તું તને શોધી શકે એવી ઘડી શોધી શકે?
એ ઘડીમાં મન પરોવે એ કડી શોધી શકે?
– નેહા પુરોહિત

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for July, 2020

ફાતિમા ગુલની ચિઠ્ઠી – ઉદયન ઠક્કર

(વનવેલી)

મારા પ્યારા મણિલાલ*

યાદ છે? હું
આલુ ખરીદતી હતી.
નાતાલમાં**
ત્યારે તમે દુકાનમાં એકાએક
આવી ચડ્યા
મારી અને તમારી એ
પહેલી જ મુલાકાત.
એ પછી તો નિત નવા
બહાનાં ગોતીને જતા –
આવતા થયેલા તમે
મારે ઘેર

પ્રેમની હતી ઉંમર
મારા રુદિયામાં ડર
ધરમ જુદો ખરો ને…

તમને ભરોસો હતો
બાપુ મોટા મનના છે
માની જશે, હોંશે હોંશે
તમે ચિઠ્ઠી લખી હતી

બાપુનો ઉત્તર મળ્યો,
‘બ્રહ્મચર્યનું શું થયું?
શાદી ? અને તેય પાછી
મુસલમાન છોકરી સાથે?
તમારાં છોકરાં કયા
ધરમનાં કહેવાશે?
શું કહ્યું તેં?
હિન્દુ થવા તૈયાર છે એ ફાતિમા?
ધરમ શું લૂગડું છે
કે ઉતારી ફેંકી દીધું?
એના માટે ઘર ત્યજો,
લગ્ન ત્યજો, પ્રાણ ત્યજો !

તું કહે છે કે હું બાને
પૂછી જોઉં? નહીં પૂછું.
એનું બાપડીનું દિલ
ભાંગી જશે.
– તારો બાપુ.’

મહાત્માનાં મન કોણ
કળી શકે?
એમને ફિકર હશે કે પોતાનું
નામ ચહેરાઈ જશે?
મૌલવીઓ મહોલ્લાઓ ગજવશે?
મહાત્માયે ડરી ગયા?

મણિલાલ, સાંભળ્યું છે
એ લોકોએ હિંદુ કન્યા
ગોતી છે તમારા માટે.

સુખી રહો એની સાથે
આશ્રમે બેસીને ગાજો:
ઈશ્વર અલ્લાહ તેરો નામ!

બીજું તો શું કહેવાનું
હોય મારે, મણિલાલ?
સબકો સન્મતિ દે ભગવાન.

તમારી, એક વેળાની..

– ઉદયન ઠક્કર

* ગાંધીજીના પુત્ર
** દક્ષિણ આફ્રિકા

મહાન આત્મા પણ આખરે તો મનુષ્ય જ હોય છે અને માનવસહજ ભૂલોથી પર હોતા નથી એ વાત મહાત્મા ગાંધીના સુપુત્ર મણિલાલ ગાંધીની નિષ્ફળ પ્રણયકથાનો સંદર્ભ લઈ કવિએ બખૂબી ટાંકી છે. ગાંધીજી આફ્રિકા હતા ત્યારે એમના સહયોગી યુસુફ ગુલના પરિવાર સાથે એમનો પરિવાર ખૂબ હળીમળી ગયો હતો. ગાંધીજીએ ‘સર્વધર્મ એકસમાન’નું સૂત્ર બાળકોને શીખવ્યું હોવાથી બાળપણથી જેની સાથે રમતા આવ્યા હતા એવી, યુસુફ ગુલની પુત્રી ફાતિમા સાથે મણિલાલ પ્રેમમાં પડ્યા ત્યારે એમને ગળા સુધી ભરોસો હતો કે બાપુ કદી ના નહીં કહે. ૧૯૧૫માં ગાંધીજી આફ્રિકા છોડી ભારત આવ્યા એના બે જ વર્ષમાં મણિલાલ ફરી આફ્રિકા પહોંચી ગયા, આશ્રમનો વહીવટ કરવા કે ફાતિમાથી અલગ રહેવું અશક્ય લાગતું હતું એટલે એ તો એ જ જાણે. મણિલાલે બાપુને નાના ભાઈ રામદાસ મારફતે પોતાની ઇચ્છાની જાણ કરાવી ને જવાબમાં વીજળી ત્રાટકી. બાપુ ન માત્ર આંતર્ધમીય, આંતર્જાતીય લગ્નમાં પણ માનતા નહોતા. દોસ્ત તરીકે લખું છું કહીને દોસ્તના સ્વાંગમાં ધર્મચુસ્ત બાપનો પત્ર મણિલાલને મળ્યો, જેની વિગતો કવિએ કાવ્યમાં યથાતથ ઉલ્લેખી છે. ભારતમાં પોતાની છાપ ખરડાશે એવા ભયના લીધે અને રુઢિચુસ્ત વિચારોના ગુલામ હોવાના નાતે બાપુએ ચૌદેક વર્ષ લાંબી પ્રણયકથાનો ધ્વંસ કર્યો અને તાબડતોબ હિંદુ છોકરી શોધીને મણિલાલને પરણાવી દીધો. એ અલગ વાત છે કે પછીથી બાપુ હરિલાલને મુસ્લિમ કન્યા સાથે લગ્ન કરતાં કે મુસ્લિમ ધર્મ અંગીકાર કરતાં પણ અટકાવી શક્યા નહોતા. ૧૯૩૦ પછી બાપુના ધર્મવિષયક વિચારોમાં આમૂલ પરિવર્તન પણ આવ્યું પણ ફાતિમા અને મણિલાલ કદી એક થઈ શક્યા નહીં, આ ઐતિહાસિક હકીકત સાથે બાપુની સૌથી પ્રિય પ્રાર્થનાને જોડી દઈને કવિ આપણને સ્તબ્ધ કરી મૂકે છે. અંતે તમારી, એક વેળાની… માં તમારી પછી વપરાયેલ અલ્પવિરામચિહ્નના કારણે વાક્યાર્થમાં જે દાબ આવે છે, એ વ્યાકરણના પાઠ્યપુસ્તકોમાં ખપ લાગી શકે એવું ઉદાહરણ છે.

Comments (4)

(કારણ મને ગમે છે) – અમૃત ઘાયલ

કાજળભર્યા નયનનાં કામણ મને ગમે છે,
કારણ નહીં જ આપું કારણ મને ગમે છે.

લજ્જા થકી નમેલી પાંપણ મને ગમે છે,
ભાવે છે ભાર મનને, ભારણ મને ગમે છે.

જીવન અને મરણની હર ક્ષણ મને ગમે છે,
એ ઝેર હોય અથવા મારણ, મને ગમે છે.

ખોટી તો ખોટી હૈયાધારણ મને ગમે છે,
જળ હોય ઝાંઝવાનાં તો પણ મને ગમે છે.

હસવું સદાય હસવું, દુઃખમાં અચૂક હસવું,
દીવાનગીતણું આ ડહાપણ મને ગમે છે.

આવી ગયાં છે આંસુ, લૂછો નહીં ભલા થઈ,
આ બારેમાસ લીલાં તોરણ મને ગમે છે.

લાવે છે યાદ ફૂલો છાબો ભરી ભરીને,
છે ખૂબ મહોબતીલી માલણ, મને ગમે છે.

દુઃખ શું હવે હું પાછી દુનિયાય પણ નહીં દઉં,
એ પણ મને ગમે છે, આ પણ મને ગમે છે.

હું એટલે તો એને વેંઢારતો રહું છું,
સોગંદ જિંદગીના! વળગણ મને ગમે છે.

ભેટ્યો છું મોતને પણ કૈં વાર જિંદગીમાં!
આ ખોળિયાની જેમ જ ખાપણ મને ગમે છે!

‘ઘાયલ’ મને મુબારક આ ઊર્મિકાવ્ય મારાં,
મેં રોઈને ભર્યાં છે, એ રણ મને ગમે છે.

– અમૃત ઘાયલ

હજારથી વધુ કવિના ૪૭૦૦થી વધુ કાવ્યો જે વેબસાઇટ ઉપર હાજર હોય, એ વેબસાઇટ ઉપર સો ટચના સોના જેવી આટલી વિખ્યાત ગઝલ, જેને ગાઈ-ગાઈને ગુજરાતીઓએ હૃદયસ્થ કરી નાંખી છે, એ આજદિન સુધી કયા કારણોસર મૂકવાની રહી ગઈ એમ અગર આપ અમને પૂછશો તો અમે કહીશું કે કારણ નહીં જ આપું, કારણ અમને ગમે છે…

Comments (6)

પંચાયતને શું કહેવું ? – શૂન્ય પાલનપુરી

મોતની સાથે જીવનની અવિરામ લડતને શું કહેવું ?
શ્વાસે શ્વાસે ખેલાતા આ પાણીપતને શું ક હેવું ?

ખીલીને કરમાય છે કળીઓ, એ તો નિયમ છે કુદરતનો,
અણખીલી કરમાય કળી તો એ કુદરતને શું કહેવું ?

જ્યારે દેખો નાશની ચર્ચા, જ્યારે દેખો નાશની ધૂન,
કાયા તારી એક જ તરફી પંચાયતને શું કહેવું ?

રૂપની ભિક્ષા લેવા અંતર તારું દ્વાર જ શોધે છે,
એક જ ઘરની ટે’લ કરે એ અભ્યાગતને શું કહેવું ?

મોતની સામે રમતાં રમતાં રામ રમે છે જીવનના,
મીન થઈને ડૂબે એવા પારંગતને શું કહેવું ?

લાખ ઉષા ને સંધ્યા ખેલે હોળી વ્યોમની ધરતી પર,
રક્ત બની જે આંખમાં જામે એ રંગતને શું કહેવું ?

કાંઠા પર મજધાર બનાવે, હાય ! એ પામર નિર્બળતા ?
કાંઠાને મજધારમાં આણે, એ હિંમતને શું કહેવું ?

તારી યાદની હિચકી આવી પ્રાણને મુજ રીબાવે છે,
તું જ કરે છે ખોટી ખોટી અટકાયતને શું કહેવું ?

યાદ કોઈની દિલમાં આવી દિલની માલિક થઈ બેઠી,
શુન્ય હવે આ સત્તાલોભી શરણાગતને શું કહેવું ?

– શૂન્ય પાલનપુરી

Comments (1)

ज़रा सी बात – ख़ातिर ग़ज़नवी

गो ज़रा सी बात पर बरसों के याराने गए
लेकिन इतना तो हुआ कुछ लोग पहचाने गए

ભલેને નાનકડી વાત પર વર્ષોની યારી તૂટી ગઈ….કમસેકમ એટલું તો થયું કે કેટલાક ચહેરા બેનકાબ થઈ ગયા…
ભાષા સરળ છે, પણ અનુભૂતિ હૃદયદ્રાવક છે.

गर्मी-ए-महफ़िल फ़क़त इक नारा-ए-मस्ताना है
और वो ख़ुश हैं कि इस महफ़िल से दीवाने गए

મહેફિલની હૂંફની વાતો માત્ર દિલ બહેલાવવા માટે છે, એ તો રાજીના રેડ છે કે આ મહેફિલથી એક પાગલ ચાલ્યો ગયો…. અહીં ‘દીવાને’ બહુવચન કદાચ છંદ સાચવવા વપરાયું લાગે છે.

मैं इसे शोहरत कहूँ या अपनी रुस्वाई कहूँ
मुझ से पहले उस गली में मेरे अफ़्साने गए

હું એને મારી ખ્યાતનામી કહું કે મારી બદનામી કહું ?- મારા પહેલા એ ગલીમાં મારી કિંવદતિ [ અહીં આ શબ્દ અફ્વાના અર્થમાં વપરાયો લાગે છે ] પહોંચી ગઈ ! અર્થાત હરીફોએ એના કાન ભંભેરવામાં કશી મણા નો’તી રાખી.

वहशतें कुछ इस तरह अपना मुक़द्दर बन गईं
हम जहाँ पहुँचे हमारे साथ वीराने गए

દીવાનગી કૈક એવી રીતે મારી તકદીર બની ગઈ કે હું જ્યાં પહોંચું ત્યાં બરબાદી મારી સાથે જ આવી….જાણે તે મારો પડછાયો ન હોય !

यूँ तो वो मेरी रग-ए-जाँ से भी थे नज़दीक-तर
आँसुओं की धुँद में लेकिन न पहचाने गए

આમ તો તેઓ મારી ધોરીનસથી પણ મારી કરીબ હતા, પણ આંસુઓના પડળ હેઠળ ઓળખાયા જ નહીં… અહીં શાયર એમ ઈશારો કરે છે કે હું લાગણીમાં અંધ હતો કે તેઓનું સાચું સ્વરૂપ જોઈ ન શક્યો.

अब भी उन यादों की ख़ुश्बू ज़ेहन में महफ़ूज़ है
बार-हा हम जिन से गुलज़ारों को महकाने गए

હજુપણ એ યાદોની મહેક દિલમાં સાબૂત છે, વારંવાર જેનાથી અમે ઉપવનોને મહેકાવવા ગયા હતા. અર્થાત અમે કેટલા મૂરખ હતા !!! જ્યાં અમારી ઉપસ્થિતિની કોઈ કદર નહોતી, કોઈ સત્કાર નહોતો, કોઈ અર્થ જ નહોતો- ત્યાં વારંવાર અપમાનિત થવા જયા જ કર્યું…

क्या क़यामत है कि ‘ख़ातिर’ कुश्ता-ए-शब थे भी हम
सुब्ह भी आई तो मुजरिम हम ही गर्दाने गए

કેવી કયામત છે કે રાત્રીના અંધારે પણ અમે જ વઢાઈ જવા પાત્ર હતા ને દિ’ ઉગ્યો ત્યારે પણ અમને જ મુજરિમ કરાર ઠેરવાયા !!! મતલબ કે સત્ય-અસત્યની તો કોઈ વાત કદી હતી જ નહીં, એ નક્કી જ હતું કે અમને સજા કરવાની છે.

– ‘ખાતિર’ ગઝનવી

એક જ મૂડની ગઝલ છે, કોઈ બહુ જોરદાર શેર નથી પરંતુ એક બહુ જ સરસ માહોલ ઊભો કરે છે. પ્રેમ અને પાગલપનને તો અનાદિકાળનો નાતો છે, પણ અહીં એક પ્રેમાળ હ્ર્દયનો ઉપહાસ થયો છે, ખીલ્લી ઊડાવાઈ છે….. ખુદા એ ગુનો માફ નથી કરતો.

મહેંદી હસનના ઘૂંટાયેલા સ્વરે ગવાયેલી આ ગઝલ એકાંતે અને અંધારે સાંભળતા એક અલગ જ વિશ્વમાં આપણને લઇ જાય છે.

 

Comments (1)

તને સંબોધીને – અરુણ વામદત્ત

તને સંબોધીને કવિતા કરવાનું મન ઘણું;
લખું મંદાક્રાંતા વળી શિખરિણી શાર્દુલ રચું;
અછાંદસ્ આલેખે કયમ ઉભયછંદી રસકથા?
અપદ્યાગદ્યે હું મ ભ ન ત ત ગા ગા ગણગણું ?

‘પ્રિયે!’ જેવું સાદું સરળ “સખી!’ સંબોધન કરું,
પછી પાનાં ફીંદી અવનવું જ સંશોધન કરું;
વિચાર્યું ના શું શું પ્રથમ લખવું પ્રેમલ, છતાં
લખાવા ડોકાતું ઘણુંય – લખવું યા ન લખવું?

હતી ત્રીસે જેવી તરબતર અન્યોન્યમયતા,
હજી પંચોતેરે પણ પલળતાં ને નીતરતાં !
વહેલાં વર્ષોમાં ચઢઊતર સો સો અનુભવી;
હવે સંધ્યાકાળે – પળ પળ જજો દૂર રજની !

મળ્યાં ત્યારે નહોતી ખબર મળવું યોગ્ય નહિ વા,
હળ્યાં ત્યારે જાણ્યું અવર તવથી યોગ્યતર ના,
ભળ્યાં ત્યારે માણ્યું- વિરહ પણ આલિંગન હશે!
બીજા જન્મે થોડા વિરહ પછી બે જીવ મળશે!

– અરુણ વામદત્ત

આયખાની ત્રણ પચ્ચીસી વળોટી જવાની ક્ષણે કવિ પંચોતેરમા વર્ષે પત્ની સાથેના પોતાના સહજીવન તરફ એક લાંબી નજર નાંખે છે. પત્ની વિશે કવિતા કરવાની ઇચ્છા બાબતની વિમાસણ સંબોધન શું કરવાથી જ શરૂ થાય છે. ઊભયછંદી પ્રણયરસકથાને આલેખવા કવિએ કયો છંદ વાપરવો, ન વાપરવો કે છંદ ત્યાગીને કામ કરવું એ બાબતે પણ વિચાર સેવ્યો છે. પણ અપદ્યાગદ્યે સંબંધનું ગાણું ગણગણવું યોગ્ય ન જણાતાં કવિએ શિખરિણી છંદ પર પસંદગીનો કળશ ઢોળ્યો છે. સંબોધનથી લઈને શું લખવું-શું ન લખવુંની અવઢવયાત્રા સાથે કાવ્ય આગળ વધે છે. પણ લખવા કરતાં વિશેષ તો અન્યોન્ય માટેની એ અનુભૂતિનું મહત્ત્વ છે, જે ત્રીસ વર્ષની વયે હતી એવીને એવી જ પંચોતેરમા વર્ષે પણ બરકરાર રહી છે. ભલે સેંકડો ઉતારચઢાવ કેમ ન આવ્યા હોય, પણ સંધ્યાકાળે આવી પહોંચીને રાત વહેલી ન પડી જાય એની જ કામના છે. સહવાસની આ સાંજ વધુ ને વધુ લંબાય એ અભ્યર્થના જ સાચી કવિતા છે. મળ્યાં હતાં એ વખતે આ મિલન યોગ્ય છે કે કેમ એ બાબત પણ બંને સાશંક હતાં પણ હવે સમજાય છે કે કોઈ એક સાથી વિદાય લેશે તો એકબીજાથી ચડીને બીજું કોઈ પાત્ર કદાચ હતું જ નહીં અને મૃત્યુના કારણે સર્જાનાર વિરહ પણ એક આલિંગન જેવો લાગનાર છે, કેમકે બીજા જન્મે બંનેને પુનર્મિલનની અમર આશા છે…

આવા મજાના છંદોબદ્ધ કાવ્ય આજે જૂજ જ જોવા મળે છે…

Comments (6)

ગઝલ – ભાવેશ શાહ ‘શહેરી’

બહુ બહુ તો શહેર છોડવા એ ટળવળી શકે
શહેરીની ક્યાં મજાલ ઉચાળા ભરી શકે

એથી લીટીઓ હોય છે કોરી હથેળીમાં
જેને જે લખતાં આવડે જાતે લખી શકે

તો તો જરાય અણગમો દુઃખ પ્રત્યે ના રહે
આવે જો એ જણાવીને સૌ જીરવી શકે

ટોળાની હામાં હા કરે ટોળાની નામાં ના
ટોળામાં એવા લોકને બઢતી મળી શકે

શહેરી તેં શાને જિંદગી ભ્રામક ગણી લીધી
જીવવાની હોય સ્વપ્નમાં એવું બની શકે

– ભાવેશ શાહ ‘શહેરી’

શહેરમાં પેટિયું રળવા આવી ચડ્યા પછી અને શહેરની જિંદગીનો રંગ લોહીમાં ઊતરી ગયા બાદ લાખ ઇચ્છા છતાં શહેર છોડી ન શકનાર શહેરીની વેદના બે જ પંક્તિમાં કવિએ અદભુત રીતે આલેખી છે. આમ તો કવિનું તખલ્લુસ મક્તાના શેરમાં આવે પણ કવિએ અહીં બખૂબી પોતાના તખલ્લુસને મત્લા અને મક્તા-બંનેમાં વણી લીધું છે અને મત્લામાં તો એ દૂધમાં સાકરની જેમ ભળી ગયું છે. હસ્તરેખાઓ વિશે આટલો મજબૂત અને પોઝિટિવ શેર પણ ઘણા લાં…બા અંતરાલ પછી વાંચવામાં આવ્યો. સરવાળે આખી ગઝલ આસ્વાદ્ય બની છે.

કદાચ કવિતા સાથે પનારો પાડતા તમામ કવિઓને મદદરૂપ થાય એમ વિચારીને એક બાબત વિશે તોય જાહેર ટકોર કરવાનું મન થાય છે. કોઈ પણ કવિ પોતાની ભાષા પરત્વે ઉદાસીનતા સેવે એ સરાહનીય નથી. આખી ગઝલમાં જોઈ શકાય છે કે કવિએ કોઈપણ પ્રકારના વિરામચિહ્નો કે અવતરણચિહ્નો પ્રયોજ્યાં નથી અને ક્યાં શું આવશે એ બાબત ભાવકની ભાષાક્ષમતા પર છોડી દીધી છે. આ બાબત પર ધ્યાન આપી શકાય તો સોનામાં સુગંધ ભળે… .

Comments (12)

(વરસાદ) – રિન્કુ રાઠોડ ‘શર્વરી’

*

બ્હાર તો વરસાદ છે,
ભીતરે અવસાદ છે.

શબ્દમાં પડઘાય છે,
મૌન ગેબી નાદ છે.

છંદમાં બંધાય ક્યાંથી?
ઊર્મિઓ આઝાદ છે.

સાવ કોરો પત્ર છે,
વણલખી ફરિયાદ છે.

હું મને ભૂલ્યા કરું,
એ હદે કોઈ યાદ છે.

– રિન્કુ રાઠોડ ‘શર્વરી’

લયસ્તરોના આંગણે કવયિત્રીના બીજા કાવ્યસંગ્રહ ‘દૃશ્યો ભીનેવાન’નું સહૃદય સ્વાગત છે.

ટૂંકી બહેરમાં અહીં કેવું મજાનું કામ થયું છે! વરસાદની ઋતુ પ્રણયની ઋતુ છે. ‘લાખોં કા સાવન’ની આ મદીલી મોસમની મુખામુખ ભીતરી ઉદાસીને મૂકીને કવયિત્રીએ કેવો વેધક વિરોધાભાસ સર્જ્યો છે! શબ્દ બોલે એના કરતાં એમાંથી ઊઠતા મૌનના ગેબી નાદના પડઘા વધુ અગત્યના છે. સ્વચ્છંદ લાગણીઓની વાત કરતો મજાનો શેર તો છંદમાં ન લખતા કવિઓ દલીલ કરવા માટે વાપરી શકે એવો છે. પત્ર કોરો આવે એનાથી મોટી બીજી કઈ ફરિયાદ હોઈ શકે? પેલો મૌનનો ગેબી નાદ અહીં પુનઃ સંભળાય છે. કોઈની યાદમાં જાતને ભૂલી જવાની વાત આમ તો નવી નથી પણ સાવ સાંકડી જગ્યામાં કવયિત્રીએ જે બાહોશીથી એને સમાવી લીધી છે એ કાબિલે-દાદ છે.

સંગ્રહમાં ઘણી રચનાઓ મજાની થઈ છે, તો ઘણી બધી રચના મજાની થતાં-થતાં રહી ગઈ છે, ઘણી રચનાઓ કાચી પણ રહી ગઈ છે. કાવ્યસર્જન પછી કાવ્યસંમાર્જનની સાધનાની અનિવાર્યતા તરફ જાગૃતિ કેળવાય તો કવયિત્રી ગુજરાતી કવિતાના ધોરી માર્ગ પર પોતાના નામનો માઇલ-સ્ટોન ખોડી શકે એમ છે, પણ એ ન કેળવાય તો ખોવાઈ જવાનો અંદેશો પણ કંઈ કમ નથી.

લયસ્તરો તરફથી ‘શર્વરી’ને ખૂબ ખૂબ સ્નેહકામનાઓ…

Comments (9)

થોભ્યાનો થાક – સુરેશ દલાલ

ભટકી ભટકીને મારા થાક્યા છે પાય
હવે પંથ મારો ચાલે તો ચાલું ;
પોપચાં બિડાય ત્યારે ખૂંચે અંધાર
અને ઊઘડે ત્યાં સળગે અજવાળું.

વેદનાનું નામ ક્યાંય હોય નહીં એમ જાણે
વેરી દઉં હોંશભેર વાત ;
જંપ નહીં જીવને આ એનો અજંપો
ને ચેનથી બેચેન થાય રાત.

અટકે જો આંસુ તો ખટકે ; ને લ્હાય મને
થીજેલાં બિંદુઓ જો ખાળું !
સોસવાતો જાઉં છું સંગના વેરાનમાં
ને મારે એકાંત હું અવાક્.

આઘે જવાના કોઈ ઓરતા નહીં ને અહીં
થોભ્યાનો લાગે છે થાક ;
આંખડીના પાણીને રોકી રોકીને, કહો–
કેમ કરી સ્મિતને સંભાળું ?

– સુરેશ દલાલ

 

નકરી બેચેની…..કિંકર્તવ્યમૂઢતા પણ નથી- આ અવસ્થા માટે બેચેની સિવાય કોઈ શબ્દ બેસતો જ નથી. સમયનો આ પડાવ જ એવો છે, કાલ કદાચ કૈંક જુદી ઉગશે…..કદાચ જુદી ન યે ઉગે…..

Comments (2)

શું જાણું? – મકરંદ દવે

શું રે થયું છે મને, હું રે શું જાણું?
મને વ્હાલું લાગે છે તારું મુખ;
જોઉં, જોઉં, જોઉં, તોય જોતાં ધરાઉં ના,
ભવભવની હાય, બળી ભૂખ.

ક્યાં રે ઊગ્યો ને ક્યાં આથમ્યો રે દંન મારો,
ક્યાં રે ઢળી મધરાત ?
તારી તે મૂરતિને કે’તાં ને કે’તાં મારી
પૂરી ન થાય હજી વાત.

કોક કોક વાર તારી કાયા અલોપ બને,
કોક વાર બાહુમાં કેદ;
જોગ ને વિજોગ હવે ક્યાં રે જોખાવું મારાં
નેણાં ભૂલી ગયાં ભેદ.

આ રે અવતાર ભલે વાદળિયો વહી જતો,
કેવાં તે સુખ ને દુઃખ ?
આખો જનમારો તને આંખોમાં રાખું,
મને વ્હાલું લાગે છે તારું મુખ.

– મકરંદ દવે

 

જાણે રાધા અને મીરાંના મનની વાત…….

Comments (2)

(સૂર્યોદય) – દીક્ષા

અદભુત સૂર્યોદય હતો એ. વાદળો જાણે કોઈ આશ્ચર્ય કંડારવા માટે મથી રહ્યાં હતાં. લાલભૂરી પાંખોવાળાં પક્ષીઓ ચણની શોધમાં એક ઝાડથી બીજા ઝાડે ઊડાઊડ કરી રહ્યાં હતાં.
પૂંછડી પર કથ્થઈ ડાઘવાળો એક કાળો બિલાડો હળવાં ઘુરકિયાં કરતો, બગાસાં ખાતો, પોતાની જાતને આવનારા દિવસ માટે તૈયાર કરતો મારા પગ નજીકથી પસાર થઈ ગયો.
ઘાસમાંથી તાજી ઝાકળ અને સૌમ્ય જડીબુટ્ટીઓની સુગંધ આવતી હતી. મેં ચપ્પલ ઊતાર્યાં અને મારા પગને પ્રાતઃકાલીન ધુમ્મસની ઠંડક મહેસૂસ કરાવી.
મારાં આંગળાંઓને સૌપ્રથમ એની અનુભૂતિ થઈ અને એ કઠોર જમીનના અહેસાસ, બનાવટ અને તાપમાનને સાચા અર્થમાં સમજવા માટે મારે થોડીક ક્ષણો માટે રાહ જોવી પડી. અને આ પળભરની પ્રતીક્ષા દરમિયાન હું મારું ઇન્સ્ટાગ્રામ જોઈ લેવા માટે લલચાઈ.

ત્યાર બાદ ન મેં કંઈ અનુભવ્યું, ન સાંભળ્યું, ન જોયું.

– દીક્ષા

આમ તો આપણે સહુ એને દીક્ષા જોશીના નામે ગુજરાતી ફિલ્મોની સફળતમ અભિનેત્રી તરીકે ઓળખીએ છીએ… પણ ‘શુભ આરંભ’, ‘કરસનદાસ-પે એન્ડ યુઝ’, ‘શરતો લાગુ’, ‘ધુનકી’, ‘લવની લવસ્ટોરીઝ’ જેવી અનેક હીટ-સુપર હીટ ફિલ્મો સિવાય એની એક અલગ જ ઓળખ છે, જે મને સવિશેષ આકર્ષે છે અને એ છે, પડદાની પાછળ શ્વેત કાગળ પર કંડારાતી સંવેદનાઓ… એની કવિતાઓ એની ખરી પિછાન છે…

એક નાના અમથા ગદ્ય કાવ્યમાં એ સોશ્યલ મિડીયાએ આપણા જીવનમાં કરેલા અતિક્રમણને કેવું સચોટ રીતે વર્ણવે છે! એક સ-રસ મજાના સૂર્યોદયની અહીં વાત છે. પહેલું તો એ જ કે આપણામાંથી મોટાભાગનાંના જીવનમાંથી સૂર્યોદય ભૂંસાઈ જ ગયો છે. શહેરની તો વાત જ નથી, પણ આપણે ક્યાંક ફરવા ગયાં હોઈએ તો ત્યાં સનસેટ પૉઇન્ટ પર તો ભીડ જોવા મળશે પણ સનરાઇઝ પૉઇન્ટ તો મોટાભાગે ખાલીખમ જ દેખાશે. અહીં નાયિકાનું પ્રકૃતિ સાથેનું એ અનુસંધાન હજી જળવાઈ રહ્યું છે એ કાવ્યારંભે સુખદ અનુભૂતિ કરાવે છે. વહેલી સવારે ઊંઘ ત્યજીને એ સૂર્યોદય માણવા બહાર ખુલ્લામાં આવી છે અને સંદર્યનું આકંઠ પાન કરે છે અને આપણને કરાવી રહી છે. એક પછી એક ઇન્દ્રિય સતેજ થઈ આ ક્ષણોમાં ઓગળી રહી છે. પ્રભાતી ઝાકળની ઠંડક અનુભવવા ચપ્પલ ઉતારીને નાયિકા ખુલ્લા પગ ભીનાં ઘાસમાં મૂકે છે અને અંગૂઠાને થયેલો સ્પર્શ જ્ઞાનતંતુઓની મદદથી મગજ સુધી પહોંચે એ વચ્ચેની ક્ષણોમાં ટેવવશ પોતાનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ચેક કરી લેવાનો મોહ જતો કરી શકતી નથી. આમ તો સ્પર્શ અને અનુભૂતિની વચ્ચેનું અંતર માઇક્રોસેકન્ડમાં જ પૂરું થઈ જતું હોય છે, પણ કવયિત્રી પોએટિક લાઇસન્સ વાપરીને ઇન્સ્ટાગ્રામ ચેક કરવા જેટલો સમય સ્પર્શ અને સંવેદનાની વચ્ચે ઘડી કાઢે છે.

છેલ્લું વાક્ય સૉનેટની ચોટ જેવું છે…

*

It was a spectacular sunrise. The clouds were struggling to sculpt a wonder. Blue and Red winged birds flew from one tree to another in search of breakfast.
A Black cat with a little brown spot on its tail walked past my left leg purring, yawning, preparing himself for the day.
Grass smelled of fresh dew and mild herbs. I removed my chappals and let my feet feel the coolness of morning mist.
My toes felt it first and I had to wait for a couple of seconds to really understand the feeling, texture, temperature of the rugged ground. And as I waited I was tempted to check my Instagram.

I felt, heard, saw nothing after that.

– Deeksha

Comments (19)

પરસેવો – ગૌરાંગ ઠાકર

ક્યાંક સિદ્ધિમાં ન્હાય પરસેવો
ક્યાંક જળમાં તણાય પરસેવો

કામમાં આવી જાય પરસેવો
નવરા હો તોય થાય પરસેવો

દુનિયા ઝાકળ કહે છે એને, પણ
દોસ્ત! ખીલવામાં થાય પરસેવો

ફક્ત ભીનું જ હોય તો સૂકવું
બોલ, તડકે મૂકાય પરસેવો?

ચમકે પરસેવાથી જ જીવન પણ
તો શું? પહેરી ફરાય પરસેવો?

આજનો કાલે કામ લાગે છે
તેથી ભેગા કરાય પરસેવો?

આપ થોડો તો પાડો પરસેવો
તો કવિનો કળાય પરસેવો

– ગૌરાંગ ઠાકર

પરસેવા જેવી અરુઢ રદીફ અને આવી મજાની સંઘેડાઉતાર ગઝલ! ભાઈ વાહ! માણસ નવરો બેઠો હોય અને માત્ર ગરમીના કારણે પરસેવો થાય એ વાતને પરસેવો મહેનત કરે છે કે ‘ઓન-ડ્યુટી’ છે એ રીતે જોવાનો નજરિયો જ માન જન્માવે છે. ઝાકળ ફૂલોની મહેનતનું પરિણામ છે એ કલ્પન પણ કેવું અનૂઠું! પરસેવો ભીનો છે પણ જ રીતે ભીની વસ્તુને સૂકવવા આપણે તડકે મૂકીએ છીએ એ રીતે પરસેવાને તડકે મૂકાય? કેવી મૌલિક અભિવ્યક્તિ છે! બધા જ શેર સારા છે પણ રદીફ-દોષ થયો હોવા છતાં કવિતાને પામવા માટે ભાવકે પણ પુરુષાર્થ કરવો ઈષ્ટ હોવાની વાત કરતો આખરી શેર શિરમોર થયો છે.

Comments (9)

અલવિદા… દિલીપ મોદી !!!

(સાહિત્યસંગમના કાર્યક્રમમાં ૦૬-૦૬-૨૦૧૦ના રોજ લીધેલી તસ્વીર)

*
સાવ તરડાયેલી ક્ષણનું બિમ્બ છું,
હું અનાગત વિતરણનું બિમ્બ છું.

રોજ શ્વાસોચ્છ્વાસમાં શોધ્યા કરું,
હું વિખૂટા આવરણનું બિમ્બ છું.

આ પ્રસંગોની તરસતી આંખમાં,
હું તૃષાના કો’ ઝરણનું બિમ્બ છું.

વિસ્તર્યો’તો એક ચ્હેરો સૂર્યમાં,
ને પળેપળ હું ગ્રહણનું બિમ્બ છું.

હું સપાટી પરથી પરપોટાઉં ને,
ભીતરે સ્પષ્ટીકરણનું બિમ્બ છું.

પંથના સાતત્યમાં ભૂલી ગયો,
હું ચરણ છું કે ચરણનું બિમ્બ છું !

હું જ મારા નામની દીવાલ પર,
મૌનનાં વિસ્તીર્ણ ધણનું બિમ્બ છું.

– દિલીપ મોદી
(૦૬-૦૯-૧૯૫૨ : ૧૫-૦૭-૨૦૨૦)

‘अपनी सब से दोस्ती नहीं किसी से बैर’ – આ સૂત્રનો જીવતોજાગતો દાખલો ગઈકાલે સાંજે જીવનની કિતાબમાંથી ભૂંસાઈ ગયો… આજન્મ અજાતશત્રુ અને હર કોઈના મિત્ર, સાચા અર્થમાં એકદમ સાલસ અને સરળ સ્વભાવના તબીબ-કવિમિત્ર ડૉ. દિલીપ મોદી કોરોના સાથે દોસ્તી ન કરાય એ વાત ચૂકી ગયા. સુરતમાં ઓફિસિઅલ આંકડાઓથી દસ-પંદર ગણી વધારે ફેલાયેલી મહામારીમાં પોતાના જીવની પરવાહ કર્યા વિના દર્દીઓની સારવાર આપતા-આપતા દિલીપભાઈ તથા એમના માતા બંને કોરોનાગ્રસ્ત થયા. ગયા બુધવારે એમના માતૃશ્રી કોરોના સામેની જંગ હારી ગયાં અને ગઈકાલે સાચા અર્થમાં ‘કોરોના વૉરિયર’ દિલીપભાઈએ કોરોનાના કારણે ફેફસાં ખરાબ થઈ જવાના કારણે શ્વાસની સમસ્યા (ARDS) થતાં હથિયાર હેઠાં મૂક્યાં…

ઈશ્વર સદગતના અને એમના માતૃશ્રીના આત્માને સદગતિ આપે એ જ અભ્યર્થના…

Comments (27)

मरासिम – અહમદ ફરાઝ

अब और क्या किसी से मरासिम बढ़ाएँ हम
ये भी बहुत है तुझ को अगर भूल जाएँ हम

બીજા કોઈ સાથે હવે અમે શું સંબંધ ગાઢ કરીએ ? – તને ભૂલી જઈએ એ જ બહુ છે !

सहरा-ए-ज़िंदगी में कोई दूसरा न था
सुनते रहे हैं आप ही अपनी सदाएँ हम

જીવન-રણ માં અન્ય કોઈ હતું જ નહીં, જાતે જ જાતના ચિત્કારો સાંભળતા રહ્યા છીએ. – અર્થાત એવી ભયાનક એકલતા છે કે મારો અવાજ પણ મને ભડકાવી દે છે.

इस ज़िंदगी में इतनी फ़राग़त किसे नसीब
इतना न याद आ कि तुझे भूल जाएँ हम

આ જિંદગીમાં એટલી સ્વતંત્રતા [ફુરસદ, મોકળાશ ]કોને નસીબ હોય છે ? – એટલી પણ સ્મરણમાં ન રહે કે હું તને ભૂલી જાઉં…- અર્થાત , મારી પાસે એટલી સ્વતંત્રતા છે કે હું તને ભૂલી જાઉં, એટલે એવો ફાંકો ન રાખીશ કે હું તને ભૂલી નહિ જ શકું કદીપણ….[ અહીં વક્રોક્તિ છે, શાયર પોતાની પ્રેમિકાને મનમાંથી ન હટાવી શકવાની સ્થિતિને છુપાવવા માગે છે ]. બીજો અર્થ એવો પણ કરી શકાય કે તારી યાદ એક સ્થાયીભાવ બની ગઈ છે. તું મારામાં એટલી એકાકાર છે કે તારું સ્મરણ હવે conscious phenomenon રહ્યું જ નથી….એ સ્થિતિમાં તું વિસરાઈ જ ગઈ કહી શકાયને ?

तू इतनी दिल-ज़दा तो न थी ऐ शब-ए-फ़िराक़
आ तेरे रास्ते में सितारे लुटाएँ हम

તું એટલી તો ઘાયલ નહોતી હે વિરહ-રાત્રી ! આવ, તારા રસ્તામાં સિતારાઓ બિછાવી દઈએ…. અર્થાત, હવે તારી સાથે ઝાઝી દુશમની પણ રહી નથી.

वो लोग अब कहाँ हैं जो कहते थे कल ‘फ़राज़’
हे हे ख़ुदा-न-कर्दा तुझे भी रुलाएँ हम

ક્યાં ગયા એ લોકો કે જેઓ ગઈકાલે કહેતા હતા, ભગવાન ન કરે, હું તને પણ રડાવી દઈશ….અર્થાત – હું તને રડાવું એ તો સ્વપ્ને પણ કોઈ કલ્પી ન શકે, લો – આ તને પણ રડાવી દીધી. હવે કોઈ સીમા લાંઘવી બાકી નથી રહી…..

– અહમદ ફરાઝ

Comments (3)

the moon reflected on the water – Dogen

Enlightenment is like the moon reflected on the water.
The moon does not get wet, nor is the water broken.
Although its light is wide and great,
The moon is reflected even in a puddle an inch wide.
The whole moon and the entire sky
Are reflected in one dewdrop on the grass.

– Dogen

ભાષા સરળ છે તેથી અનુવાદ કરતો નથી. સરળ ભાવાર્થ એ કે હું જો થોડો પણ શુદ્ધ હોઈશ તો મારા થકી ચૈતન્ય અભિવ્યક્ત થશે, પ્રતિબિંબિત થશે…-ભલેને હું અલ્પ હોઉં,અગણ્ય હોઉં….. અશુદ્ધિની માત્રા વિપુલ હશે તો હું કશું જ પ્રતિબિંબિત નહિ કરી શકું. મારી અલ્પતા ચૈતન્યની ભવ્યતાને પૂર્ણરૂપે અભિવ્યક્ત કરવામાં બાધારૂપ નથી.

Comments (3)

ક્યાંક અરીસે ફૂંક! – પ્રફુલ્લ પંડ્યા

ક્યાંક સપાટી કાગળની ને ક્યાંક અરીસે ફૂંક!
ટાપુ જેવા વિચારને જા દરિયા વચ્ચે મૂક!

ટાપુ જેવા તપ છે એના એની આંખમાં દવ
માણસ કોમળ હોય તો એનો સાંભળી લેવો રવ
સૌની સાથે હેમખેમ હોય સર કરવાની ટૂંક!
ક્યાંક સપાટી કાગળની ને ક્યાંક અરીસે ફૂંક!

તળ પહોંચ્યાની મજા અર્થમાં તળ પહોંચ્યાનું પાપ
આંખોમાં પાકયું અંધારું કેમ મૂકવો કાપ?
ક્યાં સપાટી ખટકાની ને ક્યાંક પ્રકાશી ચૂંક?
ક્યાંક સપાટી કાગળની ને ક્યાંક અરીસે ફૂંક!

– પ્રફુલ્લ પંડ્યા

હાલમાં આ કવિના બહુ જૂના કાવ્યસંગ્રહ ‘જીભ ઉપરનો ધ્વજ’માંથી પસાર થવાનું થયું. કવિની વય ત્રીસેકની હશે ત્યારે કવિલોક પ્રકાશને નવ્ય કવિ શ્રેણીના ભાગ રૂપે આ નાનકડો સંગ્રહ બહાર પાડ્યો હતો. કંઈ અલગ જ બાની સાથે મુલાકાત થઈ. અગાઉ વાંચવામાં ન આવ્યા હોય એવા સાવ અનૂઠા અને અરુઢ કલ્પનો અને વાંચતાવેંત ગળે ઉતરવાનો ઇનકાર કરતી ભાષા. કવિતા અર્થમાં ઓછી અને અભિવ્યક્તિમાં વધુ હોય છે એ આ ગીતોમાંથી આરપાર નીકળીએ ત્યારે સહેજે સમજાય છે… સંગ્રહમાંથી એક ગીત માણીએ…

Comments (3)

(જામ ઝાંઝવાનો) – સાહિલ

ના જળનો દઈ શકો તો દ્યો જામ ઝાંઝવાનો
અભિનય તૃષા છીપ્યાનો કરશું અમે મજાનો

કદ કરતાં પણ વધારે વિસ્તાર હોય તો શું
પંખી ને ભાર લાગે ક્યારેય ના પીછાંનો

સમજો ન ઉન્નતિ સહુ ઊંચે જતી સ્થિતિને
અફસોસ મનમાં ચચરે-પલ્લું ઊંચે ગયાનો

થોડીક મ્હેરબાની મૌલાની જોઈએ બસ
વીંધે વમળને પળમાં અવતાર બદબુદાનો

આચાર પાળવાના કાં કાંટલાં જુદાં છે
બંદો છો તું ખુદાનો, બંદો છું હું ખુદાનો

આ રેતિયા નગરમાં છે કારભાર મારો
પાણી ઉપર પડેલા તડકાઓ વેચવાનો

હર જન્મમાં પ્રભુનું ઘર દૂર બે’ક ડગલાં
હર જન્મમાં હું સાહિલ વંશજ છું કાચબાનો.

– સાહિલ

મનનીય રચના…

Comments (4)

શકું છું – રાજ લખતરવી

બધાથી અનોખું વિચારી શકું છું,
ન જે કોઈ ધારે એ ધારી શકું છું.

નદીઓ સમાવીને બેઠો છું ભીતર,
નયનથી હું સાગરને સારી શકું છું.

કિનારો કિનારો કરી જાય તો શું?
હું મઝધારમાં નાવ તારી શકું છું.

સિતારા, સિતારા કરો છો તમે શું?
ધરા પર હું ચાંદો ઉતારી શકું છું.

મને માપવો એટલો છે સરળ ક્યાં?
ગગનથીય સીમા વધારી શકું છું.

નશીલા નયનને કરી યાદ સાંજે,
સુરાલયમાં રાતો ગુજારી શકું છું.

ઘણા ‘રાઝ’ ભૂલી ગયો છું ગુલાબો,
ન એકેય કાંટો વિસારી શકું છું.

– રાજ લખતરવી

આખી રચના સ-રસ થઈ છે પણ ભીતર નદીઓની મીઠાશ સમાવેલી હોવા છતાં આંખોમાંથી સાગરની ખારાશ સારી શકવાની વાત કરતો શેર તથા ‘કિનારો’ શબ્દ અડખેપડખે બેવાર મૂકીને અદભુત શ્લેષનો સાક્ષાત્કાર કરાવતા શેર સવિશેષ ગમી ગયા. મક્તામાં ગુલાબોના સ્થાને ગુલાબી શબ્દ પ્રયોજાયો હોત તો તખલ્લુસનો અર્થ પણ કદાચ શેરના દૂધમાં સાકરની જેમ ભળી જઈ શક્યો હોત.

Comments (4)

મારું રજવાડું – રમેશ પારેખ

તારો વૈભવ રંગમોલ, સોનું ને ચાકરધાડું
મારે ફળિયે ચકલી બેસે તે – મારું રજવાડું

તારે બોલે હાંફળફાંફળ ચાકર ઊઠેબેસે
મારા ઘરમાં કીડી સુધ્ધાં દમામપૂર્વક પેસે

મારે ફળિયે ઝૂલે ઝાડની ઘટાદાર હુશિયારી
ખોલું ત્યાં આકાશ લાગલું દેતી ઘરની બારી

જેવો મારો ઉંબર તેવું આડેઘડ પછવાડું

તારે ફળિયે તારો વૈભવ ખોંખારાઓ ખાય
મારે પંખીના ટહૂકાથી અજવાળાં ફેલાય,

સાત રંગના ઓડકાર તું સાવ એકલો ખાતો
હું તો અકડેઠઠ્ઠ ડાયરા વચ્ચે લહલહ થાતો

આવા મારા સાવ ઠોઠ જીવતરને શું શીખવાડું ?

– રમેશ પારેખ

 

ગયા અઠવાડિયે એક સિનિયર કવિ સાથે વાતો થતી હતી ત્યારે મેં બળાપો કાઢ્યો કે સામાન્ય વાચક હવે કાવ્યમાં રસ નથી લેતો. તેમણે વેધક વાત કરી – ” પ્રજા કાવ્યથી દૂર નથી થઈ, કવિ પ્રજાથી દૂર થઈ ગયો છે !! ”

તેઓની વાત સાચી લાગે એવા ઘણા અનુભવો સૌને થયા હશે. આ કાવ્ય તદ્દન સરળ કાવ્ય છે પણ એમાં એક હ્ર્દયસ્પર્શી તત્વ છે, જે અદના આદમીને કાવ્યની સમીપ લાવી દે છે…..

Comments (5)

એક તો આ…..- ખલીલ ધનતેજવી

એક તો આ જિંદગી ઓછી મળી,
એમાં જીવનભરની ખામોશી મળી.

ક્યાંક અમને વાર લાગી પહોંચતાં,
ક્યાંક અમને બાતમી ખોટી મળી.

એનું દિલ પથ્થર હશે નો’તી ખબર,
પણ હથેળી તો બહુ પોચી મળી !

પ્યાસ મારી ના બુઝી તે ના બુઝી,
આ નદી તો તીસરી ચોથી મળી !

ક્યાંક અમને ગમતો ચહેરો ના મળ્યો,
ક્યાંક તારી કારબન કોપી મળી !

નીકળ્યો’તો માણસોને શોધવા,
દાઢી, ચોટી ને તિલક, ટોપી મળી.

હું ખલીલ એવા સમયમાં છું હવે,
જ્યાં સદી કરતાંય ક્ષણ મોટી મળી.

– ખલીલ ધનતેજવી

Comments (2)

ઠાગા ઠૈયા – રાવજી પટેલ

ઠાગા ઠૈયા ભલે કરે રામ !
આપણે તો અલબત-શરબત ઊંચું મેલ્યું.
ભલે મારું નિર્વાણ ઊડી જાય !
ભલે મને મળે નહીં બ્રહ્મનું બટેરું ભરી છાશ.
દોમદામ પેઢીઓની ગીચતાને
મારે નથી શણગાર પ્હેરાવવા,
એની પર ખીજડા છો ઊગ્યાં કરે;
સુગરીઓ ભલે બાંધે ઘર, ભલે સેલ્યૂટ ભર્યા કરે !
આપણે શા ઠાઠ
કવિતાને ઘર શું ને કરવા શા ઘાટ !
કવિતાને મોગરાની ખપે બસ વાસ.
દોમદામ સાહ્યબી મારે મન ફફડતા પડદા –
ફફડતી ભીંત.
મારે મન હંમેશનાં હવડ કમાડ
ઘટમાળ-બટમાળ કશું નહીં,
સાહ્યબીનો ચ્હેરો હવે સૂર્ય નહીં –
સૂર્ય હવે છાણનું અડાયું મારે મન.
મારે મન કવિતાની સાહ્યબીના સૂરજ હજાર.
ઓરડામાં પડેલો આ અંધકાર ઊંચકું હું કેમ?
તમારે કહ્યે મારા નિજત્વને ફેંકી દઉં કેમ?
મને તો ઘણુંય થાય :
નજીક બેસાડી તારા ઘરને હું કવિતાની જેમ
કશો અર્થ દઉ;
તારી શય્યાને કવિતાની ગંધ દઉં.
કિંતુ વ્યર્થ
તમારે તો સાણસીનો કરવો છે અર્થ.
હું તો માત્ર કવિતાઈ રણનો પ્રલંબ પટ
કેવળ વેરાઈ જાણું પ્રણયની જેમ.
પણ તમારે તો દરિયાનો કરવો છે અર્થ.
હું તો માત્ર,
કૂતરાની પૂંછડીનો વાંકો વિસ્તાર,
હું તો માત્ર
કવિ,
હું તો માત્ર
ઓરડામાં સબડતું આદિ મમી,
હું તો માત્ર
ભૂખથી રિબાતું મારું વલ્લવપુરા ગામ.
હું તો માત્ર
ખાલીબખ નિઃસહાય ૐ
પણ તમારે તો ગણિતનાં મનોયત્ન ગણવાં છે.
મારી પાસે નથી એ ગણિત
મારી પાસે નથી એનો અર્થ
મારી પાસે કવિતાનો નથી કશો નર્થ.

– રાવજી પટેલ

રાવજીને કવિતા સામે બે તકલીફો હતી. એક, એ પૂર્વજોએ બાંધેલા એના ભવ્ય મહાલયોમાંથી બહાર આવતી નથી અને બે, અર્થ જાણે એનું અવિભાજ્ય અંગ ન હોય એમ આખી દુનિયા કવિતામાંથી અર્થ શોધતી રહે છે. એક તરફ રાવજી કવિતાના પરંપરાગત ઢાંચા -ઘાટ અને શૈલી- સામે વિદ્રોહ પોકારી મૌલિકતા ઉપર ભાર મૂકે છે તો બીજી તરફ કવિતામાંથી અર્થ શોધવાની વૃત્તિનો ત્યાગ કરીને અનુભૂતિ તરફ ધ્યાન આપવા એ કહે છે. કવિતાને એની અખિલાઈમાં આસ્વાદવાની છે. એનું અંગ-ગણિત નહીં, એને સંગ અગણિત માણવાનું છે. એની આબોહવામાં બેરોમીટર નહીં, ખાલી ફેફસાં લઈને પ્રવેશવાનું છે, તો જ શ્વાસમાં એનો પ્રાણવાયુ ભરાશે. તત્ત્વજ્ઞાનના પરંપરાગત વિચારો, મૃતઃપ્રાય સંસ્કૃતિના બીબાંઢાળ સંસ્કારો, વ્યવહારુ ભૌતિકવાદના સુનિશ્ચિત માળખાંમાં જે કેદ છે એ બીજું કંઈ પણ હોય, કવિતા નથી. કવિતા જ સાચો વૈભવ, કવિતા જ સાચો પ્રકાશ, કવિતા જ સાચું ઘર. શૈય્યા અને ભૂખના અંગત નિત્ય અનુભવોની અર્થધાત્રી એ કવિતા. ભવ્ય ભૂતકાળ નહીં, પણ પ્રવર્તમાન ઠોસ વાસ્તવ સાથેનું નિજત્વની સુગંધસભર અનુસંધાન એ જ જીવનનો સાચો અર્થ, એ જ સાચી કવિતા.

કવિતાનો વિશદ આસ્વાદ આપ અહીં માણી શકશો: http://tahuko.com/?p=18838

Comments (10)

આ અંધારામાં છ કલાક : ૦૪ થી ૦૬ – સિતાંશુ યશશ્ચંદ્ર

૪.
કોકે બહુ બહુ રોવડાવ્યું છે આજે
આ કાળી મજૂરણના બેત્રણ વર્ષના ગટિયા છૈયા જેવા આકાશને
અકારણ.

ઓતરાતી-દખણાદી ડાળીઓએ સટક ગાંઠ મારી
પેલીએ ઝુલાવેલી ઝોળીમાં જંપી ગયું’તું એ,
મજૂરીએ મોકલી’તી જ્યારે કરાડો પાછળની ખોમાં ત્યારે
અફીણની આંગળી ચટાડી પેલીએ પોઢાડ્યું’તું એને.

પાછળથી રોવડાવ્યું, આમ, તે એને આઘેથીયે સંભળાયું છે.

હવે ફાળભરી એ એકલી
ધ્રોડશે સાત-સાત નદીઓનું રૂપ લઈને ફાળ ભરતી
જવાન માવડી

ત્યારે
કિતાબઘરો, પોથીઓના ભંડાર, બુકનુક્સ બધાંય
પલળીને લોચો થઈ જવાના, આપણાં, જોજો…

૫.
જનાવર જેવાં છે જીવતાં ને જીવલેણ
આ પાણી, સાંભળો, આવતાં જ જાય છે, આ અંધારામાં.

સરકસના તંબૂમાં સળગતી રિંગ વચ્ચેથી કુદાવેલાં આમને, યાદ છે ?
રેસકોર્સમાં પિસ્તોલના ધડાકે આમને ગોળ ગોળ દોડાવેલાં, યાદ છે ?
ડબ્બે પૂર્યાં’તાં, ઊંચી ડોકે રોતાં’તાં તોયે ખસ્સી પછી જ છોડ્યાં’તાં, યાદ છે ?
ક્વેક-ક્વેક કરતાં’તાં તોયે કોથળે પૂરી કરોડોને દાટ્યાંતાં, યાદ છે ?
જાળમાં ઝાલ્યાં’તાં, ભાલે પરોવ્યાં’તાં, પાંખ વીંધી પાડ્યાં’તાં,
યાદ છે, યાદ છે, યાદ છે ?

તે આકાશ ભરીને આવ્યાં આ જળ-જાનવરોના જંગી ટોળાં,
અંધારામાં સળગતી આંખોવાળાં,
દઝાડતાં ને ભીંજવતાં, એકસાથ.

ઢોળાવ ઢોળાવે ઢળે છે
ચઢાણે ચઢાણે ચઢી બેસે છે.

જેને યાદ આવશે તે ભૂલી શકશે,
જે જીવલેણ છે તે જિવાડશે નવેસરથી
આ ઝળહળતા અંધારામાં.

૬.
તારી સંગત વિના
પ્રલયની આ રાતે પરોઢ સુધી ચાલી પહોંચવું નામુમકીન છે.

બોલ તારો શું વિચાર છે ?

તારો ને મારો સરવાળો,
જે તારી-મારી ખોબો’ક માટી પર મંડાય છે, તે,
આ વીફરેલા અંધારાની કાળી પાટી પર વીજળીની ખડીથી પૂરવેગે
લખાયેલી
બાદબાકીઓ કરતાં
એકાદ આંકડા જેટલો મોટો હશે ?

તું હા ભણે એક જ વાર તો હું..

– સિતાંશુ યશશ્ચંદ્ર
(૨૦૦૬)

[નાનકડી નોધ : પાછલી ખટઘડીના અંધારામાં જાગનાર એક કવિની સ્મૃતિ સાથે…]

નાના દીકરાને ઝાડની બે ડાળીઓ પર સાડલાની ઝોળી બનાવીને દૂર કરાડો પાછળ મજૂરીએ જવા નીકળતા પહેલાં મજૂરણ આંગળી પર અફીણ લગાડી એને ચટાડે છે, જેથી કરીને એ મજૂરીએથી આવે ત્યાં સુધી દીકરો ઊંઘતો રહે. ક્યાંક એ અધવચ્ચે જાગી જાય, રડવા માંડે ને દૂર મજૂરી કરતી માના કાને પડે તો એ કેવી ધસમસતી નદીની જેમ દોડી આવે! આ વાસ્તવચિત્રને કવિએ મેઘલી કાળી રાતે ગાંડા થતા વરસાદ સાથે કેવું મજાની રીતે સાંકળી લીધું છે! બે દિશાઓની ડાળી પર ગાંઠ બાંધીને જાણે અંધારી રાતે વરસાદી વાદળ ભરેલાં આકાશને અફીણ ચટાડીને સૂવડાવ્યું હતું, પણ ગટિયું બાળક અચાનક રડી ઊઠ્યું ને વરસાદ-વીજળી ત્રાટકી રહે છે… આવી આ ક્ષણના સૌંદર્ય આગળ દુનિયાભરનું જ્ઞાન પાણી ભરે છે…

કવિનો કેમેરા વરસાદી રાતના અંધારાને અલગ-અલગ મજાના એંગલથી ઝડપે છે. પાંચમા ચિત્રમાં આપણા હાથે શોષિત થતાં હજારો-લાખો મૂંગાં પ્રાણીઓને યાદ કરીને કવિ સાંબેલાધારે વીજકડાકા સાથે આવતા વરસાદને જળ-જાનવરોના જંગી ટોળાંની ઉપમા આપે છે એ કેવી વેધક લાગે છે!

છઠ્ઠા દૃશ્યમાં પ્રણયથી શરૂ થઈ પ્રકૃતિ તરફ વળેલી વાત ફરી પ્રણય તરફ વળે છે અને એક વર્તુળ સંપૂર્ણ થાય છે. પ્રલયની રાત હોવાનું અનુભવાય એટલી કાળી વરસાદી રાતે એકલા સવાર સુધી ટકી રહેવાનું કવિને અસંભવ લાગે છે. પણ કવિ માત્ર પોતાનો વિચાર જાહેર કરે છે, એને પ્રિયજન પર ઠોકી બેસાડતા નથી. એનો વિચાર અલગ હોઈ શકે એની આઝાદી એને હોય જ એવો રણકો બોલ, તારો શું વિચાર છેના પ્રશ્નમાંથી સ્પષ્ટ ઊઠે છે. અંધારાની કાળી પાટી પર વીજળીની ધોળી માટીથી બે જણના સંબંધનો જે સરવાળો થાય છે એને પ્રકૃતિના સાદૃશ્યે મૂકતાં કશું ધનમૂલક બચતું હશે કે કેમ એ સવાલ છે. પ્રિયજન એક જ વાર હા કહે તો કવિ આ સમીકરણમાં જાતને મૂકીને સવાર સુધી પહોંચવાની કોશિશ કરવા તૈયાર છે…

અંતે પાછલી ખટઘડીના અંધારામાં જાગનાર એક કવિની સ્મૃતિની વાત કરીને કવિ આદિ કવિ નરસિંહ મહેતાને સ્મરણાંજલિ આપી ગુજરાતી કવિના બે અંતિમોને પણ એક કરે છે.

Comments (4)

આ અંધારામાં છ કલાક : ૦૧ થી ૦૩ – સિતાંશુ યશશ્ચંદ્ર

૧.
જળ અને વીજળીઓથી ભરેલા મેઘ
લીલોતરીથી મઢેલી માટીની ટેકરીઓ વચ્ચેથી પસાર થાય છે
વરસતા-ત્રાટકતા
ત્યારે
લથબથ ટેકરીઓ સળગી ઊઠે છે
ને સળગતી ટેકરીઓ લથબથ ભીંજાઈ રહે છે.

તારી સંગતમાં
મને બરાબર ખબર નથી પડતી
કે હું જીવતો થઈ ઊઠું છું રોમેરોમ
કે આખરનું રજમાત્ર બચ્ચા વિનાનું મરી લઉં છું.

૨.
વરસાદના આ કપટી દિવસોમાં
વારંવાર ઝળહળી ઊઠતા ને વારંવાર ઓલવાઈ જતા
દગાબાજ જિગરી દોસ્ત જેવા આ અજવાળામાં
તર્કનું, ન્યાયનું, નીતિનું તમે કહો તે પુસ્તક
ઉકેલી આપું તંતોતંત.

આ ચાતુર્માસ પૂરા થાય ત્યાં સુધી
મને કાવ્યપોથી ઉઘાડવાનું ન કહેતા કોઈ

શરદ પૂનમ સુધી

૩.
અથવા તો, રહો,
.               છેક આભને છાપરેથી કડાકાભેર ત્રાટકે છે ત્રાંબાના રંગે
ત્રબકતી આ લાંબી વીજળી

દૃશ્યને અજવાળતી, આંખોને આંધળી કરી મૂકતી
વિધ્વંસની ગંધના કાદવમાં ફેફસાંને દાટી દેતી
આગના પહોળા પાવડાથી એક ઉલાળે છેક તળિયા સોતું અંધારું
.                                      આઘું ફંગોળી મારું ઘર મને બતાડતી,

એ જાદુઈ જ્ઞાનની પળે કઈ કિતાબ ઉકેલી આપું
– વેદ, કુરાન, પવિત્ર કરાર. ગણરાજ્ય નું સંવિધાન
કે પછી મારી પોતાની આ કાવ્યપોથી ?

બોલો.

– સિતાંશુ યશશ્ચંદ્ર

‘આ અંધારામાં છ કલાક’ શીર્ષક હેઠળ કવિ છ નાનાં-નાનાં કાવ્યોનો ગુચ્છ લઈને આવ્યા છે. એમાંથી ત્રણ-ત્રણ કાવ્યો બે દિવસમાં માણીએ. વરસાદની આ રાતના અંધારામાં પ્રણય અને પુસ્તક કેન્દ્રસ્થાને છે. ગાભેણો મેઘ વીજળી સાથે મળીને ભીની ટેકરીઓને સળગાવતો અને સળગતી ટેકરીઓને ભીંજવતો પસાર થઈ રહ્યો છે, એ જોઈ કથકને પ્રિયપાત્રનો સ્નેહ યાદ આવે છે. એ પણ આવો જ ભર્યોભાદર્યો અને ફળદ્રુપ છે. એની સંગતમાં પોતે રોમેરોમ જીવી ઊઠે છે કે બધું જ ફના કરી દઈ નિર્વાણ પામે છે એ નક્કી કરવું દોહ્યલું થઈ પડ્યું છે. પ્રેમના પ્રભાવનું આવું અદભુત કાવ્ય વારંવાર ક્યાં વાંચવા મળશે?

વરસાદના આ દિવસોમાં આવજાવ કરતા અંધારા-અજવાળામાં કવિ કવિતા સિવાય બીજા કોઈપણ પુસ્તકો તંતોતંત ઉકેલી આપવા તૈયાર છે, કેમકે એમને ઉકેલવા એ ડાબા હાથની વાત છે પણ કવિતા? શરદપૂનમ સુધી ચાલનાર આ ચાતુર્માસ પોતે જ એક કવિતા છે… કવિતાનો પ્રકાશ પામવો હોય તો ક્ષણજીવી અજવાળું શા ખપનું?

પણ રહો, અંધારાના આ ત્રીજા કલાકમાં ફરી પોતાની વાત ફેરવી તોળે છે. તામ્રવર્ણો વીજ-ઝબકારો અભથી ઊતરીને ધરતી સુધી આવે એટલી નાની અમથી પળમાં એના અજવાળાંથી એ કવિને એનું પોતાનું ઘર જાણે કે બતાવી આપે છે. આ ઘર એટલે ઈંટ- સિમેન્ટનું બનેલું ઘર કે કાયાનું મકાન? કવિને વીજળીના ચમકારે મોતી પરોવી શકાવાની આ ક્ષણે આત્મજ્ઞાન સાંપડે છે કદાચ. એટલે જ એ આ પળને જાદુઈ જ્ઞાનની પળ ગણાવતાં કહે છે કે આપણે બોલીએ એ પુસ્તક આ પળમાં ઉકેલી આપવા એ સર્વસમર્થ છે. અંધારી રાતમાં આંખોને આંધળી કરી દેતી વીજળીના ક્ષણાર્ધ ઝબકારામાં આંતર્ચક્ષુ ઊઘડી જવાની આ પળે કવિતા કોઈપણ ધર્મગ્રંથ કે દેશના સંવિધાનની સમકક્ષ પ્રતીત થાય છે.

Comments (3)

નિવેદન – જગદીશ જોષી

માફ કરજે દોસ્ત,
તું પાસે છે છતાંય હું મારામાં સંકોચાઈ જાઉં છું.
આ ઢળતી સાંજની ગમગીનીના પડછાયાનાં વૃક્ષો
મારા રસ્તા પર ઝૂક્યાં છે.
આ વૃક્ષની નીચે
તું મંદિર થઈને મ્હોરી શકે એમ છે,-
છતાંય મારે નીકળી પડવું છે ક્યાંક એકલા
-સાવ એકલવાયા.
હોટલના ખૂણાના સૂનકારમાં
ખાલી ગ્લાસની સાથે
આજની સાંજનો સંબંધ બાંધીશ.
માફ કરજે દોસ્ત,
I’d rather be alone….

વેદનાને જ્યારે શબ્દો જડતા નથી
ત્યારે હું એને પી જાઉં છું.
મારા નશામાં
કેટલીયે મ્હેફિલો ભાંગી પડી છે-
એ હકીકત તું જ જાણે છે;
એટલે જ
બીજા પાસે બોલબોલ કરતો
તારી પાસે ખૂબ ઉદાસ થઈને બેઠો છું.
મારા એકાન્તની ઈજ્જત કરનાર, દોસ્ત !
એક તને જ કહી શકું છું:
I’d rather be alone….

-જગદીશ જોષી

અંતે તો એ જ રહે છે……’ મૈં, ઔર મેરી તન્હાઈ…..’

Comments (3)