અમે આંધી વચ્ચે તણખલાંના માણસ;
પીળા શ્વાસની તુચ્છ ઘટનાના માણસ.
ભગવતીકુમાર શર્મા
લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.
Archive for ગઝલ
ગઝલ શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.
September 10, 2006 at 8:47 AM by વિવેક · Filed under ઉર્વી પંચાલ 'ઉરુ', ગઝલ
ચોઘડિયાંઓ જોતો રહેશે,
માણસ તોયે રોતો રહેશે.
સુખનો સૂરજ ઊગે તોયે,
દુઃખનો ડુંગર મોટો રહેશે.
સંબંધોના સરવાળામાં,
આગળ પાછળ ખોટો રહેશે.
ફૂલોના રંગોને ચૂમે,
ભમરો તોયે ભોંઠો રહેશે.
દુનિયા આખી ભરચક માણસ,
પણ માણસનો તોટો રહેશે.
મિલકતમાં ‘ઉરુ’ મારી પાછળ
યાદો દેતો ફોટો રહેશે.
-ઉર્વી પંચાલ ‘ઉરુ’
માણસોથી ઉભરાતી આ દુનિયામાં ‘માણસ’ની હંમેશા ખોટ પડવાની આ વાતને કવયિત્રીએ ખૂબ સાલસતાથી કરી છે અને સુખના સૂરજના અનુસંધાનમાં દુઃખના પહાડની કરેલી વાત પણ ખૂબ મોટા ગજાની છે.
Permalink
September 7, 2006 at 8:43 AM by સુરેશ · Filed under ગઝલ, રૂસવા
મોહતાજ ના કશાનો હતો . કોણ માનશે?
મારો ય એક જમાનો હતો. કોણ માનશે?
ડાહ્યો ગણી રહ્યું છે જગત જેને આજકાલ,
એ આપનો દિવાનો હતો કોણ માનશે?
તોબા કર્યા વિના કદી પીતો નથી શરાબ,
આ જીવ ભક્ત છાનો હતો, કોણ માનશે?
માની રહ્યો છે જેને જમાનો જીવન-મરણ,
ઝગડો એ હા ને ના નો હતો. કોણ માનશે?
હસવાનો આજે મેં જે અભિનય કર્યો હતો,
આઘાત દુર્દશાનો હતો, કોણ માનશે?
‘રૂસવા’ કે જે શરાબી મનાતો રહ્યો સદા,
માણસ બહુ મઝાનો હતો, કોણ માનશે?
– ‘રૂસવા’
*મોહતાજ = આશ્રિત
Permalink
September 3, 2006 at 3:22 AM by વિવેક · Filed under અદી મિરઝા, ગઝલ
તારું ઠેકાણું મળ્યું છે જ્યારથી
હું મને શોધી રહ્યો છું ત્યારથી !
મારા હાથોમાં હવે શક્તિ નથી !
તું મને સંભાળ મારા સારથી !
આ તરફ પણ ઝાઝાં તોફાનો નથી
આવ તું આ પાર પેલે પાર થી !
તું હજી પણ નીચે ઊતરતો નથી ?
વાટ જોઉં છું હું તારી ક્યારથી !
જિંદગીનું સત્ય સમજાઈ જશે !
સાંભળો એકવાર અમને પ્યારથી !
સાર એમાંથીય નીકળી આવશે !
જે મળે લઈ લે હવે સંસારથી !
જિંદગીભર જે રડાવે છે ‘અદી’,
જાન લઈ લે છે એ કેવા પ્યારથી
– અદી મિરઝા
Permalink
September 2, 2006 at 10:07 AM by વિવેક · Filed under ગઝલ, સુરેન ઠાકર 'મેહુલ'
એક રણમાંથી વહ્યાનું દુઃખ છે,
લાગણી રઝળી પડ્યાનું દુઃખ છે.
હાડ હેમાળે ગળ્યાનું દુઃખ નથી,
પણ તમે ના પીગળ્યાનું દુઃખ છે.
વલ્કલે ઢાંકી સતીની આબરૂ,
સભ્યતા રઝળી પડ્યાનું દુઃખ છે.
હાથ ફેલાવી લીધાં ઓવારણાં
ટાચકાને ના ફૂટ્યાનું દુઃખ છે.
બારણાએ વાત આખી સાંભળી
ટોડલા ફાટી પડ્યાનું દુઃખ છે.
રંક આશાઓ અવસ્થા વાંઝણી
બેઉને ભેગા મળ્યાનું દુઃખ છે.
-સુરેન ઠાકર ‘મેહુલ’
Permalink
August 26, 2006 at 10:17 AM by વિવેક · Filed under ગઝલ, દિલીપ મોદી
આ નસેનસમાં સળગતી પળનું હોવું
હોવું જાણે ‘તું’ વગરના સ્થળનું હોવું
મન મૂકીને શી ખબર ક્યારે વરસશે ?
મૌન તારા હોઠ પર વાદળનું હોવું
આંખ જો દેખી કે વાંચી ના શકે તો –
અર્થ શો છે ? હાથમાં કાગળનું હોવું
થાય છે રોજ જ કતલ વિશ્વાસની ને
લાગતું બસ ચોતરફ મૃગજળનું હોવું
તારું હોવું ભીંજવી દે છે મને જો
તારું હોવું એટલે ઝાકળનું હોવું
કેમ ખેંચાતું જતું અસ્તિત્વ મારું ?
એ તરફ નક્કી જ કોઈ બળનું હોવું
‘હોવું’ છે કે વ્હેમ છે હોવાપણાનો,
હોવું -ના હોવું; હશે અટકળનું હોવું
-દિલીપ મોદી
Permalink
August 21, 2006 at 8:18 PM by ધવલ · Filed under ઉદયન ઠક્કર, ગઝલ
દૃશ્યથી ધીમા સ્વરોને, લાબું અંતર પાર કરતાં વાર તો લાગે જ ને !
આ ગઝલ વંચાઈ ગઈ પણ આંસુઓને કાને પડતા વાર તો લાગે જ ને !
રીસમાં ભીનાં થઈ બિડાઈ ગયેલાં નેણ એનાં, એમ તો ક્યાંથી ખૂલે ?
બોજ ઝાકળનો લઈને પાંખડીઓને ઉઘડતાં, વાર તો લાગે જ ને !
પાંખડીઓને વકાસી, સૂર્યની સામે કમળ જોયા કરે છે ક્યારનું,
ફેરવી લે મોં તિમિરથી એને અજવાળું સમજતાં વાર તો લાગે જ ને !
ઊછળી-ઊછળીને ફોરાં, વારે વારે દઈ ટકોરા, બ્હાર બોલાવી રહ્યાં,
ડોકિયું કાઢીને કૂંપણ એમ કહેતી, હસતાં હસતાં : વાર તો લાગે જ ને !
હા, એ કહેતા તો હતા કે વાડીનું રખવાળું કરવા ટાંકણે આવી જઈશ,
એક એક પતંગિયાની પાંખમાં રંગોળી પૂરતાં વાર તો લાગે જ ને !
– ઉદયન ઠક્કર
આ ગઝલ વાંચતા અનાયાસ જ જગજીતસિંહે ગાયેલી ગઝલ प्यार का पहला खत लिखने में वक्त तो लगता है યાદ આવી ગઈ. જોકે આ ગઝલનો મિજાજ અને કલ્પનો તદ્દન અલગ છે.
છેલ્લા શેરમાં કવિએ ભગવાને આપેલા વચન – ‘ધર્મની ગ્લાનિ અને અધર્મનો ઉદય થશે ત્યારે હું આવીશ’- વિષે અલગ રીતે વાત કરી છે. હજુ ભગવાન દેખાતા નથી એનું કારણ અહીં કવિ આપે છે. આ નખશીખ કવિતાની છે. અહીં તો પતંગિયાની પાંખ રંગવાનું કામ જગતનો ઉદ્ધાર કરવા જેટલું જ (કે કદાચ વધારે) જરૂરી છે !
Permalink
August 15, 2006 at 9:57 AM by ધવલ · Filed under ઉદયન ઠક્કર, ગઝલ
ઘૂઘવાટોથી ન આવ્યો હાથમાં
કેવો ઝિલાઈ ગયો, નિરાંતમાં
નેણ તો એનાંય ઝરમરતાં હશે
ચાંદ નીતરતો હશે, વરસાદમાં
ઊજળો ધંધો તો સોમાલાલનો!
વેચે રોકડમાં ને લે ઉધારમાં
આ અમાસો તો હવે કોઠે પડી
અમને મોટો લાડવો દેખાડ મા!
આ સળગવું, આખરે, શું ચીજ છે?
ચાંદ પૂછે કોડિયાને, કાનમાં
– ઉદયન ઠક્કર
ચંદ્ર વિષે ઘણી રચનાઓ છે પણ ચંદ્રની ઉધારનો ઘંધો કરતા સોમાલાલ તરીકે વાત તો અહીં જ જોવા મળશે ! પહેલા શેરમાં ચંદ્રનું પ્રતિબિંબ ઘૂઘવતા પાણીમાં પડતું નથી પણ શાંત પાણીમાં સુપેરે ઝીલાય છે એ વાત બહુ નાજુક રીતે કરી છે. આટલો મોટો ચાંદો થયો પણ આખરે એ તો બાપકમાઈનો જ પ્રકાશ વાપરે છે. જાતે બળવાનો અર્થ તો એણે પણ આપકમાઈથી પ્રકાશતા કોડિયાને જ પૂછવો પડે.
Permalink
August 13, 2006 at 3:07 AM by વિવેક · Filed under ગઝલ, શિવજી રૂખડા
વાત બીજે વાળવાથી શું વળે !
ને હકીકત ખાળવાથી શું વળે !
આપણે તો આપણે, બસ આપણે
જાત બીંબે ઢાળવાથી શું વળે !
ફક્ત કિરણ એક ઝીલી ના શક્યા
સૂર્ય આખો ચાળવાથી શું વળે !
દોસ્ત, ઇચ્છાવન બહુ ઘેઘૂર છે
ડાળખી ફંગોળવાથી શું વળે !
આપણો વિસ્તાર છે ફળિયા લગી
ગામને ઢંઢોળવાથી શું વળે !
આંખ છે ખુલ્લી અને ઝોલે ચડ્યા
દીપ ઝળહળ બાળવાથી શું વળે !
-શિવજી રૂખડા
કેટલીક કૃતિઓને શબ્દોના આધારની જરૂર નથી હોતી….
Permalink
August 10, 2006 at 5:41 PM by સુરેશ · Filed under ગઝલ, જવાહર બક્ષી
આંખોનો ભેદ આખરે ખુલ્લો થઇ ગયો.
બોલ્યા વિના જ હું બધે પડઘો થઇ ગયો.
આ એ જ અંધકાર છે કે જેનો ડર હતો.
આંખોને ખોલતાં જ એ તડકો થઇ ગયો.
જળને તો માત્ર જાણ છે, તૃપ્તિ થવા વિષે.
મૃગજળને પૂછ કેમ હું તરસ્યો થઇ ગયો.
તારી કૃપાથી તો થયો કેવળ બરફનો પહાડ
મારી તરસના તાપથી દરિયો થઇ ગયો.
મસ્તી વધી ગઇ તો વિરક્તિ થઇ ગઇ
ઘેરો થયો ગુલાલ તો ભગવો થઇ ગયો.
-જવાહર બક્ષી
જ્યારે જીવન જીવવાની એક ચોક્કસ દ્રષ્ટિ પ્રાપ્ત થાય અને જીવન તે પ્રમાણે જીવી શકો,ત્યારે મસ્તી કેવી હોય તે સ્થિતિને વર્ણવતી અને મને ઘણી જ ગમતી જવાહર બક્ષીની આ ગઝલ તમને પણ ગમશે.
Permalink
August 7, 2006 at 10:10 PM by ધવલ · Filed under ગઝલ, શોભિત દેસાઈ
મને ખુદને જ મળતો હું હજી પણ ત્યાં જ ઊભો છું
ને વરસાદે પલળતો હું હજી પણ ત્યાં જ ઊભો છું
હતો જે આપણો સંબંધ એના ભગ્ન અવશેષો
શિશુ માફક ચગળતો હું હજી પણ ત્યાં જ ઊભો છું
તને આગળ ને આગળ હું હજી જોયા કરું અથવા
પ્રયાસોમાં કથળતો હું હજી પણ ત્યાં જ ઊભો છું
ચણાયા કાકલૂદી પર થરતી જ્યોતના કિસ્સા
દીવાની જેમ બળતો હું હજી પણ ત્યાં જ ઊભો છું
નગરનાં માણસો જે એ બધાં છે મીણના પૂતળાં
અને એમાં પીગળતો હું હજી પણ ત્યાં જ ઊભો છું
– શોભિત દેસાઈ
ચોધાર વરસતા વિષાદથી પલળેલી આ ગઝલમાં કવિ એક પછી એક શેરમાં જ્યારે ‘હું હજી પણ ત્યાં જ ઊભો છું’ ઘૂંટે છે ત્યારે હ્રદય પર ચાસ પાડતા હોય એવી લાગણી થઈ આવે છે. પોતાની લાચારીની વાત કવિ તદ્દન નિર્દયતાથી કરે છે. અહીં કોઈ ફરિયાદ નથી, કોઈ કારણ નથી, કોઈ આરો નથી કે કોઈ સહાનુભૂતિ નથી. છે તો માત્ર પલળવા, ચગળવા, કથળવા, બળવા ને છેલ્લે પીગળવાની વાત છે. મીણના પૂતળાઓને આનાથી વધારે કોઈ હક નથી.
Permalink
August 2, 2006 at 9:12 AM by સુરેશ · Filed under ગઝલ, શૂન્ય પાલનપુરી
આંખડી છેડે સરગમ, હૃદય તાલ દે, અંતરો ગાય પંચમના સૂરે ગઝલ;
દર્દ અંગડાઇ લે, પ્રેમ ઝૂમી ઊઠે, રૂપ ઝણકાવે પાયલ ને સ્ફુરે ગઝલ.
દૃશ્ય સર્જાય મોંઘું મિલનનું અને સાથિયા ચાંદ-સૂરજના પૂરે ગઝલ;
દોર ગોઝારો જામે વિરહનો અને રાતના ઘોર સન્નાટે ઝૂરે ગઝલ.
ઊર્મિઓને કશું ક્યાંય બંધન નથી,લાગણી મુક્ત છે સ્થળ અને કાળથી;
બુલબુલોએ રચી ગુલશનોમાં અને આમ્ર-કુંજોમાં ગાઇ મયૂરે ગઝલ.
બે ધડકતા દિલોની કહાણી બને, રંગ ભીની કરુણાની લ્હાણી બને,
પ્રેમ ને રૂપની દિવ્ય વાણી બને, તો જ પહોંચી શકે દૂર દૂરે ગઝલ.
દેહના કોડિયે, પ્રાણની વાટને, લોહીમાં ભીંજવીને જો બાળી શકો,
તો જ પ્રગટી શકે દર્દની મ્હેફિલે, દિલને રોશન કરે એવું નૂરે ગઝલ.
જન્મ-મૃત્યુ છે, મત્લા ને મક્તા ઉભય, શ્વાસના કાફિયા, જિંદગીનો વિષય ;
રંગ લૌકિક છે પણ અલૌકિક લય , ગાય છે ‘ શૂન્ય’ ખુદની હજૂરે ગઝલ.
-‘શૂન્ય’ પાલનપુરી
આ રચના શ્રી મનહર ઉધાસે બહુ જ ભાવવાહી સ્વરાંકનમાં અને તેમના મધુર અવાજમાં ગાઇ છે. ગઝલ રૂપાળી કેમ લાગે છે તેનું આવું સુંદર બયાન ‘શૂન્ય’ જ આપી શકે.
બહારથી રૂપાળી દેખાતી ગઝલના મૂળમાં ‘સપનાં’ અને ‘શૂળ’ હોય છે તેની પ્રતીતિ આપણને આ ગઝલ વાંચતાં અને સાંભળતાં થાય છે.
રસિક જનોને માહિતી કે ‘શૂન્ય’ ની રચનાઓ બજારમાં આજ સુધી અપ્રાપ્ય હતી, પણ ‘મુસાફિર’ પાલનપુરીએ તેમના પાંચ સંગ્રહોમાંથી વીણી વીણીને રચનાઓ ભેગી કરી છે અને ‘શબ્દલોક પ્રકાશન’ ની સહાયતાથી આ વર્ષે એક પુસ્તકમાં પ્રકાશિત કરી છે, જેનું નામ છે – ‘દરબાર શૂન્યનો’
Permalink
July 31, 2006 at 4:35 PM by ધવલ · Filed under ગઝલ, હિતેન આનંદપરા
સુકાયેલી નદીના ક્યાંકથી પગરણ મળી આવે
વિખૂટું થઈ ગયેલું એ રીતે એક જણ મળી આવે
ઘણા વરસો પછી, વાંચ્યા વગરની કોઈ ચિઠ્ઠીમાં
‘તને ચાહું છું હું’ બસ આટલી ટાંચણ મળી આવે
ફરે છે એક માણસ ગોધૂલી વેળા આ સડકો પર
કદાચિત ગામનું છૂટું પડેલું ધણ મળી આવે
ઘણુંયે નામ જેનું સાંભળેલું, ને હતી ખ્યાતિ
મળો એ શખ્સને, ને સાવ સાધારણ મળી આવે
ખખડધજ, કાટ લાગેલી, જૂની બિસમાર પેટીમાં
ખજાનો શોધવા બેસો અને બચપણ મળી આવે
– હિતેન આનંદપરા
માંગ્યું ન મળે એની જેટલી તકલીફ છે એટલી જ તકલીફ ઘણીવાર માંગ્યું મળી જાય એની પણ હોય છે. કવિ કહે છે એવું ટાંચણ મળી આવે તો શું કરવું? પહેલો શેર મને ખૂબ ગમ્યો. મને છૂટ હોય તો ‘નદીના’ ને બદલે ‘નદીમાં’ એટલું બદલું. એનાથી મને વધારે ગમતો અર્થ નીકળે છે !
Permalink
July 26, 2006 at 7:40 AM by સુરેશ · Filed under ગઝલ, પ્રફુલ્લ દવે
કદિ એક ‘હું’ માંહે ‘હું’ છેદ પાડે;
બને વાંસળી ‘હું’, અને ‘હું’ વગાડે.
કદિ એક ‘હું’ સૂર્ય થઇને પ્રકાશે;
સકલ સૃષ્ટિનાં જીવતરને જીવાડે.
બેસી રસોડે જમે ‘હું’ નિરાંતે;
બની માત ‘હું’ જાતે ‘હું’ને જમાડે.
કદિ એક ‘હું’ વ્યાસપીઠે બીરાજે;
કદિ એક ‘હું’ સામે બેસીને ધ્યાવૈ.
રમે રાસ ‘હું’ સૃષ્ટિ સાથે નિરંતર;
બળે હાથ ‘હું’ નો અને ‘હું’ જ બાળે.
નિરંતર રહે ‘હું’ ને ‘હું’ ની પ્રતિક્ષા;
અહીં ‘હું’ ને ‘હું’ બોર એંઠા ચખાડે.
અહીં ઇશ પોતાને માટે ‘હું’ બોલે;
રમે ‘હું’ અને ‘હું’ જ ‘હું’ ને રમાડે.
– પ્રફુલ્લ દવે
આ પ્રફુલ્લ દવે જાણીતા લોકસંગીતના ગાયક નહીં પણ અમદાવાદમાં રહેતા, ભાવનગર ડીસ્ટ્રીક્ટ કોર્ટના ન્યાયાધીશ છે. એમને મળવું હોય તો ભાવનગરની ‘બુધ સભા’ માં અને અમદાવાદના શનિવારી ‘ સાહિત્ય ચોરામાં’ મોટાભાગે મળી જાય.કવિતા વાંચવા સાંભળવામાં રસ રાખે છે એટલું જ નહીં જાતે સુંદર રચનાઓ કરે છે પણ ખરા. મોટાભાગે થોડાક જ વખત પહેલાં તેમનો કાવ્ય સંગ્રહ પણ છપાયો છે.
જે લોકો ‘હું’ને છોડી દેવાની વાત કરે છે, તે ‘હું’ શું છે તે જાણતા જ નથી. આપણે જેને જાણતા જ ન હોઇએ તેને છોડી કેવી રીતે શકીએ?‘હું’ની બરાબર ઓળખ આપતી તેમની આ ગઝલ મારી પ્રિય ગઝલ છે. તેમાં શ્રીકૃષ્ણ , વેદ વ્યાસ, નરસિંહ મહેતા અને શબરીને ‘હું’ ની સાથે ખરી ખૂબીથી વણી લીધા છે. જ્યારે આપણા ‘હું’નું તાદાત્મ્ય આ બધા ‘હું’ ના સ્વરૂપો સાથે થાય છે, ત્યારે આપણા ‘હું’ ને ત્યજવાનું નહીં પણ તેની સાથે એકાકાર થઇ જવાનું કવિ ઇજન આપે છે. અહમ્ તો આ રીતે જ ઓગળે.
Permalink
July 25, 2006 at 5:13 PM by ધવલ · Filed under ગઝલ, પંચમ શુક્લ
હાથ શ્યામલા હોમ છાંટતાં,
શૈલ ગુચ્છ પર રોમ છાંટતાં.
લોધ્ર પુષ્પ શિલીન્ધ્ર મઘમઘે,
મેઘ વૃન્દ સહુ વ્યોમ છાંટતાં.
ઇન્દ્રકેત આચ્છાદ વાયરે,
સ્વર્ણભસ્મરજ ભોમ છાંટતાં.
જાત્ય વર્ષતાં પર્ણ નીલજલ,
જલજ બિંમ્બ જલ જોમ છાંટતાં.
ગ્રહ નિશીથ સોલ્લાસ ઝરમરે,
ખર્વ ખર્વ હરિઓમ છાંટતાં.
– પંચમ શુક્લ
આ ગઝલ વિષે પંચમભાઈ કહે છે, પ્રસ્ફૂરણ એટલે વિશિષ્ટ સ્ફૂરણ…દૈવી વર્ષા! આમ મુખ્ય ભાવ છે વર્ષાનો પરંતુ પ્રાચીન પતીકો અને શબ્દાવલિઓનો વિનિયોગ અને ગઝલનું કલેવર વર્ષાનાં એક જુદા જ ભાવ વિશ્વનું નિર્માણ કરે છે. જાણે કે ઈન્દ્ર સ્વયમ આહુતિ રૂપે પર્વત શૃંગો પર લીલા ઘાસ રૂપી રોમવલ્લીનું નિર્માણ કરે છે. હિમાલય પર થતા લોધ્ર અને શિલીન્ધ્ર પુષ્પો આખું આકાશ ભરીને મઘમઘે એવો મેઘ વરસે છે. વર્ષા ભીની પવન લહેરમાં ઇન્દ્ર્કેતનો છોડ એના સ્વર્ણપરાગે ભૂમિને સોનેરી કરી દે છે. પાંદડા પરથી હળવેથી ટપકતાં આભજળનાં બિમ્બો નવા જોમનું સિંચન કરે છે. જાણે કે બ્રહ્માંડ આનંદિત થઈને અગણિત ‘હરિઓમ’ નાદનો છંટકાવ કરે છે.
પ્રાકૃત શબ્દો અને પૌરાણિક રૂપકોનો ઉપયોગ આ ગઝલને જુદી જ શ્રેણીમાં મૂકી દે છે. પહેલી વાર વાંચતા આનો અર્થ મને પણ કાંઈ સમજાયલો નહીં, એ હવે વારંવાર વાંચ્યા પછી અને કવિની ‘હીંટ્સ’ની મદદથી સમજાયો. આ વાંચતા શ્રી હરિવલ્લભ ભાયાણીએ સંસ્કૃતમાંથી અનુવાદ કરેલા મુકતકો ને સુભાષિતોની યાદ આવી જાય છે.
Permalink
July 23, 2006 at 6:00 AM by વિવેક · Filed under ગઝલ, યોગિની શુક્લ
લો, અહીં આ સૂર્ય તો આવી ગયો,
આંખથી અજવાસ છલકાવી ગયો.
કો’ક વાદળ આભમાં રમતું ભલે,
કો’ક દરિયો રેતને ભાવી ગયો.
ચોતરફ વેરાન છે આ બાગ પણ –
કો’ક માળી બીજને વાવી ગયો.
પુષ્પ ને પમરાટની ઘટના જૂઓ –
વાયરો નાહક અરે ! ફાવી ગયો.
પિંજરે છે કેદ જો માણસ અહીં,
બ્હાર પોપટ પાંખ ફફડાવી ગયો !
યોગિની શુક્લ
Permalink
July 20, 2006 at 12:03 AM by સુરેશ · Filed under આસીમ રાંદેરી, ગઝલ
પ્રશંસામાં નથી હોતી કે નિંદામાં નથી હોતી.
મઝા જે હોય છે ચુપમાં, તે ચર્ચામાં નથી હોતી.
ગુલાબી આંખની રંગીની શીશામાં નથી હોતી,
નજરમાં હોય છે મસ્તી, જે મદીરામાં નથી હોતી.
ગઝલ એવી પણ વાંચી છે, મેં દિલદા’ની આંખોમાં.
અલૌકિક રંગમય, જે કોઇ ભાષામાં નથી હોતી.
અનુભવ એ પણ ‘આસીમ’ મેં કરી જોયો છે જીવનમાં,
જે ઊર્મિ હોય છે તાપીમાં, ગંગામાં નથી હોતી.
– ‘આસીમ’ રાંદેરી
મૂળ સુરતના અને હાલ કેલીફોર્નીયામાં, રહેતા ‘આસીમ’ રાંદેરી 100 વર્ષથી પણ વધારે ઉમ્મરના છે અને ‘લીલાકાવ્યો’ ના સર્જક તરીકે વધારે જાણીતા છે. શ્રી.મનહર ઉધાસે આ ગઝલ બહુ જ કર્ણપ્રિય લયમાં ગાઇ છે.
Permalink
July 19, 2006 at 1:44 AM by સુરેશ · Filed under ગઝલ, શયદા
જનારી રાત્રિ જતાં કહેજે : સલૂણી એવી સવાર આવે;
કળી કળીમાં સુવાસ મહેકે, ફૂલો ફૂલોમાં બહાર આવે.
હૃદયમાં એવી રમે છે આશા, ફરીથી એવી બહાર આવે;
તમારી આંખે શરાબ છલકે, અમારી આંખે ખુમાર આવે.
વ્યથા શું હું વિદાય આપું? વિરામના શું કરું વિચારો?
કરાર એવો કરી ગયાં છે – ન મારા દિલને કરાર આવે.
કિનારેથી તું કરી કિનારો, વમળમાં આવી ફસ્યો છે પોતે,
હવે સુકાની, ડરે શું કરવા? ભલે તૂફાનો હજાર આવે.
ન ફૂટે ફણગા, ન છોડ થાયે, ન થાય કળીઓ, ન ફૂલ ખીલે;
ધરામાં એવી ધખે છે જ્વાળા, બળી મરે જો બહાર આવે.
વિચારવાળા વિચાર કરજો, વિચારવાની હું વાત કહું છું;
જીવનમાં એથી વિશેષ શું છે? વિચાર જાયે વિચાર આવે.
તમારી મ્હેફિલની એ જ રંગત, તમારી મ્હેફિલની એ જ હલચલ;
હજાર બેસે, હજાર ઊઠે, હજાર જાયે, હજાર આવે.
હૃદયમાં કોની એ ઝંખના છે, નયન પ્રતીક્ષા કરે છે કોની?
ઉભો છે ‘શયદા’ ઉંબરમાં આવી , ન જાય ઘરમાં – ન બ્હાર આવે.
– શયદા
બાલાશંકર કંથારીયા, મણિલાલ નભુભાઇ દ્વિવેદી અને કલાપીએ શરુ કરેલી, ગુજરાતી સાહિત્ય જગતમાં ગઝલ સર્જનની પ્રક્રિયા, પરંપરાગત ગઝલની હતી.
‘શયદા’ પહેલા એવા શાયર હતા જેમણે આ પ્રકિયાને તદ્દન નવો વળાંક આપ્યો. એટલે જ ‘શયદા’ નૂતન ગુજરાતી ગઝલના પ્રણેતા કહેવાય છે. તેમના જમાનાની પરંપરાથી અલગ પડતી આ ગઝલમાં ફારસી શબ્દ ઘણા ઓછા વપરાયા છે.
શ્રી. મનહર ઉધાસના કંઠે ગવાયેલ આ ગઝલને સાંભળવી તે પણ એક લ્હાવો છે.
Permalink
July 17, 2006 at 9:57 PM by ધવલ · Filed under અદમ ટંકારવી, ગઝલ
એક પોએટ એટલે મૂંઝાય છે
ભાષાબાઈ એઇડ્સથી પીડાય છે
વ્હેર ધ શુ પિન્ચીઝ ખબર પડતી નથી
બ્લડસ્ટ્રીમમાં પીડા જેવું થાય છે
એઈજ સિક્સટીની થઈ ગઈ એ ખરું
કિન્તુ તું સિક્સટીન દેખાય છે
હું લખું ઇંગ્લીશમાં તારું નામ ને
એમાં સ્પેલિંગની ભૂલો થાય છે
શી વુડન્ટ લિસન ટુ એનિવન અદમ
આ ગઝલને ક્યાં કશું કહેવાય છે
– અદમ ટંકારવી
વર્ષોથી બ્રિટનમાં વસેલાં અદમ ટંકારવીએ અંગ્રેજી શબ્દોનો ગઝલના અવિભાજ્ય અંગ તરીકે ઉપયોગ કરીને ‘ગુજlish ગઝલો’ નામે આખો સંગ્રહ કર્યો છે. અંગ્રેજી ભાષા અહીં અર્થમાં ઉમેરો કરતી આવે છે અને ગઝલને એક નવું પરિમાણ આપે છે. એક પોએટ એટલે મૂંઝાય છે, ભાષાબાઈ એઇડ્સથી પીડાય છે – એ વાત ગુજરાતી કરતા અંગ્રેજીમાં જ વઘારે સચોટ લાગે છે.
Permalink
July 15, 2006 at 6:57 PM by સુરેશ · Filed under ગઝલ, વિશ્વરથ
મોત જેવા મોતને પડકારનારા ક્યાં ગયા?
શત્રુના પણ શૌર્ય પર વારી જનારા ક્યાં ગયા?
લોભ-લાલચથી નજરને ચોરનારા ક્યાં ગયા?
પ્રાણ અર્પીને પરાર્થે પોઢનારા ક્યાં ગયા?
ધ્યેયની ખાતર ફનાગીરી સ્વીકારીને સ્વયમ્,
કાળ સામે આંખને ટકરાવનારા ક્યાં ગયા?
વિશ્વના વેરાન ઉપવનને ફરી મહેકાવવા
જિંદગીના જોમને સીંચી જનારા ક્યાં ગયા?
ગર્વમાં ચકચૂર સાગરની ખબર લઇ નાખવા,
નાવડી વમળો મહીં ફંગોળનારા ક્યાં ગયા?
મોજ માણો આજની, ના કાલની પરવા કરો!
એમ અલગારી બનીને જીવનારા ક્યાં ગયા?
રંગની છોળો ઉછાળી રોજ મયખાના મહીં,
‘વિશ્વરથ’ના સંગમાં પાગલ થનારા ક્યાં ગયા?
– વિશ્વરથ
Permalink
July 15, 2006 at 3:42 AM by વિવેક · Filed under ગઝલ, હરીન્દ્ર દવે
કોને ખબર તને હશે એ મારી દશા યાદ ?
મુજને તો આ ઘડી સુધી છે તારી સભા યાદ.
એકાન્તની ક્ષણો, એ અમારે નસીબ ક્યાં ?
સ્વજનો તજીને જાય તો સરજે છે સભા યાદ.
નાનકડા નીલ વ્યોમથી ટપકી રહી’તી જે,
જલધારા ફક્ત યાદ ને મોસમ, ન ઘટા યાદ.
વીસરી ગયો’તો એમને બે ચાર પળ કબૂલ,
આપી ગયા હવે એ જીવનભરની સજા યાદ.
એને પૂછી શક્જો તો કોઈ સંકલન મળે,
મુજને તો ઝાંખી ઝાંખી ને અસ્પષ્ટ કથા યાદ.
એ કલ્પના કે સત્ય હવે ભેદ ક્યાં રહ્યો !
પૂછો છો તો આવે છે મને કંઈક કથા યાદ.
પૂછો તો અંશ માત્ર બતાવી શકું નહીં,
મનમાં તો એની છે મને એકેક અદા યાદ.
હરીન્દ્ર દવે
તમે એમને પત્રકાર, નિબંધકાર, નાટ્યકાર, નવલકથાકાર, વિવેચક, અનુવાદક યા સંપાદક તરીકે ભલે ઓળખો, હરીન્દ્ર દવેની સાચી ઓળખ તો કવિ તરીકેની જ. કવિ તરીકે મુખ્યત્વે એ ગીતકાર. રાધા-કૃષ્ણના ભક્તિગીતો એ હરીન્દ્ર દવેની આગવી લાક્ષણિક્તા. સ્વભાવ જેટલો મૃદુ, ગીતો ય એટલાં મસૃણ. પરંપરા અને આધુનિક્તાનું સાયુજ્ય સાધીને નમણી ઊર્મિઓ લયની નજાકત લઈને એમના ગીતમાંથી પથ્થરમાંથી ફૂટતા ઝરણાની સહજતાથી વહી નીકળે છે. અને ગીત જેટલી જ મધુરી છે એમની ગઝલો. ‘યાદ’ કાફિયા પરથી રચાયેલી યાદગાર ગઝલોમાંની એક અહીં માણીએ. (જન્મ 19-09-1930ના રોજ કચ્છમાં અને મૃત્યુ 29-03-1995ના રોજ મુંબઈમાં. એમ.એ. સુધીનો અભ્યાસ. કાવ્ય સંગ્રહો: ‘આસવ’, ‘મૌન’, ‘અર્પણ’, ‘સમય’, ‘સૂર્યોપનિષદ’, ‘મનન’, ‘હયાતી’ અને ‘મારગે મળ્યા’તા શ્યામ’. “ચાલ, વરસાદની મોસમ છે….” એ એમની સમગ્ર કવિતા.)
Permalink
July 10, 2006 at 3:47 AM by વિવેક · Filed under ગઝલ, સુધીર પટેલ
જરા તું સમય પાર થૈ વાત કર,
– ને હોવાની પણ બ્હાર થૈ વાત કર!
રહ્યો આજ સુધી તું ગફલત મહીં,
હવે તો ખબરદાર થૈ વાત કર.
પછી દ્રશ્યમાં રંગ કૈં જામશે,
મળ્યું એ જ કિરદાર થૈ વાત કર.
અમે પણ તને માનશું ઉમ્રભર,
કદી તુંય સાકાર થૈ વાત કર.
જો એ લાવે ખુમાર કેવો ‘સુધીર’,
ગઝલમાં તું ખુવાર થૈ વાત કર!
– સુધીર પટેલ
ઘણીવાર કવિ ગઝલ પાસે જઈને રચના કરતો હોય છે, પણ ક્યારેક એવું પણ બને છે કે ગઝલ કવિ પાસે આવે છે. અનાયાસ અને આયાસની વચ્ચે જે પાતળી ભેદરેખા છે એ આવું કોઈ કાવ્ય વાંચીએ ત્યારે સમજી શકાય છે. પ્રથમ દ્રષ્ટિએ સામાન્ય ભાસતા આ તમામ શેર જો ઝીણવટથી જોવામાં આવે તો કવિ શું ચીજ છે એ સમજવું આસાન થઈ પડે છે. સમયની કે પોતાની જાતથી અળગા થઈને જ્યારે વસ્તુને જોઈ શકાય ત્યારે જ સાચું મૂલ્યાંકન થઈ શકે. આપણી સૌથી મોટી સમસ્યા એ છે કે આપણે જે છીએ તે થવા માંગતા નથી અને જે નથી તેનો મોહ રાખીએ છીએ. જે પાત્ર મળ્યું છે એને જો આત્મસાત્ કરી શકાય તો જ જીવનમાં રંગ જામી શકે. અને અંતે ખુવાર થયા વિનાનો ખુમાર પણ નકામો છે એ વાતને સર્જનના સંદર્ભમાં સાવ સરળ અને અદભૂત રીતે વ્યક્ત કરીને કવિએ સર્જનનો ચમત્કાર કર્યો છે!
Permalink
July 9, 2006 at 2:34 AM by વિવેક · Filed under ગઝલ, ગુલામ અબ્બાસ 'નાશાદ'
ગઝલ લખુ છું , હૃદય પર તો ભાર હોવાનો,
ઉદાસી એટલે તારો વિચાર હોવાનો.
પ્રથમ નજરની રમત છે, નિખાર હોવાનો,
જુદાઇ હો કે મિલન માત્ર પ્યાર હોવાનો.
પ્રવાહ સીધી ગતિનો છે જિંદગી નહીંતર,
નજર જો ભટકે વિષાદો જ સાર હોવાનો.
સમયની આંખમાં આંખોને મેળવી રાખો,
રહે બેપરવાઈ ત્યારે પ્રહાર હોવાનો.
જગતના લોક તો પળમાં જ તારવી લે છે,
અધરની ચુપકીદી દુઃખનો પ્રચાર હોવાનો.
જીવનનું નામ લડત છે તો મળશે જખ્મો પણ,
બહુ જ પીડે એ મિત્રોનો વાર હોવાનો.
આ ભરતી ઓટ તો એક બોધ છે જીવન માટે,
ચઢાવ જેનો છે એનો ઉતાર હોવાનો.
નિહાળો દૂરથી ‘નાશાદ’ હાસ્ય લોકોનું,
નિકટમાં એ જ પીડાનો પ્રકાર હોવાનો.
ગુલામ અબ્બાસ ‘ નાશાદ ‘
સમય નો પ્રહાર તો અણધાર્યો જ હોવાનો અને સતત–પ્રતિપળ સમયની આંખમાં આંખ મેળવી રાખવું પણ કંઈ શક્ય તો નથી જ. આ વાસ્તવિક્તા છે પણ કવિની કલ્પનાને કોણ રોકી શકે? સમયની વાત હોય કે પછી જીવનની કે પ્યારની કે પીડાની વાત હોય – સાવ સામાન્ય ભાસતી વાતને અનાયાસે અસામાન્ય કરી દે એનું જ તો નામ છે કવિતા!
Permalink
July 6, 2006 at 10:25 PM by સુરેશ · Filed under ગઝલ, નાઝિર સાવંત
માણસ વચ્ચે માણસ થઈ, પંકાઈ ગયેલો માણસ છું.
વહેંચણ વચ્ચે વહેંચણ થઇ વહેંચાઈ ગયેલો માણસ છું.
એ જ અમારું યૌવન છે, ભીનાશ તમારા આંગણની.
વાદળની ઝરમર થઈને, પથરાઈ ગયેલો માણસ છું.
દરદોને રાહત છે તો, ઉપચાર જરૂરી કોઈ નથી.
દુનિયાના જખમો જીરવી, રૂઝાઈ ગયેલો માણસ છું.
યત્ન કરો જો મનાવવાનો, તર્ત જ માની જાઉં છું.
અમથો અમથો આદતવશ, રીસાઈ ગયેલો માણસ છું.
‘નાઝીર’એવો માણસ છે,જે કેમ કરી વિસરાય નહીં.
જાતને થોડી ખરચીને, ખરચાઈ ગયેલો માણસ છું.
– નાઝીર સાવંત
લયસ્તરો પર આ ગઝલ નાઝિર દેખૈયાની ગઝલ તરીકે પૉસ્ટ કરી હતી પણ મિત્ર હિમલ પંડ્યા અને ફિરદૌસ દેખૈયાએ આજે જાણ કરી કે આ ગઝલ નાઝિરની જ છે પણ દેખૈયા નહીં, સાવંતની છે… ધ્યાન દોરવા બદલ બંને મિત્રોનો આભાર…
Permalink
July 6, 2006 at 10:14 PM by સુરેશ · Filed under ઇન્દ્ર શાહ, ગઝલ
સમજે તે ના બોલે, બોલે તે ના સમજુ
ડુબ્યા વિના થઇ શકે ના કદી કોઇ પણ મજનુ !
બીજ છુપાયું ધરતી નીચે સાવ જ ઓછા કદનું,
તમે જુઓ છો ફૂલ, વૃક્ષની ઉપર ઊંચા પદનું.
અંતના મૂળમાં આદિ, અંત આદિનું અંતિમ પગલું,
અનંતની ઓળખ માટે ના શૂન્ય વિના કંઇ ખપનું.
ડાબા જમણી ગયા વિના આ વચમાં રહેવું અઘરું,
નટના જેવું કામ આ તો ધ્યાન અને છે તપનું.
આકારો સૌ નિરાકારના, શું સાચું શું સપનું?
સપાટીએ સૌ જુદા જુદા પણ ભીતર સરખું સરખું.
– ઇન્દ્ર શાહ
ઓહાયોમાં રહેતા, મૂળ અમદાવાદના શ્રી ઇન્દ્ર શાહ વ્યવસાયે વકીલ, પણ અંતરથી કવિ છે. તેમનો કાવ્ય સંગ્રહ ‘બે ફૂલ’ ઊપરથી જુઓ તો પણ એક વિશિષ્ટ સર્જન છે. તેમના પોતાના હસ્તાક્ષરમાં છપાયેલ આ ગ્રંથનું બાહ્ય સ્વરૂપ આપણને છાપકામની પહેલાંની દુનિયામાં લઇ જાય છે, તો તેની ભીતરની રચનાઓમાં આક્રોશ છે અને ગહન તત્વની ચર્ચા છે. ઝેન, બુદ્ધ અને ઓશોના વિચારો તેમની રચનાઓમાં પ્રતિબિંબિત થાય છે. ગઝલનો વચલો શેર આપણને ‘શૂન્ય’ પાલનપુરીની યાદ અપાવી દે છે.
Permalink
July 5, 2006 at 11:07 PM by ધવલ · Filed under ગઝલ, સુરેશ ઝવેરી 'બેફીકર'
ઘાત અને આધાત નડે છે,
રોજ પડે ને જાત નડે છે.
સરખે ભાગે વહેંચી લઈએ,
આપણને જે વાત નડે છે.
લલચાવે છે અંત ભલેને,
ઈચ્છાની શરૂઆત નડે છે.
વાંધો ક્યાં છે ખરબચડાંનો,
લીસ્સાં પ્રત્યાઘાત નડે છે.
પરપોટાને જત લખવાનું,
બોલ! તને કઈ ઘાત નડે છે.
– સુરેશ ઝવેરી ‘બેફીકર’
ગઝલમાં કોઈ વાર તદ્દન સાદા શબ્દો પણ એવી ધાર સાથે આવે છે કે ઘા કરી જાય છે. વાંધો ક્યાં છે ખરબચડાંનો, લીસ્સાં પ્રત્યાઘાત નડે છે – જેવા શેર પછી ગઝલ મનમાં ન રમ્યા કરે તો જ નવાઈ. વાત તો ખરી જ છે, ઘાત અને આઘાત કરતાં પણ વધારે તો આપણને જાત જ નડે છે !
Permalink
July 2, 2006 at 3:26 AM by વિવેક · Filed under ગઝલ, સંજય પંડ્યા
નવી તાજી હવાની મહેક સાંગોપાંગ મળશે તો !
સુગંધી આવરણનો કેફ સાંગોપાંગ મળશે તો !
હું અશ્મિભૂત અવશેષો સમું મારું જીવન લઈને,
હજી શોધું વિધિના લેખ સાંગોપાંગ મળશે તો !
વરાળી શ્વાસનું સ્મારક અને તારા જ હસ્તાક્ષર,
હવે એ ફેફસાંમાં છેક સાંગોપાંગ મળશે તો !
જટા, ધૂણી, ભભૂતિ, આગ, ચીપિયા કે કમંડળમાં
અમારા પ્રેમની અહાલેક સાંગોપાંગ મળશે તો !
જળાશયની પ્રતિષ્ઠા આંખમાં અકબંધ રાખીને,
જુઓ ભીનાશનો આલેખ સાંગોપાંગ મળશે તો !
– સંજય પંડ્યા
મુંબઈગરા સંજય પંડ્યા માત્ર દેખાવે જ ફિલ્મ સ્ટાર જેવા નથી, એમની કવિતાઓ પણ એટલી જ સોહામણી છે. મુંબઈની ભીડમાં ભીંસાતા હોવા છતાં એમની કવિતામાં ગામડું અને ગામઠી ભાષા જ ઠેર-ઠેર પથરાયેલાં જોવા મળે છે. તળપદી ભાષા પર હથોટી એ સંજયના ગીત-ગઝલોની વિશેષતા છે. અને છતાં આધુનિક્તાથી યે એ લગીરે વેગળાં નથી જ. એક-બે બીજા શેર પણ મમળાવીએ:
મેઈલ કરું છું લાગણી, ટાઈપ કરું છું વ્હાલ,
કમ્પ્યુટરના ગાલ પર ટશરો ફૂટશે લાલ !
બળતી સિગાર જેવી અડધી હશે બળેલી,
બે આંગળીની વચ્ચે ઘટના જ પડતી મેલી.
Permalink
June 29, 2006 at 5:45 PM by ધવલ · Filed under ગઝલ, રાજેન્દ્ર શુક્લ
હું નતો સફર મહીં, સફરમાં તો નાવ હતી,
હું તો હું મહીં હતો, કોની આવજાવ હતી?
જે ક્ષણો અડી ગઈ તે અપૂ્ર્વ લ્હાવ હતી,
ને સકલ સરી જતાં ના કશેય રાવ હતી.
કલ્પનાની કુંજમાં લૂમઝૂમ કલ્પલતા,
જે સ્થળે તૃષા હતી તે સ્થળે જ વાવ હતી.
દૂર દેખવુંય તે નેત્રનોજ ખેલ હતો,
શ્વાસને અઢેલતી તું સમીપ સાવ હતી.
સ્તોત્ર પણ ભલે રચો અંજલી અપાય ભલે,
એ પ્રભાવની પ્રભા તો સહજ સ્વભાવ હતી.
– રાજેન્દ્ર શુક્લ
રાજેન્દ્ર શુક્લ ગઝલને હંમેશા એક વધુ ઊંચા મુકામ પર લઈ જાય છે. હું નતો સફર મહીં, સફરમાં તો નાવ હતી, હું તો હું મહીં હતો, કોની આવજાવ હતી? એ વાંચીને ગાલિબના ન થા કુછ તો … યાદ આવે છે. ( આભાર, પંચમ )
Permalink
June 25, 2006 at 6:22 AM by વિવેક · Filed under ગઝલ, જાતુષ જોશી
આંખ સમજે છે બધું પણ એ કશું કે’તી નથી,
આંખની સામે રહેલું રણ ફકત રેતી નથી.
કોઈ ત્યાં એવી રીતે આ વ્હેણને જોયા કરે,
કે નદી જેવી નદી આગળ પછી વ્હેતી નથી.
આંસુઓ થીજે પછી એનું વલણ બદલી જશે,
આંખ વ્હેતાં આંસુઓની નોંધ પણ લેતી નથી.
આ ક્ષણો તો મસ્ત થઈને મોજથી ચાલ્યા કરે,
કાંઈ એ લેતી નથી ને કાંઈ પણ દેતી નથી.
હા, ગઝલ કાગળ ઉપર લખવી પડે છે ઠીક છે,
પણ ગઝલ ક્યારેય તે કાગળ ઉપર રે’તી નથી.
જાતુષ જોશી
Permalink
June 23, 2006 at 8:48 PM by ધવલ · Filed under ગઝલ, વિવેક મનહર ટેલર
(પાણીની અંદરનું વિશ્વ… ….માલદીવ્સ, ફેબ્રુઆરી-02)
ગયા ભવની વ્યથા શું વેઠવી બાકી હતી કોઈ ?
નકર કારણ વગર બનતું નથી આજે કવિ કોઈ.
તમે હસતા રહી સૌ વાતને હળવી બનાવો છો,
અને સમજે છે સૌ કે કાળજી તમને નથી કોઈ.
જમાનો સૌ ભલા માણસની સાથે આ જ કરવાનો,
તમે પગલું ઉપાડો ત્યાં જ કરશે, ‘આ…ક્..છી’ કોઈ.
તબીબ જ સમજી શકશે દર્દ જાણી એમ આવ્યા છો,
તમારી સામે બેઠો છે પરંતું માનવી કોઈ.
હવાના ઘર થયાં છે કેદ સૌ પાણીના પરપોટે,
સપાટી પર લઈને જાય ઘનતાની કમી કોઈ.
ન થઈ જે વાત એના ડંખે સર્જી છે ગઝલ મારી
કે ક્ષ્રર કાગજ પે અક્ષર પામું એવી લાગણી કોઈ.
ડૉ.વિવેક મનહર ટેલર
Permalink
June 18, 2006 at 3:04 AM by વિવેક · Filed under ગઝલ, દત્તાત્રય ભટ્ટ
જે જુઓ તે સ્વપ્નવત્ ,
રિક્તતા પણ રક્તવત્ .
ઝૂકશે જગ દંડવત્ ,
તું રહે જો પંડવત્ .
ગાલગે બંધાય ક્યાં ?
લાગણીઓ છંદવત્.
કોણ બેસે ? શું ખબર !
હું સજાયો તખ્તવત્.
કોઈ તો વીંધે મને,
હું ફરું છું મચ્છવત્.
ના કશું સ્પર્શે મને,
હું પડ્યો છું ગ્રંથવત્.
રોકવાનો થાક છે,
હું તૂટું છું બંધવત્.
દોડશે તું ભેટવા,
જો, મને તું અંતવત્.
દોડ, મારા શ્વાસમાં,
સ્થિર થૈ ગૈ અશ્વવત્.
દત્તાત્રય ભટ્ટ
ટૂંકી બહેરની ગઝલ એ કોઈ પણ કવિની કસોટી સમાન હોય છે. અને આ ગઝલ જો ધ્યાનપૂર્વક વાંચો તો જણાશે કે મોટાભાગના શેરમાં કવિ સફળ રહ્યાં છે. માણસ જો પંડવત રહેતાં શીખે તો જગત નમશે એ વાત ખૂબ સુંદર છે. એ જ રીતે લાગણીઓ બંધનમાં બાંધી શકાતી નથી એ વાત આ ગઝલના છંદ “ગાલગા”ના પ્રતીકથી અદભૂત રીતે સમજાવાઈ છે.
Permalink
June 15, 2006 at 12:05 AM by ધવલ · Filed under ગઝલ, રાજેન્દ્ર શુક્લ
ક્ષણ સરકતું, લરહરતું વૃક્ષ છું.
શ્વાસનો સંચાર કરતું વૃક્ષ છું.
હો ધરા કે હો ગગન મ્હોરી ઊઠું,
હું ફૂલોની જેમ ફરતું વૃક્ષ છું.
મર્મરે છે પંખીઓ, પરણો, પવન
કલરવે કલ્લોલ કરતું વૃક્ષ છું.
તું, ખખડધજ કાળ, ખોડાઈ રહે
હું તો હળવે હરતુંફરતું વૃક્ષ છું.
ડાળ નીચે, મૂળ ઊંચે શબ્દનું
હું પરમ મકરંદ ઝરતું વૃક્ષ છું.
– રાજેન્દ્ર શુક્લ
(મકરંદ=પુષ્પરસ)
Permalink
June 14, 2006 at 9:57 AM by ધવલ · Filed under ગઝલ, વિવેક મનહર ટેલર

આઈ-પીસમાંથી તેં જોયો, શું કરું?
દ્વાર પર…પણ દૂર લાગ્યો, શું કરું?
જિંદગીનો પથ હજી બાકી હતો,
આપણો સંબંધ ખૂટ્યો, શું કરું?
તારી ઈચ્છાનો આ પુલ છે સાંકડો,
મેં મને કોરાણે મૂક્યો, શું કરું?
પ્રેમની પળ, તેં કહ્યું, સહિયારી છે,
થઈ તને આધીન જીવ્યો, શું કરું?
હો સભા તારી અને માણસ દુઃખી?
ચહેરા પર ચહેરો લગાવ્યો, શું કરું?
વસ્લની વચ્ચે સ્ફુરેલો શબ્દ છું,
છે અધૂરાં એથી કાવ્યો……(શું કરું?)
– વિવેક મનહર ટેલર
વિવેકની આ અને બીજી ઘણી ગઝલો આપ એના બ્લોગ શબ્દો છે શ્વાસ મારા પર માણી શકો છો.
Permalink
June 5, 2006 at 10:25 PM by ધવલ · Filed under ગઝલ, જવાહર બક્ષી
રાત, પ્રતીક્ષા, ઊંઘનું ઝોલું
શ્રદ્ધા જેવા લયથી ડોલું
હું ઝાકળના શહેરનો બંદી
બોલ, ક્યો દરવાજો ખોલું ?
થાય સજા પડઘા-બારીની
ત્યાં જ તમારું નામ ન બોલું
આવરણોને કોણ હટાવે ?
રૂપ તમારું આખાબોલું !
સ્વપ્નાંઓ સંપૂર્ણ થયાં છે
આપ કહો…તો આંખો ખોલું
– જવાહર બક્ષી
જવાહર બક્ષી ગુજરાતી ગઝલમાં અનેરો અવાજ છે. વર્ષો સુધી જતનપૂર્વક સેવેલી ગઝલોનો એમનો સંગ્રહ તારાપણાના શહેરમાં ગુજરાતી ગઝલનું એક સિમાચિહ્ન છે. એમની જ આગળ રજૂ કરેલી ગઝલો પણ જોશો : ખાલીપણું બીજા તો કોઈ કામનું નથી અને હું તને કયાંથી મળું ?
Permalink
May 31, 2006 at 9:17 AM by વિવેક · Filed under ગઝલ, ભગવતીકુમાર શર્મા
ઉદાસી આ સૂરજની આંખે ચઢી છે,
તમારા વિના સાંજ ડૂસકે ચઢી છે.
મને ઉંબરે એકલો છોડી દઈને,
હવે ખુદ પ્રતિક્ષા ઝરૂખે ચઢી છે.
તમે નામ મારું લખ્યું’તું કદી જ્યાં,
મધુમાલતી એ જ ભીંતે ચઢી છે.
જરા ગણગણી લઉં તમારી સભામાં,
ભુલાયેલ પંક્તિઓ હોઠે ચઢી છે.
-ભગવતીકુમાર શર્મા
નખશિખ સુરતી મુરબ્બી શ્રી ભગવતીકાકા અમારા શહેરનું ગૌરવ છે અને આજે એમની સલામીમાં બબ્બે પ્રસંગો છે: એક તો આજે એમનો જન્મદિવસ (31-05-2006) છે અને બીજું, ગુજરાતમિત્રમાં વર્ષોથી ‘નિર્લેપ’ના નામે છેલ્લા પાને લખાતી હાસ્યકોલમના ચૂંટેલા લેખોના ચાર પુસ્તકોનો વિમોચન સમારોહ આ લખાઈ રહ્યું છે ત્યારે યોજાઈ રહ્યો છે! આજન્મ પત્રકાર, ઉત્તમ કવિ, નિબંધકાર, સુંદર વાર્તાકાર અને નવલકથાકાર પણ. લયસ્તરો તરફથી એમને જન્મદિનની શુભેચ્છાઓ અને દીર્ઘાયુષ્યની કામનાઓ…
Permalink
May 30, 2006 at 8:20 PM by ધવલ · Filed under ગઝલ, જલન માતરી
તકદીર ખુદ ખુદાએ લખી પણ ગમી નથી,
સારું થયું કે કોઈ મનુજે લખી નથી.
કેવા શુકનમાં પર્વતે આપી હશે વિદાય,
નિજ ઘરથી નીકળી નદી પાછી વળી નથી.
શ્રદ્ધાનો હો વિષય તો પુરાવાની શી જરૂર?
કુરઆનમાં તો ક્યાંય પયમ્બરની સહી નથી.
ડૂબાડી દઈ શકું છું ગળાબૂડ સ્મિતને,
મારી કને તો અશ્રુઓની કંઈ કમી નથી.
મૃત્યુની ઠેસ વાગશે તો શું થશે ‘જલન’,
જીવનની ઠેસની હજુ કળ વળી નથી.
– જલન માતરી
Permalink
May 29, 2006 at 2:23 PM by ધવલ · Filed under ગઝલ, વિવેક મનહર ટેલર

એક ઘેરો રંગ છે મારી ભીતર,
મૌન છે પણ તંગ છે મારી ભીતર.
હોઠ ખૂલવાનું નહીં શીખ્યાં કદી ,
જીભ પણ બેઢંગ છે મારી ભીતર.
લોહીમાં સૂરજ કદી ઉગ્યાં નહીં,
જો, નિશા અડબંગ છે મારી ભીતર.
ટુકડે-ટુકડા થઈ ગયો તો પણ જીવું,
આયનાઓ દંગ છે મારી ભીતર.
બેઉ પક્ષે હું જ કપાઉં, કેવું યુદ્ધ
મન-હૃદયની સંગ છે મારી ભીતર!
શું કરૂં તારી અઢાર અક્ષૌહિણી ?
તું નથી એજ જંગ છે મારી ભીતર.
હું નવી દુનિયામાં જન્મેલી ગઝલ,
કાફિયા સૌ તંગ છે મારી ભીતર.
શ્વાસ નશ્વર, થઈ ગયાં ઈશ્વર હવે,
શબ્દનો સત્સંગ છે મારી ભીતર.
ડૉ. વિવેક મનહર ટેલર
અડબંગ= જક્કી, હઠીલું
અક્ષૌહિણી= જેમાં ૨૧,૮૭૦ હાથી, ૨૧,૮૭૦ રથ, ૬૫,૬૧૦ ઘોડેસવાર અને ૧,૦૯,૩૫૦ પાયદળ હોય તેવી ચતુરંગી સેના (કૃષ્ણ ભગવાને યુદ્ધ પૂર્વે અર્જુન અને દુર્યોધન સામે ક્યાં તો નિઃશસ્ત્ર એવો હું અથવા મારી અઢાર અક્ષૌહિણી સેના એવો મદદનો વિકલ્પ આપ્યો હતો)
Permalink
May 28, 2006 at 3:51 PM by ધવલ · Filed under ગઝલ, હરીન્દ્ર દવે
મહેકમાં મહેક મળી જાય તો મૃત્યુ ન કહો
તેજમાં તેજ મળી જાય તો મૃત્યુ ન કહો
રાહ જુદો જો ફંટાય તો મૃત્યુ ન કહો
શ્વાસની લીલા સમેટાય તો મૃત્યુ ન કહો.
દીર્ઘ યાત્રાની જરૂરતથી સજ્જ થઈ જઈને
એક મંઝિલની લગન આંખે ઉતરવા દઈને
ભાનની ક્ષણને કાળજીથી સમેટી લઈને
‘આવજો’ કહીને કોઈ જાય તો મૃત્યુ ન કહો.
જે નરી આંખે જણાયું ન એ તત્વ કળવા
જે અગોચર છે એ અસ્તિત્વને હરદમ મળવા,
દૂર દુનિયાના રહસ્યોનો તાગ મેળવવા
દ્રષ્ટી જો આંખથી છલકાય તો મૃત્યુ ન કહો.
શબ્દ ક્યાં પહોંચે છે તે જાતે નિરખવા માટે
ભાન ની સૃષ્ટીની સિમાને પરખવા માટે
દિલના વિસ્તારની દુનિયાઓમાં વસવા માટે
કોઈ મહેફીલથી ઊઠી જાય તો મૃત્યુ ન કહો.
– હરીન્દ્ર દવે
ઘણા વખતથી આ ગઝલ મનમાં રમતી હતી. મૃત્યુને નવી રીતે જોવાની વાત અહીં સરસ રીતે આવી છે. ભાનની ક્ષણને કાળજીથી સમેટી લઈને,’આવજો’ કહીને કોઈ જાય તો મૃત્યુ ન કહો, એ મારી પ્રિય પંક્તિ છે. આ ગઝલ આખી શોધી આપવા માટે આભાર, ક્લ્પન.
Permalink
May 25, 2006 at 2:49 AM by વિવેક · Filed under ગઝલ, રમેશ પારેખ, શબ્દસપ્તક
બંધ પરબીડિયામાંથી મરણ મળે તમને,
બચી શકાય તો બચવાની ક્ષણ મળે તમને.
ટપાલ જેમ તમે ઘેર-ઘેર પ્હોંચો પણ,
સમસ્ત શહેરના લોકો અભણ મળે તમને.
ખજૂરી જેટલો છાંયો મળે એ સિક્કાની,
બીજી બાજુ ય છે એવી કે, રણ મળે તમને.
વિખૂટું હોય છે તેને ભૂલી જવા માટે,
સમક્ષ હોય છે તેનું શરણ મળે તમને.
તમારા કંઠમાં પહેલાં તો એક છિદ્ર મળે,
પછી તૃષા ને પછીથી ઝરણ મળે તમને.
ઝરણ નહીં તો એના પ્રાસથી ચલાવી લ્યો,
અહીં અભાવનું વાતાવરણ મળે તમને.
જાવ, નિર્વીર્ય હે શબ્દો, તમોને આશિષ છે,
તમારા ક્લૈબ્યનું વાજીકરણ મળે તમને.
-રમેશ પારેખ
રમેશ પારેખ ફક્ત ગીતકાર તરીકે યાદ કરાશે એમ કહેવામાં એમની ગઝલો આડે આવે છે.કેટલાંક છંદદોષને બાદ કરીએ તો ભાષા-વૈવિધ્ય, અંદાજે-બયાં, મૌસિકી અને શેરિયતથી છલકાતી એમની ગઝલો સદાને માટે આપણી ભાષામાં મોખરાના સ્થાને વિરાજમાન રહેશે. ર.પા.ની ઘણી વિખ્યાત પણ હજી સુધી ઈન્ટરનેટ પર ઉપલબ્ધ નથી એવી એક ગઝલ અહીં રજૂ કરીએ છીએ. ગઝલના બધા જ શેર ઉત્તમ છે પણ ચોથો શેર આખી ગઝલનો કદાચ સૌથી સરળ છતાં સૌથી ઉત્તમ ! અને મક્તો જુઓ: શબ્દોને આશીર્વાદ તો ર.પા. જ આપી શકે ને! વાજીકરણ શબ્દને કાફિયા તરીકે વાપરવાની છાતી તો અમરેલીના નાથ વિના કોની કને હોય!
(ક્લૈબ્ય=નપુંસકતા, વાજીકરણ= વીર્યવર્ધક ઔષધપ્રયોગ)
Permalink
May 15, 2006 at 7:12 PM by ધવલ · Filed under ગઝલ, વિવેક મનહર ટેલર
મારી ને તારી પ્રીતમાં જોડાણ સઘળું છે,
પાણીના બે અણુ સમું બંધાણ સઘળું છે.
જો શાંત થઈ ગયાં તો પછી કંઈ જ ના બચે,
શ્વાસોની આ ગલીમાં તો રમખાણ સઘળું છે.
લૂંટાવું તારા હાથે, એ નિશ્ચિત હતું, ઓ કાબ !
છે હાથ, છે કળા ને ધનુષ-બાણ, સઘળું છે.
ચઢતાં જે થાક લાગ્યો, ઉતરતાં ન લાગ્યો એ,
સમજ્યો, આ દેહ શૂન્ય છે, ખેંચાણ સઘળું છે.
આગળ ખબર નથી અને પાછળ કશું નથી,
બે-ચાર પળનું આપણું રોકાણ સઘળું છે.
શબ્દોને વાવ્યાં લોહીમાં તો શ્વાસ થઈ ઊગ્યાં,
મારા કવનમાં કંઈ નથી, ભેલાણ સઘળું છે.
ડૉ. વિવેક મનહર ટેલર
(કાબ=કાબો,લૂંટારો, ભેલાણ=બગાડ,નુકસાન)
વિવેકની આ અને બીજી ગઝલો આપ એની સ્વરચિત ગઝલોના બ્લોગ શબ્દો છે શ્વાસ મારાં પર માણી શકો છો.
Permalink
May 15, 2006 at 12:27 PM by ધવલ · Filed under ગઝલ, લાભશંકર દવે
ઊતરી ગયું છે પાણી બધું ચાસેચાસમાં
એનો વિકાસ થાય છે આ લીલા ઘાસમાં.
હું ફૂલ એનાં જોઈને નિશ્ચિંત થઈ ગયો !
મારું કફન વણાઈ રહ્યું છે કપાસમાં !
મારો અભાવ કેવો લીલછમ બની ગયો !
ઊગી ગયું છે ઘાસ કબરની આસપાસમાં.
તું એને શોધવાના પ્રયાસો ન કર હવે,
એ પણ કદાચ હોય તારા શ્વાસેશ્વાસમાં !
– લાભશંકર દવે
નવીન કલ્પનોથી સજાવેલી આ ગઝલને સનાતન અસ્તિત્વ એવું નામ આપીને કવિએ આખો નવો અર્થ આપ્યો છે. એના સંદર્ભમાં ગઝલને સમજવાનો પ્રયાસ કરો તો અર્થનું એક વધારે પડ ઉઘડે છે.
Permalink
May 13, 2006 at 9:57 AM by વિવેક · Filed under ગઝલ, દત્તાત્રય ભટ્ટ
રોજ ઉદાસી ઢળે મારી ભીતર,
એક સન્નાટો ભળે મારી ભીતર.
રેતનો દરિયો અહર્નિશ વિસ્તરે,
ઝાંઝવાં ટોળે વળે મારી ભીતર.
નીકળે નિઃશ્વાસ નિત ઉચ્છવાસમાં,
કોણ શ્વાસોને છળે મારી ભીતર ?
ચક્રવ્યૂહોમાં ફસાતાં શ્વાસ, ને –
આગલા જન્મો કળે મારી ભીતર.
સ્થૂળ રૂપે સાંપડે સમશાનમાં,
જે ચિતા હરદમ બળે મારી ભીતર.
દત્તાત્રય ભટ્ટ (જન્મ: 8-6-1958), હાલ ગોધરા રહે છે. એમની ગઝલોમાં ઊર્મિની વેધક રજૂઆત ઊડીને આંખે વળગે છે. આખી ગઝલમાં ઉદાસીનો રંગ ધીમે-ધીમે ખૂબ ઘેરો બનતો જતો હોવાની પ્રતીતિ થાય છે. મક્તાના શેરમાં ચિત્તમાં કાયમ પ્રજ્વળતી રહેતી ચિતાનો સ્થૂળ દેહ એક ઊંડો વિષાદ જન્માવવામાં સફળ થાય છે જે કૃતિ અને કવિની સફળતા છે.
Permalink
May 11, 2006 at 1:46 PM by ધવલ · Filed under ગઝલ, વિવેક મનહર ટેલર
ચાલો ને મળીએ ‘હું’ ને ‘તું’ ની મધ્યના કો’ દેશમાં,
આગત-અનાગત બે પળો દરમ્યાન છૂપા વેશમાં.
અંતર ભલેને જોજનોનું, દૂર છે અંતર શું અમ ?
અંતે થશું ભેળા મહાભૂતોના પંચમ્ દેશમાં.
કોઈ મને પાડે ફરજ ? ના-ના, કદી મુમકિન નથી,
હું જે કરું છું, જેમ છું – મારા જ બસ, આદેશમાં
સમજાયું અંતે તો મને કે તું જ સૌથી શ્રેષ્ઠ છે,
ભૂલી ગયો’તો મૂલ્ય હું કાયમના સંનિવેશમાં.
અલ્લાહની આગળ કયામત પર જઈશું શાનથી,
વાતો નથી મારામાં જે એ ક્યાં છે કો’ દરવેશમાં ?
હોતું નથી એ ઝીલવાનું ભાગ્યમાં હરએકનાં,
બાકી વહે છે શબ્દ સૌમાં, ક્યાં અતિ ક્યાં લેશમાં.
ડૉ.વિવેક મનહર ટેલર
Permalink
May 10, 2006 at 9:48 PM by ધવલ · Filed under ગઝલ, જગદીશ જોષી
પડઘાની આંખ આંજીને બેહદનું ખુશ થવું,
બસ આટલો આ મારી તિતિક્ષાનો ભાર છે.
પહેલાંની જે બપોર તે મધરાત થઈ બળે,
તારાઓ રૂપે સૂર્યની કરચોની ધાર છે.
નવરાશના તટે જે ચણ્યા મ્હેલ મેં-તમે,
બારી મૂકી’તી ત્યાં હવે ભૂરો ઉભાર છે.
– જગદીશ જોષી
જે કલમે ખોબો ભરીને અમે અને એક હતી સર્વકાલિન વાર્તા જેવી રચનાઓ આપી એને રૂપકોની અછત હોય જ નહી. જેવો સ્નિગ્ધ વિષાદ આ ગઝલમાં જોવા મળે છે, એ જગદીશ જોષી સિવાય કોઈની રચનામાં જોવા મળતો નથી.
(તિતિક્ષા=સહનશીલતા,ધૈર્ય)
Permalink
May 10, 2006 at 10:18 AM by ધવલ · Filed under ગઝલ, નયન દેસાઈ
માણસ ઉર્ફે રેતી, ઉર્ફે દરિયો, ઉર્ફે ડૂબી જવાની ઘટના ઉર્ફે;
ઘટના એટલે લોહી, એટલે વહેવું એટલે ખૂટી જવાની ઘટના ઉર્ફે…
ખુલ્લી બારી જેવી આંખો ને આંખોમાં દિવસો ઊગે ને આથમતા;
દિવસો મતલબ વેઢા, મતલબ પંખી, મતલબ ઊડી જવાની ઘટના ઉર્ફે…
વજ્જરની છાતી ના પીગળે, આંસું જેવું પાંપણને કૈં અડકે તો પણ;
આંસુ, એમાં શૈશવ, એમાં કૂવો, એમાં કૂદી જવાની ઘટના ઉર્ફે…
પગમાંથી પગલું ફૂટે ને પગલાંમાંથી રસ્તાના કૈં રસ્તા ફૂટે;
રસ્તા અથવા ફૂલો અથવા પથ્થર અથવા ઊગી જવાની ઘટના ઉર્ફે…
ચાલો સૌ આ સંબંધોની વણજારોને બીજે રસ્તે વાળી દઈએ,
સંબંધો સમણાંનાં ઝુમ્મર, ઝુમ્મર યાને ફૂટી જવાની ઘટના ઉર્ફે…
છાતીમાં સૂરજ ઊગ્યાનો દવ સળગે ને સૂરજ તો એક પીળું ગૂમડું,
ગૂમડું પાકે, છાતી પાકે, મહેફિલમાંથી ઊઠી જવાની ઘટના ઉર્ફે…
મૂઠી ભરીને પડછાયાનાં ગામ વસેલાં ને પડછાયા હાલે ચાલે,
પડછાયા તો જાણે ચહેરા, ચહેરા જાણે ભૂલી જવાની ઘટના ઉર્ફે…
– નયન દેસાઈ
નયનભાઈને સાંભળવા એક મોટો લાહવો છે. મોટા ભાગના કવિઓ ગઝલ લખે છે અને સંભળાવે છે. જયારે નયન ગઝલ જીવે છે અને જીવી બતાડે છે. આંખ બંધ કરીને એ ઘેરા સ્વરથી ગઝલ, એવી તન્મયતાથી સંભળાવે કે જાણે એ પોતે ગઝલના વિશ્વમાં જ પહોંચી ગયા ન હોય અને સાથી શ્રોતાઓને પણ પોતાની સાથે જ લઈ જાય.
આ ગઝલના તો એટલા અર્થસ્વરૂપો છે કે રોજ એક જ શેર વાંચીને એને આખો દિવસ મમળાવો ત્યારે જ સંતોષ થાય.
Permalink
May 9, 2006 at 7:25 PM by ધવલ · Filed under આદિલ મન્સૂરી, ગઝલ
લોહીની નદીઓ વહે છે રોકો
રોજ નિર્દોષ મરે છે રોકો
આગને કોણ સળગતી રાખે
શહેરના શે’ર બળે છે રોકો
ન્યાય ને રક્ષા કરી જે ન શકે
ભાષણો કેમ કરે છે રોકો
શબની પેટીથી મતની પેટી
કોઈ સરખાવ્યા કરે છે રોકો
છે ઈમારત પડું પડું ‘આદિલ’
મૂળ આધાર ખસે છે રોકો
– આદિલ મન્સૂરી
Permalink
May 7, 2006 at 3:11 AM by વિવેક · Filed under ગઝલ, મણિલાલ દેસાઈ
વસ્તીની આસપાસ ઊગી જાય જંગલો,
મારા પ્રવાસમાં યે ભળી જાય જંગલો.
તારા એ પ્રેમને હવે કેવી રીતે ભૂલું ?
કાપું છું એક વૃક્ષ, ઊગી જાય જંગલો !
જો તું નથી તો તાય, અહીં કોઈ પણ નથી,
તુજ નામ આસપાસ ઊગી જાય જંગલો.
સૂકું જો ખરે પાન તો એની ખબર પડે,
વ્હેલી સવારે ઘરમાં ફરી જાય જંગલો.
લીલો અવાજ મોરનો હજુ યે ઉદાસ છે –
એ સાંભળીને રોજ તૂટી જાય જંગલો.
ચાવું છું ભાન ભૂલી તણખલું હું ઘાસનું,
ને મારે રોમ રોમ ઊગી જાય જંગલો.
લીલાં ને સૂકાં પાન ખરે છે ઉદાસીનાં,
ને શૂન્યતાના ઘરમાં ઊગી જાય જંગલો.
મણિલાલ ભગવાનજી દેસાઈ (19-7-1939 થી 4-5-1966) વલસાડના ગોરેગામમાં જન્મ્યા અને યુવાનવયે અમદાવાદમાં મૃત્યુ પામ્યા. લયમધુર ગીત, પ્રસન્નતાના મિજાજથી છલકાતી ગઝલ, ભાવસમૃદ્ધ સોનેટ અને અછાંદસ કાવ્યોમાં વ્યક્ત એમની બહુવિધ પ્રતિભાનું ઠેઠ એમના મૃત્યુપર્યંત જયંત પારેખ દ્વારા ‘રાનેરી’ રૂપે સંપાદન થવા પામ્યું. એમનાં કાવ્યોમાં નગરજીવનની સંવેદના, વન્યજીવનના આવેગો અને ગ્રામપ્રકૃતિની ધબક હૃદયસ્પર્શિતાથી આલેખાયાં હોવાથી તાજગીની અનુભૂતિ કરાવે છે. સુરેશ દલાલ એમને ‘અંધકારના રંગ, લય અને ગતિના કવિ’ તરીકે ઓળખાવે છે.
Permalink
May 4, 2006 at 1:38 PM by ધવલ · Filed under ગઝલ, રાજેન્દ્ર શુક્લ
દૂર દૂર પરહરતાં, સાજન !
વરસો આમ જ સરતાં, સાજન !
કારતકના કોડીલા દિવસો –
ઊગી આથમી ખરતા, સાજન !
માગશરના માઝમ મ્હોલોમાં
નેવાં ઝરમર ઝરતાં, સાજન.
પોષ શિશિરની રજાઈ ઓઢી
અમે એક થરથરતા, સાજન !
માઘ વધાવ્યા પંચમ સ્વર તો
કાન વિષે કરગરતા, સાજન !
છાકભર્યા ફાગણના દહાડા –
હોશ અમારા હરતા, સાજન !
ચૈત્ર ચાંદની, લ્હાય બળે છે,
તમે જ ચંદન ધરતા, સાજન !
એ વૈશાખી ગોરજવેળા,
ફરી ફરીને સ્મરતા, સાજન !
જેઠ મહિને વટપૂજન વ્રત,
લોક જાગરણ કરતા, સાજન !
આષાઢી અંધારે મનમાં
વીજ સમાં તરવરતાં, સાજન !
શ્રાવણનાં સરવરની પાળે,
હવે એકલા ફરતા, સાજન !
ભાદરવો ભરપૂર વહે છે,
કાગ નિસાસા ભરતા, સાજન !
આસોનાં આંગણ સંભારે
પગલાં કુંકુમઝરતાં, સાજન !
– રાજેન્દ્ર શુક્લ
માસે માસ પ્રિયજનને સંભારતા વિતેલા વર્ષની કથારૂપે વણેલી આ ગઝલ તરત જ દિલમાં ઘર કરી જાય એવી છે. કવિએ પસંદ કરેલા શબ્દો એટલાં મીઠાં છે કે વિરહને વેદના ભૂલીને કવિની ભાષાસિદ્ધિને બિરદાવવાનું મન થઈ આવે છે ! દરેક માસનું આગવું ચિત્ર અહીં આબાદ ઉપસી આવે છે. સૌથી છેલ્લી કડીમાં, આસો માસમાં એટલે કે દિવાળી વખતે રંગોળી પૂરવાના મહીનામાં, આંગણ ખુદ સાજનના કુંકુમઝરતાં પગલાને યાદ કરે છે એવી વાત કરીને કવિ અભિવ્યક્તિને એક વધારે ઊંચા મૂકામ પર લઈ ગયા છે.
( પરહરતાં=છોડી જતા, મ્હોલો=મહેલો, છાક=કેફ, ગોરજવેળા=સાંજ )
Permalink
May 4, 2006 at 8:31 AM by વિવેક · Filed under ગઝલ, મનહરલાલ ચોકસી
ગુફ્તગૂમાં રાત ઓગળતી રહી;
ને શમાઓ સ્પર્શની બળતી રહી.
સ્વપ્નમાં એકાંતનો પગરવ હતો,
રાતરાણી ગીત સાંભળતી રહી.
વૃક્ષની ડાળેથી ટહુકાઓ ગયા,
પાનખરની પાંખ સળવળતી રહી.
ઊંટનાં પગલાંમાં હું બેસી રહ્યો,
જીભ એ મૃગજળની સળવળતી રહી.
હાથમાં અવસર તણું દર્પણ હતું,
ને નજર વેરાનમાં ઢળતી રહી.
હું કોઈ સંબંધનું આકાશ છું,
શબ્દની રેખાઓ ઓગળતી રહી.
-મનહરલાલ ચોક્સી ‘મુનવ્વર’
આજે મનહરલાલ ચોક્સીની વિદાયને એક વર્ષ થયું (29-09-1929 થી 04-05-2005). ગુજરાતમિત્રમાં ‘શાયરીની શમા’ વર્ષો લગી ઝળહળતી રાખનાર મનહરલાલ પારદર્શી વ્યક્તિત્વ ઉપરાંત સાદગી, સહિષ્ણુતા અને સમભાવના કારણે આજીવન અજાતશત્રુ રહ્યાં અને તે એટલી હદે કે પાર્કિન્સનની બિમારી સાથે ય કાયમી દોસ્તી રાખી. એમની ચોકસી નજર નીચે કેટલાય કવિઓ છંદ-લયથી સમૃદ્ધ થયાં. ઉર્દૂના ઉસ્તાદ કક્ષાના જાણકાર. જ્યોતિષવિજ્ઞાન અને આંકડાશાસ્ત્રના પ્રખર જાણભેદુ. ગુજરાતને કવિતા, નવલકથા અને વાર્તાઓ આપવા ઉપરાંત એમણે મુકુલ ચોક્સી પણ આપ્યા! પદ્ય પદાર્પણ :‘ગુજરાતી ગઝલ’ (ગઝલ), ‘અક્ષર’ અને ‘ ‘વૃક્ષોના છાંયડાઓ મને ઓળખી ગયા’ (કાવ્ય સંગ્રહો), ‘હવાનો રંગ’ (મુક્તક).
Permalink
May 3, 2006 at 10:23 AM by ધવલ · Filed under ગઝલ, વિવેક મનહર ટેલર
(સોમનાથ મહાદેવ, વેરાવળ: 1992)
રક્તથી સીંચાઈને બનશે નહીં,
ઈંટ કોઈ પણ અહીં ટકશે નહીં.
લોહીના એક બુંદથી હો કિંમતી
એવો પત્થર વિશ્વમાં મળશે નહીં.
શ્વાસમાં મ્હોર્યો હતો વિશ્વાસ જે,
કોઈ આંખોમાં કદી જડશે નહીં.
બાબરી બાંધો કે મંદિર, વ્યર્થ છે –
કોઈ કોઈને હવે ભજશે નહીં.
રામલલ્લા બોલો કે અલ્લાહ્ કહો,
એ અહીં મળતાં નથી, મળશે નહીં.
આદમીના દિલથી થઈને દિલ લગી
જાય એ રસ્તો હવે બનશે નહીં.
ડૉ.વિવેક મનહર ટેલર
છેલ્લા બે દિવસથી રસ્તા વચ્ચે દબાણરૂપ એક દરગાહ કૉર્પોરેશન દ્વારા તોડી પાડવામાં આવતા સંસ્કારનગરી વડોદરામાં અચાનક કોમી રમખાણ શરૂ થઈ ગયા છે. નિર્દોષ લોકોની જાનહાનિ અને માલસામાન-કામધંધાની પાયમાલી ઉપરાંત કશુંક બીજું પણ આ દાવાનળમાં ભડભડ બળી રહ્યું છે જેના પર કોઈની નજર જ નથી! માણસ-માણસ વચ્ચેના આ તૂટી રહેલા રસ્તા વિશે પેશ છે એક ગઝલ. બાબરીધ્વંસવેળા લખેલી આ ગઝલ આજે પણ લાગે છે કે અપ્રસ્તુત નથી.
Permalink
April 30, 2006 at 7:25 AM by વિવેક · Filed under ગઝલ, બેજાન બહાદરપુરી
મને સાથ એનો મળ્યો છે સદાનો
કહો કેટલો પાડ માનું વ્યથાનો !
કહે છે હૃદય : સાવ નિર્દોષ છે તું
પછી હોય શો ડર ગમે તે સજાનો !
કબૂલીશ એ વાત ક્યારેક તું પણ
નથી માનવી હું ય નાના ગજાનો
પછી શું થયું એ ન પૂછે તો સારું
નથી અંત હોતો સદા હર કથાનો
સતત કોઈ દોરે અને દોરવાવું !
કરો અંત ‘બેજાન’ એવી પ્રથાનો.
‘બેજાન’ બહાદરપુરી
Permalink
Page 47 of 49« First«...464748...»Last »