કદી એક રાવણ, કદી કંસ એક જ હતા પૂરતા તમને અવતારવાને,
અમે આજે લાખો-હજારો વચાળે, તમે ક્યાંના ક્યાં જઈને બેઠા છો આજે ?
વિવેક મનહર ટેલર

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

કવચ – હરીન્દ્ર દવે

તમે શરસંધાન કરો છો ?
તો જરા ખમો,
મને મારું કવચ ઉતારી લેવા દો.

મારા પડછાયામાં
પતંગિયું સૂતું છે:
હવે બળતા સૂરજથી કેમ કરીને ભાગું ?

દીવાલો ટેવાઈ છે ગણેલા ચહેરાઓથી
માપેલાં સ્મિતોથી,
દરવાજો ખૂલતાં જ
ત્રણ દીવાલો ધસી આવે છે
એની પશ્ચાદભૂમિમાં રહેલી વ્યક્તિ
ચોથી દીવાલ બનીને ઊભી રહે
ત્યારે રંગભૂમિ તો નથી જ રચાતી.

શૂન્ય દ્રષ્ટિઓની ગીચ ઝાડીમાં
ક્યાંય દેખાતી નથી અદ્રષ્ટની કેડી.

કોઈનીયે વેદનાનો ઓથાર
ઓઢીને ફરીએ
ત્યારે કોઈનીયે વેદના રજમાત્ર,
ઓછી થતી નથી.
આ દુનિયા સાથે સમાધાન પર આવવું
અસંભવિત ભલે ન હોય,
અશક્ય જરૂર છે.

ના,
તમે શરસંધાન નહીં,
શબ્દસંધાન કરો છો :
મારી બરછટ ત્વચા પરથી તો એ
પથ્થર પરના પાણીની જેમ સરી જશે.
ચાલો, ત્વચાને ઉતરડી
થોડાંક મર્મસ્થાનો પ્રગટ કરું.

હું હસું છું
કારણકે મને રડવાનો કંટાળો છે.
બોલું છું
કારણકે ચૂપ રહેવાનો થાક છે.
ચાલુ છું
કારણકે અગ્નિનું રહસ્ય
મને સમજાયું નથી.
મારી આસપાસ ઘૂમે છે,
પૃથ્વી,બ્રહ્માંડ.
અને હું સ્થિર થવાનો કીમિયો શોધવા
કીમિયાગરનાં ચરણ તળાસું છું.

હવે વાર કરવામાં વાર શેની છે ?
કલ્પનામાં વીંઝાતો હાથ
સાચેસાચ વીંઝાય ત્યારે
હું ચિત્કાર કરીને કહીશ :
‘હું જીવતો નથી.’

-હરીન્દ્ર દવે

ગુજરાતી સાહિત્યમાં હરીન્દ્ર દવે જેટલી વિશાળ range ભાગ્યે જ કોઈ સર્જકની હશે. આ અછાંદસ paradox દ્વારા તીવ્ર અભિવ્યક્તિ જન્માવે છે. વિરોધાભાસ જયારે સત્યને વધુ સચોટ રીતે પ્રકટ કરી શકે ત્યારે કવિ તેનો ખૂબીપૂર્વક ઉપયોગ કરતા હોય છે. Walt Whittman નું કથન છે – ” Do I contradict myself ? Very well, then I contradict myself, [ I am large, I contain multitudes. ]

કાવ્ય પ્રમાણમાં સરળ છે. આ કાવ્ય ત્રણ અછાંદસ સ્તોત્રોમાંનું પ્રથમ કાવ્ય છે. સમયાંતરે બાકીનાં બે પણ પ્રસ્તુત કરીશ.

Comments (5)

પહેલું પગલું – ગેવિન એવર્ટ -અનુ- જગદીશ જોષી

જગતના આ વિશાળ કીડિયારામાં
એક નાનકડી કીડી કૈંક જુદી રીતે વિચારે છે.

મહાનગરના ઘુરકિયાળા ટ્રાફિકમાં
એક નાનકડી ફેમિલી કાર’ દીવાઓનો ભુક્કો બોલાવી દે છે.

ખાસ સીવેલા રૂઢિચૂસ્ત કોટ-પાટલૂનની ભીતર
એક હૈયું ઉઘાડો લય ધબકે છે.

કમરાના કદના રંગીન ફુગ્ગાની જેમ
એક માણસ ધરમને ફાટી જાય ત્યાં સુધી ફુલાવે છે.

કીર્તિની ઝળહળતી યુદ્ધપતાકામાં
કોઈક ક્યાંક ટેભા તોડવા શરૂ કરે છે.

– ગેવિન એવર્ટ -અનુ- જગદીશ જોષી

પ્રથમ પંક્તિમાં એક ક્રાંતિકારી આત્માની વાત છે જે કૈક જુદું વિચારે છે- પણ ત્યાં અટકી જાય છે. માત્ર જુદું વિચારે જ છે. આચરણ વિષે અધ્યાહાર સેવાયો છે. ટ્રાફિકને નિયંત્રિત કરતા દીવાઓ એટલે સમાજના કાયદા-કાનૂન રૂપી જડ બંધનો. કોઈક એને તોડી-ફોડી નાખે છે-ક્યાંક એક મુક્ત હૃદય ધબકે છે… ધર્મ વિષે બહુ ચોટદાર વ્યંગ છે – એક પશ્ચિમી લેખકે પૂર્વમાં અસંખ્ય દેવી-દેવતાઓની કરતી પૂજા માટે કટાક્ષ કર્યો હતો કે તમને એક ઈશ્વરમાં વિશ્વાસ નથી એટલે અનેક સર્જી કાઢ્યા છે ! અંતિમ પંક્તિમાં ભૌતિક સફળતાઓની નિરર્થકતા સમજાયા બાદની માનવીની નવા પથ ઉપરના માંડવામાં આવતા પહેલા કદમની વાત છે. દસ જ લીટીના આ નાનકડા કાવ્યમાં શબ્દે શબ્દે વિદ્રોહ નીતરે છે. ક્યારેક તો સૌ કોઈએ પહેલું પગલું ભરવાનું જ છે….

Comments (7)

નથી – સુભાષ શાહ

બસ હવે હસવું નથી રડવું નથી,
છેક પાસે છે છતાં અડવું નથી.

એ હશે ઉપર તો નીચે આવશે,
કોઈ સીડી પર હવે ચડવું નથી.

એટલા નિઃશેષ થાવું છે હવે,
કે હવાને પણ હવે નડવું નથી.

સ્થિત પ્રજ્ઞાને કરી છે એટલે,
ડર નથી, લડવું નથી,પડવું નથી.

એ રીતે સંતાઈ જાઓ હે સુ.શા.
જાતથી પણ જાતને જડવું નથી.

– સુભાષ શાહ

સરળ ભાષામાં પણ કવિતા ઘણીવાર કેવી ઊંડી વાત કરી શકે છે ! હવાને ન નડવાવાળો શેર અને સ્થિતપ્રજ્ઞતાવાળો શેર ખૂબ ધીમેથી મમળાવવા જેવા છે.

Comments (13)

આવે છે ! – હર્ષદ ત્રિવેદી

કે અંતરમાં જ્યારે ઉમળકો આવે છે,
બહુ ઊંડેથી દોસ્ત, સણકો આવે છે.

કથા માળા કે જિંદગીની છે સરખી,
કે એમાં મેર પછીય મણકો આવે છે.

હજી વેઠું છું ત્રાસ અંધારાનો પણ –
ઇલાજમાં એના રોજ ભડકો આવે છે !

પ્રથમ તપવાનું, તરસવાનું, ગાવાનું,
બહુ મુશ્કેલી બાદ રણકો આવે છે.

ગયા’તાં, પાછાં ત્યાં જ આવીને ઊભાં,
જવું ક્યાં ? ચારેકોર તડકો આવે છે !

ઘણા વખતે આ ઠાઠ, રોનક ને રુઆબી,
લખાવી તારે નામ, ભભકો આવે છે !

– હર્ષદ ત્રિવેદી

 

Comments (8)

બે લઘુકાવ્યો – પન્ના નાયક

બારણું બંધ
તો
બારણું શાને?

બારણું ખુલ્લું
તોય
બારણું શાને?

બંધ કે ખુલ્લું
બારણું શાને?
કોઈ આવ-જા વિના?
કોઈ આવ-જો વિના?

*

સરોવરના
નિષ્કંપ જળમાં
ચંદ્રની
પ્રદક્ષિણા ફરતી
માછલીને
કુતૂહલ થાય છે –

તરતો કેમ નથી?

– પન્ના નાયક

પન્ના નાયકની કવિતામાં અભાવ છલકાય છે. બારણું તો આવ-જાથી ખરેખર બારણું બને છે…ને ‘આવજો’થી પણ. આવ-જા અને આવજો બન્ને એક જ ઘટના છે. ખાલી આપણો જોવાનો દૃષ્ટિકોણ અલગ છે. ચંદ્રનું તેજ તો આમ પણ ઊછીનું છે  અને પાણીમાં તો છે એનું ય પ્રતિબિંબ. ચંદ્રના રૂપ સાથે જ  એની પરવશતા જડાયેલી છે.

Comments (7)

તને ચાહવી છે મારે તો – પ્રિયકાન્ત મણિયાર

હવે આકાશના સર્વ તારકોને જોઈ લઉં
ને જાણી લઉં કેટલું શ્વેત – કેટલું સ્વચ્છ થવું પડશે મારે.
તને ચાહવી છે મારે તો
જગતનાં સર્વ વૃક્ષોનાં ફરફરતાં પર્ણને પૂછી લઉં :
કેટલું સતત ને સદ્ય સ્પંદિત થવું જોઈએ મારે
અવિરામ લયની માધુરી જન્માવવા ?
તને ચાહવી છે મારે તો
પૃથ્વીની સઘળી ધૂલિ – જે વારંવાર વેગીલા વાયરામાં
ઊડી જાય –
તેને મારા સંપુટમાં સમાવવા શીખી લઉં
કારણ કે તારે કાજે કેટલી એકાગ્રતા
ઘટ્ટ કરવી પડશે મારે –
અને છતાં ઘડીભર થોભું,
સકલ ક્ષારમય આ મને મળેલા સાગર સામે
શક્ય એટલી શર્કરા લઇ આવું –
ત્યાં સુધી તું પણ થોભીશ ને ?
મલકાયેલા લોચનમાં
ત્યાં તો વાંચું ભાવિની સ્પતપદીની અગ્નિવેદી,
હસતા હોઠમાં હસ્તમેળાપ –
અને જો આપણે ચાલ્યાં
યુગોથી ઠરતા હિમાલયના શિખરને હૂંફ આપવા.

– પ્રિયકાન્ત મણિયાર

અદભૂત પ્રણય અનુભૂતિની અદભૂત અભિવ્યક્તિ…

Comments (6)

ઘાસ – કાર્લ સેન્ડબર્ગ

ઢગલો કરજો લાશોનો કુરુક્ષેત્ર ને પાણીપતમા. 
બસ માટીમાં ઊતારી દેજો અને પછી છોડી દેજો મારા પર - 
        હું ઘાસ છું; હું બધું આવરી દઉં છું.

ને કરજો ઊંચો ઢગલો હલ્દીઘાટીમાં
ને કરજો ઊંચો ઢગલો કારગિલમાં ને પ્લાસીમાં.
બસ માટીમાં ઊતારી દેજો અને પછી છોડી દેજો મારા પર.
બે-પાંચ વરસમાં તો આવતા જતા લોકો પૂછશે: 
        આ વળી કઈ જગા છે?
        આપણે ક્યાં છીએ?

        હું ઘાસ છું. 
        મને કરવા દો મારું કામ.

– કાર્લ સેન્ડબર્ગ
(અનુવાદ – ધવલ શાહ)

માણસ પોતાની તાકાતનું સૌથી મોટું પ્રદર્શન યુદ્ધ કરીને કરે છે. ખડકે છે લાશો ને સીંચે છે લોહી. જીતનાર હરખાય છે અને હારનાર બીજા યુદ્ધની તૈયારીમાં લાગી જાય છે. પણ આ બધી સિદ્ધિઓનું સમયની આગળ કોઈ મૂલ્ય નથી. જે ભૂમિ માટે આટલું લોહી વહ્યું એનો તો ઉત્તર એક જ રહેવાનો છે : ધીમે ધીમે એ જમીન ઘાસથી આચ્છાદિત થઈ જાય છે. જે યુદ્ધ ખૂબ જરૂરી લાગતું હતું, જે યુદ્ધ જીવનમરણનો ખેલ લાગતું હતું એ પણ છેવટે ઈતિહાસનું એક પાનું જ થઈ જવાનું છે. તમને ગમે કે ન ગમે, કાળ બધાને એકસરખા કરી નાખે છે. નાનકડી કવિતામાં તુચ્છ ઘાસના પ્રતિકથી કવિ વિશ્વને બદલી નાખનારી ઘટનાઓનું ક્ષુલ્લકપણું છતું કરે છે. 

Comments (9)

ગણવેશમાં નથી-ભગવતીકુમાર શર્મા

સમ્રાટમાં નથી અને દરવેશમાં નથી;
મારી મનુષ્યતા કોઈ ગણવેશમાં નથી.

કોઈ રાગમાં નથી કે કશા દ્વેષમાં નથી;
આ લોહી છે કે બર્ફ? – જે આવેશમાં નથી.

હું શબ્દમાં જીવું છું, ફક્ત શ્લેષમાં નથી;
જોકે હું અર્થના કોઈ આશ્લેષમાં નથી.

ભણકાતા મારા મુત્યુની ચિંતા નહીં કરો;
મૂળથી જ જીવવાની હું ઝુંબેશમાં નથી.

કિંચિત્ હતી, ક્યારેક છે ને શુન્ય પણ થશે;
મારી તરલ હયાતી જે હંમેશમાં નથી.

બે શબ્દ પ્રાર્થનાના કહી ચૂપ થઈ ગયો;
આર્જવમાં છે જે બળ, કદી આદેશમાં નથી.

-ભગવતીકુમાર શર્મા

Comments (11)

ગઝલ-મુકુલ ચોકસી

શાનાં સ્તવન સ્તવું અને ક્યાંના કવન કવું ?
ઉન્માદ ! લાગણીથી વધારે તો શું લવું ?

હાથોમાં હાથ રાખી હવે કેમ જીવવું ?
તારે છે ચાલવું અને મારે છે મ્હાલવું….

પામી લીધું ઊંડાણ મેં અભિવ્યક્તિનું નવું
ચૂમો તો ચીસ પાડું ને કાપો તો ક્લરવું !

સહરાની છાલકો ય પછી અમને ચાલશે,
શીખી જવા દો એક વખત તરબતર થવું.

જાકારો આઠે આઠ દિશાએ દીધા પછી,
અંતર્મુખ એક પળમાં થયા, એમાં શું નવું ?

-મુકુલ ચોકસી

Comments (10)

હરિ, તેં મુજને બહુ હરસાવી

હરિ, તેં મુજને બહુ હરસાવી
મિષ્ટ મદનરસ ઢળ્યો તું મુજને તરસાવી-તરસાવી

મારી રસના પર રસ ઊમટ્યા તું-દીધા તાંબૂલથી
મેંય તને કવરાવ્યો કેવો કરી પ્રહારો ફૂલથી !

તેં ચૂમીની હેલી પડતર હોઠો પર વરસાવી…

વાઢ પડ્યા વાંસામાં મુજને તારાં આલિંગનથી
પીન પયોધર કચરાયાં ભીંસાઈ તારા તનથી

હસીહસી કર મારો મરડી તુંથી હું પરસાવી

– રમેશ પારેખ

શૃંગારરસથી છલોછલ છલકાતું સાવ નાનકડું ગીત. પ્રિયતમ પ્રભુ સાથે ઝઘડાના ઝીણેરા ભાવ સાથોસાથ સંપૂર્ણ સમર્પણની સ્વીકાર્યતા વહન થઈ રહી છે.

હરસાવવું – હર્ષ કરાવવો, મિષ્ટ – મીઠું, મદનરસ – ઝેર/કામરસ, રસના – જીભ, તાંબૂલ – પાનબીડું, કવરાવવું – સતાવવું, વાઢ – જખ્મ, નિશાની, પીન પયોધર – પુષ્ટ (ભરાવદાર) સ્તન, પરસાવવું – સ્પર્શાવવું (?)

Comments (5)

આવે છે – ભગવતીકુમાર શર્મા

એ બહુ છાનેમાને આવે છે;
મોત નાજુક બહાને આવે છે.

ક્યાં મને એકલાને આવે છે ?
સુખ અને દુઃખ બધાંને આવે છે.

કેમ ચાલ્યા ગયા જનારાઓ?
આવનારાઓ શાને આવે છે ?

ઓળખી લ્યો સમયના પગરવને;
એ જમાને જમાને આવે છે.

આમ તો આખી ડાયરી કોરી;
નામ તુજ પાને પાને આવે છે.

અશ્રુતોરણ ને સ્મિતની રંગોળી;
ઉત્સવો કેવા સ્થાને આવે છે !

બિમ્બ ચકલી જુએ છે પોતાનું;
પાંખ તો આયનાને આવે છે.

એના શ્વાસો બન્યા છે વેગીલા;
મહેક તારી હવાને આવે છે.

રણની શોભા મને જ આભારી :
ગર્વ આ ઝાંઝવાને આવે છે !

કૂંપળે કૂંપળે વસંત આવે;
પાનખર પાને પાને આવે છે.

– ભગવતીકુમાર શર્મા

 

Comments (11)

સમયની ઓળખ – પન્ના નાયક

આપણે
ઘણું સાથે ચાલ્યાં
પણ પછી
આપણો પ્રવાસ અટક્યો…

સારું જ થયું ને !

તારી પાસે
જતાંઆવતાં વેરેલા
અઢળક સમયે
મને મારી ઓળખાણ તો કરાવી !

પન્ના નાયક

પ્રવાસ શબ્દ એ ગાળેલા સમયનાં માધૂર્ય તરફ ઈશારો કરે છે.  પણ અહીં જો એ ‘પ્રવાસ’નાં અંતથી જાત સાથે ઓળખાણ થતી હોય તો કવિને એય મંજૂર છે! ….. અને ‘વેરેલો અઢળક સમય’ એટલે કે એક વખત મધુરા ભાસેલા સમયની કડવી હકિકત….?

પન્નાઆંટીનો નવો કાવ્યસંગ્રહ ‘ગુલમ્હોરથી ડેફોડિલ્સ’ તાજેતરમાં પ્રગટ થયો… અને આ એક અછાંદસ-બુંદ પણ એમનાં જ એ સાગરમાંની એક છે.  નવતર કાવ્યસંગ્રહ માટે કવયિત્રીને અઢળક અભિનંદન.

Comments (10)

એ જ રાત – યાનિસ રિતસોસ

જ્યારે એણે પોતાના રૂમની બત્તી બુઝાવી નાખી’તી, ત્યારે
તરત જ એ જાણી ગયો’તો કે આ એ પોતે જ હતો
પોતાના અવકાશમાં, રાત્રિની અનંતતાથી
અને લાંબી ડાળીઓથી વિખૂટો પડેલો. એ
ઊભો’તો અરીસાની સામે પોતાની સાબિતી માટે
પણ એના ગળામાં ગંદી
દોરીએ ગંઠાયેલી આ લટકતી ચાવીઓનું
શું ?

– યાનિસ રિતસોસ
(અનુવાદ – સુરેશ દલાલ)

ઊછીના પ્રકાશનું અવલંબન છૂટે એ રાતની વાત છે. બાહ્ય આવરણોથી નિરપેક્ષ એ રાત્રિમાં પ્રવેશતા જ ખ્યાલ આવે છે – હા, આ જ ખરો હું છું. સઘન અંધકારમાં ઓગળતી જાત, પોતાની સામે, પોતાની ઓળખાણ પામે એ રાતની વાત છે. અવકાશમાં છૂટ્ટો પડેલો, સિમાઓથી જ નહીં પણ અનંતતાથી પણ વિખૂટો પડી ગયેલો માણસ, પોતાની નાળ(લાંબી ડાળીઓ)થી વિભક્ત માણસ જ પોતાની જાતની સામે પ્રગટ થવાની હિંમત કરી શકે છે. એ ક્ષણે, આ જો સામાન્ય કવિતા હોય તો, માણસને જ્ઞાન અને મુક્તિનો અનુભવ થાય. પણ અહીં ? અહીં તો એને પોતાના ગળે ગંદી દોરીથી લટકતી ચાવીઓનો લોહકણિકા જેવો ભાર ઘેરી વળે છે. ચાવીઓનો સંબંધ તાળાઓ સાથે છે, ચાવીનો સંબંધ બંધ દરવાજાઓ સાથે છે, ચાવીઓનો સંબંધ સંકિર્ણ ને અભેદ્ય વાસ્તવિકતા સાથે છે. એની સામે, આત્મદર્શની ક્ષણે પણ, માણસ સર્વથા અસમર્થ છે. 

Comments (7)

ગમ નથી – મકરંદ દવે

ધાર્યું થતું નથી તો ભલે ,કાંઈ ગમ નથી,
એની ખુશી ગણું છું, કમાણી એ કમ નથી.

જલતી રહી હમેશ, ઠરી ક્યાંય ના નજર,
હું કેમ કહું તારી હમેશાં રહમ નથી ?

પરદા અનેકમાં શું રહી રૂપની ઝલક !
પામી જો શકે પ્રેમ તો ભારે ભરમ નથી.

આજે નહીં તો કાલ એ બની જશે ગુલાબ,
ખૂશ્બુ વિનાનો ખાલી જરા જો જખમ નથી.

આંખો તો આઠો જામ આ પીતી ધરાય ના,
ધીમેથી કહો છો કે શરાબી, શરમ નથી ?

સોનાકણી બને છે કેમ ધૂળ વાટની ?
એને ઈશારે જાઉં છું, બીજો ઇલમ નથી.

એકાદ ઘડી કાનમાં તેં ગુફ્તગો કરી,
આવે છો હવે મોત, ગુમાવ્યો જનમ નથી.

– મકરંદ દવે

Comments (4)

આજ હવે – મનોજ ખંડેરિયા

આભના જેવો જ કંઈ લાગે છે આજ હવે
મારા હોવાનો મને ભાર.

કેડીની જેમ હું તો રઝળું ચોમેર
મારા ભ્રમણનો આવતો ન અંત
આંબાની ડાળ જેવું આભ ભરી ઊગું ને
હાથ છેટી રહી જાય વસંત
ઓગળતો જાય હવે મીણની જેમ કાળ મારો
જેનો લઇ ઊભી આધાર.

છતટાંગ્યાં ઝુમ્મરની હું તો રે જ્યોત
મારી કાચમાંથી કાયા ઢોળાય
પછડાતી જાઉં આમ આખાયે ઓરડે ને
આમ નથી ઓરડે હું ક્યાંય

તારા ન આવવામાં ચંદનના ધૂપ શી હું-
બળતી ને મ્હેકે અંધાર.

-મનોજ ખંડેરિયા

કૃષ્ણ-વિરહમાં ઝૂરતી ગોપીનું ગીત છે…… સ્વ ની સંપૂર્ણ વિસ્મૃતિ…..

Comments (5)

મરસિયો – શેક્સપિઅર (અનુ. વિવેક મનહર ટેલર)

ડરવાની જરૂર નથી સૂર્યના તાપથી
કે ક્રુદ્ધ શિયાળાના ક્રોધાવેશથી,
તારું દુન્યવી કાર્ય સંપૂર્ણ થયું છે,
તું ઘરે પહોંચી ગયો છે, તારું મહેનતાણું લઈને.
તવંગર છોકરા-છોકરીઓ હોય કે પછી
ચીમની સાફ કરનાર, બધાએ ધૂળ ભેગાં થવાનું જ છે.

ડરવાની જરૂર નથી તારે મોટા માણસોની નાખુશીથી.
તું પર છે જુલ્મીઓના ત્રાસથી,
નથી હવે પહેરવાની કે ખાવાની ચિંતા,
શું ઘાસ કે શું વૃક્ષ- તારે બધું એકસમાન છે.
રાજા, વિદ્વાન કે તબીબ બધાએ ધૂળ ભેગાં થવાનું જ છે.

ડરવાની જરૂર નથી વીજળીના ચમકારાથી,
કે દારુણ તોફાનોથી,
ડર નથી બદનક્ષી કે અવિચારી નિંદાનો,
સુખ અને દુઃખથી તું હવે પર છે.
દરેક પ્રેમી, યુવાન હોય કે ન હોય,
તારી સાથે જોડાવાના જ છે, બધાએ ધૂળ ભેગાં થવાનું જ છે.

– વિલિઅમ શેક્સપિઅર
અનુ. વિવેક મનહર ટેલર

*

શેક્સપિઅરના નાટક ‘સિમ્બેલાઇન’ના ચોથા અંકના બીજા દૃશ્યમાં ફિડેલ (જે હકીકતમાં ઇમોજન નામની છોકરી છે) નામના છોકરાને મરણ પામેલો માનીને દફનાવતી વખતે ગિડેરિયસ અને અર્વિરેગસ નામના પાત્રો દ્વારા વારાફરતી આ ગીત ગાવામાં આવે છે. ત્રણ અંતરાના ગીતમાં શરૂઆતમાં “ડરવાની જરૂર નથી” અને અંતમાં “બધાએ ધૂળ ભેગાં થવાનું જ છે” પંક્તિ પુનરાવર્તિત થતી રહે છે. પહેલી કડીનું પુનરાવર્તન બાંહેધરી આપે છે અને બીજી કડીનું પુનરાવર્તન મૃત્યુની અફરતા દૃઢીભૂત કરે છે.

મૃત્યુ સંસારનો અફર નિયમ છે. ભલભલા ચમરબંધ પણ મૃત્યુથી બચી શકતા નથી. મૃત્યુ આપણને ભલભલાના ડરથી અને સંસારની આધિ-વ્યાધિ-ઉપાધિથી કાયમી મુક્તિ આપે છે.

*

A requiem

Fear no more the heat o’ the sun
Nor the furious winter’s rages;
Thou thy worldly task hast done,
Home art gone, and ta’en thy wages:
Golden lads and girls all must,
As chimney-sweepers, come to dust.

Fear no more the frown o’ the great,
Thou art past the tyrant’s stroke;
Care no more to clothe and eat;
To thee the reed is as the oak:
The scepter, learning, physic, must
All follow this and come to dust.

Fear no more the lightning-flash,
Nor the all-dreaded thunder-stone;
Fear not slander, censure rash;
Thou hast finish’d joy and moan:
All lovers young, all lovers must
Consign to thee, and come to dust.

-William Shakespeare

Comments (12)

ગઝલ – રાજેન્દ્ર શુક્લ

સાવ અમારી જાત અલગ છે, કરવી છે તે વાત અલગ છે ;
સૂતેલાંનાં સ્વપ્ન અલગ ને જાગે તેની રાત અલગ છે !

નખશિખ કવચ ધરી શું કરીએ, આડી ઢાલ ધરી શું કરીએ ;
અદીઠ રહીને મર્મ ભેદતા અંદરના આઘાત અલગ છે !

આખેઆખું ઝંઝેડી આ ઝંઝાવાતો ઘોર સૂસવતા,
એય ભલે જાણી લેતા કે તરણાની તાકાત અલગ છે !

ભરી સભામાં એક એમની વાત અનોખી કાં લાગે આ,
શબ્દો એના એ જ પરંતુ પોત અલગ છે, ભાત અલગ છે !

શ્વાસે શ્વાસે સુગંધ જેવું હોવાને ઓગાળી નાખે,
એક ઘડી અળગું નવ લાગે, સાજનની સૌગાત અલગ છે !

– રાજેન્દ્ર શુક્લ

ઘા બહારના હોય તો ઢાલ કે કવચ કદાચ કામમાં પણ આવે પણ નજરે ન ચડે એવા અંદરના આઘાતથી તો શી રીતે બચી શકાય?

આજે કવિશ્રીનો જન્મદિવસ પણ છે એની આ ગઝલ પોસ્ટ કર્યા બદ ફેસબુક વડે જાણ થઈ. લયસ્તરો તરફથી કવિશ્રીને જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ…

Comments (9)

નકશા – શેખાદમ આબુવાલા

અમે જોયાં જવાનીમાં ઘણા અરમાનના નકશા
સમન્દરમાં સમન્દર પર હતા તોફાનના નકશા

ન તો ભગવાનના નકશા ન તો શેતાનના નકશા
કે જીવનમાં હતા જે કંઈ ઈન્સાનના નકશા

ફક્ત હિંસાની તરકીબો જ બદલાશે ન કે હિંસા
ન બદલાયા ન બદલાશે કદી ઈન્સાનના નકશા

ગરીબીને હટાવીને નવા ધનવાન પેદા કર
ગરીબોની નજરમાં છે હજી ધનવાનના નકશા

હવે આતિથ્યના મૂલ્યોય બદલાઈ ગયાં જગમાં
જુઓ યજમાનના નકશા જુઓ મહેમાનના નકશા

અમે તો પ્રેમની બે ગાળ ખાઈ ખુશ છીએ આદમ
કે અમને તો નથી પરવડતા આ સન્માનના નકશા

હવે તો આદમ તમે યુરોપને ભૂલો તો સારું છે
અહીં તો છે હતા તેવા જ હિંદુસ્તાનના નકશા

– શેખાદમ આબુવાલા

આજે માણો શેખાદમની મારી એક ગમતી ગઝલ. જુવાનીની શેખાદમની વ્યાખ્યા જુઓ : જુવાની = સમન્દર પર (આવનારા) તોફાનના નકશા !

Comments (5)

મરીચિકા – રવીન્દ્રનાથ ઠાકુર – અનુ-નગીનદાસ પારેખ

પાગલ હઇયા વને વને ફિરિ આપન ગન્ધે મમ
કસ્તુરીમૃગસમ ;
ફાલ્ગુન રાતે દક્ષિણ બાયે કોથા દિશા ખુંજે પાઇ ના –
યાહા ચાઇ તાહા ભૂલ કરે ચાઇ, યાહા પાઇ તાહા ચાઇ ના.

વક્ષ હઇતે બાહિર હઇયા આપન વાસના મમ
ફિરે મરીચિકાસમ.
બાહુ મેલિ તારે વક્ષે લઇતે વક્ષે ફિરિયા પાઇ ના.
યાહા ચાઇ તાહા ભૂલ કરે ચાઇ, યાહા પાઇ તાહા ચાઇ ના.

નિજેર ગાનેર બાંધિયા ધરિતે ચાહે યેન બાંશિ મમ
ઉતલા પાગલ-સમ.
યારે બાંધિ ધરે તાર માઝે આર રાગિણી ખુંજિયા પાઇ ના.
યાહા ચાઇ તાહા ભૂલ કરે ચાઇ, યાહા પાઇ તાહા ચાઇ ના.

 

મારી પોતાની ગંધથી પાગલ બનીને હું
કસ્તુરીમૃગની પેઠે વનવનમાં ભટકું છું.
ફાગણની રાતે દક્ષિણના પવનમાં દિશા ક્યાં છે
તે મને શોધી જડતી નથી-
જે ચાહું છું તે ખોટું ચાહું છું,
જે મળે છે તે મને જોઈતું નથી.

છાતીમાંથી બહાર નીકળીને મારી પોતાની વાસના
મરીચિકા[મૃગજળ]ની પેઠે ફરે છે.
હાથ લંબાવીને તેને છાતીસરસી લેવા જતાં
પાછી છાતીમાં લઇ શકતો નથી.
જે ચાહું છું તે ખોટું ચાહું છું,
જે મળે છે તે મને જોઈતું નથી.

જાણે મારી વાંસળી વ્યાકુળ પાગલની પેઠે
પોતાના ગીતને બાંધીને પકડવા માગે છે.
એ જેને બાંધીને પકડે છે તેમાં
રાગિણી શોધી જડતી નથી.
જે ચાહું છું તે ખોટું ચાહું છું,
જે મળે છે તે મને જોઈતું નથી.

-રવીન્દ્રનાથ ઠાકુર

અતિસૂક્ષ્મ વાત છે. કદાચ ગુરુદેવની પ્રજ્ઞા ધરાવતા કવિની આજ ખૂબી હશે ! આત્મસંવાદ છે આ…. હું સ્થૂળ વસ્તુઓના મોહમાં ભટકું છું,તેને મેળવી લઉં છું ત્યારે તે મને કોઈ જ આનંદ કે પરિતૃપ્તિ આપતી નથી. તેમાં મને જેની ખરેખર શોધ છે તે જડતું નથી. – આ મૂળભૂત સૂર છે. એમાં ‘મારી પોતાની ગંધથી પાગલ બનીને હું કસ્તુરીમૃગની પેઠે વનવનમાં ભટકું છું.’ – જેવી અભિવ્યક્તિ દ્વારા કવિ પોતાની મહત્વકાંક્ષા,સ્પર્ધાત્મકતા જેવા ગુણોને ઈંગિત કરે છે. આ વાત સંબંધોને પણ લાગુ પડી શકે છે. અંતિમ ફકરામાં ભગવદ ગીતાની philosophy પડઘાય છે. આ સમગ્ર content ને અત્યંત ખૂબીપૂર્વક ગૂંથવામાં આવ્યો છે. વળી દરેક ફકરે પુનરાવર્તિત થતી પંક્તિઓ – ” જે ચાહું છું તે ખોટું ચાહું છું, જે મળે છે તે મને જોઈતું નથી.”- દ્વારા એક સઘન અનુભૂતિ સર્જાય છે,એક તીવ્ર આત્મમંથન આલેખાય છે.

Comments (5)

હું – રાજેન્દ્ર શુક્લ

રંગો ભળે એક મહીં અનેક
તે યે થતા લુપ્ત નહીં જ છેક
અસ્તિત્વને રૂપ અપાર વાય
અન્યાન્યની ઝાંય, બધે ઝીલાય !

પથભેદ થાય,મતિભેદ થાય,
સાથે વહ્યાંને ગતિભેદ થાય,
સાથે રહ્યાંની ઋતુ પૂરી થાય
છૂટાં છતાં ના પડી યે શકાય !

છો શ્વાસમાં શ્વાસ કદી સમાય,
હું દ્વૈતને કેમ દઉં વિદાય !
એકત્વનો ભાસ ભળે રચાય.
હું ભિન્નનો ભિન્ન રહું સદાય !

હું વાક્યમાં શબ્દ થઈ રહું છું,
ને શબ્દને વર્ણરૂપે વહું છું !

– રાજેન્દ્ર શુક્લ

પરસ્પરાવલંબન જેમ એક નક્કર તથ્ય છે , તે જ રીતે individuality પણ નક્કર સત્ય છે. અસ્તિત્વ એક,અનન્ય અને એકલું-alone – છે. શબ્દો,લાગણીઓ,અનુભવો ને અતિક્રમતા આપણી નિર્વિવાદ વ્યક્તિગતતા સામે આવે છે. ત્રીજો ફકરો સમગ્ર કાવ્યના હાર્દ સમાન છે. અદ્વૈતની વાત આકર્ષક છે પણ આસન નથી. અનુભૂતિના એ સ્તર પર પહોચવું કે જ્યાં અદ્વૈત સહજભાવ થઈ જાય તે યાત્રા આસન નથી. અને ત્યાં સુધી દ્વૈત આપણને છોડવાનું નથી.

Comments (7)

ભગ્ન સ્વપ્નની નાવ – સ્નેહરશ્મિ

મારી નાવ કરે કો પાર ?

કાળાં ભમ્મર જેવાં પાણી,
જુગ જુગ સંચિત રે ! અંધાર;
સૂર્યચંદ્ર નહિ, નહિ નભજ્યોતિ,
રાતદિવસ નહિ સાંજસવાર !
મારી નાવ કરે કો પાર ?

ભાવિના નહિ પ્રેરક વાયુ,
ભૂત તણો દાબે ઓથાર;
અધડૂબી દીવાદાંડી પર
ખાતી આશા મોતપછાડ !
મારી નાવ કરે કો પાર ?

નથી હીરા, નથી માણેક મોતી,
કનક તણો નથી એમાં ભાર;
ભગ્ન સ્વપ્નના ખંડિત ટુકડા
તારી કોણ ઉતારે પાર ?
મારી નાવ કરે કો પાર ?

-સ્નેહરશ્મિ

ટાગોરની ‘એકલો જાને રે’ની હાકલથી વિપરીત વાણી અહીં તારસ્વરે રજૂ થઈ છે. જીવનનૈયાને ભવસાગર પાર ઉતારવી હોય તો ખુદા કે નાખુદા – કોઈ તો હોવું ઘટે. જ્યાં સૂર્ય-ચંદ્રના અજવાળાં નથી, સમય પણ ગતિહીન છે એવા યુગો-યુગોના અંધારા ભરેલ કાળાંભમ્મર સાગરમાં આગળ શી રીતે વધી શકાય? ઉજ્જવળ ભવિષ્યનો વાયુ નથી જે સઢ ફૂલાવી ગતિ આપે પણ ભૂતકાળના ઓથારના ભાર નીચે દબાઈ

Comments (3)

કોરો કાગળ – વિજય જોષી

કોરા કાગળનો એક ટુકડો.
મુસલમાને લખ્યું, “કુરાન”,
ખ્રિસ્તીએ લખ્યું, “બાઈબલ”,
યહૂદીએ લખ્યું, “ટોરાહ”,
અને હિંદુએ લખ્યું, “ગીતા”.
દરેકે પોતાનો જ શબ્દ
સાચો હોવાનો દાવો કર્યો.
ધાંધલ મચી.
મિજાજ ભડક્યા.
અચાનક,
તીવ્ર વેદનામાં
કાગળે ચીસ પાડી-
બસ કરો,
દખલ ન કરો,
રહેવા દો મને માત્ર,
એક કોરો ટુકડો કાગળનો.

– વિજય જોષી

*

મૂળ અંગ્રેજીમાં લખેલી કવિતાનો કવિએ પોતે જ ગુજરાતી અનુવાદ પણ કર્યો છે. સાવ સીધી અને સરળ વાત પણ કેવી હૃદયદ્રાવક ! રજનીશે એની જિંદગીમાં એક જ વાક્ય કહ્યું હોત તો પણ એ ઉત્તમ ફિલસૂફ ગણાયા હોત એ વાક્ય અહીં ટાંકવાનું મન થાય છે: “Kill the religion”.

કોરા કાગળનો એક ટુકડો અને કાગળનો એક કોરો ટુકડો – અહીં ‘કોરા’ શબ્દનો સ્થાનવ્યત્યય પણ ધ્યાન માંગી લે છે. કવિના પોતાના શબ્દોમાં, ‘કાગળ કોરો હોય ત્યારે વિચારોને આમંત્રે છે પણ વિચારો પૂરા થઈ જાય ત્યારે કાગળ નહીં પણ ટુકડો જ કોરો નજરે ચડે છે.’

*

A piece of blank paper.
A Muslim wrote “Quran”,
A Christian wrote “Bible”,
A Jew wrote “Torah”,
A Hindu wrote “Gita”,
Everyone claimed
his own to be the truth
& the only truth.
A pandemonium ensued,
tempers flared
suddenly,
in great agony,
the paper screamed,
stop it,
leave me alone,
let me just be,
a blank piece of paper.

– Vijay Joshi

Comments (12)

ગઝલ – કૈલાસ પંડિત

મહેફિલની ત્યારે સાચી શરૂઆત થઈ હશે,
મારા ગયા પછી જ મારી વાત થઈ હશે.

ઢળતા સૂરજને જોઉં છું જોયા કરું છું હું,
લાગે છે એના શહેરમાંયે રાત થઈ હશે.

આજે હવામાં ભાર છે ફૂલોની મ્હેંકનો,
રસ્તાની વચ્ચે એની મુલાકાત થઈ હશે.

મારે સજાનું દુઃખ નથી, છે દુઃખ એ વાતનું,
વાતો થશે કે મારે કબૂલાત થઈ હશે.

લોકો કહે છે ભીંત છે બસ ભીંત છે ફકત,
‘કૈલાસ’ મારા ઘર વિષેની વાત થઈ હશે.

– કૈલાસ પંડિત

આ ગઝલ વાંચીને આદિલજીની ‘જ્યારે પ્રણયની જગમાં’ ગઝલ દિલોદિમાગમાં ગૂંજી ન ઉઠે તો જ નવાઈ…  🙂

Comments (4)

હે તથાગત! આવજો – ભરત યાજ્ઞિક

રિક્ત છે મારું કમંડળ, હે તથાગત! આવજો;
મારી પ્રજ્ઞાનું સ્થળાંતર, હે તથાગત! આવજો!

તમસ-આવૃત્ત સૌરમંડળ, હે તથાગત! આવજો;
પૂંજ વરસો દૂર પાંતર હે તથાગત! આવજો.

નેહ નીતર્યાં નેણનો તંતુ અમે પકડ્યો છતાં
વેંત પણ ઘટતું ન અંતર, હે તથાગત! આવજો.

ભૈરવીનો સૂર સાંભળવા મથું છું, ક્યાં હશે?
પટ ઉપર પાછા પટંતર, હે તથાગત! આવજો.

બસ બધાના શરણમાં જાવાનો ક્ર્મ પૂરો થયો,
માટીમાં મૂકોને મંતર, હે તથાગત! આવજો.

બૌધિસત્વો ક્યાં ગયાં? નેપથ્યમાં આપો પ્રવેશ,
મતની માંહે મતાંતર, હે તથાગત! આવજો.

હું નથી આનંદશો કે ભદ્ર થઈ જાઉં ભદંત,
વેશના બધાં રૂપાંતર, હે તથાગત! આવજો!

– ભરત યાજ્ઞિક

તમે તો ઉપદેશ આપીને જતા રહ્યાં. પણ અમારી મર્યાદાઓ બધી અકબંધ છે. મુક્તિનો રસ્તો તમે ચીંધ્યો પણ એના પર આગળ વધી શકાતું નથી… હે તથાગત! આવો અને મદદ કરો.

પટંતર (પટંતરો) = જુદાઈ, અલગપણું; ભદંત=સાધુ, ભગવાન;

Comments (5)

મુક્તક – રઈશ મનીઆર

આપે  છે  દિલાસા અને  રડવા નથી દેતા,
દુ:ખ મારું મને મિત્રો જીરવવા નથી દેતા;
આંસુઓ    ટકાવે   છે  મને   ભેજ  બનીને,
એ  જીવતા માણસને સળગવા નથી દેતા.

– રઈશ મનીઆર

દુ:ખ, દિલાસો અને દોસ્તો – એ ત્રિકોણની બાજુઓનું બરાબ્બર માપસરનું સંમિશ્રણ કોઈને કદી મળ્યું છે ખરું?

Comments (6)

ઓશિયાળા થૈ ગયા – ‘ગની’ દહીંવાળા

તેજ-છાયાની રમત મતભેદ રમતા થૈ ગયા,
બારણે સૂરજ ઊભો ને ઘરમાં દીવા થૈ ગયા !

આ પરાધીન જીવવાની શી પ્રણાલી પાંગરી !
કેટલાં હૈયાં ઉછીના શ્વાસ લેતા થૈ ગયા !

કોઈએ જ્યાં ફેરવી લીધા નયન તો દુ:ખ થયું,
જોઈ લીધું તો જીવનભર ઓશિયાળા થૈ ગયા !

ભાન છે થોડું પીધાનું અને હવે તળિયું દીસે,
જામ શું ચોરીછૂપીથી ઘૂંટ ભરતા થૈ ગયા ?!

આપણે ખુદમાં ન જાણે ક્યારથી કીધો પ્રવેશ,
બંધ ઘરના દ્વાર શી રીતે ઊઘડતાં થૈ ગયાં ?

રાતની બેચેનીઓનું ચિત્ર આ ચાદરના સળ,
કેટલી સહેલાઈથી સાકાર પડખાં થૈ ગયાં !

કાંઈ નહોતું છતાં દેખાવ જેવું છે,’ગની’,
જિંદગીની ધૂળ સળગી ને ધૂમાડા થૈ ગયા.

– ‘ગની’ દહીંવાળા

Comments (3)

એક લઘુકાવ્ય – મુકેશ જોષી

પાડોશી બનવાની પૂર્વશરત એ છે,
બંને વચ્ચે કમસે કમ એક દીવાલ હોવી જોઈએ.
લાંબા દાંપત્યજીવનને અંતે
અમે એને ઊભી કરવામાં સફળ થયા છીએ,
હવે અમે એક જ ઘરમાં પાડોશી છીએ.

– મુકેશ જોષી

મહત્વનું શું – સંબંધ કે વ્યક્તિ ? વ્યક્તિ છે તો સંબંધ છે કે સંબંધ છે તો વ્યક્તિ છે ? – આવા પ્રશ્નોના ઉત્તર દરેક વ્યક્તિ પોતાની રીતે પોતાની જાત માટે શોધી કાઢતી હોય છે. કોઈ એક ઉત્તર દરેક માટે appicable હોતો પણ નથી. ઘણાબધા લોકો અસ્પષ્ટતાના grey area માં જ જીવન વીતાવી દેવાનું પસંદ કરતા હોય છે. લગ્નસંસ્થામાં જેટલી જાતને [ અને અન્યને પણ ] છેતરવામાં આવતી હોય છે તેટલી ભાગ્યે જ કોઈ સંબંધમાં છેતરામણી ચાલતી હશે. પ્રત્યેક પળે – પ્રત્યેક પળે – જાત સાથે અને અન્યોન્ય સાથે અણીશુદ્ધ સ્પષ્ટતા જાળવવી એ જ કદાચ શ્રેષ્ઠ માર્ગ હોઈ શકે.

Comments (10)

(સાંજતડકો) – નલિન રાવળ

પર્ણપોચી વૃક્ષટોચે
ઝૂલતા કો’ પંખી-શો
આ સાંજતડકો
ભૂખરા ઢોળાવ પર ઝૂલે,
પવન નાની નદીના કાનમાં કૂજે,
હળુ હલતી, અટકતી, ડોલતી આકાશમાં ઊડે
ફૂલે પથરાયલી એ ઝૂંપડીમાંથી નીકળતી ધૂમ્રસેરો
સાંજતડકો
સહેજ ડોલ્યો,
શાંત નાના છંદ જેવી એક બાલા
રમ્ય લયમાં કાય ઝૂલવી,
તારકો જેવાં ચળકતાં ડગ ભરી ગોરાં,
ધીરે ઢોળાવ ઊતરી
દૂર નમતા સૂર્યની સન્મુખ જઈ ઊભી
અહીં
આવી રહેલી આ સુંવાળી રાત્રિનો અંધાર રમતો તૃણ ઉપર
શું જોઉં ?
ભીની પાંપણોની પાર
રમતો સ્નેહ પોચો, ગાઢમીઠો, રવભર્યો અંધાર
કે આ તૃણ ઉપર રમતો સુંવાળી રાત્રિનો અંધાર.

-નલિન રાવળ

સાંજના સમયે શાંત નદીના કિનારે ઢોળાવ પર વૃક્ષ પાસે ફૂલોની પથારીમાં સૂતેલી એક ઝૂંપડી અને એની ટોચેથી નીકતા ધુમાડાનું સુંદર મજાનું ચિત્ર કવિએ કલમના લસરકે ઉપસાવી આપ્યું છે. વૃક્ષની ઠેઠ ઉપરની નાજુક ડાળી પંખીનું વજન ઝીલી ન શક્તાં જે રીતે ઝૂલે એ રીતે સાંજનો તડકો વૃક્ષના છાંયાથી ભૂખરી દેખાતી ટેકરી પર જાણે ઝૂલી રહ્યો છે ! એક નાની કુમળી વયની નદી પર ધીમે ધીમે લહેરાતા પવન અને આછા પવનના કારણે ઝૂંપડીમાંથી નીકળતા લગભગ અગતિશીલ ધુમાડાની જેમ બાળા હળવી ગતિએ ઢોળાવ ઉતરતી નજરે ચડે છે. એનાં પગલાં કવિની સાંજના આકાશમાં ડોકિયું કરવાનું શરૂ કરતા તારા જેવા ચળકતાં દેખાય છે. એક તરફ ઢળતો સૂરજ છે તો બીજી તરફ જાણે આ ઊગતો સૂરજ છે. બંને સૂરજને એકમેકની સન્મુખ સ્થાપીને કાવ્યનાયકની આંખ જરા ભીની થઈ જાય છે… કુદરતની કરામતને નિહાળવી કે કુદરતના સર્જનને નિહાળવું એ પ્રશ્નના દ્વિભેટે આવીને કાવ્ય પૂરું થાય છે અને એક શાંત નીરવ છંદ ભાવકના મનોમસ્તિષ્કમાં રણઝણી ઊઠે છે…

પહેલી નજરે અછાંદસ લાગતું આ કાવ્ય નખશિખ શુદ્ધ ‘ગાલગાગા’ના આવર્તનો લઈ ગતિ કરે છે…

Comments (6)

ગઝલ – મનોજ ખંડેરિયા

સ્મરણ વાંસળી જેમ વાગે અવિરત
સૂણે જે તે જન્મારો જાગે અવિરત

ન સમજે સકળ તીર્થ છે પગના તળિયે
અને તીર્થ જાવાને ભાગે અવિરત

અહીં સાવ ખાલી થનારાને અંતે
સભર થઈ ગયા એવું લાગે અવિરત

સતત ઊંઘના રોજ ફુરચા ઊડે છે
ભીતર કોઈ જામગરી દાગે અવિરત

અમે સમજી વ્હોરીને કરતાલ ઝાલી
ખબર છે હજી કોઈ તાગે અવિરત

રહે નિર્વસન શબ્દ એનો ઝળકતો
પહેરેલું જે નામ ત્યાગે અવિરત

– મનોજ ખંડેરિયા

મરણ ન આવે ત્યાં સુધી સ્મરણ આવતાં જ રહે છે. જે સ્મરણમાં ડૂબે છે તેની જન્મારા આખાની ઊંઘ ઊડી જાય છે.

Comments (7)

(મારી અંદર) -ચંદ્રેશ મકવાણા

શ્રધ્ધા શંકાનો સરવાળો મારી અંદર,
સદીઓથી છે આ ગોટાળો મારી અંદર.

એક જ સાથે ઉછરે યુગયુગાંતરોથી,
બાગ અને પંખીનો માળો મારી અંદર.

સમય અને સંજોગ પ્રમાણે દેખા દે છે,
લાલ પીળો ધોળો ને કાળો મારી અંદર.

લીન હોઉ મારામાં ને કોઇ કરે સળી તો,
તરત જ જન્મે અઢળક ગાળો મારી અંદર.

એક તરફ છે રણની રેતીના ઢૂવા ને,
બીજી તરફ છે સરવર પાળો મારી અંદર.

ક્યાંક પડ્યું છે ‘ઠારો ઠારો, કેવળ ઠારો’,
ક્યાંક છે કેવળ ‘બાળો બાળો’ મારી અંદર.

-ચંદ્રેશ મકવાણા

શ્રધ્ધા અને શંકાના સરવાળા-ગોટાળાવાળી વાત ખૂબ જ સ્પર્શી ગઈ… જો કે આખી ગઝલનો શિરમોર એવો આખરી શેર જરા વધુ ગમી ગયો.

Comments (8)

ઈથાકા – સી. પી. કેવેફી

ઈથાકાની સફ્રરના આરંભે
આશા રાખો કે તમારી મજલ લાંબી હોય,
સાહસ અને શોધથી ભરીભરી.
લેઈસ્ટ્રોગોનિયનો, સાયક્લોપ્સ કે
ક્રોધિત પોસાઈડન – કોઈથી ડરતા નહીં:
એમાંથી એકેય તમારો રસ્તો આંતરશે નહીં
જ્યાં સુધી તમારા વિચારો ઉન્નત હશે,
જ્યાં સુધી વિરલ ઉત્સાહ
તમારા દેહ અને આત્મામાં છલકાતો હશે.
લેઈસ્ટ્રોગોનિયનો, સાયક્લોપ્સ કે 
જંગલી પોસાઈડન – તમારી નજીક પણ નહીં ફરકે
સિવાય કે તમે જ એમને તમારા હ્રદયમાં લઈને આવો,
સિવાય કે તમારો આત્મા જ એમને સાક્ષાત કરે.

આશા રાખો કે તમારી મજલ લાંબી હોય.
ગીષ્મની એવી અનેક  પરોઢ હો,
જ્યારે અનેરા આનંદ અને હર્ષ સાથે, 
તમે નવીન નગરીઓમાં પહેલા કદમ માંડો; 
તમે ફિનિશિયન બજારોમાંથી  
ઉમદા ચીજો ખરીદો,
મોતી ને પરવાળાં, અંબર ને અબનૂસ,
ને વળી ભાતભાતના મોહક અત્તર; 
વિદ્યા માટે પહોંચો ઈજીપ્તના મહાનગરોએ
ને શીખો વિદ્વાનો પાસેથી. 

ઈથાકાને ચિત્તમાંથી જરાય ચસવા ન દેતા. 
ત્યાં પહોંચવું તો તમારી નિયતિ છે. 
રખે સફરમાં ઉતાવળ કરતા.
ભલે ને વર્ષો લાગી જાય,
ત્યાં પહોંચતા સુધી તમારી ઉમ્મર થઈ જાય
એટલા સમૃદ્ધ થઈ ગયા હો તમે સફરના અનુભવોથી,
કે ઈથાકા પાસે તમને કશાની આશા ન રહે.

ઈથાકાએ તો આપી તમને અદભૂત સફર.
એના વગર તો તમે એક પગલું પણ ન માડ્યું હોત.
એણે હવે તમને કશું વધારે આપવાનું રહેતું નથી.

ઈથાકા તમને રુચે નહીં તો ઈથાકાએ તમને જરાય ઠગ્યા નથી.
તમને શાણપણ જે લાધ્યું અનુભવોથી છલોછલ સફરમાં, 
એનાથી તમને સમજાય ગયું જ હશે કે ઈથાકાનો મર્મ શું છે.

– સી. પી. કેવેફી
(અનુ. ધવલ શાહ)

આ પ્રખ્યાત કવિતા ગ્રીક મહાકાવ્ય ‘ઓડિસી’ પર આધારિત છે. ઓડેસિયસ લાંબા સંગ્રામને અંતે પોતાની જન્મભૂમિ ઈથાકા તરફ પોતાની યાત્રા આરંભે છે. એ અનેક આફતો ને સંકટોનો સામનો કરીને પોતાને દેશ -ઈથાકા- પહોંચે છે એ દીર્ધ સફરની કથા ‘ઓડિસી’માં છે.

પણ અહીં કવિ દરેક માણસના પોતાના ‘ઈથાકા’ની વાત કરે છે. દરેકને પોતાનું એક ધ્યેય, એક સ્વપ્ન, એક મંઝિલ હોય છે. સફરનો મહિમા હંમેશા મંઝિલથી વધારે જ હોય છે. સફરનો ખરો લાભ એ મંઝિલ નથી બલ્કે સફરમાં જે અનુભવો મળ્યા એ છે. મંઝિલ તો માત્ર એક મુકામ છે. ત્યાં સુધીની સફર જ ખરો સરપાવ છે.

Comments (7)

પ્રાર્થના – રવીન્દ્રનાથ ઠાકુર – અનુ-નગીનદાસ પારેખ

ચિત્ત યેથા ભયશૂન્ય,ઉચ્ચ યેથા શિર,
જ્ઞાન યેથા મુક્ત, યેથા ગૃહેર પ્રાચીર
આપન પ્રાંગણતલે દિવસશર્વરી
વસુધારે રાખે નાઇ ખણ્ડ ક્ષુદ્ર કરિ,
યેથા વાક્ય હૃદયેર ઉત્સમુખ હતે
ઉચ્છવસિયા ઉઠે, યેથા નિર્વારિત સ્ત્રોતે
દેશે દેશે દિશે દિશે કર્મધારા ધાય
અજસ્ત્ર સહસ્ત્રવિધ ચરિતાર્થતાય
યેથા તુચ્છ આચારેર મરુબાલુરાશિ
વિચારેર સ્ત્રોત:પથ ફેલે નાઇ ગ્રાસિ-
પૌરુષેરે કરેનિ શતધા, નિત્ય યેથા
તુમિં સર્વ કર્મ-ચિન્તા-આનન્દેર નેતા,
નિજ હસ્તે નિર્દય અઘાત કરિ પિત:,
ભારતેરે સેઇ સ્વર્ગે કરો જાગરિત.

ચિત્ત જ્યાં ભયશૂન્ય છે, શિર જ્યાં ઉન્નત રહે છે,
જ્ઞાન જ્યાં મુક્ત છે,જ્યાં ઘર ઘરના વાડાઓએ
રાતદિવસ પોતાના આગણામાં વસુધાના
નાના નાના ટુકડા નથી કરી મૂક્યા,
વાણી જ્યાં હ્રદયઝરણમાંથી સીધી વહે છે,
કર્મનો પ્રવાહ જ્યાં અનિવાર રીતે
દેશે દેશે અને દિશાએ દિશાએ અજસ્રપણે
સહસ્ત્રવિધ સફળતા પ્રતિ ધસે છે,
તુચ્છ આચારની મરુનિ રેતી જ્યાં
વિચારનાં ઝરણાંને ગ્રસી લેતી નથી-
પૌરુષને શતધા છિન્નભિન્ન કરી નાખતી નથી,
હંમેશા તુ જ્યાં સકલ કર્મ,વિચાર અને આનંદનો નેતા છે,
તે સ્વર્ગમાં તારે પોતાને હાથે
નિર્દય આઘાત કરીને,
હે પિતા,
ભારતને જગાડ.

– રવીન્દ્રનાથ ઠાકુર

આ પ્રાર્થના ગુરુદેવના જીવનકાળ દરમ્યાન જેટલી પ્રસ્તુત હતી તેટલી જ – કદાચ વધુ – સાંપ્રત ભારત માટે છે…. Bertrand Russel એ કહ્યું હતું – ભારતની પ્રજા અંગ્રેજોની ગુલામ નથી,એ ગુલામ છે પોતાના ભૂતકાળની.

Comments (8)

રહુગણ પ્રતિ ભરતની ઉક્તિ – રાજેન્દ્ર શુક્લ

કૈં નથી તો હું ક્યહીંથી ?
હું નથી તો છું ક્યહીંથી ?

આ બધું છે ને બધે છે,
એ વિના તો તું ક્યહીંથી ?

એ જ પંથી, પંથ પણ એ,
જાય ક્યાં, જાવું ક્યહીંથી ?

એક કેવળ અદ્વિતીયમ,
કોણ પૂછે, શું, ક્યહીંથી ?

ઓગળું આકાર વિણ આ,
ભિન્ન થઇ ભાસું ક્યહીંથી ?

– રાજેન્દ્ર શુક્લ

ઘણા વખતે તદ્દન નવા સંદર્ભમાં લખાયેલી ગઝલ માણવા મળી… રહુગણ – સિંધુ દેશના એક રાજાનું નામ. તેણે ભરત મુનિને પાલખી ઊંચકવાની ફરજ પાડી હતી. એક વખત તે મેનામાં બેસી કપિલાશ્રમ તરફ ઇક્ષુમતીને તીરે જતો હતો ત્યાં રસ્તામાં તેનો ભોઇ થાકી ગયો એટલે સેવકોએ રસ્તામાં પડેલા જડભરતને પકડી લાવી તેની પાસે મેનો ઉપાડાવ્યો. જડભરત મંદ ગતિએ ચાલતો હોવાથી મેનાની ગતિ મંદ પડી અને ઠેલા આવવા લાગ્યા. તેથી રાજાએ તેની મશ્કરી કરી અને ગુસ્સે થયો. આ ઉપરથી જડભરતે તેને બ્રહ્મજ્ઞાનનો ઉપદેશ કર્યો. તેથી રાજા નીચે ઊતરીને તેને પગે લાગ્યો.

પ્રત્યેક શેર ફિલસૂફીના એક-એક શાશ્વત પ્રશ્નને વાચા આપે છે- પહેલો શેર Descartes નું પ્રખ્યાત વિધાન -‘ I THINK , THEREFORE I AM ‘ -યાદ કરાવી દે છે. આ જ રીતે પ્રત્યેક શેર ગહન છે.

Comments (6)

મકાનમાલિકનું ગીત – લેન્ગ્સ્ટન હ્યુજીસ (અનુ. વિવેક મનહર ટેલર)

મકાનમાલિક, મકાનમાલિક,
મારા છાપરું ગળે છે.
તમને યાદ નથી મેં તમને એના વિશે કહ્યું હતું,
છેક ગયા અઠવાડિયે?

મકાનમાલિક, મકાનમાલિક,
આ પગથિયાં પણ તૂટી ગયાં છે.
આશ્ચર્યની વાત છે કે તમે જાતે જ્યારે ઉપર આવ્યા,
તમે પડી ન ગયા.

દસ રૂપિયા, તમે કહો છો કે મારે તમને આપવાના છે?
દસ રૂપિયા, તમે કહો છો કે બાકી છે?
ખેર, આ દસ રૂપિયા વધારાના છે છતાં પણ હું તમને આપીશ
જો તમે આ ઘરનું સમારકામ કરાવી દો.

શું ? તમે ઘર ખાલી કરાવવાનો હુક્મ લઈ આવશો ?
તમે મારી વીજળી કપાવી નાંખશો ?
મારું રાચરચીલું લઈને
શું તમે શેરીમાં ફેંકાવી દેશો ?
ઉહ-અંહ ! તમે બહુ મોટી વાત કરી રહ્યા છો.
બોલો, બોલો – તમારી વાત પૂરી કરો.
તમે એક શબ્દ પણ કહેવાને લાયક નહીં રહેશો
જો હું એક મુક્કો ફટકારીશ તો.

પોલિસ ! પોલિસ !
આવો અને આ માણસને પકડી લો !
એ સરકાર બરબાદ કરી નાંખવા માંગે છે
અને ઉથલાવી દેવા માંગે છે !

પોલીસની સીટી !
રોનની ઘંટડી !!
ધરપકડ.

જિલ્લા મથક.
લોખંડી કોટડી.
છાપાંની હેડ-લાઇન્સ:

માણસે મકાનમાલિકને આપેલી ધમકી.

ભાડૂતને જામીન નહીં.

ન્યાયાધીશે હબસીને આપેલો ૯૦ દિવસનો કારાવાસ.

– લેન્ગ્સ્ટન હ્યુજીસ
અનુ. વિવેક મનહર ટેલર

*

લોહી થીજી જાય એવી કવિતા !

અવાજ ચાર પણ દૃષ્ટિકોણ એક જ. ભાડૂઆતની સૌમ્ય રજૂઆત મકાનમાલિકની સખ્તી અને ધમકીના કારણે મુક્કો ઉગામવાની ધમકી સુધી પહોંચે છે. મકાનમાલિક ત્રણ-ત્રણ ધમકીઓ આપે છે એને પોતાનો જન્મસિદ્ધ અધિકાર ગણે છે અને ભાડૂતની એક નાની અમથી ધમકી સામે ઓવેર-રિએક્ટ કરી પોલિસને બોલાવે છે. પોલિસનો અવાજ ફક્ત સીટી પૂરતો છે પણ છે સાવ જ હૃદયહીન અને વિચારહીન. પોલોસની કામગીરી કવિએ એક-એક શબ્દોમાં જ આટોપી લઈને ઝડપ બતાવી છે. મૂળ અંગ્રેજીમાં આટલા પૂરતો જ કવિતામાં છંદ બદલાય છે જે પણ સૂચક છે. અને ચોથો અવાજ છે અખબારનો જેમાં પણ હબસી માટે કોઈ સહાનુભૂતિ નથી. ગુલામીપ્રથા અને શ્વેત-શ્યામના ભેદભાવ નાબૂદ થયાના દાયકાઓ પછી છે…ક 1930-40ના સમયની આ કવિતા છે. અખબાર દ્વારા આડકતરી રીતે એક પાંચમો અવાજ ન્યાયતંત્ર અને એ રીતે પ્રવર્તમાન સમાજનો પણ આપણે સાંભળી શકીએ છીએ જ્યાં મકાન ખાલી કરાવવાની કે વીજળી કપાવી નાંખવાની કે સામાન શેરીમાં ફેંકાવી દેવાની ધમકીઓ બહેરા કાને પડે છે પણ મુક્કો મારવાની ધમકી ત્રણ મહિનાની જેલમાં પરિણમે છે.

છેક છેલ્લી પંક્તિમાં હબસી શબ્દનો ઉલ્લેખ કરીને કવિ આપણને ધ્રુજાવી મૂકે છે.

Comments (13)

અનહદ અપાર વરસે – નયના જાની

આ ધોધમાર વરસે, ચોમેર ધાર વરસે,
હું કેટલુંક ઝીલું ? અનહદ અપાર વરસે !

ના શ્રાવણી અષાઢી વરસાદના દિવસમાં,
એ તો અકળ અમસ્તું બસ વારવાર વરસે !

ભીંજાઉં ન્હાઉં ડૂબું આઘે તણાઉં એવું,
આ નેહના ગગનનો સઘળોય સાર વરસે !

હા જો કહું તો વરસે, ના પણ કહું તો વરસે,
કૈં ના કહું તો આવી આવી ધરાર વરસે !

છલકી જવાય એવું કે છોળ થઈ જવાતું,
ઘેઘૂરને ઘુઘવતો એવો ખુમાર વરસે !

– નયના જાની

વરસવાની મોસમ છે એવામાં આ એક વરસાદી ગઝલ… પ્રિયતમ કંઈ શ્રાવણ-અષાઢ જોઈને થોડો વરસે છે? એ તો વરસે, અમસ્તો અમસ્તો વરસે ને વારંવાર વરસે.  એને હા પાડો તોય વરસે ને ના કહો તોય. અને કંઈ જ ન કહો તો તો ઘડી ઘડી વરસશે. પ્રેમનો વરસાદ જ કંઈ એવો છે કે છલકી ઊઠાય, છોળ થઈ ઊઠાય, અસ્તિત્વ ઘુઘવાટા મારી ઊઠે એ ખુમારીથી એ વરસે છે…

Comments (15)

વિફલ – રવીન્દ્રનાથ ટાગોર (અનુ. દક્ષા વ્યાસ)

હું તેના હાથ ઝાલું છું
અને
મારી છાતી સરસા ચાંપું છું.

મથું છું
તેના વહાલથી મારી ભૂજાઓને ભરી લેવા,
ચુંબનોથી તેના મધુર સ્મિતને લૂંટી લેવા,
તેનાં કાજળકાળાં નેત્રોના દૃષ્ટિક્ષેપને
નજરથી પી લેવા.

કિન્તુ હાય !
ક્યાં છે એ સઘળું ?
કોણ ખેંચી કાઢી શક્યું છે
આકાશમાંથી આસમાની રંગછાયાને ?

મથું છું
સૌંદર્યને ઝીલવા
અને એ કુશળતાથી છટકી જાય છે
મારા હાથમાં માત્ર એનો સ્થૂળ દેહ મૂકીને.

પાછો ફરું છું હું
વિફલ અને હતાશ થઈ.

જેને માત્ર આત્મા જ સ્પર્શી શકે
તે પુષ્પને
દેહ શી રીતે સ્પર્શી શકે ?

– અનુ. દક્ષા વ્યાસ

*

પ્રેમની ઉત્કટ આત્મીય અનુભૂતિનું કાવ્ય. લતા મંગેશકરનું “સિર્ફ અહેસાસ હૈ યે રુહ સે મહસૂસ કરો” ગીત યાદ આવી જાય…

*

I hold her hands and press her to my breast.
I try to fill my arms with her loveliness,
to plunder her sweet smile with kisses,
to drink her dark glances with my eyes.
Ah, but, where is it?
Who can strain the blue from the sky?
I try to grasp the beauty, it eludes me,
leaving only the body in my hands.
Baffled and weary I come back.
How can the body touch the flower
which only the spirit may touch?

– Ravindranath Tagore

Comments (7)

વિકાસ – શુન્તારો તાનિકાવા

ત્રણ વર્ષે
મને ભૂતકાળ જેવું કંઈ હતું જ નહીં

પાંચ વર્ષે
મારો ભૂતકાળ ગઈકાલ સુધી જ પહોંચતો

સાત વર્ષે
મારો ભૂતકાળ પહોંચતો રાણા પ્રતાપ સુધી

અગિયાર  વર્ષે
મારો ભૂતકાળ પ્રસર્યો છેક ડાયનોસોર સુધી

ચૌદ વર્ષે
મારો ભૂતકાળ સંમત હતો પાઠ્યપુસ્તકો સાથે

સોળ વર્ષે
ભૂતકાળની અનંતતા સામે જોતા મને ડર લાગતો

અઢાર વર્ષે
મને સમય વિશે કશુંય જ્ઞાન નથી

– શુન્તારો તાનિકાવા
(અનુ. ધવલ શાહ)

માણસની સમજના વિકાસનો ગ્રાફ દોરી આપતું નવી જાતનું કાવ્ય.

નાની ઉંમરે સમયનો કંઈ ખ્યાલ ન હોય. પછી ધીમે ધીમે ગઈકાલનો, વિતેલી સદીઓનો, વિતેલા યુગોનો અને છેવટે પાઠ્યપુસ્તકમાં હોય એવી બધી જ ઘટનાઓનો ખ્યાલ આવતો જાય. ને પછી એક દિવસ ખ્યાલ આવે કે પાઠ્યપુસ્તક્નો પનો તો ભૂતકાળને માપવા માટે બહુ ટૂંકો પડે છે. ને છેલ્લે ખબર પડે કે સમયની આખી વિભાવના જ કેટલી તકલાદી છે … ને પછી જ (કદાચ) માણસના વિકાસની ખરી શરૂઆત થાય !

Comments (10)

નવનિર્માણ – રૂમી – અનુ-વસંત પરીખ

આતમનો મારગ પ્રથમ તો
દેહનો ભાંગીને ભૂકો કરે છે
અને પછી તેને નવી તાજગીથી બેઠો કરે છે.
જેના પાયામાં ખજાનો દટાયો છે
તે મકાનને પહેલાં તો જમીનદોસ્ત કરવામાં આવે છે
અને પછી
એ ખજાનાથી એનું નવનિર્માણ કરવામાં આવે છે !

હીરાના તેજને નિખારવા માટે
તેને ખૂબ ઘસવો પડે છે.
એમ આત્માની શુદ્ધિ માટે
કષ્ટોમાંથી ગુજારવું પડે છે.
પણ એ કષ્ટની સાધક જો ફરિયાદ કરે છે
તો મને નવી લાગે છે કે એ શુદ્ધિનો આગ્રહ જ
કેમ રાખે છે ?
પ્રેમ-ન્યાયાલયમાં દાખલ થયેલો છે દાવો,
અને ત્યાં છે પીડા એ જ પુરાવો.
જો તમે એ પુરાવો રજૂ નહીં કરી શકો,
તો તમે દાવામાં સફળતા ક્યાંથી મેળવશો?
કાજી જયારે પુરાવો માગે
ત્યારે તમે અકળાતા નહીં.
કરી લેજો સાપને પણ ચુંબન
અને મેળવી લેજો મહામૂલું પ્રેમધન.

સંકટોનો પ્રહાર તમારી નબળાઈ પર છે,
નહીં કે તમારા પર.
ગાલીચાને કોઈ સખ્તાઈથી ઝાપટે છે ત્યારે
એ પ્રહારો ગાલીચાને દંડવા માટે નથી હોતા,
એ તો હોય છે તેમાં ભરાયેલી ધૂળની સામે.

– જલાલુદ્દીન રૂમી

અહીં જે પીડામાંથી પસાર થવાની વાત છે તે બંને ક્ષેત્રમાં લાગુ પડે છે – બાહ્ય અને આંતરિક. બાહ્ય પીડાની વાત સમજી શકાય તેમ છે પરંતુ આંતરિક વેદના ઘણી વધારે પડકારજનક હોય છે. આપણાંથી આપણી એક સામાન્ય માન્યતા બદલી શકાતી નથી હોતી, તો સમગ્ર આંતરિક ઢાંચો કે જે સંપૂર્ણપણે વિચાર-ભૂતકાળની યાદો-મગજની તિકડમબાજી પર અવલંબિત છે તેને ધ્વસ્ત કરવો કેટલો કઠિન હશે ! અને આ ઢાંચાની નિરર્થકતાનું સુપેરે જ્ઞાન હોવા છતાં તેને તોડી ન શકવાની સ્થિતિમાં જે guilt ઉદભવે છે તે એથી વધુ કષ્ટદાયક હોય છે. આ એક વિષચક્ર છે જે સાધકને કદી જંપવા નથી દેતું.

Comments (8)

ક્યાંથી લાવીએ ? – સંજુ વાળા

તાપસને તપનું હોય એવું ભાન ક્યાંથી લાવીએ ?
અથવા તો સહૃદયીના જેવી તાન ક્યાંથી લાવીએ ?

ભીતરથી આરંભાઈ ‘ને પહોંચાડે પાછાં ભીતરે,
અનહદ અલૌકિક આગવું પ્રસ્થાન ક્યાંથી લાવીએ ?

પોતે જ આવીએ, ને પોતે આવકારીએ વળી-
હરરોજ ઘરના ઉંબરે મહેમાન ક્યાંથી લાવીએ ?

સંવેદનાઓ સઘળી થઈ ગઈ છે ઠરીને ઠીકરું,
ત્સુનામી જેવું લોહીમાં તોફાન ક્યાંથી લાવીએ ?

ના, કોઈ પણ રંગો મને એની પ્રતીતિ દઈ શક્યા,
એ મુખડું રમણીય ભીનેવાન ક્યાંથી લાવીએ ?

ખીલા તો શું એકેય સાચું વેણ સહેવાતું નથી,
સમતા જ આભૂષણ બને એ કાન ક્યાંથી લાવીએ ?

પરભાતિયાં તો આપણે પણ આજ લગ ગાયાં કર્યાં,
કિન્તુ એ નમણાં નામનું સંધાન ક્યાંથી લાવીએ ?

-સંજુ વાળા

Comments (11)

પાવાગઢમાં એક વરસાદી અનુભૂતિ – જયન્ત પાઠક

(શિખરિણી)

પછી તો પ્હાડોએ નિજ પર લીધાં ઓઢી જલદો
અને ઢંકાયાં સૌ શિખર, ખીણ, ઉત્તુંગ તરુઓ
તળાવો યે ડૂબ્યાં અતલ તલમાં આવરણનાં
ભુંસાઈ ગૈ દ્યાવાપૃથિવી વચમાંની સરહદો !

હવે આજુબાજુ, અધસ-ઊરધે એકરૂપ સૌ;
મને ના દેખાતો હું, ન સ્વજન ઊભાં સમીપ તે;
અવાજોમાં આછા પરિચિત લહું સર્વ ગતિને
સદેહે સ્વર્લોકે વિચરું ચરણે ધારી ક્ષિતિને !

સૂણું આહા ! વાદ્યધ્વનિ વહત ધીમા અનિલમાં
સૂરો ગંધર્વોના, લય લલિત વિદ્યાધરતણા;
મૃદંગોના ઘેરા પ્રતિધ્વનિ શું વાતાવરણમાં !
હું રંગદ્વારે છું સ્થિત ભવનના વાસવ તણા !

ઝીણી, ફોરે ફોરે નૂપુર ઘૂઘરીઓ બજી રહી;
જરા ઝબકારો – શી નયન નચવી ઉર્વશી રહી !

– જયન્ત પાઠક

પાવાગઢના પર્વત પર વરસતા વરસાદના અમૂર્ત સૌંદર્યને કવિએ અહીં જાણે કે શબ્દોના કેમેરા વડે મૂર્ત કરી દીધું છે. પહાડો જાણે નીચે આવી ગયેલાં વાદળોને ઓઢીને ઊભા હોય એમ લાગે છે અને આ વાદળોમાં સ્વર્ગ અને પૃથ્વીની તમામ સરહદો કેમ જાણે ભૂંસાઈ ગઈ ન હોય એમ શિખર-ખીણ-વૃક્ષો-તળાવો બધું જ ઓગળી ગયું છે… ઊપર-નીચે, આજુ-બાજુ બધું જ એકરૂપ ! પાસે ઊભેલાં સગાં તો ઠીક, પોતાની જાત પણ જોઈ ન શકાય એવું ગાઢ ધુમ્મસ છે જ્યાં માત્ર અવાજો જ ‘નજરે’ ચડે છે. ધીમે ધીમે વાતો પવન ગંધર્વોએ છેડેલા સૂર જેવો અને વાદળોનો ગડગડાટ તબલાં જેવો અને વરસાદના ફોરાં ઉર્વશીના ઝાંઝરના રણકાર સમા ભાસે છે. ઇન્દ્રલોકના દ્વારે આવી ઊભા હોવાની તીવ્રતમ અનુભૂતિ આ સૌંદર્યાન્વિત સૉનેટને કવિતાની ઊંચાઈ બક્ષે છે…

(જલદો = વાદળો, ઉત્તુંગ = અત્યંત ઊંચું, દ્યાવાપૃથિવી = સ્વર્ગ અને પૃથ્વી, અધસ-ઊરધે = નીચે-ઉપર, સ્વર્લોક = સાત માંહેનો એક લોક, ક્ષિતિ = પૃથ્વી, વાસવ = ઇન્દ્ર)

Comments (6)

ઠેસ વાગી ને – વિનોદ જોષી

ઠેસ વાગી ને નખ્ખ નંદવાયો રે, સૈ !

પડ્યા આડા ઊંબર આડી ઓસરી,
છેક છાતીમાં તૈડ પડી સોંસરી;
જડ્યો પડછાયો સાવ ઓરમાયો રે, સૈ !

મેં તો ધબકારો લીંપીને આળખી,
મારાં ભોળાં પારેવડાંની પાલખી;
એક સોનેરી સૂર સંભળાયો રે, સૈ !

હતી સાકરની સાવ હું તો પૂતળી,
દોટ કાઢીને દરિયામાં ઊતરી;
મુંને મારો મુકામ ઓળખાયો રે, સૈ !

-વિનોદ જોષી

સાસરે પગ મૂકતી પરણેતરની હૈયાવિમાસણનું ચિત્ર કવિ આબાદ તાદૃશ કરે છે. પિયરમાં આંખ મીંચીને ઊડાઊડ કરતી છોકરી માટે ઓસરી-ઊંબરા, સાસુ-સસરા બધા જ જાણે રસ્તામાં આડા ન પડ્યા હોય એમ ચાલવું પણ દોહ્યલું બની જાય છે. એક ઠેસ વાગે અને જાણે ખાલી નખ જ નથી તૂટતો, છે…ક હૈયા સુધી તિરાડ પડી જાય છે. પોતીકો પડછાયો પણ ખોવાઈ જાય છે અને જડે તો એ પારકો લાગવા માંડે છે. એક-એક ધબકારા ચીપી-ચીપીને લીપવા પડે એવામાં પ્રિયતમનો સૂર જાણે સોનાનો સૂરજ બનીને ઊગે છે અને સંસારના ખારા સાગરમાં આખરે ડૂબી-ઓગળીને જ પોતાની મંઝિલ મળે છે એની નાયિકાને જાણ થાય છે…

Comments (8)

રે શિર સાટે – બ્રહ્માનંદ

રે શિર સાટે નટવરને વરીએ, રે પાછાં તે પગલાં નવ ભરીએ
.                                                                                (ટેક)

રે અંતર દૃષ્ટિ કરી ખોળ્યું, રે ડહાપણ ઝાઝું નવ ડોળ્યું;
.                                              રે હરિ સારુ માથું ઘોળ્યું.
.                                                                        રે શિરo

રે સમજ્યા વિના નવ નિસરીએ, રે રણ મધ્યે જઈને નવ ડરીએ;
.                                                   ત્યાં મુખ પાણી રાખી મરીએ.
.                                                                                   રે શિરo

રે પ્રથમ ચડે શૂરો થઈને, રે ભાગે પાછો રણમાં જઈને;
.                                        તે શું જીવે ભૂંડું મુખ લઈને.
.                                                                     રે શિરo

રે પહેલું જ મનમાં ત્રેવડીએ, રે હોડે હોડે જુદ્ધે નવ ચડીએ;
.                                       જો ચડીએ તો કટકા થઈ પડીએ.
.                                                                             રે શિરo

રે રંગ સહિત હરિને રટીએ, રે હાક વાગે પાછા નવ હટીએ;
.                                         બ્રહ્માનંદ કહે ત્યાં મરી મટીએ.
.                                                                           રે શિરo

– બ્રહ્માનંદ

આશરે ઈ.સ. ૧૮૨૮ થી ૧૮૮૮માં થઈ ગયેલ મધ્યકાલિન ભક્ત-કવિ બ્રહ્માનંદ સ્વામીનું આ જાણીતું પદ છે. એકે લીટીની વાર્તા એટલી જ છે કે પ્રેમ કરવો હોય તો સંપૂર્ણ સમર્પણ જોઈએ, સંપૂર્ણથી ઓછું કશુંય ચાલે નહીં. સમજ્યા વિના હરિ ભજવા નહીં અને એકવાર હરિને વરીએ તો ભલે માથું જાય, પણ પાછી પાની કરવી નહીં એ મતલબ એક પછી એક અંતરામાં કવિ ખરલમાં મેંદી ઘૂંટતા હોય એમ ઘૂંટતા જાય છે…

 

Comments (3)

સાન્નિધ્ય-સમજ – અશરફ ડબાવાલા

મારે કોઈ ન જુએ તેમ,
છીપમાં મૂંઝારે મરવું છે.
ભલે, હું છીપમાં છેલ્લા શ્વાસો ભરતો હોઉં
અને
પાણીને મોતી સાચવી રાખ્યાનો
અનુભવ થતો હોય.

મારે વાસણ જેમ પડી જઈને
હાથનો દોષ નથી કાઢવો.
મારે તો સ્પર્શની નિકટતા મુઠ્ઠીમાં બીડી
બસની જેમ દૂર દૂર નીકળી જવું છે.

મારે કાળજીથી કરેલા સરનામા જેમ
ઊકલી જઈને સાર્થકતા નથી અનુભવવી.
મારે તો પત્રમાં ન લખી શકાયેલ બાબતની જેમ
આમતેમ ગૂંચવાવું છે.

હે મારા નિ:શ્વાસો!
પાણીને ખબર ન પડવા દેશો કે
મારે કોઈ ન જુએ તેમ
છીપમાં મૂંઝારે મરવું છે.

– અશરફ ડબાવાલા

કારણ વિના પ્રગટ થઈને ચવાયેલી ઘટના થઈ જવા કરતા તો સારું છે છીપમાં મૂંઝારે મરવું. એવા મૂંઝારામાં જે નિકટતા, જે રોમાંચ, જે ગડમથલ, જે ટીસ છે એ અમૂલ્ય છે. કવિએ કવિતાનું શીર્ષક આપ્યું છે સાન્નિધ્ય-સમજ. અને એ રીતે કવિતાનો બૃહદ અર્થ ઊઘાડી આપ્યો છે. 

Comments (4)

સપ્ટેમ્બર 11નો ફોટોગ્રાફ – વિસ્વાવા શિમ્બોર્સ્કા

The_Falling_Man
(The Falling Man, Photograph by Richard Drew)

એ બધાએ ઝંપલાવ્યું છે બળતા મજલેથી
એક, બે, કે થોડા વધારે,
વત્તા કે ઓછા.

ફોટોગ્રાફે એમને જીંદગીમાં કેદ કરી લીધા છે,
અને ટીંગાડી રાખ્યા છે
જમીનથી અધ્ધર જમીન તરફ.

બધા હજુ સાંગોપાંગ છે,
સર્વથા ગોપિત છે
એમના ચહેરા અને લોહી.

પૂરતો સમય હતો
કેશના છૂટી જવા માટે,
પરચૂરણ અને ચાવીઓ
ગજવામાંથી પડી જવા માટે.

એ હજુ હવાની સીમામાં છે
દિશામાં છે ગંતવ્યની,
જે તાજા જ ખૂલ્યા છે.

હું એમના માટે બે જ ચીજ કરી શકું એમ છું –
આ ઉડ્ડયનની વાત માડું
ને છેલ્લી લીટી લખવાનું સદંતર ટાળું.

– વિસ્વાવા શિમ્બોર્સ્કા
( અનુવાદ: ધવલ શાહ)

આમ તો 9/11ના ફોટોગાફસ તો બધાય છે તીણી ચીસ જેવા. એમાં સૌથી વધારે હચમચાવી નાખતી તસવીરો છે બળતા ટ્વીન ટાવરમાંથી નાછૂટકે કૂદી પડેલા માણસોની તસવીરો. સો મજલેથી કૂદવાનો વિકલ્પ પણ સારો લાગે એ ક્રૂર સ્થિતિની એ બધા ફોટોગ્રાફસ ગવાહી છે. કવિએ એ ફોટોગ્રાફસ પર આ કવિતા લખી છે. 9/11ની વેદનાને એક ફોટોગ્રાફિક કવિતામાં કેદ કરી છે.

હવામાં લટકતા આ માણસોનું ગંતવ્ય છે મોત. મોતનું નામ પાડવાને બદલે કવિએ ‘તાજા જ ખૂલેલા ગંતવ્ય’ પ્રયોગ કર્યો છે. છેલ્લે કવિ કહે છે, આ માણસને સલામ કરવા માટે પોતે બે જ વાત કરી શકે એમ છે. એક તો આ ઘટનાનું વર્ણન કરે. બીજું કે એ છેલ્લી લીટી – કે જેમાં સામાન્ય રીતે કવિઓ આખી કવિતાની ચોટ મૂકતા હોય છે- એ લખવાનું ટાળે. 9/11ની આ તસવીર કોઈ પણ શાબ્દિક ચોટથી પર છે. એને કોઈ પંચલાઈનની જરૂર જ નથી એને કોઈ વધારે શબ્દોની આવશ્યકતા જ નથી એ વાત કવિ વધારે ચોટદાર રીતે – ન કહીને -કહે છે.

અંગ્રેજી અનુવાદ (મૂળ કવિતા પોલિશ ભાષામાં છે) અહીં વાંચી-સાંભળી શકો છો.

Comments (13)

વાતમાં ને – સંજુ વાળા

વાતમાં ને વાતના વળાંક પર
અણધાર્યા ઊખળતા આવે કાંઈ….
એક એક સણસણતી ઘટનાના થર
વાતમાં ને વાતના વળાંક પર….

ફૂગ્ગો ફૂટે તો એમ લાગતું કે આરપાર
ફૂટ્યો પ્રચંડ કોઈ તર્ક,
ઝીલ્યો ઝિલાય નહીં સ્હેજ પણ ખોબામાં
પથ્થરને પીડાનો ફર્ક ;
છાતીમાં સંઘરેલા સૂરજને સળગાવીને
કરવાનું હોય શું સરભર ?
વાતમાં ને વાતના વળાંક પર…

મનને વાગેલ ઠેશ ધરબી દઈ ભીતરમાં
ઉપરથી રહેવાનું રાજી,
પાળી-પંપાળીને જીવ જેવી ક્ષણ બધી
રાખવાની છેક સુધી તાજી,
ઓગળી ના જાય એમ આછા અણસારાને
ઉછેરું અંદરને અંદર !
વાતમાં ને વાતના વળાંક પર….

-સંજુ વાળા

અત્યંત નાજુકાઈથી તીવ્ર વેદનાની વાત થઇ છે આ કાવ્યમાં. ખૂબ જ બારીકીથી આ કાવ્યને ગૂંથવામાં આવ્યું છે. કોમળ શબ્દો દ્વારા ચોકસાઈપૂર્વકના શરસંધાન કરાયા છે…

Comments (11)

ન ઇચ્છે ! – રાજેન્દ્ર શુક્લ

એવોય કો’ક સૂરજ કે ઊગવા ન ઇચ્છે,
ના આથમે કદી, બહુ ઝળહળ થવા ન ઇચ્છે !

ઉંબર આ એક તડકો આવીને થિર થયો લો,
છાયા જરાય એની લંબાવવા ન ઇચ્છે !

ઝીલી શકો કશું તો સદભાગ્ય એ અચિંત્યું,
વ્હેતો પવન કશુંયે આલાપવા ન ઇચ્છે !

ત્યાંનુંય તે નિમંત્રણ, ત્યાંયે અકળ પ્રતીક્ષા,
ભરપૂરતા અહીંની ક્યાંયે જવા ન ઇચ્છે !

અભરે ભરાઈ એવી એકેક ક્ષણ મળી છે,
કોઈ વિશેષ એને છલકાવવા ન ઇચ્છે !

– રાજેન્દ્ર શુક્લ

સરળ લગતી ગઝલમાં અતળ ઊંડાણ ભર્યું છે…પ્રત્યેક શેર ચિંત્ય છે…

Comments (11)

અછાંદસ – સુરેશ દલાલ

ચિતાનાં
લાકડાં ગોઠવ્યાં હોય એમ
ઓશીકાં
મારી પથારી પર….
તારું સ્મરણ
મને અગ્નિદાહ આપે
અને ભડભડ બળે મારી રાત
સવારે હું રાખ, રાખ….

-સુરેશ દલાલ

Comments (8)

તરસ – પ્રજારામ રાવળ

તરસ્યું હૈયા – હરણું !
દોડતું દશે દિશમાં વ્યાકુળ ઢૂંઢતું શીતલ ઝરણું !

તરસ કેરા તીરથી ઘાયલ,
પલ વળે નહીં ચેન;
રાતથી લાંબો દિન થતો, ને
દિનથી લાંબી રેન !
પાગલ પાગલ ઢૂંઢતું ફરે કોઈ સોનાનું શમણું !

ધીકતી ધરા ચાર બાજુએ
આભ ઝરે અંગારા;
શાપિત મૃગની ઘોર તૃષાના
ક્યાંય દેખાય ન આરા,
રણ રેતીનું સળગે કેવળ, છાંય ધરે નહીં તરણું !

-પ્રજારામ રાવળ

તરસ આમ તો અનુભવવાની ચીજ છે પણ કવિતાની કમાલ જ એ છે કે એ અમૂર્તને પણ મૂર્ત કરી શકે છે. આ કવિતા વાંચીએ ત્યારે તરસ આપણને ‘નજરે’ ચડે છે. પહેલા અંતરામાં તૃષા અને પ્રતીક્ષાની વેદનાની લગોલગ રામના બાણથી ઘાયલ સ્વર્ણમૃગ પણ તાદૃશ થાય છે. મૃગજળને કિનારા હોતા નથી એ વાત પણ કવિ કેવી કમાલથી રજૂ કરે છે ! બીજી વાત, આ તરસ પ્રણયની છે કે ઉર્ધ્વ ચેતના માટેની છે એ તો ભાવકે જ નક્કી કરવાનું…

Comments (6)

એક ટેલિફોન ટોક – ચન્દ્રકાન્ત ટોપીવાળા

હલ્લો સાગર !
કાંઠાના વેલાફાંસામાં ગળાડૂબ
મોઢે ફરતા ફૂફવતા ફીણના હલ્લા વચ્ચે હલ્લો સાગર
હું તમારું પાણી બોલું છું.
હલ્લો હલ્લો સાગર, હું તમારું પાણી બોલું છું.
તમારી વાણી અહીં સુધી નથી પહોંચતી
તમારું પાણી બોલું છું, તમારી વાણી નથી બોલી શકાતી.
હલ્લો સાગર !
નીલ્લો તમારો કિલ્લો તોડી આવો બહાર.
રેતીનો ખીલ્લો ખીલ્લો બાંધી રાખે છે પાણીપંથા અશ્વો
પાણીપોચાં વિશ્વોનાં સપનાંઓનો ભય
તમારા પાણીને પાણી પાણી કરી નાખે છે,
તમારી વાણી નથી બોલી શકાતી.

ઠાલા છીપોના દ્વીપો ઠેલ્લો મારે છે, હલ્લો સાગર
હલ્લો સાગર
નીલ્લો તમારો કિલ્લો તૂટે
તો રેતીનો ખીલ્લો ખીલ્લો છૂટે
હલ્લો સાગર, નીલ્લો તમારો કિલ્લો તોડી આવો બહાર.
અગસ્ત્યના પેટસૂતું હું તમારું પાણી
વડવાનલની જીભે જલતું હું તમારું પાણી
ચૌદ રત્નના ઘામાં ગભરું તમારું પાણી બોલું છું.

– ચન્દ્રકાન્ત ટોપીવાળા

કવિતા કાનની કળા છે એ વાત આ કવિતા વાંચતાવેંત સમજાય. પાણી-વાણી, હલ્લા-હલ્લો-ઠેલ્લો, હલ્લો-કિલ્લો-ખીલ્લો-નીલ્લો, છીપો-દ્વીપો: આખી કવિતા સતત તમારા કાનની અંદર રેડાતી રહે છે. આ સિવાય પાણી સાથે સંકળાયેલ આપણા સંસ્કારો અને સંદર્ભો અલગ અલગ રૂપમાં સતત ડોકાતા રહે છે જેમ કે પાણીપંથુ, પાણીપોચું, પાણી પાણી થઈ જવું, અગસ્ત્ય, વડવાનલ, ચૌદ રત્નો વગેરે…

દરિયાનું પાણી દરિયાથી છૂટું થઈને દરિયા સાથે જે સંવાદ કરે છે એ જાઅણે આપણી અંદરનું કોઈક બિંદુ આપણા સમગ્રને ઝંઝોડતું કેમ ન હોય એ રીતે એકતરફો ટેલિફોન ચાલે છે… જ્યાં સમગ્રનો અવાજ શૂન્ય છે. બિંદુ હલ્લો હલ્લો કરે છે પણ સિંધુની વાણી એના સુધી પહોંચી શકતી નથી. બિંદુ સિંધુને આહ્વાન કરે છે કે રેતીના ખીલે બંધાઈ રહેલા પાણીપંથા અશ્વો યાને કે મોજાંઓને મુક્ત કરો… જે સ્વપ્નાંઓ પોતે જ પાણીપોચાં છે એનો ભય રાખીને પાણી પાણી થઈ જવાને બદલે અસ્તિત્ત્વના કાંઠાઓ તોડીને આવો, મુક્ત ભ્રમણ કરવાને…

Comments (7)

કિંમત – જયશ્રી ભક્ત

OLYMPUS DIGITAL CAMERA
(આ સ્મિત રહે સનાતન….                       …હેપ્પી બર્થ ડે, જયશ્રી)

*

તારા પ્રેમની કિંમતમાં
તું તને જ માંગી લે,
તો
ક્યાંથી આપું?

જિંદગી આખી લઈ લે,
પણ તું
મારી એ પળ માંગી લે,
તો
ક્યાંથી આપું?

– જયશ્રી ભક્ત

આમ જોઈએ તો બે જ પંક્તિની કવિતા. પણ વિચારીએ તો બે છીપની વચ્ચે એક અણમોલ મોતી. સાચો પ્રેમ એટલે એ અવસ્થા જ્યાં બે જણ એકમેકમાં ઓગળી જાય… ઓગળી ગયા પછી પરત શી રીતે કરી શકાય? હા, મારી જિંદગી માંગે તો આપી દઉં… પણ પ્રેમની એક ‘પળ’ જે આખા ‘જીવતર’થી પણ વિશેષ છે એ શી રીતે આપી શકાય?

હા, આજે ટહુકો.કોમની જયશ્રીની વર્ષગાંઠ પણ છે… એને લયસ્તરો પરિવાર તરફથી જન્મદિવસની ખૂબ ખૂબ વધાઈ…

ધરા, ઘટા, હવા રહ્યાં ઝૂમી કે આજે તારી વર્ષગાંઠ છે,
સમગ્ર કાયનાત છે નવી કે આજે તારી વર્ષગાંઠ છે.

Comments (20)