દૃશ્યનો દરબાર સૂનો થઈ ગયો,
આરસી તૂટી અને વેરાઈ ગઈ.
– રાહુલ શ્રીમાળી

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for ગઝલ

ગઝલ શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.




(તમને ગમે તો પહેરો) – હરીશ મીનાશ્રુ

ઝાકળ ન તાણે તંબુ, સાધુ ન ડારે ડેરો
સુરભિ સદા અજન્મા, વાયુ ફરે ન ફેરો

સપડાઈ ગયા છે સૌ સગપણ અને સમજણમાં
ઘર ઘર મટીને સહસા થઈ જાય સખત ઘેરો

પડછાયો પગ તળેથી છટકીને ક્યાં જવાનો ?
ધોળે દહાડે શાને સૂરજનો ચોકીપહેરો ?

દરિયા કનેથી ઈંડાં માગે છે જ્યાં ટિટોડી
મોતી બધાંય મીંડાં, લજ્જિત બધીય લહેરો

નગરી ઉજેણી, એમાં આ શબ્દનું સિંહાસન
હું બેસવા જઉં ત્યાં પૂતળી પુકારે ઠહેરો

શંકાનું એક ટીપું, મનની મટોડી કાળી
ભાષાનો ભેદ તસ્કર કરતાં ગુપત ને ઘેરો

હું બરતરફ કરું છું શાહીનો ચન્દ્ર નભમાં
આ વાત પર અમાસે મારી દીધો છે શેરો

ખખડ્યા કરે છે અંદર ઈશ્વરની એ ઈમારત
નકશામાં કોણ કરતું, ખંડેરનો ઉમેરો ?

કંપે છે એકસરખાં ધડ ને અરીસા સૌના
ડરને અને ઈચ્છાને છે એકસરખો ચહેરો

કાચી કબરના માપે મેરાઈએ સીવ્યો છે
માટીનો એક ડગલો, તમને ગમે તો પહેરો

– હરીશ મીનાશ્રુ

કેટલાક છંદદોષને નજરઅંદાજ કરીએ તો મજાની દ્વિખંડી ગઝલ. પ્રાચીન ગુજરાતીના દોહા કે સુભાષિતો સાંભળતા હોઈએ એવી ગેરુઆ બાનીની ગઝલ. બધા જ શેર મનનીય થયા છે.

Comments (9)

(મરી શકતો નથી) – કુમાર જૈમિની શાસ્ત્રી

એક એકલતા મને તારા સુધી લઈ જાય છે
પણ પછી હું એકલો પાછો ફરી શકતો નથી

તું કહે તો યાર સાતે સાગરો ખેડી શકું
માત્ર તારી આંખમાં સહેજે તરી શકતો નથી.

કાળના ખાલીપણાનો પણ પુરાવો એ જ કે –
કોઈના અવકાશને ક્યારેય ભરી શકતો નથી.

તું જશે તો આ જગત જાણી જશે તારા વગર
હું જીવી શકતો નથી ને હું મરી શકતો નથી.

સ્વપ્ન છું કે અશ્રુ છું બસ આ દ્વિધાને કારણે
બોજ છું પાંપણ ઉપર, તો પણ સરી શકતો નથી.

– કુમાર જૈમિની શાસ્ત્રી

મત્લાનો અભાવ અને એકાદ જગ્યાએ નજીવા છંદદોષને બાદ કરીએ તો નખશિખ આસ્વાદ્ય રચના. પહેલા શેરમાં એકલતાની જે વિભાવના કવિ રજૂ કરે છે એ કદાચ પ્રણયમાં વિરહની સર્વોત્કૃષ્ટ અભિવ્યક્તિ છે.

Comments (7)

કલાધર્મ – સ્નેહી પરમાર

હવાને કહોને હવાધર્મ પાળે
ભલે બારણાં, બારણાધર્મ પાળે

કદી બ્હાર આવે, કદી જાય ભીતર
આ વૈરાગ પણ કાચબાધર્મ પાળે

બધાં જળને પોતાનું થાનક ગણે છે
ઘણાં એ રીતે માછલાધર્મ પાળે

એ બોલ્યું જો બદલે, નવાઈ ન પામો
ઊંચા માણસો તો ધજાધર્મ પાળે

ન આદત છૂટે ડંખવાની કદાપી
ભલે માણસો કંઈ વડાધર્મ પાળે

પીડાને એ પટરાણી માની નવાજે
કલમ પણ વધુ શું કલાધર્મ પાળે !

– સ્નેહી પરમાર

ધર્મ પ્રત્યય લગાડીને કવિએ તો કાફિયાનો રંગ જ સમૂચો બદલી નાંખ્યો. બારણાં ભલેને બારણાંનો ધર્મ પાળે, ભલેને બંધ રહે, હવાએ પોતાનો ધર્મ-તિરાડમાંથી પણ વહી નીકળવાનો ભૂલવો ન જોઈએ. એક શેર યાદ આવ્યો: ભીડ્યાં હો શક્યતાનાં ભલે દ્વાર ચસોચસ; હું તો હવા છું, મારે તો તિરાડ બસ હતી. સમય વર્તીને કાચબો પોતાનું આખું શરીર ક્યારેક એની પીઠની ઢાલમાં સંકોરી લે, ક્યારેક બહાર કાઢે એ ગુણધર્મ સાથે આપણા સ્મશાનવૈરાગ્યને સાંકળીને કવિ ભારોભાર કટાક્ષ પણ કરી જાય છે. અંતિમ શેર પણ કળા અને પીડાનો અવિનાભાવી સંબંધ સુપેરે ઉજાગર કરી શક્યો છે.

તાજા સમાચાર મુજબ કવિના પુસ્તક ‘યદા તદા ગઝલ’ને ગુજરાત સાહિત્ય અકાદમીનું વર્ષ 2015 માટેનું દ્વિતીય પારિતોષિક મળ્યું છે એ માટે કવિને ટીમ લયસ્તરો તરફથી અઢળક મબલખ સ્નેહાભિનંદન !

Comments (15)

(જુદો છે) – ભરત વિંઝુડા

કાલ કરતાં વિચાર જુદો છે
આજ થોડોક પ્યાર જુદો છે

એ જ છે કે સિતાર જુદો છે
અથવા એમાં જ તાર જુદો છે

સામસામે ફૂલો જ ફેંકેલાં
પણ પછીનો પ્રહાર જુદો છે

હું જે સમજું છું તે અલગ છે ને
તું કહે એનો સાર જુદો છે

ચાહવું તે ન ચાહવા જેવું
પ્રેમનો આ પ્રકાર જુદો છે

લોહી નીકળે તો સૌને દેખાડું
પણ અહીં મૂઢમાર જુદો છે

મારે અડવું નથી જરાય તને
મારા મનમાં વિકાર જુદો છે

– ભરત વિંઝુડા

સાવ સહજ સરળ ભાષા પણ એક-એક શેર પાણીદાર… ધીમેધીમે ખોલવા જેવા… વાહ કવિ!

Comments (10)

શ્વાસ નામે પાંદડાં – ચંદ્રેશ મકવાણા ‘નારાજ’

શ્વાસ નામે પાંદડાં ખરતાં રહ્યાં
હા, ક્ષણેક્ષણ આપણે મરતા રહ્યા

જીવવા જેવું કશુયે ક્યાં હતું
જિંદગી લાદી ખભે ફરતા રહ્યા

આંખમાં અવઢવ રહ્યો આઠે પ્રહર
પાંપણોમાં પ્રેત તરવરતાં રહ્યાં

આયખાના સાવ કાણા પાત્રમાં
આંધળું હોવાપણું ભરતા રહ્યા

ક્યાં હતી ઠંડી… હવા પણ ક્યાં હતી..?
એ છતાં ‘નારાજ’ થરથરતા રહ્યા….

– ચંદ્રેશ મકવાણા ‘નારાજ’

કવિતાની ખરી મજા જ એ છે કે જે વાત આપણે વર્ષોથી જાણતાં જ હોઈએ એ જ વાત અલગ રીતે રજૂ કરવામાં આવે તો મોં અને દિલમાંથી એકીસાથે આહ અને વાહ – બંને નીકળી આવે… સફરજન તો વૃક્ષનો જન્મ થયો ત્યારથી જ નીચે પડતા હતા પણ ન્યૂટને એની પાછળનો નિયમ રજૂ કર્યો અને દુનિયાની શિકલ બદલાઈ ગઈ. આપણે બધા જ જાણીએ છીએ કે દરેક શ્વાસ આપણને અફર મૃત્યુ તરફ લઈ જાય છે પણ આ જ વાત જ્યારે ચંદ્રેશ મકવાણા આ ગઝલના મત્લામાં લઈને આવે છે ત્યારે મરવું પણ મીઠું લાગી આવે, નહીં?! મત્લાના શેરનું સહજ સૌંદર્ય એટલું બધું અદભુત છે કે વિવેચનાનો નાનો અમથો સ્પર્શ પણ પતંગિયાની પાંખ હાથમાં લઈએ ને રંગ ઊતરી જાય એમ આ સૌંદર્યમાં ડાઘ લગાડવા બરાબર છે એટલે એને એમ જ માણીએ.

આખી ગઝલ મૃત્યુનો સંસ્પર્શ લઈને આવી છે અને બધા જ શેર નિતાંત આસ્વાદ્ય થયા છે.

Comments (8)

(થેલો) – શૈલેન રાવલ

ચાલ ઊભો થા અને ઉઠાવ થેલો,
કોણ કોનો છે ગુરુ ને કોણ ચેલો ?

મન પછી સોળે કળાએ ખીલશે; જો –
દાયકાથી બંધ છે તે ખોલ ડેલો !

ઘાસ માફક ઝૂકવું ડહાપણ ભરેલું;
વાયરો ફૂંકાય છે માથા ફરેલો.

જળને જો, પડવું છતાં વહેવું મજાથી-
સત્ય નોખું શીખવે વરસાદી રેલો.

પોતપોતાનું અલગ છે જૂઠ મિત્રો !
પૂછશો ના કોણ સમૃદ્ધ આ કે પેલો ?

– શૈલેન રાવલ

ગુરુ કોણ ને ચેલો કોણની કડાકૂટમાં જ આપણું જીવન વીતી જાય છે. ખરી વાત તો થેલો ઉપાડવાની અને ચાલતા-વહેતા થવાની છે. આગળ વધવું એ જ ખરી જિંદગી છે. બંધ ડેલો જ્યાં સુધી ખૂલે નહીં ત્યાં સુધી તાજી હવાની લહેરખી અને તાજી કૂંપળનું ખીલવું શક્ય ક્યાંથી બને ? સરવાળે અખી ગઝલ આસ્વાદ્ય…

Comments (2)

પડદો પડી ગયો ! – લલિત ત્રિવેદી

જાગી ઊઠ્યા ને જાત પર પડદો પડી ગયો
કાલે જીવ્યાની વાત પર પડદો પડી ગયો !

પડદો હલ્યો ને ભીંત પરનું ચિત્ર સળવળ્યું,
પડદાની એક નિરાંત પર પડદો પડી ગયો !

પરદાનશીન થૈ ગયો મારી સમક્ષ હુંય
મારી બધી મિરાત પર પડદો પડી ગયો !

પડદો ખૂલ્યો ને ગૃહમાં અંધારું થૈ ગયું
પ્રત્યેક જણની જાત પર પડદો પડી ગયો !

પડદો પડ્યો ને ગૃહમાં અજવાળું થૈ ગયું
ખુરશીની કાયનાત પર પડદો પડી ગયો !

સૂરજ ઊગ્યો ને પાત્ર સૌ સન્મુખ થૈ ગયાં…
પડદો પડ્યા-શી રાત પર પડદો પડી ગયો !

રિહર્સલોની જેમ ના ઘટના કશી બની
નાટકની એક વિસાત પર પડદો પડી ગયો !

– લલિત ત્રિવેદી

પડદો પડી જવાની એક જ ક્રિયાને કવિ અલગ અલગ શેરમાં અલગ અલગ અર્થમાં કેવી બખૂબી વર્ણવે છે એ જ ગઝલનું ખરું સૌંદર્ય છે.

Comments (5)

પરિચય છે -‘સૈફ’ પાલનપુરી

અમારી જિંદગીનો આ સરળ સીધો પરિચય છે,
રુદનમાં વાસ્તવિકતા ને હસવામાં અભિનય છે.

તમે આવો તો એને પણ જરા ઠપકા સમું લાગે,
આ મારું મન ઘણા વર્ષોથી મારામાં જ તન્મય છે.

તને મળવાનો છું એટલે હમણાં તો ચૂપ છું પણ,
ખુદા તારા વિશે મારાય મનમાં સહેજ સંશય છે.

મને જોઈને નજરને શું સિફતથી ફેરવી લ્યો છો !
તમારી તો ઉપેક્ષા પણ ખરેખર બહુ કળામય છે.

હવે ક્યાં આગ્રહ છે કે ‘સૈફ’ સાકી હો મદિરા હો,
હવે તો શાંત ખૂણો પણ મળે તો એ સુરાલય છે.

– ‘સૈફ’ પાલનપુરી

Comments (4)

મારે જવું નથી – જયંત પાઠક

એ ના સળંગ હોય તો મારે જવું નથી.
રસ્તાને અંત હોય તો મારે જવું નથી.

બોલાવતું બધુંય ગામ તોય એમની,
ખડકી જ બંધ હોય તો મારે જવું નથી.

પૃથ્વીની જેમ એમના દરિયાવ દિલમાં,
નોખા જ ખંડ હોય તો મારે જવું નથી

ખારું ઝરણ થઈને તો નીકળ્યો છું આંખથી,
ખારો જ અંત હોય તો મારે જવું નથી.

હું ચાલું તો ચાલે ને અટકું તો ઊભો રહે,
એવો જ પંથ હોય તો મારે જવું નથી.

-જયંત પાઠક

Comments (4)

ઈર્શાદગઢ : ૦૨ : ઉર્દૂ: जाना है – चिनु मोदी

OLYMPUS DIGITAL CAMERA
ચિનુ મોદી (૩૦-૦૯-૧૯૩૯થી ૧૯-૦૩-૨૦૧૭)
(તસ્વીર- વિવેક ટેલર, ડિસે., ૨૦૧૦)

*

अब यहाँ से जाना है
मौत तो बहाना है।

अब्र से उतर आये
चाँद को छुपाना है।

गुमसुदा खुदा का भी
अब पता लगाना है।

रुक गई हवा लेकिन
कश्ती को चलाना है।

एक काम बाकी है
आप को मनाना है।

रात-दिन इबादत कर
सरफ़िरा झुकाना है।

जो कभी जलाया था
वह दिया बुझाना है।

-चिनु मोदी

ચિનુ મોદી (૩૦-૦૯-૧૯૩૯થી ૧૯-૦૩-૨૦૧૭). ગુજરાતી ગઝલગઢનો એક મોભ તૂટી પડ્યો. ચિનુ મોદીને કોઈ ગઝલકાર કહે એ ગુજરાતી કવિતાનું અપમાન છે. ગુજરાતી ઉપરાંત ઉર્દૂ ગઝલ (इर्शादनामा)માં બહોળું ખેડાણ કરનાર ચિનુ મોદીએ ગઝલ, ગીત, સોનેટ, અછાંદસ જેવા પ્રચલિત કાવ્યપ્રકારો ઉપરાંત ખંડકાવ્ય (બાહુક), દીર્ઘકાવ્ય (વિ-નાયક), આખ્યાનકાવ્ય (કાલાખ્યાન), પદ્ય એકાંકી નાટકો (ડાયલનાં પંખી) તથ પદ્યસભર વાર્તાઓ (ડાબી મૂઠી, જમણી મૂઠી) પણ આપણને આપ્યાં છે. આ પ્રકારનું કાવ્યપ્રકારબાહુલ્ય આપણે ત્યાં “રેરેસ્ટ ઑફ ધ રેર” ઘટના છે.

 

ગઈ કાલે આપણે ગુજરાતી ગઝલ માણી. આજે, એક ઉર્દૂ ગઝલ…

પ્રસ્તુત ગઝલનો મત્લા અને આખરી શેર જાણે ચિનુ મોદીએ આ રવિવારની સાંજની અલવિદા માટે જ લખ્યો હોય એમ લાગે છે.

Comments (3)

ઈર્શાદગઢ : ૦૧ : ગઝલ : હું નથી હોતો – ચિનુ મોદી

પાતળી પડતી હવામાં હું નથી હોતો
શ્વાસ અટકે એ જગામાં હું નથી હોતો.

એ ખરું, કે જીવવું ઈચ્છા ઉપરવટ છે
કૈંક વર્ષોથી કશામાં હું નથી હોતો.

રાતભર વરસાદ વરસે , ઓરડો ગાજે;
આંખ ઝરમરતાં, મઝામાં હું નથી હોતો.

બે ઘડી માટે થવું છે પર – સુગંધથી;
પુષ્પની અંગત વ્યથામાં હું નથી હોતો.

જીવન જેમ જ સાચવ્યા એકાંતના સિક્કા;
ભીડથી ભરચક સભામાં હું નથી હોતો.

– ચિનુ મોદી

ચિનુભાઈ નથી રહ્યા……

Comments (3)

તુ શું કરીશ ? – મુકેશ જોશી

ખેરવી નાખે જ તારાં પાન તો તુ શું કરીશ ?
ખીલવાનું દે પછી આહ્વવાન તો તુ શું કરીશ ?

વેશ સાધુનો લૈ તું બ્રહ્મચારી થાય પણ
જાગશે તારા મહી શેતાન તો તુ શું કરીશ ?

એમને મુઠ્ઠી ભરી તુ શાપ દેવા નીકળે
એ તને જો આપશે વરદાન તો તુ શું કરીશ ?

કાલ જેને તે હણ્યો તે સત્યવક્તા હુ હતો
રુબરુ આવી કહે ભગવાન તો તુ શું કરીશ ?

જિંદગી વાંચીને તારી એ કરે જો ફેસલો
ભાગ્યમાં તારા નથી અવસાન તો તુ શું કરીશ ?

– મુકેશ જોશી

તીક્ષ્ણ-અણિયાળા સવાલો…..ટિપિકલ મુકેશ જોશી !!

Comments (8)

કળી શકો નહીં – હર્ષવી પટેલ

અઠંગ આંખ હોય પણ ફરક કળી શકો નહીં,
મને મળ્યા પછી તમે તમે રહી શકો નહીં.

શરત ગણો તો છે શરત, મમત કહો તો હા, મમત!
તમે તમે ન હોવ તો મને મળી શકો નહીં.

પ્રવેશબાધ કે નિયમ કશું નથી અહીં છતાં
કહું હું ત્યાં લગી તમે પરત ફરી શકો નહીં.

જો થઈ જશે લગાવ તો સ્વભાવ થઈ જઈશ હું,
મથો છતાંય એ પછી મને તજી શકો નહીં.

તરણકળા પ્રવીણ હો, તરી શકો સમંદરો,
ડૂબી ગયા જો આંખમાં, તમે બચી શકો નહીં.

પડ્યા પછી જ પ્રેમમાં ખરેખરી ખબર પડી,
સતત મરી શકો ખરા, સતત જીવી શકો નહીં.

– હર્ષવી પટેલ

કેસરી, સફેદ અને લીલો – એમ ત્રણ રંગ ભેગા કરીને બનાવ્યું ન હોય એવા ‘કેસલી’ ગામની વતની હર્ષવી નખશિખ ‘ભારતીય’ પરવીન શાકિર છે. એના શેરમાં પરવીનની નજાકત છે, મીનાકુમારીનું દર્દ છે અને સાથે જ અમૃતાની પરિપક્વતા પણ છે. હર્ષવી ગુજરાતી ગઝલની ઊજળી આજ છે. એની ગઝલો આજના ફેક્ટરી પ્રોડક્શનની ગઝલો નથી, સાચું સોનું છે. મત્લાનો શેર હાથમાં લઈએ… સંસારનો સાર્વત્રિક નિયમ છે. એક વ્યક્તિ બીજી વ્યક્તિને મળે એટલે “બંને” વ્યક્તિમાં ઇચ્છો કે ન ઇચ્છો, નજીવો તો નજીવો પણ ફરક તો આવવાનો, આવવાનો ને આવવાનો જ. આ સત્ય હર્ષવી કેવી કારીગરીથી ઉજાગર કરી શકે છે એ જુઓ… તમે ગમે એટલા હોંશિયાર કેમ ન હોવ પણ તમારી પાસે એ આંખ તો નથી જ, જે બે વ્યક્તિની મુલાકાતથી વ્યક્તિત્વમાં વ્યક્તિની ખુદની પણ જાણ બહાર નિપજતા આ subtle પરિવર્તનને કળી શકે.

Comments (14)

વરસાદમાં – સુરેશ પરમાર ‘સૂર’

વા-ઝડી થઈ યાદ સૂસવાતી રહી વરસાદમાં,
હું અહીં, ત્યાં તુંય વળ ખાતી રહી વરસાદમાં.

જાગરણ પ્રોઈ શકું હું જિંદગીની સોયમાં,
એ જ કારણ વીજળી થાતી રહી વરસાદમાં.

હું કવિનો કોટ પહેરી બારીએ બેસી રહ્યો,
ને ગઝલ સાબોળ ભીંજાતી રહી વરસાદમાં.

લાકડાં લીલા જલાવી ડાઘુઓ ચાલ્યા ગયા,
એકલી ચિતા જ ધુમાતી રહી વરસાદમાં.

પિંજરામાં કેદ મેના ‘સૂર’ સામે જોઈને
ભીની આંખે મેહૂલો ગાતી રહી વરસાદમાં.

– સુરેશ પરમાર ‘સૂર’

બધા જ શેર મમળાવવા ગમે એવા… હર મોસમમાં તરબતર કરી દે એવી મજાની વરસાદી ગઝલ…

Comments (6)

ભીનાશ – જવાહર બક્ષી

બે-ચાર શક્યતાઓ છે સાચી પડી ન જાય
આ તરવરાટને ક્હો, હમણાં વધી ન જાય

તું પાસ હોય એવી રીતે ગાઉં છું ગઝલ
તું ક્યાંક પાસ આવી મને સાંભળી ન જાય

તારી નિકટ નથી તો હું તારાથી દૂર છું
તારી ઉપસ્થિતિ તો કદી અવગણી ન જાય

ભરપૂર હોઉં તોય તને ઝંખતો રહું
તું આ ભર્યાભર્યાપણાને ઓળખી ન જાય

તારી ગલીમાં ધુમ્મસી વાતાવરણ રહે
મારી ભીનાશ ક્યાંય તને પણ અડી ન જાય

થોડા વિકલ્પો આજ અતિથિ છે આંખમાં
તારા અભાવને કહે આંખ સુધી ન જાય

– જવાહર બક્ષી

Comments (7)

(રાતરાણી છે) – શૈલેન રાવલ

દુઃખતી નસ તેં ફરી દબાવી છે,
બંધ મુઠ્ઠી વળી ઉઘાડી છે.

નીંદ પર સ્વપ્નના ગુના આવ્યા,
જિંદગીને આમ તેં ફસાવી છે.

એક ખોબાને હું તરસતો’તો;
એણે આખી નદી પચાવી છે.

તું મને મારી પાસે રહેવા દે,
માંડ પીડાને ફોસલાવી છે.

ઓળખી લે સ્વરૂપ ઝાકળનું !
એ અગમ તત્ત્વની નિશાની છે.

જામતી રાતે મહેંકવાની છે;
આ ગઝલ દોસ્ત, રાતરાણી છે.

– શૈલેન રાવલ

પ્રેમ એ સમર્પિત થઈ જવાની લગણીનું બીજું નામ છે એ સાચું પણ સાથે એ પણ સાચું કે પ્રેમ એટલે પારાવાર પીડાનું શાશ્વત સરનામું. પ્રેમમાં તકલીફની કોઈક ક્ષણે તો આપણે ચિત્કારી જ ઊઠીએ કે મારે સમર્પિત નથી થવું. મને મારી જ પાસે રહેવું છે કેમકે પ્રેમમાં સમર્પણ અપેક્ષા પણ જન્માવે જ છે અને અપેક્ષા જન્મ આપે છે પીડાને. કવિ કદાચ એટલે જ પોતાને પોતાની પાસે જ રહેવા દેવાની માંગણી કરે છે. અને છેલ્લો રાતરાણીવાળો શેર તો અદભુત થયો છે, ગઝલ આખી મઘમઘ કરી દે એવો !

Comments (7)

ફટકાર લાગી ગઈ – કિરણસિંહ ચૌહાણ

સુંવાળા શબ્દની પણ એમને તો ધાર લાગી ગઈ,
અમારી લાગણી પણ જાણે અત્યાચાર લાગી ગઈ.

અમે ઉચ્છવાસ મૂક્યો ને નવો આ શ્વાસ લીધો બસ…
અને બસ એટલામાં આપ કહો છો ‘વાર લાગી ગઈ !’

મુસીબત એમણે તો મોકલી‘તી મોટી સંખ્યામાં,
અમે સાવધ રહ્યા પણ તે છતાં બે–ચાર લાગી ગઈ.

જરા સંભાળ લઈએ ખુદની ત્યાં તો પાછા વિખરાયા,
તમારી ઓઢણી અમને આ બીજી વાર લાગી ગઈ.

સરળ છે એમ સમજીને બધા ફટકારવા લાગ્યા,
ગઝલને એટલે તો આટલી ફટકાર લાગી ગઈ.

– કિરણસિંહ ચૌહાણ

સંબંધમાં સંવેદના માપવાનું કોઈ થર્મોમીટર આવતું નથી. ક્યારે કઈ વસ્તુ કેટલી માત્રામાં ખટકી જાય એ નક્કી કરવું દોહ્યલું બની જાય. મૂડ બરાબર ન હોય તો સુંવાળા શબ્દો પણ ઘસરકો કરતાં જાય. આમ તો આખી ગઝલ મજાની થઈ છે પણ ઓઢણી બીજીવાર લાગવાવાળી ઘટનામાં નજાકત અને પ્રણયની તીવ્રતાનું જે શબ્દાંકન થયું છે એ તો અદભુત છે…

Comments (5)

રસ્તો ભૂલી ગયો, તો દિશાઓ ફરી ગઈ ! – ‘ગની’ દહીંવાળા

તે પ્રેમ-આગ, રૂપનો જે લય કરી ગઈ,
સળગી ગયો પતંગ ને જ્યોતિ ઠરી ગઈ.

મારા દિવસ ને રાત તો દ્રષ્ટિ છે આપની,
મુજ પર કદી ઠરી, કદી મુજથી ફરી ગઈ.

શ્રદ્ધા જ મારી લઈ ગઈ મંઝિલ ઉપર મને,
રસ્તો ભૂલી ગયો, તો દિશાઓ ફરી ગઈ !

હો કોટિ ધન્યવાદ વહાલી ઓ જિંદગી !
આવી વિકટ સફરને તું પૂરી કરી ગઈ.

મારો વિકાસ મંદ છતાં શાનદાર છે,
દુનિયા તો જેમ તેમ બધે વિસ્તરી ગઈ.

જીવી ગયો તમારી મહોબ્બતને આશરે,
જૂઠી વિગત જહાનમાં સાચી ઠરી ગઈ.

છે મારું દિલ ‘ગની’, અને દુનિયાની જીભ છે,
ચીરી ગઈ કોઈ કોઈ બખિયા ભરી ગઈ.

– ‘ગની’ દહીંવાળા

અમર ગઝલ……..

Comments

ક્યાંથી ગમે ? – ચિનુ મોદી ‘ઈર્શાદ’

સાવ ખાલીખમ સમયનો સામનો કયાંથી ગમે ?
દર વખત સામે મુકાતો આયનો ક્યાંથી ગમે ?

હાથમાં આપી દીધો એકાંતનો સિક્કો મને,
બેય બાજુ એકસરખી છાપનો ક્યાંથી ગમે ?

એ ખરું કે જીરવી શકતો નથી ઉકળાટ પણ,
એક છાંટો પાછલા વરસાદનો ક્યાંથી ગમે ?

પાંદડાં ઝાકળ વિખેળે ડાળ પણ નિર્મમ થતી,
કોઇને પણ આ તકાદો કાળનો, ક્યાંથી ગમે ?

મૌનનાં ઊંચા શિખર આંબ્યા પછી ‘ઈર્શાદ’ને-
શેષ વધતો ટૂકડો આકાશનો ક્યાંથી ગમે ?

– ચિનુ મોદી ‘ઈર્શાદ’

Comments (8)

આવો – આદિલ મન્સૂરી

કહું છું ક્યાં કે આઘેરા કોઈ રસ્તા સુધી આવો,
ઉઘાડો બારણું ને આંગણે તડકા સુધી આવો.

જમાનો એને મૂર્છા કે મરણ માને ભલે માને,
હું બન્ને આંખ મીંચી દઉં તમે સપના સુધી આવો.

તમારા નામના સાગરમાં ડૂબી તળિયે જઈ બેઠો,
હું પરપોટો બની ઊપસું તમે કાંઠા સુધી આવો.

જરૂરી લાગશે તો તે પછી ચર્ચાય માંડીશું,
હું કાશી ઘાટ પર આવું તમે કાબા સુધી આવો.

હું છેલ્લી વાર ખોબામાં ભરી લેવા કરું કોશિશ
અરે ઓ મૃગજળો આવો હવે તરસ્યા સુધી આવો.

ગમે ત્યારે ગઝલ જીવનની પૂરી થઈ જશે ‘આદિલ’
રદીફ ને કાફિયા ઓળંગીને મક્તા સુધી આવો.

– ‘આદિલ’ મન્સૂરી

Comments (5)

નથી – લક્ષ્મી ડોબરિયા

સરવાળા, બાદબાકી ની જ્યાં શક્યતા નથી.
એ વાતને વધારવામાં પણ મજા નથી.

ડૂમાને જ્યારથી અહીં વાંચી ગયું છે કોઈ,
આંસુના ત્યારથી મેં ખુલાસા કર્યા નથી.

હું આંખ આડા કાન ભલે ને કરી લઉં,
કેવી રીતે કહું કે ગમા-અણગમા નથી.

જાહોજલાલી ખુદને મળો એવી ના રહી,
વૈભવની વચ્ચે ખાલી ખૂણાની મતા નથી.

કોઈના થઈ ગયા પછી આ વાત માની કે,
દાવા, દલીલ માટે હૃદયમાં જગા નથી.

હું તો ગઝલ છું, કોઈ ઝીણી ક્ષણમાં અવતરું,
વાંચી, લખી શકો તમે એ વારતા નથી.

આવે ને જાય એમાં ઘડે ઘાટ અવનવા,
સપના હો કે વિચાર હો એળે જતા નથી.

– લક્ષ્મી ડોબરિયા

આગળ ન વધી શકાય કે પાછળ ખસી ને શકાય, જ્યાં કોઈપણ પ્રકારની શક્યતાનો શૂન્યાવકાશ જ હોય એ વાતને વધારીને શો ફાયદો? આપણા સમગ્ર અસ્તિત્વને એવી રીતે ભરી દે કે આપણી પોતાની જાતને મળવા માટે એક ખૂણો પણ ન બચે એ જાહોજલાલી, એ વૈભવનો અર્થ શો? દાવા-દલીલ વિના કહી શકાય કે સરવાળે ઝીણી ક્ષણે અવતરેલી આ ગઝલમાં એકય શેર એળે જાય એવો નથી.

Comments (9)

એક પંખી બેઠું થાય રાખમાંથી – કિશોર જીકાદરા

ક્યાં અને ક્યારે સરી ગઈ હાથમાંથી?
કેમ શોધું આજને ગઈકાલમાંથી?

પ્રશ્ન મોટો છે, નથી રાખી નિશાની,
ખોલવું પાનું કયું ઈતિહાસમાંથી?

ટાંકણે એ કેટલો નીંભર બન્યો છે,
જોઈ લીધું મેં સમયની ચાલમાંથી!

રોગ લાગે છે મને ગંભીર મારો,
રોજ પીંછાં કાં ખરે છે પાંખમાંથી?

આંખ સામે એક પંખી ભસ્મ થાતું,
એક પંખી થાય બેઠું રાખમાંથી!

– કિશોર જીકાદરા

સ્વયંસિદ્ધ ગઝલ… આપણે ભૂત અને ભવિષ્યની ચિંતામાંને ચિંતામાં સોના જેવી આજને જેમ જીવવી જોઈએ એમ જીવી શકતાં નથી… સરકી ગયેલી પળ પછી ગમે એટલી શોધો, હાથ લાગતી જ નથી. સમયની ચાલવાળો શેર પણ બળવત્તર થયો છે. જરૂર પડે ત્યારે જ સમય મૂઢ બની જાય છે, આપણા પ્રશ્નોના જવાબ આપતો નથી. જીજીવિષા અને લાખો નિરાશામાં છુપાયેલી અમર આશાને શબ્દસ્થ કરતો છેલ્લો શેર પણ એવો જ ધ્યાનાર્હ થયો છે.

Comments (6)

મળી છે – મનોજ ખંડેરિયા

જરાય દોસ્તો ખબર નથી કે અમોને શાની સજા મળી છે,
કશું જ તહોમત નથી જ માથે, વગર ગુનાની સજા મળી છે.

વિનમ્ર થઈને કદાપિ એકે કરી ન ફરિયાદ જિંદગીમાં,
રહી રહી ને ખબર પડી કે ન બોલવાની સજા મળી છે.

ઘણીય વેળા ઊભા રહ્યા તો અશક્ત માની હટાવી દીધા,
ઘણીય વેળા સમયથી આગળ વધુ થવાની સજા મળી છે.

અમારા ઘરમાં અમારા અવસર ઉપર નિમંત્ર્યા બધાને કિંતુ,
હવે અમારી સભાથી અમને વહી જવાની સજા મળી છે.

સમજ હતી ક્યાં અમોને એવી પૂરી દીધા છે શીશામાં જિનને,
રમત રમતમાં જ બંધ ઢાંકણ ઉઘાડવાની સજા મળી છે.

– મનોજ ખંડેરિયા

પ્રત્યેક શેરમાં ઊંડી વ્યથા છલકે છે…….

Comments (1)

નહીં આવે… – ‘જલન’ માતરી

દુ:ખી થવાને માટે કોઇ ધરતી પર નહીં આવે,
હવે સદીઓ જશે ને કોઇ પયગમ્બર નહીં આવે…

છે મસ્તીખોર કિંતુ દિલનો છે પથ્થર નહીં આવે,
સરિતાને કદી ઘરઅંગણે સાગર નહીં આવે…

ચમનને આંખમાં લઇને નીકળશો જો ચમનમાંથી,
નહીં આવે નજરમાં જંગલો, પાધર નહીં આવે…

અનુભવ પરથી દુનિયાના, તું જો મળશે ક્યામતમાં,
તને જોઇ ધ્રુજારી આવશે, આદર નહીં આવે…

દુ:ખો આવ્યાં છે હમણાં તો ફક્ત બેચાર સંખ્યામાં,
ભલા શી ખાતરી કે એ પછી લશ્કર નહીં આવે…

હવે તો દોસ્તો ભેગા મળી વ્હેંચીને પી નાખો,
જગતનાં ઝેર પીવાને હવે શંકર નહીં આવે…

આ બળવાખોર ગઝલો છોડ લખવાનું ‘જલન’ નહીંતર,
લખીને રાખજે અંજામ તુજ સુંદર નહીં આવે…

કરીને માફ સ્નેહીઓ ઉઠાવો એક બાબત પર,
‘જલન’ની લાશ ઊંચકવા અહીં ઇશ્વર નહીં આવે…

– ‘જલન’ માતરી

પરંપરાગત માવજત છે પણ ચમકારા ચોક્કસ છે…..

Comments (3)

મરીઝની જન્મશતાબ્દી નિમિત્તે…

જાહેરમાં એ દમામ કે પાસ આવવા ન દે,
અંદરથી એ સંભાળ કે છેટે જવા ન દે.

છોડ એવા શ્વાસને કે કશો એમાં દમ નથી,
જે મોતનો પસીનો સૂકવવા હવા ન દે.

મનદુઃખ થશે જરામાં કે ઊર્મિપ્રધાન છું,
તારી બધીય વાત મને જાણવા ન દે.

તુજ દર્દ જોઈએ છે મગર આટલું નહિ,
થોડી કચાશ કર, મને પૂરી દવા ન દે.

એના ઈશારા રમ્ય છે પણ એને શું કરું?
રસ્તાની જે સમજ દે, અને ચાલવા ન દે.

એવા કોઈ દિલેરની સંગત દે ઓ ખુદા,
સંજોગોને જે મારું મુકદર થવા ન દે.

એ અડધી મોત કષ્ટ બની ગઈ છે પ્રાણ પર,
જે ઊંઘ પણ ન આપે અને જાગવા ન દે.

આનંદ કેટલો છે બધી જૂની યાદમાં,
કિંતુ સમય જો એમાં ખ્યાલો થવા ન દે.

કેવો ખુદા મળ્યો છે ભલા શું કહું ‘મરીઝ’,
પોતે ન દે, બીજાની કને માંગવા ન દે.

– ‘મરીઝ’

ગઈકાલે 22 ફેબ્રુઆરીના રોજ મરીઝના જન્મને સો વર્ષ થયા. મરીઝની ગઝલોને સમય ચાળી શક્યો નથી કેમકે મરીઝની ગઝલો સીધી દિલની જબાનમાં લખાયેલી છે. એમની કળા કળા નથી, જીવન બની રહી હોવાથી સર્વોપરી બની રહી છે. મરીઝના કવનનું જમાનાએ કાયમ માટે યાદ રહી જાય એવું ઊંડું મનન કર્યું છે. એમની લાયકાત કેળવેલી નહીં પણ સહજ હતી, માટે જ મરીઝ ગુજરાતના ગાલિબની કક્ષાએ બિરાજે છે… જન્મશતાબ્દી નિમિત્તે કવિને શત શત કોટિ વંદન…

Comments (4)

પણ… – કૈલાસ પંડિત

ભૂલી જવાના જેવો હશે એ બનાવ પણ,
ક્યારેક તમને સાલશે મારો અભાવ પણ…

કહેવાતી ‘હા’ થી નીકળે ‘ના’ નો યે ભાવ પણ,
માણસની સાથે હોય છે, એનો સ્વભાવ પણ…

કેડી હતી ત્યાં ઘાસ ને ઉગ્યાં છે ઝાંખરા,
પુરાઈ ગઈ છે ગામના પાદરની વાવ પણ…

ભીનાશ કોરી ખૂંપશે પાનીમાં કો’ક દિ,
ક્યારેક યાદ આવશે તમને તળાવ પણ…

તારી વ્યથા કબૂલ મને એક હદ સુધી,
આંસુ બનીને આંખમાં કાયમ ન આવ પણ…

– કૈલાસ પંડિત

આ શાયર અંગત રીતે મને બહુ ગમતા શાયર છે. કદાચ વિવેચકો તેમને બહુ માર્ક્સ ન આપે એવું બને પણ તેઓ જે રીતે દર્દને સચોટ રજૂ કરે છે તે રીતમાં એક નિર્ભેળ સચ્ચાઈ દેખાય છે. વિષયવૈવિધ્ય તેઓનું સબળ પાસું કદાચ ન પણ હોય પરંતુ જે લખ્યું છે તે સીધું દિલથી નીકળ્યું છે !

Comments (3)

ખુમારી‌ છે – આસિફખાન આસિર

શબ્દ કેવળ નથી,ખુમારી‌ છે
જાત કાગળ ઉપર ઉતારી છે

વેદનાને મે માત્ર ધારી છે
રાત તારા વગર વિચારી છે

જે હતી શંકા એ નિવારી છે
આંખ પહેલાં નજર સુધારી છે

તૃપ્તિ મનમાં કદી કદી ઝબકી,
ઝંખના દિલમાં એકધારી છે

પોતપોતાની રીતે સૌ માંગે
જાત માણસની તો ભિખારી છે

હોય હિમ્મત તો બળવો કર ‘આસિર’
બાકી સંજોગે સૌ પૂજારી છે

– આસિફખાન આસિર

જીવનમાં એક શેર એવો લખાય જે તમારો સિગ્નેચર શેર બની રહે, એવી ઇચ્છા કોની ન હોય? આ ગઝલનો મત્લા એવો જ સિગ્નેચર શેર બનીને આવ્યો છે. પોતાની જાત અને ખુમારી કાગળ પર ઢાળવાની વાત કવિ જે અંદાજે-બયાઁ સાથે લઈ આવ્યા છે એ અદભુત છે. અને મજબૂત શેરનો આ સિલસિલો આખી ગઝલમાં પછી તો બરકરાર રહ્યો છે. પ્રિયતમા વગર રાત પસાર કરવાનું વિચારતી વખતે શી વેદના થશે એ માત્ર ધારણાની જ વાત હોઈ શકે કેમકે ખરેખર રાત એના વિના પસાર કરવાની થશે તો જે વેદના થશે એ ધારણાની તમામ સરહદોનીય પેલે પારની હશે. રામબાણ તો વાગ્યા હોય એ જ જાણે. આંખ પહેલાં નજર સુધારવાની વાત, કદી ન ખૂટતી ઇચ્છાઓ અને ભાગ્યે જ થતા સંતોષની વાત, માણસજાતનું ભિખારીપણું અને પૂજારીપણું – આ બધું જ ટૂંકી બહેરમાં લાંબી વાત કરી જાય છે.

Comments (4)

(રાઘવ કામમાં આવ્યો) – ગૌરાંગ ઠાકર

ગઝલ લખવાનો જીવનમાં અનુભવ કામમાં આવ્યો,
મને હું જાણવા લાગ્યો અને ભવ કામમાં આવ્યો.

મને ત્યારે જ લાગ્યું દોસ્ત, રાઘવ કામમાં આવ્યો,
જગતમાં જે ઘડી માનવને માનવ કામમાં આવ્યો.

હવા નિષ્ફળ ગઈ સાંકળ ઉઘાડી નાંખવામાં પણ,
અમારા ઘરના ખાલીપાને પગરવ કામમાં આવ્યો.

ઊભા છે આમ તો રસ્તાને રસ્તો દઈને રસ્તામાં,
છતાં રસ્તાને એ વૃક્ષોનો પાલવ કામમાં આવ્યો.

હું પડછાયાને મારા પ્રેમનો પ્રસ્તાવ આપું ત્યાં,
ખરા ટાણે મને ભીતરનો વૈભવ કામમાં આવ્યો.

અમે આદમના વંશજ સ્વર્ગમાંથી છો ધકેલાયા,
જગત માણી લીધું મિત્રો, પરાભવ કામમાં આવ્યો.

– ગૌરાંગ ઠાકર

દરેકેદરેક શેર ધ્યાન ખેંચે એવા મજબૂત. રસ્તાની પુનરુક્તિવાળો શેર ભાષાપ્રયોગની વિશિષ્ટતાના કારણે ખાસ થયો છે. અને સફરજન ખાવાની સજારૂપે પૃથ્વીનો વસવાટ ભોગવવાનો થયો એ વાતને કવિ જે સકારાત્મક્તાથી રજૂ કરે છે એ તો અદભુત છે.

Comments (6)

मैं तो मर कर भी मेरी जान तुझे चाहूँगा – क़तील शिफ़ाई

ज़िन्दगी में तो सभी प्यार किया करते हैं
मैं तो मर कर भी मेरी जान तुझे चाहूँगा

तू मिला है तो ये एहसास हुआ है मुझको
ये मेरी उम्र मोहब्बत के लिये थोड़ी है
इक ज़रा सा ग़म-ए-दौराँ का भी हक़ है जिस पर
मैनें वो साँस भी तेरे लिये रख छोड़ी है
तुझपे हो जाऊँगा क़ुरबान तुझे चाहूँगा
मैं तो मर कर भी मेरी जान तुझे चाहूँगा

अपने जज़्बात में नग़्मात रचाने के लिये
मैनें धड़कन की तरह दिल में बसाया है तुझे
मैं तसव्वुर भी जुदाई का भला कैसे करूँ
मैं ने क़िस्मत की लकीरों से चुराया है तुझे
प्यार का बन के निगेहबान तुझे चाहूँगा
मैं तो मर कर भी मेरी जान तुझे चाहूँगा

तेरी हर चाप से जलते हैं ख़यालों में चिराग़ [ चाप = sound of footsteps , આહટ ]
जब भी तू आये जगाता हुआ जादू आये
तुझको छू लूँ तो फिर ऐ जान-ए-तमन्ना मुझको
देर तक अपने बदन से तेरी ख़ुश्बू आये
तू बहारों का है उनवान तुझे चाहूँगा [ उनवान = title ]
मैं तो मर कर भी मेरी जान तुझे चाहूँगा

ज़िन्दगी में तो सभी प्यार किया करते हैं
मैं तो मर कर भी मेरी जान तुझे चाहूँगा

– क़तील शिफ़ाई

વેલેન્ટાઈન ડે ના દિવસે આ સિવાય કોઈ વિચાર સૂઝતો નથી….જયારે પ્રેમ શુદ્ધ હોય ત્યારે હૃદય આ જ કહેશે….કોઈ જ પ્રત્યુત્તરનો-પ્રેમના સ્વીકાર કે ઈન્કારનો- ઉલ્લેખ સુદ્ધાં નથી આખી નઝમમાં !! હૃદય તો છલકાઈ છલકાઈને પ્રેમ કરતુ જ રહેશે….શ્વાસ બંધ થશે તો શું થઈ ગયું !!

Comments (12)

તું ગઝલ તારી રીતે લખ – મનોજ ખંડેરિયા

એ વિરહને ખણે તો ખણવા દે,
રાતે તારા ગણે તો ગણવા દે…

પ્રશ્ન એનો છે કે પચશે તે,
કાગ મોતી ચણે તો ચણવા દે…

તારી ‘ના’ છો દબાઈ જાતી, એ,
હા મહીં હા, ભણે તો ભણવા દે…

ચાડિયો થઈને પોતે ખેતરનો,
મોલ લીલો લણે તો લણવા દે…

એમ થોડા કબીર થાવાના,
તેઓ ચાદર વણે તો વણવા દે…

મોજથી બેસ બાંકડે છેલ્લે,
એ ભણેશ્રી ભણે તો ભણવા દે…

તું ગઝલ તારી રીતે લખ, તેઓ,
ખુદને ગાલિબ ગણે તો ગણવા દે…

– મનોજ ખંડેરિયા

એક નોખા જ અંદાઝની ગઝલ…..જાણે શાયર છેડાઈ ગયા છે…..ક્રોધિત છે !

Comments (4)

અપરંપાર બન – રાજેન્દ્ર શુક્લ

પૂર્ણ રૂપે વ્યક્ત થા, સાકાર બન;
એ રીતે અવ્યક્તનો અણસાર બન.

વૃક્ષ જેમ જ ઊભવાનું છે નિયત,
કોઈ કુમળી વેલનો આધાર બન.

પિંડ પાર્થિવ પણ પછી પુષ્પિત થશે,
તું અલૌકિક સુરભિનું આગાર બન.

ચિત્તને જો ક્યાં ય સંચરવું નથી-
સ્થિર રહીને સર્વનો સંચાર બન.

કૈં ન બનવું એ ય તે બંધન બને,
તો બધું બન, એ ય વારંવાર બન.

આદ્ય જેવું જો નથી તો અંત ક્યાં,
એના જેવું તું ય અપરંપાર બન.

-રાજેન્દ્ર શુક્લ

” કૈં ન બનવું એ ય તે બંધન બને ” – બહુ જ મહત્વની વાત !!!!

Comments (5)

દિલથી મઝા પડી. – કિશોર મોદી

વાત એટલી હમેશની મળી,
હાલમાં કંઈ નવીનતા નથી.

ઢાઈ અક્ષરથી ભીંત ચીતરી,
લાગણી સમયની ઝગી ઊઠી.

ક્યાં સુધી ‘હું પદ’ને ચગાવશું?
દોરી જીવનની હાથમાં નથી.

પાણી શું વહી જવાનું હોય છે,
શીખ એવી અમનેય સાંપડી.

એટલી સૂઝ અહીં પડી ગઈ,
આખરે જગતમાં કશું નથી.

ઘંટડી સતતતાની સાંભળી,
ને કિશોર દિલથી મઝા પડી.

– કિશોર મોદી

અમેરિકામાં રહીને પણ દક્ષિણ ગુજરાત, ખાસ કરીને સુરતને પોતાના લોહીમાં સતત દોડતું રાખનાર શ્રી કિશોર મોદી આ વખતે લયસ્તરોના આંગણે “વૃત્ત ગઝલો”નો સંગ્રહ, “નામ મારું ટહુકાતું જાય છે” લઈને આવ્યા છે. કવિશ્રીનું સહૃદય સ્વાગત અને મબલખ સ્નેહકામનાઓ…

ગઝલ માટે વપરાતા ફારસી છંદોની જગ્યાએ આપણી કાવ્યપ્રણાલિની ધરોહર સંસ્કૃત વૃત્તોમાં લખાયેલી આ ગઝલો પઠનના સાવ અલગ પડતા કાકુ અને કવિની આગવી બાનીના લીધે કંઈક અલગ જ છાપ છોડી જાય છે.   બધા જ શેર સરસ થયા છે પણ જીવન ક્ષણભંગુર છે, એની દોરી જ આપણા હાથમાં નથી ને કોણ, ક્યારે કાપી જશે એનો લેશભર પણ અંદેશો નથી એ જાણવા છતાં આપણે આપણા અહમ્ ને છોડી શકતા નથીની વાત ઘૂંટતો શેર હાંસિલે-ગઝલ થયો છે.

Comments (3)

(જોઈ લે ભૂતકાળ) – ભાવેશ ભટ્ટ

જોઈ લે ભૂતકાળ મારા ભાગનો
ક્યાં હતો અવકાશ વાટાઘાટનો ?

ચાકડાની દુર્દશાને પણ જુઓ!
વાંક ના કાઢ્યા કરો કુંભારનો!

જેની સોબતથી અમે ડરતા હતા,
એ બન્યો પર્યાય તારા વ્હાલનો !

એ મથે છે વાદળો સળગાવવા
આશરો જેને હતો વરસાદનો!

પાણી પાણી થઈ જશે એકાંત પણ
લઈ શકો આનંદ જો આભાસનો!

એમનાં તો આંસુ પણ લાગે અનાથ
જે ન સમજે અર્થ પશ્ચાતાપનો!

હાથ જોડીને મળ્યો, જ્યારે મળ્યો
એ રીતે બદલો લીધો અપમાનનો !

– ભાવેશ ભટ્ટ

સ્વભાવગત ખુમારીથી છલકાતી ગઝલ… બધા જ શેર ગમી જાય એવા…

Comments (6)

વલોપાત વગર – અમૃત ઘાયલ

દુ:ખ વગર, દર્દ વગર, દુ:ખની કશી વાત વગર,
મન વલોવાય છે ક્યારેક વલોપાત વગર.

આંખથી આંખ લડી બેઠી કશી વાત વગર,
કંઈ શરૂ આમ થઈ વાત શરૂઆત વગર.

કોલ પાળે છે ઘણી વાર કબૂલાત વગર,
એ મળી જાય છે રસ્તામાં મુલાકાત વગર.

આ મજા કોણ ચખાડત મને આઘાત વગર ?
તારલાઓ હું નિહાળું છું સદા રાત વગર.

સાકિયા ! પીધા વગર તો નહીં ચાલે મુજને !
તું કહે તો હું ચલાવી લઉં દિનરાત વગર.

કોઈને કોઈ અચાનક ગયું જીવનમાં મરી,
એક દિવસ ન ગયો હાય, અકસ્માત વગર.

એમ મજબૂરી મહીં મનની રહી ગઈ મનમાં
એક ગઝલ જેમ મરી જાય રજૂઆત વગર

કામમાં હોય તો દરવાન, કહે ઊભો છું !
આ મુલાકાતી નહીં જાય મુલાકાત વગર.

અશ્રુ કેરો હું બહિષ્કાર કરી દઉં કિંતુ,
ચાલતું દિલને નથી દર્દની સોગાત વગર.

લાક્ષણિક અર્થ જેનો થાય છે જીવનનું ખમીર,
કોઈ ચમકી નથી શકતું એ ઝવેરાત વગર.

આ કલા કોઈ શીખે મિત્રો કનેથી ‘ઘાયલ’
વેર લેવાય છે શી રીતે વસૂલાત વગર

– અમૃત ઘાયલ

Comments (3)

આંટો – મુકેશ જોશી

ચાલ એક આંટો બહાર મારી આવીએ,
બંધનોથી મુક્ત હવાને માણી આવીએ.

આમ તો સ્થળ ક્યાં કોઈ પણ બાકી હવે ?
કોઈના દિલ સુધી લટાર મારી આવીએ.

વદ્દીને દશકા બધું છોડીને સંસારમાં,
આપણું ગણિત ખોટું પાડીને આવીએ.

આપવાની મઝા શું હોય છે એ જાણવા,
વૃક્ષ કે પછી વાદળને મળી આવીએ.

પ્રાર્થનામાં આજે હવે માંગવું કશું નથી,
બસ, ખાલી એકવાર હાંક મારી આવીએ.

શબ્દની સાધનામાં જિંદગી ઓછી પડે,
હોય એ તો, નાની મોટી ભૂલ કરી આવીએ.

હસ્તરેખાઓ સુકાઈ જાય એ સારું નહિં,
કો’કના આંસુ લૂછી એને પલાળી આવીએ.

– મુકેશ જોશી

Comments (8)

(સ્યાહી નથી) – સુરેન્દ્ર કડિયા

તું લખે છે ક્યાંય ઈલાહી નથી
દોસ્ત! તારી પેનમાં સ્યાહી નથી

ભીડ, નકરી ભીડનો સંગાથ છે
રાહમાં એકેય હમરાહી નથી

એ ગઝલનું રૂપ લઈ આવ્યા કરે
માત્ર એની કોઈ આગાહી નથી

સર્વ-અર્પણતા હકીકત દૂરની
તેં ભૂમિકા ત્યાગની ગ્રાહી નથી

તું શિખરો સર કરે પણ શી રીતે?
તેં તળેટી ચાહીને ચાહી નથી.

– સુરેન્દ્ર કડિયા

અફલાતૂન ગઝલ. બધા જ શેર ઉત્તમ. પણ છેલ્લા શેરમાં ‘ચાહી’નો શ્લેષાલંકાર તો અદભુત થયો છે.

Comments (8)

(જો) – સંજુ વાળા

નદીનું નામ લઈ જળજોગ જાણી જો,
સપરમી પળ મળી છે તો પ્રમાણી જો.

સમય તું સાચવે, પાળે વચન કિન્તુ
થવાની હોય ત્યાંથી પણ કમાણી જો.

પ્રથમ ચશ્માંના લેન્સિસ સાફ કર બંધુ,
પછીથી ગંધ જો, ને રાતરાણી જો.

અહીં છે ઊગવું, આથમવું સઘળું એક,
સમય શું ચીજ છે એ પણ પિછાણી જો.

ૠતુઓનો કશોએ અર્થ ક્યાં સરતો?
નથી થાતી અવસ્થાની ઉજાણી જો.

ઘણુંએ આપમેળે લયમાં આવી જાય,
પ્રમાણી હોય રસભર આર્દ્રવાણી જો.

જરા ખંખેરી નાખું ખેસથી ખેપટ,
પછી તું ભાત, રંગો, પોત, પાણી જો.

બચે તો માત્ર એક જ શબ્દ બચવાનો,
બધુંયે થઈ જવાનું ધૂળધાણી જો.

– સંજુ વાળા

સંજુ વાળાની રચનાઓ મહેરામણ જેવી છે. જેટલા ઊંડા ઉતરો એટલી મોતી હાથ આવવાની શક્યતા વધી જાય.

Comments (4)

જીવન મારું મરણ મારું – ‘શૂન્ય’ પાલનપુરી

જગતનાં અંત-આદિ બેઉ શોધે છે શરણ મારું
હવે શું જોઈએ મારે ? જીવન મારું મરણ મારું

અધૂરા સ્વપ્ન પેઠે કાં થયું પ્રગટીકરણ મારું
હશે કો અર્ધ-બીડી આંખડી કાજે સ્મરણ મારું

અગર ના ડૂબતે ગ્લાનિ મહીં મજબૂર માનવતા
કવિરૂપે કદી ના થાત જગમાં અવતરણ મારું

અણુથી અલ્પ માનીને ભલે આજે વગોવી લો
નહીં સાંખી શકે બ્રહ્માંડ કાલે વિસ્તરણ મારું

કહી દો સાફ ઈશ્વરને છંછેડે નહીં મુજને
નહીં રાખે બનાવટનો ભરમ સ્પષ્ટીકરણ મારું

કહો ધર્મીને સંભળાવે નહિ માયાની રામાયણ
નથી એ રામ કોઈમાં કરી જાયે હરણ મારું

રડું છું કેમ ફૂલો પર ? હસું છું કેમ ઝાકળ પર
ચમન-ઘેલાં નહિ સમજે કદાપિ આચરણ મારું

હું નામે શૂન્ય છું ને શૂન્ય રહેવાનો પરિણામે
ખસેડી તો જુઓ દ્દષ્ટિ ઉપરથી આવરણ મારું

-‘શૂન્ય’ પાલનપુરી

Comments (4)

ગઝલ – ખલીલ ધનતેજવી

એની આંખોમાં હું સમાયો છું,
ત્યારથી ચોતરફ છવાયો છું!

આયનાનેય જાણ ક્યાં થઈ છે,
છેક ભીતરથી હું ઘવાયો છું!

નોંધ ક્યાં થઈ મારી હયાતીની,
હું મરણ બાદ ઓળખાયો છું!

જે મળે તે બધા કહે છે મને,
તારા કરતાં તો હું સવાયો છું!

એના નામે જ હું વગોવાયો
જેના હોઠે સતત ગવાયો છું!

એટલે ફૂલ મેં ચઢાવ્યાં છે,
હું જ આ કબ્રમાં દટાયો છું!

મારી ઓળખ હું ખોઈ બેઠો ખલીલ,
એટલી નામના કમાયો છું!

– ખલીલ ધનતેજવી

અમૃત ઘાયલની જાણીતી રચના ‘કેમ ભૂલી ગયા, દટાયો છું? આ ઈમારતનો હુંય પાયો છું’ની જમીન પર ‘ઘાયલ’ જન્મશતાબ્દીવર્ષ નિમિત્તે વડોદરા ખાતે યોજાયેલા તરહી મુશાયરામાં ખલીલભાઈએ રજૂ કરેલી ગઝલ આજે આપ સહુ માટે… ખલીલભાઈની સ્વયંસિદ્ધા ગઝલો કોઈ વિવેચકની કાપાકૂપીની મહોતાજ નથી હોતી…

Comments (6)

(આવશે) – શૈલેન રાવલ

 

આવશે તો મન મૂકીને આવશે,
પંખીઓ થોડા પૂછીને આવશે ?

બારીઓ થોડી ઉઘાડી રાખીએ,
લહેરખી શીળી ઝૂમીને આવશે.

ખૂબ ઊંચા બારણાં રાખ્યા ભલે,
જે વિવેકી છે, ઝૂકીને આવશે.

ઈશ્વરી વરદાન હો જે હાથને,
કોઈના અશ્રુ લૂછીને આવશે.

ટિખળી બાળક સમો તડકો ફરે,
એ તિરાડેથી છૂપીને આવશે !

અર્થ ઘરનો હોય છે ઘર, દીકરી-
સ્કૂલથી જ્યારે છૂટીને આવશે.

મહેંક માટીની ગમે ત્યાંથીય પણ,
સરહદો કપરી કૂદીને આવશે !

– શૈલેન રાવલ

વાંકાનેરથી કવિ શૈલેન રાવલ એમનો બીજો ગઝલ સંગ્રહ “એ વાત છે અલગ” લઈને આવ્યા છે. કવિનું અને સંગ્રહનું લયસ્તરોના આંગણે સહૃદય સ્વાગત છે.

ખૂબ જ સરળ શબ્દો અને સહજ બાનીમાં લખાયેલી આ રચના સાદ્યંત સંતર્પક છે. ભીતરની બારીઓ ખુલ્લી રાખીએ તો ઠંડી લહેરખી આવ્યા વિના રહેવાની નથી એ વાત કેવી મજાની રીતે કહેવાઈ છે ! અને ગમે એવા ઊંચા સ્થાને પહોંચ્યા પછી પણ વિવેકી માણસ પોતાનો વિવેક ચૂકતો નથીવાળો શેર તો સવિશેષ સ્પર્શી ગયો.

Comments (6)

(સરહદ વટાવીને) – ગૌરાંગ ઠાકર

વિચારોને વમળમાં આજ આવ્યો છું ડુબાવીને,
કિનારે એમ લાવ્યો જાત મારી હું બચાવીને.

ખરે છે ડાળડાળેથી હવે વળગણનાં પર્ણો દોસ્ત,
જરા મેં જોઈ લીધું ઊર્ધ્વમૂળે વૃક્ષ વાવીને.

પ્રતીક્ષાની આ પીડા દ્વારને ઓછી નથી હોતી,
હવા કરતી રહે છે છેડતી સાંકળ હલાવીને.

તમારા ઘરનાં રસ્તેથી પ્રવેશું છું હું અનહદમાં,
અહીં તેથી હું આવ્યો છું બધી સરહદ વટાવીને.

બધું આ બ્હારથી તો ઠીક છે બદલાવ તું ભીતર,
અરીસો આખરે બોલી ઊઠ્યો છે બ્હાર આવીને .

– ગૌરાંગ ઠાકર

વિચારની દીવાલ ઓળંગવાના પ્રયત્નો આદિકાળથી મનુષ્ય કરતો આવ્યો છે. ધ્યાન ધરવાની બહુ જાણીતી પદ્ધતિ પોતાની જાતને વિચારોથી વેગળી કરવાની, પોતાના જ વિચારોને બાહ્ય પદાર્થ તરીકે સાક્ષીભાવે જોતાં શીખવાનું અને એમ નિર્વિચાર થવું એ છે. વિચારોને વમળમાં ડૂબાડી દઈ શકીએ તો જાત આ ભવસાગર તરી જાય.  આમ તો બધા જ શેર ધ્યાનાર્હ થયા છે પણ પ્રિયજનના ઘરના રસ્તેથી અનહદમાં પ્રવેશવાની કેફિયત ખૂબ ઊંડી વાત લઈને આવે છે. હદ વટાવ્યા વિના પ્રેમ થતો નથી. બધી જ સરહદ વટાવી દઈને જ્યારે તમે તમારું અસ્તિત્વ સામી વ્યક્તિમાં ઓગાળી દો છો, સામી વ્યક્તિમાં પ્રવેશો છો ત્યારે અનહદની પ્રાપ્તિ થાય છે.

 

Comments (6)

તું નથી – જવાહર બક્ષી

કોઇ કોઇ વખત તને ભૂલી જવાય છે
દુનિયામાં કાંઇ પણ હવે માની શકાય છે

આકાશના એ રંગ તને યાદ તો હશે
રંગીન એટલું જ એ તારા વિનાય છે

હું ચાલતો રહ્યો છું અને ચાલ્યો જાઉં છું
જીવીજીવીને જાણે સમય થઇ જવાય છે

અય દોસ્ત ગઇ નથી હજી ગુંજાશ સ્મિતની
રોવાનાં કારણો તો મને પણ ઘણાંય છે

અહીં ‘હું જીવી રહ્યો છું’ ના જાહેર ચોકમાં
ક્યારેક ‘તું નથી’ ની હવા સંભળાય છે

– જવાહર બક્ષી

Comments (5)

શું બોલીએ? – રમેશ પારેખ

શબ્દની બેડી પડી છે જીભમાં શું બોલીએ?
ને તમે સમજી શકો નહી મૌનમાં શું બોલીએ?

બહાર ઊભા હોત તો તસવીરની ચર્ચા કરત,
આ અમે ઊભા છીએ તસવીરમાં શુ બોલીએ!

લોહીમાં પણ એક બે અંગત ખૂણાઓ છે રમેશ!
એ ઊભા છે આપના સત્કારમાં, શું બોલીએ?

– રમેશ પારેખ

ત્રણ જ શેરની ગઝલ છે, પણ ગહનતા જુઓ !!!!

Comments (7)

તારાથી જે થાય કરી લે – તેજસ દવે

તારી સામે મારી ઇચ્છા લે આ મૂકી, તારાથી જે થાય કરી લે;
સૂરજ સામે આંખ અમારી બે આ મૂકી, તારાથી જે થાય કરી લે.

ધક્કા મારી-મારીને તેં કીધું’તું કે, ‘અહીંયા કદી ન પાછો ફરતો’,
તેં દીધેલી ધમકી ગજવે મેં આ મૂકી, તારાથી જે થાય કરી લે.

ડૂબી જવાને માટે નીકળ્યો નથી લઈને હોડી, દરિયા, સમજી લેજે!
છિદ્ર પડેલી હોડી તરતી એ… આ મૂકી, તારાથી જે થાય કરી લે.

ઝાડ કહે કે, ‘એક જ તણખે આખું જંગલ ખાક થશે’ પણ જંગલ રચવા-
એક જ કૂંપળ કાફી છે ને તે આ મૂકી, તારાથી જે થાય કરી લે.

– તેજસ દવે

અમદાવાદ શનિસભામાં પહેલીવાર જવાનું થયું અને તેજસ દવેના મોઢે આ ગઝલ સાંભળી. સાંભળતાવેંત આફરીન પોકારી જવાયું. એકવડા બાંધાના દેખાવડા કવિનો બેવડા બાંધાનો ભીતરી મિજાજ અને ત્રેવડા બાંધાની ખુમારી ગઝલના શબ્દે-શબ્દે અનુભવી શકાય છે. ‘તારાથી થાય એ કરી લે’ તો આપણે વાતે-વાતે બોલીએ. બોલચાલના આ શબ્દોને એમના શબ્દગત કાકુસહિત કવિ ચાર શેરમાં લાંબી રદીફમાં જે રીતે વણી શક્યા છે એ કામ સાચે જ કાબિલે-દાદ છે. સૂરજ જેવા વિરાટ અસ્તિત્વની સામે પોતાની બે આંખ – જે ખબર જ છે કે પ્રકાશથી આંધળી જ થઈ જવાની છે, તો પણ દાદાગીરીપૂર્વક કવિ જે રીતે મૂકે છે એ જ પ્રેમની સાચી તાકાત છે. તું ના જ કહેવાની છે એ ખબર છે, પણ તારી સામે મારી ઇચ્છા તો હું વ્યક્ત કરીશ, કરીશ ને કરીશ જ. લાખ માર-અપમાન સહન કર્યા પછી પણ, કોઈપણ પ્રકારના ધમકી-દાટી સામે હાર ન માને એ જ સાચો પ્રેમ. હોડી ભલે કાણાંવાળી હોય, મન્સૂબા કાણાંવાળા ન હોય તો દરિયા જેવા દરિયાને પણ ડારી શકાય. અને આખરી શેરની અમર આશા તો આખી ગઝલને નવી જ ઊંચાઈ બક્ષે છે.

આવો જ મિજાજ દીપ્તિ મિશ્રાની હિંદી ગઝલ “હૈ તો હૈ”માં પણ જોઈ શકાય છે.

Comments (5)

પાણી છીએ – મનોજ ખંડેરિયા

કાયમ કાયામાં ખળભળતું પાણી છીએ
પાણીમાં ભળવા ટળવળતું પાણી છીએ

ધ્રુવ-પ્રદેશો જેવી ઠંડી પળમાં ઠીજ્યું,
તડકો અડતાંવેત પીગળતું પાણી છીએ

કાગળની હોડી શી ઇચ્છા સધળી ડૂબે,
એક અવિરત વ્હેતું ઢળતું પાણી છીએ

માધાવાવે સાત પગથિયાં ઊતરે સપનાં,
પાણીની આગે બળબળતું પાણી છીએ

જીવતરના આ ગોખે આંસુ નામે દીવો,
આંખોના ખૂણે ઝળહળતું પાણી છીએ

સાતપૂડાની વ્હેતી જલની ધારા જેવા-
કાળા પથ્થરનું ઓગળતું પાણી છીએ

ક્યાંથી આવ્યા, મૂળ અમારું કૈં ના પૂછો
અંતે પાણીમાં જઈ ભળતું પાણી છીએ

– મનોજ ખંડેરિયા

Comments (5)

ગઈ – ભગવતીકુમાર શર્મા

આશ્ચર્ય છે કે તારા વગર જિંદગી ગઇ
દરિયો મળી શક્યો ન તો રણમાં નદી ગઇ.

ભીની હતી જો આંખ તો જીવંત રહી ગઇ
રેતીમાં પડતાંવેંત મરી માછલી ગઈ.

શ્વાસો ખૂટી ગયા અને મીંચાયા બે નયન
પહેલાં પવન પડયો પછી રોશની ગઈ.

તો યે ટકી રહ્યો છું હું એકાકી વૃક્ષ શો
રસ્તો ગયો, એ ઘર ગયું, તારી ગલી ગઈ.

બાળકની જેમ ભીડમાં ભૂલી પડી જશે
છોડાવી મારી આંગળી ક્યાં લાગણી ગઈ?

લખતો રહ્યો છું કાવ્ય હું સંબોધીને તને
કિંતુ ગઝલની નીચેથી મારી સહી ગઈ !

આવ્યો છું કંઇ સદી પછી તારે આંગણે
ગાળી’તી ચાર ક્ષણ ને મને ઓળખી ગઈ ?

સુમસામ માર્ગ પર હજી તાજી સુગંધ છે
કોઇ કહો, વસંતની ક્યાં પાલખી ગઈ ?

– ભગવતીકુમાર શર્મા

Comments (5)

અમથો ટહેલું! – રાજેન્દ્ર શુક્લ

નોખું, ન્યારું, સાવ નવેલું,
પરથમ ને વળી પ્હેલું વ્હેલું!

કેમ કરીને પાછું ઠેલું,
હોય બધું તારું દીધેલું!

આ તારી સંગે જે ખેલું,
મેં તો બહુ સ્હેલું માનેલું!

આગળિયે અડકીર્યું ડ્હેલું,
એક વખત એ પણ ખખડેલું!

ભવ ભવથી આ છે ઊચકેલું,
મેલું તોયે ક્યાં જઈ મેલું!

અધખૂલી બારી બોલાવે,
બાકી આખું જગ ભીડેલું!

લે મારી પૂરી પરકમ્મા,
તારી સન્મુખ મને અઢેલું!

તું તારી મરજીનો માલિક,
તેં ક્યાં અમને કાંઈ પૂછેલું!

એક સંચર્યું સીધી વાટે,
એક સતત આડું ફાટેલું!

પ્હેલાં તો પાણા ઊપડાવ્યા,
પછી હાથ પકડાવ્યું લેલું!

મીઠાંને મધમીઠું કહિયેં
કડવાને કહિયેં કારેલું!

તું જાતે ગોતે તો મળશે,
છેવાડે ઊભું જો છેલ્લું!

ખડખડપાંચમ અધવચ અટ્ક્યું,
એક જ પડખે ઝૂકી ગયેલું!

બોલ્યા કે સમજો બંધાયાં,
અડધું ડાહ્યું, અડધું ઘેલું!

પૂછો તોયે હું નહીં બોલું,
ટ્હેલ નથી કંઈ, અમથો ટ્હેલું!

– રાજેન્દ્ર શુક્લ

ઋષિકવિ શ્રી રાજેન્દ્ર શુક્લની કલમે ટૂંકી બહેરની લાં…બી ગઝલ… બધા જ શેર સહજ અને મનનીય…

Comments (4)

(ચાલ્યું ગયું છે ક્યાંક) – અનંત રાઠોડ “અનંત”

કશા કારણ વગર આખા નગરમાં ચોતરફ આ સ્તબ્ધતાનો સ્તંભ એ ખોડી અને ચાલ્યું ગયું છે ક્યાંક.
નગરનું એક જણ રસ્તો, પવન, અજવાસ, ભરચક સાંજ ને આવું બધું ચોરી અને ચાલ્યું ગયું છે ક્યાંક.

મને વહેલી સવારે એ નદીકાંઠે કોઈ બિનવારસી પેટીમાં મૂકેલી દશામાં હાથ લાગેલી;
ન જાણે કોણ પેલે પારથી નવજાત બાળકના સમી તારી પ્રતીક્ષા પાણીમાં છોડી અને ચાલ્યું ગયું છે ક્યાંક.

હજુ સ્યાહી, કલમ, કાગળ અને રંગો બધુયે છે અહીં અકબંધ, કોઈ પણ પછી અડક્યું નથી એને;
બહુ સ્હેલાઈથી એક જણ મને જાણીબૂજીને સાવ અર્ધો ચિત્રમાં દોરી અને ચાલ્યું ગયું છે ક્યાંક.

સવારે મૂળથી એને ઉખેડીને હું ફેંકી દઉ ને સાંજે તો ફરી એ ત્યાં જ ઊગી જાય છે પાછું;
ગયા ભવનું કોઈ વેરી અજંપાનુ લીલુંછમ ઝાડ મારા આંગણે રોપી અને ચાલ્યું ગયું છે ક્યાંક.

– અનંત રાઠોડ “અનંત”

ઓછા શેર અને લાંબી બહેરવાળી મજબૂત રચના. કોઈ એક પ્રિયજન અચાનક કોઈ જ કારણ વિના અને કહ્યા વિના ક્યાંક ચાલ્યું જાય એ પછી નગરમાં ક્યાંકથી ક્યાંક જવાના રસ્તાઓ તો રહે છે, પવન પણ ફૂંકાય છે, સૂરજ ઊગે છે ને આથમે છે એટલે અજવાળું પણ થાય છે ને રંગોથી ભરેલી ભરચક સાંજ પણ થતી રહે છે પણ જેનું સર્વસ્વ લૂંટાઈ ગયું છે એ માણસ માટે આ તમામ અસ્તિત્વનો સંદર્ભ ગુમાવી બેસે છે. ચારેતરફ હવે સ્તબ્ધતા સિવાય કાંઈ નથી. કવિ “સ્તબ્ધતાના સ્તંભ” એમ બહુવચન વાપરવાને બદલે “સ્તબ્ધતાનો સ્તંભ” એમ એકવચન વાપરે છે જે સૂચક છે. આ સ્તબ્ધતા ‘સ્વ’થી ‘સર્વ’ સુધી વિસ્તરી ચૂકી છે એટલે ચોતરફ ભલે ખોડી દેવાયા હોય પણ સ્તબ્ધતાનો સ્તંભ તો એક જ છે, અનેક નહીં… કુંવારી કુંતી અનૌરસ કર્ણને નદીમાં તરતો મૂકી દે એમ પ્રિયજનની પ્રતીક્ષા હાથ ચડી છે. આ પ્રતીક્ષા ટૂંકી કે નાની નથી એ વાત વહેલી સવાર અને નવજાત શિશુના કલ્પનથી સમજી શકાય છે. હજી તો વહેલી સવાર થઈ છે, ઇંતેજારનો આખો દિવસ બાકી છે. પ્રતીક્ષા હજી તો નવજાત શિશુ છે, એને પુખ્ત થવામાં જન્મારો વીતી જશે… બધી જ સાધનસામગ્રી હાથવગી હોવા છતાંય જિંદગીનું ચિત્ર સાવ અધૂરું છે કેમકે કોઈક અધરસ્તેથી જ ત્યાગી ગયું છે. ચિત્ર સ્થિરતા, ગતિહીનતાનો ભાવ પણ ઈંગિત કરે છે… ઝાડ અજંપાનું છે પણ લીલુંછમ છે. આ અજંપો સૂકાવાનો નથી, એ એવોને એવો જ રહેવાનો છે. લાખ કોશિશ કરવા છતાંય આ અજંપાને જીવનના આંગણામાંથી હટાવવો હવે નામુમકિન છે.

લાંબી બહેરવાળી રચનાઓનું સૌથી મોટાં ભયસ્થાન ભરતીના શબ્દો અને સહજ વ્યાકરણના નિયમોનું અતિક્રમણ છે. એકાદ અપવાદને બાદ કરતાં અનંત રાઠોડની આ રચના આ ભયસ્થાનોથી બચી શકી છે એ સૌભાગ્ય. ગઝલના રદીફમાં આવતો “અને” શબ્દ “ને”ના સ્થાને અથવા “દઈ/લઈ”ના સ્થાને વપરાયો હોવાનું તરત જ ધ્યાનમાં આવે છે. એ જ રીતે મત્લાના શેરમાં “સ્તબ્ધતાનો સ્તંભ એ ખોડી”માં આવતો “એ” પણ ભરતીનો શબ્દ છે, જે હકીકતે ગઝલના પઠનની પ્રવાહિતા અવરોધે છે.

Comments (12)

ખેલ ખેલમાં – અમૃત ‘ઘાયલ’

એવુંય ખેલ ખેલમાં ખેલી જવાય છે,
હોતી નથી હવા અને ફેલી જવાય છે.

ઊંઘી જવાય છે કદી આમ જ ટહેલતાં,
ક્યારેક ઊંઘમાંય ટહેલી જવાય છે.

આવી ગયો છું હું ય ગળે દોસ્તી થકી,
લંબાવે કોઈ હાથ તો ઠેલી જવાય છે.

બલિહારી છે બધીય ગુલાબી સ્મરણ તણી,
આંખો કરું છું બંધ, બહેલી જવાય છે.

મળતી રહે સહાય નશીલી નજરની તો,
આંટીઘૂંટી સફરની ઉકેલી જવાય છે.

લાગે છે થાક એવો કે ક્યારેક વાટમાં,
સમજી હવાને ભીંત અઢેલી જવાય છે.

‘ઘાયલ’, ભર્યો છે એટલો પૂરો કરો પ્રથમ,
અહીંયાં અધૂરો જામ ના મેલી જવાય છે.

– અમૃત ‘ઘાયલ’

સરળ શબ્દોમાં એક ક્લાસિક રચના….

Comments (2)

‘મરીઝ’ સાહેબને સલામ * – હેમેન શાહ

આજે બધે જે વાતની ચકચાર હોય છે,
ભાગ્યે જ કાલે કોઈને દરકાર હોય છે.

નીકળે ન શબ્દ એકે પ્રશંસાનો ભૂલથી,
લોકો જગતના એવા ખબરદાર હોય છે.

સ્વીકારે જેની વાતને મૃત્યુ પછી જગત,
એના જીવનમાં ઓછા તરફદાર હોય છે.

પલટે પલકમાં પોતાનાં આંસુને સ્મિતમાં,
દુનિયામાં કેટલાય કલાકાર હોય છે.

પડછાયો પણ તિમિરમાં નથી સાથ આપતો,
મુશ્કિલ સમયમાં કોણ વફાદાર હોય છે ?

ઊભો રહું છું આયના સામે જ રોજ હું,
એક ન્યાયાધીશ, એક ગુનેગાર હોય છે.

– હેમેન શાહ

મરીઝની જાણીતી ગઝલની જમીન પર કામ કરીને હેમેન શાહ મરીઝની જ બાનીમાં એક-એકથી વધુ ચડિયાતા ચોટદાર શેરની ગઝલ લઈ આવ્યા છે… ધીમે ધીમે મમળાવીએ…

(*બસ, દુર્દશાનો એટલો આભાર હોય છે)

Comments (6)