રાતરાણી હોય કે સૂરજમુખી,
પ્રેમના નામે સમર્પિત થાય છે.
મેગી આસનાની

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for શેખાદમ આબુવાલા

શેખાદમ આબુવાલા શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.




પ્રેરણાપુંજ : ૧૦ : મુક્તકો

પ્રેરણાપુંજ – રાહ ચીંધતી કવિતાઓની શ્રેણીમાં આજે આ આખરી કડી…

ઘણીવાર આખી કવિતા ઉપરાંત નાની-નાની કાવ્યકણિકાઓ પણ હૈયામાં કાયમી મુકામ કરી જતી હોય છે અને ટાણેટાંકણે આ કણિકાઓ સ્મરણપટ પર આપોઆપ ઉપસી આવતી હોય છે. જીવનના અલગ-અલગ વળાંકો પર, મનોદશાના અલગ-અલગ પડાવો પર આવી અલગ-અલગ કાવ્યકણિકાઓ આપોઆપ આગળ આવીને આપણો હાથ ઝાલી લેતી હોય છે, અને આવો હૂંફાળો સાથ મળ્યા બાદ આગળ ડગ માંડવાનું થોડું આસાન બની રહેતું હોય છે. અહીં જે મુક્તકો હું આપ સહુ સાથે સહિયારી રહ્યો છું, એ બધાએ ડગલેપગલે વફાદાર પ્રેમિકાની જેમ મારો સાથ નિભાવ્યો છે. આમ તો માબાપે આપેલ જીવન પ્રમાણમાં ખાસ્સું સરસ જ રહ્યું છે, પણ નાનીમોટી તકલીફો અને ઘણુંખરું પેટ ચોળીને ઊભાં કરેલ શૂળ ઈમાનદારીથી મને હંફાવવાની કોશિશ કરતાં આવ્યાં છે. આવા દરેક કપરા સમયમાં આ કવિતાઓએ મને ફરીફરીને બેઠો કર્યો છે. હજારોવાર આ પંક્તિઓને મોટેમોટેથી મેં મનમાં લલકારી છે. (ધવલે શેખાદમનું ‘અમને નાંખો જિંદગીની આગમાં’ મુક્તક પૉસ્ટ કરી દીધું છે એટલે એનું પુનરાવર્તન કરતો નથી.)

આવી જ કોઈ કવિતાઓ આપના માટે ‘પ્રેરણાપુંજ – રાહ ચીંધતી કવિતાઓ’ બની હોય તો કમેન્ટ વિભાગમાં જરૂર સહિયારજો.

*

અફસોસને આસન કદી જો આપશું,
જે રહ્યું થોડુંય તે લૂંટી જાશે;
જો ગુમાવ્યાની ગણત્રીમાં પડયા,
ફૂલ ઊઘડતુંય એ ચૂંટી જશે.
– મકરંદ દવે

કોક દિન ઇદ અને કોક દિન રોજા
ઊછળે ને પડે નીચે જિંદગીનાં મોજાં.
– મકરંદ દવે

ઉરની સાંકલડી શેરીના પંથ વિશાળ રચાવો,
હૈયાનાં ઝરણાં નાનાને સાગર જેવું બનાવો.
– સુન્દરમ્

નથી ઇચ્છા કે કિનારા થઈને પડ્યા રહીશું,
નાનું તોયે ઝરણું થઈને વહેતા રહીશું.
– ?

જીવવું છે, ઝૂરવું છે, ઝૂઝવું છે, જાનેમન !
થોડી અદાઓ ફાંકડી, થોડી ફિતૂરી રાખવી.
બાજ થઈને ઘૂમવું અંદાજની ઊંચાઈ પર,
ઇશ્ક ખાતર બુલબુલોની બેકસૂરી રાખવી
– વેણીભાઈ પુરોહિત

હાથની રેખા પ્રમાણે ચાલનારા છે ઘણા,
ચાલ તારાઓની બદલે એ જ શક્તિમાન છે.
– શેખાદમ આબુવાલા

મને એ નાખુદા પર છે ખુદા કરતાં વધુ શ્રદ્ધા,
કિનારો જોઈ જે પાછો વળી જાયે સમંદરમાં.
– શૂન્ય પાલનપુરી

કદમ અસ્થિર હો એને કદી રસ્તો જડતો નથી,
અડગ મનના મુસાફરને હિમાલય પણ નડતો નથી;
તમારા મનને જીતી લો તો હું માનું. ‘સિકંદર છો’,
નહીંતર દિગ્વિજય ઉચ્ચારવામાં શ્રમ નથી પડતો.
– શૂન્ય પાલનપુરી

ઝુલ્ફ કેરા વાળ સમ છે ભાગ્યની ગૂંચો બધી,
માત્ર એને યત્ન કેરી કાંસકી ઓળી શકે.
– શૂન્ય પાલનપુરી

જિંદગી જીવવાની ફિલસૂફી સમજી લીધી,
જે ખુશી આવી જીવનમાં, આખરી સમજી લીધી.
– મરીઝ

જિગર પર જુલ્મે કે રહેમત, ઘટે જે તે કરી જોજો,
તમારા મ્હેલના મહેમાનની સામું ફરી જોજો;
કટોરા ઝેરના પીતાં કરું છું એ વફાદારી,
કસોટી જો ગમે કરવી, બીજું પ્યાલું ધરી જોજો.
– કપિલરાય ઠક્કર ‘મજનૂ’

ફરીથી વિશ્વને જોવા મળે પુરુષાર્થની સિદ્ધિ,
ફરીથી ભાગ્યરેખાઓ બધી ગૂંચવાઈ જાવા દ્યો.
– ‘દિલહર’ સંઘવી

સફળતા જિંદગીની હસ્તરેખામાં નથી હોતી,
ચણાયેલી ઇમારત એના નક્શામાં નથી હોતી.
– અમૃત ઘાયલ

મને મળી નિષ્ફળતા અનેક,
તેથી થયો સફળ કૈંક હું જિંદગીમાં
– ઉમાશંકર જોશી

Comments (6)

પ્રેરણાપુંજ : ૦૨ : મુક્તકોનો ખુમારીભર્યો વૈભવ

કપરી ક્ષણે જયારે પોતાની જાતને પાનો ચડાવવાની જરૂર હોય ત્યારે ખુમારીભર્યા મુક્તકની ચાર લીટીઓ બહુ અકસીર ઈલાજ છે. મેં તો આ ઈલાજ ઘણો અજમાવ્યો છે. જીવનની અઘરી ક્ષણોએ જેણે છાંયો કરેલો એવાં કેટલાક મુક્તક આ રહ્યા.

અમને નાખો જિંદગીની આગમાં
આગને પણ ફેરવીશું બાગમાં
સર કરીશું આખરે સૌ મોરચા
મોતને પણ આવવા દો લાગમાં.

– શેખાદમ આબુવાલા

* * *

સંકલ્પ વિના એ શક્ય નથી
તું રોક નયનના આંસુ મથી
તું હાથની મુઠ્ઠી વાળી જો
રેખાઓ બધી બદલાઈ જશે !

-શેખાદમ આબુવાલા

* * *

ખાળ તારી આંખડીના નીરને
સંકટોમાં આ ન છાજે વીરને;
એને ઠોકર મારીને રસ્તે લગાવ,
ક્યાં સુધી પંપાળશે તકદીરને ?

– શેખાદમ આબુવાલા

* * *

પર્વતમાંયે રસ્તા પડી જાય છે
મૃગજળોને તરી નાવડી જાય છે
હાંફતા હાંફતા હાંફતા એક દિ’
શ્વાસ લેતા પછી આવડી જાય છે.

– રઈશ મનીયાર

* * *

વૃક્ષ ઝંઝાવાત નહીં ઝીલી શકે
તરણું ઊખડી જાય તો કે’જે મને
જિંદગી તારાથી હું થાક્યો નથી
તું જો થાકી જાય તો કે’જે મને

– ખલીલ ધનતેજવી

* * *

જે કહ્યું માને વિધાતાનું એ મુકદ્દર હું નહીં
આટલો વૈભવ છતાં ખારો સમંદર હું નહીં
મેં મુકદ્દરથી ઘણુંયે મેળવ્યું ‘મેહુલ’
અહીં જાય ખાલી હાથ તે પેલો સિકંદર હું નહીં

– મેહુલ

* * *

જીવનઉપાસનાની સદા ધૂન છે મને
હું જિંદગીનો એક નવો દૃષ્ટિકોણ છું
મારી વિચાર—જ્યોત મને માર્ગ આપશે
છું એકલવ્ય હું જ અને હું જ દ્રોણ છું

– મનહરલાલ ચોક્સી

* * *

જિંદગી ભાર માની નથી
ને નિરાધાર માની નથી
ધૂળ ખંખેરી ધપતાં જતાં
હારને હાર માની નથી

– મકરંદ દવે

* * *

અમૃતથી હોઠ સહુના એંઠા કરી શકું છું
મૃત્યુના હાથ પળમાં હેઠા કરી શકું છું
આ મારી શાયરી એ સંજીવની છે ‘ઘાયલ’
શાયર છું પાળિયાને બેઠા કરી શકું છું

– અમૃત ‘ઘાયલ’

* * *

મોતની તાકાત શી મારી શકે?
જિંદગી તારો ઈશારો જોઈએ
જેટલે ઊંચે જવું હો માનવી
તેટલા ઉન્નત વિચારો જોઈએ

– ‘શૂન્ય’ પાલનપુરી

Comments (2)

રાજકારણ વિશેષ : ૦૭ : ગાંધીજી – શેખાદમ આબુવાલા

કેવો તું કિંમતી હતો સસ્તો બની ગયો
બનવું હતું નહીં ને શિરસ્તો બની ગયો
ગાંધી તને ખબર છે કે તારું થયું છે શું?
ખુરશી સુધી જવાનો તું રસ્તો બની ગયો.

* * *

અમે કહેતા નથી ચાલે છે રાવણરાજ, ગાંધીજી!
તમે ચાહ્યું તેવું તો નથી કંઈ આજે, ગાંધીજી!

તમારી રામધૂનોમાં હવે ખખડે છે ખુરશીઓ
તમારો રેંટિયો કાંતે છે કોનું રાજ, ગાંધીજી!

અમે અંગ્રેજથી કંઈ કમ નથી સાબિત કરી દીધું
રહ્યું’તું જે હજી બાકી કર્યું તારાજ, ગાંધીજી!

હું ભીંતો પર તમારા હસતા ફોટા જોઉં છું ત્યારે
વિચારું છું થયા છે ક્યાં હજી નારાજ ગાંધીજી!

કદી આદમ સમાધિ પર જઈને આ તો કહેવું છે :
તમે એક જ હતા ને છો વતનની લાજ, ગાંધીજી!

– શેખાદમ આબુવાલા

રાજકીય રંગની કવિતાઓ આપણે ત્યાં ભાગયે જ રચાય છે. એમાં વળી રાજકીય કવિતાઓના આખા સંગ્રહની તો અપેક્ષા પણ ન રાખી શકાય. આવી સ્થિતિમાં શેખાદમ આબુવાલાએ સિત્તેરના દાયકામાં ‘ખુરશી’ નામે રાજકીય કાવ્યોનો નાનકડો સંગ્રહ કરેલો. સાંપ્રત પરિસ્થિતિને નજરમાં નાખીને કટોકટીની પૃષ્ઠભૂમિ પર રચાયેલા કાવ્યો લોકોનો ખૂબ પ્રેમ પામ્યા છે. એમાંથી બે – એક મુક્તક અને એક ગઝલ – અહીં લીધા છે.

બેશરમીથી ગાંધી નામની સીડીને લઈને સત્તાની ખુરશી પર ચઢી જવાની ગંદી રમત રમતા રાજકારણીઓને કવિએ અહીં ખુલ્લા પાડ્યા છે. શેખાદમ નો વ્યંગ કોઈની શરમ રાખતો નથી. શેખાદમ – અમે અંગ્રેજથી કંઈ કમ નથી સાબિત કરી દીધું / રહ્યું’તું જે હજી બાકી કર્યું તારાજ, ગાંધીજી! – એવા ચાબખા જેવા શેર લખે છે.

વ્યંગ અને એમાંય રાજકીય વ્યંગમાં ‘ખુરશી’નું સ્થાન અચળ છે.

Comments (2)

હાસ્યમેવ જયતે : ૧૨ : ‘ખુરશી’ મુક્તકો – શેખાદમ આબુવાલા

કેવો તું કિંમતી હતો સસ્તો બની ગયો
બનવું હતું નહીં ને શિરસ્તો બની ગયો
ગાંધી તને ખબર છે કે તારું થયું છે શું?
ખુરશી સુધી જવાનો તું રસ્તો બની ગયો.

* * *

આ  દેશને  માટે  હિંસા  એક  વ્યાધિ  થઈ  ગઈ
ચાહી  અમે  નો’તી  છતાં  કેવી  ઉપાધિ  થઈ  ગઈ
માર્યા – પછી બાળ્યા – પછી દાટ્યા – પછી ફૂલો ધર્યા
ચાલો  થયું  તે  થઈ  ગયું  સુંદર  સમાધિ  થઈ  ગઈ

* * *

હવે કલ્પનામાં પણ સુખ ક્યાં મળે છે?
સુખી માણસો પણ દુઃખી થઇ ગયા છે!
શહીદોનું   કિસ્મત   હતું  ખૂબ  સારું
સમયસર મરીને સુખી થઇ ગયા છે!

* * *

આદમને આવ્યું સ્વપ્ન એવું: ગોડસે રડતો હતો
રડતો હતો  ને  મનમહીં  એ  કૈંક  બબડતો હતો
નજદીક જઈને ધ્યાન આપી સાંભળ્યું તો છક થયો
કહેતો હતો: હે રામ! ગાંધી ક્યાં મને નડતો હતો?

– શેખાદમ આબુવાલા

સામાન્યતઃ વ્યાંગને હાસ્યથી થોડે નીચે બેસાડવામાં આવે છે. એનું કારણ કદાચ એ છે કે હાસ્ય રમાડ઼ે છે જ્યારે વ્યંગ દઝાડે છે. હાસ્ય પંપાળે છે જ્યારે વ્યંગ ઘા કરે છે. આમ છતાં જો હાસ્યની સાથે વ્યંગ ન હોય તો ભોજનમાં મીઠું ન હોય એવી હાલત થાય.

ગુજરાતી કવિતામાં શેખાદમ આબુવાલાના સંગ્રહ ‘ખુરશી’થી વધારે ઉત્તમ વ્યંગનું ઉદાહરણ મળવું મુશ્કેલ છે. ‘ખુરશી’ એટલે નવનિર્માણના આંદોલનના સમયમાં શેખાદમે કરેલો મુખ્યત્વે રાજકીય કાવ્યોનો એક નાનકડો સંગ્રહ. યોગાનુયોગ એ પ્રગટ થયો તે જ વખત ઇન્દિરા ગાંધીએ કટોકટી જાહેર કરેલી. કવિતા અને વાસ્તવિકતા ટકરાઇ. ‘ખુરશી’ના કાવ્યો બહુ વખણાયા અને લોકોની જીભે ચડી ગયા. ‘ખુરશી’માં થોકબંધ ધારદાર ગઝલો અને મુક્તકો છે જે આજે ય લોકોની જીભે જીવંત છે. આજે એમાંથી ચાર સૌથી ધારદર મુક્તકો અહીં મુકું છું.

Comments (5)

આવી ગયું હસવું ! – ‘શેખાદમ’ આબુવાલા

નયનનાં આંસુઓની ધાર પર આવી ગયું હસવું !
મને ત્યારે જ મારા પ્યાર પર આવી ગયું હસવું !

કિનારે આવીને જ્યારે અચાનક નાવ ડૂબી ગઈ,
ઉછાળા મારતા મઝધાર પર આવી ગયું હસવું !

નજરના ભેદ છે કેવા ! હસે છે કોણ કોના પર ?
મને મારા હૃદયનાં ભાર પર આવી ગયું હસવું !

મને ત્યારે ન જાણે આંસુઓ પર લાગણી થઈ ગઈ !
જગતને જ્યાં કદી રડનાર પર આવી ગયું હસવું !

મને સાથે લીધો, મંઝીલ મળી ત્યારે મૂકી દીધો;
તમારા રમ્ય આ આભાર પર આવી ગયું હસવું !

જવાની છે; અચલતા છે, અડગતા છે, અટલતા છે !
ચરણમાં કંટકો ધરનાર પર આવી ગયું હસવું !

સનાતન હોય એને કોઈ પણ મારી નથી શકતું !
ઉઠેલી જુલ્મની તલવાર પર આવી ગયું હસવું !

જવાની રૂપ સામે કેટલું ઝૂઝી શકે બોલો !
મને જીતી ગયેલી હાર પર આવી ગયું હસવું !

ભલે ઠંડો રહ્યો હું ગર્વ તો તારો થયો ખંડિત !
મને ખાલી ગયેલા વાર પર આવી ગયું હસવું !

– ‘શેખાદમ’ આબુવાલા

આ શાયરે જિંદગી ગાઈ છે, સજળ આંખે ખડખડાટ હાસ્ય વેર્યું છે. કદાચ શાસ્ત્રીય કવિઓ શેખાદમને હસી કાઢતા હશે, પણ શેખાદમને તો આવા શાસ્ત્રીય કવિઓ પર – “આવતું હશે હસવું……”

Comments (2)

વાંસળી હૃદયની – શેખાદમ આબુવાલા

નિરાશ થઈ વાંસળી હૃદયની વગાડી હતી ;
પ્રફુલ્લિત વસંતમાં શિશિરને જગાડી હતી !

રજેરજ પરાગથી સભર કેમ થૈ ના શકી ?
સુવાસિત અને લચી પડતી ફૂલવાડી હતી !

ઉરે જલન અગ્નિની, નયનથી વહે વાહિની ;
અરે હૃદય મૂર્ખ તેં લગની ક્યાં લગાડી હતી ?

જરી નયન મીંચીને, સ્વપ્ન હીંચકો હીંચીને,
સુષુપ્ત કંઈ ઊર્મિઓ પલકમાં જગાડી હતી !

ચલો સહચરો ! સહે ચલનની મઝા માણીએ !
દિલેદિલ મિલાવવા દિલથી બૂમ પાડી હતી !

ઉડે ભ્રમર બાગમાં, ગુનગુને મીઠા રાગમાં !
સુણી મિલન ગીત આંખ કળીએ ઉઘાડી હતી !

ન ભગ્ન થઈ જાય સુપ્ત કંઈ સૂરના તાર સૌ !
સિતાર હળવે અને સિફતથી ઉપાડી હતી !

– શેખાદમ આબુવાલા

જો શેખાદમ હયાત હોતે તો આજે તેઓ 90 પૂરા કરતે ! મને નાનપણથી જ ગમતા આ શાયર…..ઘણા શાસ્ત્રીય કસબીઓ તેઓને બહુ મહત્વ નથી આપતા પણ મને તો કાયમ તેઓ ગમતા જ રહ્યા છે.

Comments (2)

કોની તમન્ના – શેખાદમ આબુવાલા

જીવી રહ્યો છું કોની તમન્ના ઉપર હજી
આપું જવાબ એવું તો ક્યાં છે જિગર હજી

ભૂલી ગયો છું એમ તો દુનિયાનાં ઘર તમામ
આવી રહ્યું છે યાદ મને એનું ઘર હજી

કેવી રીતે હું લાશ બની નીકળ્યો હતો
શોધી રહ્યો છું એની ગલીમાં કબર હજી

હું જોઉં છું તો જોઉં છું એની જ દૃષ્ટિએ
મારી નજરમાં કેમ છે એની નજર હજી

તરડે છે કેમ આયનો મારા વિચારનો
વરતાય છે આ કોના વદનની અસર હજી

ક્ષણ ક્ષણ કરીને કેટલા યુગ વીતતા રહ્યા
એ બેખબરને ક્યાં છે સમયની ખબર હજી

ગણતા રહો સિતારા તમે ઇંતેજારમાં
આદમ તમારે જાગવું છે રાતભર હજી

– શેખાદમ આબુવાલા

પરંપરાના શાયરોમાં કંઈક એવી વાત હતી જે કારણોસર એમની કૃતિઓ સમયાતીત બની રહી છે… જ્યારે પણ મમળાવીએ, મજા જ આવે.

Comments (1)

યાદગાર મુક્તકો : ૦૪ : શેખાદમ આબુવાલા

દમકતો ને ચમકતો શાહજહાંનો મહેલ જોવા દે
મને ધનવાન મજનૂએ કરેલો ખેલ જોવા દે
પ્રદર્શન કાજ ચાહત કેદ છે જેમાં જમાનાથી
મને એ ખૂબસૂરત પથ્થરોની જેલ જોવા દે

શેખાદમ એટલે મુક્તકોનો રાજા. એના બધા મુક્તકોમાંથી એક જ પસંદ કરવાનું હોય તો ‘તાજમહાલ’ જ પસંદ કરવું પડે. એમા ચમત્કૃતિ પણ છે અને ડંખ પણ છે. બધા જેને પ્રેમના પ્રતિક તરીકે ઓળખે છે એ તો ખરેખર તો પૈસાના જોરનું પ્રતિક છે. આપણે બધા જાણીએ છીએ કે પ્રેમને દેખાડા સાથે સાપ ને નોળીયા જેવો સંબંધ છે છતાં કોણ જાણે કેમ તાજમહાલને આપણે પ્રેમના પ્રતિક તરીક સ્વીકારી લીધો છે?

અમને નાખો જિંદગીની આગમાં
આગને પણ ફેરવીશું બાગમાં
સર કરીશું આખરે સૌ મોરચા
મોતને પણ આવવા દો લાગમાં.

શેખાદમનો આ બીજો રંગ છે. જ્યારે જ્યારે હતાશા ઘેરી વળે છે ત્યારે આ મુક્તક અચૂક રસ્તો બતાવે છે. મોતને પણ લાગમા લેવાની કવિની ખુમારી પર સલામ કરવાનુ મન થાય છે.

કેવો તું કિંમતી હતો સસ્તો બની ગયો
બનવું હતું નહીં ને શિરસ્તો બની ગયો
ગાંધી તને ખબર છે કે તારું થયું છે શું?
ખુરશી સુધી જવાનો તું રસ્તો બની ગયો.

નવનિર્માણના આંદોલનના સમયમાં શેખાદમે રાજકીય કાવ્યોનો ‘ખુરશી’ નામે એક નાનકડો સંગ્રહ કરેલો. યોગાનુયોગ એ પ્રગટ થયો અને તે જ વખત ઇન્દિરા ગાંધીએ કટોકટી જાહેર કરી. કવિતા અને વાસ્તવિકતા ટકરાઇ. ‘ખુરશી’ના કાવ્યો બહુ વખણાયા અને લોકોની જીભે ચડી ગયા. એમાંનુ સૌથી ધારદાર મુક્તક.

એક પૂછું છું સવાલ
આપજે ઉત્તર કમાલ
પાપ તું કરતો નથી
શા થશે ગંગાના હાલ ?

શેખાદમની મૂળ પ્રકૃતિ મસ્તીની. રમતિયાળ રીતે બહુ મોટી વાત કરી દેવાની આવડત એને કેવી સિદ્ધહસ્ત હતી એનો આ મુક્તક આબાદ નમૂનો છે.

Comments (7)

મેઘ અને ધરતી – શેખાદમ આબુવાલા

મેઘ ગગનમાં ઝૂમે નાચે,
ધરતી એનું ભર્યું ભર્યું રસભીનું આલિંગન યાચે.

એકલવાયી ધરતી નાચે
મીટ ગગનમાં માંડી,
એને એની પરવા ક્યાં છે
મૂર્ખ કહો કે ગાંડી !
પલપલ ઝંખે : જલજલ ઝંખે – ડંખે તોય તૃષામાં રાચે.
.                                                             મેઘ ગગનમાંo

દૂર ગગનમાં પાગલ બાદલ
બાહુ પ્રસારી ડોલે,
નીચે આકુલ-વ્યાકુલ ધરતી
દ્વાર હૃદયનાં ખોલે.
ધરતી રસે તોય ન વરસે છલછલ મેહૂલિયો તો સાચે !
.                                                             મેઘ ગગનમાંo

– શેખાદમ આબુવાલા

પડું-પડું  થયા કરે પણ પડે નહીં ને ધરતીને તરસાવ્યા કરે એવા વરસાદને ધરતીનો એક પ્રેમપત્ર…

 

Comments (6)

મનનાં પગલાં – શેખાદમ આબુવાલા

આંસુઓને અમે સમજીશું નયનનાં પગલાં
જેમ તારાઓને સમજ્યા છે ગગનનાં પગલાં

એક ઠોકર ન મળી મોત આવ્યું ને ગયું
રહી ગયાં માટીની નીચે જ કફનનાં પગલાં

એ ભલે ગેબી હતો જોઈ શકાયો નોતો
પર્વતો પર હજી અંકિત છે પવનનાં પગલાં

પાનખરમાં મને આવ્યો છે આ વાસંતી વિચાર
ચાલ ફૂલોને ગણી લઈએ ચમનનાં પગલાં

જાગતું તન છે પથિક પથ અને મંઝિલ આદમ
કેમ શોધો છો તમે સ્વપનમાં મનનાં પગલાં

-શેખાદમ આબુવાલા

Comments (6)

માતમ (છાજિયાં) – શેખાદમ આબુવાલા

(પંદરમી ઓગસ્ટ ૧૯૫૨ ઉપર)

હાય આ કેવી મળી અમને બહારો હાય હાય
પાનખરના હરઘડી આવે વિચારો હાય હાય

સાંઝ પણ પડતી નથી કે ક્યાંક છાંયે બેસિયે
આમ તો ક્યાંથી મળે રણમાં ઉતારો હાય હાય

ફૂલ ને ઝાકળ ગળે વળગી રડે છે બાગમાં
રાતની પાછળ હતી કેવી સવારો હાય હાય

કાળજું કળિયોનું ચીરાયું ઘવાયા કંટકો
રંગ કેવા અવનવા લાવી બહારો હાય હાય

આ કયા કાંઠા ઉપર નૈયા અમારી લાંગરી
ઝાંઝવા પેઠે ઠગી બેઠો કિનારો હાય હાય

મ્હેફિલોમાં ઝૂમવા ખાતર અમે ઝૂમ્યા હતા
એટલે આવી ગઈ હોઠે પુકારો : હાય હાય

આટલાં ઠંડાં કદી સૂરજના કિરણો હોય ના
અર્ધી રાતે તો નથી જાગી સવારો હાય હાય

-શેખાદમ આબુવાલા

આઝાદી મળ્યાના માત્ર પાંચ વર્ષ પછી લખાયેલી આ ગઝલ – સૉરી, માતમ માટેનાં છાજિયાં – આજે પણ એટલી જ કન્ટેમ્પરરી (સાંપ્રત) છે. આઝાદી પછી જોવામાં આવેલા સપનાં કોઈના પૂરાં ન થયાં એમાં માત્ર દેશનેતાઓનો જ વાંક કેમ કઢાય, આપણું લોહી પણ અમીચંદોના રક્તકણોનું બનેલું છે… સાંપ્રત કવિતા ક્યારેક કાવ્યતત્ત્વના ભોગે લખાતી હોય છે પણ સમર્થ કવિનો સ્પર્શ વર્તાયા વિના રહેતો નથી. અડધી રાત્રે આઝાદી મળી હોવાનો ચાબખો ગઝલના આખરી શેરમાં કેવા ઠંડા કલેજે કવિ ફટકારે છે !

જેવી છે તેવી, સહુને આઝાદી મુબારક !

Comments (2)

કે પછી – શેખાદમ આબુવાલા

કોઈ જોગણનાં ચરણમાં પુષ્પ થૈ પથરાઈ જા
કે પછી વારાંગનાનું સ્મિત બની વેચાઈ જા

શક્ય હો તો કોઈ યોગી ના અધરનું મૌન બન
કે પછી બદનામીની ચર્ચા બની ચર્ચાઈ જા

શક્તિ હો તો જા હિમાલયની બુલન્દીને નમાવ
કે પછી પાતાળમાં જૈને પતન પર છાઈ જા

હેસિયત જો હો તપ બન ફિલસૂફની ગંભીરતા
કે પછી પ્રેમીની ચંચલતા બની ફેલાઈ જા

બન જો બનવું હોય નીરવતા નનામી ક્બ્રની
કે પછી મ્હેલોનો કોલાહલ બની પંકાઈ જા

મરજી હો તો ધર્મની નીરસ લડતનું લે સ્વરૂપ
કે પછી કો રસભરી સરગમ બની રેલાઈ જા

કોઈ જખમી લાશ માટે બન કફન યા તો પછી
ચૂંદડી કોઈ નવોઢાની બની લ્હેરાઈ જા

કોઈ રૂપાળાં નયનની અર્થસૂચક વાણી બન
કે પછી અસ્પષ્ટ ચૂપકીદી બની સમજાઈ જા

એકબે જો હો તો આદમ કાન ધરીએ બે ઘડી
સેંકડો છે તુજ કથાઓ પ્રેમની જા ભાઈ જા

– શેખાદમ આબુવાલા

અમુક શેર નબળાં લાગ્યા પણ બાકીનાં ગઝલને સરસ ઉપાડે છે.

Comments (1)

તું એક ગુલાબી સપનું છે – શેખાદમ આબુવાલા

તું એક ગુલાબી સપનું છે
હું એક મજાનીં નીંદર છું.
ના વીતે રાત જવાનીની
તે માટે હું પણ તત્પર છું.

ગોતી જો શકે તો લે ગોતી
મોતીના સ્વરૂપે છે જ્યોતિ
ઓ હંસ બનીને ઊડનારા
હું તારું માનસરોવર છું.

શાંત અને ગંભીર ભલે
શરમાળ છે મારાં નીર ભલે
ઓ પૂનમ ઘૂંઘટ ખોલ જરા
હું એ જ છલકતો સાગર છું.

કૈલાસનો સચવાયે વૈભવ
ગંગાનું વધી જાશે ગૌરવ
તું આવ ઉમાનું રૂપ ધરી
ને જો કે હું કેવો સુંદર છું.

સંવાદ નથી શોભા એની છે
મૌન પ્રતિષ્ઠા બન્નેની
તું પ્રશ્ન છે મારે પ્રીતિનો
હું તારા રૂપનો ઉત્તર છું.

– શેખાદમ આબુવાલા

Comments (8)

નકશા – શેખાદમ આબુવાલા

અમે જોયાં જવાનીમાં ઘણા અરમાનના નકશા
સમન્દરમાં સમન્દર પર હતા તોફાનના નકશા

ન તો ભગવાનના નકશા ન તો શેતાનના નકશા
કે જીવનમાં હતા જે કંઈ ઈન્સાનના નકશા

ફક્ત હિંસાની તરકીબો જ બદલાશે ન કે હિંસા
ન બદલાયા ન બદલાશે કદી ઈન્સાનના નકશા

ગરીબીને હટાવીને નવા ધનવાન પેદા કર
ગરીબોની નજરમાં છે હજી ધનવાનના નકશા

હવે આતિથ્યના મૂલ્યોય બદલાઈ ગયાં જગમાં
જુઓ યજમાનના નકશા જુઓ મહેમાનના નકશા

અમે તો પ્રેમની બે ગાળ ખાઈ ખુશ છીએ આદમ
કે અમને તો નથી પરવડતા આ સન્માનના નકશા

હવે તો આદમ તમે યુરોપને ભૂલો તો સારું છે
અહીં તો છે હતા તેવા જ હિંદુસ્તાનના નકશા

– શેખાદમ આબુવાલા

આજે માણો શેખાદમની મારી એક ગમતી ગઝલ. જુવાનીની શેખાદમની વ્યાખ્યા જુઓ : જુવાની = સમન્દર પર (આવનારા) તોફાનના નકશા !

Comments (5)

મન ગાવું હો તે ગા-શેખાદમ આબુવાલા

મન ગાવું હો તે ગા
જે કૈં તુજમાં હોય છતું તું તેને કરતું જા

સરવરલહરી સર… સર… કરતી
ગૂંજી રહે સંગીત
ડોલી ડોલી કમલ વહે કંઈ
વાય સમીરણ શીત
પ્રીતની ઘેરી મસ્તી થૈને અંતર અંતર છા
મન ગાવું હો તે ગા

કોમલ હૈયાં ઘાયલ થઈને
છલકાવે નિજ પ્રીત
અમરત દેવી પી ને હલાહલ
એય તો તારી રીત
પહેલા પૂર્ણ છલોછલ થા ને પછી ભલે છલકા
મન ગાવું હો તે ગા.

– શેખાદમ આબુવાલા

Comments (8)

પી નથી શકતો – શેખાદમ આબુવાલા

તને પામ્યા પછી પણ હું તને પામી નથી શકતો
મને આપ્યો છે કેવો જામ આ કે પી નથી શકતો

મને પાગલ થવાની એટલે ઇચ્છા થતી રૈ’ છે
સમજ એવી મળી છે કે હું કૈં સમજી નથી શકતો

તિરસ્કાર્યો છે તોફાનોએ કૈં એવો કે હું કેમે
કિનારા પર જઈને પણ હવે ડૂબી નથી શકતો

વિચાર્યું’તું હશે આ પ્યારનો રસ્તો સરલ-સીધો
વળાંકે હાથ ઝાલ્યો છે હવે ચાલી નથી શકતો

હું જન્મ્યો ત્યારે આ મૃત્યુય જન્મ્યું એટલે આદમ
હું રૈ’ નિશ્ચિંત મારી જિંદગી જીવી નથી શકતો

 

મને આ શાયરની રચનાઓ માટે એક અંગત positive પક્ષપાત છે. સાવ સરલ વાણીમાં ગઝલ કહેવાની તેમની અદકેરી રીત મને બહુ જ ગમી ગઈ છે. શેરના ઊંડાણને જરાપણ હાનિ ન પહોચે તે રીતે તેઓ વાતચીતના શબ્દો અને શબ્દોના ટૂંકા સ્વરૂપો પ્રયોજતા હોય છે.

Comments (10)

ગુજરાતી ગઝલમાં ‘મૃત્યુ’ :કડી ૦૫

મૃત્યુ વિષયક શેરોની ગલીઓમાં ફરી એકવાર થોડા આગળ વધીએ… આ વખતે કોઈ એક કવિ ‘મૃત્યુ’ નામના એક જ વિષય પર અલગ અલગ નજરિયાથી વાત કરે એના બદલે એક જ વિષય પર અલગ અલગ કવિઓ શું કહે છે એનો આસ્વાદ લઈએ…

શબ્દ ક્યાં પહોંચે છે તે જાતે નિરખવા માટે, ભાન ની સૃષ્ટિની સીમાને પરખવા માટે,
દિલના વિસ્તારની દુનિયાઓમાં વસવા માટે, કોઈ મહેફિલથી ઊઠી જાય તો મૃત્યુ ન કહો.
– હરીન્દ્ર દવે

મોત તારી કારી નિષ્ફળતા ઘડીભર જોઈ લે,
કેટલા હૈયે સ્મરણ મારા બિછાવી જાઉં છું,
-હરીન્દ્ર દવે

જેવું તને મેં જોયું ત્યાં ભાંગી પડ્યો, મરણ!
મંજિલ મળી તો લાગે છે મોકાનો થાક છે.
– હરીન્દ્ર દવે

એ જ કારણસર રડ્યો ના હું સ્વજનના મોત પર,
ઓ ‘જલન’ જાણે કે મૃત્યુ મારું પોતાનું હતું.
– જલન માતરી

મૃત્યુની ઠેસ વાગશે તો શું થશે ‘જલન’ ?
જીવનની ઠેસની તો હજુ કળ વળી નથી.
– જલન માતરી

જીવન માટે સદા પ્રત્યેક ક્ષણ સંદેશ આપે છે,
નથી કાયમ અહીં કોઈ – મરણ સંદેશ આપે છે;
જે જન્મે રમ્યતા લઇને એ વિકસે છે પ્રભા થઇને,
ઉષાનું ઊગતું પહેલું કિરણ સંદેશ આપે છે.
– ઇજન ધોરાજવી

બારણે જો દે ટકોરા તો હું ભેટીને મળું
મળતું બિલ્લિપગ, મરણની એ જ તો તકલીફ છે
– પ્રણવ પંડ્યા

અમસ્તા જ દરવાજો ખોલ્યો અમે
હતી ક્યાં ખબર કે મરણ આવશે
– આદિલ મન્સૂરી

મરણ દરેકની સાથે કર્યા કરે રકઝક
બહુ અનુભવી જૂનો ઘરાક લાગે છે.
-આદિલ મન્સૂરી

જીવન થકી જ જણાયું કે અહીં મરણ પણ છે,
થઈ મરણને લીધે જાણ કે હયાતી છે.
– મુકુલ ચોકસી

મારું મરણ ક્યાં એકલું મારું મરણ હતું?
સંસાર, આંખ મીંચી તો નશ્વર બની ગયો!
-શ્યામ સાધુ

માની રહ્યો છે જેને જમાનો જીવન-મરણ,
ઝગડો એ હા ને ના નો હતો. કોણ માનશે?
– ‘રૂસવા’

મરણ અહીંથી તને લઈ જવાનું પળભરમાં,
તું બેખબર આ જગતને વિશાલ સમજે છે.
– મરીઝ

મોત તું શું બહાનું શોધે છે?
મારું આખું જીવન બહાનું છે
– મરીઝ

મને એવી રીતે કઝા યાદ આવી,
કોઈ એમ સમજે દવા યાદ આવી.
– મરીઝ

મરણ પછી જે થવાનું છે તેની ટેવ પડે,
હું તેથી મારા જીવનમાં જ આમતેમ રહ્યો.
– મરીઝ

હવે કોઈ રડી લે તો ‘મરીઝ’ ઉપકાર છે એનો,
કોઈને કંઈ નથી નુક્શાન જેવું મારા મરવાથી.
– મરીઝ

આપ ગભરાઈને જતા ન રહો,
આ છે છેવટના શ્વાસ, હાય નથી.
– મરીઝ

તંગ જીવનના મોહથી છું ‘મરીઝ’,
આત્મહત્યા વિના ઉપાય નથી.
– મરીઝ

મરણ હો કે જીવન હો એ બન્ને સ્થિતિમાં, ‘મરીઝ’ એક લાચારી કાયમ રહી છે;
જનાજો જશે તો જશે કાંધે-કાંધે, જીવન પણ ગયું છે સહારે સહારે.
– મરીઝ

જીવનના બંધનો હસતા મુખે જેબે વિદાય આપે,
ફકત એ આદમીને હક છે કે આઝાદ થઈ જાએ.
– મરીઝ

મોત વેળાની આ ઐયાશી નથી ગમતી ‘મરીઝ’,
હું પથારી પર રહું ને આખું ઘર જાગ્યા કરે.
– મરીઝ

કેમ હો જીવનનું ઘડતર જ્યારે હું શીખ્યો ‘મરીઝ’,
વાહ રે કિસ્મત ! કે મૃત્યુનો સમય આવી ગયો.
– મરીઝ

‘મરીઝ’ એની ઉપરથી આપ સમજો કેમ ગુજરી છે,
મરણ આવ્યું તો જાણ્યું જિંદગાની લઈને આવ્યો છું.
– મરીઝ

જિંદગીના રસને પીવામાં કરો જલ્દી ‘મરીઝ’,
એક તો ઓછી મદિરા છે ને ગળતું જામ છે.
– મરીઝ

દુનિયામાં મને મોકલી પસ્તાયો હતો તું,
મૃત્યુનું બહાનું કરી આ પાછો ફર્યો લે.
– મરીઝ

જીવનને કોઈ પણ રીતે નિષ્ફળ જવું હતું,
એવામાં કોઈ રોકે તો રોકે ક્યાં લગ મરણ ?
– રવીન્દ્ર પારેખ

આજે મરણનો ભેદ કાં પૂછે છે આ જગત?
પેદા થતાં ન પૂછ્યું કે કાં આવવું પડ્યું?!
– સૈફ પાલનપુરી

હવે તો સૈફ ઇચ્છા છે કે મ્રત્યુ દ્વાર ખખડાવે,
ઘડી ભર તો મને લાગે કોઈના આગમન જેવું
– સૈફ પાલનપુરી

જો હૃદયની આગ વધી ‘ગની’, તો ખુદ ઈશ્વરે જ કૃપા કરી,
કોઈ શ્વાસ બંધ કરી ગયું, કે પવન ન જાય અગન સુધી.
– ગની દહીંવાલા

જિંદગાનીને દુલ્હનની જેમ શણગારી ‘ગની’,
એને હાથોહાથ સોંપી જેમના ઘરની હતી.
– ગની દહીંવાલા

જિંદગી મૃત્યુની ખાતર જાળવી રાખો ‘ગની’,
આખરી મેહમાનને માટે ઉતારો જોઈએ.
– ગની દહીંવાલા

છોડીને એને ક્યારના ચાલી જતે અમે,
હક છે મરણનો એટલે રાખી છે જિંદગી
-અમર પાલનપુરી

દયા તો શું, હવે સંજીવની પણ કામ નહિ આવે,
જીવનના ભેદને પામી ‘અમર’ હમણાં જ સૂતો છે.
-અમર પાલનપુરી

એ ક્ષણે રંગો હશે, સૌરભ હશે, ઝળહળ હશે,
મૃત્યુ પણ કોઈ નવોઢા જેમ આંગણ આવશે
-ભગવતી કુમાર શર્મા

મને જીવન અને મરણની એટલી ખબર છે,
કબર પર ફૂલો ને ફૂલો પર કબર છે
-જયંત શેઠ (?પાઠક)

ખુલ્લી આંખો જિંદગી છે, બંધ આંખો મોત છે,
પાંપણો વચ્ચેનું અંતર જિંદગાની હોય છે.
– ‘કાબિલ’ ડેડાણવી

પ્રભુ ના સર્વ સર્જનની પ્રતિષ્ઠા જાળવું છું હું,
મરણની લાજ લૂંટીને નથી થાવું અમર મારે
-ઓજસ પાલનપુરી

મારી પાછળ મારી હસ્તી એ રીતે વિસરાઈ ગઈ,
આંગળી જળમાંથી નીકળી ને જગા પૂરાઈ ગઈ.
-ઓજસ પાલનપુરી

કોણે કહ્યું હતું કે મૃત્યુ થયું છે તારું,
ફરકી રહી છે આજે તારી ધજા હજુ પણ.
– અબ્બાસ રૂપાવાલા ‘રફીક’

તને હું કેમ સમજાવું સફર છે દૂરની ‘અકબર’ ?
ઉતારો છે, તને જે કાયમી રહેઠાણ લાગે છે.
– અકબરઅલી જસદણવાળા

કહે છે મોત જેને એ અસલમાં છે જબરજસ્તી,
હરિ ઇચ્છા કહી એને હું પંપાળી નથી શકતો.
– ઘાયલ

એક પંખી મોત નામે ફાંસવા
જાળ છેલ્લા શ્વાસ કેરી પાથરો
– ડૉ. જગદીપ નાણાવટી

સામે છે મોત તો ય સતત ચાલતી રહે
આ જિંદગી ય ખૂબ નીડર હોવી જોઈએ
– રઈશ મનીઆર

ભલે મોત સામે થયો હો પરાજય,
છતાં જિંદગી ‘બાબુ’ વર્ષો લડી છે.
– બી. કે. રાઠોડ ‘બાબુ’

થોડીક શિકાયત કરવી’તી થોડક ખુલાસા કરવા’તા,
ઓ મોત જરા રોકાઈ જતે – બેચાર મને પણ કામ હતાં.
-સૈફ પાલનપુરી

હવે તો ‘સૈફ’ ઇચ્છા છે કે મૃત્યુ દ્વાર ખખડાવે,
ઘડીભર તો મને લાગે કોઈના આગમન જેવું.
-સૈફ પાલનપુરી

અમને નાખો જિંદગીની આગમાં, આગને પણ ફેરવીશું બાગમાં;
સર કરીશું આખરે સૌ મોરચા, મોતને પણ આવવા દો લાગમાં.
– શેખાદમ આબુવાલા

બે કદમ વધે છે એ રોજ શ્વાસની સાથે,
મોત પણ સલામત છે, જિંદગીની છાયામાં.
– મનહરલાલ ચોક્સી

જુઓ આ દેહમાં ઉષ્માનો પરપોટો નથી બાકી,
હવે કરશે મનન શું કોઈ કારાવાસ રોકીને ?
– મનહરલાલ ચોક્સી

મોત જો વરસાદ થઈ તૂટી પડે,
તો આ મરવું થાય મુશળધાર પણ !
-રવીન્દ્ર પારેખ

મોત કેરા નામથી ગભરાઉં એવો હું નથી,
બીકથી વહેવાર ચૂકી જાઉં એવો હું નથી;
જાન દીધો છે ખુદાએ ચાર દિ’ માટે ઉધાર,
એને પાછો સોંપતાં અચકાઉં એવો હું નથી.
-ઉમર ખય્યામ (અનુવાદ: ‘શૂન્ય’ પાલનપુરી)

શું કુબેરો ? શું સિકંદર ? ગર્વ સૌનો તૂટશે,
હો ગમે તેવો ખજાનો બે જ દિનમાં ખૂટશે;
કાળની કરડી નજરથી કોઈ બચવાનું નથી,
આજ તો ફૂટી છે પ્યાલી, કાલ કૂંજો ફૂટશે.
-ઉમર ખય્યામ (અનુવાદ: ‘શૂન્ય’ પાલનપુરી)

જીવન અર્પણ કરી દીધું, કોઈને એટલા માટે,
મરણ આવે તો એને કહી શકું ‘મિલકત પરાઈ છે’ !
– ‘શૂન્ય’ પાલનપુરી

જમાનો એને મરણ માને તો ભલે માને –
કદમ વળી ગયાં મારાં અસલ મુકામ તરફ.
– ‘શૂન્ય’ પાલનપુરી

છે તમારી જ હયાતિનું એ બીજું પાસું,
મોત આવ્યું તો ભલે, એનો યે પરદો ન કરો!
-ભગવતીકુમાર શર્મા

રમત શ્વાસના સરવાળાની,
મૃત્યુ રાહત વચગાળાની.
-ઉર્વીશ વસાવડા

સ્મરણ રૂપે રહ્યો છું જીવતો હું સર્વના હૈયે,
મને ના શોધશો અહીં, હું કબર નીચે નથી સૂતો.
– ‘દિલહર’ સંઘવી

‘નૂર’ કેવળ શ્વેત ચાદર લઈને દુનિયાથી ગયો,
જિંદગી એણે વિવિધ રંગોથી શણગારી હતી.
‘નૂર’ પોરબંદરી

નથી ભય મોતનો કે મોત કેવળ એક વેળા છે,
જીવનની તો ઘણીવેળા દશા બદલાઈ જાય છે.
-હસનઅલી નામાવટી

Comments (39)

મેં વસંત પાસેથી – શેખાદમ આબુવાલા

મેં વસંત પાસેથી
એક ફૂલ માગ્યું છે
એટલે જ તો ખોટું
પાનખરને લાગ્યું છે

જિંદગીની વેરાની
એટલે પરેશાની
મોત થૈને લીલુંછમ
કલ્પનામાં જાગ્યું છે

આ શું રૂપને સૂઝ્યું
દિલ હજી નથી રૂઝ્યું
એણે ફૂલ ફેંક્યું’તું
તીર કેમ વાગ્યું છે

જોકે એમ તો છું પણ
હું હવે નથી હું પણ
એનો પ્રેમ પામીને
મેં સમસ્ત ત્યાગ્યું છે

એ જ છે હજી મોસમ
એ જ છો તમે આદમ
આ વતન તમારાથી
સ્હેજ દૂર ભાગ્યું છે

Comments (9)

મુક્તક -શેખાદમ આબુવાલા

સંકલ્પ વિના એ શક્ય નથી
તું રોક નયનના આંસુ મથી
તું હાથની મુઠ્ઠી વાળી જો
રેખાઓ બધી બદલાઈ જશે !

-શેખાદમ આબુવાલા

Comments (2)

પુણ્યશાળીને – શેખાદમ આબુવાલા

એક પૂછું છું સવાલ
આપજે ઉત્તર કમાલ
પાપ તું કરતો નથી
શા થશે ગંગાના હાલ

– શેખાદમ આબુવાલા

Comments (8)

થયા છે ક્યાં હજી નારાજ ગાંધીજી ? – શેખાદમ આબુવાલા

અમે કહેતા નથી ચાલે છે રાવણરાજ, ગાંધીજી!
તમે ચાહ્યું તેવું તો નથી કંઈ આજે, ગાંધીજી!

તમારી રામધૂનોમાં હવે ખખડે છે ખુરશીઓ
તમારો રેંટિયો કાંતે છે કોનું રાજ, ગાંધીજી!

અમે અંગ્રેજથી કંઈ કમ નથી સાબિત કરી દીધું
રહ્યું’તું જે હજી બાકી કર્યું તારાજ, ગાંધીજી!

હું ભીંતો પર તમારા હસતા ફોટા જોઉં છું ત્યારે
વિચારું છું થયા છે ક્યાં હજી નારાજ ગાંધીજી!

કદી આદમ સમાધિ પર જઈને આ તો કહેવું છે :
તમે એક જ હતા ને છો વતનની લાજ, ગાંધીજી!

– શેખાદમ આબુવાલા

ના, તમે ભૂલી નથી ગયા. આજે ગાંધી-જયંતિ નથી 🙂

આ ગઝલ શેખાદમના ઈમરજન્સીના વખતમાં કરેલા રાજકીય કટાક્ષકાવ્યોના સંગ્રહ ‘ખુરશી’માંથી છે. આજે પણ એ એટલી જ પ્રસ્તુત છે.

Comments (17)

વતનની યાદ – શેખાદમ આબુવાલા

વતનની યાદ આવે છે તો લાગે છે મને એવું
કે ઢળતી સાંઝનું એકાંત મારો હાથ ઝાલે છે
વતન છોડ્યું, ફરી છોડ્યું, ફરી છોડ્યું તમે આદમ
હવે પરદેશમાં શાને ગુલાબી ભીડ સાલે છે

– શેખાદમ આબુવાલા

‘ગુલાબી ભીડ’ જેવો પ્રયોગ શેખાદમ જ કરી શકે. લોકોને એકાંત સાલતુ હોય છે, કવિને ભીડ સાલે છે  અને એય ગુલાબી ! દેશમાં રહીને ‘ગુલાબી ભીડ’નો અર્થ સમજવો અઘરો છે. એ તો વતનથી દૂર રહીને જ સમજી શકાય એમ છે.

Comments (10)

ધીમે ધીમે વાગ – શેખાદમ આબુવાલા

બંસી ધીમે ધીમે વાગ
મારે અંતર ભરવા રાગ
                                   બંસી….

રાગ સુણી મુજ અંતર નાચે
સૂરતણી રમઝટમાં રાચે
કેવાં મુજ ધનભાગ
                                  બંસી….

સ્મૃતિ વેરણછેરણ જાગી
રડી ઊઠ્યું મુજ હૈયું અભાગી
ઉજ્જડ મુજ ઉરબાગ
                                 બંસી….

પૂનમની એ રસભર રજની
બંસી હું ને સ્નેહલ સજની
ક્યાં એ જીવનરાગ

બંસી ધીમે ધીમે વાગ
મારે અંતર લાગી આગ

– શેખાદમ આબુવાલા

પ્રથમ પંક્તિમાં ‘રાગ’ છે અને અંતિમમાં ‘આગ’ છે અને વચ્ચે આ મધુરું કાવ્ય છે… વાત harmony ની છે, વાત ઋજુ યાદોની છે…

Comments (8)

થાઉં તો સારું -‘શેખાદમ’ આબુવાલા

હવે બસ બહુ થયું, બુદ્ધિ! હું પાગલ થાઉં તો સારું!
છલકવાનો સમય આવ્યો, છલોછલ થાઉં તો સારું!

જીવનનો ગર્જતો સાગર ઘણો ગંભીર લાગે છે!
હવે હું ચાંદનીની જેમ ચંચલ થાઉં તો સારું!

જુઓ કિરણો વિખેરાયાં ને ગુંજનગીત રેલાયાં!
હૃદય ઈચ્છી રહ્યું છે આજ : શતદલ થાઉં તો સારું!

મને આ તારી અધબીડેલી આંખોમાં સમાવી લે!
મને તો છે ઘણી ઈચ્છા કે કાજલ થાઉં તો સારું!

ભલે હું શ્યામ લાગું પણ મિલન આવું મળે કોને?
તમન્ના છે કે તારા ગાલનો તલ થાઉં તો સારું!

યુગો અગણિત ભલે વીતે મને એની નથી પરવા!
હું પ્રેમી કાજ એક જ પ્રેમની પલ થાઉં તો સારું!

મને એવા રૂપાળા ઘાવ દુનિયાએ કર્યા અર્પણ-
કે ખુદ દુનિયાને થઈ આવ્યું કે ઘાયલ થાઉં તો સારું!

જીવનમાં આમ તો ક્યાંથી મળે લયબદ્ધ ચંચળતા!
હું તારા ખૂબસૂરત પગની પાયલ થાઉં તો સારું!

તને તો આવડે છે ઠંડી-ઠંડી આગ થઈ જાતાં!
– મને છે મૂંઝવણ કે, આંખનું જલ થાઉં તો સારું?!!

-‘શેખાદમ’ આબુવાલા

પ્રણયરંગી ગઝલ… ખાસ કરીને ગાલનો તલ થવાવાળો અને લયબદ્ધ ચંચળતાવાળો શે’ર ખૂબ જ મજાનાં થયા છે!  વળી, બુદ્ધિનું કહ્યું ન કરનારને તો આમેય દુનિયા પાગલ જ માને છે, ખરું ને મિત્રો ?! 🙂

Comments (9)

વેચવા માંડો – શેખાદમ આબુવાલા

તિમિરના હાથે સૂરજના ઈશારા વેચવા માંડો
ગગન ખાલી કરી દો ચાંદતારા વેચવા માંડો

કિનારાની જરૂરત ક્યાં રહી છે ડૂબનારાને
કે એ ડૂબી જશે હમણાં કિનારા વેચવા માંડો

કે ઓ સોદાગરો લાચારીના સોનેરી તક આવી
ઘણી મજબૂર છે દુનિયા સહરા વેચવા માંડો

કે આ દૂરત્વના બદલામાં છે નૈકટ્યનો સોદો
કે આંસુના બદલામાં સિતારા વેચવા માંડો

જો વેચી નાખો તો સારું કે એ છે વિઘ્ન રસ્તાના
તકાદો મંઝિલોનો છે ઉતારા વેચવા માંડો

હવે બાગોને ભડકા જોઈએ ફૂલો નહીં આદમ
બુઝાઈ જાય તે પહેલા તિખારા વેચવા માંડો

હકીકતનો તો એવો તાપ છે લાચાર દુનિયામાં
કે આદમ સ્વપ્નના શીતલ ફુવારા વેચવા માંડો

– શેખાદમ આબુવાલા

તકવાદીઓની છે આ દુનિયા. અહીં તક જોઈને દિશા બદલનારા જ ફાવે છે. સમય આવે દરેક વસ્તુ પર ‘ફોર સેલ’નું લેબલ લગાડવાની તૈયારી રાખનાર તકસાધુઓ પર કવિનો કટાક્ષ છે. પ્રેમના કવિ શેખાદમે, સમય આવે રાજકિય કટાક્ષ કાવ્યો પણ ખૂબ લખેલા. કટોકટીના અરસામાં લખાયેલો એમનો સંગ્રહ ‘ખુરશી’ કદાચ આપણી ભાષાનો એકમાત્ર રાજકિય કટાક્ષ કાવ્યસંગ્રહ છે.

Comments (9)

ગાંધી સમાધિ પર – શેખાદમ આબુવાલા

ગાંધી સમાધિ પર તમારી ફૂલ તો મૂકે વતન
માથું નમાવીને તમારી સામે તો ઝૂકે વતન
અફસોસની છે વાત આ દેખાવ છે વાસ્તવ નથી
દેખાય જો રસ્તે અહિંસા મોં ઉપર થૂંકે વતન

– શેખાદમ આબુવાલા

Comments (6)

નાટક – શેખાદમ આબુવાલા

કોઈ   હસી  ગયો  અને  કોઈ  રડી  ગયો
કોઈ  પડી  ગયો  અને  કોઈ  ચડી ગયો
થૈ  આંખ બન્ધ  ઓઢ્યું કફન  એટલે થયું
નાટક  હતું  મઝાનું  ને  પડદો  પડી ગયો

-શેખાદમ આબુવાલા

Comments (6)

કેવી લડત છે – શેખાદમ આબુવાલા

સત છે અસત છે
સરતું જગત છે

કેવી લડત છે
હું છું જગત છે

દિલની લડત પર
સૌ એકમત છે

ગમ ને ખુશીનું
દિલ પાણીપત છે

તારાં નયનમાં
શી આવડત છે

શાયરનું સ્વપ્નું
શાયરની લત છે

દિલ પાળી શકશે
દિલની શરત છે

મંઝિલ બરાબર
રસ્તો ગલત છે

સર્જન વિસર્જન
જાણે રમત છે

– શેખાદમ આબુવાલા

ટૂંકી બહેરની ગઝલમાં શેખાદમ કેવી ખૂબીથી ઊંડી વાત કરે છે તે જુઓ. એક એક શેર મઝાના ચોટદાર થયા છે. અને લાઘવની એની પોતાની મઝા છે એ અલગ !

Comments (7)

ગઝલ – શેખાદમ આબુવાલા

દર્દ આપ મુજને એવું કે ત્યાગી શકાય ના,
ઊંઘી શકાય ના અને જાગી શકાય ના.

એ બેવફાનો પ્રેમ મળે એ રીતે મને,
ઈચ્છા તો હોય ખૂબ ને માંગી શકાય ના.

આપે તો આપ સ્વર્ગ મને એ પ્રકારનું,
હું પાપ પણ કરું અને ભાગી શકાય ના.

એવું મિલન ન ભાગ્યમાં ‘આદમ’ કદી મળે,
એને મળું અને ગળે લાગી શકાય ના.

-શેખાદમ આબુવાલા

ચાર શેરની આદમની આગવી શૈલીની મનહર ગઝલ… કવિ સ્વર્ગ માંગે છે પણ પાપ કરવાની છૂટ હોય એવું. અને પાપ કર્યા પછી ભાગી ન શકાય એ માંગવાની ફિતરત પણ એ ધરાવે છે. કરેલાનું ફળ વેઠવાની તૈયારી સાથે કરવા ન મળે તો જીવવું વ્યર્થ લાગે એવા કેટલાક ‘પાપ’ સ્વર્ગમાં પણ છોડવા તૈયાર ન હોય એવો કોઈ માણસ તમને રસ્તે મળે તો એના ઑટોગ્રાફ માંગી લેજો- એ શેખાદમ જ હોવાનો!

Comments (11)

મુક્તક – શેખાદમ આબુવાલા

હસું  છું  એટલે  માની  ન  લેશો કે  સુખી છું હું,
રડી શક્તો નથી એનું મને દુઃખ છે, દુઃખી છું હું;
દબાવીને  હું  બેઠો  છું  જીવનના કારમા ઘાવો,
ગમે   ત્યારે  ફાટી  જાઉં  એ  જવાળામુખી છું હું.

– શેખાદમ આબુવાલા

એક આખો રવિવાર કોઈ ચાર જ પંક્તિ પર મારે કાઢવાનો હોય તો હું આ મુક્તક પસંદ કરું. શેખાદમ આબુવાલાની કલમમાં શાહી નહોતી, તેજાબ હતો અને એ તેજાબ વળી જમાનાની નિષ્ઠુરતાનો પરિપાક હતો. આ ચાર લીટી નથી, આ ચાર ચાબખા છે અને એ આપણી જ પીઠ પર ચમચમતા સોળની જેમ ઊઠે છે. વળી ચાબખા મારનારના હાથ તપાસીએ તો ખબર પડે કે એ હાથ પણ આપણા જ છે…

Comments (10)

સંકલ્પ – શેખાદમ આબુવાલા

સંકલ્પ  વિના એ શક્ય નથી
તું   રોક નયનના આંસુ મથી
તું  હાથની   મુઠ્ઠી  વાળી  જો
રેખાઓ બધી બદલાઈ  જશે !

– શેખાદમ આબુવાલા

Comments (4)

આ દેશને માટે – શેખાદમ આબુવાલા

આ દેશને માટે હિંસા એક વ્યાધિ થઈ ગઈ
ચાહી અમે નો’તી છતાં કેવી ઉપાધિ થઈ ગઈ
માર્યા – પછી બાળ્યા – પછી દાટ્યા – પછી ફૂલો ધર્યા
ચાલો થયું તે થઈ ગયું સુંદર સમાધિ થઈ ગઈ

– શેખાદમ આબુવાલા

Comments (3)

તકદીરને – શેખાદમ આબુવાલા

ખાળ તારી આંખડીના નીરને
સંકટોમાં આ ન છાજે વીરને;
એને ઠોકર મારીને રસ્તે લગાવ,
ક્યાં સુધી પંપાળશે તકદીરને ?

– શેખાદમ આબુવાલા

Comments (3)

ચાહું છું મારી જાતને – શેખાદમ આબુવાલા

હું તને ક્યાં ચાહું છું ચાહું છું મારી જાતને
તું હજી સમજી નથી આ સીધીસાદી વાતને

કોણ છે મારું કે તારું, કોઈ ક્યાં છે કોઈનું
કોણ ઝીલે છે હ્રદય પર પારકા આઘાતને

હું જ છું એ હું જ છું, છે ભેદ કેવળ રૂપનો
આ હવા એક જ કરે છે વાત ઝંઝાવાતને

ફેંકશે પથ્થર તો પોતાનું જ માથું ફોડશે
ભાંડશે આદમ કહો શી રીતે આદમજાતને

– શેખાદમ આબુવાલા

ગઝલમાં સામાન્ય રીતે પ્રેમની સ્વપ્નિલ દુનિયા ચિતરેલી જોવા મળે છે. પણ આ  ગઝલમાં કવિ કાળમીંઢ હકીકત બતાવે છે. પ્રેમના ગમે તેવા સુંદર ચિત્ર દોરો પણ હકીકત તો એ છે કે પોતાની જાતથી વધારે કોઈ કોઈને ચાહતું નથી. અને દરેક જણાનું હ્રદય પોતાના દર્દ પર જ રડે છે. ‘સાહિલ’ કહે છે એમ – સબ કો અપની હી કીસી બાત પે રોના આયા ! આવું આકરું આત્મજ્ઞાન થાય પછી શું કવિ કદી ય બીજા કોઈને દોષ દઈ શકે ? – ના, એ તો પથ્થરથી પોતાનું જ માથું ફોડશે…

Comments (4)

લોહીની ધાર જેવું – શેખાદમ આબુવાલા

છે સાંજે તો એ લોહીની ધાર જેવું
સવારે હશે એ સમાચાર જેવું

અનાસક્તિના મોહની એ ઘડીઓ
કે લાગ્યું હતું એ ય સંસાર જેવું

વાગોવ્યાં અમે ખંજરને નકામાં
તમારી નજરમાં હતું વાર જેવું

ઊઘડતા ઉમંગો હશે બારી પાછળ
નકર હોત ના બન્ધ આ દ્વાર જેવું

બન્યા બુદ્ધિ પાછળ અમે સાવ ઘેલા
ન સમજ્યા હતું દિલ સમજદાર જેવું

રડ્યા તો નયન સાવ હલકા બન્યાં પણ
હસ્યા તો હતું મન વજનદાર જેવું

મને એક દી ચાંદે પૂછી જ લીધું
નથી ભાઈ તારે શું ઘરબાર જેવું

– શેખાદમ આબુવાલા

શેખાદમની ગઝલ કદી સમજાવવી પડે નહીં. પહેલો શેર તો સૌથી સરસ જ છે. અને ‘અનાસક્તિના મોહની ઘડીઓ’ એવી વાત બીજે ક્યાંય જોવા નહીં મળે એની મારી ગેરેંટી ! બન્યા બુદ્ધિ પાછળ… શેર ઈકબાલના પ્રસિદ્ધ શેર अच्छा है दील के पास रहे ની યાદ અપાવે છે. ને છેલ્લે શેખાદમની ચોક્ખી છાપ ધરાવતો રમતિયાળ શેર જેમા રાતોની રખડપટ્ટીની વાત મઝાની ચમત્કૃતિ સાથે આવે છે.

શેખાદમ મારો પ્રિય ગઝલકાર છે. ઘણા લોકો મને કહે છે કે શેખાદમથી સારા કંઈ કેટલાય ગઝલકારો ગુજરાતીમાં છે. પણ ભાઈ, ગમી તે ગઝલ – શેખાદમની ગઝલો મને કેમ ગમે છે એનું કોઈ કારણ નથી… કારણ નહીં જ આપું, કારણ મને ગમે છે ! ખરી વાત તો એ છે કે જીવનના એવા સોનેરી દીવસોમાં શેખાદમની ગઝલો જોડે ઓળખાણ થયેલી કે એની અમૂક ગઝલો તો એકદમ અંગત યાદ જેવી બની ગઈ છે. હવે કહો કે પોતાની અંગત યાદો કોને પ્રિય ન હોય !

Comments (2)

ગઝલ – શેખાદમ આબુવાલા

સુરાલયમાં જાશું જરા વાત કરશું
અમસ્તી શરાબી મુલાકાત કરશું

મુહબ્બતના રસ્તે સફર આદરી છે
મુહબ્બતના રસ્તે ફના જાત કરશું

જમાનાની મરજીનો આદર કરીને
વિખૂટાં પડીને મુલાકાત કરશું

સલામત રહે સ્વપ્ન નિદ્રાને ખોળે
કરી બંધ આંખો અમે રાત કરશું

સુરાલયમાં, મસ્જિદમાં, મંદિરમાં, ઘરમાં
કે
આદમ કહો ત્યાં મુલાકાત કરશું

–  શેખાદમ આબુવાલા

શેખાદમની કવિતાઓ પ્રત્યે મને અને ખાસ તો ધવલને, પહેલેથી જ થોડો પક્ષપાત રહ્યો છે. એની ગઝલો કલમમાંથી ઓછી અને દિલમાંથી વધુ આવતી લાગે. એના શેરોમાં ક્લિષ્ટતા કે દુર્બોધતા જવલ્લે જ જોવા મળે. કોઈ મજાના વોશિંગ પાવડરથી ધોઈને ખાસ્સા મજાના બગલા જેવા સફેદ કર્યા હોય એવા ચોખ્ખા શેરોની આ એક ટૂંકી ગઝલ મારી વાતની પુષ્ટિ  માટે.

Comments (1)

શબ્દોત્સવ – ૭: મુક્તક : પેરિસમાં શું કરે છે ? – શેખાદમ આબુવાલા

આદમને કોઈ પૂછે : પેરિસમાં શું કરે છે ?
લાંબી  સડકો પર એ  લાંબા કદમ  ભરે છે.
એ  કેવી રીતે ભૂલે પોતાની  પ્યારી માને !
પેરિસમાં છે છતાંયે ભારતનો દમ ભરે છે !

– શેખાદમ આબુવાલા

Comments

વ્યથા – શેખાદમ આબુવાલા

હે, વ્યથા !  હે,  વ્યથા !
કુમળા કંઇ કાળજાને કોરતી કાળી કથા!

પાંપણો ભીની કરી, ગાલ પર મારા સરી.
નેણ કેરાં નીર થઇને, નીતરી જાજે તું ના. – હે, વ્યથા ! …

રક્તના રંગો ભરી, તે રંગથી નીજને ભરી,
જખમી દીલના ડાઘ થઇને, ચીતરી જાજે તું ના. –  હે , વ્યથા !.. .

ધ્રુજતા મારા અધર, શી કુશળતાથી કરું, સ્મિતથી સભર?
ક્યાંક ઊની આહ થઇને, હોઠે તું આવી જાય ના. – હે, વ્યથા !  …

– શેખાદમ આબુવાલા

વ્યથાને સંબોધીને લખાયેલી આ રચના શ્રી. હરિહરને શ્રી. અજિત શેઠના સ્વરાંકનમાં અત્યંત ભાવવાહી રીતે ગાઇ છે. વ્યથાનું ગૌરવ ગાતી આ રચનામાં માધુર્યની સાથે જીવનની એક મહાન ફિલસુફી પણ કવિએ તેમની આગવી શૈલીમાં વણી લીધી છે.
કોના જીવનમાં વ્યથાનો વાસ નથી હોતો? પણ એ વ્યથાના ગાણાં ગાવાં અને રડતાં રહેવા કરતાં તેને ભીતર જ શમાવી શકીએ તેવી આરજુ આ ગીતમાં સાંભળી એક નવું જ બળ આપણા કણ-કણ માં પ્રસરી જાય છે.

Comments

આંખ લૂછું છું – શેખાદમ આબુવાલા

તમારી   મૂંગી આંખમાં   જવાબોના  જવાબો છે
છતાં   બેચેન થઈ હું   કેટલાયે   પ્રશ્ન  પૂછું  છું;
મને સમજાતું નથી કે પ્રેમમાં આ શું કરું  છું  હું?
તમે રડતા નથી ને તોપણ તમારી આંખ લૂછું છું.

– શેખાદમ આબુવાલા

Comments (3)

સમાધાન – શેખાદમ આબુવાલા

તારી પાસે રામ છે
મારી પાસે જામ છે
અર્થ શો વિખવાદનો
બેઉને આરામ છે !

– શેખાદમ આબુવાલા

Comments (3)

અદભૂત રંગ – શેખાદમ આબુવાલા

શી રીતે મન ડામશે?
રંગ અદભૂત જામશે.
બ્રાહ્મચારી સ્વર્ગમાં
અપ્સરાઓ પામશે !

શેખાદમ મુક્તકના માણસ હતા. એમણે મુક્તકોનો એક અલગ સંગ્રહ કરેલો. એમના મુક્તકોમાં એમનુ વ્યક્તિત્વ છલકી ઊઠે છે. એ વ્યંગ સાથે નાનકડી સરસ ટકોર મૂકે છે. પહેલા રજૂ કરેલા મુકતકો પણ માણો : તાજમહાલ, ગાંધી અને મુહોબ્બતના સવાલોના.

Comments (1)

આરસીમાં – શેખાદમ આબુવાલા

આરસીમાં ડાબું જમણું હોય છે
ભૂમિતિનું એ ઉઠમણું હોય છે

જિંદગીમાં જે નથી પૂરું થતું
એ જ સમણું ખૂબ નમણું હોય છે

દિનની ઈચ્છાઓનું ભારણ રાતમાં
કોણ જાણે કેમ બમણું હોય છે

જે ફરે છે દિવસે થૈને અનાથ
રાત્રે જન્મેલું એ સમણું હોય છે

– શેખાદમ આબુવાલા

Comments (1)

નીર છું – શેખાદમ આબુવાલા

હું નયનનું નીર છું
પ્રેમનું તકદીર છું

ખેંચશો – હારી જશો
દ્રૌપદીનું ચીર છું

અર્જુને પૂછ્યું મને
રે તું કોનું તીર છું

જે નજર આવે નહીં
તેની હું તસ્વીર છું

પાત્ર લાવો હેમનું
હું સિંહણનું ક્ષીર છું

જન્મના ફેરાની હું
તૂટતી ઝંજીર છું

જાય છે આદમ? ભલે!
દુ:ખ નથી-દિલગીર છું

– શેખાદમ આબુવાલા

Comments (1)

મુક્તકો – શેખાદમ આબુવાલા

અમને નાખો જિંદગીની આગમાં
આગને પણ ફેરવીશું બાગમાં
સર કરીશું આખરે સૌ મોરચા
મોતને પણ આવવા દો લાગમાં.

મરીશું તો અમે ખુદ મોત માટે જાન થઈ જાશું
રહીશું બાગમાં તો આગનો સામાન થઈ જાશું
ઉછાળા મારીને અમને ન પાછા વાળ ઓ સાગર
કિનારો આવશે તો ખુદ અમે તોફાન થઈ જાશું.

– શેખાદમ આબુવાલા

Comments (4)

મુહોબ્બતના સવાલોના – શેખાદમ આબુવાલા

મુહોબ્બતના સવાલોના કોઇ ઉત્તર નથી હોતા,
અને જે હોય છે તે એટલા સધ્ધર નથી હોતા;
મળે છે કોઇ એક જ પ્રેમીને સાચી લગન દિલની,
બધાયે ઝેર પીનારા કંઇ શંકર નથી હોતા.

– શેખાદમ આબુવાલા

Comments

વિના આવીશ મા ! -શેખાદમ આબુવાલા

જા   ભલે   અંધારઘેર્યા   આભમાં,
તેજની જ્યોતિ વિના આવીશ મા;
ડૂબવું   જો   હોય   દિલમાં   ડૂબજે,
પણ પછી મોતી વિના આવીશ મા.

-શેખાદમ આબુવાલા
‘ચાંદની’

Comments

તાજમહાલ

દમકતો ને ચમકતો શાહજહાંનો મહેલ જોવા દે
મને ધનવાન મજનૂએ કરેલો ખેલ જોવા દે
પ્રદર્શન કાજ ચાહત કેદ છે જેમાં જમાનાથી
મને એ ખૂબસૂરત પથ્થરોની જેલ જોવા દે

-શેખાદમ આબુવાલા

આજે શે.આ.નું અમર મુક્તક પેશ છે. તાજમહાલને જોઈને પ્રણયકાવ્યો તો હજારો લખાયાં છે. પણ અહીં તો અલગ જ વાત છે. આ મુક્તક સાથે જ સાહીર લુધીયાનવી ની નઝમ તાજમહલ (link) વાંચવા જેવી છે. સાહીરનો આક્રોશ તો શેખાદમથી પણ વધારે છે.

Comments (6)

ગાંધી – શેખાદમ આબુવાલા

કેવો તું કિંમતી હતો સસ્તો બની ગયો
બનવું હતું નહીં ને શિરસ્તો બની ગયો
ગાંધી તને ખબર છે કે તારું થયું છે શું?
ખુરશી સુધી જવાનો તું રસ્તો બની ગયો.

-શેખાદમ આબુવાલા

Comments (5)