ન હો જો કશું તો, અભાવો નડે છે,
મળે જો બધું તો, સ્વભાવો નડે છે.
હિમાંશુ ભટ્ટ
લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.
Archive for ગઝલ
ગઝલ શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.
September 4, 2016 at 1:39 AM by તીર્થેશ · Filed under ગઝલ, દુષ્યન્ત કુમાર
पक गई हैं आदतें बातों से सर होंगी नहीं
कोई हंगामा करो ऐसे गुज़र होगी नहीं
इन ठिठुरती उँगलियों को इस लपट पर सेंक लो
धूप अब घर की किसी दीवार पर होगी नहीं
बूँद टपकी थी मगर वो बूँदो—बारिश और है
ऐसी बारिश की कभी उनको ख़बर होगी नहीं
आज मेरा साथ दो वैसे मुझे मालूम है
पत्थरों में चीख़ हर्गिज़ कारगर होगी नहीं
आपके टुकड़ों के टुकड़े कर दिये जायेंगे पर
आपकी ताज़ीम में कोई कसर होगी नहीं [ ताज़ीम = સન્માન ]
सिर्फ़ शायर देखता है क़हक़हों की अस्लियत
हर किसी के पास तो ऐसी नज़र होगी नहीं
– દુષ્યંતકુમાર
દુષ્યંતકુમાર એ naked reality ના કવિ છે. પહેલો શેર તો એની મજબૂતાઈથી વ્યવહારની ભાષામાં વપરાતો થઇ ગયો છે, પરંતુ બાકીના બધા પણ અત્યંત મજબૂત છે. ઉદાહરણ તરીકે ત્રીજો શેર – આંખમાંથી આંસુનું ટીપું પડ્યું….લુપ્ત થઇ ગયું. મહેબૂબાને આ બારિશની ખબર થોડી જ પડવાની છે !!!!
Permalink
September 3, 2016 at 2:06 AM by વિવેક · Filed under ગઝલ, બિનિતા પુરોહિત
એક રઝળતી ક્ષણ મને વળગી પડી,
છે ટચૂકડી તોય બહુ અઘરી પડી.
બંધ આંખોમાં મેં કર્યું ડોકિયું,
ઊંઘ જે કાચી હતી, વણસી પડી.
લાગણીના સૂના જંગલમાં જતા,
પાતળી પગદંડી પર ભૂલી પડી.
હું નથી સીતા ને એ રાવણ નથી,
તોય લક્ષ્મણરેખા ઓળંગવી પડી.
પૂછ સાગરને કે આ તોફાનમાં,
તારી લહેરોને હવા ઓછી પડી?
લીલ તો પથ્થર ઉપર બાજી પડે,
રેત પરથી શી રીતે લપસી પડી.
અડધે સ્વપ્ને આંખ કાં ઊઘડી ગઈ,
બોલ, ‘બિન્ની’ ઊંઘ ક્યાં કાચી પડી ?
– બિનિતા પુરોહિત
સ્થિર-સમતલ જિંદગી આપણને એવી કોઠે પડી ગઈ છે કે એકાદ ક્ષણનો રઝળપાટ પણ આપણને અઘરો પડી જાય છે. બધા જ શેર સરસ થયા છે પણ ઊંઘ ઊડી જવા વિશેના બંને શેર તો એકદમ મજાના થયા છે !
Permalink
September 2, 2016 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, મીનાક્ષી ચંદારાણા
છલકતાં ફરે ચોક, છત ને છજાં,
ગઝલમાં પલળવાની કેવી મજા !
ચુનર આંહી કોરી તો કોની રહે ?
ઝરે રંગ છંદો, ન પુછે રજા !
નગર બ્હાર જાતાં જડ્યાં જંગલો,
છું હદપાર, કેવી મજાની સજા !
ઊડ્યાં મનભરી અંતહીન આ નભે,
અમે છોડી સરહદ, વળોટ્યાં ગજા !
અદબભેર મસ્તક નમાવો, સુજન !
અહીં શબ્દની ફરફરે છે ધજા.
– મીનાક્ષી ચંદારાણા
વડોદરાના કવિ-દંપતિ શ્રી અશ્વિન અને મીનાક્ષી ચંદારાણા એકીસાથે પોતપોતાના પ્રથમ ગઝલસંગ્રહ લઈને આવ્યાં છે. ગઈકાલે આપણે અશ્વિન ચંદારાણાની કૃતિ માણી, આજે એમના અર્ધાંગિની મીનાક્ષીબેનના “સાંજને સૂને ખીણે”માંથી એક કૃતિ માણીએ…
આખી ગઝલ મજાની પણ ગઝલનો આખરી શેર કદાચ માત્ર હાંસિલે-ગઝલ જ નહીં, હાંસિલે-જીવન સમો !
Permalink
September 1, 2016 at 2:39 AM by વિવેક · Filed under અશ્વિન ચંદારાણા, ગઝલ
ટકી જીદ કોની? ને શું ઝૂઝવાના?
તમે પણ જવાના, અમે પણ રવાના.
તમારા સ્મરણથી એ શેં રૂઝવાના !
તમારા વગર આ જખમ દૂઝવાના.
વકીલો આ બેઠા, અદાલત ભરી છે,
તરાજૂ ખનનખનની ખનકે જવાના.
ભલેને ઉછાળે-પછાડે નકામો,
અમે સાત સાગર તરી ડૂબવાના.
ભલેને અટાણે કટાર્યું પરોવો,
પછીથી તમે પાળિયા પૂજવાના.
– અશ્વિન ચંદારાણા
વડોદરાથી અશ્વિન ચંદારાણા એમનો પ્રથમ ગઝલસંગ્રહ “ભીતર ચાલે આરી” લઈને આવ્યા છે. લયસ્તરોના આંગણે એમનું બાઅદબ સ્વાગત. ખૂબ ખૂબ સ્નેહકામનાઓ…
કવિએ પ્રસ્તુત ગઝલમાં કાફિયાઓ પાસે જે રીતે કામ લીધું છે એ કાબિલ-એ-દાદ છે. ‘જવાના’ની સમાંતરે ‘રવાના’ અને રૂઝવાના’ની વિરુદ્ધમાં ‘દૂઝવાના’ – આ બંને કવિકર્મ અદભુત થયા છે.ખનનખનની ખનક પણ એવી જ મજાની.
Permalink
August 29, 2016 at 12:30 AM by તીર્થેશ · Filed under ઉદયન ઠક્કર, ગઝલ
રોજ સાંજે પંખીઓના મોરચા મંડાય છે
વૃક્ષની માલિકી બાબત માગણીઓ થાય છે
એક સૂકા પાનની રેખામાં ઠેબાં ખાય છે
એ પવન બ્રહ્માંડભરનો ભોમિયો કહેવાય છે?
અસ્તરેખા જોઈને સૂરજની, કૂકડાએ કહ્યું,
‘આપના પ્રારબ્ધમાં બહુ ચડઊતર દેખાય છે’
બાલદી, શીશી, તપેલી, પ્યાલું, ડબ્બો, ટોપિયું
ફૂલ જ્યાં બોળે ચરણ ત્યાં ફૂલદાની થાય છે
ક્યાંક તો જાતો હશે, એમ માનીને ચાલ્યો હતો
પણ હવે રસ્તો પૂછે છે, ‘ભાઈ, તું ક્યાં જાય છે?’
– ઉદયન ઠક્કર
મક્તાનો શેર આખી ગઝલને ઊંચકી કાઢે છે……
Permalink
August 27, 2016 at 2:06 AM by વિવેક · Filed under ગઝલ, રિષભ મહેતા
મને એ ખબર છે કશું જોઈએ છે
પરન્તું ન સમજાતું શું જોઈએ છે ?!
તને આખી દુનિયાય ઓછી પડે છે,
મને તો ફકત એક તું જોઈએ છે!
મને તો જ સમજણ પડે કેમ ચાલું?
મને કોઈ આડું-ઊભું જોઈએ છે!
ચલો આપવું હો તો આપી દો ઈશ્વર
મને એક આંસુ મીઠું જોઈએ છે!
ચલાવી લઉં છું બધાના વગર હું
હકીકતમાં કિન્તુ બધું જોઈએ છે!
– રિષભ મહેતા
કાફિયાદોષને અવગણીએ તો કેવી મજાની ગઝલ ! મત્લા અને આખરી શેરમાં સંસારનું અને બીજા શેરમાં આજના જમાનાના પ્રેમનું સનાતન સત્ય.
Permalink
August 25, 2016 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, હર્ષા દવે
હાંસિયામાં મૂકવા છે ઘાવને;
ચાલ, તું પાનું બીજું ઉથલાવ ને!
આજ ટહુકા રંગમાં તરબોળ છે,
આજ તો ફૂલો તમે પણ ગાવને !
સ્તબ્ધ થઈને સાવ તળિયે જીવવું,
આકરું લાગી રહ્યું છે વાવને !
ઓગળે હોવાપણાનું આવરણ
કોઈ દિ’ વરસાદમાં જઈ ન્હાવ ને!
આંખથી ઓઝલ થયે શું ફાયદો ?
યાદમાંથી શક્ય હો, સંતાવ ને!
સાવ રેઢુ જ્યાં મૂક્યું’તું બાળપણ,
એ જ રસ્તે આજ પાછા જાવ ને!
-હર્ષા દવે
(૧૬.૭.૨૦૧૬)
“જે ખુશી આવી જીવનમાં, આખરી સમજી લીધી” – મરીઝ જિંદગી જીવવાની ફિલસૂફી આ પ્રકારે આપે છે તો હર્ષા દવે ઘા-દુઃખ-દર્દને હાંસિયામાં ધકેલી આગળ વધવા પાનું પલટાવી દેવાની ફિલસૂફી લઈને આવે છે.
Permalink
August 22, 2016 at 12:30 AM by તીર્થેશ · Filed under ગઝલ, મનોજ ખંડેરિયા
કાયમી સમજણથી બસ રુખસદ મળે
થાય છે કે આ પીડા અનહદ મળે
ક્યાં શરૂ થઈ ક્યાં પૂરી થાતી હશે?
એવું છે ભેળાણ કે ના હદ મળે
ક્યાં ગયાં પાદર-નદી ને વડ જૂનો?
ગામ આખું આંસુમાં ગારદ મળે
સ્થિર જીવન થઈ શક્યું ના જે વિષે,
ખોદતાં એ ઘર નીચે પારદ મળે [ પારદ = પારો , અહીં mercurial અર્થ વધુ બેસે છે ]
શબ્દની પૂરી થતી જ્યાં, તે પછી-
બસ પછી-બસ એમની સરહદ મળે
આ નગરમાં આવીને મનમાં થતું
ક્યાંકથી કોઈ ખૂણે નર્મદ મળે
– મનોજ ખંડેરિયા
મત્લો જ કેટલો મજબૂત છે !!! મરીઝ યાદ આવી જાય – ‘ દે એક મહાન દર્દ અને પારાવાર દે….’ કવિને અનહદ પીડા જોઈએ છે, કારણકે પીડા વ્યક્તિને સતત વર્તમાનમાં રાખે છે. કવિને ભગવાન બુદ્ધની વાતમાં રસ નથી. શુદ્ધ અનુભૂતિ સિવાય કશામાં કવિને રસ નથી.
Permalink
August 21, 2016 at 12:30 AM by તીર્થેશ · Filed under ગઝલ, રઈશ મનીયાર
અડચણ નડે કદીક, કદી માર્ગ પણ નડે
પહેલાં તરસ નડે ને પછીથી ઝરણ નડે
નકશાઓ, સીમાચિહ્ન, ત્રિભેટા તો ઠીક છે
પગલાં નડે છે અન્યનાં, ખુદના ચરણ નડે
પડદા ઉપરના ચિત્રની પૂજા બહુ કરી
દર્શનની છે શરત કે પ્રથમ આવરણ નડે
તારી શકે છે સત્ય ફક્ત શોધનારને
છે શક્ય, તુજને હે અનુગામી ! રટણ નડે
તરવું જો હો, તણખલું કદી ક્યાં દૂર હતું?
બાંધેલ બોજ જેવું મને શાણપણ નડે
લીટીની વચ્ચે મર્મ જડ્યો માંડ, બાકી તો-
ભાષા સમજવા જાઉં અને વ્યાકરણ નડે
શું ભેદ? આખું વિશ્વ વિરોધી બને અગર
શું ભેદ? આખા વિશ્વમાં એકાદ જણ નડે
માગે ઊતરતો ઢાળ સતત આપણી ગતિ
સમજી શકાય, કે પછી મેદાન પણ નડે
નડતરનું હોવું એ બહુ સાપેક્ષ ચીજ છે
આગળ વધી જવાનું નિરંતર વલણ નડે
– રઈશ મનીઆર
રઈશભાઈની પચાસમી વર્ષગાંઠ શુક્રવાર 19મીએ ગઈ. તેઓની નિરંતર શબ્દસાધનાને સલામ સાથે આ ગઝલ રજૂ કરી છે……
Permalink
August 20, 2016 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, વજેસિંહ પારગી
માથા પર વાદળની છાયા,
અમ પર એવી જગની માયા.
શત્રુ હો તો લડી લઉં પણ,
રણમાં ઊભા માડીજાયા.
એક જણે છોડ્યા છે અમને,
ટોળામાં પણ એકલવાયા.
બે દિન માટે આવે ને જાય,
સુખ તો છે એક અતિથિ ભાયા.
તરવા બેઠો છું ભવસાગર,
લઈને હું માટીની કાયા.
– વજેસિંહ પારગી
કવિ મત્લામાં કહે છે એવી દૂ….રની માયા રાખીએ તો દુઃખી ન થવાય. બીજા શેરનો સંદર્ભ તો તરત જ સમજી શકાય છે. પણ ખરી મજા ત્રીજા શેરમાં છે. પ્રણયની આખી ગીતા બે જ લીટીમાં કવિ સમાવી લે છે. સફળ થાવ કે વિફળ, પ્રેમ તમને તમારામાં જ ઓતપ્રોત કરી દે છે, ભલે ને ટોળાંમાં હોવ કે ન હોવ.
Permalink
August 19, 2016 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, રઈશ મનીયાર
એમ ચાલ્યા વિના પણ સફર થાય છે
પગ તળેથી જ ધરતી ખસી જાય છે
ગૂંચ જીવનની જ્યારે ઉકેલાય છે
માત્ર દોરા જ હાથોમાં રહી જાય છે
નૌકા જળમાં રહે તો ય જળથી અજાણ
છિદ્ર પડતાં પરિચય થતો જાય છે
માત્ર એક પળ કઠે અહીં કોઈનો અભાવ
બીજી પળથી વિકલ્પો વિચારાય છે
લક્ષ્ય ચૂકી ગયું હો તમારું જે તીર
એ જ શત્રુના ભાથે ઉમેરાય છે
– રઈશ મનીઆર
કવિશ્રી ઉદયન ઠક્કર આ ગઝલના મત્લા વિશે કહે છે: “પરંપરાની ગઝલો મોટે ભાગે દાવા-દલીલની પદ્ધતિથી રચાતી. શેરની પહેલી પંક્તિમાં કરાયેલા દાવાનું બીજી પંક્તિની દલીલ વડે સમર્થન કરાતું. અહીં માન્યામાં ન આવે તેવો દાવો કરવામાં આવ્યો છે: ચાલ્યા વિના પ્રવાસ કેમ થાય? ધરતી સ્થિર રહે અને ચરણ આગળ નીકળી જાય એ પ્રવાસ કહેવાતો હોય, તો ચરણ સ્થિર રહે અને ધરતી પાછળ ખસી જાય એ પ્રવાસ ન કહેવાય? પગ તળેથી ધરતી ખસી જવી એટલે આઘાત લાગવો. ચરણ આગળ જવાથી યાત્રા થાય, અને ધરતી પાછળ ખસવાથી આંતર્યાત્રા. બીજી પંક્તિમાં અણધાર્યો ખુલાસો આપીને કવિ ચમત્કૃતિ સર્જે છે.કવિને માટે ચમત્કૃતિ સર્જવી મરજીયાત, પણ સારી કૃતિ સર્જવી ફરજિયાત હોય છે.
આ ગઝલના પાંચેય શેરમાં વ્યગ્રતા અને વિફળતાના સૂર ઘુંટાય છે.”
રઈશભાઈની આજે ૫૦મી વર્ષગાંઠ છે. જીવનની આ ગોલ્ડન જ્યુબિલી પર કવિશ્રીને ટીમ લયસ્તરો તરફથી ખૂબ ખૂબ શુભકામનાઓ…
Permalink
August 18, 2016 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, મેગી અસનાની
જે પ્રેમ પૂરો થઈ ગયો એ ના જતાવ તું,
બાકીમાં શું હિસાબ રહ્યો એ લખાવ તું.
તકલીફ બેઉ વાતે થશે, પણ જરૂરી છે,
બોલું કે સાંભળું ? હું કરું શું ? બતાવ તું.
ઘરને સજાવી રાખું છું ચારે તરફથી હું,
એવુંય પણ બને કે ના આવીને આવ તું.
માગ્યું બધું તેં હકથી ને આપી દીધું છે મેં,
બસ રાહ જોઉં છું કે ફરજ પણ બજાવ તું.
આખર સવાલ ‘હું’પણાનો છે તો કર શરૂ,
તેં શું કર્યું ને મેંય કર્યું શું, ગણાવ તું.
– મેગી આસનાની
પહેલો શેરમાં હિસાબની વાત નજરે ચડે તો કોઈ પુરુષ પતી ગયેલા પ્રેમની ઉલટતપાસ કરતો હોય એમ લાગે પણ પછીના શેરોમાં તરત જ શબ્દે-શબ્દે સ્ત્રી અને સ્ત્રીસહજ વેદના રવરવતી અનુભવાય છે. પુરુષ હકથી માંગે, સ્ત્રી આપી દે અને પછી પુરુષ પણ પોતાની ફરજ બજાવે એ શેર આજની સ્ત્રીનો આયનો છે.
Permalink
August 16, 2016 at 10:29 AM by તીર્થેશ · Filed under ગઝલ, રમેશ પારેખ
આ કાળું પાટિયું ને ચોક, લ્યો જનાબ, લખો !
તમારા હાથ વત્તા કેટલાં ગુલાબ ? લખો !
ખરું ને ? શોખ છે તમને પ્રથમથી ફૂલોનો
તો કેમ બાગમાંથી લાવ્યા ખાલી છાબ ? લખો !
ફરી પૂછું છું કે શું અર્થ છે આ જીવતરનો ?
લ્યો, ચોક લ્યો, અને આ પ્રશ્નનો જવાબ લખો !
ખરાબ સ્વપ્નથી નંબર વધે છે ચશ્માંના
તો કેવા સ્વપ્નને કહેશો તમે ખરાબ ? -લખો !
લખો, લખો કે છે તમને તો ટેવ લખવાની
બધા તમારા આપઘાતના હિસાબ લખો !
આ કાળા પાટિયાનો ખોફ કેમ રાખો છો ?
તમે સમર્થ છો, લ્યો ચોક, ‘આફતાબ’ લખો !
– રમેશ પારેખ
અલગ ઢાળની ગઝલ છે. ક્યાંક રમતિયાળપણું છે તો ક્યાંક વેધક કટાક્ષ છે તો ક્યાંક વક્રોક્તિ છે….આપઘાતની વાત બહુ માર્મિક રીતે આલેખી છે.
Permalink
August 15, 2016 at 1:53 AM by તીર્થેશ · Filed under ગઝલ, નિદા ફાઝલી
कभी किसी को मुकम्मल जहाँ नहीं मिलता
कहीं ज़मीं तो कहीं आसमाँ नहीं मिलता
बुझा सका है भला कौन वक़्त के शोले
ये ऐसी आग है जिसमें धुआँ नहीं मिलता
तमाम शहर में ऐसा नहीं ख़ुलूस न हो [ ख़ुलूस = purity of heart ]
जहाँ उमीद हो सकी वहाँ नहीं मिलता
कहाँ चिराग़ जलायें कहाँ गुलाब रखें
छतें तो मिलती हैं लेकिन मकाँ नहीं मिलता
ये क्या अज़ाब है सब अपने आप में गुम हैं [ अज़ाब = torment, pain ]
ज़बाँ मिली है मगर हमज़बाँ नहीं मिलता
चिराग़ जलते ही बीनाई बुझने लगती है [ बीनाई = vision ]
खुद अपने घर में ही घर का निशाँ नहीं मिलता
जिसे भी देखिये वो अपने आप में गुम है
ज़ुबाँ मिली है मगर हमज़ुबा नहीं मिलता
तेरे जहान में ऐसा नहीं कि प्यार न हो
जहाँ उम्मीद हो इस की वहाँ नहीं मिलता
– નિદા ફાઝલી
સ્વાતંત્ર્ય દિવસે આ ગઝલ હેતુપૂર્વક મૂકુ છું. શેનું મહત્વ વધારે – માણસાઈનું કે રાષ્ટ્રીયતાનું ? હું જો દેશ સાથે છેતરપીંડી કરું તો હું નઠારો અને મારો સમગ્ર દેશ અન્ય દેશ સાથે છેતરપીંડી કરે તો તે સફળ વિદેશનીતિ…. રાષ્ટ્રીયતા વિભાજક બળ છે, સંયોજક નથી. નાગરિકત્વ કરતા વિશ્વનાગરિકત્વ અનેકગણું અધિક છે. જે રીતે ધર્મ અને જાતિના વાડાઓ સમાજને વિભાજે છે તે કરતા અત્યંત વધુ જડતાપૂર્વક રાષ્ટ્રીયતા વિભાજે છે. જ્યાં સુધી વ્યક્તિની આંતરિક conflict દૂર નહિ થાય ત્યાં સુધી શાયરનો પ્રત્યેક શેર વ્યક્તિમાત્રની struggle પ્રતિબિંબિત કરતો જ રહેશે.
Permalink
August 12, 2016 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, મનોજ ખંડેરિયા
શબ્દોની મિત્રતા અને કાગળની મિત્રતા,
એકાંતે મ્હોરનારી આ હરપળની મિત્રતા.
આ હાંફ-તરફડાટ-તૃષા-થાક-ને તડપ-
કેવી રહી પૂછો નહીં મૃગજળની મિત્રતા.
પ્હેરણથી માત્ર રાખ્યું ન સગપણ ઉપરછલું,
માણી છે એની મેલી સળેસળની મિત્રતા.
આંસુથી રાખ કે પછી દરિયાથી રાખ તું,
ડુબાડી દેશે કોઈ દિવસ જળની મિત્રતા.
ચિરકાળ એની છાપ ફૂલો પર છવાઈ ગઈ,
નહીં તો રહી’તી બે ઘડી ઝાકળની મિત્રતા.
હરજન્મ બંધ દ્વારને ખખડાવતી રહી,
કેવી અતૂટ હાથ ને સાંકળની મિત્રતા.
આદિલ-અનિલ-રમેશ કે લા.ઠા. ચિનુની સંગ
કાયમની લીલી ગૂંજતા કાગળની મિત્રતા.
– મનોજ ખંડેરિયા
મિત્રતા વિશેની એક ચિરકાલિન યુવા ગઝલ. એક-એક શેર ટકોરાબંધ.
Permalink
August 9, 2016 at 2:20 AM by તીર્થેશ · Filed under ગઝલ, મુકુલ ચૉકસી
એમ કોઈ બહાર રહીને આપણી ભીતર રહે,
જેમ ઊડતા પંખીનો પડછાયો ધરતી પર રહે.
જળ લખું તો ‘જ’ ને ‘ળ’ વચ્ચે ભલે અંતર રહે,
જળ થકી મળતા અનુભવનું તો એક જ સ્તર રહે.
એમ આ સૌંદર્ય કોઈ પણ રીતે હાજર રહે,
પર્ણ ડાળે ના રહે તો કર્ણમાં મર્મર રહે.
આમ અંદર બ્હાર એકાકાર થઈ જાશે પછી,
શો ફરક કે કોઈ મારી બ્હાર કે ભીતર રહે.
– મુકુલ ચોકસી
Permalink
August 8, 2016 at 2:02 AM by તીર્થેશ · Filed under અનિલ ચાવડા, ગઝલ
એ ખરા તડકે ને ઉઘાડા પગે દોડાવશે એવી ખબર થોડી જ હોય?
ને વ્યથાઓ ડાકુઓની જેમ પાછળ આવશે એવી ખબર થોડી જ હોય?
હા ખબર છે મેં જ તો કીધું હતું એને: સ્મરણ કોદાળી જેવાં હોય છે,
એ મને મારી જ પાસે દર વખત ખોદાવશે એવી ખબર થોડી જ હોય?
જેમને દિવસે નહોતાં આવવા દીધાં મેં મારી આંખમાં એ દૃશ્ય સૌ,
અડધી રાતે પાંપણોનાં બારણાં ખખડાવશે એવી ખબર થોડી જ હોય?
મન ઉપર ઇચ્છાની નાની ફોડલી થઈ ગઈ હતી તો ફોડી નાખી એને મેં,
આ ગુનામાં દેહ આખો ફાંસીએ લટકાવશે એવી ખબર થોડી જ હોય?
ભીતરી દુષ્કાળને જો નાથવો હો તો બલિ તો જોઈએ એવું કહી,
માથું મારાં સેંકડો સપનાંઓનું છેદાવશે એવી ખબર થોડી જ હોય?
ઝેર, ફાંસો કે નદીમાં ડૂબવી દેવાની સઘળી કોશિશો પણ વ્યર્થ ગઈ,
જિંદગી! તું વારતાને આ હદે લંબાવશે એવી એવી ખબર થોડી જ હોય?
– અનિલ ચાવડા
પ્રત્યેક શેર એક કહાની છે….. બળકટ ગઝલ
Permalink
August 6, 2016 at 1:20 AM by વિવેક · Filed under ગઝલ, ત્રિપદી, નેહા પુરોહિત
આંખ પરથી વાત અંદાજાય છે,
પણ તને આ વાત ક્યાં સમજાય છે !
એક, બે ને ત્રણ નથી થાતું અહીં,
એ રીતે તો એકડો ભૂંસાય છે !
પણ તને આ વાત ક્યાં સમજાય છે !
ભીતરે વૈશાખ છે આઠે પ્રહર,
ને અષાઢી આંખ થાતી જાય છે .
પણ તને આ વાત ક્યાં સમજાય છે !
તું ગુલાબી જાત બોળે ઈશ્કમાં,
રંગ દિલનો આસમાની થાય છે !
પણ તને આ વાત ક્યાં સમજાય છે !
રોજ આવે છે તું મારી શેરીએ ,
બિનજરૂરી ધારણા બંધાય છે…
પણ તને આ વાત ક્યાં સમજાય છે !
– નેહા પુરોહિત
આ રચનાને આપણે શું કહીશું? ગઝલ કે ત્રિપદી ? ગઝલ કહીએ તો દરેક શેરમાં આવતી ત્રીજી પંક્તિ સામી ઊભી રહી જાય છે અને ત્રિપદી ગણીએ તો પહેલા બંધમાં એક પદ ખૂટે છે ને બાકીના તમામમાં ત્રીજું પદ માત્ર પુનરાવર્તન છે. પણ કવિતાના આકારના પિષ્ટપેષણમાં ન ઉતરીએ તો તરત જ સમજાય છે કે ત્રીજું પદ જ આ રચનાની જાન છે. દરેક શેરને એ ત્રીજું પદ અર્થની નવી ઊંચાઈ અને ગહેરાઈ- બંને બક્ષે છે.
કવયિત્રીની આજે વર્ષગાંઠ પણ છે… ટીમ ‘લયસ્તરો’ તરફથી કવિમિત્ર નેહાને જન્મદિવસ પર શત શત કોટિ સ્નેહકામનાઓ….
Permalink
August 4, 2016 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, ભાવેશ ભટ્ટ
કોઈ ક્યારેય પણ ઉદાસ ન થાય,
થાય તો મારી આસપાસ ન થાય.
એક દી સૂર્ય ના ઊગ્યો તો થયું –
ક્યાંક મારી ઊલટ-તપાસ ન થાય!
જો વીતે આપના વિચાર વગર
એ દિવસ મનનો ઉપવાસ ન થાય?
એ રીતે કોઈ ભીંત શણગારો
કે બીજી ભીંત નાસીપાસ ન થાય
રોજ ઈશ્વરની હું પરીક્ષા લઉં
એમ ઇચ્છું કે એ નપાસ ન થાય
– ભાવેશ ભટ્ટ
આજકાલ ગુજરાતી મુશાયરાઓની જાન બની ગયેલા ભાવેશ ભટ્ટની એક શાનદાર ‘પોઝિટિવ’ ગઝલ. બધાજ શેર સરળ, સહજ સાધ્ય પણ અર્થગાંભીર્યસભર.
Permalink
August 2, 2016 at 2:25 AM by તીર્થેશ · Filed under ગઝલ, હિતેન આનંદપરા
આપણું મળવાનું ક્યાં સંભવ હવે, કારણ વગર
ફોડ પાડીને કહું તો, લાભ કે વળતર વગર
જંગલો ખૂંદી વળેલો, ગામનો જણ – શહેરમાં
બેધડક રસ્તા ઉપર નીકળી શકે નહીં ડર વગર
કાળ તો તત્પર સદા, મારા પ્રહારો ઝીલવા
હું જ પાગલ હાથ ફંગોત્યા કરું ગોફણ વગર
માણસોને ચારવા નીકળી પડેલું આ નગર
સાંજના, ટોળું બની પાછું ફરે માણસ વગર
હું હજારો યુધ્ધનો લઇને અનુભવ શું કરું ?
જિંદગીમાં કાયમી લડવાનું છે લશ્કર વગર
તું ગરીબી આટલી, ક્યારેય ના દેતો ખુદા
આંગણે આવેલ પંખીને ઉડાડું ચણ વગર.
– હિતેન આનંદપરા
Permalink
July 29, 2016 at 12:30 AM by વિવેક · Filed under કાલિન્દી પરીખ, ગઝલ
મળ્યો હાથ તારો તો લાગી છે તાલી,
વિના રાસ નાચું હું કરતાલ ઝાલી.
હરિતકુંજ બાજુ નિહાળે છે ગોપી,
અને રંગ લીલો બની જાય લાલી.
દીવાલે દીવાલે લગાવ્યાં છે ચિત્રો,
છતાં ઘર હજી કેમ લાગે છે ખાલી.
ટળી ગઈ જનમવા કે મરવાની ઝંઝટ,
સમય-ક્યારિયે શું અમરવેલ ફાલી.
ફકીરી તો કેવળ છે કાયાની ઓળખ,
અમારે તો અંદરની જાહોજલાલી.
– કાલિન્દી પરીખ
જાણીતા નવલકથાકાર, વાર્તાકાર કાલિન્દી પરીખ “ક્યાંક વચ્ચે દીવાલ” ગઝલસંગ્રહ લઈને ઉપસ્થિત થયા છે એ ટાંકણે ટીમ લયસ્તરો તરફથી એમનું સહૃદય અભિવાદન અને સ્નેહકામનાઓ…
રાચરચીલાથી ભર્યુંભાદર્યું ઘર પણ માણસ અને સ્નેહ ન હોય તો ખાલી મકાન જ છે. ઘર વિશેનો આ શેર વાંચતાં જ જાણીતી કાવ્યકણિકા યાદ આવે:
ઘર એટલે ચાર દીવાલ ?
ના…ના… ઘર એટલે ચાર દિ’ વ્હાલ !
Permalink
July 28, 2016 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, મેગી અસનાની
એક પંક્તિમાં તું આવી જાય છે,
બીજી લીટી ક્યાં પછી સર્જાય છે ?!
માવઠાને કોણ સમજાવે હવે ?!
બ્હાર મારાં સપનાં પણ સુકાય છે.
હું ઊભી છું રણમાં ને મારું આ મન,
સામે દરિયા પાર પહોંચી જાય છે.
રાતરાણી હોય કે સૂરજમુખી,
પ્રેમના નામે સમર્પિત થાય છે.
મોત સામે આ તે કેવી જંગ છે ?
માણસોની જિંદગી ખર્ચાય છે.
– મેગી આસનાની
દુબઈસ્થિત કવયિત્રી મેગી આસનાની પોતાના પ્રથમ ગઝલ સંગ્રહ “જાત સાથે વાત” ગુજરાતી ગઝલોની દુનિયામાં બા-અદબ પ્રવેશ કરે છે. લયસ્તરો તરફથી કવયિત્રીને ખૂબ ખૂબ શુભકામનાઓ અને સ્નેહાભિનંદન….
ગઝલના બધા જ શેર ધ્યાનાર્હ હોય એવી જવલ્લે જ બનતી સુખદ ઘટના અહીં ઘટી છે એનો આનંદ…
Permalink
July 26, 2016 at 2:59 AM by તીર્થેશ · Filed under ગઝલ, મરીઝ
લાગે છે તેથી ભાર ને ધીમો પ્રવાસ છે,
ઓ જિંદગાની તારા હજારો લિબાસ છે.
બે ચાર શ્વાસ લેવાના ત્યાં શું પસંદગી?
અમને તો જે જગતની હવા હો એ રાસ છે.
આવો નહીં નજીક મગર દૂર તો રહો,
મૃગજળને પી શકું છું હવે એવી પ્યાસ છે.
જો જો તમે કે એ જ થવાનું ફરી ફરી,
હમણાં ભલે કહું છું આ આખર પ્રયાસ છે.
સિદ્ધિ મળી જ્યાં એક ત્યાં લાખો દિશા ખૂલી,
કોને ખબર કે મારો ક્યાં સુધી વિકાસ છે !
આવો તમે કે મારા નયનને જીવન મળે,
દર્શન તમારા એ જ તો આંખોના શ્વાસ છે.
લાગે છે તે વખત મને એકાંતની કદર
જ્યારે હું જોઉં છું કે બધા આસપાસ છે.
એ તો મળી ગયાં હવે સાચવવાં જોઈએ,
મંઝિલ છે હાથમાં છતાં ચાલુ પ્રવાસ છે.
થઈને હતાશ જોયું જો ઉપર અમે ‘મરીઝ’,
ત્યારે ખબર પડી કે ગગન પણ ઉદાસ છે.
– મરીઝ
Permalink
July 22, 2016 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, હર્ષા દવે
એ જ આશા રાખવામાં સાર છે,
બંધ છે એ શક્યતાનું દ્વાર છે.
આપણી બારી ઉઘાડી રાખીએ,
તો બધે અજવાસ પારાવાર છે.
લાગલું મીરાંપણું જ્યાં ઓગળે,
વાંસળીનો એ પછી વિસ્તાર છે.
આટલું ભળભાંખળું તો થઈ ગયું,
ક્યાં હવે દિ’ ઉગવામાં વાર છે ?
રંગ કેવો વૃક્ષ ઉપર ખીલશે !
એક ટહુકા પર બધો આધાર છે.
એ જતાં ને આવતાં વહેરે મને,
શ્વાસને પણ બેઉ બાજુ ધાર છે.
– હર્ષા દવે
કવયિત્રીઓ આપણી પાસે આમે ગણી-ગાંઠી. અને એમાં પણ મજબૂત કવયિત્રી ? આવામાં આવી સશક્ત ગઝલ લઈને એક નવું નામ આપણી વચ્ચે આવે ત્યારે ગઝલ રળિયાત થતી જણાય. છમાંથી પાંચ શેર તો નકરી પોઝિટિવિટિના.
બધા જ શેર અદભુત છે પણ મારે તો મીરાંની વાંસળી જ સાંભળવી છે. મીરાં જે ઘડીએ મીરાં મટી જાય, ભક્તિમાં લીન થઈ જાય, પોતાનું દુન્યવી અસ્તિત્વ ઓગાળી એ ઘડીએ એ સાક્ષાત્ કૃષ્ણ બની જાય છે. અને શેરની ખરી મજા ‘લાગલું’ શબ્દમાં છે. સાવ રોજબરોજની વાતચીતમાં વપરાતો શબ્દ કવિના પારસ-સ્પર્શે કેવો સોનાનો થઈ ગયો છે !
Permalink
July 21, 2016 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, પંકજ વખારિયા
છે દિવસ ઓછા, હજી પણ ચલ, પ્રિયે! ભીંજાઈએ
આ છલોછલ આંખના છે સમ તને, ભીંજાઈએ
સાવ સૂકીભઠ્ઠ ધરા જેવા અધર પર લીલાંછમ
ગીત ઊગી જાય પાછાં એ હદે ભીંજાઈએ
મેહ વરસે છે સરાજાહેર તો શા કારણે
ખાનગીમાં, એકલાં છૂપાઈને ભીંજાઈએ?
પીઢ લોકોને ભલે રહી ના પલળવાની ગરજ,
પણ ફરજ છે આપણી તો, આપણે ભીંજાઈએ.
બે ઘડી શંકા-દુવિધાને ફગાવી દઈ, ચલો
કોઈ અનરાધારે અનહદ ભીંજવે, ભીંજાઈએ
રહી ગયા રંક ઓરડાની કોરીકટ ભીંતો સમા
દે ખુદા ! વરસાદ છપ્પર ફાડકે, ભીંજાઈએ
– પંકજ વખારિયા
(૧૩-૦૭-૨૦૧૬)
આવું-આવું કરીને વરસાદ સતત હાથતાળી દઈ જતો હોય એવામાં આવી જ ગઝલ સૂઝે ને? બધા જ શેર સરાબોળ ભીંજવી જાય એવા. આવી પાણીદાર મેઘ-મલ્હારી ગઝલ વાંચીને પણ જો વરસાદ આપણને ભીંજવવા ન આવે તો જ નવાઈ…
Permalink
July 19, 2016 at 2:25 AM by તીર્થેશ · Filed under ગઝલ, મુકુલ ચૉકસી
આખા નગરની જલતી દીવાલોને કળ વળે,
ક્યારેક મોડી સાંજે બે માણસ ગળે મળે.
ઇચ્છા વિશે મેં ગ્રંથ લખ્યો એક વાક્યમાં,
ઇચ્છાનું એવું છે કે ફળે યા ન પણ ફળે.
વંઠી ગયેલો ગાંધીજીનો વાંદરો હવે,
બહેરો બન્યાનો ડોળ કરી સઘળું સાંભળે.
એક જ રીતે ગુમાવેલ માણસ ફરી મળે,
ઘડિયાળ ઊંધી ચાલવા માંડે જો આ પળે.
સાચું કહું તો તારી લપસણી લટો સિવાય,
વહેતા પવનને ક્યાંય ઉતારો નહીં મળે.
બીજાઓ વાંચે તો ય અદેખાઇ આવશે,
ચીતરું નહીં હું નામ તારું કોઇ પણ સ્થળે.
– મુકુલ ચોકસી
કોઈક મિત્રએ ફેસબુક ઉપરથી આ ગઝલ મને ઈમેલ વડે મોકલી તો લોટરી લાગી હોય એમ કૂદ્યો હું. અંગત રીતે હું દ્રઢપણે માનું છું કે મુકુલભાઈ કોઈક કારણોસર કાવ્યસર્જનમાંથી અકાળે નિવૃત્ત થઈ ગયા છે, બાકી તેઓ નિ:શંકપણે ગુજરાતના ટોચના ત્રણ સર્જકમાં બિરાજતા હોતે. ઘણીવાર આ વાત તેઓને રૂબરૂમાં કીધી પણ છે. તેઓને કાવ્ય જેટલું સહજ છે એટલું ભાગ્યે જ અન્ય કોઈ સર્જકને નસીબે હોય….
Permalink
July 14, 2016 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, ભાવિન ગોપાણી
ન સ્વીકારવુંયે સ્વીકારી લીધું છે;
અમે જીવવુંયે સ્વીકારી લીધું છે.
તમે આવશો એમ જાણ્યું ને સાથે,
તમારું જવુંયે સ્વીકારી લીધું છે.
સતત દોડવું જો સ્વીકાર્યું તો નક્કી,
તમે ઝાંઝવુંયે સ્વીકારી લીધું છે.
તમારા વગર શું અમે તો અમારા
વગર જાગવુંયે સ્વીકારી લીધું છે.
હું ચાહું છું કે કાર્ય થઈ જાય સંપન્ન,
છતાં ના થવુંયે સ્વીકારી લીધું છે.
જરા ઠેસ ખાધી અને પથ્થરોને,
પગે લાગવુંયે સ્વીકારી લીધું છે.
‘જૂનું એ જ સોનું’ જીવનમાં ઉતારી,
સમયસર નવુંયે સ્વીકારી લીધું છે.
– ભાવિન ગોપાણી
કળાને હંમેશ કાળો રંગ જ વધુ માફક આવ્યો છે એવામાં આવી ઉજળી અને ‘પોઝિટિવ’ ગઝલ મળે તો સહર્ષ સ્વીકારી જ લેવી પડે કેમકે સ્વીકારી ન શકવાની સાર્વત્રિક અસહિષ્ણુતા જ સમાજનું સમતુલન ખોરવી દે છે.
Permalink
July 12, 2016 at 12:30 AM by તીર્થેશ · Filed under ગઝલ, મનોજ ખંડેરિયા
બધાનો હોઈ શકે, સત્યનો વિકલ્પ નથી;
ગ્રહોની વાત નથી, સૂર્યનો વિકલ્પ નથી.
પાતાળે શાખ વધી, મૂળ સર્વ આકાશે,
અમારા બાગના આ વૃક્ષનો વિકલ્પ નથી.
હજારો મળશે મયૂરાસનો કે સિંહાસન,
નયનનાં આંસુજડિત તખ્તનો વિકલ્પ નથી.
લડી જ લેવું રહ્યું મારી સાથે ખુદ મારે,
હવે તો દોસ્ત, આ સંઘર્ષનો વિકલ્પ નથી
કપાય કે ન બળે, ના ભીનો વા થાય જૂનો,
કવિનો શબ્દ છે, એ શબ્દનો વિકલ્પ નથી.
પ્રવાહી અન્ય ન ચાલે ગઝલની રગરગમાં,
જરૂરી રક્ત છે ને રક્તનો વિકલ્પ નથી.
– મનોજ ખંડેરિયા
Permalink
July 11, 2016 at 8:45 AM by તીર્થેશ · Filed under ગઝલ, જવાહર બક્ષી
કોઈ હમણાં આવશે, ભીંતો ભણકારાય
એક અમસ્તી શક્યતા, આખું ઘર પડઘાય
દરિયો ઊમટે આંખમાં દેખું તારા વ્હાણ
પરદેશીનું સ્વપ્ન પણ પરદેશી થઈ જાય
સંતાતો ફરતો રહું, પગલે પગલે બીક
આ ઝાકળિયા દેશમાં ક્યાંક સૂરજ મળી જાય
દેશવટો પૂરો થતાં પાછા ફરશે શબ્દ
રામ કરેને કૈંક તો કહેવા જેવું થાય
આજકાલમાં પીગળે સદી સદીનાં મીણ
કોઈ હમણાં આવશે વાટ સળગતી જાય
– જવાહર બક્ષી
Permalink
July 3, 2016 at 2:47 AM by તીર્થેશ · Filed under ગઝલ, મિલિન્દ ગઢવી
હું શમણાંઓને ગાળું છું એ ઘટનાઓને લૂંછે છે,
હું શબ્દ બનીને સળગું છું એ મૌન લખીને ઘૂંટે છે.
નિસ્તેજ થયેલી આંખોને સૂરજની વાતો યાદ નથી,
અફસોસ બીચારું અંધારું અહેસાસ ઉદયનો પૂછે છે.
તું આવ અષાઢી સાંજે કે વરસાદ બનીને મળવું છે,
તું આવ કે મારા આકાશે આખું ચોમાસું ઉડે છે.
હું સ્વપ્ન ભલા ક્યાંથી વાવું ? જઈ પૂછ વિરહની રાતો ને,
અહીં રોજ નિરાશા ફણગે છે અહીં રોજ નિસાસા ઊગે છે.
– મિલિંદ ગઢવી
Permalink
July 1, 2016 at 1:40 AM by વિવેક · Filed under ગઝલ, હિમલ પંડ્યા 'પાર્થ'
કોણ તારું, કોણ મારું, છોડ ને!
એકલા છે દોડવાનું, દોડ ને!
જ્યાં ટકોરા મારવાનું વ્યર્થ છે,
કામ લે હિમ્મતથી, તાળું તોડ ને!
રોજ જે ચહેરો સતત જોવો ગમે,
આઈના પર એ જ ચહેરો ચોડ ને!
કેટલા ભેગા થયેલાં છે સ્મરણ?
તું સમયનો સહેજ ગલ્લો ફોડ ને!
લે, હવે વધસ્તંભ પર આવી ઊભા!
હોય ખીલ્લા એટલા તું ખોડ ને!
ત્યાં નિરંતર ઈશ વસતો હોય છે,
તું હૃદય સાથે હૃદયને જોડ ને!
– હિમલ પંડ્યા ‘પાર્થ’
સાવ અનૂઠો કાફિયો પણ જુઓ તો, કેવી સહજતાથી અને બખૂબી નિભાવ્યો છે કવિએ ! અને સાથે એકાક્ષરી રદીફ “ને” મૂકીને કવિએ આખી રચનાનો સંદર્ભ જ સફળતાપૂર્વક બદલી નાંખ્યો છે. આવી કૃતિ માણવા મળે ત્યારે કળા સાથે કસબનો સાચો મહિમા સમજાય…
Permalink
June 27, 2016 at 1:54 AM by તીર્થેશ · Filed under ગઝલ, સંજુ વાળા
ભવરણ તરી જે જાય તે ભીતરથી ભાવમય
બસ દૂરથી નિહાળી રહે નિજનો ક્ષય વિલય
જે ઓળખી જશે તે સદાકાળ હો અજય
રમવું દે સાથ તો રમે વક્તા અને વિષય
ભ્રમણા નથી રહી કે નથી ભાન પણ રહ્યું
કચડાય રોજ પગ તળે નિયતિ,નવા નિશ્ચય
દેખાઉં હેમખેમ એ બાહિક સ્વભાવ છે
અંદર ઉઠી રહ્યા છે કૈં આંસુભીના પ્રલય
સિગ્નલ ખુલ્યું હો એમ ખૂલે છે ભવિષ્ય પણ
ત્યારે જ આંબી જાય છે પૂરૂં થયેલ વય
ટ્રાફિકમાં ગૂંચવાય ગયો હે મહારથી !
સક્ષમ છે પાર કરવા તું વર્તુળ ‘ને વલય
દુર્ભાગ્ય આપણા કે સ્વીકારી શક્યા નહીં
નહિતર તો હાથવેંતમાં કાયમ રહે છે જય
– સંજુ વાળા
પ્રત્યેક શેરમાં ઊંડાણ છે – માત્ર એક ઉદાહરણ જોઈએ – ત્રીજો શેર – પ્રત્યેક વ્યક્તિ ઘણાબધા ‘હું – I ‘ નો બનેલો હોય છે. વ્યવહારમાં જ્યારે આપણે આપણી જાત માટે ‘ હું ‘ પ્રયોજતા હોઈએ છીએ ત્યારે તે એક ભ્રમણા હોય છે કે આપણે એક unified વ્યક્તિ છીએ. આપણી અંદર અસંખ્ય ભિન્ન ‘હું’ વસે છે અને સમયે સમયે વિભિન્ન ‘હું’ સપાટી ઉપર આવતા હોય છે. આ સંદર્ભ સાથે આ શેરનો આસ્વાદ કરવા વિનંતી….
Permalink
June 25, 2016 at 3:57 AM by વિવેક · Filed under ઉર્વીશ વસાવડા, ગઝલ
ભીતરે બાળક રહી વરસાદનું સ્વાગત કર્યું,
નાવ કાગળની લઈ વરસાદનું સ્વાગત કર્યું.
આ ધરા માફક મહેકતાં છો મને ના આવડે,
તરબતર ભીના થઈ વરસાદનું સ્વાગત કર્યું.
પ્હાડની સંવેદનાઓ આ ક્ષણે સમજાય છે,
કૈંક ઝરણાંએ વહી વરસાદનું સ્વાગત કર્યું.
વૃક્ષ પાસે એ કસબ છે, આપણી પાસે નથી,
સાવ લીલાંછમ થઈ વરસાદનું સ્વાગત કર્યું.
માત્ર આ આકાશને પોષાય એવું આ રીતે,
એમ ધરતીએ કહી વરસાદનું સ્વાગત કર્યું.
– ઉર્વીશ વસાવડા
આમ તો હજી ચોમાસું પડું-પડું કરતુંક હાથતાળી જ દઈ રહ્યું છે પણ તબીબ-કવિમિત્ર ઉર્વીશ વસાવડા એમનો નવતર ગઝલસંગ્રહ “ઝાકળના સૂરજ” લઈ ઉપસ્થિત થયા છે ત્યારે મન દઈને ન આવેલા વરસાદની સાથોસાથ એમના આ સંગ્રહનું આપણે મન દઈને સ્વાગત કરીએ.
Permalink
June 24, 2016 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, હિમલ પંડ્યા 'પાર્થ'
બે ઘડીની આ રમતને શું કરું?
શ્વાસ સાથેની મમતને શું કરું?
આખરે તો હારવાનું છે પછી,
મોત સામેની લડતને શું કરું?
આંખથી એ તો સરી જાશે કદી,
આંસુઓ કેરી બચતને શું કરું?
પાછું વાળી જોઉં તોયે વ્યર્થ છે,
હું ગયેલા એ વખતને શું કરું?
બેઉ પક્ષેથી એ નભવી જોઈએ!
પ્રેમની પહેલી શરતને શું કરું?
લાગણી આપો જરા તો ઠીક છે,
આ ઉપેક્ષાઓ સતતને શું કરું?
‘પાર્થ’ જેને શોધતાં થાકે ચરણ,
સ્વપ્નમાંના એ જગતને શું કરું?
– હિમલ પંડ્યા ‘પાર્થ
કેવી સ-રસ ગઝલ… એક-એક શેર પાણીદાર !
નાની ઉંમરે મૃત્યુને સન્મુખ આવી ઊભેલું જોનાર અને સદનસીબે જીવતદાન પામનાર આ યુવા કવિની ગઝલોમાં મૃત્યુનો સંસ્પર્શ સતત વર્તાતો જોવા મળે છે…
Permalink
June 23, 2016 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, ભાવિન ગોપાણી
દુનિયાભરની અટકળ આવે,
જ્યારે કોરો કાગળ આવે.
ખેડો તદ્દન નવી સફર તો,
રસ્તો પાછળ પાછળ આવે.
પ્રેમ કર્યો પણ રડ્યા નથી જે,
થાય ઊભા ને આગળ આવે.
એક સ્મરણ મેં પાછું કાઢ્યું,
હું ઇચ્છું છું પુષ્કળ આવે.
થોડા ચ્હેરા એવા મોકલ,
સૌની આંખોમાં બળ આવે.
તું મારામાં કેમ ન આવે ?
જો પથ્થર પર કૂંપળ આવે.
– ભાવિન ગોપાણી
‘ઉંબરો’ વટાવો અને ‘ઓરડો’માં પ્રવેશો. ભાવિન ગોપાણી એમના બીજા ગઝલસંગ્રહ વડે એમના ગઝલઘરમાં આપણને આમંત્રે છે. સંગ્રહમાંથી એક સંઘેડાઉતાર રચના આપ સહુ માટે.
બીજા સંગ્રહ માટે કવિને લયસ્તરો તરફથી શુભકામનાઓ….
Permalink
June 18, 2016 at 2:28 AM by વિવેક · Filed under ગઝલ, હર્ષ બ્રહ્મભટ્ટ
યાદનાં પગલાં સતત,
છેતરે મન હર વખત.
છે નવું આરંભમાં,
અંતમાં એ પૂર્વવત્.
જાઉં ક્યાં ફરિયાદ લઈ ?
છે મને મારી અછત.
શ્વાસ પુષ્કળ કિંમતી,
પણ હવા આપી મફત.
એક મિસરો તું બને,
એક મિસરો આ જગત.
કોણ આ વચ્ચે ઊભું ?
હું જ સત ને હું અસત.
– હર્ષ બ્રહ્મભટ્ટ
ટૂંકી બહેરમાં સરસ કામ.
Permalink
June 17, 2016 at 2:12 AM by વિવેક · Filed under ગઝલ, વેણીભાઈ પુરોહિત
જિંદગીની દડમજલ થોડી અધૂરી રાખવી,
ચાલવું સાબિત કદમ, થોડી સબૂરી રાખવી.
જીવવું છે, ઝૂરવું છે, ઝૂઝવું છે, જાનેમન !
થોડી અદાઓ ફાંકડી, થોડી ફિતૂરી રાખવી.
જોઈ લેવું આપણે, જોનારને પણ છૂટ છે,
આંખને આકાશના જેવી જ ભૂરી રાખવી.
ભાનભૂલી વેદનાઓને વલૂરી નાખવી,
જ્વાલા ભલે ભડકી જતી, દિલમાં ઢબૂરી રાખવી.
જામમાં રેડાય તેને પી જવાનું હોય છે,
ઘૂંટડે ને ઘૂંટડે તાસીર તૂરી રાખવી.
કેફીઓના કાફલા વચ્ચે જ જીવી જાણવું,
થોડુંક રહેવું ઘેનમાં, થોડીક ઘૂરી રાખવી.
ઝંખનાઓ જાગતી બેઠી રહે છે રાતદિન,
જાગરણની એ સજાને ખુદને પૂરી રાખવી.
એમના દરબારમાં તો છે શિરસ્તો ઔર કંઈ,
ફૂંક સૂરીલી અને બંસી બસૂરી રાખવી.
બાજ થઈને ઘૂમવું અંદાજની ઊંચાઈ પર,
ઇશ્ક ખાતર બુલબુલોની બેકસૂરી રાખવી
– વેણીભાઈ પુરોહિત
કબરમાંથી મડદાંને બેઠી કરી દે એવી ખુમારીવાળી ગઝલ. થોડી અદાઓ ફાંકડી અને બાજ-બુલબુલવાળા બે શેર તો કોલેજકાળમાં અમે જ્યાં ને ત્યાં ફટકારતા.
આ ગઝલ 2007માં ટહુકો ડૉટ કોમ પર વાંચી હતી ત્યારે હે પ્રતિભાવ મેં આપ્યો હતો એ આજે કવિમિત્ર નિનાદ અધ્યારુએ શોધી કાઢીને મને મોકલ્યો, જે અહીં ઉમેરવાની લાલચ જતી નથી કરી શકતો: “આ ગઝલના બે શેર જ મને ખબર હતા અને એ બંને મારા ઓલટાઈમ ફેવરીટ રહ્યા છે. મુક્તકની જેમ હું એ બે શેર સાથે જ લલકારતો રહું છું અને જ્યારે અંદરથી ઢીલાશ અનુભવું છું ત્યારે મોટેથી અંદર જ લલકારું છું અને પુનર્ચેતના પામું છું. વાત ઈશ્કની છે પણ ગઝલનો અંદાજ-એ-બયાઁ એટલો પ્રબળ છે કે મડદામાં જાન લાવી દે. પણ એ બીજો બીજો શેર ક્યાં ગયો?
જીવવું છે, ઝૂરવું છે, ઝૂઝવું છે, જાનેમન !
થોડી અદાઓ ફાંકડી, થોડી ફિતૂરી રાખવી
બાજ થઈને ઘૂમવું અંદાજની ઊંચાઈ પર,
ઈશ્ક ખાતર બુલબુલોની બેકસૂરી રાખવી.”
***
* ફિતૂરી – બળવાખોરી
* ઘૂરી = આવેશ, ઊભરો, જુસ્સો
Permalink
June 16, 2016 at 1:39 AM by વિવેક · Filed under ગઝલ, નિનાદ અધ્યારુ
અમથી-અમથી ફાળ પડે છે,
વિચારું ત્યાં ડાળ પડે છે !
વિક્રમ જેવું જીવું કિન્તુ,
ખભ્ભે રોજ વેતાળ પડે છે !
આંખો સામે જોયા ના કર,
આંખો બહુ ખર્ચાળ પડે છે !
ત્યાં પણ ઘોડાપૂર જોયાં જ્યાં-
પાણી પહેલા પાળ પડે છે.
એણે ના પાડી તો શું છે ?
દિલના ક્યાં દુકાળ પડે છે !
ખોટું બોલો, સરઘસ કાઢે,
સાચું બોલો, ગાળ પડે છે !
પ્રેમ કરો તો જાણો સાહેબ,
દિલમાં કેવી જાળ પડે છે !
મૂઠ્ઠીભર સુખ માંડ છૂપાવું,
ત્યાં દુનિયાની લાળ પડે છે.
પ્રેમમાં સૌ કોઈ પડતુ કિન્તુ,
સૌ પહેલા શરમાળ પડે છે !
‘નિનાદ’ મારી વ્હાલી જગ્યા :
એની જ્યાં પરસાળ પડે છે !
– નિનાદ અધ્યારુ
પાણીદાર ગઝલ… લગભગ બધા જ શેર સંતર્પક.
Permalink
June 14, 2016 at 12:30 AM by તીર્થેશ · Filed under ગઝલ, શ્યામ સાધુ
દુ:ખની દીવાલે મોર સમયના મૂંગા હતા;
લાગે છે એટલે જ આ આંસુ ઊનાં હતાં !
હોવાનો અર્થ આ રીતે અહીંયાં જટિલ છે,
છે દ્વાર ક્યાં ? છતાંય કહે છે : ખૂલાં હતાં !
પરબીડિયાની વચ્ચે ઉદાસી ઊગી હશે,
શબ્દો તો એના એ જ છે, અર્થો જુદા હતા.
કૃપા કરીને ખુશબો અલગ તારવો નહીં,
ફૂલોની વચ્ચે થાકીને રંગો સૂતા હતા !
દિવસો જ દોસ્ત જેમ અહીં આથમી ગયા,
સૂરજની જેમ નહીં તો અમે પણ ઊભા હતા !
– શ્યામ સાધુ
કોમળ શબ્દો….સુંદર ગૂંથણી….મનનીય અર્થ….
Permalink
June 11, 2016 at 2:22 AM by વિવેક · Filed under ગઝલ, ભાવિન ગોપાણી
પાથરે છે યાદ, ચ્હેરા ચીતરીને
ઘરની ભીંતો પરથી ચૂનો પણ ખરીને.
કહી ગયો અંધાર આ શું કરગરીને ?
સૌ દીવા પાછા ફર્યા જાતે ઠરીને.
આપ જે માણી રહ્યા છો નાચ જેવું,
કોઈનું એ જીવવું છે થરથરીને.
વૃક્ષ જેવા વૃક્ષથી નારાજ થઈને,
રોડ પર આવી ગયાં ફૂલો ખરીને.
ઓળખું ક્યાંથી એ પડછાયાને મારા !
જે મળ્યો કાયમ મને ઊંધો ફરીને.
દૂરનું રણ જોઈને જો ખુશ થયા તો,
આંગણે આવી જશે એ વિસ્તરીને.
– ભાવિન ગોપાણી
ઉંબરા પર પગ મૂકતાં જ ઓરડો કેવો હશે એનો ક્યાસ આવી જાય છે એમ જ ભાવિન ગોપાણીના ‘ઉંબરો’ સંગ્રહમાંની આ ગઝલના ઉંબરે – પહેલા શેર આગળ ઊભતાં જ આખી ગઝલનો અંદાજ આવી જાય છે. ભીંત પરથી અનિયમિત આકારમાં ચૂનો ખરે અને એમાં કોઈનો ચહેરો યાદ બનીને પથરાતા હોય એ એક કલ્પન જ આખી ગઝલની રેખાકૃતિ ચીતરી આપે છે. આંધારાની વિનંતીને માન આપીને જાતે ઠરી જતા દીવા પણ દાદ માંગી લે છે. સમય સાથે ખરી જતાં ફૂલોની હકીકતને નારાજગી સાથે સાંકળી લેવાનું કમાલ ચિત્ર દોર્યા બાદ કવિ ખરી કમાલ તો ‘રોડ પર આવી જવું’ રુઢિપ્રયોગને બેવડા અર્થમાં જે રીતે પ્રયોજે છે એમાં કરે છે…
કવિના પ્રથમ ગઝલસંગ્રહ ‘ઉંબરો’નું લયસ્તરોના ઉંબરે સહૃદય સ્વાગત છે….
Permalink
June 10, 2016 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, ભરત વિંઝુડા
રંગ કાળો, પીળો થયો જ નહીં,
એના દિલમાં દીવો થયો જ નહીં !
બાકી રાખી દીધું વરસવાનું,
એણે ને હું ભીનો થયો જ નહીં !
એક પથ્થરને મેં તરાસ્યો બહુ,
પણ કદી એ હીરો થયો જ નહીં !
કાગડા હોય છે બધે કાળાં,
કંઈ અનુભવ બીજો થયો જ નહીં !
માત્ર મારા જ માપમાં છું હું,
સહેજ ઊંચો, નીચો થયો જ નહીં !
ક્યાંક આગળ હતો હું રસ્તા પર,
એથી એનો પીછો થયો જ નહીં !
સૂર્ય કિરણોની જેમ ચાલું છું,
કોઈ રસ્તો સીધો થયો જ નહીં !
– ભરત વિંઝુડા
લયસ્તરોના આંગણે કવિમિત્ર શ્રી ભરત વિંઝુડા એમનો સાતમો ગઝલ સંગ્રહ “તો અને તો જ” લઈને આવ્યા છે… કવિ અને સંગ્રહ – બંનેનું દબદબાભેર સ્વાગત… સંગ્રહમાંથી એક ગઝલ પ્રસ્તુત કરીએ…
Permalink
June 6, 2016 at 12:30 AM by તીર્થેશ · Filed under અનિલ ચાવડા, ગઝલ
અધીરો છે તને ઈશ્વર બધુંયે આપવા માટે,
તું ચમચી લઈને ઊભો છે દરિયા માગવા માટે ?
નયનના કોઈ ખૂણામાં પડ્યું છે ધાન આંસુનું,
અમે એમાં મૂક્યાં છે સ્વપ્ન કાચાં પાકવા માટે.
કર્યું છે એક ચપટીમાં જ તેં આખુંય જંગલ ખાક,
ન ગમતા એક એવા પાંદડાને કાઢવા માટે.
સરોવરમાં જઈને નાખ કે જઈને નદીમાં ફેંક,
ફક્ત ખાબોચિયાં છે આ બધાં તો ખારવા માટે.
કયો છે સ્વાદ કોના ભાગ્યમાં ના જાણતું કોઈ,
બધાને ઈશ્વરે જીવન દીધું છે ચાખવા માટે.
– અનિલ ચાવડા
દરેક શેર એક કહાની છે….
Permalink
June 4, 2016 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, યામિની વ્યાસ
જાદુ શું કીધો ગરમાળે !
ટહુકા બેઠા ડાળે ડાળે.
ક્ષણ ક્ષણનું આ વસ્ત્ર સમયનું,
વણતું કોઈ કબીરની સાળે.
વીત્યાં વર્ષો જાણે ઝૂલે,
કરોળિયાના જાળે જાળે.
પાંદડીઓ ઝાકળ પીવાને
સૂરજના કિરણોને ગાળે.
બાળક રડતું ‘મા.. મા..’ બોલ્યું,
મેં જોયું હૈયાની ફાળે.
આવ ગઝલ, તારું સ્વાગત છે,
કોઈ તને મળવાનું ટાળે ?
– યામિની વ્યાસ
નખશિખ સંતર્પક રચના.
Permalink
June 3, 2016 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, રાજુ રબારી
પંખીઓના રોજ મેળા થાય છે,
એટલે તો સાંજવેળા થાય છે.
એટલે વરસી પડે છે વાદળાં,
આભમાં પાણીય ભેળાં થાય છે.
સંતુલન કેવું હશે ઈશ્વર તણું,
સાપની સાથે જ શેળા થાય છે !
પારખાં ત્યારે જ મિત્રોના થશે,
કોઈની વેળા કવેળા થાય છે.
– રાજુ રબારી
વાતો તો એની એ જ છે પણ જે વાત ધ્યાન ખેંચે છે એ છે કવિનો નોખો અંદાજ-એ-બયાઁ. છેલ્લા શેરમાં કવિએ જે રીતે “વેળા કવેળા” શબ્દપ્રયોગ કર્યો છે એ સાચે જ કાબિલ-એ-દાદ છે…
Permalink
June 2, 2016 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, સુનીલ શાહ
એમ પીડાને હું હરાવું છું,
તું વધારે છે, હું વધાવું છું.
એ જ જખ્મો છે, એ જ નક્શો છે,
ભાત નોખી હું ક્યાં બતાવું છું ?
કોઈ સુંવાળી ક્ષણ લપેટીને
લ્યો, હું ઘડપણ સહજ વિતાવું છું.
તું હશે સારથિ જગતનો પણ
મારા ઘરને તો હું ચલાવું છું…!
છો ને ઊંચક્યો કદી તેં ગોવર્ધન,
જાતને રોજ હું ઉઠાવું છું.
– સુનીલ શાહ
કવિની કમાલ સમજવા આખી ગઝલ કે આખા સંગ્રહમાંથી પસાર થવાની જરૂર જ નથી. ફક્ત મત્લાનો શેર જ જુઓ. પીડાની ઉપર વિજય મેળવવાની ચાવી એટલે જીવતાં શીખવાની કળા. સામું પાત્ર કે દુનિયા કે ઈશ્વર સાક્ષાત ભલેને પીડાને વધારતા હોય, પણ જે ઘડીએ આપણે એને વધાવી લેતાં શીખી જઈએ એ ઘડી પીડાને પરાસ્ત કરવાની ઘડી છે. પણ કવિની ખરી કમાલ તો અહીંથી જ આગળ વધે છે. ‘વધારે’ અને ‘વધાવું’ – બે શબ્દોમાં ફક્ત છેલ્લા એક જ અક્ષરને બદલી નાંખીને કવિ જે રીતે બે અલગ જ અર્થ સાવ સાંકડી જગ્યામાં ઊભા કરી શક્યા છે એમાં જ ખરી કવિતા અને કવિની કમાલ નજરે ચડે છે.
સુરતના કવિમિત્ર શ્રી સુનીલ શાહ પોતાના પ્રથમ ગઝલસંગ્રહ “પાંખોની દોસ્તી” લઈને લયસ્તરોના આંગણે આવ્યા છે ત્યારે એમનું સહૃદય સ્વાગત અને કોટિ કોટિ શુભકામનાઓ…
Permalink
May 28, 2016 at 12:30 AM by વિવેક · Filed under કિરણસિંહ ચૌહાણ, ગઝલ
મળ્યાં સામે અને આપી તમે મુસ્કાન આહાહા !
અધૂરા સ્વપ્નનો ઉતરી ગયો સામાન આહાહા !
તમે સામે જ બેઠાં, રાખ્યું મારું માન આહાહા,
હું શું બોલું ? મને લાગી ગયું છે ધ્યાન આહાહા !
તમોને જોઈ મારી આંખ મોભાદાર થઈ ગઈ છે,
તમે દેખાવ છો એવા તો જાજરમાન આહાહા !
તમોને ફૂલ આપું ? ફૂલને હું ફૂલ શું આપું ?
તમે બોલો અને મહેકી ઊઠે ઉદ્યાન આહાહા !
તમો સંગ આંખ લાગી ગઈ ને અમને પાંખ લાગી ગઈ,
ઘડીમાં સર થયાં આ કેટલા સોપાન આહાહા !
– કિરણસિંહ ચૌહાણ
આહાહા ! આહાહા ! બસ, આહાહા !!!
Permalink
May 23, 2016 at 1:52 AM by તીર્થેશ · Filed under ગઝલ, મનોજ ખંડેરિયા
રસમ અહીંની જુદી, નિયમ સાવ નોખા
અમારે તો શબ્દો જ કંકુ ને ચોખા
હવાયેલી સળીઓ જ ભીતર ભરી છે
અહીંના જીવન જાણે બાકસના ખોખા
લચ્યા’તા જે આંખે લીલા મોલ થઈને
હવે એ જ સપના છે સુક્કા મલોખા
તું તરસ્યાને આપે છે ચીતરેલા સરવર
તને ટેવ છે તો કરે કોણ ધોખા
વહાવ્યા કરું આંગળીમાંથી ગંગા
કે ક્યારેક જો હાથ થઈ જાય ચોખ્ખા
– મનોજ ખંડેરિયા
Permalink
May 19, 2016 at 1:40 AM by વિવેક · Filed under ગઝલ, સ્નેહી પરમાર
કોઈનું પણ આંસુ લૂછ્યું હોય, તે બેસે અહીં,
ને પછી છાતીમાં દુઃખ્યું હોય, તે બેસે અહીં.
હાથ વચ્ચે નામ ઘૂંટ્યું હોય તે બેસે અહીં,
ને અદબથી એને ભૂસ્યું હોય તે બેસે અહીં.
સૂર્ય તપતો હોય એનો મધ્યમાં ને તે છતાં,
કોઈનાં ચરણોમાં ઝૂક્યું હોય, તે બેસે અહીં.
હાથ પોતાનોય બીજો જાણવા પામે નહીં,
કીડિયારું એમ પૂર્યું હોય તે બેસે અહીં.
એટલો લાયક ખરો કે હું અહીં બેસી શકું ?
એટલું પોતાને પૂછ્યું હોય તે બેસે અહીં.
જે ક્ષણે પોતાને પૂછ્યું હોયની બીજી ક્ષણે,
આ સભામાંથી જે ઊઠ્યું હોય, તે બેસે અહીં.
– સ્નેહી પરમાર
દિલ વિના લાખો મળે એને સભા કહેતા નથી. કવિ સ્નેહી પરમાર અહીં સભાની અને સભામાં બેસનારની લાયકાતની ગઝલ લઈ આવ્યા છે. આપણી ભાષામાં આવો વિષય કદાચ કોઈએ પહેલવહેલીવાર અને એ પણ નખશિખ ઔચિત્ય સાથે ખેડ્યો હશે. ગઝલ જેમ જેમ આગળ વધે છે એમ એમ શેર વધુને વધુ બળવત્તર બનતા જાય છે અને આખરી બે શેર તો જાણે સૉનેટની પરાકાષ્ઠા જેવા. વાહ કવિ !
Permalink
May 13, 2016 at 2:03 AM by વિવેક · Filed under ગઝલ, રશીદ મીર
એ જે અફવા હતી કથા છે હવે,
આવ, જોવા સમી દશા છે હવે.
દૂર ઊડતો ગુબાર જોઉં છું,
કાફલો છે કે ના દિશા છે હવે.
તું હતી તો ખુદા હતો મારો,
ના ઈબાદત, ના આસ્થા છે હવે.
એક મારા જ પ્રાણ રૂંધાયા,
નહિ તો ચારે તરફ હવા છે હવે.
રંગ ગેરુઓ હોય કે લીલો,
જે પતાકા હતી, ધજા છે હવે.
સાતસો છ્યાસીથી શરૂ થઈને,
આ ગઝલ પોતે શ્રીસવા છે હવે.
‘મીર’ ઘરના ખૂણામાં બેઠો છું,
મારે આઠે પ્રહર મજા છે હવે.
– રશીદ મીર
બધા જ શેર સંતર્પક પણ ‘તું હતી તો ખુદા હતો મારો’વાળો શેર વાંચતા સાથે જ ચિત્તતંત્રને જાણે લકવો મારી ગયો. બે સાવ નાની નાની પંક્તિમાં પ્રેમની કેવી સરસ વ્યાખ્યા ! અને એકસાથે ઈબાદત અને આસ્થા- બંનેને સાંકળી લઈને કવિ પ્રેમની ધર્મનિરપેક્ષતા પણ ચાક્ષુષ કરી આપે છે.
Permalink
May 12, 2016 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, સંજુ વાળા
તક નિરાળી મળી છે સમજી જા
રમ્ય ક્ષણ સાંપડી છે સમજી જા
વૃત્તિ તો વાંઝણી છે સમજી જા
પીડ એની જણી છે સમજી જા
સૌ ચળકતાં ચટા-પટા, ટપકાં
ક્ષણજીવી કાંચળી છે સમજી જા
સ્ફોટ શું એ તને ખબર ક્યાં છે ?
જાત દીવાસળી છે સમજી જા
શક્ય છે પળમાં થંભી જાય હવે
તર્ક તો વા-ઝડી છે સમજી જા
તારા નખ પર છે ડાઘ એના હજુ
લાગણી કોઈ ખણી છે સમજી જા
માત્ર મુઠ્ઠી જુવારના માલિક !
એની તો વાવણી છે સમજી જા.
– સંજુ વાળા
ભાવક પાસે ઉચ્ચ કક્ષાની સજ્જતાની વણકથી ‘ડિમાન્ડ’ કરતા સંજુ વાળા પાસેથી પ્રથમ પ્રયાસે ઉઘડી જાય એવી રચના મળે એ ફેબ્રુઆરીના ઓગણત્રીસમા દિવસ જેવી ઘટના છે. પણ આ સંજુ વાળાની રચના છે. સરળ અને સહજ લાગતા શેરમાં પણ ઊંડે ઊતરી શોધશો તો છીપમાંના મોતી જેવો ખજાનો જડશે એની ગેરંટી.
Permalink
Page 17 of 48« First«...161718...»Last »