શબ્દોનું લોહી જેવું છે, ઘા થાય તો વહે,
વ્યર્થ જ હું એના ઘેર તકાજો કરું છું રોજ.
વિવેક ટેલર

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for October, 2020

(ડરે છે) – ડૉ. હરીશ ઠક્કર

મહદ્દઅંશે લોકો સજાથી ડરે છે
કોઈ કોઈ છે જે ગુનાથી ડરે છે

એ સમજી શકાશે કે પાપી તો ડરશે,
એ બંદો ખુદાનો, ખુદાથી ડરે છે

એ ક્યાંનો નીડર જે ડરાવે બધાને
હકીકતમાં એ ખુદ બધાથી ડરે છે

ન ઇચ્છે કદી પણ બૂરું કોઈનું જે
ગ્રહો એની માઠી દશાથી ડરે છે

બધી આપદા એને શોધી જ લેશે
જે માણસ સતત આપદાથી ડરે છે

જો જીતી શકો તો એ ડરને જ જીતો
એ શું જીતે, જે હારવાથી ડરે છે ?

ડરી જાઉં હું જો તો લોકો શું કહેશે?
ઘણાં માત્ર એ ધારણાથી ડરે છે.

– ડૉ. હરીશ ઠક્કર

ડર માનવમનનો અવિભાજ્ય હિસ્સો છે. કોઈને કોઈ કારણે, કોઈને કોઈ વસ્તુનો કોઈને કોઈ સમયે આપણને ડર લાગતો હોય છે. કવિએ આપણા ડરના નાનાવિધ આયામો પ્રસ્તુત ગઝલમાં સુપેરે ઉજાગર કર્યા છે. સજાનો ડર ન હોય તો ભાગ્યે જ કોઈ મનુષ્ય ગુનો કરતાં ડર અનુભવે એ વાત મત્લામાં કેવી સ-રસ રીતે પ્રત્યક્ષ થઈ છે! સરવાળે આખી રચના આસ્વાદ્ય થઈ છે.

Comments (9)

(આહ, આહ, આહ) – મરીઝ

પહેલાં હતી બધામાં મજા આહ, આહ, આહ,
હમણાં હવે કશામાં નથી વાહ, વાહ, વાહ.

તો પણ જવું ક્યાં એ જ મને સૂઝતું નથી,
દેખાઈ તો રહી છે બધે રાહ, રાહ, રાહ.

ઊલટી અસર થઈ તારા ઠંડા જવાબની,
સર્વત્ર છે હૃદયમાં ફક્ત દાહ, દાહ, દાહ.

તસવીર છો તમે મારા સારા નસીબની,
તેથી મને મળો છો તમે ગાહ, ગાહ, ગાહ.

બરબાદી વિશે પ્રશ્ન હજારો થયા મને,
મારો જવાબ એક હતો ચાહ, ચાહ, ચાહ.

ઘરમાં ‘મરીઝ’ કેવા હતા રંક, રંક, રંક
મયખાનામાં જો જોયા હતા શાહ, શાહ, શાહ.

– મરીઝ

મરીઝ પરંપરાના શાયર હતા. એમની ગઝલોમાં પ્રયોગો જૂજ જ જોવા મળે છે પણ આ ગઝલ જુઓ… આ હમરદીફ હમકાફિયા ગઝલમાં એમણે ચુસ્ત કાફિયા રાખવા ઉપરાંત કાફિયાને ત્રેવડાવીને પોતે જે કહેવું છે એ વાતને કેવો મજાનો વળ ચડાવ્યો છે! કાફિયા ત્રેવડાવાથી ગઝલની મૌસિકી તો વધે જ છે, વાતમાં વજન પણ વધે છે.

Comments (6)

(જાગું પણ સૂતેલાં જેવી) – પૂર્વી અપૂર્વ બ્રહ્મભટ્ટ

ભ્રમણાની દુનિયામાં વીતી ગ્યાં વર્ષો, હું રહી ગઈ છું એવી ને એવી
જાગું પણ સૂતેલા જેવી

કૂંપળથી પાન પીળું થાવાની ઘટના લગ કંઈ પણ ના પામ્યો આ જીવ,
માટીના પિંજરની અંદર ડોકાઈને શોધ્યો ના કોઈ ‘દિ મેં શિવ;
હાય મૂઓ પસ્તાવો ભીંસે છે રૂદિયાને આંખોને મીંચુ હું જેવી,
જાગું પણ સૂતેલાં જેવી.

તૂટી ગયેલાં સૌ શમણાંના ટુકડાને સંભાળી રાખું શું કામ?
તારું કે મારું કે દુનિયા કે ઈશ્વરનું, કોનું દઉં કારણમાં નામ?
લે, મારાં માથે મેં સઘળું લઈ લીધું છે, ફરિયાદો કોને ને કેવી?
જાગું પણ સૂતેલાં જેવી.

– પૂર્વી અપૂર્વ બ્રહ્મભટ્ટ

ઘડપણ ક્યારેક જાગવાની ખટઘડી થઈને આવતું હોય છે. જીવનનો અંત ઢૂંકડો જણાય ત્યારે કવચિત્ જીવની ભીતર રહેલા શિવને શોધવાની કોશિશ ન કર્યાનો વસવસો થઈ આવે છે. દુનિયાની ભ્રમજાળમાં ફસાઈને એવાને એવા રહી ગયાનો પસ્તાવો આતમને ભીંસે છે. આપણામાંથી મોટાભાગનાને તો આ જ્ઞાન મરણપર્યંત લાધતું નથી પણ જેને જાગતાં હોવા છતાં સૂતાં રહી ગયાની વાત સમજાઈ જાય છે એ આ પરિસ્થિતિની જવાબદારીનો ટોપલો દુનિયા કે ઈશ્વરના માથે નાંખી છટકવાની કોશિશ કરવાના બદલે પોતાની નિષ્ક્રિયતા અને નિષ્ફળતાની સંપૂર્ણ જવાબદારી પોતાને જ માથે લઈને ફરિયાદો કરવાથી મુક્ત રહે છે… શિવ સાંપડે કે ન સાંપડે, પણ આટલુંય આત્મજ્ઞાન થાય તોય ભયો ભયો…

કાવ્યબાની અને છંદોલય પર વધુ સંજિદગીથી કામ કરાય તો આ પ્રતિભાશાળી કવયિત્રીની આવતીકાલ વધુ ઉજળી નજરે ચડે છે…

Comments (4)

માણસ નામે ખૂબ ઉજાણી… – મુકેશ જોષી

વેરણછેરણ સપનાં છે ને, તૂટી ફૂટી ઘટના છે ને,
અડધી ઝોળી ખાલી છે ને અડધી પાછી કાણી છે
અડધું લટકે ખંજર છે ને અડધું જીવની અંદર છે ને
અડધી ચાદર ઓઢી છે ને અડધી કોકે તાણી છે
હાય! વિધાતા તારે માણસ નામે ખૂબ ઉજાણી છે…

અડધી જોને રાત પડી છે, અડધી સાથે જાત લડી છે
બાકીની અડધીમાં સાલી હજુ કેટલી ઘાત પડી છે
અડધો માથે તાપ પડે છે, એમાં અડધો બાફ પડે છે
અડધી આંખ દદડે છે એ વરાળ છે કે પાણી છે…
હાય! વિધાતા તારે માણસ નામે ખૂબ ઉજાણી છે…

અડધી યાદો તાજી છે ને અડધી યાદો દાઝી છે ને
બાકીની અડધી તો કંઠે ડૂમો થઈને બાઝી છે
અડધો જૂનો મહેલ છે ને ઇચ્છાઓ જ્યાં જેલ છે ને
માણસ નામે રાજા હો તો, પીડા નામે રાણી છે…
હાય! વિધાતા તારે માણસ નામે ખૂબ ઉજાણી છે…

અડધી મૂઠી જીવવાનું છે, મોત સમીપે ખસવાનું છે
એમાંય આ કાળનું કાળું કાળું જો ને ડસવાનું છે
પહેલો માસ જ આસો છે ને અડધે શ્વાસે ફાંસો છે ને
બળબળતી આ ભવાટવિમાં તડતડ ફૂટે ધાણી છે…
હાય! વિધાતા તારે માણસ નામે ખૂબ ઉજાણી છે..

– મુકેશ જોષી

શબ્દોનો અર્થસભર ઉપયોગ અને શબ્દોની રમત વચ્ચેનો ભેદ ઉજાગર કરતું ગીત….. દરેક શબ્દ પાસેથી એવું ખૂબીભર્યું કામ લીધું છે કે જે તે શબ્દને સહેજપણ બદલવો જાણે અશક્ય ! જ્યારે આવું સુંદર શબ્દોનું ગૂંથણ સર્જવામાં આવે અને તે પણ લેશમાત્ર અર્થ-શૈથિલ્ય વગર, ત્યારે ‘કવિતા’ સર્જાય છે…..

Comments (4)

હું બનીશ તારો સમાધિલેખ – લિઓનારા સ્પાયર (અનુ. વિવેક મનહર ટેલર)

તારા પ્યારા મૃત હૃદય ઉપરથી હું
એક ડાળી જેટલી જ લાપરવાહીથી ઊઠીશ,
એમ કહેતી, “અહીં સૂતું છે નિષ્ઠુર ગીત,
હવે નિષ્ઠુરતાપૂર્વક શાંત થઈને.’’

હું કહીશ, ‘‘અહીં સૂતી છે જૂઠાબોલી તલવાર,
હજી પણ મારી સચ્ચાઈથી નીંગળતી;
અહીં સૂતું છે મેં ગૂંથીને સીવેલું મ્યાન,
મારા યૌવનના ભરતજડ્યું.’’

હું ગાઈશ, “અહીં સૂએ છે, અહીં સૂએ છે, અહીં સૂએ છે-“
રે, નીચે શાંતિથી કટાજે!
જનારાઓને મારા શબ્દોથી આશ્ચર્ય થશે,
પણ તારી મેલી માટી તો જાણી જશે.

– લિઓનારા સ્પાયર
(અનુ. વિવેક મનહર ટેલર)

સ્ત્રી પ્રેમ કરે તો દિલ ફાડીને પણ નફરત કરે તો દુનિયા હચમચી જાય એવી. નાયિકાના અસીમ અફાટ પ્રેમનો બદલો બેવફાઈ કે ત્યાગથી કે અવગણનાથી ચૂકવનારો હવે જમીનની નીચે કબરમાં સૂતો છે ત્યારે નાયિકા કહે છે કે હું જ તારો સમાધિલેખ બનીશ. કબર ઉપર કોઈ ડાળ જે રીતે બેપરવાહીથી ઊંચી ઊઠે એમ નાયિકા મૃતક પ્રેમીના હજીયે પ્યારા પણ મૃત હૃદય પરથી ઊઠનાર છે. સીધો સંદેશો છે કે તારા પ્રેમમાં કે તારા મરણના શોકમાં ગરકાવ રહી હું હવે પતન વહોરનાર નથી, પણ લાપરવાહીથી ઉન્નતમાર્ગે વધીશ. મરનાર એની જિંદગીનું ગીત હતું. ક્રૂર હતું પણ એનું પોતાનું ગીત હતું અને અકાળે મૃત્યુ પામીને, નાયિકાને એકલી મૂકી ચાલ્યા જઈને એણે એવો જ નિષ્ઠુર બીજો ઘા કર્યો છે. Penis (શિશ્ન) અને Vagina (યોનિ)ના એક અર્થ અનુક્રમે તલવાર અને મ્યાન પણ થાય છે. આ અર્થચ્છાયા પણ કવયિત્રીને અભિપ્રેત જણાય છે. નાયિકાના સાચા પ્રેમથી હજીયે નીંગળી રહેલી જૂઠી તલવાર જેવો પ્રેમી પોતાના યૌવનથી જેને ગૂંથ્યું હતું એ મ્યાનસહિત જમીનની નીચે સૂતો છે. જૂઠાબોલી તલવારને શાંતિથી કટાવા માટે પોતે છોડી દીધી હોવાથી દુનિયાને તો આશ્ચર્ય થશે જ પણ નાયિકાને એની ચિંતા નથી. એ જાણે છે કે મરનાર પોતાની કાળી કરતૂતોથી નાવાકિફ નથી.

I’ll be your Epitaph – Leonora Speyer

Over your dear dead heart I’ll lift
As blithely as a bough,
Saying, “Here lies the cruel song,
Cruelly quiet now.”

I’ll say, “Here lies the lying sword,
Still dripping with my truth;
Here lies the woven sheath I made,
Embroidered with my youth.”

I’ll sing, “Here lies, here lies, here lies-”
Ah, rust in peace below!
Passers will wonder at my words,
But your dark dust will know.

– Leonora Speyer

Comments (9)

(નજરું આપો સાંઈજી) – વંચિત કુકમાવાલા

નજરું આપો સાંઈજી
મારા રે પંડના પરકાશે લીધી પરથમ રે અંગડાઈ જી

ઝીલે ટેરવડાંની ધારું ઝીલે નભ આખાનો ભાર
રણકે રગરગથી રણકે છે કોઈ વાજીંતરના તાર
આસન આપો સાંઈજી
આ હાથવગી પળની પછવાડે ઊભી રે અખિલાઈ જી
નજરું આપો સાંઈજી…

માણે હાલકડોલક મનડું માણે અનહદના અણસારા
છૂટે રઘવાયાં તળિયેથી છૂટે અલલલ લીલી ધારા
લેખણ આપો સાંઈજી
એક નોખો શબદ ઉતારી કરવી ભવભવની ભરપાઈ જી
નજરું આપો સાંઈજી…

– વંચિત કુકમાવાલા

શ્રી વંચિત કુકમાવાલાની આ મજાની રચનાનો આસ્વાદ આજે કવિમિત્ર મિલિન્દ ગઢવીના શબ્દોમાં:

હા. આ વાંચતાં જ તરત કવિ વિનોદ જોશીની ‘કૂંચી આપો બાઈજી’નું સહજ સ્મરણ થઈ આવે. વંચિતભાઈની આ રચના સ્વરૂપની દ્રષ્ટિએ વિનોદભાઈની રચનાથી પ્રેરિત છે એમ સ્વીકારીને આગળ વાત કરવી છે. કારણ એટલું જ કે કાવ્ય માત્રને માત્ર એનાં સ્વરૂપમાં નથી હોતું. વળી વિનોદભાઈની રચનાનો વિષય તદ્દન જુદો છે એટલે અહીં કાવ્યાત્મક તુલના કરવી પણ નિરર્થક. જોકે ભાવકને એ છૂટ હોય જ કે એને અમુક તમુક કૃતિ વધારે પસંદ હોય. એવી ભાવકતા સાથે મારે કહેવું છે કે મને વંચિતભાઈની આ રચના વધુ ગમે છે. શું કામ ગમે છે એની સ્હેજ જ વાત કરું.

કાવ્યનો ઉઘાડ થાય છે વિનવણી થી. એક પ્રકારની પ્રાર્થનાથી. અને વિનવણી કોની પાસે? Someone who is above, અને માત્ર above એટલું જ નહીં પણ spiritually above. જેની આધ્યાત્મિક ચેતના આપણા કરતાં કોઈ ઊંચા શિખર પર છે. કારણ કે જેણે જાણી લીધું છે એ જ તો ઓળખાવી શકે, જે પહોંચી ગયાં છે એ જ તો મારગ દેખાડી શકે. આંખનું હોવું ઘણી વખત પર્યાપ્ત નથી હોતું. न तु मां शक्यसे द्रष्टुमनेनैव स्वचक्षुषा। (ગીતા 11.8) ત્યારે જરૂર પડે છે નજરુંની – એક પ્રકારે initiationની વાત છે. અને વિનવણીનું કારણ શું? એક realization. પંડના પરકાશે લીધેલી પરથમ અંગડાઈની અનુભૂતિ. અહીંથી જ સડક શરૂ થાય છે. P. D. Ouspensky કહે છે – It is only when we realize that life is taking us nowhere that it begins to have meaning. પછી પગથિયાં છે.

પણ છેલ્લે – લેખણ આપો સાંઈજી… એક અદભુત પુસ્તક છે – Tractatus Logico Philosophicus. લેખક છે ઑસ્ટ્રીયન ફિલોસોફર Ludwig Wittgenstein. મૂળ જર્મનમાં લખાયેલું. એક જગ્યાએ લખે છે : The limits of my language mean the limits of my world. અને માટે જ ‘નોખો શબદ’ આવશ્યક છે ભવભવની ભરપાઈ કરવા માટે.

આવી નખશીખ, દાર્શનિક યાત્રાની, રચનાઓ આપણે ત્યાં ખૂબ ઓછી લખાઈ છે. આ રચના કેવળ એનાં ભાવકો માટે નથી, પણ સાધકો માટે છે.

– મિલિન્દ ગઢવી

Comments (7)

(કિનારે કિનારે) – મરીઝ

જીવનભરના તોફાન ખાળી રહ્યો છું, ફકત એના મોઘમ ઈશારે ઈશારે.
ગમે ત્યાં હું ડૂબું, ગમે ત્યાં હું નીકળું, છે મારી પ્રતીક્ષા કિનારે કિનારે.

અહીં દુઃખની દુનિયામાં એક રંગ જોયો, ભલે સુખનું જગ હો પ્રકારે પ્રકારે.
સુજનની કબર કે ગુનેગારની હો, છે સરખી ઉદાસી મઝારે મઝારે.

હૃદય મારું વ્યાપક, નજર મારી સુંદર, કલા મારી મોહક વિચારે વિચારે.
નથી આભને પણ કશી જાણ એની, કે મેં ચાંદ જોયા સિતારે સિતારે.

અમારા બધાં સુખ અને દુ:ખની વચ્ચે, સમયના વિના કંઈ તફાવત ન જોયો.
બધીયે મજાઓ હતી રાતે રાતે, ને સંતાપ એનો સવારે સવારે.

નથી ઝંખના મારી ગમતી જો તમને, તો એનું નિવારણ તમારું મિલન છે.
તમે આમ અવગણના કરતા જશો તો, થતી રહેશે ઇચ્છા વધારે વધારે.

અમસ્તો અમસ્તો હતો પ્રશ્ન મારો, હકીકતમાં કોની છે સાચી બુલંદી.
જવાબ એનો દેવા ઊઠી આંગળીઓ, તમારી દિશામાં મિનારે મિનારે.

જગતમાં છે લ્હાવા કદમ પર કદમ પર, ફક્ત એક શરત છે ગતિમાન રહેવું.
નવા છે મુસાફિર વિસામે વિસામે, નવી સગવડો છે ઉતારે ઉતારે.

મરણ કે જીવન હો એ બન્ને સ્થિતિમાં, ‘મરીઝ’ એક લાચારી કાયમ રહી છે.
જનાજો જશે તો જશે કાંધે કાંધે, જીવન પણ ગયું છે સહારે સહારે.

– ‘મરીઝ’

મરીઝની ગઝલોમાંની પ્રથમદર્શી સરળતા આભાસી છે, જેને ઉર્દૂ અદબમાં સહલે-મુમ્તના કહે છે. અર્થાત્ આસાન શબ્દોમાં ગંભીર વાત. ખૂબ જાણીતી આ ગઝલનો મત્લા જોઈએ. જીવનનું તોફાન નહીં, જીવનભરના તોફાન. દરિયામાં જેમ મોજાંઓની એમ જ જીવનમાં તોફાનોની હારમાળા છે. પણ એકેય તોફાનમાં નાયક એકલો નથી. દરેકમાં કથકને ‘એના’ તરફથી ઈશારો મળતો રહ્યો છે. ને આ ઈશારાના સહારે એ આ તોફાનોને ખાળી રહ્યો છે. ઈશારો વળી સીધો નથી, મોઘમ છે. ચર્મચક્ષુથી નજરે પડે એવો નથી. ખુદામાં અને ખુદાના એના બંદા માટેના પ્યારમાં શ્રદ્ધા હોય તો આ ઈશારો સહારો બનીને તારે તોફાનોમાંથી. આ તોફાનો ગમે ત્યાં ડૂબાડી શકે છે અને ગમે ત્યાં બહાર આણી શકે છે. દરિયામાં ડૂબવા અને બહાર નીકળવા વચ્ચે એક નજીવો તફાવત હવાનો છે. પાણી આમ હવાને ડૂબાડી ન શકે, પણ શરીરની બાબતમાં એનું વલણ જરા વિપરિત છે. શરીરમાં હવા હોય તો દરિયો એને ડૂબાડે અને ન હોય ત્યારે તરાવે. કિનારે લાવી મૂકે. મરીઝ કુશળ કવિ છે. એ શું માત્ર જિંદગીના તોફાનો અને શરીરના ડૂબવા ને લાશના તરવાની જ વાતો કરે છે? કે ‘એનો મોઘમ ઈશારો’ કવિના શબ્દ તરફ પણ છે? કવિ જીવે કે મરે, એનો શબ્દ સમયના દરિયામાં કદાચિત્ ગરક પણ થઈ જાય, પરંતુ પ્રાણ હશે તો એ શબ્દ ગમે ત્યારે તરીને કિનારે આવનાર જ છે, જ્યાં સાચા કાવ્યરસિકો પ્રતીક્ષામાં ઊભા જ હશે. વળી, લગાગા લગાગાના આવર્તનો અને કાફિયાનું બેવડાવું દરિયાના મોજાંઓને સાચા અર્થમાં તાદૃશ કરે છે, એ કવિકર્મનો વિશેષ.

Comments (15)

દરવાજે ઊભો છું….- મનોજ ખંડેરિયા

પીડાના ટાંકણાની ભાત લઈ દરવાજે ઊભો છું;
કળામય આગવો આઘાત લઈ દરવાજે ઊભો છું.

સુકાયો સાવ અશ્રુપાત લઈ દરવાજે ઊભો છું;
સૂતેલો એક ઝંઝાવાત લઈ દરવાજે ઊભો છું.

ન ફાટે કે ફીટે એ જાત લઈ દરવાજે ઊભો છું;
પટોળા પર પડેલી ભાત લઈ દરવાજે ઊભો છું.

કળીની જેમ એનું બંધ છે સૌંદર્ય આજે પણ,
કહેલી કાનમાં તેં વાત લઈ દરવાજે ઊભો છું.

ખબર છે કે લૂણો લાગી ગયો છે એનાં શિલ્પોને,
છતાં એ જર્જરિત જજબાત લઈ દરવાજે ઊભો છું.

તમે જેના અભાવે વાસી દીધાં દ્વાર વરસોથી,
હું એ વિશ્વાસની મિરાત લઈ દરવાજે ઊભો છું.

નથી આવ્યો હું ખાલી હાથ તારા દ્વાર પર આજે,
કવિતાથી સભર દિનરાત લઈ દરવાજે ઊભો છુ.

ઊભો દ્વારે શિશુ ભોળો દયામય મંદિરે, ખોલો,
બચેલા શ્વાસની સોગાત લઈ દરવાજે ઊભો છું.

-મનોજ ખંડેરિયા

આજે પાછી બંધ દ્વારની વાત, પણ અંદાઝ અલગ છે. “તમે જેના અભાવે વાસી દીધાં દ્વાર વરસોથી,
હું એ વિશ્વાસની મિરાત લઈ દરવાજે ઊભો છું….” – અહીં પોઝિટિવિટી છે, પુનર્મિલનનું આહવાન છે.

Comments (2)

છાતી તોડી પ્રબળ વેગથી મિલન ઝંખના – તુષાર શુક્લ

છાતી તોડી પ્રબળ વેગથી મિલન ઝંખના ધસી આવતી બ્હાર
અને તું બંધ કરી દે દ્વાર, થાય શું !

હથેલીઓમાં પારિજાતની સુવાસ લઈને, આવું એક સવાર
અને તું બંધ કરી દે દ્વાર, થાય શું !

રૂંવે રૂંવેથી દિપશીખા ઝળહળે
થાય, તું મેઘ થઈને મળે !
ઝંખના આજ હવે બસ ફળે
મીન મન ક્યાં સુધી ટળવળે ?
રણની બળતી કાંધ ઉપર આ કાળઝાળ ડમરી આજ ઊઠી ભેંકાર
અને તું બંધ કરી દે દ્વાર, થાય શું !

રેતકણ આંખમાં ઝીણું કળે
સ્મરણના શોષ બાઝતા ગળે
હોઠ ને મૃગજળ મીઠું છળે
વેગ ના કેમે પાછો વળે…
ખડક તણા આ કાળમીંઢ સંયમને તોડી વહું હું જલની ધાર
અને તું બંધ કરી દે દ્વાર, થાય શું !

આલિંગન આવકારમાં મળે
સ્નેહ મુજ સ્વીકાર થઈને ફળે,
જામ આ એકમેકમાં ઢળે
બેઉ જણ અરસ પરસ ઓગળે.
આખું આ અસ્તિત્વ ઊજવે તરસ તણો તહેવાર
અને તું બંધ કરી દે દ્વાર, થાય શું !

આજ અપમાનિત પાછો વળું ?
ટૂંપી દઉં મિલન સ્વપ્નનું ગળું ?
એકલો અંદર અંદર બળું ?
હું જ પોતે પોતાને છળું ?
પૂર થઈને પાછો આવીશ, વરસીશ મૂશળધાર
ભલેને બંધ કરે તું દ્વાર, થાય શું ?

– તુષાર શુક્લ

 

” હું જ પોતે પોતાને છળું ? ” – કેવી વેધક વાત….!! “બંધ દ્વાર”…..કેટલી બધી વાત કહી દે છે આ બે શબ્દો ! વળી અહીં તો નાયિકા ખુલ્લા દ્વારને કવિના મ્હોં પર બંધ કરી દે છે ! લાગણીશીલ હૈયું છે, કદાચ દ્વાર ખુલવાની રાહ જુએ…. દ્વાર ખોલવા વિનવે,….કદાચ ઊંધું ફરીને ચાલ્યું જાય સદાને માટે… જીવનમાં ખરેખર પણ આવું જ થાય છે ને ! ક્યારેક આપણે દ્વાર બંધ કરી દઈએ, ક્યારેક આપણે માટે દ્વાર બંધ થઈ જાય ! સંતના વિચાર અને વ્યવહાર એક હોય, મારે સંતપણું ક્યાંથી લાવવું ?? ક્યાંક વગર વાંકે દંડાઉ, ક્યાંક ગુનો કરી બેસું, ક્યાંક ગેરસમજનો શિકાર બનું, ક્યાંક કોઈ પવિત્ર આત્માને ઠેસ પહોંચાડી બેસું…કેટકેટલા સ્ખલનોથી બચું ??? પછી દ્વાર બંધ થાય જ ને !!! બંધ દ્વારને ખખડાવતાં અહંકાર અટકાવે, સ્વાભિમાન આડું આવે, ક્રોધ રસ્તો રોકે… આ બધું અતિક્રમીને ખખડાવું તો સામેના પક્ષે આ જ બધું, આવું જ બધું નડે !!!! કિશોર કુમારનું ગીત મનમાં ગૂંજે…-” ઝિંદગીકે સફરમેં ગુજર જાતે હૈ જો મકામ, વો ફિર નહીં આતે…..વો ફિર નહીં આતે…..”

 

Comments (2)

ઊંઘ ચરી ગઈ બકરી – રાધિકા પટેલ

ઊંઘ ચરી ગઈ બકરી:
હાચ્ચું કે’ જો હુવા ટાણે ચા પીધી’તી નકરી…?
ઊંઘ ચરી ગઈ બકરી…

માન્યું કે લેવી જ પડે છે રોજ યાદની ગોળી;
લીધી તો લઈ લીધી પાછી લીધી ચામાં બોળી?
ચા-બાઈને-જોઈને વકરી-ઊંઘ પછી તો વકરી…
ઊંઘ ચરી ગઈ બકરી…

ચાના દાણા વેર્યા છે તે ઊંઘ આવે નહિ ચણવા;
ભાઈ બગાસાં સાથે એ તો ગઈ નીકળી છે ફરવા,
દૂધ ધરો તો કદાચ પાછી આવે શાણી શકરી…
ઊંઘ ચરી ગઈ બકરી…

– રાધિકા પટેલ

કેટલીક રચના નજરે પડતાવેંત મન મોહી લેતી હોય છે. આ ગીતનું પણ કંઈક એવું જ જ છે. કોઈની યાદ મનોમસ્તિષ્કનો ભરડો લઈ બેસે અને ઊંઘ વેરણ થઈ જાય એ પરિસ્થિતિમાંથી આપણે સહુ અવારનવાર પસાર થયાં જ છીએ. પણ ઊંઘ જાણે ઘાસ ન હોય, જેને કોઈ બકરી ચરી ગઈ હોય એ કલ્પન જ કેટલું મજબૂત અને મૌલિક છે! રોજ રાત્રે ચામાં બોળીને યાદની ગોળી ગળીએ પછી ઊંઘ બિચારી વકરે નહીં તો બીજું શું થાય? ઊંઘ શાણી શકરી છે. ચાના દાણા ચણવા આવે એવું કોઈ મૂર્ખ પક્ષી નથી એટલે બગાસાંભાઈ સાથે એ ફરવા નીકળી ગઈ છે… હવે જાગો રાતભર, બીજું શું!

ભાવ, ભાષાકર્મ અને લયની બાબતમાં જો કે હજી વધુ સજાગતા અભિપ્રેત છે.

Comments (5)

(વાત કરવી છે) – કિરણસિંહ ચૌહાણ

અમારે ક્યાં વળી કોઈ આગઝરતી વાત કરવી છે!
જરા ઝાકળનાં ટીપાં વચ્ચે તરતી વાત કરવી છે.

બનીને લોહી રગરગમાં પ્રસરતી વાત કરવી છે,
તને તારા વિશે, મારામાં ફરતી વાત કરવી છે.

મને તેં ખૂ…બ ઊંચા સ્થાન પર સ્થાપિત કરી દીધો,
અને મારે તને થો…ડી ઊતરતી વાત કરવી છે.

અમે હમણાં સુધી તો ચૂપ રહી બોલાય એ બોલ્યાં,
હવે આજે તો છે ને… વાત કરતી વાત કરવી છે.

કશે કૂંપળ જો ફૂટે તો તરત સરવા કરું છું કાન,
મને લાગે કે જાણે કહે છે ધરતી… ‘વાત કરવી છે.’

– કિરણસિંહ ચૌહાણ

આ ગઝલ વિશે ઓછામાં ઓછા શબ્દોમાં ટિપ્પણી કરવી હોય તો આમ કહી શકાય: res ipsa loquitur અર્થાત્ It speaks for itself /સ્વયંસિદ્ધા.

Comments (6)

(વાત જો થાય તો) – શબનમ ખોજા

વાત સુધરી શકે, વાત જો થાય તો,
આટલી વાત બંનેને સમજાય તો!

આપ સીધા જ રસ્તે જતા હો અને
માર્ગ સામે ચડી જાતે ફંટાય તો?

એ જ ડરથી અરીસો એ જોતા નથી
સામે છેડેથી આરોપી ઝડપાય તો!

પ્રેમમાં ઊંડા ઊતરો પછી ભય રહે
હો ગળાડૂબ ને શ્વાસ રૂંધાય તો?!

આ ક્ષણોની રમત ત્યાગવી નહિ પડે,
સાત કોઠા સમો કાળ ભેદાય તો!

– શબનમ ખોજા

સરળ બાનીમાં ઘણીવાર જે વાત થઈ જાય છે, એ કરવામાં ક્લિષ્ટ શબ્દો અને ભારઝલ્લા વિશેષણો ઘણીવાર નિષ્ફળ જતા હોય છે. પ્રસ્તુત ગઝલ એનો પ્રત્યક્ષ દાખલો છે. લગભગ બધા જ શેર સહજસાધ્ય અને મનનીય થયા છે. અભિવ્યક્તિની મૌલિકતા પણ ઘણીવાર ગઝલનું જમા પાસું બનતી હોય છે. એક વાત જે અગાઉ હજારો વાર કહેવાઈ, સંભળાઈ ચૂકી હોય એ જ વાત પણ અંદાજે-બયાં મજબૂત હોય તો સાવ તરોતાજા લાગે છે. પ્રસ્તુત ગઝલનો મત્લા જુઓ. શેર યાદ આવે- વાતો જો થઈ શકે તો દિલે બોજ ના રહે, સીવેલા હોઠ લઈ જવાની છૂટ છે તને. આ જ વાત શબનમની ગઝલમાં આવે છે ત્યારે કેવી નવીન લાગે છે! કવિતાની આ મજા છે…

Comments (18)

સર્વત્ર છું – જવાહર બક્ષી

કયાંયનો નહિ તે છતાં સર્વત્ર છું
કોઈ સરનામા વિનાનો પત્ર છું

વિશ્વભર વિખરાયેલું નક્ષત્ર છું
માત્ર તારી આંખમાં એકત્ર છું

હું અનાદિ ઝંખના નિર્વસ્ત્ર છું
સત્ય છું પણ સાવ અંગત પત્ર છું

જિંદગી જેવો નનામો પત્ર છું
કૈંક અફવાઓને માથે છત્ર છું

આંખમાં મૃગજળ ભરીને શોધ નહિ
જયાં જઈશ, ત્યાં લાગશે અન્યત્ર છું

– જવાહર બક્ષી

ત્રીજા શેરનું પહેલું ચરણ એક ઊંચાઈને ઈંગિત કરે છે પણ બીજું ચરણ થોડું નિરાશ કરે છે. શેર કવિના ગજાનો બનતો નથી જણાતો. મત્લો એટલો મજબૂત છે કે તેની આગળ બાકીના શેર હાંફી જતા જણાય છે….

Comments (2)

આ અમે નીકળ્યા- – રાજેન્દ્ર શુક્લ

સાંજ ઢળતાં જ રોશન થતા, મ્હેકતા,
હાથ ગજરા, ગળે હાર ઝુલાવતાં;
ખીંટીએ લટકતી રાખીને રિક્તતા
આ અમે નીકળ્યા ખેસ ફરકાવતાં !

ઓશિકે એક ઘડિયાળ અટકી પડે,
વેળ તો વેળની જેમ વીત્યા કરે,
વાયરા દખણના તો ગમે તે ક્ષણે,
કેસરી કેસરી દ્વાર ખખડાવતા !

ચાર ખૂણા હજી સાચવીને ઊભા
ધૂંધળા ધૂંધળા કોક અણસારને,
ઘોર એકાંતનું છાપરું ને છજાં
જો ઊડે આભમાં પાંખ ફફડાવતાં !

સૌ અભાવો સુરાહી બને જ્યાં કને
જે મળે તે બધાં તરબતર નીતરે,
કોઈને કોઈની કૈં ખબર ના રહે-
કોણ છલકી જતાં, કોણ છલકાવતાં !

ઘૂંટ એક જ અને આંખ ઝૂકે જરા,
સાત આકાશ ખૂલી જતા સામટું,
જોઉં તો ઝળહળે જામમાં એ સ્વયં
ચૌદ બ્રહ્માંડનો ભેદ ભૂલાવતાં !

– રાજેન્દ્ર શુક્લ

કવિનો આજને દિ 1942માં જનમ, 79 પૂરા…સર્જનયાત્રા અવિરત…

એમની લાક્ષણિક શૈલીની ગુહ્યવાદની એક ગઝલ….

ખીંટીએ લટકતી રાખીને રિક્તતા
આ અમે નીકળ્યા ખેસ ફરકાવતાં….. -આ ચરણ ઉપર વારંવાર અટકી જવાય છે.

Comments (4)

ઢોલિયે – રાવજી પટેલ

અમે અજાણ્યા ક્યાં લગ રહેશું?
કહો તમારા ઘરમાં?
કહો તમારા ઘરમાંથી વળી
તબો-તમાકુ પંડ ઊઠીને ક્યારે લેશું?
દખણાદી પરસાળ ઢોલિયો ઢળ્યો,
ક્યારનો પડ્યો પડ્યો હું
જતાં-આવતાં ઘરના માણસ ભાળું;
બોલ તારા સુણી માંહ્યથી
પાંપણ વાસી
અમો ખોલિયે દુવાર આડું!
જોઉં જોઉં તો બે જ મનેખે
લહલહ ડોલ્યે જતો ડાયરો!
કોણ કસુંબા ઘોળે ?
ઘૂંટે કોણ ઘેનનાં ફૂલ?
હથેલી માદક લહરી-શી રવરવતી –
દિન થઈ ગ્યો શૂલ…
હમણાં હડી આવશે પ્હોર –
રાતના ઘોડા ગોરી,
સાગઢોલિયે પાંખ ફૂટશે;
કમાડ પર ચોડેલી ચકલી
સમણું થઈ ઘરમાં ફડફડશે.

જુઓ પણે પરસાળ સૂંઘતો ચાંદો.
અમને ઘડીવાર તો ગંધ ઊંઘની આલો,
આલો શ્વાસ તમારો ઓઢું, જંપું.
અંધકારથી પડખાંનો આ-વેગ
હવે તો બાંધો
ઢળ્યે ઢોલિયે…

– રાવજી પટેલ

રાવજીની કવિતામાંથી મૃત્યુની હારોહાર અદમ્ય જાતીય વૃત્તિનો અણસારો પણ સતત મળતો રહે છે. કદાચ કાચી વયે ટીબીની, એ સમયની અસાધ્ય બિમારીના કારણે થયેલી શરીરની પાયમાલી સામે આદિમ વૃત્તિનો રોક્યો રોકી ન શકાય એવો હણહણાટ આ માટે જવાબદાર હશે.

સાસરામાં પોતીકાપણું ન અનુભવવાની ફરિયાદથી શરૂ થતી રચના રતિક્રીડાની આરત અને તડપ સુધી પહોંચે છે. ઢોલિયામાં પડ્યે-પડ્યે એ સાસરિયાંવની ગતિવિધિનો મૂક પ્રેક્ષક બનતો પડી રહ્યો છે, પણ ભીતરથી પત્નીનો અવાજ આવતો સુણીને એ પાંપણ બીડીને દરવાજો હળવેથી ખોલે છે. દરવાજો ખોલવાની ચેષ્ટા પત્નીના દુર્લભ દર્શનની તાલાવેલી સૂચવે છે, પણ દરવાજાની પેલે પાર એ દર્શન થનાર નથી એની ખાતરી પણ હોવાથી પાંપણ વાસી દઈને પત્નીને એ તાદૃશ પણ કરે છે. બે નાની અમથી ચેષ્ટામાં કવિ કેવી અદભુત રીતે કાવ્ય સિદ્ધ કરે છે! વિરહથી વેદનાસિક્ત દિવસ કાંટાની જેમ ભોંકાઈ રહ્યો છે, રાત ઊતરી આવનાર છે પણ પ્રિયાના કોઈ સગડ નથી. કાવ્યાંતે ‘આવેગ’ના બે ભાગ કરીને કવિએ બે અર્થ નિપજાવીને પણ કમાલ કરી છે.

અને જો જો હં… આ કંઈ અછાંદસ કાવ્ય નથી… ગાગાગાગાના આવર્તનો સાથે કટાવ છંદમાં લખાયેલી આ રચનાનો પ્રવાહી લય રચનાને મોટા અવાજે વાંચશો તો તરત અનુભવી શકાશે…

Comments (8)

વનપ્રવેશ – ભાવેશ શાહ ‘શહેરી’

એમ કંઈ વનમાં જવાય નહીં
આંગળીઓ ઝાલીને ચાલતી ઇચ્છાઓ અધવચ્ચે રેઢી મૂકાય નહીં

અંકે પચાસ કહી ઉમરને આંકો પણ ભીતરમાં વાત હોય બીજી
તરવરાટ, થનગનાટ, લોહીનો હણહણાટ રાતોરાત જાય ના થીજી
શાંત પડે અશ્વો ને થાકે અસવાર એવું સાવ કંઈ એકાએક થાય નહીં.

કઈ રીતે, ક્યારે ને કેમ જવું વનમાં એનો મરમ પ્રથમ શોધીયે
લાગણીના નવેનવ રંગીન ખાનામાં ભૂખરાને ફેલાતો રોકીયે
ફાંટ ભરી રંગ લઈ આવેલી જિંદગીને પાછી જા એવું કહેવાય નહીં

એમ કંઈ વનમાં જવાય નહીં
આંગળીઓ ઝાલીને ચાલતી ઇચ્છાઓ અધવચ્ચે રેઢી મૂકાય નહીં

– ભાવેશ શાહ ‘શહેરી’

વધતી વય એ એક આંકડો માત્ર છે. ઉંમર વધવાની સાથે ઇચ્છાઓ ઓછી થઈ જતી નથી. પચાસ વર્ષ પૂરાં થાય અને એકા(વન)ની શરૂઆત થાય એને આપણે ત્યાં વનપ્રવેશ કહી ઓળખાવાય છે. વનપ્રવેશ કરતી વખતની સંવેદનાનું આ સહજ સરળ ગીત કદાચ આપણા સહુનું સંયુક્ત ઊર્મિગાન છે. એકાવનમાં જવાનો અવસર આવે તો કંઈ રાતોરાત ઘડપણ આવી ગયેલું અનુભવાતું નથી. શંકરાચાર્યએ કહ્યું હતું: “वयसि गते कः कामविकारः, शुष्के नीरे कः कासारः |” (વય વીતી જાય પછી કામ ક્યાંથી? જળ સુકાઈ જાય પછી સરોવર ક્યાંથી?) નર્મદે પણ ‘સૂંઘે ન કો કરમાઈ જૂઈ’ એવું કહ્યું હતું. પણ આપણા કવિ વનમાં જતાં પહેલાં કઈ રીતે, ક્યારે અને કેમ જવું એનો આગોતરો તાગ મેળવી લીધા બાદ લાગણીના નવેનવ ખાનાંમાં વૃદ્ધાવસ્થાના ભૂખરા રંગને જે રીતે ફેલાઈ જતો અટકાવવા માંગે છે એ જોઈને આદિ શંકરાચાર્યની જ બીજી સૂક્તિ યાદ આવે છે:

अंगं गलितं पलितं मुण्डं दशनविहीनं जातं तुण्डम् । वृद्धो याति गृहित्वा दण्डं तदपि न मुच्यत्याशापिण्डम् ॥ (અંગ ગળી ગયાં, માથાનાં વાળ સફેદ થઈ ગયાં, મોઢું દંત વિનાનું થઈ ગયું, લાકડી લઈને ચાલવું પડતું હોય તો પણ વૃદ્ધ આશાપિંડને છોડતો નથી.)

વધતી વયના આ ગીતમાં લય ક્યાંક ક્યાંક લથડે છે એ તરફ કવિની સભાનતા અપેક્ષિત છે…

Comments (8)

સમય – રાજેશ રાજગોર

સમય બસ ધારણા મનની, સમય જેવું કશું ક્યાં છે?
મરે જો મન સમય ગાયબ, હતું જ્યાં જે બધું ત્યાં છે.

સમય ટૂંકો પડે સુખમાં, સમય લાંબો ઘણો દુઃખમાં
સમય સરખો નથી રહેતો, સમયની આ સમસ્યા છે

સમય જન્મ્યો નથી તો મૃત્યુ પણ ક્યાં થઈ શકે એનું
સમયની બહાર જે નીકળે સમાધિ બસ મળે ત્યાં છે

કશુંક આવી રહ્યું તો છે કશુંક જઈ પણ રહ્યું તો છે
સમય છે કે જીવન છે આ સમજવાની સમસ્યા છે.

જીવે માણસ વીત્યા પળમાં કરી ચિંતા નવા પળની
સમયની આ જ પળમાં જીવવું “રાજન” તપસ્યા છે

– રાજેશ રાજગોર

સમય વિશે મજાની મુસલસલ રચના. ધીમે રહીને મમળાવવા જેવી…

Comments (2)

રખડુનું ગીત – ઉદયન ઠક્કર

આપના જે મનમાં છે એ જ મારા મનમાં છે, દાખલા તરીકે કંઈ એવું :
પર્વતથી કેડીઓ ઓછી કરીને પછી ચરણોથી ભાગીએ, તો કેવું ?

તડકાનો પાક સોળ આની આવ્યાની ચાર ચકલીએ આપી વધામણી
લણવાને ચૌદ લોક એકઠું થિયું ને પછી લ્હેરખીએ લેવડાવી લાવણી

વાદળના માથા પર આવ્યો છે દાવ અને ઝરણાંઓ સંતાવા દોડે
સરવર તો પહેલેથી કાચ્ચો પાપડ, પણે બેસીને મોઢું મચકોડે

કોઈ કોઈ પંદર બાય દસમાં તો કોઈ વળી દસ બાય પંદરમાં રાજી
આપણે તો સહરાથી સપ્તર્ષિ હલ્લેસે હલ્લેસે હાલનારા હાજી !

મારું જો માનો તો દેવદારનું ઝૂલવું જમણી હથેળીમાં વાવજો
આપના વિચારોમાં વગડો ના આવે, તો એના વિચારોમાં આવજો

આપના જે મનમાં છે એ જ મારા મનમાં છે, દાખલા તરીકે કંઈ એવું :
પર્વતથી કેડીઓ ઓછી કરીને પછી ચરણોથી ભાગીએ, તો કેવું ?

– ઉદયન ઠક્કર

નાજુક નમણું ગીત…..

Comments (3)

અશ્વ – પ્રિયકાન્ત મણિયાર

વ્હેલી પરોઢથી મચ્યો આષાઢનો વરસાદ,
ને આછી ઘણી છે આવજા રસ્તા ઉપર,
હું હોટલે ચાની હૂંફાળી બાષ્પને ચાહી રહું જ્યાં રોકવા
ત્યાં સ્ટેન્ડ પર એકલ નિહાળું કોક ગાડી એકધારી
ક્યારની દદડી રહી,
ને એટલા પલળેલા પેખું ચર્મના એ દાબડા
ઘેરા બન્યા અંધાર જેવા અશ્વની આંખો ઉપર
કે વ્યોમથી પડતું હજી પાણી હવે પાછું પડે,
શોષાય ના;
બ્રશ સમી કાપેલ એની કેશવાળીની મહીં તો કેટલું રહે ?

ધોધ જે પાણી પડ્યું એમાં ઘણું તો વહી ગયું
એ ઠીક,
નહીં તો ક્યારનો ડૂબી ગયો એ હોત!
ને એય પણ કંઈ ઠીક જેવું થાત.
ને હજુ ઉપરાઉપર વરસી રહ્યાં આ વાદળાં,
લિસ્સી રુંવાટીની થકી લસરી રહ્યાં,
થોડાંક પણ એવાં ભરાયાં કાંધ પરના ભારમાં, સામાનમાં,
ને એટલે ચારે તરફ વ્યાપી વળ્યા આ શીતમાં
અકડાઈ ગયેલું પુચ્છ, આખી કાય,
શું એકાદ ક્ષણ બસ અગ્નિની જ્વાળા સમું ધ્રૂજી ઊઠે;
નીચી નમેલી ડોક એવા એક ઊંડા કંપથી
ઊંચી થઈને શીઘ્ર પાછી એ ક્ષણે નીચી પડી,
અંગ આખાની મહીં વ્યાપી વળી લાચાર ત્યારે
અશ્વની શુંયે વિમાસણ-
સૂર્યનો રથ જે વહે એ સપ્તમાંથી એક પોતે
ક્યાંથી અહીં આવી પડ્યો?

– પ્રિયકાન્ત મણિયાર

શબ્દચિત્ર છે – આ કવિની આ કાવ્યપ્રકારમાં અજબ હથોટી છે ! અંતિમ ચરણમાં અશ્વની મનોવ્યથા એક ઝાટકો આપી જાય છે અને કાવ્ય વિરમે છે… સ્વ. જગદીશભાઈ સ્માર્ત હમેશા કહેતા કે કાવ્ય અને ચિત્ર જુદા નથી હોતા….અહીં આપણે આ કાવ્ય ઉપરથી ચિત્ર હૂબહૂ કલ્પી શકીએ છીએ !!

Comments (1)

સત્ય કહો સંપૂર્ણ જ કિંતુ કહો જરા આડકતરું- – એમિલી ડિકિન્સન (અનુ. વિવેક મનહર ટેલર)

સત્ય કહો સંપૂર્ણ જ કિંતુ કહો જરા આડકતરું-
ગોળગોળ કહેવામાં રહ્યું છે સાચું સાફલ્ય
આપણા નિર્બળ આનંદ માટે કૈંક વધારે પડતું
તેજસ્વી છે સત્ય તણું આ શાનદાર આશ્ચર્ય

વીજ અને તોફાનો વિશે જે રીતે બાળકને
પ્રેમથી સમજાવીને કરીએ ડરને એના દૂર
એ જ પ્રમાણે સત્યને પણ હળુક આંજવા દઈએ
નહીં તો હરએક માણસ ખોઈ દેશે આંખનું નૂર –

-એમિલી ડિકિન્સન
(અનુ.: વિવેક મનહર ટેલર)

*

ટી. એસ. એલિયટે એક કવિતામાં કહ્યું હતું કે માનવજાત વધુ પડતી વાસ્તવિક્તા સહન કરી શકતી નથી. (human kind cannot bear very much reality.) આ જ વાત એલિયટના જન્મના બે વર્ષ પહેલાં દુનિયા ત્યજી જનાર એમિલીની પ્રસ્તુત રચનામાં જોવા મળે છે. ટૂંકી રચના, શબ્દોની કરકસર, ચુસ્ત પ્રાસાવલિ અને સુઘડ છંદોલય -એમિલીની લાક્ષણિક શૈલી અહીં પણ નજરે ચડે છે.

સંપૂર્ણ અને સીધું સત્ય આપણે ઝીલી-ઝાલી શકતા નથી. એમિલી સલાહ આપે છે કે ભલે સંપૂર્ણ સત્ય કહો પણ જરા આડકતરી રીતે, ગોળગોળ ફેરવીને પછી મુદ્દા પર આવો. કેમકે આપણો આનંદ નબળો છે, એ ઝળાંહળાં સત્યના અદભુત ઐશ્વર્યને વેંઢારી શકવા સમર્થ નથી. જે રીતે નાનાં બાળક વીજળી-તોફાનોથી ગભરાઈ ન જાય એ માટે આપણે એમને પ્રમથી સમજાવીએ છીએ અને એમનો ડર દૂર કરીએ છીએ, એ જ રીતે હળવેથી સત્યનો પ્રકાશ કોઈની પણ સામે લઈને આવવું રહ્યું, અન્યથા આંધળા થઈ જવાશે.

સત્યના તેજસ્વી પ્રકાશ અને આંખના આંધળા થવાની વાતની ગૂંથણીમાં એમિલીનું ‘eye -આંખ’ બાબતનું અભૂતપૂર્વ કવિકર્મ ચૂકવા જેવું નથી. આઠ જ પંક્તિની કવિતામાં આઠ-આઠ જગ્યાએ એમિલીએ કેવી સિફતપૂર્વક ‘આઇ’ છૂપાવ્યો છે એ તો જુઓ: ‘lies, bright, Delight, surprise, Lightning, kind, blind’

*

Tell all the truth but tell it slant —

Tell all the truth but tell it slant —
Success in Circuit lies
Too bright for our infirm Delight
The Truth’s superb surprise

As Lightning to the Children eased
With explanation kind
The Truth must dazzle gradually
Or every man be blind —

– Emily Dickinson

Comments (8)

શરત – રાજેન્દ્ર શાહ

પાતળી કેડી કેરકાંટાળી
અંટેવાળે આવતાં એખણ એરું,
સાવજ કેરી ખાલની મને આલ મજાની મોજડી
એને હોંશથી રે કંઈ પ્હેરું.

ગોફણના એક ઘાથી ઉતાર
નભનો તેજલ તારો,
ભાલની મારી બિંદીએ મેલી
અંજવાળું જનમારો,
ઝરણાંનાં ઝાંઝરની તાલે રમતા રે’તાં
ચડવો મારે એક અવિચલ મેરુ.

ઊગતા આ પરભાતનો રાતો-
રંગ ના ધૂમર ભૂરું,
એકબીજાને તાંતણે વણી આણ
પ્હોળે પટ પૂરું:
આટલું મારું વેણ રૂડી જે રીતથી રાખે
એ જ તે મારા આયખાનો ભડ ભેરુ :
આટલી મારી પત રાખે તે પર
ઓવારી જાઉં રે જીવન, પારવનું વ્હાલ વેરું.

– રાજેન્દ્ર શાહ

શરત વિનાનો પ્રેમ તો કેવળ પુસ્તકો અને ફિલ્મોમાં જ જોવા મળે. કવિ તો વાસ્તવિકતાની ધરતી પર ઊભા છે. બે જણ સાથે નીકળ્યાં છે. કેડી પાતળી પણ છે અને કેરડાના કાંટાઓથી ભરીભરી પણ. ઉપરથી વચ્ચે વચ્ચે વીંછી અને સાપ પણ પરોણાગત થઈ મળતાં રહે એવી પરિસ્થિતિ છે. આવામાં અડોઅડ ચાલ્યા વિના ચાલવાનું નથી, પણ નાયક જો નાયિકાને સિંહના ચામડામાંથી બનાવેલી મોજડી આપે તો કેવી મોજ! આ પહેલી શરત. હવે બીજી શરત- ગોફણના ઘાથી આકાશમાંથી તારો તોડી લાવવાનો, જેને બિંદીના સ્થાને લગાવીને નાયિકા જન્મારો અજવાળવા ચહે છે. ઝરણાંના ઝાંઝર પહેરીને નાયિકાને સંબંધનો અવિચલ મેરુ પણ ચડવો છે. શરતોની યાદી કંઈ અહીં પૂરી નથી થતી. ઊગતી સવારના ધુમ્મસનો ભૂખરો ભૂરો નહીં, પણ રાતો રંગ નાયકે આણી આપવાનો છે, જેને એકમેકના અસ્તિત્વના તાંતણે વણીને નાયિકા જીવતરના પહોળા પટને સભર કરવા ઇચ્છે છે. આટલું વેણ જે રૂડી રીતે રાખી બતાવે એને જ નાયિકા પોતાના આયખાનો સંગાથી બનાવનાર છે, અને આટલી ટેક રાખે એના પર ન માત્ર જીવન ઓવારી દેશે, એને પાર વિનાનું વહાલ પણ કરશે… કેવું મજાનું અલ્લડ ગીત!

(કેરકાંટાળી- કેરડાના કાંટાવાળી; અંટેવાળ-વચ્ચે પડેલું; એખણ-આ વખતે; એરુ-સાપ; ધૂમર-ધુમ્મસ; પત-આબરૂ, ટેક; પારવનું-પાર વિનાનું)

Comments (17)

(વાત કરતા નથી) – ભરત વિંઝુડા

આપણે આપણી વાત કરતાં નથી,
એમ નહીં, ખાનગી વાત કરતાં નથી.

કેમ લાગી રહી છે અધૂરી મને?
કાં તમે પણ પૂરી વાત કરતા નથી!

એક સંવાદ ચાલ્યા કરે છે સતત,
કોઈ પણ આખરી વાત કરતા નથી.

હાથમાં હાથ મૂકીને બેઠાં રહે,
ને કલાકો સુધી વાત કરતા નથી.

એક આદિ અનાદિથી ચાલ્યા કરે,
એ જ છે, કંઈ નવી વાત કરતા નથી.

આપણે પણ હતા એમ શરૂઆતમાં,
જેમ બે અજનબી વાત કરતા નથી.

એકલી સાવ પોતાની હોતી નથી,
એટલે ખાનગી વાત કરતા નથી.

– ભરત વિંઝુડા

ભરતભાઈ સાવ સરળ શબ્દોમાં મર્માળી વાત કરવામાં માહેર છે. વાત નથી કરતા કહી કહીને કવિએ જે રીતે વાત મલાવી મલાવીને કહી છે એનો જવાબ જડે એમ નથી… એકવાર વાંચી લીધા પછી ધરવ નહીં જ થાય એટલે તુર્ત જ ફરી વાંચવાનું મન થાય એવી ગઝલ…

Comments (6)