કરે છે એક ને પીડાય છે બીજો જ સતત
પુરુ છે દેહ ને મન આપણું યયાતિ છે.
ડેનિશ જરીવાલા

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for અછાંદસ

અછાંદસ શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.




જ્યારે આપણે પ્રેમ કરીએ છીએ – મંગેશ પાડગાંવકર, અનુ. સુરેશ દલાલ

જ્યારે આપણે પ્રેમ કરીએ છીએ
ત્યારે આપણા ખમીસને ખીસું નથી હોતું,
તે પેલીનો હોય છે,
પેલી તેની હોય છે.
કદરૂપો ગવૈયો રંગમાં ગાતાં ગાતાં
જેવો સુંદર દેખાય
તેવા આપણે સુંદર હોઇએ છીએ.

જ્યારે આપણે પ્રેમ કરીએ છીએ,
ત્યારે આપણે આપણે નથી હોતાં :
આપણે હોઇએ છીએ કોઇક અનોખા જાદુગર :
કંડમ પાંસળીમાં
ગંધે ઉભરાઇ જતા ફૂલબાગ ખીલવનાર,
ક્યારેક પણ કદીક પણ કોઇએ એક કાળે
પ્રેમ કરવો હોય ભલે ચીલાચાલુ તો પણ
તેણે તેના ફિક્કા ચહેરાને સુખચંદ્ર કહેવો.

તેને હોય પંચોત્તેરનો બેઝિક તો પણ
તેણે તેને સાદ કરવો રાજા કહીને.
તેના જન્મદિવસે તેણે લાવવો યાદ કરીને
પાણી છાંટેલો જૂઇનો ગજરો છ પૈસાનો.
(અચ્છી વસ્તીમાં તે રાતના સસ્તો મળે છે.)
છ બાય છની ખોલીમાં પોપડા ઉખડેલાં,
લંગડા ટેબલ પાસેના કાટ ખાધેલા ખાટલાને
તે બન્ને એ કહેવાનો ‘શયનમહાલ’
આ બધું સોગંદ ખાઇને કહું છું કે, સાચું હોય છે.

કારણ જ્યારે આપણે પ્રેમ કરીએ છીએ,
ત્યારેજ આપણે સાચા હોઇએ છીએ ચૂકીને એકાદ વાર
જ્યારે પેલી પ્રેમ કરે છે
ત્યારે તે તેને ગાઇને બતાવે છે
કંપતા બેસૂર અવાજમાં :
તેને પણ તે સૂર દેખાય છે પોપટી પાંદડી જેવાં.
કારણ ત્યારે પેલી પોતે જ એક ગીત હોય છે,
કારણ ત્યારે પેલો પોતે જ એક ગીત હોય છે.

પછીથી જીભ દાઝે છે, હોઠ બળી જાય છે.
વાસી ભજીયાનાં બળેલા ઓડકારા આવે છે જિંદગીને.
મોંમાં ભરાઇ જાય છે કડવા દ્વેષનું થૂંક.
પણ તે થૂંકતો નથી જગત પર :
કમમાં કમ એક વાર ગળી જાય છે તે સમજણથી :
કારણ પેલીએ સીવેલા હોય છે તેના – તેના રાજાનાં –
બે જ ફાટેલા પુરાણાં શર્ટ ફરી ફરીને
અને પેલાએ થીંગડા મારેલા પાલવથી
તેણે સાંધેલું હોય છે એક આકાશ.

 

True love reinvents itself every second…….

Comments (6)

દીકરી – મીનાક્ષી કૈલાસ પંડિત

મારી દીકરી મને બહુ ગમે છે
નાની અમસ્તી, બોલતી, રમતી,
ફોટા જેવી ઢીંગલી.

દોડતાં દોડતાં પડી જાય છે ત્યારે
ફૂલના ઢગલા જેવી લાગે છે
કાંઈ પણ ખવડાવો તો એ
ડ્રેસ ઉપર જરૂર નાંખે છે તોય એ
ગંદા થતા જ નથી.

એ ખિલખિલાટ હસે છે ત્યારે
ખોબલો ધરી હાસ્ય ભેગું કરી
પર્સમાં મૂકી દઉં છું હું
પછી આખો દિવસ એ પર્સ ખોલી
દીકરીના હાસ્યથી મારા ચહેરાને
ભર્યા કરું છું.

દીકરી મોટી થઈ જશે ત્યારે ?

– મીનાક્ષી કૈલાસ પંડિત

ગઈકાલે દીકરી વિશે શેફાલી રાજની એક મજાની કવિતા વાંચી. આજે એ જ કાવ્ય સંગ્રહ ‘ત્રિધા’માંથી એવા જ મિજાજની એક કવિતા મીનાક્ષી પંડિતની કલમે…

Comments (12)

દીકરી – શેફાલી રાજ

દીકરીની વિસ્મયભરી આંખોમાં છે
પ્રશ્નો, આશ્ચર્ય અને ભોળપણ
એના પ્રશ્નો
મને મૂંઝવી દે છે
એના ફૂલોના ઢગલા જેવા હાસ્યને
સૂંઘીને હું જીવવા માટેના શ્વાસ
એકઠા કરી લઉં છું
કદાચ… આવતી કાલે…
એનું હાસ્ય
આટલું બધું સુગંધિત નહીં હોય.

– શેફાલી રાજ

એક સાવ નાનકડું, ખોબલામાં સમાઈ જાય એવું કાવ્ય પણ એટલામાં મા-બાપની આખી જિંદગીનું, એક-એક શ્વાસનું સરનામું જડી આવે છે. સંતાનો મોટા થશે એટલે બદલાઈ જરૂર જવાના એ ખાતરી એક ફેફસાંમાં ઢબૂરી દઈને મા-બાપ સંતાન જ્યારે પુષ્પ જેવા સુવાસિત હોય છે ત્યારના સંસ્મરણોના પ્રાણવાયુથી બીજા ફેફસાની ટાંકી ભરી રાખે છે જેથી પાછળની જિંદગી જીવી શકાય…

Comments (22)

મધરાતે – અમૃતા પ્રીતમ

તારી સ્મૃતિ મારે બારણે ટકોરા મારે છે

આ મારા ગીતના શબ્દો નથી
પણ પ્રેમના લલાટ પરના પસીનાનાં બિંદુઓ છે.

આ મારા ગીતના શબ્દો નથી
મારી કલમના રુંધાતાં આંસુઓ છે.

આ મારા ગીતના શબ્દો નથી
ઘવાયેલા મૌનનું આક્રન્દ છે.

મેં પ્રેમનું તમામ દેવું ચૂકવી દીધું છે
અને દરેક દેવું ચૂકવવાનું હોય છે –
કેમ ક્યારેય દેવું ઓછું નથી થતું ?

તારી સ્મૃતિ બાકીનાની સાથે આવીને
આજની રાતે મૃત્યુના કોરા ચેક પર
સહી કરવાનું જિંદગીને ફરમાન કરે છે.

તારી સ્મૃતિ મારે બારણે ટકોરા મારે છે.

– અમૃતા પ્રીતમ ( અનુ. સુરેશ દલાલ)

એક યાદ મોડી રાત્રે ત્રાટકે ત્યારની ઘડીનું કાવ્ય. આ ઘડીએ માણસે કોરા ચેક પર સહી કરવા સિવાય  કાંઈ કરવાનું રહેતુ નથી.

Comments (13)

અંધારપટ – મીનાક્ષી કૈલાશ પંડિત

મુંબઈમાં અંધારપટ છવાઈ ગયો
ભાગી રહેલી મોટરોને જોઈ
દોડતા કૂતરા મૂંગાય થઈ ગયા
તારના દોરડે ચકરાતા ટેલિફોને
પાટાઓ પર ચાલી રહેલાઓની
ઠેકડી ઉડાડી.
રસ્તાની હૉટલોમાં પાણી સાથે ચા પીને
આગળ જતા સહુએ અજાણ્યા સાથે
દોસ્તી બાંધી
એક જ મકાનમાં રહેતા ભાડૂતોની
બંધ પડેલી લિફ્ટમાં ઓળખાણ થઈ
ટેબલ પર બળતી મીણબત્તીએ
પ્રગટાવેલા દીવા સાથે વાત કરી
વીજળી આવી જતાં ફરી બધે અંધારું ?!!

– મીનાક્ષી કૈલાશ પંડિત

આમ તો આપણી દુનિયા સાવ નાનકડી થઈ ગઈ છે. મોબાઇલ, ઇન્ટરનેટ, હવાઈ જહાજના માધ્યમથી હજારો કિલોમીટરનું અંતર પણ વર્તાતું નથી પણ મુંબઈ જેવા મહાનગરમાં આપણા એપાર્ટમેન્ટમાં એક ફ્લેટથી બીજા ફ્લેટ જેટલું અંતર કાપવામાં મહિનાઓ અને વરસો લાગી જતા હોય છે. કૈલાશ પંડિત જેવા ગઝલકારના પત્નીની આ કવિતાના અંતે સૉનેટ જેવી ચોટ છે અને પંક્તિઓ પણ ચૌદ છે. કવિ શ્રી સુરેશ દલાલ આ અછાંદસને કદાચ મુક્ત સૉનેટ તરીકે પણ ઓળખાવે.

Comments (10)

શબ્દ-સંબંધ – હરિવંશરાય બચ્ચન-અનુ.સુશી દલાલ

મેં મારાં દુઃખ-દર્દ તમને નહીં,
કલમને કહ્યાં હતા;
જો એણે તમારા સુધી પહોંચાડ્યાં નહીં
તો હું તમને દોષ નથી દેતો.
મેં મારા દુઃખ-દર્દ તમને નહીં
કાગળને કહ્યાં હતાં;
જો તમે મારા પ્રત્યે સહાનુભૂતિ ન દર્શાવી
તો હું તમને દોષ નથી દેતો.

મેં મારા દુઃખ-દર્દ તમને નહીં,
કાળી રાતોને કહ્યાં હતાં,
મૂંગા તારાઓને કહ્યાં હતાં,
સૂના આકાશને કહ્યાં હતાં,
જો એમનો પ્રતિધ્વનિ
તમારા અંતરમાંથી નહીં ઊઠે
તો હું તમને દોષ નથી દેતો.
મને ખબર હતી
કે એક દિવસ
મારી વેદનાઓનો સાથ મારાથી છૂટશે,
પણ મારા શબ્દોથી
મારી વેદનાનો સંબંધ ક્યારેય નહીં તૂટે.

 –  હરિવંશરાય બચ્ચન – અનુ.સુશી દલાલ

જિબ્રાને કહ્યું છે- ‘ મારા શબ્દો મારી વેદનાના એકમાત્ર સાક્ષી છે…..’

Comments (6)

હે, મિત્ર ! – અનામી – અનુ.જગદીશ જોષી

હું તને પ્રેમ કરું છું માત્ર એટલા માટે નહીં કે તું તું છે,
પણ તારી સાથે હોઉં ત્યારે હું જે હોઉં છું એટલા માટે પણ.
હું તને પ્રેમ કરું છું તેં તારી જાતને જે રીતે આકારી છે
એટલા માટે જ નહીં, પણ તું મને જેવો ઘડ્યા કરે છે
એટલા માટે પણ.

હું તને એટલા માટે પ્રેમ કરું છું કે મને એક અચ્છો જીવ બનાવવા માટે
કોઈ પણ સંપ્રદાય જે કંઈ કરી શક્યો હોત એના કરતાં અને
મને સુખી કરવા માટે કોઈ પણ વિધાતા જે કંઈ કરી શકી હોત એના કરતાં
તેં મારા માટે વધારે કર્યું છે.

તું આ સાધે છે તે પોતાપણું જાળવીને જ.
અંતે તો,
મિત્ર બનવાનો મરમ જ કદાચ આ છે.

અંગત રીતે ઈશ્વરે મારા પર એટલી કૃપા અવશ્ય કરી છે કે હું કાવ્યને મારી પોતાની લાગણીઓની અભિવ્યક્તિ માની શકું તેવા ચંદ મિત્રો એણે મને આપ્યા છે…..

Comments (7)

પ્રેમ જ પ્રેમ – ડેરેક વોલ્કોટ

એવો વખત આવશે
જ્યારે ઉમળકાથી,
તમે પોતાની જાતનું સ્વાગત કરશો –
તમારા પોતાના જ દરવાજે, તમારા પોતાના અરીસામાં,
ને સ્વાગતમાં બંનેના ચહેરા પર છલકાશે સ્મિત.

ને કહેશો, બેસ, સાથે ખાઈએ,
તમે ફરી એ અજાણ્યા શખ્સને પ્રેમ કરવા માંડશો જે તમે પોતે જ છો.
પાણી પુછજો. ખાવા બેસાડજો. ને ફરી પાછું તમારું દિલ
તમારી જાતને આપજો, એ શખ્શને જે તમને ખુબ પ્રેમ કરે છે

આખી જીદગીભર તમે બીજાઓ માટે થઇને જેને અવગણ્યા કર્યો
તે તો તમને પૂરા દિલથી જાણે છે.
ઉતારી લો અભેરાઈ પરથી પ્રેમપત્રો,

ફોટોગ્રાફ્સ, ને કાકલુદીભરી ચિઠ્ઠીઓ,
અરીસામાંની તમારી છબી ખંખેરી કાઢો.
બેસો. જિંદગીને મહેફિલ કરી દો.

– ડેરેક વોલ્કોટ
(અનુ ધવલ શાહ)

માણસ પોતાની જાત વિશે બધુ જ જાણતો હોય છે. અને એટલે જ કદાચ પોતાની જાતને ચાહી શકતો નથી. જે પોતાને ચાહી ન શકે એને તો આખી દુનિયામાં કયાંક પણ જાય, અણખટ જ થવાની. ચારે તરફ દોડવાને બદલે કવિ પહેલા પોતાની જાત સાથે comfortable થવાનું કહે છે. આટલું કરો એ આનંદની ચાવી છે. એ પછી આખી જિંદગી મહેફિલ જ છે.

ડેરેક વોલ્કોટ એ વેસ્ટ ઈન્ડિઝના રહેવાસી છે. ૧૯૯૨નું સાહિત્યનું નોબેલ પ્રાઈઝ એમને મળેલું. એમની આ કવિતામાં ઘૂંટાયેલો સંતોષ છલકે છે.આ કવિતા એમની સૌથી પ્રસિદ્ધ કવિતાઓમાંથી એક છે.

Comments (12)

— – સાનાઉલ હક – અનુ.નલિની માડગાંવકર

સાંજે તું આવશે તેથી
એક આખેઆખી સાંજને મેં
લાકડાના દાદરે ઊભી રાખી હતી.

રાતે તને સમય મળશે એ જાણીને
એક દિવસને ઉતાવળને બહાને
થોડીક વાતો કરી વિદાય કરી દીધો હતો.
પરોઢિયે તું પદ્મની શુભ્રતા બનશે એમ ધારીને
મેં રાતના બધા દીવાઓ
મારા હાથે જ ઓલવી નાખ્યા હતા.
અને બપોરે તું આરામથી મારી સંગિની થશે તેથી
ટેલિફોન, હોલા અને કાગડાને
મારી ચારેય હદમાં આવવાની મનાઈ કરી દીધી હતી.
અને આથમતી સાંજે તું આવશે એવા વિશ્વાસે
મેં દિવસની ઊંઘને રાતના અંધકારમાં
એક દિવસ માટે રજા આપી દીધી હતી.

– સાનાઉલ હક (અનુ.નલિની માડગાંવકર)

માનવીની મોટાભાગની conflicts અને miseries નું મૂળ- ‘આવતીકાલ’ માટે ‘આજ’ ને અવગણવી; અને ‘ગઈકાલ’ના હરખ-શોકમાં રચ્યાપચ્યા રહેવું.

Comments (5)

દુકાળ – રામચન્દ્ર પટેલ

સામે
સૂમસામ ઊભાં બુઠ્ઠાં ઝાડ,
પહાડ, ઉઘાડાં હાડ…
પથર પથરા પડ્યા ખખડિયાં નારિયેળ !

નદી તો,
કોક આદિવાસી કન્યાનું હાડખોખું
આંખો ફોડીને
ઊભી દિશાઓ,
વેળુ લઈને વાયરો ઊડે…

આભ
છાબ ભરી ભરીને નાંખે અંગારા
બળે પર્ણપીંછાં
વીંઝાય જટાયુ શો સીમવગડો
અહીં કોઈ અગ્નિમુખો ફરે…

પ્હેરો ભરે…
સૂર્યના હાથમાં આપીને ધારિયું !

– રામચન્દ્ર પટેલ

દુકાળ કદી ન જોયો હોય તો પણ તાદૃશ કરી આપે એવું બળકટ અછાંદસ. કવિતાનો આંતરિક લય પણ એવો જ સશક્ત. બુઠ્ઠાં ઝાડ, આદિવાસી કન્યાના હાડપિંજર જેવી સૂકી નદી, જટાયુ જેવો ઘાયલ વગડો અને તડકા જેવો કોઈ દશમુખો… એક-એક કલ્પન રૂંવાડા ઊભા કરી દે એવા છે.

Comments (3)

છળી મરે છે તરસ – મનીષા જોશી

તળાવ પુરાઈ જાય
એટલે શું પુરાઈ જાય?
તરસ?
ગામને પાદરે આવેલો એક વિસ્તાર
તેની ઓળખ ગુમાવી દે તેથી,
વહેલી સવારે હળવેથી
તળાવનાં પગથિયાં ઊતરીને
આત્મહત્યા કરવા જઈ રહેલું કોઈ
શું જીવી જાય છે?
તળાવ આજે હોય.
ને કાલે ન હોય.
પણ અહીં ડૂબી ગયેલી એક લાશ
નીતરતી રહે છે.
તેનું પેટ દબાવો ને પાણી વછૂટે છે,
ઘોડાપૂર જેવાં.
ડૂબી જાય છે કંઈકૅટલાં
ને છળી મરે છે તરસ.

– મનીષા જોશી

કહે છે કે તમારું હોવું એટલે તમારા પગલાનો સરવાળો. અને તળાવના ભૂતકાળમાં એક પગલું – ન ભરવાનું પગલું – આત્મહત્યાનું છે. જે કમનસીબે તળાવના ન હોવાથી પણ કદી ભ્ંસાવાનું નથી. (કદાચ એટલે જ તળાવ પુરાવી દીધું હશે.) આખા પ્રસંગની ભૂતાવળને તાદ્રશ કરવા માટે કવિને ચાર જ શબ્દની જરૂર પડે છે – ‘છળી મરે છે તરસ’.

Comments (2)

પુનરાગમન – શ્રીકાન્ત વર્મા

મેં તેને આ જ રસ્તે
જતાં જોયો:

એકલો નહોતો તે,
સૈન્ય હતું,
હાથી હતા,
ઘોડા હતા,
રથ હતા,
વાજિંત્રો હતાં –
જાહોજલાલી હતી.

એ બધાંની વચ્ચે
એક ઘોડા પર સવાર
શાંત
તે
એવી રીતે જઈ રહ્યો હતો,
જેમ કે લગામ
તેના હાથમાં હોય
બધાં
માત્ર અનુગમન
કરી રહ્યાં હોય.

વીસ વર્ષ પછી
હું તેને એ જ રસ્તે
આવતાં
જોઈ રહ્યો છું:

એકલો નથી તે,
સૈન્ય છે,
હાથી છે,
ઘોડા છે,
રથ છે,
વાજિંત્રો છે –
જાહોજલાલી છે.

એ બધાંની વચ્ચે 
ઘોડા પર સવાર
શાંત
તે
એવી રીતે પસાર થઈ રહ્યો છે
જેમ કે લગામ 
કોઈ બીજાના
હાથમાં હોય,
તે
માત્ર અનુગમન
કરી રહ્યો હોય.

– શ્રીકાન્ત વર્મા
(અનુવાદ : જીતેન્દ્ર બ્રહ્મભટ્ટ )

શ્રીકાંત વર્માના સંગ્રહ ‘મગધ’માંથી આ કાવ્ય છે. ‘મગધ’ સંગ્રહમાં કવિ સમયનું સંમોહન કરીને, પોતાની સાથે આપણને પણ, મગધના સુવર્ણયુગમાં લઈ જાય છે.

આ સંદર્ભ વિના પણ આમ તો કાવ્ય માણી શકાય એમ છે. પણ આટલી વાત કરો એટલે તરત ખ્યાલ આવે કે વાત સમ્રાટ અશોકની છે. દુનિયાને દોરવાનું ગુમાન રાખતો અશોક, પાછા વળતી વખતે વિચારમાં લીન, હતહ્રદય, ને જાણે દુનિયામાં પોતાનું સ્થાન શોધવા મથતો હોય એવી સ્થિતિમાં દેખાય છે. કવિના વર્ણનથી શરુઆતમાં લાગે છે કે જાણે કાંઈ પણ બદલાયું નથી. પણ, પછી ખ્યાલ આવે છે કે કશું ય બદલાયા વિનાનું રહયું નથી… ને એક ટીસ નીકળી જાય છે.

સાથે જુઓ, આ જ કવિનું કાવ્ય કલિંગ. એમાં આ જ વાત, તદ્દન અલગ રીતે કરી છે. ને વળી, આ જ સંગ્રહમાંનું અદભૂત કાવ્ય, મિત્રોના સવાલ પણ જોજો. 

Comments (3)

સંવાદ – કુસુમાગ્રજ

તમે જ્યારે
મારી કવિતા સાથે બોલતા હો
ત્યારે મારી સાથે બોલતા નહીં,
કારણ કે મારી કવિતામાં
મોટે ભાગે
હું જ હોઈશ ઘણોબધો,
પણ મારા બોલવામાં તો
તમે જ હશો
ઘણી વાર.

– કુસુમાગ્રજ
(અનુ. જયા મહેતા)

પોતાની જાત ઓગળી જાય – ભૂલાઈ જાય – એ અવસ્થાથી તો થોડા જ લોકો લખી શકે છે. પોતાના કવિતામાના અહમના પડને કવિએ (કવિતામાં જ!) આબાદ ઓળખી બતાવ્યું છે.

જો કે આ તો એક અર્થ છે. આ ટચુકડી કવિતાના અલગ અર્થ પણ કાઢી શકાય એમ છે. તમને શું અર્થ લાગે છે?

Comments (4)

યુવાગૌરવ: ૨૦૦૭: સૌમ્ય જોશી – વાવ

આ રવિવારે ૨૪મી જુલાઈના રોજ અમદાવાદ ખાતે ગુજરાત રાજ્ય સરકાર તથા ગુજરાત સાહિત્ય અકાદમી તરફથી અપાતો યુવા ગૌરવ પુરસ્કાર વર્ષ ૨૦૦૭ માટે સૌમ્ય જોશીને આપવામાં આવ્યો. સૌમ્ય જોશીને લયસ્તરો ટીમ તરફથી હાર્દિક અભિનંદન !

1_saumyajoshi

(૧)
એક વાવમાં,
હજાર પગથિયાં ઉતરીને તરસ ભાંગી’તી,
ને બહાર નીકળયો ત્યારે
હજાર પગથિયાં ચઢ્યાના થાકે પાછું સૂકાઈ ગયું ગળુ,
આપડે મળીને છૂટા પડીએ ત્યારે,
યાદ આવે છે એ વાવ.

(૨)
છેક નીચેના માળે ઉતરવાની તારે ચિંતા નઈં,
ગમે ત્યાંથી બેડું ભરી લે,
આ સ્તંભ કોતરણી ને સાત માળ,
પાણી પાણી થઈ જાય છે તને જોઈને.

(૩)
લીલ બાઝી ગઈ છે વાવનાં પાણી પર,
એની માને,
તરસની આળસ તો જો.

(૪)
તને નઈ મળયાની તરસનો વધતો અંધકાર જોઈ હરખાઉં છું.
યાદ કરું છું વાવ,
પાણીવાળા છેક નીચેના માળે,
સૌથી વધુ હોય છે અંધાર.

(૫)
હવે ખાલી પથ્થર, ખાડો, અંધારું ને અવકાશ,
પોતાના જ પગથિયાં ચડીને વાવ તો ક્યારની નીકળી ગઈ બ્હાર.

(૬)
બોલું છું ને બોલેલું જોવા ઉભો રહું છું
વાવ છે ભઈ,
અરીસો છે અવાજનો.

– સૌમ્ય જોશી

સૌમ્ય જોશીની પ્રસ્તુત કવિતામાં આમ તો બાર કલ્પન છે પણ એમાંથી છ કલ્પન અહીં પ્રસ્તુત છે. છ એ છ કલ્પનમાં કવિનો દૃષ્ટિકોણ દાદ માંગી લે એવો છે.

Comments (26)

અમસ્તું – લાભશંકર ઠાકર

૧.
વધારાનું છે, સર.
દૂર કરવું છે, સર.
અતિશય અતિશય છે, સર.
ધૂન છે, ધામધૂમ છે, સર.

આમ
અર્થયુકત હોવું તે વધારાનું છે, સર.

૨.
આમેય નથી અને તેમેય નથી.
ઉગાડવા છતાં ઉગતી જ નથી.
મૂળ જ નથી.
બીજ જ નથી.
નથી નથી તો શબ્દ કેમ છે-
ઘંટારવ કરતો પડઘાતો પડઘાતો
સતત સતત સદીઓથી કાનોમાં
આ-આ-સમૂહનો?

૩.
હાથ જોડું પગ જોડું
છતાં છૂટો, અલગ, ભિન્ન, સમૂહના કાંઠે, તટસ્થ.
કૂદી પડું આ ઘુઘવાટમાં, ટુ એન્ડ?

૪.
બધું જ મનની તિરાડમાંથી આવે
ને સરક સરક સરકીને સ્પર્શતું જાય.
કંઈ કશુંય તે ના થાય,
આ આમ હોવાનું વંચાય: કહો કે ભાન
અમસ્તું.

– લાભશંકર ઠાકર

અર્થયુકત હોવું વધારાનું છે. કશું ઉગતું નથી પણ ટોળાનો શબ્દ બેશુમાર પડઘાતો રહે છે. સમુહમાં ભળવું અશક્ય છે. ભાન (consciousness) એ તો મનની તિરાડમાંથી વહેતું પાણી માત્ર છે. અને એય – અમસ્તું.

નિરર્થકતાના પડ ઉપર પડ ચડી ગયેલા અસ્તિત્વને કવિ (ક્રૂરતાથી) ઝાટકે છે. અને એય – અમસ્તું.

Comments (1)

ઝાકળ – અબ્દુલ ગફાર કાઝી

પરોઢે
ફૂલોની ડાળે ડાળે
બેઠી છે
ઝાકળની
ઝીણી ઝીણી ચકલીઓ…

*

ફૂલોના રણમાં
ભૂલો પડી ગયો છે
ઝાકળનો કાફલો

*

ઝાકળની પેનથી
હું લખું છું
ફૂલોના કાગળમાં
એક રંગબેરંગી
પતંગિયાની કવિતા…

*

ફૂલ અકસ્માતે મૃત્યુ પામ્યું
ને હવે
હું ભટકી રહ્યો છું
ઝાકળનાં ડૂસકાં લઈને…

– અબ્દુલ ગફાર કાઝી

મોનો ઇમેજ કાવ્ય જો ઢંગથી લખવામાં આવે તો એના દ્વારા ઊભા થતા નાનાવિધ શબ્દચિત્રોની મજા જ કંઈ ઓર છે ! અહીં કવિએ બહુ જૂજ શબ્દોથી ઝાકળના જે ચાર ચિત્રો કલમની પીંછીથી કલ્પનાના કેન્વાસ પર ઉપસાવ્યા છે એ ખરે જ દાદ માંગી લે છે…

Comments (12)

યુનિકોડ ઉદ્યોગ – પંચમ શુક્લ

અગણિત જણ આરાધે અનહદ યુનિકૉડ ઉદ્યોગ !
બિલાડીના ટોપ સમાં
અહીં તહીં લ્યો ઊગી રહ્યાં છે
ખાદ્ય-અખાદ્ય બ્લોગ.
અગણિત જણ આરાધે અનહદ યુનિકૉડ ઉદ્યોગ !

છપ્પનિયાના હડસેલાઓ ખાઈ ખમીને,
ઘઉંની સાથે ધૂળનાં ઢેફાં ભરડી ભરડી-
બે હાથે આરોગે શબ્દોઃ કવિ, લેખક, સહુ લોગ.
અગણિત જણ આરાધે અનહદ યુનિકૉડ ઉદ્યોગ !

સેલ્ફ-પઝેસ્ડ સંચાર જણાયો સન્નિધ સહજ યોગ.
બુદ્ધિ લચીલી, તૂર્તજ ખીલી,
ઝબકારે ઝીલી રજ્જુહીન સંયોગ.
અગણિત જણ આરાધે અનહદ યુનિકૉડ ઉદ્યોગ !

ના સીમા, ના રેખા કે કદ, ના અંકુશ ના બંધન,
ચાર વીઘાનું ખેતર કણકણ ચોસઠ જોજન ઉપવન.
અવકાશી અનુશાસન રચતું નિરાકાર આયોગ.
અગણિત જણ આરાધે અનહદ યુનિકૉડ ઉદ્યોગ !

હૃસ્વ-ઇ, દીર્ઘ-ઈ, ઊંઝો-વીંઝો, તોડો-જોડો કે મચકોડો,
લલિત લઠંગ ઘટા ઘાટીલી
રૂપ ધરે, બહુરૂપ વરે
ને અડકો ત્યાં રોમાંચ સરે,
આ રતિક્રીડા કે અર્થોનું ઉત્થાન અરે!
વર્ણ વર્ણનું છદ્મ-સંકરણ કરે ઉઘાડે-છોગ.
અગણિત જણ આરાધે અનહદ યુનિકૉડ ઉદ્યોગ !

યુનિકૉડના સહજ પ્રવેશે
કુંચન-મર્દનને અનુસરતો
ફૉન્ટલૅસ આ શબ્દોનો સોફ્ટ-સોફ્ટ સંભોગ.
અગણિત જણ આરાધે અનહદ યુનિકૉડ ઉદ્યોગ !

– પંચમ શુક્લ

આજે ઈન્ટરનેટ યુગનું ગીત માણો. એમાં વાંસળી, રાધા, વર્ષા કે પ્રેમ કશું નથી. એમાં તો યુનિકોડ, ફોન્ટ ને બ્લોગની વાત છે 🙂

આ કવિતાનું નામ ‘યુનિકોડ ઉદ્યોગ’ કેમ છે ઘણા લોકોને ખ્યાલ નહીં આવે. માંડીને વાત કરું તો આજે જે તમે ઈંટનેટ પર જરાય તકલીફ વગર ગુજરાતી (ને બીજી બધી ભારતીય ભાષાઓ) વાંચી શકો છો એ સાહેબી છેલ્લા પાંચ વર્ષમાં જ ઊભી થઈ છે. એ પહેલા બધા અલગ અલગ જાતના ‘ફોન્ટ’ વાપરતા. દરેક વેબસાઈટ દીઠ જુદા ફોન્ટ એટલે એક લખે તે બીજાને ન વંચાય. દરેક ફોન્ટ દીઠ વળી જુદા કી-બોર્ડ લે-આઉટ હતા. ટૂંકમાં કહું તો ઈન્ટરનેટ પર ગુજરાતી વાંચવા-લખવાનું કામ મહીના કોતરમાંથી રસ્તો કાઢવા જેવું હતું.

આ બધી સમસ્યાનો ઉકેલ જે જાદુઈ ચિરાગથી આવ્યો એ ચિરાગ તે યુનિકોડ. બધે એકસરખી રીતે ગુજરાતી લખાય અને વંચાય એ યુનિકોડથી જ શક્ય બન્યું. અને એકવાર આ યુનિકોડનો પ્રયોગ શરૂ થયો એટલે ચારે બાજુથી ઉત્સાહી લોકોએ ગુજરાતીને ઈન્ટરનેટ પર મૂકવાનું કામ શરૂ કર્યું. આ રીતે શરૂ થયો – યુનિકોડ ઉદ્યોગ !

કવિએ વર્ણસંકર ગીતમાં શરૂઆતમાં ગુજરાતી નેટ-જગતને નડેલા અવરોધો (ગુણવત્તાની અછત, પુખ્તતાની કમી, ઊંઝા-સાર્થ જોડણી વચ્ચેના તણખા) અને નવી સગવડો  (સર્જકોને ભાવકો સુધી પહોંચવાનો સીધો રસ્તો, લખવા-વાંચવાની સરળતા, વિશ્વવ્યાપી વાંચકગણ) બન્નેને ગીતમાં મઝાના વણી લીધા છે. આધુનિક વિષય સાથે પરંપરાગત ભાષા-પ્રયોગો સરસ ‘કોંટ્રાસ્ટ’ સર્જે છે.

Comments (10)

દેવ બન્યા તે પહેલાં… – મનીષા જોષી

આપણા સૌની સામાજીક ચેતનાના ઢગલા પર બેઠેલાં
સહસ્ત્ર દેવ-દેવીઓની દૈનિક ક્રિયા હું જોઈ રહું છું.
મંદિરના ગર્ભગૃહમાં
દૂધમાં તણાઈ રહેલા, સળવળતા સાપની વચ્ચેથી માર્ગ કરતાં,
મને મળી આવે છે પથ્થરનો કાચબો.
સ્વર્ગ સુધી લઈ જતા તેના ચાર પગ પર ચડવા જતાં
કેટલીય વાર નીચે પટકાઈ છું.
પાપ અને પુણ્યની કસોટી કરતા
આ બે થાંભલાની વચ્ચે
આમ તો ઘણી જગ્યા દેખાય છે,
પણ હું ક્યારેય તેમાંથી પસાર નથી થઈ શકતી.
જોકે ત્યાં મૂકેલા નંદીના પાળિયા પર સવારી કરીને
હું ઊડી શકું છું આકાશમાં.
નીચે નજર કરું તો દેખાય છે,
રસ્તા પર રઝળતાં, નધણિયાતાં પ્રાણીઓ અને
ઉત્સવપ્રિય લોકોના ટોળેટોળાં.
અને સહેજ ઉપર જોઉં તો હોય છે,
કેટલાયે, જાણીતા અને ઓછા જાણીતા ભગવાન.
તેમની અર્ધ-જાગૃત અવસ્થામાં, અનાવૃત.
દેવ બન્યા પહેલાંના અવતારમાં.
વરદાન આપતા શીખ્યા પહેલાંના રૂપમાં.
માત્ર બે હાથ અને બે પગવાળા,
ગોળ કૂંડાળું કરીને ગંજી-પત્તા રમતા.

-  મનિષા જોષી

મંદિરમાં ખરા ઈશ્વરને શોધવો એ પોતેજ એક વિરોધાભાસ છે. મંદિરના દેવ એ તો માણસે ચિતરેલા દેવ છે – માણસનું જ પ્રતિબિંબ. એ માણસ જેટલા જ અપૂર્ણ હોવાના. કવિને મંદિરમાંથી સ્વર્ગનો રસ્તો મળતો નથી. અને નથી રૂઢિગત પાપ-પુણ્યના બીબાંથી એ પોતાની જીંદગી માપી શકતા.  આ બધી રાબેતા મુજબની વાતો છે. પણ ચમત્કૃતિ તો કવિ નંદી પર બેસીને ઊચે ઊડે છે ત્યારે આવે છે.  એમને દેખાય છે  – દેવ બન્યા પહેલાના દેવો. અને દેવ બન્યા પહેલાના દેવો કેવા દેખાય છે ? – તદ્દન માણસ જેવા ! 

હવે એનો અર્થ એવો થાય કે – માણસ જ જ્ઞાની થઈને દેવ બને છે … કે પછી એનો અર્થ થાય કે, દેવતાઓ બધા આખરે તો માણસ જ હોય છે – એ નક્કી કરવાનું  હું તો તમારા પર છોડું છું – અત્યારે તો મારે તો ઊડી શકે એવા નંદીની શોધમાં નીકળવું છે 🙂

Comments (5)

કેટલાક તડકા કેટલા આકરા હોય છે – સૌમ્ય જોશી

(ઘઉંની ગૂણ ઉપાડતા મજૂરનું અછાંદસ)

કેટલાક તડકા કેટલા આકરા હોય છે
ગયાના ગયા ઉનાળે તૂટી ગયાં એનાં ચપ્પલ.
હવે,
કચ્ચીને દાઝ કાઢતી કપચી પર,
છેલ્લા સેઠે પાણી ના પાયેલું ગળું લઈને,
મેલા હાથની કાળી રેખાઓવાળી મુઠ્ઠીમાં સાચવેલા એડરેશના જોરે,
ચસ્માવાળા કૉલેઝિયને બતાયેલા રસ્તે,
એ પહોંચે છે બંગલે,
ને માદરબખત સૂરજ ને એના ખુલ્લા માથા વચ્ચે બે મિનિટ માટે આવે છે ઘઉંની ગૂણ,
કેટલાક છાંયડા કેટલા ભારે હોય છે.

– સૌમ્ય જોશી
(‘ગ્રીનરૂમમાં’)

પહેલા અને છેલ્લા વાક્યની ધારદાર જોડી વચ્ચે કવિએ એક જ ક્ષણમાં તાદ્રશ થઈ જાય એટલું સબળ ચિત્ર દોર્યું છે. કેટલાક તડકા.. અને કેટલાક છાંયડા… માં કાવ્યની આખી ચોટ છે. એક રીતે જુઓ તો દરેક માણસે પોતાનો છાંયડો જાતે જ ઊંચકવાનો હોય છે – આજે નહીં તો કાલે.

Comments (10)

Schizophrenia – અશરફ ડબાવાલા

ડાક્ટર !
તમારી વાત હાવ હાચી છે,
મને schizophrenia થ્યો છે.
પણ ઇ ક્યો ને કોને નથી થ્યો?
તમે ક્યો છો કે
મારો ને reality વચ્ચેનો પુલ તૂટી ગ્યો છે.
પણ બાપુ ! એના તો પૈસા છે !
બે ઘડી reality ને પછવાડે
ચૂસકી મારીને જોઈ લ્યો કેવો ટેસ પડે છે!

તમે હાચું કીધું કે મને paranoia થાય છે
ને એટલે જ મને લાગે છે કે
કોઈ મારો પીછો કરે છે.
પણ ડાક્ટર !
આ દશેદશ ને ગામેગામના
એક્કેએક ટોળાને લાગે છે કે
એની પાછળ બીજું ટોળું પડ્યું છે.

તમારી ઇ વાત હો ટકાની કે
હું ‘thought insertion’થી પીડાઉં છું.
એટલે મારા મનમાં વિચારો આવતા નથી,
પણ કોઈ મૂકી જાય છે એવું લાગે છે.
પણ એમ તો આ હંધાય ક્યે છે કે
ઈ જેમ કરાવે છે એમ આપણે કરીએ છીએ.

એય કબૂલ કે
હું ‘feeling of passivity’થી ઘેરાણો છું.
ને એટલે
મને કોઈ control કરતું હોય એવું લાગે છે
પણ આ હંધાય સદીયુંથી કીધે રાખે છે
‘એની ઇચ્છા વગર એક પાંદડુંય હલતું નથી’
ઈ ડાહ્યાઉને કાંક ક્યોને !

ને એક ખાનગી વાત કરી દઉં?
મેં તો ક્યારનોય suicide કરી નાંખ્યો હોત,
પણ મારે હજી ઓલાં ફૂલ ચીતરવાનાં બાકી છે.
ઈ પહેલાં મરવું નથી.
મને નજરે તરે છે ઈ ફૂલોનો રંગ.
રોજ દુકાને દુકાને જઈને શોધું છું ઈ રંગ,
પણ ક્યાંય મળતો નથી.
જે દી ઈ રંગ મળી જાશેને
તે દી મારી પર ફેંકાયેલા પથ્થરે પથ્થર પર
ઈ ફૂલો ચીતરીને પછી
મારા પેટ પર
ડહાપણની ઘંટીનું પડ બાંધી
હું ભૂસકો મારીશ
realityના દરિયામાં.

-અશરફ ડબાવાલા

માણસ વાસ્તવિકતા (reality) અને કલ્પના (imagination) વચ્ચે ભેળસેળ કરવા માંડે એને ડોકટરો સ્કિઝોફ્રેનિઆ કહે છે. પણ વાસ્તવિકતા અને કલ્પના વચ્ચેની રેખા આપણે માનીએ છીએ એટલી સુસ્પષ્ટ નથી. એક રીતે જોઈએ તો સ્કિઝોફ્રેનિઆના દર્દીની જેમ જ, આપણે બધા પણ ઢગલાબંધ આભાસ અને ભ્રમણાઓ લઈને જ જીવીએ છીએ… અને એની ઉપર પોતાના ડાહ્યા હોવાની એક વધારે ભ્રમણા રાખીએ છીએ એ અલગ ! 🙂

વાસ્તવિકતા એક સાપેક્ષ ચીજ છે, અને માણસ બહુ નબળુ પ્રાણી છે. હા, ભલે આપણે વાસ્તવિકતામાં જીવતા હોઈએ, પણ આપણે એની કિંમતરૂપ ‘ડાહપણની ઘંટીનું પડ’ ઊંચકીંને ફરવું પડે છે.

Comments (18)

એવા દેશમાં – વિપિન પરીખ

વૃક્ષ કદાચ એમ પણ કહે –
‘મને પહેલાં ચા-પાણી પાઓ
પછી જ છાંયો આપું.’
કોયલ કદાચ આગ્રહ રાખે –
‘કોઇ સરસ જગ્યા જોઇ મને ફ્લેટ બંધાવી આપો
પછી જ ટહુકો મૂકું’
થોડાક પૈસા વધુ મળે તો
નદી પોતાનું બધું જ પાણી
સામે કાંઠે ઠાલવી નાખે તો નવાઇ નહીં.
ચાલ મન ! એવા દેશમાં જઇએ
જ્યાં સૂરજને તડકા માટે લાંચ ન આપવી પડે !

– વિપિન પરીખ

ગઈકાલની વાત જ ફરી બીજી રીતે કહેવાનો આ પણ અંદાઝ છે.

Comments (10)

સલામ, સબકો સલામ ! – મંગેશ પાડગાંવકર

સલામ, સબકો સલામ,
જેના હાથમાં દંડો તેને સલામ,
લાતના ભયથી
ડાબો હાથ કૂલા પર રાખીને
જમણે હાથે સલામ,
જોનારને સલામ,
ન જોનારને સલામ,
વેચાતું લેનારને સલામ,
વેચાતું લેવાનો ઈશારો કરનારને સલામ,
સલામ ભાઈ સબકો સલામ.

ડોળા કાઢેલી દરેક આંખને સલામ,
સિંદૂર થાપેલા દગડને સલામ,
લાખો ખર્ચીને બાંધેલા દેવળને સલામ,
દેવાલયના દેવીની ધાકને સલામ,
દેવ અને ધર્મનો કૉન્ટ્રેક્ટ લેનારને સલામ,
ખાલી હાથમાંથી ભસ્મ કાઢનાર ભુવાને સલામ,
હવામાંથી વીંટી કાઢનાર મોટા બાવાને સલામ,
શનિને સલામ,
મંગળને સલામ,
ભીતિના પ્રત્યેક કૉન્ટ્રૅક્ટટરને સલામ,
મા પર જિંદગીભર ધૂરકનાર બાપને સલામ,
બાપા પર ધૂરકતા સાહેબને સલામ,
સાહેબને ફાડનાર તેના સાહેબને સલામ.

જેના હાથમાં અખબાર તેને સલામ,
ભાષણોનો, સભાઓનો ફોટા સાથે રિપોર્ટ કરે તેને સલામ,
અખબારના માલિકને સલામ,
તેની નથ પકડનાર રાજ્યકર્તાઓને સલામ,
જેની સામે માઇક્રોફોન તેને સલામ,
તેમાંથી થંભ્યા વિના બોલનારને સલામ,
લાખોની ગિરદીને સલામ,
ગિરદીને ડોલાવનારને જાદુગરને સલામ,
નાકા પરના દાદાને સલામ,
હાથભઠ્ઠીવાળાને સલામ,
સ્મગલરને સલામ,
મટકાવાળાને સલામ,
તેમણે આપેલા હપતાને સલામ,
લોકશાહીને સલામ,
ઠોકશાહીને સલામ,
સત્તાની ટ્રક ચલાવનારને સલામ,
ટ્રક નીચે ચગદાયેલાં અળસિયાંને અને કુત્તાઓને સલામ,
જેના હાથમાં ચાકુ તેને સલામ,
વિમાનમાંથી બૉમ્બ ફેકનારને સલામ,
શસ્ત્રાસ્ત્રના પ્રચંડ વેપારીઓને સલામ,
કાળાબજારિયાઓને સલામ,
તેને ફાંસી દેવાની ઘોષણા કરનારઓને સલામ,
ગટરના પાણીથી ઇન્જેકક્ષન ભરનારને સલામ,
ઠાઠડીનો સામાન વેચનારને સલામ,
ઠાઠડી ઊંચકનાર ખભાઓને સલામ,
મોત સસ્તું કરનારા સર્વને સલામ.

દરને સલામ
દરના ઉંદરને સલામ,
ઘરના વાંદાઓને સલામ,
ખાટલાના માંકડોને સલામ,
દરારવાળી ભીંતોને સલામ,
કંતાયેલી પત્નીને સલામ,
દોઢ ખોલીમાં છૈયાંછોરાંને સલામ,
ગાડીમાં ચગદાતી ગિરદીને સલામ,
સડેલા ધાનને સલામ,
કાણા પડેલા પીળાં ગંજીફરાકને સલામ,
ધંધાના માલિકને સલામ,
યુનિયનના લીડરને સલામ,
હડતાલને સલામ,
ઉપવાસને સલામ,
સર્વ રંગના સર્વ ઝંડાઓને સલામ,
ચાલીચાલીના ભરાયેલા સંડાસના લીંડાઓને સલામ,
ડોક પકડનાર પ્રત્યેક હાથને સલામ.
આ મારા પરમ પવિત્ર ઇત્યાદિ દેશને સલામ,
આ દેશની સુ-ઉદાત્ત સુ-મંગળ, સુ-પરંપરાને સલામ,
સર્વ ઉસ્તાદી ઘોષણાને સલામ,
જાતિભેદના ઉકરડાને સલામ,
આ ઉકરડામાંથી સત્તાનો પાક માણનારને સલામ,
ઉપનિષદો અને વેદોને સલામ,
સાકર-કારખાનાંના દાદાઓને સલામ,
તેમની સેંકડો લોરીને સલામ,
ચૂંટણીને સલામ,
ચૂંટણીફંડને સલામ,
અદ્રશ્ય મુક્કાને સલામ,
મતના આંધળા સિક્કાને સલામ,
સસલું હાથમાં હોય એવા પારધીને સલામ,
તેની તહેનાતમાં રહેલા ભાડૂતી સૈનિકને સલામ,
હરિજનો પર અત્યાચાર કરનારાઓને સલામ,
આ બાતમી વાંચનાર સર્વ ષંઢોને સલામ.

સત્તા સંપતિના ભડવાનો દેશ કહું,
તો માથું ફોડી નાખશે,
હલકટ લાચારોનો દેશ કહું,
તો રસ્તા પર ઝૂડશે,
ખરીદવામાં આવનારાઓનો દેશ કહું,
તો રસ્તો રોકાશે.
દેવધર્મ વિશે, નેતાઓ વિશે ખરાબ બોલું
તો નાકા પર પકડીને ઠોકશે,
શોષણ કરનારાઓનો દેશ કહું,
તો નોકરી પરથી કાઢશે,
એટલે મારાં નપુંસકત્વને સલામ,
પછી ઠોકી શકનાર પ્રત્યે હાથને સલામ,
અને તે પછી અલબત્ત જ
આ મારા
પરમ પવિત્ર ઉદાત્ત સુમંગલ દેશને સલામ,
આ દેશની મહાન પરંપરાને સલામ,
સલામ, પ્યારે ભાઈઓ ઔર બહેનો સબકો સલામ.
અનેક હાથ હોત તો,
અનેક હાથથી કરી હોત સલામ,
લેકિન માફ કરના ભાઈઓ
હાથ તો બે જ
અને તેમાનો ડાબો
લાતના ભયથી રાખેલો કૂલા પર
એટલે ફકત જમણા હાથે સલામ
સલામ સબકો સલામ,
ભાઈઓ ઔર બહેનો, સબકો સલામ.

– મંગેશ પાડગાંવકર
(અનુ. સુરેશ દલાલ)

આજકાલ કોંગ્રેસ જે લટકાં કરી રહી છે એના પરના લેખની શરૂઆતમાં જય વસવડાએ આ કવિતા ટાંકી છે.

કવિતા ઘણી લાંબી છે પણ એનો ટેમ્પો ક્યાંય ઓછો થતો નથી. કવિતા ને રસ્તા પર મદારી વાંદરાને નચાવતા બોલતો હોય એમ મોટેથી વાંચવાની છે. કવિતા ઘણી જૂની છે પણ નવી જ લાગે છે. વ્યંગની આ ધારને સમય બુઠ્ઠી કરી શક્યો નથી. આ કવિતામાં જે હૈયાવરાળ છે એ તો આઝાદીના સમયથી એની એ જ રહી છે. બીજું જે થવું હોય તે થાય…. પણ વાંદરો તો ખેલ કરે રાખે છે અને સલામ પણ ઠોકે રાખે છે !

(દગડ=પથ્થર, ષંઢ=નપુંસક)

Comments (10)

મંજૂર -પીયુષ પંડ્યા ‘જ્યોતિ’

જિંદગી !
બેચાર અમથાં છાંટણાં
લાવણ્યભીની આંખનાં અમિયલ
મને મળતાં રહે તો બસ,
મંજૂર બારે માસ
વૈશાખ વરસતો તાપ મુજને

– પીયુષ પંડ્યા ‘જ્યોતિ’

હાવ હાચી વાત…. કે નેહભરી આંખડીનાં બેચાર અમીછાંટણાં મળે તો જિંદગીનો ધોમધખતો વૈશાખ પણ શીતળ જ લાગે !

Comments (5)

(કિતાબ) – અમૃતા પ્રીતમ

ધરતી – ખૂબ સુંદર કિતાબ
ચાંદસૂરજના પૂંઠાંવાળી
પણ હે ખુદા આ દુઃખ, ભૂખ, ભય અને ગુલામી
આ તારી ઈબારત છે ?
કે છાપભૂલો ?

– અમૃતા પ્રીતમ (અનુ. કલ્લોલિની હઝરત)

આ સવાલનો જવાબ કોઈ ધર્મ પણ બરાબર આપી શકતો નથી. કોઈ બાળકને વિના કારણ પીડાતુ જુઓ તો એક ઘડી તો શ્રદ્ધા કોરે મૂકી કહેવાઈ જ જાય છે – આવું કેમ ?

(ઈબારત=લેખ)

Comments (9)

કવિતા : બ્રેસ્ટ કેન્સરની – એષા દાદાવાળા

હવે મને
ગુલાબને સ્પર્શવાનું ગમતું નથી…
સ્પર્શું છું તો એની પાંદડીઓ કાંટાની જેમ ભોંકાય છે હથેળી પર
પછી હથેળી પર લોહી જામી ગયું હોય એવું
લાગ્યા કરે છે સતત…

બાલ્કનીના કૂંડામાં ઊગેલાં ગુલાબને જોઈને
ઘણીવાર ઝનૂન સવાર થઈ જાય મનમાં…
પછી જોરથી શ્વાસ ચાલવા માંડે
અને હું
કૂંડામાં ઊગેલાં બધાં જ ગુલાબને એક સામટાં તોડી નાખું
અંદરના રૂમમાં દોડી જઈ અરીસા સામે ઊભી રહું
શ્વાસ ચઢી જાય
પણ
જોરથી ચાલતા શ્વાસનો પડઘો પાડવાનું છાતી ભૂલી ગઈ હોય
એમ
સાવ સીધું સપાટ
એનાં જેવું જ
પ્રતિબિંબ
અરીસો પાડે
અને
હું હાથમાં પકડેલાં બધાં ગુલાબને મુઠ્ઠીમાં ભીંસી નાખું…!!

– એષા દાદાવાળા

એષાની કવિતા કાંટાની જેમ ન ભોંકાય તો જ નવાઈ…

Comments (11)

હજી નહીં – એરિક ફ્રાઈડ

કોઈક
પથ્થરો પાસે આવ્યું
ને કહ્યું :
માણસ બનો.
પથ્થરોએ
ઉત્તર આપ્યો :
હજી અમે
પૂરતા કઠોર નથી.

– એરિક ફ્રાઈડ

Comments (10)

જે ક્ષણે- હરીન્દ્ર દવે

જે ક્ષણે
તું મને સ્વીકારતી નથી
એ ક્ષણે
હું પણ મને ક્યાં સ્વીકારું છું ?

અને એ તરછોડાયેલો ‘હું’
સંસારના ગીચ વનમાં
ક્યાં ક્યાં ઉઝરડાતો જાય છે !

– હરીન્દ્ર દવે

Comments (11)

કક્કાજીની અ-કવિતા – ચંદ્રકાંત શેઠ

કક્કાજીને કાજે કવિતા નથી આ.
ને બહેરી બારાખડી માટેની બોલી નથી આ.
છંદની છ હજાર વર્ષ જૂની ચાલથી
ઓગણીસો ચુમ્મોતેરને કેમ ચલાવવો ?
ગદર્ભો તો હજુયે ગોવર્ધનરામના ગોદામમાંથી ગદ્ય લાવીને
ગાંધી રોડ પર ફરે છે પાઘડી ને ખેસ નાખીને,
પણ તેથી ટ્રાફિક જામ થવાના ઘેરા પ્રશ્નો સર્જાયા છે આજકાલ !
મીંચેલી આંખે
ઈસવી સન પૂર્વે જોયેલા એક સૂરજને યાદ કરી
આજના સૂર્યોદયે
કાપડની મિલના ભૂંગળાં
ગાયત્રીને બદલે વ્હીસલ સંભળાવે છે
તેથી બેચેન છે બાવન કુલ ભદ્રંભદ્રનાં.
તેઓ તો  ઈચ્છે છે :
આ ભાષાને ચોળીચણિયો ને પાટલીનો ઘેર સજીને
વટસાવિત્રીનું વ્રત કરતી
ને સુકાઈ ગયેલા વડની ચોફેર દિનરાત સૂતરના આંટા મારતી જોવાને !
પણ ભાષાને ભેટી ગયો કોક અલગારી !
કંઈક એવું ઘુસાડ્યું બખડજંતર એના દિમાગમાં,
કે
એક સવારે
ભાષા
શુદ્ધ બ્રાહ્મણિયા રસોઈ જમવાનો આગ્રહ છોડી
ચાલવા માંડી અમારી સાથે – અમારા રોજના જીવનના માર્ગે.
ભાષા હવે અમારી જેમ ખાય છે, પીએ છે ને હરેફરે છે.

– ચંદ્રકાંત શેઠ

કવિતા વાંચીને ગરમ થવાની જરૂર નથી, નરમ થવાની જરૂર છે.

ભાષાએ સુંદર વસ્ત્રપરિધાન કરીને બેઠેલી સ્પર્શથી પર એવી સુંદરી નથી. એતો છોકરાને કેડ પર બાંધીને સતત કાર્યરત એવી પ્રસ્વેદવદન તેજસ્વી નારી છે.

ભાષા આપણી મા છે. અને માને ખૂણામાં બેસી રહેવાનું પાલવે નહીં.

ઘણા લોકોને એવો ભ્રમ માફક આવી ગયો છે કે લેખકો લખે એ જ ખરી ભાષા છે. ખરી ભાષા તો એ છે જે લોકોની જીભ પર જીવે છે. લેખકો (ને કવિઓ)ની કલમ તો માત્ર એ જીભનું સાચું અનુકરણ પણ કરી શકે તો કૃતાર્થ ગણાય.

ભાષાના પગલાં કુમકુમવરણા ન હોય, એ તો ધૂળિયા જ શોભે. એમાં જ એની સચ્ચાઈ છે. એમાં જ એનું ગૌરવ છે.

Comments (7)

કાળ – ધીરેન્દ્ર મહેતા

ડૂબી રહી છે સાંજ
જોઈ રહ્યું છે સ્તબ્ધ એકાકી ગગન
પાસે હવા ઊભી રહી થઈ મૂઢ
થંભી ગયાં છે સાવ સરિતાજળ
નિષ્કમ્પ સઘળાં વૃક્ષની
સૂની બધીયે ડાળ પર
પર્ણો મહીં
છે ક્યાંય પંખીના ઝૂલ્યાનો સ્હેજ પણ
આભાસ ?
કાંઈ અહીં સહસા નહીં
હળવેક હળવે
હોલવાતાં જાય દૃશ્યો
કે દૃષ્ટિ આ તો થઈ રહી છે અંધ
ને કાળના ઝૂકી પડ્યા છે સ્કંધ.

– ધીરેન્દ્ર મહેતા

ઢળતી સાંજની કેવી સુંદર કલ્પના ! અજવાળામાંથી જેમ જેમ અંધારામાં સરી પડઈએ એમ-એમ આકારો મટતા જાય… બધું એક-બીજામાં ઓગળતું જાય… અંધારું બધું જ હોલવી નાંખે છે… આ કલ્પના ખાલી ઢળતી સાંજની જ છે કે પછી કાળ યાને મૃત્યુની ?!

Comments (8)

વિચ્છેદ -સુરેશ દલાલ

જે વૃક્ષ તળે
આપણે એકમેકને મળતાં હતાં
એ વૃક્ષને
એક કઠિયારો કાપી ગયો.

-સુરેશ દલાલ

વેદનાને તો વહેંચી શકાય, પરંતુ વિચ્છેદને ?

Comments (9)

ઝેન કાવ્યો – અનુ. કિશોર શાહ

ખરેલું પાન
ડાળે પાછું ફર્યું ?
પતંગિયું

– અનામી

*

છિદ્રો વિનાની વાંસળી
વગાડવી ખૂબ મુશ્કેલ છે.

– અનામી

*

કશુંય ન હોવાપણાની ભાષાને
બટકાં ભરવાથી ચેતજો :
તમારા દાંત ભાંગી જશે.
એને આખેઆખી ગળી જાઓ…

– મિત્સુહિરો

આજે મારા ગમતા ત્રણ ઝેન-કાવ્યો. પહેલું આશ્ચર્યની અનુભતિનું કાવ્ય છે. બીજું અનુભવનો નિચોડ. છેલ્લું ચેતનાના રસ્તા પરની આવશ્યક શિખામણ.

Comments (5)

અ-ગતિ – રઘુવીર ચૌધરી

હું હજી મધદરિયે ગયો નથી.
મારો તો તટવાસી સ્વભાવ
કદીયે ઊંડો ઊતર્યો નથી,
અને તેથી
આખા દરિયાનો ભાર
મેં હજી ઝીલ્યો નથી.

તર્કનાં લંગર નાખીને
હજાર વાર ચીપકી રહ્યો છું
અ-ગતિને.
વિષાદને વચગાળો માનીને
સહેલાઈથી સુખી રહ્યો છું.

અનાગતને ભાવી કમાણી માની
કરજ વધારી આંનદનું
વિષાદના સાતત્યની આડે આવું છું
અને ગાવા લાગું છું ગીત
ગાગરમાં સાગરનું.

– રઘુવીર ચૌધરી

તટસ્થ આત્મનિરીક્ષણ !

Comments (9)

અંધારું – પુરુરાજ જોષી

અજવાળું
ઘોંધાટ કરે છે
અંધારું તો પવનલહરના સ્પર્શે
મંદ, મધુર સુરાવલિ છેડતું
વાયોલિન!

અંધારામાં
મઘમઘતી માટી
અંધારાથી
સંગોપિતા પૃથ્વી
પુનર્જન્મની કરે પ્રતિક્ષા…

અંધારું
જળની પાટી પર
પવને પાડ્યા અક્ષર
ભૂંસે,
ગૂંથે
શિશુઓની બીડેલ આંખમાં
સ્વપ્નો.
યુવકો માટે રચતું
વસંતોત્સવ અંધારું
ને વિરહદગ્ધ હ્રદયો માટે
પાથરતું
અનંત અંધ સુરંગ.

– પુરુરાજ જોષી

અંધારાનો એક બીજો રંગ !

Comments (12)

એકલો – નિરંજન ભગત

હું એકલો છું મુજ ગેહ માંહી,
આ દેહ માંહી!
મુજ બંધ દ્વાર,
ને બહાર
ઊભો ઘન અંધકાર
કહે, ‘મને તું હ્રદયે જ ધાર!’
ઊભો વળી ચંચલ ત્યાં પ્રકાશ
કહે, ‘મને લે નિજ બાહુપાશ!’
હલત ન હાથ,
ન દ્વાર ખોલ્યું;
ને હૈયું ત્યાં તો સહસા જ બોલ્યું:
‘ના, સ્નેહસંધિ
આવો રચીને ઉભયે જ, સાથ!
ને ત્યાં લગી રહ્યાં છો પ્રવેશબંધી

મુજ ગેહ માંહી!’
હું એકલો છું મુજ દેહ માંહી!

– નિરંજન ભગત

પ્રકાશ કે અંધકાર બન્નેમાંથી કોઈને પણ એકલા સ્વીકારવાની કવિની તૈયારી નથી. બન્ને સાથે મળીને આવે તો જ વાત બને. અને જુઓ, જે નિર્ણય મન કરી શક્યું નહીં, એ હ્રદય એક જ ક્ષણમાં કરી લે છે.

Comments (13)

શિશિર – પ્રજારામ રાવળ

ખરખર ખરે
પાનખરપર્ણ
ઝરમર ઝરે.
શિશિરની શીત લહર જરી વાય,
વૃક્ષની કાય
જીર્ણ અતિ, પત્ર પત્ર થર્થરે !
પીત અતિ શુષ્ક
ખડખડે, રુક્ષ
વૃક્ષથી ખરે,
હવામાં તરે,
ધીમેથી ધરતી પર ઊતરે;
એક પછી એક
ઝરંત અનેક
પત્રનો તંત
વહંત અનંત.
ઊઘડે તરુવર કેરી કાય,
ચીવરે પીત ધરા ઢંકાય;
વૃક્ષ નિજ રૂપ ધરંતું નગ્ન,
પીત ચીવરમાં ધરતી મગ્ન:
બેઉ તપ તપે,
પંખી પંખીની સોડે લપે.

– પ્રજારામ રાવળ

આ કાનથી વાંચવાની કવિતા છે. નકરો સ્નિગ્ધ લય કાનથી મન સુધી કેવો જાદૂ કરે છે એ માણો. ( ચીવર=વસ્ત્ર )

Comments (10)

મને ક્ષમા કરજો – આદિ શંકરાચાર્ય

હે શિવ !
મારાં ત્રણ પાપ બદલ
મને ક્ષમા કરજો.
હું તીર્થયાત્રા માટે કાશી આવ્યો ત્યારે
ભૂલી ગયો કે તમે સર્વવ્યાપી છો !
હું સતત તમારો વિચાર કરું છું, કારણ કે
હું ભૂલી જાઉં છું કે તમે તો વિચારોથી પર છો !
હું તમને પ્રાર્થના કરું છું ત્યારે ભૂલી જાઉં છું
કે તમે તો શબ્દોથી પર છો !

-આદિ શંકરાચાર્ય

આપણને અસીમ ચાહતાં આવડતું નથી. આપણે બધાંને ટુકડાંઓમાં જ ચાહીએ છીએ. ઈશ્વરને પણ આપણે આપણી સગવડ પ્રમાણે વેતરી નાંખ્યો છે…

Comments (11)

રણ – વિપાશા મહેતા

રણમાં
એ નદી લાવી.
લોકો કહે
ના, નથી આવી.
લોકો કહે, નદી કેવી રીતે આવે, રણમાં ?

નદી ઉપર એણે બંધ બાંધ્યો.
લોકો કહે,
ના,
બંધ કેવી રીતે આવે, રણમાં ?

બંધ તૂટ્યો ને પૂર આવ્યું
લોકો કહે,
પૂર તે કંઈ આવે, રણમાં ?
પૂર ના આવે, રણમાં.

બધા ડૂબી ગયા, પૂરમાં.
ઘણા બધાં અવાજ આવ્યા
આવું તે કંઈ થાય અમારા રણમાં ?
આવું કાંઈ ન થાય અમારા રણમાં.

– વિપાશા મહેતા

કવિ કલમને પ્રામાણિક્તાથી પકડે ત્યારે એ પયગંબરની કક્ષાએ પહોંચે છે. ઉકેલના વિતંડાવાદમાં પડ્યા વિના જ એ સમસ્યાના મૂળ સુધી ભાવકને અને એ રીતે સમાજને લઈ જઈ શકે છે કેમકે સાચો પયગંબર જ જાણે છે કે સમસ્યાઓનો કોઈ તાર્કિક ઉકેલ હોઈ જ ન શકે. સમસ્યાના મૂળ સુધી સાચા અર્થમાં જે ઘડીએ પહોંચી શકીએ એ ઘડી જ હકીકતમાં સમસ્યાના અંતની શરૂઆત હોય છે.

પ્રસ્તુત કવિતા છતી આંખે આંધળા અને પોતાના અંધત્વને જ દૃષ્ટિ ગણીને જીવતા સમાજની ‘નોન-ફ્લેક્સિબિલિટિ’ની સમસ્યાના મૂળ સુધીનો પ્રવાસ છે.

Comments (11)

કવિ – રિલ્કે ( અનુવાદ – ચંદ્રકાંત દેસાઈ)

હે પ્રહર !
તું મારાથી દૂર ઊડી રહ્યો છે;
તારી પાંખોની થપાટથી તું મને ઘાયલ કરે છે.
હું સાવ એકાકી;
શું કહેવું મારે મારા મુખ થકી,
મારી રાત્રિઓ અને દિવસોનું મારે શું કરવું ?

મારી કોઈ પ્રિયતમા નથી,
નથી કોઈ ઘર.
હું જે કોઈ ચીજના સંપર્કમાં આવું છું
તેને સમૃદ્ધ કરું છું,
અને તે મને અકિંચન બનાવે છે.

– રિલ્કે
(અનુ. ચંદ્રકાંત દેસાઈ)

રિલ્કેની કવિતા અભાવ અને એકલતાની કવિતા છે. કવિના નામે એ પોતાની જ વાત કરે છે.

Comments (8)

હવા – નિરંજના દેસાઈ

દરવાજો બંધ હતો.
છતાં
કોણ જાણે ક્યાંથી
હવા
એને હડસેલો મારી
અંદર ધસી આવી !
ને પછી,
આખા ઓરડામાં
લાંબી સોડ તાણી
આડી પડી !
બારીની તિરાડો
ચૂંચી આંખે
એને જોઈ રહી !
દરવાજો આભો બની
જ્યાં ધકેલાયો હતો ત્યાં
ખોડાઈને ઊભો રહ્યો !
હવાએ
ન તો પડખું બદલવાનો
પ્રયાસ કર્યો,
ન ત્યાંથી જવાનો.
હું
એકીટશે
જોઈ રહું,
મારા જ ઘરમાં
પરાઈ વ્યક્તિ સમ !

– નિરંજના દેસાઈ

કેટલી સરળ-સહજ ભાષામાં કવયિત્રીએ આપણા જીવનમાં આપણી જાણ બહાર થઈ જતા અતિક્રમણની વાત કરી છે !!

Comments (14)

તમે કહો તો – આશા ગોસ્વામી

ઈશ્વર,
તમે કહો તો
મીણબત્તીથી
સૂરજને સળગાવી મૂકું.
સોયદોરો લઈને આભને
થીંગડા મારી આવું.
તમે કહો તો
સમયની બધી જ મર્યાદાઓ તોડીને ગાંડીતૂર
સરિતાની જેમ બેય કાંઠે છલકાઉં –
ને સાગર ઉલેચીને ખીણો સર્જું.
તમે કહો તો
પર્વતો તોડીને
ખીણો બનાવું ને ખીણોમાં
મારા આંસુના સાગર છલકાવું.
ઈશ્વર,
પછી તો તમે મને પ્રેમ કરશોને ?
તમે બોલોને ?
પછી તો તમે મને પ્રેમ કરશો જ ને ?

– આશા ગોસ્વામી

સ્ત્રી અને પુરુષની વચ્ચેનો મૂળભૂત તફાવત કયો ? પુરુષ પ્રેમ કરે છે પણ સેક્સ પામવા માટે અને સ્ત્રી સેક્સ ધરે છે, પ્રેમ પામવા માટે. સ્ત્રી શરીર શણગારે છે પણ સંવેદનાઓને નહીં… પુરુષ શરીર નથી શણગારતો પણ સંવેદનાઓને કાયમ શણગારે છે. સ્ત્રીને જે કહેવું છે એ સીધું જ અને આડંબરહીન ભાષામાં કહી શકે છે. આ કવિતા એનું એક બોલતું ઉદાહરણ છે. સ્ત્રી કયા ઈશ્વરને સંબોધે છે એ સહુએ પોતપોતાની રીતે જ નક્કી કરવાનું…

Comments (11)

વાડકી-વહેવાર – જયન્ત પાઠક

પાસે પારિજાત
રહેવા આવ્યું છે એક બુલબુલ-જોડું
ઓળખાણ રોજ વધે થોડું થોડું
આંગણે આવીને આપી જાય
સવારે સવારે
. ટહુકા બે-ચાર
હું ય સામે સંભળાવું એકાદ-બે ગીત-કડી
-પાડોશીની સાથે મારે વાડકી-વ્હેવાર!

– જયન્ત પાઠક

આ નાનકડી કવિતા આટલી મીઠડી કેમ લાગે છે ? એનું કારણ છે અનુભૂતિની સચ્ચાઈ, જે કદી મનને અડકી ગયા વિના રહેતી નથી.

કવિતા એટલે શું કોઈ પૂછે તો બેફીકર કહેવું – કવિતા એટલે તો અનુભૂતિને અવતરવા માટેની શંકર-જટા.

Comments (17)

(બુદ્ધ) – બોધિસત્વ

બુદ્ધ બુદ્ધને સંગ્રહતા નથી.
જો તમે બુદ્ધને જોવા તમારું મગજ વાપરશો,
તો તમે બુદ્ધને જોઈ નહીં શકો.
જ્યાં સુધી તમે બુદ્ધને અન્યત્ર શોધશો,
ત્યાં સુધી તમે કદી નહીં જોઈ શકો કે તમારું મગજ સ્વયં બુદ્ધ છે.
બુદ્ધ કદી સુત્રોચ્ચાર કરતા નથી.
બુદ્ધ કદી નિયમ પાળતા નથી,
અને બુદ્ધ કદી નિયમ તોડતા નથી.
બુદ્ધ ન તો કશું તોડે છે ન તો સાચવે છે.
બુદ્ધ પાપ-પુણ્ય આચરતા નથી.
બુદ્ધને શોધવા તમારે તમારા સ્વ-ભાવ,તમારી પ્રકૃતિને નીરખવી રહી.

– બોધિસત્વ

એક સરળ કાવ્યમાં કંઈ કેટલી ક્રાંતિઓ છુપાયેલી છે ! એક એક વાક્ય પરંપરાઓના મૂળિયાં ઉખેડી નવેસરથી વિચારવા મજબૂર કરે છે. શ્રી રમણ મહર્ષિનું પ્રિય વાક્ય યાદ કરાવે છે- ‘ know thyself ‘ ! હમણાં જ ક્યાંક વાંચ્યું -‘ અંધારું શાશ્વત છે,પ્રકાશ ખલેલ છે.’ !!!!

“Buddhas don’t save buddhas.
If you use your mind to look for a buddha,
you won’t see the Buddha.
As long as you look for a buddha somewhere else,
you’ll never see that your own mind is the Buddha.
Don’t use a buddha to worship a buddha.
And don’t use the mind to invoke a buddha.
Buddhas don’t recite sutras.
Buddhas don’t keep precepts.
And buddhas don’t break precepts.
Buddhas don’t keep or break anything.
Buddhas don’t do good or evil.
To find a buddha, you have to see your nature.

– Bodhisatva

Comments (13)

આ હવા – પ્રવીણ ગઢવી

આ-
હવા
આ –
જંગલ ઝાડી, સાગની કલગી,
કાંટાળી ઝાડી,
વાંસ ઝૂંડની જાળી
વનવાસીના વૃદ્ધ ચહેરાની કરચલી.
આ –
મહુડાની છાક,
દીપડાની છલાંગ,
ધુમ્મસની ધાબળી ઓઢી
ઘોરતા પહાડ.
આ –
તાતાતીર થકી વિંધાયેલી હાંહડી.
આ –
તડકાની તાડી
ઘટઘટ પીતાં ખાખર પાન
આ –
ખાપરીનું કોપરિયું જળ
આહ…
વાહ…
આ – હવા !

– પ્રવીણ ગઢવી

કવિના વર્ણનની કુમાશ જુઓ…  શબ્દોનો કેફ જુઓ…  અને દિલની આહ જુઓ !

Comments (8)

પ્રેમસૂક્ત (અંશ) – હરીશ મીનાશ્રુ

તમે પુષ્પ ચૂંટ્યું
તો મેં ગંધ
તમે પાદુકા ઉતારી
તો મેં પંથ
તમે ત્યજ્યાં પટકૂળ
અને મેં ત્વચા
હવે ઝળહળે તે કેવળ પ્રેમ

– હરીશ મીનાશ્રુ
(‘પર્જન્યસૂક્ત’)

આવરણો -ભૌતિક અને અધિભૌતિક- પાછળ છોડી દો પછી બચે તે પ્રેમ. ને છોડવું જ હોય તો અડધું પડધું શું કરવા છોડવું ? – પુષ્પના આકારને બદલે ગંધનો આખો વિસ્તાર જ છોડવો, પાદુકાને ઉતારવાને બદલે સફરની ઈચ્છા જ ઉતારી નાખવી અને વસ્ત્ર પર અટકવાને બદલે અસ્તિત્વની ત્વચા જ ઉતારી દેવી. બધા આવરણ ઉતારી, અઠે દ્વારકા કરીને બેસો એટલે બધુ જ ઝળહળ ઝળહળ.

Comments (5)

ફરી વાર મારું શહેર જોતા – શ્વેતલ શરાફ

આ શહેરને મેં એક દિવસ
એવી કસીને બાથ ભીડેલી કે
એને લીલો આફરો ચડી ગયેલો.
મોડી રાત્રે શ્વાનસૃષ્ટી ચાતરેલી
મેં લાલ કેસરી બત્તીઓના
સહારે.
ઊભા બજાર બધા મારા ખૂંદેલા.
ફાટેલા બદકિસ્મત લોકોને
અહીં મેં હસી કાઢેલા.
આ જગાનો જ્વાર મારી આંખોમાં
બેશુમાર ચડેલો.
અહીંની ગલીઓમાં તો
મારા સ્ખલનોની વાસ હજુયે રખડે છે.

મોડા પડ્યાનો રંજ નથી મને;
પણ ઊગ્યા પહેલા આથમી ગયાનો છે.
દોસ્તીની પરખ કરવાનો આરોપ લઈને
જીવી શક્યો નહીં
એટલે પીઠ પરના ઘાનું ઉપરાણું લઈને જીવું છું.
તારો ઓશિયાળો છું.
હવે ક્ષણોના હિસાબમાં જ્યારે જ્યારે
વર્ષોની ખોટ આવે છે
ત્યારે એને ખી ખી ખીથી ભરી દઉં છું.

“(ગાળ) ઘસાયેલા પર થૂંકે તો
તને ચચરે નહીં તો શું
ગલગલિયાં આવે ?”

છોડ આ બધી વાત
ને ધરાઈને મને ફરી જોઈ લેવા દે –
મારું શહેર !

– શ્વેતલ શરાફ

વતનમાં પાછા ફરવું એટલે સંસ્મરણોમાં ડુબકી મારવી. સાથે જ વતન છૂટી કેમ ગયું એનો ઘા ફરી અકારણ જ તાજો થાય છે. સિંહ જેવો માણસ દોસ્ત પર શંકા કે દોસ્તીની પરખ કરવાને બદલે દોસ્તનો ઘા જ વહોરી લેવાનું પસંદ કરે. અને એ ઘાને ય આખી જીંદગી જણસની જેમ જાળવે,  ભલેને એ પછી એ ઘા જ એની જીંદગીમાંથી વર્ષોની બાદબાકી કેમ ન કરી દે.

પણ, આ બધા ઘાની દવા છે – વતન ફરી જોવા મળવું. અતીતસ્થળને આંખોમાં ભરી લેવું  એટલે  તો … આહ ! સાક્ષાત જન્નત !

Comments (14)

આવજે મિત્ર – સરજી એસિનિન

આવજે મિત્ર, ચાલો છૂટા પડીએ
ફરી ન મળીએ ત્યાં સુધી
મારા હ્રદયમાં તું વસ્યો છે;
દીર્ઘકાલથી નિયત થયેલી આ વિયોગની ઘડી
સામે પારના આપણાં પુનર્મિલનની
આગાહી આપે છે.
હવે વાત નહિ, હસ્તધૂનન નહિ
ફરી ન મળીએ ત્યાં સુધી.
શોક ના કરીશ,મિત્ર,ચહેરાને કાળો ના પડવા દે.
જીવનમાં મરવામાં કોઈ નવાઈ નથી
ને જીવવામાં પણ ક્યાં કશી વધારે નવાઈ છે !

– સરજી એસિનિન

[ નોંધ : લેનિનગ્રાદની એક હોટેલમાં આત્મહત્યા કરતાં પહેલાં લોહીથી લખાયેલું કાવ્ય]

અનેક ભાવસ્પંદનો પેદા કરે છે આ કાવ્ય. કવિનો આત્મા પોતાના શરીરને ઉદ્દેશીને સમગ્ર વાત કરે છે ? કે પછી કવિ કોઈ ચોક્કસ વ્યક્તિને ઉદ્દેશીને આ સંદેશ છોડી જાય છે ?- …..જે કંઈ પણ હોય-કાવ્યમાં મૂળભૂત રીતે એક પરિપક્વતાનો-એક અમર આશાનો સૂર છે,અને છેલ્લા વાક્યમાં જે એક આઘાત છે તે ખરું કવિકર્મ છે-ખરો સંદેશ છે. why to live ? for what to live ?-આ પ્રશ્નો ઘણા exsistentialist વિચારકો દ્વારા ચર્ચાયા છે,પરંતુ અહીં જુદી વાત છે – જીવવામાં મરવા કરતાં ક્યાં કશી ખાસ વધારે નવાઈ છે ? – જીવન-મૃત્યુના દ્વન્દ્વને અતિક્રમીને વિચારવાની વાત છે. [ અહી ‘નવાઈ’ માટે મૂળ કયો રશિયન શબ્દ પ્રયોજાયો હશે અને તેનું શાબ્દિક ભાષાંતર નહિ પણ ભાવનાત્મક ભાષાંતર શું હશે તે જાણવું મહત્વનું છે.] વળી આ કોઈ ઠાલી શબ્દોની રમત નથી-આત્મહત્યા પૂર્વેનું લોહીથી લખાયેલું નિવેદન છે. એક તીવ્ર વિચારવમળ પ્રારંભી જતું કાવ્ય…..

Comments (5)

() – મીના છેડા

ગઈ કાલે રાત્રે સૂતી વખતે
મેં…
મારા બધા જખ્મોને પથારી પર પાથરી દીધા…
પછી સવાર સુધી…
હું પડખું ફેરવી નહોતી શકી…

-મીના છેડા

દર્દની કોઈ વ્યાખ્યા નથી હોતી, ફક્ત અનુભૂતિ જ હોય છે…

Comments (9)

એક કાવ્ય – મનીષા જોશી

સિનેમાના પડદા પર
સમુદ્રમાં આવેલ તોફાનનું દૃશ્ય
હું એકીશ્વાસે જોઈ રહી હતી,
ત્યાં અચાનક મોટી વ્હેલ માછલીએ મોઢું ખોલ્યું
મને ખેંચી લીધી.
હું મારા રૂમમાં હોત તેના કરતાં
વધુ સુરક્ષિત છું, એના શરીરમાં.
એના શરીરમાં મારા શરીરની કોઈ વૃદ્ધિ નથી,
એ મને વિશેષ ગમે છે.
જો કે, આ વ્હેલ હવે વૃદ્ધ થવા આવી છે
સમુદ્રતટે આવતા
સહેલાણીઓને રીઝવવા
અગાઉની જેમ એ પાણીમાંથી બહાર આવી
ઊંચે ઊંચે ઉછાળા નથી મારતી
વ્હેલ મરી જશે ત્યારે મારે
ફરીથી મારા રૂમમાં આવી જવું પડશે.
મને ખરેખર ડર લાગે છે,
હવા ઉજાસનો.
મારા રૂમમાં મને નથી જોઈતો સૂર્યપ્રકાશ.
જીવનથી ભાગીને
હું ક્યાં જઈને રહું ?

-મનીષા જોશી

જીવન હંમેશા વિટંબણાઓથી ભર્યું જ હોવાનું અને ભાગેડુવૃત્તિ એ સહજભાવ જ હોવાનો. જિંદગીથી હારેલા માણસને પોતાના રૂમની એકલતા પણ કોરી ખાતી હોય છે. હવા અને ઉજાસનો પણ ડર રહે છે કેમકે સૂર્યપ્રકાશ પોતાની અંદર જે જે અસમંજસ અને તકલીફો-પીડાઓ ભરી પડી છે એને અંધારામાંથી અજવાળામાં આણી લાવે છે. અને માણસ એનાથી જ તો ભાગવા મથે છે. ટેલિવિઝન આ પલાયનવૃત્તિનું એક પ્રતીક માત્ર છે. ટીવી પર દેખાતા દૃશ્યમાં એકલો માણસ કંઈ એ રીતે ખોવાઈ જાય છે કે એ પોતે દૃશ્યનો જ એક ભાગ બની જાય છે. ટીવી પરની વ્હેલ એને ગળી જાય છે એ દરમિયાન વાસ્તવિક દુનિયાનો સમય અને તકલીફો અટકી જાય છે અને એ જ કારણોસર એને વ્હેલના પેટમાં વૃદ્ધિહીન થઈ ગયેલો પોતાનો સુરક્ષિત અંધારભર્યો સમય વધુ ગમે છે. પણ એ જાણે છે કે આ પલાયન શાશ્વત નથી. આ વ્હેલ વૃદ્ધ છે અને એના પેટમાંથી એણે બહાર આવવું જ પડશે અને ફરીથી એ જ જિંદગીનો સામનો કરવો પડશે જેનાથી એ ભાગી જવા ઇચ્છે છે…

Comments (11)

સ્વર્ગ – કિમ ચિ હા (અનુ. વિષ્ણુ પંડ્યા)

અન્નનો
એક કોળિયો
એ જ તો છે સ્વર્ગ !
સ્વર્ગમાં તમે
નથી જઈ શક્તા, સાવ એકલા.
એવું જ મુઠ્ઠી ધાનનું છે
તે વહેંચીને ખાવું પડે છે
એટલે તો તે છે સ્વર્ગ સમાન !

જેમ આકાશી તારા
પ્રકાશે છે એકમેકની સંગાથે
અનાજ પણ એમ દીપે છે
સાથે આરોગવાથી.

અનાજ છે સ્વર્ગ.
જ્યારે તે ગળામાંથી પાર થઈ
પહોંચે છે શરીરના કણ સુધી
સ્વર્ગ તમારા દેહમાં વસે છે.

હા, અનાજ છે સ્વર્ગ.

– કિમ ચિ હા (કોરિયા)
(અનુ. વિષ્ણુ પંડ્યા)

કોરિયાના આ કવિની જિંદગી આઝાદ હવામાં વીતી એના કરતાં વધારે જેલમાં વીતી છે. સરકાર સામે થવાના કારણે એને મૃત્યુદંડની સજા ફટકારવામાં આવી જે પછીથી લોક-વિદ્રોહને માન આપીને રદ કરી એમને આઝાદ કરવામાં આવ્યા. પણ જ્યારે એમણે સરકારના દમન અંગે વિધાન કર્યા ત્યારે એમને ફરીથી આજીવન કારાવાસમાં નાંખી દેવાયા. એમણે ‘આત્માનું જાહેરનામું’ કવિતા લખી એ પછી તો એમને એકાંતવાસમાં પણ ખદેડી દેવાયા… કોરિયામાં એ આગ અને શોણિતના કવિ તરીકે જાણીતા છે.

ભૂખમરા અને સત્તાવાદથી પીડાતા કોરિયન લોકો માટેની કવિની વેદના આ કાવ્યમાં ઉપસી આવી છે. અન્નનો કોળિયો જ ખરું સ્વર્ગ છે પણ એ સ્વર્ગ સહિયારું હોય તો જ… અન્ન બ્રહ્મ છે અને સહનૌભુનકતુની આપણી આદિ સંસ્કૃતિ સાથે પણ આ વાત કેવો મેળ ખાય છે !!

Comments (8)

(મારું હૃદય) – ડોરથી લાઇવસે (અનુ. શીરીન કુડચેડકર)

મારું હૃદય તાર પર તણાયું છે
તંગ, તંગ.
નાની અમથી લહેરખી
ભલે મંદમંદ
મૂકી શકે કંપ.
તારો કેવળ એક શબ્દ
ગમે તેટલો હળવો,
તેને નંદવી શકે…

– ડોરથી લાઇવસે
(અનુ. શીરીન કુડચેડકર)

કવિતા ખરેખર શું છે એની પ્રતીતિ આવી કવિતા વાંચીએ ત્યારે જ થઈ શકે. કેટલું નાનું અમથું કાવ્ય પણ કેટલું વિશાળ ફલક!! કેનેડિયન કવયિત્રી હૃદયને તાર પર તણાયું છે કહ્યા પછી જે રીતે તંગ તંગની પુનરુક્તિ કરે છે એમાં તંતુવાદ્યના તણાયેલા તાર ચાક્ષુષ પણ થાય છે અને એનો રણકાર સંભળાય પણ છે. કવિતાનો એક જ શબ્દ આ રીતે જે ઇન્દ્રિયવ્યત્યય કરી શકે છે એ જ કવિતાની ખરી તાકાત છે…

Comments (8)