ચંદ શબ્દોની આપ-લે જ હતી,
પણ પછી કળ કદી વળી જ નહીં.
વિવેક મનહર ટેલર
લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.
Archive for ગઝલ
ગઝલ શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.
July 2, 2017 at 12:30 AM by તીર્થેશ · Filed under ગઝલ, જવાહર બક્ષી
તારા વિરહના શહેરનો વિચિત્ર ન્યાય છે,
દીવા કર્યાં પછી જ તિમિરને ગવાય છે.
લઈ જાઉં કઈ રીતે મને તારા શહેરમાં ?
ઘરમાંથી બહાર આવતાં થાકી જવાય છે.
ઉત્સવ સમું આ શું હશે તારા અભાવમાં ?
દરરોજ મારી આંખમાં મેળો ભરાય છે.
અસ્પષ્ટતા ન જોઈએ તો તું જ પાસ આવ,
મારો અવાજ શાહીમાં ખરડાઈ જાય છે.
– જવાહર બક્ષી
Permalink
June 29, 2017 at 12:03 AM by વિવેક · Filed under ગઝલ, નિનાદ અધ્યારુ
ત્યાં તો તળિયું બારમાસી હોય છે,
ઝૂંપડીમાં ક્યાં અગાસી હોય છે !
જિંદગી જાણે કે કોઈ મોટું જહાજ,
આપણું હોવું ખલાસી હોય છે.
આપણા પગમાં કશું હોતું નથી,
આપણા મનમાં કપાસી હોય છે.
પહેલે-બીજે પહોર એની યાદમાં,
ત્રીજે પહોરે ભીમપલાસી હોય છે.
દે ટકોરા મોતને, તું દે ‘નિનાદ’,
જિંદગી કોણે ચકાસી હોય છે !
– નિનાદ અધ્યારુ
નિર્ધનતાનું કેવું ‘ધનિક’ આરોપણ !! – બારમાસી તળિયું! વાહ કવિ… ગરીબીની ચરમસીમા આબાદ પકડીને બે જ પંક્તિમાં રજૂ કરી દીધી… બધા જ શેર આસ્વાદ્ય થયા છે. પણ કપાસી આપણા પગમાં નહીં, મનમાં હોય છે એમ કહીને કવિ આપણી કામચોર માનસિકતાને ઉઘાડી પાડે છે ત્યારે કોઈ મીઠામાં ડૂબાડીને ચાબખા મારતું હોય એવું અનુભવાય છે. ભીમપલાસી ત્રીજા પહોરનો રાગ છે. એવું કહે છે કે બપોરે એ ગાવામાં આવે તો દિવસો સુધી શાંતિનો અનુભવ સાંભળનારને થાય છે… ટકોરા દઈને વસ્તુ ખરીદવાની આપણને સૌને આદત પડી ગઈ છે… જિંદગીને કોઈ દિ’ એમ ચકાસી ખરી? કે જે મળ્યું એ ચલાવી લીધું?! કમ સે કમ મોતને તો ચકાસી જોઈએ…
Permalink
June 28, 2017 at 3:02 AM by તીર્થેશ · Filed under ગઝલ, રમેશ પારેખ
ગુલાલ માગ, ગરલ માગ, કે ગમે તે માગ,
પરંતુ હે રમેશ, આ સમય કહે તે માગ.
આ તારા શ્વાસ મસાલોભરેલું પંખી છે,
કોઈ મ્યુિઝયમમાં હવે એને ગોઠવે તે માગ.
જડે એ ઘટનામાં ગર્ભિત હો એનું ખોવાનું,
તો હાથ વ્યર્થ ધૂળધૂળ ના રમે તે માગ.
રાતના છાંયામાં ઢંકાઈ જાય છે મૃગજળ,
હે આંખ, જા અને સવાર ના પડે તે માગ.
ઊડે પતંગિયું તે પણ ગણાતું અફવામાં,
આ સગ્ગી આંખ તો આંખોવગી રહે તે માગ.
સૂર્ય ઘરમાં ઉગાડવાની જીદ છોડી દે.
આ ઠરતા કોડિયા પાસેથી જે મળે તે માગ.
એક ઘડિયાળ ધબકતી રહે છે ઘટનામાં,
કદીક તારું ધબકવું તને મળે તે માગ.
માગવા પર તો પ્રતિબંધ નથી, માગી જો,
કદીક લોહીની દીવાલો ફરફરે તે માગ.
છે શ્વાસ ટેવ, નજર ટેવ, ટેવ છે સગપણ,
હવે રમેશ, બીજી ટેવ ના પડે તે માગ.
– રમેશ પારેખ
સૌજન્ય – ડો. નેહલ [ immymindinmyheart.com ]
Permalink
June 21, 2017 at 3:48 AM by તીર્થેશ · Filed under આદિલ મન્સૂરી, ગઝલ
લઈ જાય છે સુગંધ હવા એ વિચારથી,
ફૂલો દબાઈ જાય ના ખુશબૂના ભારથી.
એની સતત નજર અને મારા હૃદય ઉપર ?
કિરણોની દોસ્તી અને એ પણ તુષારથી ?
એને ખબર શું આપની ઝુલ્ફોની છાંયની ?
શોધી રહ્યો છે રાતને સૂરજ સવારથી.
થોડો વિચાર મારા વિષે પણ કરી લઉં,
ફુરસદ મને મળે જો તમારા વિચારથી.
સુખનાય આટલા જ પ્રકારો જો હોય તો,
મનમાં વિચાર આવે છે દુ:ખના પ્રકારથી…
અંદર જુઓ તો સ્વર્ગનો આભાસ થાય પણ
ખંડેર જેવું લાગે છે ,’આદિલ’ બહારથી.
– ‘આદિલ’ મન્સૂરી
મક્તામાં ચમત્કૃતિ છે –
ખંડેર જેવું લાગે છે ,’આદિલ’ બહારથી.
ખંડેર જેવું લાગે છે ,આ દિલ બહારથી.
Permalink
June 16, 2017 at 3:28 AM by વિવેક · Filed under કિરણસિંહ ચૌહાણ, ગઝલ
સઘળા પ્રશ્નો, સઘળા ઉત્તર ગુજરી જાય.
મારી સાથે મારો ઈશ્વર ગુજરી જાય.
ધ્યાન ન આપું એની અદ્ધર વાતો પર,
એ વાતો અદ્ધર ને અદ્ધર ગુજરી જાય.
બહારથી એ લાગે છે કબ્રસ્તાન સમા,
જે લોકો અંદર ને અંદર ગુજરી જાય.
તેથી તો ઇતિહાસ નથી ગમતો અમને,
રાજાઓ જીવે ને લશ્કર ગુજરી જાય.
જીવનનું વસ્તર અધવચ્ચે ફાટી જાય,
જ્યારે ધબકારાનો વણકર ગુજરી જાય.
– કિરણસિંહ ચૌહાણ
આખેઆખી ગઝલ સંઘેડાઉતાર. બધા જ શેર સંતર્પક. ફરી-ફરીને વાંચવા ગમે અને જેટલીવાર વાંચીએ એટલીવાર વધુ ને વધુ ગમી જાય એવી રચના.
Permalink
June 10, 2017 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, સંજુ વાળા
અંદર અંદર સળવળતી એક ઘટનાથી શરૂઆત કરું તો તમને એમાં વાંધો છે કંઈ?
ઠરી ગયેલી ફૂંક ફરી પેટાવી ઝંઝાવાત કરું તો તમને એમાં વાંધો છે કંઈ ?
આજે સ્હેજ છાતીની અંદર શું દુ:ખે છે એને જાણી લેવાનું મન થઈ આવ્યું છે
એ કારણસર છાતી ઉપર થોડો ચંચુપાત કરું તો તમને એમાં વાંધો છે કંઈ ?
સમય નામના ડસ્ટરથી ભૂંસાઈ જવાના ડરની મારી છાને ખૂણે જઈ બેઠી જે –
એવી બિલકુલ અંગત કોઈ વાત અહીં સાક્ષાત કરું તો તમને એમાં વાંધો છે કંઈ?
જ્યારે પણ ઉપસી આવે છે લમણાંની કોઈ નસ તો એનો સ્પર્શ હંમેશા હોય છે હાજર
વ્હાલપની એ મૂર્તિ માટે જીવની હું બિછાત કરું તો તમને એમાં વાંધો છે કંઈ?
જાણું છું કે આપ તો સાંગોપાંગ રસિક છો હે શ્રોતાજન ! નમન આપની રસવૃત્તિને –
કિન્તુ હું પણ આંસુની છાલકથી ઉલ્કાપાત કરું તો તમને એમાં વાંધો છે કંઈ ?
પાણીના એક ટીપાનો વિસ્તાર કરે જે સહસા એને જડશે પાણીદાર રહસ્યો
એવું કોઈ એક ટીપું લઈને એના સમદર સાત કરું તો તમને એમાં વાંધો છે કંઈ ?
કબીર નરસિંહ મીરાં નામે ખળખળતી એક નદી આપની અંદર વ્હેતી મેં ભાળી છે
સ્હેજ આપની પડખે બેસી હું ય જાત રળિયાત કરું તો તમને એમાં વાંધો છે કંઈ ?
– સંજુ વાળા
એક તો ગઝલ લાંબી બહેરની ને રદીફ પણ લાંબી એટલે ગઝલમાં કવિતાના નામે વૃથા પ્રલાપ અને ભરતીના શબ્દોની ભરમાર થઈ જવાની સંભાવના પૂરેપૂરી પણ સંજુ વાળા સજાગ કવિ છે. શબ્દ સાથેની એમની નિસ્બત ભક્તની ભગવાન સાથે હોય એવી સંપૂર્ણ છે. ખૂબ આરામથી ખોલવા જેવી ગઝલ.
Permalink
June 9, 2017 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, પંકજ વખારિયા
સદરહુ લોહીથી સઘળું લખાવ, બાબતમાં
બયાન પથ્થરે માંગ્યું છે ઘાવ બાબતમાં
પ્રવાસી ગૂમ થવાના બનાવ બાબતમાં
કશુંક જાણે છે ૨સ્તો, પડાવ બાબતમાં
વિચારીએ હવે તો બસ, બચાવ બાબતમાં
વિલાપ વ્યર્થ છે ડૂબેલ નાવ બાબતમાં
નદી, કરે શું નિવેદન એ વાવ બાબતમાં
અહો !અહો ! જે કરે છે તળાવ બાબતમાં
સરળ છે આમ એ પર્વત,ચઢાવ બાબતમાં
ઉતરવું અઘરું છે જો કે લગાવ બાબતમાં
તમારી ચૂક થઇ છે ઠરાવ બાબતમાં
કરો ના રાવ હવે મારા દાવ બાબતમાં
બધાને માટે છું એક જ હું ભાવ બાબતમાં
અલગ છું વ્યક્તિ પ્રમાણે વટાવ બાબતમાં
– પંકજ વખારિયા
Permalink
June 8, 2017 at 12:30 AM by વિવેક · Filed under અમૃત ઘાયલ, ગઝલ
દશા મારી અનોખો લય, અનોખો તાલ રાખે છે,
કે મુજને મુફલિસીમાં પણ એ માલામાલ રાખે છે!
નથી સમજાતું, મન અમને મળ્યું છે કેવું મનમોજી!
કદી બેહાલ રાખે છે, કદી ખુશહાલ રાખે છે!
નથી એ રાખતાં કૈ ખ્યાલ મારો કેમ કહેવાયે?
નથી એ રાખતાં તો કોણ મારો ખ્યાલ રાખે છે?
જમાનો કોણ જાણે વેર વાળે છે કયા ભવનું?
મળે છે બે દિલો ત્યાં મધ્યમાં દીવાલ રાખે છે.
ફરક કેવો દીવાનાની જવાની ને જઈફીમાં?
બરાબર આજ જેવી આગવી એ કાલ રાખે છે.
મથે છે આંબવા કિંતુ મરણ આંબી નથી શકતું,
મને લાગે છે મારો જીવ ઝડપી ચાલ રાખે છે.
જીવનનું પૂછતા હો તો જીવન છે ઝેર ‘ઘાયલ’નું,
છતા હિમ્મત જુઓ કે નામ અમૃતલાલ રાખે છે!
– અમૃત ઘાયલ
જૂનું એટલું સોનું.
(જઈફી= જૈફી, વૃદ્ધાવસ્થા)
Permalink
June 6, 2017 at 2:13 AM by તીર્થેશ · Filed under ગઝલ, ગૌરાંગ ઠાકર
બધી જ પીડાનું વર્ણન કરાય એવું નથી.
પ્રભુ ! તને બધું સમજાઈ જાય એવું નથી.
પવન તો બાગથી ખુશ્બૂ લઈને જઈ રહ્યો છે,
અને આ ફૂલથી પાછળ જવાય એવું નથી.
તમે આ આંસુ વગરનાં નયન લઈ ક્યાં જશો ?
બધાથી ડૂમાનો અનુવાદ થાય એવું નથી.
જુઓને, હાથમાં અજવાળું કેવું ઝળહળે છે,
કલમથી એટલે છેડો ફડાય એવું નથી.
તમે તો આંખથી હૈયે જઈ વસી ગયા છો,
હવે બીજે કશે તમને રખાય એવું નથી.
– ગૌરાંગ ઠાકર
Permalink
June 3, 2017 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, ચેતન જે. શુક્લ ‘ચેનમ’
આંગણે તુલસી નથી, તોરણ નથી એ બારણે,
સુખના બે ચાર પણ કારણ નથી એ બારણે.
એક ખિલ્લી વાગતા ટહુકા ખરે છે પંખીના,
કોણ કહે છે ઝાડનાં વળગણ નથી એ બારણે.
સાવ પત્થરના ઘરે પણ કંઈક પત્થર જીવતા,
કાચ જેવી ચકચકિત સમજણ નથી એ બારણે.
એ જતી ને આવતી કાયમ નજર છલકાવતી,
એ ભરીને રાખવા વાસણ નથી એ બારણે.
રેતના આવે સમંદર કેટલીય યાદ લઈ,
આજ એવી યાદના રજકણ નથી એ બારણે.
– ચેતન જે. શુક્લ ‘ચેનમ’
કવિતા જે-તે સમાજનો જે-તે સમયનો અરીસો છે. આજે ભલે આંગણે તુલસી અને બારણે તોરણ હવે બધે જોવા મળતાં નથી પણ અહીં એ એક નક્કર પ્રતીક અને પ્રવર્તમાન સમાજનો અરીસો બનીને ગઝલમાં મજબૂતીથી ઉપસી આવ્યાં છે. બાકીના શેર પણ એ જ રીતે આસ્વાદ્ય થયા છે…
Permalink
June 2, 2017 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, સુનીલ શાહ
કેટલો સુંદર, સરળ મોકો હતો, જોયો જ નહિ,
દોસ્ત! તારા પગ તળે રસ્તો હતો, જોયો જ નહિ !
ટોળું બોલ્યું: ‘ધર્મ ભયમાં છે’…અને દોડ્યા બધા,
કોઈનો એ કાંકરીચાળો હતો, જોયો જ નહિ !
લઈ હથોડો હાથમાં, દોડયા તમે તો તોડવા,
ભીંતને બદલે અહીં પરદો હતો, જોયો જ નહિ ?
રોજ જીર્ણોદ્ધાર પામે ધર્મસ્થાનો આપણાં,
કોઈએ, માણસ સતત ખરતો હતો, જોયો જ નહિ !
દામ જ્યાં ઊંચા મળ્યા, ઘર એમણે વેચી દીધું,
ઘરના ખૂણે એક નવો માળો હતો, જોયો જ નહિ !
– સુનીલ શાહ
આપણા, ના, કદાચ બધા જ કાળના બધા જ સમાજના કપાળ પર ચપોચપ ચોંટી જાય એવી ગઝલ. ઈસુથી લઈને ગૌતમ સુધી ને મહંમદથી લઈ ગાંધી સુધી – મસીહાઓ, ભગવાનો આવ્યા અને ગયા પણ સમાજની ‘અંધ’ માનસિકતા એની એ જ રહી. આંખ એના ગોખલામાં યથાસ્થાને જ રહી પણ દૃષ્ટિ કદી કોઈને લાંધી જ નહીં… જે શોધવામાં જિંદગી આખી પસાર થાય, ને એ જ હોય પગની તળે, એમ પણ બને (મ.ખ.)– એના જેવી આ વાત છે. મીઠામાં બોળેલા ચાબખા ભરબપોરે ઊઘાડી પીઠ પર વિંઝાતા હોય એ રીતે આ ગઝલ આપણા અહેસાસની બુઠ્ઠી થઈ ગયેલી ચામડી ઊતરડી નાંખે છે….
Permalink
June 1, 2017 at 5:31 AM by વિવેક · Filed under કિરીટ ગોસ્વામી, ગઝલ

સત્-અસત્ ના યુદ્ધમાંથી પાર તો પડવું જ છે,
મન! મમતના યુદ્ધમાંથી પાર તો પડવું જ છે!
તો જ ભીતરના જગત પર રાજ સરખું થઈ શકે;
આ જગતના યુદ્ધમાંથી પાર તો પડવું જ છે!
હર-વખત હા-નાથી આગળ મન વધી શકતું નથી;
હર-વખતના યુદ્ધમાંથી પાર તો પડવું જ છે!
જે મળે એને જ મિલકત માનશું મોંઘી હવે
છત-અછતના યુદ્ધમાંથી પાર તો પડવું જ છે!
જોઈએ સંબંધનું આકાશ ખુલ્લું બસ, ‘કિરીટ’
સૌ શરતના યુદ્ધમાંથી પાર તો પડવું જ છે!
– કિરીટ ગોસ્વામી
લયસ્તરોના આંગણે કિરીટ ગોસ્વામી એમનો નવો ગઝલસંગ્રહ લઈને ઉપસ્થિત થયા છે. કવિનું સ્વાગત અને સ્નેહકામનાઓ…
યુદ્ધમાંથી પાર પડવાની ઇચ્છામાં જે ઘડીએ એક ‘જ’ની મક્કમતા ઉમેરાય છે એ જ ઘડીએ અડધું યુદ્ધ તો જીતી લેવાય છે. અને આવી મક્કમ નિર્ધારભરી અર્થસભર લાંબી રદીફ એકપણ શેરમાં લટકી પડતી નથી એ ગઝલનું સૌભાગ્ય. બધા જ શેર પ્રશંસનીય થયા છે.
Permalink
May 27, 2017 at 12:30 AM by વિવેક · Filed under અમૃત ઘાયલ, ગઝલ
કેમ ભૂલી ગયા? દટાયો છું,
આ ઈમારતનો હુંય પાયો છું.
હું હજી પૂર્ણ ક્યાં કળાયો છું?
અડધોપડધો જ ઓળખાયો છું.
વિસ્તર્યા વિણ બધેય છાયો છું!
હું અજબ રીતથી ઘવાયો છું!
આમ તો એક બિન્દુ છું કિન્તુ,
સપ્તસિન્ધુથી સંકળાયો છું!
સૂર્યની જેમ સળગ્યો છું વર્ષો,
ચન્દ્રની જેમ ચોડવાયો છું!
વઢ નથી વિપ્ર, આ જનોઈનો,
આમ હું આડેધડ કપાયો છું.
રામ જાણે શું કામ હું જ મને,
સર્પની જેમ વીંટળાયો છું!
એ જ છે પ્રશ્ન: કોણ કોનું છે?
હુંય મારો નથી, પરાયો છું!
સાચું પૂછો તો સત્યના પંથે,
ખોટી વાતોથી દોરવાયો છું!
ઊંચકે કોણ પંથ ભૂલ્યાને?
આપમેળે જ ઊંચકાયો છું.
મીંડું સરવાળે છું છતાં ‘ઘાયલ’,
શૂન્ય કરતાં તો હું સવાયો છું.
– અમૃત ‘ઘાયલ’
અધધધ અગિયાર શેરની ગઝલ… બહર ટૂંકી પણ કમાલ તો જુઓ… એક્કેક શેર ઘાયલના મિજાજ જેવા જ અદ્દલોદ્દલ જાનદાર.. બધા જ શેર વિચારવિસ્તાર કરી શકાય એવા બિંદુમાં સિંધુ સમા…
Permalink
May 26, 2017 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, હર્ષવી પટેલ
સતત આઘું ખસીને છેતરે, મૃગજળ તો મૃગજળ છે,
ભીંજવવા દૂરથી આવે નજીક, વાદળ તો વાદળ છે.
ભલે ને હોય કાંટાળો, કશેક લઈ જાય છે રસ્તો,
ભલેને હોય સોનાની છતાં સાંકળ તો સાંકળ છે.
ઘણી ઊંડી છે નિસબત આંસુને બે આંખની સાથે,
ઉપરછલ્લું જ રેલાઈ જશે, કાજળ તો કાજળ છે.
મળે ઇ-મેઇલમાં ક્યાં શબ્દ છેકેલા-સુધારેલા?
મજાની એ મથામણથી ભર્યો કાગળ તો કાગળ છે.
રહી પાછળ અમે જોયોખરો ચહેરો આ દુનિયાનો,
ભલે ને ભાગ્ય મારું બે કદમ આગળ તો આગળ છે.
– હર્ષવી પટેલ
કાફિયાનું પુનરાવર્તન કરીને કાફિયા-રદીફને એકબીજામાં તાણાવાણાની જેમ ગૂંથી લઈને હર્ષવી મજાનો લય અને ભાવાર્થ સફળતાપૂર્વક જન્માવે છે. મત્લામાં સજ્જન અને દુર્જન વચ્ચેની ભેદરેખા સ્પષ્ટ થાય છે પણ ખરી મજા તો એના પછીના શેરમાં છે. શી મજા છે, કહો તો જરા ! ના, ના… આ ગઝલને માણવામાં જે મજા છે, એ સમજાવવામાં સહેજ પણ નથી..
Permalink
May 25, 2017 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, સ્નેહી પરમાર
એને ખુદની દિશા જડેલી છે
એ પરત કાંઠેથી વળેલી છે
ઠારવાની છે આગ કોઈની
એ જ કારણથી એ તપેલી છે
આગ કરતાંય ભૂખ વસમી છે
એટલું શાસ્ત્ર એ ભણેલી છે
ઠામ ઘસનાર બાઈની સાથે
રોજ છાનું-છૂપું રડેલી છે
ઊંઘતા જોઈ ઘરના સભ્યોને
સાવ ખાલી, છતાં ભરેલી છે
જેમ ચડ્યું’તું કોઈ સૂળી પર
એમ ચૂલા ઉપર ચડેલી છે
– સ્નેહી પરમાર
‘તપેલી’ જેવા પાત્ર પર મુસલસલ ગઝલ? તેય આવી ઉમદા? વાહ કવિ! મત્લાનો શેર તપેલીના કુળનો નથી થયો પણ એ એટલો મજાનો છે કે નડતો નથી. અને એ પછીના એક-એક શેર સીધેસીધા જ દિલને સ્પર્શી જાય એવા ઉત્તમ થયા છે.
Permalink
May 20, 2017 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, ભાવેશ ભટ્ટ
એના ચહેરા પર આ કેવું સ્મિત છે!
જેના લીધે આ નગર ભયભીત છે.
શિલ્પ એના જોઈ સમજાઈ ગયું,
શિલ્પી પોતે ક્યાંકથી ખંડિત છે.
વાત આ જાણે છે સૌ મારા સિવાય,
કે ખરેખર મારું શેમાં હિત છે.
અન્યનો છણકોય ટહુકો લાગતો,
જે સ્વયં ખુદથી જ અપમાનિત છે.
કેદ છે ગુમનામીના સૂરજમાં જે,
એમનો પડછાયો નામાંકિત છે!
કૈંકને તો હું જ ઓળખતો નથી!
મારું જીવન જેને આધારિત છે.
પાંદડાંઓ શિષ્ય માફક બોલતાં,
વાયરો જાણે કોઈ પંડિત છે!
– ભાવેશ ભટ્ટ
સરળ ભાષામાં વિચારતા કરી દે એવી ગઝલો લખવી એ ભાવેશ ભટ્ટનો ટ્રેડમાર્ક છે. એની ગઝલો વિશે ટિપ્પણી લખવાની જરૂર ભાગ્યે જ પડે. કવિતા અંગેની ટી.એસ. ઇલિયટની મશહૂર વ્યાખ્યા: ‘Genuine poetry can communicate before it is understood કહ્યું’ની જેમ જ એ વાંચતાવેંત પ્રત્યાયન સાધી લે છે અને તાળીઓ માંગી લે છે. પણ પછી થોડીવાર પછી એ બીજીવાર તાળી પાડવા મજબૂર કરી દે છે….
Permalink
May 19, 2017 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, ભાવિન ગોપાણી
બે ઘડી ઓછી પડી, આખી સદી ઓછી પડી,
જીવવા બેઠા એ સૌને જિંદગી આેછી પડી.
વાત છે પંખીપણું ઊડી ગયું એ બાદની,
એક ટહુકો સ્થાપવા સૌ ડાળખી ઓછી પડી.
વેડ્ફ્યો ખાસ્સો સમય એ પામવાની લ્હાયમાં,
જિંદગીમાં ચીજ જે થોડી ઘણી ઓછી પડી.
મેં ઘણા ઉત્સાહ સાથે ફૂલ આપ્યું જેમને,
એમને એ ફૂલમાં પણ પાંખડી ઓછી પડી.
ડૂબવા માટે પ્રથમ તો આંખ પણ પૂરતી હતી,
ને પછી એવું થયું આખી નદી ઓછી પડી.
હું મને ક્યારેય રંગે હાથ ના પકડી શક્યો,
દર વખત મારા વિષેની બાતમી ઓછી પડી.
– ભાવિન ગોપાણી
સમયથી વધુ સાપેક્ષ શું હોઈ શકે? તું આવે તો યુગોની રાહ પળથી પાતળી લાગે, પ્રણયમાં કાળની આવી ગતિ સમજાય તો સમજાય. કાળની આ અકળ ગતિને ભવિન ગોપાણી ખૂબ સ-રસ રીતે મત્લામાં સમજાવે છે. ઘડીથી સદી વચ્ચેની જિંદગી પાતળા અસંતોષના પ્રતાપે જ જીવવા જેવી લાગે છે. ઓછી પડી જેવી રદીફ સાથે કવિએ જે કાબેલિયતપૂર્વક કામ પાર પાડ્યું છે એ જોતાં સહેજે કહેવાનું મન થઈ જાય કે આ ગઝલ ઓછી પડી…
Permalink
May 18, 2017 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, ગિરીશ પોપટ 'ગુમાન'
કોઈએ કીધું ખુશીને કાનમાં,
દર્દ લાવ્યું છે ઘણાંને જાનમાં.
જોઈ લઈએ જીત કોની થાય છે?
શબ્દ લાવો, મૌન છે મેદાનમાં.
ઘર ભરાતું જાય છે સામાનથી,
કૈંક ઓછું થાય છે ઈન્સાનમાં.
વ્યંગમાં ક્યારેક કહેવાયા હતા,
એ જ શબ્દો થ્યા રજૂ સન્માનમાં.
ચા ઉછીની લઈ પીવા કરતાં મને
પીવા ગમશે ઝાંઝવા વેરાનમાં.
જ્યારથી તેં સાથ આપ્યો, જિંદગી!
જીવ રહેવા માંડ્યો છે ‘ગુમાન’માં.
– ગિરીશ પોપટ ‘ગુમાન’
ગઝલ કાવ્યપ્રકારનું આકર્ષણ જ કંઈ એટલું પ્રબળ છે જે નિતનવા કવિઓ એને મહેબૂબા બનાવતા જોવા મળે છે. ગિરીશ પોપટ સુરતમાં ચાર વર્ષથી વધુ સમયથી ચાલી આવતી કાવ્યગોષ્ઠી-ગૂફ્તેગુના કારણે પરિચિત થયા. ઓછું લખે પણ જે લખે એની નોંધ લેવાની ફરજ પડે એવું. ટૂંકી બહેરની આ ગઝલના બધા જ શેર પાણીદાર થયા છે. પોતાના તખલ્લુસનો અર્થસભર વિનિયોગ કરી શકનાર જૂજ પ્રવર્તમાન ગઝલકારોમાં એનું નામ નોંધવું પડે.
Permalink
May 13, 2017 at 1:58 AM by વિવેક · Filed under અમૃત ઘાયલ, ગઝલ
છે કાંઈ જિંદગીમાં, તો એ જ છે સહારો,
એક યાદ છે તમારી, એક શ્વાસ છે અમારો.
મારી જીવનવીણાના કંપી રહ્યા છે તારો,
કોણ એ ભલા કરે છે ઉરદ્વારથી ઈશારો?
મુજને ડુબાવનારા મારા જ છે વિચારો,
ક્યાં દૂર છે નહીં તો ચોપાસ છે કિનારો.
જખ્મોને દિલમાં રાખું કે અશ્રુઓને રાખું?
મે’માન છે હજારો ને એક છે ઉતારો.
દે તેજ ફાવે તેવી સાકી શરાબ મુજને,
હું તો છું આગને પણ પાણી કરી પીનારો.
જો દર્દ છે તો દિલ છે, દિલ છે તો જિંદગી છે,
ચાહું તો કેમ ચાહું ગમથી હું છૂટકારો?
દુઃખ શોધ કોઈ કાયમ છોડી ક્ષણિક સુખોને,
કંઈ મૂર્ખ મિત્રો કરતાં એક ડાહ્યો શત્રુ સારો.
એવુ મરણ કરો કે ઝંખે જીવન તમોને
ડૂબો તો એમ ડૂબો શોધે સ્વયં કિનારો.
ઊગીને પાથરે ના કંઈ તેજ જે જગત પર,
મારી નજરમાં ‘ઘાયલ’ એ તારો છે તિખારો.
– અમૃત ઘાયલ
કહેવાતું કે ઘાયલ જેટલા કાફિયા જડી આવે એ બધા પર શેર કરતા એટલે ગઝલો બહુધા લાં..બી થતી. જીવનવીણા, સાકી-શરાબ જેવા ભરતીના બે’ક શેરોને બાદ કરીએ તો બાકીની આખી ગઝલ અફલાતૂન. મનુષ્યના પતન માટે બીજું કોઈ નહીં, મનુષ્ય પોતે જ જવાબદાર હોય છે અને જાતમાંથી નીકળી શકાય તો કિનારા તો ચારેતરફ છે જ છે વાળી વાત ઘાયલ જ આવી સહજતાથી કરી શકે. ગેસ્ટહાઉસ જેવા દિલમાં ઉતારાની વાત હોય, કે ગમથી કદી છૂટકારો મળનાર ન હોવાની સ્વીકૃતિની વાત હોય- ઘાયલ લાજવાબ છે. કિનારો સ્વયં ડૂબનારને શોધે એ શેર તો સર્વકાલીન શ્રેષ્ઠ છે.
એક આડવાત… મનુષ્યહૃદયના ભાવોને ભાષા નડતી નથી હોતી એટલે એક જ ભાવ લગભગ કોપી-પેસ્ટ કર્યો ન હોય એવી રીતે ઘણીવાર અલગ-અલગ ભાષાની કવિતામાં જોવા મળતી હોય છે. ‘જો દર્દ છે તો દિલ છે, દિલ છે તો જિંદગી છે’ – આ પંક્તિ જુઓ… કંઈ યાદ આવે છે? ‘દિલ સે’ ફિલ્મમાં ગુલઝાર આ જ લખે છે,’દિલ હૈ તો દર્દ હોગા, દર્દ હૈ તો દિલ ભી હોગા.’ ગુલઝાર શું ઘાયલમાંથી ઊઠાંતરી કરવા ગયા હશે? ના… લાગણીઓની સમાનતાની જ આ કમાલ છે.
Permalink
May 12, 2017 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, રઈશ મનીયાર
અજવાળું પણ થયું અને પીડા થતી રહી
છાતીના એક ખૂણે કવિતા થતી રહી
રસ્તા ઉપર ..મકાનોમાં.. હત્યા થતી રહી
મંદિરમાં, દેવળોમાં તપસ્યા થતી રહી
માણસ ઉલેચતો જ રહ્યો અંધકારને
દીવાસળીની સાવ ઉપેક્ષા થતી રહી
સત્કાર ન મળ્યો તો જવાનું કર્યું મેં બંધ
કહે છે ત્યાં મારી રોજ પ્રતીક્ષા થતી રહી
જૂની સમસ્યા લોકો ઉકેલ્યા વિના ભૂલ્યા,
વરસોવરસ નવી જ સમસ્યા થતી રહી
ભૂલી ગયો એ મારી કટુતા સમય જતાં,
ને એ પછી મને ઘણી પીડા થતી રહી
સળગી રહેલા ઘરમાં હવાની અવરજવર..
શ્વાસોની રોજ અગ્નિપરીક્ષા થતી રહી
– રઈશ મનીઆર
કવિતાની વ્યાખ્યા કરવું કયા કવિને નથી ગમ્યું? રઈશ મનીઆર પણ એમની વ્યાખ્યા લઈ આવ્યા છે. કવિતા લાગણીની ભાષા છે એટલે જ કવિતાનું ઉદભવસ્થાન મગજ નહીં પણ છાતી-હૃદય નિર્ધારાયું છે. કવિતા અસ્તિત્વને અજવાળે ખરી પણ કવિતા અસ્તિત્વ સમગ્ર નથી એટલે “કવિ એક ખૂણા”ની વાત કરે છે. આ સાથે જ કવિતા સાથે અવિનાભાવી સંબંધે જોડાયેલી પીડા અને પીડામાંથી રેલાતા પ્રકાશના સાયુજ્યનો નિર્દેશ કરી કવિ કવિતાને વ્યાખ્યાયિત કરે છે… બાકીના શેરોમાંથી પણ કયા પર હાથ મૂકવો અને કયા પર નહીં એ વિમાસણ બની રહે છે.
Permalink
May 5, 2017 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, જય કાંટવાલા
બહુ વિચારે એને માટે વેસ્ટ છે
માણવા માંડો તો જીવન બેસ્ટ છે
આગનો દરિયો નથી તરવો હવે,
એના એક ટીપાનો અમને ટેસ્ટ છે.
પથ્થરોના જંગલોમાં દોડતા
પથ્થરો પાસે હવે કયા રેસ્ટ છે ?
આપણે યજમાન થઈ રહેવું સદા
સુખ અને દુઃખ જિંદગીમાં ગેસ્ટ છે
દોસ્ત! ટહુકાયુ કશું ઘોંઘાટમાં,
શહેરમાં નક્કી કવિતા ફેસ્ટ છે.
– જય કાંટવાલા
દાયકાઓ સુધી જનમાનસ પર કબ્જો જમાવી બેઠેલા કાવ્યપ્રકારો ગઝલનું આગમન થયા પછી હતા-ન હતા થઈ ગયા એનું કારણ ફક્ત બે જ પંક્તિની ગાગરમાં ગાગર સમાવી દેવાની એની કમાલ જ ગણી શકાય.પ્રસ્તુત ગઝલનો મત્લા આ વાતની પુષ્ટિ કરે છે. જિંદગી જીવવાની ફિલસૂફી જ એ છે કે જે ખુશી આવી એને ઝાઝું પિષ્ટપેષણ કર્યા વિના માણી લેવી. બીજો શેર જો કે થોડું ડિફેન્સીવ રમે છે. સિમેન્ટ કોંક્રિટના જંગલોમાં રહી-રહીને ખુદ પથ્થર જેવા થઈ ગયેલા માણસોના ખિસ્સામાં આરામ નામની અસ્ક્યામત જ બચી નથી. સુખ અને દુઃખ -બંનેને યજમાનભાવે આવકારતો શેર રુમીની “અતિથિગૃહ” રચનાની યાદ અપાવે છે. ઘોંઘાટની વચ્ચે પણ ટહુકી શકે એ જ કવિતા. અંગ્રેજી કાફિયા પણ બિલકુલ ગુજરાતી લિબાસ પહેરીને દૂધમાં સાકરની જેમ ગઝલમાં પ્રવેશી ગયા છે.
Permalink
May 4, 2017 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, સંધ્યા ભટ્ટ

એકધારા કામથી અકળાય છે,
એટલે આ મોસમો બદલાય છે.
કેવું સુંદર છળ રચે છે સૂર્ય પણ,
સૌની સામે રોજ ડૂબી જાય છે !
કોણ કહે, પાષાણને ભાષા નથી ?
પથ્થરોમાંથી તો મૂર્તિ થાય છે !
જયારે કોઈ પંખીનો માળો તૂટે,
વૃક્ષ પણ સાથે જ ત્યાં વીંધાય છે.
વન અને વનવાસીને જોયા પછી,
દેહ ને આત્મા વિશે સમજાય છે.
– સંધ્યા ભટ્ટ
બારડોલીથી સંધ્યા ભટ્ટ એમનો બીજો કાવ્યસંગ્રહ “શૂન્યમાં આકાર” લઈને આવ્યા છે. લયસ્તરોના આંગણે એમનો સહૃદય સત્કાર. એમની આ ગઝલ જૂની-જાણીતી અને મારી માનીતી હોવા છતાં લયસ્તરો પર છેક આજે પધારી છે. બધા જ શેર સરળ અને સંતર્પક.
Permalink
April 28, 2017 at 2:58 AM by વિવેક · Filed under ગઝલ, ગૌરાંગ ઠાકર
ખુલ્લું હૃદય છે કોઈ ભલે પારખાં કરે,
પણ બારણું નથી કે બધા આવ જા કરે.
દુશ્મન તો એક પણ મને જીતી શક્યો નહીં,
હારી હું જાઉં એમ કોઈ મિત્રતા કરે.
આથી વિશેષ કૈં જ મને જોઈતું નથી,
દરરોજ સૂર્ય જોઉં તો વિસ્મય થયા કરે.
દીવો ભીતર વિલાસમાં જીવી રહ્યો હશે,
નહીંતર ન બંધ બારણે હુમલો હવા કરે.
મરજી પડે તો મોજથી અજવાળું અવગણું,
પણ શી મજાલ રાતની કે બાવરા કરે.
– ગૌરાંગ ઠાકર
સાદ્યંત સુંદર રચના… મત્લામાં કવિનો ખરો મિજાજ પકડાય છે.
Permalink
April 27, 2017 at 12:30 AM by વિવેક · Filed under ઉદયન ઠક્કર, ગઝલ
મેં પલાંઠી અચલ પસંદ કરી,
શ્વાસોએ દડમજલ પસંદ કરી.
કેટલે જાશો લાખા વણજારા?
સાંઢણીઓ વિકલ પસંદ કરી.
ઊભી પળપળ ધરીને વરમાળા,
ને અમે પણ સકલ પસંદ કરી.
આપણે ચેલકા હુડિનીના,
એટલેસ્તો ગઝલ પસંદ કરી!
સ્હેજ એવી ને સ્હેજ તેવી તું!
તોય અદલોઅદલ પસંદ કરી.
– ઉદયન ઠક્કર
આપણું ભીતર આપણા બહાર સાથે બહુધા તાલમેલ ધરાવતું નથી એમાંથી જ અશાંતિ ઉત્પન્ન થતી હોય છે. આપણી અંદર કોઈક ઠરીઠામ થઈ સ્થિર થવા ઇચ્છે છે પણ જિંદગી દડમજલના રસ્તે ઘસડી જાય છે. અશક્ત થઈ ગયેલી ઇચ્છાઓ લઈને આપણે ક્યાં સુધી પહોંચી શકીશું એ વાત લાખા વણજારાના ઐતિહાસિક પ્રતિક સાથે કવિએ સ-રસ સાંકળી છે. પણ ખરી કમાલ તો દુનિયામાં સર્વકાલીન શ્રેષ્ઠ જાદુગર ગણાતા હુડિનીના કમાલ સાથે ગઝલને juxtapose કરીને કરી છે. જીવનમાં જે ક્ષણ આવી એ તમામને વધાવી લેવાની વાત કરતો શેર તો શિરમોર થયો છે.
Permalink
April 22, 2017 at 2:27 AM by વિવેક · Filed under ગઝલ, હરીશ મીનાશ્રુ
ઝાકળ ન તાણે તંબુ, સાધુ ન ડારે ડેરો
સુરભિ સદા અજન્મા, વાયુ ફરે ન ફેરો
સપડાઈ ગયા છે સૌ સગપણ અને સમજણમાં
ઘર ઘર મટીને સહસા થઈ જાય સખત ઘેરો
પડછાયો પગ તળેથી છટકીને ક્યાં જવાનો ?
ધોળે દહાડે શાને સૂરજનો ચોકીપહેરો ?
દરિયા કનેથી ઈંડાં માગે છે જ્યાં ટિટોડી
મોતી બધાંય મીંડાં, લજ્જિત બધીય લહેરો
નગરી ઉજેણી, એમાં આ શબ્દનું સિંહાસન
હું બેસવા જઉં ત્યાં પૂતળી પુકારે ઠહેરો
શંકાનું એક ટીપું, મનની મટોડી કાળી
ભાષાનો ભેદ તસ્કર કરતાં ગુપત ને ઘેરો
હું બરતરફ કરું છું શાહીનો ચન્દ્ર નભમાં
આ વાત પર અમાસે મારી દીધો છે શેરો
ખખડ્યા કરે છે અંદર ઈશ્વરની એ ઈમારત
નકશામાં કોણ કરતું, ખંડેરનો ઉમેરો ?
કંપે છે એકસરખાં ધડ ને અરીસા સૌના
ડરને અને ઈચ્છાને છે એકસરખો ચહેરો
કાચી કબરના માપે મેરાઈએ સીવ્યો છે
માટીનો એક ડગલો, તમને ગમે તો પહેરો
– હરીશ મીનાશ્રુ
કેટલાક છંદદોષને નજરઅંદાજ કરીએ તો મજાની દ્વિખંડી ગઝલ. પ્રાચીન ગુજરાતીના દોહા કે સુભાષિતો સાંભળતા હોઈએ એવી ગેરુઆ બાનીની ગઝલ. બધા જ શેર મનનીય થયા છે.
Permalink
April 21, 2017 at 1:59 AM by વિવેક · Filed under કુમાર જૈમિની શાસ્ત્રી, ગઝલ
એક એકલતા મને તારા સુધી લઈ જાય છે
પણ પછી હું એકલો પાછો ફરી શકતો નથી
તું કહે તો યાર સાતે સાગરો ખેડી શકું
માત્ર તારી આંખમાં સહેજે તરી શકતો નથી.
કાળના ખાલીપણાનો પણ પુરાવો એ જ કે –
કોઈના અવકાશને ક્યારેય ભરી શકતો નથી.
તું જશે તો આ જગત જાણી જશે તારા વગર
હું જીવી શકતો નથી ને હું મરી શકતો નથી.
સ્વપ્ન છું કે અશ્રુ છું બસ આ દ્વિધાને કારણે
બોજ છું પાંપણ ઉપર, તો પણ સરી શકતો નથી.
– કુમાર જૈમિની શાસ્ત્રી
મત્લાનો અભાવ અને એકાદ જગ્યાએ નજીવા છંદદોષને બાદ કરીએ તો નખશિખ આસ્વાદ્ય રચના. પહેલા શેરમાં એકલતાની જે વિભાવના કવિ રજૂ કરે છે એ કદાચ પ્રણયમાં વિરહની સર્વોત્કૃષ્ટ અભિવ્યક્તિ છે.
Permalink
April 20, 2017 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, સ્નેહી પરમાર
હવાને કહોને હવાધર્મ પાળે
ભલે બારણાં, બારણાધર્મ પાળે
કદી બ્હાર આવે, કદી જાય ભીતર
આ વૈરાગ પણ કાચબાધર્મ પાળે
બધાં જળને પોતાનું થાનક ગણે છે
ઘણાં એ રીતે માછલાધર્મ પાળે
એ બોલ્યું જો બદલે, નવાઈ ન પામો
ઊંચા માણસો તો ધજાધર્મ પાળે
ન આદત છૂટે ડંખવાની કદાપી
ભલે માણસો કંઈ વડાધર્મ પાળે
પીડાને એ પટરાણી માની નવાજે
કલમ પણ વધુ શું કલાધર્મ પાળે !
– સ્નેહી પરમાર
ધર્મ પ્રત્યય લગાડીને કવિએ તો કાફિયાનો રંગ જ સમૂચો બદલી નાંખ્યો. બારણાં ભલેને બારણાંનો ધર્મ પાળે, ભલેને બંધ રહે, હવાએ પોતાનો ધર્મ-તિરાડમાંથી પણ વહી નીકળવાનો ભૂલવો ન જોઈએ. એક શેર યાદ આવ્યો: ભીડ્યાં હો શક્યતાનાં ભલે દ્વાર ચસોચસ; હું તો હવા છું, મારે તો તિરાડ બસ હતી. સમય વર્તીને કાચબો પોતાનું આખું શરીર ક્યારેક એની પીઠની ઢાલમાં સંકોરી લે, ક્યારેક બહાર કાઢે એ ગુણધર્મ સાથે આપણા સ્મશાનવૈરાગ્યને સાંકળીને કવિ ભારોભાર કટાક્ષ પણ કરી જાય છે. અંતિમ શેર પણ કળા અને પીડાનો અવિનાભાવી સંબંધ સુપેરે ઉજાગર કરી શક્યો છે.
તાજા સમાચાર મુજબ કવિના પુસ્તક ‘યદા તદા ગઝલ’ને ગુજરાત સાહિત્ય અકાદમીનું વર્ષ 2015 માટેનું દ્વિતીય પારિતોષિક મળ્યું છે એ માટે કવિને ટીમ લયસ્તરો તરફથી અઢળક મબલખ સ્નેહાભિનંદન !
Permalink
April 15, 2017 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, ભરત વિંઝુડા
કાલ કરતાં વિચાર જુદો છે
આજ થોડોક પ્યાર જુદો છે
એ જ છે કે સિતાર જુદો છે
અથવા એમાં જ તાર જુદો છે
સામસામે ફૂલો જ ફેંકેલાં
પણ પછીનો પ્રહાર જુદો છે
હું જે સમજું છું તે અલગ છે ને
તું કહે એનો સાર જુદો છે
ચાહવું તે ન ચાહવા જેવું
પ્રેમનો આ પ્રકાર જુદો છે
લોહી નીકળે તો સૌને દેખાડું
પણ અહીં મૂઢમાર જુદો છે
મારે અડવું નથી જરાય તને
મારા મનમાં વિકાર જુદો છે
– ભરત વિંઝુડા
સાવ સહજ સરળ ભાષા પણ એક-એક શેર પાણીદાર… ધીમેધીમે ખોલવા જેવા… વાહ કવિ!
Permalink
April 13, 2017 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, ચંદ્રેશ મકવાણા 'નારાજ'
શ્વાસ નામે પાંદડાં ખરતાં રહ્યાં
હા, ક્ષણેક્ષણ આપણે મરતા રહ્યા
જીવવા જેવું કશુયે ક્યાં હતું
જિંદગી લાદી ખભે ફરતા રહ્યા
આંખમાં અવઢવ રહ્યો આઠે પ્રહર
પાંપણોમાં પ્રેત તરવરતાં રહ્યાં
આયખાના સાવ કાણા પાત્રમાં
આંધળું હોવાપણું ભરતા રહ્યા
ક્યાં હતી ઠંડી… હવા પણ ક્યાં હતી..?
એ છતાં ‘નારાજ’ થરથરતા રહ્યા….
– ચંદ્રેશ મકવાણા ‘નારાજ’
કવિતાની ખરી મજા જ એ છે કે જે વાત આપણે વર્ષોથી જાણતાં જ હોઈએ એ જ વાત અલગ રીતે રજૂ કરવામાં આવે તો મોં અને દિલમાંથી એકીસાથે આહ અને વાહ – બંને નીકળી આવે… સફરજન તો વૃક્ષનો જન્મ થયો ત્યારથી જ નીચે પડતા હતા પણ ન્યૂટને એની પાછળનો નિયમ રજૂ કર્યો અને દુનિયાની શિકલ બદલાઈ ગઈ. આપણે બધા જ જાણીએ છીએ કે દરેક શ્વાસ આપણને અફર મૃત્યુ તરફ લઈ જાય છે પણ આ જ વાત જ્યારે ચંદ્રેશ મકવાણા આ ગઝલના મત્લામાં લઈને આવે છે ત્યારે મરવું પણ મીઠું લાગી આવે, નહીં?! મત્લાના શેરનું સહજ સૌંદર્ય એટલું બધું અદભુત છે કે વિવેચનાનો નાનો અમથો સ્પર્શ પણ પતંગિયાની પાંખ હાથમાં લઈએ ને રંગ ઊતરી જાય એમ આ સૌંદર્યમાં ડાઘ લગાડવા બરાબર છે એટલે એને એમ જ માણીએ.
આખી ગઝલ મૃત્યુનો સંસ્પર્શ લઈને આવી છે અને બધા જ શેર નિતાંત આસ્વાદ્ય થયા છે.
Permalink
April 8, 2017 at 10:16 PM by વિવેક · Filed under ગઝલ, શૈલેન રાવલ
ચાલ ઊભો થા અને ઉઠાવ થેલો,
કોણ કોનો છે ગુરુ ને કોણ ચેલો ?
મન પછી સોળે કળાએ ખીલશે; જો –
દાયકાથી બંધ છે તે ખોલ ડેલો !
ઘાસ માફક ઝૂકવું ડહાપણ ભરેલું;
વાયરો ફૂંકાય છે માથા ફરેલો.
જળને જો, પડવું છતાં વહેવું મજાથી-
સત્ય નોખું શીખવે વરસાદી રેલો.
પોતપોતાનું અલગ છે જૂઠ મિત્રો !
પૂછશો ના કોણ સમૃદ્ધ આ કે પેલો ?
– શૈલેન રાવલ
ગુરુ કોણ ને ચેલો કોણની કડાકૂટમાં જ આપણું જીવન વીતી જાય છે. ખરી વાત તો થેલો ઉપાડવાની અને ચાલતા-વહેતા થવાની છે. આગળ વધવું એ જ ખરી જિંદગી છે. બંધ ડેલો જ્યાં સુધી ખૂલે નહીં ત્યાં સુધી તાજી હવાની લહેરખી અને તાજી કૂંપળનું ખીલવું શક્ય ક્યાંથી બને ? સરવાળે અખી ગઝલ આસ્વાદ્ય…
Permalink
April 6, 2017 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, લલિત ત્રિવેદી
જાગી ઊઠ્યા ને જાત પર પડદો પડી ગયો
કાલે જીવ્યાની વાત પર પડદો પડી ગયો !
પડદો હલ્યો ને ભીંત પરનું ચિત્ર સળવળ્યું,
પડદાની એક નિરાંત પર પડદો પડી ગયો !
પરદાનશીન થૈ ગયો મારી સમક્ષ હુંય
મારી બધી મિરાત પર પડદો પડી ગયો !
પડદો ખૂલ્યો ને ગૃહમાં અંધારું થૈ ગયું
પ્રત્યેક જણની જાત પર પડદો પડી ગયો !
પડદો પડ્યો ને ગૃહમાં અજવાળું થૈ ગયું
ખુરશીની કાયનાત પર પડદો પડી ગયો !
સૂરજ ઊગ્યો ને પાત્ર સૌ સન્મુખ થૈ ગયાં…
પડદો પડ્યા-શી રાત પર પડદો પડી ગયો !
રિહર્સલોની જેમ ના ઘટના કશી બની
નાટકની એક વિસાત પર પડદો પડી ગયો !
– લલિત ત્રિવેદી
પડદો પડી જવાની એક જ ક્રિયાને કવિ અલગ અલગ શેરમાં અલગ અલગ અર્થમાં કેવી બખૂબી વર્ણવે છે એ જ ગઝલનું ખરું સૌંદર્ય છે.
Permalink
April 5, 2017 at 3:16 AM by તીર્થેશ · Filed under ગઝલ, સૈફ પાલનપુરી
અમારી જિંદગીનો આ સરળ સીધો પરિચય છે,
રુદનમાં વાસ્તવિકતા ને હસવામાં અભિનય છે.
તમે આવો તો એને પણ જરા ઠપકા સમું લાગે,
આ મારું મન ઘણા વર્ષોથી મારામાં જ તન્મય છે.
તને મળવાનો છું એટલે હમણાં તો ચૂપ છું પણ,
ખુદા તારા વિશે મારાય મનમાં સહેજ સંશય છે.
મને જોઈને નજરને શું સિફતથી ફેરવી લ્યો છો !
તમારી તો ઉપેક્ષા પણ ખરેખર બહુ કળામય છે.
હવે ક્યાં આગ્રહ છે કે ‘સૈફ’ સાકી હો મદિરા હો,
હવે તો શાંત ખૂણો પણ મળે તો એ સુરાલય છે.
– ‘સૈફ’ પાલનપુરી
Permalink
March 30, 2017 at 9:18 AM by તીર્થેશ · Filed under ગઝલ, જયન્ત પાઠક
એ ના સળંગ હોય તો મારે જવું નથી.
રસ્તાને અંત હોય તો મારે જવું નથી.
બોલાવતું બધુંય ગામ તોય એમની,
ખડકી જ બંધ હોય તો મારે જવું નથી.
પૃથ્વીની જેમ એમના દરિયાવ દિલમાં,
નોખા જ ખંડ હોય તો મારે જવું નથી
ખારું ઝરણ થઈને તો નીકળ્યો છું આંખથી,
ખારો જ અંત હોય તો મારે જવું નથી.
હું ચાલું તો ચાલે ને અટકું તો ઊભો રહે,
એવો જ પંથ હોય તો મારે જવું નથી.
-જયંત પાઠક
Permalink
March 21, 2017 at 7:24 AM by વિવેક · Filed under ઈર્શાદગઢ, ગઝલ, ચિનુ મોદી

ચિનુ મોદી (૩૦-૦૯-૧૯૩૯થી ૧૯-૦૩-૨૦૧૭)
(તસ્વીર- વિવેક ટેલર, ડિસે., ૨૦૧૦)
*
अब यहाँ से जाना है
मौत तो बहाना है।
अब्र से उतर आये
चाँद को छुपाना है।
गुमसुदा खुदा का भी
अब पता लगाना है।
रुक गई हवा लेकिन
कश्ती को चलाना है।
एक काम बाकी है
आप को मनाना है।
रात-दिन इबादत कर
सरफ़िरा झुकाना है।
जो कभी जलाया था
वह दिया बुझाना है।
-चिनु मोदी
ચિનુ મોદી (૩૦-૦૯-૧૯૩૯થી ૧૯-૦૩-૨૦૧૭). ગુજરાતી ગઝલગઢનો એક મોભ તૂટી પડ્યો. ચિનુ મોદીને કોઈ ગઝલકાર કહે એ ગુજરાતી કવિતાનું અપમાન છે. ગુજરાતી ઉપરાંત ઉર્દૂ ગઝલ (इर्शादनामा)માં બહોળું ખેડાણ કરનાર ચિનુ મોદીએ ગઝલ, ગીત, સોનેટ, અછાંદસ જેવા પ્રચલિત કાવ્યપ્રકારો ઉપરાંત ખંડકાવ્ય (બાહુક), દીર્ઘકાવ્ય (વિ-નાયક), આખ્યાનકાવ્ય (કાલાખ્યાન), પદ્ય એકાંકી નાટકો (ડાયલનાં પંખી) તથ પદ્યસભર વાર્તાઓ (ડાબી મૂઠી, જમણી મૂઠી) પણ આપણને આપ્યાં છે. આ પ્રકારનું કાવ્યપ્રકારબાહુલ્ય આપણે ત્યાં “રેરેસ્ટ ઑફ ધ રેર” ઘટના છે.
ગઈ કાલે આપણે ગુજરાતી ગઝલ માણી. આજે, એક ઉર્દૂ ગઝલ…
પ્રસ્તુત ગઝલનો મત્લા અને આખરી શેર જાણે ચિનુ મોદીએ આ રવિવારની સાંજની અલવિદા માટે જ લખ્યો હોય એમ લાગે છે.
Permalink
March 20, 2017 at 8:03 AM by તીર્થેશ · Filed under ઈર્શાદગઢ, ગઝલ, ચિનુ મોદી
પાતળી પડતી હવામાં હું નથી હોતો
શ્વાસ અટકે એ જગામાં હું નથી હોતો.
એ ખરું, કે જીવવું ઈચ્છા ઉપરવટ છે
કૈંક વર્ષોથી કશામાં હું નથી હોતો.
રાતભર વરસાદ વરસે , ઓરડો ગાજે;
આંખ ઝરમરતાં, મઝામાં હું નથી હોતો.
બે ઘડી માટે થવું છે પર – સુગંધથી;
પુષ્પની અંગત વ્યથામાં હું નથી હોતો.
જીવન જેમ જ સાચવ્યા એકાંતના સિક્કા;
ભીડથી ભરચક સભામાં હું નથી હોતો.
– ચિનુ મોદી
ચિનુભાઈ નથી રહ્યા……
Permalink
March 19, 2017 at 12:30 AM by તીર્થેશ · Filed under ગઝલ, મૂકેશ જોષી
ખેરવી નાખે જ તારાં પાન તો તુ શું કરીશ ?
ખીલવાનું દે પછી આહ્વવાન તો તુ શું કરીશ ?
વેશ સાધુનો લૈ તું બ્રહ્મચારી થાય પણ
જાગશે તારા મહી શેતાન તો તુ શું કરીશ ?
એમને મુઠ્ઠી ભરી તુ શાપ દેવા નીકળે
એ તને જો આપશે વરદાન તો તુ શું કરીશ ?
કાલ જેને તે હણ્યો તે સત્યવક્તા હુ હતો
રુબરુ આવી કહે ભગવાન તો તુ શું કરીશ ?
જિંદગી વાંચીને તારી એ કરે જો ફેસલો
ભાગ્યમાં તારા નથી અવસાન તો તુ શું કરીશ ?
– મુકેશ જોશી
તીક્ષ્ણ-અણિયાળા સવાલો…..ટિપિકલ મુકેશ જોશી !!
Permalink
March 18, 2017 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, હર્ષવી પટેલ
અઠંગ આંખ હોય પણ ફરક કળી શકો નહીં,
મને મળ્યા પછી તમે તમે રહી શકો નહીં.
શરત ગણો તો છે શરત, મમત કહો તો હા, મમત!
તમે તમે ન હોવ તો મને મળી શકો નહીં.
પ્રવેશબાધ કે નિયમ કશું નથી અહીં છતાં
કહું હું ત્યાં લગી તમે પરત ફરી શકો નહીં.
જો થઈ જશે લગાવ તો સ્વભાવ થઈ જઈશ હું,
મથો છતાંય એ પછી મને તજી શકો નહીં.
તરણકળા પ્રવીણ હો, તરી શકો સમંદરો,
ડૂબી ગયા જો આંખમાં, તમે બચી શકો નહીં.
પડ્યા પછી જ પ્રેમમાં ખરેખરી ખબર પડી,
સતત મરી શકો ખરા, સતત જીવી શકો નહીં.
– હર્ષવી પટેલ
કેસરી, સફેદ અને લીલો – એમ ત્રણ રંગ ભેગા કરીને બનાવ્યું ન હોય એવા ‘કેસલી’ ગામની વતની હર્ષવી નખશિખ ‘ભારતીય’ પરવીન શાકિર છે. એના શેરમાં પરવીનની નજાકત છે, મીનાકુમારીનું દર્દ છે અને સાથે જ અમૃતાની પરિપક્વતા પણ છે. હર્ષવી ગુજરાતી ગઝલની ઊજળી આજ છે. એની ગઝલો આજના ફેક્ટરી પ્રોડક્શનની ગઝલો નથી, સાચું સોનું છે. મત્લાનો શેર હાથમાં લઈએ… સંસારનો સાર્વત્રિક નિયમ છે. એક વ્યક્તિ બીજી વ્યક્તિને મળે એટલે “બંને” વ્યક્તિમાં ઇચ્છો કે ન ઇચ્છો, નજીવો તો નજીવો પણ ફરક તો આવવાનો, આવવાનો ને આવવાનો જ. આ સત્ય હર્ષવી કેવી કારીગરીથી ઉજાગર કરી શકે છે એ જુઓ… તમે ગમે એટલા હોંશિયાર કેમ ન હોવ પણ તમારી પાસે એ આંખ તો નથી જ, જે બે વ્યક્તિની મુલાકાતથી વ્યક્તિત્વમાં વ્યક્તિની ખુદની પણ જાણ બહાર નિપજતા આ subtle પરિવર્તનને કળી શકે.
Permalink
March 17, 2017 at 2:33 AM by વિવેક · Filed under ગઝલ, સુરેશ પરમાર
વા-ઝડી થઈ યાદ સૂસવાતી રહી વરસાદમાં,
હું અહીં, ત્યાં તુંય વળ ખાતી રહી વરસાદમાં.
જાગરણ પ્રોઈ શકું હું જિંદગીની સોયમાં,
એ જ કારણ વીજળી થાતી રહી વરસાદમાં.
હું કવિનો કોટ પહેરી બારીએ બેસી રહ્યો,
ને ગઝલ સાબોળ ભીંજાતી રહી વરસાદમાં.
લાકડાં લીલા જલાવી ડાઘુઓ ચાલ્યા ગયા,
એકલી ચિતા જ ધુમાતી રહી વરસાદમાં.
પિંજરામાં કેદ મેના ‘સૂર’ સામે જોઈને
ભીની આંખે મેહૂલો ગાતી રહી વરસાદમાં.
– સુરેશ પરમાર ‘સૂર’
બધા જ શેર મમળાવવા ગમે એવા… હર મોસમમાં તરબતર કરી દે એવી મજાની વરસાદી ગઝલ…
Permalink
March 14, 2017 at 12:51 AM by તીર્થેશ · Filed under ગઝલ, જવાહર બક્ષી
બે-ચાર શક્યતાઓ છે સાચી પડી ન જાય
આ તરવરાટને ક્હો, હમણાં વધી ન જાય
તું પાસ હોય એવી રીતે ગાઉં છું ગઝલ
તું ક્યાંક પાસ આવી મને સાંભળી ન જાય
તારી નિકટ નથી તો હું તારાથી દૂર છું
તારી ઉપસ્થિતિ તો કદી અવગણી ન જાય
ભરપૂર હોઉં તોય તને ઝંખતો રહું
તું આ ભર્યાભર્યાપણાને ઓળખી ન જાય
તારી ગલીમાં ધુમ્મસી વાતાવરણ રહે
મારી ભીનાશ ક્યાંય તને પણ અડી ન જાય
થોડા વિકલ્પો આજ અતિથિ છે આંખમાં
તારા અભાવને કહે આંખ સુધી ન જાય
– જવાહર બક્ષી
Permalink
March 10, 2017 at 1:27 AM by વિવેક · Filed under ગઝલ, શૈલેન રાવલ
દુઃખતી નસ તેં ફરી દબાવી છે,
બંધ મુઠ્ઠી વળી ઉઘાડી છે.
નીંદ પર સ્વપ્નના ગુના આવ્યા,
જિંદગીને આમ તેં ફસાવી છે.
એક ખોબાને હું તરસતો’તો;
એણે આખી નદી પચાવી છે.
તું મને મારી પાસે રહેવા દે,
માંડ પીડાને ફોસલાવી છે.
ઓળખી લે સ્વરૂપ ઝાકળનું !
એ અગમ તત્ત્વની નિશાની છે.
જામતી રાતે મહેંકવાની છે;
આ ગઝલ દોસ્ત, રાતરાણી છે.
– શૈલેન રાવલ
પ્રેમ એ સમર્પિત થઈ જવાની લગણીનું બીજું નામ છે એ સાચું પણ સાથે એ પણ સાચું કે પ્રેમ એટલે પારાવાર પીડાનું શાશ્વત સરનામું. પ્રેમમાં તકલીફની કોઈક ક્ષણે તો આપણે ચિત્કારી જ ઊઠીએ કે મારે સમર્પિત નથી થવું. મને મારી જ પાસે રહેવું છે કેમકે પ્રેમમાં સમર્પણ અપેક્ષા પણ જન્માવે જ છે અને અપેક્ષા જન્મ આપે છે પીડાને. કવિ કદાચ એટલે જ પોતાને પોતાની પાસે જ રહેવા દેવાની માંગણી કરે છે. અને છેલ્લો રાતરાણીવાળો શેર તો અદભુત થયો છે, ગઝલ આખી મઘમઘ કરી દે એવો !
Permalink
March 9, 2017 at 1:05 AM by વિવેક · Filed under કિરણસિંહ ચૌહાણ, ગઝલ
સુંવાળા શબ્દની પણ એમને તો ધાર લાગી ગઈ,
અમારી લાગણી પણ જાણે અત્યાચાર લાગી ગઈ.
અમે ઉચ્છવાસ મૂક્યો ને નવો આ શ્વાસ લીધો બસ…
અને બસ એટલામાં આપ કહો છો ‘વાર લાગી ગઈ !’
મુસીબત એમણે તો મોકલી‘તી મોટી સંખ્યામાં,
અમે સાવધ રહ્યા પણ તે છતાં બે–ચાર લાગી ગઈ.
જરા સંભાળ લઈએ ખુદની ત્યાં તો પાછા વિખરાયા,
તમારી ઓઢણી અમને આ બીજી વાર લાગી ગઈ.
સરળ છે એમ સમજીને બધા ફટકારવા લાગ્યા,
ગઝલને એટલે તો આટલી ફટકાર લાગી ગઈ.
– કિરણસિંહ ચૌહાણ
સંબંધમાં સંવેદના માપવાનું કોઈ થર્મોમીટર આવતું નથી. ક્યારે કઈ વસ્તુ કેટલી માત્રામાં ખટકી જાય એ નક્કી કરવું દોહ્યલું બની જાય. મૂડ બરાબર ન હોય તો સુંવાળા શબ્દો પણ ઘસરકો કરતાં જાય. આમ તો આખી ગઝલ મજાની થઈ છે પણ ઓઢણી બીજીવાર લાગવાવાળી ઘટનામાં નજાકત અને પ્રણયની તીવ્રતાનું જે શબ્દાંકન થયું છે એ તો અદભુત છે…
Permalink
March 8, 2017 at 9:14 AM by તીર્થેશ · Filed under ગઝલ, ગની દહીંવાળા
તે પ્રેમ-આગ, રૂપનો જે લય કરી ગઈ,
સળગી ગયો પતંગ ને જ્યોતિ ઠરી ગઈ.
મારા દિવસ ને રાત તો દ્રષ્ટિ છે આપની,
મુજ પર કદી ઠરી, કદી મુજથી ફરી ગઈ.
શ્રદ્ધા જ મારી લઈ ગઈ મંઝિલ ઉપર મને,
રસ્તો ભૂલી ગયો, તો દિશાઓ ફરી ગઈ !
હો કોટિ ધન્યવાદ વહાલી ઓ જિંદગી !
આવી વિકટ સફરને તું પૂરી કરી ગઈ.
મારો વિકાસ મંદ છતાં શાનદાર છે,
દુનિયા તો જેમ તેમ બધે વિસ્તરી ગઈ.
જીવી ગયો તમારી મહોબ્બતને આશરે,
જૂઠી વિગત જહાનમાં સાચી ઠરી ગઈ.
છે મારું દિલ ‘ગની’, અને દુનિયાની જીભ છે,
ચીરી ગઈ કોઈ કોઈ બખિયા ભરી ગઈ.
– ‘ગની’ દહીંવાળા
અમર ગઝલ……..
Permalink
March 7, 2017 at 12:55 AM by તીર્થેશ · Filed under ગઝલ, ચિનુ મોદી
સાવ ખાલીખમ સમયનો સામનો કયાંથી ગમે ?
દર વખત સામે મુકાતો આયનો ક્યાંથી ગમે ?
હાથમાં આપી દીધો એકાંતનો સિક્કો મને,
બેય બાજુ એકસરખી છાપનો ક્યાંથી ગમે ?
એ ખરું કે જીરવી શકતો નથી ઉકળાટ પણ,
એક છાંટો પાછલા વરસાદનો ક્યાંથી ગમે ?
પાંદડાં ઝાકળ વિખેળે ડાળ પણ નિર્મમ થતી,
કોઇને પણ આ તકાદો કાળનો, ક્યાંથી ગમે ?
મૌનનાં ઊંચા શિખર આંબ્યા પછી ‘ઈર્શાદ’ને-
શેષ વધતો ટૂકડો આકાશનો ક્યાંથી ગમે ?
– ચિનુ મોદી ‘ઈર્શાદ’
Permalink
March 6, 2017 at 12:50 AM by તીર્થેશ · Filed under આદિલ મન્સૂરી, ગઝલ
કહું છું ક્યાં કે આઘેરા કોઈ રસ્તા સુધી આવો,
ઉઘાડો બારણું ને આંગણે તડકા સુધી આવો.
જમાનો એને મૂર્છા કે મરણ માને ભલે માને,
હું બન્ને આંખ મીંચી દઉં તમે સપના સુધી આવો.
તમારા નામના સાગરમાં ડૂબી તળિયે જઈ બેઠો,
હું પરપોટો બની ઊપસું તમે કાંઠા સુધી આવો.
જરૂરી લાગશે તો તે પછી ચર્ચાય માંડીશું,
હું કાશી ઘાટ પર આવું તમે કાબા સુધી આવો.
હું છેલ્લી વાર ખોબામાં ભરી લેવા કરું કોશિશ
અરે ઓ મૃગજળો આવો હવે તરસ્યા સુધી આવો.
ગમે ત્યારે ગઝલ જીવનની પૂરી થઈ જશે ‘આદિલ’
રદીફ ને કાફિયા ઓળંગીને મક્તા સુધી આવો.
– ‘આદિલ’ મન્સૂરી
Permalink
March 4, 2017 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, લક્ષ્મી ડોબરિયા
સરવાળા, બાદબાકી ની જ્યાં શક્યતા નથી.
એ વાતને વધારવામાં પણ મજા નથી.
ડૂમાને જ્યારથી અહીં વાંચી ગયું છે કોઈ,
આંસુના ત્યારથી મેં ખુલાસા કર્યા નથી.
હું આંખ આડા કાન ભલે ને કરી લઉં,
કેવી રીતે કહું કે ગમા-અણગમા નથી.
જાહોજલાલી ખુદને મળો એવી ના રહી,
વૈભવની વચ્ચે ખાલી ખૂણાની મતા નથી.
કોઈના થઈ ગયા પછી આ વાત માની કે,
દાવા, દલીલ માટે હૃદયમાં જગા નથી.
હું તો ગઝલ છું, કોઈ ઝીણી ક્ષણમાં અવતરું,
વાંચી, લખી શકો તમે એ વારતા નથી.
આવે ને જાય એમાં ઘડે ઘાટ અવનવા,
સપના હો કે વિચાર હો એળે જતા નથી.
– લક્ષ્મી ડોબરિયા
આગળ ન વધી શકાય કે પાછળ ખસી ને શકાય, જ્યાં કોઈપણ પ્રકારની શક્યતાનો શૂન્યાવકાશ જ હોય એ વાતને વધારીને શો ફાયદો? આપણા સમગ્ર અસ્તિત્વને એવી રીતે ભરી દે કે આપણી પોતાની જાતને મળવા માટે એક ખૂણો પણ ન બચે એ જાહોજલાલી, એ વૈભવનો અર્થ શો? દાવા-દલીલ વિના કહી શકાય કે સરવાળે ઝીણી ક્ષણે અવતરેલી આ ગઝલમાં એકય શેર એળે જાય એવો નથી.
Permalink
March 2, 2017 at 1:54 AM by વિવેક · Filed under કિશોર જીકાદરા, ગઝલ
ક્યાં અને ક્યારે સરી ગઈ હાથમાંથી?
કેમ શોધું આજને ગઈકાલમાંથી?
પ્રશ્ન મોટો છે, નથી રાખી નિશાની,
ખોલવું પાનું કયું ઈતિહાસમાંથી?
ટાંકણે એ કેટલો નીંભર બન્યો છે,
જોઈ લીધું મેં સમયની ચાલમાંથી!
રોગ લાગે છે મને ગંભીર મારો,
રોજ પીંછાં કાં ખરે છે પાંખમાંથી?
આંખ સામે એક પંખી ભસ્મ થાતું,
એક પંખી થાય બેઠું રાખમાંથી!
– કિશોર જીકાદરા
સ્વયંસિદ્ધ ગઝલ… આપણે ભૂત અને ભવિષ્યની ચિંતામાંને ચિંતામાં સોના જેવી આજને જેમ જીવવી જોઈએ એમ જીવી શકતાં નથી… સરકી ગયેલી પળ પછી ગમે એટલી શોધો, હાથ લાગતી જ નથી. સમયની ચાલવાળો શેર પણ બળવત્તર થયો છે. જરૂર પડે ત્યારે જ સમય મૂઢ બની જાય છે, આપણા પ્રશ્નોના જવાબ આપતો નથી. જીજીવિષા અને લાખો નિરાશામાં છુપાયેલી અમર આશાને શબ્દસ્થ કરતો છેલ્લો શેર પણ એવો જ ધ્યાનાર્હ થયો છે.
Permalink
March 1, 2017 at 8:09 AM by તીર્થેશ · Filed under ગઝલ, મનોજ ખંડેરિયા
જરાય દોસ્તો ખબર નથી કે અમોને શાની સજા મળી છે,
કશું જ તહોમત નથી જ માથે, વગર ગુનાની સજા મળી છે.
વિનમ્ર થઈને કદાપિ એકે કરી ન ફરિયાદ જિંદગીમાં,
રહી રહી ને ખબર પડી કે ન બોલવાની સજા મળી છે.
ઘણીય વેળા ઊભા રહ્યા તો અશક્ત માની હટાવી દીધા,
ઘણીય વેળા સમયથી આગળ વધુ થવાની સજા મળી છે.
અમારા ઘરમાં અમારા અવસર ઉપર નિમંત્ર્યા બધાને કિંતુ,
હવે અમારી સભાથી અમને વહી જવાની સજા મળી છે.
સમજ હતી ક્યાં અમોને એવી પૂરી દીધા છે શીશામાં જિનને,
રમત રમતમાં જ બંધ ઢાંકણ ઉઘાડવાની સજા મળી છે.
– મનોજ ખંડેરિયા
પ્રત્યેક શેરમાં ઊંડી વ્યથા છલકે છે…….
Permalink
February 27, 2017 at 2:49 AM by તીર્થેશ · Filed under ગઝલ, જલન માતરી
દુ:ખી થવાને માટે કોઇ ધરતી પર નહીં આવે,
હવે સદીઓ જશે ને કોઇ પયગમ્બર નહીં આવે…
છે મસ્તીખોર કિંતુ દિલનો છે પથ્થર નહીં આવે,
સરિતાને કદી ઘરઅંગણે સાગર નહીં આવે…
ચમનને આંખમાં લઇને નીકળશો જો ચમનમાંથી,
નહીં આવે નજરમાં જંગલો, પાધર નહીં આવે…
અનુભવ પરથી દુનિયાના, તું જો મળશે ક્યામતમાં,
તને જોઇ ધ્રુજારી આવશે, આદર નહીં આવે…
દુ:ખો આવ્યાં છે હમણાં તો ફક્ત બેચાર સંખ્યામાં,
ભલા શી ખાતરી કે એ પછી લશ્કર નહીં આવે…
હવે તો દોસ્તો ભેગા મળી વ્હેંચીને પી નાખો,
જગતનાં ઝેર પીવાને હવે શંકર નહીં આવે…
આ બળવાખોર ગઝલો છોડ લખવાનું ‘જલન’ નહીંતર,
લખીને રાખજે અંજામ તુજ સુંદર નહીં આવે…
કરીને માફ સ્નેહીઓ ઉઠાવો એક બાબત પર,
‘જલન’ની લાશ ઊંચકવા અહીં ઇશ્વર નહીં આવે…
– ‘જલન’ માતરી
પરંપરાગત માવજત છે પણ ચમકારા ચોક્કસ છે…..
Permalink
February 23, 2017 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, મરીઝ
જાહેરમાં એ દમામ કે પાસ આવવા ન દે,
અંદરથી એ સંભાળ કે છેટે જવા ન દે.
છોડ એવા શ્વાસને કે કશો એમાં દમ નથી,
જે મોતનો પસીનો સૂકવવા હવા ન દે.
મનદુઃખ થશે જરામાં કે ઊર્મિપ્રધાન છું,
તારી બધીય વાત મને જાણવા ન દે.
તુજ દર્દ જોઈએ છે મગર આટલું નહિ,
થોડી કચાશ કર, મને પૂરી દવા ન દે.
એના ઈશારા રમ્ય છે પણ એને શું કરું?
રસ્તાની જે સમજ દે, અને ચાલવા ન દે.
એવા કોઈ દિલેરની સંગત દે ઓ ખુદા,
સંજોગોને જે મારું મુકદર થવા ન દે.
એ અડધી મોત કષ્ટ બની ગઈ છે પ્રાણ પર,
જે ઊંઘ પણ ન આપે અને જાગવા ન દે.
આનંદ કેટલો છે બધી જૂની યાદમાં,
કિંતુ સમય જો એમાં ખ્યાલો થવા ન દે.
કેવો ખુદા મળ્યો છે ભલા શું કહું ‘મરીઝ’,
પોતે ન દે, બીજાની કને માંગવા ન દે.
– ‘મરીઝ’
ગઈકાલે 22 ફેબ્રુઆરીના રોજ મરીઝના જન્મને સો વર્ષ થયા. મરીઝની ગઝલોને સમય ચાળી શક્યો નથી કેમકે મરીઝની ગઝલો સીધી દિલની જબાનમાં લખાયેલી છે. એમની કળા કળા નથી, જીવન બની રહી હોવાથી સર્વોપરી બની રહી છે. મરીઝના કવનનું જમાનાએ કાયમ માટે યાદ રહી જાય એવું ઊંડું મનન કર્યું છે. એમની લાયકાત કેળવેલી નહીં પણ સહજ હતી, માટે જ મરીઝ ગુજરાતના ગાલિબની કક્ષાએ બિરાજે છે… જન્મશતાબ્દી નિમિત્તે કવિને શત શત કોટિ વંદન…
Permalink
February 21, 2017 at 8:50 AM by તીર્થેશ · Filed under કૈલાસ પંડિત, ગઝલ
ભૂલી જવાના જેવો હશે એ બનાવ પણ,
ક્યારેક તમને સાલશે મારો અભાવ પણ…
કહેવાતી ‘હા’ થી નીકળે ‘ના’ નો યે ભાવ પણ,
માણસની સાથે હોય છે, એનો સ્વભાવ પણ…
કેડી હતી ત્યાં ઘાસ ને ઉગ્યાં છે ઝાંખરા,
પુરાઈ ગઈ છે ગામના પાદરની વાવ પણ…
ભીનાશ કોરી ખૂંપશે પાનીમાં કો’ક દિ,
ક્યારેક યાદ આવશે તમને તળાવ પણ…
તારી વ્યથા કબૂલ મને એક હદ સુધી,
આંસુ બનીને આંખમાં કાયમ ન આવ પણ…
– કૈલાસ પંડિત
આ શાયર અંગત રીતે મને બહુ ગમતા શાયર છે. કદાચ વિવેચકો તેમને બહુ માર્ક્સ ન આપે એવું બને પણ તેઓ જે રીતે દર્દને સચોટ રજૂ કરે છે તે રીતમાં એક નિર્ભેળ સચ્ચાઈ દેખાય છે. વિષયવૈવિધ્ય તેઓનું સબળ પાસું કદાચ ન પણ હોય પરંતુ જે લખ્યું છે તે સીધું દિલથી નીકળ્યું છે !
Permalink
Page 17 of 50« First«...161718...»Last »