રદીફો-કાફિયાના વૃક્ષ નીચે છું હું સદીઓથી,
છતાં મનગમતાં ફળ ઝંઝોડવામાં વાર લાગે છે.
- વિવેક મનહર ટેલર

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for October, 2021

(જવા દે જવા દે!) – સંદીપ પૂજારા

કહ્યું છે કદી કે મને કંઈ દવા દે?
જૂનાં દર્દ થાકી ગયાં છે, નવા દે.

ભલે જોમ છે એ છતાં બેસવા દે,
હવે થોડું મંઝિલને પણ ચાલવા દે.

ચલણમાં એ ક્યારેક તો આવશે ને!
પ્રણયના જ સિક્કા મને છાપવા દે.

હજારો વખત એણે માર્યો, હવે બસ
સમજદારીને ગોળીએ મારવા દે.

ન આપ્યાં જગતને છતાં પણ મેં પાળ્યાં,
જે ખુદને દીધાં એ વચન પાળવા દે.

સરસ છે, સરસ છે, જો આંખોએ કીધું,
હૃદય બોલી ઉઠ્યું- જવા દે જવા દે!

– સંદીપ પૂજારા

ગઈકાલે જ છંદનો સુચારુ ઉપયોગ ગઝલને કેવો ઉપકારક નીવડી શકે છે એની વાત કરી અને આજે એ જ છંદમાં અન્ય એક રચના. છેલ્લા શેરમાં સરસ છે સરસ છે અને જવા દે જવા દેની પુનરુક્તિ છંદ અને કવિતાને સમરસ કરી રચનાને વધુ આસ્વાદ્ય બનાવે છે. કવિ બનવું હોય તો દર્દ સાથે તો ઘરોબો રાખવો જ પડે. મત્લામાં આ વાત બહુ સરસ રીતે રજુ થઇ છે. બધા જ શેર સરસ થયા છે, માત્ર સિક્કાને છાપવાવાળી વાત થોડી અલગ પડી જતી લાગી. શુદ્ધ ભાષા વ્યવહારમાં આપણે નોટ છાપવી અને સિક્કા બહાર પાડવા એમ પ્રયોગ કરતાં હોઈએ છીએ. રૂઢિપ્રયોગ પણ ‘સિક્કા પડવા’ એમ જ છે, એટલે સિક્કા છાપવાની વાત ભાષાની દ્રષ્ટિએ થોડી અસંગત લાગે છે. સરવાળે સંતર્પક રચના.

Comments (12)

(અહો રૂપ એનું!) – ડૉ. મનોજ જોશી ‘મન’

અહો રૂપ એનું! અહો એનો લટકો!
ને અફસોસ સામે હું પણ વટનો કટકો.

ઝલક એકલી ખુદ હતી જાનલેવા,
ઉપરથી આ લટ હાય! મરણતોલ ફટકો…

નિતરતાં એ રાખી ઘણાં જીવ લીધાં,
વધુ ક્રૂર થઈ, ના ભીનાં કેશ ઝટકો.

નયન, નેણ, નર્તન, વદન, વેણ, વર્તન;
અમારું જરા કંઈ વિચારો ને અટકો.

પ્રથમ યાદનું આખ્ખું જંગલ ઉગાડ્યું,
પછી સ્મિત સાથે કહ્યું, ‘આવો, ભટકો!’

– ડૉ. મનોજ જોશી ‘મન’

છંદ સામાન્યરીતે કવિતાને રજૂ કરવાનું વાહન માત્ર બની રહેતો હોય છે, પણ ક્યારેક કવિ છંદનો બખૂબી પ્રયોગ કરીને છંદને માત્ર વાહન ન રહેવા દેતાં, કાવ્યવહનના વહેણમાં આબાદ ભેળવીને કવિતાની એક અલગ જ ફ્લૅવર સર્જવામાં સફળ થતા હોય છે. જુઓ આ ગઝલ… મત્લામાં અહો અહોના બે વારના લટકા અને નયન, નેણ. નર્તન સાથે વદન, વેણ, વર્તનના આંતર્પ્રાસની સાંકળી તથા ‘ન’-‘વ’ની વર્ણસગાઈ પ્રયોજીને કવિએ લગાગા લગાગાના આવર્તનોને કેવા ખપમાં લીધા છે!

બસ, આટલી ટિપ્પણી કર્યા બાદ આ મસ્તમૌલા શૃંગાર-રચના અને આપની વચ્ચે હું ક્ષણભરનો પણ અંતરાય નહીં બનું… મોટેથી વાંચો અને મજા લો…

Comments (7)

(સાવ છાનું છે) – હેમંત પૂણેકર

આખા જગથી એ સાવ છાનું છે,
તારી યાદોનું મનમાં ખાનું છે.

એનું કંઈ પેચકસ કે પાનું છે?
મનનું ભંડકિયું ખોલવાનું છે.

નભનો ખૂણેખૂણો ફરી લો પછી,
એય પિંજર શુ લાગવાનું છે.

સૌને જોઈ લીધા મનાવી, હવે
આપણે મન મનાવવાનું છે.

સત્ય પીરસો છો ત્યારે ધ્યાન રહે,
સામાએ તે પચાવવાનું છે.

કોને છોડે છે દુઃખ કદી ‘હેમંત’?
દુઃખને તારે જ છોડવાનું છે.

– હેમંત પૂણેકર

સાવ અલગ જ તરેહની ગઝલ… લગભગ બધા જ કલ્પન અનૂઠા અને અદભુત! પ્રિયજનની યાદો માટે મનમાં દુનિયાની નજર ન પડે એવું અલાયદું ખાનું હોવાની વાત જ કેવી મજાની અને સાચી છે! વળી આ મનનું ભંડકિયું કઈ રીતે ખૂલતું હશે વો સવાલ કરીને કવિ પેચકસ-પાનાંની વાત કરે છે. સાવ જ અરુઢ પણ કેવું મજાનું રૂપક. કેદની વ્યાખ્યા દરેકની અલગ-અલગ હોવાની. ઘણાં પંખીને પિંજરું કેદ લાગે છે પણ શક્યતાઓની એક-એક સરહદ ચકાસી લેનાર અને नेति नेतिનો જીવનમંત્ર જીવનારને તો આકાશ આખું પણ એક પિંજરું જ લાગશે ને! સત્ય પીરસવાની વાત કરતા શેરના સાની મિસરામાં શરૂમાં નાનકડો છંદદોષ રહી ગયો છે (કવિના મતે matter over meter), એને અવગણીએ તો આખીય રચના નિરવદ્ય સંઘેડાઉતાર થઈ છે…

Comments (12)

વાંધો છે કંઈ ? – સંજુ વાળા

અંદર અંદર સળવળતી એક ઘટનાથી શરૂઆત કરું
તો તમને એમાં વાંધો છે કંઈ?
ઠરી ગયેલી ફૂંક ફરી પેટાવી ઝંઝાવાત કરું
તો તમને એમાં વાંધો છે કંઈ ?

આજે સ્હેજ છાતીની અંદર શું દુ:ખે છે
એને જાણી લેવાનું મન થઈ આવ્યું છે
એ કારણસર છાતી ઉપર થોડો ચંચુપાત કરું
તો તમને એમાં વાંધો છે કંઈ ?

સમય નામના ડસ્ટરથી ભૂંસાઈ જવાના
ડરની મારી છાને ખૂણે જઈ બેઠી જે
એવી બિલકુલ અંગત કોઈ વાત અહીં સાક્ષાત કરું
તો તમને એમાં વાંધો છે કંઈ ?

જ્યારે પણ ઉપસી આવે છે લમણાંની કોઈ નસ
તો એનો સ્પર્શ હંમેશા હોય છે હાજર
વ્હાલપની એ મૂર્તિ માટે જીવની હું બિછાત કરું
તો તમને એમાં વાંધો છે કંઈ ?

જાણું છું કે આપ તો સાંગોપાંગ રસિક છો
હે શ્રૌતાજન ! નમન આપની રસવૃત્તિને –
કિન્તુ હું પણ આંસુની છાલકથી ઉલ્કાપાત કરું
તો તમને એમાં વાંધો છે કંઈ ?

પાણીના એક ટીપાનો વિસ્તાર કરે જે સહસા
એને જડશે પાણીદાર રહસ્યો
એવું કોઈ એક ટીપું લઈને એના સમદર સાત કરું
તો તમને એમાં વાંધો છે કંઈ ?

કબીર નરસિંહ મીરાં નામે ખળખળતી એક નદી
આપની અંદર વ્હેતી મેં ભાળી છે
સ્હેજ આપની પડખે બેસી હું ય જાત રળિયાત કરું
તો તમને એમાં વાંધો છે કંઈ ?

– સંજુ વાળા

 

સાંગોપાંગ મજબૂત રચના ! સરળ ભાષામાં બળકટ રજૂઆત… ખાસ કોઈ સમજૂતીની જરૂર નથી….મસ્ત મમળાવવાની રચના….

Comments (3)

…नहीं देखे जाते – अली अहमद जलीली

अब छलकते हुए साग़र नहीं देखे जाते
तौबा के ब’अद ये मंज़र नहीं देखे जाते

હવે છલકાતાં જામ જોઈ શકાતા નથી… શરાબ ત્યાગી દીધા પછી આ દ્રશ્યો નથી જોઈ શકાતા….

मस्त कर के मुझे औरों को लगा मुँह साक़ी
ये करम होश में रह कर नहीं देखे जाते

પહેલા મને નશામાં ચૂર કરી દે, પછી અન્યોને તું ગળે વળગ… તારા આ કાર્યો હોશની અવસ્થામાં તો જોવા શક્ય જ નથી.

साथ हर एक को इस राह में चलना होगा
इश्क़ में रहज़न ओ रहबर नहीं देखे जाते

આ રસ્તે તો પ્રત્યેકે સાથે ચાલવું જ રહ્યું….ઇશ્કમાં માર્ગદર્શક કે ઠગનો ભેદ નથી હોતો….

हम ने देखा है ज़माने का बदलना लेकिन
उन के बदले हुए तेवर नहीं देखे जाते

જમાનાનું બદલાવું તો આકરું નથી લાગ્યું, પણ એમના બદલાઈ ગયેલા તેવર સહેવાતા નથી…

– अली अहमद जलीली

બેગમ અખ્તરસાહેબાના મદહોશ કંઠે અનેકાનેક વાર સાંભળેલી આ અમર ગઝલ હમણાં મનમાં ગૂંજ્યા જ કરે છે….મક્તાનો શેર તદ્દન સરળ જબાનમાં હ્ર્દયના ઊંડાણની વાત કહી જાય છે……નશામાં ચકચૂર માનવી જ કદાચ પ્રિયજનના બદલાયેલા તેવર સહી જાય….હોશની અવસ્થામાં એ શક્ય નથી…

Comments (3)

વધામણી – બળવન્તરાય ક. ઠાકોર

વ્હાલા મ્હારા, નિશદિન હવે થાય ઝંખા ત્હમારી,
આવો આપો પરિચિત પ્રતીતી બધી ચિત્તહારી.
દૈવે જાણે જલ ગહનમાં ખેંચિ લીધી હતી તે
આણી સ્હેજે તટ પર ફરીને મ્હને છોળ ઠેલે;
ને આવી તો પણ નવ લહું ક્યાં ગઇ’તી શિ આવી,
જીવાદોરી ત્રુટિ ન ગઈ તેથી રહૂં શીષ નામી.
ને સંસ્કારો ગત ભવ તણા તે કની સર્વ, વ્હાલા,
જાણૂં સાચા, તદપિ અવ તો સ્વપ્ન જેવા જ ઠાલા;
માટે આવો, કર અધરની સદ્ય સાક્ષી પુરાવો,
મીઠા સ્પર્શો, પ્રણયિ નયનો, અમ્રતાલાપ લાવો.
બીજૂં, વ્હાલા, શિર ધરિ જિહાં ‘ભાર લાગે શું?’ ક્હેતા,
ત્યાં સૂતેલું વજન નવું વીતી ઋતુ એક વ્હેતાં;
ગોરૂં ચૂસે અખૂટ જ રસે અંગૂઠો પદ્મ જેવો,
આવી જોઈ, દયિત, ઉચરો લોચને કોણ જેવો?

– બળવન્તરાય ક. ઠાકોર

વધામણીનો પત્ર છે. પહેલી પ્રસુતિ મા-બાપને ત્યાં થાયના ન્યાયે પિયર આવેલી નવપ્રસૂતા પરિણામની પ્રતીક્ષામાં ઊંચાનીચા થતા પતિને સંતાનપ્રાપ્તિના સમાચાર આપે છે, પણ વાતમાં પૂરતું મોણ નાંખ્યા વિના ફોડ પાડવા તૈયાર નથી કે પરિણામ શું આવ્યું! સૉનેટની શરૂઆત ‘વ્હાલા મારા’ સંબોધનથી થાય છે, જેમાં બે જણ વચ્ચેનો સ્નેહ અને પત્નીનું પતિ પરનું અધિકારભાન-બંને સ્ફુટ થાય છે. કહે છે, પ્રિયે! રાતદિવસ હવે તમારી ઇચ્છા થાય છે. તમે જે અદાઓથી મારું ચિત્ત હરી લેતા હતા, એ તમામ પ્રતીતિ સાક્ષાત્ આવો અને આપો. પ્રસૂતિ વખતે તો પત્નીને એવું જ લાગ્યું જાણે નસીબ દરિયામાં ઊંડે તાણી ગયું. મૃત્યુ આંખસમીપ જ હતું, પણ દરિયાના મોજાં હળવેથી ધક્કો દઈને કિનારે પરત લાવી આણે એમ પ્રસૂતિ થઈ ગયા બાદ નવજીવન પામ્યાનો અનુભવ થયો. મૃત્યુના દરવાજે ટકોરા દઈને પાછી આવી તો ગઈ છે પણ હજી સમજાતું નથી કે ક્યાં ગઈ હતી અને શી રીતે પરત ફરી! ડિલિવરી સમયના સ્ત્રીના અનુભવને એક પુરુષકવિએ ત્રણ જ પંક્તિમાં જે રીતે આલેખ્યો છે એ કાબિલે-દાદ છે. તૂટુંતૂટું જણાતી જીવાદોરી તૂટી ન ગઈ એ માટે એ શીષ નમાવી ભગવાનનો પાડ માને છે.

કાવ્યારંભે મનના માણીગરને મળવાની તાલાવેલી પ્રદર્શિત કર્યા બાદ તુર્ત પ્રસૂતિના સમાચાર તરફ નાયિકા ગતિ કરે છે. પ્યાર અને તલસાટ બતાવી દીધા. પ્રસુતિ હેમખેમ પાર ઉતરી હોવાના સમાચાર પણ આપી દીધા. પણ પોતે જે રીતે વિરહમાં તડપે છે, એ જ રીતે બાપને તડપાવવાનું એ ચૂકતી નથી. ફરી ‘વ્હાલા’નું સંબોધન કરી પોતાનો પ્રેમભાવ દોહરાવી એ કહે છે કે, ગયા ભવના સંસ્કાર હશે તે ભલે સાચા હશે પણ અત્યારે તો સ્વપ્ન જેવા ઠાલા જ લાગે છે. માટે આપ આવો અને તરત જ કર-અધરની સાક્ષી પૂરાવો. સ્પર્શ, ચુંબન, તારામૈત્રક અને અમૃતભરી વાણીનો આકંઠ આસ્વાદ કરાવવા સત્વરે પધારવા પત્ની ઈજન આપે છે.

પત્રકાવ્ય છે તો પત્રની રીતિ દર્શાવવું પણ કવિ ચૂક્યા નથી. ‘બીજું’ લખીને જેમ આપણે પત્રમાં વાત આગળ માંડીએ, એમ પત્ની લખે છે કે, બીજું તો એ કે જે પેટ ઉપર માથું મૂકીને આપ ‘ભાર લાગે છે કે?’નો સવાલ કરતાં હતાં એ ‘નવું વજન’ હવે સમય વીતતાં ખોળામાં આવી ગયું છે.

બાળક ગોરું છે અને કમળ જેવો અંગૂઠો જ સતત ચૂસ્યા કરે છે. આવો, જુઓ અને પ્રિય (દયિત)! આપ જાતે જ કહો કે એની આંખો આપણા બેમાંથી કોના જેવી લાગે છે? કવિએ કેવી અદભુત કારીગરી કરી છે એ જોવા જેવું છે! છેક આખર સુધી બાળકની જાતિ પત્નીએ પતિથી, અને કવિએ આપણા સહુથી આબાદ છૂપાવી રાખી છે. ચૌદ પંક્તિના સૉનેટમાં છેક છેલ્લા શબ્દ પર આવીને, જ્યારે પત્ની ‘કોણ જેવો?’ પ્રશ્ન કરે છે ત્યારે છેક રહસ્યસ્ફોટ થાય છે કે દીકરો જન્મ્યો છે.

આવી કમાલ કેટલી કવિતાઓમાં જોવા મળતી હશે, નહીં!

Comments (20)

પાલવે નહીં – જયંત ડાંગોદરા

ભલેને એક પાંદડુંય પણ હલે નહીં,
પવનને સ્થિરતા જરાય પાલવે નહીં.

વિકલ્પ અન્ય કોઈ હોય તો બતાવ તું,
નદી સમુદ્રમાં કદાચ તો ભળે નહીં !

કુમાશ એટલી હદે તું લાવ સ્પર્શમાં,
લજામણીય સ્હેજ પણ ઢળી પડે નહીં.

અસંખ્ય દીપ પાથરે ઉજાસ આભમાં,
છતાંય અંધકારની કલા ઘટે નહીં !

હજાર દાખલા દલીલ કાં ન આપ તું,
ન માનવાનું વ્રત હશે તો માનશે નહીં.

– જયંત ડાંગોદરા

સહજ અને સ-રસ ગઝલ!

Comments (2)

(બહાનું છે) – હિમલ પંડ્યા

અહીંથી ત્યાં જવાનું છે,
મરણ કેવળ બહાનું છે.

ગતિમાં છો તમે, જોજો !
તમોને વાગવાનું છે.

ગયું એ ખૂબ ગમતું’તું,
ને છે, એ પણ મજાનું છે.

નથી ડર કે તૂટી જાશે,
હવે સપનું ગજાનું છે.

નવો સંકલ્પ શું લેવો?
તમારા થઈ જવાનું છે.

– હિમલ પંડ્યા

કવિના બીજા સંગ્રહ ‘ત્યારે જીવાય છે’નું સહૃદય સ્વાગત. આ સંગ્રહ સાથે કવિમિત્ર હિમલ પંડ્યાએ કેટલીક નૂતન કેડી પણ કંડારી છે… પ્રકાશન પાછળ થયેલ ખર્ચ સુદ્ધાં બાદ કર્યા વગર સંગ્રહના વેચાણમાંથી સાંપડેલ તમામ વકરો એમણે સમાજ અને સાહિત્યની સેવા માટે દાન કરી દીધો છે. આ સિવાય આ સંગ્રહની તમામ રચનાઓ સાથે કવિએ QR Code આપ્યા છે, જેને સ્કેન કરવાથી યુટ્યુબ ઉપર સમાજના પ્રસિદ્ધ સાહિત્યકારો તથા સાહિત્યપ્રેમીઓ વડે કરાયેલું જે તે રચનાનું પઠન પણ માણવા મળશે. સંગ્રહમાંથી એક નાની બહેરની પણ મોટા ગજાની રચના આજે લયસ્તરોના મિત્રો માટે…

Comments (8)

સુરતથી મુંબઈ આવતાં દરિયામાં ચંદનીની શોભા – નર્મદ

(રેખતો)

આહા પૂરી ખીલી ચંદા, શિતળ માધુરી છે સુખકંદા.            આહા0
પાણી પર તે રહી પસરી, રૂડી આવે લેહર મંદા.              આહા0 ૦૧
શશીલીટી રૂડી ચળકે, વળી હીલે તે આનંદા.                 આહા0 ૦૨
ઊંચે ભૂરું દીપે આસમાન, વચે ચંદા તે સ્વછંદા.             આહા0 ૦૩
નીચે ગોરી ઠારે નૈનાં, રસે ડૂબ્યા નરમદ બંદા.               આહા0 ૦૪

આજે શરદપૂર્ણિમા. શીતળ ચાંદનીમાં સપરિવાર બેસીને દૂધ-પૌંઆ ખાવાની રાત અને આવતીકાલના ઘારી-ભૂંસાની જ્યાફતની તૈયારી કરવાનો દિવસ. સુરતથી મુંબઈ આવતાં કવિ નર્મદે દરિયામાં નિહાળેલી ચાંદનીની શોભા માત્ર પાંચ પંક્તિમાં બહુ સ-રસ રીતે અભિવ્યક્ત થઈ છે.

પૂનમની રાત્રે શીતળ, મધુરી અને સુખદાયક ચાંદની પૂર્ણપણે ખીલી છે. પાણી ઉપર એનું પ્રતિબિંબ ઝીલી ધીમેધીમે આવતી દરિયાની લહેરો રૂડી લાગે છે. પાણી પર ચાંદની પડે ત્યારે જે તેજલીટી દેખાય એને કવિએ શશિલીટીનું નામ આપ્યું છે. પાણી પર થતું આ પ્રકાશલીટીનું હળવું હળવું કંપન ઉરને આનંદ આપનારું છે. ભૂરા આકાશ અને ભૂરા સમુદ્ર વચ્ચે રેલાતી ચાંદની જાણે એની મરજી મુજબ વર્તતી હોય એમ રંગો બદલતી દેખાય છે. કોઈ સુંદરી મનોહર દૃશ્ય નિહાળી નેણ ઠારી રહી છે, અને નર્મદ પણ પ્રકૃતિના રસપાનમાં ડૂબી ગયા છે…

*
નર્મદે પોતે પાદટીપમાં આપેલ અર્થવિસ્તાર:

ચંદા – ચંદની.
સુખકંદા – સુખનું મૂળ એવી.
મંદા – ધીમી ધીમી.
શશીલીટી – ચંદ્રના પ્રકાશનો પાણી ઉપર વધારે ચળકતો જે સેડ્ડો પડે છે તે (એ સેડ્ડો તથા એ સેડ્ડાનાં પાણી ભરતીથી ઉતાવળાં ઊંચાં નીચાં થયાં કરતાં-કુદતાં હોય છે તે)
આનંદા – આનંદ આપનારી (શશિલીટી.)
સ્વછંદા – (આસમાન અને જમીન એ બેની વચમાંની ચાંદની હવામાં ધ્રુજતી ચાંદની પોતાની ઇચ્છામાં આવે તેવી જાય છે– વખતે ઘણી સફેત, વખતે ફીકી લીલી અને વખતે ભુરી-હવાની હાલત પ્રમાણે દેખાય છે.)
બંદા – પોતે (રસે ડુબ્યા-કુદરતના વિચારમાં ઘૂમ થઇ ગયા.)

Comments (3)

વિસ્તરી ન શકું – ભરત વિંઝુડા

યુગો સુધી હું તને ચાહતો રહી ન શકું
સૂરજની જેમ ઊગી આથમી ઊગી ન શકું

મરણરૂપે જ મુકાઈ ગઈ છે મર્યાદા
જીવનથી સહેજ વધારે હું વિસ્તરી ન શકું

તને મળું તે સમય પર્વ જેમ વીતે છે
પછી હું કોઈ તહેવા૨ ઊજવી ન શકું

પરિચિતોય બધાં પંખીઓ સમાં લાગે
હું નામજોગ કોઈનેય ઓળખી ન શકું

અલગ દિશામાં વળી જાય માર્ગ વચ્ચેથી
અને અહીંથી હું પાછો હવે ફરી ન શકું

– ભરત વિંઝુડા

સીધી ને સટ્ટ વાત ! મને જચી ગઈ !

Comments (3)

ઉપાલંભ – ઉષા ઉપાધ્યાય

પહેલાં આંખો આપો પછી પાંખો આપો
ને પછી છીનવી લો આખું આકાશ,
રે ! તમને ગમતાં શું આટલાં પલાશ !

કોરી હથેળીમાં મેંદી મૂકીને પછી
ઘેરી લો થઈને વંટોળ,
આષાઢી મેઘ થઈ એવું વરસો, ને કહો
કરશો મા અમથા અંઘોળ !
પહેલાં તડકો આપો, પછી ખીલવું આપો
ને પછી છીનવી લો સઘળી સુવાસ,
રે ! તમને ગમતાં શું આટલાં પલાશ !

ગોરી પગપાનીને ઝાંઝર આપીને કહો
કાનમાં પડી છે કેવી ધાક !
ગિરનારી ઝરણામાં ઝલમલ તરો,
ને કહો સૂરજનાં ટોળાંને હાંક !
પહેલાં પાણી આપો, પછી વહેવું આપો
ને પછી છીનવી લો કાંઠાનો સાથ,
રે ! તમને ગમતાં શું આટલાં પલાશ !

– ઉષા ઉપાધ્યાય

પ્રારબ્ધની ગતિ ન્યારી છે. આવા જ અસંખ્ય અનુભવો બાદ ઝેન સમજાય છે…..

Comments (2)

ગીત – ગોપાલકુમાર ધકાણ

ભરચક બજારેથી સડેડાટ નીકળી હું, ખાલીખમ્મ હાથે પરબારી
.                                  મારો પિયું સાવ ટૂંકો પગારી

છૂટા બેઉ હાથે એમ વેરી દેવાય ના,
.                                  જોવાનું એક એક પાસું.
સંઘરીને રાખ્યાં છે અમે મોતીડાં જાણીને,
.                                  પાંપણની નીચે બે આંસુ.
ઇચ્છાના નામે એક છોકરું છે કાખમાં ને,
.                                  સામે રમકડાંની લારી.
.                                  મારો પિયું સાવ ટૂંકો પગારી.

નાની હથેળી વળી ટૂંકો છે હાથ એમાં,
.                                  ફાટફાટ કેમ કરી ભરીએ?
પાંચ દસ ગજની મારી આ ઓરડીમાં,
.                                  સપનાને ક્યાં ક્યાં સંઘરીએ?
ઝાંખા પડી જાય સઘળા દાગીના,
.                                  મેં એવી સેથી શણગારી.
.                                  મારો પિયું સાવ ટૂંકો પગારી.

– ગોપાલકુમાર ધકાણ

વાત આમ તો ઓછા પગારમાં ભરચક્ક બજારમાંથી પસાર થવા છતાંય કશું ખરીદ્યા વિના ખાલી હાથે પરબારા નીકળી જવાની આર્થિક મજબૂરીનું ગીત છે પણ કવિએ આંસુ, ઇચ્છા અને સપનાંની અને જિંદગીની સંકડાશની વાત કરીને ગીતને એક અલગ જ પરિમાણ પણ બક્ષ્યું છે. કાવ્યાંતે સ્ત્રીનો સહજ સ્વભાવ એક જ કડીમાં અદભુત રીતે ઉજાગર થયો છે. તમામ દાગીનાઓનો ચળકાટ ઝાંખો પડી જાય એ રીતે ગરીબ પતિની પત્નીએ પોતાની સેંથીને શણગારી છે, મતલબ લાખ ગરીબાઈમાં પણ એણે દિલની દોલત, પ્રેમની અસ્ક્યામત સાચવી રાખી છે.

Comments (16)

(અંતિમ પ્રવાસે) – અઝીઝ કાદરી

અમસ્તી મારી મહેનત પર ઘડીભર તો નજર કરજો,
કહું છું ક્યાં કદી હું કોઈને, મારી કદર કરજો.

તમે અશ્રુ બહાવી દુઃખમાં ના આંખોને તર કરજો,
મરદની જેમ જીવન જીવતા રહેજો, સબર કરજો.

તમે કંટાળશો ના ઠોકરોથી માર્ગની સહેજે,
ખુમારી સાથે હસતું મોઢું રાખીને સફર કરજો.

સુખે તો જીવવા દીધો નહીં, લોકો! મરણ વેળા,
મને માટીમાં ભેળવવા હવે ભેગું નગર કરજો.

કરે ફરિયાદ ના મિત્રો કે આમંત્રણ નથી આપ્યું,
‘અઝીઝ’ અંતિમ પ્રવાસે જાય છે, આજે ખબર કરજો.

– અઝીઝ કાદરી

ખ્યાતનામ શાયર શકીલ કાદરીના વાલિદ જનાબ અઝીઝ કાદરી પણ ખ્યાતનામ શાયર અને ઉર્દૂના ઊંડા જાણકાર હતા. ૦૯-૧૦-૨૦૨૧ના રોજ તેઓ જન્નતનશીન થયા. એમની એક મનનીય રચના સાથે એમને હૃદયપૂર્વક શબ્દાંજલિ આપીએ…

Comments (7)

શબ્દોનું શું કામ ! – જયન્ત પાઠક

શબ્દોનું શું કામ,
અમારે બાવનબા’રો રામ !

માળામણકા જાપ ભજન ધૂનકીર્તન ભક્તિગાન
ઝાંઝપખાવજવાદન નર્તન દર્શનમુખ અભિરામ
ખટપટ ખોટી તમામ
અમારે બાવનબા’રો રામ !

ભીતર-બ્હાર બધે એ એક જ, શૂનશિખર પે ડેરા
અણસમજુને સંતાકૂકડી, લખચોરાશી ફેરા !
ઓચ્છવ આઠે જામ
અમારે રમે મૌનમાં રામ !

– જયન્ત પાઠક

એકબીજા સાથે આસાનીથી પ્રત્યાયન થઈ શકે એ માટે ક્રમશઃ વાણી અને ભાષાની શોધ થઈ પણ શબ્દો અભિવ્યક્તિનું એકમાત્ર ‘લગભગ સંપૂર્ણ’ સાધન હોવા છતાં લાગણીઓને યથાતથ રજૂ કરવામાં એ ભાગ્યે જ સફળ નીવડે છે. સમર્થ કવિ આ વાત સમજે છે એટલે જ કહે છે કે શબ્દો મારે કોઈ કામના નથી કેમકે ઈશ્વર તો બાવન અક્ષરોની બહાર વસે છે, માળામણકા વગેરે તમામ ખોટી ખટપટ છે. એનો વાસ શૂનશિખર પર છે. (શૂન શિખર ગઢ લિયો હૈ મુકામ, યોં કહે દાસ કબીર.) જે આવા ત સમજતા નથી એ ચોર્યાસી લાખ ફેરાની સંતાકૂકડી રમતા રહે છે, બાકી ભીતર બહાર બધે એ એક જ છે એટલું જાણી લો તો આઠે જામ ઉત્સવ જ છે.

‘ગુરૂ બાવન અક્ષર સે બારા’વાળી વાત આપણા સાહિત્યમાં ઘણીવાર જોવા મળે છે. જયન્ત પાઠકની જ અન્ય કવિતામાં એ લખે છે, ‘ઉઘાડ–મીંચમાં બાવનબા’રી બારખડીમાં, લખાયેલું તે ભીતર વાંચું નામ!’ ગંગાસતી ગાય છે: ‘એમ તમે તમારું શીશ ઉતારો પાનબાઈ તો તો રમાડું બાવનની બહાર.’ સતી લોયણ કહી ગયાં: ‘જી રે લાખા અક્ષર બાવન બારૂની જ નામ કહીએ જી.’

Comments (10)

મનને સમજાવો નહીં – રાજેન્દ્ર શુક્લ

મનને સમજાવો નહીં કે મન સમજતું હોય છે,
આ સમજ, આ અણસમજ, એ ખુદ સરજતું હોય છે.

છે ને કવકોલાહલે આ સાવ મૂગું મૂઢ સમ,
એકલું પડતાં જ તો કેવું ગરજતું હોય છે!

એક પલકારે જ જો વીંધાય, તો વીંધી શકો,
બીજી ક્ષણ તો એ જ સામા સાજ સજતું હોય છે.

એ જ વરસે વાદળી સમ ઝૂકતું આકાશથી,
એ જ તો મોતી સમું પાછું નીપજતું હોય છે.

ઓગળે તો મૌનથી એ ઓગળે ઝળહળ થતું,
શબ્દનું એની કને કૈં ક્યાં ઊપજતું હોય છે !

– રાજેન્દ્ર શુક્લ

“મન” શું છે તેનું ઉત્તમ વિશ્લેષણ જે.કૃષ્ણમૂર્તિના સાહિત્યે જડે. પ્રસ્તુત ગઝલે પાંચ શેરમાં ખાસ્સી અઘરી વાતો કહેવાઈ છે.

કવિશ્રીને જન્મદિવસની વધાઈઓ…..

Comments (4)

મારો નશો – ફરીદ-ઉદ્દીન અત્તર (પર્શિઅન) અનુ -.સુરેશ દલાલ

જે શાંત સૌમ્ય માણસો છે એને મારો નશો કદી નહીં સમજાય
એ લોકો કદી મારા કાર્યને સમજી નહીં શકે
દુનિયાદારીના માણસો તો દેવળોમાં જાય છે
તેઓ કદી સમજી નહીં શકે
નશાબાજ માણસના હૃદયની ગમગીની
જે લોકો ગૌરવ અને અહંકાર પહેરીને ફરે છે એ લોકો કદીયે
મારા રહસ્યના પડદાની પાછળ જોઈ નહીં શકે જે લોકો કદી પોતાના પ્રિયતમથી વિખૂટા નથી થયા
એ લોકો કદીયે નહીં સમજી શકે મારા પ્રિયતમ વિનાની રાત્રિને
હું તો મારા ઘરમાં બંદીવાન મારા પ્રિયતમ વિના
ઘરમાં એટલા માટે કે બહારના માણસો મારી વેદના ન જોઈ શકે
બુલબુલની બેચેની, કળીના ઝુરાપાને
કેવળ બગીચાનું ફૂલ જ સમજી શકે
જે લોકો કદીયે પ્રેમની યાતનામાં પડ્યા નથી
તેઓ કદીયે અત્તર’ની વ્યથાને ઓળખી ન શકે.

– ફરીદ-ઉદ્દીન અત્તર (પર્શિઅન) અનુ -.સુરેશ દલાલ

ફરીદઉદ્દીન અત્તર સૂફી સંતકવિ હતા, તેઓની The Conference Of Birds અતિવિખ્યાત રચના છે. રૂમીએ તેઓને સન્માન સાથે ટાંક્યા છે.

રચના શુદ્ધ પ્રેમના નશાની વાત છે… છેલ્લા થોડા સમયથી અમુક કૃતિઓ એવી નજરે ચઢે છે જેમાં પ્રેમના મૂળ તત્ત્વની સામે પ્રશ્નાર્થ કરાયા હોય છે. દલીલો તો ઘણી કરી શકાય અને આવા દવાઓનો છેદ પણ ઊડાડી શકાય, પરંતુ તદ્દન સરળ વાત છે – રામબાણ વાગ્યારે હોય તે જાણે…..વધુ શું બોલવું !!

Comments (1)

રાત પડી ગઈ – દાદુદાન ગઢવી (કવિ દાદ)

પ્રીતની ઘેલી હાય બિચારી,
.           સૂરજ પાછળ રાત પડી ગઈ,
ઘોડલાવાળો ઘડી ન રોકે,
.           રીસ હૈયાને હાટ ચડી ગઈ.

ઉદયાચળને ઓરડેથી એ,
.           દુખની મારી દોડતી આવે;
ભટકાણી આથમણી ભીંતે,
.           સિંદુ૨ ખર્યાં ને સાંજ પડી ગઈ.

હાર ગળાના હીરલા તૂટ્યા,
.           થોકે થોકે તારલા થઈ ગ્યા;
નંદવાણી સૌભાગ્યની ચૂડી,
.           બીજની ઝીણી ભાત પડી ગઈ.

અંતરનાં દુઃખ નેણલે ઉમટ્યાં,
.           ઊભરાણી આકાશમાં ગંગા,
કાજળ ચારે કોર ફેલાયાં,
.           સ્નેહની ત્યાં સોગાત પડી ગઈ.

નેપુર પગે ઠેસડી જાણે;
.           દેવના દેવળ આરતી વાગી;
સુગંધ ફોરી ધૂપસળી એના–
.           ચિતથી મીઠી વાત પડી ગઈ.

– દાદુદાન ગઢવી (કવિ દાદ)

કવિતાના વિશદ આસ્વાદ માટે અહીં ક્લિક કરો: https://tahuko.com/?p=20646

બે દૃશ્ય જોઈએ:

દૃશ્ય એક. દિવસમાંથી રાત થવાની ઘટનાના આપણે સહુ રોજેરોજના સાક્ષી છે. સૂરજ ડૂબે ને સાંજે આકાશમાં લાલિમા પથરાઈ જાય. થોડીવારમાં રાતની કાલિમા સાંજની લાલિમાનું સ્થાન લઈ લે અને આકાશ તારાઓથી ટમટમી ઊઠે. દૈનંદિન ઘટતી આ ઘટનામાં કંઈ નવીન ખરું?

દૃશ્ય બે. સરસ મજાના સાજ સજેલી સૌભાગ્યવતી સુંદરી પ્રિયતમ પાછળ આંધળી દોટ મૂકે અને નિષ્ફળતાની દીવાલ સાથે ભટકાઈ જાય, પરિણામે એના હાર-બંગડી તૂટી જાય, અથડાવાના કારણે સિંદૂર અને આંસુઓના કારણે કાજળ રેલાઈ જાય, આ દૃશ્ય આપણા માટે કાયમનું નથી પણ વિચારતાં જ આંખ સમક્ષ તરવરી આવે એવું તો ખરું જ. નવીનતા કે કવિતા તો આમાંય નથી.

કવિ દાદ આ બંને દૈનિક અને દુર્લભ ચિત્રોને દૂધમાં પાણીની સહજતાથી જે રીતે એકાકાર કરે છે, એમાં કવિતા અને નવીનતા એ બંનેના ચમત્કારનો સાક્ષાત્કાર આપણને થાય છે. સૌભાગ્યવતી સ્ત્રીના રૂપક વડે કવિએ દિવસમાંથી રાત તરફની ગતિનું અતિ રમણીય દૃશ્યચિત્ર અહીં ઊભું કર્યું છે.

Comments (3)

कुछ त्रिपदियाँ – मिलिन्द गढ़वी

अक्सर दिल को समझाया है
झील में पत्थर मत फेंका कर
चाँद के सिर पे चोट लगेगी|

इस तनहाई से तंग आकर
जाने मैं क्या कर जाऊंगा
गालिब ने ग़ज़ले कह दी थी |

अपने आप से लड़ते लड़ते
कुछ लम्हों ने जान गँवा दी
बाकी सारे comma में है |

ताजा बर्फ के मौसम रखकर
मैंने एक पिटारी भेजी
आह! वो तुमने धूप मेँ खोली |

रात नहीं कटती है वरना
दिन तो कितने काट लिए हैं
तेरी यादों की कैची से |

चाँद की जेब से चोरी कर के
मैं कुछ किरनें ले आया हूँ
काश अमावस में काम आए |

मैंने इक अधमरी उदासी को
कितनी मुश्किल से जिंदगी दी थी
तुम हो की ‘वाह वाह’ करते हो |

एक कोने मेँ पड़ा है सूरज
और सवेरा शहर से गायब है
रात कुछ नागवार गुजरी है |

– मिलिन्द गढ़वी

ગુજરાતી કવિ મિલિન્દની કલમે કેટલીક હિંદી ત્રિપદીઓ. અવર ભાષા પર કવિની હથોટી તો અહીં સાફ દેખાય જ છે, પણ જે કલ્પનો-રૂપકો કવિએ અહીં પ્રયોજ્યા છે એની તાજગી તો કંઈક અલગ જ છે. આટલા Fresh metaphors અને આવી સશક્ત બાની આપણે બહુ ભાગ્યે જ જોઈએ છીએ. દરેક ત્રિપદી આરામથી મમળાવજો… જેમાંથી આ ત્રિપદીઓ લીધી છે એ સંગ્રહ ‘નન્હે આંસૂ’ આખો જ અદભુત થયો છે…

Comments (8)

તો મજાનું – નેહલ વૈદ્ય

પ્રત્યેક ક્ષણમાં સાચું જીવાય તો મજાનું,
હર પળ છે એક ઉત્સવ, ઉજવાય તો મજાનું.

આવે છે જો, હવામાં સંદેશ મોસમોના,
ફૂલો લખે છે ચિઠ્ઠી, વંચાય તો મજાનું.

વાગી રહ્યું સદાયે આકાશમાં નિરંતર,
સંગીત છે અલખનું, સંભળાય તો મજાનું.

વાતો રહે અધૂરી, મિલન બને મધૂરું;
આંખોની મૌન ભાષા સમજાય તો મજાનું

હરદમ રહે ફકીરી, ઉત્થાન કે પતન હો,
મૃત્યુ મને મળીને હરખાય તો મજાનું.

– નેહલ વૈદ્ય

હિતેન આનંદપરા અને આપણું આંગણું ડૉટ કોમ આયોજિત ગઝલશિબિરમાં રઈશ મનીઆરના માર્ગદર્શન હેઠળ આપવામાં આવેલ પંક્તિ અને હૉમવર્કની આ સફળ ફળશ્રુતિ… શાળા અને કૉલેજમાં મારી સિનિયર રહેલ ડૉ નેહલ વૈધ (એમ.ડી. મેડિસીન)ને હું વિશ્વકવિતાના ઉત્તમ ભાવક તરીકે લાંબા સમયથી ઓળખું છું. એની અછાંદસ રચનાઓનો પણ લાંબા સમયથી પરિચય ખરો, પણ ગઝલકાર તરીકે એ પહેલીવાર મારી સામે આવી અને મારામાં રહેલા ભાવકને મોહિત કરી દીધો.

લયસ્તરો પર નેહલનું સ્વાગત…

Comments (21)

હશે…. – ‘આશિત’ હૈદરાબાદી

કેટલા ખામોશ છે ? કા૨ણ હશે;
દૂઝતા હૈયે કોઈના વ્રણ હશે !

આંખ ઊંચી પણ નથી થાતી હવે,
ઊંઘનું કે ઘેનનું કારણ હશે!

રંગ ચહેરા પર ફરી આવી ગયો,
એક ક્ષણની એ ખુશી કારણ હશે !

એમ પાલવશે નહીં હારી ગયે,
ઝેરનું પણ કંઈક તો મારણ હશે !

કેમ સાકી જામ માપીને ભરે ?
આ સુરાલયનું કોઈ ધો૨ણ હશે ?

આમ બદનામી કરો ના દર્દની,
જિંદગી ખુદ મોતનું કારણ હશે !

એ જ ‘આશિત’નું હશે ઘ૨ જાણજો,
કંટકોનાં બારણે તોરણ હશે !

– ‘આશિત’ હૈદરાબાદી

Comments (2)

(જેને હું વાતવાતમાં) – મનહરલાલ ચોક્સી

જેને હું વાતવાતમાં ઉલ્લેખતો રહું,
એ શક્ય છે કે એને કદી પણ ન ઓળખું.

એ પણ મજા કે હું જ સદા બોલતો રહું,
તમને લજામણી ન કહું તો હું શું કરું?

તારા જતાં જ મારું પણ અસ્તિત્વ ના રહ્યું,
જીવન તો તારા શ્વાસને ઉચ્છવાસથી હતું.

શબ્દો જ માત્ર મારા અધિકારના હતા,
ગીતોય કોઈનાં છે અને દર્દ કોઈનું.

હોવા વિષે તો આમ બધા એકમત થશે,
હોવાની વાત કોઈ પણ સમજી નથી શક્યું.

સંકેત સૂર્ય આપી શકે જો પ્રકાશનો-,
રાતે આ તારલાનું વળી કામ શું હતું?

‘મનહર’ જીવનમાં કોઈ દી’ જાણી નહી શક્યો
છે કોણ આપણું અને છે કોણ પારકું?

– મનહરલાલ ચોક્સી

નામ, કામ અને સ્વભાવ –બધી રીતે મનહર એવા કવિશ્રી મનહરલાલ ચોકસીની એક મનહર રચના આજે મનભર માણીએ…

Comments (3)