ઉદાસી આ સૂરજની આંખે ચડી છે,
તમારા વિના સાંજ ડૂસકે ચડી છે.
ભગવતીકુમાર શર્મા

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for યાદગાર ગીત

યાદગાર ગીત શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.




યાદગાર ગીતો… ના ! આ કંઈ અંત નથી સફરનો…

ગુજરાતી કવિતાઓની સહુથી વિશાળ વેબસાઈટના પાંચ વર્ષની ઉજવણી નિમિત્તે છેલ્લા પંદર દિવસોમાં આપણે ગુજરાતી સાહિત્યના ત્રીસ યાદગાર ગીતો કવિ-પરિચય અને ગીત-પરિચય સાથે માણ્યાં. વીસમી સદીના ઉત્તરાર્ધમાંશ્વાસ ભર્યા હોય એવા ત્રીસ જ ગીતકારનું ચયન અમે અમારા વાંચન અને સૂઝ-બૂઝના આધારે કર્યું છે ત્યારે ઘણા સારા ગીતકારોને અમે ચૂકી ગયા હોવાની પૂરેપૂરી વકી છે… એ તમામ ગીતકારોની ક્ષમાપ્રાર્થના સાથે યાદગાર ગીતોની આ શૃંખલા હાલ અહીં અટકાવીએ છીએ… પણ હા… આ કંઈ અંત નથી સફરનો… ‘લયસ્તરો’ની યાત્રા તો શક્ય હશે ત્યાં સુધી અનવરત ચાલુ જ રહેવાની…

…આશા રાખીએ કે આપ સહુને ગુજરાતી ગીતોની આ સફરમાં મજા પડી હશે…

-ધવલ-ઊર્મિ-વિવેક
(લયસ્તરો ટીમ)

Comments (11)

યાદગાર ગીતો :૩૦: હવે તારામાં રહું ? – મુકેશ જોષી

ખોટું ન લાગે તો વાત એક કહું
હું થોડા દિવસ હવે તારામાં રહું?

કામમાં હશે તો હું વાત નહીં માંડું
મૌનમાંય કોઈ દી ના છાંટા ઉડાડું
          સમણાંનો કાયદોય હાથમાં ન લઉં… હું થોડા દિવસ…

કોણ જાણે હિમશી એકલતા જામી
વૈદો કહે છે: હૂંફની છે ખામી
          કહે છે તારામાં લાગણી છે બહુ… હું થોડા દિવસ …

રોજ એક ઈચ્છા જો સામે મળે છે
આંખોમાં ભીનું થઈ નામ ટળવળે છે
          તારામાં તારાથી આગળ નહીં જઉં… હું થોડા દિવસ …

રસ્તામાં પાથરેલ કાંટા જો મળશે
મારી હથેળી પછી પગ તારો પડશે
          વેદનાનો ભાર હું એકલો જ સહું… હું થોડા દિવસ…

કહેણ મોસમનું કોઈ મને ભાવતું નથી,
મને સાચકલે મારામાં ફાવતું નથી.
          આમ ટીપાની ધાર બની ક્યાં સુધી વહું?…  હું થોડા દિવસ…

– મુકેશ જોષી

મુકેશ જોષી (૦૨-૧૦-૧૯૬૫) મુંબઈમાં રહે છે. આ પેઢીમાં રમેશ પારેખનો વારસો જાળવી શકે એવા ચંદ ગીતકારોમાંથી એક છે. ગીત ઉપરાંત ગઝલ અને બીજા અનેક પ્રયોગો કર્યા છે. (કાવ્યસંગ્રહ: કાગળને પ્રથમ તિલક)

મુકેશ જોષીનું આ ગીત પ્રિયજનમાં દૂધમાં સાકરની જેમ ભળી જવાની ઈચ્છા અજબ સુંવાળી રીતે વ્યક્ત થઈ છે. ‘હું થોડા દિવસ તારામાં રહું?’ એવી કોમળ માંગણી કરતા પહેલા પણ કવિ પૂછી લે છે, ‘તને ખોટું ન લાગે તો એક વાત કહું’ ! જરાય નડ્યા વિના પ્રિયજનના થઈ જવું એ બહુ મોટી વાત છે. પ્રિયજનના પગ કંટકમાં પડે એ પહેલા હથેળી ધરવાનું કામ બહુ અઘરું છે. અને છતાંય કવિને આ બધુ કરવાનું એક અરજના રૂપમાં કરે છે. એક એક પંક્તિઓમાં પ્રિયજનમાં રહી, પ્રિયજનના થઈ ને પ્રિયજનને પામી જવાનો મહિમા કોમળતમ શબ્દોથી ગવાયો છે. હજી કોઈ સંગીતકારે આ ગીતને સ્વરબદ્ધ કર્યુ નથી એ એક આશ્ચર્યની વાત છે.

Comments (6)

યાદગાર ગીતો :૨૯: પ્રેમ એટલે કે – મુકુલ ચોક્સી

પ્રેમ એટલે કે સાવ ખુલ્લી આંખોથી થતો મળવાનો વાયદો,
સ્વપ્નમાં પળાય એવો કાયદો;
પ્રેમ એટલે કે તારા ગાલોના ખાડામાં ડૂબી જતાં મારાં
ચોર્યાસી લાખ વહાણોનો કાફલો !

ક્યારેય નહીં માણી હોય એવી કોઈ મોસમનો કલરવ યાદ આવે- એ પ્રેમ છે,
દાઢી કરતાં જો લોહી નીકળે ને ત્યાં જ કોઈ પાલવ યાદ આવે- એ પ્રેમ છે;
પ્રેમ એટલે કે સાવ ઘરનો જ એક ઓરડો, હા, ઘરનો જ એક ઓરડો
ને તોયે આખા ઘરથી અલાયદો.

કાજળ આંજીને તને જોઉં તો તું લાગે એક છોકરી ને તે ય શ્યામવરણી,
વાદળ આંજીને જોતાં એવું લાગ્યું કે મને મૂકી આકાશને તું પરણી;
પ્રેમમાં તો ઝાકળ આંજીને તને જોવાની હોય અને
ફૂલોમાં ભરવાનો હોય છે મુશાયરો !

– મુકુલ ચોકસી

(જન્મ: ૨૧-૧૨-૧૯૫૯)

સંગીત અને સ્વર : સોલી કાપડિયા

[audio:http://urmisaagar.com/saagar/audio/01 Prem Aetle Ke.mp3]

 મુકુલ મનહરલાલ ચોક્સી.   જન્મે ને કર્મે સુરતી.  કવિ અને હાસ્ય કવિ.  મનોચિકિત્સક અને સેક્સોલોજીસ્ટ.  પિતા જાણીતા સાહિત્યકાર.  વિવેક કહે છે કે– સરવાળે ન મળ્યા હોય તો પસ્તાવું પડે એવો માણસ એટલે મુકુલભાઈ.  કેટલાક કવિઓ શબ્દ પાસે જઈને યાચના કરે, આરાધના કરે અને કવિતા કરે.  આ માણસ એવો કે શબ્દ જાતે એની પાસે આવે અને નવોન્મેષ પામી ગૌરવાન્વિત થાય. એના જબરદસ્ત કવિકર્મને કદાચ ર.પા.ની હરોળમાં મૂકી શકાય. (કાવ્યસંગ્રહો:  ‘તરન્નુમ’, ‘આજથી પત્રોને બદલે લખજે નક્ષત્રો સજનવા’, ‘તાજા કલમમાં એજ કે…’)

‘પ્રેમ એટલે કે’ ગીતનો પર્યાય એટલે મુકુલ ચોક્સી.  એમણે આ એક જ ગીત લખ્યું હોત તોય પ્રેમીઓનાં જગતમાં તેઓ ચિરસ્મરણીય રહેત.  આ ગીતની સફળતામાં આપણા સોલીભાઈનો ફાળો પણ અગત્યનો છે કે જેમણે એને સ્વરબદ્ધ કર્યું અને માત્ર લોકોનાં હોઠો પર જ નહીં, પરંતુ હૈયામાંય રમતું કર્યું.  પ્રેમની વ્યાખ્યા સંજોગો-સમય-વ્યક્તિ પ્રમાણે બદલાતી જ રહે છે, પરંતુ સંવેદના તો કાયમ એવી જ લીલીછમ્મ રહેતી હોય છે.  પ્રિયતમાનાં ગાલોના ખંજન પર પ્રેમીને ચોર્યાસી લાખ જન્મો કુરબાન કરી દેવાનું મન થાય, એ પણ પ્રેમ…  અને દાઢી કરવા જેવી સાવ સામાન્ય દૈનિકક્રિયામાંથી પ્રિયજનનું અસામાન્ય સ્મરણ થાય, એય પ્રેમ જ છે.  વળી, કવિએ ખૂબ મજાની અને સાવ સત્ય વાત કરી છે કે આપણા આ હૃદયરૂપી ઘરમાં તમામ સંવેદનાઓરૂપી ઓરડામાંથી પ્રેમની સંવેદનાનો ઓરડો સદાનો સાવ અલાયદો જ રહેવાનો.  મને અત્યારે એમનાં બીજા બે ગીતો પણ યાદ આવે છે, જે મને ખૂબ જ પ્રિય છે- તારા વિના કશે મન લાગતું નથી અને પ્રિય પપ્પા, હવે તો તમારા વગર

Comments (2)

યાદગાર ગીતો :૨૮: તો અમે આવીએ – વિનોદ જોશી

આપી આપીને તમે પીંછું આપો, સજન!
પાંખો આપો તો અમે આવીએ…

ચાંદો નીચોવી અમે વાટકા ભર્યા
ને એને મોગરાની કળીએ હલાવ્યા,
આટલા ઉઝરડાને શમણું ઓઢાડી
અમે ઉંબરની કોર લગી લાવ્યા

આપી આપીને તમે ટેકો આપો, સજન!
નાતો આપો તો અમે આવીએ…

કાગળમાં કાળઝાળ રેતી વિંઝાય
અને લેખણમાં બેઠી છે લૂ;
આંગળિયું ઓગળીને અટકળ થઈ જાય
અમે લખીએ તો લખીએ પણ શું ?

આપી આપીને તમે આંસુ આપો, સજન!
આંખો આપો તો અમે આવીએ…

– વિનોદ જોશી

વિનોદ જોશી એમના તળપદાં ગીતો માટે જાણીતા છે. સંબંધોમાં આપવામાં અડધુપડધું કશું ચાલે નહીં. કવિએ એ નાજૂક વાત આ ગીતમાં બખૂબી કહી છે. આટલા ઉઝરડાને શમણું ઓઢાડી, અમે ઊંબરની કોર લગી લાવ્યાં.આપી આપી ને તમે ટેકો આપો, સજન ! નાતો આપો તો અમે આવીએ. એ મારી અતિપ્રિય પંક્તિ છે.(જન્મ: ૧૩-૮-૧૯૫૫)

[audio:http://urmisaagar.com/saagar/audio/aapi-aapi-ne-tame-pichhu-aapo-sajan-Vinod-Joshi.mp3]
વિનોદ જોશી.  જન્મ બોરિંગડા-અમરેલી. મૂળ વતન બોટાદ.  ભાવનગર યુનિવર્સિટીમાં પ્રાધ્યાપક અને ગુજરાતી વિભાગનાં અધ્યક્ષ.  તળપદાં ગીતો માટે ખાસ જાણીતા કવિ.  ગીતોમાં ગ્રામ્યજીવનનો અદભૂત લહેકો અને લયનો અનુભવ કરાવનાર ઉત્તમ ગીતકાર.  બાળપણ સૌરાષ્ટ્રનાં ગ્રામપ્રદેશમાં વિતેલું હોવાથી તેઓ ગુજરાતી કવિતામાં તળપદાં લોકજીવનની મીઠાશને ખૂબ જ સુંદર રીતે ઘોળી શક્યા છે.  એમની ઘણી રચનાઓને એમણે નારીની સૂક્ષ્મ સંવેદનાઓથી  ખૂબ જ સુંદર રીતે સજાવી છે અને સ્ત્રીની સંવેદનાને વાચા આપી છે.  એમને ઉમાશંકર જોશી એવોર્ડ અને જયન્ત પાઠક પારિતોષિક પણ મળ્યાં છે.  

આ ગીતમાં પ્રિતમનાં બોલાવવાની રાહ જોતી પ્રિયતમા ખૂબ જ મજાની વાત કરે છે.  જો કે પ્રિયતમ સાક્ષાત ત્યાં નથી એટલે અટકળો કરીને કાગળમાં લખવાની ચેષ્ટા કરતી હોય એવું લાગે છે.   પ્રિયતમાએ એક પીંછાં જેવા આછકલા ને અલ્પજીવી સુખથી બિલકુલ ભોળવાઈ નથી જવું.  એને તો લાગણીની પાંખો જોઈએ છે, સ્નેહનાં અનંત આકાશમાં ઉડવા માટે.  માત્ર પ્રિયતમ માટે બધું છોડીને અને શમણાંઓ ઓઢીને આવેલી પ્રિયતમાને કોઈ એક-બે વાર મળેલો ક્ષણભંગુર ટેકો પણ નથી જોઈતો, એને તો શાશ્વત સંબંધ જોઈએ છે.  અને એ સંબંધમાં કળવાશરૂપી આંસુ નથી જોઈતા, એને તો સથવારાનું સ્વપ્ન સાકાર કરવા સ્વપ્નશીલ આંખો જોઈએ છે.  અને જો સ્નેહ-સંબંધો જાળવવા હોય તો પ્રિયતમે આટલું તો એને આપવું જ પડે ને !  આ જ વાત કવિ આ ગીતમાં ખૂબ જ નાજુકાઈથી કહી છે.  (તમને કદાચ આ ગીતનો આનાથી બીજો અર્થ પણ અભિપ્રેત હોઈ શકે!)

આ સાથે જ વિનોદભાઈનાં બીજા યાદગાર ગીતો યાદ આવ્યા વગર રહે જ નહીં; જેમ કે- કુંચી આપો બાઈજી, ડાબે હાથે ઓરુ સાજન લાપસી, એક કાચી સોપારીનો કટકો રે, ટચલી આંગલડીનો નખ, તું મીંઢણ જેવો કઠ્ઠણ, થાંભલીનો ટેકો ને ઓસરીની કોર, હું તો અડધી જાગું ને અડધી ઊંઘમાં, ખડકી ઉઘાડી હું તો અમથી ઊભી’તી, તને ગમે તે મને ગમે, વિગેરે વિગેરે…… (ક્યાંક તો મારે અટકવું પડે ને! 🙂 ) 

Comments (8)

યાદગાર ગીતો :૨૭: પાંદડી વાયરાને વળગી શું કામ ? – પન્ના નાયક

પાંદડી વાયરાને વળગી શું કામ ?
ડાળ ઉપર ઝૂલતી’તી
            ડાળ ઉપર ખૂલતી’તી
આમ એકાએક ડાળીથી અળગી શું કામ ?

વાયરો રોક્યો રોકાતો નથી કોઈથી,
પાંદડી શાને આ વાયરા પર મોહી’તી ?
હવે આંખડી આંસુમાં ઢળતી શું કામ ?
પાંદડી વાયરાને વળગી શું કામ ?

હવે મોસમમાં મ્હાલવાનો અવસર નથી,
પાંદડી પર વાસંતી અક્ષર નથી,
હવે ભવના જંગલમાં ભટકતી શું કામ ?
પાંદડી વાયરાને વળગી શું કામ ?
આમ એકાએક વાયરાથી સળગી શું કામ ?

પન્ના નાયક

(જન્મ: ૨૮-૧૨-૧૯૩૩)

સંગીત અને સ્વરકાર : અમિત ઠક્કર
સ્વર : ગાર્ગી વ્હોરા

[audio:http://urmisaagar.com/saagar/audio/07 – Paandadi vaayara ne valagi shu kaam.mp3]

પન્ના નાયક આપણા પહેલા દરજ્જાના કવયિત્રી છે. અભ્યાસ મુંબઈમાં પૂરો કર્યા પછી એ સાંઈઠના દાયકામાં ફિલાડેલ્ફીયા આવીને રહ્યા.  ત્યાંજ આગળ અભ્યાસ અને પછી અધ્યાપનનું કામ કરી નિવૃત થયા છે. ઘરને ત્યજીને જનારને, મળતી વિશ્વ તણી વિશાળતા- એ ન્યાયે, એમની કવિતા પણ એમના વિદેશ નિવાસને કારણે એટલી વધુ મ્હોરી છે. એમની કવિતાનું વિશ્વ મહદઅંશે એમનું અંગત વિશ્વ છે. લાગણીઓને જરાય ‘એડીટ’ કર્યા વિના સીધી જ કાગળ પર ઉતારવાની એમને અજબ ફાવટ છે. (કાવ્યસંગ્રહો: પ્રવેશ, ફિલાડેલ્ફીઆ, નિસ્બત, અરસપરસ, આવનજાવન, વિદેશિની – સમગ્ર કવિતા, ચેરી બ્લોસમ્સ, રંગઝરૂખે;  વેબસાઈટ: પન્નાનાયક.કૉમ)

આ ગીત પાંદડી-ડાળી-વાયરાના રૂપકના પ્રયોગથી સંબંધના સમીકરણોને સમજાવે છે. ડાળી પર ઉગવું પાંદડી માટે જેટલું સહજ છે, એટલું જ સહજ પાંદડીનું વાયરા સાથે વહી જવું પણ છે. વાયરાને વળગવું હોય તો ડાળીનો સહારો અવશ્ય છોડવો પડે. આમ છતાં પણ વાયરો કોઈનો થયો છે કે પાંદડીનો થવાનો ? આ સનાતન કથા અને એના અર્થઉભારોને કવિએ આ ગીતમાં નજાકતથી વણી લીધા છે.

Comments (9)

યાદગાર ગીતો :૨૬: પાસપાસે તોયે – માધવ રામાનુજ

પાસપાસે તોય કેટલાં જોજન દૂરનો આપણો વાસ !
જેમ કે ગગન સાવ અડોઅડ તોય છેટાંનો ભાસ.

રાતદીનો સથવાર તે સામે મળવાનું તો
કોઈ દ્હાડે સુખ મળતું નથી,
આવકારાનું વન અડાબીડ, બારણું ખોલી
ફળિયામાં સળવળતું નથી;
આંસુનેયે દઈ દીધો છે ભવનો કારાવાસ…
પાસપાસે તોય કેટલાં જોજન દૂરનો આપણો વાસ !

ઝાડથી ખરે પાંદડું એમાંય
કેટલાં કિરણ આથમ્યાનું સંભારણું હશે ?
આપણી વચ્ચે ‘આવજો’ની કોઈ ભીંત હશે,
કે યાદ જેવું કોઈ બારણું હશે ?
પડખે સૂતાં હોય ને લાગે સમણાંનો સહવાસ !
જેમ કે, ગગન સાવ અડોઅડ તોય છેટાંનો ભાસ.

– માધવ રામાનુજ

(જન્મ: ૪-૨૨-૧૯૪૫)

સંગીત: શ્યામલ-સૌમિલ મુનશી
સ્વર: ?

[audio:http://urmisaagar.com/saagar/audio/pas-pase-toye-Madhav-Ramanuj.mp3]

માધવ ઓધવજી રામાનુજ. જન્મ અને વતન અમદાવાદ જિલ્લાનું પચ્છમ ગામ. હાલ અમદાવાદમાં. અમદાવાદની સી.એન. કૉલેજ ઑવ આર્ટ્સમાં ચિત્રકળામાં ડિપ્લોમા અને એ જ સંસ્થામાં આચાર્ય તરીકે સેવા અને નિવૃત્તિ. કવિ, નાટ્યકાર, નવલકથાકાર અને અચ્છા ચિત્રકાર. લયમાધુર્ય અને ભાવની લવચીકતા એમની લાક્ષણિક્તા. ગ્રામ્યજીવન, રાધા-કૃષ્ણ અને પ્રકૃતિનું સુરેખ અનવરુદ્ધ રેખાંકન એટલે માધવ રામાનુજ.  (કાવ્યસંગ્રહો: ‘તમે’, ‘અક્ષરનું એકાંત’, ‘કલરવના દેશ’)

આ ગીત કેટકેટલાય લોકોના સાવ ‘અંગત’ દામ્પત્યજીવનનું પ્રતિબિંબ હશે ! પાસે હોવું અને સાથે હોવું એ બે વચ્ચેનો તફાવત કવિએ જે માધુરીથી અહીં આળેખ્યું છે એ કવિતાની ભીતરના આંસુને જાણે હળવાશથી લૂંછી આપે છે.  એક સંબંધ ખરે ત્યારે એ કેટકેટલા દિવસ-રાતના સંભારણાં લઈને ખરતો હોય છે ! ભીંત વળોટીને આરપાર જવું શક્ય નથી હોતું. ઔપચારિક ‘આવજો’ શું આવી જ કોઈ ભીંત નથી હોતી? ખરેલા સંબંધમાં આરપાર જવા માટે યાદની બારી સિવાય અવર શું હોઈ શકે? બાજુમાં જ સૂતેલા વજન પાસે પહોંચવા માટે શમણાંનો સહવાસ યાચવો પડે એ કરુણતાને આપણે શું કહીશું?

Comments (5)

યાદગાર ગીતો :૨૫: એમ પૂછીને થાય નહીં પ્રેમ – તુષાર શુક્લ

દરિયાના મોજાં કંઇ રેતીને પૂછે, ‘તને ભીંજાવું ગમશે કે કેમ ?’;
એમ પૂછીને થાય નહીં પ્રેમ.

ચાહવા ને ચૂમવામાં ઘટનાનો ભેદ નથી, એકનો પર્યાય થાય બીજું;
આંખોનો આવકારો વાંચી લેવાનો, ભલે હોઠોથી બોલે કે, ખીજું ?
ચાહે તે નામ તેને દઈ દો તમે રે ભાઈ અંતે તો હેમનું હેમ;
એમ પૂછીને થાય નહીં પ્રેમ.

ડગલે ને પગલે જો પૂછ્યા કરો તો પછી કાયમના રહેશો પ્રવાસી;
મન મૂકી મ્હોરશો તો મળશે મુકામ, એનું સરનામું- સામી અગાશી.
મનગમતો મોગરો મળશે, વટાવશો વાંધાની વાડ જેમ જેમ;
એમ પૂછીને થાય નહીં પ્રેમ.

– તુષાર શુક્લ

(જન્મ: ૨૯-૦૬-૧૯૫૫)

સંગીત: શ્યામલ – સૌમિલ
સ્વર: શ્યામલ મુનશી

[audio:http://urmisaagar.com/saagar/audio/em_puchhine_thaai_nahi_prem.mp3]

તુષાર દુર્ગેશ શુક્લ.  પિતા જાણીતા સાહિત્યકાર.  પોતે કવિ અને કુશળ સંચાલક ઉપરાંત આકાશવાણી-અમદાવાદ સાથે પણ સંકળાયેલા છે. ફિલ્મો-ટેલીવિઝન માટે પણ અનેક ગીતો લખ્યા છે. (કાવ્યસંગ્રહો: ‘તારી હથેળીને‘,’મારો વરસાદ’,’પૂછીને થાય નહીં પ્રેમ’,’આશકા’ અને ‘આ ઉદાસી સાંજની‘)

આ ગીતની ધ્રુવપંક્તિ આજકાલ પ્રેમી-પંખીડાઓ માટે કહેવતસમાન બની ગઈ છે એટલી હદે આ ગીત લોકપ્રિય થઈ ચૂક્યું છે.  તુષારભાઈનાં સરળ શબ્દોની કમાલને લોકોની જીભે રમતી કરવામાં અને આ ગીતને ચાર ચાંદ લગાડવામાં આપણા ગુજરાતી સુગમ સંગીતની લોકપ્રિય બેલડી શ્યામલ-સૌમિલભાઈઓનો ફાળો ખૂબ જ મહત્ત્વનો છે.  કિનારાની રેતીને ભીંજવવા માટે દરિયાએ પહેલા એની પરવાનગી લેવી પડતી નથી, એવી જ રીતે પૂછીને પૂછીને કદી પ્રેમ નથી પ્રગટતો.  પ્રેમનું પ્રાગટ્ય તો સાવ સહજ અને અનાયાસ છે.  વાંધાની વાડને વટાવીને એકમેકનાં અલગ અલગ અસ્તિત્વ અને વ્યક્તિત્વનો આદર કરવો એનું નામ પ્રેમ.  પુરુષનાં મિજાજને રજૂ કરતા આ ગીત પછી તુષારભાઈએ સ્ત્રીનાં મિજાજને રજૂ કરતું આવું જ એક બીજું ગીત પણ (આના જવાબરૂપે) તાજેતરમાં જ લખ્યું છે, એ પણ માણવાલાયક છે- મને મોજું થઈ મળવાને આવ ને…!

આ ઉપરાંત પણ ઘણા એમનાં ગીતો લોકપ્રિય થઈ ચૂક્યા છે, જેમ કે- આંખોમા બેઠેલા ચાતક કહે છે, શબ્દ કેરી પ્યાલીમાં, સંગાથે સુખ શોધીએ, સાવ અચાનક મૂશળધારે, હું અને તું નામના કાંઠાને તોડી, મારો સાહ્યબો અષાઢીલો મેઘ છે સખી, ટહૂકે ટહૂકે ઓગળવું એ પ્રેમ, તારી હથેળીને દરિયો માનીને કોઈ, વગેરે જેવા કેટલાંયે સુંવાળા ગીતો.

તા.ક.:

કવિશ્રી તુષારભાઈનાં શબ્દો આ ગીત વિશે…

‘એમ પૂછીને થાય નહીં પ્રેમ’ – એ રચનાને નવી પેઢીએ પ્રેમ કર્યો છે.  મેં એ મારી ઓફિસનાં ટેબલ પર લખેલી.  ચાહવા માટે પૂછવું જરૂરી નથી- એ વાત કહેવાની જરૂર લાગી, એ ક્ષણ એની પ્રેરણાની ક્ષણ. આ ગીતનો ઉઘાડ એની સફળતા છે.  મૂળ આ ગીત ‘એમ પૂછીને…’ થી શરૂ થતું હતું, પરંતુ સ્વરકારોએ ‘દરિયાનાં મોજા…’થી શરૂ કર્યું અને જામ્યું, આ એમનું યોગદાન !  સ્વરબદ્ધ થયા પછી સાંભળ્યું અને ગમ્યું… આ ઉઘાડ રહસ્ય જાળવે છે અને પછી નિર્ણય આવે છે- એમ પૂછીને થાય નહીં પ્રેમ !  એમાં આવતો ‘ખીજું ?’ એ સવાલ છે… ઉક્તિ છે ‘ખિજાવું’.  એ અર્થમાં રમતીયાળ expression ‘સામી અગાશી’ છે.  અહીં અગાશી સાથે જોડતા બધા જ સંદર્ભો યાદ કરી શકાય… એકપક્ષી પ્રેમનું પુરસ્કર્તા છે પણ પ્રયત્ન કરતા રહેવાની પ્રેરણા પણ આપે છે.  દરિયો ભિંજવશે એ શ્રદ્ધા છે એટલે રેતીને કોરા થવાનું મન થાય છે, કે રેતીને કોરી જુવે છે એટલે દરિયાને ભિંજવવા દોડી આવવાનું ગમે છે.  એ સંશોધનનો નહીં સંવેદનાનો વિષય છે.  તમને ગમ્યું એ મને ગમ્યું…

Comments (10)

યાદગાર ગીતો :૨૪: વ્હાલબાવરીનું ગીત – રમેશ પારેખ

સાંવરિયો રે મારો સાંવરિયો
હું તો ખોબો માગું ને દઈ દે દરિયો !

મને પૂછો કે ઘર મારું કેવડું
મારા વાલમજી બાથ ભરે એવડું

કોઈ હીરા જુવે તો કોઈ મોતી
મારી આંખો તો છેલજીને જોતી
જોતી રે રંગ કેસરિયો રે રંગ કેસરિયો

જાણે અત્તર ઢોળાયું રૂમાલમાં
એવી લથબથ ભીંજાણી હું વ્હાલમાં

મારા વાલમનું નામ મારું નાણું
મારા મનનું ગુલાલ જેવું ગાણું
જાણું કે એણે ખાલી ઘડામાં ટહુકો ભરીયો !

– રમેશ પારેખ

(જન્મ: ૨૭-૧૧-૧૯૪૦, મૃત્યુ: ૧૭-૫-૨૦૦૬)

સંગીત: સોલી કાપડિયા
સ્વર: નિશા કાપડિયા

[audio:http://urmisaagar.com/saagar/audio/66.Saavariyo re mharo.mp3]

રમેશ મોહનલાલ પારેખ.  ગુજરાતી કવિતાનું મોંઘેરું ઘરેણું.  જેટલું લખીએ એટલું ઓછું. થોડું આપ અહીં જાણી-માણી શક્શો.

ર.પા. તો ગીતના કવિ. એમનું યાદગાર કોઈ એક જ ગીત શોધવું એ તો કેવી વિમાસણનું કામ ! છેલ્લે કળશ ઢોળ્યો આ રચના પર. પ્રેમના સાગરમાં ગળાડૂબથી ય વધુ ડૂબવાનું (સાથે જીવવાનું પણ!) કંઈ શક્ય હોય તો એ રીતે ડૂબેલી પ્રેમઘેલીનું આ મદોન્મત્ત ગીત. લયનું તોફાન અને હેતની હેલીથી ગીત સાંવરિયાની દ્વિરુક્તિના ઉઠાવથી જ સરાબોળ ભીંજવે છે.  પ્રેમની ચરમસીમા પર ખોબાની સામે દરિયો જ અપાય. વહાલમની બાથ સિવાય બીજે ક્યાંય રહેવાનો વિચાર સુદ્ધાં ન આવે એ જ ખરી મુગ્ધતા. પ્રિયતમનું નામ જ પ્રેમનું ખરું ચલણ છે. અત્તર રુમાલ પર ઢોળાય ત્યારે કયો તાંતણો બાકી રહે? (આ પંક્તિ વાંચું ત્યારે અચૂક મકરંદ દવેનું ‘અમે રે સૂકું રૂનું પૂમડું‘ યાદ આવે)

Comments (5)

યાદગાર ગીતો :૨૩: બીક ના બતાવો ! – અનિલ જોશી

મારી કોઈ ડાળખીમાં પાંદડા નથી
મને પાનખરની બીક ના બતાવો !

પંખી સહિત હવા ચાતરીને જાય એવું અષાઢી દિવસોમાં લાગે,
આંબાનું સાવ ભલે લાકડું કહેવાઉં પણ મારામાં ઝાડ હજી જાગે;
માળામાં ગોઠવેલી સળી હું નથી
મને વીજળીની બીક ના બતાવો !

એકે ડાળીથી હવે ઝીલ્યો ન જાય કોઈ રાતી કીડીનોય ભાર,
એક પછી એક ડાળ ખરતી જોઈને થાય પડવાને છે કેટલી વાર ?
હું બરફમાં ગોઠવેલું પાણી નથી
મને સૂરજની બીક ના બતાવો !

મારી કોઈ ડાળખીમાં પાંદડા નથી
મને પાનખરની બીક ના બતાવો !

– અનિલ જોશી

(જન્મ: ૨૮-૭-૧૯૪૦)

સંગીત અને સ્વર : પુરુષોત્તમ ઉપાધ્યાય

[audio:http://urmisaagar.com/saagar/audio/Mari-Koi-Dalkhiman-kavi-anil-joshi-PU.mp3]

અનિલ રમાનાથ જોશી  કવિ ઉપરાંત નિબંધકાર તરીકે પણ જાણીતા છે.  જન્મસ્થળ ગોંડલ. વ્યવસાય અર્થે મુંબઈમાં વસવાટ.  આપણા ગુજરાતી સાહિત્ય જગતમાં ગીતોને એક નવતર વળાંક આપવામાં રમેશ પારેખની સાથે અનિલ જોશીનું નામ પણ કદાચ સૌથી મોખરે આવે. આધુનિક જીવનની અનુભૂતિને તાજગીભર્યા પ્રતીકો-કલ્પનો દ્વારા અવનવી રીતે એમણે પોતાની કવિતાઓમાં નિતારી છે.  મુખ્યત્વે ગીતમાં એમની હથોટી, પરંતુ એમણે ગઝલ ઉપરાંત ઘણી અછાંદસ રચનાઓ પણ કરી છે. એમનાં ‘સ્ટેચ્યૂ’ નિબંધસંગ્રહને ૧૯૯૦નાં વર્ષનો દિલ્હી સાહિત્ય અકાદમીનો પુરસ્કાર પણ મળ્યો હતો. (કાવ્યસંગ્રહો: ‘બરફનાં પંખી’ અને ‘કદાચ’, અને એ બંનેનાં પુનર્મુદ્રણ એટલે ‘ઓરાં આવો તો વાત કરીએ’; નિબંધસંગ્રહ: ‘સ્ટેચ્યૂ’, ‘પવનની વ્યાસપીઠે’, ‘જળની જન્મોતરી’)

એક ઝાડનાં ઠૂંઠાને જોઈને કવિશ્રીને સ્ફૂરેલું આ ગીત સાવ ખાલી થઈ ગયેલા માણસની ખુમારીનું ગીત છે.  ખાલીખમ્મ ડાળખીવાળા ઝાડને વળી પાનખરનો શો ભય ?  આપણને જીવનમાં પાનખરનાં આવવાનો સતત ભય લાગે છે કારણકે આપણે આપણા હોવાપણાનો ભાર કાયમ સાથે જ લઈને ચાલીએ છીએ. માણસ જો સાવ ખાલીખમ્મ થઈ શકે તો આવનારી કોઈપણ પરિસ્થિતિનો ભય રહેતો જ નથી. પરંતુ સાચું તો એ જ છે કે આ ખાલીખમ્મ થવાનું શિખવામાં જ આપણી આખી જીંદગી ખર્ચાઈ જતી હોય છે, અને તોય એ ક્યાં શીખી શકાય છે…  જો ખરેખર શીખી શકાય તો પાનખરમાં પણ લીલાછમ્મ ઝાડની સ્મૃતિમાત્ર આપણા પાંદડા વગરનાં ઠૂંઠાપણાને હર્યુભર્યુ રાખી શકે.

જો કે, આ યાદગાર ગીતની સાથે જ એમનાં બીજાં યાદગાર ગીતોય જરૂર યાદ આવે, જેવા કે- કન્યાવિદાય(સમી સાંજનો ઢોલ ઢબુકતો), અમે બરફનાં પંખી, આકાશનું ગીત, ઝીણા ઝીણા રે આંકેથી અમને, પેલ્લા વર્સાદનો છાંટો, તુલસીનું પાંદડું, અને બીજાં ઘણાય…

Comments (9)

યાદગાર ગીતો :૨૨: આભાસી મૃત્યુનું ગીત – રાવજી પટેલ

મારી આંખે કંકુના સૂરજ આથમ્યા…
મારી વે’લ શંગારો વીરા, શગને સંકોરો
રે અજવાળાં પહેરીને ઊભા શ્વાસ !
મારી આંખે કંકુના સૂરજ આથમ્યા…

પીળે રે પાંદે લીલા ઘોડા ડૂબ્યા;
ડૂબ્યાં અલકાતાં રાજ, ડૂબ્યાં મલકાતાં કાજ
રે હણહણતી મેં સાંભળી સુવાસ !
મારી આંખે કંકુના સૂરજ આથમ્યા…

મને રોકે પંછાયો એક ચોકમાં;
અડધા બોલે ઝાલ્યો, અડધો ઝાંઝરથી ઝાલ્યો
મને વાગે સજીવી હળવાશ !
મારી આંખે કંકુના સૂરજ આથમ્યા…

– રાવજી પટેલ

સંગીત : અજીત શેઠ
સ્વર :  ભૂપિંદર

[audio:http://urmisaagar.com/saagar/audio/Mari-Aankhe-Kankuna-suraj-Aathamya-Bhupinder.mp3]

‘શબ્દ એટલે નવરાત્રિનો ગરબો’ એમ લખનાર રાવજી પટેલ (જન્મ: ૧૫-૧૧-૧૯૩૯, મૃત્યુ: ૧૦-૦૮-૧૯૬૮)નો જન્મ ડાકોર પાસે વલ્લવપુર ગામમાં. પ્રાથમિક શિક્ષણ ડાકોરમાં ને એ પછી અમદાવાદમાં માધ્યમિક શિક્ષણ અને આર્ટસ કોલેજના બે વર્ષ. આર્થિક સંકડામણને લીધે નાની વયે નોકરી શરૂ કરી દીધી. એમની પ્રતિભાને કોઈ બરાબર ઓળખે એ પહેલા તો એ ક્ષયનો ભોગ બન્યા અને 28 વર્ષે  અવસાન પામ્યા. એમનો એકમાત્ર સંગ્રહ ‘અંગત’ એમના મૃત્યુના બે વર્ષ પછી પ્રગટ થયો.

આ ગીતનું આમ તો કોઈ નામ નથી. પણ મને પોતાને ગીતનું ‘અનઓફિશિયલ’ નામ – આભાસી મૃત્યુનું ગીત – બહુ ગમે છે એટલે મેં એ અહીં વાપર્યું છે.  લગ્નગીતનો ફરમો અને લગ્ન સંબંધિત શબ્દો-કલ્પનો (કંકુ, વે’લ, શગ, ઘોડો, ઝાંઝર) ને લઈને મૃત્યુ(ના આભાસ)નું ગીત લખવાનું કામ કોઈ માથાફરેલ કવિ જ કરે. આ ગીત ઉપર વિવેકે વાંચકોને પોતાનો અભિપ્રાય આપવા માટે આમંત્રણ આપેલું ત્યારે વાંચકોએ અભૂતપૂર્વ પ્રતિભાવથી આ ગીતને વધાવી લીધેલું. એ પછી વિવેકે પોતાની શૈલીમાં આ ગીતનો પરિચય આપેલો એનાથી વધારે મારે ખાસ કાંઈ લખવાનું હોય નહીં.

Comments (11)

યાદગાર ગીતો :૨૧: બોલ વાલમના – મણિલાલ દેસાઈ

ઉંબરે ઊભી સાંભળું રે બોલ વાલમના;
ઘરમાં સૂતી સાંભળું રે બોલ વાલમના.

ગામને પાદર ઘૂઘરા વાગે,
ઊંઘમાંથી મારાં સપનાં જાગે,
સપનાં રે લોલ વાલમનાં.
ઉંબરે ઊભી સાંભળું રે બોલ વાલમના.

કાલ તો હવે વડલાડાળે ઝૂલશું લોલ,
કાલ તો હવે મોરલા સાથે કૂદશું લોલ,
ઝૂલતાં ઝોકો લાગશે મને,
કૂદતાં કાંટો વાગશે મને,
વાગશે રે બોલ વાલમના.
ઘરમાં સૂતી સાંભળું રે બોલ વાલમના.

આજની જુદાઈ ગોફણ ઘાલી વીંઝશું લોલ,
વાડને વેલે વાલોળપાપડી વીણશું લોલ.
વીંઝતાં પવન અડશે મને,
વીણતાં ગવન નડશે મને,
નડશે રે બોલ વાલમના.
ઉંબરે ઊભી સાંભળું રે બોલ વાલમના.
ઘરમાં સૂતી સાંભળું રે બોલ વાલમના.

– મણિલાલ દેસાઈ

(જન્મ: ૧૯-૦૭-૧૯૩૯, મૃત્યુ: ૦૪-૦૫-૧૯૬૬)

પ્રસ્તાવના: હરીશ ભિમાણી
સંગીત: અજીત શેઠ
સ્વર: નિરુપમા શેઠ

[audio:http://urmisaagar.com/saagar/audio/Umbre-Ubhi-Shmbhalu-Nirupama-Seth.mp3]

મણિલાલ ભગવાનજી દેસાઈ. વલસાડના ગોરેગામમાં જન્મ અને યુવાવયે જ અમદાવાદમાં મૃત્યુ. એમ.એ. સુધી અભ્યાસ અને અધ્યાપકનો વ્યવસાય. લયમધુર ગીત, પ્રસન્નતાના મિજાજથી છલકાતી ગઝલ, ભાવસમૃદ્ધ સોનેટ અને અછાંદસ કાવ્યોમાં વ્યક્ત એમની બહુવિધ પ્રતિભાનું ઠેઠ એમના મૃત્યુપર્યંત જયંત પારેખ દ્વારા ‘રાનેરી’ રૂપે સંપાદન થવા પામ્યું. એમનાં કાવ્યોમાં નગરજીવનની સંવેદના, વન્યજીવનના આવેગો અને ગ્રામપ્રકૃતિની ધબક હૃદયસ્પર્શિતાથી આલેખાયાં હોવાથી તાજગીની અનુભૂતિ કરાવે છે. સુરેશ દલાલ એમને ‘અંધકારના રંગ, લય અને ગતિના કવિ’ તરીકે ઓળખાવે છે.

આ ગીત વિશે લયસ્તરો પર આગળ લખી ચૂક્યો છું, એમાં એક શબ્દ પણ બદલવાનું મન થતું નથી: ‘ગુજરાતી ભાષાનું મારું સૌથી પ્રિય પ્રતીક્ષા-ગીત એટલે મણિલાલ દેસાઈનું લોકપ્રિયતાની ચરમસીમા વટાવી ચૂકેલું આ ગીત. આ ગીત નથી, એક મુગ્ધાના મધમીઠાં ઓરતાનું શબ્દચિત્ર છે. ગ્રામ્ય પરિવેશ અહીં એટલી સૂક્ષ્મતાથી આલેખાયો છે કે આખું ગામ આપણી નજર સમક્ષ તાદૃશ થઈ ઊઠે છે. સૂતાં-જાગતાં, રમતાં-કૂદતાં ને રોજિંદા કામ કરતાં- જીવનની કે દિવસની કોઈ ક્રિયા એવી નથી જે વ્હાલમની ભીની ભીની યાદથી ભીંજાયા વિનાની હોય. ઠેઠ ગામને પાદર ઘૂઘરા વાગે તો એમાંય પ્રિયતમના આવણાંનો રણકાર સંભળાય છે. પગે કાંટો વાગે તો પણ વ્હાલમનો વાંક અને પવન છેડતી કરે તો એમાં ય પ્રીતમજીનો જ વાંક. પોતાની ને પોતાની ઓઢણી નડે તો એમાં ય વેરી વ્હાલો ! પ્રીતની પરાકાષ્ઠા અને પ્રતીક્ષાના મહાકાવ્ય સમું આ ગીત જે આસ્વાદ્ય રણકો વાંચનારની ભીતર જન્માવી શકે છે એ ગુજરાતી કવિતાની જૂજ ઉપલબ્ધિઓમાંની એક છે.

(ગવન=સ્ત્રીઓ દ્વારા પહેરાતું સુતરાઉ કાપડનું છાપેલું ઓઢણું)

Comments (8)

યાદગાર ગીતો :૨૦: એવું કાંઈ નહીં ! – ભગવતીકુમાર શર્મા

હવે પહેલો વરસાદ અને બીજો વરસાદ અને છેલ્લો વરસાદ
                                                                      એવું કાંઈ નહીં !
હવે માટીની ગંધ અને ભીનો સંબંધ અને મઘમઘતો સાદ,
                                                                      એવું કાંઈ નહીં !

સાવ કોરુંકટાક આભ, કોરોકટાક મોભ, કોરાંકટાક બધાં નળિયાં,
સાવ કોરી અગાસી અને તે ય બારમાસી, હવે જળમાં ગણો
                                                                      તો ઝળઝળિયાં !
ઝીણી ઝરમરનું ઝાડ, પછી ઊજળો ઉઘાડ પછી ફરફરતી યાદ,
                                                                      એવું કાંઈ નહીં !
હવે પહેલો વરસાદ અને બીજો વરસાદ અને છેલ્લો વરસાદ
                                                                      એવું કાંઈ નહીં !

કાળું ભમ્મર આકાશ મને ઘેઘૂર બોલાશ સંભળાવે નહીં;
મોર આઘે મોભારે ક્યાંક ટહુકે તે મારે ઘેર આવે નહીં.
આછા ઘેરા ઝબકારા, દૂર સીમે હલકારા લઇને આવે ઉન્માદ,
                                                                      એવું કાંઈ નહીં !
હવે પહેલો વરસાદ અને બીજો વરસાદ અને છેલ્લો વરસાદ
                                                                      એવું કાંઈ નહીં !

કોઈ ઝૂકી ઝરુખે સાવ કજળેલા મુખે વાટ જોતું નથી;
કોઈ ભીની હવાથી શ્વાસ ઘૂંટીને સાનભાન ખોતું નથી.
કોઈના પાલવની ઝૂલ, ભીની ભીની થાય ભૂલ, રોમે રોમે સંવાદ
                                                                      એવું કાંઈ નહીં !
હવે પહેલો વરસાદ અને બીજો વરસાદ અને છેલ્લો વરસાદ
                                                                      એવું કાંઈ નહીં !

-ભગવતીકુમાર શર્મા

[audio:http://urmisaagar.com/saagar/audio/Have-pehlo-varsaad-bhagvatidada-soli-kapadia.mp3]
સંગીત અને સ્વર: સોલી કાપડિયા

ભગવતીકુમાર શર્મા (જન્મ: ૩૧-૫-૧૯૩૪, સુરત) એ સુરતનું ગૌરવ છે. કવિ, વાર્તાકાર, નવલકથાકાર, નિબંધકાર, પત્રકાર અને વ્યંગલેખક એવી બહુવિધ પ્રતિભા ધરાવતા ભગવતીકુમારે સુરતના ‘ગુજરાતમિત્ર’ના તંત્રી વિભાગમાં અડધા દાયકા સુધી રહ્યા. સુરતની સઘળી સાંસ્કૃતિક પ્રવૃતિઓને વેગ આપવામાં એમનો મોટો હાથ. સાહિત્યકાર સામાન્ય રીતે રાજકીય ઘટનાઓથી દૂર રહે એવું જોવા મળે. પણ ભગવતીકુમારમાંનો પત્રકાર અને સાહિત્યકાર હંમેશ એકબીજાના પૂરક બની રહ્યા એ એમની વિશિષ્ઠ સિદ્ધિ. (કાવ્યસંગ્રહો: સંભવ, છંદો છે પાંદડાં જેનાં, ઉજાગરો)

આ ગીતનો આસ્વાદ વિવેકે એટલી એટલી સરસ રીતે કરાવેલો કે એ જ અહીં ટાંકું છું : વરસાદની ઋતુ આમ તો કેટલી વહાલી લાગતી હોય છે ! પહેલા વરસાદનો રોમાંચ જ કંઈ ઓર હોય છે. ભીની માટીની ગંધ અને એવો જ ભીનો ભીનો મઘમઘતો સંબંધ, આભ, મોભ કે અગાસી – ચારેકોર બધું જ તરબોળ, વરસાદ પછીનો ઊજળો ઊઘાડ, કાળાં ઘનઘોર આકાશનો બોલાશ, મોરના ટહુકારા, વીજળીના ઝબકારા, ખેડૂઓના હલકારે છલકાઈ જતી સીમ અને ઝૂકેલા ઝરુખે ઝૂકીને પ્રતીક્ષા કરતું પ્રિયજન – વરસાદ આપણા અને સૃષ્ટિના રોમેરોમે કેવો સમ-વાદ સર્જે છે ! પણ આજ વર્ષાની ઋતુમાં પ્રિયજનનો સાથ ન હોય તો? ચોમાસાનું આકાશ મિલનના મેહને બદલે વેદનાર્દ્ર વ્રેહ વરસાવે તો? ભગવતીકુમાર શર્માના આ ગીતમાં પ્રિયજનની અનુપસ્થિતિમાં વરસાદ એના બધા જ સંદર્ભો કઈ રીતે ખોઈ બેસે છે એ આંખે ભીનાશ આણે એ રીતે વરસી આવ્યું છે. વરસાદ તો ચોમાસું છે એટલે પડે જ છે પણ હવે એનો અર્થ રહ્યો નથી. શહેર ભલે ભીનું થતું હોય, કવિને મન તો આભેય કોરું અને મોભેય કોરો. નળિયાં પણ કોરાં અને અગાસી પણ કોરી. પણ મને જે સુક્કાશ અહીં પીડી ગઈ એ અગાસી સાથે બારમાસીના પ્રાસની છે. ઈચ્છો કે ન ઈચ્છો ચોમાસું તો આઠ મહિના પછી પાછું આવવાનું જ. પણ પ્રેયસીના પાછાં ફરવાની કોઈ જ આશા ન હોય ત્યારે જ કોઈ વિરહાસિક્ત હૈયું આવી અને આટલી કોરાશ અનુભવી શકે છે. સાવ કોરી અગાસી અને તે ય બારમાસી – જાણે હવે બારેમાસ અહીં કોઈ ચોમાસું આવનાર જ નથી….પાણીના નામે જે કંઈ ગણો એ બીજું કંઈ નહીં, માત્ર આંસુ…

Comments (13)

યાદગાર ગીતો :૧૯: ધારો કે એક સાંજ આપણે મળ્યા – જગદીશ જોષી

ધારો કે એક સાંજ આપણે મળ્યાં અને આપણે હળ્યાં
પણ આખા આ આયખાનું શું?
ખુલ્લી આ આંખ અને કોરી કિતાબ
એને ફરીફરી કેમ કરી વાંચશું?

માનો કે હોઠ સ્હેજ મ્હોરી ઉઠ્યા
ને છાતીમાં મેઘધનુષ ફોરી ઉઠ્યાં
પણ બળબળતી રેખાનું શું?

આકાશે આમ ક્યાંક ઝુકી લીધું
ને ફૂલોને ‘કેમ છો?’ પૂછી લીધું
પણ મૂંગી આ વેદનાનું શું?

માનો કે આપણે ખાધું-પીધું
અને માનો કે રાજ! થોડું કીધુંયે રાજ,
પણ ઝૂરતા આ ઓરતાનું શું?

ધારો કે રાણી! તમે જીતી ગયાં
અને ધારો કે વાયરા વીતી ગયા
પણ આ માંડેલી વારતાનું શું?

– જગદીશ જોષી

[audio:http://urmisaagar.com/saagar/audio/Dharo-ke-ek-sanj-Aapne-Malya-Bhupinder.mp3]
સંગીત: અજીત શેઠ
સ્વર: ભૂપિંદર

જગદીશ જોષી (જન્મ:9/10/ 1932, મુંબઇ. અવસાન: 21/9/1978) એટલે અભાવનો કવિ, વિષાદનો કવિ. પણ એમની જીવનકથા એમની કવિતાથી તદ્દન ઊલટી. મુંબઈમાં સદ્ધર કુટુંબમાં ઉછરેલા કવિને શરૂઆતથી શિક્ષણમાં રસ. એ જમાનામાં શિક્ષણનો અભ્યાસ કરવા માટે કવિ અમેરિકાની ખ્યાતનામ સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાં ગયેલા. પાછા ફરીને મુંબઈની શાળામાં પ્રિંસિપાલ થયા. સફળ કેરિયર છતાં કોઈક કારણસર શિક્ષણમાંથી એમનો રસ ઓછો થતો ગયો અને એ માણસ કવિતાનો થતો ગયો. 1968 પછી જ, એટલે કે છેલ્લા દસ વર્ષમાં જ એમણે ખરી કવિતા લખી. વિશ્વકવિતાના આસ્વાદ અને અનુવાદ પણ પુષ્કળ કર્યા. એમની કવિતામાં અભાવ અને વિષાદ શાને એ તો કોઈને કદી ખ્યાલ જ ન આવ્યો. પોતાની તબિયત પ્રત્યે બહુ બેદરકારી રાખી અને નાની ઉમ્મરે ચાલી નીકળ્યા. (કાવ્યસંગ્રહ : આકાશ, વમળનાં વન, મોન્ટા-કોલાજ)

દરેક સંબંધની એક ‘એક્સપાઈરી ડેટ’ હોય છે. એનાથી વધારે સંબંધને ચલાવી શકાતો નથી. પણ આપણે તો દરેક સંબંધ ખાધું પીધું ને રાજ કીધું ની જેમ જાણે સનાતન સંબંધ હોય એમ વિચારીને ચાલ્યા કરીએ છીએ. જ્યારે સંબંધ તૂટે અને સત્યની સમજણ આવે ત્યારે દિલમાંથી એક ચીસની જેમ સવાલ આવે … આવું કેમ ? આ ગીત એ વેદનાને વાચા આપવા માટે લખેલું છે.  પ્રેમના ઉડાન પછી જ્યારે વાસ્તવિકતાની ધરતી પર પાછું ‘ક્રેશ લેન્ડીંગ’ કરવાનું આવે ત્યારની આ વાત છે.  એ વખતે કવિનો પ્રશ્ન પણ આ માંડેલી વારતાનું શું? એક ઠંડા સૂસવાટાની જેમ ભોંકાય છે. …. કાશ, એ પ્રશ્નનો જવાબ કોઈને ખબર હોત.

Comments (11)

યાદગાર ગીતો :૧૮: રાધાનું નામ તમે – સુરેશ દલાલ

રાધાનું નામ તમે વાંસળીના સૂર મહીં વ્હેતું ના મેલો, ઘનશ્યામ !
સાંજ ને સવાર નિત નિંદા કરે છે ઘેલું ઘેલું રે ગોકુળિયું ગામ !

વણગૂંથ્યા કેશ અને અણઆંજી આંખડી કે ખાલી બેડાની કરે વાત,
લોકો કરે છે શાને દિવસ ને રાતડી મારા મોહનની પંચાત;
વળી વળી નીરખે છે કુંજગલી પૂછે છે: કેમ અલી ? ક્યાં ગઇ તી આમ ?
રાધાનું નામ તમે વાંસળીના સૂર મહીં વ્હેતું ના મેલો, ઘનશ્યામ !

કોણે મૂક્યું રે તારે અંબોડે ફૂલ એની પૂછી પૂછીને લિયે ગંધ,
વહે અંતરની વાત એ તો આંખ્યુની ભૂલ જો કે હોઠોની પાંખડીઓ બંધ;
મારે મોંએથી ચહે સાંભળવા સાહેલી માધવનું મધમીઠું નામ,
રાધાનું નામ તમે વાંસળીના સૂર મહીં વ્હેતું ના મેલો, ઘનશ્યામ !

– સુરેશ દલાલ

(જન્મ: ૧૧-૧૦-૧૯૩૨)

સંગીત: ક્ષેમુ દિવેટિયા
સ્વર: હંસા દવે ?

[audio:http://urmisaagar.com/saagar/audio/RADHA-NUN-NAAM-Sangeet-Sudha.mp3]

સંગીત સંયોજન: શ્યામલ-સૌમિલ મુન્શી
સ્વર: આરતી મુન્શી

[audio:http://urmisaagar.com/saagar/audio/Radha-Nun-Naam-Arti-Munsi.mp3]

સુરેશ પુરુષોત્તમદાસ દલાલ. કવિ ઉપરાંત નિબંધકાર, બાળસાહિત્યકાર અને સંપાદક. જન્મ થાણામાં. ૧૯૪૯માં મેટ્રિક. ૧૯૫૩માં ગુજરાતી વિષય સાથે બી.એ., ૧૯૫૫માં એમ.એ. અને ૧૯૬૯માં પી.એચ.ડી. ૧૯૫૬માં મુંબઈની કે.સી.સાયન્સ કૉલેજમાં ગુજરાતીના અધ્યાપક. ત્યારબાદ ૧૯૬૦થી ૧૯૬૪ સુધી એચ.આર.કૉલેજ ઑફ કોમર્સમાં, ૧૯૬૪થી ૧૯૭૩ સુધી કે.જે.સોમૈયા કૉલેજમાં અને ૧૯૭૩થી એસ.એન.ડી.ટી. વિમેન્સ યુનિવર્સિટીમાં ગુજરાતીના અધ્યક્ષ. ૧૯૯૨માં નિવૃત્ત. ૧૯૮૯માં ‘ઈમેજ પબ્લિકેશન’ વૈયક્તિક સાહસ રૂપે શરૂ કર્યું. મિત્રો સાથે મળીને ૧૯૯૪માં ‘ઈમેજ પબ્લિકેશન પ્રાઈવેટ લિમિટેડ’ કંપની સ્થાપી. ૧૯૬૭થી ‘કવિતા’ માસિકના સંપાદક. ૧૯૮૩નો રણજિતરામ સુવર્ણચંદ્રક. સતત લખતા રહેતા આ કવિની ઘણી કવિતાઓ ઘણી જ લોકપ્રિય બની છે. એમની સમગ્ર કાવ્યસૃષ્ટિમાં ગીતો અને ઊર્મિકાવ્યનો ફાલ માતબર, વિપુલ અને વિવિધતાવાળો છે. સંપાદનક્ષેત્રે તેમનું પ્રદાન મહત્ત્વનું છે. સાહિત્યના પ્રસાર, પ્રચાર, પ્રકાશન માટે પણ તેમના અવિરત પ્રયત્નો ચાલુ છે. (ગુજરાતી સાહિત્ય પરિષદનાં સૌજન્યથી )

રાધાની વકીલાત કરતી ગોપી કૃષ્ણને વાંસળીનાં સૂરમાં રાધાનું નામ વહેતું ન મૂકવાની ભલામણનાં કંઈ કેટલાયે કારણો આપે છે, પણ એમાં ફરિયાદનો સૂર તો જરાયે સંભળાતો જ નથી. જો કે, જે ગમતું હોય એની ના પાડવામાંય એક અનેરી મજા હોય છે; કારણ કે એ ‘ના’માં જ તો ‘હા’ હોય છે… 🙂  ન્યુજર્સીમાં ૨૦૦૭માં સુ.દ.ની ૭૫મી વર્ષગાંઠની ઉજવણી વખતે પ્રશ્નોત્તરી દરમ્યાન આ ગીત વિશે એમણે કહેલી એક અંગત વાત, એમનાં જ શબ્દોમાં:   કુંવારો હતો ત્યારે એક રવિવારે એક છોકરીવાળા મને જોવા આવેલાં અને તેઓ એમની છોકરીને જબરદસ્તી મને વળગાડવા માંગતા હતાં… ત્યારે કંટાળામાંથી આવેલું આ પ્રસન્નતાનું ગીત… “રાધાનું નામ તમે વાંસળીનાં સૂર મહીં વહેતું ના મેલો ઘનશ્યામ…” અને આ ભજન નથી, પ્રણયકાવ્ય છે !  આ જ ગીતની જેમ મને યાદ આવે એમનું મને ઘણું ગમતું ડોસા-ડોસીનું લોકપ્રિય ગીત… કમાલ કરે છે, કમાલ કરે છે, એક ડોસી ડોસાને હજુ વ્હાલ કરે છે !

Comments (9)

યાદગાર ગીતો :૧૭: – ને તમે યાદ આવ્યાં – હરીન્દ્ર દવે

પાન લીલું જોયું ને તમે યાદ આવ્યાં,
              જાણે મૌસમનો પહેલો વરસાદ ઝીલ્યો રામ,
.               એક તરણું કોળ્યું ને તમે યાદ આવ્યાં.

ક્યાંક પંખી ટહુક્યું ને તમે યાદ આવ્યાં,
.               જાણે શ્રાવણના આભમાં ઉઘાડ થયો રામ,
.               એક તારો ટમક્યો ને તમે યાદ આવ્યાં.

જરા ગાગર ઝલકી ને તમે યાદ આવ્યાં,
.               જાણે કાંઠા તોડે છે કોઈ મહેરામણ હો રામ,
.               સહેજ ચાંદની છલકી ને તમે યાદ આવ્યાં.

કોઈ ઠાલું મલક્યું ને તમે યાદ આવ્યાં,
.              જાણે કાનુડાના મુખમાં વ્રેમાંડ દીઠું રામ,
.              કોઈ આંખે વળગ્યું ને તમે યાદ આવ્યાં.

કોઈ આંગણે અટક્યું ને તમે યાદ આવ્યાં,
             જાણે પગરવની દુનિયામાં શોર થયો રામ,
.              એક પગલું ઊપડ્યું ને તમે યાદ આવ્યાં.

– હરીન્દ્ર દવે 

(જન્મ: ૧૯-૯-૧૯૩૦, મૃત્યુ: ૨૯-૩-૧૯૯૫)

સંગીત: પુરુષોત્તમ ઉપાધ્યાય
સ્વર: હંસા દવે

સંગીત સંયોજન: સોલી કાપડિયા
સ્વર: સોનાલી વાજપાઈ

સંગીત: મેહુલ સુરતી (રીમીક્ષ)
સ્વર: દ્રવિતા ચોક્સી

હરીન્દ્ર જયંતીલાલ દવે. કવિ ઉપરાંત નવલકથાકાર, નિબંધકાર, વિવેચક, પદ્યકાર, સંપાદક અને અનુવાદક. જન્મ કચ્છના ખંભરા ગામમાં. ૧૯૫૧માં મુંબઈ યુનિવર્સિટીમાંથી ગુજરાતી વિષય સાથે બી.એ. ૧૯૬૧માં એમ.એ. ૧૯૫૧થી ૧૯૬૨ દરમિયાન ‘જનશક્તિ’ દૈનિકના તંત્રી. ૧૯૬૨થી ૧૯૬૮ સુધી ‘સમર્પણ’ સામયિકના સંપાદક. ‘સમકાલીન’ વર્તમાનપત્રમાં તંત્રી. ૧૯૬૮થી ૧૯૭૩ સુધી યુસિસની મુંબઈ ઑફિસમાં ગુજરાતી વિભાગના તંત્રી. ૧૯૭૮માં સાહિત્ય અકાદમી, દિલ્હીનો એવૉર્ડ. ૧૯૮૨નો રણજિતરામ સુવર્ણચંદ્રક. તેઓ મુખ્યત્વે ગીતકાર અને ગઝલકાર છે. સાંપ્રત જીવનની એકલતા કે વ્યથાને વાચા આપતી દીર્ઘરચનાઓ પણ રચી છે. એમની નવલકથાઓમાં સ્ત્રીપુરુષ સંબંધોની સમસ્યાઓ આકારિત થઈ છે. ચિંતનાત્મક લેખો – નિબંધો, કવિતા આસ્વાદ, પરિચયાત્મક પુસ્તિકાઓ તેમની પાસેથી મળે છે. વર્ષો સુધી કટારલેખન કર્યું છે. (ગુજરાતી સાહિત્ય પરિષદનાં સૌજન્યથી)

હરીન્દ્રભાઈનાં કોઈ ગાયક-ગાયિકા એવા નહિ હોય કે જેમણે હરીન્દ્રભાઈનાં ગીતો ગાયા ન હોય. લતા મંગેશકરથી માંડીને શાળાઓ સુધીનાંએ એમનાં ગીતોને હોંશે હોંશે ગાયા છે. એમનાં ગીતોમાંથી એક ગીત પસંદ કરવું કપરું થઈ પડે… કારણ કે તરત જ મનમાં ગીતોની લાઈન લાગી જાય; જેમ કે- માધવ ક્યાંય નથી મધુવનમાં, એક રજકણ, અનહદનો સૂર,  ગુલાલ કરી ગઈ,  જાણીબૂજીને, મેળાનો મને થાક લાગે, તેં પૂછ્યો’તો પ્રેમનો મર્મ, અમોને નજરું લાગી, રાધાની લટની લહેરાતી કાળાશે– જેવા બીજાં કેટલાય લોકપ્રિય ગીતો… આજે તો આ ગીત પસંદ કર્યું, પણ કાલે જો ફરી પસંદ કરવા બેસું, તો નક્કી ગીત બદલાઈ જાય.  લીલાછમ્મ વિરહનું આ legendary ગીત આજે પણ એટલું જ લીલુંછમ્મ અને તાજા કોળેલા તરણા જેવું ચેતનવંતુ લાગે છે.  ગીતમાં પ્રિયનો વિરહ છે, પરંતુ એ વિરહની વેદના નથી. સ્મૃતિનો માત્ર આનંદ જ આનંદ છે.  સ્મૃતિની ભરતી છે, પણ ઝંઝાવાત નથી.  હૈયાને ઠંડક પહોંચાડનારી પ્રિયજનની સ્મૃતિનો મધુર કલશોર છે.  એટલે જ કદાચ કવિશ્રી સુરેશ દલાલે આ ગીતને ‘સ્મૃતિનું નાનકડું ઉપનિષદ’ કહીને બિરદાવ્યું છે.  કવિએ ભાવકો માટે આ ગીતની ભાવસૃષ્ટિ સાવ મોકળી રાખી હોય એવું લાગે છે, જાણે કે કોઈ પણ ભાવક એમનાં ભાવપ્રદેશમાં આસાનીથી પહોંચી શકે છે…

Comments (13)

યાદગાર ગીતો :૧૬: અમીં નહીં ! અમીં નહીં ! -પ્રદ્યુમ્ન તન્ના

રમતું’તું રાત્ય દંન જીભે જિનું નામ
ઈ જીવતો ને જાગતો જો આવી મળ્યો આમ
તો ઝબ્બ લીધો ઝાલી, હવે છોડે ઈ બીજાં
સઈ ! અમીં નહીં ! અમીં નહીં !

જેટલું સુગાળવી નજરે નિહાળી રિયાં
આવતાં ને જાતાં સહુ લોક
એટલું હસીને અમીં જૂઠી મરજાદનાં
ઓઢણ ઉતાર્યાં છડેચોક !
એ જી ઊભી બજાર બીચ વીંટ્યો કાળો કામળો
કે ઓર કો’ મલીર હવે ઓઢે ઈ બીજાં
સઈ ! અમીં નહીં ! અમીં નહીં !

ઘેર ઘેર થાય ભલે વાત્યું વગોવણીની
જીવને ના છોભ જરી થાતો,
જગના વે’વારથી વેગળો તે વ્હાલપનો
જોઈ બૂઝી બાંધ્યો છે નાતો !
એ જી ભવભવના ભાગ લેધાં આંકી લેલાડ
કે ચાંદલો ગમે તે હવે ચોડે ઈ બીજાં
સઈ ! અમીં નહીં ! અમીં નહીં !

– પ્રદ્યુમ્ન તન્ના

(જન્મ : ૦૭-૦૭-૧૯૨૯ – મરણ: ૩૦-૦૮-૨૦૦૯)

ભાવનગરના અધેવાડામાં જન્મેલા પ્રદ્યુમ્ન તન્ના ગોત્રે ઘોઘારી લોહાણા પણ બાળપણના પહેલા પાંચ વર્ષ દહાણુમાં વીત્યા. મૂળ વતનની રહેણી-કરણી અને તળપદી બોલી ગુજરાત-મહારાષ્ટ્રની સંધિ પર આવેલા એ ગામમાં એમના લોહીમાં લોહી થઈ ભળ્યા. એમ.એ. સુધીનો અભ્યાસ અને ચિત્રકળા, છબીકળા અને કવિતા પર ભારે હથોટી. ગુજરાતના મોટાભાગના લબ્ધપ્રતિષ્ઠ સામયિકોને એમની પીંછી અને કેમેરાનો લાભ કલમ ઉપરાંત મળતો રહ્યો છે. કાયમી વસવાટ ઇટાલીના કોમો શહેરમાં કર્યો અને ઇટાલિઅન યુવતી રોઝાલ્બા સાથે લગ્ન કર્યા પણ તળપદી ભાષા જે રસાળતાથી એમની કવિતામાં ઊતરી આવી છે એ વરદાન તો ગુજરાતમાં વસતા ઘણાં દિગ્ગજ કવિઓને પણ પ્રાપ્ત નથી થયું. ત્રણેક મહિના પહેલાં જ એમનો ક્ષર-દેહ નાશ પામ્યો પણ એમનો અ-ક્ષરદેહ એકમાત્ર કાવ્યસંગ્રહ ‘છોળ’ નામે આપણી વચ્ચે કાયમ રહેવાનો…

રાત-દિવસ જેનું નામ હોઠે રમતું હતું એ પ્રિયજન જીવતો જાગતો મળી જાય તો સંસારની લાજ-શરમ નેવે મૂકીને એને ઝબ્બ દઈ ઝાલવાનો જ હોય. એને પછી પડતો મેલે એ બીજા, અમે નહીં, અમે નહીંની નિતાંત પ્રણયોક્તિનું આ ગીત ભલે ૧૯૮૭માં લખાયું હોય એની પૂર્વભૂમિકા ૧૯૬૮ની છે. કવિના પોતાના શબ્દોમાં આ ગીત માણીએ:

૧૯૬૫ના સપ્ટેમ્બર દરમિયાન હું અને રોઝાલ્બા નેપલ્સમાં પરણ્યાં. ઝઝા અંતર અને ખર્ચની સમજી શકાય એવી બાધાને લઈ એકેય કુટુંબી એ ટાણે હાજર રહી શક્યું નહોતું. પત્ની સંગ ભારત પાછાં ફરતાં સંજોગોવશાત્ ત્રણેક વર્ષો નીકળી ગયાં. પહેલી જ વાર ઘરે આવતી પરદેશી વહુને જોવા કુટુંબ આખુંય ભેળું મળ્યું. બાપુએ રમૂજમાં સવાલ કર્યો, ‘દીકરી! તારે ગામ કોઈ ન જડ્યો તે મારા દીકરાનો હાથ ઝાલ્યો?!’ સવાલને સમજતાંની સાથે જ બાપુ સંગ આંખ પરોવતી એ બોલી, ‘બાપુજી ! ભાગ જાતું’તું મારે રસ્તે થઈ, ઓળખ્યું ને ઝબ્બ લીધું ઝાલી, હવે છોડે ઈ બીજા!’ સ્થળ-કાળ, દેશ-વિદેશ, રહેણી-કરણી, ધર્મ અને ભાષાની ભિન્નતાને સાંકળતા પ્રેમોદગાર થકી નીપજ્યું છે આ વ્રજ ગીત

Comments (6)

યાદગાર ગીતો :૧૫: આ નભ ઝુક્યુ તે કાનજી ને – પ્રિયકાન્ત મણિયાર

આ નભ ઝૂક્યું તે કાનજી ને ચાંદની તે રાધા રે.
આ સરવર જલ તે કાનજી ને પોયણી તે રાધા રે.

આ બાગ ખીલ્યો તે કાનજી ને લ્હેરી જતી તે રાધા રે,
આ પરવત-શિખર કાનજી ને કેડી ચડે તે રાધા રે. 
આ નભ o

આ ચાલ્યાં ચરણ તે કાનજી ને પગલી પડે તે રાધા રે,
આ કેશ ગૂંથ્યા તે કાનજી ને સેંથી પૂરી તે રાધા રે. 
આ નભ o

આ દીપ જલે તે કાનજી ને આરતી તે રાધા રે,
આ લોચન મારા કાનજી ને નજરું જુએ તે રાધા રે. 
આ નભ o

– પ્રિયકાન્ત મણિયાર 

(જન્મ: ૨૪-૦૧-૧૯૨૭, મૃત્યુ: ૨૫-૦૬-૧૯૭૬)

સંગીત : અજીત શેઠ
પ્રસ્તાવના: હરીશ ભિમાણી
સ્વર : અજીત શેઠ અને નિરુપમા શેઠ
આલ્બમ: મારી આંખે કંકુનાં સૂરજ આથમ્યાં

[audio:http://urmisaagar.com/saagar/audio/Aa-Nabh-zhukyu-Te-Nirupama-Seth.mp3]

સંગીત સંયોજન: શ્યામલ-સૌમિલ મુનશી
પ્રસ્તાવના: તુષાર શુક્લ
સ્વર: સૌમિલ મુનશી અને આરતી મુનશી
આલ્બમ: મોરપિચ્છ

[audio:http://urmisaagar.com/saagar/audio/Aa-Nabh-Zukyun-Te-Arti-munsi.mp3]

પ્રિયકાન્ત પ્રેમચંદ મણિયાર.  વિરમગામમાં જન્મ, અમરેલીનાં વતની અને  ધોરણ ૯ સુધી અભ્યાસ.  અમદાવાદમાં વર્ષો સુધી મણિયારનો વ્યવસાય એમણે કર્યો, પરંતુ જ્યારે એમનું પ્રથમ ગદ્યકાવ્ય એકરાર ૧૯૪૭માં (અમદાવાદની ન્યૂ હાઈસ્કૂલમાં ભણતા ત્યારે) ‘કુમાર’માં પ્રગટ થયેલું ત્યારે જ ગુજરાતને તેમનો સાચો પરિચય થયેલો.   ગુજરાતી સાહિત્યની ભવ્ય ઈમારતનાં ચણતરમાં નોંધપાત્ર ફાળો. ૧૯૮૨માં સાહિત્ય અકાદમી દિલ્હીનો પુરસ્કાર પ્રાપ્ત થયેલો.  કાવ્યસંગ્રહો: પ્રતિક, અશબ્દ રાત્રી, સ્પર્શ, સમીપ, પ્રબલગતિ, વ્યોમલિપિ, લીલેરો ઢાળ.

રાધા-કૃષ્ણનાં શાશ્વત સખ્યભાવને ઉજાગર કરતી કવિશ્રીની આ પ્રિયતમ રચના, જેને દરેક કવિસંમેલનના અંતે તેઓ આરતીરૂપે સ્વકંઠે અવશ્ય ગાતાં.  રાધા-કૃષ્ણ એટલે પ્રેમની આગવી પરિભાષા.  પ્રકૃતિનાં પદાર્થોની એકરૂપતાની સરખામણી રાધા-કૃષ્ણનાં પ્રેમ સાથે કરીને કવિએ અહીં પ્રેમની શાશ્વતતા દર્શાવી છે.  જેમ ચાંદનીનું રેલાવું આભ વિના અને પોયણીનું ખીલવું સરવર-જલ વિના શક્ય નથી, તેમ જ આભની શોભા ચાંદની વિના અને સરવર-જલની શોભા પોયણી વિના અધૂરી જ રહેવાની.  એક કન્યાનાં ગૂંથેલા કેશની શોભા પણ ત્યારે જ વધુ દિવ્ય બને છે જ્યારે એની સેંથીમાં રાધાતત્ત્વરૂપી સિંદૂર પૂરાય છે.  આખા ગીતમાં કવિએ એક વાત બખૂબી દર્શાવી છે કે નભ, સરવર-જલ, બાગ, પર્વત-શિખર, ચરણ, ગૂંથેલા કેશ, દીપ અને લોચનની જેમ કૃષ્ણનું એકલાનું અસ્તિત્વ રાધા વિના જરૂર હોઈ શકે… પરંતુ ચાંદની, લ્હેરી, પર્વત પર જતી કેડી, પગલી, સેંથી, આરતી અને નજરુંનું જેમ એકલી રાધાનું અસ્તિત્વ શક્ય જ નથી.  રાધા વિનાનો કાનજી જરૂર અધૂરો છે, પરંતુ કાનજી વિનાની રાધાનું તો કોઈ અસ્તિત્વ જ નથી- એ વાત કવિએ અહીં ખૂબ જ સચોટ રીતે રજૂ કરી છે.

Comments (5)

યાદગાર ગીતો :૧૪: આપણો ઘડીક સંગ – નિરંજન ભગત

કાળની કેડીએ ઘડીક સંગ
          રે ભાઈ, આપણો ઘડીક સંગ;
આતમને તોય જનમોજનમ લાગી જશે એનો રંગ !

ધરતી આંગણ માનવીના આ ઘડીક મિલનવેળા,
વાટમાં વચ્ચે એક દી નકી આવશે વિદાયવેળા,
તો કેમ કરીનેય કાળ ભૂલે ના એમ ભમીશું ભેળા !
હૈયાનો હિમાળો ગાળી ગાળીને વહશું હેતની ગંગ ! 

પગલે પગલે પાવક જાગે ત્યાં ઝરશું નેનની ઝારી,
કંટકપથે સ્મિતવેરીને મ્હોરશું ફૂલની ક્યારી,
એકબીજાને જીતશું, રે ભાઈ, જાતને જાશું હારી !
ક્યાંય ના માય રે આટલો આજ તો ઉરને થાય ઉમંગ !

– નિરંજન ભગત

(જન્મ:૧૮-૫-૧૯૨૬)

સંગીત : આશિત દેસાઈ
સ્વર : આશિત દેસાઈ -હેમા દેસાઈ

[audio:http://tahuko.com/gaagar/layastaro/aapano ghadik sang-niranjan%20bhagat.mp3]

નિરંજન નરહરિલાલ ભગત.  સાહિત્યનો ચલતો ફરતો ખજાનો છે. આપણા મોટા ગજાના કવિઓમાં નિરંજન પહેલા એવા કવિ જે ગામડાને બદલે શહેરમાં ઉછરેલા. ગુજરાતી કવિતા એ રીતે એક બીંબામાંથી છૂટી. ‘છંદોલય’માં એ કવિતાને એવા ઊંચા સ્તરે લઈ ગયા કે પછી પાછળથી નિરંજન ભગત પોતે પણ એને પહોંચી શક્યા નહીં. વિશ્વસાહિત્યના ઉત્તમ અભ્યાસીઓમાંથી એક. એમના વિવેચન લેખો અને પ્રવચનો આપણી મોંઘેરી મૂડી છે. (કાવ્યસંગ્રહો: છંદોલય, પ્રવાલદ્વિપ, કિન્નરી, 33 કાવ્યો )

આ ટૂંકા જીવનને પ્રિયજનના સંગમાં માણી લેવાની વાત નિરંજન ભગત બહુ ઉત્તમ રીતે કરે છે. દરેક સંબંધમાં ઉતરાવ ચડાવ તો આવે જ છે. એવા વખતે કવિ કહે છે – હૈયાનો હિમાળો ગાળી ગાળીને વહશું હેતની ગંગ ! ને છેલ્લે ગુજરાતી કવિતાની અવિસ્મરણીય પંક્તિઓમાંથી એક આવે છે – એકબીજાને જીતશું, રે ભાઈ,જાતને જાશું હારી ! આ ગીત હંમેશા મનને સંતોષ અને આનંદ આપી જાય છે.

Comments (6)

યાદગાર ગીતો :૧૩: ગમતાંનો કરીએ ગુલાલ – મકરન્દ દવે

ગમતું મળે તો અલ્યા, ગૂંજે ન ભરીએ
.                                 ને ગમતાંનો કરીએ ગુલાલ.

આડા દે આંક એ તો ઓશિયાળી આંગળી,
પંડમાં સમાય એવી પ્રીતિ તો પાંગળી,
સમદરની લ્હેર લાખ સુણી ક્યાંય સાંકળી?
ખાડા ખાબોચિયાને બાંધી બેસાય, આ તો
.                                        વરસે ગગનભરી વ્હાલ.

ગાંઠે ગરથ બાંધી ખાટી શું જિંદગી ?
સરી સરી જાય એને સાચવશે કયાં લગી?
આવે તે આપ કરી પળમાં પસંદગી,
મુઠ્ઠીમાં રાખતાં તો માટીની પાંદડી
.                                          ને વેર્યે ફોરમનો ફાલ.

આવી મળ્યું તે દઈશ આંસુડે ધોઈને,
ઝાઝેરું જાળવ્યું તે વ્હેલેરું ખોઈને,
આજ પ્રાણ જાગે તો પૂછવું શું કોઈને?
માધવ વેચંતી વ્રજનારીની સંગ, તારાં
.                                           રણકી ઊઠે કરતાલ !

ગમતું મળે તો અલ્યા, ગૂંજે ન ભરીએ
.                              ને ગમતાંનો કરીએ ગુલાલ.

– મકરન્દ વજેશંકર દવે
(જન્મ: ૧૩-૧૧-૧૯૨૨, મૃત્યુ: ૩૧-૦૫-૨૦૦૫)

સંગીત : ગૌરાંગ વ્યાસ
સ્વર :  ભવન કોરસ

[audio:http://urmisaagar.com/saagar/audio/GAMTA-NO-KARIYE-GULAAL-Makarand-Dave.mp3]

જન્મ અને વતન સૌરાષ્ટ્રનું ગોંડલ. ઇન્ટર આર્ટ્સ સુધીનો અભ્યાસ જે બેતાળીસની લડત વખતે પડતો મૂક્યો. વ્યવસાયે પત્રકાર. ‘નંદીગ્રામ’ નામની રચનાત્મક સંસ્થાના સર્જક. મકરન્દ દવેની કવિતાનો મુખ્ય રંગ ભગવો છે. લોકસાહિત્ય અને સંતસાહિત્ય પરંપરાના ઊંડા જાણતલ હોવાના નાતે એમના પદ્ય અને ગદ્યમાં એનો સર્જનાત્મક વિનિયોગ અવારનવાર જોવા મળે છે. (કાવ્યસંગ્રહો: ‘તરણાં’, ‘જયભેરી’, ‘ગોરજ’, ‘સૂરજમુખી’, ‘સંજ્ઞા’, ‘સંગતિ’, ‘હવાબારી’, ‘ઉજાગરી’, ‘અમેરિકાનો ચિરંતન ચહેરો’)

કવિનું યાદગાર ગીત યાદ કરવા બેસું તો લાઈન લાગી જાય છે: ‘ફૂલ તો એની ફોરમ ઢાળી રાજી’, ‘અમે રે સૂકું રૂનું પૂમડું’, ‘કોઈ ઘટમાં ગહેકે ઘેરું’, ‘પંખીના ટહુકાનું તોરણ બાંધે છે કોઈ ઊગતી પરોઢના બારણે’, ‘વજન કરે તે હારે રે મનવા’…. એક અસ્ખલિત પ્રવાહ દડતો આવે છે. પણ આજે મેં પસંદગી ઉતારી છે આ ગીત પર કેમકે કવિ અને કવિતાનો -બંનેનો ખરો સ્વભાવ અહીં વહેલી પરોઢે ખુલતા કમળની જેમ ખુલે છે અને ભાવકના ભાવજગતને મઘમઘ કરી દે છે. પરંપરાની પંગતમાં બેસીને કવિ એક પછી એક ઉદાહરણ આપીને ‘વહાલું તે વહેંચવાનું’નો બોધ એવી તાજપથી આપે છે કે હજારોવાર વાંચ્યા બાદ પણ આ કાવ્ય આજેય સાવ તાજું ને તાજું જ લાગે છે… કવિના બાગનું આ એવું પુષ્પ છે જે કદી વિલાવાનું નથી…

Comments (12)

યાદગાર ગીતો :૧૨: વગડાનો શ્વાસ – જયંત પાઠક

થોડો વગડાનો શ્વાસ મારા શ્વાસમાં

પહાડોનાં હાડ મારા પિંડમાં ને
નાડીમાં નાનેરી નદીઓના નીર.
છાતીમાં બુલબુલનો માળો ને
આંગળીમાં આદિવાસીનું તીણું તીર;
રોમ મારાં ફરકે છે ઘાસમાં,
થોડો વગડાનો શ્વાસ મારા શ્વાસમાં.

સૂરજનો રંગ મારાં પાંદડાં પીયે ને
પીયે માટીની ગંધ મારા મૂળ,
અર્ધું તે અંગ મારું પીળા પતંગિયાં ને
અર્ધું તે તમરાંનુ કુળ;
થોડો અંધારે, થોડો ઉજાસમાં,
થોડો ધરતીમાં, થોડો આકાશમાં,
થોડો વગડાનો શ્વાસ મારા શ્વાસમાં.

– જયંત પાઠક

સંગીત : મેહુલ સુરતી
સ્વર : દ્રવિતા ચોક્સી
[audio:http://urmisaagar.com/saagar/audio/vagda-no-swash-JayantPathak.mp3]

જયંત પાઠક (જન્મ:૨૦-૧૦-૧૯૨૦, અવસાન:૧-૯-૨૦૦૩)નો જન્મ ગોઠમાં (પચંમહાલ) થયેલો પણ કર્મે એ પૂરા સૂરતી. વડોદરામાં અભ્યાસ ને પછી મુંબઈમાં થોડો વખત ‘જન્મભૂમિ’માં કામ કર્યા પછી એ સૂરતની કોલેજમાં આધ્યાપક તરીકે જોડાયા ને છેવટ સુધી સૂરતના થઈને રહ્યા. કવિના સંસ્મરણો ‘વનાંચલ’માં વાંચો તો કવિના મૂળનો બરાબર ખ્યાલ આવે. એમણે શરૂઆતમાં ગીત, સોનેટ વધારે કર્યા. આગળ જતા ગઝલ અને અછાંદસ ખૂબ લખ્યા. આમ કવિતા બધા રૂપો સાથે એમને ઘરોબો. (કાવ્યસંગ્રહો : મર્મર, સંકેત, વિસ્મય, અંતરીક્ષ, અનુનય, મૃગયા, શૂળી ઉપર સેજ, દ્રુતવિલંબિત )

જે માટીમાં કવિ ઉછર્યા એ માટી, વગડા અને વાયરાને માટે કવિએ લખેલું આ પ્રેમગીત છે. કહે છે કે માણસને તમે એની જનમભોમકામાંથી બહાર કાઢી મૂકી શકો, પણ માણસમાંથી એની જનમભોમકાને કદી બહાર કાઢી મૂકી શકાતી નથી. જનમભોમકા માણસનો શ્વાસ બનીને હંમેશા એની સાથે જ રહે છે. અંગે અંગે વસી ગયેલાં ને રસી ગયેલા વગડા, નદી, પહાડો, માટી, વનનું આ ચિરંતન ગાન ‘વનાંચલ’ના રાષ્ટ્રગીત સમાન છે.

ગાયકી અને સંગીત વિષે મારું જ્ઞાન સીમિત છે. પણ આ ગીત એટલું સરસ થયું છે કે મારા જેવો પણ સમજી શકે કે મેહુલના સંગીતે આ ગીતને ખરા અર્થમાં જીવંત કરી દીધું છે અને અર્થને એક વધારે આયામ આપ્યો છે.

Comments (4)

યાદગાર ગીતો :૧૧: કેવા રે મળેલા મનનાં મેળ -બાલમુકુન્દ દવે

કેવા રે મળેલા મનના મેળ ?
હો રુદિયાના રાજા ! કેવા રે મળેલા મનના મેળ ?
હો રુદિયાની રાણી ! કેવા રે મળેલા મનના મેળ ?

ચોકમાં ગૂંથાયે જેવી ચાંદરણાની જાળી
જેવી માંડવે વીંટાયે નાગરવેલ :
હો રુદિયાની રાણી ! એવા રે મળેલા મનના મેળ !

તુંબુ ને જંતરની વાણી,
હે જી કાંઠા ને સરિતાનાં પાણી;
ગોધણની ઘંટડીએ સોહે સંધ્યાવેળ :
હો રુદિયાના રાજા ! એવા રે મળેલા મનના મેળ !

ધરતી ભીંજાય જેવી મેહુલાની ધારે,
જેવાં બીજ રે ફણગાય ખાતરખેડ :
હો રુદિયાની રાણી ! એવા રે મળેલા મનના મેળ !

સંગનો ઉમંગ માણી,
હે જી જિંદગીંને જીવી જાણી;
એક રે ક્યારામાં જેવાં ઝૂક્યાં ચંપો-કેળ :
હો રુદિયાના રાજા ! એવા રે મળેલા મનના મેળ !

જળમાં ઝિલાય જેવાં આભનાં ઊંડાણ,
જેવા ક્ષિતિજે ઢોળાય દિશના ઘેર :
હો રુદિયાની રાણી ! એવા રે મળેલા મનના મેળ !

-બાલમુકુન્દ દવે

(જન્મ: ૭-૩-૧૯૧૬, મૃત્યુ: ૨૮-૨-૧૯૯૩)

સ્વરાંકન : ક્ષેમુ દિવેટીયા
સ્વર : હર્ષદા-જનાર્દન રાવલ

[audio:http://urmisaagar.com/saagar/audio/KEVA-RE-MALELA-MAN-NA-MEL-SangeetSudha.mp3]

સ્વર : સોલી-નિશા કાપડિયા

[audio:http://urmisaagar.com/saagar/audio/Keva-re-malelaa-SoliNishaKapadia.mp3]

બાલમુકુન્દ મણિશંકર દવે. વડોદરા જિલ્લાના મસ્તુપુરામાં જન્મ. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ અનુક્રમે મસ્તુપુરા-કુકરવાડાની ગુજરાતી સરકારી શાળામાં અને વડોદરાની શ્રીસયાજી હાઈસ્કૂલમાં. મેટ્રિક થઈ ૧૯૩૮માં અમદાવાદ આવી શરૂઆતમાં સસ્તું સાહિત્યવર્ધક કાર્યાલયમાં કામ કર્યા બાદ થોડો વખત પત્રકારત્વ ક્ષેત્રે કામગીરી બજાવી ‘નવજીવન’માં જોડાયા. ત્યાંથી ત્રણેક દાયકે નિવૃત્ત થઈ નવજીવન પ્રકાશિત ‘લોકજીવન’નું સંપાદન કરેલું.  ૧૯૪૯માં એમને કુમારચન્દ્રક પણ મળેલો.  બાળપણમાં માણેલું પ્રકૃતિસૌંદર્ય, દાદીમાના પ્રભાતિયાં તેમ જ લગ્નગીતોનું શ્રવણ તથા ચિંતનાત્મક ને પ્રેરક સાહિત્યનું વાચન, બુધસભા અને કવિ વેણીભાઈ પુરોહિતની મૈત્રીએ તેમના કવિવ્યક્તિત્વને ઘડવામાં મહત્ત્વનો ફાળો આપ્યો છે. પ્રકૃતિ, પ્રણય અને ભક્તિ મુખ્ય કવનવિષયો છે. શિષ્ટ પ્રાસાદિક વાણી અને સાચકલી ભાવાનુભૂતિ એમની કવિતાને મનોહારિતા આપે છે. (ગુ.સા.પરિષદ પરથી સાભાર)

બાલમુકુંદ દવેનાં નામની સાથે જ યાદ આવે- આ શ્રાવણ નીતર્યો સરવડે કોઈ ઝીલો જી, જૂનું ઘર ખાલી કરતાં જેવા બીજા ઘણા કાવ્યો… પરંતુ યાદગાર ગીતની વાત આવે ત્યારે મને તો સૌપ્રથમ આ જ ગીત યાદ આવે.  કેટલીયે વાર સાંભળવા છતાં કદી જૂનું જ નથી લાગતું.  પ્રસન્ન દામ્પત્યજીવનની અદભૂત ઝાંખી કરાવતું પ્રણય-સભર સુંદર ગીત.  વિવાહિતજીવનમાં સૌથી અઘરી (અને સૌથી સરળ પણ) એક જ વાત હોય છે, પતિ-પત્નીનાં મનનું મળવું.  ગીતમાં કવિએ પ્રકૃતિનાં શાશ્વત તત્ત્વોનું તાદાત્મ્ય વર્ણવીને ખૂબ જ સુંદર રીતે સમજાવ્યું છે કે દામ્પત્યજીવન કેવું હોવું જોઈએ.  એકમાંથી બે થવું જેટલું લાગે એટલું સહેલું નથી કારણ કે આખરે તો બે નહીં પણ એક જ બનીને રહેવાનું હોય છે… ઉભયનાં અલગ અલગ અસ્તિત્વનો સહજ સ્વીકાર કરીને.  એકીકરણમાં બે મહત્વની આવશ્યકતા એટલે કે પારદર્શકતા અને અહંકારની આહુતિ. સંગનો ઉમંગ જો સહજીવનની પ્રત્યેક પળે માણી શકાય તો જ સાહચર્યપણું સાર્થક ગણી શકાય, અને જીન્દગીને સાચી રીતે માણેલી-જીવેલી કહી શકાય.

Comments (6)

યાદગાર ગીતો :૧૦: પાનીને પગરસ્તે – વેણીભાઈ પુરોહિત

તારી આંખનો અફીણી,
તારા બોલનો બંધાણી,
તારા રૂપની પૂનમનો પાગલ એકલો.

આજ પીઉં દર્શનનું અમરત, કાલ કસુંબલ કાવો,
તાલ પુરાવે દિલની ધડકન, પ્રીત બજાવે પાવો :
તારી મસ્તીનો મતવાલો આશક એકલો.

પાંખોની પડખે જ પરબડી, આંખો જુએ પિયાવો,
અદલબદલ તન-મનની મોસમ, ચાતકનો ચકરાવો :
તારા રંગનગરનો રસિયો નાગર એકલો.

રૂપ જાય આગળથી પાછળ, જાય જુવાની બીતી,
પ્રીતવાવડી સદા છલકતી, જાય જિન્દગી પીતી :
તારાં હસમુખડાં ઝીલું છું ઘાયલ એકલો.

ઠરી ગયા કામણના દીપક, નવાં નૂરનો નાતો,
ઝલક ગઈ મન પામરતાની, નવી આરતી ગાતો :
તારી પાનીને પગરસ્તે ચાલું એકલો.

– વેણીભાઈ પુરોહિત
(જન્મ: ૦૧-૦૨-૧૯૧૬, મૃત્યુ: ૦૩-૦૧-૧૯૮૦)

ફિલ્મઃ દિવાદાંડી (૧૯૫૦)
સંગીતકારઃ અજીત મર્ચન્ટ
સ્વરઃ દિલીપ ધોળકિયા

[audio:http://urmisaagar.com/saagar/audio/Tari-Aankh-No-Afini-Dilip-Dholakia.mp3]

સ્વર: સોલી કાપડિયા

[audio:http://urmisaagar.com/saagar/audio/Taari-aankhno-afini-SoliKapadia.mp3]

જામખંભાળિયામાં જન્મેલા વેણીભાઈ માધ્યમિક શિક્ષણ સુધી જ ભણ્યા પણ કવિતાઓ એવી કરી કે ગુજરાતીઓના દિલ ડોલાવી મૂક્યા. વ્યવસાયે પત્રકાર. બેતાળીસના હિંદ છોડો આંદોલનના કારણે કારાવાસ પણ વેઠ્યો. મજબૂત લય અને ભાવની નજાકત એમની કવિતાની લાક્ષણિક્તા. ઉમાશંકર જોશી એમને ‘બંદો બદામી’ કહેતા. (કાવ્યસંગ્રહો: ‘સિંજારવ’, ‘ગુલઝારે શાયરી’, ‘દીપ્તિ’, ‘આચમન’)

વેણીભાઈનું યાદગાર ગીત મારે પસંદ કરવું હોય તો ‘ઊનાં રે પાણીનાં અદભુત માછલાં‘ સિવાય કશું યાદ ન આવે પણ એમનું લોકપ્રિય ગીત પસંદ કરવું હોય તો? ગુજરાતી ગીતોના સર્વકાલીન ટોપ ટેનમાં સર્વકાલીન અવ્વલ દરજ્જો અંકે કરે એવું ગીત ‘તારી આંખનો અફીણી’ સિવાય બીજું કયું હોઈ શકે?

કવિએ અહીં એવી તે શી કમાલ કરી છે કે આ ગીતનો આશિક ન હોય એવો ગુજરાતી મળવો દોહ્યલો થઈ પડે?! આ કમાલ શું લયની છે કે ગીતમાં અનવરુદ્ધ વહેતા ભાવાવેગની છે? કે પછી પ્રણયોર્મિનો અનનુભૂત કેફ કારણભૂત છે?  અર્થનું ઊંડાણ ભાવક-શ્રોતાને સ્પર્શી જાય છે કે પછી આ નરી સંગીત અને ગાયકીની જ સિદ્ધિ છે? મારે જો કારણ આપવાનું થાય તો હું આ ગીતની લોકપ્રિયતાનું ખરું શ્રેય ‘એકલો’ શબ્દના પ્રયોજનને આપું કેમકે પ્રેમ ગમે એટલી સાર્વત્રિક ઘટના કેમ ન હોય, એની અનુભૂતિ કેવળ ‘એકલા’ની જ હોય છે… કવિએ આ ગીત વાંચતા-સાંભળતા દરેક ગુજરાતીને એકલો શબ્દ વાપરીને એના પોતીકા પ્રેમની વિલક્ષણ તસ્વીર ચાક્ષુષ કરી આપી છે એ કદાચ આ ગીતની સફળતાનું ખરું કારણ છે..

ઇન્ટરનેટ ઉપર આ ગીતના છ બંધ પણ ઉપલબ્ધ છે, પરંતુ કવિના કાવ્યસંગ્રહ “દીપ્તિ”માં આ ગીત આ મુજબ છે. એટલે લયસ્તરોના વાચકમિત્રો માટે આ રચના કવિના સંગ્રહમાં છપાયા મુજબ રજૂ કરીએ છીએ….

Comments (14)

યાદગાર ગીતો :૦૯: નિરુદ્દેશે – રાજેન્દ્ર શાહ

નિરુદ્દેશે
સંસારે મુજ મુગ્ધ ભ્રમણ
પાંશુમલિન વેશે.

કયારેક મને આલિંગે છે
કુસુમ કેરી ગંધ;
કયારેક મને સાદ કરે છે
કોકિલ મધુરકંઠ,
નેણ તો ઘેલાં થાય નિહાળી
નિખિલના સૌ રંગ,
મન મારું લઈ જાય ત્યાં જાવું
પ્રેમને સન્નિવેશે.

પંથ નહિ કોઈ લીધ, ભરું ડગ
ત્યાં જ રચું મુજ કેડી,
તેજછાયા તણે લોક, પ્રસન્ન
વીણા પર પૂરવી છેડી,
એક આનંદના સાગરને જલ
જાય સરી મુજ બેડી,
હું જ રહું વિલસી સંગે
હું જ રહું અવશેષે.

– રાજેન્દ્ર શાહ

સંગીત : અજીત શેઠ
સ્વર : ?

રાજેન્દ્ર કેશવલાલ શાહ (જન્મ: 28-01-1913, કપડવણજ ) માત્ર સાડાસત્તર વર્ષની ઉંમરે અસહકારની લડત બદલ જેલભેગા થયા હતા. સ્વાતંત્ર્ય સંગ્રામના ગીતોના કારણે જ કવિતા ભણી આકર્ષાયા. અનુગાંધીયુગના પ્રભાવશાળી કવિ. એમની કવિતાઓમાં અધ્યાત્મ, પ્રકૃતિ અને રમ્ય કલ્પનોની તાજગીનો હૃદયંગમ નવોન્મેષ થતો પ્રતીત થાય છે. એમના કાવ્યો લયની લીલાથી, નવીન કથનરીતિથી અને જીવનમર્મના નિરૂપણથી ધ્યાનાકર્ષક બન્યાં છે. ‘રામવૃંદાવની’ તખલ્લુસથી ગઝલો પણ લખી. ( કાવ્યસંગ્રહ: ‘ધ્વનિ’, ‘આંદોલન’, ‘ઉદ્ ગીતિ’, ‘શ્રુતિ’, ‘મધ્યમા’, ‘શાંત કોલાહલ’, ‘ચિત્રણા’ ‘વિષાદને સાદ’, ‘પત્રલેખા’, ‘ક્ષણ જે ચિરંતન’, ‘દક્ષિણા’, ‘પ્રસંગ સપ્તક’, ‘પંચપર્વા’, ‘કિંજલ્કિની’, ‘વિભાવન’.)

કવિ રાજેન્દ્ર શાહનું આ અવિસ્મરણિય ગીત એમના યુગના ગીતોમાં શિરમોર છે. કવિના પોતાના ગીતોમાં પણ આ શ્રેષ્ઠ ગણાય છે. જગતના સૌંદર્યને કોઈ બંધન વિના માણી લેવાની ઈચ્છાને કવિએ આ ગીતમાં મૂર્તિમંત કરી છે. ગીતનો ઉપાડ જ એવો મઝાનો છે : કવિનું ભ્રમણ બંધન વિનાનું અને મુગ્ધ છે. શરીર ઘૂળથી રગડોયાયેલું છે. દુનિયાના દરેક સૌંદર્ય તરફ કવિ સહજતાથી પોતાની જાતને ખેંચાવા દે છે.  પોતાના આગવા કદમે કવિ નવી કેડી કંડારતા જાય છે. પોતાનો આગવો માર્ગ, આગવો અવાજ અને આગવો આનંદ એ જ કવિનો મુકામ છે. કવિને સંગ પણ પોતાની જાતનો જ છે અને છેલ્લે એકલા પડે ત્યારે પણ સાથે પોતાની જાત જ બાકી રહે છે !

(પાંશુ=ધૂળ, કુસુમ=ફૂલ, નિખિલ=સમગ્ર સૃષ્ટિ, સન્નિવેશ=છૂપો વેશ, બેડી=હોડી)

Comments (8)

યાદગાર ગીતો :૦૮: અમે અંધારું શણગાર્યું – પ્રહલાદ પારેખ

આજ અમે અંધારું શણગાર્યું,
હે જી અમે શ્યામલને સોહાવ્યું.

ગગને રૂપાળું કર્યું તારા મઢીને એને, ધરતીએ મેલીને દીવા;
ફૂલોએ ફોરમને આલી આલીને એનું અંગે અંગ મહેકાવ્યું !
હો આજ અમે અંધારું શણગાર્યું 0

પાણીએ, પાય એને, બાંધેલા ઘૂઘરા ખળખળ ખળખળ બોલે :
ધરણીના હૈયાને હરખે જાણે આજ અંધારાનેયે નચાવ્યું !
હો આજ અમે અંધારું શણગાર્યું 0

વીતી છે વર્ષા ને ધરતી છે તૃપ્ત આજ, આસમાન ખીલી ઊઠ્યું;
ઊડે છે આનંદરંગ ચોમેર અમારો, એમાં અંધારું આજે રંગાયું !
હો આજ અમે અંધારું શણગાર્યું 0

થાય છે રોજ રોજ પૂજા સૂરજની ને ચાંદાનાંયે વ્રત થાતાં:
આનંદઘેલાં હૈયે અમારાં આજ અંધારાનેયે અપનાવ્યું !
હો આજ અમે અંધારું શણગાર્યું 0

-પ્રહલાદ જેઠાલાલ પારેખ

(જન્મ: ૧૨-૧૦-૧૯૧૨, મૃત્યુ: ૦૨-૦૧-૧૯૬૨)

ભાવનગરમાં જન્મ. વિનીત (દક્ષિણામૂર્તિ), ગૂજરાત વિદ્યાપીઠ અને શાંતિનિકેતેનમાં અભ્યાસ અને શિક્ષક તરીકે જીવનનિર્વાહ. આયુષ્ય ટૂંકું પણ કવિકર્મ અજરામર. અનુગાંધીયુગના કવિ. સ્વાતંત્ર્ય ચળવળમાં ભાગ લઈ જેલવાસ પણ ભોગવ્યો હતો.  પ્રકૃતિના સૌંદર્યથી છલોછલ કવિતા એ એમનો મુખ્ય કાકુ. લયમાધુર્ય એ એમનું બીજું ઘરેણું. કવિતા ઉપરાંત વાર્તા, અનુવાદ, બાળસાહિત્ય પર પણ હથોટી. (કાવ્ય સંગ્રહ: ‘સરવાણી’, ‘બારી બહાર’. બાળકાવ્યસંગ્રહ: ‘તનમનિયાં’)

પ્રહલાદ પારેખના યાદગાર ગીત વિશે વિચારું તો ક્ષણાર્ધમાં ‘આજ અંધાર ખુશબો ભર્યો લાગતો‘ યાદ આવે. પણ મારે તો એમનું અંધારાને અજવાળતું એક બીજું જ ગીત યાદ કરવું છે. અંધારાને શણગારવાનું કલ્પન પોતે જ કેટલું ઉજાસભીનું છે ! આકાશ તારાથી તો ધરતી દીવાથી અને ફૂલો ખુશબૂથી એને શણગારે છે. ઝરણાંનું ખળખળ વહેતું પાણી જાણે અંધારાના પગે બાંધેલા ઝાંઝર છે અને હરખઘેલી ધરતી જાણે કે અંધારાને નૃત્ય કરાવી રહ્યું છે. અંતરનો આનંદ જાણે કે અંધારાને રંગી રહ્યો છે… અજવાળાંને તો ગામ આખું પૂજે પણ અંધારાને તો પ્રહલાદ પારેખ જેવો કોઈ પ્રકૃતિઘેલો કવિ જ પૂજી શકે…

Comments (9)

યાદગાર ગીતો :૦૭: મેંદી તે વાવી માળવે – ઇન્દુલાલ ગાંધી

મેંદી તે વાવી માળવે
એનો રંગ ગયો ગુજરાત રે
મેંદી રંગ લાગ્યો રે ! –

નાનો દેરીડો લાડકો
ભાભી, રંગો તમારા હાથ રે
મેંદી રંગ લાગ્યો રે ! –

આંગળીઓ રંગી ને રંગી હથેલી
રંગી બેઠી હું તો મનડુંયે ઘેલી :
કરી પાનીઓ લાલ ગુલાલ રે
મેંદી રંગ લાગ્યો રે ! –

ફાગણને ફુલેકે ખીલ્યો’તો ખાખરો,
એણે કેસૂડાંનો રંગ ધર્યો આકરો !
જાણે મેંદીના હાથનો રૂમાલ રે
મેંદી રંગ લાગ્યો રે ! –

વાયરો જો ઊડીને આવ્યો વૈશાખથી,
કૈંક નવું કામણ કીધું એણે આંખથી :
રંગ્યું કુમકુમથી ભાભીનું ભાલ રે
મેંદી રંગ લાગ્યો રે ! –

– ઇન્દુલાલ ગાંધી

(જન્મ: ૮-૧૨-૧૯૧૧, મૃત્યુ: ૧૦-૦૧-૧૯૮૬)

સંગીત: અવિનાશ વ્યાસ
સ્વરઃ લતા મંગેશકર, પિનાકીન શાહ અને કોરસ
ફિલ્મઃ મહેંદી રંગ લાગ્યો (૧૯૬૦)

[audio:http://urmisaagar.com/saagar/audio/MehdiTeVaviMaLve.mp3]

મોરબીની મકનસર ગામમાં જન્મ અને ઇન્ટર આર્ટ્સ સુધી અભ્યાસ. શરૂમાં ૧૯૨૮ થી ૧૯૪૭ સુધી કરાંચીમાં પાનબીડીની દુકાન ચલાવી. ભાગલા થયા ત્યારે મોરબી આવી વસ્યા. ઊર્મિ’ સામયિક શરૂ કર્યું. મોરબી હોનારતના ખપ્પરમાં સર્વસ્વ ગુમાવી બેઠા પછી રાજકોટ સ્થાયી થયા. ‘નૂતન સૌરાષ્ટ્ર’માં પત્રકારત્વ અને ૧૯૫૪થી આકાશવાણી રાજકોટ કેન્દ્ર સાથે. કવિ હોવા ઉપરાંત એ નાટ્યકાર અને વાર્તાકાર પણ ખરા પણ એમની કવિતાઓનું લયમાધુર્ય એવું મજબૂત કે ગણગણવાનું મન થયા જ કરે. (કાવ્યસંગ્રહો: ‘તેજરેખા’, ‘જીવનનાં જળ’, ‘ખંડિત મૂર્તિઓ’, ‘ગોરસી’, ‘શતદલ’, ‘ઈંધણાં’, ‘ધનુર્દોરી’, ‘ઉન્મેષ’, ‘પલ્લવી’, ‘શ્રીલેખા’, ‘ઉત્તરીય’)

ઇન્દુલાલ ગાંધીનું યાદગાર ગીત શોધવું હોય તો પહેલી નજર ‘આંધળી માનો કાગળ‘ પર પડે.પણ લોકગીતની કક્ષાએ પહોંચેલું આ ઉત્તમ ગીત એમનું લખેલું છે એમ કહીએ તો કદાચમાથું ખંજવાળવાનું મન થાય. ફિલ્મમાં જે ગીત છે એ તો ઘણી બધી વેબસાઇટ્સ ઉપર છે જ અને એનો ઑડિયો આ સાથે સંલગ્ન પણ કર્યો છે, પણ મૂળ કવિતા ભાવકો સુધી ન પહોંચે તો શી મજા ! આ ગીતનો ઇતિહાસ માણવો હોય તો અહીં ક્લિક્ કરો. દિયર અને ભાભીના વહાલનું આ ગીત હકીકતે તો ભાઈ માટેના ભાભીના પ્રેમને જ ઉજાગર કરે છે. ફાગણના ફુલેકે ચડીને આવતા ખાખરાનો રંગ મેંદીના હાથના રૂમાલ સમો ભાસે એ કલ્પનમાં ગુજરાતી કવિતા ચરમશિખરે બેસે છે…

અરે હા… આજે જ આ કવિની વર્ષગાંઠ પણ છે…

Comments (10)

યાદગાર ગીતો :૦૬: રાખનાં રમકડાં – અવિનાશ વ્યાસ

રાખનાં રમકડાં મારા રામે રમતાં રાખ્યાં રે,
મૃત્યુલોકની માટીમાંથી માનવ કહીને ભાખ્યાં રે. 
રાખનાં રમકડાં o

બોલે ડોલે રોજ રમકડાં, નિત નિત રમતું માંડે,
આ મારું, આ તારું- કહીને એકબીજાને ભાંડે રે. 
રાખનાં રમકડાં o

એ કાચી માટીની કાયા માટે માયા કેરા રંગ લગાયા,
એ ઢીંગલા ઢીંગલીએ ઘર માંડ્યાં ત્યાં તો વિંઝણલા વિંઝાયા રે. 
રાખનાં રમકડાં o

તંત અનંતનો તંત ન તૂટ્યો ને રમત અધૂરી રહી,
તનડા ને મનડાની વાતો આવી તેવી ગઈ. 
રાખનાં રમકડાં o

– અવિનાશ વ્યાસ

(જન્મ: 21 જૂલાઈ 1912, મૃત્યુ: 20 ઑગષ્ટ 1984 )

સંગીત: અવિનાશ વ્યાસ
સ્વર: ગીતા રોય અને એ.આર. ઓઝા

[audio:http://urmisaagar.com/saagar/audio/Rakh Na Ramakada.mp3]

ગુજરાતી સુગમ સંગીતનો પર્યાય કહી શકાય એવા કોઈ ગીતકાર અને સંગીતકારનું નામ જો કોઈ પણ ગુજરાતીને પૂછો તો સૌના હોઠ પર તરત જ એક જ નામ રમતું થઈ જાય- અવિનાસ વ્યાસ.  અવિનાશભાઈનું કોઈ એક જ યાદગાર ગીત પસંદ કરવું એટલે કે ચોખાનાં ઢગલામાંથી ચોખાનો માત્ર એક જ દાણો પસંદ કરવો… અને મેં તો આજે એ ઢગલામાંથી કેટલાય ચોખાનાં દાણાને વારાફરતી પસંદ-નાપસંદ કર્યે જ રાખ્યા… અને તોય જાણે ચોખાનાં બાકીનાં આખા ઢગલાને જ અન્યાય થઈ રહ્યો હોય એમ લાગ્યું !  🙂  એમનાં ઘણા ગીતો તો એમનાં નામની સાથે તરત  જ આપણા હોઠ પર રમવા માંડે, જેમ કે; ‘માડી તારું કંકુ ખર્યું’, ‘છાનું રે છપનું કંઈ થાય નહીં’, ‘અચકો મચકો કારેલી’, ‘કોણ હલાવે લીમડી’, ‘પંખીડાને આ પીંજરું’, ‘હે હૂતુતુતુ’, ‘મારા રામ તમે સીતાજીની તોલે ન આવો’, ‘કહું છું જવાનીને’ કે પછી ‘અમે અમદાવાદી’ જેવા બીજા કેટલાય ગીતો… અવિનાશભાઈએ બોલચાલની ભાષાથી માંડીને ઉચ્ચ સાહિત્યિક ગીતો પણ અગણિત (કુલ લગભગ પંદર હજાર જેટલા) રચ્યા છે.  આજે પણ અવિનાશ વ્યાસનાં ગીતો લોકોના કંઠ અને કાનમાં એકદમ તરોતાજા છે, જે સિદ્ધિ જેવી તેવી તો ન જ કહેવાય.  હાલરડાંથી લઈ મરશિયાં સુધીનાં એટલે કે જીવનની દરેક અવસ્થાઓના ગીતો એમણે આપણને આપ્યાં છે. ગુજરાતી સુગમ સંગીતને સામાન્યજન સુધી પહોંચાડવામાં અને ખરા અર્થમાં સુગમ બનાવવામાં અવિનાશ વ્યાસનું પ્રદાન નિર્વિવાદ અનન્ય છે. ગુજરાતના ઘર ઘરમાં ગવાય એવા અદભૂત ગીતોનું સર્જન કરી પોતે જ એને સ્વરબદ્ધ કરીને લોકજીભે રમતા કર્યા છે.  પોતાના નામને ખરી રીતે સાર્થક કરનારી વ્યક્તિઓ જવલ્લે જ જોવા મળે છે.  આપણને અગણિત અવિનાશી ગીતો આપીને કોઈ પણ ગીતકાર-સંગીતકારને સહજ ઈર્ષ્યા આવે એવી અનુપમ પ્રસિદ્ધી પામીને તેઓ આજે સાચા અર્થમાં અવિનાશી બની ગયા છે.

‘રાખનાં રમકડાં’ એટલે કે આપણે.  આપણે કેવા છે- ની આપણી જ વાત કવિએ આ ગીતમાં એટલી સરળ અને સુંદર રીતે વર્ણવી છે કે આપણને જ આપણી વાત સાવ નિરાળી લાગે !  ફિલ્મ ‘મંગલફેરા'(૧૯૪૯)નું આ ગીત ભારતની અન્ય ૧૮ ભાષાઓમાં પણ અનુવાદિત થયું છે, જે ગુજરાતી સાહિત્ય જગત અને ગુજરાતી સુગમ સંગીત માટે ખરેખર ખૂબ જ ગૌરવપ્રદ ઘટના કહી શકાય.

ઓડિયો માટે ખાસ ટહુકો.કોમનો આભાર.

Comments (13)

યાદગાર ગીતો :૦૫: ગીત અમે ગોત્યું -ઉમાશંકર જોશી

અમે સૂતા ઝરણાંને જગાડ્યું,
ઉછીનું ગીત માગ્યું,
કે ગીત અમે ગોત્યું ગોત્યું ને ક્યાંય ના જડ્યું.

અમે વનવનનાં પારણાંની દોરે,
શોધ્યું ફૂલોની ફોરે,
કે ગીત અમે ગોત્યું ગોત્યું ને ક્યાંય ના જડ્યું.

અમે ગોત્યું વસંતની પાંખે;
ને વીજળીની આંખે,
કે ગીત અમે ગોત્યું ગોત્યું ને ક્યાંય ના જડ્યું.

અમે શોધ્યું સાગરની છોળે,
વાદળને હિંડોળે,
કે ગીત અમે ગોત્યું ગોત્યું ને ક્યાંય ના જડ્યું.

અમે ગોત્યું કંઇ સેંથીની વાટે,
લોચનને ઘાટે,
કે ગીત અમે ગોત્યું ગોત્યું ને ક્યાંય ના જડ્યું.

અમે ખોળ્યું શૈશવને ગાલે,
કે નેહ-નમી ચાલે,
કે ગીત અમે ગોત્યું ગોત્યું ને ક્યાંય ના જડ્યું.

અમે જોઇ વળ્યાં દિશદિશની બારી;
વિરાટની અટારી,
કે ગીત અમે ગોત્યું ગોત્યું ને ક્યાંય ના જડ્યું.

ઉરે આંસુ પછવાડે હીંચતું,
ને સપનાં સીંચતું,
કે ગીત અમે ગોત્યું ગોત્યું ને ક્યાંય ના જડ્યું.

-ઉમાશંકર જોશી

(જન્મ: ૨૧-૭-૧૯૧૧, મૃત્યુ: ૧૯-૧૨-૧૯૮૮)

સંગીત : અજીત શેઠ
સ્વર : નિરૂપમા શેઠ અને કોરસ

[audio:http://tahuko.com/gaagar/layastaro/Geet Ame Gotyun Gotyun.mp3]

ઉમાશંકર જોશીનો પહેલો સંગ્રહ ‘વિશ્વશાંતિ’ પ્રગટ થયો ત્યારે એમની ઉમ્મર હતી માત્ર વીસ વર્ષ ! એ પછીના પચાસ વર્ષ સુધી એ સતત ગુજરાતી સાહિત્ય પર છવાયેલા રહ્યા. એમણે નાટકો, વાર્તાઓ, નિબંધો, અનુવાદ, વિવેચન બધું કર્યુ છે. ઉત્તમ રીતે કર્યું છે. પણ કવિતા એમનો પહેલો પ્રેમ હતી અને છેવટ સુધી રહી. એમનું શ્રેષ્ઠ પ્રદાન કવિતામાં જ જોવા મળે છે. ( કાવ્યસંગ્રહો : વિશ્વશાંતિ, નિશીથ, ગંગોત્રી, ધારાવસ્ત્ર, અભિજ્ઞા, સપ્તપદી, સમગ્ર કવિતા )

ઉમાશંકરે એકથી એક ચડિયાતા એવા સરસ ગીત આપ્યા છે કે એમનું ગીત પસંદ કરવાનું કામ બહુ સહેલું છે. આ ગીત પસંદ કરવાનું ખાસ કારણ એ કે આ ગીતમાં એમના કોમળ લય અને કલ્પનના સુંદર ઉદાહરણ સમાન છે. આ ગીતમાં કવિ ગીત શોધવા નીકળે છે ! કવિ ગીત શોધવાની શરૂઆત ઝરણાંથી કરે છે. પ્રકૃતિના વિવિધ અંગો – વન, વીજળી, સાગર – પાસે જઈને એ ગીત શોધવાની કોશિશ કરે છે. પણ કશેય એમને ગમતું ગીત મળતું નથી. એ પ્રિયજનની આંખો અને સેંથીમાંય જોઈ આવે છે. ને બાળકના ગાલમાં ગીત શોધી જુએ છે. પણ એમને ક્યાંય ગીત જડતું નથી. છેવટે ગીત એમને પોતાની અંદર જ – આંસુની પછવાડે ને સપનાં સીંચતું – મળી આવે છે.

ગીત એટલે તો લયનો ટહુકો. લય તો દરેક જણે પોતાનો  જાતે જ – પોતની અંદરથી જ – શોધવો જરૂરી છે, એ કોઈનીય પાસે ઉછીનો લઈ શકાય નહીં. કવિએ આ વાત બહુ કોમળ રીતે – એક ગીત દ્વારા જ – અવિસ્મરણીય રીતે કરી છે.

Comments (8)

યાદગાર ગીતો :૦૪: રંગ રંગ વાદળિયા -સુન્દરમ્

હાં રે અમે ગ્યાં’તાં
હો રંગના ઓવારે
કે તેજ ના ફુવારે,
અનંતના આરે,
કે રંગ રંગ વાદળિયાં

હાં રે અમે ઊડયાં
હો મોરલાના ગાણે,
કે વાયરાના વહાણે,
આશાના સુકાને,
કે રંગ રંગ વાદળિયાં

હાં રે અમે થંભ્યાં
હો મહેલના કિનારે
પંખીના ઉતારે,
કે ડુંગરાની ધારે,
કે રંગ રંગ વાદળિયાં.

હાં રે અમે પહોંચ્યાં
હો આભલાને આરે,
કે પૃથ્વીની પાળે,
પાણીના પથારે,
કે રંગ રંગ વાદળિયાં.

હાં રે અમે નાહ્યાં
હો રંગના ઓવારે,
કે તેજના ફુવારે,
કુંકુમના ક્યારે,
કે રંગ રંગ વાદળિયાં.

હાં રે અમે પોઢયાં
છલકંતી છોળે,
દરિયાને હિંડોળે,
ગગનને ગોળે,
કે રંગ રંગ વાદળિયાં.

હાં રે અમે જાગ્યાં
ગુલાલ ભરી ગાલે,
ચંદન ધરી ભાલે,
રંગાયા ગુલાલે,
કે રંગ રંગ વાદળિયાં.

હાં રે અમે નાચ્યાં
તારાના તરંગે,
રઢિયાળા રંગે,
આનંદના અભંગે,
કે રંગ રંગ વાદળિયાં.

– સુન્દરમ્

(જન્મ: ૨૨-૩-૧૯૦૮, મૃત્યુ: ૧૩-૧-૧૯૯૧)

સંગીત: રવિન નાયક
સ્વર: બાળવૃંદ

[audio:http://tahuko.com/gaagar/layastaro/Rang rang vadaliya.mp3]

ભરૂચ જિલ્લાના મિયાંમાતર ગામના વતની અને 1945થી પોંડિચેરીના શ્રી અરવિંદ આશ્રમમાં સાધકનું જીવન ગાળનાર કવિશ્રી ત્રિભુવનદાસ પુરુષોત્તમદાસ લુહાર ‘સુંદરમ્’ (જન્મ: 22-03-1908, મૃત્યુ:10-01-1991) ગાંધીકાલિન કવિઓમાંના એક અગ્રણી કવિ છે. દેશના સ્વાતંત્ર્ય યજ્ઞના અદના સેવક રહ્યા હોવાના નાતે એમની કવિતાઓમાં વિશાળ માનવપ્રેમની લાગણી, પીડિતો પ્રત્યે અનુકંપા, રાષ્ટ્ર-મુક્તિનો ઉલ્લાસ સ્વાભાવિક્તાથી નિરૂપાયેલા લાગે. એમના કાવ્યો રંગદર્શી માનસની કલ્પનાશીલતાથી અને ભોવોદ્રેકની ઉત્કટતાથી આપણને સ્પર્શી જાય છે. પ્રેમ, પ્રકૃતિ અને પ્રભુ એમની કવિતાના પ્રધાન વિષયો. કટાક્ષ-કાવ્યો, વાર્તાઓ, વિવેચન, નિબંધો, નાટકો, પ્રવાસકથા જેવા લખાણોમાં એમની બહુમુખી પ્રતિભા છલકાતી નજરે ચડે છે. કાવ્ય સંગ્રહો: ‘કોયા ભગતની કડવી વાણી’, ‘કાવ્યમંગલા’, ‘વસુધા’, ‘યાત્રા’, ‘વરદા’, ‘મુદિતા’, ‘લોકલીલા’, ‘દક્ષિણા-1,2′ જેવા વીસેક કાવ્યસંગ્રહો.

આમ તો સુન્દરમ્ ના અનેક ગીતો યાદગાર છે. પણ આ બાળગીતમાં સુન્દરમ્ ની બાળક બનીને ગીત લખી શકવાની શક્તિના દર્શન થાય છે. સુન્દરમ્ નું આ બાળગીત આપણા શ્રેષ્ઠ બાળગીતોમાંથી એક છે. એક જમાનો હતો જ્યારે મને આ ગીત આખું મોઢે હતું. આજે હવે એવો દાવો તો કરી શકું એમ નથી. પણ આજે ય કોઈ કોઈ વાર આ ગીત, એના લય અને એના કલ્પનોને અવશ્ય માણી લઉં છું. કુદરતના સૌંદર્યની તમામ લીલાને જેણે જીવને સંતોષ થાય એટલી માણી હોય એ જ આવું ગીત લખી શકે. ‘મેઘદૂત’માં કાલીદાસ જેમ વાદળના માધ્યમથી સમગ્ર ભારતવર્ષના સૌંદર્યની ઓળખાણ કરાવે છે એમ અહીં કવિ બાળકોને કલ્પનાના નાનકડા જગતની ઓળખાણ વાદળના માધ્યમથી કરાવે છે. એ રીતે જોઈએ તો આ ગીત બાળગીતોમાં ‘મેઘદૂત’ છે 🙂

તા.ક.: ઓડિયો માટે જયશ્રીનો ખાસ આભાર.

Comments (16)

યાદગાર ગીતો :૦૩: જીવન અંજલિ થાજો – કરસનદાસ માણેક

જીવન અંજલિ થાજો,
મારું જીવન અંજલિ થાજો !

ભૂખ્યાં કાજે ભોજન બનજો, તરસ્યાંનું જળ થાજો,
દીનદુ:ખિયાંનાં આંસુ લો’તાં અંતર કદી ન ધરાજો;
મારું જીવન અંજલિ થાજો !

સતની કાંટાળી કેડી પર પુષ્પ બની પથરાજો,
ઝેર જગતનાં જીરવી જીરવી અમૃત ઉરનાં પાજો;
મારું જીવન અંજલિ થાજો !

વણથાક્યા ચરણો મારા નિત તારી સમીપે ધાજો,
હૈયાના પ્રત્યેક સ્પંદને તારું નામ રટાજો;
મારું જીવન અંજલિ થાજો !

વમળોની વચ્ચે નૈયા મુજ હાલકડોલક થાજો,
શ્રદ્ધા કેરો દીપક મારો નવ કદીયે ઓલવાજો;
મારું જીવન અંજલિ થાજો !

– કરસનદાસ માણેક

(જન્મ: ૨૮-૧૧-૧૯૦૧, મૃત્યુ: ૧૮-૧-૧૯૭૮)

[audio:http://urmisaagar.com/saagar/audio/jivan-anjali-thajo.mp3]

આખું નામ કરસનદાસ નરસિંહ માણેક અને ઉપનામ ‘વૈશંપાયન’.  મુખ્યત્વે કવિ પણ વાર્તા, નિબંધ, ચરિત્ર વગેરે સાહિત્ય સવરૂપોમાં પણ એમણે ઘણું સર્જન કર્યું છે. સોનેટ, અંજનીગીત, ગેયકાવ્ય, મરાઠી સાજી, ખંડકાવ્ય જેવા કાવ્યપ્રકારોને વાહન બનાવીને તેમણે તદઅનુસારી ભાવ, વાણી અને છંદના પ્રયોજનમાં સફળતા મેળવી હતી.  કરાંચીમાં જન્મેલા પરંતુ મૂળ જામનગર જિલ્લાના હડિયાણાના વતની અને મુંબઈમાં વસવાટ. અસહકારની ચળવળ વેળાએ જેલવાસ પણ ભોગવેલો.  ૧૯૩૯થી ‘જન્મભૂમિ’ના તંત્રીવિભાગમાં. ૧૯૪૮થી જન્મભૂમિ ટ્રસ્ટના ‘નૂતન ગુજરાત’ સામયિકના તંત્રી પણ રહેલા, જે બંધ થઈ જતાં એમણે ‘સારથિ’ સાપ્તાહિક અને પછી ‘નચિકેતા’ માસિક પણ શરૂ કરેલું.  ‘વૈશંપાયનની વાણી’ના કાવ્યો ધારદાર વ્યંગપૂર્ણ અભિવ્યક્તિને કારણે ‘જન્મભૂમિ’માં પ્રગટ થતાં હતાં ત્યારથી જ લોકપ્રિય બની ગયાં હતાં. (વધુ વિગતે કવિ પરિચય અહીં વાંચો)

ખૂબ જ જૂજ ગીતો એવા હોય છે કે જે પ્રાર્થનાની કક્ષાએ પહોંચી શકે છે.  પ્રાર્થનાની કક્ષાએ પહોંચેલું કવિનું આ ગીત શાળાથી માંડીને છેક મરણપ્રસંગોમાં આજે પણ અચૂક ગવાય છે.  પોતાના આખા જીવનને એક અંજલિ તરીકે પ્રભુને સમર્પિત કરી દેવાનો દિવ્ય ભાવ જ આ ગીતને પ્રાર્થનાસમી ઊંચાઈ બક્ષે છે. જીવનમાં માત્ર સારા કાર્યો કરવાની ક્ષમતા જ નહીં, પરંતુ (કુંતામાતાની જેમ) પોતાના પથમાં થોડી અડચણો માંગે છે. અને જો અડચણો આવશે તો એને લીધે ક્યાંક શ્રદ્ધા ખોઈ બેસવાની ભીતિ પણ કવિને છે જ, અને એટલે જ સૌથી મહત્વની વસ્તુ જે કવિ છેલ્લે માંગે છે, એ છે અખૂટ શ્રદ્ધા.  ખબર નહીં કેમ, પરંતુ આ ગીત કાયમ મને આપણા ‘ગાંધીબાપુ’ અને એમના જીવનની યાદ અપાવે છે.  કવિ અહીં જીવનમાં જેટલું અને જે જે માંગે છે એટલું અને એ બધું જો આપણને ખરેખર મળી જાય (એટલે કે એટલું જો આપણે જીવનમાં ઉતારી શકીએ) તો આપણે પણ જરૂર ‘ગાંધીજી’ બની શકીએ… પરંતુ એટલું સામર્થ્ય હોવું, શું એ જ ગાંધીપણું નથી?!

Comments (7)

યાદગાર ગીતો :૦૨: એક જ દે ચિનગારી – હરિહર ભટ્ટ

એક જ દે ચિનગારી, મહાનલ !
.                          એક જ દે ચિનગારી.

ચકમક  લોઢું  ઘસતાં ઘસતાં
.                          ખરચી  જિંદગી સારી;
જામગરીમાં તણખો ન પડ્યો,
.                          ન ફળી મહેનત મારી… મહાનલ0

ચાંદો સળગ્યો, સૂરજ સળગ્યો,
.                         સળગી  આભ અટારી;
ના સળગી એક સગડી મારી,
.                        વાત  વિપતની ભારી… મહાનલ0

ઠંડીમાં   મુજ   કાયા   થથરે,
.                      ખૂટી    ધીરજ   મારી
વિશ્વાનલ ! હું અધિક ન માગું,
.                      માગું એક ચિનગારી… મહાનલ0

-હરિહર ભટ્ટ

(જન્મ: ૦૧-૦૫-૧૮૯૫, મૃત્યુ: ૧૦-૦૩-૧૯૭૮)

સંગીત : આશિત દેસાઈ
સ્વર :  હેમા અને આશિત દેસાઈ

[audio:http://urmisaagar.com/saagar/audio/ek-j-de-chinagari.mp3]

સૌરાષ્ટ્રના જાળીલા ગામે જન્મેલા અને અમદાવાદમાં વસેલા કવિનો અભ્યાસ બી.એ. સુધીનો અને કાર્ય અધ્યાપનનું. જ્યોતિષશાસ્ત્રના પણ અધ્યાપક. વર્ષો સુધી સંદેશના પ્રત્યક્ષ પંચાંગના મુખ્ય સંપાદક. અમદાવાદની વેધશાળાના પુરસ્કર્તા અને નિયામક પણ ખરા.  એમની કવિતાઓમાં ઈશ્વર પ્રત્યેની શ્રદ્ધા, વતન માટેનો પ્રેમ અને ગાંધી મૂલ્યોનો આદર છલકાતો જોવા મળે છે. (કાવ્યસંગ્રહો: ‘હૃદયરંગ’, ‘હૃદયનૃત્ય’, બંનેનું સંકલન-  ‘એક જ દે ચિનગારી’)

ગુજરાતી ભાષાનું સર્વકાલિન શ્રેષ્ઠ ભક્તિગીત કહી શકાય એવા આ એકમાત્ર ગીતે કવિને અમરત્વ બક્ષ્યું છે. આખી જિંદગી આપણે નાસભાગમાં ને આજીવિકા રળવાની મહેનતમાં ખર્ચી નાંખીએ છીએ પણ આપણી અંદર સળગીને પ્રકાશિત થવા તૈયાર જે જામગરી પડી છે એ સળગે છે કે નહીં એ જોવા થોભતા નથી. વિશ્વ આખામાં ઈશ્વરના નામનો પ્રકાશ પથરાયેલો છે, એક આપણી જ સગડી આગ વિનાની છે. દુનિયાની આ હાડમારીથી હવે કાયા ધ્રુજી ઊઠી છે અને ધીરજનું પણ નાકું આવી ગયું છે… આવી ક્ષણે કવિનો સાચો ભક્ત-વિવેક પ્રગટ થાય છે અને ભજનને કવિતાનું માન મળે છે. કવિ વિશ્વાનલ પાસે માંગી-માંગીને એક ચિનગારીથી વિશેષ કંઈ જ નથી માંગતા.. સળગવાની ને પ્રકાશવાની સામગ્રી તો માંહ્ય ભરી જ છે… માંગણીનો સંતોષ એ આ કવિતાનો મુખ્ય પ્રાણ છે…

Comments (8)

યાદગાર ગીતો :૦૧: ગુણવંતી ગુજરાત – અરદેશર ખબરદાર

ગુણવંતી ગુજરાત ! અમારી ગુણવંતી ગુજરાત !
નમીએ નમીએ માત ! અમારી ગુણવંતી ગુજરાત !
મોંઘેરા તુજ મણિમંડપમાં ઝૂકી રહ્યાં અમ શીશ :
માત મીઠી ! તુજ ચરણ પડીને માગીએ શુભ આશિષ !
.                                                         અમારી ગુણવંતી ગુજરાત !

મીઠી મનોહર વાડી આ તારી નંદનવન-શી અમોલ !
રસફૂલડાં વીણતાં વીણતાં ત્યાં કરીએ નિત્ય કલ્લોલ !
.                                                         અમારી ગુણવંતી ગુજરાત !

સંત મહંત અનંત વીરોની વહાલી અમારી માત !
જય જય કરવા તારી જગતમાં અર્પણ કરીએ જાત !
.                                                         અમારી ગુણવંતી ગુજરાત !

ઊંડા ઘોર અરણ્ય વિષે કે સુંદર ઉપવનમાંય;
દેશવિદેશ અહોનિશ અંતર એક જ તારી છાંય
.                                                         અમારી ગુણવંતી ગુજરાત !

સર સરિતા રસભર અમીઝરણાં રત્નાકર ભરપૂર;
પુણ્યભૂમિ ફળફૂલ ઝઝૂમી, માત ! રમે અમ ઉર !
.                                                         અમારી ગુણવંતી ગુજરાત !

હિન્દુ, મુસલમિન, પારસી, સર્વે માત ! અમે તુજ બાળ :
અંગ ઉમંગ ભરી નવરંગે કરીએ સેવા સહુ કાળ !
.                                                         અમારી ગુણવંતી ગુજરાત !

ઉર પ્રભાત સમાં અજવાળી ટાળી દે અંધાર !
એક સ્વરે સહુ ગગન ગજવતો કરીએ જયજયકાર
.                                                         અમારી ગુણવંતી ગુજરાત !

નમીએ નમીએ માત ! અમારી ગુણવંતી ગુજરાત !

– અરદેશર ફ. ખબરદાર ‘અદલ’

(જન્મ: ૦૬-૧૧-૧૮૮૧, મૃત્યુ: ૩૦-૦૭-૧૯૫૩)

સંગીત સંયોજન : મેહુલ સુરતી
સ્વર : દ્રવિતા ચોક્સી

[audio:http://urmisaagar.com/saagar/audio/gunvanti-gujarat.mp3]

ગુજરાતી સાહિત્યને સમૃદ્ધ બનાવવામાં પારસી કોમના જે કવિઓનો ફાળો રહ્યો છે, એમાં અરદેશર ખબરદારનું સ્થાન ધ્રુવના તારા સમું છે. ‘ગુણવંતી ગુજરાત’ અને ‘જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત’ કાવ્યો થકી એ અમર કીર્તિ પામ્યા છે. દમણમાં જન્મેલા અને ત્યાં જ વસેલા, માત્ર પ્રાથમિક શિક્ષણ પામેલા આ કવિ મોટર-સાઇકલનો સામાન વેચવાનો ધંધો કરતા હતા પણ અનિર્વચનીય વતનપ્રેમથી છલકાતા હતા.  (કાવ્યસંગ્રહો: ‘કાવ્યરસિકા’, ‘વિલાસિકા’, ‘પ્રકાશિકા’, ‘ભારતનો ટંકાર’, ‘સંદેશિકા’, ‘કાલિકા’, ‘ભજનિકા’, ‘રાસચંદ્રિકા-1’, ‘દર્શનિકા’, ‘રાષ્ટ્રિકા’, ‘કલ્યાણિકા’, ‘રાસચંદ્રિકા-2’, ‘નંદનિકા’, ‘ગાંધીબાપુ’, ‘કીર્તનિકા’)

સદાકાળ ગુજરાત‘ આપ માણી ચૂક્યા છો એટલે યાદગાર ગીતોની શ્રેણીની શરૂઆત આજે એમના આ બીજા ગીતથી કરીએ.  નંદનવન જેવી મનોહર આ વાડીમાં શું શું નથી? સંત, મહંત, વીરોની આ ભૂમિ અરણ્ય, ઉપવન, સરોવર-નદીઓ, ઝરણાં-સમુદ્ર વડે શોભાયમાન છે. પણ કવિને જે ભાવ અભિપ્રેત છે એ છે કોમી એખલાસનો અને એ દ્વારા ગગન ગાજે એવો જયજયકાર કરવાનો છે…

Comments (9)

‘લયસ્તરો’ની સફરને આજે પાંચ વર્ષ પૂરાં થયાં…

‘લયસ્તરો’ને આજે પાંચ વર્ષ પૂરા થાય છે. પાંચ વર્ષ આમ તો બહુ નાનો ગાળો છે અને રોજેરોજ આખી દુનિયામાં બનતી અગણિત રોમાંચક ઘટનાઓમાં ‘લયસ્તરો’ના જન્મદિવસનું મહત્વ અલ્પ છે. છતાં પણ, આ નાના ડગલાને આટલી મજલે પહોંચતા જોવું મનને એક અજબ શાતા આપે છે.

‘લયસ્તરો’ બ્લોગ કવિતાના આનંદને વહેંચવાના ઉદ્દેશ્ય સાથે શરૂ કરેલો ત્યારે આ કાફલો આટલો મોટો થશે એવો ખ્યાલ ન હતો. તે વખતે વિશ્વભરમાં ગુજરાતી કવિતાના આટલા ચાહકો હશે એવું કોઈને કહીએ તો લોકો તમને ગાંડા ગણે એવી સ્થિતિ હતી. પણ આજે એ વાત સાચી ઠરી છે. ‘લયસ્તરો’ જ નહીં પણ બીજી અનેક ગુજરાતી કવિતાની વેબસાઈટ્સ-બ્લોગ્સ હોંશભેર વંચાય છે, એ પોતાની રીતે જ એક મહત્વની ઘટના છે. એમ કહી શકાય કે ગુજરાતી કવિતાને એનું નવું સરનામું સાંપડ્યું છે… ૫૫૦થી વધુ કવિઓની ૧૬૫૦થી વધુ રચનાઓ આજે આ ખજાનામાં ક્લિક્વગી થઈ પડી છે અને પ્રતિદિન એક નવી કવિતાનો એમાં ઉમેરો થતો રહે છે… ગુજરાતી સાહિત્ય ક્ષેત્રે આ એક સીમાચિહ્નરૂપ ઉપલબ્ધિ છે…

આ અવસરે જે જે લોકોએ ‘લયસ્તરો’ને ટેકો કર્યો છે એ બધાનો અમે અંત:કરણપૂર્વક આભાર માનીએ છીએ. ખાસ આભાર તો એ કવિઓનો કે જેમની રચનાઓ અહીં સંગ્રહિત થઈ છે. અને સૌથી વધુ આભાર અમારા વાચકોનો, જે અમને સતત પ્રોત્સાહિત કરતા રહ્યા છે.

દર વર્ષે ‘લયસ્તરો’ની વર્ષગાંઠે કંઈક નવું કરવાની કોશિશ કરીએ છીએ. આ વખતે આવતા 15 દિવસમાં ગુજરાતી સાહિત્યના 30 યાદગાર ગીતો ‘લયસ્તરો’ પર મૂકીશું. ગુજરાતી ગીતોના ઈતિહાસનો ફલક તો બહુ વિશાળ છે એટલે આ યાદગાર ગીતોની શ્રેણીને વીસમી સદીના ઉત્તરાર્ધમાં હયાત હોય એવા ગીતકારોના ગીત સુધી જ સીમિત રાખવાનું નક્કી કર્યું છે. એક ગીતકાર દીઠ એક ગીત પસંદ કરીને આપની સમક્ષ 30 અલગ અલગ ગીતકારોના 30 યાદગાર ગીતો રજૂ કરીશું. તો તૈયાર થઈ જાવ … આવતી કાલથી યાદગાર ગીતોની સફરમાં જોડાવા માટે !

– ધવલ-વિવેક-ઊર્મિ

Comments (54)