તું દિવસ છે, રાત છું હું, થશે સંધિકાળ ક્યારેય?
તું સરે-સરે સરે છે, ફરું છું વને-વને હું.
વિવેક મનહર ટેલર

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for ગઝલ

ગઝલ શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.




મીંઢળ વગર – યામિની ગૌરાંગ વ્યાસ

કાગ કા કા કહેણ કે કાગળ વગર,
આગમન કોનું થશે અટકળ વગર !

કોણ સાંભળશે કિનારાની વ્યથા
નાવ આ ડૂસ્કે ચઢી છે જળ વગર.!

સામસામે થાય સિંજારવ મધુર
એ જ મનમેળાપ છે મીંઢળ વગર.!

ટેરવામાં તરફડાટો હોય છે
જેમ ફૂલો તરફડે ઝાકળ વગર.!

ખૂબ ભીંજાવું પડે છે, દોસ્તો !
લાગણીનાં એક પણ વાદળ વગર.!

આગ, ધુમાડા વિના દૂણાય શું ?
મન સળગતું હોય દાવાનળ વગર.!

-યામિની ગૌરાંગ વ્યાસ

યામિની વ્યાસ આમ તો સુરતની પૃષ્ઠભૂ પર કુશળ અભિનેત્રી અને નાટ્યકાર તરીકે ઝડપથી આગળ આવેલું નામ છે પણ કવયિત્રી તરીકે પણ એ ખાસ્સું કાઠું કાઢી રહ્યા છે. આ ગઝલ જુઓ. બધા જ શેર શું મજાના નથી થયા? નાવ, ટેરવાં અને વાદળવાળા શેર તો સ્વયંસ્ફુટ અને હાંસિલે-ગઝલ છે જ પણ સિંજારવ જેવો શબ્દ સહજતાથી વેંઢારીને ચાલતો શેર પણ જોવા જેવો થયો છે. સિંજારવ એટલે ધાતુના ઘરેણાંનો ખણખણાટ. સામસામે બે મન મોકળાશથી મળે ત્યારે જે સંગીત આપોઆપ રચાય છે એ મીંઢળજોડ્યા સંબંધોમાં બહુધા સંભળાતું નથી. જ્યાં આ રણકારનું સંગીત નથી ત્યાં વળી કેવો મનમેળાપ? અને છેલ્લો શેર પણ એજ રીતે કાબિલે-દાદ થયો છે. આગ લાગે ત્યારે ધુમાડો જરૂર ઊઠે છે. પણ મનમાં તો ઘણીવાર દાવાનળ ઊઠતો હોય તોય કોઈ ચિહ્ન બહાર જણાય નહીં એવું શક્ય છે.

Comments (45)

ખામોશી જેવું હોય છે – મુકુલ ચોકસી

ભીંતને લીધે જ આ પાડોશી જેવું હોય છે,
એક સમજૂતીસભર ખામોશી જેવું હોય છે.

તન જિવાડી રાખતા એક જોશી જેવું હોય છે,
મન કોઈ મરવા પડેલી ડોશી જેવું હોય છે.

એ મને મૂકીને ફરવા પણ જઈ શકતો નથી,
મારા પડછાયાને પણ નામોશી જેવું હોય છે.

– મુકુલ ચોકસી

એક વ્યહવારિક વાત. તન-મનનો સંઘર્ષ. અને એક સ્નિગ્ધ ઉદાસી. જુઓ આ એક ગઝલ મનના ક્યા ક્યા ખૂણાને અડકીને આવી છે !

Comments (7)

નસીબ -રિષભ મહેતા ‘બેતાબ’

રોજ એ બગડે ભલે ને છે મને પ્યારું નસીબ,
એક ‘દિ તો માનશે છે આખરે મારું નસીબ.

કેમ એના પર કરું ના દોસ્તો વિશ્વાસ હું ?
અંત સુધી હર પળે છે સાથ રહેનારું નસીબ.

એ ભલે વિખરે ભલે સંવરે છતાં સુંદર રહે,
કાશ! તારી જુલ્ફ જેવું હોત આ મારું નસીબ.

ઓ વિધાતા! આંસુઓથી તો નથી એને લખ્યું,
એ કહે કે કેમ લાગે છે મને ખારું નસીબ ?

એ દયાળુ કેટલો અંધકાર દીધા બાદ પણ,
ના દીધું રાત્રિને જેણે છેક અંધારું નસીબ.

બંધ મુઠ્ઠી હું કદી ના ખોલતે ‘બેતાબ’ આ,
હોત જો આ હસ્તરેખામાં જ રહેનારું નસીબ.

-રિષભ મહેતા ‘બેતાબ’

આજે જ રિષભ અંકલનો ગઝલ સંગ્રહ ‘તિરાડ’ હાથમાં આવ્યો અને ત્યારે જ મને ખબર પડી કે એમનું તખલ્લુસ ‘બેતાબ’ છે, જે એમને ડૉ. રશીદ મીરે આપેલું છે. એમની ઘણી બધી ગઝલો મને આમ તો ઘણી જ ગમી ગઈ, પરંતુ આ ગઝલ જરા વધુ ગમી ગઈ. એમાંયે પાંચમા શેરમાં રાત્રિને છેક અંધારું નસીબ ન દેવાની વાત તો એકદમ સ્પર્શી ગઈ.

Comments (5)

પછીની વારતા – મધુમતી મહેતા

જાત ઓળંગ્યા પછીની વારતા,
એક ભ્રમ ભાંગ્યા પછીની વારતા.

હુંપણાના ગામની તારાજગી,
મેં તને માગ્યા પછીની વારતા.

એ શહીદ થૈને વસ્યા ઈતિહાસમાં,
આપણી ભાંગ્યા પછીની વારતા.

ને હરણ આંખો મીચી બેસી ગયું,
ઝાંઝવા તાગ્યા પછીની વારતા.

બાણ હો એ રામ કે રાવણ તણું,
એ જ છે વાગ્યા પછીની વારતા.

ઝળહળે સર્વત્ર તું સૌ રૂપમાં,
શૂન્યમાં જાગ્યા પછીની વારતા.

– મધુમતી મહેતા

પહેલા બે શેર તો ‘પહેલી નજરનો પ્રેમ’ થઈ જાય એટલા સરસ થયા છે. ‘હુંપણાના ગામની તારાજગી’ જેવો સરસ પ્રયોગ શેરને અલગ જ આભા આપે છે. છેલ્લા બે શેર તો હું હજી મમળાવી રહ્યો છું. એમાંથી હજુ વધુ અર્થ છૂટશે એવી આશા છે એટલે એના પર વાત આગળ ફરી કદીક.

Comments (5)

ગઝલ – અનિલ ચાવડા

છોડ    દીવાને   પહેલાં   તું   મને   પ્રગટાવને,
આવવા  તૈયાર  છું,   રસ્તો   જરા  બદલાવને.

પ્રેમની  વ્યાખ્યા  કરે  છે  એક માણસ ક્યારનો,
તું  જરા  એને  ખૂણામાં  લઈ  જઈ  સમજાવને.

ભાઈ  ખાલીપા ! હજીયે  કોઈ  પણ આવ્યું નહીં,
તું  જ  ઘરની  બ્હાર  જઈને  બારણું ખખડાવને.

આંસુ  આંખોનાં  પ્રવાહી  થઈ  ગયેલા શબ્દ છે,
ચાલ  નવરો  હોય  તો થોડીક લિપિ ઉકલાવને.

ક્યાં  સુધી  હું  આભ  સામે  જોઈને  બેસી  રહું?
તું  હવે  વરસાવતો  જો  હોય  તો  વરસાવને.

-અનિલ ચાવડા

પહેલી નજરના પ્રેમ પેઠે આ શાયરને પહેલીવાર શબ્દોના રસ્તે મળ્યો ત્યારથી જ એ મને ગમી ગયો છે. એની ગઝલમાં રોજિંદી બોલચાલની વાત એવી સહજતાથી ઊતરી અને ઊપસી આવે છે કે ગમતા શેરોની આગળ નિશાની કર્યા સિવાય આગળ વધાતું નથી. હું માત્ર બે જ શેર -ત્રીજા અને ચોથા- ની વાત કરીશ.

જાહોજલાલીનો ઢોળ ચડેલી આપણી આ જિંદગી અંદરથી તો હકીકતે સાવ ખાલીખમ થઈ ગઈ છે. ચારે તરફ વૈભવી ચમકદમકથી વીંટળાયેલા હોવા છતાં એવું કોઈ ઓશિકું નથી જેના પર ચિંતાની, અજંપાની, બેચેનીની કરચલીઓ ન પડતી હોય. કવિ આપણી અંદરના ખોખલાપણા સાથે સીધો જ સંવાદ સાધે છે. અહીં ઘર અને બારણાંની વિભાવનામાં કશું પણ ‘ફીટ’ બેસી શકે છે. ભીતરનો ખાલીપો જ્યારે તીવ્રતમ વેદના બનીને ભોંકાતો હોય અને એ દૂર કરનાર કશાકના કોઈ એંધાણ માત્ર પણ ક્યાંય દૃષ્ટિગોચર ન થતા હોય ત્યારે જ એ ખાલીપણા સાથે સીધો વાર્તાલાપ જન્મે છે. જે દરવાજે કોઈ આવ્યું નથી અને કોઈના આવવાની આશા પણ હવે દેખાતી નથી, એ દરવાજાને આ ખાલીપો ખુદ જઈને ખખડાવે તો ય ઘણું હવે તો…. ‘ખખડાવ’ કાફિયાની પાછળ સાવ અડોઅડ કવિતાની ભાષા બહારની, નકરી બોલચાલની એકાક્ષરી રદીફ ‘ને’ ખાલીપાની વેદનાને શેરના અંતે વધુ ધાર કાઢી આપે છે…

એ પછીના શેરમાં હું માત્ર આંસુની સાવ નવી વ્યાખ્યા કરી આપવાના કવિકર્મને છૂટ્ટે હાથે દાદ દઈ આખા શેરને અને એ રીતે આખી ગઝલના મુશાયરાને અનુભવવાનું ભાવક પર છોડી દઈશ…

Comments (23)

નડે છે – ડૉ. મહેશ રાવલ

તબક્કે-તબક્કે તફાવત નડે છે
મને, માત્ર મારી શરાફત નડે છે !

નથી જઈ શકાતું ઉપરવટ, સ્વયંથી
અને આખરે, એ જ બાબત નડે છે !

બધાં ફળ મુકદ્દરને આધિન નથી કઈં
ઘણીવાર, ખુદની ય દાનત નડે છે !

ઉલેચાય ઈતિહાસ, તો ખ્યાલ આવે
કે સરવાળે, એકાદ અંગત નડે છે !

નડે છે મને સ્વપ્ન મારાં અધુરાં
અને સ્વપ્નને, આ હકીકત નડે છે !

કરીલ્યો હજુ સત્ય સ્વીકૃત, સહજ થઈ
અને કાં કહી દ્યો કે, નિયત નડે છે !

ખબર છે કે, સોનું તપે એમ નિખરે
છતાં પણ, કશુંક વારસાગત નડે છે !

– ડૉ. મહેશ રાવલ

નેટ-ગુર્જરીના ચાહકો ડૉ. મહેશ રાવલના નામથી અજાણ્યા નહીં જ હોય. એમના ગઝલસંગ્રહને ઈ-સ્વરૂપ આપતા એમના નવેસર અને ગઝલોનો ગુલદસ્તો બ્લૉગ્સ ઓછા સમયમાં બહોળા લોકપ્રિય બની રહ્યા છે. રાજકોટના આ તબીબ-કવિ મિત્ર લાંબા સમયથી શબ્દોના શિલ્પ કોતરી રહ્યા છે. એમની ગઝલોમાં બહુધા જોવા મળે છે એ જ રીતે પ્રસ્તુત ગઝલમાં પણ મનુષ્યની પ્રકૃતિની વિસંગતતાની વેદના અને પૂર્ણતાના અભાવની વ્યથા સાંગોપાંગ નજરે ચડે છે. આપણી ગતિનો અને પ્રગતિનો મુખ્ય અવરોધક કોણ હોઈ શકે? દોસ્ત? દુશ્મન? કે દુનિયા? કવિ જુદી જ પણ સાવ સાચી વાત કરે છે. આપણી વિકાસયાત્રામાં અવર નહીં પણ પોતીકી જાત જ વિશેષતઃ વ્યવધાનરૂપ સાબિત થાય છે. આપણે આપણા અહમ્ ને વટાવી શકતા નથી. અહમ્ નો ઉંબરો વટાવે તે જ સોહમ્ ના વિશ્વમાં પ્રવેશે. જાત વળોટાતી નહીં હોવાની હકીકત જ અંતે તો સૌને નડે છે. ઈતિહાસની સચ્ચાઈ બે જ લીટીમાં આલેખતો શેર પણ એવો જ ચોટદાર થયો છે.

(લયસ્તરોને એમનો ગઝલસંગ્રહ ‘નવેસર’ ભેટ આપવા બદલ ડૉ. રાવલનો ખૂબ-ખૂબ આભાર…)

Comments (21)

માટી મૂંછાળો મળે – વિવેક મનહર ટેલર

હોય મારો દાખલો ને તું મથે, તાળો મળે,
શક્યતા પૂરી છે ત્યાં સરવાળે ગોટાળો મળે.

મધ્યમાં જે શાંત છે, કાંઠે એ ફીણાળો મળે,
વાતમાં દરિયાની કોની વાતનો તાળો મળે !

પારદર્શક કાચ થઈને બહાર ક્યાં નીકળ્યાં તમે ?
આ નગર છે, અહીં શુકનમાં કાંકરીચાળો મળે.

આજે જે ડાળે હો જામી ભીડ ટહુકાઓની ત્યાં,
શક્ય છે ત્યાં કાલે ના માળો, ના ગરમાળો મળે.

રાહ નીરખે છે સદીઓની નપુંસક ફિતરતો,
આ સદીને ક્યારે એનો માટી મૂંછાળો મળે ?

શક્યતાઓ શ્રાપ પામી વાંઝણી હોવાનો જ્યાં,
એ જ મારા ઘરમાં ઈચ્છાઓ બચરવાળો મળે.

ઓઢીને સુરતીપણું ખુલ્લા ફરે છે શબ્દ સૌ,
ચેતજો ! આગળ ગઝલમાં શક્ય છે, ગાળો મળે.

– વિવેક મનહર ટેલર

લયસ્તરો પર આજે આ કવિમહાશયનાં જન્મદિવસે મારા તરફથી એમની જ એક રચના. છેલ્લો શેર તો મારો એકદમ ફેવરીટ શેર છે… 🙂

Comments (19)

અમથો અમથો ખુશ થાઉં છું – મનોજ ખંડેરિયા

મેદાનો  હરિયાળાં  નીરખી  અમથો  અમથો  ખુશ થાઉં છું
લીલાંછમ અજવાળાં નીરખી અમથો અમથો  ખુશ થાઉં છું

આંખોમાં   વૈશાખી   સૂકું    શ્હેર    લઈને    રખડું   ત્યારે
રસ્તા  પર  ગરમાળા નીરખી અમથો અમથો ખુશ થાઉં છું

અજમેરી   પીળા  બોર  સમા  આછું  મીઠું  મ્હેંક્યા  કરતા
આ દિવસો  તડકાળા નીરખી અમથો અમથો ખુશ થાઉં છું

રોજ જતા ને રોજ જશે પણ આજ અચાનક સાંજ ઢળી તો
ધણ જાતાં ઘરઢાળાં  નીરખી અમથો અમથો ખુશ થાઉં છું

એની તીણી ટોચ  અડી  જ્યાં  નભને તારક-ટશિયા ફૂટ્યા
અંધારાં  અણિયાળાં  નીરખી અમથો અમથો ખુશ થાઉં છું

પૂનમ  રાતે  સામે  સામી  ડાળ   ઉપરથી   મંડાતા  કંઈ-
ટહુકાના  સરવાળા  નીરખી  અમથો અમથો ખુશ થાઉં છું

શબ્દોનો  આ  કોષ  લઈને  ખાલી  બેઠો  છું  ઉંબર  પર
ભાષાની ભરમાળા નીરખી અમથો  અમથો  ખુશ થાઉં છું

-મનોજ ખંડેરિયા

અમથી-અમથી ખુશાલીના સાત શેરોની આ ગઝલ- જાણે કે સપ્તરંગી ઈંદ્રધનુષ. આજે માણસ સ-કારણ પણ માંડ હસી શકે છે એવામાં અ-કારણ તો કોણ ખુશ થઈ શકે કવિ સિવાય? ગુજરાતી ગઝલના દેહમાં નવો જ આત્મા રેડનાર શબ્દોના શિલ્પી મનોજ ખંડેરિયાની આ ગઝલ આપણને શીખવાડે છે કે પોતાના નહીં, પણ અન્યના વૈભવને અને એ પણ સાત્વિક વૈભવને નીરખીને પણ માંહ્યલાને હર્ષાવધિમાં તરબતર કરી શકાય છે અને કદાચ એ આનંદ જ સાચો નિજાનંદ છે.

મેદાનની ખુલ્લી અને શુષ્ક વિશાળતાને ભરી દેતું ઘાસ એ પ્રકૃતિએ લખેલી નજાકતભરી એવી કવિતા છે જે નજરને ખાલીપાથી ઘાયલ થવા દેતી નથી. મેદાનોની આ હરિયાળી કવિને ખુશ કરી દેવા માટે પૂરતી છે પણ મિસરામાં કવિતાનો પ્રાણ રેડે છે બીજી પંક્તિ. અહીં અજવાળાંની વાત છે પણ એ કેવું છે? પ્રકાશ ઘાસ પર પડે છે માટે એ પણ લીલોછમ… કેવું અદભુત કલ્પન !અનુભૂતિની અભિવ્યક્તિનું આ નાવીન્ય મત્લાને જાનદાર બનાવે છે.

મનોજભાઈની કવિતામાં બરછટતા કે કટુતા કદી જોવા નહીં મળે. જેવો ઋજુ એમનો સ્વભાવ એવી જ લવચીક એમની કવિતા. બીજા શેરના પહેલા મિસરામાં વૈશાખના તાપથી સૂક્કુંભઠ્ઠ થઈ ગયેલું ત્રાસેલું શહેર આખું આંખમાં લઈને નીકળવાની વાત કરે ત્યારે પળભર માટે આંચકો લાગે ? આ કવિની બાનીમાં કઠોરતા ? પણ બીજી જ કડીમાં કવિ આખી વાતને ઠંડક પહોંચાડે એવી મૃદુતા બક્ષી દે છે. સિમેન્ટ-કોંક્રિટના મકાનોના જંગલોથી ઊભરાતા અને ગરમીના કારણે ખાલી-ખાલી ભાસતા શહેરમાં ફરતા-ફરતા કોઈ એકાદ ખૂણે દોમદોમ સાહ્યબીથી છલકાતા એકાદ-બે ગરમાળાના ઝાડ કવિની આંખમાં ડોકિયું કરી જાય ત્યારે કેવી ખુશી એ આંખોમાં છલકાઈ આવતી હશે ! ડાળીઓના હજ્જારો હાથે પોતાનો વૈભવ લૂંટાવતો ગરમાળો જેણે જોયો હોય એ જ આ લાગણી સમજી શકે…

હવે એક જ શેરની ટૂંકાણમાં માંડણી કરીશ… રાત્રે પંખીઓ સામાન્યરીતે શાંત થઈ સૂઈ જાય છે. પણ અહીં વાત છે પૂનમની રાતની. પૂનમના અજવાળાંને દિવસનું અજવાળું ગણીને પક્ષીઓ સામ-સામા ટહુકાઓની લ્હાણી કરે ત્યારે કોણ અમથું અમથું ખુશ થયા વિના રહી શકે?

Comments (17)

બની જશે – મરીઝ

જ્યારે કલા કલા નહીં, જીવન બની જશે,
મારું કવન જગતનું નિવેદન બની જશે.

જે કંઈ હું મેળવીશ હંમેશા નહીં રહે,
જે કંઈ તું આપશે સનાતન બની જશે.

તારું છે એવું કોણ કે માગે સ્વતંત્રતા !
મારું છે એવું કોણ કે બંધન બની જશે.

આંખો મીંચીને ચાલશું અંધકારમાં ‘મરીઝ’,
શંકા વધી જશે તો સમર્થન બની જશે.

– મરીઝ

શેર એટલા સરળ છે કે સમજાવવા પડે જ નહીં. ચાર શેરમાં વામન-મરીઝ કેટલું લાંબું અંતર માપી લે છે એ જોવા જેવું છે. આજનો દિવસ તો આ ચાર શેર મમળાવવામાં જ જશે !

Comments (5)

હું, તમે ને આપણે – હસમુખ મઢીવાળા

છોડ, કાંટા, ફૂલ તે શું ? હું તમે ને આપણે
સૂર્ય, તારા, ચંદ્ર તે શું ? હું તમે ને આપણે

રણ, આ રેતી, આ સમંદર, પર્વતો ને આ ઝરણ
સિંહ, સસલાં, મોર તે શું ? હું તમે ને આપણે

તેજ, વાયુ, માટી ને આ આભ ને આ જલ બધું
શૂન્ય જેવું શૂન્ય તે શું ? હું તમે ને આપણે

ઘર, આ ઘરની ભીંત, છત, બારી અને આ બારણાં
થાંભલી, આ મોભ તે શું ? હું તમે ને આપણે

વસ્ત્ર ને આ આભરણ ને આ સુગંધી દ્રવ્ય સૌ
એ બધાનું કેન્દ્ર તે શું ? હું તમે ને આપણે

ઊર્મિઓ, આ લાગણી, આ હર્ષ ને આ વેદના
દર્દનાયે અર્થ તે શું ? હું તમે ને આપણે

હું તમે ને આપણેની આ લીલા છે, ખેલ છે
ફોક, જુઠ્ઠું, વ્યર્થ તે શું ? હું તમે ને આપણે

– હસમુખ મઢીવાળા

ગઝલ તો હું વાંચી ગયો અને ગમી ગઈ એટલે અહીં મૂકી પણ રહ્યો છું. પણ આ ગઝલમાં કોઈ મને એ કહેશો કે, આ ‘હું તમે ને આપણે’ એટલે કોણ ? એક રીતે વિચારતા આ એક સંબધની કથા લાગે છે ( હું, તમે અને ‘આપણે’ ) તો બીજી રીતે જુવો તો કવિ સમગ્ર વિશ્વની એકાત્મતાની વાત કરતા હોય એમ પણ વિચારી શકાય ( હુ, તમે અને આપણે બધા ) અને પહેલા થોડા શેર તો ‘અમૂર્ત’ (એબસ્ટ્રેક્ટ) ગઝલ જેવા પણ લાગે છે… તમને શું લાગે છે ?

એક દોસ્તારને પૂછી જોયું તો કહે કે, “આખી દુનિયા સરસ મઝાના ચોરસ ટુકડા કરીને ખમણ ખાય પણ મઢી ગામ તો આકાર વગરની ખમણી માટે જાણીતું છે. આ મઢીવાળા કવિ પણ એવી લોચા વાળી ખમણી-ટાઈપની ગઝલ લાવ્યા છે. જેમ ખાવી હોય એમ ખાવ !” 🙂

Comments (4)

સથવાર ફૂટી નીકળે – કિરીટ ગોસ્વામી

સાંજ પડતાં કોઈનો સથવાર ફૂટી નીકળે,
અર્થ નવતર સાંજનો તો યાર, ફૂટી નીકળે !

તું ન હો એવી ક્ષણે ઘાયલ ન થાઉં કેમ હું;
આ પવનની લ્હેરને પણ ધાર ફૂટી નીકળે !

રાખ ચાહતનું વલણ તું દોસ્ત, એવું કાયમી;
દુશ્મનોની આંખમાં પણ પ્યાર ફૂટી નીકળે !

મને ચહે તો હારમાં પણ જીતની આવે મજા;
મન વગરની જીતમાંથી હાર ફૂટી નીકળે !

છે નિરાળો આ ગઝલના સંગનો જાદુ ‘કિરીટ’,
સાવ સૂના જીવમાં ઝન્કાર ફૂટી નીકળે !

-કિરીટ ગોસ્વામી

Comments (6)

ગઝલ – અનિલ ચાવડા

જો   બારણું   તૂટે   તો  સરખું  કરાય  પાછું,
વાતાવરણ  એ  ઘરનું  ક્યાંથી લવાય પાછું?

ગઈકાલ જે વીતી ગઈ  એ  ઓરડો  નથી કૈં,
કે મન પડે તરત  એમાં  જઈ  શકાય  પાછું.

હો  વૃદ્ધ  કોઈ  એને  દૂધિયા  જો  દાંત  ફૂટે,
તો  શક્ય  છે  કે  બાળક  જેવું થવાય પાછું.

કરમાઈ  જે  ગયું  છે  એ   પુષ્પને  ફરીથી,
એના  જ  મૂળ  રૂપે  ક્યાંથી  લવાય  પાછું ?

નિશ્ચય કરીને ગ્યા છો તો પાર પાડી આવો,
આ સાવ હાથ ખાલી લઈને  અવાય  પાછું ?

એવી  જગાએ  આવી  થંભી  ગયા છીએ કે,
જ્યાં ના વધાય આગળ કે ના વળાય પાછું.

-અનિલ ચાવડા

સંબંધમાં પડેલી તડ જોડાય તોય સાંધો તો જરૂરથી રહી જ જાય છે. આ વાતમાં કશું નવું નથી. પણ કવિનો શબ્દ વર્ષોથી જાણેલી-જીવેલી વાતમાં પણ નાવીન્ય છલકાવી શકે છે એની પ્રતીતિ આ ગઝલનો મત્લાનો શેર કરાવી જાય છે. ઘરના બારણાંને તો દુરસ્ત કરાવી શકાય છે, પણ ઘરના વાતાવરણને ? આમ તો બધા શેર મજાના થયા છે પણ મને સાંભળતાવેંત જ જે ગમી ગયો એ છે બીજા ક્રમનો શેર. ગઈકાલમાં પાછા ન ફરી શકાવાની વિવશતાને કેવી સરસ રીતે કવિ ઓરડા સાથે સાંકળી લે છે. (અનિલના મોઢે અમદાવાદની રેસ્ટોરન્ટમાં સાંભળેલી કેટલીક ગઝલોમાંની આ એક યાદગાર ગઝલ…. એક આવી જ ગઝલ આવતા અઠવાડિયે પણ…)

Comments (26)

પ્રભાતિયું… – રમેશ પારેખ

સૂર્યે સવાર પાડી ઘરને કર્યું અડપલું લગરીક સોનવરણું
છાંયાને બ્હાને કાજળનું ઘરના ગાલે કીધું અધિક-નમણું!

પોતાના કેશ સૂકવે તડકામાં તાજી તમતમતી ષોડ્ષી સુકન્યા
છાંયાઓ ભાત પાડીને ઠેરઠેર કરતા એ પર્વનું ઉજવણું

પંખીના કલરવોને મુઠ્ઠીમાં પકડી-પકડી ઉડાડતા કિશોરો
ફળિયું ભરીને આંખો ફફડાવતી કિશોરીનું પાડતા ખિજવણું

માથેથી સરતો સાલુ સંકોરતી ગૃહિણી કંકાવટીમાં ઘોળી-
કંકુના સાથિયાઓનું રૂપ ઉંબરામાં, ભભરાવે બમણું-બમણું

પૂજાની ઓરડીમાં ઈશ્વરને લાડ કેવાં-કેવાં લડાવે વૃદ્ધા!
ન્હવરાવે, લૂછે, વંદે, પ્હેરાવે ફૂલ, ઓઢાડે વ્હાલનું ઉપરણું

ટૂંકા પડે છે જેની ળા પનાની વ્હાલપને ઓસરી ને ફળિયું
એ વૃદ્ધમાંથી દોડે બાળકની કિલકારીનું ઠેકઠેક ઝરણું.

– રમેશ પારેખ

એક સોનાવરણી સવારના કીરણો સાથે એક શેરીમાં જીંદગી કેવી જાગી ઊઠે છે એ વર્ણવતી પરાણે મીઠી લાગે એવી ગઝલ.

Comments (4)

ગઝલ – ભગવતીકુમાર શર્મા

ઊભો’તો વૃક્ષ નીચે અને વીજળી પડી;
માળાની સાથે આખી હયાતી ઢળી પડી.

ખોટી જગ્યાએ જ્યારે કોઈ આંગળી પડી,
જે નાચતી હતી તે કઠપૂતળી પડી.

જીવું છું ઘાસબીડમાં અધ્ધરજીવે સતત;
લે, જો, આ મારા હાથથી દીવાસળી પડી.

પોથીની વચ્ચે ટાંપ તરીકે મૂકીશ હું;
સરકી ગયો સરપ અને આ કાંચળી પડી.

દર્પણની છોડ દોસ્તી, ચકલી સભાન થા;
તારા જ નીડમાંથી ફરી એક સળી પડી.

ફૂલોએ આંખ મીંચી દીધી દુઃખથી તરત,
જેવી કો ડાળખીથી ગુલાબી કળી પડી.

વાગ્યા ટકોરા તોય ના ઊઘડી શક્યાં કમાડ;
સન્નાટે સૂતી શેરી આ ઝબકી છળી પડી.

-ભગવતીકુમાર શર્મા

ભગવતીકાકા વિશે મારું દૃઢપણે એવું માનવું છે કે સાહિત્યને જે ચીવટાઈ અને ખંતથી એ આરાધે છે એટલી કાળજીથી આજનો અન્ય કોઈ સર્જક આરાધતો નહીં જ હોય. ગઝલ હોય કે ગીત, નવલિકા હોય કે નવલકથા, નિબંધ હોય કે વિવેચન, ભગવતીકાકા એમાં પોતાનો પ્રાણ રેડી દે છે. એમની ગઝલો જેમ-જેમ વધારે વાંચું છું, મારો આ મત વધુ અફર બનતો જાય છે. આ ગઝલના એક-એક શેરને હાથમાં લઈ જુઓ… અહીં ખરા સોના સિવાય બીજું કંઈ મળે તો કહેજો… દર્પ અને દર્પણની દોસ્તી ત્યજીને સભાન થયેલા આ શાયર પસાર થઈ ગયેલી ક્ષણોની કાંચળીનો પણ યાદોની ટાંપ તરીકે ઉપયોગ કરે છે. કેટલાક એવા હોય છે જે કુમળી કળીના ખરી જવાથી પણ અકથ્ય વેદના અનુભવી આંખો મીંચી જાય છે જ્યારે આખી શેરી ઝબકીને જાગી જાય એવા ટકોરાં પડે તોય ન ઊઘડે એવા દ્વાર જેવા પણ કેટલાક હોય છે.

Comments (6)

ગઝલ – અશરફ ડબાવાલા

જૂઠ પણ સાપેક્ષ છે ને સાચ પણ સાપેક્ષ છે,
તું જરા થંભીને જો કે રાસ પણ સાપેક્ષ છે.

સાવ અધવચ્ચેય આવે છે પરાકાષ્ઠા કદી,
પહોંચવા ના પહોંચવાના ભાવ પણ સાપેક્ષ છે.

પોતપોતાનું બધાંને પ્રાણપ્યારું છે રટણ,
જે કરે છે તું સતત તે જાપ પણ સાપેક્ષ છે.

હું કદી મારો, કદી તારો, કદી છું સર્વનો,
મારા મનમાં છે તે મારું સ્થાન પણ સાપેક્ષ છે.

મોકળા મનથી વિચારીને જુઓ અશરફ ! હવે,
આપને લાગે છે તે સંકડાશ પણ સાપેક્ષ છે.

-અશરફ ડબાવાલા

‘સાપેક્ષ છે’ જેવી મજાની રદીફને કવિએ આ ગઝલમાં ખૂબ સુંદર રીતે નિભાવી જાણી છે. સાવ સીધી ભાષામાં લખાયેલા બધા જ શેર વારંવાર ગણગણવાનું મન થાય એવા મજાના થયા છે. મંઝિલ અને મઝલની વાત કરતો બીજો શેર તથા મોકળાશ અને સંકડાશની સાપેક્ષતા આપણા પોતાના મનની જ નીપજ હોવાનું ઈંગિત કરતો આખરી શેર જો કે મને ખૂબ ગમી ગયા.

Comments (5)

ગઝલ – અંકિત ત્રિવેદી

રેતના  ઘરમાં  રહું  છું, રણ નથી
આંસુમાં  દેખાઉં  છું, દર્પણ  નથી.

તું  સમયની જેમ  ભૂંસાતો  ગયો,
મેં તને  ધાર્યો હતો એ જણ નથી.

મારા પડછાયાનું એ પ્રતિબિંબ છે
સૂર્ય  જેવું આમ તો કંઈપણ નથી.

આપણામાં  કૈંક  તો  બાકી  બચ્યું,
આમ એવું કોઈપણ સગપણ નથી.

ઊજવી  નાખેલ  અવસરનું  કોઈ
બારણા  પર  શોભતું તોરણ નથી.

-અંકિત ત્રિવેદી

સમય જીવનની નોટબુકમાં પડતો રહેતો એવો અક્ષર છે જે સતત ભૂંસાતો રહે છે અને અવિરત ઘૂંટાતો રહે છે. મનુષ્યજાતનું પણ એવું જ નથી? સામા માણસને ઓળખવામાં આખી જિંદગી ખર્ચાઈ જાય અને અંતે જાણ થાય, અરે, આ તો મેં ધાર્યો હતો એનાથી સાવ વિપરીત જ નીકળ્યો ! અંકિત ત્રિવેદીની આ ગઝલનો મને ગમતો અન્ય શેર છે સૂર્યને “પોતાના ” પડછાયાનું પ્રતિબિંબ ધારવાની રોચક કલ્પના. અને છેલ્લો શેર એવો બન્યો છે કે જેટલીવાર એને મમળાવો, વધુ ને વધુ મીઠો અને અર્થગહન લાગે.

જે મિત્રો અંકિત ત્રિવેદીના શેરોની રમઝટ માણવાનું અગાઉ ચૂકી ગયા હોય એમને અહીં કડી-૧ અને કડી-૨ પર ક્લિક્ કરવા ગઝલપૂર્વક આમંત્રણ આપું છું.

Comments (11)

શું થયું એ નાવનું ? – આહમદ મકરાણી

માપ નીકળે ના અમારી રાવનું,
ગામ ભીતર છે વસેલું ઘાવનું.

ફ્રિઝમાં વાસી ક્ષણોની ભીડ છે,
કોઈ તાજું નીર લાવો વાવનું.

આ કિનારે મસ્ત મોજાં ગાય છે,
હે સમંદર, શું થયું એ નાવનું ?

સોગઠાં, ચોપાટ ફેંકીને ઊઠો,
કાળ સામે શું તમારા દાવનું ?

જિંદગી વીતી રહી છે રણ સમી,
કોઈ સરનામું મળે જો છાંવનું.

-આહમદ મકરાણી

સાવ સહજ બાનીમાં કવિ ફ્રિજમાં ઠરી ગયેલી વાસી ક્ષણોનું તરોતાજા કલ્પન લાવી આપણી રુગ્ણ માનસિક્તા પર જનોઈવઢ ઘા કરે છે. અને સામે કાળ સામે બાંયો ચડાવવાની બાળમમત ત્યજવા પણ કહે છે. કાળ સામે કોનું ચાલ્યું જ છે કે આપણું ચાલવાનું? મહાભારત યાદ આવે છે: સમય સમય બલવાન હૈ, નહીં મનુષ બલવાન; કાબે અર્જુન લૂંટિયો, વહી ધનુષ, વહી બાણ.

Comments (2)

છાતી ખોલી જોયું તો ? – ઉશનસ

છાતી ખોલી જોયું, મહીં ખીલા હતા !
યુગો પછી પણ એ ભીના-લીલા હતા !

ક્યાં સમયની છે જરા ઘા પર અસર ?
ત્યારે હતા એમ જ ખૂને ખીલ્યા હતા !

હચમચાવી જોયું તો હું ખુદ હાલ્યો !
એ થયા ક્યાં સ્હેજ પણ ઢીલા હતા ?

બ્હાર જોયું તોય ક્યાં છે ફેર કંઈ ?
એ જ ગાડરિયા પુરાણા સિલસિલા હતા.

કંઈક બદલાયું હશે, પણ તે ન મન;
ઊલટું ઊંડા ગયેલા ઊતરી ચીલા હતા !

આજેય ખીલા એ જ હાથે છે ઉગામ્યા;
ક્યાં છે પરંતુ છાતી જેણે ઘાવ એ ઝીલ્યા હતા ?

– ઉશનસ

Comments (4)

ગઝલ – દિવ્યા મોદી


(ખાસ ‘લયસ્તરો’ માટે દિવ્યા મોદીએ સ્વહસ્તે લખી મોકલેલ અપ્રગટ કૃતિ)

જાત સાથે ગુફ્તગૂ કરવી  હતી,
એક સુંદર  શાયરી કરવી  હતી.

એટલે તો મનભરી  ચાહ્યો તને,
કાળજાની  કાળજી  કરવી  હતી.

પ્રેમના  કારણ કદી  પૂછો નહીં,
જિંદગીભર  બંદગી કરવી હતી.

છીપમાં દરિયો ભરી તમને ધરું,
યાદને  મારે  પરત કરવી હતી.

ડૂબતા  આ  સૂર્યને  રોકો  જરી,
સાંજને  વાતો  હજી કરવી હતી.

-દિવ્યા મોદી

દિવસનું પાનું ઊઘડે અને હોવાપણાંના સૂર્યના પહેલા કિરણને પુષ્પની મસૃણ પાંખડીઓ પરથી ઝાકળબુંદ જેવી ભીની ભીની તરોતાજા ગઝલ પીવાની ઈચ્છા થાય ત્યારે આવી ગઝલ કવિના અસ્તિત્વમાંથી ઝરે છે. પછી તમે આ આખી વાતને જાત સાથેની ગુફ્તેગૂ કહો યા ગઝલની શાબ્દિક વ્યાખ્યા- જાત સાથે વાર્તાલાપ-કહો એ તમારા ઉપર છે. કોઈ કહેશે કે કોઈ કોઈને શા માટે આટઆટલું ચાહે છે? પ્રેમ એટલે પોતાનું હૈયું અને પ્રિયતમ એટલે એનાથી જ ત્વન્મય થતી પોતાની જાત જ નહીં? પ્રેમની કેવી સચોટ અને સરળ વ્યાખ્યા કવયિત્રી અહીં લઈ આવ્યા છે? મનભરીને કોઈને ચાહવાનું ખરું કારણ તો પોતાના જ કાળજાની કાળજી કરવાનું છે. કાળજા સાથે કાળજી શબ્દનો વિનિયોગ અહીં કવયિત્રીની સજ્જતાનું સવિશેષ પ્રમાણ પણ બની રહે છે.

દિવ્યા મોદી સુરત શહેરની ગઝલોનું આવતીકાલનું અજવાળું છે… એની પાસે હજી ઘણી વાતો બાકી છે એટલે એ આજના ડૂબતા સૂર્યને પણ રોકી રાખવા ઈચ્છે છે… દિવ્યાને લયસ્તરો તરફથી અંતરંગ શુભેચ્છાઓ…

Comments (28)

ગઝલ – દીના શાહ

ફૂલ  કેવાં  પરગજુ  થઈ જાય  છે,
મ્હેંકની  સાથે  રજૂ  થઈ જાય  છે.

તું  જ  મારી  બંદગી,  ને તું ખુદા,
જોઉં  છું જ્યારે વજૂ થઈ જાય છે.

ભીંત પર પડછાયો લાગે છે સરસ,
માનવીનું  એ ગજું થઈ જાય છે ?

જિંદગી  તેં  કેટલા  જખ્મો દીધા !
લાગણી તો પણ હજુ થઈ જાય છે.

એક  નક્શો  પ્રેમનો  છે  દોસ્તો !
યાદ  કોર્યું  કાળજું  થઈ  જાય છે.

પ્હાડ પર પાણીને જોઈ  થાય છે,
પથ્થરો કેવા ઋજુ થઈ  જાય છે !

-દીના શાહ

વ્યવસાયે સ્ત્રીરોગ નિષ્ણાત તબીબ દીના શાહ જે કાબેલિયતથી ઈશ્વરની હયાતિના હસ્તાક્ષરને પૃથ્વી પર અવતારવાનું નિમિત્ત બને છે એ જ કુશળતાથી શબ્દોની પ્રસુતિ કરાવી કવિતા પણ અવતારી શકે છે. આ ગઝલના એક-એક શેર એનું પ્રમાણ બને છે. પ્રેમની ઉત્કટતા શું હોય છે એ જાણવા માટે બીજા શેર પર નજર કરો. પ્રિય પાત્રને ખુદા અને બંદગી કહેનારા શેર તો ઘણા આવી ગયા પણ અહીં જે અભિવ્યક્તિનું નાવીન્ય અને મૌલિક્તા છે એ અભૂતપૂર્વ છે. આપણા જીવનમાં શેનું મૂલ્ય વધુ ગણી શકાય? મંઝિલનું કે રસ્તાનું? મને લાગે છે જે મજા સફરમાં છે એ એના અંતમાં તો નથી જ. ઈશ્વરપ્રાપ્તિ એ મંઝિલ ખરી પણ પૂજા અને તપશ્ચર્યા વધુ સરાહનીય નથી? સાક્ષાત્ ઈશ્વર મળે એનાથી ય મોટી વાત છે આપણી જાતને આપણે ઈશ્વરપ્રાપ્તિ માટે તૈયાર કરીએ. માંહ્યલાને ધોઈને સાફ કરવો એ કદાચ વધુ અગત્યનું છે… અહીં પ્રિયપાત્રને આગળ ધરીને કવયિત્રી કેવી મોટી વાત કહી દે છે ! તું ઈશ્વર પણ ખરો અને તું મારી પૂજા પણ ખરો… પણ તું ખરેખર તો એનાથીય વિશેષ છે. તું નજરે ચડે એટલામાત્રથી જ વજૂ થઈ જાય છે… હું અંદર-બહારથી સાફ થઈ જાઉં છું !

(વજૂ=નમાજ પઢતા પહેલાં હાથ-પગ-મોં ધોઈ જાતને સાફ કરવાની ક્રિયા)

Comments (29)

કબૂલ મને – હનીફ સાહિલ

કોઈ પણ  હો  ડગર કબૂલ મને,
એની  સાથે  સફર   કબૂલ મને.

એક એનો વિચાર, એનું સ્મરણ
સાંજ  હો  કે  સહર  કબૂલ મને.

કોઈ પણ  સ્થાન તને મળવાનું
કોઈ  પણ  હો પ્રહર કબૂલ મને.

તારી  ખુશ્બૂ  લઈને   આવે  જે
એ  પવનની  લહર કબૂલ મને.

જે  નશાનો  ન  હો  ઉતાર કોઈ
એ  નશીલી  નજર  કબૂલ મને.

ખૂબ  જીવ્યો  છું  રોશનીમાં   હું
આ તિમિરતમ કબર કબૂલ મને.

જેનો આદિ ન અંત હોય ‘હનીફ’
એ  પ્રલંબિત  સફર  કબૂલ મને.

-હનીફ સાહિલ

નખશિખ પ્રણયોર્મિભરી આ ગઝલ ‘કબૂલ મને’ જેવી રદીફના કારણે વાંચતાની સાથે આપણી પોતાની લાગે છે (જે પ્રેમમાં પડ્યા છે એ લોકોને જ, હં!). બધા જ શેર પ્રેમની ઉત્કટ અને બળકટ લાગણીઓ ગઝલના પરંપરાગત સ્વરૂપમાં લઈને આવ્યા છે પરંતુ આખરી બે શેર સાવ મારા હૃદયને અડોઅડ થઈ ગયા. કવિ કઈ કબરની વાત કરે છે? પ્રેમભરી જિંદગીને રોશની કહીને કવિ મર્યા બાદ અંધારી કબરમાં સૂવાની  વાત કરે છે કે પછી દુનિયાદારીને રોશનીની ઉપમા આપી ખુદ પ્રેમને જ અંધારી કબર કહે છે? રોશનીનો અંત હોય છે, કબરમાંના અંધારાનો અંત હોય ખરો? કબરના અ-સીમ અનંત અંધારામાં સૂવું એટલે તિમિરના સનાતનત્વનો કાયમી અંગીકાર. એક એવું વિશ્વ જે ભલે પ્રકાશહીન હોય, કાયમ તમારું થઈને તમારી પાસે જ રહેવાનું છે, જેને કોઈ છીનવી શકવાનું નથી. આજ રીતે આખરી શેરમાં કવિ કઈ અનાદિ અનંત પ્રલંબિત સફરની વાત કરે છે?  પ્રેમના તગઝ્ઝુલથી રંગાયેલી આ ગઝલનો આખરી શેર પ્રણયની ભાવનાને જ ઉજાગર કરે છે કે જીવનની ફિલસૂફીથી છલકાઈ રહ્યો છે? કે પછી પ્રેમ એ જ જીવનની ખરી ફિલસૂફી છે? શેરને આખેઆખો ખોલી ન દેતાં થોડો ગોપિત રાખીને કવિ ગઝલનું કાવ્યત્વ જે રીતે ઊઘાડે છે એ આ ગઝલનો સાચો પ્રાણ નથી?

Comments (29)

હતી – હરકિસન જોષી

હોશમાં હું તો હતો ને રાત પીધેલી હતી
મેં જ એને બસ દિવસના ઘરભણી ઠેલી હતી

નિત સ્મશાનોમાં નિહાળ્યું એકસરખું દૃશ્ય મેં
આગ તો છુટ્ટી હતી ને લાશ બાંધેલી હતી

છત હતી આતુર ઢળવા મીણની કાયા ઉપર
પણ દિવાલોની મુરાદો કેટલી મેલી હતી

– હરકિસન જોષી

રીઢા થઈ ગયેલા કલ્પનોને સહેજ ઊલટાવીને કવિ આ ગઝલમાં વૈચારિક તાજગી ભરી દે છે. આગ તો છુટ્ટી હતી… એ શેર સૌથી વધારે ચોટદાર થયો છે. કોઈને આ ગઝલના વધારે શેર ખબર હોય તો જણાવજો.

Comments (9)

ગઝલ – ગુણવંત ઉપાધ્યાય

તમારા     શહેરની     આબોહવામાં
સતત  છું  વ્યસ્ત  આંસુ  લૂછવામાં.

તમારી  વ્યગ્રતા   વધવાનું  કારણ
તમે  નિર્મમ  છો સરહદ આંકવામાં.

સુસજ્જિત છો જ કાયમ આપ કિન્તુ
તમોને  રસ  ફકત  છે   તોડવામાં.

પ્રયત્નો  લાખ  એળે  જઈ  રહ્યા  છે
તમારા   મન   સુધી   પહોંચવામાં.

તમારી   જાતમાં   જાતે    સમાઉં
પછી  આગળ  કશું  શું બોલવાનાં ?

– ગુણવંત ઉપાધ્યાય

Comments (1)

આવો – જયન્ત પાઠક

ઉંબર વટીને અંદર તડકાની જેમ આવો;
થીજ્યા સમુદ્ર ભીતર ભડકાની જેમ આવો.

નાડી ચલે ન, થંભ્યો છે સાંસનો ય સંચો;
મુઠ્ઠી સમા હૃદયના થડકાની જેમ આવો.

પલળી ગયેલ પાલવ લૂછી શકે ન આંસુ;
વાલમ નિસાસ-કોરા કડકાની જેમ આવો.

આ ગોરસી અને આ મથુરાની વાટ ખાલી;
આવો કહાન દહીંના દડકાની જેમ આવો.

પાણી વલોવી થાક્યાં આ નેતરાં, રવૈયો;
નવનીત સારવંતા ઝડકાની જેમ આવો.

-જયન્ત પાઠક

આ ગઝલ વાંચીએ ત્યારે કવિ પ્રધાનપણે ગઝલકાર તરીકે કેમ ન ઓળખાયા એવો પ્રશ્ન સહેજે થાય. સાવ નવા જ કાફિયાઓ વડે અર્થની અદભુત જમાવટ અહીં થઈ છે. કોઈની ભીતર શી રીતે પ્રવેશવું? પગ હોય ત્યાં ક્યાં તો પગરવ હોય ક્યાં પગલાં. પણ તડકો શી રીતે અંદર આવે છે એ કદી આપણે વિચાર્યું છે? ન ટકોરા, ન પગલાં, ન પગરવ. તિરાડમાંથી એ તો ધસમસ ઠેઠ અંદર ધસી આવે. અને આવે તેય કેવો? જ્યાં જેટલું મોકળું હોય ત્યાં બધે અ-સીમ ફેલાઈ જાય. પ્રિયતમ હોય કે ઈશ્વર- આપણી ભીતર આવે ત્યારે એને તડકાથી વધારે જાજવલ્યમાન કયો આવકારો આપી શકાય? અને તડકો કંઈ એકલો નથી આવતો. એ સાથે ઉષ્મા લાવે છે જે ભીતર થીજી ગયેલ આખા સમુદ્ર જેવડી વિશાળ શક્યતાને પીગળાવી શકે છે. આ એ ક્ષણની વાત છે જ્યાં પ્રેમ કહો તો પ્રેમ અને ભક્તિ કહો તો ભક્તિનું અદ્વૈત સાયુજ્ય સ્થપાય છે. પ્રતીક્ષાનું પૂર્ણવિરામ એટલે પ્રિયજનની સચરાચરમાં પ્રાપ્તિથી વ્યાપ્તિની કથા. એ પછીના ચારેય શેરમાં પ્રેમિકા/ઈશ્વરના આવવાની ઝંખનાની આર્જવતા ક્રમશઃ આજ રીતે ચરમસીમાએ પહોંચે છે જે અનુભવવાનું વાચક પર જ છોડીએ…

(નેતરાં= વલોણાંનું દોરડું; રવૈયો= દહીં વલોવવાની લાકડી, વલોણું; નવનીત=માખણ;ઝડકો= વલોણું ઝટકો મારીને ફેરવવું તે)

Comments (6)

ગઝલ – બરકત વિરાણી ‘બેફામ’

ખુદા, તારી કસોટીની પ્રથા સારી નથી હોતી;
કે સારા હોય છે એની દશા સારી નથી હોતી.

ખૂબી તો એ કે ડૂબી જાય તો લઇ જાય છે કાંઠે,
તરો ત્યારે જ સાગરની હવા સારી નથી હોતી.

સિતારા શું કે આવે છે દિવસ રાતોય ગણવાના,
હંમેશાંની જુદાઇની દશા સારી નથી હોતી.

જગતમાં સર્વને કહેતા ફરો નહિ કે દુઆ કરજો,
ઘણાંય એવાંય છે જેની દુઆ સારી નથી હોતી.

નથી અંધકારમય રસ્તો છતાં ખોવાઇ જાયે છે,
સૂરજને પણ સફર માટે દિશા સારી નથી હોતી.

બધાં સુખનો સમય મળતાં ભરે છે દમ ગરૂરીના,
વસંત આવ્યા પછી અહીંયા હવા સારી નથી હોતી.

વધે છે દુઃખના બોજા સાથ એક ઉપકારનો બોજો,
બતાવે છે મનુષ્યો એ દયા સારી નથી હોતી.

કબરમાં જઇને રહેશો તો ફરિશ્તાઓ ઊભા કરશે,
અહીં ‘બેફામ’ કોઇ પણ જગા સારી નથી હોતી.

– બરકત વિરાણી ‘બેફામ’

બેફામસાહેબની એક સદાબહાર ગઝલ… સમયની એરણ પર સાબિત થયેલું આપણી ભાષાનું આ નરવું મોતી ‘લયસ્તરો’ના ખજાનામાં હતું જ નહીં. એટલે આજે…

Comments (15)

થઈ ગયું છે – રતિલાલ ‘અનિલ’

અતિશય બધુંયે સહજ થઇ ગયું છે;
એ બ્રહ્માંડ જાણે કે રજ થઇ ગયું છે.

ઉનાળુ મધ્યાહ્ન માથે તપે છે,
બધું કોઇ મૂગી તરજ થઇ ગયું છે.

હું તડકાના કેન્વાસે ચીતરું છું કોયલ;
ઘણું કામ એવું, ફરજ થઇ ગયું છે.

છે દેવાના ડુંગરશાં તોંતેર વર્ષો,
કે અસ્તિત્વ મોટું કરજ થઇ ગયું છે.

‘અનિલ’, વિસ્તર્યું મૌન તડકારૂપે, આ,
મને માપવાનો જ ગજ થઇ ગયું છે.

– રતિલાલ ‘અનિલ’

વહી ગયેલી પેઢીના ગઝલકારની આવનારી પેઢીને પ્રેરણા આપે એવી ગઝલ. એક એક નમૂનેદાર, અર્થ-નકશીથી શોભતા શેર તો જરા જુવો ! આ ગઝલના ભાવજગતને વર્ણવવા જાવ તો detached existance, emotional fatigue, burden of being, realization of nothingness અને metaphysical crisis જેવા – કાફકા અને સાત્રના – શબ્દો મગજમાં આવે છે. માણસ કેવી સ્થિતિએ પહોંચતો હશે કે જ્યારે કહે કે મધ્યાહ્ન …મૂગી તરજ થઈ ગયું છે ! તડકાના કેનવાસ પર કોયલ ચિતરવાનું કામ તો સૌંદર્યના સર્જનનું કામ છે – પણ એને માટે ય કવિ કહે છે – આ બધુ કામ ફરજ થઈ ગયું છે. થાક અને એકરાગિતા જબજસ્ત ઘેરી વળે તો જ મોઢે અસ્તિત્વના કરજ થઈ જવાની વાત આવે. છેલ્લા શેરમાં કવિ આ આંતરિક એકલતામાંથી ઉપજતા લાભની વાત કરે છે. કવિ જે ‘મૌન’ની વાત કરે છે એ કાળું, અંધકારમય, એકલાપણાનુ મૌન નથી – એ તો છે તડકા જેવું પ્રકાશમય મૌન. એવું મૌન જે અંતરમનને સમજવા માટે સૌથી સબળ સાધન બની રહે છે.

Comments (4)

ગઝલ – રિષભ મહેતા

ભરઉનાળે પણ થયો વરસાદમય
હું સ્વયં શ્રાવણ છું તારી યાદમય !

હું ગઝલ કહું ત્યાં જ બે આંખો ઢળી
થઈ ગયું વાતાવરણ ખુદ દાદમય !

જ્યાં હણાયું ક્રૌંચ હું તે વૃક્ષ છું
હું રહું તો શી રીતે સંવાદમય ?!

સૂર્યનો હું પુત્ર છું કે દાસીનો ?
કર્ણ છું; રહેવાનો હું વિવાદમય

કૃષ્ણ ! હું અર્જુન નથી; કુરુક્ષેત્ર છું
હું હજી છું એટલે વિષાદમય !

વાંસળીની જેમ કોરાવું પડે
હોય જો રહેવું તમારે નાદમય.

-રિષભ મહેતા

આ સ્વયંમુખરિત ગઝલનું સૌંદર્ય કશા જ ઉપોદઘાત વિના જ માણીએ તો ?

Comments (12)

ગઝલ – નૈસર્ગી મુસળે (ઉંમર- નવ વર્ષ)

આવો આવો આવો રમીએ,
પંખી સાથે વાતો કરીએ.

વૃક્ષો કંઈ કહેવા માગે છે,
કાન દઈ એને સાંભળીએ.

ફૂલોના ખોળામાં જઈએ
પંખીના ટોળામાં જઈએ.

ગંગા ખળખળ વહેતી જાતી
એનું થોડું પાણી લઈએ.

ઘાસ ઊગી નીકળ્યું છે જ્યાં-ત્યાં
ચાલો ઝટપટ કાપી લઈએ.

પંખીઓ તો જાતે ઊડશે
એને જાતે ઊડવા દઈએ.

-નૈસર્ગી મુસળે

પાંચમા ધોરણમાં ભણતી વડોદરાની માત્ર નવ વર્ષની બાળકી નૈસર્ગી મુસળેને કવિતા વારસામાં મળી છે. લબ્ધપ્રતિષ્ઠ કવિ મકરંદ મુસળેની પુત્રીની આ ગઝલ હમરદીફ-હમકાફિયા ગઝલ છે. જ્યાં મોટા-મોટા દિગ્ગજો સહેલાઈથી આઝાદીનું નામ લઈ પાતળી ગલી કાઢી લેતા હોય છે ત્યાં આ બાળાની આખી ગઝલમાં છંદની પણ કોઈ ભૂલ નથી એ શું પોતે જ એક સિદ્ધિ નથી?

અહીં બધા જ શેર સરળ હોવા છતાં થોડું ઊંડે ડોકિયું કરીએ તો ગહન અર્થચ્છાયા પણ અવશ્ય વર્તાય. નવ વર્ષની છોકરી આવું અર્થગહન વિચારી શકે કે કેમ એ વિચારવાને બદલે ગઝલને શુદ્ધ કવિતા તરીકે પ્રમાણીએ તો સહેજે આશ્ચર્ય થાય. ખળખળ વહેતી ગંગામાંથી ‘થોડું’ પાણી લેવાની વાત… અહીં પહેલી નજરે સાવ સરળ ભાસતો શેર ‘થોડું’ શબ્દ ઉમેરાતાની સાથે કાવ્યત્વ પામે છે. સમષ્ટિમાંથી જરૂર મુજબનું ચાંગળું લઈ બાકીનું બીજા માટે વહેતું છોડી દઈએ તો આપણી અડધી સમસ્યાઓ ટળી જાય.

અને છેલ્લે છેલ્લા શેર પર પણ એક નજર માંડીએ. બાળકોને કારકિર્દી-ભૂખ્યા બનાવીને આપણે અજાણતાં જ એમની પાંખ કાપી લેતા હોઈએ છીએ. દરેક મા-બાપ એમ જ ઈચ્છે છે કે મારું બાળક સુપર-બાળક બને, સર્વશ્રેષ્ઠ બને. અને સતત હરિફાઈની આગમાં ઝોંકી-ઝોંકીને આપણે એમનું બાળપણ છીનવી લઈએ છીએ. પોતાની અધૂરી મહત્ત્વકાંક્ષાઓનો બોજો નાના ખભાઓ પર લાદી દેતા મા-બાપો માટે આ શેર અખાના છપ્પાના ચાબખા સમાન છે. પંખીને ઊડવું શીખવવું પડતું નથી હોતું. એને એના પોતાના આકાશમાં એની મરજી મુજબનું ઉડ્ડયન કરવા દઈએ એજ સાચું વડીલપણું છે.

નૈસર્ગી મુસળેને ઉજ્જવળ કારકિર્દી માટે ‘લયસ્તરો’ તરફથી ખાસ શુભેચ્છાઓ…

Comments (51)

અમસ્તો થઈ ગયો – જવાહર બક્ષી

એ રીતે છૂટોછવાયો થઈ ગયો
તમારી પાસ બોલાયેલા શબ્દો થઈ ગયો

ક્યાં જવું એની ગતાગમ રહી નથી
હવે પગલાંઓ માટે ખુલ્લો રસ્તો થઈ ગયો

આજનું આકાશ ઓગળશે નહીં
સૂરજ પણ ચાંદનીને જોઈ ઠંડો થઈ ગયો

આમ પણ કારણ વધારે ક્યાં હતાં
જીવનમાં હું હવે બિલકુલ અમસ્તો થઈ ગયો

મારી પાસેથી તમે ચાલ્યા ગયા
ને જંગલમાં બે વૃક્ષોનો વધારો થઈ ગયો

-જવાહર બક્ષી

ગયા અઠવાડિયે શૂન્ય પાલનપુરીની ગઝલના છંદ-કાફીયા-રદીફના પાયા ઉપર તુષાર શુક્લે રચેલી અલગ જ ઈમારત જોઈ. વિષમ છંદ ગઝલનો એ એક નમૂનો હતો. એમાં શેરની બંને કડીમાં એક જ છંદના અલગ-અલગ આવર્તનો જળવાયા હતા. આજે એવી જ એક વિષમ છંદ ગઝલ જવાહર બક્ષીની કલમે માણીએ. અહીં બંને કડીમાં છંદ પણ અલગ અલગ વપરાયા છે. દરેક શેરની પહેલી કડીમાં ગાલગાગા | ગાલગાગા | ગાલગા અને બીજી કડીમાં લગાગાગા | લગાગાગા | લગાગાગા | લગા છંદ વપરાયો છે.
આ એક એવો કવિ છે જે કદી ઠાલાં શબ્દો વેડફશે નહીં. મત્લાનો શેર જોઈએ. માણસ ગમે એટલો મોટો ચમરબંધ કેમ ન હોય, પ્રેમ એને માખણથી ય મુલાયમ કરી નાંખે છે. હજારોની મેદની સામે સિંહગર્જના કરી શક્નાર પણ પ્રિય વ્યક્તિની સામે આવી ઊભે તો સસલાને ય બહાદુર કહેવડાવે એ રીતે ફફડી શકે છે. પ્રેમ અને પ્રિયાની ઉપસ્થિતિ બે હોઠોની છીપમાંથી ધાર્યા શબ્દોના મોતી સરવા દેતાં નથી. અને જે બોલાય એ પણ તૂટક-તૂટક… છૂટક-છૂટક… આવી જ કોઈ અનુભૂતિને કવિ અહીં શબ્દોમાં ઢાળે છે… એ રીતે છૂટોછવાયો થઈ ગયો, તમારી પાસ બોલાયેલા શબ્દો થઈ ગયો

બીજો શેર જોઈએ. જીવન જ્યારે લક્ષ્યહીન બની જાય, ત્યારે સંભાવનાઓ અ-સીમ થઈ જતી હોય છે. આપણું લક્ષ્ય ઘોડાની આંખ આગળના ડાબલાંઓની જેમ આપણને જકડી રાખી કૂવામાંના દેડકા બનાવી દે છે એટલે જિંદગીનું ખુલ્લાપણું આપણે કદી દેખી-માણી શક્તા નથી. જે દિવસે આપણે આપણી દિશા ગુમાવીએ છીએ ત્યારે અવદશામાંથી દશા પામીએ છીએ. હેતુ ત્યજીએ ત્યારે જ જીવનના સાચા સેતુઓ દેખાય છે, હદમાંથી અનહદ તરફ જવાની કડી અને કેડી ખૂલે છે.

બાકીના શેર જાતે માણીએ પણ આખરી શેર વિશે આપ સૌનો અભિપ્રાય ઈચ્છીશ…

Comments (10)

ગઝલ – ધૂની માંડલિયા

છે શબ્દ તો એ શબ્દનેય હાથપગ હશે;
એનેય રક્ત, રંગ, અસ્થિ, માથું, ધડ હશે.

નહીં તો બધાંય સંપથી ના મૌનમય બનત,
પ્રત્યેક શબ્દની વચાળ મોટી તડ હશે.

આંખોના અર્થમાં સજીવ પ્રાણવાયુ છે,
હોઠો ઉપરના શબ્દ તો આજન્મ જડ હશે.

જીવ્યો છું શબ્દમાં, મર્યો છું માત્ર મૌનમાં,
મારે કબર ઉપર ફરકતું લીલું ખડ હશે.

જીવ્યો છું શબ્દમાં સમયને સાંકડો કરી,
વાવ્યો છે શબ્દ ત્યાં કદી ઘેઘૂર વડ હશે.

– ધૂની માંડલિયા

શબ્દને તપાસવાની રમત શબ્દ-રસિયા કવિઓને અતિપ્રિય રમત છે. એટલે જ ‘શબ્દ’ વિષય પર અનેક સરસ કવિતાઓ છે : જુઓ 1, 2, 3 . સાથે જ આ કવિની આગળ મૂકેલી ગઝલનો ખૂબ જાણીતો મક્તાનો શેર પણ મમળાવવાનું ભૂલતા નહીં.

Comments (4)

ગઝલ – અનિલ ચાવડા


(ખાસ ‘લયસ્તરો’ માટે અમદાવાદથી અનિલ ચાવડાએ સ્વહસ્તે લખી મોકલેલ અપ્રગટ કૃતિ)

લીલોતરી નામે ય એક્કે પાંદડું સ્હેજે ખખડવાનું નથી,
વરસાદ થઈને તું ભલે વરસે અહીંયા કૈં પલળવાનું નથી.

તું મોજું દરિયાનું જ સમજીને ફરી વર્ષો સુધી બેસી રહ્યો,
એ ફક્ત રંગોથી મઢેલું ચિત્ર છે સ્હેજે ઉછળવાનું નથી.

હું ભીંત પર માથું પછાડું ? રોજ છાતી કૂટું ? રોવું ? શું કરું ?
હું એક એવું સત્ય છું જે કોઈ દી સાચ્ચું જ પડવાનું નથી.

એ માણસો સઘળા ય રસ્તામાં મને ઢીલા મુખે સામા મળ્યા,
કે જેમણે એવું કહ્યું’તું, :બસ હવે પાછા જ વળવાનું નથી.”

છે દેહ રૂના પૂમડાંનો ત્યાં સુધી સઘળું બરાબર છે / હતું,
પણ આગમાં કાયમ રહેવાનું અને સ્હેજે સળગવાનું નથી.

-અનિલ ચાવડા

માત્ર ૨૨ વર્ષની ઉંમરે અનિલ ચાવડાની કલમ દિગ્ગજ કલમકારોને શરમાવે એવા ચમકારા બતાવી જાણે છે. ગઝલના છંદોના નિયમિત આવર્તનોથી એક આવર્તન વધુ રાખી ગઝલ લખવાની કળા એમને સિદ્ધહસ્ત છે. નિરાશા અને વ્યથાના કાળા રંગોથી ભરી હોવા છતાં આ ગઝલ એટલી સલૂકાઈથી આખી વાત કરે છે કે ક્યાંય કશું ભારઝલ્લું લાગતું નથી. ગઝલનો આખરી શેર તો ગુજરાતી ભાષાનો સદાકાળ અમર શેર બનવા માટે જ સર્જાયો છે. મિત્ર અનિલને ખૂબ ખૂબ શુભેચ્છાઓ…

Comments (45)

ગઝલ – તુષાર શુક્લ

શબ્દ કેરી પ્યાલીમાં સૂરની સુરા પીને લ્યો, અમે તો આ ચાલ્યા.
મસ્ત બેખયાલીમાં લાગણી આલાપી ને લ્યો, અમે તો આ ચાલ્યા.

જે ગમ્યું તે ગાયું છે, જે પીધું તે પાયું છે, મ્હેકતી હવાઓમાં કૈંક તો સમાયું છે;
ચાંદનીને હળવેથી નામ એક આપીને લ્યો, અમે તો આ ચાલ્યાં.

જે કંઇ જીવાયું ને જીવવા જે ધાર્યું’તું સાચવીને રાખ્યું’તું, અશ્રુ એ જે સાર્યું’તું;
ડાયરીના પાનાની એ સફરને કાપીને લ્યો, અમે તો આ ચાલ્યાં.

ફૂલ ઉપર આ ઝાકળનું બે ઘડી ઝળકવાનું યાદ તોયે રહી જાતું બેઉને આ મળવાનું;
અંતરના અંતરને એમ સ્હેજ માપીને લ્યો, અમે તો આ ચાલ્યાં.

-તુષાર શુક્લ

ગઈકાલે શૂન્ય પાલનપુરીની એક ગઝલ આજ છંદમાં, આજ રદીફ અને આજ કાફીયા સાથે આપણે માણી. એટલે સુધી કે મત્લાની પહેલી કડી (ઉલા મિસરા)માં પ્યાલી અને સુરા પણ યથાવત્ રહ્યા છે. પણ તોય બંને ગઝલની મૌસિકી સાવ જ અલગ છે અને બંને ગઝલમાં જે વાતાવરણ ઊભું થાય છે એ પણ તદ્દન નોખું. શૂન્યની ગઝલમાં મૃત્યુના શ્વાસ અડતાં અનુભવાય જ્યારે તુષાર શુક્લની ગઝલમાં પ્રણયની રાગિણી રેલાતી સંભળાય. એકનો રંગ ભગવો છે તો બીજાનો ગુલાબી. એકમાં વિરક્તિ છે તો બીજામાં મસ્તી. કવિતાની કળા એ આજ ને?

‘હસ્તાક્ષર’ આલ્બમના આધારે લીધેલી આ ગઝલમાં શક્ય છે કે અન્ય શેર પણ હોય. કોઈ મિત્ર જો ખૂટતાં અશ્આર (જો હોય તો!) મોકલી આપશે તો ઋણી રહીશું. (આ ગઝલને વિષમ-છંદ ગઝલ કહી શકાય ખરી? મત્લાના શેરની બંને કડીમાં ‘ગાલગા લગાગાગા’ના ત્રણ આવર્તન વપરાયા છે જ્યારે પછીના ત્રણે ય શે’રમાં ઉલા મિસરામાં ચાર આવર્તન અને સાની મિસરા (બીજી કડી)માં ત્રણ આવર્તન વપરાયા છે).

(આવતા અઠવાડિયે એક વિષમ-છંદ ગઝલ માણીએ…)

Comments (19)

ગઝલ – શૂન્ય પાલનપુરી

રાગ કેરી પ્યાલીમાં,  ત્યાગની સુરા પીને, લો અમે તો આ ચાલ્યા !
જિંદગીની મસ્તીને  આત્મ-ભાન  આપીને, લો અમે તો આ ચાલ્યા !

બુદ્ધિ કેરી વીણા પર લાગણી  આલાપીને,  લો અમે તો આ ચાલ્યા !
દર્દહીન દુનિયામાં દિલનું મૂલ્ય સ્થાપીને, લો અમે તો આ ચાલ્યા !

સૃષ્ટિના કણેકણમાં  સૂર્ય  જેમ  વ્યાપીને, લો અમે તો આ ચાલ્યા !
જાન કેરા ગજ દ્વારા  કુલ  જહાન માપીને, લો અમે તો આ ચાલ્યા !

ધર્મના   તમાચાઓ,  બેડીઓ  પ્રલોભનની,  કોરડા   સમય   કેરા;
એક  મૂંગી  શ્રદ્ધાની  વેદનાઓ  માપીને,  લો અમે તો આ ચાલ્યા !

ધૈર્ય   કેરા   બુટ્ટાઓ,   પાંદડી   ક્ષમા   કેરી,   વેલ   છે કરુણાની,
પ્રાણના પટોળા પર, દિવ્ય ભાત છાપીને, લો અમે તો આ ચાલ્યા !

થાય  તે  કરે  ઈશ્વર !  ભાન  થઈ ગયું અમને, આપ-મુખ્ત્યારીનું !
દમ  વિનાના  શાસનની આજ્ઞા ઉથાપીને, લો અમે તો આ ચાલ્યા !

શૂન્યમાંથી  આવ્યા’તા,  શૂન્યમાં  ભળી  જાશું,  કોણ રોકનારું છે ?
નાશ  ને  અમરતાની  શૃંખલાઓ કાપીને લો અમે તો આ ચાલ્યા !

-શૂન્ય પાલનપુરી

‘ગાલગા લગાગાગા’ના ત્રણ આવર્તનોથી બનેલી આ ગઝલ એની ઝીણી કોતરણી બદલ દાદ માંગી લે છે. એક તો છંદના આવર્તનોના કારણે એક અજબ લય ઊભો થાય છે અને એ મૌસિકી(સંગીત)માં ઉમેરો કરે છે ‘લો અમે તો આ ચાલ્યા‘નો બળકટ ગેય રદીફ. ‘અમે તો આ ચાલ્યા’ કહીને હાથ ખંખેરીને ચાલ્યા જવાને બદલે શૂન્ય આગળ ‘લો’ ઉમેરીને અહીં બીજું જ નિશાન તાકે છે. એક ‘લો’ શબ્દનો ઉમેરો વાચકને ઈંગિત કરતો જાય છે કે અમે તો ચાલ્યા, પણ તમારું શું? સાથે જોડાશો કે નહીં? કે જીવનની સફરમાં બેસી ને જ કાપશો?

કહેવાય છે કે ગઝલનો પહેલો શેર-મત્લા- એ ગઝલમાં પ્રવેશવાનો દરવાજો છે. કવિએ અહીં ત્રણ-ત્રણ મત્લા વાપરીને ભાવકને ગઝલ-પ્રવેશની ખાસ્સી અનુકૂળતા કરી આપી છે. એમ પણ કહી શકાય કે ગઝલનું આગવું ભાવવિશ્વ ત્રણગણું ઘૂંટીને આખા માહોલને વધુ પ્રભાવક બનાવી દીધો છે. એક બીજી નોંધવા જેવી વસ્તુ છે તે આ ત્રણેય મત્લામાં સતત પુનરાવર્તિત થયેલા નાનાવિધ વિરોધાભાસ. પ્યાલી રાગની હોય તો સુરા ત્યાગની. મસ્તી છલકાતી હોય ત્યાં આત્મભાન અડોઅડ. બુદ્ધિની વીણા પણ આલાપ લાગણીનો. બેદર્દી દુનિયાના બીજા પલ્લામાં દિલની દોલત. કણની સૂક્ષ્મતા સામે સૂર્યની વિશાળતા. ગજ એક જાન જેવડો નાનકડો પણ માપ દુનિયા જેવડું વિશાળ. જીવનની ફિલસૂફી આ ત્રણ મત્લામાં ઘૂંટી-ઘૂંટીને શૂન્ય ભાવકને એવી જગ્યાએ લાવી ઊભો કરી દે છે જ્યાંથી ગઝલ-પ્રવેશ ન માત્ર સરળ બની રહે છે, એક ફાટી ફીટે નહીં એવી ભાત પણ અંકાઈ જાય છે.

(આવતીકાલે એક નાનકડું સરપ્રાઈઝ આ કૃતિના અનુલક્ષમાં.)

Comments (6)

કોઈ આવશે – ભગવતીકુમાર શર્મા

હમણાં નહીં તો સૈકા પછી કોઈ આવશે;
આખી મનુષ્યજાત સુધી કોઈ આવશે.

અવતાર સ્વાવલંબી હવે ક્યાં રહી શક્યા ?
પોતે નહીં તો એના વતી કોઈ આવશે !

ઊડે છે આમતેમ તણખલાંઓ નીડનાં;
પંખીની ચાંચે થઈને સળી કોઈ આવશે.

ચિંતામણી ઝરૂખે ઊભી હોય કે નહીં;
વિરહાગ્નિની તરીને નદી કોઈ આવશે.

પર્ણો ખર્યા કરે છે હવે બોધિવૃક્ષનાં;
સંભવ છે રાજપાટ ત્યજી કોઈ આવશે.

ઇચ્છા, મેં તારા નામ પર પાણી મૂકી દીધું;
લાગે છે, તોય અશ્રુ બની કોઈ આવશે !

શૈશવની બાળવારતા શોધી રહી મને;
સોનેરી પાંખવાળી પરી કોઈ આવશે ?

-ભગવતીકુમાર શર્મા

ભગવતીકાકાની ગઝલ ખૂબ ઊંડા ચિંતનના તારતમ્યરૂપે નીતરતી હોવાનું મેં કાયમ અનુભવ્યું છે. આ એક એવા સર્જક છે જે સર્જનને શોખ તરીકે નહીં પણ શ્વાસથીય વધુ અનિવાર્ય આવશ્યક્તા તરીકે લે છે. કાવ્યનો કોઈપણ પ્રકાર હોય, એમની સાધનાનું ઊંડાણ એમાં તરત જ વર્તાય. પ્રસ્તુત ગઝલનો ઇચ્છાવાળો શે’ર તો બેનમૂન થયો છે. ચિનુ મોદીના ખ્યાતનામ શે’ર –કોઈ ઇચ્છાનું મને વળગણ ન હો, એ જ ઇચ્છા છે, હવે એ પણ ન હો-નું અદ્દલોઅદ્દલ અવળું પ્રતિબિંબ જ જોઈ લ્યો જાણે !

Comments (8)

ગઝલ – ઉર્વીશ વસાવડા


(ખાસ ‘લયસ્તરો’ માટે શ્રી ઉર્વીશ વસાવડાએ સ્વહસ્તે લખી મોકલેલ અક્ષુણ્ણ ગઝલ)

શબ્દ ખરવાની કશી ઘટના ઘટી,
હાથ જ્યારે થઈ ગયા કંકાવટી.

મુખવટાને દોષ આપે છે બધા,
હોય છે ચ્હેરા અસલમાં તરકટી.

સાવ સાદી લાગતી આખી કથા,
અંત વેળા નીકળે છે અટપટી.

શ્વાસનું ભાથું હવે ખૂટી ગયું,
જીવ તારે જાતરા કરવી મટી.

આજ લાગે છે કશું અવસર સમું,
આંગણે આવી પીડાઓ સામટી.

-ઉર્વીશ વસાવડા

આ ગઝલ વિશે શું કહીશું? ફક્ત બે જ શબ્દો “અખિલમ્ મધુરમ્” ચાલશે?

Comments (18)

ગઝલ – ગની દહીંવાલા

બને એવું, સમસ્યાઓને પણ વિસ્મય થવા લાગે,
કશું અંધારમાં ઊગે, ને સૂર્યોદય થવા લાગે.

અધરના ગોખમાં બેઠાં રહે શબ્દોનાં પારેવાં,
પરસ્પર હોય ખામોશી અને નિર્ણય થવા લાગે.

રહે સરખું ધબકતું ત્યાં સુધી તો આપણું હૈયું,
અને ગૂંગળાય ત્યાંથી કોઈનો આશય થવા લાગે.

હવે પીનાર કે પાનારની નૈયતને શું રડવું ?
ભરેલો જામ ફૂટે ને તરસ અક્ષય થવા લાગે !

પ્રથમ આકાર પામે લાગણી સંબંધના સ્તર પર,
ન પામે માવજત મનની તો એ સંશય થવા લાગે.

નહીં પગલાં પડે તો શી દશા થાશે વિકટ પથની ?
મુસાફરના થશે શા હાલ ! જો નિર્ભય થવા લાગે.

‘ગની’, નિર્દોષ આશય છે હૃદય સાથે ઝઘડવાનો,
કે એમાં જે વસે છે એમનો પરિચય થવા લાગે.

-ગની દહીંવાલા

ગનીચાચાની એક જાણીતી ગઝલ મમળાવીએ આજે. હોઠના ગોખલાંમાં શબ્દોના કબૂતર ચૂપચાપ બેઠાં હોય અને એ ખામોશી જ પાંખોનો ફફડાટ બનવા માંડે ત્યારે સમજાય કે મૌનની ભાષા શબ્દની ભાષા કરતાં વધુ સશક્ત હોય છે. એક પછી એક શેર જેમ જેમ વાંચતા જઈએ તેમ તેમ ગઝલપંખીની પાંખોનો વ્યાપ વિસ્તરતો જતો સહેજે અનુભવાય અને ખુલતું જાય એક અસીમ આભ.

Comments (7)

खुदा भी हो – સુધીર પટેલ


(‘લયસ્તરો’ માટે સુધીર પટેલે અમેરિકાથી મોકલાવેલી હસ્તલિખિત અક્ષુણ્ણ ગઝલ)

ना कभी इस कदर हवा भी हो,
यार मेरा कहीं जुदा भी हो !

मैंने होठो़ से ना कहा भी हो,
वो मगर दिल की सुनता भी हो !

उनकी ही खास ये अदा भी हो,
शोखी के साथ में हया भी हो !

लाल हुई हैं आँखे सुरज की,
रात को देर तक जगा भी हो !

मैं ही शायद निकल गया आगे,
वक़्त कुछ देर तक रुका भी हो !

जिन्दगीभर की है दुआ “सुधीर”,
आज हक में मेरे खुदा भी हो !

-सुधीर पटेल

અમેરિકાનિવાસી સુધીર પટેલ આમ તો ગુજરાતી ગઝલમાં પ્રતિષ્ઠિત નામ ધરાવે છે. પણ અહીં જોઈએ તો ખ્યાલ આવે કે હિંદી ગઝલમાં પણ તેઓ એજ હથોટી ધરાવે છે. મેં હોઠોથી કદાચ “ના” પણ પાડી હોય, પણ પ્રિયજને દિલની વાત કદાચ સાંભળી પણ લીધી હોય એવું બનેની અભિવ્યક્તિ પ્રેમના આશાવાદની જે તીવ્રતા સુધી ભાવકને ખેંચી જાય છે એ અદભુત છે.

Comments (4)

ચિર વિરહિણીની ગઝલ – મુકુલ ચોક્સી

અહીંથી આવ-જા કરતા બધા બસ રાહદારી છે
અહીં દ્વારો વગરનું ઘર અને હજ્જારો બારી છે

હવે વારાંગનાના બારણાથી પણ વધુ ખુલ્લી
આ મારી ખુલ્લી છાતી પર સજાવેલી પથારી છે

છતાં એવી જ નિર્મમતાથી પીડે છે હજુ આજે
ગયા ભવમાં હતી જે શોક્ય આ ભવમાં અટારી છે

પ્રતીક્ષાની પીડાઓ તો અ.સૌ. છે ને અ.સૌ. રહેશે
ભલે એક આંખ વિધવા છે અને બીજી કુંવારી છે.

-મુકુલ ચોક્સી

મુકુલભાઈનું ભાષાકર્મ મને હંમેશા આકર્ષતું રહ્યું છે. જેના નસીબમાં વિરહ સિવાય બીજું કાંઈ જ નથી એવી એક સ્ત્રીની આ ચાર જ શેરની ગઝલ. પ્રતીક્ષાના આ ઘરમાં જ્યાં કોઈ કદી આવવાનું જ નથી અને આંખે નેજવું બનીને માત્ર રાહ જ જોયા કરવાની છે ત્યાં બારણાંની અનુપસ્થિતિ અને સામે હજ્જારો બારીઓની હાજરી ખૂબ સૂચક છે. પ્રતીક્ષાની પીડાને અખંડ સૌભાગ્યવતી કહેવાનું કવિકર્મ મુકુલ જ કરી શકે. પ્રિયજનની રાહ જોતી એક આંખ જાણે છે કે એ કદી આવનાર નથી અને બીજી આંખમાંથી તોય એના આવવાની આશા મરી પરવારતી નથી એટલે કવિ બંને આંખોને વારાફરતી વિધવા અને કુંવારી કહીને માથે મૂકે છે અ.સૌ. પ્રતીક્ષાની પીડાઓ, જે કદી મરવાની નથી…અખંડ છે!

મુકુલભાઈ, આજે એકવીસમી ડિસેમ્બરે તમને અમારા સૌ તરફથી ‘વર્ષગાંઠ મુબારક‘ કહીએ કે?

Comments (7)

ગઝલ – કાસમ પટેલ

હેલ, પનિહારી, પરબ, જળ ને પછી શું શું ગયું ?
વાવ, વીરડો, વ્હેણ, વાદળ ને પછી શું શું ગયું ?

બાગનો પર્યાય જો શોધી શકો તો શોધજો,
પર્ણ, ડાળી, ફૂલ, ઝાકળ ને પછી શું શું ગયું ?

કો’ક આપો આ મને મારા ખજાનાના સગડ,
શબ્દ, કીત્તો, શાહી, કાગળ ને પછી શું શું ગયું ?

અર્થનું આકાશ અંતે હાથ છેટું રહી ગયું,
કલ્પનાઓ, તર્ક, અટકળ ને પછી શું શું ગયું ?

વાદળો પાછળ લપાઇ સૂર્ય શું રણમાં જુએ ?
મૃગજળોનો એ ભરમ, છળ ને પછી શું શું ગયું ?

મુકત છો તો મુકત થૈ જા આ ગણતરીથી ય તું,
કેદ, પિંજર, રાવ, સાંકળ ને પછી શું શું ગયું ?

-કાસમ પટેલ

Comments (5)

ગઝલ – બકુલેશ દેસાઈ

અહીં કાચ ને પથ્થરો પણ અહીં છે,
બરડ શ્વાસનાં ઝુમ્મરો પણ અહીં છે.

કડડભૂસ ગીતો તણા કાંગરા અહીં,
બચેલો મધુર અંતરો પણ અહીં છે.

ટહુકવાને ઉત્કંઠ જો કે મયૂરો,
ચૂક્યા હોય એ અવસરો પણ અહીં છે.

ખબર પણ પડે ના અને ખોઈ બેસો,
પળો ચોરતા તસ્કરો પણ અહીં છે.

અહીં ખારપાટી ભૂમિ છે, ‘બકુલેશ’,
કહો, સંસ્મરણનો ઝરો પણ અહીં છે.

-બકુલેશ દેસાઈ

બકુલેશ દેસાઈ ભલે વ્યારામાં જન્મ્યા હોય, અમે એમને પક્કા “હુરતી” જ ગણીએ છીએ. વર્ષોથી સુરતમાં જ સ્થિર થયેલા અને દૂધમાં સાકરની જેમ ભળી ગયેલા બકુલેશ દેસાઈ હળવા હાસ્યલેખ અને વાર્તાઓમાં વધુ ખીલતા દેખાય. દર રવિવારે ‘નર્મદ સાહિત્ય સભા’માં નવોદિત સર્જકો સાથેની ગોઠડીમાં એમના આશીર્વાદ અચૂક મળે જ. શબ્દોમાં નાજુક મીનાકારી એ કઈ રીતે કરે છે એ સમજવું હોય તો આ ગઝલ જોવા જેવી છે…

(જન્મ તારીખ: (૧૪-૦૭-૧૯૪૭), કાવ્યસંગ્રહો: ‘અવાન્તર’, ‘અમીરાત’).

Comments (3)

શાંત છે ! – ચંદ્રકાંત શેઠ

રમ્ય આ એકાંત છે,
સ્નેહ કેવો શાંત છે !

ચાંદનીની સોડમાં
આજ દરિયો શાંત છે !

મેઘ ઘેરાયો છતાં,
વીજ કેવી શાંત છે !

મૌન મોજે ઉછળે,
શબ્દના સઢ શાંત છે !

ઘૂમટાની આડશે
એક દિવો શાંત છે !

પાંદડે ખળભળ ઘણી,
મૂળ ઊંડે શાંત છે !

એ અહીં આવી પૂગ્યાં,
એટલે ઘર શાંત છે !

હું હવે મારો નથી,
કેટલું મન શાંત છે !

– ચંદ્રકાંત શેઠ
(‘એક ટહુકો પંડમાં’)

શાતા અને સંતોષની કવિતા મળે તો મનને આનંદ થાય છે. એમાં ય વળી આવી ‘શાંતિ’ને ઊજવતી કવિતા મળે તો એનાથી ય વધારે આનંદ થાય. કવિએ નાના નાના શબ્દચિત્રોથી શાંતિના મહિમાને પૂરબહારમાં ગાયો છે. ને અંતે ચરમસીમા જેવી છેલ્લી બે અદભૂત પંક્તિઓ કવિ મૂકે છે – મન શાંત છે એનું કારણ છે કે હું હવે મારો નથી ! એટલે કે આ આખું ગીત ‘શાંતિ’ના મહિમાનું લાગતું હતું એ તો ખરેખર પ્રેમ-ગીત છે ! કોઈ પ્રેમની ઊજવણી ગાઈબજાવીને કરે છે તો કોઈને પ્રેમનો અનુભવ શાંતિ અને સંતોષ તરફ ખેંચી જાય છે…

Comments (9)

ગઝલ – સાહિલ

ચિત્તથી જે બધું પરહરે,
નામ એનું જ માણસ ખરે.

નામ તારું લઈ ઊમટ્યાં,
પૂર ના એ હવે ઓસરે.

હાથ મૂક્યો છે એ હાથમાં,
જે ભવોભવના ભરણાં ભરે.

કાનજીપો હશે ત્યાં નર્યો,
મન મીરાંબાઈનું જે હરે.

હોય ના જો અપેક્ષા કશી,
ખોટથી જીવ શાને ડરે?

-સાહિલ

રાજકોટના કવિ સાહિલની ગાલગાના ત્રણ આવર્તનોમાં લખેલી આ ટૂંકી બહેરની ગઝલ પરંપરાની ગઝલોની નજીક લાગે છે. મને ખૂબ ગમી ગયેલ બીજો શેર બાદ કરતાં બધાં જ શેર ઈશ્વર યા ઈશ્વરનિષ્ઠ મૂલ્યોને સ્પર્શતા થયા છે. મીરાંબાઈવાળા શેરમાં કવિ નવો જ શબ્દ ‘કોઈન’ કરે છે-કાનજીપો. જેમ રાજીપો, ખાલીપો તેમ આ કાનજીપો. સરવાળે આખી ગઝલ ધનમૂલક થઈ છે…

Comments (6)

નીકળે – મનીષ પરમાર

કેટલા જનમોજૂના થર નીકળે !
એક ટીંબો ખોદતાં ઘર નીકળે.

રેશમી પીંછું દટાયું મોરનું –
ધૂળમાં ટૌકાનું અંબર નીકળે.

વીરડો ગાળ્યા પછી એવું બને,
બુદબુદામાંથી સરોવર નીકળે.

આંસુનો હિસાબ પૂરો થાય ક્યાં ?
લેણું એનું જિંદગીભર નીકળે.

ચાસમાં ફરકી હશે લીલોતરી-
ખેડવા જાતાં જ ખેતર નીકળે.

-મનીષ પરમાર

Comments (5)

ગઝલ – મિર્ઝા ગાલિબ ( અનુ. મુસાફિર પાલનપુરી)

લો, ફરી દિલમાં બેકરારી છે;
ચોટ ખાવાની ઈંતજારી છે.

કાળજું કોર્યું લો અમે જ સ્વયમ્,
ઋત વસંતોની આવનારી છે.

એ જ નિ:શ્વાસ, આહ, ફરિયાદો
એ જ આંખેથી રક્ત ઝારી છે.

મરવું પાછું એ બેવફા ઉપર
એ જ શાપિત દશા અમારી છે.

આંખ ઝંખે છે એ જ બદનામી,
લક્ષ્ય દિલનુંય બસ ખુવારી છે.

થઈ ગયું ચારેકોર અંધારું,
જુલ્ફ શું કોઈએ પ્રસારી છે.

વ્યર્થ આ વ્યગ્રતા નથી ‘ગાલિબ’,
કંઈ તો છે જેની પરદાદારી છે.

– મિર્ઝા ગાલિબ ( અનુ. મુસાફિર પાલનપુરી)

Comments (4)

ગઝલ -હેમેન શાહ

અજાણ્યા છોડ પર ફૂટી, પમરવાનો વખત આવ્યો;
ઘડીભરમાં સુકાઈ જઈ વીખરવાનો વખત આવ્યો.

કદી ગુપચુપ છબી જોઈ સંવરવાનો  વખત આવ્યો;
કદી દર્પણની વચ્ચેથી ગુજરવાનો  વખત આવ્યો.

હવા આવી, ઘટા આવી, ઝરણ આવ્યું, ફૂલો આવ્યાં,
નવાનક્કોર નકશાઓ ચીતરવાનો વખત આવ્યો.

હજી રોમાવલિઓ પર પવન હમણાં જ સ્પર્શ્યો’તો,
અને ત્યાં કાફલામાંથી ઊતરવાનો વખત આવ્યો.

નથી દુ:ખ કે હતું મિલકતમાં અત્તરનું ફક્ત ટીપું,
પરંતુ એ… કે પાણીમાં પ્રસરવાનો  વખત આવ્યો.

-હેમેન શાહ

Comments (6)

યુગ તો વટાવી જાઉં – મધુમતી મહેતા

યુગ તો વટાવી જાઉં, મને ક્ષણ નડ્યા કરે,
જન્મો જનમનું કોઈ વળગણ નડ્યા કરે.

હું મધ્યબિંદુની જેમ નથી સ્થિર થઈ શકી,
ત્રિજ્યા અને પરિઘની સમજણ નડ્યા કરે.

એને વળાવી દ્વાર અમે બંધ તો કર્યા,
એના જતા રહ્યાનું કારણ નડ્યા કરે.

બુદ્ધ થઈ જવા મેં કોશિશ ઘણી કરી,
આ રક્તમાં થીજેલું સગપણ નડ્યા કરે.

આપણે ત્વચાથી પર થૈ નથી શક્યા,
દૃષ્ટિ છે ધૂંધળી ને દર્પણ નડ્યા કરે.

– મધુમતી મહેતા

મધુમતી મહેતા (જન્મ:૧૦-૦૫-૧૯૪૯) વ્યવસાયે તબીબ છે અને શિકાગો ખાતે રહે છે. પ્રસ્તુત ગઝલમાં છંદોની નજીવી શિથિલતાને નજરઅંદાજ કરીએ તો પાંચ સશક્ત શેર સમુદ્ર-મંથન પછીના અમૃત સમા ઊભરી આવે છે. જીવનનું સંગીત અહીં કવિતાની વાંસળીમાંથી સુપેરે સરતું જણાય છે.

Comments (10)

આગળ જતાં -ડૉ. મહેશ રાવલ

શક્યતાઓ વિસ્તરે, આગળ જતાં
માન્યતા ખોટી ઠરે, આગળ જતાં

એક પગલું પણ પછી સંભવ નથી
વા ફરે, વાદળ ફરે, આગળ જતાં

જે તફાવત હોય છે, તે હોય છે
એજ રસ્તો આંતરે, આગળ જતાં

ગાય છે ગુણગાન આજે, એ બધા
શક્ય છે ઇર્ષા કરે, આગળ જતાં

છેવટે,માણસ જવાનો જાતપર
મારશે, ને કાં મરે, આગળ જતાં !

-ડૉ. મહેશ રાવલ  (એમનાં જ બ્લોગ પરથી સાભાર…)

Comments (4)

લતાકુંજમાં – ઉદયન ઠક્કર

ન કૂંપળ, ન કળીઓ,ન કુસુમો, ન ક્યારો
સુગંધોને   હોતો   હશે    કંઈ    કિનારો ?

લતાકુંજમાં     કેમ     ગુંજે      સિતારો ?
છે  ભમરા ?  કે   પાંખાળા   સંગીતકારો ?

લળીને     ઢળીને     ટહુકા     કહે    છે,
‘તમે ક્યાંથી અહીંયા ? પધારો, પધારો !’

આ   તોળાવું   ઝાકળનું  તરણાની   ટોચે,
અને   મારા   મનમાં   કોઈના   વિચારો….

મને    જોઈને   ઘાસ   હળવેથી   બોલ્યું,
‘જરા  આમ   આવો,   પગરખાં   ઉતારો !’

-ઉદયન ઠક્કર

Comments (7)

ઉઘાડી રાખજો બારી – પ્રભાશંકર પટ્ટણી

દુઃખી  કે  દર્દી   કે  કોઈ   ભૂલેલા   માર્ગવાળાને,
વિસામો  આપવા  ઘરની  ઉઘાડી  રાખજો બારી.

ગરીબની દાદ સાંભળવા, અવરનાં દુઃખને દળવા,
તમારા   કર્ણનેત્રોની    ઉઘાડી    રાખજો   બારી.

પ્રણયનો  વાયરો  વાવા,  કુછંદી  દુષ્ટ વા જાવા,
તમારા  શુદ્ધ  હૃદયોની   ઉઘાડી   રાખજો   બારી.

થયેલાં   દુષ્ટ   કર્મોના   છૂટા   જંજીરથી  થાવા,
જરા   સત્કર્મની   નાની,  ઉઘાડી  રાખજો  બારી.

-પ્રભાશંકર પટ્ટણી

પ્રભાશંકર પટ્ટણી જ્ઞાતિએ નાગર. જન્મ: મોરબી ખાતે ૧૫-૦૪-૧૮૬૨ના રોજ, કોટડા-સાંગાણીના વતની. મૃત્યુ: ૧૬-૦૨-૧૯૩૮. ભાવનગરના રાજકુમાર ભાવસિંહજીના શિક્ષક અને સલાહકાર હતા. રાજ્યના દીવાન હતા અને ગાંધીજીના પરમમિત્ર. કવિ કાન્ત અને બ.ક.ઠાકોરના અંગત દોસ્ત. અંગ્રેજ સરકાર તરફથી સરનો ખિતાબ પણ મળ્યો હતો. એમના જીવનનો એક નાનકડો પ્રસંગ આપ અહીં માણી શકો છો.

(કાવ્યસંગ્રહ: ‘મિત્ર’ (મરણોત્તર પ્રકાશન, ૧૯૭૦)

Comments (5)

જ્યાં જ્યાં નજર મ્હારી ઠરે -કલાપી

જ્યાં જ્યાં નજર મ્હારી ઠરે યાદી ભરી ત્યાં આપની,
આંસુ મહીં આંખથી યાદી ઝરે છે આપની!

માશૂકોના ગાલની લાલી મહીં લાલી, અને
જ્યાં જ્યાં ચમન જ્યાં જ્યાં ગુલો ત્યાં ત્યાં નિશાની આપની!

જોઉં અહીં ત્યાં આવતી દરિયાવની મીઠી લહર,
તેની ઉપર ચાલી રહી નાજુક સવારી આપની!

તારા ઉપર તારા તણાં ઝૂમી રહ્યાં જે ઝૂમખાં,
તે યાદ આપે આંખને ગેબી કચેરી આપની!

ખૂનને ચરખે અને રાતે હમારી ગોદમાં,
દમબદમ બોલી રહી ઝીણી સિતારી આપની!

આકાશથી વર્ષાવતા છો ખંજરો દુશ્મન બધા,
યાદી બનીને ઢાલ ખેંચાઇ રહી છે આપની!

દેખી બૂરાઇ ના ડરું હું, શી ફિકર છે પાપની?
ધોવા બૂરાઇને બધે ગંગા વહે છે આપની!

થાકું સિતમથી હોય જ્યાં ના કોઇ ક્યાં આશના,
તાજી બની ત્યાં ત્યાં ચડે પેલી શરાબી આપની!

જ્યાં જ્યાં મિલાવે હાથ યારો ત્યાં મિલાવી હાથને,
અહેસાનમાં દિલ ઝૂકતું, રહેમત ખડી ત્યાં આપની!

પ્યારું તજીને પ્યાર કોઇ આદરે છેલ્લી સફર,
ધોવાઇ યાદી ત્યાં રડાવે છે જુદાઇ આપની!

રોઉં કાં રાહમાં બાકી રહીને એકલો?
આશકોના રાહની જે રાહદારી આપની!

જૂનું નવું જાણું અને રોઉં હસું તે તે બધું,
જૂની નવી ના કાંઇ તાજી એક યાદી આપની!

ભૂલી જવાતી છો બધી લાખો કિતાબો સામટી,
જોયું જોયું છો બને જો એક યાદી આપની!

કિસ્મત કરાવે ભૂલ તે ભૂલો કરી નાખું બધી,
છે આખરે તો એકલી ને યાદી આપની!

-કલાપી

Comments (7)