આંસુઓ શાયરીને આપી દ્યો,
આંખમાં ફક્ત શાયરી રાખો.
કોટક ધાર્મિક ‘ગોપાલ’

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for August, 2009

નિદાન – ફિલિપ ક્લાર્ક

ગઇ કાલે
લોકશાહીના
પેટમાં
સખત
દુખાવો ઊપડ્યો.
ડૉક્ટરે
તપાસીને કહ્યું:
‘પેટમાં’
સત્તાની ગાંઠ છે.

– ફિલિપ ક્લાર્ક

લોકશાહીની ખરી તકલીફનું સચોટ નિદાન કરતી કવિતા.

Comments (18)

(કંકુના સૂરજ આથમ્યા) – રાવજી પટેલ

મારી આંખે કંકુના સૂરજ આથમ્યા…
મારી વે’લ શંગારો વીરા, શગને સંકોરો
રે અજવાળાં પહેરીને ઊભા શ્વાસ !
મારી આંખે કંકુના સૂરજ આથમ્યા…

પીળે રે પાંદે લીલા ઘોડા ડૂબ્યા;
ડૂબ્યાં અલકાતાં રાજ, ડૂબ્યાં મલકાતાં કાજ
રે હણહણતી મેં સાંભળી સુવાસ !
મારી આંખે કંકુના સૂરજ આથમ્યા…

મને રોકે પંછાયો એક ચોકમાં;
અડધા બોલે ઝાલ્યો, અડધો ઝાંઝરથી ઝાલ્યો
મને વાગે સજીવી હળવાશ !
મારી આંખે કંકુના સૂરજ આથમ્યા…

– રાવજી પટેલ

દર વખતે કવિતા સાથે અમે ટૂંકનોંધ આપીએ એના બદલે આ વખતે થોડો અલગ ચીલો ચાતરીએ. આ કવિતાનો આસ્વાદ આ વખતે દરેક વાચક મિત્ર પોતપોતાની રીતે કરાવે તો કેવું ?

કવિતામાં દૃશ્ય શબ્દ કરતાંય ક્યારેક અદૃશ્ય શબ્દનો મહિમા વધુ હોય છે અને એટલે જ એક જ કવિતા અલગ અલગ ભાવકને અલગ અલગ અનુભૂતિ કરાવી શકે કે એક જ ભાવકને અલગ અલગ સમયે પણ અલગ અલગ અનુભૂતિ કરાવી શકે એમ બને. અમરગઢના જીંથરીના રુગ્ણાલયમાં 29 વર્ષની કૂમળી વયે ક્ષરદેહ ત્યાગનાર રાવજી પટેલની આ કવિતા મૃત્યુને ઢૂંકડા જોતા માનવીની આત્મવ્યથા સમી છે…

તમે સહુ આ કવિતાને કેવી રીતે અનુભવો છે એ આજે તમારી જ કલમે સાંભળીએ…  પ્રતિભાવ આપવા તૈયાર છો ને?

Comments (39)

અંતિમ યાત્રા – યિમિનેઝ (અનુ. સુરેશ દલાલ)

લ્યો, હું તો અહીંથી ચાલ્યો !
ને તોય હશે અહીં પંખી: રહેશે સૂર મધુરતમ મ્હાલ્યો !

લીલા રંગે લચી રહેલાં વૃક્ષ હશે અહીં મારે બાગ,
નીલ શાંત આ વ્યોમ, ઊજળી વાવ, સાંજ-સોહાગ,
હશે આમ ને આમ : ઘંટનો હશે રણકતો નાદ :
નાદ એ નહીં જાય રે ઝાલ્યો !
લ્યો, હું તો અહીંથી ચાલ્યો !

મને ચ્હાતાં લોક મરણને અધીન થશે અહીં,
અને ગામ હર વરસે દહાડે નવીન થશે અહીં,
ફિક્કો મારો બાગ- ખૂણો ગમગીન હશે, ત્યહીં-
જીવને રહેશે ઘરનો વિજોગ સાલ્યો !
લ્યો, હું તો અહીંથી ચાલ્યો !

અને એકલો જાઉં : વટાવી ઘરના ઉંબર-પ્હાડ,
નહીં રૂપાળી વાવ : નહીં રે લીલમલીલાં ઝાડ,
હશે નહીં રે નીલ, શાંત આ આભ ગૂઢ ને ગાઢ.
– તોય હશે અહીં
પંખીસૂરે ફાગણ ફૂલ્યોફાલ્યો !
લ્યો, હું તો અહીંથી ચાલ્યો !

– યિમિનેઝ
અનુ. સુરેશ દલાલ

સ્પૅનિશ કવિ યિમિનેઝની આ આખરી વિદાયનું ગીત મૃત્યુને હળવી હલકથી આલેખે છે. મૃત્યુ વિષયક કાવ્યમાં મૃત્યુનું મૃત્યુ થવાની સંભાવના સામાન્ય રીતે વધુ રહેલી હોય છે પણ કવિ એમાંથી બચી જઈને એક સુંદર સમતુલિત ભાવગીત આપે છે. આપણે હોઈએ છીએ ત્યારે આપણને સહુને સતત સૃષ્ટિની ધરી આપણે જ છીએ એવું જ ગુમાન રહેતું હોય છે, આપણા આવ્યા પહેલાં આ દુનિયા જેમ ચાલતી હતી, પછી પણ એમ જ ચાલવાની છે એ જાણતલ વાતથી જાણે બેખબર ન હોઈએ એમ !

આપણા ગયા પછી પણ પંખીઓ રહેશે, એમનાં મધુરતમ સૂરો અને આ મહાલયો. લીલાંછમ્મ વૃક્ષો, ભૂરું શાંત આકાશ, વાવ, સાંજનો સુહાગી ચાંલ્લા જેવો રાતો રંગ, ઘંટનો રણકાર- બધું જ યથાવત્ રહેવાનું છે. આપણા સગા પણ ક્યારેક તો મૃત્યુ પામશે જ અને નવા લોકો જનમતાં જ રહેશે… દર વરસે ગામ નવું બની જશે પણ મારા જીવનના બાગનો ખૂણો થોડો ગમગીન રહેશે, બસ ! અને એકલા જવાનું થશે ત્યારે કોઈ વાવ, લીલાં ઝાડ કે શાંત આકાશ સાથે હોવાના નથી. ઘરનો ઉંબરો પણ પઃઆડ જેવો ભાસશે પણ જવું તો પડશે અને આપણે જઈએ એનાથી કંઈ ફાગણ ફૂલવાફાલવાનું બંધ નહીં જ કરી દે… સૃષ્ટિનું ચક્ર એ જ લયમાં અવિરત ચાલતું રહેશે…

મૃત્યુની વાસ્તવિક્તાને યથાર્થ આલેખતું આ ગીત વારંવાર આસ્વાદવું ગમે એમ છે…

Comments (16)

ગઝલ – રાજેશ વ્યાસ ‘મિસ્કીન’

તમામ ઝાકઝમાળો તમામ સ્તરનું સુખ,
બધું જ છેવટે લાગે ઉપર-ઉપરનું સુખ.

કોઈની હૂંફ અને હાજરી જરૂરી છે,
ફકત આ ચાર દીવાલો જ નથી ઘરનું સુખ.

બની શકે તો એ વસમા દહાડા પાછા દે,
ઘણું જ કપરું છે ભોગવવું મન વગરનું સુખ.

નજીક એટલાં આવ્યાં કે ગઈ નિકટતા પણ,
નથી જ દૂર કે પામું ખુશી-ખબરનું સુખ.

…કે ખંડિયેર મહેલનો છું ઉંબરો મિસ્કીન,
નથી નથી જ ભાગ્યમાં અવરજવરનું સુખ.

– રાજેશ વ્યાસ ‘મિસ્કીન’

સુખ વિશેની વાત હળવાશથી કરતી એક સંજીદા ગઝલ…

Comments (15)

અનુભવ થતો નથી – ભગવતીકુમાર શર્મા

Bhagvatikumar

(ભગવતીકુમાર શર્મા એમની એક લાક્ષણિક અદામાં..  …સુરત, ૨૦૦૬)

*

મોસમની આવ-જાનો અનુભવ થતો નથી;
ઉપવનમાં ભરવસંતેય કલરવ થતો નથી.

ક્ષણની ગતિવિધિઓમાં વિપ્લવ થતો નથી;
કેમે કરીને પૂરો હજી ભવ થતો નથી.

ભીતર તો ક્રૌંચવધ હવે હરપળ થતો રહે;
એકાદ શ્લોકનોયે કાં ઉદભવ થતો નથી ?

દુનિયા તો એની એ જ છે ઝળહળ ને ધૂમધામ;
જો તું નથી તો મનનો મહોત્સવ થતો નથી.

પ્યાલાઓ ગટગટાવું છું આકંઠ તે છતાં
ઓછો જરાયે યાદનો આસવ થતો નથી.

– ભગવતીકુમાર શર્મા

ભગવતીકુમાર શર્માને થોડા દિવસ પહેલાં જ ‘આદિ કવિ નરસિંહ મહેતા પુરસ્કાર’ એનાયત કરાયાની જાહેરાત થઈ. સુરતમાંથી આ પુરસ્કાર પ્રાપ્ત કરનાર તેઓ જયંત પાઠક પછી બીજા કવિ છે. સાક્ષરને અભિનંદન આપવા માટે ‘લયસ્તરો’નો મંચ ઘણો વામણો છે પણ આ પ્રસંગે અમે હૃદયપૂર્વક અમારી ખુશી વ્યક્ત કરીએ છીએ…  અને માણીએ એમની વધુ એક સાદ્યંત સુંદર ગઝલ…

Comments (14)

ચાલ, લઈ લઈએ થોડા અબોલા – તુષાર શુક્લ

ચાલ, લઈ લઈએ થોડા અબોલા
બોલ બોલ કરવાથી આપણા જ શબ્દો આ
આપણને લાગવાના પોલા –

આપણને શબ્દોનો મહિમા સમજાય
એથી મૌનને જ બોલવા દઈએ
હૈયાને સમજાવી, હોઠોને સીવી લઈ
કહેવું હોય એ ય તે ન કહીએ
અમથા અમથા જ સાવ વેડફતાં આપણે આ
મોતી શા શબ્દો અમોલા –

બોલવાથી ઘટતો હોય બોલ તણો મહિમા –
તો બોલી બગાડવાનું શાને ?
મૂંગા રહીએ ને તો ય દલડાંની વાત ઓલ્યું
દલડું સાંભળશે એક કાને 
ઉનાળુ બપ્પોરે ઓશરીના છાયામાં
જેવાં લપાઈ રહે હોલાં –

– તુષાર શુક્લ

સહજ જ ગમી જાય એવું મધુરું ગીત… જો કે આ ગીત માટે તો ઓછું જ બોલવું સારું !

Comments (19)

સમજાવવા દેતા નથી ! – કિરીટ પરમાર

લોકો તારો પ્રેમ મુજને પામવા દેતા નથી,
તારા કાગળ મારી પાસે રાખવા દેતા નથી !

ઝેર પીનારને એ લોકો બચાવી જાય છે,
જીવવા ઈચ્છનારને એ જીવવા દેતા નથી !

ચર્ચ, મંદિર, મસ્જિદોમાં જાય સહુ ખેંચી મને,
તુ ચરાચરમાં છે એવું માનવા દેતા નથી !

હું કરું દિવો તો એ લોકો હવા થઈ જાય છે,
શ્વાસ લઉ છું તો હવાને આવવા દેતા નથી !

ખાત્રી છે કે થશે વટવૃક્ષ મોટું પ્રેમનું,
પણ, મને સહુ છોડ નાનો રોપવા દેતા નથી !

આ ગઝલ મારી છે એવું સહુ ઠસાવે છે મને,
પ્રેરણા તારી છે એ સમજાવવા દેતા નથી !

-કિરીટ પરમાર

કીરીટભાઈનો બ્લોગ છે ડાયરીના પાનેથી… જોકે આ બ્લૉગ શરૂ થયા પછી અપડેટ થયો નથી.. ગઝલનો ત્રીજો અને ચોથો શેર મને વિશેષ ગમી ગયા છે. ચોથા શેરમાં  હવા શબ્દને લઈને બે અલગ પાસા સરસ રીતે બતાવ્યા છે.

Comments (8)

કોઈ – રમણીક સોમેશ્વર

આંગણે ભીના ચરણ મૂકી ગયું
કોઈ ધબકારો અહીં ચૂકી ગયું
બારણાને પણ ફૂટી ગઈ કૂંપણો
કોઈ આવીને સહજ ઝૂકી ગયું

– રમણીક સોમેશ્વર

Comments (16)

ચાલ્યા કર્યો, ચાલ્યા કર્યો – રમેશ જાની

મારે ઘણીયે વાત કરવી’તી તમારી સાથ
પણ કૈં યે કહેવાઈ નહીં;
એકલો જ્યારે પડ્યો, તો જાત સ્હેવાઈ નહીં.
કેટલાયે રાહગીરોને મળી ભેટ્યો ભરીને બાથ
ને એમની સંગાથ હું ચાલ્યા કર્યો, બોલ્યા કર્યો…
પણ કથા કૈ કૈ કરી, ક્યારે કરી –
ખુદને જ સમજાઈ નહીં.
આંખનીયે કેવી આ લીલા કહો,
ચન્દ્ર, સૂરજ, તારકો જોયા કર્યા,
વૃક્ષ, વેલી, ફૂલડાં જોયા કર્યાં,
પણ મનભરી જોવું હતું જે, તે જ જોવાયું નહીં.
હૈયા તણી યે કેવી આ લીલા કહો,
કે મનભરી રોવું હતું જેની કને
રે ત્યાં જ રોવાયું નહીં,
જેહને કહેવું હતું તેને જ કહેવાયું નહીં,
જેની સદાયે પાસ રહેવું’તું – રહેવાયું નહીં.
ને બધાની સાથ હું ચાલ્યા કર્યો, ચાલ્યા કર્યો….
બોલ્યા કર્યો, બોલ્યા કર્યો…

– રમેશ જાની

જીવનમાં ઘણીવાર પ્રિયજન સાથેની મુલાકાતમાં આપણે એવો સંક્ષોભ અનુભવીએ છીએ કે જે કહેવાની લાખ ઇચ્છા હોય એ જ કહી ના શકીએ. મરીઝ જેવા એને ‘એ સહુથી વધુ ઉચ્ચ તબક્કો છે મિલનનો, કહેવાનું ઘણું હોય ને કંઈ યાદ ના આવે‘ કહીને પણ બહેલાવે. પણ જે વાત સમયસર કહેવાની ચૂકી જવાય એ જ પછી દિલને ડંખતી રહે છે. આવું થાય ત્યારે એકલતા અને એકાંત બને સહેવાતા નથી. જાત સાથે વાત કરવાની હિંમત થતી નથી. રસ્તામાં ઢગલાબંધ લોકો મળતા રહે છે, કોઈને આલિંગન તો કોઈ સાથે હસ્તધૂનન તો કોઈ સાથે ગામભરના ગપાટા મારીને આપણે કમળપત્ર પરના જળબિંદુની જેમ છૂટા પડીએ ત્યારે શું શું કથા કરી એ પણ યાદ રહેતું નથી. ચંદ્ર, સૂરજ, તારા, વૃક્ષ, વેલી, ફૂલ- બધું નજરે તો ચડતું રહે છે પણ જેના હોવાપણાંથી જ આ બધાની સભરતા હતી એના અભાવમાં આ બધું જ સૌંદર્ય એનો ખરો સંદર્ભ ગુમાવી બેઠું હોવાની પ્રતીતિ થાય છે.  જિંદગીની ખરી વિડંબણા જ આ છે કે જેની પાસે મનભરીને રોવું હોય, રહેવું હોય અને જેને બધું કહેવું હોય, એ થઈ શકતું નથી અને એ છતાંય જિંદગી છે…. જીવવું પડે છે !

પહેલી નજરે અછાંદસ ભાસતી આ રચના હકીકતે સાત માત્રા (ગાલગાગા અને ગાગાલગા)ના નિયમિત આવર્તન ધરાવતી છાંદસ કૃતિ છે, એને ઢાળબદ્ધરીતે ગાઈ પણ શકાશે. ઉર્દૂ-હિન્દીમાં આ પ્રકારના કાવ્યને આઝાદ નઝમ કહે છે. આપણે ‘મુક્ત પદ્ય’ કહીશું ?

Comments (9)

ગઝલ કહું છું – રાજેન્દ્ર શુક્લા

ગૂંથાઈ ગાણે ગઝલ કહું છું,
તરજ તરાણે ગઝલ કહું છું !

છલક છલાણે ગઝલ કહું છું,
ઝલક ઝલાણે ગઝલ કહું છું !

કદી છલોછલ છલી ઊઠું તો,
નદી નવાણે ગઝલ કહું છું !

ઘણી ય રાતો મૂંગો રહું છું,
કદીક વ્હાણે ગઝલ કહું છું !

બધું ય જાણી અને એ બેઠા,
હું તો અજાણે ગઝલ કહું છું !

ઉપર ઉપરથી ભલે ઉવેખે,
ભીતરથી માણે, ગઝલ કહું છું !

હું તો હું રહું છું, એ એનાં એ છે,
ભલે ને નાણે, ગઝલ કહું છું !

તમે કહ્યું કે કહો, તો કહું છું !
હું ક્યાં પરાણે ગઝલ કહું છું !

ગઝલ કહેવી નથી સરળ કૈં,
ચડી સરાણે ગઝલ કહું છું !

– રાજેન્દ્ર શુક્લા

આજ છંદ, આજ રદીફ અને આજ જમીનના કાફિયા ઉપર આજ કવિની એક ગઝલ પરમદિવસે આપણે માણી… આજે એજ ચારેય પાસાં સાથેની બીજી ગઝલ. કવિની આગવી શૈલીમાં બધા શેર અનાયાસ ઊઘડતા જાય છે…

Comments (9)

(ખુદા હાફિઝ) – હનિફ રાજા

વાર તારો સરસ, ખુદા હાફિઝ
દડદડી ધોરી નસ, ખુદા હાફિઝ

હા, થવાનું છે આજ અજવાળું;
અલવિદા હે તમસ, ખુદા હાફિઝ

આજ રાહત જરાક લાગે છે,
હોય અંતિમ દિવસ, ખુદા હાફિઝ

શ્હેરમાં આજ લઈ નીકળ્યો છું,
પ્રાણરૂપી જણસ, ખુદા હાફિઝ

ચાંદ ચિક્કાર પીને આવ્યો છે,
આજની રાત બસ ખુદા હાફિઝ

થઈ નજર આજ એની મારા પર,
જા યુગોની તરસ, ખુદા હાફિઝ

આજ બેફામ પી ગયો ‘રાજા’
સોમવલ્લીનો રસ, ખુદા હાફિઝ.

– હનિફ રાજા

ખુદા હાફિઝ એટલે કે ‘અલ્લાહ તમારું રક્ષણ કરે’નો ભાવ આ ગઝલના દરેકે દરેક શેરમાં એવી બખૂબી પ્રગટ થયો છે કે આફરીન પોકાર્યા વિના રહેવાતું નથી…

Comments (13)

ગઝલ કહું છું – રાજેન્દ્ર શુક્લ

બધાંય જાણે, ગઝલ કહું છું,
ગજા પ્રમાણે ગઝલ કહું છું!

કથા બધાંની પછી કહીશું,
હું તો અટાણે ગઝલ કહું છું!

નથી ખબર તો મનેય એની,
અલખ ઉખાણે ગઝલ કહું છું!

ભર્યા બજારે ન કૈજ લાધ્યું,
વગર હટાણે ગઝલ કહું છું!

સમય પ્રમાણે રહું છું સાવધ,
હું ક્યાં કટાણે ગઝલ કહું છું!

મૂડીના નામે બચું છે જે કૈં,
મૂકી અડાણે ગઝલ કહું છું!

ગુનો અમારો કબૂલ અમને,
લે જાવ થાણે ગઝલ કહું છું!

ભૂખ્યા દૂખ્યાના નથી ભડાકા,
ભરેલ ભાણે ગઝલ કહું છું!

ન કોઈ જાણે, ન હું ય જાણું,
કયા ગુંઠાણે ગઝલ કહું છું!

– રાજેન્દ્ર શુક્લ

સમર્થ કવિ કેટલા અલગ સ્તરેથી ગઝલ કહે છે એ તો જુઓ ! અને હા, વાચતાં જ દુશ્યંતકુમારનો શેર યાદ આવી ગયો

मैं जिसे ओढ़ता—बिछाता हूँ,
वो ग़ज़ल आपको सुनाता हूँ.

(હટાણું=બજાર, અડાણું=ગીરો મૂકેલું, ગુંઠાણું =ગુણસ્થાનક- આંતરિક વિકાસની ભૂમિકા (જૈન પરિભાષા))

Comments (11)

(કેટલી સાંજો તૂટે) – રઈશ મનીઆર

સંગેમરમરનો નહીં આજ મલાજો તૂટે
આ કલમ મૌન થશે શિલ્પ જરા જો તૂટે

રસ્મ તૂટે કે ભલે રીત રિવાજો તૂટે
તૂટે માણસ ન કદી, ચાહે સમાજો તૂટે

ચાલ એવી કોઈ સરહદમાં પ્રવેશી જઈએ
જ્યાં પ્રકાશો ન તૂટે, જ્યાં ન અવાજો તૂટે

હા, હવે બેઉને બસ એ જ ઘડીની તૃષ્ણા
તારી દિલેરી તૂટે, મારો તકાજો તૂટે.

શબ્દ બસ લાકડાની જેમ તણાઈ આવ્યા
લોહીમાં દર્દભર્યાં રોજ જહાજો તૂટે

એક માણસથી ‘રઈશ’ કેટલા શેરો નીપજે ?
એક જીવતરમાં ‘રઈશ’ કેટલી સાંજો તૂટે ?

– રઈશ મનીઆર

આજે ઓગણીસમી ઓગસ્ટે કવિ રઈશ મનીઆરને ‘લયસ્તરો’ તરફથી જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ…

કવિ તૂટવાની વાત લઈને આવ્યા છે પણ એ બહાને અનુસંધાન તો જોડાવા માટેનું કે અક્ષતનું જ સાધે છે. ગમે તે તૂટે, માણસ તૂટવો ન જોઈએ. પીડા અને કવિતાનો સંબંધ ચોલી-દામનનો છે એ વાત ભલે કવિતા જન્મી એ ઘડીથી કવિઓ ગાતા આવ્યા છે પણ આ ગઝલના છેલ્લા બે શેરમાં એ જ ચર્વિતચર્વણ વાત કેવી તાજગીભરી લાગે છે ! લોહીમાં દુઃખના જહાજો તૂટે તો જ શબ્દના લાકડા તણાઈ આવી શકે છે. અને ગઝલનો મક્તા તો વેદના અને કવિતાના પરાપૂર્વના સંબંધના શિલાલેખ જેવો છે… માણસ કેટલીવાર તૂટે ? કેટલી સાંજો વેદનાસિક્ત ગાળી શકે ? કેટલા શેર લખી શકે ? કેટલા ?

Comments (20)

માણસ હોવું – હેમંત દેસાઈ

પડી જવાનું – ઊભા થવાનું, ભાન હોવું – માણસ હોવું,
ગમેતેમના ગબડ્યાનું વરદાન હોવું – માણસ હોવું.

ચડતા શીખરે, પડતા નીચે, પડતા ખીણમાં, ચડતા ઊંચે,
મચ્યા રહ્યાનું લગાતાર બસ, ધ્યાન હોવું – માણસ હોવું.

ઈટ્ટાકિટ્ટા કર્યે જવાનાં, ખર્યે જવાનાં ખોખો ખેલી,
મોટેરા મનસૂબાથી બળવાન હોવું- માણસ હોવું.

ચરણ રુકે ત્યાં સ્વાગત ઝીલતાં દુનિયામાં ફૂલ્યાં ફરવાનું,
પોતાના ઘરમાં જાણે મહેમાન હોવું – માણસ હોવું.

મહામોલનાં શિર દઇ દેતાં હસતાં હસતાં ક્ષણમાં તેને
સસ્તાં સસ્તાં જીવનનું અભિમાન હોવું – માણસ હોવું.

સમજણની સિધ્ધિના વડલા વિસ્તાર્યા નિત કરવા પડતા,
તોય વખત પર નિરધાર નાદાન હોવું – માણસ હોવું.

ખૂબીખામીના જુદા તોલથી સ્વજનપરાયાં જોખ્યાં કરવાં,
ઢળ્યાં અહીં કે તહીં, બધે વેરાન હોવું – માણસ હોવું.

હારજીતના ભેદ ભુલાવે એવા યુધ્ધે હોમાયાંનું,
મળે તેમના જીવ્યાનું સન્માન હોવું- માણસ હોવું.

– હેમંત દેસાઈ

માણસ હોવું એ વિરોધાભાસી ઘટનાને અલગ અલગ ખૂણેથી ચકાસતી ગઝલ. વાંચો તો તરત નયનભાઈની માણસ ઉર્ફે ગઝલ યાદ આવે. (એ તો જોકે વધારે અમૂર્ત ગઝલ છે.) બે-ત્રણ વાર વાંચો પછી જ આ ગઝલ વધારે ખૂલે છે અને પછી કવિની બારીક અવલોકનશક્તિને સલામ કરવાનું મન થઈ જાય છે !

પડ્યા પછી ઊભા થવાનું જ્ઞાન જ માણસને માણસ બનાવે છે. પણ એ સાથે જ માણસને (લોટાની જેમ) ગમે તે તરફ ગબડી જવાનું વરદાન પણ મળેલું છે ! આવા ચમત્કૃતિસભર શેરથી કવિ ગઝલનો ઉપાડ કરે છે. આગળ તમે જાતે જ જોઈ લો…

Comments (6)

વારતાનાં અંતમાં – દિનેશ કાનાણી ‘પાગલ’

એક માણસ હારવાનો, વારતાનાં અંતમાં,
હું દિલાસો આપવાનો, વારતાનાં અંતમાં.

સોળ આના સાવ સાચી વાત લઈને આવજો,
હું, પુરાવો માગવાનો વારતાનાં અંતમાં.

પાનખરની કેટલી થઈ છે અસર, એ શોધવા,
ડાળ લીલી કાપવાનો વારતાનાં અંતમાં.

હું તમારી જીતનો હિમાયતી છું એટલે,
સાથ કાયમ આપવાનો, વારતાના અંતમાં.

કોણ મારા શ્વાસનો હકદાર છે, એ જાણાવા,
રાત આખી જાગવાનો, વારતાનાં અંતમાં.

જિંદગીભર આપતાં આવ્યાં છો જાકારો ભલે,
હું તમારો લાગવાનો, વારતાના અંતમાં.

– દિનેશ કાનાણી ‘પાગલ’

ખરો ખેલાડી હંમેશા રમતના અંતને ધ્યાનમાં રાખીને જ રમે છે. છેલ્લો દાવ જીતે એ જ ખેલાડી બધુ જીતી જાય છે. અને ફાઈનલમાં જીતે એને જ સિકંદર કહેવાય છે.  એમ વારતામાં પણ ખરું મહત્વ એના અંતનું જ છે. કવિ, અર્જુનની નજર જેમ માછલીની આંખ પર હતી એમ, વારતાનાં અંત પર નજર બાંધીને જીવવાની વાત લઈને આવ્યા છે. ગમે તેવી જિંદગી જાય પણ છેલ્લા ડગલે એને કાપી, માપી ને મઠારી લેવાની કવિની પૂરી તૈયારી છે.

Comments (15)

મુજ અબળાને મોટી મિરાત – મીરાંબાઈ

મુજ અબળાને મોટી મિરાત, બાઈ, શામળો ઘરેણું મારે સાચું રે…
વાળી ઘડાવું વિઠ્ઠલવર કેરી, હાર હરિનો મારે હૈયે રે;
ચિત્તમાળા ચતુરભુજ ચૂડલો, શીદ સોની ઘેર જઈએ રે ? … મુજ

ઝાંઝરિયાં જગજીવન કેરાં, કૃષ્ણજી કલ્લાં ને કાંબી રે;
વીછુવા ઘૂઘરા રામનારાયણના, અણવટ અંતરજામી રે… મુજ

પેટી ઘડાવું પુરુષોત્તમ કેરી, ત્રિકમ નામનું તાળું રે;
કૂંચી કરાવું કરુણાનંદ કેરી, તેમાં ઘરેણું મારું ઘાલું રે…મુજ.

સાસરવાસો સજીને બેઠી, હવે નથી કાંઈ કાચું રે;
(બાઈ) મીરાં કહે પ્રભુ ગિરિધર નાગર, હરિને ચરણે જાચું રે…મુજ.

– મીરાંબાઈ

અદભુત અને અનુપમ કહી શકાય એ કક્ષાનું મીરાંબાઈનું આ ભક્તિપદ સ્ત્રીઓ જેના માટે જિંદગીભર મરી ફીટે છે એ જ ઘરેણાંઓના નામનો સહારો લઈ સાચાં ઘરેણાંની વ્યાખ્યા કરે છે. પદની શરૂઆતમાં જ પોતાની જાતને અબળા કહીને સંબોધી મીરાં પોતાની દુન્યવી ગરીબી છતી કરે છે પણ પછી પોતાની પાસેનાં એક પછી એક અલભ્ય ઘરેણાં બતાવીને પોતે કેટલી અમીર છે એવો વિરોધાભાસ સાધી કવિતા સિદ્ધ કરે છે.

Comments (7)

૧૫મી ઑગસ્ટ, ૧૯૪૭ – ઉમાશંકર જોશી

લયસ્તરોના વાચકમિત્રોને સ્વાતંત્ર્ય દિનની હાર્દિક શુભકામનાઓ !

*

જે દિવસની અમે રાહ જોતા હતા તે તું છે ? આવ.
જેની ઉષાનો પાલવ દૂધમલ શહીદો તણા
પવિત્ર રક્તથી થયો રંજિત, તે તું છે ? આવ.
જેની પ્રભાત-લહરી મહીં અમ સ્વપ્નભરી
આશાઓની ખુશ્બો જઈ વસી છે, તે તું જ ? આવ.
આવ હે સુદિન અમ મુક્તિ તણા !

ઊગેલો જે સૂર્ય આર્ય-ગોત્રો પરે,
ગાયત્રીમંત્રની શુચિ વંદનાને પામેલો જે,
હોમાગ્નિના સુગંધી ધૂપે જે સદા સ્પર્શાયેલો;
સિંધુતટ ઉપરના પાતાલ-વિલીન મહા
હડપ્પા આદિ પ્રાચીન નગરોની અગાશીએ
હાસ્યના ફુવારા નિત્ય ઉડાવી રમેલો જેહ;
કુરુક્ષેત્રમાં ક્યારેક સુભટોના ધનુષ્યોના
ટંકારે જાગ્રત થયો, કૈંક વાર ફેલાયેલી
સર્વભક્ષી ખડ્ગજિહ્વાઓ પરે જે નર્તી રહ્યો;
શક દૂણો ક્ષત્રપો ને ગુર્જરોનાં –
અરબો પઠાણો તુર્ક મુઘલોનાં –
રેલ્યાં પૂર, તેનાં મહાતરંગોમાં
ડોલતો આકાશ થકી મલક્યા કરતો જે હતો;
કૃષ્ણ મહાવીર બુદ્ધ રાજર્ષિ અશોક હર્ષ
અકબ્બરના ખમીર વડે જે તેજસ્વી હતો;
ધૂંધળો રહેલો બે શતક જે,
ધૂંધવાયો પૂરો એક શતક જે,
એ જ કે પ્રકાશવાનો સૂર્ય આજે ?

ઊગે તું નિષ્પ્રભ ભલે આજે મેઘાચ્છન્ન નભે,
પુરુષાર્થના પ્રખર પ્રતાપે મધ્યાહ્ન તારો
દીપો ભવ્ય તપોદીપ્ત !
હે સુદિન મુક્તિ તણા !
રાહ જોતા હતા જેની, તે જ તું આવ્યો છે ? આવ.

– ઉમાશંકર જોશી

આજના જ દિવસે- પંદરમી ઑગસ્ટે બાંસઠ વર્ષ પૂર્વે જ્યારે લગભગ બસો વર્ષની ગુલામી અને સોએક વર્ષની લડત બાદ આપણો ભારત દેશ જ્યારે આઝાદ થયો ત્યારે લોકોમાં જે જુસ્સો અને ઉમંગ હતો એ અવર્ણનીય અને કદાચ અનિર્વચનીય હતો. છતાં કવિઓએ એ દિવસને કાવ્યદેહે કંડારવાની મથામણ તો કરી જ.

સવાર પડે ત્યારના આકાશની લાલિમામાં કવિને મોઢેથી ધાવણ સૂકાયું ન હોય એવા યુવાન શહીદોનું લોહી નજરે ચડે છે. સવારના પહેલા પવનમાં જે સુગંધ છે એ જાણે ભારતવાસીઓની આશાની ન હોય !

જે સૂર્ય આર્યાવર્ત પર પ્રકાશ્યો હતો, વેદકાળના ઋષિઓના હોમ-હવનનો સ્પર્શ પામ્યો હતો, સિંધુતટની પ્રાચીન સંસ્કૃતિનો સાક્ષી હતો, કુરુક્ષેત્ર જેવી ભીતરની લડાઈથી માંડીને શક, હૂણ, આરબ, મુઘલો જેવા બાહ્યાક્રમણોથી સંક્રાંત થયા પછી પણ જેનું હાસ્ય વિલોપાયું નહોતું, જે સૂર્યે કૃષ્ણ, મહાવીર, બુદ્ધ જેવા મહર્ષિઓના ખમીરગાન ગાયા છે એ જ સૂર્ય બબ્બે સદીઓની ગુલામી અને એક સદીની લડાઈના અંતે આજે પ્રકાશવાનો છે કે શું ? આજે ઑગસ્ટ મહિનાના ચોમાસાચ્છાદિત આકાશમાં કદાચ એ નજરે ન પણ ચડે, પણ પુરુષાર્થના આકાશમાં તો એ સદૈવ મધ્યાહ્ને જ તપવાનો ને ?

કવિતાની શરૂઆતમાં અને અંતે એમનો સાશંકિત પ્રશ્ન દોહરાવ્યે રાખે છે કે જે મુક્તિદિવસની અમે રાહ જોતા હતા એ જ સાચે આવ્યો છે ? અને મુક્તિનું આગમન કેવું હોય ? એમાં કોઈ શરત કે ઉપાલંભ ક્યાંથી હોય ? એના આગમનમાં કોઈ વૃથા શબ્દાડંબર પણ કેમ શોભે ? મુક્તિ તો જ્યારે અને જે સ્વરૂપે મળે, એ માત્ર આવકાર્ય જ હોવાની. અને એટલે જ કવિ એના સ્વાગત કાવ્યારંભે ત્રણવાર અને અંતે ફરીથી એકવાર માત્ર એક જ શબ્દથી કરે છે – આવ.

Comments (7)

જશોદા ! તારા કાનુડાને – નરસિંહ મહેતા

જશોદા ! તારા કાનુડાને સાદ કરીને વાર રે;
આવડી ધૂમ મચાવે વ્રજમાં, નહિ કોઈ પૂછણહાર રે ?… જશોદા.

શીંકું તોડ્યું, ગોરસ ઢોળ્યું, ઉઘાડીને બાર રે;
માખણ ખાધું, વેરી નાંખ્યું, જાન કીધું આ વાર રે … જશોદા.

ખાંખાખોળા કરતો હીંડે, બીએ નહીં લગાર રે;
મહી મથવાની ગોળી ફોડી, આ શાં કહીએ લાડ રે …. જશોદા.

વારે વારે કહું છું તમને, હવે ન રાખું ભાર રે;
નિત ઊઠીને કેટલું સહીએ ? રહેવું નગર મુઝાર રે … જશોદા.

‘મારો કાનજી ઘરમાં હુતો, ક્યારે દીઠો બહાર રે ?
દહીં-દૂધનાં માટ ભર્યાં પણ ચાખે ન લગાર રે … જશોદા.

શોર કરંતી ભલી સહુ આવી ટોળે વળી દશ-બાર રે !
નરસૈંયાનો સ્વામી સાચો, જૂઠી વ્રજની નાર રે’ …. જશોદા.

– નરસિંહ મહેતા

જેટલા લાડ કૃષ્ણે એના ભક્તોને અને ભક્તોએ એને લડાવ્યા છે એ અન્ય તમામ ભગવાન માટે ઈર્ષ્યાજનક છે.  નરસિંહ મહેતાના આ ખૂબ જાણીતા પદમાં ગોપી અને યશોદાના કલહસ્વરૂપે અનન્ય ક્હાન-પ્રેમ ઉજાગર થયો છે.  નટખટ કાનુડો એના તોફાન માટે જાણીતો છે. એ શીંકાં તોડે છે, માખણ ખાય ન ખાય અને વેરી નાંખે છે, દહીં વલોવવાની મટકી પણ ફોડી નાંખે છે અને છતાં છાતી કાઢીને કોઈથીય બીતો ન હોય એમ ફરે છે. ગોપીઓ હવે આ નગરમાં રહેવું અને રોજેરોજ અને કેટલું સહેવું એવો પ્રશ્ન કરે છે ત્યારે માતા યશોદા મારો કાનુડો તો ઘરમાં જ હતો એમ કહીને વળી એનું જ ઉપરાણું લે છે. વાતચીતના કાકુ અને અદભુત લયસૂત્રે બંધાયેલું આ ગીત વાંચવા કરતાં ગણગણવાની જ વધુ મજા આવે છે…

(જાન કીધું = જાણીને કર્યું; મહી મથવાની ગોળી = દહીં વલોવવાની માટલી; મુઝાર = અંદર, માં)

Comments (10)

આપણે અટકી ગયા… – ફારૂક એ. પટેલ

શક્યતા લંબાય ‘તો’ થી ‘પણ’ સુધી,
આપણે અટકી ગયા સમજણ સુધી.

નામ સરનામા વગરના માણસો,
લાગણીની સરહદો સગપણ સુધી.

પ્યાસ એની કેટલી કાતિલ હશે…!
ઝાંઝવા પીવા ગયો તો રણ સુધી.

તાડવનમાં છાંવ શોધું છું હવે…
આશ મારી વિસ્તરે છે રણ સુધી.

ઓસભીના ફૂલના ચહેરા ઉપર,
મુસ્કુરાહટ પાનખરની ક્ષણ સુધી.

– ફારૂક એ. પટેલ

વિષાદની હળવી ઝાંયથી રંગાયેલી ગઝલ.  આજે આપણી લાગણીના સીમાડાઓ અળપાઈને માત્ર સગપણ સુધીના જ રહી ગયા છે. અજાણ્યા માણસો માટેની સાહજિક અનુકંપાની લાગણીઓને જાણે લકવો લાગી ગયો છે. અખબારમાં આવતી ગમખ્વાર ઘટનાઓ આપણી આંખ નીચેથી માત્ર પસાર જ થઈ જાય છે, જાણે કે આખી મનુષ્યજાતિનું હવે કોઈ નામ પણ નથી રહ્યું જેનાથી એને સંબોધી શકાય કે નથી કોઈ સરનામું રહ્યું જ્યાં જઈ એને મળી શકાય…

Comments (10)

પ્રવાહ – જગદીશ જોષી

નદીનો પ્રવાહ ગતિ કરે છે
મહાસાગરમાં સ્થિર થવા માટે.
નદીની સ્થિરતા જ મહાસાગર,
અને સાગરની સ્થિરતા તે
આકાશનું એક વાદળ.

વિશ્વના આ મહામેળામાં
ગતિ અને સ્થિતિનું જાયન્ટ વ્હીલ –
મેરી… ગો… રાઉન્ડ…

મારા ભગવાન માટે મેં એક મંદિર રચ્યું છે.
અગરબત્તીની સુવાસના સ્તંભો ઉપર
લીલી કેળનાં પાનનું છાપરું ગોઠવ્યું છે.

ફૂલોમાં ‘તથાસ્તુ’ શબ્દનું એક સરોવર
કમળ થઈને ઊઘડ્યું છે:
અને બિડાયેલી આંખો સામે ઊભા છે તથાગત;
કહે છે કે
સિદ્ધાર્થ તો ભિક્ષાપાત્ર થઈ ગયો.

વિગત, સાંપ્રત અને અનાગતની પાર
અજવાળાંના આરસમાં
ઘીનો દીવો રણકે છે :
સુવાસના સ્તંભમાંથી પ્રગટે છે
નદીનો પ્રવાહ
મહાસાગરમાં સ્થિર થવા માટે  !

– જગદીશ જોષી

જીવનચક્રની ગતિ અવિરત અને અકળ છે. કવિ જીવનનો અર્થ સમજાવવાને બદલે, આપણને પોતાની સાથે, એક શોધયાત્રા પર લઈ જાય છે.

કવિતા પર બુદ્ધધર્મની વિચારસરણીની છાપ છે. કવિતાની શરૂઆત કવિ નદીની સ્થિરતા સાગર, અને સાગરની સ્થિરતા વાદળ – એવું કહીને કરે છે. સ્થિરતા પામવા માટે દરેકે પોતાના અસ્તિત્વની કિંમત ચૂકવવી પડે છે. (માણસની સ્થિરતા એટલે મૃત્યુ એટલું કવિ અધ્યાહાર રાખે છે !) ગતિ જ જીવન છે – અવિરત, અનાગત, થકવી નાખે એવી ગતિ.

કવિ સ્થિરતાની-જીવન લક્ષની- શોધ માટે મંદિર રચે છે. સુવાસનાં મંદિરમાં ઈશ્વર ભગવાન બુદ્ધ તરીકે પ્રગટ થાય છે અને એક જ વાત કરે છે, ‘સિદ્ધાર્થ તો ભિક્ષાપાત્ર થઈ ગયો’… એટલે કે કોઈ જ્ઞાન ત્યાગ વગર શક્ય નથી. પણ એટલું જો કરો તો ખરું જ્ઞાન મળે… અને ખરું જ્ઞાન એ જ કે આપણું જીવન એટલે ગતિ અને આપણું ગંતવ્ય તે મહાસાગરમાં મળી જવું. જીવન-મૃત્યુનો જીવન-મૃત્યુની સચ્ચાઈ સિવાય બીજો કોઈ અર્થ શોધવો જરૂરી નથી, જરૂરી છે તો બસ પ્રવાહ બની જવું ને ગતિને જીવી જવું.

Comments (7)

સમજે છે – મરીઝ

નવાઈ શું જો કવિ દિલનો હાલ સમજે છે,
ફકીર લોક જમાનાની ચાલ સમજે છે.

પરંતુ કહેવાની લઝ્ઝત જવા નથી દેવી,
મને ખબર છે કે એ મારો હાલ સમજે છે.

સિતમ છે એ કે હૃદયની જો વેદના કહીએ,
જમાનો એને કવિનો ખયાલ સમજે છે.

આ ભેદ ખોલશે એક દિન ખુદાપરસ્ત કોઈ,
કે કોણ કોને અહીં પાયમાલ સમજે છે ?

હસીખુશીથી જે વાતો નિભાવું છું તેથી,
આ લોક મારા હૃદયને વિશાલ સમજે છે.

મળે તો એમની આશાને સો સલામ કરું,
કે વર્તમાનને પણ જેઓ કાલ સમજે છે.

અમે એ જોઈને દિલની વ્યથા નથી કહેતા,
કે એને ઐશની દુનિયા સવાલ સમજે છે.

તને બતાવી શકે કોણ ઉડ્ડયનની કલા,
કે તું હવાને શિકારીની જાલ સમજે છે !

મરણ અહીંથી તને લઈ જવાનું પળભરમાં,
તું બેખબર આ જગતને વિશાલ સમજે છે.

ખબર ખુદાને કે જન્નતમાં દુ:ખ હશે કેવાં !
કે ત્યાંના લોક મદિરા હલાલ સમજે છે.

ફક્ત હું એમના માટે ગઝલ લખું છું ‘મરીઝ’,
આ ચાર પાંચ જે મારો કમાલ સમજે છે.

– મરીઝ

છેલ્લો શેર તો આપણે બધાએ સાંભળેલો છે અને આપણા યાદગાર શેરમાંથી એક છે. પ્રેમીઓની સાઈકોલોજીને સરળ શબ્દોમાં બયાન કરવાની મરીઝની હથોટી બીજા શેરમાં દેખાઈ આવે છે. ત્રીજા શેરમાં કવિ મઝાનો વ્યંગ કરી લે છે – જ્યાં મદિરા હલાલ ગણવી પડે એવું તે કેવું સ્વર્ગમાં દુ:ખ હશે ?

Comments (17)

‘લયસ્તરો’ પર કોમેંટ મૂકવાની તકલીફનું નિવારણ થઈ ગયું છે!

પ્રિય વાચકમિત્રો, ગઈકાલે રાત્રે મોડે સુધી અમારી ઘણી કોશિશો બાદ પણ જ્યારે વર્ડપ્રેસનો આ અટપટો કોયડો ન ઉકલ્યો, ત્યારે કંટાળીને અમે ગોદડાગ્રહણ કર્યું.   પરંતુ સવારે ઉઠીને જોયું તો ધવલભાઈની વાત સાવ સાચી જ નીકળી હતી.  અડધી રાત પછી એની મેળે જ કોમેંટો આવવાની શરૂ થઈ ગઈ હતી.  વર્ડપ્રેસનું આ મનસ્વી વલણ જોઈને મનમાં થયું કે- होता होगा, होता होगा, ऐसा भी तो होता होगा, ‘कोई शरारत मैं भी कर लूं’, उसका भी मन कहेता होगा !  🙂

મતલબ કે હવે તમે કોઈપણ જાતની તકલીફ વગર અહીં કોમેંટ લખી શકો છો.

Comments (5)

‘લયસ્તરો’ પર કોમેંટ મૂકવામાં તકલીફ

‘લયસ્તરો’ પર આપને કોમેંટ મૂકવામાં તકલીફ પડી રહી છે ? તો ચિંતા ન કરતા, એ તકલીફ અમારા ધ્યાનમાં જ છે. અત્યારે જો કોમેંટ મૂકો તો માત્ર ‘કોરું પાનુ’ જ દેખાય છે. લાગે છે કે આ વર્ડપ્રેસના ડેટાબેસની કોઈ ગડબડ છે. અમે આ તકલીફ બને એટલી જલ્દી દૂર કરવાની કોશિશ કરી રહ્યા છીએ. પણ કહેવત છે કે રાજા, વાજા અને વર્ડપ્રેસનો કોઈ ભરોસો નથી એટલે જરા ધીરજ ધરવા વિનંતી છે 🙂

Comments (1)

આવ – બેફામ

મંઝિલ બનીને આવ ન રહેબર બનીને આવ
મુઝ માર્ગમાં ભલે ન તું સહચર બનીને આવ
કિન્તુ મને ન છોડ અટૂલો પ્રવાસમાં
કાંઈ નહીં તો છેવટે ઠોકર બનીને આવ

– બેફામ

Comments (6)

(माफ करना) – ડૉ. નીરજ મહેતા

तू कहाँ है मेरी जानिब ? माफ करना
तू नहीं दिखता है साहिब, माफ करना

अनसुनी कर दी खला की सब सदायें
क्या पता किस से मुखातिब ? माफ करना

बेसबब ही आप पढलें इस ग़ज़ल को
ये नहीं लगता मुनासिब, माफ करना

साफ दिल से एक धेला कम न लूंगा
है हमारा दाम वाजिब, माफ करना

लोग ‘नीरज’ नाम से पहचानते हैं
मैं नहीं हूँ मीर-ग़ालिब, माफ करना

– डॉ. नीरज मेहता

‘ફોર-અ-ચેઇન્જ’ આજે એક ગુજરાતી કવિની એક ઉર્દૂ ગઝલ. માફ કરના જેવી રદીફને પાંચ શેરોમાં કવિએ જે રીતે બહેલાવી છે એ કાબિલે-દાદ છે. કોઈ એક શેર પસંદ કરવો હોય તો તકલીફમાં મૂકી દે એવું સંઘેડાઉતાર કામ આ મૂળ અમરેલીના પણ હાલ રાજકોટમાં વસતા ડોક્ટરસાહેબે કર્યું છે. आज गुजराती ग़ज़ल को छोडकर मैं, उर्दू से हुआ मुक़ारिब, माफ करना ।

(खला = અવકાશ, ખાલી જગ્યા; मुख़ातिब = વાત કરનાર; बेसबब = અકારણ; धेला = અધેલો; અર્ધો પૈસો, मुक़ारिब = સમીપે, નજીક)

Comments (17)

ગઝલ – જાતુષ જોશી

રજેરજમાં પ્રવેશ્યા બાદ એ એમાં રહે છે કે ?
પરોઢે આવતાં કિરણો, કહો, પાછાં ફરે છે કે ?

તમે ક્યારેક ખરતાં ફૂલને થોડું જીવી જોજો,
અને જોજો કે છેલ્લા શ્વાસ ખુદના મઘમઘે છે કે ?

બધાયે ચક્રવાતો આખરે તો શાંત થઈ જાતા,
પરંતુ આપણી એકાદ પણ ઇચ્છા શમે છે કે ?

ગહન અંધારને આરાધતાં પહેલાં ચકાસી લ્યો
તમારું મન કદી તારક બનીને ટમટમે છે કે ?

નદી વ્હેતી જ રે’શે તો કશુંયે હાથ નહીં લાગે,
નદી અટકે અને બેઉ કિનારાઓ વહે છે કે ?

– જાતુષ જોશી

– વાંચતા જ ગમી જાય પણ ફરીવાર વાંચતા જ પ્રેમમાં પાડી દે એવી ગઝલ. સૂર્યથી મોટો અયાચક બીજો કોણ હોઈ શકે ? એના કિરણો રજેરજમાં વ્યાપ્ત થઈ ગયા પછી પણ ક્યાંય ઘર કરીને રહેતાં નથી અને દરેક પરોઢે અચૂક પાછાં પણ આવે જ છે. દરેકમાં પ્રવેશવું પણ કશામાં પ્રવેશી ન જવું – કેવી મોટી વાત ! બીજો શેર ખાસ ધ્યાન માંગી લે છે. આમ તો ખરતાં ફૂલ જેવું જીવી જવાની અને એ રીતે લાંબા અંતરાલ સુધી મહેંક્યા કરવાની નાનકડી જ વાત છે પણ જે મજા છે એ કવિએ પ્રયોજેલા ‘જીવી’ શબ્દમાં છે. આ એક શબ્દ આ શેરને અમર કાવ્યત્વ બક્ષે છે…

Comments (18)

ઝાડ – કિરીટ ગોસ્વામી

ઝાડ રહ્યું છે ઝૂકી –
ફળવાની આ ભવ્ય ક્ષણોમાં, માન બધુંયે મૂકી…

પંખી ડાળે બેસે ત્યાં તો નખશિખ રાજી-રાજી,
વ્હાલ લીલુંછમ કરવા આતુર કૂંપળ તાજી-તાજી,
એક ખૂણે ઊભી જગભરમાં પ્રાણ રહ્યું છે ફૂંકી…

કોઈ ઉછાળે પથ્થર, કોઈ પ્રેમે સીંચે પાણી…
ઝાડ વહાવે સૌ પર સરખી લીલપની સરવાણી…
અનુભવી-શું માણે કાળ-તણી સૌ લીલી-સૂકી…

– કિરીટ ગોસ્વામી

એક નાનું અમથું છમ્મલીલું ગીત… એમ જ માણીએ…

Comments (14)

થતું કુસુમને – મનસુખલાલ ઝવેરી

થતું કુસુમને ” “ધરું કવણને હું આ પાંખડી?”
– ધરાહૃદયમાં ચિરં સમય બીજરૂપે રહી,
નસેનસ મહીં રસો વસુમતી તણા સંગ્રહી,
અનન્ત સ્વપ્નો તણી મૃદુલ સૃષ્ટિને સર્જતી,
થઈ પ્રકટ એકદા, પ્રથમ વાર જ્યાં પાંખડી,
થતું કુસુમ મુગ્ધને : “બહવું ક્યાં કલા આત્મની ?”

“ચડી શિવશિરે કૃતાર્થ બનું સીકરે ગંગના ?
સુણું હું અથવા કથા ઉર તણી નવોઢા તણાં,
રહી, ધડકતાં નવા અનુભવેથી હૈયાં પરે ?
રમું સરળ હાથમાં શિશુ તણા હું નિષ્પાપ વા
રહી અહીં જ, માતની સરસ નીલ સાડી મહીં
બની રહું હું ફૂલડું, ઈતર પુષ્પની સાથમાં ?”

ત્યાં તો સ્પર્શ્યે અધર અલિનો, ચિત્તના તારતારે
રહેતાં ગુંજી રવ મધુર, શી ધન્યતા મૌગ્ધ્ય ધારે !

– મનસુખલાલ ઝવેરી

ધરતીના રસે રસાઈને બીજ કળી બને અને કાળક્રમે પુષ્પ તરીકે ઊઘડે ત્યારની મુગ્ધાવસ્થાના ભાવ અહીં જે રીતે આલેખાયા છે, એ યૌવનના ઉંબરે પગ મૂકતી કોઈ નવયૌવનાના ચિત્તસંવિતનુંય યથાર્થ પ્રતિબિંબ બની રહે છે. સૉનેટના પહેલા ષટ્કમાં તરુણાવસ્થામાં પ્રવેશતા કુસુમના અંતરમાં ઊમડતી ઊર્મિઓની હેલીનું દર્શન છે તો બીજા ષટ્કમાં પોતાના વિકાસને – પોતાના અસ્તિત્વને સાર્થક કરવાની અદમ્ય ઝંખના ડોકિયું કરે છે. ઘડીમાં એને શિવની જટામાં સ્થાન મેળવીને ગંગાના પવિત્ર જળના છંટકાવથી કૃતાર્થ થવાના મનોરથ જાગે છે તો વળી નવોઢાના ગળાની માળા બની એના સાસરિયાના નૂતન અનુભવોથી ધડકતા હૈયાનો તાગ મેળવવાના કોડ જાગે છે. વળી નાના બાળકના નિષ્પાપ હાથોમાં રમવાનુંય મન થાય છે અને કો’ક માતાના પાલવમાંના ફૂલડાંની ભાત મહીં એક ફૂલડું બનવુંય એ ચાહે છે.

કોઈ પણ કારણોસર પોતાનું હોવાપણું સાર્થક કરવા માંગતા આ પુષ્પની વાતો પરથી માખનલાલ ચતુર્વેદીની पुष्प की अभिलाषा જરૂર યાદ આવી જાય. પણ અહીં મજા તો ત્યાં છે જ્યારે તીવ્ર મનોમંથનમાં ડૂબી ગયેલા પુષ્પને કોઈ ભ્રમર રજા લીધા વિના જ સ્પર્શે છે અને કુસુમના ચિત્તના તાર-તાર મુગ્ધતાના અને ધન્યતાના રણકારે ગુંજી રહે છે… આ જ છે જીવનનું ખરું સાર્થક્ય…  

પહેલા બે ષટ્કમાં કવિએ પૃથ્વી છંદ વાપર્યો છે અને આખરી બે કડીમાં સાયાસ મંદાક્રાંતા છંદ વાપરીને અજબ ચમત્કૃતિ સાધી છે. પહેલા ષટ્કમાં કુસુમનો વિકાસ અને બીજામાં એની ઉદાત્ત ભાવનાઓનું ચિત્રણ કર્યા પછી ત્રીજા ખંડમાં ભમરાના સ્પર્શથી એના ભાવતંત્રમાં જે પલટો આવે છે એ છંદપલટા વડે કવિએ બખૂબી ઉપસાવ્યો છે !   

Comments (6)

શબ્દનું સાન્નિધ્ય – દિલીપ ઠાકર

શબ્દનું સાન્નિધ્ય કેળવવું હતું;
એ રીતે મારે મને મળવું હતું.

શબ્દનાં છે ઝાડવાં ચારેતરફ,
પાંદડું તેનું થઇ ખરવું હતું.

શબ્દસાગર ઊછળે છે ભીતરે,
થૈ સરિતા, છાલકે ભળવું હતું.

શબ્દ છે તાનારીરીની ગાયકી,
તાનસેનોને અહીં ઠરવું હતું.

શબ્દનો છે સૂર્ય કેવો આલીશાં,
બે જ હાથોથી નમન કરવું હતું.

શબ્દમાં જીવી જઇને આખરે,
તત્વમાં નિ:શબ્દ થઇ ભળવું હતું.

– દિલીપ ઠાકર

સર્જનની પ્રક્રિયા વિશે અઢળક લખાયું છે. છતાં આ ગઝલ નવી વાત કરવામાં સફળ થાય છે. પહેલો જ શેર જુઓ – શબ્દનું સાન્નિધ્ય કેમ કેળવ્યું ? તો કહે, પોતાની જાતને મળવા માટે ! તાનારીરીની ગાયકીના જોરે દીપક રાગ ગાઈને બળી ઉઠેલા તાનસેનને બચાવેલો એ લોકવાયકાનો આધાર લઈને કવિએ બહ મઝાનો શેર કહ્યો છે. તાનસેનોનું મહત્વનો છે જ, પણ એક ખૂણામાં નામ-દામની આશા વગર કલાની સાધના કરે રાખતા તાનારીરી જેવા કલાકારોનું અદકું મહત્વ છે એવો પણ ઈશારો છે. છેલ્લા શેરમાં દરેક શબ્દનું અંતિમ ગંતવ્ય તો નિ:શબ્દમાં ભળવાનું હોઈ શકે એવી ઊંચી વાત કરી છે.

Comments (11)

રાતને આરે – ઈન્દુલાલ ગાંધી

આજે અમે બધું ભૂલવા બેઠાં.
એક અવાચક રાતને આરે,
તારોડિયા જ્યારે
આવી આવીને આળોટતા હેઠા –
ત્યારે અમે બધું ભૂલવા બેઠાં.

એ વગડાઉ ભૂમિ મનમોહન
જમણી કોર મહા નદી હાંફતી –
ડાબી કોરે હતું તુલસીનું વન;
ઘેઘૂર વડલાની વડવાઈએ
હીંચકતા કદીએ ન ધરાતાં;
પાવાનાં ગીત જ્યાં લાગતાં મીઠાં –
આજે અમે બધું ભૂલવા બેઠાં.

ઊંડી નદી તણી ઊંચેરી ભેખડ
કાંઠે ઊભી હતી બોરડી બેવડ:
વચ્ચે ખેતરવા મારગ ઉજ્જડ,
ખાતાં ધરાઈને બોર ખારેકડી
પાકેલ હીરકચાં, કોઈ રાતાં
પંખીઓએ કર્યા હોય જે એઠાં –
આજે અમે બધું ભૂલવા બેઠાં.

ટોળે ટોળાં ભમતાં હરણાંનાં,
ડોલન-નૃત્ય તરુ-તરણાંનાં,
ગીતલલિત નદી-ઝરણાંનાં;
હસી હસી વનનેય હસાવતાં
એવાં આવળનાં ફૂલને છોડી
કાગળના ફૂલ સૂંઘવા બેઠાં,
જાગવું ભૂલીને ઊંઘવા બેઠાં-
આજે અમે બધું ભૂલવા બેઠાં.

– ઈન્દુલાલ ગાંધી

લોકો જૂની વાતો યાદ કરવા બેસે છે, જ્યારે અહીં તો કવિ બધું ભૂલવા બેઠાં છે ! બચપણની (હવે અલભ્ય એવી) યાદોને તાદ્રશ કરી દેતું વર્ણન કવિની વેદનાને એટલી વધુ તીવ્ર બનાવે છે.

Comments (5)

રિક્ત થઈને – હિતેન આનંદપરા

એક પણ પગલું-સગડ મૂક્યા વિના, અવગત થઈને,
આપણી સઘળી કરુણા, ક્યાં જતી રહી, લુપ્ત થઈને ?

ગેરહાજર રહીને પણ ચોમેર ચર્ચાયા કરે એ,
નોંધ લેવાયા વિનાનો હું ફરું છું વ્યક્ત થઈને.

ચંદ્ર, સૂરજ, રેત, દરિયો, ઝાડ, પંખી, મુગ્ધતા પણ,
હું ગુમાવું છું ઘણું, હદથી વધારે, પુખ્ત થઈને.

સાંજનું ખાલીપણું, કાયમનું દુશ્મન છે, છતાંયે
કૈં સભર બનવાની તક મળતી રહે છે, રિક્ત થઈને.

ગત જનમનાં બીજ, અંકુરિત થવાની શક્યતા છે,
એક જણ, મારી નસોમાં, વહી રહ્યું છે, રક્ત થઈને.

– હિતેન આનંદપરા

માણસ સાંજે નીચોવાઈને ‘ખાલી’ થઈ જાય પછી જ ફરી વાર ‘સભર’ થવું શક્ય બને છે.

Comments (18)

ચાલને ગોરી ! – અલ્પેશ કળસરિયા

ચાલને ગોરી ! ઊડને હવે, ઊડવા તને પાંખ ફૂટી છે ! આભને, ગોરી ! આંબને હવે, આંબવા તને પાંખ ફૂટી છે !
કોઈ કરે છે સાદ રે તને સ્થાનથી પરે, કાળથી પરે; કાળને, ગોરી ! વીંધને હવે, વીંધવા તને પાંખ ફૂટી છે !

આભની ભૂમિ આભમાં ઘૂમી આભમાં ઝૂમી આભને ચૂમી આભને, ગોરી ! એટલું કે’જે ચાંદ છું હું ને હું જ ચકોરી !
થાય ઝળાહળ આભનું આંચળ, આભનાં વાદળ એમ પળેપળ પછી આભને વીંધશે તારી વીજળી જેવી પાંખની દોરી;
આભના ઘોડા હણહણે છે, નામ તારું લઈ રણઝણે છે, આભને, ગોરી ! નાથને હવે, નાથવા તને પાંખ ફૂટી છે !
ચાલને ગોરી !…

કાળને માપી, કાળમાં વ્યાપી, કાળને કાપી, કાળમાં સ્થાપી; કાળને, ગોરી ! એટલું કે’જે હું જ રથ છું ને હું જ છું રથી !
કાળને ચહે, કાળમાં  રહે, કાળમાં વહે, કાળને ગહે; કાળને છતાં લાગતું કે તું કાળમાં છે પણ કાળમાં નથી !
જોબન તારું કાળને નાથે, કાળને તારી પાંખો સાથે બાંધને હવે, બાંધને, ગોરી ! બાંધવા તને પાંખ ફૂટી છે !
ચાલને ગોરી !…

– અલ્પેશ કળસરિયા

ગણગણ્યા વિના વાંચી ન શકાય અને ગણગણવા બેસો તો પ્રેમમાં પડી જવાય એવું લાંબીલચ્ચ બહેરનું મજાનું ગીત. આખા ગીતને કવિએ લયની દોરીથી એવી રીતે બાંધી દીધું છે કે વાંચતી વખતે સતત  ભીતર કોઈ તાર રણઝણતો હોવાની અનુભૂતિ થતી રહે છે. પહેલા અંતરામાં આભ અને બીજા અંતરામાં કાળ શબ્દના એકધારા લયાન્વિત પુનરોચ્ચારના કારણે ગીતમાં જાણે કે રેવાલ ચાલ સમી અકળ રવાની ભળે છે.

તાજી જ પાંખ ફૂટેલી ગોરીની વાત છે અને ઊડવાનું ખુલ્લું આહ્વાન છે. ગીતના મુખડામાં કવિ આભ અને કાળને વારાફરતી સાંકળી લઈને ઊડવાનો સંદર્ભ ખુલ્લો કરે છે. ઉડ્ડયન ક્યાં હોય ? ક્યાં તો આભમાં ક્યાં તો કાળમાં.. ખરું ને ? આજ બે સંદર્ભો – આભ અને કાળ- લઈને પછીના બે અંતરામાં કવિ ગીતનો ચૈતસિક વિસ્તાર સાધે છે અને આપણને આભને નાથી અસીમ અવકાશ સુધી અને કાળને નાથી કાલાતીત થવા સુધીની આહલાદક અનુભૂતિનો સંસ્પર્શ થાય છે…

Comments (16)

ગઝલ – વિહંગ વ્યાસ

Vihang Vyas_Anaayaas ne kalpanaatit
(લયસ્તરો માટે વિહંગ વ્યાસના હસ્તાક્ષરમાં એક અક્ષુણ્ણ કૃતિ)

અનાયાસ ને કલ્પનાતીત થયું છે
નરી આંખે સપનું ઉપસ્થિત થયું છે

ઉલા-સાની મિસરાની વચ્ચે જ તારું
પ્રવેશી જવું અર્થગર્ભિત થયું છે

અનુમાન તું સાવ ખોટા કરે છે
જગત સામટું ક્યાં પરિચિત થયું છે

સ્મરણ કોઈનું કેમ રાખીશું ગોપિત
અહીં અશ્રુ પણ સર્વવિદિત થયું છે

ખરે ડાળથી પાંદડું પૂર્વયોજિત
હવાનું હલેસું તો નિમિત્ત થયું છે

ખરેખર તમારા જ હોવાનું નાટક
તમારાથી થોડું અભિનિત થયું છે

-વિહંગ વ્યાસ

ઢસા (ભાવનગર)ના યુવાન કવિ વિહંગ વ્યાસ કરિયાણું, ફરસાણ અને મીઠાઈ બાંધવાની સાથોસાથ પડીકામાં ગીત-ગઝલ પણ બાંધી આપે છે. ગુજરાતીમાં સ્નાતક થયા હોવાની છાપ આ ગઝલમાં ડગલે ને પગલે ચાડી ખાય છે. અહીં જે પ્રકારના કાફિયા એમણે પ્રયોજ્યા છે એ પોતે અનાયાસ અને કલ્પનાતીત છે ! આખી ગઝલ પહેલા વરસાદના છાંટા જેવી તાજી-ભીની છે પણ છેલ્લા બે શેર યાદગાર નીવડ્યા છે. એની ઇચ્છા વગર એક પાંદડું પણ હલતું નથી એ વાત કેવી રોચક રીતે લઈ આવ્યા છે. સૃષ્ટિમાં જે પણ કંઈ થાય છે એ સઘળું હરિઇચ્છાથી જ થાય છે. પાંદડું ઝાડ પરથી ખરે યા એ રીતે સંસારમાં જે કોઈ બીના ઘટે એ બધી પૂર્વયોજિત જ હોય છે, હવા કે હોવાપણું એ માત્ર નિમિત્ત જ છે… એટલે જ નરસિંહે ગાયું છે ને કે હું કરું હું કરું એ જ અજ્ઞાનતા

Comments (32)