પાંપણો પર બોજ વધતો જાય છે,
સ્વપ્નનો ઉપચાર કરવો જોઈએ.
ચિનુ મોદી ‘ઈર્શાદ’

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for અછાંદસ

અછાંદસ શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.




(હજીય) – રાજેશ પંડ્યા

આકાશ
હજીય વાદળી છે.

વૃક્ષો
હજીય લીલાં છે.

પંખી
હજીય ઊડે છે.

નદી
હજીય ભીંજવે છે.

માણસ
હજીય રડે છે.

અહીં
હજીય જીવી શકાશે.

– રાજેશ પંડ્યા

માણસને જીવવાનું એકમાત્ર કારણ આશા છે એ વાત ખૂબ જ ઓછા શબ્દોમાં પણ ખૂબ જ તીવ્રતાથી કવિ કરી શક્યા છે એ કવિતાની સાર્થક્તા…

Comments (13)

મૃત્યુ : એક સરરિયલ અનુભવ – સિતાંશુ યશશ્ચંદ્ર

ખરી પછાડી પુચ્છ ઉછાળી દોડ્યા
કાળાડમ્મર ઘોડા ધોળે ખડકાળે રથ જોડ્યા.
ભડક્યા સામી છાતી અડધાં કરું બંધ જ્યાં કમાડ
ધડ ધડ ધડ ધડ આવી સીધા અથડાયા ધાડ
પાંપણ તોડી તોડ્યા ખડકો
ખોપડીઓને ભુક્કે ઊંડે આંખ મહીં જઈ પોઢ્યા.
સેળભેળ ભંગાર પડ્યો ત્યાં ગોળ ગોળ હું ફરું
મારી ને ઘોડાઓની ફાટેલી આંખે લળી ડોકિયાં કરું
અંદરથી ત્યાં
ક્યાં ક્યાં ક્યાં ક્યાં
ખરી પછાડી પુચ્છ ઉછાળી દોડ્યા
ડમ્મર, ધોળા ઘોડા, કાળે ખડકાળે રથ જોડ્યા.

– સિતાંશુ યશશ્ચન્દ્ર

(સિતાંશુભાઈની મોટાભાગની રચના મારી ક્ષમતા બહારની છે એટલે ચંદ્રકાંત શેઠે (કવિતાની ત્રિજ્યામાં) આપેલ સમજૂતીના આધારે સાભાર સંક્ષિપ્ત પ્રયાસ કરું છું)

મૃત્યુનો ‘રિયલ’ અનુભવ – આપણા પોતાના મૃત્યુનો ‘રિયલ(વાસ્તવ)’ અનુભવ શક્ય નથી; ‘સરરિયલ(પરાવાસ્તવ)’  અનુભવ શક્ય છે. વાસ્તવની અપેક્ષાએ જ આ પરાવાસ્તવ અનુભવાતું હોય છે. આ કવિતા સરરિયલના બદલે રિયલ અનુભવની વાત કરતી હોત તો પ્રેતીતિકરતાનો પાયાનો પ્રશ્ન ઊભો થાત !

અહીં મૃત્યુનું બયાન એક તરફ ગતિના પ્રતીક અશ્વ દ્વારા તો બીજી તરફ સ્થગિતતાના પ્રતીક ખડકાળા રથ વડે કરાયું છે. અશ્વ અને રથનું આ જોડાણ ગતિ-સ્થિતિના સંકુલ સંબંધનું, મૃત્યુ -જીવનના નિગૂઢ સંબંધનું દ્યોતક ન ગણાય ? કાળોડમ્મર ઘોડો એ મૃત્યુના ભયાદિ ભાવોનું સૂચન કરે છે.  જે અજ્ઞાત, જે ભયંકર તેને કાળાડમ્મર રંગમાં અવલોકવામાં એક મનોવૈજ્ઞાનિક સત્યનો જ સંચાર વરતાય.  એ કાળાડમ્મર અશ્વની ગતિને ઉઠાવ આપવામાં ખરીનો પછડાટ, પુચ્છનો ઉછાળ જેમ કારણભૂત તેમ રથ, અને તે ય પાછો ખડકાળ, ધોળો, તે ય પણ ઓછો જવાબદાર નહીં !ઘોડા દેખાય એ પહેલાં એના ડાબલા સંભળાય છે. અવાજ દ્વારા અશ્વ એની આક્રમક્તા સાથે આપણા કાવ્યાનુભવના પ્રદેશમાં પ્રવેશે છે.

આપણો અનુભવ છે મૃત્યુને આંખમાં જોવાનો. સેળભેળ ભંગાર, ખોપરીના ભુક્કા અને આંખોના કલ્પનથી મૃત્યુના આકસ્મિક આઘાતનું ઊંડું બળ, ઊંડો પ્રભાવ પામી શકાય છે. મૃત્યુનું આગમન – એની દેમાર દોડ. એ સામે બંધ કમાડરૂપે વ્યક્ત થતો પ્રતિકાઅર; પણ એ ટકવાનો નહીં. ‘ધડ ધડ ધડ ધડ’ ધાડ્ કરતાંકને અથડાતી એ હસ્તી સામે કેમ બચી શકાય?

આપણી ફાટેલી આંખ અને અશ્વની ફાટેલી આંખ વચ્ચે એક ચૈતસિક સાતત્યનો સંબંધ છે જ. મૃત્યુ આ આવ્યું, આ મારામાં પેઠું ને આ… આ સોંસરું વીંધીને ચાલ્યું ! જે દૂર હતું ત્યારે કાળુંડમ્મર – બિહામણું લાગતું હતું તે હવે શ્વેત લાગે છે. રાત(શ્યામ)- દિવસ(ધવલ)ના રૂપ અશ્વમાં ભળી જતાં લાગે. મૃત્યુ એતલે અંત નહીં, ગતિનું સાતત્ય, ચૈતસિક રૂપાંતરનું મૃત્યુ….

Comments (12)

જુદાઈ – શેરકો બીકાસ (ઇરાકી કૂર્દીશ) (અનુ.:હિમાંશુ પટેલ)

જો તેઓ મારી કવિતામાંથી
ફૂલ લઈ લે
તો મારી એક ઋતુ મરી જાય.
જો તેઓ મારી પ્રિયતમા લઈ લે
તો બે મરી જાય
જો તેઓ પાંઉ લઈ લે
તો ત્રણ મરી જાય
જો તેઓ સ્વતંત્રતા લઈ લે
તો આખું વર્ષ મરી જાય
અને હું પોતે પણ મરી જાઉં.

– શેરકો બીકાસ (ઇરાકી કૂર્દીશ)
(અનુ.:હિમાંશુ પટેલ, અમેરિકા)

વિશ્વની અલગ-અલગ ભાષાઓમાં લખાતી કવિતા જે તે સંસ્કૃતિનો આયનો છે. ઇરાકી કવિની આ કવિતા વાંચીએ ત્યારે પહેલી નજરે છેતરામણી સરળ અને સહજ લાગે પણ છેલ્લી બે લીટી વાંચીએ ત્યારે સૉનેટ જેવી ચોટ અનુભવાય. કવિતામાંથી કુદરત અને સૌંદર્ય છિનવી લેવાય તો કદાચ કવિતાનો એક ભાગ મરી જાય પણ આખી કવિતા નહીં. પ્રેમ અને પ્રેમોક્તિ પણ કાઢી લેવાય તોપણ અડધી કવિતા તો જીવશે જ. ગરીબી, આજીવિકા કે મનુષ્યના અસ્તિત્વની વાતો પણ કાઢી લેવાય તોય કદાચ કવિતા સમૂચી મરી નહીં પરવારે. પણ જો અભિવ્યક્તિની સ્વતંત્રતા છિનવી લેવાય તો કવિ જાણે છે કે આ ‘જુદાઈ’ મરણતોલ છે… સ્વતંત્ર અભિવ્યક્તિ વિના કવિતા પણ શક્ય નથી અને કવિ પોતે પણ શક્ય નથી… કવિતા પૂરી થાય ત્યારે કવિતાનું શીર્ષક સાચા અર્થમાં સમજાય છે..

સાભાર સ્વીકાર:  અમેરિકા સ્થિત કવિ શ્રી હિમાંશુ પટેલના સંગ્રહો: ‘એક કવિતા પર્યાપ્ત છે અસ્તિત્વ માટે’ (દુનિયાભરની ભાષાઓની કવિતાઓનો અનુવાદ), ‘કવિતા : જીવનચિત્રોનું અક્ષયપાત્ર’ (દીર્ઘ અને ટૂંકા કાવ્યો),’ બધા રંગોમાં વેદના ભરેલી છે’ (દીર્ઘકાવ્ય).

Comments (7)

ઘણીવાર એક વ્યથા – સર્વેશ્વરદયાલ સક્સેના

ઘણીવાર એક વાસ
મારી પાસેથી પસાર થઈ જાય છે,
ઘણીવાર એક નદી
મારી સામે ભરાઈ જાય છે,
ઘણીવાર એક નાવડી
આવીને કિનારે અથડાય છે,
ઘણીવાર એક વાટ
દૂર દૂરથી બોલાવે છે.
હું જ્યાં હોઉં છું
ત્યાં જ બેસી જાઉં છું,
ઘણીવાર ધૂળમાં
એક આકૃતિ રચાઈ જાય છે.

ઘણીવાર ચાંદો ખીસ્સામાં
પડેલો મળે છે,
સૂરજને ખિસકોલી
ઝાડ પર બેઠી બેઠી ખાય છે,
ઘણીવાર દુનિયા
વટાણાનો દાણો થઈ જાય છે,
એક હથેળીમાં
આખી સમાઈ જાય છે.
હું જ્યાં હોઉં છું
ત્યાંથી ઊઠી જાઉં છું.
ઘણીવાર રાત કીડીની જેમ
ઘસડાતી આવે છે.

ઘણીવાર એક હાસ્ય
ઠંડી હવાની જેમ સૂસવાટા મારે છે.
ઘણીવાર દૃષ્ટિ
કાનટોપી પહેરી લે છે,
ઘણીવાર એક વાત
પર્વતની જેમ ઊભી થાય છે,
ઘણીવાર એક મૌન
મને કપડાં પહેરાવે છે.
હું જ્યાં હોઉં છું
ત્યાંથી ચાલી નીકળું છું.
ઘણીવાર એક વ્યથા
યાત્રા બની જાય છે.

– સર્વેશ્વરદયાલ સક્સેના

અર્થને તાણીને – તોડ્યા વગર – કેટલો ખેંચી શકાય એ જોવાની રમત એટલે ‘એબ્સ્ટ્રેકટ’ કવિતા. આજકાલ ‘એબ્સ્ટ્રેક્ટ’ કવિતાઓ જ મનમાં ઘૂમરાયા કરે છે  એટલે સ્વાભાવિક રીતે જ સ.સ.ની આ કવિતા યાદ આવી. વ્યથા-રંજિત મનના psychedelic રંગોને કવિએ અહીં બરાબર પકડ્યા છે. આ કવિતામાં કેટલીય ‘અઘરી’ સાંજને સરળ કરી દેવાની તાકાત છે.

Comments (15)

સૂર્ય – લાભશંકર ઠાકર

And very luckily for you and me,
the uncivilised sun mysteriously shines
on good and bad alike, he is an artist.

પોષની શીતલ સવારે
આંખમાં કાજળ અને
મુખ પર લપેડા શ્વેત.
ત્યાં
પડતો
(ઈશુની આંખ જેવો)
સૂર્ય.
જે
થોડા દિવસ પર
સાંજના
ગંગાતટે
પાણી ભરી
પશ્ચિમ જનારી
કો’ક કન્યાના
ઘડા પર
શ્રમિત શો
બેઠેલ …
ને આજે અહીં.

– લાભશંકર ઠાકર

કાવ્યની શરૂઆત ઈ.ઈ.કમિંગ્ઝની પ્રખ્યાત પંક્તિઓથી કરી છે. કાવ્ય એ પંક્તિની મિમાંસા સમાન છે. બે તદ્દન અલગ ચિત્રો દોરીને કવિ વિરોધાભાસ ઊભો કરે છે – પહેલું ચિત્ર બજારુ સ્ત્રીનું છે. અને બીજુ ચિત્ર ગંગાતટે પાણી ભરવા આવેલી કન્યાનું છે. સૂર્ય તો બન્ને પર સરખો પ્રકાશે છે. બન્ને સૂર્યની નજરમાં સમાન છે.  કદાચ એની નજરમાં બધા સમાન છે એટલે જ એ સૂર્ય છે.

જોવાની વાત એ છે કે સૂર્યને કમિંગ્ઝ કલાકાર કહે છે. કલાકારને બધુ સરખું – ન સમાજના નિયમ, ન ઊંચ-નીચના વાડા, ન ધરમ-કરમનો ભેદભાવ. જ્યાં બધા સિમાડા ઓગણી જાય તે જ કલા એવો ગર્ભિત ઈશારો પણ એમા સમાયેલો છે.

Comments (9)

શરાબ – જેક્સ પ્રિવર્ટ

ટેબલ પર નારંગી
મારા ધાબળા પર તારાં વસ્ત્રો
મારી શય્યામાં તારો શ્વાસ
ક્ષણની આ મધુર સોગાદ
શાતાદાયક અંધકાર
મારા અસ્તિત્વનો સ્ફુલિંગ.

– ઝાક પ્રિવર્ત
(અનુ. સુરેશ દલાલ)

પ્રેમિકા સાથે મિલનના કાવ્યને કવિ શરાબ નામ આપે છે – ભરપૂર નશાની ક્ષણને બીજું કહી પણ શું શકાય ? ( એમ તો ઘાયલે પણ કહેલું, તને પીતા નથી આવડતું મૂર્ખ મન મારા, પદાર્થ એવો ક્યો  છે કે જે શરાબ  નથી ? ) છેલ્લી પંક્તિમાં મિલનની ક્ષણને કવિએ અજબ સુંદર રીતે વર્ણવી છે – મારા અસ્તિત્વનો  સ્ફુલિંગ !

(સ્ફુલિંગ = અગ્નિનો તણખો, ચિનગારી )

મૂળ કવિતા અહીં જુઓ.

Comments (10)

તો પણ – કુસુમાગ્રજ

સો સો સ્મિતોના
આગળિયા તને
                        વાસ્યા તો પણ

આંખની કટારના
કઠોર પહેરા 
                        રાખ્યા તો પણ

ચંદ્રાળ સ્પર્શના
સંગેમરમરી તટ 
                        બાંધ્યા તો પણ

ખાઈઓ બારણાંની
પાંપણાના ઝાકળથી 
                        ભરી તો પણ

તોફાન સાથેનો સાત
જન્મનો આ સંબંધ 
                        તોડી નાખીશ ?

લલાટનો લેખ
વિનાશ થવાનો : 
                        ભૂંસી નાખીશ ?

– કુસુમાગ્રજ
(અનુ સુરેશ દલાલ)

કાળે પોતાના હાથથી લખેલી ઊંડી તિરાડોને ભૂંસી શકવાનું માણસના હાથમાં હોતું નથી…  જે જવાનું જ છે એને – સ્મિતથી, નજરથી, સ્પર્શથી કે  આંસુંથી – કશાથી રોકી શકાતું નથી એ વાત ને બહુ નાજૂકાઈથી કરી છે.

Comments (7)

શાશ્વતી – સિતાંશુ યશશ્ચંદ્ર

સૂરજને તો ટેવ છે
લાલ રંગની લૉલીપૉપ આપીને માણસને ફોસલાવવાની.

દિવસ તો માનો ખોળો  – એના રંગબેરંગી છાપેલા સાળુમાં
મોં સંતાડીને પડ્યા રહેવાનું ગમે.

આખો  દિવસ
નાની મોટી ચીજોની આડાશ લઈને આપણે સંતાઈ રહીએ છીએ.

પણ રાત.

મેનહટ્ટનના એક યહૂદી કવિએ મારી હાજરીમાં એની પત્નીને કહ્યું હતું :
I love you, but I don’t like you.
રાત્રિના કામ્ય દેહમાં પ્રગટી જતા બ્રહ્માંડને
જ્યારે ચાહું છું ત્યારે હું નથી હોતો.

શાશ્વત તારાઓની વચ્ચે
વારંવાર મૃત્યુ પામીને વારંવાર જન્મ પામતો ચંદ્ર
કેટલી શરમથી રહેતો હશે !

અને તોપણ
વદ ચૌદશની રહીસહી આડશ પણ ફેંકી દઈને
અમાસની રાત
તારાઓના અઢળક રૂપથી ભરી ભરી પોતાની કાયાને
મારી સામે નિર્લજ્જતાથી ધરી દે છે.

ત્યારે મારીયે ભીતરથી પ્રગટી પડે છે
અરે મનેયે ના ગણકારતો
માણસાઈ વિનાનો કોઈ અતિમાનવ;

આવતા પરોઢ સુધી પંજો લંબાવીને
ઝડપી લે છે એ તાજા સૂરજને
ને રાત્રિના કમનીય પણ અગોચર અવકાશમાં
કરે છે એનો ઘા…

– સિતાંશુ યશશ્ચંદ્ર

અમુક કવિતાઓનું પોત અંગત વાત જેવું હોય છે  જે કોઈ તમને કાનમાં કહેતું હોય. આ એવી કવિતા છે. વળી સિ.ય.નું કાવ્ય છે એટલે બહુઆયામી જ હોવાનું.

રાત્રિની કમનીયતાના આ કાવ્યનું નામ કવિ શાશ્વતી આપે છે.  કવિને દિવસ ગમે છે પણ પ્રેમ રાત્રિ સાથે છે. દિવસમાં તો ખાલી પૃથ્વી દેખાય છે જ્યારે રાત્રે તો સમગ્ર બ્રહ્માંડનો વરદ દેહ ઉજાગર થાય છે. રાત્રિના સથવારે પોતાની અંદરથી જે ઊગે છે એને કવિ ‘માણસાઈ વિનાનો કોઈ અતિમાનવ’ કહે છે… એના હાથે જ રાત્રિનો – અને રાત્રિ સાથે સંકળાયેલી અનંત સંભાવનાઓનો – અંત લખાયેલો હોય છે.

Comments (7)

() – સુરેશ દલાલ

જાતને અમુક હદથી વધુ છેડવા જેવી નથી
હોતી અને જગતને છંછેડવા જેવું નથી
હોતું. જાત હોય કે જગત હોય –
અમુક હદથી વધુ કોઈની પણ નજીક
જવાય નહીં. નજદીક જવાનો
અર્થ એટલો જ કે ક્યારેક એનાથી
દૂર જવું પડશે. ભાગ્યે જ કોઈનો
સંબંધ અકબંધ રહે છે. સંબંધનો
એક અર્થ ઉઝરડા કરીએ તો
આપણે કદાચ ખોટા નહીં પડીએ.
સંબંધનો જોડણીકોશનો અર્થ
અને જીવનકોશનો અર્થ એક નથી હોતો.

-સુરેશ દલાલ

અછાંદસના કેટલાક આયામોમાંથી એક સિદ્ધ કરતું સરસ કાવ્ય. પહેલી દસ લીટીમાં જે રીતે કાવ્યનો પિંડ અનવરત બંધાય છે અને આખરી બે લીટીમાં જે રીતે સોનેટની જેમ ચોટ ઉપસી આવી છે એ જોતાં એમ વિચાર આવે કે જો બે લીટી વધુ લખાઈ હોત તો આજકાલ સુરેશભાઈ જેના પર વધુ હાથ અજમાવી રહ્યા છે, એ મુક્ત સૉનેટ આપણને મળી શક્યું હોત.

ધ્યાનથી જોઈએ તો પહેલી દસ લીટીમાં કવિતા એક જ લયમાં વહેતી રહે છે. નદી જેમ પથરાની પરવા કર્યા વિના વહેતી રહે છે એમ દરેક કડી બીજી કડીમાં અટક્યા વિના વહેતી રહે છે. પંક્તિ પૂરી થાય છે ત્યાં વાક્ય પૂરું થતું નથી અને વાક્ય પૂરું થાય છે ત્યાં પંક્તિ ચાલુ જ રહે છે. એક લય આ પણ છે અછાંદસનો !

Comments (19)

કવિતાની તાકાત – મદન ગોપાલ લઢા (અનુ. સુશી દલાલ)

કવિતાને કારણે
વરસાદ નહીં વરસે
કવિતાને કારણે
સૂરજ નહીં ઊગી શકે
કવિતાને કારણે
નહીં ભરી શકાય પેટ.
પણ કવિતા
જરૂર બતાવી શકે છે રસ્તો –
પાણી લાવવાનો
રાત પસાર કરવાનો
ભૂખ ભાંગવાનો

– મદન ગોપાલ લઢા
(અનુ. સુશી દલાલ)

કવિતા પ્રકટપણે કોઈ ચમત્કાર કરી શક્તી નથી એમ લાગે પણ હકીકતમાં જે ચમત્કાર અપ્રકટપણે કવિતા સર્જી શકે છે એ અતુલ્ય અને અમાપ છે… કવિતાની ખરી તાકાતનો સાચો નિચોડ આ રાજસ્થાની કવિએ થોડી જ પંક્તિમાં કેવો સચોટ કાઢી બતાવ્યો છે !

Comments (14)

લઘુકાવ્ય – કાસા (અનુ.સુરેશ દલાલ)

મને એવું સ્વપ્ન આવ્યું
કે મેં મારી સામે જ
તલવાર ઉગામી છે.
આનો અર્થ શું ?
એટલો જ કે હું તને
થોડીક વારમાં જ મળી શકીશ

કાસા

પોતાની જાતને ઓગાળી નાખવાની તૈયારી એ ગમતા માણસને મળી (-માં ભળી) જવાનું પહેલું પગથિયું છે એ વાતમાં કવિએ બહુ સહજતાથી કરી છે.

Comments (6)

કળાનો અંત – રેઈનર કુંજે

ઘુવડે શિખર પરના કૂકડાને કહ્યું
તારે સૂરજને કદી ગાવો નહીં
સૂરજ કંઈ મહત્વનો નથી

શિખરના કૂકડાએ પોતાની કવિતામાંથી
સૂરજની બાદબાકી કરી

ઘુવડે શિખરના કૂકડાને કહ્યું
તું કલાકાર નથી
અને ત્યાં ચારે બાજુ
કેવળ અંધકાર હતો

– રેઈનર કુંજે

કળા તો સંસ્કૃતિનો આત્મા છે. કળાને રાજકીય અભિપ્રાયો અને ‘વાદ’થી મુક્ત રાખવી એ આપણી સામાજીક જવાબદારી છે. રાજ્યને ગાવા માટે કળા નથી હોતી, કળાને ગાવા માટે રાજ્ય હોય છે. જ્યાં રાજ્ય કળાના ધોરણો ઘડવા માડે તે સંસ્કૃતિનો અસ્ત નિશ્ચિત જ સમજવો.

Comments (3)

પ્રેમ – પાબ્લો નેરુદા (અનુ. હેમન્ત દવે)

હું ચાહું તને
જાણું નહીં – કેમ, ક્યારે, ક્યાંથી
હું ચાહું તને –
સરલપણે, ન સંકુલતા ન અહંકાર
એમ હું ચાહું તને –
કારણ કે એ સિવાય બીજી કોઈ રીત જાણતો નથી:
અસ્તિત્વ મારું ન હોય ને તારું યે ન હો
એટલાં નિકટ કે મારી છાતી પરનો
તારો હાથ મારો હોય,
એટલાં નિકટ કે ઊંઘમાં
સરી હું પડું ને
નેત્ર બંધ તારાં થાય…

-પાબ્લો નેરુદા
અનુ. : હેમન્ત દવે

પ્રેમની સાવ સાદી અને સહજ વાત પણ અનુભવવી અને અમલમાં મૂકવી એટલી જ કપરી… પ્રેમને કારણો સાથે સંબંધ કાંઈયે નથી… પણ પ્રેમનો સીધો અર્થ એટલે ઓગળવું. એવી રીતે ઓગળવું કે એકબીજામાં ભળી જવાય. એવી રીતે ભળી જવું કે છૂટા જ ન પડી શકાય…

Comments (9)

કીડી – મનહર મોદી

મારું નામ
કીડી.
હું આઠ માળ ચઢી
તો પણ
હાંફી નહીં
ને
પડી
તો
છેક નીચે ગઈ
પણ
મરી નહીં.
મારું બળ મારી ગતિ છે
હું ચાલું છું
ધીમી
પણ
દોડું છું પૂરપાટ.
મને કોઈ કહે કે માણસ થવું છે ?
તો
હું ના પાડું.
માણસ થવાથી
આઠ માળ ચઢીને
હાંફવું પડે છે
અને
પડી જઈને
છેક નીચે જઈ શકાતું નથી
અને
અધવચ્ચે જ
અથડાઈ-કુટાઈને મરવું પડે છે.
એથી તો ભલી
હું
કીડી
નાની
ને
અમથી.
મારો કોઈને ભાર નહીં,
મને પણ.

– મનહર મોદી

આ ‘ટૂંકી બહેર’નું અછાંદસ સ્વયંસિદ્ધ છે… એને એમ જ માણીએ… હું કીડી નાની ને અમથી. મારો  કોઈને ભાર નહીં, મને પણ – આટલી વાત પણ સમજી શકાય તો ઘણું !

Comments (14)

શ્વાસ, નિ:શ્વાસ, ઉચ્છવાસ – રાધેશ્યામ શર્મા

કબરનાં જર્જર પેટાળમાંથી ફૂટેલાં
અજાણ્યાં ફૂલોની મત્ત ગંધનો
શ્વાસ લેનાર

ચૂડો ફૂટ્યો એ રાતે
સ્વપ્નમાં, પોતાના સ્તનોને
હંસયુગલ બનીને ઊડી જતાં જોતી
જુવાન વિધવાના ધ્રુજતા
નિ:શ્વાસ નાખનાર

અને
અલકાનગરીનેય કાળકોટડીમાં
ફેરવી નાખતી મિલની
ચીમનીઓની વરાળના
ઉચ્છવાસ કાઢનાર

મને – અહીં
કામનાના ક્રોસ ઉપર
નામના ખીલા વડે
ખોડી દેવામાં આવ્યો છે.

– રાધેશ્યામ શર્મા

શોક-ટ્રીટમેન્ટ જેવા કાવ્યમાં કવિ – શ્વાસ, નિ:શ્વાસ અને ઉચ્છવાસ – એ ત્રણ પગલાનું કાળુભમ્મર ચિત્ર દોરે છે.  આવી ગતિનું ગંતવ્ય પોતાની કામનાનો ક્રોસ જ હોઈ શકે. યાદ રહે કે માણસ આખી જીંદગી આ જ ક્રોસને કાળજીથી પોતાના ખભે ઊંચકીને ફરે રાખે છે.

Comments (3)

લઘુકાવ્યો – મિકાતા યામી (અનુ. : હરીન્દ્ર દવે)

મારી પ્રિયતમા માટે
પામ વૃક્ષની ટોચ પરથી
ફૂલો ચૂંટું છું ત્યારે
નીચેની ડાળીઓ
મને ઝાકળથી ભીંજવી દે છે.

*

ગ્રીષ્મના ખેતરમાં
અફવાઓ ઝાંખરાંની જેમ  ઊગે છે:
મારી પ્રિયતમા અને હું સૂઈએ છીએ
બાહુપાશમાં બંધાઈને.

*

બાંધે
ને છૂટા થઈ જ જતા:
ન બાંધે તો કેટલા લાંબા રહેતા !
કેટલાય દિવસોથી
હવે હું તારી સામે નથી –
તારો અંબોડો અકબંધ રહે છે ?

– મિકાતા યામી
(અનુવાદ – હરીન્દ્ર દવે)

જાપાની કવિતાઓ એટલે લાઘવ અને અનુભૂતિની સચ્ચાઈ. એક ક્ષણના આશ્ચર્યને જાણે સદાને માટે શબ્દોમાં કેદ કરી લીધું હોય એવી સ્ફટિકસમ રચનાઓ તરત જ દિલને અડકી લે છે.

Comments (10)

(સતત) – પન્ના નાયક

તારી સાથે
સતત
પ્રેમની વાતો કરવી ગમે છે
જાણે કે
હું
વરસાદમાં વસ્ત્રો સૂકવવાનો પ્રયત્ન કરું છું.

– પન્ના નાયક

સત્તર શબ્દમાં ઘેરો સૂનકાર ઘેરી વળે એટલી અસરકારક વાત કરી છે. જે રંગ ચડતા પહેલા જ ધોવાતો જાય એની વાત કોને કરવી ? પણ જોવાની વાત એ છે કે આ પરિસ્થિતિમાં પણ કવિને તો પ્રેમની વાતો કરવી ગમે છે. આવો નિરર્થક પ્રયત્ન કરવો ભલે દુ:ખદાયક હોય, પણ આવો પ્રયત્ન ન કરવો એનાથી પણ વધારે દુ:ખદાયક હોય છે.

Comments (21)

પગલું – આલ્બર્ટ આઈન્સ્ટાઈન (અનુ. રમણીક અગ્રાવત)

જન્મ એક શરૂઆત છે
મૃત્યુ આખરી મુકામ
અને જીવન એક મુસાફરી.

મુસાફરીઓ થતી રહે :
બચપણથી પુખ્તતા સુધી
તારુણ્યથી વૃદ્ધત્વ સુધી
નિષ્કપટતાથી સાવધતા સુધી
અજ્ઞાનથી જ્ઞાન સુધી
મૂર્ખતાથી નુક્સાન સુધી
અને ત્યાંથી કદાચ ડહાપણ સુધી
નબળાઈથી તંદુરસ્તી સુધી
અને ક્યારેક વળી તંદુરસ્તીથી માંદગી સુધી
ફરી ફરી તંદુરસ્તીની આશા સુધી
દોષથી ક્ષમા સુધી
એકલતાથી પ્રેમ સુધી
આનંદથી કૃતકૃત્યતા સુધી
પીડાથી રાહત સુધી
દુઃખથી સમજણ સુધી
ભયથી વિશ્વાસ સુધી
પરાજયથી પરાજય
અને પરાજય સુધી

અંતથી માંડી છેક શરૂઆત સુધી
જોઈ વળો તો વિજય
સમગ્ર પથ પરના કોઈ ઊંચા સ્થાન પર
બિરાજિત નથી
પરંતુ
પગલે પગલે કંડારાતી
પુનિત યાત્રામાં જ નિહિત છે.

– આલ્બર્ટ આઈન્સ્ટાઈન
અનુવાદ : રમણીક અગ્રાવત

E=MC2 જેવો સાપેક્ષવાદનો અટપટો સિદ્ધાંત આપનાર વીસમી સદીના મહાનતમ વૈજ્ઞાનિક આલ્બર્ટ આઈન્સ્ટાઈન કલમ લઈ ક્યારેક કવિતા પર પણ હાથ અજમાવતા હતા એવું જાણીએ તો સાશ્ચર્યાનંદ જ થાય ને ! કવિ મુસાફરીની વાત લઈને આવે છે અને જીવનમાં આપણે નાનાવિધ સ્વરૂપે જે જે સફર અનવરતપણે કરતા રહીએ છીએ એ બધાની વાત કરે છે. યાદી લંબાતી જાય ત્યારે એમ થાય કે વૈજ્ઞાનિક કવિતામાં પણ સમીકરણો લઈને બેસી ગયા કે શું ? પણ બધી મુસાફરીઓમાં અંતે જ્યારે પરાજયથી પરાજય અને પરાજય સુધી આવે ત્યારે એક થડકો અનુભવાય… આ કેવી મુસાફરી છે જ્યાં હાર પર હાર અને હાર પછી હાર જ આવે છે ! પણ આ એક મહાન વૈજ્ઞાનિકની વાત છે. અહીં સત્ય સીધેસીધું આવી ભેટે એવી અપેક્ષા વધારે પડતી છે. જીવનનું સૌથી મોટું સત્ય વૈજ્ઞાનિક કવિતાના અંતે ખોલે છે કે હકીકતમાં વિજય કોઈ ઉચ્ચાસને નથી વિરાજતો, સાચો વિજય તો હોય છે વિજય માટેની પવિત્ર યાત્રાના હરએક પગલાંમાં…. માત્ર પગલાંમાં !

Comments (18)

મુક્તિ – સુનિલ ગંગોપાધ્યાય

એક માણસ મુક્તિફળ લેવા ગયો હતો
એણે કહેલું, હું પાછો આવીશ
                                રાહ જોજે.

ખબર નથી એ ક્યાં ગયો છે
ક્યા એકાકી હિમ અરણ્યમાં 
                                કે કોઈક નીલિમા-ભૂખ્યા પહાડને શિખરે
ખબર નથી એની સામે કેવી આકરી મુશ્કેલીઓ ખડી છે
ખબર નથી એ કેવા અસહનીય સાથે
                   સંગ્રામ ખેલે છે.
એણે મુક્તિફળ લાવવાનું કહેલું
                    એણે રાહ જોવાનું કહેલું

હું બાર વર્ષ એની રાહ જોઈશ
એ પછી પણ જો એ પાછો નહિ આવે તો
                    મારે જવું પડશે.

હું પણ પાછો નહિ આવું તો જશે મારાં સંતાનો.

– સુનિલ ગંગોપાધ્યાય
(અનુ. નલિની માડગાંવકર)

કવિ એવા મુક્તિફળની વાત કરે છે જે લઈને કોઈ પાછું આવતું (ને કદાચ આવવાનું પણ) નથી. વચનની કિંમત છે અને ધ્યેયની ઈજ્જત છે. આ ધ્યેયને છોડી દેવાનું તો વિચારી શકાય એમ પણ નથી. એક પછી એક પેઢી હોમાતી જાય તો પણ આ શોધ ચાલુ જ રહેવાની છે.

આ આખી વાત વાંચીને હસવું આવે – ભલા આવા મુક્તિફળ પાછળ સમય બગાડવાની શું જરૂર છે ? જેના હોવા કે ન હોવા વિષે પણ ખબર નથી એની પાછળ જીંદગી બગાડવાની શી જરૂર છે ? જે લઈને કોઈ કદી પાછું આવ્યું નથી એની પાછળ એક પછી એક પેઢીઓએ ઢસડાવાની શું જરૂર ? …..

પણ હકીકત તો એ છે કે આખી દુનિયા સદીઓથી આ જ કામ કરી રહી છે ! કોઈએ ખરી મુક્તિ જોઈ નથી પણ એને પામવાની ઈચ્છા જગતની શરૂઆતથી આજ લગી ચાલ્યા જ કરી છે. આ ઘાણીમાંના બળદ જેવી વૃત્તિ છે કે પછી એક ચિંતન-વંતી, સ્વપ્ન-ગર્વિત, બાહોશ પ્રજાનું લક્ષણ છે ?

એ તો તમે જાણો !

Comments (7)

હમણાં હમણાં – હરિકૃષ્ણ પાઠક

હમણાં હમણાં
એમ થાય કે
આભ મહીં આ હરતી ફરતી
વાદળીઓને વાળીઝૂડી
લાવ જરા આળોટું.

હમણાં હમણાં
એમ થાય કે
સાત સાત સાગરની વચ્ચે
નાનું અમથું નાવ લઈને
તરંગ પર લ્હેરાતો જાતો
લાવ નિરાંતે પોઢું.

હમણાં હમણાં
એમ થાય કે
ઘરજંજાળી આટાપાટા
અળગા મેલી
કોઈ અગોચર વનમાં જઈને
લાવ જરા
એકાંત ગુફાના ઓઢું.

હમણાં હમણાં…

– હરિકૃષ્ણ પાઠક

પ્રકૃતિના ખોળામાં ખોવાઈ જવાની ઈચ્છાને કવિ નમણા કલ્પનોથી સજાવે છે તો ત્યારે એ ઓર આકર્ષક લાગે છે. હમણાં હમાણાં… નું પુનરાવર્તન સરસ અસર ઉપસાવે છે.

Comments (11)

આ ચાર ક્ષણ – રમેશ પાનસે (અનુ. જયા મહેતા)

ઓહો !
જોયું ?
મારી જિંદગીમાં આનંદની મહાન
આ ચાર ક્ષણ !
જેને માટે જીવવાની ઝંખના રાખી હતી !

આ પહેલી
મુંબઈની ગાડીગર્દીમાં મેં એક મોકળો શ્વાસ લીધો.
બીજી
મેં તને મારી કહેવાનું ઠરાવ્યું.
ત્રીજી
આકાશ સ્વચ્છ દેખાયું ગણગણાટ વગર.
ચોથી
મેં તેને ઓળખ્યો : તે પણ એક માણસ જ.

હું હવે સમાપ્ત થવાની શરૂઆત કરું છું.

– રમેશ પાનસે
(અનુ. જયા મહેતા)

કેટલું સીધું જીવન ! માત્ર ચાર એષણા… માત્ર ચાર ક્ષણ… ! એકમાં ભીડને ઓળંગી જવી, બીજામાં એકલતા ઓળંગી જવી, ત્રીજામાં પૃથ્વીને ઓળંગી જવી અને ચોથામાં ઈશ્વરના નિગૂઢત્વને ઓળંગી જવું.  બોલો, છે ને કવિની કમાલ ?

ને બધું મળી ગયા પછી શું ? તમામ પ્રાપ્તિનું અંતિમ ધ્યેય શું ? – સમાપ્ત થવાની શરૂઆત ! Nothingness is our origin, and it is also our destiny.

Comments (8)

‘મિત્ર’ને છરી પાછી આપતાં – એલ્ડર ઓલસન

આ લ્યો તમારી છરી
જેની તમને ખોટ ન જ સાલવી જોઈએ
એવું તમારું ઓજાર
ચમકતું, ચોખ્ખું અને ધારદાર
લગભગ નવા જેવું જ,
મારી પીઠે એને જરીક પણ નુક્સાન પહોંચાડ્યું નથી.

– એલ્ડર ઓલસન
(અનુ સુરેશ દલાલ)

Comments (11)

~ – કાજલ ઓઝા – વૈદ્ય

અચાનક સંબંધ છટક્યો
પડ્યો…
ને તૂટી ગયો
સમયની સાવરણી
ફેરવી ફેરવીને થાક્યા છતાં
હજીયે –
કરચોથી મારાં તળિયાં
લોહીલુહાણ કેમ થઈ જાય છે ?

તૂટેલા મંગળસૂત્રના દાણા
હજીયે મળી આવે છે અવારનવાર…

ચાદરમાંથી ગુલાબ-મોગરાની એ સુગંધ
હજીયે જતી નથી !
લોહીનાં ધાબાં જેવાં લાગે છે ગુલાબની
કચડાયેલી પાંદડીના ડાઘ !

ચોળી ચોળીને નાહ્યા છતાં
સતત વીંતળાયેલા એ સર્પીલા
સ્પર્શની ધ્રુજારી ઘટતી નથી !

લીલા સાપ સરકવા માંડે છે
મારાં સ્તનોની વચ્ચે ગમે ત્યારે !

લાલ રંગને જોઈને ઊબકા આવે છે
અને, લગ્નના ઢોલ
સીધા મારી છાતી પર જ પીટાય છે

શરણાઈ સાંભળીને
શ્વાસ ગૂંગળાવા કેમ લાગે છે ?
છેડાછેડીનો એ ટુકડો તો
ક્યારનો ફેંકી દીધો છે ને ?
તો ખીંટી પર આ શેનો
ભાર લટક્યા કરે છે ?

– કાજલ ઓઝા – વૈદ્ય

સમયની સરાણ પર ક્યારેક સંબંધનું મોતી ફટકિયું સાબિત થાય છે. મોટાભાગે તૂટેલા સંબંધનો કાટમાળ ખભે લઈને આપણે જીવી કાઢીએ છીએ, પણ ક્યારેક હિંમત કરીને બટકેલા સંબંધમાંથી છૂટા થઈ જવાનું સાહસ દાખવી પણ લઈએ છીએ. તોડી કાઢેલું બધું તૂટતું કેમ નથી અને છોડી દીધેલું પણ છૂટી કેમ નથી જતુંનો ચિત્કાર આ કવિતામાં શબ્દે શબ્દે ભોંકાય છે. સમયની સાવરણી પણ કેટલીક કરચો સાફ કરી શક્તી નથી. સહવાસના લીલા ઝેર જેવા સાપોલિયાં ગમે ત્યારે ડંખતા રહે છે, એ ઉતારી કે નિવારી શકાતા નથી અને કેટલોક ભાર ફેંકી દેવા છતાં સતત અનુભવાતો જ રહે છે…. આ હોવાપણાંની પીડા છે… આ લાગણીશીલ હોવાની કિંમત છે… આ જિંદગી જીવવાની કિંમત છે…

Comments (23)

પ્રશ્ન – મંગેશ પાડગાંવકર

શિયાળાની ઠંડી ઉદાસ સાંજે
સૂર્ય પાણીમાં બૂડતો હોય ત્યારે
મેં જોઈ બાગના બાંકડા ઉપર
એકલી બેઠેલી બાઈ રડતી…

માણસો આટલા એકાકી કેમ રહે છે ?

– મંગેશ પાડગાંવકર

Comments (8)

(આકર્ષણ) – શેશ્લો મિલોશ

ચંદ્ર ઊગે છે અને સ્ત્રીઓ વાસંતી વસ્ત્રોમાં ટહેલે છે ત્યારે
હું મુગ્ધ થાઉં છું એમની આંખોથી, પાંપણોથી અને
આખાયે વિશ્વની આયોજનાથી.
મને એમ લાગે છે કે આવા પરસ્પર પ્રબળ આકર્ષણથી
અંતિમ સત્યે આખરે તો પ્રગટ થવું પડશે.

શેશ્લો મિલોશ
(અનુ. સુરેશ દલાલ)

શાશ્વત સત્યોને ઉજાગર કરવાની તાકાત જે સૌંદર્યમાં છે  એને સલામ કરીએ.  દુનિયા આખી આકર્ષણથી ચાલે છે – પછી એ ગુરુત્વ-આકર્ષણ (તારાઓ ને ગ્રહો વચ્ચે) હોય કે લધુત્વ-આકર્ષણ (માણસો વચ્ચે) હોય! એક સુંદર પળ મનના કેટલાય આવરણોને એકી સાથે છેદી નાખી શકે છે.

Comments (4)

~ – કાજલ ઓઝા – વૈદ્ય

મૃગજળમાં જાળ નાખ્યા કરવાથી,
માછલાં ન મળે…
આંસુ વાવવાથી,
મોતી ન ઊગે…
અને
ઝાકળ ભેગી કર્યે,
ઘડા ન ભરાય…

…આવાં અનેક સત્યો સંબંધની
શરૂઆતમાં સમજાતાં હોત તો ?

– કાજલ ઓઝા- વૈદ્ય

કાજલ ઓઝા-વૈદ્યને સફળ નવલકથાકાર તરીકે ઓળખતો ન હોય એવો ગુજરાતી સાહિત્યરસિક મળવો દોહ્યલો છે પણ કવિ તરીકે ઓળખતા હોય એવા લોકો પણ જૂજ જ હશે. એમનો પ્રથમ કાવ્યસંગ્રહ ‘શેષયાત્રા’ જોઈ એક આશ્ચર્યનો આંચકો લાગ્યો અને પછી સંગ્રહમાંથી પસાર થતી વખતે સતત એ આંચકાઓનું પુનરાવર્તન થતું રહ્યું. સંગ્રહમાં વર્ણવેલી એમની આપવીતી અને એમની કવિતાઓ- બધું જ નિયત ઘરેડની બહારનું છે. આ પાનાંઓમાંથી પસાર થાવ ત્યારે ક્યાંક દઝાતું હોવાનો અનવરુદ્ધ અહેસાસ થયા વિના નહીં રહે. પ્રથમ નજરે અછાંદસ ભાસતી મોટાભાગની કૃતિઓ આઝાદ નઝમની જેમ પોતીકો લય ધરાવે છે જે આજકાલ બહુધા જોવા મળતું નથી… અહીં કોઈ કૃતિને શીર્ષક અપાયું નથી એ પણ જવલ્લે જોવા મળતી બીના છે… સ્ત્રી હોવા છતાં એમણે જાતીયવૃત્તિઓ પર ક્યાંય ઢાંકપિછોડો કરવાની કોશિશ કરી નથી અને એ જ રીતે પોતાની જાતને ઓગાળવાની પણ કોશિશ કરી નથી. અહીં તમામ કૃતિમાં સર્જકની સતત હાજરીનો એકધારો અહેસાસ અને નિરાવૃત્ત બેબાક સંવેદનાની તીખ્ખી ધાર કવિતાની અલગ જ જાતની ‘ફ્લેવર’ સર્જે છે !

Comments (28)

થાય છે – પન્ના નાયક

યુદ્ધમાં
એક બાળકને હણીને
સૈનિક
એને ઊંચકીને જુએ છે –
ધરતી પરથી પાક ઉતાર્યા હોય
એવા ખેડૂતના સંતોષની મુદ્રાથી !
મને થાય છે
કે
આ બાળકે સૈનિક જ થવાનું હોય
તો બહેતર છે
કે
અહીંયા જ એનો અંત આવે !

– પન્ના નાયક

દૈવનો દરેક અંશ સમય સાથે ‘મોટો’ અને ‘સમજદાર’ થઈ જાય છે એ આપણી મોટી તકલીફ છે. દેવ થવું આપણા હાથમાં નથી. પણ માણસ થવું તો જરૂર આપણા હાથની વાત છે.

Comments (6)

વેલેન્ટાઈન-વિશેષ :૩: પ્રેમબંધન – રાબિયા (અનુ. હિમાંશી શેલત)

ફરી એક વાર જકડાઈ છું એના પ્રેમની સાંકળે.
બંધનમુક્ત થવાનો મરણિયો પ્રયાસ
નિષ્ફળ, વ્યર્થ !
વણકેળવ્યા તોખાર જેવી હું
જાણતી નહોતી કે ખેંચતાણથી તો
મુશ્કેટાટ થાય ફાંસો !
અદૃશ્ય કાંઠાળો દરિયો
એટલે પ્રેમ.
તરીને શેં પાર જવાય, ભલા ?
પારંગત થવું પ્રેમમાં એટલે
અણગમતી વસ્તુઓને વહાલી કરવી,
કુરૂપને સુંદર પેંખવું,
પીવાનું છે ઝેર;
સમજીને કંઈક મધમીઠું ને ગળચટું…

– રાબિયા
(અનુ. હિમાંશી શેલત)

ઈરાકની મહાન કવયિત્રી રાબિયાની પ્રેમની વ્યાખ્યા કરતી આ કવિતા દરેક શબ્દ પર અટકી વિચારવા પ્રેરે છે. કવિતાની શરૂઆત ‘ફરી’ અને ‘એકવાર’ થી થાય છે જે ભાવકનું ભૂતકાળની વાતો સાથેનું અનુસંધાન નિમિષમાત્રમાં જોડી દે છે. ના, આ કંઈ પહેલીવારના મુગ્ધ પ્રેમની વાત તો નથી જ. આ વાત છે પુખ્ત પ્રણયની, પ્રણયભગ્નતાની અને પ્રણયવિવશતાની… પ્રેમ સાચો હોય તો એ તૂટતો કે છૂટતો નથી. એકવાર પ્રણયભંગ થયા હોવા છતાં કવિ પોતાની નિર્માલ્યતાની અને પ્રેમની સર્વોપરિતાની વાત કરતાં સ્વીકારે છે કે ફરી-એકવાર-જકડાઈ-છું-એના-પ્રેમની-સાંકળે. મનુષ્યની પ્રકૃતિ છે કે એ હાર સ્વીકારી શક્તો નથી. એ હારે ત્યારે બમણું રમે છે. પ્રેમની સાંકળમાંથી એકવાર કે એકથી વધુ વાર છૂટી ગયા પછી ફરી જકડાવું કવિને ગમતું નથી એટલે એ છૂટવા માટે મરણિયાં વલખાં મારે છે…

…આટલું બસ! આજ રીતે બાકીના આખા કાવ્યને આસ્વાદવાનું કાવ્ય’પ્રેમી’ઓ પર છોડી દઈ વીરમું…

Comments (11)

વેલેન્ટાઈન-વિશેષ :૨: તું – રેઇનર મારિયા રિલ્કે (અનુ. મહેશ દવે)

મારી આંખો ફોડી નાંખો : છતાંય હું જોઈ શકીશ;
મારા કાનને ભોગળ વાસી દો : છતાંય હું સાંભળી શકીશ,
તું હોય ત્યાં પગ વગર પણ હું ચાલી આવીશ
અને જીભ વગર પણ તારા અસ્તિત્વને સાદ દઈશ.
મારા હાથ કાપી નાખો :
મારા હૃદયની ઝંખનામાં
મુઠ્ઠીની જેમ તને જકડી રાખીશ,
હૃદયને બંધ કરી દો ને મારું ચિત્ત તારા ધબકાર કરશે,
અને મારા ચિત્તને બાળી મૂકશો
તો મારા લોહીમાં તું વહેતી રહેશે.

– રેઇનર મારિયા રિલ્કે
(અનુ. મહેશ દવે)

જર્મનીના મશહુર કવિ રિલ્કેની નાની છતાં બળુકી રચના. પ્રેમના ઉત્કટ ભાવને તીવ્રતાથી રજૂ કરતી આ કૃતિ ‘મારા’થી શરૂ થઈ ‘તું’ પર સમાપ્ત થાય છે. સફળ પ્રેમની લાં…બીલચ્ચ યાત્રા પણ હકીકતમાં તો ‘હું’થી ‘તું’ સુધીની જ છે ને ! આંખ-કાન-જીભ-હાથપગના રૂપમાં કવિ દૃષ્ટિ-શ્રુતિ-વાચા-સ્પર્શ એમ એક પછી એક ઈન્દ્રિયને ન્યોછાવર કરવાનું આહ્વાન આપે છે. ઈંદ્રિયાતીત થયા પછી હૃદય અને આખરે જો ચિત્તનો પણ નાશ કરવામાં આવે તોય કવિ મુસ્તાક છે પોતાના પ્રેમ પર કે મારા લોહીમાં તો તું વહેતી જ રહેશે… આ જ તો પ્રેમ છે!

Comments (5)

વેલેન્ટાઈન-વિશેષ :૧: જોડણી – કેરોલિન વેલ્સ (અનુ.: સૌરભ પારડીવાલા)

જ્યારે વીનસે કહ્યું,’ “ના” ની જોડણી મને લખી બતાવ.’
નને કાનો ‘ના’ ડેન કામદેવે હર્ષથી લખ્યું.
અને પોતાની સફળતા પર હસ્યો.
‘અરે બાળક’, વીનસે ધીમેથી હસતાં કહ્યું:
‘અમે સ્ત્રીઓ આમ જોડણી કરતાં નથી.
અમારી જોડણી આ છે : હને કાનો “હા.” ‘

– કેરોલિન વેલ્સ
અનુ. સૌરભ પારડીવાલા

લયસ્તરો તરફથી સહુ વાચકમિત્રોને વેલેન્ટાઈન ડે પર ગુલાબી શુભકામનાઓ… આજે આ ખાસ દિવસે દર આઠ કલાકે એક એમ કુલ ત્રણ અલગ-અલગ ભાષાના વિદેશી પ્રણય-કાવ્યોનું બિલિપત્ર આપને ખાસ ઉપહાર સ્વરૂપે મળતું રહેશે…

સ્ત્રી અને પુરુષની પ્રણયની વ્યાખ્યા અને વિભાવના સાવ અલગ હોય છે. ક્યાંક વાંચ્યું હતું, ‘A woman gives her body to get love while a man gives love to get body.’ લગભગ આ જ વાત અમેરિકન કવિ કેવી સચોટ રીતે લઈ આવે છે! પુરુષની ‘ના’ માત્ર ‘ના’ જ હોય છે જ્યારે પ્રેમમાં સ્ત્રીની તો ‘ના’ પણ ‘હા’ હોય છે…

Comments (10)

(અછાંદસ) કિરણસિંહ ચૌહાણ

દર સોમવારે વહેલી સવારે
હું કાચીપાકી ઊંઘમાં હોઉં ત્યારે
પપ્પા મને લાં…બી પપ્પી કરીને
નોકરીએ નીકળી જાય છે
તે છે…ક
શનિવારે પાછા આવે.
હું પપ્પા કરતાંય વધારે
શનિવારની રાહ જોઉં છું
કારણ કે પપ્પા તો નાસ્તો લાવે, રમકડાં લાવે
પણ શનિવાર તો
મારા પપ્પાને લઈ આવે છે !

– કિરણસિંહ ચૌહાણ

આજે એક નાનકડું અછાંદસ ઝાઝી લપ્પન છપ્પન કર્યા વગર. વાત એક નાના બાળકની જેને એના પપ્પા માત્ર ‘હોરિઝન્ટલી’ વધતો જુએ છે, ‘વર્ટિકલી’ નહીં કારણકે બાળક ઊઠે એ પહેલા કામે નીકળી જતા પપ્પા બાળક ઊંઘે એ પછી જ ઘરે પાછા ફરે છે…

Comments (18)

રીત – પરાગ ત્રિવેદી

આ તે
શાંતિ સ્થાપવાની
કેવી
રીત
છે ?
પહેલાં તેઓ
કબૂતરોને પકડે છે,
દિવસો સુધી તેમને પૂરી રાખે છે,
અને પછી
કોઈ એક ચોક્કસ સમયે
તેમને ઉડાડીને
શાંતિનો
સંદેશો આપે છે !

– પરાગ ત્રિવેદી

‘શાંતિદૂતો’ ખરેખર કંઈ શાંતિની શોધમાં ઊડી જતા નથી હોતા, એ તો બને તેટલા દૂર ભાગી જવાની કોશિશમાં હોય છે એટલું જ !

Comments (7)

ઘર અશ્રુનું – નિર્મિશ ઠાકર

જાઉં છું મારે ઘરે કહી
પાલવથી આંખ લૂછતાં
નારી જાય છે
ક્યારેક સાસરે
તો ક્યારેક પિયર.
‘આ મારું ઘર’ના ભ્રમ સાથે
એ થાક ખાતી હોય છે
ક્યારેક ‘અખંડ સૌભાગ્યવતી’ના
તો ક્યારેક ‘ગંગાસ્વરૂપ’ના છાપરા હેઠે.
સ્કૂટર, ફ્રીઝ, ટીવીના જાહેરખબરવાળા
છાપાના પાનામાં ‘લગ્નવિષયક’ના મથાળા હેઠે લખાય છે:
… જોઈએ છે કન્યા – સુંદર, સુશીલ, ભણેલી, ઘરરખ્ખુ.
ઘરની શોધ લઈ જાય છે નારીને
અહીંથી ત્યાં, ત્યાંથી અહીં, અહીંથી…
સમગ્ર જગમાંયે ઘર ન પામનાર સીતાને
સમાઈ જવું પડે છે ધરતીમાં.
અશ્રુને વળી, ઘર કેવું ?

– નિર્મિશ ઠાકર

આ જ વાત આપણે બધાએ ઘણી ઘણી વાર સાંભળી છે. કવિતા ગમે તેટલી અસરકારક હોય, એ કશું બદલી શકતી નથી. એ કામ તો આપણું – મારું ને તમારું – આપણા બધાનું છે.

Comments (25)

કેમે કર્યો આ હાથ – જગદીશ ત્રિવેદી

ફૂલનો ગુચ્છો લઈને એક ડાળી પાતળી
રોજ બારીમાં રહે છે ઝૂમતી-
આ હાથ ફેલાવું અને
આવી પડે-
એટલું- બસ એટલું અંતર,
કેમે કર્યો પણ હાથ ફેલાયો નહિ.

એક અણિયાળું શિખર
મુજ આંખને તેજલ તળાવે
રોજ તરવા ઊતરે-
કાંઠે પડેલો હાથ તરસ્યો તાકતો એવી રીતે
કેમે કર્યો આ હાથ લંબાયો નહિ.

ક્યારેક તો મુજ શીર્ષને સ્પર્શી જતું
આકાશ આવે છે ઝૂકીને એટલું નીચું-
એક્કેય પણ તે તારલાને ચૂંટવા
કેમે કર્યો આ હાથ ઊંચકાયો નહિ.

-જગદીશ ત્રિવેદી

ત્રણ અલગ અલગ પ્રતીકો સાથે કવિ નિષ્ક્રિય પડેલા હાથની નિષ્પ્રાણતા સંયોજી અદભુત કાવ્યતત્ત્વ સિદ્ધ કરે છે. ‘કેમે કર્યો આ હાથ ફેલાયો/લંબાયો/ઊંચકાયો નહીં’ પંક્તિને કવિતાના ત્રણે ભાગના અંતે માત્ર એક જ શબ્દફેર સાથે ગીતમાં ઉપાડ તરીકે આવતી ધ્રુવપંક્તિની જેમ પ્રયોજીને કવિ જે કહેવા માંગે છે એને સતત ઘૂંટતા રહે છે.

આપણી આંખની સામે, આપણી આંખની અંદર અને આપણી આંખની ઉપર એમ આપણી અંદર-બહાર-ચોતરફ વ્યાપ્ત સત્ત્વ કે ઈશ્વર કે તકો કે ખુશીને આપણે તરસ્યા થઈને જોતા જ રહીએ છીએ. એને પામવા માટેનો યોગ્ય પુરુષાર્થ કરવાની આપણી વૃત્તિ જ મરી પરવારી છે જાણે.

Comments (8)

ભૂરા પતંગિયા – અખિલ શાહ

હરિયો નવો નવો પતંગ ચડાવતા શીખ્યો’તો
એટલે આખો દિવસ બસ
એ અને એના પતંગ.

એના બધા પતંગ એક જ રંગના – ભૂરા.
એ વળી ચગાવતા પહેલા
એના પર જાતે ચિતરામણ કરે.

એ પહેલા આખા ફળિયામાં દોડતો બધાને કહી આવે,
‘જો જો, મારી સાથે કોઈ પેચ ના લેતા’
ને પછી પતંગ ઊંચે ને ઊંચે ચગાવે રાખે.

મોડી સાંજે
મા બૂમો પાડી બોલાવે ત્યારે
એ પતંગને જાળવીને ઊતારી લે
ને જતનથી ઘરે લઈ જાય.
એની કાળજી જોઈને લોકો હસતાં,
હરિયા આ પતંગ છે, પતંગિયા નથી’

ગઈકાલે એક અવળચંડાએ
ભાર દોરીએ એનો પતંગ કાપી નાખ્યો.
પોતાની અડધાથી વધારે દોરીને જતી જોઈને
પલકવાર માટે હરિયાની આંખો તગતગી ગઈ,
પણ એકેય આંસુ નીકળ્યું નહીં.
હરિયો કદી રડતો નહીં.

સૂતી વખતે હરિયાએ
મનમાં ને મનમાં
બાકી બચેલી દોરીની ગણતરી કરી.
ઝાંખા ફોટામાંની
ભૂરું ખમીસ પહેરેલી આકૃતિને
જોતા જોતા એ ગણગણ્યો,
‘પપ્પા કંઈ એટલા બધા ઉપર તો નહીં ગયા હોય’

– અખિલ શાહ

જે વાત કહેવામાં શબ્દો અને આંસુ નિષ્ફળ જાય તે વાત કહેવામાં કોઈ વાર પતંગ કામ લાગી જાય છે.  નાના હાથ માટે આકાશને અડકી લેવાનો એક જ રસ્તો છે – પતંગ !

Comments (35)

કાઈપો ! – રમેશ પારેખ

RAMESH_PAREKH4

(લયસ્તરોના વાચકો માટે પતંગપર્વ નિમિત્તે રમેશ પારેખ જેવા દિગ્ગજ કવિના હસ્તાક્ષરમાં એક અછાંદસ)

‘કાઈપો !’
‘શું-શું ? પતંગ ?’
‘ના, આજનો દિવસ’
‘એમાં રાજીના રેડ થવાનું ?’
‘તમને ખુશી ન થઈ ?’
‘દિવસ વીતે એમાં ખુશી શાની ?’
‘લાઈફનો એક દિ’ ટુંકાયો ને !’
‘લાઈફ તો અમૂલ્ય છે’
‘તો ?’
‘એ ઘટે એ તો ખિન્નતાની બાબત છે’
‘તમને ખિન્ન થવાની છૂટ…’
‘વાત ઉડાવો છો !’
‘ખિન્નતાપર્વ ઉજવો કે મોદપર્વ, શું ફરક પડવાનો, મૂળમાં ?’
‘પણ લાઈફ જેવી લાઈફ આમ ચાલી જાય…’
‘પકડી લો એને, મૂઠીમાં, બંધુ !’
‘એ જ તો આપણા હાથની વાત નથી’
‘તમારી સત્તા ન ચાલે ત્યાં હથિયાર હેઠાં મૂકી દેવાનાં’
‘એ તો આત્મદૌર્બલ્ય’
‘હં’
‘પલાયનવૃત્તિ’
‘હં’
‘નામર્દાઈ’
‘એ તો નિયતિદત્ત છે’
‘આપણી કને કંઈ ઉપાય નહીં આનો ?’
‘છે ને !’
‘શું ?’
‘પ્રામાણિકપણે સગર્જન નિનાદ કરો’
‘શું ?’
‘કાઈપો !’

– રમેશ પારેખ
(૨૮-૧૨-૨૦૦૪/મંગળવાર)

Comments (10)

પતંગનો ઓચ્છવ – રમેશ પારેખ

પતંગનો ઓચ્છવ
એ બીજું કંઈ નથી, પણ
મનુષ્યના ઉમળકાઓનો છે ઘૂઘવતો વૈભવ !

નભની ઊંડીઊંડી ઉદાસીઓને લૂછવા
નભની ભડભડતી એકલતા ભૂંસવા
જુઓ, મનુષ્યો-
ઉંમગના રંગોમાં ઝબકોળી-ઝબકોળી
પ્રીતિની પીંછી ફેરવતા ઉજ્જડ-ઉજ્જડ નભમાં.

ઉજ્જડ નભને નમણું નજરાણું
ઉર્ફે આ પતંગ !

હરેક જણના પતંગ પર
લખિયો છે આ સંદેશો કે
હે નભ ! તું નીચે આવ !
આવ નીચે ને જરાક હળવું થા…
માર નગારે ઘા,
ગમગીનીનો ગોટો વાળી
જલદી કૂદ કછોટો વાળી
ઓચ્છવના આ રંગકુંદમાં ડૂબકી મારી ગા !
આવ, આવ, તું જરાક નીચે આવ ને હળવું થા…

આભ, તને
આ પતંગ રૂપે છે નિમંત્રણ-
નીચે આવી ચાખ ઉમળકો,
ચાખ જુવાની, ચાખ લાગણી
ચાખ પ્રેમ ને ચાખ હૃદયના ભાવ
આભ, તું જરાક નીચે આવ…

– રમેશ પારેખ

ઉતરાણ વિશેની બધી પ્રચલિત માન્યતાઓને ‘કાઈપોચ’ કરીને કવિ ઉતરાણનો તદ્દન નવો અર્થ બતાવે છે.

Comments (16)

વહાણવટું – રમેશ પારેખ

પછી તો
નાંગરેલું વહાણ છોડીને ધક્કેલ્યું.
ચાલ્યું.
અર્ધેક પહોંચતાં
સમુદ્રે પૂછ્યું : ‘થાક્યો ને ?’
‘તેથી શું ? જવું જ છે આગળ.’ મેં કહ્યું.
‘આટલા વજન સાથે ?’ સમુદ્ર હસ્યો.
જવાબમાં, હલેસાં વામી દીધાં.

એક તસુ આગળ.
સમુદ્ર ખડખડ હસ્યો.
પગ તોડીને વામી દીધા.

સમુદ્ર હસ્યો ખડખડ
કોણી સુધીના હાથ વામ્યા.
એક તસુ આગળ
ખડખડ હસ્યો સમુદ્ર.

કબંધ વામ્યું તે ક્ષણે
હવાઓ ચિરાઈ ગઈ.
રંગો ભર ભર ખરી પડ્યા આકાશના.
દિશાઓનાં થયાં ઊભાં ફાડિયાં.

સમુદ્ર ચુપ.
થરથરતો જુએ.
વહાણમાં આરૂઢ શેષ મસ્તકને,
જેમાં વળુંભે છે કાળી વીજળીઓ.

-રમેશ પારેખ

ર.પા.નું આ અછાંદસ કાવ્ય ખરી કવિતાની વિભાવના સમજવામાં ખાસ્સી મદદ કરે એવું છે. કવિતાનો ઉપાડ ‘પછી તો’ થી થાય છે એ કવિતા શરૂ થતા પહેલાના કાવ્યનાયક અને સમુદ્ર વચ્ચે થયેલા વણકહ્યા સંવાદ સાથે ભાવકનો સેતુ બાંધી આપે છે. ધક્કેલ્યુંમાં આવતો બેવડો ‘ક’કાર નાવને સમુદ્રમાં આગળ ધકેલવાની ક્રિયાને વધુ વેગવંતી બનાવી કાવ્યને વધુ દૃશ્યક્ષમ બનાવે છે અને નાયકના જોશ અને નિર્ધારને દ્વિગુણિત કરે છે. કાવ્યનાયકના વહાણવટાની ઈચ્છા સામે સમુદ્ર પડકાર સમો ઊભો છે અને હોડીમાંના વધારે પડતા વજન સામે ઉપાલંભભર્યું હાસ્ય વેરે છે. નાયક એક પછી એક વસ્તુ સમુદ્રમાં પધરાવતા જઈને પણ પોતાના આગળ વધવાના મક્કમ સંકલ્પને -ભલેને તસુભર જ કેમ ન વધાય- સતત જીવતો રાખે છે અને સમુદ્રને સામો પડકારતો રહે છે. પહેલાં એ હલેસાં હોમે છે, પછી પોતાના પગ, પછી હાથ અને છેલ્લે આખેઆખું ધડ હોમી દે છે.

આ આખી ક્રિયા દરમિયાન સમુદ્ર હસતો રહે છે. ત્રણવાર પુનરાવર્તિત થતા એક જ વાક્યમાં ખડખડ શબ્દનું સ્થાન બદલીને કવિ સમુદ્ર દ્વારા નાયકની ઊડાડાતી ઠેકડીને ઉત્તરોત્તર તીવ્રતર બનાવે છે. આ જ કવિકર્મ છે. કવિતા ભલે અછાંદસ હોય, સાચો શબ્દ સાચા સમયે સાચી જગ્યાએ આવે તો અને તોજ એ ગૌરવાન્વિત થાય છે.

ધડના હોમવાની ક્ષણે કવિતામાંથી સમુદ્ર હટી જાય છે અને આખી સૃષ્ટિ આવી ઊભે છે. હવાઓનું ચિરાઈ જવું, આકાશના રંગોનું ભર ભર ખરી પડવું અને દિશાઓનાં ઊભાં ફાડિયાં થવાં આ ઘટનાઓ કવિ શબ્દમાં આલેખે છે પણ એક સક્ષમ ચિત્રકારની પીંછીના બળે આખેઆખું દૃશ્ય શ્રુતિસંવેદન અને ગતિવ્યંજનાથી આપણી સામે મૂર્ત થાય છે, સાકાર થાય છે. આ કવિના શબ્દની સાચી તાકાત છે. કવિનો શબ્દ છંદના પહેરણનો મહોતાજ નથી એ વાત અહીં ખુલે છે.

અંતે નાયકની સતત હાંસી ઊડાવતો સમુદ્ર થરથરીને ચુપ થઈ જાય છે. આગળ વધવાની ઈચ્છાની પરિપૂર્તિ માટે નાયકનું આવું બલિદાન જોઈ પ્રકૃતિ અને સમુદ્ર બંને નમી જાય છે. વહાણમાં પડી રહેલા બચેલા મસ્તક માટે કવિ ‘આરૂઢ’ શબ્દ પ્રયોજે છે જે સિંહાસનારૂઢ શહેનશાહ જેવું ગૌરવ નાયકને બક્ષે છે. અને એ માથામાં થતી વીજળીઓને કાળી સંબોધીને કવિ વહાણવટા પાછળના આંધળૂકિયા સાહસ સુધી અર્થવલયોનું વિસ્તરણ કરે છે.

અહીં મનુષ્યને તમે ખતમ કરી શકો પણ એને તમે પરાસ્ત નહીં કરી શકો એવી વિભાવના ઉજાગર થાય છે….

Comments (24)

અશ્વમેધયજ્ઞ – અમૃતા પ્રીતમ

ચૈત્રની એક પૂનમ હતી
અને દૂધિયો શ્વેત મારા પ્રેમનો અશ્વ
દેશ અને વિદેશમાં વિચરવા નીકળ્યો…

આખું શરીર સત્ય જેવું શ્વેત
અને શ્યામ કર્મ વિરહી રંગના…

એક સ્વર્ણપત્ર એના મસ્તક પર
‘આ દિગવિજયનો અશ્વ –
કોઈ બળવાન હોય તો એને પકડે અને જીતે’

આ યજ્ઞનો નિયમ છે એ પ્રમાણે
એ ઊભો રહ્યો ત્યાં ત્યાં
મેં ગીતોનું દાન કર્યું
અને કેટલીક જગાએ હવન કર્યા.
એટલે જે કોઈ જીતવા આવ્યું તે હારી ગયું.

આજે જિંદગીની અવધિ સમાપ્ત થઈ ગઈ છે
એ સહીસલામત મારી પાસે પાછો આવ્યો છે,

પણ કેવી અસંભવ વાત –
પુણ્યની ઈચ્છા નથી,
નથી ફળની લાલસા બાકી
આ દૂધિયો શ્વેત મારા પ્રેમનો અશ્વ
મારી નહીં શકાય … મારી નહીં શકાય
બસ આ જ સલામત રહે
પૂરેપૂરો રહે !
મારો અશ્વમેધયજ્ઞ અધૂરો છે,
ભલે અધૂરો રહે !

– અમૃતા પ્રીતમ
(અનુ. – જયા મહેતા)

વિશ્વવિજય કરવા માટે રાજાઓ અશ્વમેધયજ્ઞ કરતા. યજ્ઞ કર્યા પછી એક અશ્વ છૂટો મૂકવામાં આવતો. એ જે જે પ્રદેશમાં જાય તે પ્રદેશના રાજાને ક્યાંતો શરણાગતિ સ્વિકારવાની ક્યાં તો યુદ્ધ વહોરી લેવાનું. અશ્વ પૃથ્વીની પરિક્રમા કરીને પાછો આવે તો વિશ્વવિજય કરેલો ગણાય. આ પૌરાણિક કથાના આધારે અમૃતા પ્રીતમે એમની લાક્ષણિક શૈલીમાં આ કવિતા રચી છે.

કવયત્રિ પોતાના પ્રેમના અશ્વને છૂટો મૂકે છે, જગ આખાને જીતી લેવા. જ્યાં જ્યાં અશ્વ ઊભો રહે ત્યાં ગીતોનો ઓચ્છવ કરીને તે બધાને જીતી લે છે.  જીવનના અંત ભાગમાં અશ્વ પાછો આવે છે. અશ્વ અવિજિત પાછો આવે તો અશ્વમેધયજ્ઞ પૂરો થયો ગણાય. પણ આ ક્ષણે હવે કવયત્રિને કોઈ ઈચ્છા કે લાલસા રહ્યા નથી. ને એ ક્ષણે તેમને મૂળ સત્ય સમજાય છે : પ્રેમ સલામત હોય તો પછી જગતમાં બાકી બધુ અધૂરું રહે તો ચાલશે.

Comments (4)

સમુદ્ર કાવ્ય- રાજેશ પંડ્યા

આંખના પાણી તરવાં સહેલાં નથી
તું કહે તો સાતે દરિયા તરી બતાવું હું
રાતદિવસ હંકાર્યા કરું વહાણ
સઢની પાછળ ઊગતા ને
આથમતા ચાંદા સૂરજને જોઈ જોઈ
ફૂંફાડતા પવન ને ઊછળતાં મોજાં વચાળ
હલેસાં મારતો રહું સતત
જે કાંઠે તું છે ત્યાં પહોંચવા
એક પછી એક સાતેય દરિયાને વીંધીને છેવટ
આવી પહોંચ્યા પછીય
તારી આંખનાં પાણી તરી શકું નહીં.

-રાજેશ પંડ્યા

ગણિતમાં પ્રમેય ભણતા ત્યારે પ્રથમ પૂર્વધારણા બાંધીને પછી એને સાબિત કરવાનું રહેતું. આ નાનકડા અછાંદસમાં વડોદરાના રાજેશ પંડ્યા પ્રેમનો પ્રમેય સાબિત કરતા હોય એમ લાગે છે. કવિતાની શરૂઆત જ આંખના પાણીનું ઊંડાણ અને એને પાર તરવાની સંપૂર્ણ વિવશતાની પૂર્વધારણા સાથે થાય છે. લાગણીને ઓળંગવી એના કરતાં સાત-સાત દરિયા ઉલેચવા કદાચ વધુ આસાન છે. ‘રાતદિવસ’ વહાણ હંકારવાની અનવરત તૈયારી ચાંદા-સૂરજ-પવન-મોજાંની વચ્ચે થઈને હલેસાંના ‘સતત’ મરાવાના સાતત્ય સુધી પહોંચી કવિતાને એક લય, ગતિ, પ્રવેગ આપે છે. અને આખી દુનિયા તરી જવાનું જેના બાવડાંમાં કૌશલ ભર્યું છે એ કાવ્યનાયક પણ પ્રિયતમાના એક આંસુ સમક્ષ તો પોતાની હાર સ્વીકારી જ લે છે. કદાચ આ હારમાં જ પ્રેમની જીત છુપાયેલી છે !

Comments (5)

ચાલતા ચાલતા – રોબર્ટ બ્રાઉનિંગ હેમિલ્ટન

એક માઈલ હું સુખ સાથે ચાલ્યો;
આખે રસ્તે એણે બોલ્યે રાખ્યું,
ન કાંઈ શીખવાનું બન્યુ
એ બધુ ય સાંભળીને.

એક માઈલ હું દુ:ખ સાથે ચાલ્યો
ને એણે એકે ય શબ્દ મને કહ્યો નહીં;
પણ આહ, કેટકેટલું શીખ્યો હું
દુ:ખની સાથે ચાલતા!

– રોબર્ટ બ્રાઉનિંગ હેમિલ્ટન
(અનુ.- ધવલ શાહ)

જે ટીપાય તે જ ઘડાય. ને દુ:ખથી વધારે માણસને કોણ ટીપે ?

(મૂળ અંગ્રેજી કવિતા)

Comments (7)

એ જ આવશે ! – ચંદ્રકાંત શેઠ

એનો ફોન !
એનો અવાજ !
આખો મારો વાસ
-મારો અસબાબ અધ્ધર પગે !
આંગણાએ ખોલી દીધા દરવાજા !
ઊંબરાએ ઉઘાડી દીધાં દ્વાર …
બારીઓ ય ખુલ્લી – ફટાક…
ગોખે ગોખે આંખ …
શય્યાના આકાશમાં એક્કેય નહીં વાદળી …
સ્વચ્છ રાત્રિ !
નરી છલોછલ ચાંદની !!
ચાંદ તો પછી દૂર ન હોય …
હોય આટલામાં જ – નજીકમાં …
મેં ચિત્તને કહ્યું : ચકોર થા
પણ એણે તો
ઘરની ઊંચી અટારીએ ચડી
કરવા માંડ્યું છે કા…  કા…
હવે ફોન નહીં,
એ જ આવશે,
એ જ !!

-ચંદ્રકાંત શેઠ

એક અવાજ આખા અસ્તિત્વને કેવું અજવાળી દે છે એની અદભૂત અભિવ્યક્તિ.

Comments (3)

બૉમ્બનો વ્યાસ – યેહુદા અમિચાઈ

બૉમ્બનો વ્યાસ છે ત્રીસ સેન્ટિમીટર
અને એની વિનાશશક્તિના વર્તુળનો વ્યાસ
છે લગભગ સાત મીટર.
જેમા પડ્યા છે
ચાર મરેલા અને અગિયાર ઘવાયેલા.

અને એમની ચોતરફ઼
સમય અને વેદનાના એક વધારે મોટા વર્તુળમાં
વેરવિખેર ઊભાં છે
બે દવાખાનાં અને એક કબરસ્તાન.

સો કિલોમીટરથીય વધુ દૂરથી
આવેલી  સ્ત્રીને એના શહેરમાં જયાં દફનાવી તે જગા
વર્તુળને વધુ વિસ્તારી દે છે.

અને તેના મૃત્યુ પર આંસુ સારતો એકલો અટુલો માણસ
જે દરિયાપાર રહે છે
આખી દુનિયાને વર્તુળમાં સમાવી દે છે.

અને હું કાંઈ નહીં કહું,
અનાથ બાળકોનાં એ હિબકાં વિશે
જે ઈશ્વરના સિંહાસન સુધી ને એનાથી ય આગળ પહોંચે છે
અને
એક અનંત અને ઈશ્વરવિહોણું વર્તુળ રચે છે.

– યેહુદા અમિચાઈ

બૉમ્બની વિનાશશક્તિને blast radiusથી મપાય છે. પણ બૉમ્બના ખરું વિનાશવર્તુળ તો એનાથી ક્યાંય વધારે મોટું હોય છે. આ વાત બધા બૉમ્બને સમાન રીતે લાગુ પડે છે : એ ભલે પછી રેલ્વે સ્ટેશન પર ફૂટેલા બૉમ્બ હોય,  ‘તાજ’માં ફૂટેલા બૉમ્બ હોય, સરહદ પર ફૂટતા બૉમ્બ હોય,  હિરોશિમા પર ઝીંકાયેલા બૉમ્બ હોય કે પછી એ બૉમ્બ હોય કે જે પાકીસ્તાન પર નાખવા માટે લોકો થનગની રહ્યા છે.

(મૂળ હિબ્રૂ કવિતાના અંગ્રેજી અનુવાદ પરથી)

Comments (17)

સપનું – એષા દાદાવાળા

ફૂટપાથની ધારે રાત્રે સાવ ભુખ્યા સૂઈ ગયેલા
બાળકની આંખોમાં
કેવાં સપનાં આવતા હશે, ખબર છે ?
એના સપનાંમાં પરીઓ આવી
બરાબર સિન્ડ્રેલાની વાર્તાની જેમ જ
એમને નવાંનક્કોર કપડાં પહેરવી
પિઝા-બર્ગર-પેસ્ટ્રી એવું ખવડાવી જતી હશે ?
કે પછી
સવારે જ એની ઉંમરનાં બાળકને
એની મમ્મી સાથે હસતું-રમતું જતાં જોઈને
એના મનમાં જે કલ્પના ચાલેલી
એવું જ કંઈક
સપનાંમાં આવીને સાન્તાક્લોઝ
સાચું કરી જાય ?
પણ હમણાં તો,
એને સપનાંમાં દેખાય છે
કપ-રકાબી ધોતાં-ધોતાં તૂટી ગયેલાં
બે નંગ કપ-રકાબીનાં પૈસા
મહિનાના જરા-અમથા પગારમાંથી કપાઈ જવાના છે તે.
ચોકલેટ લેવા માટે બચાવી રાખેલા પૈસાનો
બાપ દારુ પી ગયો છે –
આ બધાં જ સંપનાઓ હમણાં હમણાં તો એને ઊંઘમાંથી ઝબકાવીને
જગાડી દે છે
પણ, ચિંતા ન કરો
થોડા દિવસ પછી એ ઝબકીને નહીં જાગે,
કારણ કે
એને સપનાંઓ જ નહીં આવે !

– એષા દાદાવાળા

તાજેતરમાં જ એષા દાદાવાળાનો પ્રથમ કાવ્યસંગ્રહ ‘વરતારો’ ઈમેજ પબ્લિકેશન્સના નેજા હેઠળ પ્રગટ થયો છે. કોઈ પણ કવિના જીવનના સહુથી મોટા ગણી શકાય એવા આ પ્રસંગ નિમિત્તે એષાને લયસ્તરો ટીમ તરફથી હાર્દિક અભિનંદન અને ખૂબ ખૂબ શુભકામનાઓ…

(કવિતા મોકલવા માટે આભાર : જય ત્રિવેદી)

Comments (13)

આ વખતે નહીં – પ્રસૂન જોશી

 
( મૂળ કવિતા સાંભળો કવિના પોતાના જ અવાજમા. )

આ વખતે નહીં.
આ વખતે એ નાની છોકરી મારી પાસે ઘસરકો લઈને આવશે
તો હું ફૂંક મારીને એને ખુશ નહીં કરું,
એની પીડાને હું વધવા દઈશ.
આ વખતે નહીં.

આ વખતે જ્યારે ચહેરાઓ પર દર્દ લખાયેલા જોઈશ,
નહીં ગાઉં પીડા ભૂલાવી દે એવાં ગીત.
દર્દને પચવા દઈશ, અંદર ઊંડે ઊતરવા દઈશ.
આ વખતે નહીં.

આ વખતે હું મલમ નહીં લગાડું.
નહીં લઉં હાથમાં રૂના પૂમડાં
અને નહીં કહું કે તું આંખ મીચી લે,
જરા માથું એ તરફ કરી લે, હું દવા લગાડી આપું છું.
જોવા દઈશ બધ્ધાને, આપણા બધ્ધાને, ઉઘાડા નગ્ન ઘા.
આ વખતે નહીં.

આ વખતે તકલીફો જોઈશ. તડફડાટ જોઈશ. નહીં દોડું ગૂંચવાયેલી દોરીને ઉકેલવા.
ગૂંચવાવા દઈશ જેટલી ગૂંચવાઈ શકે.
આ વખતે નહીં.

આ વખતે કર્તવ્યની આણ આપીને હથિયાર નહીં ઉઠાવું.
નહીં કરું ફરીથી એક નવી શરૂઆત.
નહીં બનું એક કર્મયોગીનું ઉદાહરણ.
નહીં ચડવા દઉં જીંદગીને આટલી આસાનીથી પાટા પર.
એને કાદવમાં ઊતરી જવા દઈશ, વાંકા ચૂંકા રસ્તા પર.
નહીં સૂકાવા દઉં દિવાલ પરનું લોહી,
નહીં ઝાંખો થવા દઉં એનો રંગ.
આ વખતે એને એટલું લાચાર નહીં થઈ જવા દઉં
કે પાનની પિચકારી અને લોહીનો ફરક જ મટી જાય.
આ વખતે નહીં.

આ વખતે ઘાને જોવા છે,
ધ્યાનથી,
લાંબા સમય સુધી.
થોડા નિર્ણય
અને એના પછી હિંમત.
ક્યાંકથી તો શરૂઆત કરવી જ પડશે
આ વખતે તો નક્કી કર્યું છે.

– પ્રસૂન જોશી

મુંબઈ આતંકકાંડનો ખરો જવાબ શું હોઈ શકે ?

આજે તો ગુસ્સો તમને છે એટલો મને પણ છે અને અકળામણ તમને છે એટલી મને પણ છે. પણ થોડા જ વખતમાં આપણે દર વખતની જેમ આપણે આ બધુ ભૂલી જઈશું.

વહેલા લોહીનું ઋણ ખરેખર ચૂકવવું હોય તો ચાલાક થવું પડશે. આ ઘા કદી ન ભૂલાય એની કાળજી લેવી પડશે. આ ભસ્મને રાષ્ટ્રના લલાટમાં એવી લગાડવી પડશે કે કેટલીય પેઢીઓ સુધી દેખાયા કરે. એક દેશના સ્વમાનને જગાડવું પડશે. એક પીડાને ઉછેરવી પડશે. એક પ્રજાની હિંમતને કંડારવી પડશે. ગમે તે કિંમત ચૂકવવાની તૈયારી કરવી પડશે.

આ બધુ કરવા માટે આપણે લાંબો વિચાર કરવો પડશે. આપણા ગુસ્સાને આપણે કાબૂમાં કરવો પડશે. અને પછી એને કેન્દ્રિત કરવો પડશે. એક દેશ તરીકે ને એક પ્રજા તરીકે આપણે આ અંગારને સતત હાથમાં રાખીને વિચારતા શીખવું પડશે. બલિદાન આપતા શીખવું પડશે. આટલું રાષ્ટ્રમંથન કરવું પડશે. આ રાષ્ટ્રમંથનમાંથી જે જ્વાળા નીકળશે એ જ આ હુમલાનો ખરો જવાબ હશે.

એરિસ્ટોટલે સદીઓ પહેલા કહેલી વાત આજે યાદ રાખવાની છે :

Anyone can become angry. That is easy. But to be angry with the right person, to the right degree, at the right time, for the right purpose and in the right way – that is not easy.

આ કવિતા જાણીતા ગીતકાર અને એડવર્ટાઈઝીગ-ગુરુ પ્રસૂન જોશીની હિન્દી કવિતાનો અનુવાદ છે.

Comments (13)

હું તમારી કવિતા વાચું છું ત્યારે – શ્રીનાથ જોશી

હું તમારી કવિતા વાચું છું ત્યારે
મને એમ લાગે છે કે હું સમુદ્રના સાન્નિધ્યમાં છું.
પૃથ્વી પર વસું છું
છતાંય તમારી ધરતી અને આકાશની વચ્ચે
હું અજાણ્યા લય-તાલમાં શ્વસું છું:

તમારી સૃષ્ટિના મુલાયમ પ્હાડ પર મેં
કુમળા બાળક જેવા સૂર્યને ઊગતાં જોયો છે.
ચંદ્રનો ચ્હેરો જોયો છે મેં
તમારા બન્ને હાથની રસાળ ડાળીઓ વચ્ચે

અંધકારના મૌનની વચ્ચે
વહે છે હવા
કોઈ લાવણ્યમય સ્ત્રીની
સહજ, સ્વાભાવિક ગતિ જેવી.

હું તમારી કવિતા વાંચું છું ત્યારે
મને એમ લાગે છે
કે હું સમગ્ર વિશ્વના સાન્નિધ્યમાં છું.

-શ્રીનાથ જોશી

કવિતા વાંચતા કેવી અનુભૂતિ થાય છે એને વણી લઈને દુનિયાના બધા કવિઓને એમની કવિતાઓના જવાબમાં આ કાવ્ય લખેલું છે. કવિતાઓનું વાંચન એક નવું વિશ્વ, નવું સંગીત, નવો પ્રકાશ ને  નવી સંવેદના રચી આપે છે. આ બધા માટે આપણે કવિઓના ઋણી છીએ… અને એ ઋણ ચુકવવાનો સાચો રસ્તો ? – એક વધુ કવિતા લખીને આભાર માનવો !

Comments (3)

અશબ્દ રાત્રિ – પ્રિયકાન્ત મણિયાર

મટુકીને
જાણ કશી ન થાય
સુતેલ એવા જળને જગાડ્યું,
બીતાં બીતાં મેં;
જરી થોડું પીધું,
પીધા પછી પાત્ર વિશે વધ્યું તે
ઢોળી દીધું મધ્ય અશબ્દ રાત્રિમાં;
       મજલેથી ત્રીજે
તે તો વહ્યું છેક જતાં જતાં તળે
ધીરે ધીરે પાઈપમાં લપાયલી
હેમંતની શીતલ શાંતિના સ્વરો
જગાડતું
જંપી ગયું ક્ષણોમાં.

– પ્રિયકાંત મણિયાર

કવિ પાણી પીવા ઊઠે એમાય કવિતા 🙂

Comments (5)

શહીદ – કૃષ્ણ દવે

નવા નવા થયેલા શહીદોએ કહ્યું,
અમને ગર્વ છે કે અમે દેશ માટે જીવ આપી દીધો.
આટલું સાંભળીને એક સીનિઅર શહીદ બોલ્યા: ગર્વ તો મને પણ હતો, ભાઈ !
મેં પણ મારો જીવ આપીને બચાવી હતી સંસદને.
પરંતુ અફસોસ તો એ વાતનો છે કે
મને મરણોત્તર મળેલો મેડલ ધૂળ ખાઈ રહ્યો છે !
મારો પરિવાર સરકારી કચેરીઓના ધક્કા ખાઈ રહ્યો છે !
અને
મને મારનારાઓ જેલમાં બેસીને આરામથી રોટલીઓ ખાઈ રહ્યા છે !

-કૃષ્ણ દવે

આપણી નમાલી નિષ્ઠાવિહોણી લોકશાહી અને આપણી માનવતાવાદી સંસ્થાઓ શું આપણને ભારે નથી પડી રહી ? મુઠ્ઠીભર આતંકવાદીઓની હિંમત શી રીતે થઈ શકે છે એક અબજ લોકોના દેશને છાશવારે બાનમાં લેવાની ? મૃત્યુને હાથમાં લઈને નીકળતા કહેવાતા જેહાદીઓને સીધા ઠાર મારવાને બદલે મૃત્યુ પણ ડરે અને બીજીવાર આતંકવાદ ફેલાવવાનો વિચાર કરતા પસીનો ફૂટી આવે એવું મૃત્યુ આપવું શું જરૂરી નથી બની ગયું ?

આપણી નિર્વીર્ય નેતાગીરી અને કદી ‘અપગ્રેડ’ ન થતી ન્યાયપ્રણાલીના કારણે સ્વર્ગમાં શહીદો પણ કૃષ્ણ દવે કહે છે એ રીતે દુઃખી થતા હોય એમાં કોઈ શંકા છે ?

Comments (13)

તું – સુરેશ ભટ્ટ

તું મારા આયુષ્યની સવાર,
તું મારા કેફનાં મોજાં બેસુમાર.

તું ગયા જન્મનો આર્ત સાદ,
તું માનસકુંજનો વેણુનાદ.

તું મારા એકાંતનો પ્રકાશ,
તું મારા ગીતોનો બાહુપાશ.

તું મારાં દુ:ખોની ચાંદરાત,
તું મારાં સ્વપ્નોનું પારિજાત.

તું મારા અમૃતાભાસનો ચંગરાગ,
તું મારા ઓલવાયેલા દેહનો દીપરાગ.

તું મારા શ્વાસનો પ્રવાસ,
તું મારા લોહીની લાલાશ.

તું મારી હયાતીનો અંશેઅંશ,
તું મારા ન હોવાનો મધુર દંશ.

– સુરેશ ભટ્ટ
(મૂળ મરાઠીમાંથી અનુવાદ સુરેશ દલાલ)

એક સંબંધની આખી કથા કવિએ અહીં માત્ર ઉપમાઓના ઉપયોગથી કરી છે. ઉપમાઓનો કવિએ ઓચ્છવ કરી દીધો છે ! – ‘તું મારા આયુષ્યની સવાર’ થી શરૂ થતી સફર ‘તું મારા ન હોવાનો મધુર દંશ’ પર પૂરી થાય છે. આ કાવ્ય હું વર્ષોથી વાંચું છું અને દરેક વખતે આ ઉપમાઓની નવી અર્થછાયાઓ પકડાય છે.

(ચંગ=આનંદમય, મનોહર; આર્ત=વ્યાકુળ)

Comments (7)

બાળકોના વોર્ડમાં એક માતા – વાડીલાલ ડગલી

જાણે સાવ ખાલી ખાટલાના
ઊંચાનીચા થતા ખૂણા પાસે
સ્ટૂલ પર બેઠી બેઠી માતા
ઓશીકાની ઝૂલ પર ઢળી પડે.
કૂણા શ્વાસોચ્છવાસ સાંભળતા
વિહ્વળ કાનને ઝોકું આવે
શિશુની ધૂપછાંવ સૃષ્ટિમાં
જનેતા જરા ડોક લંબાવે.
સંશય, અજંપો, ભીતિ, થાક
ચપટીક ઊંઘમાં ઓગળે.
ગાંડા દરિયાનાં મોજા પર
સૂનમૂન એક ફૂલ તરે.

– વાડીલાલ ડગલી

ડૉકટર હોવા છતાં બાળકોના વોર્ડમાં જતા હું જરા ખચકાઉં છું. એમના મા-બાપની આંખમાં આંખ નાખીને જોતા હજુ ય મને કચવાટ થાય છે. જીંદગીમાં એક જ વાત મારા પોતાના દીકરાને હોસ્પિટલમાં દાખલ કરવો પડેલો – એ ત્રણ દિવસ આટલા વર્ષો પછી પણ આંખ સામેથી ખસતા નથી. આ કાવ્યમાં કવિ માંદા બાળકના ઓશીકે બેઠેલી માતાનું જીવંત ચિત્ર ખડુ કરી દે છે. એક એક શબ્દ કવિએ કેટલો જોખીને વાપર્યો છે એ જોવા જેવું છે. અને આખી પરિસ્થિતિનો ચોટદાર નીચોડ કવિ છેલ્લી બે પંક્તિમા કરી દે છે.

Comments (9)