશો બદલાવ શક્ય નથી. એ પોતાના અસ્તિત્વ માટે અધવચ નગરમાં વસું છું એવું રૂપક વાપરે છે. રોજ શસ્ત્રો અને શસ્ત્રો ચલાવવાની શક્તિ વધારીને માણસ પોતાને જ કરડે છે એ વાત કવિ અહીં ધાર કાઢીને રજૂ કરે છે.
આ કવિતા રમેશ પારેખની સોનલ અને પ્રિયકાંત મણિયારના કાનજીથી તદ્દન જુદી દુનિયાની કવિતા છે. આ કવિતા છાતીમાં તણખા ભરી અને સળગતી હવાઓનો શ્વાસ લઈને લખી છે, એને ક્રાંતિથી ઓછું કાંઈ ખપે એમ નથી.
Permalink
January 14, 2007 at 3:52 AM by વિવેક · Filed under ગઝલ, મહેશ દાવડકર
કોઈ મને કાયમ એવું પૂછે અંદરથી,
તું જીવે છે પણ જો કૈં ખૂટે અંદરથી.
આ હોવું પોલા વાંસ સમું છે અંદરથી,
ને એ પાછું ફાંસ સમું ખૂંચે અંદરથી.
હદથી વધારે ફૂલે તો એ પણ ફૂટે છે,
ફુગ્ગો પણ અંતે કેટલું ફૂલે અંદરથી.
કાયમ અકબંધ અહીં રહેવું અઘરું છે,
કે માણસ રોજ તડાતડ તૂટે અંદરથી.
હરણા જેમ કશે હું ભાગી પણ ના શકું,
કે એક પછી એક તીર છૂટે અંદરથી.
મારું અસ્તિત્વ ખરલમાં નાખી રોજ વ્યથા,
જડીબુટ્ટીની જેમ મને ઘૂંટે અંદરથી.
-મહેશ દાવડકર
માણસ જન્મ્યો ત્યારથી જીવન વિશેની એની અવઢવ અને અટકળનો કદાપિ અંત આવ્યો નથી. કશુંક સતત અંદરથી ખૂટતું હોય એમ લાગ્યા કરે એ જ જીવતર. આપણું હોવાપણું વાંસળીની જેમ પોલું તો છે જ, વળી વાંસની ફાંસની જેમ સતત ખૂંચતું પણ રહે છે. અહીં અકબંધ રહેવાનું પણ અઘરૂં છે ને ભાગી છૂટવાનું પણ દોહ્યલું છે. વ્યથા તમને કાયમ ઘૂંટતી જ રહેવાની અંદરથી. દરેક શેર પર થોભવા માટે મજબૂર કરી દે તેવી આ સુંદર ગઝલ મારા જ શહેર સુરતના મહેશ દાવડકરની છે.
Permalink
Page 45 of 49« First«...444546...»Last »