ભોગવે છે આજુબાજુમાં સહુ
હું ને તું બેઠાં છીએ એનો તનાવ
ભરત વિંઝુડા
લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.
April 12, 2011 at 10:17 PM by ધવલ · Filed under ગઝલ, બકુલ રાવળ
વાદળાં અષાઢનાં ભાળ્યાં કરું
ઝાંઝવાને રોજ પંપાળ્યા કરું
સંકટો હું ઘર મહીં ઊભાં કરું
બારસાખે ગણપતિ સ્થાપ્યા કરું
ખોરડું તો સાવ ખાલી થઈ ગયું
પોપડાઓ દાનમાં આપ્યા કરું
હું દિગંબર થઈ ફરું મનમાં અને
વસ્ત્રથી તનને ફક્ત ઢાંક્યા કરું
બારણાને આગળા ભીડી દીધા
ઉંબર પર સાથિયા પાડ્યા કરું
ઝાડવાં ભાગોળના વાઢી દીધા
આંગણામાં લીમડા વાવ્યા કરું
આંકડા ઘડિયાળના મારાં ચરણ
કાળનો કાંટો બની વાગ્યા કરું
– બકુલ રાવલ
માણસનો સૌથી મોટો દુશ્મન એ પોતે જ હોય છે.
Permalink
April 11, 2011 at 10:35 PM by ધવલ · Filed under ગઝલ, હનીફ સાહિલ
બંધ દરવાજાની ભીતર કોણ છે ?
હું જો બાહર છું તો અંદર કોણ છે ?
લાવ ચાખી જોઈએ ખારાશને
તું નદી છે તો સમંદર કોણ છે ?
કે સમયની રેત પર લિપિ લખી
આ પવન પૂછે નિરક્ષર કોણ છે ?
કોઈએ કંડારેલા પથ્થરને હું
રોજ પૂછું છું કે ઈશ્વર કોણ છે ?
કોણ વરસાવે છે પ્રશ્નોની ઝડી
ને રહે છે અનુત્તર, કોણ છે ?
– હનીફ સાહિલ
જવાબ ભલે ન એકેય આપતો. સવાલો મારા દિલને બેસુમાર દે.
Permalink
April 10, 2011 at 2:30 AM by વિવેક · Filed under ગઝલ, ધ્વનિલ પારેખ
સોળે સજ્યા શણગાર પર તું હે ગઝલ, થઈ જા પ્રગટ
આ શબ્દના આધાર પર તું હે ગઝલ, થઈ જા પ્રગટ.
કાયમ કિરણની કામના કરતા રહો, સારું નથી;
આજે સકલ અંધાર પર તું હે ગઝલ, થઈ જા પ્રગટ.
વીંધી શકાતું હોય છે જ્યાં મત્સ્યને પળવારમાં,
ગાંડીવના ટંકાર પર તું હે ગઝલ, થઈ જા પ્રગટ.
વરસાદ વરસી જાય તો એ ભોંય ફાડી પ્રગટે પણ,
આ વીજના ચમકાર પર તું હે ગઝલ, થઈ જા પ્રગટ.
આકાશરૂપી મંચ પર નર્તન હવા કરતી રહે,
રણકાર પર, ઝણકાર પર તું હે ગઝલ, થઈ જા પ્રગટ.
– ધ્વનિલ પારેખ
કવિની ખુમારી છે… ગઝલ પાસે યાચના નહીં, માંગણી કરે છે બાકી સંવેદનાનો વરસાદ પડે તો તો ગઝલ પ્રગટ થવાની જ છે…
Permalink
April 9, 2011 at 1:10 AM by વિવેક · Filed under ગઝલ, મધુમતી મહેતા
સંત કહે સહુ આવણજાવણ ભજ ગોપાલમ્
રામ ભજો કે બાળો રાવણ ભજ ગોપાલમ્
છાપ તિલક ના સમજ્યા કારણ ભજ ગોપાલમ્
લોટ જરીક ઝાઝું છે ચાળણ ભજ ગોપાલમ્
ડગલે પગલે ડાંટ ડરામણ ભજ ગોપાલમ્
સમજ અધૂરી શીખ સવા મણ ભજ ગોપાલમ્
કુબ્જા આંખે આંજે આંજણ ભજ ગોપાલમ્
અંધા ઉપર કરવા કામણ ભજ ગોપાલમ્
નાચ ન જાણે ટેઢું આંગણ ભજ ગોપાલમ્
કહેત કબીરા છોડ કુટામણ ભજ ગોપાલમ્
હાથ ન ધરીએ ઝોળી આપણ ભજ ગોપાલમ્
દાતો દરિયો મુઠ્ઠી માગણ ભજ ગોપાલમ્
ગદા, ચક્ર ક્યાં કરતા ધારણ ભજ ગોપાલમ્
ઊંધું ઘાલી ઊંઘે નારણ ભજ ગોપાલમ્
– મધુમતી મહેતા
અખાના છપ્પા યાદ આવી જાય એવી મજેદાર મત્લા ગઝલ…
Permalink
April 8, 2011 at 1:44 AM by વિવેક · Filed under પ્રફુલ્લા વોરા, મુક્તક
ઝાકળ જેવું જીવે માણસ,
અજવાળાથી બીવે માણસ.
જીવતર આખું દોડી દોડી
ખાલીપાને પીવે માણસ.
– પ્રફુલ્લા વોરા
ભાવનગરની શિશુવિહાર સંસ્થા અનેક રચનાત્મક પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલી છે. ત્રીસેક વર્ષોથી નિયમિત યોજાતી કવિઓની ‘બુધસભા’ અને દોઢેક દાયકાથી દર વર્ષે યોજાતું કવયિત્રીસંમેલન (આ ઘટના તો કદાચ એકમાત્ર હશે!) એમની નોંધપાત્ર પ્રવૃત્તિઓ છે. બુધસભાના કવિઓની રચનાઓનો વાર્ષિક સંગ્રહ ‘નીરક્ષીર’ અને કવયિત્રીસંમેલનની રચનાઓનો વાર્ષિક સંગ્રહ ‘જ્હાન્વી સ્મૃતિ’ના નામે દોઢ દાયકાથી પ્રગટ થાય છે… આ સંગ્રહમાંથી એક નાનકડું પુષ્પ…
Permalink
April 7, 2011 at 11:30 PM by વિવેક · Filed under ધનસુખલાલ પારેખ, હાઈકુ
પનિહારીના
પગલે, ફાટફાટ
કૂવાનું પાણી.
– ધનસુખલાલ પારેખ
કોઈ મને પૂછે કે કોઈ અસીમ સૌંદર્યવતી સ્ત્રીનું અભૂતપૂર્વ વર્ણન કરવા માટે કેટલા લાંબા કાવ્યની જરૂર પડે તો હું કહું, માત્ર સત્તર અક્ષરની !!!
Permalink
April 6, 2011 at 11:00 PM by ઊર્મિ · Filed under ગઝલ, જવાહર બક્ષી
ભલે હમણાં તો હું થાકેલી પાંપણમાં ઢળી જઈશ,
કોઈ દી તો પરોઢી સ્વપ્નની જેમ જ ફળી જઈશ.
નહીં જીવવું પડે ભ્રમના ચહેરાઓની આડશમાં,
હરણનાં શિંગડાંઓ તોડીને હું નીકળી જઈશ.
સમયનો બાદશાહ ! ક્યારેક બિનવારસી મરી જાશે,
સવારે ખૂલશે દરવાજા, ને હું પહેલો મળી જઈશ.
પછી અંધારિયો ગઢ કાંગરા સાથે તૂટી પડશે,
કોઈ વેળા હું સૂરજનાં ટકોરા સાંભળી જઈશ.
– જવાહર બક્ષી
માત્ર ચાર શેરોમાં કદાચ ચાર વેદો જેટલો સંદેશ કવિએ ઠાંસી ઠાંસીને ભર્યો છે. પરોઢી સ્વપ્નની જેમ ફળવાની આશા લઈને થાકેલી પાંપણમાં ઢળવું એ ખરી જાગૃતિ. બીજો શેર ખૂબ જ ગહન છે… હરીન્દ્રભાઈ દવેનાં શબ્દોમાં કહું તો; “ભ્રમની સૃષ્ટિમાં જીવવું – એટલે જ થાકની સૃષ્ટિમાં જીવવું. આપણે ભ્રમનાં ચહેરાઓ વચ્ચે જીવીને થાકી જતાં હોઈએ છીએ. જીવવાનો થાક ક્યારેય કોઈને લાગ્યો નથી, પણ જીવવાના અભિનયનો થાક લાગે છે. અને આપણે થોડી જ ક્ષણોમાં જીવીએ છીએ, બાકીને ક્ષણોમાં અભિનય જ કરીએ છીએ. આ ભ્રમના ચહેરાઓની વચ્ચેથી નીકળવા માટે હરણનાં શિંગડાઓ તોડવા પડે છે. હરણનો સંબંધ મૃગજળ જોડે છે તો સુવર્ણમૃગ જોડે પણ છે અને આ છલનાની સૃષ્ટિ શિંગડા જેવી નક્કર લાગે તો પણ એ શિંગડા વચ્ચેનાં પોલાણ જેવી પોકળ છે.” અહીં તારાપણાના શહેરમાં જો તું મને શોધ્યા કરે તો હું તને કયાંથી મળું ? કહેતાં કવિ આપણને કહી દે છે કે એ સૌથી પહેલા મળશે, જો સમયથી પર રહીને એમને મળી શકાય તો. સૂરજનાં ટકોરા સાંભળવાની વાત એટલે કે તમસો મા જયોતિર્ગમય…
Permalink
April 5, 2011 at 8:27 PM by ધવલ · Filed under અછાંદસ, પુરુરાજ જોશી
અજવાળું
ઘોંધાટ કરે છે
અંધારું તો પવનલહરના સ્પર્શે
મંદ, મધુર સુરાવલિ છેડતું
વાયોલિન!
અંધારામાં
મઘમઘતી માટી
અંધારાથી
સંગોપિતા પૃથ્વી
પુનર્જન્મની કરે પ્રતિક્ષા…
અંધારું
જળની પાટી પર
પવને પાડ્યા અક્ષર
ભૂંસે,
ગૂંથે
શિશુઓની બીડેલ આંખમાં
સ્વપ્નો.
યુવકો માટે રચતું
વસંતોત્સવ અંધારું
ને વિરહદગ્ધ હ્રદયો માટે
પાથરતું
અનંત અંધ સુરંગ.
– પુરુરાજ જોષી
અંધારાનો એક બીજો રંગ !
Permalink
April 4, 2011 at 9:30 PM by ધવલ · Filed under અછાંદસ, નિરંજન ભગત
હું એકલો છું મુજ ગેહ માંહી,
આ દેહ માંહી!
મુજ બંધ દ્વાર,
ને બહાર
ઊભો ઘન અંધકાર
કહે, ‘મને તું હ્રદયે જ ધાર!’
ઊભો વળી ચંચલ ત્યાં પ્રકાશ
કહે, ‘મને લે નિજ બાહુપાશ!’
હલત ન હાથ,
ન દ્વાર ખોલ્યું;
ને હૈયું ત્યાં તો સહસા જ બોલ્યું:
‘ના, સ્નેહસંધિ
આવો રચીને ઉભયે જ, સાથ!
ને ત્યાં લગી રહ્યાં છો પ્રવેશબંધી
મુજ ગેહ માંહી!’
હું એકલો છું મુજ દેહ માંહી!
– નિરંજન ભગત
પ્રકાશ કે અંધકાર બન્નેમાંથી કોઈને પણ એકલા સ્વીકારવાની કવિની તૈયારી નથી. બન્ને સાથે મળીને આવે તો જ વાત બને. અને જુઓ, જે નિર્ણય મન કરી શક્યું નહીં, એ હ્રદય એક જ ક્ષણમાં કરી લે છે.
Permalink
April 3, 2011 at 3:30 AM by તીર્થેશ · Filed under ગઝલ, રમેશ પારેખ
ઊભાં રહીને ક્ષિતિજોનાં ચરણ થાકી જશે ત્યારે ?
વિહગ થઈ ઘૂમતું વાતાવરણ થાકી જશે ત્યારે ?
કિનારાની તરસ, સુક્કી નીરવતામાં વહ્યા કરશે
પરંતુ શું થશે જળનું, ઝરણ થાકી જશે ત્યારે ?
તમારા સ્પર્શની લીલાશમાં ખોવાયાં-ખોવાયાં
હરણ થઈને ફર્યાં કરતા સ્મરણ થાકી જશે ત્યારે ?
ઊંટો પડછાયે-પડછાયે મૂકી નીકળી ગયા,પાછળ
દિશા વચ્ચે ઘૂમરીઓ ખાતું રણ થાકી જશે ત્યારે ?
મને આપ્યા કરે બળતાં સતત જંગલ ઉદાસીનાં
પરંતુ હાંફતું પગનું સરણ થાકી જશે ત્યારે ?
હવે શ્રદ્ધા નથી રહી કોઈ સંભવમાં મને કોઈ
તમે જે નામ લો તે નામ પણ થાકી જશે ત્યારે ?
– રમેશ પારેખ
આમ તો મારી પાસે આમાંના એકપણ પ્રશ્નનો જવાબ નથી,પરંતુ છેલ્લો પ્રશ્ન રાતોની ઊંઘ હરામ કરી દે તેવો છે…..
Permalink
April 2, 2011 at 12:41 AM by વિવેક · Filed under આદિલ મન્સૂરી, ગઝલ
નક્ષત્રો, ગ્રહો, ચાંદ, સિતારાઓ ફરે છે
દરવેશની તસ્બીહના મણકાઓ ફરે છે
હોડી તો અચળ સ્થિર ઊભી પાણીની વચ્ચે
નદીઓ ને સમુદ્રો ને કિનારાઓ ફરે છે
ચાખડીઓયે છોડી ગયા દશરથા કુંવર તો
દસ માથાં લઈ લંકાના રાજાઓ ફરે છે
યાત્રીના પગો માર્ગમાં ખોડાઈ ગયા ને
ચોમેર હવે એકલા રસ્તાઓ ફરે છે
હા, સ્પર્શ તો ફૂલોથીયે કોમળ હતો આદિલ
રગરગમાં પછી કેમ આ કાંટાઓ ફરે છે
– આદિલ મન્સૂરી
ત્યાગી શકે એ જ રાજા, બાકી દસ માથાંનો ગર્વ કદી રાજ કરી ન શકે…
Permalink
April 1, 2011 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, હરજીવન દાફડા
કોઈને આમ સમજાયો, કોઈને તેમ સમજાયો,
અઢી અક્ષર હતા તોયે ન પૂરો પ્રેમ સમજાયો.
જીવનનો દાખલો કોનો હશે સાચો, ખબર ક્યાં છે ?
ગણી નાખ્યો હતો સૌએ સ્વયંને જેમ સમજાયો.
સદીઓથી ખીલા ફરતે હજી ચક્કર લગાવો છો,
ભલા માણસ ગતિનો અર્થ તમને એમ સમજાયો ?
તમે આનંદને જોતા રહ્યા અવસાદની આંખે,
અમંગળ પત્ર વાંચ્યો મેં તો કુશળક્ષેમ સમજાયો.
યુગોની યાતનામાંથી નીકળતાં વાર ના લાગી,
એ ખડકી ખોલવાનો ભેદ અમને કેમ સમજાયો !
-હરજીવન દાફડા
હરજીવન દાફડાની આ ગઝલ અસ્મિતા પર્વ, મહુવા ખાતેના કવિસંમેલનના જીવંત પ્રસારણ સ્વરૂપે ટી.વી. પર સાંભળી હતી ત્યારે ખીલા ફરતા ચક્કર લગાવવાની વાતવાળો શેર કાગળ પર ટાંકવા મજબૂર થઈ ગયો હતો. ગઝલના પહેલા ત્રણ શેર પહેલી નજરે જ ગમી જાય એવા મજાના થયા છે પણ આખરી બે શેરમાં કવિ એના સાચા સ્વરૂપે પ્રગટ થાય છે. કુશળક્ષેમવાળો શેર વાંચતા જ ‘युधिष्ठिर को कोई दुर्जन नहीं मिला और दुर्योधन को कोई सज्जन नहीं मिला’વાળો પાઠ યાદ આવી જાય છે. અને આખરી શેર જેટલો ધીમેથી ખુલે છે એટલો જ વધુ અર્થગહન બન્યો છે. આંખની આગળ એષણાના પડળ બાઝી ગયા હોય કે સંબંધના ‘અમે’ને ‘હું’ની બંધ ખડકી નડતી હોય યા મુક્તિનો માર્ગ મોહ-માયાએ ગોપિત કરી દીધો હોય ત્યારે જીવનમાં યાતના સિવાય શું બચે છે? અને આ બંધ બારીઓ એકવાર ખોલી નાંખો તો પછી….?
Permalink
March 30, 2011 at 11:45 AM by વિવેક · Filed under ગઝલ, સ્નેહી પરમાર
સારું નરસું એવું શું ગજવે ભરવાનું ?
ફરવા આવ્યા છો અહીંયા તો બસ ફરવાનું !
તોય હવા ને હોવા વચ્ચે ભેદ ન સમજ્યો
કામ કરે છે કાયમ જે ફુગ્ગા ભરવાનું !
પિંજરને ટિંગાડી રાખો તોયે રહેશે
પંખી તો પંથી છે, ચીલો ચાતરવાનું.
દોરી છૂટે, દોરી ખૂટે ત્યાં લગ સાથી !
ઊંચે ઊડવાનું ને ઊંડે ફરફરવાનું.
એક જ પળ માટે સામેની બારી ખૂલે
એના માટે આખ્ખો દા’ડો તપ કરવાનું ?
– ‘સ્નેહી’ પરમાર
આ ગઝલ વાંચો અને એના પ્રેમમાં ન પડાય એવું બની શક્શે? કેટલાકે ડંકાની ચોટ પર તો કેટલાકે પોતાની જાતથીય છાનુંમાનું પણ તપ તો જરૂર કર્યું હશે…
Permalink
March 29, 2011 at 8:53 PM by ધવલ · Filed under અછાંદસ, પ્રજારામ રાવળ
ખરખર ખરે
પાનખરપર્ણ
ઝરમર ઝરે.
શિશિરની શીત લહર જરી વાય,
વૃક્ષની કાય
જીર્ણ અતિ, પત્ર પત્ર થર્થરે !
પીત અતિ શુષ્ક
ખડખડે, રુક્ષ
વૃક્ષથી ખરે,
હવામાં તરે,
ધીમેથી ધરતી પર ઊતરે;
એક પછી એક
ઝરંત અનેક
પત્રનો તંત
વહંત અનંત.
ઊઘડે તરુવર કેરી કાય,
ચીવરે પીત ધરા ઢંકાય;
વૃક્ષ નિજ રૂપ ધરંતું નગ્ન,
પીત ચીવરમાં ધરતી મગ્ન:
બેઉ તપ તપે,
પંખી પંખીની સોડે લપે.
– પ્રજારામ રાવળ
આ કાનથી વાંચવાની કવિતા છે. નકરો સ્નિગ્ધ લય કાનથી મન સુધી કેવો જાદૂ કરે છે એ માણો. ( ચીવર=વસ્ત્ર )
Permalink
March 28, 2011 at 8:48 PM by ધવલ · Filed under ગઝલ, રાજેન્દ્ર શુક્લ
ભભૂતિ શું ભરપૂર ભેટી લઉં છું,
સકળને સમૂળું સમેટી લઉં છું.
ન તો ઊંઘવું આ, ન તો જાગવું આ,
અહર્નિશ ઉજાગર ઉંઘેટી લઉં છું.
હું રેલાઉં, ફેલાઉં, વરસી પડું પણ-
બીજી ક્ષણ મને હું ઉશેટી લઉં છું.
ભલો ભાવ ભગવો, ભલો મેઘધનુષી!
લિપટતું જે આવે લપેટી લઉં છું.
શબદ ક્ષીરસાગર, શબદ શેષશય્યા,
શબદસૃષ્ટિ અંતે હું લેટી લઉં છું.
– રાજેન્દ્ર શુક્લ
(‘ઘિર આયી ગિરનારી છાયા’)
એક એવી અવસ્થા આવે છે કે જ્યાં બધું છોડી દેવું અને સર્વસ્વને ભેટી લેવું એક જ બની જાય છે. ત્યાં શાંત થઈ જવું કે છલકી જવું એક જ બની જાય છે. અને જાગૃતિ ને નિદ્રા છાના પગલે ભેગા થઈ જાય છે.
જે ભાવ કુદરતી રીતે સ્ફૂરે – એ ભગવો હોય કે રંગીન – એ જ ખરો ભાવ છે. એને ભારે ભાવથી ભેટી જ લેવું !
છેલ્લો શેર તો ભારે મઝાનો થયો છે. શબ્દ જ ક્ષીરસાગર છે, શબ્દ જ સૃષ્ટિ છે અને એના અંતે આધાર પણ તો શબ્દની શેષશય્યાનો જ છે ! આ બધા પ્રતિકોથી, માણસને છેક ઈશ્વર-સમાન અવસ્થા સુધી લઈ જવાનું શબ્દનું સામર્થ્ય કવિ અહીં છતું કરે છે.
Permalink
March 27, 2011 at 3:30 AM by તીર્થેશ · Filed under ગઝલ, રઈશ મનીયાર
ભિન્ન ભાષા, ને અલગ લિપિ મળી,
પણ યુગેયુગ એ જ ગમગીની મળી.
ભીંત ખાલીપાની બહુ લીસી હતી,
શબ્દની, સારું થયું,ખીંટી મળી.
વિશ્વ આખું પોતીકું ગણનારને,
વેદના જયારે મળી,નિજી મળી.
સાંપડ્યું છે કોઈને તૈયાર ચિત્ર,
આપણું કિસ્મત કે બસ પીંછી મળી.
એક નદી રણમાં ઝઝૂમી જ્યાં સતત,
અંતે થોડી રેત ત્યાં ભીની મળી.
જિંદગી લાંબી ઘણી જીવ્યા તમે,
કેટલી ક્ષણ સાવ પોતીકી મળી ?
– રઈશ મનીઆર
Permalink
March 26, 2011 at 12:30 AM by વિવેક · Filed under અછાંદસ, આદિ શંકરાચાર્ય
હે શિવ !
મારાં ત્રણ પાપ બદલ
મને ક્ષમા કરજો.
હું તીર્થયાત્રા માટે કાશી આવ્યો ત્યારે
ભૂલી ગયો કે તમે સર્વવ્યાપી છો !
હું સતત તમારો વિચાર કરું છું, કારણ કે
હું ભૂલી જાઉં છું કે તમે તો વિચારોથી પર છો !
હું તમને પ્રાર્થના કરું છું ત્યારે ભૂલી જાઉં છું
કે તમે તો શબ્દોથી પર છો !
-આદિ શંકરાચાર્ય
આપણને અસીમ ચાહતાં આવડતું નથી. આપણે બધાંને ટુકડાંઓમાં જ ચાહીએ છીએ. ઈશ્વરને પણ આપણે આપણી સગવડ પ્રમાણે વેતરી નાંખ્યો છે…
Permalink
March 25, 2011 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, હેમેન શાહ
પંખી પાસે આવ્યું, બોલ્યું કાનમાં,
આ ઋતુ આવી તમારા માનમાં.
પૃથ્વીએ પડકાર વાદળને કર્યો,
પાણી હો તો આવી જા મેદાનમાં.
ખીલવાનો કંઈ નશો એવો હતો,
પાંદડાં ખરતાં ન આવ્યાં ધ્યાનમાં.
સત્ય ક્યાં છે એક સ્થળ પર કે સતત ?
ઓસ વેરાયું બધે ઉદ્યાનમાં.
કિમતી પળ આપીને સોદો કર્યો,
હું કમાયો પણ રહ્યો નુકસાનમાં.
સાબિતી કે તારણોમાં શું મળે ?
જો હશે તો એ હશે અનુમાનમાં.
મોંઘીને રંગીન કંઈ ચીજો હતી,
માત્ર મેં કક્કો લીધો સામાનમાં.
– હેમેન શાહ
સામનમાં એકમાત્ર સાચો કક્કો જ હોય તો જીવન આપમેળે શું મોંઘેરું ને રંગીન નથી બની રહેતું?
Permalink
March 24, 2011 at 10:00 PM by ઊર્મિ · Filed under આશા પુરોહિત, ગઝલ
તું ગઈ, ને એટલે વરસાદ પણ ગયો,
જો પલળવાનો હવે ઉન્માદ પણ ગયો.
ચોતરફ એકાંતનો છે એવો દબદબો,
વીજળી-વાદળ ને જળનો નાદ પણ ગયો.
કંઠમાં આઘાતનો ડૂમો હજીયે છે,
લે, તને સંબોધવાનો સાદ પણ ગયો.
એકલા આ મૌનમાં જીવીને શું કરું,
તું નથી, ને એટલે સંવાદ પણ ગયો.
હું તને શોધ્યા કરું ને તું મળે નહીં,
આપણા મેળાપનો અપવાદ પણ ગયો.
– આશા પુરોહિત
કોઈનાં જવાથી એની સાથે સાથે બીજું શું શું ચાલ્યું જાય છે- એ વિષાદી ભાવને મત્લાથી લઈને મક્તા સુધી દરેક શેર વધુ ને વધુ ઘેરો બનાવે છે… કયા શેરને બેસ્ટ ગણવો એ સવાલનો જવાબ આપવોય અઘરો થઈ પડે એવી મજાની ગઝલ.
Permalink
March 23, 2011 at 9:00 PM by ઊર્મિ · Filed under ઊજમશી પરમાર, ગીત
ઝીણી ઝીણી ઝાલર ઘટમાં બાજે ઘડી ઘડી,
દુનિયા આખી આજ અનોખા લયની મેડી ચડી.
પગલું મેલ્યે ધરતી ધબકે, ઉરના ઢોલ ધડૂકે,
અંધારેયે આંખ માંડતાં શત શત વીજ ઝબૂકે;
ધોમ ધખે ત્યાં અમી તણી આ વરસી ક્યાંથી ઝડી ?
વણદેખી કેડીનાં કામણ કિયે મુલક લઈ જાતાં,
ચડી હિંડોળે વળતાં વ્હાણાં પંચમ સૂરે ગાતાં,
સાવ અજાણી આંખેથી મધઝરતી ભાષા જડી !
– ઊજમશી પરમાર
એકવાર ઘટમાં ઝાલર વાગવા માંડે તો પછી દુનિયાનો લય પણ અનોખો જ લાગે… અને એકવાર ભીતરની દૃષ્ટિ બદલાઈ જાય, પછી તો સાવ અજાણી આંખોની ભાષા પણ મધઝરતી જ લાગે.
Permalink
March 21, 2011 at 10:44 PM by ધવલ · Filed under પ્રકીર્ણ
ગુલામીની બેડીઓ
કેવી હોય છે, દોસ્તો ?
નજરે જોઈ નથી.
રાજમાર્ગ પર ચાલતાં ચાલતા
હ્રદય થડકો ચૂકી જાય
પૂજા માટે ઝૂકેલું મસ્તક
છેદાય જાય
નજર સામે સંભોગાતી સ્ત્રીની ચીસ
સંભળાય, તો ય
મૌનનો કિલ્લો તૂટે નહીં
તેને શું કહીશું, દોસ્તો ?
– દલપત ચૌહાણ
ગુલામી તો માનસિક અવસ્થા છે. કોઈ કાયદો કદી કોઈને સ્વતંત્ર બનાવી શકતો નથી. સ્વતંત્રતાની કિંમત આપવાની તૈયારી, એને પચાવવાની તાકાત, અને એને જીરવવાની હિંમત આ બધુ હોય તો જ કોશિશ કરવી. બાકી તો ઘેટાંના ટોળામાં એક વધારે, બીજું શું ?
Permalink
March 20, 2011 at 3:30 AM by તીર્થેશ · Filed under ગીત, મૂકેશ જોષી
ફાટ્યા ને તૂટ્યા સંબંધોને થીગડાં લગાવો
તો ક્યાં સુધી ચાલે ?
એકવાર મન માંહે પડતી તિરાડ પછી
આપમેળે લંબાતી ચાલે
અણિયાળા શબ્દોના આછેરા સ્પર્શથી
તૂટે જ્યાં લાગણીની માળા
ઊખડી પડે રે પછી વ્હાલના પોપડા
ભીતર જુઓ તો અગનજ્વાળા
હાલતી હવેલીને ક્યાંથી બચાવો
જ્યાં મૂળમાંથી પાયાઓ હાલે…ફાટ્યા ને તૂટ્યા….
પાસે પાસે તો હવે રહેવાના ડોળ ફક્ત
મન તો છેટાં ને ખૂબ આઘાં
કાંકરીભાર નહીં ખમતા સંબંધ હવે
પહેરે છે કાચના જ વાઘા
તૂટ્યા ને ફૂટ્યા સંબંધોનો કાટમાળ
લટકે પાંપણની દીવાલે….ફાટ્યા ને તૂટ્યા….
– મુકેશ જોષી
‘ Love that does not renew itself every day becomes a habit and in turn a slavery’ – Kahlil Gibran.
Permalink
March 19, 2011 at 1:15 AM by વિવેક · Filed under ભક્તિપદ, ભજન, મીરાંબાઈ
[audio:http://tahuko.com/gaagar/layastaro/Kinu Sang Khelun.mp3]
केनू संग खेलू होली
पिया त्यज गये है अकेली..!
माणिक मोती सब हम छोडे
गले में पहनी सेली
भोजन भवन भलो नही लागे
पिया कारन भयी रे अकेली
मुझे दुरी क्युँ मेली ?
अब तुम प्रीत अवर सु जोडी
हम से करी क्युं पहेली ?
बहु दिन बीते, अजहुन आये,
लग रही ताला वेली
केनु दिल मा ये हेली ?
श्याम बिना जीयडो मुरझावे,
जैसे जल बिन बेली,
मीरा को प्रभू दरसन दिजो
मै तो जनम जनम की चेली
दरस बिना खडी दुहेली…
– મીરાંબાઈ
આજે હોળીના શુભ અવસર પર મીરાંબાઈનું એક અદભુત ભજન લતા મંગેશકરના સ્વરમાં…
(ઑડિયો ટ્રેક સૌજન્ય: મનીષ ચેવલી, સુરત)
Permalink
March 18, 2011 at 12:30 AM by વિવેક · Filed under અછાંદસ, વિપાશા મહેતા
રણમાં
એ નદી લાવી.
લોકો કહે
ના, નથી આવી.
લોકો કહે, નદી કેવી રીતે આવે, રણમાં ?
નદી ઉપર એણે બંધ બાંધ્યો.
લોકો કહે,
ના,
બંધ કેવી રીતે આવે, રણમાં ?
બંધ તૂટ્યો ને પૂર આવ્યું
લોકો કહે,
પૂર તે કંઈ આવે, રણમાં ?
પૂર ના આવે, રણમાં.
બધા ડૂબી ગયા, પૂરમાં.
ઘણા બધાં અવાજ આવ્યા
આવું તે કંઈ થાય અમારા રણમાં ?
આવું કાંઈ ન થાય અમારા રણમાં.
– વિપાશા મહેતા
કવિ કલમને પ્રામાણિક્તાથી પકડે ત્યારે એ પયગંબરની કક્ષાએ પહોંચે છે. ઉકેલના વિતંડાવાદમાં પડ્યા વિના જ એ સમસ્યાના મૂળ સુધી ભાવકને અને એ રીતે સમાજને લઈ જઈ શકે છે કેમકે સાચો પયગંબર જ જાણે છે કે સમસ્યાઓનો કોઈ તાર્કિક ઉકેલ હોઈ જ ન શકે. સમસ્યાના મૂળ સુધી સાચા અર્થમાં જે ઘડીએ પહોંચી શકીએ એ ઘડી જ હકીકતમાં સમસ્યાના અંતની શરૂઆત હોય છે.
પ્રસ્તુત કવિતા છતી આંખે આંધળા અને પોતાના અંધત્વને જ દૃષ્ટિ ગણીને જીવતા સમાજની ‘નોન-ફ્લેક્સિબિલિટિ’ની સમસ્યાના મૂળ સુધીનો પ્રવાસ છે.
Permalink
March 17, 2011 at 8:00 PM by ઊર્મિ · Filed under ગઝલ, હર્ષ બ્રહ્મભટ્ટ
હું ચરણ માંડું અને રસ્તો બને,
એક ટીપું શક્ય છે દરિયો બને.
ઘાસ પરથી ઓસ છો ઊડી જતું,
એક પળ પાકે અને મોતી બને.
ચોતરફ ઘનઘોર છો અંધાર છે,
વીજળી ઝબકે અને નકશો બને.
એક વાદળ આભમાં દેખ્યા પછી,
ધરતી ઊંચી થાય ‘ને પ્હાડો બને.
પાણીમાં મેં ડૂબકી મારી અને-
શક્ય છે કે જળ ખુદ હોડી બને !
-હર્ષ બ્રહ્મભટ્ટ
વાદળને આભમાં જોવા ઊંચી થતી ધરતીને લીધે પહાડો રચાવાની કેવી મનહર કલ્પના !
Permalink
March 16, 2011 at 1:00 AM by ઊર્મિ · Filed under ગઝલ, વિવેક મનહર ટેલર
થઈ આંગળી રથમાં ધરીનું સ્થાન બનીશું,
એ રીતે અમે જીતનું વરદાન બનીશું.
એ રીતે બધી વાતે સમાધાન બનીશું,
જ્યાં ગાંઠ પડે ત્યાં અમે નાદાન બનીશું.
દુશ્મન થશું તો મોતના ફરમાન બનીશું,
જો દોસ્ત બનીશું તો દિલોજાન બનીશું.
પગમાં યદિ ન હોય જો સ્વપ્નોના પગરખાં,
રસ્તા ઊઠીને બોલશે, વ્યવધાન બનીશું.
ઘર આખું સમેટી લો છતાં એ ન સમેટાય,
એ રીતથી તુજ હોવાનો સામાન બનીશું.
ઊગી હો જુદાઈની ભલે ભીંત ખીચોખીચ,
તું જ્યાં મળે એ દ્વારના ઓધાન બનીશું.
પહોંચીશું બધા ઘરમાં અમે નેટના રસ્તે,
મા ગુર્જરીનું એમ જીવતદાન બનીશું.
– વિવેક મનહર ટેલર
(૨૬-૦૫-૨૦૧૦)
નેટના રસ્તે થઈને આજે સાચેસાચ ઘર ઘરમાં પહોંચેલા આપણા દિલોજાન દોસ્ત વિવેકને લયસ્તરો અને આપણા સૌ તરફથી જન્મદિવસની અઢળક અઢળક શુભેચ્છાઓ…
Permalink
March 15, 2011 at 9:34 PM by ધવલ · Filed under અછાંદસ, રિલ્કે
હે પ્રહર !
તું મારાથી દૂર ઊડી રહ્યો છે;
તારી પાંખોની થપાટથી તું મને ઘાયલ કરે છે.
હું સાવ એકાકી;
શું કહેવું મારે મારા મુખ થકી,
મારી રાત્રિઓ અને દિવસોનું મારે શું કરવું ?
મારી કોઈ પ્રિયતમા નથી,
નથી કોઈ ઘર.
હું જે કોઈ ચીજના સંપર્કમાં આવું છું
તેને સમૃદ્ધ કરું છું,
અને તે મને અકિંચન બનાવે છે.
– રિલ્કે
(અનુ. ચંદ્રકાંત દેસાઈ)
રિલ્કેની કવિતા અભાવ અને એકલતાની કવિતા છે. કવિના નામે એ પોતાની જ વાત કરે છે.
Permalink
March 14, 2011 at 10:26 PM by ધવલ · Filed under અમૃત ઘાયલ, ગઝલ
સદ્ધર બનાવીએ અતિ ધરખમ બનાવીએ,
નત મસ્તકોને ઊંચકી અણનમ બનાવીએ.
ખુશ્બોની યાને મહેકની મોસમ બનાવીએ,
આલમથી ભિન્ન આપણી આલમ બનવીએ.
આ પ્રેમનીય હોવી ઘટે ઇષ્ટ યોજના,
અભ્યાસ જેમ પ્રેમનો પણ ક્ર્મ બનાવીએ.
જેની જગતમાં ઉપમા કશે પણ મળે નહીં,
જીવન ગતિને એવી અનુપમ બનાવીએ.
આપસમાં મેળ હોય તો વમળોની શી વિસાત!
‘મનમેળ’ને જ નાવનો માલમ બનાવીએ.
એ રામભક્ત હો કે હો બંદો રહીમનો,
હમદર્દ હોય એમને હમદમ બનાવીએ.
‘ઘાયલ’- જે ઘાવ શત્રુનાયે રૂઝવી શકે,
એક એવો લેપ યાને કે મરહમ બનાવીએ.
– અમૃત ઘાયલ
જીંદગીને સરળ કરી નાખે એવી સલાહ, ‘ઘાયલ’ના શબ્દોમાં.
Permalink
March 13, 2011 at 3:30 AM by તીર્થેશ · Filed under ગઝલ, શ્યામ સાધુ
ક્યાંક ઝરણાંની ઉદાસી પથ્થરો વચ્ચે પડી છે,
ક્યાંક તારી યાદની મોસમ રડી છે !
દોસ્ત,મૃગજળની કથા વચ્ચે તમે છો,
આ જુઓ અહીંયાં તરસ,ત્યાં વાદળી ઊંચે ચડી છે !
પંખીઓના ગીત જેવી એક ઇચ્છા ટળવળે છે,
ઓ હૃદય ! બોલો કે આ કેવી ઘડી છે !
આવ, મારા રેશમી દિવસોના કારણ,
જિંદગી જેને કહે છે એ અહીં ઠેબે ચડી છે !
ઓ નગરજન, હું અજાણ્યા દેશનો થાક્યો પ્રવાસી,
લાગણી નામે હવેલી ક્યાં ખડી છે ?
– શ્યામ સાધુ
પહેલો શેર વાંચતાં જ એક તીવ્ર જીજ્ઞાસા થઇ- આટલા બળકટ મત્લા પછી શાયર આખી ગઝલમાં આ સ્તર કઈ રીતે જાળવશે ? પરંતુ શાયર માહિર છે- બીજા શેરમાં નીચે મૃગજળ તો આકાશમાં વાદળ કે જે વરસતું નથી અને મૃગજળના જ આકાશી રૂપ સમાન છે,તે બે વચ્ચે શાયર તલસતો રહે છે,તેનું બખૂબી વર્ણન છે.એકપણ શેર એવો નથી થયો જે કાબિલેદાદ ન હોય.
Permalink
March 12, 2011 at 12:30 AM by વિવેક · Filed under અછાંદસ, નિરંજના દેસાઈ
દરવાજો બંધ હતો.
છતાં
કોણ જાણે ક્યાંથી
હવા
એને હડસેલો મારી
અંદર ધસી આવી !
ને પછી,
આખા ઓરડામાં
લાંબી સોડ તાણી
આડી પડી !
બારીની તિરાડો
ચૂંચી આંખે
એને જોઈ રહી !
દરવાજો આભો બની
જ્યાં ધકેલાયો હતો ત્યાં
ખોડાઈને ઊભો રહ્યો !
હવાએ
ન તો પડખું બદલવાનો
પ્રયાસ કર્યો,
ન ત્યાંથી જવાનો.
હું
એકીટશે
જોઈ રહું,
મારા જ ઘરમાં
પરાઈ વ્યક્તિ સમ !
– નિરંજના દેસાઈ
કેટલી સરળ-સહજ ભાષામાં કવયિત્રીએ આપણા જીવનમાં આપણી જાણ બહાર થઈ જતા અતિક્રમણની વાત કરી છે !!
Permalink
March 11, 2011 at 12:30 AM by વિવેક · Filed under અછાંદસ, આશા ગોસ્વામી
ઈશ્વર,
તમે કહો તો
મીણબત્તીથી
સૂરજને સળગાવી મૂકું.
સોયદોરો લઈને આભને
થીંગડા મારી આવું.
તમે કહો તો
સમયની બધી જ મર્યાદાઓ તોડીને ગાંડીતૂર
સરિતાની જેમ બેય કાંઠે છલકાઉં –
ને સાગર ઉલેચીને ખીણો સર્જું.
તમે કહો તો
પર્વતો તોડીને
ખીણો બનાવું ને ખીણોમાં
મારા આંસુના સાગર છલકાવું.
ઈશ્વર,
પછી તો તમે મને પ્રેમ કરશોને ?
તમે બોલોને ?
પછી તો તમે મને પ્રેમ કરશો જ ને ?
– આશા ગોસ્વામી
સ્ત્રી અને પુરુષની વચ્ચેનો મૂળભૂત તફાવત કયો ? પુરુષ પ્રેમ કરે છે પણ સેક્સ પામવા માટે અને સ્ત્રી સેક્સ ધરે છે, પ્રેમ પામવા માટે. સ્ત્રી શરીર શણગારે છે પણ સંવેદનાઓને નહીં… પુરુષ શરીર નથી શણગારતો પણ સંવેદનાઓને કાયમ શણગારે છે. સ્ત્રીને જે કહેવું છે એ સીધું જ અને આડંબરહીન ભાષામાં કહી શકે છે. આ કવિતા એનું એક બોલતું ઉદાહરણ છે. સ્ત્રી કયા ઈશ્વરને સંબોધે છે એ સહુએ પોતપોતાની રીતે જ નક્કી કરવાનું…
Permalink
March 10, 2011 at 10:00 AM by ઊર્મિ · Filed under પન્ના નાયક, હાઈકુ
મારું જીવન
સરળ સીધી લીટી –
તું પ્રશ્નાવલિ
– પન્ના નાયક
સત્તર અક્ષરમાં પોતાની અનુભૂતીનું અત્તર નાંખીને કવયિત્રી લાવ્યા છે એમનો નવો હાઈકુસંગ્રહ ‘અત્તર-અક્ષર’, જે જાન્યુઆરીની 25મી પ્રકાશિત થયો હતો. આ સંગ્રહને એમણે આ પ્રકારનાં કુલ 206 હાઈકુથી શણગાર્યો છે. એમાનાં થોડા હાઈકુ તમે એમની વેબસાઈટ પર પણ માણી શકો છો. કવયિત્રીને ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ…
Permalink
March 8, 2011 at 11:42 PM by ધવલ · Filed under ઉદયન ઠક્કર, ગઝલ
નાગરી નાતને પાન-સોપારી ને એલચીનાં બીડાં ચાવવા દે
હાં રે નરસિંહના પદ તણી ઠેસથી ઝૂલતા ઝૂલણે ઝુલવા દે.
આપણે તો ભલો એક કેદાર ને આપણો તો ભલો એકતારો
જૂજવા સૂરમાં, અવનવા તાલમાં, વિશ્વ બાજી રહ્યું, બાજવા દે.
આંખ મીંચીને ક્હેતા તો મેં કહી દીધું, સૃષ્ટિ સોહામણું સોણલું છે
પાછલા પ્હોરના પોપચાં સૂર્યના ટાંકણે-ટાંકણે ખૂલવા દે.
વાદળી વાયરામાં વહેતી જતી, વેલી પણ વૃક્ષને વીંટળાતી
ચાંચમાં ચાંચ પારેવડાં પ્રોવતાં, મોસમોનું કહ્યું માનવા દે.
– ઉદયન ઠક્કર
ઊર્મિ-ઉડ્ડયનથી નરસિંહના સૂરને અડકી લેતી ગઝલ.
Permalink
March 7, 2011 at 11:24 PM by ધવલ · Filed under અછાંદસ, જયન્ત પાઠક
પાસે પારિજાત
રહેવા આવ્યું છે એક બુલબુલ-જોડું
ઓળખાણ રોજ વધે થોડું થોડું
આંગણે આવીને આપી જાય
સવારે સવારે
. ટહુકા બે-ચાર
હું ય સામે સંભળાવું એકાદ-બે ગીત-કડી
-પાડોશીની સાથે મારે વાડકી-વ્હેવાર!
– જયન્ત પાઠક
આ નાનકડી કવિતા આટલી મીઠડી કેમ લાગે છે ? એનું કારણ છે અનુભૂતિની સચ્ચાઈ, જે કદી મનને અડકી ગયા વિના રહેતી નથી.
કવિતા એટલે શું કોઈ પૂછે તો બેફીકર કહેવું – કવિતા એટલે તો અનુભૂતિને અવતરવા માટેની શંકર-જટા.
Permalink
March 6, 2011 at 10:37 AM by તીર્થેશ · Filed under અછાંદસ, બોધિસત્વ
બુદ્ધ બુદ્ધને સંગ્રહતા નથી.
જો તમે બુદ્ધને જોવા તમારું મગજ વાપરશો,
તો તમે બુદ્ધને જોઈ નહીં શકો.
જ્યાં સુધી તમે બુદ્ધને અન્યત્ર શોધશો,
ત્યાં સુધી તમે કદી નહીં જોઈ શકો કે તમારું મગજ સ્વયં બુદ્ધ છે.
બુદ્ધ કદી સુત્રોચ્ચાર કરતા નથી.
બુદ્ધ કદી નિયમ પાળતા નથી,
અને બુદ્ધ કદી નિયમ તોડતા નથી.
બુદ્ધ ન તો કશું તોડે છે ન તો સાચવે છે.
બુદ્ધ પાપ-પુણ્ય આચરતા નથી.
બુદ્ધને શોધવા તમારે તમારા સ્વ-ભાવ,તમારી પ્રકૃતિને નીરખવી રહી.
– બોધિસત્વ
એક સરળ કાવ્યમાં કંઈ કેટલી ક્રાંતિઓ છુપાયેલી છે ! એક એક વાક્ય પરંપરાઓના મૂળિયાં ઉખેડી નવેસરથી વિચારવા મજબૂર કરે છે. શ્રી રમણ મહર્ષિનું પ્રિય વાક્ય યાદ કરાવે છે- ‘ know thyself ‘ ! હમણાં જ ક્યાંક વાંચ્યું -‘ અંધારું શાશ્વત છે,પ્રકાશ ખલેલ છે.’ !!!!
“Buddhas don’t save buddhas.
If you use your mind to look for a buddha,
you won’t see the Buddha.
As long as you look for a buddha somewhere else,
you’ll never see that your own mind is the Buddha.
Don’t use a buddha to worship a buddha.
And don’t use the mind to invoke a buddha.
Buddhas don’t recite sutras.
Buddhas don’t keep precepts.
And buddhas don’t break precepts.
Buddhas don’t keep or break anything.
Buddhas don’t do good or evil.
To find a buddha, you have to see your nature.
– Bodhisatva
Permalink
March 5, 2011 at 12:52 AM by વિવેક · Filed under ગઝલ, નેહા પુરોહિત
એક ઘર ગુમાવતું ઝળહળપણું,
દ્વારને વળગણ હશે સાંકળ તણું.
હું વરસતી ગઈ, બધાએ લઈ લીધું,
ભેજના સંદર્ભમાં ઝાકળપણું.
ના ગમ્યા ઉત્તુંગ હિમશિખરો કે જ્યાં
જળનું ખોવાઈ જતું ખળખળપણું.
કોઈ અમથું અમથું તડપાવે નહીં,
તેંય રાખ્યું હોય છે વળગણ ઘણું.
ચાહું કાયમ રાખવી મારી કને,
દીકરી, નડતું તને થાપણપણું.
– નેહા પુરોહિત
નેહા પુરોહિતે SMS વડે આ બે કાફિયાની ગઝલ મોકલાવી… વાંચતા જ ગમી ગઈ… પણ આ જ આધારના કાફિયા અને આ જ છંદ જાળવીને બે કાફિયાની એક ગઝલ મેં પણ લખી નાંખી. પ્રસ્તુત ગઝલની સાથે-સાથે એ ગઝલ પર પણ નજર નાંખવી ચૂકશો નહીં…
Permalink
March 4, 2011 at 7:40 AM by વિવેક · Filed under ગઝલ, ગૌરાંગ ઠાકર
આ સંબંધો છે લોહીનાં, તમે ક્યાંથી અલગ કરશો ?
બહુ તો છત, દીવાલો કે પછી બારી અલગ કરશો.
જગતમાં ક્યાં બધુંયે તોડવું આસાન છે મિત્રો,
તમે શું ડાંગ મારીને અહીં પાણી અલગ કરશો ?
બધુંયે સ્થૂળ ને સ્થાવર હતું તે તો જુદું કીધું,
સ્મરણને કઈ રીતે મારા–તમારાથી અલગ કરશો ?
તમે શું એ જ જીવો છો, તમે જે જીવવા ધાર્યું,
હવે તમને તમારાથી શું સરખાવી અલગ કરશો ?
તમે ડૂબી જતાં સૂરજને અટકાવી નથી શકતાં,
સતત અજવાશની ઇચ્છા તમે ક્યાંથી અલગ કરશો ?
– ગૌરાંગ ઠાકર
ગૌરાંગ ઠાકરની આ રચના વિવેચકના શબ્દોની મહોતાજ નથી… બધા જ શેર સંઘેડાઉતાર અને કવિતાની શીઘ્ર પ્રત્યાયનક્ષમતાની કસોટી પર ખરા ઉતરે એવા…
Permalink
March 3, 2011 at 8:00 PM by ઊર્મિ · Filed under ગઝલ, રિષભ મહેતા
એક બાળકનેય જે સમજાય એવું બોલજે,
આ ગઝલ છે : જેવું મનમાં થાય એવું બોલજે.
મર્મ આપોઆપ ખૂલી જાય એવું બોલજે,
બોલ જે તારો પડે; ઝિલાય એવું બોલજે.
આભના સૂનકારમાં પડઘાય એવું બોલજે,
મુક્તકંઠે પંખીઓ જે ગાય એવું બોલજે.
કોઈ પથ્થરની સૂરત મલકાય એવું બોલજે,
ને હરિનાં લોચનો ભીંજાય એવું બોલજે.
કોઈએ જોયો નથી પણ સૌને તારા શબ્દમાં-
પોતપોતાનો પ્રભુ દેખાય એવું બોલજે.
આગ છે વાતાવરણમાં, વાતમાં, જઝબાતમાં,
તો જરા આબોહવા બદલાય એવું બોલજે.
ખૂબ મોટો બોજ લઈને લોક જીવે છે અહીં,
એમના હૈયાથી જ ઊંચકાય એવું બોલજે.
સાંભળે છે જે તને બોલી શકે છે તે સ્વયં,
માન સૌના મૌનનું સચવાય એવું બોલજે.
‘કંઈ હવે બોલું નહીં’ : નક્કી કરે એવું ભલે-
મૌન પણ તારું સહજ સમજાય એવું બોલજે !
ખૂબ નાજુક; ખૂબ નમણી; ખૂબ કોમળ છે ગઝલ;
અંગ એનું સ્હેજ ના મરડાય એવું બોલજે.
– રિષભ મહેતા
આપણે કેવું બોલવું જોઈએ- એ વિશે વિચારતા કરી મૂકે એવી મજાની બોલકી ગઝલ… એમની મને ગમતી ઘણી ગઝલોમાંની જ એક.
Permalink
March 2, 2011 at 10:00 PM by ઊર્મિ · Filed under ગીત, રમેશ પારેખ
મારી આંખમાં તું વહેલી સવાર સમું પડતી,
ને ઘેરાતી રાત મને યાદ છે, ઘેરાતી રાત તને યાદ છે?
સોનેરી પોયણીઓ ઉઘડતી હોઠમાં ને
થાતું પરભાત મને યાદ છે, થાતું પરભાત, તને યાદ છે?
મારી આંખમાં તું…
ખરબચડું લોહી થતું રૂંવાટીદાર, એવું ચોમાસું ચાર ચાર નેણનું;
ધોધમાર પીંછાનો પડતો વરસાદ, ગામ આખું તણાઈ જતું વેણનું.
છાતીની ઘુમરીમાં ઘુમી ઘુમીને ક્યાંક,
ખોવાતી જાત મને યાદ છે, ખોવાતી જાત તને યાદ છે?
સૂરજ વિનાના અને છાંયડા વિનાના ધોમ તડકા સૂસવાટે હવે રાતના;
લોચનની ભાષામાં ઘટના કહેવાય અને જીવતરની ભાષામાં યાતના.
આવેલું શમણું પણ અવસર થઈ જાય એવા,
દિવસોની વાત મને યાદ છે, દિવસોની વાત તને યાદ છે?
મારી આંખમાં તું વહેલી સવાર સમું પડતી ને
ઘેરાતી રાત મને યાદ છે, ઘેરાતી રાત તને યાદ છે?…
ઘેરાતી રાત તને યાદ છે?…
ઘેરાતી રાત તને યાદ છે?…
-રમેશ પારેખ
ર.પા.નાં આ મઘમઘતા ગીત વિશે કશું કહેવાનું હોય ખરું ? આમ પણ એમનાં ગીતો વંચાતા જ નથી હોતા, આપોઆપ જ ગવાઈ જાય છે… મને ખૂબ્બ જ પ્રિય એવા આ ગીતને શ્યામલ-સૌમિલ મુન્શીના સંગીત સાથે અને પાર્થિવ ગોહિલના સ્વરમાં આપ અહીં સાંભળી શકો છો.
Permalink
March 1, 2011 at 11:35 PM by ધવલ · Filed under અછાંદસ, પ્રવીણ ગઢવી
આ-
હવા
આ –
જંગલ ઝાડી, સાગની કલગી,
કાંટાળી ઝાડી,
વાંસ ઝૂંડની જાળી
વનવાસીના વૃદ્ધ ચહેરાની કરચલી.
આ –
મહુડાની છાક,
દીપડાની છલાંગ,
ધુમ્મસની ધાબળી ઓઢી
ઘોરતા પહાડ.
આ –
તાતાતીર થકી વિંધાયેલી હાંહડી.
આ –
તડકાની તાડી
ઘટઘટ પીતાં ખાખર પાન
આ –
ખાપરીનું કોપરિયું જળ
આહ…
વાહ…
આ – હવા !
– પ્રવીણ ગઢવી
કવિના વર્ણનની કુમાશ જુઓ… શબ્દોનો કેફ જુઓ… અને દિલની આહ જુઓ !
Permalink
February 28, 2011 at 11:31 PM by ધવલ · Filed under ગઝલ, જયેશ ભટ્ટ
સેજ પાથર હે સખી ! આજે કમળની
દ્વૈત-પળમાં આથડું છું હું અકળની.
એક ચાતકની તરસ લઈને ઊડું છું
લાવ સરવાણી ફરીથી તળ અતળની.
શબ્દમાં વિસ્તાર મારો છે નિરંતર
તું ઋચા થઈ આવ સાથે મૌન પળની.
કે મને જકડી રહી છે આ ત્વચા પણ
ગાંઠ છોડી નાખ તું આ પાંચ વળની.
– જયેશ ભટ્ટ
સર્વથા મુલાયમ ગઝલ. છેલ્લા બે શેર ખાસ સરસ. મૌન પળની ઋચા – કલ્પના જ રોચક છે. છેલ્લા શેરમાં પંચ-તત્વોની ગઠરીના રૂપકનો ઉપયોગ અલગ રીતે કર્યો છે.
Permalink
February 27, 2011 at 12:19 AM by વિવેક · Filed under પ્રકીર્ણ, બ્લોગજગત, સાહિત્ય સમાચાર
પહેલી કડી: વીએમટેલર.કોમ
ત્રીજી કડી: ટહુકો. કોમ
ચોથી કડી: ગાગરમાં સાગર.કોમ
*
ત્રેવીસમી ફેબ્રુઆરી, 2011ની સાંજ… મારા જીવનની સહુથી યાદગાર સાંજ… સુરત ખાતે ગાંધી સ્મૃતિભવનમાં એક અલગ જ અંદાજમાં મારા બે પુસ્તકો ‘ શબ્દો છે શ્વાસ મારા’ (ગઝલસંગ્રહ) તથા ‘ગરમાળો’ (કાવ્યસંગ્રહ) અને ઑડિયો સી.ડી. ‘અડધી રમતથી’નું વિમોચન થયું પણ આખી વાત થઈ જરા હટ કે…
‘શબ્દોનું સ્વરનામું’ કાર્યક્રમ અંતર્ગત વિમોચન-નાટિકાનો પૂર્વાર્ધ આપે ‘શબ્દો છે શ્વાસ મારા’ પર માણ્યો… એ પછીની વિમોચન વિધિ અહીં લયસ્તરો પર…
આદમકદના પુસ્તકનું અનાવરણ કરતી મમ્મી…

અને મમ્મી બીજા પુસ્તકનું અનાવરણ કરે એ પહેલાં જ દોડી જઈને અમારા હૈયાના હાર સ્વયમે બીજા પુસ્તકનું અનાવરણ કરી દીધું…

…અને ઝળહળી ઊઠ્યો મારો ‘ગરમાળો’….

બે હાથમાં બે સ્વપ્ન લઈને ઊભેલ મારો પરિવાર…

પણ ઑડિયો સી.ડી. ક્યાં ગઈ? દોડતા આવી મુકુલભાઈએ નાદારી નોંધાવી કે મેહુલ સુરતી ક્યાંય નજરે ચડતા નથી… પણ હાથમાં મોટું સી.ડી. કવર લઈ મેહુલ સુરતી પણ દોડતા આવ્યા…

..અને આમ થયું ‘અડધી રમતથી’ ઑડિયો સી.ડી.નું વિમોચન…

…નેપથ્યમાં અડધી રમતથી ઊઠવાની છૂટ છે તને ગઝલ વાગવી શરૂ થઈ અને પડદો પડ્યો…
પણ ના… પડદો હજી પડ્યો નથી… આ તો માત્ર મધ્યાંતર છે… કાર્યક્રમનો બીજો ભાગ તો હવે શરૂ થાય છે પણ એ માટે આપે ટહુકો.કોમની મુલાકાત કરવી રહી…
Permalink
February 26, 2011 at 8:41 AM by તીર્થેશ · Filed under ગઝલ, રઈશ મનીયાર
કોણે કહ્યું કે લક્ષ્ય ઉપર હોવી જોઈએ
ડગ માંડવું હો ત્યાં જ નજર હોવી જોઈએ
જે જોઈએ છે તમને મળે એ જ આખરે
શું જોઈએ છે, એની ખબર હોવી જોઈએ
પરપોટા જેવી હસ્તી છતાં હઠ સહુની એ
હોવા કે ફૂટવાની અસર હોવી જોઈએ
બાળકમાં રોપી જાય છે સ્વપ્નો વિફળ પિતા
અતૃપ્ત ઝંખનાઓ અમર હોવી જોઈએ
હંગામી છે નિવાસ છતાં ઘર વિશાળ ખપે
કહેશે કોઈ, કે મોટી કબર હોવી જોઈએ ?
સામે છે મોત તો ય સતત ચાલતી રહે
આ જિંદગી ય ખૂબ નીડર હોવી જોઈએ
ભરવા મથ્યો ઘણી રીતે ખાલીપો,તો થયું
બસ,જિંદગી તો પ્રેમસભર હોવી જોઈએ
– રઈશ મનીઆર
સીધી ને સરળ હૃદયસ્પર્શી ગઝલ….’પરપોટા જેવી….’-શેર સૌથી ચોટદાર લાગ્યો. અંગત રીતે મને ચોથો શેર બહુ મજબૂત ન લાગ્યો. એ સિવાય તમામ શેર ધ્યાનાકર્ષક છે.
Permalink
February 25, 2011 at 12:39 AM by વિવેક · Filed under ઉશનસ્, ગીત
આછા આછા ભાંગતી રાતના ગાળે,
કે આછા આછા ચાંદરણા-અજવાળે
કોણ આ વ્હેલું ઊઠી ગયું છે, ને ઘરઆંગણું વાળે !
વાસીદામાં ખરિયાં તારકફૂલ વળાતાં વાગે !
ગમાણ-ખાણ-કરે ભરવાડણ કો અડવાણે પાગે !
તેજ તણખલાં વીખર્યાં વાળી-ઝૂડી બાંધતી ભારે ! – આછા0
પાછલી રાતનો ટેટી-ટેટીએ લૂમઝૂમ વડ આકાશે,
તેજ-તાર-કસબ વડવાઈ ઝૂલે આંખની પાસે,
ઝોળી બાંધી, પણ હજી જોને નીડ ઊંઘે છે ડાળે – આછા0
નિહારિકાના ચીલેચીલે ઝોકતું પ્હેલું ગાડું
નીકળ્યું છે, પણ ધૂળ ન ઊડે, હજી છે ઘારણ ગાઢું,
ઊંઘતી ફૂલફોરમ ભરી ગાલ્લે કોણ જાય અત્યારે ! – આછા0
– ઉશનસ્
Permalink
February 24, 2011 at 10:00 PM by ઊર્મિ · Filed under ગીત, જયન્ત પાઠક
કાનજીને કહેજો કે આવશું,
બળ્યા ઝળ્યા અમે બોલીએ તેમાં વાંકું શું પાડવું તમારે!
કુંજોમાં ઘૂમનારા ક્યાંથી જાણો તમે માથે શું વીતે અમારે?
પળની ન મળે નવરાશું…
કાનજીને કહેજો કે આવશું.
મનનો મારગ એક, તનનો દૂજેરો, લાજમહીં અટવાતી આંખો,
સંસારી, કેડીઓમાં આંકેલી ચાલીએ શમણામાં વીંઝીએ પાંખો !
જીવતરની વેચીએ છાશું…
કાનજીને કહેજો કે આવશું.
મ્હેણાંના માર અહીં, ઘરના વહેવાર ને તમ્મારી રીસ વળી તાતી,
હરતાં ફરતાં હાથ રાખી સંભાળીએ ભારથી ન ભાંગી પડે છાતી,
આખી રહેશે તો લેતા આવશું…
કાનજીને કહેજો કે આવશું.
– જયંત પાઠક
Permalink
February 23, 2011 at 11:14 PM by ધવલ · Filed under પ્રકીર્ણ
કવિતા પહેલાં
શરીર પાસે શિરાઓ છે,
વૃક્ષ પાસે ડાળીઓ છે,
શહેર પાસે રસ્તા.
પહેલાં નદીઓ
સંસ્કૃતિને પોષતી, આકારતી,
હવે રસ્તા.
ઘર કે દુકાન
ઈમારત કે મકાન નહિ,
શહેર બને છે રસ્તાઓથી.
કવિતા
રસ્તાને ખૂણે ઊભો છું
રાતની સફરને કારણે
શરીરમાં થોડો થાક છે
સિગ્નલ ખૂલે છે
હું રસ્તો ઓળંગું છું
કપડાંની દુકાનના કાચ પર
મોબાઈલ પર વાત કરતી એક છોકરી પસાર થાય છે
એને જોવા હું ફરું છું
પણ પારદર્શક કાચ હંમેશા દિશાઓ ગૂંચવી નાખે છે
હતાશ હું આગળ વધું છું
ચિત્તમાં અચાનક રયોકાનની પંક્તિ ઝબકી ઊઠે છે
‘અને માર્ગ કયાંય નથી જતો’
કવિતા પછી
જેમ જેમ રસ્તા વિકસતા જાય,
ઘર અને રસ્તા વચ્ચેનો ભેદ ભૂંસાતો જાય.
– અજય સરવૈયા
આમ તો એક નાની ઘટના અને મનમાં ઝબકેલી એક પંક્તિ જ છે કવિતામાં. પણ એને આકાર આપે છે કવિતા પહેલા અને પછીનું દર્શન. રસ્તો જ ઘર બની જાય – એ સારું કે ખરાબ ? … એ તો તમે જાણો.
Permalink
February 22, 2011 at 8:52 PM by ધવલ · Filed under અછાંદસ, હરીશ મીનાશ્રુ
તમે પુષ્પ ચૂંટ્યું
તો મેં ગંધ
તમે પાદુકા ઉતારી
તો મેં પંથ
તમે ત્યજ્યાં પટકૂળ
અને મેં ત્વચા
હવે ઝળહળે તે કેવળ પ્રેમ
– હરીશ મીનાશ્રુ
(‘પર્જન્યસૂક્ત’)
આવરણો -ભૌતિક અને અધિભૌતિક- પાછળ છોડી દો પછી બચે તે પ્રેમ. ને છોડવું જ હોય તો અડધું પડધું શું કરવા છોડવું ? – પુષ્પના આકારને બદલે ગંધનો આખો વિસ્તાર જ છોડવો, પાદુકાને ઉતારવાને બદલે સફરની ઈચ્છા જ ઉતારી નાખવી અને વસ્ત્ર પર અટકવાને બદલે અસ્તિત્વની ત્વચા જ ઉતારી દેવી. બધા આવરણ ઉતારી, અઠે દ્વારકા કરીને બેસો એટલે બધુ જ ઝળહળ ઝળહળ.
Permalink
February 21, 2011 at 10:52 PM by ધવલ · Filed under અછાંદસ, શ્વેતલ શરાફ
આ શહેરને મેં એક દિવસ
એવી કસીને બાથ ભીડેલી કે
એને લીલો આફરો ચડી ગયેલો.
મોડી રાત્રે શ્વાનસૃષ્ટી ચાતરેલી
મેં લાલ કેસરી બત્તીઓના
સહારે.
ઊભા બજાર બધા મારા ખૂંદેલા.
ફાટેલા બદકિસ્મત લોકોને
અહીં મેં હસી કાઢેલા.
આ જગાનો જ્વાર મારી આંખોમાં
બેશુમાર ચડેલો.
અહીંની ગલીઓમાં તો
મારા સ્ખલનોની વાસ હજુયે રખડે છે.
મોડા પડ્યાનો રંજ નથી મને;
પણ ઊગ્યા પહેલા આથમી ગયાનો છે.
દોસ્તીની પરખ કરવાનો આરોપ લઈને
જીવી શક્યો નહીં
એટલે પીઠ પરના ઘાનું ઉપરાણું લઈને જીવું છું.
તારો ઓશિયાળો છું.
હવે ક્ષણોના હિસાબમાં જ્યારે જ્યારે
વર્ષોની ખોટ આવે છે
ત્યારે એને ખી ખી ખીથી ભરી દઉં છું.
“(ગાળ) ઘસાયેલા પર થૂંકે તો
તને ચચરે નહીં તો શું
ગલગલિયાં આવે ?”
છોડ આ બધી વાત
ને ધરાઈને મને ફરી જોઈ લેવા દે –
મારું શહેર !
– શ્વેતલ શરાફ
વતનમાં પાછા ફરવું એટલે સંસ્મરણોમાં ડુબકી મારવી. સાથે જ વતન છૂટી કેમ ગયું એનો ઘા ફરી અકારણ જ તાજો થાય છે. સિંહ જેવો માણસ દોસ્ત પર શંકા કે દોસ્તીની પરખ કરવાને બદલે દોસ્તનો ઘા જ વહોરી લેવાનું પસંદ કરે. અને એ ઘાને ય આખી જીંદગી જણસની જેમ જાળવે, ભલેને એ પછી એ ઘા જ એની જીંદગીમાંથી વર્ષોની બાદબાકી કેમ ન કરી દે.
પણ, આ બધા ઘાની દવા છે – વતન ફરી જોવા મળવું. અતીતસ્થળને આંખોમાં ભરી લેવું એટલે તો … આહ ! સાક્ષાત જન્નત !
Permalink
February 20, 2011 at 3:30 AM by વિવેક · Filed under અછાંદસ, વિશ્વ-કવિતા, સરજી એસિનિન
આવજે મિત્ર, ચાલો છૂટા પડીએ
ફરી ન મળીએ ત્યાં સુધી
મારા હ્રદયમાં તું વસ્યો છે;
દીર્ઘકાલથી નિયત થયેલી આ વિયોગની ઘડી
સામે પારના આપણાં પુનર્મિલનની
આગાહી આપે છે.
હવે વાત નહિ, હસ્તધૂનન નહિ
ફરી ન મળીએ ત્યાં સુધી.
શોક ના કરીશ,મિત્ર,ચહેરાને કાળો ના પડવા દે.
જીવનમાં મરવામાં કોઈ નવાઈ નથી
ને જીવવામાં પણ ક્યાં કશી વધારે નવાઈ છે !
– સરજી એસિનિન
[ નોંધ : લેનિનગ્રાદની એક હોટેલમાં આત્મહત્યા કરતાં પહેલાં લોહીથી લખાયેલું કાવ્ય]
અનેક ભાવસ્પંદનો પેદા કરે છે આ કાવ્ય. કવિનો આત્મા પોતાના શરીરને ઉદ્દેશીને સમગ્ર વાત કરે છે ? કે પછી કવિ કોઈ ચોક્કસ વ્યક્તિને ઉદ્દેશીને આ સંદેશ છોડી જાય છે ?- …..જે કંઈ પણ હોય-કાવ્યમાં મૂળભૂત રીતે એક પરિપક્વતાનો-એક અમર આશાનો સૂર છે,અને છેલ્લા વાક્યમાં જે એક આઘાત છે તે ખરું કવિકર્મ છે-ખરો સંદેશ છે. why to live ? for what to live ?-આ પ્રશ્નો ઘણા exsistentialist વિચારકો દ્વારા ચર્ચાયા છે,પરંતુ અહીં જુદી વાત છે – જીવવામાં મરવા કરતાં ક્યાં કશી ખાસ વધારે નવાઈ છે ? – જીવન-મૃત્યુના દ્વન્દ્વને અતિક્રમીને વિચારવાની વાત છે. [ અહી ‘નવાઈ’ માટે મૂળ કયો રશિયન શબ્દ પ્રયોજાયો હશે અને તેનું શાબ્દિક ભાષાંતર નહિ પણ ભાવનાત્મક ભાષાંતર શું હશે તે જાણવું મહત્વનું છે.] વળી આ કોઈ ઠાલી શબ્દોની રમત નથી-આત્મહત્યા પૂર્વેનું લોહીથી લખાયેલું નિવેદન છે. એક તીવ્ર વિચારવમળ પ્રારંભી જતું કાવ્ય…..
Permalink
February 19, 2011 at 8:00 AM by વિવેક · Filed under ગઝલ, મનોજ ખંડેરિયા
જીવનના જળને ડ્હોળીને અમે ચુપ થઈ ગયાં છીએ
ચરણ મૃગજળમાં બોળીને અમે ચુપ થઈ ગયાં છીએ
બરાબર પગલું દાબી પાનખર પાછળ ઊભી રહી’તી
કૂંપળની જેમ કોળીને અમે ચુપ થઈ ગયાં છીએ
નમી જાશે જ દુનિયાદારીનું પલ્લું, ખબર નો’તી
અમારો શબ્દ તોળીને અમે ચુપ થઈ ગયાં છીએ
હવે ક્યાં લાભ ને શુભ કે હવે ક્યાં કંકુના થાપા
દીવાલો ઘરની ધોળીને અમે ચુપ થઈ ગયાં છીએ
ફફડશે મૌન વડવાગોળ જેવું કોરા કાગળનું
હવે ખડિયાને ઢોળીને અમે ચુપ થઈ ગયાં છીએ
-મનોજ ખંડેરિયા
કવિનું તો મૌન પણ બોલે… સાંભળનાર પાસે કાન હોવા ઘટે !
Permalink
Page 75 of 118« First«...747576...»Last »