વાહન બરફના ચોસલા જેવા હશે કદાચ,
ગરમી પડે ને રોડનો ટ્રાફિક ઓગળે.
કુલદીપ કારિયા
લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.
Archive for સોનેટ
સોનેટ શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.
January 25, 2020 at 12:30 AM by વિવેક · Filed under રમણલાલ કુબેરભાઈ પંડ્યા 'સનાતન', સોનેટ
(શિખરિણી)
કિશોરો વસ્ત્રોમાં નવીન બનીને છેલછબીલા
રમે પત્તાં ભેળાં સમવય થઈ મંડપ તળે,
શિશુ નાનાં ભોળાં અહીંતહીં દડે કંદુકસમાં
રજોટાઈ ધૂળે ધૂવળ થકી થાતાં મલિન જે;
પણે બારીમાંથી નિરખી રહી છે વાગવધૂઓ
ઘૂમન્તા ટોળામાં, શરમ થકી જેની નજર ના
થતી ઊંચે તેના તરુણવય વ્યાહેલ પતિઓ;
અગાશીના ખૂણે નવપરિણિતો બે મળી રહ્યાં
બજે વાજાં સાથે સૂરબસૂર શા બ્રાહ્મણતણા
અને વચ્ચે વચ્ચે ઊઠતી બૂમ પાકગૃહ થકી,
જલે ચોરી તેની ઊઠતી ધૂણી પુરંત દૃગને
મચે ચોપાસે શાં કલબલ દધિ ગર્જન સમો!
પરંતુ કન્યાનું દિલ અહીંથી ક્યાંયે દૂર દૂરે
અજાણ્યા સાથીની મધુર સ્મૃતિમાં અત્ર ધબકે.
– રમણલાલ કુબેરભાઈ પંડ્યા ‘સનાતન’
(૧૯૧૮થી ૧૯૮૭)
આપણામાંથી બહુ ઓછાંને એ વાતની જાણ હશે કે કવિશ્રી ઉશનસ્ ના મોટાભાઈ પણ કવિ હતા અને એમના મૃત્યુ બાદ ઉશનસે એમના કાવ્યોનો સંગ્રહ ‘ચરણરજ’ પણ પ્રગટ કર્યો હતો. પ્રસ્તુત સૉનેટમાં જે લગ્નપ્રસંગમાં રત ઘરનું સરસ વર્ણન કરાયું છે. કિશોરો નવા કપડાં પહેરીને છેલછબીલા થઈ ફરે છે અને નાનાં-મોટાં હોવા છતાં એક જ વયના બનીને મંડપ તળે પત્તાં રમે છે, તો નાનાં શિશુઓ સ્વભાવિક ધૂળમાં ધૂળ બનીને રમી રહ્યાં છે. તાજી પરણેલી સ્ત્રીઓ શરમના માર્યા ઉપર નજર કરી તારામૈત્રક સાધી ન શકતા તરુણ પતિઓને બારીઓમાંથી જોઈ રહી છે. તો વળી એકાદ તાજું પરણેલું યુગલ અગાશીના ખૂણે સંતાઈને પોતાનું એકાંત માણી રહ્યું છે. બેસૂરા સૂરોમાં બ્રાહ્મણ વાજાંઓના અવાજ વચ્ચે મંત્રોચ્ચાર કરે છે અને રસોડામાંથી પણ બૂમો અવારનવાર મંડપમાં આંટો મારી જાય છે. ચોરીના અગ્નિના ધૂમાડાથી આંખો તર થઈ જાય છે. સમુદ્રના ગર્જન જેવા કોલાહલથી લગ્નના ઘર ભરાઈ ગયું છે પણ જેનાં લગ્ન થવાનાં છે એ કન્યાનું હૈયું આ તમામ કલબલ-હલચલની સીમાઓ વળોટીને અજાણ્યા સાથીની મધુર સ્મૃતિમાં અહીં ધબકી રહ્યું છે.
(ધૂવળ-ધૂવર, ધૂળ)
Permalink
December 12, 2019 at 12:30 AM by વિવેક · Filed under ભાનુપ્રસાદ પુરાણી, સોનેટ
તમે નથી તો, નથી જિંદગી જીવવા જેવી!
તમે નથી તો, દિલની વાતો કોને કહેવી?
તમે નથી તો, આંબાડાળે કોયલ ક્યાંથી ટહુકે?
તમે નથી તો, વનવગડામાં મયૂર ક્યાંથી ગહેંકે?
તમે નથી તો છોડ હિજરાતા કરે છે બાગના,
તમે નથી તો ફૂલ બધાં ઝૂર્યાં કરે છે ત્યારનાં
‘તમે ખરા છો! સાવ ભૂલકણા’ કોણ બોલશે?
‘જો જો પાછા મોડા પડતા!’ કોણ ટોકશે?
તમે તમારી આંખે સૂરજ ઢાળી દઈને-
કો’ક અજાણી આંખોને અજવાળાં દીધાં!
તમે અચાનક ‘આવું’ કહીને અનંત વાટે ચાલ્યાં,
ભૂલી ગયાં શું કોલ, આપણે બંધ બારણે લીધાં?
તમે નથી તો’આવું’ એવો કોણ પાડશે ટહુકો?
તમે નથી તોય અમ અંતરમાં ધૂપસળી શાં મહેંકો.
– ભાનુપ્રસાદ પુરાણી
એકાદા અપવાદને બાદ કરતાં ચુસ્ત પ્રાસ સાથેનું લયબદ્ધ સૉનેટ. જીવનસંગિની જીવનપથમાં નાયકને એકલો છોડીને, ચક્ષુદાન કરીને કોઈક અજાણી આંખોને અજવાળાં દઈને ચાલી નીકળ્યાં બાદની નાયકની મનોદશા અહીં સુપેરે ઉજાગર થઈ છે. ‘તમે નથી તો’ની પુનરોક્તિ મૃતકની ગેરહાજરીની તીવ્રતાનો અને નાયકના જીવનમાં વ્યાપ્ત ખાલીપાના આયામનો પણ ગુણાકાર કરે છે.
Permalink
August 3, 2019 at 1:30 AM by વિવેક · Filed under રામનારાયણ વિ. પાઠક, સોનેટ
ધમાલ ન કરો, – જરાયે નહિ નેન ભીનાં થશો, –
ઘડી બ ઘડી જે મળી – નયનવારિ થંભો જરા, –
કૃતાર્થ થઈ લો, ફરી નહિ મળે જ સૌંદર્ય આ,
સદા જગત જે વડે હતું હસન્તું માંગલ્ય કો!
ધમાલ ન કરો, ધરો બધી સમૃદ્ધિ માંગલ્યની,
ધરો અગરુ દીપ ચંદન ગુલાલ ને કુંકુમ;
ધરો કુસુમ શ્રીફલો ન ફરી જીવને આ થવો
સુયોગ અણમૂલ સુંદર સુહાગી માંગલ્યનો!
ધમાલ ન કરો, ન લો સ્મરણ કાજ ચિહ્ને કશું,
રહ્યું વિકસતું જ અન્ત સુધી જેહ સૌંદર્ય, તે
અખંડ જ ભલે રહ્યું, હૃદયસ્થાન તેનું હવે
ન સંસ્મરણ વા ન કો સ્વજન એ કદી પૂરશે.
મળ્યાં તુજ સમીપે અગ્નિ! તુજ પાસ જૂદાં થિંયેં;
કહે, અધિક ભવ્ય મંગલ નથી શું એ સુંદરી?
– રામનારાયણ વિ. પાઠક ‘શેષ’
વિયોગમાં સુયોગ શોધતું અ-મર મરણકાવ્ય !
સ્વજનનું મૃત્યુ એટલે હૃદયવિદારકતાની પરાકાષ્ઠા. એમાંય વરસો સુધી સાથ નિભાવનાર જીવનસાથી જિંદગીના પથ પર અચાનક એકલા મૂકીને ચાલી નીકળે એની વેદના તો ભલભલાને હચમચાવી દે છે. જીવનસાથીની વિદાયની આ ઘડીને ઘણા કવિઓએ પોતપોતાની રીતે આલેખી છે. પ્રસ્તુત રચનામાં કવિ રામનારાયણ વિ. પાઠક ‘શેષ’ નો પોતાની જીવનસંગિનીના મૃત્યુને નિહાળવાનો અભિગમ સામાન્ય કરતાં બિલકુલ અલગ જ છે…
કવિતાના વિશદ આસ્વાદ માટે અહીં ક્લિક કરશો જી…
Permalink
July 27, 2019 at 1:35 AM by વિવેક · Filed under માઇકલ ડ્રાઇટન, વિવેક મનહર ટેલર, વિશ્વ-કવિતા, સોનેટ
કેમકે કોઈ મદદ શક્ય જ નથી, ચુંબન કરી થઈએ અલગ,
ના, હવે બસ, બહુ થયું, નહિ પામશે સહેજે વધારે તું મને,
ને હું ખુશ છું, હા, હું ખુશ છું મારા દિલના આખરી ઊંડાણ લગ,
કે સિફતથી આમ છોડાવી શક્યો સર્વાંગે મારી જાતને.
મેળવીને હાથ છેલ્લી વાર, કરીએ રદ લીધેલા સૌ શપથ,
ને કદી સંજોગવશ જો આપણું મળવાનું થાયે ક્યાંય પણ
આપણા ચહેરા ઉપરથી ના થવું જોઈએ કશુંયે તો પ્રગટ
કે બચ્યો છે આપણા બેમાં હજી એ પ્યારનો એકેય કણ.
પ્રેમના છેલ્લામાં છેલ્લા શ્વાસના આ છેલ્લા ડચકા પર હવે,
જ્યારે, એની નાડી થઈ રહી છે ધીમી, આવેશ સૂતો છે અવાક,
જ્યારે એની મૃત્યુશૈય્યાની કને શ્રદ્ધા ઘૂંટણિયા ટેકવે,
ને ધીમે ધીમે બીડી રહી છે હવે નિર્દોષતા પણ એની આંખ.
જ્યારે એના નામનું નાહી હવે નાખ્યું છે, ત્યારે પણ તું જો ધારે,
મોતના મોઢેથી એને તું પરત જીવન તરફ લાવી જ શકશે.
જ્યારે એના નામનું નાહી જ નાંખ્યું છે હવે ત્યારેય તું ધારે
તો મરણના મુખથી એને તું ફરી પાછું જીવન લગ આણી શકશે.
– માઇકલ ડ્રાઇટન
અનુ. વિવેક મનહર ટેલર
*
સમ્-બંધ બે જણના સમાન બંધાવાની વાત છે. એક જણ કાચું પડે તો બીજું સાચવી લે, ને બીજું ક્યાંક અટકે, તો પહેલું મદદે આવે એ જ સંબંધની ખરી વિભાવના છે. આ સમજણ જ સગપણનો પ્રાણ છે. કોશિશ કરો તો મરેલો સંબંધ પણ ઊભો થઈ શકે. સગપણના સમીકરણમાં પ્રવેશી ગયેલ રણ દૂર કરવાની સમજણ આપતી માઇકલ ડ્રાઇટનની આ રચનાનો વિશદ આસ્વાદ માણવો હોય તો અહીં ક્લિક કરવા વિનંતી છે.
*
Since There’s No Help
Since there’s no help, come, let us kiss and part,
Nay, I have done, you get no more of me,
And I am glad, yea, glad with all my heart,
That thus so cleanly I myself can free.
Shake hands for ever, cancel all our vows,
And when we meet at any time again
Be it not seen in either of our brows
That we one jot of former love retain.
Now at the last gasp of Love’s latest breath,
When, his pulse failing, Passion speechless lies,
When Faith is kneeling by his bed of death,
And Innocence is closing up his eyes,
Now, if thou wouldst, when all have given him over,
From death to life thou mightst him yet recover.
– Michael Drayton
Permalink
July 25, 2019 at 2:44 AM by વિવેક · Filed under ભાનુપ્રસાદ પંડ્યા, સોનેટ
વાનરની તોલે આવે એવાં તારાં અડપલાં
વાંસતણાં વનો સમાં અડાબીડ વધે છે.
તિરાડથી પ્રવેશતા વાયરાની જેમ છાનો
વ્રજનારી તણા ઘરે ચૂપચાપ સરે છે!
શીકાં પરે લટકતાં ગોરસ ઉતારી બધાં
આરોગે ઓછાં ને વધુ આમતેમ ઢોળે છે!
પરઘરે પૂછ્યા વિણ જતાં નહીં લાજ તને?
‘ચોર’ કહે લોક બધાં કુળ કેમ બોળે છે?
“ગયા ભવ થકી ગાઢ વાનરોનો સંગ, માડી!
સ્વભાવમાં થોડો ઘણો આવ્યા વિના રહે છે?
સંઘરો કરી દધિ વલખતું મટુકીમાં,
મોગરાના ફૂલ જેમ વિખેરવું ગમે છે!
પારકું-પરાયું ન લાગે, નથી ‘ચોર’ હું, મા!
બધું હોય મારું એવું કેમ મને ભાસે છે?”
– ભાનુપ્રસાદ પંડ્યા
ગુજરાતી કવિતાઓમાં કાવ્યવિનોદ જૂજ જ જોવા મળે છે. પ્રસ્તુત સૉનેટ એનું મજાનું ઉદાહરણ છે. યશોદા માતા અને બાળ કૃષ્ણ વચ્ચેનો સંવાદ અહીં છે. ઘરોમાં ચોરીછૂપી ઘૂસી જઈ શીકાં તોડી માખણ ખાઈ જતા કાનુડાની રાવ એટલી વધી ગઈ છે કે મા જશોદા એનો ઉધડો લેવા ધારે છે. પણ કૃષ્ણ તો ‘માથેથી પકડો તો ખાંડો ને પૂંઠેથી પકડો તો બાંડો’, એ કંઈ હાથ આવે? મા એને વાનર કહે છે તો બદલામાં એ એનો પૂર્વજન્મ યાદ કરતાં કહે છે કે રામાવતારમાં વાનરોનો બહુ સંગ કર્યો હતો એની અસર રહી ગઈ છે. ભગવદગીતામાં કૃષ્ણ કહે છે એ વાત યાદ આવે: ‘रामः शस्त्रभृतामहम्’ (અધ્યાય: ૧૦, શ્લોક: ૩૧) (શસ્ત્રધારીઓમાં રામ હું છું.) પોતાને ચોરકરાર આપતા આક્ષેપને રદીયો આપતાં એ કહે છે, કે આખી દુનિયા મારી જ છે. મને કંઈ પારકું-પરાયું લાગતું જ નથી…
Permalink
July 6, 2019 at 1:30 AM by વિવેક · Filed under ઉમાશંકર જોશી, સોનેટ
યમુનાને તટે જન્મી, ખેલી, દુષ્ટ જનો દમી,
સ્થાપ્યાં સ્વ-ભૂમિથી ચ્યુત સ્વજનો અન્ય દેશમાં;
અને ભારતના યુદ્ધે નિઃશસ્ત્ર રહીને સ્વયં,
હસ્તિનાપુરમાં સ્થાપ્યો ધર્મ, ને ધર્મરાજને
લોકકલ્યાણનાં સૂત્રો સોંપી, પોતે પ્રભાસમાં
યથાકાળે પુણ્ય સિંધુતીરે સૌરાષ્ટ્રમાં શમ્યા
પારધીશર ઝીલીને ધર્મગોપ્તા નરોત્તમ.
અને આતુર ઊભેલો પ્રવર્ત્યો ત્યાં કલિયુગ.
જન્મી સૌરાષ્ટ્રના સિંધુતીરે, સ્વભૂમિભ્રષ્ટ સૌ
સ્વદેશીજનને સ્થાપ્યાં ગૌરવે પરદેશમાં;
દુષ્ટતા દુશ્ચરિતતા દમી સર્વત્ર, ભારતે
નિઃશસ્ત્ર યુદ્ધ જગવી, કરે ધારી સુ-દર્શન-
ચક્ર શ્રી-સ્મિત-વર્ષંતું, સ્થાપી હૃદયધર્મને
હસ્તિનાપુર-દિલ્હી-માં, ધર્મસંસ્થાપના-મચ્યા
ઝીલી સ્વજનની ગોળી યમુનાતટ જૈ શમ્યા.
હજીયે આવશે ના કે અંત એ કલિચક્રનો?
– ઉમાશંકર જોશી
કવિતાથી મોટો કોઈ જાદુ નથી. કવિતા અશક્યને શક્ય બનાવવાની કળા છે. મોહન અને મોહનદાસ જેવી બે સાવ વિઅપ્રિત વિભૂતિઓને એક જ રંગે રંગવાનું કામ કવિતા સિવાય શક્ય જ નથી. એક ભાગમાં મોહન અને બીજામાં મોહનદાસ –એમ બે ભાગમાં કવિએ આ બે યુગપુરુષો વચ્ચેની સામ્યતાઓ juxtapose કરી આપી છે. સમયના બે અલગ-અલગ બિંદુએ થઈ ગયેલા બે મહામાનવોને એકસૂત્રે બાંધીને કવિ ઉમાશંકર જોશી આજની ગ્લૉબલ કવિતામાં રજૂ કરે છે.
સવિસ્તાર વિશ્લેષણ અને આસ્વાદ માટે અહીં ક્લિક કરવા વિનંતી છે.
Permalink
June 27, 2019 at 12:30 AM by વિવેક · Filed under ઉમાશંકર જોશી, સોનેટ
પેલી આછા ધૂમસ મહીંથી શૃંગમાલા જણાય,
નામી નીચાં તટતરુ ચૂમે મંદ વારિતરંગ
વ્યોમે ખીલ્યાં જલઉર ઝીલે અભ્રનાં શુભ્ર રંગ,
સૂતું તોયે સરઉદરમાં ચિત્ર કાંઈ વણાય.
વીચીમાલા સુભગ હસતી જ્યાં લસે પૂર્ણ ચંદ;
શીળી મીઠી અનિલલહરી વૃક્ષની વલ્લરીમાં
સૂતી’તી તે ઢળતી જલસેજે મૂકે ગાત્ર ધીમાં
સંકોરીને પરિમલ મૃદુ પલ્લવપ્રાન્ત મંદ.
ત્યાં તો જાણે જલવિધુ તણાં ચારુ સંયોગમાંથી,
હૃત્તંત્રીને કુસુમકુમળી સ્પર્શતી અંગુલિ કો.
અર્ધાં મીંચ્યાં નયન નમતાં ગાન આ આવ્યું ક્યાંથી ?
એકાન્તોમાં પ્રકૃતિ કવતી મંજુ શબ્દાવલિ કો.
એવે અંત:શ્રુતિપટ પરે ધન્ય એ મંત્ર રેલે :
સૌન્દર્યો પી, ઉરઝરણ ગાશે પછી આપમેળે.
– ઉમાશંકર જોશી
(ઑક્ટોબર, ૧૯૨૮)
માત્ર સત્તર વર્ષની વયનો લબરમૂછિયો છોકરો એની જિંદગીની પહેલી કવિતા લખે એ કેવી હોય, કહો તો! મોટાભાગના કવિઓ આ વયે કવિતાના સ્થાને કવિતડાં જ રચતા હોય છે. જ્યારે કેટલાક જન્મજાત ‘ગિફ્ટેડ’ હોય છે. ઉમાશંકરે ૧૭ વર્ષની વયે પહેલી કવિતા લખી, એ પણ મંદાક્રાન્તા છંદમાં સૉનેટ. અને જિંદગીની પહેલી કવિતાની છેલ્લી પંક્તિમાં એમણે સાહિત્યસર્જન માટેનો જે મંત્ર આપ્યો, એ અમર થઈ ગયો…
બ. ક. ઠાકોરે ૧૮૮૮માં ગુજરાતી ભાષાનું સર્વપ્રથમ સૉનેટ લખ્યું, જે આજદિનપર્યંતનુ સર્વશ્રેષ્ઠ સૉનેટ પણ ગણાય છે. બંને સૉનેટમાં થોડીઘણી સામ્યતા નજરે ચડે છે. પચાસ વર્ષ પહેલાં લખાયેલ ઠાકોરના સફળ સૉનેટની લબરમૂછીયા કવિની કવિતા પર અસર હોય એ નકારી ન જ શકાય. બંને સૉનેટ મંદાક્રાન્તામાં લખાયેલા છે, બંને સૉનેટમાં અષ્ટક-ષટક પ્રમાણે વિભાજન થયેલું છે, બંને સૉનેટ કાવ્યસર્જનની પ્રક્રિયાના રહસ્યોનો તાગ મેળવવા મથે છે. બંનેનો પ્રારંભ ધુમસમાં થઈને દેખાતી પ્રકૃતિથી થાય છે. બંનેમાં શાંત જળની વાત છે, હળુ-હળુ વાતા પવનની વાત છે, ચાંદની અને પુષ્પોની સુવાસની વાત પણ છે. બેંને સૉનેટના ષટકની શરૂઆત ‘ત્યાં’ શબ્દથી થાય છે. બંનેમાં નાયક અર્ધનિમિલિત નેત્રે સૂતો છે અને અનાયાસે બંનેના હૃદયમાંથી કાવ્યસ્ફુરણ થાય છે. બ.ક.ઠા. કાવ્યસર્જનના પિંડમાં કુદરતની રમણીયતાના ભણકારાઓ કેવી રીતે ભાગ ભજવે છે એ સમજાવે છે, તો ઉ.જો. પ્રકૃતિ સૌંદર્યનું યથાર્થ પાન કરવામાં આવે તો હૈયું આપમેળે ગીત ગાશે એ સમજાવે છે.
બે સૉનેટની સમાનતાની સરખામણી કરવા પાછળનો હેતુ બેમાંથી એકેયને એક-બીજાથી ચડિયાતાં કે ઉતરતાં સાબિત કરવાનો નથી, ફક્ત બે પ્રથમની વચ્ચે રહેલ સામ્ય તરફ ધ્યાન દોરવું એ જ છે. બંને કૃતિ પોતપોતાના સ્થાને ઉત્તમ જ છે અને બંનેની પોતપોતાની મજા છે…
Permalink
May 31, 2019 at 12:30 AM by વિવેક · Filed under રામનારાયણ વિ. પાઠક, સોનેટ
(શિખરિણી)
‘અરે ભોળા સ્વામી ! પ્રથમથી જ હું જાણતી હતી,
ઠગાવાના છો જી જલધિમથને વ્હેંચણી મહીં.
જુઓ ઇન્દ્રે લીધો તુરગમણિ ઉચ્ચૈ:શ્રવસ, ને
વળી લીધો ઐરાવત જગતના કૌતુક સમો;
લીધી કૃષ્ણે લક્ષ્મી, હિમ સમ લીધો શંખ ધવલ,
અને છૂટો મૂક્યો શશિયર સુધાનાં કિરણનો.
બધાએ ભેગા થૈ અમૃત તમને છેતરી પીધું
અને- ‘ભૂલે ! ભૂલે અમૃત, ઉદધિનું વસત શી ?
રહી જેને ભાગ્યે અનુપમ સુધા આ અધરની !’
‘રહો જોયા એ તો, જગ મહીં બધે છેતરાઈને
શીખ્યા છો આવીને ઘરની ધરૂણી એક ઠગતાં.
બીજું તો જાણે કે ઠીક જ. વિષ પીધું ક્યમ કહો ?’
‘બન્યું એ તો એવું, કની સખી ! તહીં મંથન સમે,
દીઠી મેં આલિંગી જલનિધિસુતા કૃષ્ણતનુને,
અને કાળા કંઠે સુભગ કર એવો ભજી રહ્યો,
મને મારા કંઠે મન થયું બસ્ એ રંગ ધરવા,-
મૂકી જો, આ બાહુ ઘન મહીં ન વિદ્યુત્ સમ દીસે ?’
તહીં વિશ્વે આખે પ્રણયઘન નિ:સીમ ઊલટ્યો;
અને એ આશ્લેષે વિષ જગતનું સાર્થક બન્યું !
-રામનારાયણ વિ. પાઠક
દેવો અને દાનવોએ અમૃત મેળવવા માટે સમુદ્રમંથન કર્યું અને વિષ સહિત ચૌદ રત્નો પ્રાપ્ત થયા. ઐરાવત હાથી, ઉચ્ચૈઃશ્રવા ઘોડો, કલ્પવૃક્ષ, અપ્સરા રંભા તથા પારિજાત વૃક્ષ ઇન્દ્રએ લઈ લીધા, કામધેનુ ગાય ઋષિઓ લઈ ગયા, લક્ષ્મી દેવી, કૌસ્તુભમણિ, પંચરત્ન શંખ વિષ્ણુએ કબ્જે કર્યા, વારૂણીદેવી અસુરોએ રાખ્યાં, ચંદ્રમા વિહાર પર નીકળ્યા જેને પાછળથી શિવે જટા પર ધાર્યા, ધન્વન્તરી વૈદ્ય સ્વર્ગલોકમાં રહ્યા અને અમૃત માટે આખરે બધા લડી પડ્યા. હળાહળ વિષ લેવા કોઈ તૈયાર નહોતું, એ માટે ભોળા ભગવાન શંભુએ આગેકદમ કર્યા અને વિષ પીને ગળામાં ધારી લીધું અને નીલકંઠ તરીકે ઓળખાયા.
ભોળા શંભુને દેવતાઓ ઉલ્લુ બનાવી ગયા એ બાબતમાં પાર્વતી એમને વઢતા હોય એવી કલ્પનાને વિષય બનાવીને મજાનું સૉનેટ કવિ અહીં લઈ આવ્યા છે. પહેલી પંક્તિમાં જ ભોળા સ્વામી કહીને એ ઉધડો લે છે અને જેને હોઠે તમારા (પાર્વતીના) હોઠોની અનુપમ સુધાની તરસ વસતી હોય એ બીજા અમૃતની પરવા શીદ કરે એમ કહીને શિવ પોતાનો બચાવ પણ કરે છે અને પાર્વતીને મસકા પણ મારે છે. પણ પાર્વતી પણ કાચાં નથી. એ કહે છે, રહો હવે! તમને એક ઘરવાળીને જ ઠગતા આવડે છે. બીજું બધું છોડીને ઝેર જ કેમ પીધું એનો ખુલાસો કરો. ભોળાનાથ ખુલાસો કરતાં કહે છે કે સમુદ્રમંથન સમયે સાગરમાં સૂતેલા વિષ્ણુના કંઠે લક્ષ્મીનો હાથ એવો સોહી રહ્યો હતો કે મને પણ કાળો રંગ ધારવાનું મન થયું એટલે મેં ઝેર ગટગટાવીને ગળું શ્યામ કર્યું. હવે આ કાળા ગળા ઉપર આપનો હાથ કેવો વીજળી જેવો સુંદર લાગશે!
પાર્વતી પણ આખરે તો સ્ત્રી જ હતાં. એ શિવને વળગી પડે છે અને એ આશ્લેષમાં જગતભરનું વિષ સાર્થકત્વ પામે છે… કેવી મજાની વાત!
Permalink
May 11, 2019 at 1:00 AM by વિવેક · Filed under આલ્બ્રેશ્ટ હૌસહૉફર, વિવેક મનહર ટેલર, વિશ્વ-કવિતા, સોનેટ
જે હાથમાં છે જેલવાસાનો હવાલો આપણા,
એ સંત્રીઓ માણસ છે સારા. ખેડૂતોનું છે રુધિર.
છૂટા પડ્યા છે પંડના ગામોથી તેઓ ને લગીર
આવી પડ્યા આ વિશ્વમાં અણજાણ, સમજણ પારના.
તેઓ કદીક જ બોલે છે. બસ, આંખ તેઓની કદી
મૂંગી-મૂંગી પૂછે છે, જાણે જાણવું હો એ જ કે,
ક્યારેય અનુભવવાનો નહોતો તેઓના હૃદયોએ જે
માભોમની કિસ્મતનો બોજો, વેઠ્યો એ શી રીતથી.
પૂર્વીય પ્રાંતોમાંથી તેઓ આવ્યા છે જે ક્યારના
તારાજ બિલકુલ થઈ ગયા છે યુદ્ધના પરિણામથી.
પરિવાર કહો કે માલમત્તા – કંઈ હવે સાબૂત નથી.
સંભવ છે, તેઓ છે હજી જીવન પ્રતીકની રાહમાં
ચુપચાપ કામે રત રહે છે. કેદીઓ છે – તેઓ પણ.
સમજી શું શક્શે તેઓ આ? કાલે? પછી? ક્યારેય પણ?
– આલ્બ્રેશ્ટ હૌસહૉફર
(અંગ્રેજી પરથી અનુવાદ: વિવેક મનહર ટેલર)
મૃત્યુનો અનુભવ ફર્સ્ટ હેન્ડ કોઈ કહી શકતું નથી પરંતુ મૃત્યુની પ્રતીક્ષાનો રંગ મૃત્યુના ઉંબરે આવી ઊભેલા ઘણા બધા કવિઓએ પોતપોતાની રીતે આલેખ્યો છે. આપણે ત્યાં રાવજી પટેલ અને જગદીશ વ્યાસના કાવ્યો આંગણે આવી ઊભેલા મૃત્યુના રંગોથી રંગાયેલા જોવા મળે છે. જર્મન ભૂગોળવિદ્ આલ્બ્રેશ્ટ હૌસહૉફર નાઝીઓ સામેના વિરોધના કારણે બર્લિનના મુઆબિત જિલ્લાની જેલમાં નિશ્ચિત મૃત્યુની અનિશ્ચિત રાહ જોતા હતા ત્યારે માંડ મળી શકેલા કાગળો પર જેલની અંદરની અને બહારની દુનિયા ઉતારતા રહ્યા.. 23 એપ્રિલ, 1945ના રોજ સૉવિયેટ સૈનિકોએ બર્લિન પર કબ્જો મેળવ્યો ત્યારે જેલના અધિકારીઓએ કેદીઓને છોડી મૂક્યા પણ જેલની બહાર જ સૈનિકો એમની રાહ જોતા હતા. એક નિર્જન જગ્યા પર લઈ જઈને તમામને ગોળી મારી દેવામાં આવી. ત્રણ અઠવાડિયા પછી કવિના નાના ભાઈને એમનું શબ જડ્યું ત્યારે કવિનો જમણો હાથ કોટની અંદર પાંચ કાગળોને હૃદયસરખો દાબીને પડ્યો હતો. આ પાંચ કાગળમાંથી જડી આવેલા એંસી સોનેટ્સ મુઆબિત સૉનેટ્સ તરીકે જાણીતા થયા. આ કવિતાઓએ વિશ્વને ખળભળાવી મૂક્યું. આ એંસી સોનેટ્સ મૃત્યુ અને અન્યાય સામે લખાયેલી આજ પર્યંતની શ્રેષ્ઠ કવિતાઓમાં સ્થાન પામ્યાં છે…
કવિતાના વિશદ રસાસ્વાદ માટે આપ અહીં ક્લિક કરી શકો છો.
Our wardens
The wardens put in charge of our detention
are good fellows. Of farmer blood. Torn
from the protection of their villages
into a strange, not understood world.
They hardly speak. Only their eyes from time
to time ask humbly, as though they wanted to know
what their hearts were never to experience
that bear so heavily their homeland’s fate.
They come from Danube’s eastern regions
already devastated by the war.
Their families dead. Their goods and chattels wasted.
Perhaps they’re waiting still for a sign of life.
They work in silence. Prisoners – they too. Will they
understand that? Tomorrow? Later? Ever?
– Albrecht Haushofer
(Eng Translation from Germany: M. D. Herter Norton)
Permalink
May 2, 2019 at 12:30 AM by વિવેક · Filed under દેવેન્દ્ર દવે, સોનેટ
(મનહર)
સ્વર્ગ મધ્યે સુરગણો ભેળા થઈ ગર્વ કરે
સુખડ શું સુખ મળ્યું ભાર્યા થકી ભારે રે!
બ્રહ્મા કહે: ગૃહિણીએ શિરે લીધી ફરજ સૌ
એથી નિત રત રહું સર્જનમાં ત્યારે રે!
વિષ્ણુ વદ્યાઃ લક્ષ્મી મારે દ્વાર આવી ત્યાર કેડે
સૃષ્ટિ તણાં પાલનની ફિકર ના મારે રે!
મહાદેવ બોલ્યા: જુઓ ધણિયાણી અન્નપૂર્ણા,
પછી કોણ પેટ કાજે ભાઈ! ઘેટાં ચારે રે?!
કામદેવ થનગની સૂર કાઢે: રતિ રોજ
શય્યા મારી કુસુમોથી હોંશે શણગારે રે!
અચંબાથી બાઘા પેરે જોઈ રહું ચારે કોરે
હતપ્રભ મન ડૂબ્યું વમળ-વિચારે રે!
‘કેમ ભૂલે? ભાર્યા થકી ભોગવતો સુખ ચારે’
ઓચિંતાની ગેબી વાણી હૈયું મારું ઠારે રે!
– દેવેન્દ્ર દવે
દલપતરામના પ્રિય મનહર છંદમાં એમની જ નામરાશિવાળા કવિ દેવેન્દ્ર દવે મજાનું સૉનેટ લઈ આવ્યા છે. કવિતાના મૂળ સ્વભાવથી થોડું વિપરિત આ સૉનેટ ખાસ્સું મુખર છે પણ મુખરતા વાતને હળવી બનાવે છે અને ખૂંચતી નથી એટલે સૉનેટ આસ્વાદ્ય બન્યું છે. કવિ મજાની કલ્પના કરે છે. સ્વર્ગમાં ચાર મુખ્ય દેવો પોતપોતાની પત્નીનાં ગુણગાન ગાય છે. સરસ્વતીએ ઘરની જવાબદારી માથે લઈ લીધી હોવાથી બ્રહ્મા બેરોકટોક સર્જનકાર્યમાં પ્રવૃત્ત રહી શકે છે. લક્ષ્મીના લીધે વિષ્ણુ સૃષ્ટિના પાલનની ચિંતાથી મુક્ત થઈ ગયા છે. તો પાર્વતી અન્નપૂર્ણા હોવાથી શંકર ભગવાન કોઈ પણ જાતના કામકાજ કરવાના બદલે કૈલાસ પર ધૂણી ધખાવી શકે છે. કામદેવને તો રતિ જેવી પત્ની હોવાથી રોજેરોજ બખ્ખા જ છે. અને લાડુ હંમેશા પારકે ભાણે જ મોટો લાગે એ ન્યાયે કથક બાઘા જેવો પોતાની કમનસીબી અને દેવોના સદભાગ્યની તુલના કરતો દુઃખી થાય છે. એવામાં કોઈક ગેબી વાણી એનું હૈયું ઠારતાં કહે છે કે આ બધાને તો એક-એક પત્ની થકી એક-એક જ સુખ છે પણ તારે તો એક જ પત્ની થકી આ ચારેય સુખ છે. कार्येषु मन्त्री करणेषु दासी भोज्येषु माता शयनेषु रम्भाની આપણે ત્યાંની જાણીતી વિભાવના જ સૉનેટમાં જરા અલગ રીતે ઉપસી આવી છે.
Permalink
March 23, 2019 at 1:47 AM by વિવેક · Filed under દેવેન્દ્ર દવે, સોનેટ
(મંદાક્રાન્તા)
જાણી જોઈ નિજ કર થકી સ્વર્ગ શી આ અયોધ્યા
લંકાથીયે બદતર કરી! નાથને કાળ આંબ્યો!
જેનાં કાજે વચનદ્વય તેં માંગતાં માગી લીધાં
(કૂડાં કીધાં કરમ-કુલટા દાસીથી દોરવાણી…)
ત્યાગ્યો એણે વિભવ… વસિયો એકલો નંદિગ્રામે!
રામે માંડ્યાં ચરણ અડવાણે, વને વાસ વેઠ્યો!
શુંયે સૂઝ્યું કઠણ કરમે? કાં ન કાળોતરોયે
ડંખ્યો તુંને? પયસભર તેં પાત્રમાં ઝેર ઘોળ્યું?
છાનું વેઠી અવિરતપણે કોસતાં કાળ વીત્યો,
ભીનાં નેત્રે નિજ ભવનને શાંત એકાંત ખૂણે
બેઠી જાણે ભડભડ વને ચીખતી પંખિણી… ત્યાં
ઓચિંતાના પગરવ થતાં કાન માંડ્યા સફાળા.
પાયે વંદી, રઘુવીર કહે, ‘સારતી આંસુ શાને?
મારાથી તેં અધિકતર મા! ના સહી યાતનાને?!’
– દેવેન્દ્ર દવે
મંથરાની ચડામણીમાં આવી જઈને કૈકયી દશરથ પાસે બે વચન માંગી બેઠી. દશરથે પ્રાણ ગુમાવ્યા. રામ વનમાં જઈ વસ્યા અને ભરત રાજગાદી પર બેસવાના બદલે વૈભવ ત્યાગીને નંદિગ્રામ જઈ વસ્યો. સ્વર્ગ જેવી અયોધ્યા લંકાથી બદતર બની. દૂધ ભર્યા પાત્રમાં જાણે કૈકયીના હાથે ઝેર ઘોળાયું. આટલી વાર્તા આપણે સહુ જાણીએ છીએ. પણ આ કવિતા છે અને કવિતા આપણને એ દર્શન કરાવે છે જે આપણે સામાન્યરીતે જોઈ શકતા નથી. કવિના તો ચશ્માં જ અલગ. કવિનો હાથ ઝાલીને કવિતા અહીંથી કૈકયીના અંતઃકરણમાં પ્રવેશે છે. આપણને દેખાતી ઘટનાઓની પાછળ છૂપાયેલો કૈકયીનો પશ્ચાતાપ કવિ જુએ છે. બે વચન પછી ઘટેલી અનિચ્છનીય ઘટાનોની ઘટમાળે કૈકયીને વ્યથિત કરી દીધી છે. દશરથ તો ગયા, રામ વનમાં અને ભરત નંદિગ્રામમાં શેકાયા પણ કૈકયી તો આ તમામ વરસ પોતે કરેલી ભૂલના અહેસાસની અગનઝાળમાં બળતી રહી છે. ભડભડ બળતા વનમાં ફસાઈ ગયેલ પક્ષી કેવી ચીસો પાડે એમ એનું હૈયું આક્રંદ કરી રહ્યું છે. પણ કવિતાની ઊંચાઈ ત્યાં વધે છે જ્યાં વનવાસથી પરત આવીને રામ કૈકયીને મળવા આવે છે અને રડતી જોઈને આશ્વાસન આપતાં એને મા કહીને સંબોધે છે. કવિતા તો આ ‘મા’ સંબોધનમાં જ સંપૂર્ણ થઈ જાય છે. રામ માને આશ્વસ્ત કરતાં કહે છે કે એમના કરતાં એમની મા -કૈકયીએ- વધારે યાતના સહી છે એ વાતનો એમને પૂર્ણ અહેસાસ છે… સામાના દુઃખને સમજવાની અનુકંપા સૉનેટને ઉત્તમની શ્રેણીમાં લઈ જાય છે.
Permalink
March 15, 2019 at 12:30 AM by વિવેક · Filed under જશવંત લ. દેસાઈ, સોનેટ
(વસંતમૃદંગ)
ત્યારે હતો રગરગે રણકાર રક્તનો,
પાંખો ગરુડ સમ વીંઝી ધનુષ્ય છૂટ્યાં
કો તીરે શી સતત ઝંખત આભ આંબવા,
વિશ્વજીત પદપ્રાપ્તિ નકી સમીપમાં!
સર્જી હશે પૃથવી આવડી નાનકી કાં?
દૃષ્ટિ ફરી ફરીથી કલ્પતી વ્યોમ વીંધવા!
આજે વિપર્યય કશો! ઘર કો અવાવરુ
કેરી બખોલ મહીં થર્થરતું હિયું લઈ
પાંખો સિવાઈ વળી મંદરુધિરની ગતિ
ક્યારે જશે અટકી? ભીતિ, કહીંક વૃક્ષનું
એકાદ પર્ણ ખરતું, ઘડી આખરી કો
આવી પડી! અવસ્થિતિ મહીં જીવવું રહ્યું,
ક્યારેક થાય જીવને: બસ, ઊડ ઊડ
હે જિંદગી, તદપિ તારી શી નાગચૂડ!
– જશવંત લ. દેસાઈ
વૃદ્ધાવસ્થા વીતી ગયેલા સોનેરી દિવસોને યાદ કરવાની અવસ્થા છે. સિમેન્ટનું અને શરીરનું ઘર અવાવરુ થયેલું અનુભવાય, એકલતાના પ્રતાપે હૈયું થરથર્યા કરે છે, રગેરગ અનુભવાતો રક્તનો રણકાર મંદ પડેલો અનુભવાય છે,ને ક્યારે અટકી જશે એની ભીતિ રહ્યા કરે છે, જે પાંખો ગરુડની જેમ વીંઝીને ધનુષ્યમાંથી છૂટેલ તીરની જેમ આભ આંબવાની ઇચ્છા રાખતી હતી એ પાંખો સીવાઈ ગઈ હોય એમ બંધ પડી છે; ક્યારેક વિશ્વજીત સિકંદર બનવું હાથવગું અનુભવાતું હતું ને પૃથ્વી આટલી નાની કેમ છે એવું લાગતું હતું પણ આજે એક પાંદડું પણ વૃક્ષથી ખરે છે તો ક્યાંક મારા ખરવાની ઘડી તો નથી આવી ગઈ ને એવો ફડકો પડી રહ્યો છે. મરી જવાની ઇચ્છા થાય છે પણ જિંદગીની નાગચૂડ પણ એવી છે કે જવા દેતી જ નથી…
ગઈકાલની અને આજની ભાષાની વચ્ચે ચાલવા જતાં ક્યાંક ભાષાકર્મ જરા લથડ્યું છે એ બાદ કરતાં રચના આસ્વાદ્ય થઈ છે.
Permalink
February 28, 2019 at 12:30 AM by વિવેક · Filed under ભગવતીકુમાર શર્મા, સોનેટ
પ્હેલાં હતી નિકટતા મગફાડ જેવી;
આશ્લેષ બીચ નવ વાયુય શ્વાસ લેતો.
શૈયા તણા ઉભય રિક્ત રહંત છેડા;
મધ્યે અદ્વૈત અનુરાગથી બદ્ધ પૂર્ણ.
થોડી તિરાડ પડી કૂમળી પાનીઓથી;
બે છોડ બીચ મૃદુ ફૂલ ખીલ્યું સુનેરી;
વાયુલહેર વહી આવી તિરાડ વાટે;
નૈકટ્ય સ્નિગ્ધ શયનેય બળોતિયાથી.
પાની મૃદુ કઠણ થૈ પછી કાળસ્પર્શે;
ભાંખોડતી પગલી ઉંબર ગૈ વળોટી.
મધ્યે વસેલ અવકાશ ખસી ગયો ને
છેડા ફરી શયનના મળવા અધીર.
કિન્તુ પડાવ કરી ચોરપગે પ્રગાઢ
હાંફી રહ્યો સમય આપણી મધ્ય પીળો!
– ભગવતીકુમાર શર્મા
વચ્ચે હવા પણ પગપેસારો ન કરી શકે એવી મગફાડ જીવી ચસોચસ નિકટતામાં પથારીની વચ્ચે આલિઅંગનબદ્ધ રહેતા નવદંપતીની પથારીના બન્ને છેડાઓ કાયમ ખાલી જ રહેતા હતા. પણ બાળકનો પ્રવેશ થયો અને વચ્ચે એક તિરાડ પડી. બંને છોડ તોય સોનેરી ફૂલના ખીલવાથી ખુશ હતા. બાળક મોટું થઈને ઘરનો ઉંબરો વટાવી જઈ પોતાની દુનિયામાં સ્થિર થઈ ગયો. પથારીના બે અલગ થઈ ગયેલ છેડાઓને ફરી એક થવા માટે અવકાશ સાંપડ્યો પણ ચોરપગે આટલીવારમાં વૃદ્ધત્વ વચ્ચે ઘર કરી ગયું છે એ વાસ્તવિક્તા કવિ જે હળવાશથી રજૂ કરે છે એ અનુભૂતિને બળવત્તર બનાવે છે…
Permalink
January 19, 2019 at 1:30 AM by વિવેક · Filed under ઈશ્વરચંદ્ર ભટ્ટ, સોનેટ
(શિખરિણી)
પ્રિયે લગ્ને કીધો કર ગ્રહણ મેં કંકણ સજ્યો,
મળી દૃષ્ટોદૃષ્ટે અતળ ઉરમાં સ્પંદન ભળ્યું.
કુંવારો ને તાજો પરશ નરવો હૂંફ ભરતો,
ટળી મુગ્ધાવસ્થા મદનસરમાં મગ્ન સઘળું.
ભળી ગૈ આનંદે શ્વસુરગૃહમાં સ્વસ્થ મનથી
ન માગ્યા કે પામી વિભવ જગનાં, રંક ઘરમાં-
સ્વીકાર્યો સેવાનો વિકટ અવળો પંથ જગમાં.
નદીમાં ઉગેલી, સમદર જળે સ્વાસ ભરતી,
વસી સૌના હૈયે સરળ મનથી વર્તન કરી,
હજી તારી યાદી મનમહકતી સદગત પ્રિયે!
સ્મિતે આંજ્યાં તેણે પતિગૃહ વસી, હસ્ત ગ્રહતી,
ચઢી સ્વામીસ્કંધે, નિમીલિત દૃગે ગૈ તું નિસરી.
ચિતાભસ્મે પેખી અવનવી કશી ચીજ ગરવી,
સ્મશાનાગ્નિ સૌમ્યે ભસમ ન કર્યાં કંકણ સખી.
-ઈશ્વરચંદ્ર ભટ્ટ
એકાધિક કાવ્યસંગ્રહો, નિબંધો, પ્રવાસપત્રો, એકાંકી, ત્રિઅંકી જેવા એક ડઝનથીય વધુ પુસ્તકો આપનાર વલસાડના સર્જક શ્રી ઈશ્વરચંદ્ર ભટ્ટના નામથી આપણે લગભગ અપરિચિત છીએ. ‘સુદામો ૫૧મો’ જેવું અટપટું ઉપનામ ધરાવનાર આ કવિના સૉનેટસંગ્રહ ‘મધુસ્યંદ’ (૧૯૯૨), જેની પ્રસ્તાવના મકરંદ દવે અને ઉશનસ્ જેવા સમર્થ કવિઓએ એ લખી છે તથા કે. કા. શાસ્ત્રી, રાજેન્દ્ર શાહ, જયન્ત પાઠક અને વિષ્ણુપ્રસાદ ત્રિવેદી જેવા સાક્ષરોએ જેના વિશે અભિપ્રાય લખી આપ્યા છે એમાંથી એક સૉનેટ અહીં રજૂ કરીએ છીએ.
‘મધુસ્યંદ’ એટલે મધનો પ્રવાહ… મધુર ઝરણ… સદગત પત્નીના સ્મરણમાં કવિએ ૫૮ જેટલા સૉનેટ રચ્યા છે, જેમાં નારીજીવનના રજોનિવૃત્તિ સહિતના લગભગ તમામ પાસાંઓ કવિએ આવરી લીધાં છે. ઉચ્ચ કવિત્વનો અભાવ છતાં આ સૉનેટસંગ્રહ આપની ભાષામાં પોતાનું આગવું સ્થાન સર્જે છે. અહીં ગરીબ ઘરમાં પરણીને આવતી અને સહુની સેવાનો વિકટ પંથ હસતે મોંએ સ્વીકારીને મૃત્યુ પામીને પતિના ખભે ચડીને સ્મશાન જતી પત્નીની લગ્નથી મરણની જીવનયાત્રા અને જે કંકણ પહેરીને એ પતિગૃહે આવી હતી, એ કંકણ મૃત્યુ બાદ સ્મશાનનો ‘સૌમ્ય’ અગ્નિ પણ ભસ્મ કરી શક્યો ન હોવાની વાતથી કવિ પત્નીના સ્મરણ કેવાં અવિનાશી છે એની વાત બખૂબી કરે છે. પત્નીની યાદને ખાખ ન કરી શકનાર અગ્નિને સૌમ્ય વિશેષણ અપાયું છે એમાં ખરું કવિકર્મ નજરે ચડે છે..
Permalink
January 10, 2019 at 1:14 AM by વિવેક · Filed under પ્રિયવદન નૌતમરાય પાઠક, સોનેટ
(શિખરિણી)
નથી આ કૈં કાવ્યો : નથી પ્રણયના ઓઘ ઊભરા!
વિમર્શો કૈં છે ના, ન પરિણત પ્રજ્ઞા તણી કૃતિ!!
બહુરૂપા સૃષ્ટિ સજતી નિજ સૌંદર્ય પણ ક્યાં?
તરંગોની લીલા નહિ નવીન, ના કલ્પન નવાં!
ન કે કાવ્યાભાસી સહજ પદવિન્યાસ નવલા,
નવા ઉન્મેષો ના, નવ નવીનતા છંદ-લયની,
ન વા શોભે કોઈ નવતર અલંકાર કૃતિમાં,
કવ્યા ના સંસ્કારો નવ રસ રૂપે પૂર્વસૂરિના.
નથી ભાષાપ્રૌઢી કવનની, ન લક્ષ્યા, શું અભિધા!
ગિરા જે ગીર્વાણ પ્રભવતી નહીં કૈં ગુણવતી,
ન વાણીની આમાં મનસ ભરતી કૈ& ધ્વનિ-કલા,
ન વાગ્મિતા કેરી મનહર મધુરી મુખરતા.
નિનાદો તારા જે અહરનિશના પ્રીત-ટહુકા,
સખી! તેના આ તો હૃદ-વિવરમાં આર્દ્ર પડઘા.
– પ્રિયવદન નૌતમરાય પાઠક
(જન્મ ૦૯-૧૦-૧૯૨૩, નિધન ૧૩-૧૦-૨૦૧૭)
કવિતા શું છે એનો તાગ મેળવવા કવિઓ પરાપૂર્વથી મથતા આવ્યા છે. બહુ ઓછા જાણીતા કવિ શ્રી પ્રિયવદન પ્રસ્તુત સૉનેટમાં નથી-નથીની રીતિ અપનાવીને પોતાની કવિતાના મૂળ સુધી પહોંચે છે. કવિતાની શરૂઆત જ આ કંઈ કાવ્યો નથીની નિખાલસ કબૂલાતથી થાય છે. કવિ કહે છે કે એનાં સર્જન પ્રણયના ધોધમાર ઊભરા નથી, ઊંડાવિચારવિમર્શોનું તારતમ્ય પણ નથી, પરિપક્વ પ્રજ્ઞાનું નવનીત પણ નથી, ને અહીં બહુરૂપી સૃષ્ટિની પોતિકી સૌંદર્યલીલા પણ નથી. અહીં કાવ્યનો આભાસ જન્માવે એ નવીન પદવિન્યાસ નથી, નૂતન ઉન્મેષો નથી, છંદોલયના નવીનતમ પ્રયોગો કે અલંકારોની શોભા પણ નથી, ને પૂર્વસૂરિઓ પાસેથી મળેલા સંસ્કારો નવા રસમાં ઢળાઈને પણ રજૂ થયા નથી. કવિ પાસે ગંભીર-પ્રૌઢ ભાષા નથી, જે અભિધા-લક્ષણા-વ્યંજનાની કસોટીએ ખરી ઊતરે, ગુણવતી દેવોની ભાષા પણ નથી ને કાવ્યશાસ્ત્રની મધુર મુખરતા પણ નથી.
આમ, નથી-નથી કરતાં કવિ પોતાની કવિતાની ગંગોત્રી સુધી પહોંચે છે. એમની સખીના અહર્નિશ પ્રીત-ટહુકાઓનો જે અવાજ છે, એના કવિહૃદયમાં જે આર્દ્ર પડઘા ઊઠે છે એ જ છે એમની કવિતા…
કેવી અદભુત રચના!
Permalink
November 3, 2018 at 1:55 AM by વિવેક · Filed under વિવેક મનહર ટેલર, વિશ્વ-કવિતા, શર્મન એલેક્સી, સોનેટ
આવો, છે સ્વાગત હર કોઈનું હાઇ-સ્કૂલના અંતહીન
પુનર્મિલનમાં. ને સદા સ્વાગત છે જૂના મિત્રો ને
પ્રેમીજનોનું, હો ગમે તેવા ભલા કે ક્રૂર પણ.
ચાલો, તો અવમૂલ્યન કરો ને નાદુરસ્તી પણ કરો
આ આજની. શા માટે એ ધારી ના શકીએ આપણે
કે એકસરખા જિંદગીના સૌ તબક્કા હોય છે?
ખોદીએ, ચાલો તો, પુનઃ આરંભીએ, વિસ્તારીએ
એ બાળપણ. ચાલો રમીએ સાથે એ સઘળી રમત
જે વ્યસ્ત રાખે છે યુવાનોને. શરમ ને ખ્યાતિને
એકમેકમાં લપટાવા દો. ને થઈ જવા દો કો’કની
ઈશ્વરતલાશીને સરાજાહેર ડોમેન નેટ પર.
બનવા દો દેવળ.કોમને દેવળ ચલો, હરકોઈનું.
તો, કરીએ સાઇન અપ, ને સાઇન ઇન તથા એકરાર પણ
કરીએ ચલો, અહીંયા આ એકલતા તણી વેદી ઉપર.
– શર્મન એલેક્સી
(અનુ. વિવેક મનહર ટેલર)
ફેસબુક આપણને આજને ભૂલીને ગઈકાલમાં જીવતાં શીખવે છે. ફેસબુક જીવનના દરેક તબક્કે એકસરખી લાઇક્સ અને કોમેન્ટ્સ લઈને આવે છે. જીવનની દરેક પરિસ્થિતિમાં આપણે એની એ જ કી વાપરીને કામ કરતાં શીખી જઈએ છીએ. ફેસબુકના દરિયામાં લાગણીઓની ભરતી-ઓટ છે જ નહીં, કેમકે ફેસબુકનો દરિયો તો પથ્થરનો દરિયો છે. ભલે આનું નામ સોશિઅલ મીડિયા કેમ ન હોય, અહીં કશું જ સોશિઅલ નથી. આ તો માત્ર સમાજનો આભાસ છે. વધુમાં વધુ લોકો સુધી પહોંચવાની હોડમાં ને દોડમાં આપણે જાત સુધી પહોંચવાનું જ વિસરી ગયાં છીએ. #MeToo ના આરોપનો ભોગ બનેલા અમેરિકન કવિ શર્મન એલેક્સી ફેસબુકના સંદર્ભે સોશિઅલ મિડીયાના આક્રમણ સામે લાલ બત્તી ધરે છે…
પ્રસ્તુત રચનાના વિશદ આસ્વાદ માટે અહીં ક્લિક કરવા વિનંતી છે…
The Facebook Sonnet
Welcome to the endless high-school
Reunion. Welcome to past friends
And lovers, however kind or cruel.
Let’s undervalue and unmend
The present. Why can’t we pretend
Every stage of life is the same?
Let’s exhume, resume, and extend
Childhood. Let’s play all the games
That occupy the young. Let fame
And shame intertwine. Let one’s search
For God become public domain.
Let church.com become our church
Let’s sign up, sign in, and confess
Here at the altar of loneliness.
– Sherman Alexie
Permalink
November 1, 2018 at 12:30 AM by વિવેક · Filed under નિરંજન ભગત, સોનેટ
તારે પ્રાણે પુલકમય કૈં રાગિણી રમ્ય સૂરે
જાગી રહેતી, મધુર લયનો દોલ દૈ મંદ મંદ;
તાલે તાલે સ્વરપરશથી વિશ્વનો નૃત્યછંદ
ડોલી રહે ને પલ પલ કશો મુગ્ધ થૈ તાલ પૂરે!
મેં એમાંથી અધરસ્મિતનો શાંત પ્રચ્છન્ન સૂર
માગ્યો, જેથી સ્વરમધુર એ દોરમાં ગીતફૂલે
માળા ગૂંથું, ચિરજનમ જે તાહરે કંઠ ઝૂલે;
રે એ આશા ક્ષિતિજ સરખી રહૈ ગઈ દૂર દૂર!
મેં માગ્યું’તું અધરસ્મિત, તેં અશ્રુનું દાન દીધું;
તારે પ્રાણે મુજ હૃદયની માગણીને જડી દૈ,
થંભી તારી શત શત કશી રાગિણી, તું રડી ગૈ!
હું શું જાણું પ્રિય, પ્રણયનું એમ તેં ગાન કીધું!
રે તારું એ અરવ સરતું અશ્રુનું એક બિન્દુ
જાતે સપ્ત સ્વરે શું છલછલ પ્રણયોન્માદનો મત્ત સિન્ધુ!
– નિરંજન ભગત
રવીન્દ્રનાથની ગીતાંજલિમાંથી પસાર થતા હોવાની અનુભૂતિ આ સૉનેટ વાંચતા થયા વિના રહેતી નથી. સહવાસના સંગીતની પરાકાષ્ઠાની વાત છે. પ્રિયપાત્રના સ્મિતને ગીતમાં ઢાળવા માંગતા પ્રિયજનને સ્મિતના સ્થાને સામેથી અશ્રુ પ્રાપ્ત થાય છે ત્યારે પહેલાં તો પ્રિયજન વિમાસણમાં પડે છે પણ પછી એને તરત જ સમજાય છે કે આ અશ્રુ એ પ્રણયની ચરમસીમા છે. આ એક બિંદુમાં પ્રણયોન્માદનો મત્ત સિંધુ ભર્યો પડ્યો છે…
આખું સૉનેટ શિખરિણીમાં લખીને આખરી પંક્તિ સ્ત્રગ્ધરા છંદમાં લખીને કવિ પ્રિયાના અશ્રુની માળાને જરા અલગ તારવી આપે છે એની પણ એક મજા છે.
(પુલકમય=પુલકિત, રોમાંચિત, દોલ=હિંચકો, સ્વરપરશથી=સ્વરના સ્પર્શથી)
Permalink
September 8, 2018 at 2:32 AM by વિવેક · Filed under ભગવતીકુમાર શર્મા, સોનેટ
(પૃથ્વી)
મને જ હતી જાણ ક્યાં મુજ પતાળ શા અંતરે
અગાધ, તટહીન કો’ જલધિ જેટલો પ્રેમ છે
નિતાન્ત ખડકાયલો, ગુપત જાહ્નવીના રૂપે
હતી ફકત તું જ તું સુભગ મધ્યબિંદુ સમી?!
સુદીર્ઘ સહજીવને સરજી દીધી’તી શુષ્કતા;
બધું નીરસ લાગતું સઘન સંનિધિ કારણે;
યથાસ્થિતિ હતી બહુ, ખૂટતી લાગતી હૂંફ યે;
હતી સફર ચાલતી અલગ રેલ-પાટા સમી.
કરાલ કર ત્રાટક્યો મરણનો અરે! તું પરે
અને બધુંય મૂળથી હચમચી ઊઠ્યું સામટું;
ગયું પડ ચિરાઈ ને ધસમસી રહી જાહ્નવી
અદમ્ય હૃદયોર્મિથી સકળ આર્દ્ર ને પ્રાંજલ!
પ્રણામ શત મૃત્યુ હે! ઋણસ્વીકાર તારો કરું;
મને પ્રબળ પ્રેમની પ્રતીતિ પ્રાપ્ત તારા થકી!
– ભગવતીકુમાર શર્મા
દીર્ઘદામ્પત્યજીવનના અંતે પત્ની જ્યારે જીવનસફરમાં અધવચ્ચે એકલા મૂકીને ચાલ્યા ગયા ત્યારે કવિએ દામ્પત્યજીવનની ખટમીઠી યાદો, મૃત્યુ અને મૃત્યુએ સર્જેલા શૂન્યાવકાશ વિશે સૉનેટ લખવા આદર્યા અને એક આખો સરસ મજાનો સૉનેટસંગ્રહ આપણને આપ્યો. આ સૉનેટ પણ એમાનું જ એક છે.
સાથે રહેતાં હોઈએ ત્યારે હૈયામાં બીજા પાત્ર માટે કેટલો પ્રેમ છે એનો ખ્યાલ જ આવતો નથી. ગંગા જે રીતે ગુપ્ત હતી એમ જ એ પ્રેમ આપણાથી ગુપ્ત રહે છે. લાંબા સહવાસના કારણે બધું શુષ્ક અને નીરસ લાગવા માંડે છે અને પરસ્પર માટેની હૂંફમાં પણ ઓટ આવી અનુભવાય છે. સાથે તોય અલગ એવી રેલવેના પાટાની જેમ સફર ચાલ્યા કરતી હોય એવામાં મૃત્યુનો ઘાતકી હાથ ત્રાટકે અને જોડી ખંડિત થાય એ ઘડીએ જ પેલી ગુપ્ત રહેલી ગંગા પૂરજોશથી પ્રગટ થાય છે અને પ્રિયજન માટે ભીતર અગાધ, તટહીન સાગર જેવો પ્રેમ હતો એ વાતનો અહેસાસ થાય છે. પોતાને આવો અહેસાસ કરાવવા માટે કવિ મૃત્યુને પ્રણામ કરે છે અને એનો ઋણસ્વીકાર કરે છે… સૉનેટને એક નવી જ ઊંચાઈ પ્રાપ્ત થાય છે.
Permalink
May 28, 2018 at 12:30 AM by તીર્થેશ · Filed under ચિનુ મોદી, સોનેટ
મને તું બાંધે છે જડ જગતના નિત્ય નિયમે?
મને? મારો આપું પરિચય તને? હું પવન છું;
વહું છું સ્વેચ્છાએ અલસ અથવા તીવ્ર ગતિથી
પછાડું વર્ષોનાં ખખડધજ વૃક્ષો પલકમાં
અને એનો એ હું કુસુમરજ વ્હેચું વન વિશે.
તને આપું મારો પરિચય હજી? હું સમય છું,
ક્ષણોનો સ્વામી છું, સતત સરકું છું અખિલ આ
રચેલા બ્રહ્માંડે; સઘન બનતું શૂન્ય જગનું
ઉલેચું એથી તો પ્રલયકર વિસ્ફોટ અટકે.
હજી તારી આંખે કુતૂહલ વસે? તો સમજ કે
ધરા ને આકાશે, ગહનતમ પાતાળતળમાં
વહી છાનો છાનો ધ્વનિત બળતો હું લય; સખી.
છટાથી આ વાયુ-સમય-લયને એક કરતો
ત્રિકાલે બ્રહ્માંડે, મુખરિત થતો શબ્દ કવિનો.
– ચિનુ મોદી
સૌ ભાવકોને વિનંતી કે સોનૅટ માટેનો અણગમો છોડીને આ સોનૅટ મમળાવે…..તમામ રીતે સુંદર એવું આ સોનૅટ એક પ્રખર સત્ય ગાય છે…..’ to be or not to be that is the question’ – આવા કવિશબ્દો કાળ સાથે નાશવંત હોતા નથી……
Permalink
April 28, 2018 at 12:30 AM by વિવેક · Filed under જોસેફ બ્લેન્કો વાઇટ, વિવેક મનહર ટેલર, વિશ્વ-કવિતા, સોનેટ
ગેબી રાત્રિ! પ્રથમ જનકે જાણ્યું’તું જે ઘડીએ
તારા વિશે પ્રથમ જ અને નામ સુણ્યું હશે જ્યાં
કાંપી ઊઠ્યો શું નહિ જ હશે દૃશ્ય એ નીરખી આ-
ભવ્યાતિભવ્ય છત અજવાળી અને આસમાની?
તોયે લો! ઝાકળ યવનિકા પારભાસી તળેથી,
ન્હાઈધોઈ ઢળકત મહા જ્યોતિના કિરણોમાં,
સ્વર્ગેથી લશ્કર સહિત જ્યાં આવતો શુક્ર તારો
ને દેખો! સર્જન મનુજની દૃષ્ટિમાં વિસ્તર્યું ત્યાં
વિચારી શું શકત કદીયે કોઈ, ઓ સૂર્ય! કેવું
છૂપાયું છે તિમિર કિરણોમાં, અને જંતુ, માખી,
પર્ણો છે દૃષ્ટિ મહીં પણ તેં અંધ કીધા અમોને
કેવા આવા અગણિત ગ્રહો રત્નની હાજરીથી!
શા માટે તો ઝઘડવું ઘટે મૃત્યુ સાથે કહો તો?
ધોખો શાને જીવન ન કરે, તેજ જો છેતરે તો?
– જોસેફ બ્લેન્કો વાઇટ
(અનુ. વિવેક મનહર ટેલર)
જેમ દિવસના ભરઅજવાળામાં પણ આકાશમાં તારાઓનું અસ્તિત્વ છે જ, બરાબર એ જ રીતે જીવનના અજવાળાના કારણે ભલે આપણે જોઈ શકતા નથી પણ મૃત્યુ તો છે જ. મૃત્યુ ચોવીસ કલાક આપણી સાથે ને સાથે જ છે, માત્ર જિંદગીનું તેજ આપણી આંખોને એવી આંજી દે છે કે આખર સુધી આપણે એને જોઈ જ શકતા નથી.
ક્યારેક કળાકારની કોઈ એક જ કૃતિ એના તમામ સર્જન ઉપર હાવી થઈ જતી હોય છે. આ સૉનેટને પણ આનું ઉત્તમ ઉદાહરણ ગણી શકાય. આ સૉનેટનો મધ્યવર્તી વિચાર એના સર્જકના ખુદના જીવનમાં જ સિદ્ધ થયેલો જોવા મળે છે. જે રીતે જોસેફ બ્લેન્કો વાઇટના આ સૉનેટમાં સૂર્ય પોતાના તેજના ઓછાયામાં રાતના અંધારા અને એ અંધારામાં ઉપસ્થિત અગણ્ય ગ્રહ-તારકોને આપણી આંખથી છૂપાવી દે છે, એ જ રીતે આ સૉનેટના પ્રકાશમાં વાઇટનું બાકીનું તમામ સર્જન ભાવકોની આંખથી છૂપાઈ ગયું.
Night and death
Mysterious Night! when our first parent knew
Thee, from report divine, and heard thy name,
Did he not tremble for this lovely Frame,
This glorious canopy of Light and Blue?
Yet ‘neath a curtain of translucent dew,
Bathed in the rays of the great setting Flame,
Hesperus with the host of heaven came,
And lo! Creation widened in man’s view.
Who could have thought such Darkness lay concealed
Within thy beams, O Sun! or who could find,
Whilst fly, and leaf, and insect stood revealed,
That to such countless Orbs thou mad’st us blind!
Why do we then shun death with anxious strife?
If Light can thus deceive, wherefore not Life?
– Joseph Blanco White
Permalink
April 27, 2018 at 12:30 AM by વિવેક · Filed under દિનેશ મોદી, સોનેટ
(પૃથ્વી)
મકાન, ઘર, માણસો સકલ નષ્ટ સૃષ્ટિ જ્યમ!
ભૂકંપ! કશું સ્થિર ના; હલબલે સ્વયં જ્યાં ક્ષણો!
દીસે પ્રકૃતિ-રાજ્ઞી પૂર્ણ-જયી, માનવી પામર-
મહાત? કદી જીતશે મનુજ ઈશ-પ્રકૃતિને?
ભૂકંપ, કરી પૂર્ણ ધ્વંસ, જયી-હાસ્ય સાથે જહીં
દીસે પૂછંત, ‘…કોઈ વા કશું રહ્યું નથી ને બાકી…?!’
– તહીં અકળ અસ્થિરે સ્થિર કશુંક ભાળું જહીં
વિનાશ-તિમિરે રહ્યું ચમકી- કૈં ન જાણે પડી:
પરોપકૃતિ, માણસાઈ, કરુણા અહીં વર્ષતાં!
સહાનુભૂતિ ને ઉદાર-સહકાર રેલાય હ્યાં…
-અહો! અકળ, સર્વશક્ત જ ભૂકંપ છો વ્યાપક-
અબાધિત જ ધ્વંસ-શક્તિ પર આટલો અંકુશ!
ધરા-પ્રકૃતિ ના શકે ધ્રુજવી ભાવના શુભ, તો
અજેય બસ! માનવી; પ્રકૃતિ વિજયી પૂર્ણ ના…
– દિનેશ મોદી
પ્રકૃતિની વિનાશક તાકાત સામે મનુષ્યની હેસિયત શું? ભૂકંપનો એક આંચકો આવે એટલે ઘર-બાર, ઝાડ-પાન, માણસો- બધું જ ધૂળમાં મળી જાય. શું મનુષ્ય કદી ઈશ્વરને, પ્રકૃતિને જીતી શકવા સમર્થ થશે ખરો? પહેલાં ષટકમાં આ પ્રશ્ન ઊભો કરી કવિ બીજા ષટકમાં મનુષ્યમાં રહેલા પરોપકાર, માણસાઈ, કરુણા જેવા સદગુણોની વાત કરે છે, જેને પ્રકૃતિના કોઈ પરિબળ મિટાવી શકતાં નથી. પ્રકૃતિ મનુષ્યની શુભ ભાવનાને ધ્રુજાવી પણ શકતી નથી એ અર્થમાં માનવી અજેય છે અને પ્રકૃતિ પૂર્ણ વિજયી નથી જ નથી…
સૉનેટની પારંપારિક ભારઝલ્લી ગુજરાતી ભાષા અને બિનજરૂરી વિરામચિહ્નોની ભરમાર કવિતાની ગતિમાં ખલેલ પહોંચાડે છે એ ટાળી શકાયું હોત તો કૃતિ વધુ આસ્વાદ્ય બની શકી હોત.
Permalink
February 1, 2018 at 12:30 AM by વિવેક · Filed under ભાનુપ્રસાદ પંડ્યા, સોનેટ
(દોહરા) (લૌકિક દૃશ્ય)
કિરણ સમેટી સામટાં નિજ આથમણે કોર,
સૂરજ દેવ પધારતા સાંજ ઢળે ચોમેર.
રથ થંભાવી આંગણે છોડે ઘોડા સાત,
મુગટ ઉતારે મોજડી સતીને પાડે સાદ-
‘ઘરમાં કોઈ છે કે નહીં? શબ્દ નહીં સત્કાર?
અમ આવ્યા દન આથડી અંગે થાક અપાર.’
મલકી વીજ સરીખડું આવી ઉંબર બહાર,
તો તનડે ખીલી ઊઠે રોમે ફૂલ હજાર.
‘ઉતાવળી આવી લીયો આવો જગ આધાર!
વાળુના ઘડું રોટલા એમાં લાગી વાર.’
આંગળ ભાત્યે ઓપતો હતો રોટલો હાથ,
રન્નાદે ફૂલશું હસી રહે નીરખી નાથ.
‘ઊભાં રહેજો બે ઘડી સખી આમને આમ,
આ રૂપ આગળ રાજવણ તૃણ સમ રૂપ તમામ’
– ભાનુપ્રસાદ પંડ્યા
ચોમેર સાંજ ઢળે અને સૂરજ દેવ કિરણો સમેટી લઈને પોતાના ઘરે આવે, રથ થંભાવે, સાતે ઘોડા છૂટાં કરે, માથેથી મુગટ ને પગેથી મોજડી ઉતારે પણ સત્કાર માટે કોઈ નજરે ન ચડે એટલે પુરુષસહજ અધિકારથી બૂમ પાડે કે આખો દિવસ આથડી-થાકીને આવ્યો છું તે કોઈ આવકારો આપવા આવશે કે નહીં? રોટલા ઘડવામાં વ્યસ્ત હતી એટલે વાર લાગી એવો ખુલાસો કરતાં કરતાં, હાથમાં આંગળાની છાપ પડવાથી શોભતો રોટલો પકડીને પત્ની રન્નાદે વીજળી જેવું સ્મિત વેરતાં ઉંબર બહાર આવી ઊભે છે. સૂર્યદેવ ચિત થઈ જાય છે. કહે છે, બે ઘડી આમ જ ઊભાં રહેજો. આ રૂપની આગળ તો સમસ્ત સંસારનું રૂપ તણખલાં ભાર છે…
દેવોની ગૃહસ્થીની કેવી મજાની કલ્પના! પણ કાવ્યસૌંદર્ય અને કવિકળાની અડખેપડખે જ પુરુષપ્રધાન સમાજ અને પુરુષકવિની માનસિકતા પણ કેવી સાફ નજરે ચડે છે! દેવી-દેવતાઓના સર્જનહાર, શાસ્ત્રોના રચયિતા, મહાકાવ્યોના સર્જકો પણ પુરુષો જ એટલે એમનું વર્તન પણ એ જ રીતનું… હા, “ઊભા”ના માથે માનાર્થે અનુસ્વાર મૂકીને “ઊભાં” કહી સૂરજદેવ રન્નાદેને માન આપે છે એટલું આશ્વાસન લેવું રહ્યું…
Permalink
January 20, 2018 at 12:30 AM by વિવેક · Filed under એમા લેઝારસ, વિવેક મનહર ટેલર, વિશ્વ-કવિતા, સોનેટ


ના, ના, એ પિત્તળ દૈત્યની માકફ નહીં ગ્રીક ગાથાના,
જે ભૂમિથી ભૂમિ પલાણી ઊભો વિજયી પગ લઈ,
અહીં આપણા સૂર્યાસ્તી સાગર-ધોયા દ્વારે ઊભશે
એક શક્તિશાળી સ્ત્રી મશાલ એક લઈ, કે જેની જ્યોતમાં
છે કેદ વીજળી, ને છે નિર્વાસિતોની મા એનું નામ.
ને એના દીવાદાંડી જેવા હાથથી ચમકી રહ્યો
એક વિશ્વવ્યાપી આવકારો; નમ્ર આંખો દે હુકમ
એ જોડિયા શહેરો વચેના વાયુ-જોડ્યા બારાંને,
“રાખો, પુરાતન નગરો, ગાથા ભવ્ય તમ!” ચિત્કારતી
એ બંધ હોઠે. “દો મને થાક્યા, ગરીબો આપના,
ને ભીડ જે મુક્તિના શ્વાસો ઝંખતી, આપો મને,
મનહૂસ કચરો આપના છલકાતા કાંઠાનોય દો.
ઘરહીન, આંધી-પીડ્યા, સૌને મોકલો મારી કને,
હું દીપ લઈ ઊભી છું સ્વર્ણિમ બારણાંની બાજુમાં!”
– એમા લેઝારસ
(અનુ. વિવેક મનહર ટેલર)
*
ચૌદ પંક્તિની એક નાની અમથી કવિતા ક્યારેક વિશ્વની અજાયબીઓમાંની એક ગણાતી ત્રીસ માળ ઊંચી પ્રતિમાનો આખેઆખો સંદર્ભ જ બદલી નાંખે એ શક્ય ખરું? પહેલી નજરે તો અશક્ય જ લાગે પણ અમેરિકાના ન્યૂયૉર્ક બંદર પર હાથમાં મશાલ લઈને ૧૮૮૬ની સાલથી ખડે પગે ઊભી રહેલ ૩૦૫ ફૂટ ઊંચી લોહ-તાંબાની પ્રતિમા ‘સ્ટેચ્યૂ ઑફ લિબર્ટી’નો આખેઆખો મતલબ એક કવિતાએ બદલી નાંખ્યો. પ્રતિમા ભેટ આપનાર અને લેનાર બંને માટે આ પ્રતિમા ‘આઝાદી’ અને ‘આંતરરાષ્ટ્રીય પ્રજાસત્તાકવાદ’ની અર્થચ્છાયા ધરાવતી હતી પણ અહીં પ્રસ્તુત એમા લેઝારસના સૉનેટ અને એમાં આવતી પંક્તિ – Mother of Exiles: નિર્વાસિતોની મા-એ લેડી લિબર્ટીના હોવાનો સમુચો અર્થ જ બદલી નાંખ્યો. લિબર્ટી સદૈવ આવકારો આપતી મા બની ગઈ દુનિયાભરના નિર્વાસિતો માટે, એક આશાનું કિરણ બની ગઈ તમામ તરછોડાયેલાઓ માટે…
રચનાનું શીર્ષક ‘ધ ન્યૂ કોલોસસ’ અને પ્રથમ બે પંક્તિ ગ્રીક ઇતિહાસ સાથે આપણું અનુસંધાન કરે છે. ઈ.પૂ. ૨૮૦માં કેરીઝ ઑફ લિન્ડોસે (Chares of Lindos) ગ્રીક સૂર્યદેવતા હેલિઓઝની લગભગ ૧૦૮ ફૂટ ઊંચી કાંસાની પ્રતિમા ગ્રીસના રહોડ્સ ટાપુ પર બનાવી હતી. આ પ્રતિમા ‘કોલોસસ ઑફ રહોડ્સ’ તરીકે જાણીતી થઈ. એ પ્રતિમા વિજયનો ગર્વટંકાર હતી, આ પ્રતિમા પ્રેમનો વિશ્વાવકાર છે…
આજે જ્યારે એકતરફ અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકા આવવા ઇચ્છતા પરદેશીઓ માટેના વિઝાના કાયદાઓ વધુને વધુ કડક બનાવી રહ્યા છે, અને બીજી તરફ અમેરિકામાં વર્ષોથી સ્થાયી નિર્વાસિતોના નિષ્કાસિત થવાનો ડર તલવારની માફક માથે તોળી રહ્યા છે ત્યારે ‘વિશ્વવ્યાપી આવકાર’ની વાત કરતી એમા લેઝારસની આ કવિતા અને એમાંની ‘નિર્વાસિતોની મા’ વધુને વધુ પ્રસંગોચિત અને અર્થપૂર્ણ બની ગયાં છે.
*
The New Colossus
Not like the brazen giant of Greek fame,
With conquering limbs astride from land to land;
Here at our sea-washed, sunset gates shall stand
A mighty woman with a torch, whose flame
Is the imprisoned lightning, and her name
Mother of Exiles. From her beacon-hand
Glows world-wide welcome; her mild eyes command
The air-bridged harbor that twin cities frame.
“Keep, ancient lands, your storied pomp!” cries she
With silent lips. “Give me your tired, your poor,
Your huddled masses yearning to breathe free,
The wretched refuse of your teeming shore.
Send these, the homeless, tempest-tossed to me,
I lift my lamp beside the golden door!”
– Emma Lazarus

Permalink
October 28, 2017 at 12:30 AM by વિવેક · Filed under વિલિઅમ શેક્સપિઅર, વિવેક મનહર ટેલર, વિશ્વ-કવિતા, સોનેટ
કહે, ઉનાળાનો દિવસ તુજને કેમ કહું હું?
વધુ છે તું એથી પ્રિય, અધિક ઉષ્માસભર છે:
ઉનાળુ ફૂલો ને પવન વસમો, કેમ બચવું?,
વળી ઉનાળોયે દિન ગણતરીના જ ટકશે:
કદી આકાશી નેણ વધુ પડતા તેજ બનતા,
કદી આ કાંતિયે કનકવરણી ઝાંખી પડતી;
અને રૂપાળાના સમય વીતતા રૂપ વીતતા,
અકસ્માતે યા તો કુદરત તણા કાળક્રમથી;
ઉનાળો તારો આ કદી નહિ વીતે, શાશ્વત હશે
અને કોઈ કાળે વિલીન ન થશે રૂપ તવ આ,
ન ખોંખારે મૃત્યુ: અવગત જઈ તું ફરી રહે
તું જ્યારે જીવે છે અજર-અમરા આ કવનમાં:
શ્વસે છે જ્યાં સુધી મનુષ અથવા આંખ નીરખે,
જીવે ત્યાં સુધી આ, જીવન ધરશે એ જ તુજને.
-વિલિયમ શેક્સપિઅર
(અનુ.: વિવેક મનહર ટેલર)
*
ઋતુ ક્ષણિક છે, ઋતુના રૂપ ક્ષણભંગુર છે; સૌંદર્ય ક્ષણિક છે, સૌંદર્યની અદાઓ ક્ષણભંગુર છે પણ અ-ક્ષર અવિનાશી છે. કળા સમયાતીત છે અને શબ્દમાં કંડારાયેલ શિલ્પ શાશ્વત-સનાતન બની રહે છે. હિપોક્રેટ્સ યાદ આવે: Ars Longa Vita Brevis (જીવન ટૂંકું છે, કળા શાશ્વત છે). શેક્સપિઅર પણ આવી જ કંઈ વાત પ્રસ્તુત સૉનેટમાં લઈ આવ્યા છે. આખરે, કવિતાથી ચડિયાતી સંજીવની બીજી કઈ હોઈ શકે?
પહેલા ૧૭ સૉનેટ પ્રજોત્પાદન સૉનેટ (Procreation Sonnets) તરીકે ઓળખાય છે. ૧૯મા સૉનેટથી સમય કેન્દ્રવર્તી સ્થાન લે છે. એમ કહી શકાય કે આ અઢારમું સૉનેટ આ બે વચ્ચેનું સંક્રમણ-સૉનેટ છે કેમકે ૧૫થી ૧૭મા સૉનેટમાં જીવનને શાશ્વત બનાવવાની મથામણ અને કાવ્યામૃતની વાતો છે અને ૧૯મા સૉનેટમાં પણ સમય અને ઘડપણને કવિતાની મદદથી પડકાર અપાતો જોવા મળે છે. કવિતા દ્વારા અમરત્વનો શેક્સપિઅરનો વિચાર જે આગળના સૉનેટ્સમાં ઢીલોપોચો દેખાય છે, એ અહીં આત્મવિશ્વાસની ટોચે પહોંચેલો નજરે ચડે છે.
*
Sonnet 18
Shall I compare thee to a summer’s day?
Thou art more lovely and more temperate:
Rough winds do shake the darling buds of May,
And summer’s lease hath all too short a date:
Sometime too hot the eye of heaven shines,
And often is his gold complexion dimm’d;
And every fair from fair sometime declines,
By chance or nature’s changing course untrimm’d;
But thy eternal summer shall not fade
Nor lose possession of that fair thou owest;
Nor shall Death brag thou wander’st in his shade,
When in eternal lines to time thou growest:
So long as men can breathe or eyes can see,
So long lives this and this gives life to thee.
– William Shakespeare
Permalink
October 7, 2017 at 12:30 AM by વિવેક · Filed under પર્સી બિશ શેલી, વિવેક મનહર ટેલર, વિશ્વ-કવિતા, સોનેટ
(શિખરિણી)
હું મળ્યો’તો પુરાતન મલકના એ પથિકને,
કહ્યું જેણે – “મોટા ધડહીન પગો બે, ખડકના
મરુમાં ઊભા છે… નિકટ રણમાં ત્યાં જ પડ્યું છે
તૂટ્યું માથું, અર્ધું ગરક રણમાં, તેવર તીખાં
અને વંકાયેલા અધર, ક્રૂર આદેશની હંસી,
કહે છે શિલ્પીએ અદલ જ ગ્રહ્યા ભાવ સહુ, જે
હજીયે બચ્યાં આ જડ ચીજ પરે અંકિત થઈ,
ટીકા સૌની જે હાથ થકી કરી ને પોષણ કર્યું
દિલે જે; ને કુંભી પર લિખિત છે ત્યાં શબદ આ:
મહારાજા છું, ઓઝિમનડિસ છે નામ મુજ, ને
જુઓ મારા કાર્યો, સબળ જન, થાઓ સહુ દુઃખી!
– હવે આજે મોટા ક્ષયગ્રસિત ભંગારથી વધુ
ન બીજું બચ્યું કૈં, નજર ફરકે ત્યાં લગ બધે
અટૂલી રેતી છે, સમથળ, ઉઘાડી, અસીમ ત્યાં.”
– પર્સી બિશ શેલી
(અનુ.: વિવેક મનહર ટેલર)
સમયનું બુલડોઝર જિંદગીના રસ્તા પર સતત ફરતું રહે છે અને બધા જ ખાડા-ટેકરાને સમથળ બનાવતું રહે છે. સનયથી મોટો અને સાચો વિવેચક ન કોઈ થયો છે, ન થશે. સમયનો ન્યાય રાજા-રંક બંનેને ત્રાજવાના એક જ પલ્લામાં ઊભા કરી દે છે. સમયની આ અસીમ શક્તિ અને મનુષ્યના મિથ્યાભિમાનની ક્ષણભંગુરતા ૨૯ વર્ષની નાની વયે ગુડબાય કહી જનાર અમર મહાન બ્રિટિશ ગીતકવિ શેલીની પ્રસ્તુત રચનામાં બખૂબી ઉપસી આવે છે.
ઓઝિમન્ડિસ (અંગ્રેજી ઉચ્ચાર ઓઝિમન્ડિયાસ) લગભગ ૩૩૦૦ વર્ષ પહેલાં (ઈ.પૂ. ૧૩૦૦) જન્મેલ રેમસિઝ બીજાનું ગ્રીક નામ છે. ઓઝિમન્ડિસ ઇજિપ્તની ગાદી પર આરુઢ થયેલો સૌથી વધુ શક્તિશાળી ફેરો હતો અને સૌથી લાંબા સમય સુધી શાસક રહ્યો. સવાત્રણ હજાર વર્ષ પહેલાં એણે લગભગ છ માળ ઊંચું ૫૭ ફૂટનું પૂતળું બનાવડાવ્યું હતું. એના વિશાળકાય પૂતળા નીચે કુંભી પર આ લખાણ હતું: ‘રાજાઓનો રાજા છું હું, ઓઝિમન્ડિસ. જે કોઈપણ એ જાણે કે હું કેટલો મહાન હતો અને ક્યાં સૂતો છું, એને મારા કાર્યોમાંથી એકને વટી જવા દો.’
૧૯૧૭માં લંડનના બ્રિટિશ મ્યુઝિયમ દ્વારા ઇ.પૂ. ૧૩મી સદીનું રેમસિઝ બીજાનું જંગી પૂતળું (જે ૧૯૨૧માં લંડન પહોંચ્યું) પ્રાપ્ત કરાયું હોવાના સમાચારે આ રચના માટે પ્રેરણા આપી હોવાનું મનાય છે. મિત્ર હોરાસ સ્મિથ સાથેની સ્પર્ધામાં શેલીએ આ સૉનેટ લખ્યું હતું. સ્મિથે પણ આજ શીર્ષકથી સૉનેટ લખ્યું છે. શેલીનું સૉનેટ ‘I’ (હું)થી શરૂ થાય છે એ પણ સૂચક છે. ’ સમયની છીણીથી ભગ્નાવશેષ બની ગયેલ ઓઝિમન્ડિસનું તૂટેલું પૂતળું પણ શેલીના સૉનેટમાં ખૂબસૂરત, અ-ક્ષત, અ-મર બની ગયું છે. કળા સિવાય બાકી બધાને સમય ઇતિહાસ બનાવી દે છે.
Ozymandias
I met a traveller from an antique land,
Who said—“Two vast and trunkless legs of stone
Stand in the desert. . . . Near them, on the sand,
Half sunk a shattered visage lies, whose frown,
And wrinkled lip, and sneer of cold command,
Tell that its sculptor well those passions read
Which yet survive, stamped on these lifeless things,
The hand that mocked them, and the heart that fed;
And on the pedestal, these words appear:
My name is Ozymandias, King of Kings;
Look on my Works, ye Mighty, and despair!
Nothing beside remains. Round the decay
Of that colossal Wreck, boundless and bare
The lone and level sands stretch far away.”
– Percy Bysshe Shelley
Permalink
September 9, 2017 at 1:30 AM by વિવેક · Filed under જોન કિટ્સ, વિવેક મનહર ટેલર, વિશ્વ-કવિતા, સોનેટ
(શિખરિણી)
પ્રવાસો કીધા છે કનકવરણા દેશ બહુના,
અને જોયા છે મેં મુલક બહુ ને રાજ્ય ઉમદા;
ફર્યો છું પશ્ચિમી અગણિત નવા ટાપુ ફરતે,
ગણી એપોલોના કવિગણ વખાણે જે સહુને.
ઘણું સુણ્યું છે એક વિશદ જગાના વિષયમાં,
મહાજ્ઞાની હોમર ખુદનું ગણી જ્યાં રાજ કરતા;
છતાં એનો સાચો મરમ ન જડ્યો એ ક્ષણ સુધી
નહીં ચેપ્મેને જ્યાં લગ કહ્યું ઊંચા સાફ સ્વરથી:
અનુભવ્યું મેં એ નભ નિરખતા પ્રેક્ષક સમું
તરી આવે જેની નજર પરિધિમાં ગ્રહ નવો;
ગરુડી આંખોથી થિર નજર કોર્ટેઝ બળુકો
નિહાળે પેસિફિક સ્થિર થઈ – ને લશ્કર બધું
જુએ અન્યોન્યોને અટકળ ભરેલી નજરથી –
રહીને મૂંગો, ટોચ ઉપરથી એ ડેરિયનની.
– જોન કીટ્સ
(અનુ. વિવેક મનહર ટેલર)
*
મહાકવિ હૉમરના બે મહાકાવ્યો -ઑડિસી અને ઇલિયાડ-નો જ્યૉર્જ ચેપ્મેને કરેલો સાછંદ પદ્યાનુવાદ કિટ્સના વાંચવામાં આવ્યો. કોઈ બહુ મોટી શોધ કે જીત હાંસિલ કરી હોય ત્યારે જે ‘પ્રથમ’ની ઉત્તેજના અનુભવાય એવી જ ઉત્તેજના હૉમરના ગોપિત રહસ્યો, કાવ્યકલાની બારીકી નજર સામે આવી ત્યારે હર્ષાવેશમાં કિટ્સે આ સૉનેટ રચ્યું. ચેપ્મેનનો હોમર વાંચતા જ અંધારા આકાશમાં જાણે મધ્યાહ્નનું ઝળાંહળાં તેજ રેલાઈ ઊઠ્યું. સૂર્યમાળાના અગોચર રહસ્ય કે પૃથ્વી પરના અદીઠ પ્રદેશોની હકીકતની જેમ જ હોમરની કવિતાઓમાંનો ગુહ્ય સાર ચેપ્મેનના અનુવાદના દૂરબીનથી કિટ્સની નજરે પહેલવહેલીવાર ચડે છે એ ઉત્તેજનાને કવિએ સફળતાપૂર્વક આલેખી છે.
કોર્ટેઝે સોળમી સદીમાં મેક્સિકો જીત્યું હતું અને બાલ્બોઆએ એની ચઢાઈ દરમિયાન પનામાના ડેરિયન પર્વત પરથી પહેલવહેલીવાર પેસિફિક ઓસન (પ્રશાંત મહાસાગર) જોયો હતો. પણ સોનેટમાં ઉત્તેજનાસભર ઐતિહાસિક શોધનો ઉલ્લેખ કરવાની લ્હાયમાં કિટ્સે બાલ્બોઆની જગ્યાએ કોર્ટેઝને પેસિફિકની શોધ કરી પોરસાતો બતાવ્યો છે. ૧૭૮૧માં સર વિલિયમ હર્શેલે સૂર્યમાળાનો સાતમો ગ્રહ યુરેનસ શોધ્યો હતો. એ વાત પણ કિટ્સે સૉનેટમાં બખૂબી વણી લીધી છે.
*
On First Looking into Chapman’s Homer
Much have I travell’d in the realms of gold,
And many goodly states and kingdoms seen;
Round many western islands have I been
Which bards in fealty to Apollo hold.
Oft of one wide expanse had I been told
That deep-brow’d Homer ruled as his demesne;
Yet did I never breathe its pure serene
Till I heard Chapman speak out loud and bold:
Then felt I like some watcher of the skies
When a new planet swims into his ken;
Or like stout Cortez when with eagle eyes
He star’d at the Pacific—and all his men
Look’d at each other with a wild surmise—
Silent, upon a peak in Darien.
– John Keats
Permalink
March 24, 2017 at 12:30 AM by વિવેક · Filed under ઈર્શાદગઢ, ચિનુ મોદી, સોનેટ

હવેલી સૂની છે, ખખડધજ છે, જીર્ણ પણ છે
હજી સન્નાટાની હરફર; હજી એક જણ છે
અને એ છે એથી પવન સરખો શ્વાસ પણ છે
અને રોજે રોજે વિકસિત થતું એક રણ છે.
હજી ઊના ઊના રવિકિરણથી તપ્ત કણમાં
તરંગાતાં લ્હેરે મૃગજળ અહીં નેત્ર છળતાં
બધા જૂના ચ્હેરા અવિરત હજી ચિત્ત મઢતા
પ્રસંગે બોલાયા સ્વર, બધિર કાને ખખડતા.
ખવીસે પાળેલા જડભરત એકાંત સરખું
ભલે ભુરાટેલું અણસમજ એ હિંસક પશુ
ધસે ભીંટો ત્યારે ભરભર ભૂકો થાય પળમાં
હવેલી જૂની છો કણ કણ વિખેરાય…
ભલે તોડીફોડી કણ કણ કરે કાળ તદપિ
હવેલી હીંચે છે વયવગરના વૃદ્ધ મનમાં.
– ચિનુ મોદી
સાંપ્રત સમયમાં ચિનુ મોદીએ નાનાવિધ કવ્યપ્રકારોમાં જેટલું ખેડાણ કર્યું છે એટલું ભાગ્યે જ કોઈ કવિએ કર્યું હશે. કવિ ઉત્તમ સૉનેટકવિ પણ ખરા. પ્રસ્તુત સૉનેટ કવિના પ્રિય શિખરિણીમાં જ આલેખાયું છે. દીકરાઓ ત્યજીને ચાલ્યા જાય પછી ગામની સૂની હવેલીમાં માત્ર સન્નાટાની હરફર છે, બરાબર એ જ રીતે જેમ વૃદ્ધના ખખડધજ શરીરમાં શ્વાસની છે. હવેલીની અંદર સતત રણ વિકસતું રહે છે. કાન બહેરાં થઈ ગયાં છે પણ ભૂતકાળનાં પ્રસંગો હજી અકબંધ સંભળાય છે. હિંસક એકાંત ભૂરાયું થાય ત્યારે જૂની હવેલીના કણ કણ વિખેરાઈ જાય છે. ભલે કાળની હથોડી હવેલીના કાંગરા રોજ-રોજ કેમ ન ખેરવતી જતી હોય, વૃદ્ધના મનમાં હવેલીનું વય વગરનું એ જ ઐશ્વર્ય સદાબહાર અકબંધ છે, હતું ને રહેવાનું… સમય ભલે ભલભલાંનો કળિયો કેમ ન કરી જાય, સ્મરણ કાળાતીત છે, ટાઇમપ્રુફ છે.
Permalink
February 11, 2017 at 1:27 AM by વિવેક · Filed under ચિનુ મોદી, સોનેટ
(શિખરિણી)
શરીરી સામ્રાજ્યે હલચલ વધી ગુપ્ત; બળવો
થવાની તૈયારી, સમય હમણાં મંથર થયો.
હવે ખોડંગાતો પરિચિત પથે, કારણ વિના
હતું સારું રોજુ ભ્રમણ કરતું એકસરખું
શરીરે જે લોહી, વધઘટ કરે, ચાલ બદલે
હવે એ સ્વેચ્છાયે
મને હંફાવી દે ત્વરિતગતિના શ્વાસ, ગધના.
ધ્રૂજે હાથે પ્યાલો, બધિર બનતો કાન, હમણાં
દીસે ઝાંખું ઝાંખું જગ, પળિયા શ્વેત બનતા.
ત્વચામાંથી પેલું તસતસપણું ગાયબ થયું.
હતોત્સાહી છે બે ચરણ, હરણાં એક સમયે.
સદાયે લાગી જે ચપલ ચપલા જીભ, લથડે.
હવે બોખા મોંએ ક્ષણ કઠણને કેમ ચગળું?
જઉં ફોટાફ્રેમે, વધઘટ નથી ઉમર થતી.
– ચિનુ મોદી
જીવનના આખરી મુકામ પર આવી ઊભેલા વૃદ્ધની સંવેદનાનું આવું સ-રસ સૉનેટ કાવ્ય આપણી ભાષામાં ભાગ્યે જ જોવા મળશે. શરીરના રાજ્યમાં ગુપ્ત હિલચાલ શરૂ થઈ ગઈ છે. અલગ અલગ અંગો બળવો પોકારવાની ફિરાકમાં ટાંપીને બેઠાં છે. પહેલાં જે સડસડાટ વહી જતો હતો ને દિવસ ટૂંકો પડતો હતો એ સમય હવે ધીમી ગતિએ ને વળી ખોડંગાતો ખોડંગાતો પસાર થવા માંડ્યો છે. વૃદ્ધ માણસનો દિવસ કેમે કરીને પૂરો થતો નથી ને વળી નિદ્રાવિહોણી રાત તો એથીય લાંબી અને દુષ્કર. ચડતું લોહી પણ હવે રંગ બદલે છે. વિકારો જન્મવા શરૂ થઈ ગયા છે. બિમારી એની મનમરજીથી આવે છે. છઠ્ઠી પંક્તિ ખંડ શિખરિણીમાં લખી અડધી મૂકી દઈ કવિ વધતી જતી અશક્તિનું તાદૃશ આલેખન કરે છે. વાતે વાતે ને ડગલે પગલે શ્વાસ એવો ચડી આવે છે કે કંઠમાંથી સહજ ગાળ નીકળી આવે છે. હાથ ધ્રુજે છે, કાને ઓછું સંભળાઈ રહ્યું છે, આંખોનું નૂર ઓસરતું જાય છે, વાળ વધુ ને વધુ સફેદ બનતા જાય છે, ચામડી લબડવા માંડી છે, એકસમયના હરણ જેવા ચરણમાંથી ઉત્સાહ ઓસરી ગયો છે અને જેના બોલ પર આખી જિંદગી મુસ્તાક રહ્યા એ જીભ પણ લથડવા માંડી છે. પસાર કરવો અઘરો બની ગયેલા સમયની કપરી કઠણ ક્ષણોને ચાવવા માટેના દાંત હવે બચ્યા નથી. હવે તો મૃત્યુ આવે તો સારું… ફોટો બનીને દીવાલ પર લટકી જવાય તો વધતી જતી ઉંમર અને એની સાથે વણાઈ ચૂકેલી હાડમારીમાંથી કાયમી છૂટકારો થાય… છેલ્લી બે પંક્તિ સાચા અર્થમાં ધારી ચોટ નિપજાવીને સૉનેટને ઉત્તમ કવિતાની કક્ષાએ લઈ જાય છે.. શિખરિણી છંદ ચિનુ મોદીનો પ્રિય છંદ રહ્યો છે અને આ છંદમાં કવિનો સહજ વિહાર ધાર્યું પરિણામ આપે છે.
Permalink
November 18, 2016 at 12:41 AM by વિવેક · Filed under ગુણવંત વ્યાસ, સોનેટ
હૈયે મારે જલધિજલનાં શીકરો ઊછળે છે,
દાદા થ્યાનો અવસર દિલે દીપતેજે ઝગે છે.
દાદી એની હરખ કરતી, બોલતી પોરસીને:
‘ચાલો, જૈએ ગળપણભરી લાગણીઓ લઈને!’
ને એ દોડી, હું અનુસરિયો, વાધતો વંશ ભાળી,
પ્હોંચી થ્યું કે, ‘પુતરઘર હું પારકો, એ પરાઈ.’
બેટો મારો વરતન થકી લાગતો’તો પરાયો,
ને એની આ વહુ-વદન પે ભાવ ના કો કળાયો.
તોયે દાદી કુસુમવત આ બાળને ગાલ ચૂમે,
ભૂલી વૈને ચકરભમતી ગોળ ને ગોળ ઘૂમે.
તેડી લાવી મુજ કને વદે : ‘દીકરો લો તમારો;
લાગે જાણે અસલ નકશો બાપના બાપ જેવો.’
દેખી મારી નખશિખ છબી; પુત્રનો પાડ માનું
છો ના આપ્યું કશું; પણ મળ્યું, જીવવાનું બહાનું.
– ગુણવંત વ્યાસ
અલગ રહેતા પુત્રના ઘરે પુત્રના જન્મનો ઉત્સવ અને દાદા-દાદીના સંવેદનો બહુ નાજુકાઈથી કવિએ આ સૉનેટમાં કંડાર્યાં છે. પૌત્રને રમાડવા હરખઘેલા પુત્રઘેર પહોંચી જતા દાદા-દાદીને ક્ષણાર્ધમાં સમજાઈ જાય છે કે પુત્ર અને પુત્રવધૂ બંને પરાયા છે. પણ વંશવેલાને વધતો જોઈ દાદી આ અપમાન અવગણીને પણ પૌત્રને રમાડે છે અને દાદાને બતાવે છે કે એ બાળકની શિકલ એમના જેવી જ છે. પૌત્રના ચહેરામાં પોતાનો ચહેરો નિહાળી દુઃખી-અપમાનિત છતાં બાપ દીકરાનો પાડ માને છે કે ઢળતી ઊંમરે જીવવાનું બહાનું આપ્યું…
Permalink
September 30, 2016 at 12:30 AM by વિવેક · Filed under ગુણવંત વ્યાસ, સોનેટ
(શિખરિણી)
તને જે દેખાતો નહિ નયનથી, તે શબદ છે;
છતાં જે વંચાતો કદી કલમથી, તે શબદ છે !
સદા બોલાયેલો શબદ પણ ના હો શબદ; તો
નહીં બોલાયેલો, પણ અરથ હો : તે શબદ છે !
કદી ચોપાસે તે કલરવ કરી કાન ભરતો,
કદી એકાંતે તે ‘હઉંક’ કરતો બાળ બનતો;
કદી મૂંગોમૂંગો ખળખળ વહંતો તનમને,
કદી ગાજી ગાજી ખળભળ કરી દે અનંતને.
ચહુ : ખાતા-પીતા, હરફર થતા, કામ વહતા,
તથા સૂતા-સૂતા, સપન સરતા, વાત કરતા
સદા સાથે, સાચો ઝળહળ ખજાનો, શબદ હો :
યથા સો-સો સૂર્યો, શતશત મયંકો, વીજ યથા.
ન તો એથી કો દી અલગ પડું, ના વીસરું કદા;
છતો એથી, એનો પરિચય થઈ વીચરું સદા.
– ગુણવંત વ્યાસ
શબ્દનો મહિમા તો કઈ ભાષા, કઈ સંસ્કૃતિના કવિએ નથી કર્યો? પણ સરવાળે તો નેતિ..નેતિ…જ ! પ્રસ્તુત સૉનેટમાં કવિ પણ શબ્દનો તાગ મેળવવા મથે છે. શબ્દ શું છે? જે આંખ જોઈ શકતી નથી એ પણ અને જે જોઈ શકે છે એ પણ. ગુસ્સામાં કે અર્થહીનતામાં બોલાયેલો શબ્દ શબ્દ નથી. એથી વિપરીત, અર્થસભર ઈશારા કે વર્તણૂંક ભલે હોઠેથી ઉચ્ચારાયા નથી પણ શબ્દથી અદકેરા શબ્દ છે. ક્યારેક શબ્દ કોલાકલોથી કાન તર કરી દે છે તો ક્યારેક સાવ એકાંતમાં હઉંક કરી પાછળથી ચોંકાવી દેતા બાળકની જેમ કંપની આપવા પણ આવી ચડે છે. ખાતા-પીતા, હરતા-ફરતા, કામ કરતા-મૂકતા, બોલતા-ચાલતા – એમ પળેપળ સૂતા-જાગતા કવિ સો-સો સૂર્ય-ચંદ્ર-વીજ સમો તેજસ્વી શબ્દનો ખજાનો પોતાની સાથે ને સાથે જ હોય એમ ચહે છે. એથી જ તો કવિ એનાથી કદી અલગ થતા નથી કે કદી શબ્દને ભૂલતા નથી. કેમ? તો કે, કવિ જાણે છે કે કવિ શબ્દથી અને શબ્દ કવિથી જ છતા થાય છે.
કેવી અદભુત રચના !
Permalink
August 13, 2016 at 12:30 AM by વિવેક · Filed under વીરુ પુરોહિત, સોનેટ
(મંદાક્રાંતા)
આશ્લેષી ત્યાં ફરી કર વિષે ફૂટતું અંકુરો શું,
ડોલી ઊઠે મઘમઘ થતાં ફૂલ જેવી હથેળી !
ભીની ભીની મૃદુ ફરકતી રોમાવલિ ઘાસ જેવી,
‘ને તેમાંથી હળુક સરતી સર્પ શી અંગુલીઓ !
કૂદે જાણે યુગલ સસલાં, એમ સ્પર્શે સ્તનો, ‘ને
શ્વાસે શ્વાસે મધુર શ્વસતો મોગરો કેશ ગૂંથ્યો !
ખુલ્લી પૂંઠે ક્રમિક પડતા ઉષ્ણ શ્વાસો અધીરા
જાણે કાળાં, નિબિડ વન વચ્ચે પ્રકાશે ન ભાનુ !
કંપી ઊઠ્યાં શગ સમ સખી ! ઓષ્ઠ પે ઓષ્ઠ મૂકી,
આંદોલે તું અવિરત ધરા પાદ નીચે ! અચિંતા-
ઝીણી ચૂંટી કર મહીં ખણી, આંખમાં આંખ પ્રોવી
‘ને તેં શ્યામા, મધુર હસતાં હોલવી રાત કેવી !
કંપી ઊઠ્યો હળુક લહરે, હાર તારી છબીનો,
તૂટ્યાં સ્વપ્ને, સજળ નયને, હું નિહાળું છબીને !
– વીરુ પુરોહિત
“આશ્લેષી” ક્રિયાની આગળ ‘તને’ અધ્યાહાર રાખીને કવિ શબ્દવ્યવહારમાં તો કરકસર ઇંગિત કરે છે પણ પ્રણયવ્યવહારમાં રતિરાગપ્રચુરતા અપનાવે છે. પ્રિયાના આશ્લેષમાં હાથ ફૂલ સમ મઘમઘ ખીલી ઊઠે એ તો સાહજિક કલ્પન છે પણ ત્વચા પર આંગળીઓ ફરતાં થતા રોમાંચને ઘાસમાં હળવેથી સરકતા સાપ સાથે સરખાવીને કવિ કમાલનું અનુઠું ચિત્ર ઊભું કરે છે. પ્રણયકેલિનું પ્રગલ્ભ ચિત્ર કવિ સમ-ભોગની પરાકાષ્ઠા સુધી એકદમ સાહજિકતાથી પૂર્ણ કરે છે. સંભોગશૃંગારનું એક ઉત્તમ મોતી આપણને હાથ લાગ્યું હોવાની ઉત્તેજના ચરમસીમા પર હોય એ જ ઘડીએ આખરી બે પંક્તિમાં કવિ સૉનેટને કરૂણાંતિકા બનાવી દે છે. મૃત્યુ પામેલી પત્નીની છબી પરના હારને પવનમાં હળવેથી હલતો જોતા હોવાની વાસ્તવિક્તા તૂટેલાં સ્વપ્નોની કરચથી આંખ છલકાવી દે છે – આપણી પણ !
Permalink
February 19, 2016 at 12:30 AM by વિવેક · Filed under અદમ ટંકારવી, સોનેટ
એના પાયામાં પડી બારાખડી
ચોસલાંથી શબ્દોનાં ભીંતો ચણી
એક તત્સમ બારણું પ્રવેશનું
સાત ક્રિયાપદની બારી ઊઘડી
ભોંયતળિયે પાથર્યાં વિરામચિહ્ન
ને અનુસ્વારોનાં નળિયાં છાપરે
ગોખમાં આઠે વિભક્તિ ગોઠવી
ભાવવાચક નામ મૂક્યું ઉંબરે
થઈ ધજા ફરક્યું ત્યાં સર્વનામ ‘તું’
ટોડલે નામોના દીવા ઝળહળ્યા
સાથિયા કેવળપ્રયોગી આંગણે
રેશમી પડદા વિશેષણના હલ્યા
કે અનુભૂતિનો સુસવાટો થયો
ત્યાં જ આ પત્તાંનો મહેલ ઊડી ગયો
– અદમ ટંકારવી
ભાષાની ભવ્યતા અને પ્રેમ સામે એની નિરર્થકતા કવિએ આ સૉનેટમાં કેવી સરસ રીતે juxtapose કરી છે ! ગુજરાતી ભાષાના નાનાવિધ અંગ વાપરી કવિ પહેલા અષ્ટકમાં ભવ્ય ભાષાભવન ખડું કરે છે ત્યારે તો સમય પણ એની કાંગરી નહીં ખેરવી શકે એવું અડીખમ હોવાની પ્રતીતિ કરાવે છે પણ ષટકની શરૂઆતમાં જ ત્યાં પ્રિયપાત્રનો ‘તું’ ધજા થઈને ફરફરે છે અને પ્રેમની દિવ્ય અનુભૂતિ થાય છે અને એના સૂસવાટા માત્રથી આખેઆખું ભાષાભવન પત્તાંના મ્હેલની જેમ ઊડી જાય છે. પ્રેમની અનુભૂતિ ભાષાતીત હોય છે…
Permalink
November 21, 2015 at 12:30 AM by વિવેક · Filed under અરવિંદ મહર્ષિ, વિશ્વ-કવિતા, સુન્દરમ, સોનેટ
ત્યહીં નગર દેવને, લઘુક મંદિરે રાજતી
શિલાની પ્રતિમા થકી પ્રભુ રહ્યા લહી હું પ્રતિ:
રહ્યું વિલસી દિવ્ય મૃત્યુ-પર એક સાંનિધ્ય ત્યાં, –
સ્વરૂપ નિજમાં ધરંતું સઘળાં ય આનંત્યને.
વિરાટ જગદંબિકા – પ્રખર એની ઇચ્છા તથા
ધરાની અતલાંત નીંદ મહીં આવી વાસો વાસી,
અશબ્દ, પરમા સમર્થ, અવિગમ્ય, મૂક સ્થિતા
ત્યહીં રણ વિષે અને ગગનમાં તથા સાગરે.
હવાં મનસ-આવૃતા વસતી તે, ન બોલ કશું,
અશબ્દ, અવિગમ્ય, સર્વંવિદ, ગુમ એ તો વસે;
યદા નિરખશે જ આત્મ અમ સૂણશે-શી વિધે
ગ્રહંતી તન એ, પૂજારી પ્રતિમા વિષે એક જે,
શકે પથર કે શરીર ધરી જેનું સૌંદર્ય, હા,
રહસ્ય પણ જેહનું – પ્રગટ એ થશે ત્યાહરે.
– શ્રી અરવિંદ
(અનુ. સુન્દરમ્)
*
મહર્ષિ અરવિંદ પથ્થરની પ્રતિમાને સામે રાખીને સર્વવ્યાપી, સર્વશક્તિમાન, સર્વજ્ઞ પરમેશ્વરપ્રાપ્તિનો માર્ગ પ્રશસ્ત કરે છે. નાશવંત પથ્થરોમાં કેદ ઈશ્વર હકીકતે આપણી પ્રતિક્ષામાં જ છે, આપણને આવકારવા સર્વદા તત્પર જ છે. આપણે જ્યાં સુધી નિદ્રાવશ છીએ ત્યાં સુધી જ એ ચૂપ છે. આપણે આપણો માનસપટ ફગાવીને પરમકૃપાળુનો સાદ સાંભળીએ એ ઘડી આપણી જાગૃતિની ઘડી છે. મૂર્તિ અને જડ આકાર એ પ્રભુ સુધી લઈ જતા માર્ગ માત્ર છે. પથ્થરની પ્રતિમા આપણે વિચારી શકીએ એના કરતાં વધુ સજીવ, વધુ સામર્થ્યશાળી છે.
*
The Stone Goddess
In a town of gods, housed in a little shrine,
From sculptured limbs the Godhead looked at me,–
A living Presence deathless and divine,
A Form that harboured all infinity.
The great World-Mother and her mighty will
Inhabited the earth’s abysmal sleep,
Voiceless, omnipotent, inscrutable,
Mute in the desert and the sky and deep.
Now veiled with mind she dwells and speaks no word,
Voiceless, inscrutable, omniscient,
Hiding until our soul has seen, has heard
The secret of her strange embodiment,
One in the worshipper and the immobile shape,
A beauty and mystery flesh or stone can drape.
– Sri Aurobindo
Permalink
November 7, 2015 at 12:30 AM by વિવેક · Filed under બાલમુકુન્દ દવે, રીટા કોઠારી, વિશ્વ-કવિતા, સુગુણા રામનાથન, સોનેટ
અંગ્રેજી અને દેશી-વિદેશી કવિતાઓના ગુજરાતી અનુવાદ આપણે અવારનવાર વાંચતા સાંભળતા આવ્યા છીએ. આપણી કવિતાઓ વિશ્વ સુધી પહોંચી શકતી નથી એનો વસવસો પણ આપણે ઘણીવાર કરતાં હોઈએ છીએ. ગુજરાતી કવિતાઓનો અંગ્રેજી અનુવાદ થતો નથી એટલે આપણી ભાષાના કોઈ કવિને નોબલ મળતું ન હોવાની હૈયાવરાળ કાઢનાર પણ દરેકને ક્યાંક ને ક્યાંક ભટકાયા જ હશે… તો થોભો… તમારી આ ફરિયાદોનો એક અક્સીર જવાબ હવે ઓનલાઇન ઉપલબ્ધ છે. ઉદયન ઠક્કરના નેજા હેઠળ શરૂ થયેલ poetryindia.com પર આપ ૩૦૦ થી વધુ ગુજરાતી કવિતાઓના અંગ્રેજી અનુવાદ માણી શકો છો.
MOVING HOUSE
Rummaging through the house again we found
Scraps of Lux soap, a toothbrush, an old broom,
a leaking bucket, tin box, and lidless bottles,
thread and needle, specs (broken), clips and pins!
Taking down the name-plate on the door,
we placed it face down in the departing lorry.
We looked around again one last time at where
those first ten years of married life went by:
our son, a boon so long desired, was born;
from where we took him to the fire’s last embrace.
Suddenly from some corner came a voice:
‘Ba-Bapu, you’ve left nothing here but me-‘
Our eyes were full of pricking grains of grass;
our leaden feet tired down with iron weights.
– Balmukund Dave
(Translated by Suguna Ramanathan & Rita Kothari)
*
અરે હા… આ છે મૂળ ગુજરાતી કવિતા… એ પણ માણી લ્યો…
ફંફોસ્યું સૌ ફરીફરી અને હાથ લાગ્યુંય ખાસ્સું :
જૂનું ઝાડુ, ટૂથ-બ્રશ, વળી લક્સ સાબુની ગોટી,
બોખી શીશી, ટિનનું ડબલું, બાલદી કૂખકાણી,
તૂટ્યાં ચશ્માં, ક્લિપ, બટન ને ટાંકણી સોય-દોરો !
લીધું દ્વારે નિત લટકતું નામનું પાટિયું,જે
મૂકી ઊંધુ, સુપરત કરી, લારી કીધી વિદાય.
ઊભાં છેલ્લી નજર ભરીને જોઈ લેવા જ ભૂમિ,
જ્યાં વિતાવ્યો પ્રથમ દસકો મુગ્ધ દામ્પત્ય કેરો;
જ્યાં દેવોના પરમ વર-શો પુત્ર પામ્યાં પનોતો
ને જ્યાંથી રે કઠણ હૃદયે અગ્નિને અંક સોંપ્યો !
કોલેથી જે નીકળી સહસા ઊઠતો બોલી જાણે:
‘બા-બાપુ ! ના કશુંય ભૂલિયાં, એક ભૂલ્યાં મને કે ?’
ખૂંચી તીણી સજલ દૃગમાં કાચ કેરી કણિકા ! દૃગ=આંખ
ઉપડેલાં ડગ ઉપર શા લોહ કેરા મણીકા !
– બાલમુકુન્દ દવે
Permalink
January 25, 2015 at 12:30 AM by તીર્થેશ · Filed under યોસેફ મેકવાન, સોનેટ
વિશ્વ દીસે રૂપાળું પણ જિંદગી ભરખી રહ્યું,
પરમ્પરા ભૂલોની કૈં કોણ આ સરજી રહ્યું !
સ્વાર્થની જાળની ઝીણી જાળી અદૃશ્ય છે બધે
રચાતા સૂક્ષ્મ તંતુઓ કાળના હાસ્યથી વધે.
અજાણ્યા જીવને કેવી પીડે છે પીડ ભીતરે,
આંખથી સ્વપ્ન અર્થીઓ ટપક ટપકી નીસરે !
સમય તો ચાલ ચાલે છે વિચિત્ર, ચિત્તમાં બધે
સમજી ના શકે જાણી કોઈ એ ખેલ ક્યાંય તે.
હા,શતરંજના છીએ પ્યાદા અગમ્ય હાથમાં,
ઇચ્છાઓ ખેલવે જેમ ખેલીએ ચાલ સાથમાં .
હાર તો થૈ જતી જીત, ઉત્સાહે મન ત્યાં ધસે
દેખાતી જીત, હારો તો ચારેકોર હવા હસે !
ભવ્ય કૈં જિંદગીઓ તો અકલ્પ્ય અંતમાં ઢળે
સમય ચાલ ચલે એનું નામોનિશાન ના મળે !
– યોસેફ મેકવાન
હું છંદશાસ્ત્ર નથી જાણતો પણ આ કોઈક નવતર પ્રયોગ લાગે છે. સમયની-પ્રારબ્ધની વાત છે…અર્થ સરળ છે,પરંતુ કવિકર્મ કમાલનું છે !
Permalink
November 30, 2014 at 12:30 AM by તીર્થેશ · Filed under રમેશ પારેખ, સોનેટ
ફરાળ કર્યું બાપુએ જમી બપોરના ફાફડી
થયો સખત ગેસ ને ઉદરમાં પીડા ઊપડી
પીધી ચસચસાવી કૈં કેટલી બીડી સામટી
થયા અરધ રાતના ગજર ને પીડા ના ઘટી
‘તને, ગધની ફાફડી,ખૂટલ,ગોલકીની, ફટ ;
ભગા સુખડિયા, તને પણ હું શું કહું હલ્કટ ?
કર્યો અસલમાં દગો, કરજમાં ઉતાર્યો અને
ઉધાર દઈ, ફાફડી ય ફટકારી ખોરી મને’
મનોમન જ બાપુ આમ વદતા પડ્યા છે ભડ
ગ્રહી ઉદરને અહો, ઉભય હાથથી સજ્જડ
વદે : ‘ ભલભલા અમે દુશમનો દીધા ઝાટકે
અરે, સુભટ છું, નહીં ટકર ગેસડું લૈ શકે
કરું અબઘડી ખલાસ [ ઊંહ ] પેટની આંકડી ‘
ભરી તરત બાપુએ જલદ હીંગની ફાકડી
– રમેશ પારેખ
શબ્દોનું selection તો જુઓ !!!!!
Permalink
October 2, 2014 at 12:30 AM by વિવેક · Filed under સુન્દરમ, સોનેટ
પટે પૃથ્વીકેરે ઉદય યુગ પામ્યો બળતણો,
ભર્યાં વિદ્યુત્, વાયુ, સ્થળ, જળ મુઠીમાં જગજને;
શિકારો ખેલ્યા ત્યાં મદભર જનો નિર્બળતણા,
રચ્યાં ને ઊંચેરાં જનરુધિરરંગ્યાં ભવન કૈં.
ધરા ત્રાસી, છાઈ મલિન દુઃખછાયા જગ પરે,
બન્યાં ગાંધીરૂપે પ્રગટ ધરતીનાં રુદન સૌ;
વહેતી એ ધારા ખડક-રણના કાતિલ પથે,
પ્રગલ્ભા અંતે થૈ, ગહન સરલા વાચ પ્રગટી :
હણો ના પાપીને, દ્વિગુણ બનશે પાપ જગનાં,
લડો પાપો સામે વિમળ દિલના ગુપ્ત બળથી,
પ્રભુ સાક્ષી ધારી હૃદયભવને, શાંત મનડે
પ્રતિદ્વેષીકેરું હિત ચહી લડો, પાપ મટશે.
પ્રભો, તેં બી વાવ્યાં જગપ્રણયનાં ભૂમિઉદરે,
ફળ્યાં આજે વૃક્ષો, મરણપથ શું પાપ પળતું !
– સુન્દરમ્
પ્રથમ દૃષ્ટિએ કવિતા વધુપડતી મુખર લાગે પણ કવિએ વાચાળ થઈને પણ સૂક્ષ્મતાપૂર્વક સર્વકાલીન સત્ય અદભુત રીતે કવિતામાં વણી લીધું છે. આ સત્ય દરેક યુગનું સત્ય છે. બળનો યુગ ઉદય પામે, ધરા-આકાશ-સમુદ્ર બધું જ કાબૂમાં કરી લે, નિર્બળ લોકોનો શિકાર ખેલે અને એમના રક્ત સીંચીને મહાલયો ખડા કરે…
ગીતાના यदा यदा हि धर्मस्यના નિયમ મુજબ ક્યારેક ઈસુ તો ક્યારેક બુદ્ધ તો ક્યારેક ગાંધી ધરતીના રુદનમાંથી જન્મ લે છે અને કવિ સુન્દરમ્ ગાંધીવાણીના રૂપે આપણને અજર-અમર કહેવત આપે છે: “હણો ના પાપીને… …ગુપ્ત બળથી”
પણ ધરતીમાં જ કંઈ સમસ્યા છે કે શું પણ વિશ્વપ્રેમના બીજ વાવ્યાં હોવા છતાં મરણપથ સમું પાપ જ ઊગે છે… (જો કે વિશ્વપ્રેમનાં બીજમાંથી આજે વૃક્ષ થયું એવો અર્થ પણ અંતિમ બે પંક્તિનો અન્યો વડે કરવામાં આવ્યો છે)
(છંદ: શિખરિણી, શૈલી: શેઇક્સપિરિઅન)
Permalink
September 27, 2014 at 12:30 AM by વિવેક · Filed under કૃષ્ણલાલ શ્રીધરાણી, સોનેટ
(પૃથ્વી)
અમે જઈ ઊભાં ઊંચે લળતી નાળિયેરી તળે,
સમુદ્ર મરજાદ શી નીલમ વેલ લૂમે વળે
નીચે પગ કને : તિમિર તણી પાંખ માંહી જરી
લપાઈ સુણતા પણે મુખર સાગરી ખંજરી.
પુરુષ અડતો સ્ત્રીને પ્રથમ વાર, ને સ્ત્રીય તે
વ્રીડા પ્રથમ ચુંબને ધરત; ને ઉન્હી સંગતે
સમુદ્ર, તરુ, વેલીઓ, સમીર ને દીવા દૂરના,
ત્રિલોક ગળતું મિષે ઉભય નેહના નૂરમાં.
જરીક થડકી ઊઠી હું અણચિંતવ્યા પ્રશ્નથી:
‘પ્રિયા ! પ્રિયતમા ! કહે, ક્યમ તું આટલા વર્ષથી
હતી વરી ચૂકી છતાંય મુજથી રહી વેગળી?’
‘તમેય…’ હુંય ઉચ્ચરી, ‘ક્યમ ન વાંસળી સાંભળી?’
અમે વરસ વેડફ્યાં ઉભય પ્રીતની શંકમાં,
કદી ન અળગાં થશું ! જીવશું એકડા અંકમાં !
– કૃષ્ણલાલ શ્રીધરાણી
વરસોની મિત્રાચારી હોય પણ શરમ ને શંકામાં પ્રીતનો એકરાર કરી ન શકનાર એક યુગલ આજે ઢળતી સાંજે સમુદ્રકિનારે આવ્યું છે. પોતાનું એકાંત ન ઓજપાય એ માટે સમુદ્રથી દૂર એમણે ઝાડ પણ નારિયેળીનું પસંદ કર્યું છે – રખે ને એમનો પ્રેમાલાપ સાંભળી જાય ! અંધારાની આડશે લપાઈને દરિયાના મોજાંનું સંગીત સાંભળતા ઊભા છે.
પ્રથમ સ્પર્શ ! પ્રથમ ચુંબન ! સ્ત્રી પોતાની શરમ એ ચુંબનને અર્પણ કરી દે છે. પ્રણયના અજવાળામાં ત્રણેય લોક ઓગળી જાય છે. (શબ્દ પ્રયોગ તો જુઓ, સાહેબ – “ઉન્હી સંગતે” ! ત્રીસીના દાયકાનો કવિ પરંપરાના સૉનેટમાં હિન્દી શબ્દ ગોઠવી દે છે અને એ પણ એવી કુશળતાથી કે જરાય ખટકે નહીં)
Permalink
December 21, 2013 at 12:30 AM by વિવેક · Filed under માઇકલ ડ્રાઇટન, વિવેક મનહર ટેલર, વિશ્વ-કવિતા, સોનેટ
કેમકે હવે કોઈ મદદ શક્ય નથી, ચાલ ચુંબન કરીએ અને છૂટા પડીએ-
ના, બસ. પત્યું. હવે તું મને લગરિક વધુ નહીં મેળવી શકે;
અને હું ખુશ છું, હા, ખુશ છું હૃદયના ઊંડાણથી,
કે આમ આટલી સફાઈપૂર્વક હું મારી જાતને આઝાદ કરી શક્યો.
હાથ મેળવી દે હંમેશને માટે, રદ કરી દે આપણા બધા સોગંદ,
અને ક્યારેક કોઈ સમયે આપણે મળી જઈએ ફરીથી,
તો બેમાંથી એકેયના કપાળ પર એ નજરે ન ચડે
કે આપણામાં એક અંશ પણ પ્રેમ ભૂતકાળનો બચી ગયો છે.
હવે પ્રેમના આખરી શ્વાસના આખરી ડચકે,
જ્યારે, એની નાડી બંધ પડી રહી છે, ધબકાર વાચાહીન સૂતો છે,
જ્યારે શ્રદ્ધા એની મૃત્યુશય્યા પર ઘુંટણિયે પડી છે,
અને નિર્દોષતા એની આંખ બીડી રહી છે,
– હવે, જો તું ધારે તો, એના માટેની બધી આશા જ્યારે મૂકી દીધી છે,
મૃત્યુના મુખમાંથી કદાચ તું જ એને પરત આણી શકે.
– માઇકલ ડ્રાઇટન
અનુ. વિવેક મનહર ટેલર
કાયમ માટે છૂટા પડી જવાનો અડીખમ નિર્ણય કદાચ કેટકેટલાં મનોમંથનો પછી લેવાયો હશે… છૂટાં પડતી વખતે એક ઔપચારિક ચુંબન અને કાયમની ગુડ-બાય. જીરવી ન શકાતા બંધનમાંથી આઝાદ થતી વખતે હૃદય કેવો હર્ષ અનુભવતું હશે. એક-મેક સાથે ખુલાસાઓ થઈ રહ્યા છે. બધી યાદ, બધા સોગંદ-બધું જ હવે કાયમ માટે ભૂલી જવાનું છે. ક્યારેક જોગાનુજોગ ક્યાંક ભટકાઈ જવાય તો એકેયના ચહેરા પરની કરચલીઓમાં ભૂતકાળનો પ્રેમ નજરે પણ ન ચડવો જોઈએ એવી સમજૂતિ સાથે છૂટાં પડવાનું છે, કેમકે પ્રેમ હવે આઇસીસીયુમાં છેલ્લાં શ્વાસ ભરી રહ્યો છે.
અહીંયા સુધીની ઘટના વધતે-ઓછે અંશે આપણે સહુએ જીવનમાં ક્યાંક ને ક્યાંક અનુભવી છે. પણ ખરી કવિતા અને સૉનેટની ચોટ છે આખરી બે કડીઓમાં. (જોકે મને સંતોષ થઈ શકે એવું ગુજરાતી હું આ પંક્તિઓનું નથી કરી શક્યો). કવિ કહે છે કે તેં આ પ્રેમનો પૂર્ણપણે ત્યાગ કર્યો છે પણ હજી કદાચ તું પાછી ફરે… એક નજર આ તરફ કરે.. એક સ્મિત મારા તરફ ફેંકે… એક હાથ લંબાવે… તો કદાચ આ પ્રેમ ફરીથી એવોને એવો જીવિત થઈ ઊઠે…
કવિતાની શરૂઆતમાં અડીખમ દેખાતો નાયક કાવ્યાંતે કેવો વિહ્વળ નજરે ચડે છે… આ આશા જ પ્રેમ છે… આ પ્રેમ જ જિંદગી છે…
*
આખરી બે પંક્તિના અનુવાદમાં સહાયક થવા બદલ ડૉ. મુકુર પેટ્રોલવાલા તથા ધવલ શાહનો આભાર…
*
Since There’s No Help – Michael Drayton
Since there’s no help, come, let us kiss and part,
Nay, I have done, you get no more of me,
And I am glad, yea, glad with all my heart,
That thus so cleanly I myself can free.
Shake hands for ever, cancel all our vows,
And when we meet at any time again
Be it not seen in either of our brows
That we one jot of former love retain.
Now at the last gasp of Love’s latest breath,
When, his pulse failing, Passion speechless lies,
When Faith is kneeling by his bed of death,
And Innocence is closing up his eyes,
Now, if thou wouldst, when all have given him over,
From death to life thou mightst him yet recover.
Permalink
September 23, 2013 at 12:30 AM by તીર્થેશ · Filed under મકરન્દ દવે, સોનેટ
ના, ના, નથી દૂર નથી જ દૂર
જ્યાં વિશ્વ બંધાયું અલક્ષ્ય તાંતણે
તારાગણો સાથ અહીં કણે કણે
સામીપ્યના ઝંકૃત કોઈ સૂર
બજી રહ્યાં નીરવનાં નૂપુર
અગાધ શૂન્યે, વિરહી ક્ષણે ક્ષણે
મળી રહ્યા નિત્ય અદીઠ આપણે
વિયોગ જ્યાં ખંડિત, ચૂર ચૂર.
તો દૂરતા પાસ દરિદ્ર પ્રાણે
ના માગવું કાંઈ, પરંતુ નેહે
ડૂબી જવું અંદર, જ્યાં જુદાઈ
જેવું ન, એકત્વ વિદાયટાણે
બંસી બજાવે નિજ ગૂઢ ગેહે
સદા મિલાપે, સુણ ઓ મિતાઈ !
– મકરંદ દવે
ધીમે ધીમે બે-ત્રણ વાર વાંચતા આ અદભૂત સોનેટ કમળની જેમ ઊઘડે છે…… અલ્પવિરામને બરાબર ધ્યાનમાં રાખીને વાંચવાથી અર્થ અસ્પષ્ટ રહેતો નથી.
Permalink
September 15, 2013 at 12:30 AM by તીર્થેશ · Filed under રમેશ પારેખ, સોનેટ
બાપુના ગઢમાં બધી જણસ છે, બે વાતની ખોટ છે
પહેલું તો કે’ યુદ્ધ થાય નહીં, બીજું ફાટલો કોટ છે .
શિરોહી તલવારનું લટકવું વર્ષોજૂનું ખીંટીએ
ને ફાટ્યો છે કોટ કાળબળથી આડીઊભી લીંટીએ
બાપુ કહેતા : ‘ નોતરાં દઈ દઉં દેમાર બારોટને
શત્રુ મારું – એમ આજ બખિયા મારી દઉં કોટને ‘
દોરાસોતી સોયથી પલકમાં દારુણ હલ્લો કર્યો
ને બાપુએ કોટને કસબથી કાતિલ ટેભો ભર્યો
ત્યાં તો ‘ લોહી ‘ એમ ચીસ સહસા પાડી ઊઠી આંગળી
ને બાપુના ટેરવે રગતની શેડ્યું ફૂટી નીકળી
‘ખમ્મા, ખમ્મા બાપ…….’ એમ કહી બાપુ કરે હાકલા
ખીંટીથી તલવારને લઈ કરે લોહી વડે ચાંદલા
થાતું બાપુને : બહુ શુકનવંતો આપણો કોટ છે
કિંતુ એક જ ખોટ, આજ અહીં ના એક્કેય બારોટ છે…
-રમેશ પારેખ
Permalink
August 9, 2013 at 12:30 AM by વિવેક · Filed under જયન્ત પાઠક, સોનેટ
જલની તે બીજી કંઈ હોય સ્થિતિ-ગતિ !
ગળી જવું, ઢળી જવું, સૂકાવું રૂંધાઈ
તડકાથી ડરી, જવું ભીતરે સંતાઈ
ફૂટવું તો બીજારૂપે : તૃણ-વનસ્પતિ.
હવે પ્રિય પાણી મિષે પ્રેમની તે વાત
કરી કરી શાને વ્હોરી લેવો રે સંતાપ !
ગળી ગયું, ઢળી ગયું, ગયું જે સુકાઈ
તેની પછવાડે હવે હરણ શા ધાઈ
પામવાનું કશું ! હવે રણ ને ચરણ –
એ સિવાય મિથ્યા અન્ય સઘળું સ્મરણ
ખરી જાય તારો અને ઝબકી ગગન
જોઈ લિયે જરા – પછી મીંચી લે નયન.
એમ અમે વાળી લીધું તમારાથી મન
આંખથી વિખૂટું જેમ એક અઁસવન.
– જયન્ત પાઠક
વિયોગ-વિચ્છેદની વાત કરતા સોનેટ-જોડકાંમાંનું આ બીજું. પહેલું સોનેટ વિયોગની વાતથી શરૂ થઈ જળ પર અંત પામે છે જ્યારે આ સોનેટ જળથી શરૂ થઈ વિરહ તરફ ગતિ કરે છે.
જળની વળી શી ગત હોય? હાથમાંથી ગળી જાય, ઢોળાઈ જાય, તડકાથી સૂકાઈ જાય… બહુ બહુ તો એ સ્વ-રૂપ ગુમાવી વનસ્પતિ રૂપ લઈ શકે. એ જ રીતે જળની જેમ સરકી ગયેલા પ્રેમની અવર શી સ્થિતિ હોઈ શકે? જે રણ બની ગયું છે એમાં મૃગજળના ચરણ લઈ ચાલવાનો કોઈ અર્થ? આભથી તારો ખરે અને પલકવાર ગગન એ તરફ જોઈ બીજી પળે વિસરી જાય એમ અમે તો તમારાથી મન વાળી લીધું છે… એક આંસુ હતું જે હવે આંખથી વિખૂટું પડી ગયું છે, બસ!
Permalink
August 8, 2013 at 12:30 AM by વિવેક · Filed under જયન્ત પાઠક, સોનેટ
(પયાર)
પ્રિય લો, મેં તમારાથી વાળી લીધું મન –
હવે તો નિરાંત ? નહિ વિરહ, મિલન;
સંબંધના સૂતરને સ્થળે સ્થળે ગાંઠ,
ફગાવી જ દીધો દોર, ફગાવ્યું વસન,
રંગરંગી પ્હેરી લીધું ચીવર, નિઃસંગ;
ગલી ભણી નહીં, હવે ઊલટો જ પંથ !
પાછું વળી જોવાનું ના તમારે કે મારે,
વાતનો સરસ કેવો આવી ગયો અંત !
એકમેકને અજાણ એમ ધારે ધારે
ફરવું સંભાળી, મળવું ન મઝધારે;
રખે પેલો પ્રેમ પાછો આવી છાનોમાનો
બાંધી લિયે આપણને પાકા કોઈ તારે.
વરસી વરસી પ્રિય ઘેરાયું વાદળ,
રહ્યું સહ્યું છતમાંથી હવે ગળે જળ.
– જયન્ત પાઠક
વિયોગની વેદના તો આપણામાંથી મોટાભાગના ક્યારેક ને ક્યારેક વેઠતાં જ હોય છે પણ આ કાયમી વિયોગ-વિચ્છેદની વાત છે. છૂટા પડવાની વાતની શરૂઆત “પ્રિય” સંબોધનથી થાય છે એ વાત જ કેવી સૂચક છે! વળી હવે તો નિરાંત એવો પ્રશ્ન છૂટા પડનારને થતી વેદનાને વળી વળ ચડાવી આપે છે. ઠેકઠેકાણે ગંઠાઈ ગયેલા સંબંધના દોરાને ફગાવી દઈએ, उस गली में हमें पाँव रखना नहींની આહલેક પણ પોકારી લઈએ પણ પેલો પ્રેમ છાનોમાનો પાછો બાંધી ન દે એનો ડર તો જતો જ નથી… કાવ્યાંતે ફરી પ્રિય સંબોધન વરસતા વાદળની પછીતેથી ડોકાતાં સૂરજની જેમ ડોકિયું કરી જાય છે… વાદળ તો વરસી ગયું… હવે છત ગળતી રહેશે… છત કે આંખ?
Permalink
July 13, 2013 at 12:30 AM by વિવેક · Filed under ઉશનસ્, સોનેટ
(શિખરિણી)
રજાઓ દિવાળી તણી થઈ પૂરી, ને ઘર મહીં
દહાડાઓ કેરી સ્ખલિત થઈ શાંતિ પ્રથમની.
વસેલાં ધંધાર્થે દૂરસુદૂર સંતાન નિજનાં
જવાનાં કાલે તો, જનકજનની ને ઘરતણાં
સદાનાં ગંગામાસ્વરૂપ ઘરડાં ફોઈ, સહુએ
લખાયેલો કર્મે વિરહ મિલને તે રજનીએ
નિહાળ્યો સૌ વચ્ચે નિયત કરી બેઠો નિજ જગા,
ઉવેખી એને સૌ જરઠ વળી વાતે સૂઈ ગયાં.
સવારે ભાભીનું ભર્યું ઘર લઈ ભાઈ ઊપડ્યા,
ગઈ અર્ધી વસ્તી, ઘર થઈ ગયું શાંત સઘળું,
બપોરે બે ભાઈ અવર ઊપડ્યા લેઈ નિજની
નવોઢા ભાર્યાઓ પ્રિયવચન મંદસ્મિતવતી;
વળાવી બા આવી નિજ સકલ સંતાન ક્રમશ:
ગૃહવ્યાપી જોયો વિરહ, પડી બેસી પગથિયે.
– ઉશનસ્
આપણામાંથી મોટા ભાગના લોકો કવિતાના હૃદયસ્વરૂપની સમજણ અને સમાજમાં વડીલોના મોળા પડી ગયેલા સ્થાનની સમજ સાવ કાચી હોય એવે તબક્કે આ સોનેટ શાળામાં ભણી જ ચૂક્યા હશે પણ એક ઉત્તમ કવિતા તરીકે આજે આપણે એને ફરીથી માણીએ…
બાળવિધવા ફોઈ અને મા-બાપથી બનેલા ગામડાના સૂના ઘરમાં દિવાળીના દીવા ત્યારે જ પ્રકાશે છે જ્યારે બાળકો કુટુંબ-કબીલા સાથે વેકેશન ગાળવા આવે છે પણ સંતાનોને વિદાય આપ્યા બાદ ઓસરીથી ઉંબરાનું અંતર કાપવું કેવું દોહ્યલું થઈ પડે છે !
Permalink
May 31, 2013 at 12:30 AM by વિવેક · Filed under કૃષ્ણલાલ શ્રીધરાણી, સોનેટ
(પૃથ્વી)
અસંખ્ય મુજ બાંધવો રવડતા, સડ્યાં ચીંથરાં
ધરી શરીર-માળખે કકડતી ધ્રૂજે ટાઢમાં;
સહે સળગતા બપોર-દવ ચૈત્ર-વૈશાખના,
વિતાન ઘર-છાપરું : દિશ દીવાલ : શય્યા ધરા !
અસંખ્ય મુજ રાંકડાં કકળતાં રહે લાડકાં
ભૂખે ટળવળી : અને હૃદય દુઃખના તાપમાં
બળી-સમસમી પડે સકળ પાશવી પાપમાં.
રમે મરણ જીવને અતુલ માનવીનાં મડાં.
પરંતુ નવ હું સ્તવું વચન આળપંપાળનાં,
ન ઇચ્છું લવલેશ લ્હાવ ધન, વસ્ત્ર કે ધાન્યના;
સહો સખત ટાઢ ને પ્રખર તાપ મધ્યાહ્નના,
મરો ટળવળી મુખે હૃદયહીન દુષ્કાળના !
સહુ વીતક વીતજો ! વિઘન ના નડો શાંતિનાં !
બળી-ઝળી ઊઠી કરો અદમ નાદ સૌ ક્રાંતિના !
– કૃષ્ણલાલ શ્રીધરાણી
નાની વયે પિતાને ગુમાવનાર કવિ બાળપણમાં મોસાળમાં જૂનાગઢ ખાતે ભણવા ગયા. નાની ઉંમરે જ “ટ્રેડિશનલ” શાળાશિક્ષણ એમને જરાય કોઠે ન પડ્યું. ગણિતની પરીક્ષામાં ઉત્તરવહી સાવ કોરી રાખી અને ઉપરથી નોંધ મૂકી કે સફાઈ માટેના દસ માર્ક્સ મને મળવા જ જોઈએ અને વિજ્ઞાનના પેપરમાં કવિતા લખી આવ્યા… જો કે ગુજરાતી ભાષાનું સદભાગ્ય કે એમના વિધવા માતાને એવું સૂઝ્યું કે ગાંધીની આંધીમાં જાગેલ દેશભક્તિના જુવાળમાં બેમાંથી એક પુત્રે તો રાષ્ટ્રીય શાળામાં ભણવું જ જોઈએ અને કૃષ્ણલાલ ભાવનગરની ‘દક્ષિણામૂર્તિ’ શાળામાં દાખલ થયા જ્યાંનું શિક્ષણ એમને કોઠે પડી ગયું… ત્યાર બાદ ગાંધીજીના પ્રત્યક્ષ સંપર્કમાં ગૂજરાત વિદ્યાપીઠ (અમદાવાદ) અને પછી ટાગોરની નિશ્રામાં શાંતિનિકેતન ખાતે ભણ્યા અને પછી ન્યૂયૉર્ક જઈ MA, MS અને PhD પણ કર્યું…
પ્રસ્તુત સૉનેટમાં કવિ આંચકો લાગે એવી વાત કરે છે. ચંદરવો જેમના ઘરનું છાપરું છે, દિશાઓ જ દીવાલો છે અને ધરતી જ પથારી છે એવા ગરીબજનોના પ્રત્યક્ષ ઉત્કર્ષના બદલે કવિ ઝંખે છે કે એમને વધુ ને વધુ તકલીફો પડે, શાંતિ નામનું વિઘ્ન ન નડે જેથી કરીને ક્રાંતિનો માર્ગ મોળો ન પડે… ઉમાશંકર જરૂર યાદ આવે કે ‘ભૂખ્યાજનોનો જઠરાગ્નિ જાગશે, ખંડેરની ભસ્મકણી ન લાધશે.’
Permalink
April 18, 2013 at 12:30 AM by વિવેક · Filed under કૃષ્ણલાલ શ્રીધરાણી, સોનેટ
(પૃથ્વી)
સહસ્ત્ર શત ઘોડલાં અગમ પ્રાન્તથી નીકળ્યાં,
અફાટ જલધિ પરે અદમ પાણીપન્થાં ચડ્યાં;
હણે-હણહણે : વિતાન, જગ, દિગ્ગજો ધ્રૂજતાં,
ઊડે ધવલ ફેન શી વિખર કેશવાળી છટા !
ત્રિભંગ કરી ડોકના, સકળ શ્વાસ ભેગા કરી,
ઉછાળી નવ દેહ અશ્વ ધમતા પડી ઊપડી;
દિશા સકળમાં ભમી, ક્ષિતિજ-હાથ તાળી દઈ,
પડંત પડછંદ વિશ્વભર ડાબલા ઉચ્ચરી.
કરાલ થર ભેખડે, જગતકાંઠડે કારમા,
પછાડી મદમસ્ત ધીંક : શિર રક્તનાં વારણાં;
ધસી જગત ખૂંદશે ? અવનિ-આભ ભેગાં થશે ?
ધડોધડ પડી-ખરી ગગનગુંબજો તૂટશે?
ઉરેય ભરતી ચડે, અદમ અશ્વ કૂદી રહે !
દિશાવિજય કૂચનાં કદમ ગાજતાં ઊપડે !
– કૃષ્ણલાલ શ્રીધરાણી
ગુજરાતીના સર્વશ્રેષ્ઠ સોનેટની પંગતમાં અગ્રિમ સ્થાને વિરાજતું આ સોનેટ શ્રીધરાણીની કાવ્યસૂઝ, છંદોલય અને ભાવોર્મિના કારણે ચિરસ્મરણીય બન્યું છે. વીસ વરસની ઊંમરે લખાયેલ આ સોનેટમાં કવિ દરિયાના મોજાંઓ હજારો થનગનતા ઘોડા અવનિ-આભ ભેગાં કરવા કૂચે ચડ્યા હોય એવું અદભુત શબ્દચિત્ર દોરી આપે છે. પહેલા ત્રણ ચટુષ્ટકમાં પ્રકૃતિની વાતો કર્યા પછી છેલ્લી બે કડીમાં સોનેટ સાવ જ અણધાર્યો વળાંક લઈ દેશભક્તિ અને સ્વતંત્રતા સંગ્રામમાં અંગ્રેજોને પછાડી આઝાદી હાંસિલ કરવાના પોતાના અરમાન પ્રગટ કરી ભાવકને સુખદ આંચકો આપવામાં સફળ રહે છે.
કવિ ઉમાશંકર જોશીએ આ સોનેટ વિશે કહ્યું છે કે ગુજરાતી ભાષા આટલી ઓજસ્વિતા સાથે ભાગ્યે જ કોઈ કવિતામાં પ્રયોજાઈ હશે…
Permalink
November 11, 2012 at 12:30 AM by તીર્થેશ · Filed under રમેશ પારેખ, સોનેટ
મૂછો માથે માખો બણબણ કરી ખાય ચકરી
ઠરે ત્યાં બાપુની નજર નકરી ખુન્નસભરી
‘કરી નાખું કુલ્લે ખતમ પણ શું થાય, જીતવા
અરે આ માંખો જો મરદ હત, તો દેત ન જવા’
-કહીને, ખંખેરે પગ પગથિયાંઓ ઊતરવા
કરે બાપુ પસ્તાણું ગઢ પછવાડે મૂતરવા…..
ત્વરાથી તાણે છે હડફ દઈ નાડી લટકતી
પરંતુ ના છૂટે સજડબમ એ ગંઠનવતી
વધે છે પેડૂફાટ ખણસ અને ગાંઠ ન ખૂલે
થતા બાપુ રાતાચકળ પણ ના હાર કબૂલે
અને ભીંતેથી તેગ તરત ખેંચીંગ લપકે
વધેરે નાડી ‘ જે બહુચર’ કહી એક ઝટકે
કહે : ‘ નાડીની યે ઘરવટ ગઈ હાથધરણે….
ભરોસાની માને ભટવદરનો ભાંડ પરણે….!’
-રમેશ પારેખ
આ સોનેટ વાંચીને હું નાચી ઉઠ્યો…..! એક તો સોનેટ કાવ્યપ્રકાર કોઈક કારણોસર બહુ લોકપ્રિય નહીં, તેમાં વળી હાસ્ય-સોનેટ !!!!! ધન્ય ધન્ય…..
Permalink
October 7, 2012 at 12:30 AM by તીર્થેશ · Filed under રાજેન્દ્ર શુક્લ, સોનેટ
રંગો ભળે એક મહીં અનેક
તે યે થતા લુપ્ત નહીં જ છેક
અસ્તિત્વને રૂપ અપાર વાય
અન્યાન્યની ઝાંય, બધે ઝીલાય !
પથભેદ થાય,મતિભેદ થાય,
સાથે વહ્યાંને ગતિભેદ થાય,
સાથે રહ્યાંની ઋતુ પૂરી થાય
છૂટાં છતાં ના પડી યે શકાય !
છો શ્વાસમાં શ્વાસ કદી સમાય,
હું દ્વૈતને કેમ દઉં વિદાય !
એકત્વનો ભાસ ભળે રચાય.
હું ભિન્નનો ભિન્ન રહું સદાય !
હું વાક્યમાં શબ્દ થઈ રહું છું,
ને શબ્દને વર્ણરૂપે વહું છું !
– રાજેન્દ્ર શુક્લ
પરસ્પરાવલંબન જેમ એક નક્કર તથ્ય છે , તે જ રીતે individuality પણ નક્કર સત્ય છે. અસ્તિત્વ એક,અનન્ય અને એકલું-alone – છે. શબ્દો,લાગણીઓ,અનુભવો ને અતિક્રમતા આપણી નિર્વિવાદ વ્યક્તિગતતા સામે આવે છે. ત્રીજો ફકરો સમગ્ર કાવ્યના હાર્દ સમાન છે. અદ્વૈતની વાત આકર્ષક છે પણ આસન નથી. અનુભૂતિના એ સ્તર પર પહોચવું કે જ્યાં અદ્વૈત સહજભાવ થઈ જાય તે યાત્રા આસન નથી. અને ત્યાં સુધી દ્વૈત આપણને છોડવાનું નથી.
Permalink
September 15, 2012 at 12:30 AM by વિવેક · Filed under જયન્ત પાઠક, સોનેટ
(શિખરિણી)
પછી તો પ્હાડોએ નિજ પર લીધાં ઓઢી જલદો
અને ઢંકાયાં સૌ શિખર, ખીણ, ઉત્તુંગ તરુઓ
તળાવો યે ડૂબ્યાં અતલ તલમાં આવરણનાં
ભુંસાઈ ગૈ દ્યાવાપૃથિવી વચમાંની સરહદો !
હવે આજુબાજુ, અધસ-ઊરધે એકરૂપ સૌ;
મને ના દેખાતો હું, ન સ્વજન ઊભાં સમીપ તે;
અવાજોમાં આછા પરિચિત લહું સર્વ ગતિને
સદેહે સ્વર્લોકે વિચરું ચરણે ધારી ક્ષિતિને !
સૂણું આહા ! વાદ્યધ્વનિ વહત ધીમા અનિલમાં
સૂરો ગંધર્વોના, લય લલિત વિદ્યાધરતણા;
મૃદંગોના ઘેરા પ્રતિધ્વનિ શું વાતાવરણમાં !
હું રંગદ્વારે છું સ્થિત ભવનના વાસવ તણા !
ઝીણી, ફોરે ફોરે નૂપુર ઘૂઘરીઓ બજી રહી;
જરા ઝબકારો – શી નયન નચવી ઉર્વશી રહી !
– જયન્ત પાઠક
પાવાગઢના પર્વત પર વરસતા વરસાદના અમૂર્ત સૌંદર્યને કવિએ અહીં જાણે કે શબ્દોના કેમેરા વડે મૂર્ત કરી દીધું છે. પહાડો જાણે નીચે આવી ગયેલાં વાદળોને ઓઢીને ઊભા હોય એમ લાગે છે અને આ વાદળોમાં સ્વર્ગ અને પૃથ્વીની તમામ સરહદો કેમ જાણે ભૂંસાઈ ગઈ ન હોય એમ શિખર-ખીણ-વૃક્ષો-તળાવો બધું જ ઓગળી ગયું છે… ઊપર-નીચે, આજુ-બાજુ બધું જ એકરૂપ ! પાસે ઊભેલાં સગાં તો ઠીક, પોતાની જાત પણ જોઈ ન શકાય એવું ગાઢ ધુમ્મસ છે જ્યાં માત્ર અવાજો જ ‘નજરે’ ચડે છે. ધીમે ધીમે વાતો પવન ગંધર્વોએ છેડેલા સૂર જેવો અને વાદળોનો ગડગડાટ તબલાં જેવો અને વરસાદના ફોરાં ઉર્વશીના ઝાંઝરના રણકાર સમા ભાસે છે. ઇન્દ્રલોકના દ્વારે આવી ઊભા હોવાની તીવ્રતમ અનુભૂતિ આ સૌંદર્યાન્વિત સૉનેટને કવિતાની ઊંચાઈ બક્ષે છે…
(જલદો = વાદળો, ઉત્તુંગ = અત્યંત ઊંચું, દ્યાવાપૃથિવી = સ્વર્ગ અને પૃથ્વી, અધસ-ઊરધે = નીચે-ઉપર, સ્વર્લોક = સાત માંહેનો એક લોક, ક્ષિતિ = પૃથ્વી, વાસવ = ઇન્દ્ર)
Permalink
August 27, 2012 at 12:30 AM by તીર્થેશ · Filed under મકરન્દ દવે, સોનેટ
હું તો તારા સમયનિધિનું ક્ષુદ્ર એકાદ બિંદુ,
ઝીણી લાગે તપન તણી જ્યાં ઝાળ,ઊડી જવાનું.
તો યે સૂતા મુજમહીં નિહાળું સદા સાત સિંધુ
કોઈ એવું ગહન મુજમાં નિત્ય,નિ:સીમ,છાનું.
હું તો નાનું હિમકણ, હિમાદ્રિ તું સ્થાણું સદાય,
હું તો પાલો પલકમહીં આ,પીગળી અસ્ત પામું,
તોયે મારે તવ થકી રહ્યો ભેદ અંતે ન ક્યાંય !
ઊડ્યો ઊંચે ઘનદલ બની અંક તારે વિરામું.
હું તો નાનું અમથું વડનું બીજ ને બીજમાં તો
ઊભો ધીંગો વડ, શું વડવાઈ જટાજૂટ ઝૂલે,
જ્યાં જોઉં ત્યાં અચળ પડદો એક સાથે ભૂંસાતો,
મારો તારો વિરહમિલને ખેલતો રંગ ખૂલે.
મહાઆશ્ચર્યથી આગે, મહદાનંદને તટે.
હું તને પામવા ઝંખું, મારામાં તું જ ઊમટે.
– મકરંદ દવે
તથાગતને કોઈક વિરોધીએ ભિક્ષામાં એક કેરીનો ગોટલો આપ્યો.સમસ્ત શિષ્યગણ આશ્ચર્યચકિત થઈ ગયો. થોડા શિષ્યો આઘાત પણ પામ્યા… પરંતુ તથાગત પ્રસન્નચિત્તે ભિક્ષા સ્વીકારી આશીર્વચન કહી પાછા વળ્યા. સ્થાનકે જઈ તે ગોટલો શિષ્યોને વારાફરતી આપ્યો. કોઈ કશું જ બોલતું ન હતું. શિષ્યો કંઈ જ સમજી ન શક્યા. છેવટે ભગવાનના પ્રથમ શિષ્યગણમાંના એક એવા સરીપુત્તના હાથમાં તે ગોટલો આવ્યો. તેઓ તેને એક ચિત્તે જોઈ રહ્યા અને તેઓના ચહેરા પર પ્રસન્ન સ્મિત આવી ગયું. તથાગત પ્રસન્ન થઈ વિરામ કરવા સિધાવ્યા. શિષ્યો સરીપુત્તને ઘેરી વળ્યા અને આ રહસ્યમય મૌનસંવાદનું રહસ્ય પૂછ્યું….સરીપુત્તે કહ્યું – ‘ આ ગોટલામાં આખો આંબો છે….આ દાન આપનાર કેટલો ઉદાર અને મહાન હશે ! ‘
Permalink