થઈ આંગળી રથમાં ધરીનું સ્થાન બનીશું,
એ રીતે અમે જીતનું વરદાન બનીશું.
વિવેક મનહર ટેલર

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for કવિ

કવિ શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.




યાચના – ઝવેરચંદ મેઘાણી

મોરલા હો ! મુને થોડી ઘડી
                  તારો આપ અષાઢીલો કંઠ:
        ખોવાયેલી વાદળીને હું
        છેલ્લી વાર સાદ પાડી લઉં.

ઈંદ્રધનુ ! તારા રંગ-ધોધોમાંથી
                         એક માગું લીલું બુન્દ:
          સાંભરતાંને આંકવા કાજે
          પીંછી મારી બોળવા દેજે !

મેઘમાલા ! તારા લાખ તારોમાંથી
                             ખેંચવા દે એક તાર:
           બેસાડીને સૂર બાકીના
          પાછી સોંપી દૈશ હું વીણા.

ઘોર સિંધુ ! તારા વીંજણાનું નાનું
                          આપજે એક કલ્લોલ:
          હૈયું એક નીંદવિહોણું-
         ભાલે એને વાયરો ઢોળું.

રાતરાણી ! તારા ઝાકઝમાળનું
                         મારે નથી કાંઈ કામ:
           ગાઢ અંધકાર પછેડા
          ઓઢાડી દે ઊંઘની વેળા.

– ઝવેરચંદ મેઘાણી

(મૂળ કવિતા- રવીન્દ્રનાથ ટાગોર)

‘રાષ્ટ્રીય શાયર’નું બિરુદ પામેલા મેઘાણીની આ રચના પહેલી નજરે રાષ્ટ્રીય ચેતનાની એમની શૈલીથી થોડી અલગ લાગે પણ પોત તપાસીએ તો ખબર પડે કે આમાંય વ્યક્તિચેતનાની વાત જ છે. કુદરતની મબલખ સંપત્તિમાંથી કવિ માત્ર પોતાને જેની સાચોસાચ જરૂર છે એવા બુંદમાત્રની જ યાચના કરે છે. અહીં કોઈ મનુષ્યસહજ સંગ્રહવૃત્તિ નજરે ચડતી નથી. અને કવિ જે ઈચ્છે છે એ પણ કોઈ ખોવાયેલાને સાદ દેવા કે યાદ કરનારને ચિતરવા યા ઊંઘવિહોણાને મદદ કરવા જ માંગે છે… કોઈ ઝાકઝમાળભર્યા સૌંદર્યનીય કવિને અપેક્ષા નથી, કવિ માત્ર અંતિમવેળાએ ગાઢ અંધકારની પછેડી જ તાણવા માંગે છે… 

Comments (6)

માર્ગ પછીની મંઝીલ – હરીન્દ્ર દવે

જ્યાં રોજ સાંજ ઢળતાં ચરણો વળતાં મેળે
આ માર્ગ પછીની મંઝિલ એ મારું ઘર છે
ને કદી જીવનની સાંજ ઢળ્યે જ્યાં જંપીશ હું
એ માર્ગ પછીની મંઝિલ પણ મારું ઘર છે

-હરિન્દ્ર દવે

Comments (7)

ઢગલા મોઢે છે ! – સુધીર પટેલ

dhagala

સમજો તો કાંઇ નથી, નહિ તો પ્રશ્નો ઢગલા મોઢે છે;
હ્રદય કહે તે કરજો, અહીંયા તર્કો ઢગલા મોઢે છે !

મૌન બને જો વાહક તો સંવાદ અનેરો થઇ શકશે,
શબ્દ બધાં પાજી છે, એકના અર્થો ઢગલા મોઢે છે !

ચાલ સમયની ભેદી છે, ગુપચુપ ગુપચુપ હરપળ સરકે;
ક્ષણના પણ ફાંફાં પડશે, છો વર્ષો ઢગલા મોઢે છે !

માર પલાંઠી ને બેસી જા અંતરના ઊંડાણ મહીં,
ઈશ્વર પણ છે મૂંઝવણમાં કે ધર્મો ઢગલા મોઢે છે !

ક્યારેક વખત આવ્યે કોઈ ખભે માથું ઢાળું ‘સુધીર’,
એક મળે તો બહુ થયું, તાલી મિત્રો ઢગલા મોઢે છે !

– સુધીર પટેલ

લયસ્તરો માટે સુધીરભાઈએ ખાસ મોકલાવેલી ગઝલ. મૌન બને જો વાહક … શેર સરસ થયો છે અને છેલ્લો શેર તો સરસ છે જ.

Comments (10)

એક ઘેરો રંગ છે મારી ભીતર – વિવેક મનહર ટેલર

[audio:http://dhavalshah.com/audio/ghero.mp3]

(સ્વર અને સંગીત : શોનક પંડ્યા)

એક ઘેરો રંગ છે મારી ભીતર,
મૌન છે પણ તંગ છે મારી ભીતર.

હોઠ ખૂલવાનું નહીં શીખ્યાં કદી ,
જીભ પણ બેઢંગ છે મારી ભીતર.

લોહીમાં સૂરજ કદી ઉગ્યાં નહીં,
જો, નિશા અડબંગ છે મારી ભીતર.

ટુકડે-ટુકડા થઈ ગયો તો પણ જીવું,
આયનાઓ દંગ છે મારી ભીતર.

બેઉ પક્ષે હું જ કપાઉં, કેવું યુદ્ધ
મન-હૃદયની સંગ છે મારી ભીતર!

શું કરૂં તારી અઢાર અક્ષૌહિણી ?
તું નથી એજ જંગ છે મારી ભીતર.

હું નવી દુનિયામાં જન્મેલી ગઝલ,
કાફિયા સૌ તંગ છે મારી ભીતર.

શ્વાસ નશ્વર, થઈ ગયાં ઈશ્વર હવે,
શબ્દનો સત્સંગ છે મારી ભીતર.

– વિવેક મનહર ટેલર

આજે વિવેકની એક સ્વરબદ્ધ ગઝલ માણો. ગઝલ તો લયસ્તરોના વાંચકો પહેલા માણી જ ચૂક્યા છે. સ્વર અને સંગીત સુરતના કલાકાર શૌનક પંડ્યાના છે.

અડબંગ= જક્કી, હઠીલું, અક્ષૌહિણી= જેમાં ૨૧,૮૭૦ હાથી, ૨૧,૮૭૦ રથ, ૬૫,૬૧૦ ઘોડેસવાર અને ૧,૦૯,૩૫૦ પાયદળ હોય તેવી ચતુરંગી સેના (કૃષ્ણ ભગવાને યુદ્ધ પૂર્વે અર્જુન અને દુર્યોધન સામે ક્યાં તો નિઃશસ્ત્ર એવો હું અથવા મારી અઢાર અક્ષૌહિણી સેના એવો મદદનો વિકલ્પ આપ્યો હતો)

Comments (16)

વિજોગ – મનસુખલાલ ઝવેરી

(સોરઠા)

ઘન  આષાઢી ગાજિયો, સળકી  સોનલ  વીજ,
સૂરે       ડુંગરમાળ     હોંકારા     હોંશે      દિયે.

મચવે    ધૂન   મલ્હાર   કંઠ   ત્રિભંગે   મોરલા,
સળકે  અન્તરમાંહ્ય સાજણ ! લખલખ સોણલાં.

ખીલી    ફૂલબિછાત,    હરિયાળી    હેલે   ચડી,
વાદળની   વણજાર  પલપલ  પલટે   છાંયડી.

ઘમકે   ઘૂઘરમાળ   સમદરની  રણઝણ  થતી,
એમાં તારી  યાદ  અન્તર ભરી ભરી  ગાજતી.

નહિ જોવાં  દિનરાત : નહિ  આઘું,  ઓરું  કશું;
શું ભીતર કે બહાર, સાજણ ! તુંહિ તુંહિ એક તું.

નેન   રડે   ચોધાર  તોય   વિજોગે   કેમ   રે ?
આ  જો  હોય  વિજોગ, જોગ વળી કેવા હશે ?

– મનસુખલાલ ઝવેરી

પ્રણય, વિરહ અને વિરહની તીવ્રતાનો અદભુત રંગ અહીં ઊઘડે છે. કવિ જાણે ચિત્રકાર હોય એમ કલમથી અમૂર્ત સૌંદર્યને જાણે કે મૂર્ત કરે છે. આષાઢી મેઘ ગાજે એના પડઘા ડુંગરાઓ ઝીલે છે. મોર ત્રિભંગી કરી મલ્હાર રાગ જાણે કે આલાપે છે અને અંતરમાં પ્રિયજનના લાખો સપનાંઓ આકાર લે છે. ફૂલો એમ ખીલ્યા છે જાણે ચાદર ન બિછાવી હોય અને ઘાસ પણ કંઈ આ સ્પર્ધામાં પાછળ રહે એમ નથી. અષાઢી વાદળો ઘડીમાં કાળા, ઘડીમાં ધોળા, પળમાં સૂરજને ઢાંકે તો પળમાં ખોલે એમ તડકી-છાંયડી વેરે છે. સમુદ્રમાં જેમ મોજાંઓ રણઝણે એમ દિલમાં પ્રિયજનની અફાટ-અસીમ યાદ માઝા મૂકે છે. આવામાં દિવસ શું ને વળી રાત શું? આઘું શું ને વળી નજીક શું? અંદર શું ને વળી બહાર શું? અત્ર-તત્ર-સર્વત્ર તું જ- તુંનો પોકાર છે… છેલ્લી બે પંક્તિઓમાં તો વળી સૉનેટમાં જોવા મળે એવી ચોટ છે… વિયોગમાં અંતરની અને બહારની સૃષ્ટિ જો આ રંગ-રૂપ લેતી હોય તો પ્રિયજન જો આવી ચડે તો તો પછી વાત જ શું પૂછવી?

Comments (7)

એક કડવાની આખ્યાન-ગઝલ – જવાહર બક્ષી

(મુખબંધ)

ભગ્ન સમયની સોય ઉપર એને મળવાના પાયા બાંધ્યા
જાત ફનાની સાવ અણી પર પરપોટાના કિલ્લા બાંધ્યા

(ઢાળ)

મળવા પહેલાં એના હોવાના થોડા અણસારા બાંધ્યા
બાંધી કંઈ અટકળ, કંઈ અફવા બાંધી, કંઈ ભણકારા બાંધ્યા

ખાલી હાથનો જીવ, લઈ શું જાઉં, છતાં અડખેપડખેથી
મુઠ્ઠીભર કંઈ ઝાકળ બાંધી, મુઠ્ઠીભર કંઈ તડકા બાંધ્યા

એમ થયું એ ઉછીનાં ઉજાશભીનાશ નહીં સ્વીકારે
તડકો ઝાકળમાં, ઝાકળ આંખોમાં, આંખે ટશિયા બાંધ્યા

વચ્ચે વચ્ચે કેવા કેવા નાજુક નાજુક જોખમ ખેડ્યાં
ચહેરો યાદ નહીં તો પણ બે નજરો વચ્ચે રસ્તા બાંધ્યા

(વલણ/ઊથલો)

બે નજરોના રસ્તા જાણી જોઈ અમે પણ કાચા બાંધ્યા
આંખો મીંચી ખોલી, મીંચી ખોલી, પાછા પાછા બાંધ્યા

ડગલે પગલે જાણ્યાં-અજાણ્યાં સ્મરણોના મઘમઘ મેળા
મેળે મેળે અટ્ક્યા-ભૂલ્યા-ભટ્ક્યા-ના કંઈ જલસા બાંધ્યા

એની ગલીમાં ઉછીનું અંધારું પણ છોડી દેવાયું
છૂટ્યા સૌ પડઘા પડછાયા જે જન્મોજન્મારા બાંધ્યા

(ઉપસંહાર)

તેજતિમિરની હદઅનહદની સાવ વચોવચ અમને ઝાલ્યા
છૂટ દીધી હોવાની અમને એના જેવા છુટ્ટા બાંધ્યા

(ફલશ્રુતિ)

એનાં આગતસ્વાગત જેણે સપનામાં પણ ક્ષણભર માણ્યાં
એણે પરપોટે પરપોટે સાચે સાચા દરિયા બાંધ્યા

– જવાહર બક્ષી

પ્રેમાનંદના આખ્યાન એ મધ્યકાલીન ગુજરાતી કવિતાનો આગવો અવાજ છે. આજની પરિભાષામાં કહીએ તો આખ્યાન એટલે એ જમાનામાં લખાતી પદ્ય નવલકથા. નવલકથામાં પ્રકરણ હોય તેમ આખ્યાનમાં કડવું યાને કે ઢાળ. આ આખ્યાન-ગઝલમાં જોકે સાંપ્રત જમાનાની લાઘવની અપેક્ષાની એરણ પર ખરા ઉતરવા કવિ એક જ કડવાની આખ્યાન-ગઝલ લઈ આવ્યા છે. નવલકથાની પ્રસ્તાવના એટલે આખ્યાનનું મુખબંધ. અહીં નવલકથામાં શું વાત આવવાની છે એના અણસારનો પિંડ બંધાય છે. વલણ અથવા ઊથલો સામાન્યરીતે બે પંક્તિનું હોય જેમાં પહેલી પંક્તિમાં વહી ગયેલી વાર્તાનો ટૂંકસાર અને બીજી પંક્તિમાં આવનારી વાર્તાનો સંકેત હોય છે. અહીં જો કે એક જ કડવાની ગઝલ હોવાથી કવિ ઊથલો ત્રણ શેર સુધી લંબાવવાનું વલણ રાખે છે. ઉપસંહાર એટલે આખી નવલકથાનો સાર અને આખ્યાનના અંતે આવે છે ફળશ્રુતિ. એ જમાનામાં પુસ્તકો લખાતા નહોતા અને કવિતાઓ લોકમુખે જ જીવતી રહેતી. એટલે કવિતાનું વારંવારનું પુનરાવર્તન જ એને જીવતી રાખી શક્શે એ વાતથી અભિપ્રેત કવિ કવિતાના અંતે ફળશ્રુતિ રાખતા જેમાં આ આખ્યાનનો પાઠ કરવાથી વાચકને કેટલો ફાયદો થશે અને એને કેટલું પુણ્ય મળશે એનો અણસારો દઈ ‘પોઝીટીવ ઈન્સેન્ટીવ’ આપવામાં આવતું.

ઈશ્વરને મળવાની વાત છે. આયખાની ક્ષણભંગુરતા ‘ભગ્ન સમય’, સોયની અણી’ અને ‘પરપોટા’ વડે સૂચક રીતે બતાવી કવિ શરૂઆત કરે છે. પરપોટાનું આયુષ્ય આમેય કેટલું? અને એ પણ વળી સોયની અણી પર હોય તો ?

ઈશ્વર છે કે નહીંની શાશ્વત ચર્ચાઓ ગૂંથે ભરીને કવિ નીકળ્યા છે. સુદામાનો સંદર્ભ ઝળકે છે. હાથ ખાલી હતા એટલે આડોશપાડોશમાંથી મુઠ્ઠીભર તાંદુલ લઈ કૃષ્ણને મળવા નીકળેલ સુદામાની જેમ કવિ જીવનની તડકી-છાંયડી માંગીતુંસીને સાથે લે છે. મળવાનો રસ્તો પણ જાણી જોઈને કાચો બાંધે છે. કાચો હોય તો તૂટે અને તૂટે તો ફરીફરીને બાંધવાની તક મળે. અને અંતે ઈશ્વર ભક્તને ક્યાં ઝાલે છે એ જુઓ ! તેજ અને તિમિરની વચ્ચે, હદ અને અનહદની વચ્ચે અને જેણે ભક્તને ‘હોવાપણાં’ની છૂટ બક્ષી છે એ ભક્તને સ્ત્રી જેમ વાળ છુટ્ટા બાંધે છે એમ છુટ્ટા બાંધે છે !

અંતે કવિ સોનેટ જેવી ચોટ કરે છે. ઈશ્વરનું સાંનિધ્ય જેણે સાચુકલું નહીં પણ સ્વપ્નમાંય અને વધુ નહીં ક્ષણભર પણ માણ્યું છે એણે પરપોટા જેવા જીવતરમાં પણ સાચો અનંત સાગર પ્રાપ્ત કરી લીધો છે. કવિ અહીં ગઝલારંભની ક્ષણભંગુરતા અને પરપોટાની વાત સાથે પુનઃસંધાન સાધીને કાવ્યતત્ત્વ સિદ્ધ કરે છે…

Comments (17)

ગઝલ – કવિ રાવલ

વિચારો કરેલાં રજૂ રોષપૂર્વક
નથી બસ કશું પણ નથી દોષપૂર્વક

ગયેલું હતું મોજુ આક્રોશપૂર્વક
કિનારો કહે એ જ અફસોસપૂર્વક

ઉભા શુષ્ક ગ્રીવા લઈ શોષપૂર્વક
કરો સ્નિગ્ધ એને પરિતોષપૂર્વક

કહો શબ્દ આજે પ્રતિઘોષપૂર્વક
ગઝલ પણ લખો તો લખો હોંશપૂર્વક

હૃદયમાં ઉમળકા હતા જોશપૂર્વક
થઈ આંખ ભીની જરા ઓસપૂર્વક

-કવિ રાવલ

કવિની એક સુંદર મત્લા ગઝલ.વળી આ ગઝલ હમરદીફ-હમકાફિયા ગઝલ પણ છે.’ લગાગા’ના આવર્તન ગઝલની મૌસિકી વધારે છે અને એકધારા આવ્યા કરતા મત્લા એમાં ચાર ચાંદ લગાવે છે. એક જ શબ્દના અડધિયા ‘પૂર્વક’ને રદીફની જેમ વાપરીને કવિ જે રીતે નવા શબ્દો ‘કોઈન’ કરે છે એ જોવા જેવું છે ! 

Comments (14)

જાગ ને જાદવા – મનહર મોદી

તેજને તાગવા, જાગ ને જાદવા
આભને માપવા, જાગ ને જાદવા

એક પર એક બસ આવતા ને જતા
માર્ગ છે ચાલવા, જાગ ને જાદવા

આંખ તે આંખ ના, દૃશ્ય તે દૃશ્ય ના
ભેદ એ પામવા, જાગ ને જાદવા

શૂન્ય છે, શબ્દ છે, બ્રહ્મ છે, સત્ય છે
ફૂલવા ફાલવા, જાગ ને જાદવા

ઊંઘ આવે નહીં એમ ઊંઘી જવું
એટલું જાગવા, જાગ ને જાદવા

આપણે, આપણું હોય એથી વધુ
અન્યને આપવા, જાગ ને જાદવા

હું નથી, હું નથી, એમ જાણ્યા પછી
આવવા ને જવા, જાગ ને જાદવા

– મનહર મોદી

નરસિંહ મહેતાના ‘જાગ ને જાદવા’ પદના ઝુલણા છંદને હૂ-બ-હૂ મળતા આવતા ‘ગાલગા’ના સંગીતમય આવર્તનોથી આ ગઝલની લયાત્મક્તા વધે છે. નરસૈયો જગતના તાતને જગાડવા આર્દ્ર સ્વરે વિનંતી કરે છે, મનહર મોદી પોતાની જાતને જગાડવા તારસ્વરે ગાય છે. ગઝલ જેમ આગળ વધે છે એમ અર્થનું ઊંડાણ વધતું જાય છે. છેલ્લા ત્રણ શેરમાં તો પોત ખાસ્સું ગાઢું બને છે. ઊંઘ આવી ન જાય એમ ઊંઘવું અને એટલું જાગવા માટે જાગવાની ટકોર- બંને મિસરામાં એક જ શબ્દની દ્વિરુક્તિથી કવિ જે ભાવ વ્યંજિત કરે છે તે ભાવકને શેરના પ્રત્યેક પુનરાવર્તન પર નવી ચેતના બક્ષે છે. અહીં ‘ઊંઘ’ અને ‘જાગવું’ બંને ધ્યાન માંગી લે છે.

Comments (9)

લાઈન લગાવો ! – મુકુલ ચો કસી, મેહુલ સુરતી

આજકાલ ભારતમાં ચૂંટણીની હવા ફૂંકાઈ રહી છે.  આપણે સૌ ભારતીયો ગંદા રાજકારણને સુધારવાની કાયમ વાત કરતા હોઈએ છીએ. એ જ રાજકારણ અને નેતાઓને બદલવાનો મોકો દરેક નાગરીક પાસે છે જ, મતદાન ! પરંતુ જ્યારે ચૂંટણીમાં મત આપવાની વાત આવે ત્યારે સાવ નિરાશાવાદી વલણ અપનાવીએ છીએ… કે આપણા એક મતથી શું થવાનું હતું?  પરંતુ જેમ કાંકરે કાંકરે પાળ બંધાઈ અને ટીપે ટીપે સરોવર ભરાય, એવી જ રીતે એક એક નહીં અપાયેલાં મતોની સંખ્યા કેટલી હશે એ કદી વિચાર્યું છે?  બની શકે કે એ નહીં અપાયેલા મતો જ રાજકારણનો આખો ઈતિહાસ બદલવા માટે સમર્થ હોઈ…!  પરંતુ જ્યાં સુધી મત આપશો નહીં ત્યાં સુધી તમને કેમ ખબર પડશે…?!  તો દરેક નાગરીકને મત આપવા માટે ઉત્સાહિત કરવા માટે મુકુલ-મેહુલની જોડીએ સૌને મતદાન કરવાની પ્રેરણા આપવા માટે એક અભિયાન હાથ ધર્યુ છે… લાઈન લગાવો…  તો ચાલો મિત્રો, અત્યારે આ ગીતને સાંભળવા માટે તો તમારે લાઈન લગાવવાની બિલકુલ જરૂર નથી… પરંતુ હા, એપ્રિલની 30મી મતદાન કરવા માટે તો તમે જરૂર લાઈન લગાવશો ને?!

લાઈન લગાવો… લાઈન લગાવો

હિન્દુસ્તાનના ભાવિને ઉંચે લઈ જઈએ આવો
ચુંટવાની  તાકાતથી  રંગી નાખો સૌ ચુનાવો
લાઈન લગાવો…

લાંબી લાંબી લાંબી લાંબી લાંબી લાઈન લગાવો
બૂથોને  છલકાવી  દઈ  મતદાનની ધુમ મચાવો
લાઈન લગાવો…

એક  બટન  દાબીને  આખે  આખો  દેશ  બચાવો
લોકશાહીના માથા પર મતનું એક તિલક લગાવો

પરિકલ્પના : મુકુલ ચોકસી
સંગીત : મેહુલ સુરતી
દિગ્દર્શક : યુનુસ પરમાર
કેમેરા : નીલેશ પટેલ
એડિટર : અમિત ભગત
ગાયકો: મેહુલ, ભાવિન, આશિષ, રૂપાંગ, નૂતન, ધ્વનિ
સોંગબર્ડ ફિલ્મ ડિવિઝન
સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ
અને
સિનિયર સિટિઝન કાઉન્સિલ ટ્રસ્ટની પ્રસ્તુતિ

Comments (12)

મુક્તિ – સુનિલ ગંગોપાધ્યાય

એક માણસ મુક્તિફળ લેવા ગયો હતો
એણે કહેલું, હું પાછો આવીશ
                                રાહ જોજે.

ખબર નથી એ ક્યાં ગયો છે
ક્યા એકાકી હિમ અરણ્યમાં 
                                કે કોઈક નીલિમા-ભૂખ્યા પહાડને શિખરે
ખબર નથી એની સામે કેવી આકરી મુશ્કેલીઓ ખડી છે
ખબર નથી એ કેવા અસહનીય સાથે
                   સંગ્રામ ખેલે છે.
એણે મુક્તિફળ લાવવાનું કહેલું
                    એણે રાહ જોવાનું કહેલું

હું બાર વર્ષ એની રાહ જોઈશ
એ પછી પણ જો એ પાછો નહિ આવે તો
                    મારે જવું પડશે.

હું પણ પાછો નહિ આવું તો જશે મારાં સંતાનો.

– સુનિલ ગંગોપાધ્યાય
(અનુ. નલિની માડગાંવકર)

કવિ એવા મુક્તિફળની વાત કરે છે જે લઈને કોઈ પાછું આવતું (ને કદાચ આવવાનું પણ) નથી. વચનની કિંમત છે અને ધ્યેયની ઈજ્જત છે. આ ધ્યેયને છોડી દેવાનું તો વિચારી શકાય એમ પણ નથી. એક પછી એક પેઢી હોમાતી જાય તો પણ આ શોધ ચાલુ જ રહેવાની છે.

આ આખી વાત વાંચીને હસવું આવે – ભલા આવા મુક્તિફળ પાછળ સમય બગાડવાની શું જરૂર છે ? જેના હોવા કે ન હોવા વિષે પણ ખબર નથી એની પાછળ જીંદગી બગાડવાની શી જરૂર છે ? જે લઈને કોઈ કદી પાછું આવ્યું નથી એની પાછળ એક પછી એક પેઢીઓએ ઢસડાવાની શું જરૂર ? …..

પણ હકીકત તો એ છે કે આખી દુનિયા સદીઓથી આ જ કામ કરી રહી છે ! કોઈએ ખરી મુક્તિ જોઈ નથી પણ એને પામવાની ઈચ્છા જગતની શરૂઆતથી આજ લગી ચાલ્યા જ કરી છે. આ ઘાણીમાંના બળદ જેવી વૃત્તિ છે કે પછી એક ચિંતન-વંતી, સ્વપ્ન-ગર્વિત, બાહોશ પ્રજાનું લક્ષણ છે ?

એ તો તમે જાણો !

Comments (7)

એક રુબાઈની લાંબી સફર : ઉમર ખૈયામ, શૂન્ય અને ફિટ્ઝેરાલ્ડ

તુંગી મય-ઈ-લાલ ખ્વાહમ ઓ દિવાની
સાદ-ઈ રમકી બાયદ ઓ નિસ્ફ-ઈ-નાની,
વાંગહ મન ઓ તુ નિશાસ્તા દર વિરાની,
ખૂવશ્ત બુવદ અઝ મામલાકત-ઈ-સુલ્તાની.

– ઉમર ખૈયામ

( એક લાલ મદિરાની સુરાહી અને કવિતાનું એક પુસ્તક હું ઈચ્છું છું. શરીર અને આત્માને સાથે રાખવા માટે રોટીનો એક ટુકડો પર્યાપ્ત છે. પછી હું અને તું બેઠા હોઈએ આ વિરાનમાં. આ સ્થિતિ કોઈ સુલતાનની સલ્તનત કરતા પણ વધારે આનંદદાયક હશે. અનુવાદ: બકુલ બક્ષી)

એક રોટી ઘઉંની, એક શીશામાં અંગૂરી અસલ,
શાંત નિર્જનમાં પ્રિયા ગાતી હો વીણા પર ગઝલ;
ભલભલા સમ્રાટને જે સ્વપ્નમાં પણ ના મળે,
ભોગવું છું વાસ્તવમાં ઐશ હું એવો વિરલ.

– શૂન્ય પાલનપુરી

Here with a loaf of bread beneath the bough
A flask of wine, a book of verse, and Thou,
Beside    me   singing   in   the  wilderness –
And      wilderness     is     Paradise   now !

– Edward FitzGerald

ઉમર ખૈયામની અતિ પ્રસિદ્ધ રુબાઈના આ ત્રણ સંસ્કરણ છે. કહે છે તમારી દરેક કવિતામાં માના દૂધનો સ્વાદ હોય છે. એટલે કે તમે જે વાતાવરણમાં ઉછરેલા હો એ વાતાવરણની અસર હંમેશ કવિતામાં દેખાવાની જ. ખૈયામની સલ્તનત ફિટ્ઝેરાલ્ડની કવિતામાં paradise બની જાય છે. જ્યારે ‘શૂન્ય’ની પ્રિયા તો ગઝલને વીણા પર વગાડે છે ! એક કવિતા કઈ રીતે સમય અને સંસ્કૃતિના પરિબળોથી બદલાય છે – અને છતાં ય એનો મૂળ વિચાર એટલો જ મોહક રહે છે – એનું આ સરસ ઉદાહરણ છે.

Comments (8)

ક્યમ કરી – પ્રદ્યુમ્ન તન્ના

ઉઘાડાં હાં રે અમે ક્યમ કરી હાલીએ ?!
આવ્યો સીમ-કેડો, તોય ના’વ્યો હાથ છેડો,
બઇ ! કે’ને અમે ઘૂંઘટડો ક્યમ કરી ઢાળીએ ? ઉઘાડાં0

હલમલતી હેલ્ય માથે, વળી કડ્યે બેડલાં,
ને છેડલાંની સંગ ભૂંડો વાયુ કરે ચેડલાં !
ઝાલું ઝાલું ને ઊડી જાય
બઇ ! કે’ને વેરી વાયરાને ક્યમ કરી ટાળીએ ? ઉઘાડાં0

પથરાળી ભોંય માંહી ઝીણી ઝીણી કાંકરી,
પાવલે ચૂમે ને જાય બેડલિયાં ઢળી ઢળી !
ખાળું ખાળું ને ઓછાં થાય
બઇ ! કે’ને નીર નેતરતાં ક્યમ કરી ખાળીએ ? ઉઘાડાં0

દૂરદૂર ઝાકળિયા વંનમાં વજાડે ઘેલો,
વ્હાલપની વેણુ મારા મંનનો તે માનેલો !
વાળું વાળું ને દોડી જાય
બઇ ! કે’ને ભોળા દલ્લડાને ક્યમ કરી વાળીએ ? ઉઘાડાં0

-પ્રદ્યુમ્ન તન્ના

કોઈપણ ભાષામાં સાહિત્યકારની સહુથી મોટી જવાબદારી ભાષાને જીવતી રાખવાનું છે. કવિતા જે તે સમાજના સાંપ્રત સમયની આરસી છે. પ્રદ્યુમ્ન તન્નાની નખશીખ તળપદી ભાષામાં લખાયેલી કવિતાઓ વાંચીએ ત્યારે કલ્પના પણ ન આવે કે વરસોથી આ કવિ માભોમના વાડા ઓળંગી ઇટલી જઈ વસ્યા હશે. માથે છલકાતી હેલ અને કેડે પાણીના બેડાં હોય, કૂવેથી પાણી ભરીને ગામ ભણી આવતાં સીમઢૂંકડી આવી ઊભે અને વેરી વાયરો છેડો ઊડાડતો હોય એવામાં કાવ્યનાયિકા કેવો મીઠો ક્ષોભ અનુભવે છે ! અધૂરામાં પૂરું પગમાં કાંકરીઓ ભોંકાય છે અને લાખ સાચવવા છતાં પાણી ઢોળાતું જ રહે છે. ગીતનો પલટો નાયિકાના મનના માણીગરની દૂર વનમાં વાગતી વેણુ પાછળ દોડી જતા મન અને એને ન વારી શકવાની વિડંબના સાથે આવે છે… આખું ગીત મનની ઈચ્છા કંઈ અને થતી હકીકત કંઈની કશ્મકશના રંગોથી રંગાયું છે…    

Comments (7)

ચહેરાનું કમળ – કિસન સોસા

ધૂમ્ર વિખરાયો ન તો ધૂણી ઠરી વરસો સુધી,
નામ એ જલતું રહ્યું બે અક્ષરી વરસો સુધી.

ત્યાં પછી ક્યારેય ના ખીલ્યું એ ચહેરાનું કમળ,
એક ખાલી બારી મેં જોયા કરી વરસો સુધી.

ગોખલે, નળિયે ફફડતા ચોંકતા પંખી સમી,
ઉમ્ર એ માહૌલમાં ઊડતી ફરી વરસો સુધી.

સૂર્ય- સડકે રેબઝેબ રઝળ્યા કર્યો તારો કવિ,
ને તને ના જાણ એની થઈ જરી વરસો સુધી.

ક્યાં અજંપો ઓલવાયો સ્હેજ ક્યાં પલળી તરસ ?
કેટલી પ્યાલી ભરી, ખાલી કરી વરસો સુધી.

ફૂલ-પગલે તું ફરી આવી રહી આ શહેરમાં,
એવી અફવાઓ ઊગી, ખીલી, ખરી વરસો સુધી.

મેઘલી સાંજે હવે આજે અચાનક થઈ સજળ,
પથ્થરી આંખે ન ફૂટ્યું જળ જરી વરસો સુધી.

-કિસન સોસા

નિતાંત પ્રતીક્ષાની ઋજુ મુસલસલ ગઝલ. પ્રિયપાત્રનું નામ એ કદી ન બુઝાય એવી ધૂણી છે. સૂર્યનું પ્રતીક કિસનભાઈનું ચહીતું છે. એમના મોટાભાગના કાવ્યસંગ્રહના નામમાં પણ સૂર્યના દર્શન થાય છે. ધુમાડા અને આગથી શરૂ થઈ બારી, ગોખલા, સડક, બગીચામાં રઝળતી ઈંતેજારી અંતે આંખમાં આંસુ બનીને ઠરે છે ત્યારે એક ડૂમો આપણી ભીતર પણ ભરાતો હોય એવું નથી અનુભવાતું ?

Comments (15)

જો – ગીતા પરીખ

હઠે તિમિરના થરો લઘુક જ્યોતિરશ્મિ થકી,
ધીમી અનિલ-લ્હેરખી પણ ભરે
અહો જડ સૂકેલ પર્ણ-ઢગમાં કશી ચેતના !
અને કથવું શું ?
જરીક ચમચી જ છાશ થકી દૂધ થાતું દધિ;
કરી શકું ન શું
પ્રયાસ મહીં માહરા તવ મળે અમીદૃષ્ટિ જો ?

-ગીતા પરીખ

પ્રિયજનની એક જ અમીદૃષ્ટિ જીવનમાં કેટલું વિધાયક પરિણામ લાવી શકે છે એની વાત કવિ ત્રણ નાનકડાં ઉદાહરણથી કેવી સુપેરે સમજાવે છે ! નાના અમથા પ્રકાશના કિરણ વડે અંધારાના થર હટી જાય છે, ધીમી સરખી પવનની લહેરખી સૂકાં પાનનાં ઢગલામાં ચેતના આણે છે અને ચમચીક છાશના મેળવણથી દૂધ દહીં બની જાય છે…

પૃથ્વી છંદમાં લખાયેલું આ લઘુકાવ્ય કેવું ચોટુકડું બન્યું છે !

Comments (7)

ગઝલ – ભગવતીકુમાર શર્મા

હૃદયમાં વધી રહી છે ઘેરી ઉદાસી પળેપળ ગઝલ જાણે મહેંદી હસનની,
અને સાંજટાણાનું ધુમ્મસ છે ઝાંખું કે વિહ્વળ ગઝલ જાણે મહેંદી હસનની.

આ ઘોંઘાટ, કલરવ વિનાનું ગગન, મ્લાન ટોળાં અને પાળિયાઓની વસ્તી,
મને એકલો છોડી નીકળી ગઈ ખૂબ આગળ ગઝલ જાણે મહેંદી હસનની.

અભિનય કર્યો જિંદગીએ ઘણો પણ અહીં પ્રેક્ષાગારો તો શબઘર સમાં છે,
કે ચીતરેલા શ્રોતાઓ સામે ગઈ હોય નિષ્ફળ ગઝલ જાણે મહેંદી હસનની.

મળી વારસામાં ફક્ત વેદનાઓ છતાં જાળવી એને વાજિંત્ર પેઠે,
મૂકી આવી બેચેન સુરીલી પેઢીઓ પાછળ ગઝલ જાણે મહેંદી હસનની.

– ભગવતીકુમાર શર્મા

મહેંદી હસનની કથળેલી તન-દુરસ્તી અને ધન-દુરસ્તીમાં સહાય અને સુધારાના હેતુથી સહાયતા નિધિની ટહેલ નાંખી હતી પણ કોઈક કારણોસર બે મહિનાની ઊંઘમંથી સફાળી જાગેલી પાકિસ્તાનની સરકારે હાલ પૂરતું બંને બાબતની કાઅળજી લઈ લીધી હોવાના કારણે મદદ મોકલવાનું રદ કર્યું અને એમના નિરામય સ્વાસ્થ્ય અને દીર્ધાયુની દુઆ માટે“ सूर की कोई सीमा नहीं ” કાર્યક્રમ છઠ્ઠી એપ્રિલે ગાંધી સ્મૃતિ ભવન, સુરત ખાતે યોજ્યો જે ખૂબ સફળ રહ્યો એમ કહી શકાય કેમકે હકડેઠઠ ભરાયેલું પ્રેક્ષાગાર મધ્યાંતર પછી પણ યથાવત્ રહ્યું અને કાર્યક્રમ પૂરો જાહેર થયા પછી પણ ઊઠવા તૈયાર નહોતું. આ કાર્યક્રમના અનુસંધાનમાં સુરતના પત્રકાર મિત્ર, ફૈઝલ બકીલીએ એક ગઝલ મોકલાવી છે જે એમની પોતાની જ ટૂંકનોંધ સાભાર સાથેઅહીં મૂકીએ છીએ.

આ ગઝલમાં ઉપરછલ્લી રીતે ગઝલ જાણે મહેંદી હસનની -માત્ર રદીફ તરીકે ઉપયોગ કર્યો હોય એમ લાગે પણ મહેંદી હસનની ગાયકીનો તરેહવાર મિજાજ શેરેશેરે વ્યંજિત થતો આવ્યો છે. ગઝલ જાણે મહેંદી હસનની માત્ર રદીફ ન રહેતાં ગઝલનું રૂપક- પ્રતીક બની ગયેલું અનુભવી શકાય છે, એ આ ગઝલની ખરેખરી ખૂબી છે

Comments (7)

આખરે માણસ હતો – ધ્વનિલ પારેખ

છેવટે હાંફી ગયો એ આખરે માણસ હતો;
ને રમત છોડી ગયો એ આખરે માણસ હતો.

એક રસ્તે જિંદગી આખી ગુજારી તે છતાં,
લક્ષ્યને ચૂકી ગયો એ આખરે માણસ હતો.

ફૂલ, પૂજા, પ્રાર્થના ને ચોતરફ બસ ઘંટનાદ,
ભેદ સૌ પામી ગયો એ આખરે માણસ હતો.

ક્યાં લગી અકબંધ રે’શે આ પ્રવાહી જિંદગી?
બંધ સૌ તોડી ગયો એ આખરે માણસ હતો.

એ ફરીથી એકડાને ઘૂંટવા બેઠો હતો,
બસ, બધું ભૂલી ગયો એ? આખરે માણસ હતો.

– ધ્વનિલ પારેખ

માણસ હોવું – એ અજાયબ ઘટનાને તપાસતી ગઝલ.

Comments (9)

હમણાં હમણાં – હરિકૃષ્ણ પાઠક

હમણાં હમણાં
એમ થાય કે
આભ મહીં આ હરતી ફરતી
વાદળીઓને વાળીઝૂડી
લાવ જરા આળોટું.

હમણાં હમણાં
એમ થાય કે
સાત સાત સાગરની વચ્ચે
નાનું અમથું નાવ લઈને
તરંગ પર લ્હેરાતો જાતો
લાવ નિરાંતે પોઢું.

હમણાં હમણાં
એમ થાય કે
ઘરજંજાળી આટાપાટા
અળગા મેલી
કોઈ અગોચર વનમાં જઈને
લાવ જરા
એકાંત ગુફાના ઓઢું.

હમણાં હમણાં…

– હરિકૃષ્ણ પાઠક

પ્રકૃતિના ખોળામાં ખોવાઈ જવાની ઈચ્છાને કવિ નમણા કલ્પનોથી સજાવે છે તો ત્યારે એ ઓર આકર્ષક લાગે છે. હમણાં હમાણાં… નું પુનરાવર્તન સરસ અસર ઉપસાવે છે.

Comments (11)

મુક્તક – શૂન્ય પાલનપુરી

શ્વાસના પોકળ તકાદા છે તને માલમ નથી,
નાઉમેદીના બળાપા છે તને માલમ નથી;
જિંદગી પર જોર ના ચાલ્યું ફકત એ કારણે,
મોતના આ ધમપછાડા છે તને માલમ નથી.

– શૂન્ય પાલનપુરી

મૃત્યુના તસવ્વુરને શૂન્યે ખૂબ બહેલાવ્યો છે. દરેક શ્વાસ આપણને મૃત્યુની વધુ ને વધુ નજીક લઈ જાય છે એ ઘટનાને જિંદગી સામે વામણા બનતા મૃત્યુના ધમપછાડા સાથે સરખાવવાની કવિની ખુમારી કેવી મજાની છે ! 

Comments (7)

ગઝલ – હર્ષવી પટેલ

Harshavi Patel_shabd ni farte akal ghero ghalayo chhe bhala

(હર્ષવી પટેલની એક અક્ષુણ્ણ રચના ખાસ લયસ્તરો માટે એમના જ હસ્તાક્ષરમાં)

*

શબ્દની ફરતે અકળ ઘેરો ઘલાયો છે, ભલા,
કોઈપણ કારણ વિના ડૂમો ભરાયો છે, ભલા.

આંખ મીંચીને સતત દોડ્યા કરે છે આ સમય
એય નક્કી કોઈનાથી દોરવાયો છે, ભલા.

આમ શ્વાસોચ્છ્વાસમાં છલકાય નહિ તો થાય શું ?
એક અત્તરનો કળશ ભીતર દટાયો છે ભલા.

આપણી મહેફિલ વધુ લાંબી નહીં ચાલી શકે ?
એટલે તેં ભૈરવી સંબંધ ગાયો છે, ભલા ?

‘હર્ષવી’ હથિયાર હેઠાં મૂકતાં પ્હેલાં પૂછો –
નર મરાયો કે પછી કુંજર મરાયો છે, ભલા ?

– હર્ષવી પટેલ

કવિતા જ્યારે ગળે આવે પણ હાથે ન આવે ત્યારે જે અકળ ડૂમો ભરાય એની વેદનાના કારણ ક્યાં તપાસવા ? ભલા જેવી કપરી રદીફ રાખીને હર્ષવી એક સુંદરતમ ગઝલ લઈ આવે છે. બધા જ શેર સુંદર છે પણ મને છેલ્લા બે શેર ખૂબ ગમી ગયા.

ભૈરવી આમ તો સવારનો રાગ છે પણ કાર્યક્રમમાં એ હંમેશા અંતમાં ગાવામાં આવે છે.  ‘આપણી’ મહેફિલનો ઉલ્લેખ કરી કવિ હળવાશથી પ્રશ્ન પૂછે છે કે આ સંબંધનો હવે અંત નિકટ છે એટલે શું તેં ભૈરવી રાગ ગાયો છે ? અને સંબંધને ભૈરવી વિશેષણ આપીને અને સમ્-વાદના અંતે ભલા પ્રશ્ન મૂકી કવિ ગજબનો કાકુ સિદ્ધ કરે છે.

મહાભારતના नरो वा कुंजरो वा ના સંદર્ભે હર્ષવી પ્રશ્ન તો પોતાની જાતને પૂછતી હોય એમ લાગે છે પણ જવાબ આપણે સહુએ આપવાનો છે. જિંદગીની રમત કે લડતમાં હાર માનતા પહેલાં હારનાં મૂળ એકવાર જરૂર નાણી જોવા જોઈએ…

Comments (26)

ચાલી જવું – બંકિમ રાવલ

ઊંટ મતલબ રણ વિશે અટ્ક્યા વિના ચાલી જવું,
ચાલવું શું છે : કદી પૂછ્યા વિના ચાલી જવું.

કઈ રીતે ચાલી શકે જળને જરા સમજાવશો :
એક દરિયાઈ તરસ સમજ્યા વિના ચાલી જવું !

વાદળી છે એ, કહો રોકી શકે કોઈ ભલા!
પ્રેમની પહેલી શરત પાળ્યા વિના ચાલી જવું.

કો’કનું ચાલી જવું આ દ્વારથી હટતું નથી,
કો’કનું આવ્યા છતાં આવ્યા વિના ચાલી જવું !

એક સન્નાટો ભરેલી સીમને શું કહો તમે ?
કલરવોનું મોજડી પહેર્યા વિના ચાલી જવું.

મેં ન’તું ધાર્યું ઘટામાં મોર થઈને ગાજશે,
હાથ નાંખી હાથમાં બોલ્યા વિના ચાલી જવું.

-બંકિમ રાવલ

ગાડરિયા પ્રવાહમાં વહ્યા કરવાની આપણી ઘેંટાવૃત્તિને કવિએ રણ શું છે, રણમાં ચાલવાનું કારણ શું છેની પળોજણમાં પડ્યા વિના ઊંટના નિશ્પ્રશ્ન ચાલ્યા કરવાની ક્રિયા સાથે સરખાવી છે.. આપણે સહુ ગતિશીલ છીએ પણ આપણી ગતિ કઈ દિશામાં અને કયા હેતુથી છે એ બહુધા ઘાણીના બળદ પેઠે આપણે જાણતા નથી હોતા. બીજા શેરમાં કવિ અને ભાવક વચ્ચે એક સૂક્ષ્મ સંવાદનો સેતુ ઊભો થાય છે અને જળના પ્રતીક વડે કવિ કદાચ પોતાની જાતને સમજાવવાનું કામ ભાવકને સોંપે છે. જળનો જ અવતાર હોવો અને તરસને ન સમજવું એ આપણા જીવનની સહુથી મોટી વિષમતા નથી ? આ ચાલી શકે? અને પ્રેમની પહેલી શરત છે વરસી જવું. ભીતરનો ગોરંભો ખાલી ન કરે અને ચાલી નીકળે એવા પ્રેમસંબંધ કઈ રીતે ‘ચાલી‘ શકે ? પ્રેમીજનને દિલની વાત ન કહેવી હોય તો પ્રેમમાં કોઈ ફરજ પાડવામાં આવતી નથી પણ આ મરજિયાત પ્રશ્નનો જવાબ ન આપો તો જિંદગી પણ કોરી જ રહી જવાની… ખરું ને ? 

Comments (13)

ગઝલ – નીતિન વડગામા

હટી જાશે બધા પથ્થર સ્મરણ જો એમનું થાશે,
થશે એકેક ક્ષણ અવસર સ્મરણ જો એમનું થાશે.

નરી આંખે નહીં દેખાય એકે કોડિયું ક્યાંયે,
બધા દીવા થશે અંદર સ્મરણ જો એમનું થાશે.

અહીં આ મોહમાયાના અગોચર એક પરદાથી,
સહજ રીતે થવાશે પર સ્મરણ જો એમનું થાશે.

નફા કે ખોટની ખોટી બધી ચિંતા તમે છોડો,
હિસાબો થઈ જશે સરભર સ્મરણ જો એમનું થાશે.

બધો ઉકળાટ આપોઆપ ઓગળશે ઘડીભરમાં,
જરા ઝીણી થશે ઝરમર સ્મરણ જો એમનું થાશે.

નહીં કૈં નીપજે નાહક બધાયે આ ઉધામાથી,
થશું સુંદર અને સદ્ધર સ્મરણ જો એમનું થાશે.

અચાનક કોઈ આવી પ્રાણવાયુ પૂરશે એમાં,
પછી પંગુ થશે પગભર સ્મરણ જો એમનું થાશે.

– નીતિન વડગામા

એમના સ્મરણને તાદૃશ કરતી આ ગઝલના સાત શેર જાણે કે ઈન્દ્રધનુષના સાત રંગ છે. આ વાત પ્રેયસીની પણ હોઈ શકે, પ્રભુની પણ. ભાવકને પોતાની રીતે આખી ગઝલ અનુભવવાની છૂટ છે. સ્મરણની શક્તિનો કાકુવિશેષ કવિએ સરસ રીતે સિદ્ધ કર્યો છે…

એમના સ્મરણમાત્રથી પથ્થર સમી સૌ અડચણ દૂર થઈ જશે અને ક્ષણમાત્ર અવસર બની રહેશે. આંખો ખોલીને જુઓ તો ક્યાંય કોડિયું નજરે નહીં ચડે કેમકે સ્મરણનો ઉજાસ ભીતર અજવાળું પાથરે છે. એક સાચું સ્મરણ સાવ સહજતાથી મોહમાયાના પડળોથી પરે લઈ જઈ શકે છે અને પછી કોઈ હિસાબો સરભર કરવાની ચિંતા રહેતી નથી. સ્મરણની આછી ઝરમર જીવનભરના ઉકળાટને શાતા બક્ષે છે તો આપણી સુંદરતા અને સદ્ધરતા પણ સ્મરણની ભરપૂરતા પર જ અવલંબે છે. પંગુ થઈ બેઠેલા જીવતરમાં યાદનો પ્રાણવાયુ પુરાયો નથી કે એ પગભર થયું નથી…

Comments (16)

ગાંધી સમાધિ પર – શેખાદમ આબુવાલા

ગાંધી સમાધિ પર તમારી ફૂલ તો મૂકે વતન
માથું નમાવીને તમારી સામે તો ઝૂકે વતન
અફસોસની છે વાત આ દેખાવ છે વાસ્તવ નથી
દેખાય જો રસ્તે અહિંસા મોં ઉપર થૂંકે વતન

– શેખાદમ આબુવાલા

Comments (6)

અત્તરિયા રાજા ! – લાલજી કાનપરિયા

ઊગ્યા ઊગ્યા ડુંગર વચ્ચે દરિયા રે અત્તરિયા રાજા !
પડછાયા પાણીમાં  એવા તરિયા રે અત્તરિયા રાજા !
પાંપણમાંથી કોઈ અચાનક છટક્યું રે અત્તરિયા રાજા !
લોચનને અંધારું એવું ખટક્યું રે અત્તરિયા રાજા !
ખરી ગયેલા શ્વાસ છાતીએ વાગ્યા રે અત્તરિયા રાજા !
અડધી રાતે સાગ-ઢોલિયા જાગ્યા રે અત્તરિયા રાજા !
હથેળીયુંમાં ખળખળ નદીયું વહેતી રે અત્તરિયા રાજા !
ભીની ભીની દંતકથાઓ કહેતી રે અત્તરિયા રાજા !
ઘર, ફળિયું ને નળિયાં ડસવા લાગ્યાં રે અત્તરિયા રાજા !
અમને અમારાં સમણાં હસવા લાગ્યાં રે અત્તરિયા રાજા !

– લાલજી કાનપરિયા

ટૂટી ગયેલા સંબંધની વાત, અલગ અંદાજ ને અલગ અસર સાથે. એક તરફ લોકગીતો જેવો માહોલ જ્યારે બીજી તરફ જગદીશ જોષી જેવી અસર. કવિએ વાંચતાની સાથે ખાલીપો ઘેરી વળે એવા કલ્પનોનું આખું ટોળું ભેગું કર્યું છે.

Comments (8)

આ ચાર ક્ષણ – રમેશ પાનસે (અનુ. જયા મહેતા)

ઓહો !
જોયું ?
મારી જિંદગીમાં આનંદની મહાન
આ ચાર ક્ષણ !
જેને માટે જીવવાની ઝંખના રાખી હતી !

આ પહેલી
મુંબઈની ગાડીગર્દીમાં મેં એક મોકળો શ્વાસ લીધો.
બીજી
મેં તને મારી કહેવાનું ઠરાવ્યું.
ત્રીજી
આકાશ સ્વચ્છ દેખાયું ગણગણાટ વગર.
ચોથી
મેં તેને ઓળખ્યો : તે પણ એક માણસ જ.

હું હવે સમાપ્ત થવાની શરૂઆત કરું છું.

– રમેશ પાનસે
(અનુ. જયા મહેતા)

કેટલું સીધું જીવન ! માત્ર ચાર એષણા… માત્ર ચાર ક્ષણ… ! એકમાં ભીડને ઓળંગી જવી, બીજામાં એકલતા ઓળંગી જવી, ત્રીજામાં પૃથ્વીને ઓળંગી જવી અને ચોથામાં ઈશ્વરના નિગૂઢત્વને ઓળંગી જવું.  બોલો, છે ને કવિની કમાલ ?

ને બધું મળી ગયા પછી શું ? તમામ પ્રાપ્તિનું અંતિમ ધ્યેય શું ? – સમાપ્ત થવાની શરૂઆત ! Nothingness is our origin, and it is also our destiny.

Comments (8)

ગઝલ – પંકજ વખારિયા

Pankaj Vakharia_Dharti ma unde aabh ma uncho gayo hashe

(પંકજ વખારિયાના હસ્તાક્ષરમાં ‘લયસ્તરો’ માટે એક અપ્રગટ કૃતિ)

ધરતીમાં ઊંડે, આભમાં ઊંચે ગયો હશે
એમ જ તો કોઈ માનવી પુષ્પિત થતો  હશે

જંગલનું વૃક્ષ પાઠવે છે શહેરી વૃક્ષને
પાણી ઘણું છે વનમાં, ત્યાં તડકો ઘણો હશે

આતુર થઈને સૂંઘી વળે નાનાં છોડવાં
એનાય નામે કોઈએ ટહુકો લખ્યો હશે

ધબકે અવર-જવર છતાં એકાંત ના તૂટે
ઘરમાં કવિના વૃક્ષ સમો ઓરડો હશે

સંગીત લીલું લીલું આ કાયમ નહીં રહે
ખખડાટ કોઈ વેળા સૂકાં પાનનો હશે

દુઃખ પાનખરમાં આમ તો વૃક્ષોને કંઈ નથી
છાંયો ઘટી પડ્યાનો જરા વસવસો હશે

રહેશે ન માથે છાંયડો કાલે આ વૃક્ષનો
હા, વારસામાં એક સરસ બાંકડો હશે

– પંકજ વખારિયા

પંકજની ગઝલ જ્યારે જ્યારે વાંચું છું ત્યારે એ એક એક શેર પર એક એક ગઝલ જેટલી મહેનત કરે છે એવી મારી માન્યતા વધુ ને વધુ દૃઢીભૂત થતી રહે છે. વૃક્ષ ઉપર લખાયેલી આ મુસલસલ ગઝલ જ જોઈ લ્યો. એક-એક શેર કાબિલે-દાદ થયા છે. માનવમાંથી મહામાનવ બનવાની આખી યાત્રાને માત્ર બે લીટીમાં સમાવી લેતો આ ગઝલનો મત્લા આપણી ભાષાનો સર્વકાલીન યાદગાર શેર થવા સર્જાયો છે. મૂળ ધરતીમાં ઊંડે ખોડાયેલા રહે અને ડાળ આકાશ ભણી ગતિ કરતી રહે, ઉર્ધ્વગતિ જેમ વધુ થતી રહે એમ મૂળ વધુ ઊંડે ઊતરતા રહે અને આ બે વિરુદ્ધ દિશાનો સુમેળ થાય ત્યારે જ તો પુષ્પિત થવાતું હોય છે ! કેવી ઊંચી વાત! માત્ર બે પંક્તિમાં?!

ગઝલ નામના કાવ્યપ્રકારની ઠેકડી ઊડાવનારાઓ… ક્યાં છો તમે?

Comments (15)

હોઠ વચ્ચે… – અશરફ ડબાવાલા

મૌન સૈકાનું પણ સમજવું છે,
હોઠ વચ્ચે ઘડીક ફરવું છે.

સૂર્ય જીતી જવાની શ્રદ્ધાથી,
કોઈ છાયાની સાથ રમવું છે.

બંધ બારીને ભીંત સમજીને,
આજ પગલાંને પાછા વળવું છે.

હસ્તરેખાનો હાથ ઝાલીને,
એક વિસ્મયને સત્ય ગણવું છે.

વિશ્વવ્યાપક્તા દૂર ફેંકી દ્યો,
બે’ક અક્ષરમાં મારે તરવું છે.

– અશરફ ડબાવાલા

ઈતિહાસ બોલતો નથી, વાંચવો પડે છે. જે રીતે બે લીટીની વચ્ચેનું લખાણ ચૂકી જવાય તો ક્યારેક આખો અવસર હાથથી નીકળી જાય એમ સદીઓના મૌન બે હોઠોની વચ્ચે વણબોલાયેલો શબ્દ સાંભળવો રહી જાય તો શું ચૂકી જવાય એનો કવિને અણસાર છે જ એટલે એ આખા સૈકાનું મૌન સાંભળવા માત્ર એકાદ ઘડી માંગે છે… કાળનો તીવ્ર વિરોધાભાસ આ શેરને ઉત્તમ કવિતાની કક્ષાએ લઈ જાય છે. વાત સો વરસની છે અને માંગણી એક પળની છે !!

બાકીના શેરમાં જાતે વિહરીશું ?

Comments (17)

ખોટ છે બસ આટલી – ઘાયલ

શાયર પ્રતિજ્ઞાબદ્ધ છું, લાખોમાં એક છું,
ઈમાનદાર પણ છું હું, નેકી છું – નેક છું
‘ઘાયલ’ કશી છે ખોટ, તો બસ ખોટ એટલી
તારીખ વીતી ગયાના પછીનો હું ચેક છું.

– ઘાયલ

Comments (13)

કશા જેવી – અદમ ટંકારવી

મીઠ્ઠી માલિકની દયા જેવી
વાત છે ચોખ્ખી દીવા જેવી.

તારા જ શહેરમાં જિન્દગી મારી
તેં જ ફેલાવેલી અફવા જેવી.

છોડ રૂપક ઉશેટી દે ઉપમા
એ નથી કોઇ કે કશા જેવી.

દિલ બન્યું જામ ત્યારથી ઝાહિદ
હરકોઇ ચીજ છે સુરા જેવી.

સ્મરણ તારું છે સાતસોછ્યાસી
યાદ તારી છે શ્રી ૧| જેવી.

ગઝલ લખી દ્યો સીધીસાદી, અદમ
જીવીકાકીની સવિતા જેવી.

– અદમ ટંકારવી

દરેક શેર અર્થસભર હોવા ઉપરાંત નાની નાની રમૂજથી પણ સભર છે. સ્મરણને સાતસોછ્યાસી અને યાદને શ્રી સવા કહેવાની વાત એકદમ નવીનક્કોર છે. ગઝલ સીધીસાદી હોવી જોઈએ એવું તો ઘણાએ કહ્યું છે, પણ ‘જીવીકાકીની સવિતા જેવી’ નવી જ અસર જન્માવે છે 🙂 મારો પ્રિય શેર જોકે છોડ રૂપક.. છે. કોઈક ચહેરા રૂપકો ને ઉપમાઓથી તદ્દન પર હોય છે !

ગઝલ મોકલવા માટે આભાર, તાહા મન્સૂરી.

Comments (12)

ગઝલ – અંકિત ત્રિવેદી

image
(ખાસ લયસ્તરો માટે અંકિત ત્રિવેદીની એક અક્ષુણ્ણ ગઝલ એમના પોતાના હસ્તાક્ષરમાં)

*

દોસ્ત, તું સંભાળજે આવી હવાથી
ખૂબ ગમશે એને તારા ઊડવાથી.

સાથે રહેવાનું ને શું ઝઘડ્યા કરો છો ?
લાગતું ખોટું નથી ને ઝાંઝવાથી !

હું રહું અહીંયા મને વાંધો નથી પણ,
થાક લાગે છે જવા ને આવવાથી.

ગીત જો ગાવું જ હો તો તારું ગાજે,
શું વળે છે માત્ર પડઘા પાડવાથી ?

ફેર ભીંતોની તિરાડોમાં પડે છે,
એક પડછાયાને માણસ ધારવાથી…

– અંકિત ત્રિવેદી

અં.ત્રિ.ની ખુમારીદાર ગઝલ… આપણો આવજ આપણો પોતીકો અવાજ જ હોવો ઘટે… પડઘાનો અવાજ કદી ધારી અસર છોડી શક્તો નથી… જમાનાની હવાથી સંભાળીને ચાલવા ચેતવતી વાત પણ એવી જ સરસ થઈ છે. અને આખરી શેર વળી ખૂબ ધીમેથી ખુલે છે….

Comments (20)

ગઝલ – ડૉ. મનોજ લલિતચંદ્ર જોશી

બસ એટલુંક આજે વરસાય તો ઘણું છે,
ઝરમર જરા તરા તું ભીંજાય તો ઘણું છે.

આપી શકાય ઉત્તર; એ વાત તો પછીની
પહેલાં સવાલ એનો, સમજાય તો ઘણું છે.

કોલાહલોની વચ્ચે, આ કાનનું ગજું શું ?
ને ચીસ સાવ મૂંગી ! દેખાય તો ઘણું છે.

બેફામ હાસ્ય બાહર, સન્નાટા સાવ અંદર !
આવી સ્થિતિ તમારી, ના થાય તો ઘણું છે.

ઊડી રહ્યા છે ચોગમ, પંખી બનીને શબ્દો
થોડા ઘણાં ગઝલમાં, ડોકાય તો ઘણું છે !

– ડૉ. મનોજ લલિતચંદ્ર જોશી

જામનગરના તબીબ મનોજ જોશીની મનભર ગઝલ ઘણું છે કહીને ખરેખર ઘણું કહી જાય છે. પ્રેમમાં કેવો સંતોષ હોય છે ! પ્રિયજન ભીંજાય બસ, એટલુંય જો વરસી જવાય તો એ પ્રણયનું સાફલ્યટાણું છે. तुम इतना जो मुस्कुरा रहे हो, क्या गम है, जिस को छुपा रहे हो ? જેવો અર્થભાર ધરાવતો શેર પણ સાની મિસરાના કારણે ચોટુકડો થયો છે. ભીતરના ઘેરા અંધકાર અને ખાલીપાને છુપાવવા માટે બહાર ખોખલું હાસ્ય વેરતા રહેવું પડે એ લાચારી તો અનુભવી હોય તોજ સમજાય પણ કવિતા ત્યારે બને છે જ્યારે કવિ આવી સ્થિતિ પ્રિયપાત્રની ન થાય એની કામના કરે છે…

Comments (25)

ગઝલ – દિનેશ કાનાણી

ધીર ને ગંભીર થાતાં જાય છે
એ નદીના નીર થાતાં જાય છે !

જિંદગીને જીવવાની હોંશમં
દ્રૌપદીના ચીર થાતાં જાય છે !

સંગ જેનો ખૂબ ગમતો હોય છે
એ બધાં તસવીર થાતાં જાય છે !

લાગણી ને પ્રેમના સંબંધ પણ
સાંકડી જંજીર થાતાં જાય છે !

શબ્દને હું ચાહતો રહું તે છતાં
શબ્દ પોતે તીર થાતાં જાય છે !

– દિનેશ કાનાણી

આમ તો આખી ગઝલ ગમી જાય એવી છે પણ ગઝલનો મત્લા બીજા બધા શેરોને ‘આઉટશેડો’ કરી જાય છે. ઊંડી નદીના શાંત ધીરા જળ સાથે પ્રિયજનની ગંભીરતા સાંકળી લેવાની વાત તરત જ સ્પર્શી જાય છે… છેલ્લો શેર પણ એવો મજાનો થયો છે. આપણે જેને સહુથી વિશેષ ચાહતા હોઈએ એ જ આપણને તીર જેવી સૌથી ઘેરી અને તાતી ચોટ પહોંચાડી શકે છે પછી એ શબ્દ હોય કે કોઈ વ્યક્તિ…

Comments (16)

એ દેશની ખાજો દયા – ખલિલ જીબ્રાન

દોસ્તો, સફરના સાથીઓ, એ દેશની ખાજો દયા
જ્યાં ધર્મનો છાંટો નહીં, ફિરકા છતાં ફાલી રહ્યા.

સૂત સફરાં અંગ પે – પોતે ન પણ કાંતે વણે,
જ્યાફતો માણે – ન ભૂમિપાક પોતાનો લણે,
લોક જે દારૂ વિદેશી રોજ ઢીંચે ખંતથી,
વતન કેરું મધ પરંતુ જેમણે ચાખ્યું નથી:
રંગ છે બહાદુર! બિરદાવી ફુલેકે ફેરવે,
જે પ્રજા નાચી રહે ગુંડા, ટણકને ટેરવે.

ને દમામે જીતનારાને ગણે દાનેશરી,
હાય, એવા દેશના જાણો ગયા છે દી ફરી.

ભાવનામાં વાસના કેરાં વછોડે આંગળાં,
જિંદગીમાં એ પિશાચીનાં પછી ચાટે તળાં.
મરશિયા વિણ મોકળું ક્યાંયે ગળું ન મૂકતાં,
એકલી ડંફાસ ખંડેરો મહીં જઈ ફૂંકતાં;
માંચડે ફાંસી તણે ચડતાં, કપાતાં ખંજરે,
એ વિના જે હરફ હોઠે કાઢતા યે થરથરે!

જાણજો એ લોકને કાજે રહ્યાં છે છાજિયાં –
દોસ્તો, સફરના સાથીઓ, એ દેશની ખાજો દયા.

લોકનેતા લોંકડી શા જ્યાં કપટના કાંધિયા,
ભૂર ભાષાના મદારી હોય પંડિત વેદિયા,
નામ ફૂટીને કળાનું થીગડાં મારી ફરે,
જ્યાં જુવાનો નકલ નખરાંય ફિસિયારી કરે!

નવા રાજાને કહે વાજાં વગાડીને જિયો!
જાય તો પાછળ ઉડાડી ધૂળ બોલે હૂડિયો,
ને છતાં એ કોઈ બીજાને ફરી સત્કારવા,
એ જ નેજા ! એ જ વાજાં! એજ ખમ્મા, વાહ વા!

જાણજો એવી પ્રજાના ખીલડા ખૂટલ થયા,
દોસ્તો, સફરના સાથીઓ, એ દેશની ખાજો દયા.

મૂક, જર્જર જ્યાં મહર્ષિઓ અવસ્થા કારણે,
જેમના શૂરા જનો પોઢ્યા હજી છે પારણે,
ભાગલા પાડી ઉડાડે નોખનોખી જે ધજા,
ને બધા એ ભાગ પોતાને ગણે આખી પ્રજા!

જાણજો એવી પ્રજાનાં પુણ્ય પરવારી ગયાં,
દોસ્તો, સફરના સાથીઓ, એ દેશની ખાજો દયા.

– ખલિલ જીબ્રાન
અનુવાદ : મકરંદ દવે

રાષ્ટ્રની વ્યાખ્યા કરતી પંક્તિઓ જીબ્રાને એના પુસ્તક ગાર્ડન ઓફ પ્રોફેટમાં લખેલી. એના પરથી મકરંદ દવેએ આ ગીતની રચના કરી છે. ગીત એટલું સરસ છે કે એમાં ભાષા, સમય અને સ્થળની સિમાઓથી પર એક ચિરંજીવ સંદેશ અવતરિત થાય છે. કમનસીબે આ ગીત હજુ આજે પણ એટલું જ પ્રસ્તુત છે. કહે છે The more things change, the more they stay the same.

Comments (9)

મુક્તક – મુકુલ ચોકસી

તારાથી સર્વ ત્યજી દઈને જો આવી ન શકાય,
બીજી રીતે તો મને તારો બનાવી ન શકાય;
સઢ ગમે તેટલા બાંધો તે છતાં હોડીને
એકસાથે બેઉ કાંઠે તો તરાવી ન શકાય.

– મુકુલ ચોકસી

Comments (10)

કોઈ સાંજે – જયેન્દ્ર શેખડીવાલા

ફૂલ ને ફોરમ અજાણ્યા દેશમાં સામાં મળ્યાં
કોઈ સાંજે એમ પગલાં આપણાં સામાં મળ્યાં

મોર ચીતરેલી ક્ષણો આપી ગયું કો’ સ્વપ્નમાં
ને ગગનને મ્હેંકના પડઘાનાં ધણ સામાં મળ્યાં

આપણો સુક્કો સમય થઈ જાય છે જ્યારે નદી-
થાય છે કે, સૂર્યને પણ દર્પણો સામાં મળ્યાં

કોઈ ઘૂમરીમાં ડૂબ્યું તો કોઈ આકાશે ડૂબ્યું :
શ્વાસના એકાન્તને એનાં વતન સામાં મળ્યાં

આજ બારીબ્હાર દૃષ્ટિ ગઈ અચાનક જે ક્ષણે
આંખને ગઈકાલનાં દૃશ્યો બધાં સામાં મળ્યાં

– જયેન્દ્ર શેખડીવાલા

સ્મરણચૂર સાંજની આ ગઝલ મુઝફ્ફર અલીની ફિલ્મના દૃશ્યની જેમ ધીમે ધીમે ઉઘડે છે. ફૂલ અને ફોરમ – જે ખરેખર તો એક જ હતા – એમણે અજાણ્યા દેશમાં મળવું પડે એવી વિવશ મુલાકાતની આ સાંજ છે. અહીં તો સ્વપ્નમાં પણ મુલાકાત થાય તો ય સુગંધના આખા કાફલા મળે છે. એક મિલનથી સમયની સુક્કીભટ નદી હજારો સૂર્યને પ્રતિબિંબિત કરતી – જલજલવંતી – થઈ જાય છે. માણસે ડૂબી જવું પડે – ભલે એ ભંવરમાં હોય કે આકાશમાં – તો જ પોતાની ખરી જાત સાથે મુલાકાત થઈ શકે છે. બારીને બહાર નજર જતાં – લોહીયાળ સૂર્ય જોતા – ગઈકાલના મિલનની દૃશ્યાવલી ફરી ઘેરી વળે છે.

Comments (10)

શબ્દોનું સાલિયાણું -ડૉ. વિવેક મનહર ટેલર

શબ્દોનું શ્વાસ હોવું, આભાસ છે, હું જાણું,
સાચો ગણીને તો પણ એવું જીવન હું માણું.

રાતોના કાગળોમાં શબ્દોનો કરવા અજવાસ,
મથતો રહું છું શાને ? ઉકલે નહીં ઉખાણું.

શબ્દો અને તું – બંને આવ્યાં છો એકસાથે,
જાકારો દેવા કોને હું નાકલીટી તાણું ?

શ્વાસોનાં તન ઉપર છે શબ્દો કવચ ને કુંડળ,
ન હો જો એ તો પૈંડું રણમાં નકી ગુડાણું.

કાયાના રાજ્યમાં મુજ શ્વાસોનો એવો રાજા,
માંગે કશું બીજું ના, શબ્દોનું સાલિયાણું.

-ડૉ. વિવેક મનહર ટેલર

આજે અહીં પોસ્ટ કરવા માટે વિવેકની એક ગઝલ શોધવા જતાં આ જૂની ગઝલ હાથમાં આવી અને શબ્દોનું આ સાલિયાણું મને ખૂબ જ ગમી ગયું.  પ્રિય વિવેકને જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ સહ…એની આ જૂની ગઝલને આજે ફરી માણીએ.

Comments (18)

ગઝલ – વિવેક કાણે ‘સહજ’

Vivek Kane_Dhire dhire
(આ ગઝલ કવિના પોતાના હસ્તાક્ષરમાં લયસ્તરો માટે)

*

જેમ જેમ સાંજ સરે રાતમાં ધીરે ધીરે
આવતો જાઉં અસલ પાઠમાં ધીરે ધીરે

મારા તલસાટનો અંતિમ છે તબક્કો જાણે
જોતો જાઉં છું તને જાતમાં ધીરે ધીરે

થાય છે સ્પષ્ટ વધારે ને વધારે ચહેરો,
એક ભૂંસાતી જતી છાપમાં ધીરે ધીરે

શું છે વ્યક્તિત્વ, શું ઓળખ છે નવાગંતુકની
ખૂલતું જાય છે પદચાપમાં ધીરે ધીરે

નામ લેશે નહીં મારું કે તમારું ને ‘સહજ’
એ વણી લેશે બધું વાતમાં ધીરે ધીરે

– વિવેક કાણે ‘સહજ’

ગઝલમાં છંદ અને રદીફની પસંદગી કવિના મિજાજનું પોત ખોલી આપે છે. ગાલગા ગાલલગા ગાલલગા ગાલલગા (ગાગાગા) જેવો ગુજરાતી ગઝલની દુનિયામાં પ્રમાણમાં ઓછો ખેડાયેલો છંદ વાપરી કવિ પોતાની શક્તિનું પ્રથમ પ્રમાણ આપે છે. આ છંદની પ્રવાહીતાના કારણે ગઝલ ન માત્ર વાચનક્ષમ, ગાયનક્ષમ પણ બની છે.

ગઝલની શરૂઆત દ્વિરુક્તિ પામતા શબ્દથી થાય છે એ નોંધપાત્ર છે કેમકે ગઝલની રદીફ પણ એજ રીતે પ્રયોજાયેલી છે. અને જેમ જેમથી શરૂ થતો ઉલા મિસરો ધીરે ધીરેમાં વિરમે છે ત્યારે સાંજના રાતમાં નિઃશબ્દ સરી પડવાની ઘટના દૃશ્યક્ષમ બની રહે છે. અંધારું દૃશ્યોને ભૂંસી નાંખે છે. બે વસ્તુઓ વચ્ચેના તફાવતને ઓગાળી દઈ અંધારું નાના-મોટા તમામને કાળા રંગની એક જ પીંછીથી રંગી દે છે. અંધારાની કાલિમા પાસે કોઈ ઊંચું નથી ને કોઈ નીચું નથી. આંખ જ્યારે કશું જોઈ શકતી નથી ત્યારે જ બધું સમાન સ્તર પર દૃષ્ટિગોચર થાય છે. નાનાવિધ રંગસભર સાંજ જ્યારે કાળી નિબિડ રાત્રિમાં બિલ્લીપગલે પરિવર્તિત થાય છે ત્યારે કવિ એના અસલ પાઠમાં આવે છે. જ્યારે સમગ્ર સૃષ્ટિને તમે એક જ સમ્યક્ ભાવથી નિરખો છો ત્યારે એ કાળા રંગમાંથી જ ખરો સૂર્યોદય થાય છે. કેવી સહજતાથી અને કેવી વેધકતાથી કવિ પોતાનો આત્મ પરિચય ગઝલના પહેલા જ શેરમાં આપે છે!

અહીં આ ગઝલમાં કવિ પણ તલસાટના અંતિમ તબક્કાને પોતાની રીતે અનુભવે છે. તીવ્રતાની અનુભૂતિ એક જ છે પણ અભિવ્યક્તિ નોખી છે. અહીં વાત પ્રેયસીની પણ હોઈ શકે અને ઈશ્વરની પણ. પરંતુ સંદર્ભ અહીં ગૌણ છે. અહીં તો કવિનો તલસાટ દીર્ઘત્તમ થયો છે. અને તલસાટ જ્યારે હદપારનો થાય છે ત્યારે સ્વ ઓગળીને સ્વજન બની જાય છે.

ગઝલ જે રંગમાં ધીરે ધીરે આગળ વધે છે એ જ રંગને મક્તાનો શેર ઓર ઘેરો બનાવે છે. મક્તાનો શેર એટલો બધો સરળ થયો છે કે એના વિશે કશું પિષ્ટપેષણ કરવા બેસીએ તો એમાં રહેલી કવિતાને કદાચ અન્યાય કરી બેસાય. સરળ શેર સામાન્યતઃ અર્થની સપાટી પર ફસકી પડતા હોય છે જ્યારે અહીં કવિ આ સહલે મુમતેના (દુઃસાધ્ય સરળ) શેરમાં વાણી, વિચાર અને અભિવ્યક્તિની સરળતા હોવા છતાં અર્થગહનતા અને અર્થગાંભીર્યતા જાળવી શક્યા છે એ એમની ‘સહજ’ સિદ્ધિ છે!

Comments (15)

~ – કાજલ ઓઝા – વૈદ્ય

અચાનક સંબંધ છટક્યો
પડ્યો…
ને તૂટી ગયો
સમયની સાવરણી
ફેરવી ફેરવીને થાક્યા છતાં
હજીયે –
કરચોથી મારાં તળિયાં
લોહીલુહાણ કેમ થઈ જાય છે ?

તૂટેલા મંગળસૂત્રના દાણા
હજીયે મળી આવે છે અવારનવાર…

ચાદરમાંથી ગુલાબ-મોગરાની એ સુગંધ
હજીયે જતી નથી !
લોહીનાં ધાબાં જેવાં લાગે છે ગુલાબની
કચડાયેલી પાંદડીના ડાઘ !

ચોળી ચોળીને નાહ્યા છતાં
સતત વીંતળાયેલા એ સર્પીલા
સ્પર્શની ધ્રુજારી ઘટતી નથી !

લીલા સાપ સરકવા માંડે છે
મારાં સ્તનોની વચ્ચે ગમે ત્યારે !

લાલ રંગને જોઈને ઊબકા આવે છે
અને, લગ્નના ઢોલ
સીધા મારી છાતી પર જ પીટાય છે

શરણાઈ સાંભળીને
શ્વાસ ગૂંગળાવા કેમ લાગે છે ?
છેડાછેડીનો એ ટુકડો તો
ક્યારનો ફેંકી દીધો છે ને ?
તો ખીંટી પર આ શેનો
ભાર લટક્યા કરે છે ?

– કાજલ ઓઝા – વૈદ્ય

સમયની સરાણ પર ક્યારેક સંબંધનું મોતી ફટકિયું સાબિત થાય છે. મોટાભાગે તૂટેલા સંબંધનો કાટમાળ ખભે લઈને આપણે જીવી કાઢીએ છીએ, પણ ક્યારેક હિંમત કરીને બટકેલા સંબંધમાંથી છૂટા થઈ જવાનું સાહસ દાખવી પણ લઈએ છીએ. તોડી કાઢેલું બધું તૂટતું કેમ નથી અને છોડી દીધેલું પણ છૂટી કેમ નથી જતુંનો ચિત્કાર આ કવિતામાં શબ્દે શબ્દે ભોંકાય છે. સમયની સાવરણી પણ કેટલીક કરચો સાફ કરી શક્તી નથી. સહવાસના લીલા ઝેર જેવા સાપોલિયાં ગમે ત્યારે ડંખતા રહે છે, એ ઉતારી કે નિવારી શકાતા નથી અને કેટલોક ભાર ફેંકી દેવા છતાં સતત અનુભવાતો જ રહે છે…. આ હોવાપણાંની પીડા છે… આ લાગણીશીલ હોવાની કિંમત છે… આ જિંદગી જીવવાની કિંમત છે…

Comments (25)

પ્રશ્ન – મંગેશ પાડગાંવકર

શિયાળાની ઠંડી ઉદાસ સાંજે
સૂર્ય પાણીમાં બૂડતો હોય ત્યારે
મેં જોઈ બાગના બાંકડા ઉપર
એકલી બેઠેલી બાઈ રડતી…

માણસો આટલા એકાકી કેમ રહે છે ?

– મંગેશ પાડગાંવકર

Comments (8)

(આકર્ષણ) – શેશ્લો મિલોશ

ચંદ્ર ઊગે છે અને સ્ત્રીઓ વાસંતી વસ્ત્રોમાં ટહેલે છે ત્યારે
હું મુગ્ધ થાઉં છું એમની આંખોથી, પાંપણોથી અને
આખાયે વિશ્વની આયોજનાથી.
મને એમ લાગે છે કે આવા પરસ્પર પ્રબળ આકર્ષણથી
અંતિમ સત્યે આખરે તો પ્રગટ થવું પડશે.

શેશ્લો મિલોશ
(અનુ. સુરેશ દલાલ)

શાશ્વત સત્યોને ઉજાગર કરવાની તાકાત જે સૌંદર્યમાં છે  એને સલામ કરીએ.  દુનિયા આખી આકર્ષણથી ચાલે છે – પછી એ ગુરુત્વ-આકર્ષણ (તારાઓ ને ગ્રહો વચ્ચે) હોય કે લધુત્વ-આકર્ષણ (માણસો વચ્ચે) હોય! એક સુંદર પળ મનના કેટલાય આવરણોને એકી સાથે છેદી નાખી શકે છે.

Comments (4)

ફાગુનું ફટાણું – રમેશ પારેખ

એન્ની માનું કોરું નહીં જાય કોઈ બાકી
કે ખાખરાએ ડાળીઓની પીચકારી તાકી
ને ઢોલ હાળા ધકામૂકી ધકામૂકી થાય…

છોક્કરીને આંબો પાક્યાનો ભાર લાગે
છોક્કરીને વાયરો ય અણીદાર લાગે
છોક્કરીને રોણું ય વારવાર લાગે

છોક્કરીને શમણાં લઈ જાય ક્યાંક હાંકી
ને ગીત હાળાં ધકામૂકી ધકામૂકી થાય…

છોક્કરાની જીભમાં જ પડી ગઈ આંટી
છોક્કરાની ઉભડક ને ઉફરી રુંવાટી
છોક્કરાની ગોટમોટ નીંદર ગૈ ફાટી

છોક્કરાના લમણાંમાં ખાકટીઓ પાકી
ને લોહી હાળાં ધકામૂકી ધકામૂકી થાય…

– રમેશ પારેખ

‘લયસ્તરો’ તરફથી સહુ કાવ્યરસિક મિત્રોને ધૂળેટીની રંરી શુભેચ્છાઓ…

ફાગણની વાત જ અલગ અને એય વળી જો ફટાણું હોય તો એમાં ગોળથીય મીઠ્ઠી લાગે એવી ગાળ પણ આવવાની જ. ખાખરાના કેસરી રંગમાં ર.પા.ને રંગભરી પીચકારીઓ નજરે ચડે છે. આખું ગીત ફાગણનો ફાટ-ફાટ વૈભવ અને યૌવનના ઉંબરે ઊભેલા છોકરા-છોકરીની પ્રણયાસિક્ત સંવેદનાઓ ને એવી રમતિયાળ ઢબે રજૂ કરે છે કે વાંચતા-વાંચતા જ રમવા દોડી જવાનું મન થાય…

Comments (10)

તમે કહો તો હા – સુરેશ દલાલ

તમે કહો તો હા અને જો ના કહો તો નહીં,
અમે તમારે કોરે કાગળ કરી દઈએ સહી.

તમે કહો કે ચાલવું છે
તો રસ્તો થઈને ખૂલશું
તમે કહો કે ભૂલવું છે
તો યાદ કરીને ભૂલશું.

મીરાંની મટુકીમાં માધવ: હોય ન બીજું કંઈ.
તમે કહો તો હા અને જો ના કહો તો નહીં.

તમે કહો કે નહીં બોલો
તો હોઠ ઉપર છે તાળાં
ભીતરમાં તો ભલે થતી રહે
નામતણી    જપમાળા

તમે કહો કે સાથે રહો તો અમે જઈશું રહી.
તમે કહો તો હા અને જો ના કહો તો નહીં.

– સુરેશ દલાલ

સહજ-પ્રેમની સહજ અભિવ્યક્તિ.

Comments (11)

ગઝલ – અંકિત ત્રિવેદી

Ankit Trivedi_darpan nu bimb kaam koi aavshe nahi

(અંકિત ત્રિવેદીના હસ્તાક્ષરમાં એક ગઝલ ‘લયસ્તરો’ માટે)

*

દર્પણનું બિંબ કામ કોઈ આવશે નહીં,
સરનામું પૂછશો નહીં, બતાવશે નહીં

પગલીને મારી ભૂંસવા જ હું મળ્યો તને,
તારી ગલીને એ હવે સજાવશે નહીં.

તું પણ બનીને દોસ્ત છો ને આવતો ખુદા,
તું પણ જરૂર હશે ને ત્યારે આવશે નહીં

લાચાર ક્ષણ હશે અને હસાવતી હશે,
સામે ઊભી હશે અને લખાવશે નહીં.

આ શ્વાસ બ્હાર નીકળીને કહી રહ્યાં મને,
ક્યારેક બ્હાર આવવાનું ફાવશે નહીં.

– અંકિત ત્રિવેદી

જીવનમાં જે આભાસ છે એ કદી કામ લાગતો નથી. ખુલ્લી આંખના સ્વપ્નાં, મૃગજળ પાછળની દોડ કે અરીસાનું બિંબ- વાસ્તવમાં આ કશું ખપ લાગતું નથી એવા નક્કર સંદેશા સાથે ઊઘડતી આ ગઝલ અ.ત્રિ.ના મૂળભૂત મિજાજને સાંગોપાંગ જાળવી રાખે છે. ઈશ્વર અને દોસ્તની સરખામણી કરી બંનેની ઠેકડી ઊડાડતો શેર પણ સરસ થયો છે પણ છેલ્લા બે શેર વધુ ગમી જાય એવા છે…

Comments (16)

શું થશે ? – ગિરીશ પરમાર

કોઈની યાદો જવાથી શું થશે ?
પાંપણો ભીની થવાથી શું થશે ?

સ્હેજ તણખો જોઈએ ભડભડ થવા,
એકલી ખાલી હવાથી શું થશે ?

વ્હેમના પર્યાય જેવો રોગ છે,
લાખ આપો, પણ દવાથી શું થશે ?

ખૂબ ઊંડા ઘાવ જેવો છે કૂવો,
એક ટુકડો રાસવાથી શું થશે ?

છેવટે થંભી જવાની બીકથી,
એક ડગલું ચાલવાથી શું થશે ?

-ગિરીશ પરમાર

દર્દની આછી ઝાંયથી ભીની-ભીની ગઝલ… સળગવા માટે ખાલી હવાનું હોવું શું પર્યાપ્ત છે? ભીતર એક તણખો પણ અનિવાર્ય છે. વ્હેમનો કોઈ ઈલાજ નથી એ વાત પણ કેવી સરસ રીતે કહેવાઈ છે ! કેટલાક ઘા એટલા ઊંડા કૂવા જેવા હોય છે કે એક રાસ જમીન સિંચવામાત્રથી એ ખાલી નહીં થઈ જાય…

Comments (12)

ગઝલ – રમણીક સોમેશ્વર

કરાંજી કરાંજીને દિવસો વિતાવે,
એ સાવજ, વિસારી બધું, ઘાસ ચાવે !

ફફડતા રહે હોઠ, બોલી શકે ના –
‘અબે એય મખ્ખી ! મને કાં સતાવે ?’

એ હણહણતા હયનો જુઓ હાથ સાહી,
સમજદાર કીડીઓ ડગલાં ભરાવે !

ગરજતા સમુદ્રો સતત જેની જીભે,
એ ભીંતોની સાથે રહે મૂક ભાવે !

વિતાવ્યો હતો કાળ ફાળો ભરીને,
ક્ષણેક્ષણ જુઓ કાળ એને વિતાવે !

-રમણીક સોમેશ્વર

ગઝલને કોઈ શીર્ષક ન આપ્યું હોવા છતાં કવિ આ મુસલસલ ગઝલમાં વૃદ્ધની વ્યથા રજૂ કરે છે એ તરત જ સમજી શકાય છે. યુવાનીનું જોર ઓસરી જાય ત્યારે સંતાનોની દયા પર માંડ જીવતું ઘડપણ આજીવન જે કામ કરવા કરતાં મરી જવાનું પસંદ કર્યું હોત એ કામ કરવા મજબૂર થઈ જાય છે, જાણે સિંહના ઘાસ ખાવાના દહાડા આવ્યા… જે ઘોડો ક્યારેક હણહણતો હતો એ આજે પૌત્રોના પ્રેમ માત્ર પર જીવી રહ્યો છે. કવિએ પૌત્રોની સરખામણી કીડી સાથે કરી એમની ઉંમર બતાવી છે પણ આગળ સમજદાર વિશેષણ લગાવી એક જ ઝાટકે પંડના દીકરાઓની અણસમજ પર તીવ્ર કટાક્ષ કર્યો છે… છેલ્લો શેર તો આખી ગઝલનો શિરમોર શેર છે વળી !

Comments (15)

શરણાઈવાળો અને શેઠ – દલપતરામ

એક શરણાઈવાળો સાત  વર્ષ  સુધી  શીખી,
રાગ  રાગણી   વગાડવામાં  વખણાણો  છે.
એકને  જ  જાચું  એવી  ટેક છેક રાખી એક
શેઠને  રિઝાવી   મોજ  લેવાને  મંડાણો  છે.
કહે  દલપત  પછી  બોલ્યો  તે  કંજૂસ શેઠ,
“ગાયક   ન   લાયક  તું  ફોગટ  ફૂલાણો છે.
પોલું છે તે બોલ્યું તેમાં કરી તેં શી કારીગરી ?
સાંબેલું  બજાવે  તો  હું  જાણું  કે તું શાણો છે.”

– દલપતરામ

આપણે બધા આ (લધુ) કથા-કાવ્ય ભણી જ ચૂક્યા છીએ. છંદ અને પ્રાસમાં કવિતાને અવિસ્મરણીય બનાવી દેવાની જે તાકાત છે એનું આ ઉત્તમ ઉદાહરણ છે. કવિએ છંદના માળખામાં રહી પ્રાસનો એવો કાબેલ પ્રયોગ કર્યો છે કે આ કવિતા વર્ષો પછી પણ મોટા ભાગના લોકોને યાદ હોય છે. કવિતાને મોટા અવાજે ગાઈ એના હિલ્લોળને મણવાની મઝા પણ એ જ કારણે છે.

Comments (13)

ત્રિપદી – મૂકેશ જોષી

એક જાદૂગર કશું તો આંખમાં આંજી ગયો
પાસનું પણ ના કદી જોઈ શકું હું દિવસે
આગિયાની રોશનીમાં ઉપનિષદ વાંચી ગયો

*

ક્યા કવિના શબ્દોથી ભીંજાતી’તી
મને ડાયરી વિના પઠન પણ ન ફાવે
કોયલ ત્યાં તો મોંઢે ગીતો ગાતી’તી

*

બાળ-શિક્ષણના પ્રથમ શ્વાસે જ લ્યો હાંફી જતા
હાથ બદલાવ્યા છતાંયે માંડ દફતર ઊંચકે
મમ્મી જેવી મમ્મીના પણ હાથ બે થાકી જતા

*

સાથ રહીશું મંત્ર ભણવાના નથી
ઊજવે છે મધુરજની છતાં
પંખીઓ ક્યારેય પરણવાનાં નથી

– મૂકેશ જોષી

ત્રણ લીટીમાં એક ફોટોગ્રાફની જેમ, જીંદગીના એક નાના ટુકડાને હંમેશ માટે કેદ કરી લેતી તાજગી અને ચમત્કૃતિ સભર ત્રિપદીઓ.

Comments (10)

એ જ તો તકલીફ છે – પ્રણવ પંડ્યા

સાંજના વાતાવરણની એ જ તો તકલીફ છે
બહુ વલોવે છે: સ્મરણની એ જ તો તકલીફ છે

ઝંખના જીવલેણ છે એ જાણીને પણ ઝંખીએ
જીવતાં પ્રત્યેક જણની એ જ તો તકલીફ છે

મૌન પાછળ લાગણી ઢાંકી ન શક્યું કોઈ પણ
સાવ પાંખા આવરણની એ જ તો તકલીફ છે

ના કદી વાંચી શક્યો હું તારી આંખોની લિપિ
હું અભણ છું, ને અભણની એ જ તો તકલીફ છે

બારણે જો દે ટકોરા તો હું ભેટીને મળું
મળતું બિલ્લિપગ, મરણની એ જ તો તકલીફ છે

– પ્રણવ પંડ્યા

કવિને ફરિયાદ કરે તો કઈ રીતે ? – અલબત્ત ગઝલ લખીને જ ! કવિની ફરિયાદો તદ્દન અંગત છે. સાંજની સંકડામણની, ઝંખનાના જીવલેણ હોવાની, મૌનના પાંખાપણાની, આંખોના અભણપણાની અને મોતની છાની ચાલબાજીની – આવી બધી ફરિયાદો કવિ નહીં કરે તો બીજું કોણ કરશે ! મૌન પાછળ લાગણી શે’ર બહુ સરસ થયો છે. કવિઓ મૌનની શક્તિને સતત ગાતા હોય છે. પણ ખરેખર મૌન તો દેહ તો બહુ પાંખો હોય છે. બિચારું ચીંથરા જેવું મૌન કાંઈ છુપાવી શકતું નથી.

Comments (20)

ગઝલ – પંકજ વખારિયા

મળી છે પાંખ પરંતુ ગગન નથી એથી,
ખરી રહ્યાં છે પીંછા ઊડ્ડયન નથી એથી.

તમન્ના હોય છતાં કંઈ જ થઈ નથી શક્તું,
પડી રહ્યા છે પતંગો પવન નથી એથી.

પડી છે સંપદા ભીતરમાં પણ, ધરા ઉજ્જડ
નથી ખણકતા ખજાના ખનન નથી એથી.

ઉડાઉ હાથે વ્યથા કેમ ખર્ચી નાંખે છે ?
પસીનો પાડી કમાયેલું ધન નથી એથી ?

હજીયે ધસમસી આવે છે આંખમાં પાણી
હજી આ દર્દનું અમને વ્યસન નથી એથી.

-પંકજ વખારિયા

પંકજ વખારિયા સુરતના ભંડકિયામાં સંતાઈ રહેલ એક અદભુત પ્રતિભા છે. વિશિષ્ટ કલ્પનોનો શિસ્ત પ્રયોગ અને અરૂઢ પ્રતીકોનો અનૂઠો ઉપયોગ એ પંકજની ગઝલોની ખાસિયત છે. સંસારમાં રહીને સંસારથી થોડો વેગળો ચાલતો આ કવિ ‘બાઝાર સે ગુઝરા હૂઁ, ખરીદદાર નહીં હૂઁ ‘ જેવી ફાકા-મસ્તી સાથે જીવે છે. ગઝલ ઓછી લખે છે પણ દરેકેદરેક શેર પર એક આખી ગઝલ જેટલી મહેનત કરે છે. છંદની સફાઈ પર જેટલું ધ્યાન આપે છે એટલું જ શેરમાંથી ઉપસી આવતી કવિતા પર પણ ધ્યાન આપે છે. અહીં આ પાંચ શેરમાંથી કોઈ એક પસંદ કરવો હોય તો અઘરું પડી જાય એમ નથી લાગતું ?

Comments (18)

ભીડથી ભીતર સુધી (ભાગ:૨) – મહેશ દાવડકર

મહેશની કવિતામાં કેન્દ્રગામી ગતિનું વલણ તરત વર્તાશે. એની યાત્રા બહુધા ભીતર સુધી જવાની યાત્રા છે. પ્રણયોર્મિને અહીં જૂજ જ અવકાશ છે. હળવા કલ્પનો ક્યારેક સ્પર્શી જાય છે પણ ભીતરનો વલોપાત અને સંજિદા અંદરુની તપાસ એ એમના પ્રધાન કાકુ છે. ભીડથી ભીતર સુધીની આ યાત્રા સતત ગુંગળામણની યાત્રા છે, એકલતા અને એકાંતના અંધારા ફંફોસવાની યાત્રા છે… કવિની વેદના માત્ર એના સ્વ પર જ હુમલો કરી શકે છે, સામાને ઠેસ પહોંચાડવાનો હુમલાખોર ભાવ કે જાત સિવાયનાની સામેની રાવ અહીં ક્યાંય જોવા મળતા નથી. આ ગઝલોમાં ક્યાંય દરવાજો નથી… આ ગઝલો પારદર્શક છે… આ ગઝલો ચોતરફ પથરાયેલી છે… જે તરફથી ઈચ્છા થાય, પધારો !

ચોતરફ એ છે ગમે ત્યાંથી પ્રવેશો,
ક્યાંય પણ હોતો નથી ઝાંપો હવામાં.

ગઝલ આ વાંચશે જ્યારે સ્મરણ તારું તને થાશે,
કે હમણાં આ ગઝલ લખતાં મને હું યાદ આવું છું.

પાછળ આવે છે એ સ્હેજ વિસામો પામે,
વૃક્ષ સમી કૈં ક્ષણ વાવીને આગળ જઈએ.

આગળ વધવામાં જાત જ આડી આવે છે,
જાત જરા અળગી રાખીને આગળ જઈએ.

તું કહે છે સ્વપ્ન થઈ આવીશ પણ,
ઊંઘમાંથી ત્યારે જાગી જાઉં તો ?

ઊડે પતંગિયા શા વિચારો અહીં-તહીં,
હળવે રહીને એને જો પકડી શકાય તો !

દ્વાર નથી એકે દેખાતું અંધારામાં,
કોઈ પાડો રે… બાકોરું અંધારામાં.

તારી લીટી કરું હું લાંબી લે,
મારી લીટી ભલે ને નાની થઈ.

સારું થયું કે એની નજર મારા પર પડી,
આવી ગયો હું જાણે અચાનક પ્રકાશમાં.

હું ઘટના જોઉં, સપના જોઉં ને જોઉં તને કાયમ,
મને ક્યાં હું કદી જોઉં છું, છે આરોપ મારા પર.

પારદર્શક લગાવ રાખું છું,
વાયુ જેવો સ્વભાવ રાખું છું.

જીવું છું એવું લાગે એથી તો,
રોજ થોડો તનાવ રાખું છું.

બે હાથ જોડતું પછી ચાલ્યું ગયું તિમિર,
આવીને કોઈ શ્વાસમાં દીવો કરી ગયું.

આભ જેવું વિસ્તરે છે જે સતત,
એને રસ્તા કે દિશાઓ કૈ નથી.

જળ રહે તો એની ગણના થાય છે,
જળ વગર ખાલી કિનારો કૈં નથી.

માત્ર ગતિથી ક્યાંય પહોંચાતું નથી,
ક્યાંક અધવચ્ચે પણ અટકવું પડે.

આગ અંદરની આ પાણીથી કદી બુઝાય નહિ,
આગ આ પ્રગટાવવામાં લોહીનું પાણી થયું.

-મહેશ દાવડકર

Comments (17)

અભ્યાસ – ગીતા પરીખ

અભ્યાસ કક્કા સમ જિંદગીનો
આરંભ કીધો ‘અ’ થકી અહો મેં,
અંતે પહોંચી ‘જ્ઞ’ સુધી છતાંયે,
રહી ખરા જીવનથી જ ‘અજ્ઞ’ !

– ગીતા પરીખ

આખી જિંદગી ભારે અભ્યાસમાં રચ્યા પચ્યા રહેતા લોકો ખરા જીવનને ચૂકી જાય છે. મુકુલભાઈનો યાદગાર શેર છે: હાથમાં રાખ્યા જીવનભર પેન ને પોથી સજનવા / પણ લખી અંતે જીવનની જોડણી ખોટી સજનવા !

Comments (8)