બધી ચિંતા, બધાંયે કષ્ટ જોજન દૂર ઠેલીને,
હું એ રીતે અહીં બેઠો છું જીવનને અઢેલીને !

રૂઓ છો કેમ? પૂછો જઈને આ પડસાળ, ડેલીને,
સ્મરણ પણ ક્યાં હવે આવે છે અહીં આ વાડ ઠેલીને ?
- વિવેક મનહર ટેલર

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for સોનેટ

સોનેટ શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.




ઈર્શાદગઢ : ૦૫ : સૉનેટ : વૃદ્ધ – ચિનુ મોદી

OLYMPUS DIGITAL CAMERA

હવેલી સૂની છે, ખખડધજ છે, જીર્ણ પણ છે
હજી સન્નાટાની હરફર; હજી એક જણ છે
અને એ છે એથી પવન સરખો શ્વાસ પણ છે
અને રોજે રોજે વિકસિત થતું એક રણ છે.

હજી ઊના ઊના રવિકિરણથી તપ્ત કણમાં
તરંગાતાં લ્હેરે મૃગજળ અહીં નેત્ર છળતાં
બધા જૂના ચ્હેરા અવિરત હજી ચિત્ત મઢતા
પ્રસંગે બોલાયા સ્વર, બધિર કાને ખખડતા.

ખવીસે પાળેલા જડભરત એકાંત સરખું
ભલે ભુરાટેલું અણસમજ એ હિંસક પશુ
ધસે ભીંટો ત્યારે ભરભર ભૂકો થાય પળમાં
હવેલી જૂની છો કણ કણ વિખેરાય…

ભલે તોડીફોડી કણ કણ કરે કાળ તદપિ
હવેલી હીંચે છે વયવગરના વૃદ્ધ મનમાં.

– ચિનુ મોદી

સાંપ્રત સમયમાં ચિનુ મોદીએ નાનાવિધ કવ્યપ્રકારોમાં જેટલું ખેડાણ કર્યું છે એટલું ભાગ્યે જ કોઈ કવિએ કર્યું હશે. કવિ ઉત્તમ સૉનેટકવિ પણ ખરા. પ્રસ્તુત સૉનેટ કવિના પ્રિય શિખરિણીમાં જ આલેખાયું છે. દીકરાઓ ત્યજીને ચાલ્યા જાય પછી ગામની સૂની હવેલીમાં માત્ર સન્નાટાની હરફર છે, બરાબર એ જ રીતે જેમ વૃદ્ધના ખખડધજ શરીરમાં શ્વાસની છે. હવેલીની અંદર સતત રણ વિકસતું રહે છે. કાન બહેરાં થઈ ગયાં છે પણ ભૂતકાળનાં પ્રસંગો હજી અકબંધ સંભળાય છે. હિંસક એકાંત ભૂરાયું થાય ત્યારે જૂની હવેલીના કણ કણ વિખેરાઈ જાય છે. ભલે કાળની હથોડી હવેલીના કાંગરા રોજ-રોજ કેમ ન ખેરવતી જતી હોય, વૃદ્ધના મનમાં હવેલીનું વય વગરનું એ જ ઐશ્વર્ય સદાબહાર અકબંધ છે, હતું ને રહેવાનું… સમય ભલે ભલભલાંનો કળિયો કેમ ન કરી જાય, સ્મરણ કાળાતીત છે, ટાઇમપ્રુફ છે.

Comments (4)

વૃદ્ધત્વ – ચિનુ મોદી

(શિખરિણી)

શરીરી સામ્રાજ્યે હલચલ વધી ગુપ્ત; બળવો
થવાની તૈયારી, સમય હમણાં મંથર થયો.
હવે ખોડંગાતો પરિચિત પથે, કારણ વિના
હતું સારું રોજુ ભ્રમણ કરતું એકસરખું
શરીરે જે લોહી, વધઘટ કરે, ચાલ બદલે
હવે એ સ્વેચ્છાયે
મને હંફાવી દે ત્વરિતગતિના શ્વાસ, ગધના.
ધ્રૂજે હાથે પ્યાલો, બધિર બનતો કાન, હમણાં
દીસે ઝાંખું ઝાંખું જગ, પળિયા શ્વેત બનતા.
ત્વચામાંથી પેલું તસતસપણું ગાયબ થયું.
હતોત્સાહી છે બે ચરણ, હરણાં એક સમયે.
સદાયે લાગી જે ચપલ ચપલા જીભ, લથડે.
હવે બોખા મોંએ ક્ષણ કઠણને કેમ ચગળું?
જઉં ફોટાફ્રેમે, વધઘટ નથી ઉમર થતી.

– ચિનુ મોદી

જીવનના આખરી મુકામ પર આવી ઊભેલા વૃદ્ધની સંવેદનાનું આવું સ-રસ સૉનેટ કાવ્ય આપણી ભાષામાં ભાગ્યે જ જોવા મળશે. શરીરના રાજ્યમાં ગુપ્ત હિલચાલ શરૂ થઈ ગઈ છે. અલગ અલગ અંગો બળવો પોકારવાની ફિરાકમાં ટાંપીને બેઠાં છે. પહેલાં જે સડસડાટ વહી જતો હતો ને દિવસ ટૂંકો પડતો હતો એ સમય હવે ધીમી ગતિએ ને વળી ખોડંગાતો ખોડંગાતો પસાર થવા માંડ્યો છે. વૃદ્ધ માણસનો દિવસ કેમે કરીને પૂરો થતો નથી ને વળી નિદ્રાવિહોણી રાત તો એથીય લાંબી અને દુષ્કર. ચડતું લોહી પણ હવે રંગ બદલે છે. વિકારો જન્મવા શરૂ થઈ ગયા છે. બિમારી એની મનમરજીથી આવે છે. છઠ્ઠી પંક્તિ ખંડ શિખરિણીમાં લખી અડધી મૂકી દઈ કવિ વધતી જતી અશક્તિનું તાદૃશ આલેખન કરે છે. વાતે વાતે ને ડગલે પગલે શ્વાસ એવો ચડી આવે છે કે કંઠમાંથી સહજ ગાળ નીકળી આવે છે. હાથ ધ્રુજે છે, કાને ઓછું સંભળાઈ રહ્યું છે, આંખોનું નૂર ઓસરતું જાય છે, વાળ વધુ ને વધુ સફેદ બનતા જાય છે, ચામડી લબડવા માંડી છે, એકસમયના હરણ જેવા ચરણમાંથી ઉત્સાહ ઓસરી ગયો છે અને જેના બોલ પર આખી જિંદગી મુસ્તાક રહ્યા એ જીભ પણ લથડવા માંડી છે. પસાર કરવો અઘરો બની ગયેલા સમયની કપરી કઠણ ક્ષણોને ચાવવા માટેના દાંત હવે બચ્યા નથી. હવે તો મૃત્યુ આવે તો સારું… ફોટો બનીને દીવાલ પર લટકી જવાય તો વધતી જતી ઉંમર અને એની સાથે વણાઈ ચૂકેલી હાડમારીમાંથી કાયમી છૂટકારો થાય… છેલ્લી બે પંક્તિ સાચા અર્થમાં ધારી ચોટ નિપજાવીને સૉનેટને ઉત્તમ કવિતાની કક્ષાએ લઈ જાય છે.. શિખરિણી છંદ ચિનુ મોદીનો પ્રિય છંદ રહ્યો છે અને આ છંદમાં કવિનો સહજ વિહાર ધાર્યું પરિણામ આપે છે.

Comments (11)

જન્મોત્સવ – ગુણવંત વ્યાસ

હૈયે મારે જલધિજલનાં શીકરો ઊછળે છે,
દાદા થ્યાનો અવસર દિલે દીપતેજે ઝગે છે.
દાદી એની હરખ કરતી, બોલતી પોરસીને:
‘ચાલો, જૈએ ગળપણભરી લાગણીઓ લઈને!’

ને એ દોડી, હું અનુસરિયો, વાધતો વંશ ભાળી,
પ્હોંચી થ્યું કે, ‘પુતરઘર હું પારકો, એ પરાઈ.’
બેટો મારો વરતન થકી લાગતો’તો પરાયો,
ને એની આ વહુ-વદન પે ભાવ ના કો કળાયો.

તોયે દાદી કુસુમવત આ બાળને ગાલ ચૂમે,
ભૂલી વૈને ચકરભમતી ગોળ ને ગોળ ઘૂમે.
તેડી લાવી મુજ કને વદે : ‘દીકરો લો તમારો;
લાગે જાણે અસલ નકશો બાપના બાપ જેવો.’

દેખી મારી નખશિખ છબી; પુત્રનો પાડ માનું
છો ના આપ્યું કશું; પણ મળ્યું, જીવવાનું બહાનું.

– ગુણવંત વ્યાસ

અલગ રહેતા પુત્રના ઘરે પુત્રના જન્મનો ઉત્સવ અને દાદા-દાદીના સંવેદનો બહુ નાજુકાઈથી કવિએ આ સૉનેટમાં કંડાર્યાં છે. પૌત્રને રમાડવા હરખઘેલા પુત્રઘેર પહોંચી જતા દાદા-દાદીને ક્ષણાર્ધમાં સમજાઈ જાય છે કે પુત્ર અને પુત્રવધૂ બંને પરાયા છે. પણ વંશવેલાને વધતો જોઈ દાદી આ અપમાન અવગણીને પણ પૌત્રને રમાડે છે અને દાદાને બતાવે છે કે એ બાળકની શિકલ એમના જેવી જ છે. પૌત્રના ચહેરામાં પોતાનો ચહેરો નિહાળી દુઃખી-અપમાનિત છતાં બાપ દીકરાનો પાડ માને છે કે ઢળતી ઊંમરે જીવવાનું બહાનું આપ્યું…

Comments (5)

શબદ – ગુણવંત વ્યાસ

(શિખરિણી)

તને જે દેખાતો નહિ નયનથી, તે શબદ છે;
છતાં જે વંચાતો કદી કલમથી, તે શબદ છે !
સદા બોલાયેલો શબદ પણ ના હો શબદ; તો
નહીં બોલાયેલો, પણ અરથ હો : તે શબદ છે !

કદી ચોપાસે તે કલરવ કરી કાન ભરતો,
કદી એકાંતે તે ‘હઉંક’ કરતો બાળ બનતો;
કદી મૂંગોમૂંગો ખળખળ વહંતો તનમને,
કદી ગાજી ગાજી ખળભળ કરી દે અનંતને.

ચહુ : ખાતા-પીતા, હરફર થતા, કામ વહતા,
તથા સૂતા-સૂતા, સપન સરતા, વાત કરતા
સદા સાથે, સાચો ઝળહળ ખજાનો, શબદ હો :
યથા સો-સો સૂર્યો, શતશત મયંકો, વીજ યથા.

ન તો એથી કો દી અલગ પડું, ના વીસરું કદા;
છતો એથી, એનો પરિચય થઈ વીચરું સદા.

– ગુણવંત વ્યાસ

શબ્દનો મહિમા તો કઈ ભાષા, કઈ સંસ્કૃતિના કવિએ નથી કર્યો? પણ સરવાળે તો નેતિ..નેતિ…જ ! પ્રસ્તુત સૉનેટમાં કવિ પણ શબ્દનો તાગ મેળવવા મથે છે. શબ્દ શું છે? જે આંખ જોઈ શકતી નથી એ પણ અને જે જોઈ શકે છે એ પણ. ગુસ્સામાં કે અર્થહીનતામાં બોલાયેલો શબ્દ શબ્દ નથી. એથી વિપરીત, અર્થસભર ઈશારા કે વર્તણૂંક ભલે હોઠેથી ઉચ્ચારાયા નથી પણ શબ્દથી અદકેરા શબ્દ છે. ક્યારેક શબ્દ કોલાકલોથી કાન તર કરી દે છે તો ક્યારેક સાવ એકાંતમાં હઉંક કરી પાછળથી ચોંકાવી દેતા બાળકની જેમ કંપની આપવા પણ આવી ચડે છે. ખાતા-પીતા, હરતા-ફરતા, કામ કરતા-મૂકતા, બોલતા-ચાલતા – એમ પળેપળ સૂતા-જાગતા કવિ સો-સો સૂર્ય-ચંદ્ર-વીજ સમો તેજસ્વી શબ્દનો ખજાનો પોતાની સાથે ને સાથે જ હોય એમ ચહે છે. એથી જ તો કવિ એનાથી કદી અલગ થતા નથી કે કદી શબ્દને ભૂલતા નથી. કેમ? તો કે, કવિ જાણે છે કે કવિ શબ્દથી અને શબ્દ કવિથી જ છતા થાય છે.

કેવી અદભુત રચના !

Comments (1)

પુનઃ ! – વીરુ પુરોહિત

(મંદાક્રાંતા)

આશ્લેષી ત્યાં ફરી કર વિષે ફૂટતું અંકુરો શું,
ડોલી ઊઠે મઘમઘ થતાં ફૂલ જેવી હથેળી !
ભીની ભીની મૃદુ ફરકતી રોમાવલિ ઘાસ જેવી,
‘ને તેમાંથી હળુક સરતી સર્પ શી અંગુલીઓ !

કૂદે જાણે યુગલ સસલાં, એમ સ્પર્શે સ્તનો, ‘ને
શ્વાસે શ્વાસે મધુર શ્વસતો મોગરો કેશ ગૂંથ્યો !
ખુલ્લી પૂંઠે ક્રમિક પડતા ઉષ્ણ શ્વાસો અધીરા
જાણે કાળાં, નિબિડ વન વચ્ચે પ્રકાશે ન ભાનુ !

કંપી ઊઠ્યાં શગ સમ સખી ! ઓષ્ઠ પે ઓષ્ઠ મૂકી,
આંદોલે તું અવિરત ધરા પાદ નીચે ! અચિંતા-
ઝીણી ચૂંટી કર મહીં ખણી, આંખમાં આંખ પ્રોવી
‘ને તેં શ્યામા, મધુર હસતાં હોલવી રાત કેવી !

કંપી ઊઠ્યો હળુક લહરે, હાર તારી છબીનો,
તૂટ્યાં સ્વપ્ને, સજળ નયને, હું નિહાળું છબીને !

– વીરુ પુરોહિત

“આશ્લેષી” ક્રિયાની આગળ ‘તને’ અધ્યાહાર રાખીને કવિ શબ્દવ્યવહારમાં તો કરકસર ઇંગિત કરે છે પણ પ્રણયવ્યવહારમાં રતિરાગપ્રચુરતા અપનાવે છે. પ્રિયાના આશ્લેષમાં હાથ ફૂલ સમ મઘમઘ ખીલી ઊઠે એ તો સાહજિક કલ્પન છે પણ ત્વચા પર આંગળીઓ ફરતાં થતા રોમાંચને ઘાસમાં હળવેથી સરકતા સાપ સાથે સરખાવીને કવિ કમાલનું અનુઠું ચિત્ર ઊભું કરે છે. પ્રણયકેલિનું પ્રગલ્ભ ચિત્ર કવિ સમ-ભોગની પરાકાષ્ઠા સુધી એકદમ સાહજિકતાથી પૂર્ણ કરે છે. સંભોગશૃંગારનું એક ઉત્તમ મોતી આપણને હાથ લાગ્યું હોવાની ઉત્તેજના ચરમસીમા પર હોય એ જ ઘડીએ આખરી બે પંક્તિમાં કવિ સૉનેટને કરૂણાંતિકા બનાવી દે છે. મૃત્યુ પામેલી પત્નીની છબી પરના હારને પવનમાં હળવેથી હલતો જોતા હોવાની વાસ્તવિક્તા તૂટેલાં સ્વપ્નોની કરચથી આંખ છલકાવી દે છે – આપણી પણ !

Comments (4)

ભાષાભવન – અદમ ટંકારવી

એના પાયામાં પડી બારાખડી
ચોસલાંથી શબ્દોનાં ભીંતો ચણી
એક તત્સમ બારણું પ્રવેશનું
સાત ક્રિયાપદની બારી ઊઘડી

ભોંયતળિયે પાથર્યાં વિરામચિહ્ન
ને અનુસ્વારોનાં નળિયાં છાપરે
ગોખમાં આઠે વિભક્તિ ગોઠવી
ભાવવાચક નામ મૂક્યું ઉંબરે

થઈ ધજા ફરક્યું ત્યાં સર્વનામ ‘તું’
ટોડલે નામોના દીવા ઝળહળ્યા
સાથિયા કેવળપ્રયોગી આંગણે
રેશમી પડદા વિશેષણના હલ્યા

કે અનુભૂતિનો સુસવાટો થયો
ત્યાં જ આ પત્તાંનો મહેલ ઊડી ગયો

– અદમ ટંકારવી

ભાષાની ભવ્યતા અને પ્રેમ સામે એની નિરર્થકતા કવિએ આ સૉનેટમાં કેવી સરસ રીતે juxtapose કરી છે ! ગુજરાતી ભાષાના નાનાવિધ અંગ વાપરી કવિ પહેલા અષ્ટકમાં ભવ્ય ભાષાભવન ખડું કરે છે ત્યારે તો સમય પણ એની કાંગરી નહીં ખેરવી શકે એવું અડીખમ હોવાની પ્રતીતિ કરાવે છે પણ ષટકની શરૂઆતમાં જ ત્યાં પ્રિયપાત્રનો ‘તું’ ધજા થઈને ફરફરે છે અને પ્રેમની દિવ્ય અનુભૂતિ થાય છે અને એના સૂસવાટા માત્રથી આખેઆખું ભાષાભવન પત્તાંના મ્હેલની જેમ ઊડી જાય છે. પ્રેમની અનુભૂતિ ભાષાતીત હોય છે…

Comments (3)

પ્રતિમાની દેવી – શ્રી અરવિંદ (અનુ. સુન્દરમ્)

ત્યહીં નગર દેવને, લઘુક મંદિરે રાજતી
શિલાની પ્રતિમા થકી પ્રભુ રહ્યા લહી હું પ્રતિ:
રહ્યું વિલસી દિવ્ય મૃત્યુ-પર એક સાંનિધ્ય ત્યાં, –
સ્વરૂપ નિજમાં ધરંતું સઘળાં ય આનંત્યને.

વિરાટ જગદંબિકા – પ્રખર એની ઇચ્છા તથા
ધરાની અતલાંત નીંદ મહીં આવી વાસો વાસી,
અશબ્દ, પરમા સમર્થ, અવિગમ્ય, મૂક સ્થિતા
ત્યહીં રણ વિષે અને ગગનમાં તથા સાગરે.

હવાં મનસ-આવૃતા વસતી તે, ન બોલ કશું,
અશબ્દ, અવિગમ્ય, સર્વંવિદ, ગુમ એ તો વસે;
યદા નિરખશે જ આત્મ અમ સૂણશે-શી વિધે
ગ્રહંતી તન એ, પૂજારી પ્રતિમા વિષે એક જે,

શકે પથર કે શરીર ધરી જેનું સૌંદર્ય, હા,
રહસ્ય પણ જેહનું – પ્રગટ એ થશે ત્યાહરે.

– શ્રી અરવિંદ
(અનુ. સુન્દરમ્)

*
મહર્ષિ અરવિંદ પથ્થરની પ્રતિમાને સામે રાખીને સર્વવ્યાપી, સર્વશક્તિમાન, સર્વજ્ઞ પરમેશ્વરપ્રાપ્તિનો માર્ગ પ્રશસ્ત કરે છે. નાશવંત પથ્થરોમાં કેદ ઈશ્વર હકીકતે આપણી પ્રતિક્ષામાં જ છે, આપણને આવકારવા સર્વદા તત્પર જ છે. આપણે જ્યાં સુધી નિદ્રાવશ છીએ ત્યાં સુધી જ એ ચૂપ છે. આપણે આપણો માનસપટ ફગાવીને પરમકૃપાળુનો સાદ સાંભળીએ એ ઘડી આપણી જાગૃતિની ઘડી છે. મૂર્તિ અને જડ આકાર એ પ્રભુ સુધી લઈ જતા માર્ગ માત્ર છે. પથ્થરની પ્રતિમા આપણે વિચારી શકીએ એના કરતાં વધુ સજીવ, વધુ સામર્થ્યશાળી છે.

*

The Stone Goddess

In a town of gods, housed in a little shrine,
From sculptured limbs the Godhead looked at me,–
A living Presence deathless and divine,
A Form that harboured all infinity.

The great World-Mother and her mighty will
Inhabited the earth’s abysmal sleep,
Voiceless, omnipotent, inscrutable,
Mute in the desert and the sky and deep.

Now veiled with mind she dwells and speaks no word,
Voiceless, inscrutable, omniscient,
Hiding until our soul has seen, has heard
The secret of her strange embodiment,

One in the worshipper and the immobile shape,
A beauty and mystery flesh or stone can drape.

– Sri Aurobindo

Comments (2)

જૂનું ઘર ખાલી કરતાં (English) – બાલમુકુન્દ દવે

અંગ્રેજી અને દેશી-વિદેશી કવિતાઓના ગુજરાતી અનુવાદ આપણે અવારનવાર વાંચતા સાંભળતા આવ્યા છીએ. આપણી કવિતાઓ વિશ્વ સુધી પહોંચી શકતી નથી એનો વસવસો પણ આપણે ઘણીવાર કરતાં હોઈએ છીએ. ગુજરાતી કવિતાઓનો અંગ્રેજી અનુવાદ થતો નથી એટલે આપણી ભાષાના કોઈ કવિને નોબલ મળતું ન હોવાની હૈયાવરાળ કાઢનાર પણ દરેકને ક્યાંક ને ક્યાંક ભટકાયા જ હશે… તો થોભો… તમારી આ ફરિયાદોનો એક અક્સીર જવાબ હવે ઓનલાઇન ઉપલબ્ધ છે. ઉદયન ઠક્કરના નેજા હેઠળ શરૂ થયેલ poetryindia.com પર આપ ૩૦૦ થી વધુ ગુજરાતી કવિતાઓના અંગ્રેજી અનુવાદ માણી શકો છો.

MOVING HOUSE

Rummaging through the house again we found
Scraps of Lux soap, a toothbrush, an old broom,
a leaking bucket, tin box, and lidless bottles,
thread and needle, specs (broken), clips and pins!
Taking down the name-plate on the door,
we placed it face down in the departing lorry.
We looked around again one last time at where
those first ten years of married life went by:
our son, a boon so long desired, was born;
from where we took him to the fire’s last embrace.
Suddenly from some corner came a voice:
‘Ba-Bapu, you’ve left nothing here but me-‘
Our eyes were full of pricking grains of grass;
our leaden feet tired down with iron weights.

– Balmukund Dave
(Translated by Suguna Ramanathan & Rita Kothari)

*
અરે હા… આ છે મૂળ ગુજરાતી કવિતા… એ પણ માણી લ્યો…

ફંફોસ્યું સૌ ફરીફરી અને હાથ લાગ્યુંય ખાસ્સું :
જૂનું ઝાડુ, ટૂથ-બ્રશ, વળી લક્સ સાબુની ગોટી,
બોખી શીશી, ટિનનું ડબલું, બાલદી કૂખકાણી,
તૂટ્યાં ચશ્માં, ક્લિપ, બટન ને ટાંકણી સોય-દોરો !
લીધું દ્વારે નિત લટકતું નામનું પાટિયું,જે
મૂકી ઊંધુ, સુપરત કરી, લારી કીધી વિદાય.

ઊભાં છેલ્લી નજર ભરીને જોઈ લેવા જ ભૂમિ,
જ્યાં વિતાવ્યો પ્રથમ દસકો મુગ્ધ દામ્પત્ય કેરો;
જ્યાં દેવોના પરમ વર-શો પુત્ર પામ્યાં પનોતો
ને જ્યાંથી રે કઠણ હૃદયે અગ્નિને અંક સોંપ્યો !
કોલેથી જે નીકળી સહસા ઊઠતો બોલી જાણે:
‘બા-બાપુ ! ના કશુંય ભૂલિયાં, એક ભૂલ્યાં મને કે ?’
ખૂંચી તીણી સજલ દૃગમાં કાચ કેરી કણિકા ! દૃગ=આંખ
ઉપડેલાં ડગ ઉપર શા લોહ કેરા મણીકા !

– બાલમુકુન્દ દવે

Comments (12)

આજીવન ગતિ ! – યોસેફ મેકવાન [ અનુષ્ટુપ સોનેટ ]

વિશ્વ દીસે રૂપાળું પણ જિંદગી ભરખી રહ્યું,
પરમ્પરા ભૂલોની કૈં કોણ આ સરજી રહ્યું !

સ્વાર્થની જાળની ઝીણી જાળી અદૃશ્ય છે બધે
રચાતા સૂક્ષ્મ તંતુઓ કાળના હાસ્યથી વધે.

અજાણ્યા જીવને કેવી પીડે છે પીડ ભીતરે,
આંખથી સ્વપ્ન અર્થીઓ ટપક ટપકી નીસરે !

સમય તો ચાલ ચાલે છે વિચિત્ર, ચિત્તમાં બધે
સમજી ના શકે જાણી કોઈ એ ખેલ ક્યાંય તે.

હા,શતરંજના છીએ પ્યાદા અગમ્ય હાથમાં,
ઇચ્છાઓ ખેલવે જેમ ખેલીએ ચાલ સાથમાં .

હાર તો થૈ જતી જીત, ઉત્સાહે મન ત્યાં ધસે
દેખાતી જીત, હારો તો ચારેકોર હવા હસે !

ભવ્ય કૈં જિંદગીઓ તો અકલ્પ્ય અંતમાં ઢળે
સમય ચાલ ચલે એનું નામોનિશાન ના મળે !

– યોસેફ મેકવાન

હું છંદશાસ્ત્ર નથી જાણતો પણ આ કોઈક નવતર પ્રયોગ લાગે છે. સમયની-પ્રારબ્ધની વાત છે…અર્થ સરળ છે,પરંતુ કવિકર્મ કમાલનું છે !

Comments (2)

બાપુ અને ઉદરશૂળ – રમેશ પારેખ

ફરાળ કર્યું બાપુએ જમી બપોરના ફાફડી
થયો સખત ગેસ ને ઉદરમાં પીડા ઊપડી
પીધી ચસચસાવી કૈં કેટલી બીડી સામટી
થયા અરધ રાતના ગજર ને પીડા ના ઘટી

‘તને, ગધની ફાફડી,ખૂટલ,ગોલકીની, ફટ ;
ભગા સુખડિયા, તને પણ હું શું કહું હલ્કટ ?
કર્યો અસલમાં દગો, કરજમાં ઉતાર્યો અને
ઉધાર દઈ, ફાફડી ય ફટકારી ખોરી મને’

મનોમન જ બાપુ આમ વદતા પડ્યા છે ભડ
ગ્રહી ઉદરને અહો, ઉભય હાથથી સજ્જડ
વદે : ‘ ભલભલા અમે દુશમનો દીધા ઝાટકે
અરે, સુભટ છું, નહીં ટકર ગેસડું લૈ શકે

કરું અબઘડી ખલાસ [ ઊંહ ] પેટની આંકડી ‘
ભરી તરત બાપુએ જલદ હીંગની ફાકડી

– રમેશ પારેખ

શબ્દોનું selection તો જુઓ !!!!!

Comments (4)

ગાંધી – સુન્દરમ્

પટે પૃથ્વીકેરે ઉદય યુગ પામ્યો બળતણો,
ભર્યાં વિદ્યુત્, વાયુ, સ્થળ, જળ મુઠીમાં જગજને;
શિકારો ખેલ્યા ત્યાં મદભર જનો નિર્બળતણા,
રચ્યાં ને ઊંચેરાં જનરુધિરરંગ્યાં ભવન કૈં.

ધરા ત્રાસી, છાઈ મલિન દુઃખછાયા જગ પરે,
બન્યાં ગાંધીરૂપે પ્રગટ ધરતીનાં રુદન સૌ;
વહેતી એ ધારા ખડક-રણના કાતિલ પથે,
પ્રગલ્ભા અંતે થૈ, ગહન સરલા વાચ પ્રગટી :

હણો ના પાપીને, દ્વિગુણ બનશે પાપ જગનાં,
લડો પાપો સામે વિમળ દિલના ગુપ્ત બળથી,
પ્રભુ સાક્ષી ધારી હૃદયભવને, શાંત મનડે
પ્રતિદ્વેષીકેરું હિત ચહી લડો, પાપ મટશે.

પ્રભો, તેં બી વાવ્યાં જગપ્રણયનાં ભૂમિઉદરે,
ફળ્યાં આજે વૃક્ષો, મરણપથ શું પાપ પળતું !

– સુન્દરમ્

પ્રથમ દૃષ્ટિએ કવિતા વધુપડતી મુખર લાગે પણ કવિએ વાચાળ થઈને પણ સૂક્ષ્મતાપૂર્વક સર્વકાલીન સત્ય અદભુત રીતે કવિતામાં વણી લીધું છે. આ સત્ય દરેક યુગનું સત્ય છે. બળનો યુગ ઉદય પામે, ધરા-આકાશ-સમુદ્ર બધું જ કાબૂમાં કરી લે, નિર્બળ લોકોનો શિકાર ખેલે અને એમના રક્ત સીંચીને મહાલયો ખડા કરે…

ગીતાના यदा यदा हि धर्मस्यના નિયમ મુજબ ક્યારેક ઈસુ તો ક્યારેક બુદ્ધ તો ક્યારેક ગાંધી ધરતીના રુદનમાંથી જન્મ લે છે અને કવિ સુન્દરમ્ ગાંધીવાણીના રૂપે આપણને અજર-અમર કહેવત આપે છે: “હણો ના પાપીને… …ગુપ્ત બળથી”

પણ ધરતીમાં જ કંઈ સમસ્યા છે કે શું પણ વિશ્વપ્રેમના બીજ વાવ્યાં હોવા છતાં મરણપથ સમું પાપ જ ઊગે છે… (જો કે વિશ્વપ્રેમનાં બીજમાંથી આજે વૃક્ષ થયું એવો અર્થ પણ અંતિમ બે પંક્તિનો અન્યો વડે કરવામાં આવ્યો છે)

(છંદ: શિખરિણી, શૈલી: શેઇક્સપિરિઅન)

 

Comments (2)

પુરુષ અડતો સ્ત્રીને – કૃષ્ણલાલ શ્રીધરાણી

(પૃથ્વી)

અમે જઈ ઊભાં ઊંચે લળતી નાળિયેરી તળે,
સમુદ્ર મરજાદ શી નીલમ વેલ લૂમે વળે
નીચે પગ કને : તિમિર તણી પાંખ માંહી જરી
લપાઈ સુણતા પણે મુખર સાગરી ખંજરી.

પુરુષ અડતો સ્ત્રીને પ્રથમ વાર, ને સ્ત્રીય તે
વ્રીડા પ્રથમ ચુંબને ધરત; ને ઉન્હી સંગતે
સમુદ્ર, તરુ, વેલીઓ, સમીર ને દીવા દૂરના,
ત્રિલોક ગળતું મિષે ઉભય નેહના નૂરમાં.

જરીક થડકી ઊઠી હું અણચિંતવ્યા પ્રશ્નથી:
‘પ્રિયા ! પ્રિયતમા ! કહે, ક્યમ તું આટલા વર્ષથી
હતી વરી ચૂકી છતાંય મુજથી રહી વેગળી?’
‘તમેય…’ હુંય ઉચ્ચરી, ‘ક્યમ ન વાંસળી સાંભળી?’

અમે વરસ વેડફ્યાં ઉભય પ્રીતની શંકમાં,
કદી ન અળગાં થશું ! જીવશું એકડા અંકમાં !

– કૃષ્ણલાલ શ્રીધરાણી

વરસોની મિત્રાચારી હોય પણ શરમ ને શંકામાં પ્રીતનો એકરાર કરી ન શકનાર એક યુગલ આજે ઢળતી સાંજે સમુદ્રકિનારે આવ્યું છે. પોતાનું એકાંત ન ઓજપાય એ માટે સમુદ્રથી દૂર એમણે ઝાડ પણ નારિયેળીનું પસંદ કર્યું છે – રખે ને એમનો પ્રેમાલાપ સાંભળી જાય ! અંધારાની આડશે લપાઈને દરિયાના મોજાંનું સંગીત સાંભળતા ઊભા છે.

પ્રથમ સ્પર્શ ! પ્રથમ ચુંબન ! સ્ત્રી પોતાની શરમ એ ચુંબનને અર્પણ કરી દે છે. પ્રણયના અજવાળામાં ત્રણેય લોક ઓગળી જાય છે. (શબ્દ પ્રયોગ તો જુઓ, સાહેબ – “ઉન્હી સંગતે” ! ત્રીસીના દાયકાનો કવિ પરંપરાના સૉનેટમાં હિન્દી શબ્દ ગોઠવી દે છે અને એ પણ એવી કુશળતાથી કે જરાય ખટકે નહીં)

Comments (4)

કેમકે હવે કોઈ મદદ શક્ય નથી – માઇકલ ડ્રાઇટન, (અનુ. વિવેક મનહર ટેલર)

કેમકે હવે કોઈ મદદ શક્ય નથી, ચાલ ચુંબન કરીએ અને છૂટા પડીએ-
ના, બસ. પત્યું. હવે તું મને લગરિક વધુ નહીં મેળવી શકે;
અને હું ખુશ છું, હા, ખુશ છું હૃદયના ઊંડાણથી,
કે આમ આટલી સફાઈપૂર્વક હું મારી જાતને આઝાદ કરી શક્યો.
હાથ મેળવી દે હંમેશને માટે, રદ કરી દે આપણા બધા સોગંદ,
અને ક્યારેક કોઈ સમયે આપણે મળી જઈએ ફરીથી,
તો બેમાંથી એકેયના કપાળ પર એ નજરે ન ચડે
કે આપણામાં એક અંશ પણ પ્રેમ ભૂતકાળનો બચી ગયો છે.
હવે પ્રેમના આખરી શ્વાસના આખરી ડચકે,
જ્યારે, એની નાડી બંધ પડી રહી છે, ધબકાર વાચાહીન સૂતો છે,
જ્યારે શ્રદ્ધા એની મૃત્યુશય્યા પર ઘુંટણિયે પડી છે,
અને નિર્દોષતા એની આંખ બીડી રહી છે,
– હવે, જો તું ધારે તો, એના માટેની બધી આશા જ્યારે મૂકી દીધી છે,
મૃત્યુના મુખમાંથી કદાચ તું જ એને પરત આણી શકે.

– માઇકલ ડ્રાઇટન
અનુ. વિવેક મનહર ટેલર

કાયમ માટે છૂટા પડી જવાનો અડીખમ નિર્ણય કદાચ કેટકેટલાં મનોમંથનો પછી લેવાયો હશે… છૂટાં પડતી વખતે એક ઔપચારિક ચુંબન અને કાયમની ગુડ-બાય. જીરવી ન શકાતા બંધનમાંથી આઝાદ થતી વખતે હૃદય કેવો હર્ષ અનુભવતું હશે. એક-મેક સાથે ખુલાસાઓ થઈ રહ્યા છે. બધી યાદ, બધા સોગંદ-બધું જ હવે કાયમ માટે ભૂલી જવાનું છે. ક્યારેક જોગાનુજોગ ક્યાંક ભટકાઈ જવાય તો એકેયના ચહેરા પરની કરચલીઓમાં ભૂતકાળનો પ્રેમ નજરે પણ ન ચડવો જોઈએ એવી સમજૂતિ સાથે છૂટાં પડવાનું છે, કેમકે પ્રેમ હવે આઇસીસીયુમાં છેલ્લાં શ્વાસ ભરી રહ્યો છે.

અહીંયા સુધીની ઘટના વધતે-ઓછે અંશે આપણે સહુએ જીવનમાં ક્યાંક ને ક્યાંક અનુભવી છે. પણ ખરી કવિતા અને સૉનેટની ચોટ છે આખરી બે કડીઓમાં. (જોકે મને સંતોષ થઈ શકે એવું ગુજરાતી હું આ પંક્તિઓનું નથી કરી શક્યો). કવિ કહે છે કે તેં આ પ્રેમનો પૂર્ણપણે ત્યાગ કર્યો છે પણ હજી કદાચ તું પાછી ફરે… એક નજર આ તરફ કરે.. એક સ્મિત મારા તરફ ફેંકે… એક હાથ લંબાવે… તો કદાચ આ પ્રેમ ફરીથી એવોને એવો જીવિત થઈ ઊઠે…

કવિતાની શરૂઆતમાં અડીખમ દેખાતો નાયક કાવ્યાંતે કેવો વિહ્વળ નજરે ચડે છે… આ આશા જ પ્રેમ છે… આ પ્રેમ જ જિંદગી છે…

*

આખરી બે પંક્તિના અનુવાદમાં સહાયક થવા બદલ ડૉ. મુકુર પેટ્રોલવાલા તથા ધવલ શાહનો આભાર…

*

Since There’s No Help – Michael Drayton

Since there’s no help, come, let us kiss and part,
Nay, I have done, you get no more of me,
And I am glad, yea, glad with all my heart,
That thus so cleanly I myself can free.
Shake hands for ever, cancel all our vows,
And when we meet at any time again
Be it not seen in either of our brows
That we one jot of former love retain.
Now at the last gasp of Love’s latest breath,
When, his pulse failing, Passion speechless lies,
When Faith is kneeling by his bed of death,
And Innocence is closing up his eyes,
Now, if thou wouldst, when all have given him over,
From death to life thou mightst him yet recover.

Comments (19)

વિદાય ટાણે – મકરંદ દવે

ના, ના, નથી દૂર નથી જ દૂર
જ્યાં વિશ્વ બંધાયું અલક્ષ્ય તાંતણે
તારાગણો સાથ અહીં કણે કણે
સામીપ્યના ઝંકૃત કોઈ સૂર
બજી રહ્યાં નીરવનાં નૂપુર
અગાધ શૂન્યે, વિરહી ક્ષણે ક્ષણે
મળી રહ્યા નિત્ય અદીઠ આપણે
વિયોગ જ્યાં ખંડિત, ચૂર ચૂર.

તો દૂરતા પાસ દરિદ્ર પ્રાણે
ના માગવું કાંઈ, પરંતુ નેહે
ડૂબી જવું અંદર, જ્યાં જુદાઈ
જેવું ન, એકત્વ વિદાયટાણે
બંસી બજાવે નિજ ગૂઢ ગેહે
સદા મિલાપે, સુણ ઓ મિતાઈ !

– મકરંદ દવે

ધીમે ધીમે બે-ત્રણ વાર વાંચતા આ અદભૂત સોનેટ કમળની જેમ ઊઘડે છે…… અલ્પવિરામને બરાબર ધ્યાનમાં રાખીને વાંચવાથી અર્થ અસ્પષ્ટ રહેતો નથી.

Comments (3)

ધીંગાણું – રમેશ પારેખ

બાપુના ગઢમાં બધી જણસ છે, બે વાતની ખોટ છે
પહેલું તો કે’ યુદ્ધ થાય નહીં, બીજું ફાટલો કોટ છે .
શિરોહી તલવારનું લટકવું વર્ષોજૂનું ખીંટીએ
ને ફાટ્યો છે કોટ કાળબળથી આડીઊભી લીંટીએ

બાપુ કહેતા : ‘ નોતરાં દઈ દઉં દેમાર બારોટને
શત્રુ મારું – એમ આજ બખિયા મારી દઉં કોટને ‘
દોરાસોતી સોયથી પલકમાં દારુણ હલ્લો કર્યો
ને બાપુએ કોટને કસબથી કાતિલ ટેભો ભર્યો

ત્યાં તો ‘ લોહી ‘ એમ ચીસ સહસા પાડી ઊઠી આંગળી
ને બાપુના ટેરવે રગતની શેડ્યું ફૂટી નીકળી
‘ખમ્મા, ખમ્મા બાપ…….’ એમ કહી બાપુ કરે હાકલા
ખીંટીથી તલવારને લઈ કરે લોહી વડે ચાંદલા

થાતું બાપુને : બહુ શુકનવંતો આપણો કોટ છે
કિંતુ એક જ ખોટ, આજ અહીં ના એક્કેય બારોટ છે…

-રમેશ પારેખ

Comments (6)

(સૉનેટ યુગ્મ:૦૨) વિખૂટું – જયન્ત પાઠક

જલની તે બીજી કંઈ હોય સ્થિતિ-ગતિ !
ગળી જવું, ઢળી જવું, સૂકાવું રૂંધાઈ
તડકાથી ડરી, જવું ભીતરે સંતાઈ
ફૂટવું તો બીજારૂપે : તૃણ-વનસ્પતિ.
હવે પ્રિય પાણી મિષે પ્રેમની તે વાત
કરી કરી શાને વ્હોરી લેવો રે સંતાપ !
ગળી ગયું, ઢળી ગયું, ગયું જે સુકાઈ
તેની પછવાડે હવે હરણ શા ધાઈ
પામવાનું કશું ! હવે રણ ને ચરણ –
એ સિવાય મિથ્યા અન્ય સઘળું સ્મરણ
ખરી જાય તારો અને ઝબકી ગગન
જોઈ લિયે જરા – પછી મીંચી લે નયન.
એમ અમે વાળી લીધું તમારાથી મન
આંખથી વિખૂટું જેમ એક અઁસવન.

– જયન્ત પાઠક

વિયોગ-વિચ્છેદની વાત કરતા સોનેટ-જોડકાંમાંનું આ બીજું. પહેલું સોનેટ વિયોગની વાતથી શરૂ થઈ જળ પર અંત પામે છે જ્યારે આ સોનેટ જળથી શરૂ થઈ વિરહ તરફ ગતિ કરે છે.

જળની વળી શી ગત હોય? હાથમાંથી ગળી જાય, ઢોળાઈ જાય, તડકાથી સૂકાઈ જાય… બહુ બહુ તો એ સ્વ-રૂપ ગુમાવી વનસ્પતિ રૂપ લઈ શકે. એ જ રીતે જળની જેમ સરકી ગયેલા પ્રેમની અવર શી સ્થિતિ હોઈ શકે? જે રણ બની ગયું છે એમાં મૃગજળના ચરણ લઈ ચાલવાનો કોઈ અર્થ? આભથી તારો ખરે અને પલકવાર ગગન એ તરફ જોઈ બીજી પળે વિસરી જાય એમ અમે તો તમારાથી મન વાળી લીધું છે… એક આંસુ હતું જે હવે આંખથી વિખૂટું પડી ગયું છે, બસ!

Comments (8)

(સૉનેટ યુગ્મ:૦૧) વિખૂટું – જયન્ત પાઠક

(પયાર)

પ્રિય લો, મેં તમારાથી વાળી લીધું મન –
હવે તો નિરાંત ? નહિ વિરહ, મિલન;
સંબંધના સૂતરને સ્થળે સ્થળે ગાંઠ,
ફગાવી જ દીધો દોર, ફગાવ્યું વસન,
રંગરંગી પ્હેરી લીધું ચીવર, નિઃસંગ;
ગલી ભણી નહીં, હવે ઊલટો જ પંથ !
પાછું વળી જોવાનું ના તમારે કે મારે,
વાતનો સરસ કેવો આવી ગયો અંત !
એકમેકને અજાણ એમ ધારે ધારે
ફરવું સંભાળી, મળવું ન મઝધારે;
રખે પેલો પ્રેમ પાછો આવી છાનોમાનો
બાંધી લિયે આપણને પાકા કોઈ તારે.

વરસી વરસી પ્રિય ઘેરાયું વાદળ,
રહ્યું સહ્યું છતમાંથી હવે ગળે જળ.

– જયન્ત પાઠક

વિયોગની વેદના તો આપણામાંથી મોટાભાગના ક્યારેક ને ક્યારેક વેઠતાં જ હોય છે પણ આ કાયમી વિયોગ-વિચ્છેદની વાત છે. છૂટા પડવાની વાતની શરૂઆત “પ્રિય” સંબોધનથી થાય છે એ વાત જ કેવી સૂચક છે! વળી હવે તો નિરાંત એવો પ્રશ્ન છૂટા પડનારને થતી વેદનાને વળી વળ ચડાવી આપે છે. ઠેકઠેકાણે ગંઠાઈ ગયેલા સંબંધના દોરાને ફગાવી દઈએ, उस गली में हमें पाँव रखना नहींની આહલેક પણ પોકારી લઈએ પણ પેલો પ્રેમ છાનોમાનો પાછો બાંધી ન દે એનો ડર તો જતો જ નથી… કાવ્યાંતે ફરી પ્રિય સંબોધન વરસતા વાદળની પછીતેથી ડોકાતાં સૂરજની જેમ ડોકિયું કરી જાય છે… વાદળ તો વરસી ગયું… હવે છત ગળતી રહેશે… છત કે આંખ?

Comments (7)

વળાવી બા આવી – ઉશનસ્

(શિખરિણી)

રજાઓ દિવાળી તણી થઈ પૂરી, ને ઘર મહીં
દહાડાઓ કેરી સ્ખલિત થઈ શાંતિ પ્રથમની.
વસેલાં ધંધાર્થે દૂરસુદૂર સંતાન નિજનાં
જવાનાં કાલે તો, જનકજનની ને ઘરતણાં
સદાનાં ગંગામાસ્વરૂપ ઘરડાં ફોઈ, સહુએ
લખાયેલો કર્મે વિરહ મિલને તે રજનીએ
નિહાળ્યો સૌ વચ્ચે નિયત કરી બેઠો નિજ જગા,
ઉવેખી એને સૌ જરઠ વળી વાતે સૂઈ ગયાં.
સવારે ભાભીનું ભર્યું ઘર લઈ ભાઈ ઊપડ્યા,
ગઈ અર્ધી વસ્તી, ઘર થઈ ગયું શાંત સઘળું,
બપોરે બે ભાઈ અવર ઊપડ્યા લેઈ નિજની
નવોઢા ભાર્યાઓ પ્રિયવચન મંદસ્મિતવતી;
વળાવી બા આવી નિજ સકલ સંતાન ક્રમશ:
ગૃહવ્યાપી જોયો વિરહ, પડી બેસી પગથિયે.

– ઉશનસ્

આપણામાંથી મોટા ભાગના લોકો કવિતાના હૃદયસ્વરૂપની સમજણ અને સમાજમાં વડીલોના મોળા પડી ગયેલા સ્થાનની સમજ સાવ કાચી હોય એવે તબક્કે આ સોનેટ શાળામાં ભણી જ ચૂક્યા હશે પણ એક ઉત્તમ કવિતા તરીકે આજે આપણે એને ફરીથી માણીએ…

બાળવિધવા ફોઈ અને મા-બાપથી બનેલા ગામડાના સૂના ઘરમાં દિવાળીના દીવા ત્યારે જ પ્રકાશે છે જ્યારે બાળકો કુટુંબ-કબીલા સાથે વેકેશન ગાળવા આવે છે પણ સંતાનોને વિદાય આપ્યા બાદ ઓસરીથી ઉંબરાનું અંતર કાપવું કેવું દોહ્યલું થઈ પડે છે !

Comments (10)

ક્રાન્તિનાદ – કૃષ્ણલાલ શ્રીધરાણી

(પૃથ્વી)

અસંખ્ય મુજ બાંધવો રવડતા, સડ્યાં ચીંથરાં
ધરી શરીર-માળખે કકડતી ધ્રૂજે ટાઢમાં;
સહે સળગતા બપોર-દવ ચૈત્ર-વૈશાખના,
વિતાન ઘર-છાપરું : દિશ દીવાલ : શય્યા ધરા !

અસંખ્ય મુજ રાંકડાં કકળતાં રહે લાડકાં
ભૂખે ટળવળી : અને હૃદય દુઃખના તાપમાં
બળી-સમસમી પડે સકળ પાશવી પાપમાં.
રમે મરણ જીવને અતુલ માનવીનાં મડાં.

પરંતુ નવ હું સ્તવું વચન આળપંપાળનાં,
ન ઇચ્છું લવલેશ લ્હાવ ધન, વસ્ત્ર કે ધાન્યના;
સહો સખત ટાઢ ને પ્રખર તાપ મધ્યાહ્નના,
મરો ટળવળી મુખે હૃદયહીન દુષ્કાળના !

સહુ વીતક વીતજો ! વિઘન ના નડો શાંતિનાં !
બળી-ઝળી ઊઠી કરો અદમ નાદ સૌ ક્રાંતિના !

– કૃષ્ણલાલ શ્રીધરાણી

નાની વયે પિતાને ગુમાવનાર કવિ બાળપણમાં મોસાળમાં જૂનાગઢ ખાતે ભણવા ગયા. નાની ઉંમરે જ “ટ્રેડિશનલ” શાળાશિક્ષણ એમને જરાય કોઠે ન પડ્યું. ગણિતની પરીક્ષામાં ઉત્તરવહી સાવ કોરી રાખી અને ઉપરથી નોંધ મૂકી કે સફાઈ માટેના દસ માર્ક્સ મને મળવા જ જોઈએ અને વિજ્ઞાનના પેપરમાં કવિતા લખી આવ્યા… જો કે ગુજરાતી ભાષાનું સદભાગ્ય કે એમના વિધવા માતાને એવું સૂઝ્યું કે ગાંધીની આંધીમાં જાગેલ દેશભક્તિના જુવાળમાં બેમાંથી એક પુત્રે તો રાષ્ટ્રીય શાળામાં ભણવું જ જોઈએ અને કૃષ્ણલાલ ભાવનગરની ‘દક્ષિણામૂર્તિ’ શાળામાં દાખલ થયા જ્યાંનું શિક્ષણ એમને કોઠે પડી ગયું… ત્યાર બાદ ગાંધીજીના પ્રત્યક્ષ સંપર્કમાં ગૂજરાત વિદ્યાપીઠ (અમદાવાદ) અને પછી ટાગોરની નિશ્રામાં શાંતિનિકેતન ખાતે ભણ્યા અને પછી ન્યૂયૉર્ક જઈ MA, MS અને PhD પણ કર્યું…

પ્રસ્તુત સૉનેટમાં કવિ આંચકો લાગે એવી વાત કરે છે. ચંદરવો જેમના ઘરનું છાપરું છે, દિશાઓ જ દીવાલો છે અને ધરતી જ પથારી છે એવા ગરીબજનોના પ્રત્યક્ષ ઉત્કર્ષના બદલે કવિ ઝંખે છે કે એમને વધુ ને વધુ તકલીફો પડે, શાંતિ નામનું વિઘ્ન ન નડે જેથી કરીને ક્રાંતિનો માર્ગ મોળો ન પડે… ઉમાશંકર જરૂર યાદ આવે કે ‘ભૂખ્યાજનોનો જઠરાગ્નિ જાગશે, ખંડેરની ભસ્મકણી ન લાધશે.’

Comments (4)

ભરતી – કૃષ્ણલાલ શ્રીધરાણી

(પૃથ્વી)

સહસ્ત્ર શત ઘોડલાં અગમ પ્રાન્તથી નીકળ્યાં,
અફાટ જલધિ પરે અદમ પાણીપન્થાં ચડ્યાં;
હણે-હણહણે : વિતાન, જગ, દિગ્ગજો ધ્રૂજતાં,
ઊડે ધવલ ફેન શી વિખર કેશવાળી છટા !

ત્રિભંગ કરી ડોકના, સકળ શ્વાસ ભેગા કરી,
ઉછાળી નવ દેહ અશ્વ ધમતા પડી ઊપડી;
દિશા સકળમાં ભમી, ક્ષિતિજ-હાથ તાળી દઈ,
પડંત પડછંદ વિશ્વભર ડાબલા ઉચ્ચરી.

કરાલ થર ભેખડે, જગતકાંઠડે કારમા,
પછાડી મદમસ્ત ધીંક : શિર રક્તનાં વારણાં;
ધસી જગત ખૂંદશે ? અવનિ-આભ ભેગાં થશે ?
ધડોધડ પડી-ખરી ગગનગુંબજો તૂટશે?

ઉરેય ભરતી ચડે, અદમ અશ્વ કૂદી રહે !
દિશાવિજય કૂચનાં કદમ ગાજતાં ઊપડે !

– કૃષ્ણલાલ શ્રીધરાણી

ગુજરાતીના સર્વશ્રેષ્ઠ સોનેટની પંગતમાં અગ્રિમ સ્થાને વિરાજતું આ સોનેટ શ્રીધરાણીની કાવ્યસૂઝ, છંદોલય અને ભાવોર્મિના કારણે ચિરસ્મરણીય બન્યું છે. વીસ વરસની ઊંમરે લખાયેલ આ સોનેટમાં કવિ દરિયાના મોજાંઓ હજારો થનગનતા ઘોડા અવનિ-આભ ભેગાં કરવા કૂચે ચડ્યા હોય એવું અદભુત શબ્દચિત્ર દોરી આપે છે. પહેલા ત્રણ ચટુષ્ટકમાં પ્રકૃતિની વાતો કર્યા પછી છેલ્લી બે કડીમાં સોનેટ સાવ જ અણધાર્યો વળાંક લઈ દેશભક્તિ અને સ્વતંત્રતા સંગ્રામમાં અંગ્રેજોને પછાડી આઝાદી હાંસિલ કરવાના પોતાના અરમાન પ્રગટ કરી ભાવકને સુખદ આંચકો આપવામાં સફળ રહે છે.

કવિ ઉમાશંકર જોશીએ આ સોનેટ વિશે કહ્યું છે કે ગુજરાતી ભાષા આટલી ઓજસ્વિતા સાથે ભાગ્યે જ કોઈ કવિતામાં પ્રયોજાઈ હશે…

Comments (9)

શૌર્ય -રમેશ પારેખ

મૂછો માથે માખો બણબણ કરી ખાય ચકરી
ઠરે ત્યાં બાપુની નજર નકરી ખુન્નસભરી
‘કરી નાખું કુલ્લે ખતમ પણ શું થાય, જીતવા
અરે આ માંખો જો મરદ હત, તો દેત ન જવા’
-કહીને, ખંખેરે પગ પગથિયાંઓ ઊતરવા
કરે બાપુ પસ્તાણું ગઢ પછવાડે મૂતરવા…..

ત્વરાથી તાણે છે હડફ દઈ નાડી લટકતી
પરંતુ ના છૂટે સજડબમ એ ગંઠનવતી
વધે છે પેડૂફાટ ખણસ અને ગાંઠ ન ખૂલે
થતા બાપુ રાતાચકળ પણ ના હાર કબૂલે
અને ભીંતેથી તેગ તરત ખેંચીંગ લપકે
વધેરે નાડી ‘ જે બહુચર’ કહી એક ઝટકે

કહે : ‘ નાડીની યે ઘરવટ ગઈ હાથધરણે….
ભરોસાની માને ભટવદરનો ભાંડ પરણે….!’

-રમેશ પારેખ

આ સોનેટ વાંચીને હું નાચી ઉઠ્યો…..! એક તો સોનેટ કાવ્યપ્રકાર કોઈક કારણોસર બહુ લોકપ્રિય નહીં, તેમાં વળી હાસ્ય-સોનેટ !!!!! ધન્ય ધન્ય…..

Comments (10)

હું – રાજેન્દ્ર શુક્લ

રંગો ભળે એક મહીં અનેક
તે યે થતા લુપ્ત નહીં જ છેક
અસ્તિત્વને રૂપ અપાર વાય
અન્યાન્યની ઝાંય, બધે ઝીલાય !

પથભેદ થાય,મતિભેદ થાય,
સાથે વહ્યાંને ગતિભેદ થાય,
સાથે રહ્યાંની ઋતુ પૂરી થાય
છૂટાં છતાં ના પડી યે શકાય !

છો શ્વાસમાં શ્વાસ કદી સમાય,
હું દ્વૈતને કેમ દઉં વિદાય !
એકત્વનો ભાસ ભળે રચાય.
હું ભિન્નનો ભિન્ન રહું સદાય !

હું વાક્યમાં શબ્દ થઈ રહું છું,
ને શબ્દને વર્ણરૂપે વહું છું !

– રાજેન્દ્ર શુક્લ

પરસ્પરાવલંબન જેમ એક નક્કર તથ્ય છે , તે જ રીતે individuality પણ નક્કર સત્ય છે. અસ્તિત્વ એક,અનન્ય અને એકલું-alone – છે. શબ્દો,લાગણીઓ,અનુભવો ને અતિક્રમતા આપણી નિર્વિવાદ વ્યક્તિગતતા સામે આવે છે. ત્રીજો ફકરો સમગ્ર કાવ્યના હાર્દ સમાન છે. અદ્વૈતની વાત આકર્ષક છે પણ આસન નથી. અનુભૂતિના એ સ્તર પર પહોચવું કે જ્યાં અદ્વૈત સહજભાવ થઈ જાય તે યાત્રા આસન નથી. અને ત્યાં સુધી દ્વૈત આપણને છોડવાનું નથી.

Comments (7)

પાવાગઢમાં એક વરસાદી અનુભૂતિ – જયન્ત પાઠક

(શિખરિણી)

પછી તો પ્હાડોએ નિજ પર લીધાં ઓઢી જલદો
અને ઢંકાયાં સૌ શિખર, ખીણ, ઉત્તુંગ તરુઓ
તળાવો યે ડૂબ્યાં અતલ તલમાં આવરણનાં
ભુંસાઈ ગૈ દ્યાવાપૃથિવી વચમાંની સરહદો !

હવે આજુબાજુ, અધસ-ઊરધે એકરૂપ સૌ;
મને ના દેખાતો હું, ન સ્વજન ઊભાં સમીપ તે;
અવાજોમાં આછા પરિચિત લહું સર્વ ગતિને
સદેહે સ્વર્લોકે વિચરું ચરણે ધારી ક્ષિતિને !

સૂણું આહા ! વાદ્યધ્વનિ વહત ધીમા અનિલમાં
સૂરો ગંધર્વોના, લય લલિત વિદ્યાધરતણા;
મૃદંગોના ઘેરા પ્રતિધ્વનિ શું વાતાવરણમાં !
હું રંગદ્વારે છું સ્થિત ભવનના વાસવ તણા !

ઝીણી, ફોરે ફોરે નૂપુર ઘૂઘરીઓ બજી રહી;
જરા ઝબકારો – શી નયન નચવી ઉર્વશી રહી !

– જયન્ત પાઠક

પાવાગઢના પર્વત પર વરસતા વરસાદના અમૂર્ત સૌંદર્યને કવિએ અહીં જાણે કે શબ્દોના કેમેરા વડે મૂર્ત કરી દીધું છે. પહાડો જાણે નીચે આવી ગયેલાં વાદળોને ઓઢીને ઊભા હોય એમ લાગે છે અને આ વાદળોમાં સ્વર્ગ અને પૃથ્વીની તમામ સરહદો કેમ જાણે ભૂંસાઈ ગઈ ન હોય એમ શિખર-ખીણ-વૃક્ષો-તળાવો બધું જ ઓગળી ગયું છે… ઊપર-નીચે, આજુ-બાજુ બધું જ એકરૂપ ! પાસે ઊભેલાં સગાં તો ઠીક, પોતાની જાત પણ જોઈ ન શકાય એવું ગાઢ ધુમ્મસ છે જ્યાં માત્ર અવાજો જ ‘નજરે’ ચડે છે. ધીમે ધીમે વાતો પવન ગંધર્વોએ છેડેલા સૂર જેવો અને વાદળોનો ગડગડાટ તબલાં જેવો અને વરસાદના ફોરાં ઉર્વશીના ઝાંઝરના રણકાર સમા ભાસે છે. ઇન્દ્રલોકના દ્વારે આવી ઊભા હોવાની તીવ્રતમ અનુભૂતિ આ સૌંદર્યાન્વિત સૉનેટને કવિતાની ઊંચાઈ બક્ષે છે…

(જલદો = વાદળો, ઉત્તુંગ = અત્યંત ઊંચું, દ્યાવાપૃથિવી = સ્વર્ગ અને પૃથ્વી, અધસ-ઊરધે = નીચે-ઉપર, સ્વર્લોક = સાત માંહેનો એક લોક, ક્ષિતિ = પૃથ્વી, વાસવ = ઇન્દ્ર)

Comments (6)

મારામાં તું જ ઊમટે – મકરંદ દવે

હું તો તારા સમયનિધિનું ક્ષુદ્ર એકાદ બિંદુ,
ઝીણી લાગે તપન તણી જ્યાં ઝાળ,ઊડી જવાનું.
તો યે સૂતા મુજમહીં નિહાળું સદા સાત સિંધુ
કોઈ એવું ગહન મુજમાં નિત્ય,નિ:સીમ,છાનું.

હું તો નાનું હિમકણ, હિમાદ્રિ તું સ્થાણું સદાય,
હું તો પાલો પલકમહીં આ,પીગળી અસ્ત પામું,
તોયે મારે તવ થકી રહ્યો ભેદ અંતે ન ક્યાંય !
ઊડ્યો ઊંચે ઘનદલ બની અંક તારે વિરામું.

હું તો નાનું અમથું વડનું બીજ ને બીજમાં તો
ઊભો ધીંગો વડ, શું વડવાઈ જટાજૂટ ઝૂલે,
જ્યાં જોઉં ત્યાં અચળ પડદો એક સાથે ભૂંસાતો,
મારો તારો વિરહમિલને ખેલતો રંગ ખૂલે.

મહાઆશ્ચર્યથી આગે, મહદાનંદને તટે.
હું તને પામવા ઝંખું, મારામાં તું જ ઊમટે.

– મકરંદ દવે

તથાગતને કોઈક વિરોધીએ ભિક્ષામાં એક કેરીનો ગોટલો આપ્યો.સમસ્ત શિષ્યગણ આશ્ચર્યચકિત થઈ ગયો. થોડા શિષ્યો આઘાત પણ પામ્યા… પરંતુ તથાગત પ્રસન્નચિત્તે ભિક્ષા સ્વીકારી આશીર્વચન કહી પાછા વળ્યા. સ્થાનકે જઈ તે ગોટલો શિષ્યોને વારાફરતી આપ્યો. કોઈ કશું જ બોલતું ન હતું. શિષ્યો કંઈ જ સમજી ન શક્યા. છેવટે ભગવાનના પ્રથમ શિષ્યગણમાંના એક એવા સરીપુત્તના હાથમાં તે ગોટલો આવ્યો. તેઓ તેને એક ચિત્તે જોઈ રહ્યા અને તેઓના ચહેરા પર પ્રસન્ન સ્મિત આવી ગયું. તથાગત પ્રસન્ન થઈ વિરામ કરવા સિધાવ્યા. શિષ્યો સરીપુત્તને ઘેરી વળ્યા અને આ રહસ્યમય મૌનસંવાદનું રહસ્ય પૂછ્યું….સરીપુત્તે કહ્યું – ‘ આ ગોટલામાં આખો આંબો છે….આ દાન આપનાર કેટલો ઉદાર અને મહાન હશે ! ‘

Comments (5)

ઉત્તર નર્મદ – રઘુવીર ચૌધરી

yahom

નથી હાર્ત્યો યોદ્ધો, લડત નિજ ચાલી ભીતરથી,
લહી શસ્ત્રો બુઠ્ઠાં, સજગ મતિ શાસ્ત્રોને સ્મરતી.
સપાટીના સત્યે મચતી મૃગતૃષ્ણાની ભરતી,
વિવેકીની ઉચ્છેદક જલદ વૃત્તિ વિરમતી.

હતાં જાળાં ઝાઝાં, વિકટ પથ અંધાર જકડે
વિલાસી ને દંભી જન ધરમ ધૂતે, મન સડે;
તહીં છેડ્યા જંગે વીર અડગ તું, શૌર્ય ઝળકે,
અહો જોસ્સો તારો! સુરત સઘળું શિર ઊંચકે.

તને માન્યો સૌએ પ્રથમ પ્રહરી નવ્ય નભનો.
નથી દીઠો પૂર્વે વિનત શરણાર્થી શબદનો.
જગાડ્યા ડંકે ને બ્યુગલ થકી દોર્યા કંઈ જનો
પરંતુ ઘોંઘાટે સત મૂક, વકાસે રણવનો. 

કબૂલી તેં ભૂલો અપયશ વહોર્યો, ભય નહીં,
ખરો ટેકીલો તું વીર વિરલ પીછેહઠ મહીં.

– નર્મદ

નર્મદની વર્ષગાંઠ 24મીએ આવે છે. એના જન્મને એકસોને ઓગણાએંસી વર્ષ થયા અને મરણને એકસોને છવ્વીસ વર્ષ. આટલા વર્ષે પણ એની નજીક પહોંચી શકે એવો કોઈ કવિ આપણે ત્યાં થયો નથી. કવિતા-સાહિત્યની વાત કરવી અલગ છે પણ એ આદર્શોને જીવી બતાવવા એ પાછી તદ્દન અલગ વાત છે.

વિચારવા જેવી વાત છે કે અર્વાચીન સાહિત્યકારોમાં નર્મદ એક જ એવો છે જેને બધા તુંકારાથી બોલાવે છે. બધાને એ એટલો પોતિકો લાગતો હશે તો જ ને ! 

સાથે જોશો : વિકિપિડિયા પર નર્મદ, ‘ડાંડિયો’નો એક અંક, આગળ મકેલા નર્મદના કાવ્યો.

Comments (2)

સુ.દ. પર્વ :૧૨: લીલા તારી – સુરેશ દલાલ

Suresh Dalal kavi

(મંદક્રાન્તા)

ત્હારું પ્હેલું રુદન સ્મિતની છોળ થૈને છવાયું !

ચ્હેરોમ્હોરો ધવલ તન ને ઓષ્ઠની પાંદડીઓ,
બિડાયેલાં નયન નમણાં : પોપચાંની સુવાસ;
ત્હારા પ્હેલા પરિચય થકી અંતરે લાગણી શી !
જાણે મારું બચપણ અહીં પારણામાં પધાર્યું !

ઓચિંતાનું વદન ભરીને હાસ્ય તારું સુહાય,
ને તું વ્હેતા પવન મહીં શા પાય ત્હારા ઉછાળે;
આક્રન્દોથી પલકભરમાં ખંડ ક્યારેક ગાજે
આશંકાનાં મનગગનમાં વાદળાંઓ છવાય !

ટીકી ટીકી કાશી નીરખતી શ્યામળી કીકીઓ બે;
કાલીઘેલી કદિક સરતી વાણી તારી અગમ્ય.

(લીલા તારી અભિનવ નિહાળી થતાં નેણ ધન્ય)

ધીમે ધીમે ડગ લથડતા ધારતા સ્થૈર્ય તેમાં
જોઉં છું હું નજર ભરીને મ્હાલતું ભાવિ મારું !

-સુરેશ દલાલ

રખે કોઈ સુ.દ.ને ગીત અને અછાંદસના કવિ ગણી લે. એમણે છંદોબદ્ધ સોનેટ અને મુક્તસોનેટમાં પણ ઘણું ખેડાણ કર્યું છે. મરાઠી કવિ વિંદા કરંદીકરના ઘણા બધા મુક્તસોનેતનો એમણે અનુવાદ પણ આપણને આપ્યો છે. એમના કહેવા પ્રમાણે એમને શિખરિણી છંદ વધુ ફાવે છે પણ પ્રસ્તુત સોનેટ મંદાક્રાન્તા છંદમાં છે. કવિની છંદ પરની પકડ જોતાં જ એમના અછાંદસ કાવ્યોમાં સંભળાતો આંતરલય ક્યાંથી પ્રગટ્યો છે એનું રહસ્ય હાથ આવે છે.

Comments (2)

અમારા વૉર્ડન – આલ્બ્રેશ્ટ હૌસહૉફર (અનુ. વિવેક મનહર ટેલર)

અમારા જેલવાસનો હવાલો જેમના હાથમાં સોંપવામાં આવ્યો છે એ વૉર્ડન સારા વ્યક્તિઓ છે. એમની રગોમાં ખેડૂતોનું લોહી છે. પોતાના ગામડાંઓના રક્ષણથી વિચ્છિન્ન થઈ અજાણ્યા, ન સમજી શકાય એવા વિશ્વમાં તેઓ આવી પડ્યા છે.

તેઓ ભાગ્યે જ બોલે છે. ફક્ત એમની આંખો જ સમય સમય પર વિનમ્રતાથી બોલે છે, જાણે કે જે વાત તેમનું હૃદય કદી અનુભવવા તૈયાર નહોતું એ તેઓ જાણવા ન માંગતા હોય – માતૃભૂમિનું એ દુર્ભાગ્ય જે તેઓની છાતી પર ચડી બેઠું છે.

એ લોકો ડનુબેના પૂર્વીય વિસ્તારોમાંથી આવે છે જે યુદ્ધના કારણે ક્યારના નાશ પામી ચૂક્યા છે. એમના પરિવારોમાં કોઈ જીવતું બચ્યું નથી. એમની માલ-મત્તા બધું જ સાફ થઈ ગયું છે.

કદાચ તેઓ હજી પણ જિંદગીની કોઈ એક નિશાનીની પ્રતીક્ષામાં છે. તેઓ ચુપચાપ કામ કરે છે. કેદીઓ છે – તેઓ પણ ! પણ શું એ લોકો આ સમજી શક્શે ? આવતી કાલે ? પછીથી ? કદી પણ ?

– આલ્બ્રેશ્ટ હૌસહૉફર
(અંગ્રેજી અનુ: એમ. ડી. હેર્ટર નોર્ટન)
(અનુ. વિવેક મનહર ટેલર)

*

મૃત્યુનો અનુભવ ફર્સ્ટ હેન્ડ કોઈ કહી શકતું નથી પરંતુ મૃત્યુની પ્રતીક્ષાનો રંગ મૃત્યુના ઉંબરે આવી ઊભેલા ઘણા બધા કવિઓએ પોતપોતાની રીતે આલેખ્યો છે. આપણે ત્યાં રાવજી પટેલ અને જગદીશ વ્યાસના કાવ્યો આંગણે આવી ઊભેલા મૃત્યુના રંગોથી રંગાયેલા જોવા મળે છે. જર્મન ભૂગોળવિદ્ આલ્બ્રેશ્ટ હૌસહૉફર નાઝીઓ સામેના વિરોધના કારણે બર્લિનના મુઆબિત જિલ્લાની જેલમાં નિશ્ચિત મૃત્યુની અનિશ્ચિત રાહ જોતા હતા ત્યારે માંડ મળી શકેલા કાગળો પર જેલની અંદરની અને બહારની દુનિયા ઉતારતા રહ્યા.. 23 એપ્રિલ, 1945ના રોજ સૉવિયેટ સૈનિકોએ બર્લિન પર કબ્જો મેળવ્યો ત્યારે જેલના અધિકારીઓએ કેદીઓને છોડી મૂક્યા પણ જેલની બહાર જ સૈનિકો એમની રાહ જોતા હતા. એક નિર્જન જગ્યા પર લઈ જઈને તમામને ગોળી મારી દેવામાં આવી. ત્રણ અઠવાડિયા પછી કવિના નાના ભાઈને એમનું શબ જડ્યું ત્યારે કવિનો જમણો હાથ કોટની અંદર પાંચ કાગળોને હૃદયસરખો દાબીને પડ્યો હતો. આ પાંચ કાગળમાંથી જડી આવેલા એંસી સોનેટ્સ મુઆબિત સૉનેટ્સ તરીકે જાણીતા થયા. આ કવિતાઓએ વિશ્વને ખળભળાવી મૂક્યું. આ એંસી સોનેટ્સ મૃત્યુ અને અન્યાય સામે લખાયેલી આજ પર્યંતની શ્રેષ્ઠ કવિતાઓમાં સ્થાન પામ્યાં છે…

*

આ સૉનેટ વાંચો. રૂંવાડા ઊભા ન થઈ જાય તો કહેજો… જેલમાં કેદીઓની રખેવાળીએ કરતા વૉર્ડન પોતે પણ એક જાતના કેદીઓ જ છે એ વાત આ સૉનેટમાં કેટલી સરળ પણ વેધક ભાષામાં રજૂ થઈ છે ! છેલ્લા વાક્યમાં એક પછી એક આવતા ચાર પ્રશ્ન જાણે મશીનગનમાંથી છૂટેલી ચાર ગોળીઓ છે જે તમને આરપાર વીંધી નાંખે છે…

Comments (9)

ઘેરૈયા – પ્રહલાદ પારેખ

(શિખરિણી છંદ- આંશિક શેક્સપિયરિઅન શૈલી)

*

અમે તો ઘેરૈયા : ગગન મહીં જે રંગ ઊડતા,
અને જે રંગો આ અવનિપટ રંગીન કરતા,
અમારાં છંટાયે ઉર સકલ એ રંગ થકી, ને
અમે યે રંગાઈ અવનિનભ જેવા બની જતા.

મહા ઘેરૈયો કો વિધવિધ લઈ રંગ ઘૂમતો,
ઘડી પૂર્વે છાંટે, ઘડીક ભરતો પશ્ચિમ દિશા;
કદી આખે આભે ઘનદળ મહીં રંગ પૂરતો,
કદી સાતે રંગો લઈ ગગનમાં ચાપ કરતો.

અસીમે તેના એ ફરી ફરી બધા રંગ ઊડતા :
ઋતુ છંટાતી, સૌ દિન-રજનિ એ રંગ ધરતાં;
અને ઊઠે રંગો તૃણ, કુસુમ, પર્ણે, ફળ મહીં;
વળી આવી આવી અમ સકલ ભાવે સરી જતા.

અમે ઘેરૈયા સૌ બહુ બહુ ઘૂમી શોધ કરતા :
કહીં ઘેરૈયો એ ? કહીં છૂપવિયો રંગનિધિ આ ?

– પ્રહલાદ પારેખ

હોળીમાં રંગ લઈને નીકળતા ઘેરૈયા હવે તો આપણી લોકસંસ્કૃતિનો ભૂતકાળ બનવા આવ્યા છે. ગામડાંઓમાં હજી આ પ્રથા ચાલુ હોય તોય ઘણું. હોળીના ઘેરૈયાની અડોઅડ સૃષ્ટિના ઘેરૈયાને મૂકીને સરળ પણ મજાનું સૉનેટ રંગે છે…

Comments (4)

સોહાગ રાત અને પછી – ઉશનસ્

તમે તે પ્રત્યૂષે પરવરી ગયા નાથ! અહીંથી
પથારી છાંડીને પથિક, અરધા સ્વપ્ન સરખા,
અને હું તો સ્વપ્ને સ્થગિત, અધધેને હું પછીયે
તમોને ક્યાં સુધી રહી સઘન સેવંતી પડખે…

તમે તે રાત્રે જે રીતથી રતિથી ગૂઢ ગહને
પ્રવેશ્યા પાતાળો મહીં સકલ અસ્તિત્વ મુજના:
ગર્યું જાણે સ્વાતિસુખદ અમીનું બુંદ છીપમાં,
હજી આનંદે તે વીજપુલકની ના કળ વળે,

હવે વ્હાલા, હું તો નવરી જ નથી ને ક્ષણ પણ:
ન દ્હાડે કે રાતે, દિનભર ગૂંથું ઊનઝભલું
અખંડે અંઢેલી ઘરની ભીંત અર્ધેરી ઊંઘમાં,
ગૂંથું છું રાતોમાં પુલકનું ઝીણું કોઈ સપનું.

અને સાથે વ્હાલા ! ભીતર ગૂંથું છું બાળક તમ
તમારી રેખાઓ લઈ લઈ, કંઈક ભેળવી મમ.

– ઉશનસ્

સુહાગરાતની આફ્ટર-ઇકેક્ટ્સનું આવું કાવ્ય તો કદાચ વિશ્વ સાહિત્યમાં શોધવું પણ દુર્લભ થઈ પડે.

સવારે પતિ પથારી છોડીને નીકળી જાય છે એ પછી પણ નવોઢા તો સુખના એ સ્વપ્નમાં જ સ્થગિત રહે છે અને ક્યાંય સુધી પતિને પડખામાં સેવતી રહે છે. રાત્રે જે રીતે પતિ રતિક્રીડા થકી પત્નીના અસ્તિત્વમાં ઓગળી ગયા એ સ્વાતિ નક્ષત્રના વરસાદનું બુંદ છીપમાં પડવા જેવું સુખદ હતું જેની કળ આટલી જલ્દી તો કેમ વળે ?! અને હવે તો પત્ની પાસે લગરિક પણ ફુરસદ નથી. આખો દિવસ એ આવનાર સંતાન માટે ઊનનું ઝભલું અને રાત્રે સ્વપ્નો ગૂંથતી રહે છે. પણ ઊન અને સ્વપ્ન સિવાય એ થોડી પતિની અને થોડી પોતાની રેખાઓ ભેગી કરીને ગર્ભમાં આવનાર બાળકને પણ ગૂંથી રહી છે…

અહો ! અહો !!

Comments (15)

પરમ સખા મૃત્યુ :૦૨: મરણ – ચુનીલાલ મડિયા

મને ન મરવું ગમે છૂટક ટૂંક હફ્તા વડે
મળે મરણ ગાય-ગોકળ સમું, ધીમું–વાવરે
યદા કૃપણ સંપદા અસહ લોભથી – ના ગમે.

અનેક જન જીવતા મરણ-ભાર માથે વહી
ભલે હલચલે જણાય જીવતા, છતાં દીસતા
મરેલ, શબશા અપંગ, જડ, પ્રેત દીદારમાં.

અને મનસમાંય – ઓઢત ભલે ન કો ખાંપણ,
મસાણ તરફે જતા ડગમગંત પંગુ સમા.

ગણું મરણ માહરું જનમસિદ્ધ શું માગણું,
અબાધિત લખેલ તામ્રપતરે જિવાઈ સમું,
ન કાં વસૂલ એ કરું મનગમંત રીતે જ હું –
કરે કરજ કો લેણદાર ચૂકતું તકાદા વડે ?

ચહું જ ઉઘરાવવા મરણ એક હફ્તા વડે;
બિડાય ભવચોપડો, કરજમાં ન કાંધાં ખપે

-ચુનીલાલ મડિયા

મરણ એ જીવનનું એકમાત્ર સનાતન સત્ય હોવા છતાં આપણે સહુ અમર હોઈએ એ જ રીતે જીવીએ છીએ. કવિને ગોકળગાયની જેમ ધીમી ગતિએ આવતું કે કોઈ અતિ કંજૂસ જેમ એની સંપત્તિ અસહ્ય લોભથી વાપરે એમ છૂટક ટૂંકા હપ્તે મળતું મૃત્યુ પસંદ નથી. ઘણા લોકો આજીવન મૃત્યુનો ભાર માથે વેંઢારીને શબવત્ અપંગશા જીવતા હોય છે અને ભલે ખાંપણ ન ઓઢ્યું હોય પણ એમની ગતિ સ્મશાન તરફની જ હોય છે. કવિ મૃત્યુનો જીવન પરનો અબાધિત અધિકાર સમજે છે. માટે જ એક ઘાને બે કટકા જેવું મૃત્યુ ઝંખે છે જેમાં મરણ પૂર્વે કોઈના સહારાની જરૂર ન પડી હો !

Comments (6)

પ્રેમની ઉષા – બળવંતરાય ક. ઠાકોર

પાડી સેંથી નિરખિ રહિ’તી ચાંદલો પૂર્ણ કરવા,
ઓષ્ઠો લાડે કુજન કરતા, ‘કંથ કોડામણા હો,
વલ્લીવાયૂ રમત મસતી ગૅલ શાં શાં કરે જો !’
ત્યાં દ્વારેથી નમિ જઈ નીચો ભાવનાસિદ્ધિ દાતા
આવ્યો છૂપો અરવ પદ, જાણે ચહે ચિત્ત સરવા,
– ને ઓચિંતી કરઝડપથી બે ઉરો એક થાતાં !

કંપી ડોલી લચિ વિખરિ શોભા પડી સ્કંધદેશે,
છૂટી ઊંચે વળિ કરલતા શોભવે કંઠ હોંસે :
‘દ્હાડે યે શું ?’ ઉચરિ પણ મંડ્યાં દૃગો નૃત્ય કરવા,
‘એ તો આવ્યો કુજન કુમળું આ મિઠું શ્રોત્ર ભરવા.’
‘એ તો રાતો દિન ફરિફરી ઊર ઉપડ્યા કરે છે.’
‘તો યે મીઠું અધિક ઉભયે કંઠ જ્યારે ભળે છે.’

ગાયૂં : પાયાં જિગર જિગરે પેયુષો સામસામાં,
ન્હૈ ત્યાં ચાંદાસુરજ હજિ, એ પ્રેમ કેરી ઉષામાં.

– બળવંતરાય ક. ઠાકોર

ઉષા એટલે દિવસની શરૂઆત, રાત અને દિવસનો સંધિ:કાળ જેમાં ચંદ્ર આથમી ગયો હોય અને સૂર્ય હજી આવ્યો ન હોય… પ્રેમની આવી એકાંત પળોની ગુલાબી વાતો લઈ આવેલું આ સૉનેટ જેણે જીવનમાં ક્યારેક પણ પ્રેમ કર્યો હોય એવી દરેક વ્યક્તિને સ્પર્શી જશે.

પ્રેયસી સાજ સજતી હોય એવી વેળાએ અરીસામાં પોતાનું બિંબ નજરે ન ચડે એ રીતે વાંકો વળીને પ્રિયતમ દિનદહાડે ઘરમાં ઘુસી આવીને જાણે સીધો ચિત્તમાં જ ન ગરી જવા માંગતો હોય એમ વલ્લીવાયુનીરમતમસ્તીથી આલિંગનબદ્ધ કરી લે છે. કવિની કરામત કંપી-ડોલી-લચી-વિખરી એમ એક જ કતારમાં આવતા ચાર ક્રિયાપદોની ગતિ અને એ સાથે ઓળવા ધારેલ વાળ છૂટાં પડીને ખભે વિખેરાઈ જાય છે એ શબ્દચિત્ર ખડું કરવામાં સિદ્ધ થાય છે.

પ્રિયતમા ‘ધોળે દહાડે આ શું કરવા મંડી પડ્યા છે’નો નખરો કરે અને પ્રિયતમ ઘરે આવવા બદલ જાતજાતના બહાના બતાવે ત્યારે એમ પ્રતીત થાય કે આ જ પ્રેમની ખરી ઉષા છે.

Comments (3)

ઉમાશંકર વિશેષ :૧૭: જઠરાગ્નિ

UJoshi

(ઉપજાતિ છંદ, સ્વતંત્ર સૉનેટ રચના)

રચો, રચો અંબરચુંબી મંદિરો,
ઊંચા ચણો મ્હેલ, ચણો મિનારા !
મઢો સ્ફટિકે, લટકાવો ઝુમ્મરો,
રંગે ઉડાવો જળના ફુવારા !

રચો, રચો ચંદનવાટિકાઓ,
રાચો, રચી કંચનસ્થંભમાળા !
ઊંડા તણાવો નવરંગ ઘુમ્મટો
ને કૈંક ક્રીડાંગણ, ચંદ્રશાળા
રચો ભલે !
.                 અંતરરૂંધતી શિલા
એ કેમ ભાવિ બહુ કાળ સાંખશે ?
દરિદ્રની એ ઉપહાસલીલા
સંકેલવા, કોટિક જીભ ફેલતો
ભૂખ્યાં જનોનો જઠરાગ્નિ જાગશે;
ખંડેરની ભસ્મકણી ના લાધશે !

– ઉમાશંકર જોશી

આજે કવિશ્રીની વર્ષગાંઠ અને એમના જન્મ શતાબ્દિ વર્ષની પૂર્ણાહૂતિ.

પ્રસ્તુત સૉનેટ ગાંધીવિચારધારાનું પ્રતિનિધિ સૉનેટ છે. અહીં પુણ્ય પ્રકોપ છે પણ કોઈ એક વ્યક્તિ માટે નહીં પણ આખા સમાજમાં પ્રવર્તતા વર્ગભેદ અને પુંજીવાદ સામે છે. માટે કવિતામાં ભલે કવિનો આક્રોશ નજરે ચડતો હોય, અહીં હિંસા નથી… ચેતવણી છે… અને એની આખરી બે કડીઓ તો જાણે રૂઢિપ્રયોગ બની ગઈ છે.

01

(આપ સહુને રવિવારે સુરત પધારવા આમંત્રણ છે…)

Comments (7)

બુદ્ધનું ગૃહાગમન – મકરંદ દવે

ફરી ચાલો, જૂના દિવસ તણું જ્યાં ખાંપણ ધરી
હશે સૂતી ગોપા, મુજ મૃત સમું જીવન નર્યું,
અને છેલ્લે જોયો શિશુ, અબળનું નીડ વિખર્યું,
મને લાગે શાને નભ વિહરતાં ભીંસ નકરી ?
મહામુક્તિ,શાંતિજળ મુજ કને, ચોગમ ફરી
ઘણી જ્વાળા ઠરી, ઘણુંક વિષનું અમૃત કર્યું,
ગૃહે સૂતાં તેનું હજુ ન પણ કાં ઘારણ હર્યું ?
ભલે જાગ્યો જાગ્યો સ્થવિર, પણ જાતો શું થથરી?
હવે ચાલો, મારાં ચરણ, ટહુકો કંઠ, હળવે
કહો: ભિક્ષાન્નદેહિ ! સકળ નિજ ત્યાગેલ પ્રિયને
જગાડો આઘાતે ફરી, સ્વજનની નીંદર હરો;
નથી લક્ષ્મી લાવ્યો, નથી સુમુખી, લાવ્યો સુખ હવે,
છતાં આજે બંસી ફરી લગનની, શુભ્ર શયને
તમારા આત્માનો અમર વરણે દીપક ધરો !

[ ખાંપણ = કફન, ઘારણ = ખૂબ ઊંઘ લાવતું ઔષધ , સ્થવિર = સ્થિર ચિત્ત વાળો, નિશ્ચયી ]

કોઈક કારણોસર ગુજરાતી વાચકોમાં સોનેટ કાવ્યપ્રકાર બહુ લોકપ્રિય નથી થઇ શક્યો. છંદબંધન સાચવવા કરાતો કઠિન શબ્દોનો વપરાશ અને વાચનમાં સરળતાનો અભાવ વાચકને કંટાળો લાવી દે છે. પરંતુ મકરંદ દવેના શ્રેષ્ઠ સોનેટમાં ગણના પામતાં ઉપરોક્ત સોનેટની ભૂમિકા જ અતિરમ્ય છે.

ભારતીય સમાજ અંધ Hero Worship ધરાવતો સમાજ છે. અમુક પાત્રો ને કદી પ્રતિપ્રશ્ન કરવામાં ન માનતો સમાજ છે. કદાચ આથી જ યશોધરાના એક પ્રશ્નને પૂરતું મહત્વ નથી મળ્યું. આ સોનેટમાં જે ભૂમિકાની વાત છે,તેના અનુસંધાનમાં તત્પશ્ચાતનું એક દ્રશ્ય ઇતિહાસમાં આલેખાયેલું છે- ભગવાન બુદ્ધ બુદ્ધત્વ પામ્યા બાદ પ્રથમવાર પાછાં જયારે પોતાને મહેલ જાય છે અને યશોધરાને મળે છે ત્યારે યશોધરા એક સોંસરવો પ્રશ્ન પૂછે છે,” ભગવન, જે કાર્ય સિદ્ધ કરવા આપ અમને છોડીને જંગલમાં ચાલ્યા ગયા તે કાર્ય શું અમારી સાથે રહીને ન જ થઇ શકતે ?” ભગવાન ક્યાંય સુધી અનુત્તર અને નતમસ્તક ઊભા રહે છે….અંતે ધીમેથી કહે છે, “જરૂર થઇ શકતે,પરંતુ હું નબળો હતો.”

Comments (5)

વાતો – પ્રહ્લાદ પારેખ

હજુ ધીમે ધીમે પ્રિય સખી ! તહીં ઝાડ ઉપરે
સૂતેલા પંખીને કથની જરી જો કાન પડશે,
પ્રભાતે ઊઠી એ સકલ નિજને ગાન ધરશે;
કથા તારી મારી સકલ દિશ માંહી વહી જશે.

હજુ ધીમે ! ઊભું મુકુલ તહીં જો પર્ણ-પડદે
છુપાઈને; તેને શ્રવણ કદી જો વાત પડશે,
સુવાસે તો કે શે સકલ કથની એ અનિલને;
અને આ તીરેથી અવર તટ વાયુ લઈ જશે.

અને કૈં તારા જો નભથી છૂટતા વાત સુણવા,
મૃદુ પાયે આવે શબનમ કરી કાન સરવા;
ઊભું છે આજે જો જગ સકલ એકાગ્ર થઈને,
ઝરે તારે શબ્દે પ્રણયરસ તે સર્વ ઝીલવા.

પછી તો ના વાતો, પ્રિયઅધર જે કંપ ઊઠતો,
ધ્વનિ તેનો આવી મુજ હૃદય માંહી શમી જતો.

-પ્રહ્લાદ પારેખ

પ્રણયમાં ખરી મજા શરૂઆતની ગોપિતતાની છે. પ્રેમીઓનો અડધો સમય તો એમના પ્રેમની જાણ જમાનાને કેમ ન થાય એની કાળજી રાખવામાં જ વ્યતિત થઈ જાય છે. આ મજાના સોનેટમાં કવિ એ જ વાતને હળવેથી ઉજાગર કરે છે. ઝાડ પરનું કોઈ પંખી રખે વાત સાંભળી જાય તો એ બધી દિશામાં ગીતો દ્વારા આપણી વાતો ફેલાવી દેશે.  અને જો ફૂલના કાને જો આ વાત પડી જશે તો એ સુવાસ વડે પવનને અને પવન વહીને બીજા કિનારા સુધી લઈ જશે. શું આકાશમાંના તારા કે શું ઝાકળ, આખી સૃષ્ટિ જાણે પ્રણયરસ ઝીલવા જ ઊભી ન હોય !

આવી પરિસ્થિતિમાં પ્રેમીજન શું ગૂફ્તેગૂ કરે? હૈયું બોલે, આંખ સાંભળે, એમ પ્રીત આપણી પાંગરે…

Comments (2)

સ્મૃતિ – લાભશંકર ઠાકર

કૂંડું જૂનું તુલસીનું પડ્યું આંગણામાં.
તેની પરે ઢળી ગયું જલ શું સુનેરી
આકાશથી જરીક, ને મધુસ્પર્શજન્ય
રોમાંચથી હલી ઊઠી અતિ શુષ્ક સાંઠી !
ને આવ્યું ક્યાંક થકી દૈયડ સાવ ધૃષ્ટ
બેઠું કૂંડા પર જરા ફફડાવી પાંખો
કૂંડા મહીં છલકાતા જલમાં ઝબોળી
ચંચૂ અને કરી જરા નિજ પુચ્છ ઊંચી
છેડી દીધી સહજ કંઠ તણી સતાર !
એ શ્વેત વસ્ત્ર મહીં શોભત પ્રૌઢ કાયા
રેડી રહી ચળકતો લઈ તામ્રલોટો
ઊંચા કરેલ કરથી જલ,ભાવભીનાં
નેત્રો ઢળ્યાં મધુર,ભાલ વિષે સુગૌર
સૌભાગ્યચંદ્ર ઝલકે,તરબોળ ભીનું
આખુંય દ્રશ્ય નીતરે તડકો
અચાનક
ઊડી ગયું ક્યહીંક દૈયડ દ્રશ્યને લૈ
પાંખો મહીં.
નજર વૃદ્ધ ફરી ફરી શી
છાપા વિષે ડૂબી જવા મથતી, સવારે.
– લાભશંકર ઠાકર

એક classical કાવ્ય !

Comments (4)

અંગત અંગત : ૦૫ : વાચકોની કલમે – ૦૧

‘લયસ્તરો’ની છઠ્ઠી વર્ષગાંઠની ઉજવણીમાં આજથી વાચક-મિત્રો જોડાશે… આપ પણ આપની અનુભૂતિ અમને ઇ-મેલ કરી શકો છો.

*

ફંફોસ્યું સૌ ફરીફરી અને હાથ લાગ્યુંય ખાસ્સું :
જૂનું ઝાડુ, ટૂથ-બ્રશ, વળી લક્સ સાબુની ગોટી,
બોખી શીશી, ટિનનું ડબલું, બાલદી કૂખકાણી,
તૂટ્યાં ચશ્માં, ક્લિપ, બટન ને ટાંકણી સોય-દોરો !
લીધું દ્વારે નિત લટકતું નામનું પાટિયું,જે
મૂકી ઊંધુ, સુપરત કરી, લારી કીધી વિદાય.

ઊભાં છેલ્લી નજર ભરીને જોઈ લેવા જ ભૂમિ,
જ્યાં વિતાવ્યો પ્રથમ દસકો મુગ્ધ દામ્પત્ય કેરો;
જ્યાં દેવોના પરમ વર-શો પુત્ર પામ્યાં પનોતો
ને જ્યાંથી રે કઠણ હૃદયે અગ્નિને અંક સોંપ્યો !
કોલેથી જે નીકળી સહસા ઊઠતો બોલી જાણે:
‘બા-બાપુ ! ના કશુંય ભૂલિયાં, એક ભૂલ્યાં મને કે ?’
ખૂંચી તીણી સજલ દૃગમાં કાચ કેરી કણિકા !
ઉપડેલાં ડગ ઉપર શા લોહ કેરા મણીકા !

– બાલમુકુન્દ દવે

(દૃગ=આંખ)

સાલ હતી ૧૯૬૩. હું ત્યારે કપડવણજ કોલેજમાં ભણું. ચદ્રકાન્ત શેઠ અમારા ગુજરાતીના અધ્યાપક. તેમણે અમદાવાદ જવાનું વિચાર્યુ અને તેમની જગા લીધી ચિનુ મોદીએ. બન્ને કવિઓ પણ તેમની વચ્ચે આસમાન -જમીન જેવો ફરક! શેઠ સાહેબ તો મારી પોળ નાના નગરવાડામાં જ રહે પરંતુ હું બને તેટલો દૂર રહેવા મથું જ્યારે ચિનુભાઈને ઘેર હું ક્યારેક તો વણબોલાવ્યો પણ પહોંચી જાઉં! હું કવિતા કરું ને ગઝલો પણ લખું પણ બધું અધ્ધરીયા ! એકવાર મારી થોડીક અછાંદસ કવિતાઓ બતાવા હું ચિનુભાઈને ઘેર ગયો. શનિવારની બપોર હતી. ઘરની રવેશ થોડીક અંધારિયા અને યાદ છે ત્યાં સુધી કોઈ બારી પણ નહીં! મારી કવિતાઓ ઝડપભેર વાંચી ને પછી કાગળિયાં બાજૂ પર મૂકતાં કહે : જો ભરત, રવીન્દ્રનાથ આવું બધું લખી ગયા છે એટલે આપણે આપણી કવિતા લખવાની. અમે બેઠા હતા તે ખાટલા પાસે જ એક મેજ પરથી એક પુસ્તકનાં પાનાં ફેરવતાં એક કવિતા પર પસંદગી ઉતારી- તે કવિતા તે બીજી કોઈ નહીં પણ આ હતી! આખીયે કવિતા ભાવવાહી રીતે વાંચી સંભળાવી. તે એક પળ હતી જેણે મને જૂની ઘરેડની કવિતામાંથી નવી કે આઘુનિક કવિતાના દ્વાર પર લાવી ખડો કરી દીધો ! બીજા જ અઠવાડિયે તો મારી નવી કવિતા -“રોમિયો-જૂલિયટ વાંચતાં થયેલે એક સરિયલ અનુભવ” કુમારમાં વંચાઈ ત્યારે કેવળ ચિનુભાઈ જ નહીં પણ આદિલ, મનહર મોદી, લા.ઠા. પણ હાજર હતા! એક કવિતા આપણી દિશા બદલી શકે છે.

ભરત ત્રિવેદી

Comments (7)

મોહન-પગલાં – કૃષ્ણલાલ શ્રીધરાણી

“જાગો ! ઊઠો ! ભરતભૂમિનાં, રાષ્ટ્રનાં પુત્ર-પુત્રી !
જાલીમોના નખ ઉઝરડે લોહી વ્હેતી ધરિત્રી.”
માતા માટે જીવન ત્યજતાં જંગલી પ્રાણી-પક્ષી,
વર્ષા-વીજે શરીર ઘસતા ડુંગરા ભૂમિ રક્ષી.”

ગાજી ઊઠે અખિલ નભમાં મેઘનો જેમ નાદ,
સાતે સિંધુ ઉપર ફફડે કોઈ તોફાન સાદ,
એવાં એનાં રણ-રમણ-આહલેક નાં ગાન ગાજ્યાં,
ચૌટે, ચોરે, પુર, નગરમાં, ગામડે, લોક જાગ્યાં.

બિડાયેલા કમલદલમાં જેમ વર્ષે તુષાર,
મૃત્યુબીડ્યાં નયનકમલે અમૃતી છંટકાર;
એવા એના જન સકળનાં દુઃખથી આર્ત્ત નેને,
દૈવી દીપ્તિ અકળ પ્રગટી, લોક ઉત્સાહ વ્હેણે !

લોઢામાંથી ધન પ્રગટતું પારસી સ્પર્શ થાતાં !
માટીમાંથી અમર વચને, માનવી ઊભરાતા !

– કૃષ્ણલાલ શ્રીધરાણી

16 સપ્ટેમ્બર 2010ના રોજથી કવિશ્રી કૃષ્ણલાલ શ્રીધરાણીનું જન્મશતાબ્દી વર્ષ શરૂ થયું… કવિશ્રીને લયસ્તરો તરફથી સ્મરણાંજલિ આપવાની સાથોસાથ આજે મહાત્મા ગાંધીજીની જન્મજયંતિ નિમિત્તે એ મહામાનવને પણ હૃદયપૂર્વક સ્મરી લઈએ…

Comments (11)

અવસ્થાન્તર – જયન્ત પાઠક

(શિખરિણી)

અહો એ અશ્વો, એ તડિત-શી ત્વરા, ખૂંદતી ધરા
ખરીઓ એ, ખુલ્લાં હરિત ચરિયાણો ગજવતી
મહાહેષાઓ એ અતલ ઊંડું આકાશ ભરતી;
જરા વાગી એડી, ગગન ઊડતા લક્ષ્યઅધીરા !

અહો એ વેગીલા શત શત સર્યા પ્હાડથી ઝરા !
ઝલાતા ના ઝાલ્યા, તટ ઉભયને ઉચ્છલી જતા;
મહામોજે તાણી તરુવર, ગુહાઓ ગજવતા
ફીણો ફુત્કારંતા વળવમળબંકા બલભર્યા !

હવે ધીમે ધીમે ઘટતું મટતું જાય જીવન;
બુઝાતા દીવાની શગ-શું, અવળો વાય પવન;
દૃગો ટૂંકું ભાળે પગ નજીકનું – તે ય ધૂંધળું;
પગો ટૂંકી ચાલે ઘર મહીં ફરે રે હળુહળુ;

બધી ઇન્દ્રિયો ને મન હવે શાંત, શિથિલ
જગત્ જાણે ગૂંથ્યું જીવ જકડતું જાળું જટિલ.

– જયન્ત પાઠક

યુવાનીનો તેજીલા તોખાર સમો તરવરાટ અને ઘડપણનો હોલવાતો દીવો – જીવનની બે સાવ વિપરિત છેડાની પણ અનિવાર્ય અવસ્થાઓ કવિએ શબ્દો દ્વારા અદભુતરીતે ચાક્ષુષ કરી છે… પંક્તિની મધ્યમાં એક સાથે પાંચ લઘુ આવે એવો એવો શિખરિણી છંદ જાણે કે ઘોડાની ચાલનો લય દોરી આપે છે. 4-4-4-2 બંધારણના સૉનેટના પ્રથમ બે બંધ યુવાવસ્થાનું દૃશ્ય તાદૃશ કરે છે અને abba પ્રમાણે પ્રાસ જાળવે છે જયારે ત્રીજા બંધમાં અવસ્થાન્તરની સાથે પ્રાસ રચના પણ aabb પ્રમાણે બદલાય છે. સૉનેટના બંધારણ પર નજર રાખ્યા વિના કાવ્ય વાંચતો વાચક પણ કદાચ આ પ્રાસપલટા અને ભાવપલટાને અનુભવી શકે છે…

Comments (15)

અસલ અમલે – દેવેન્દ્ર દવે

(શિખરિણી)

ઝડી સંગે ઝીણું મરમરી ગયું વ્હાલ નભનું !
હવામાં ફૉરાણી મખમલ સમી મ્હેક મધ-શી !
પછી તો પૃથ્વીનું પડ પલળી પોચું થયું જરી,
મયૂરોની કેકા, રજનીભરી દાદુર ડમક્યા !

ઉદાસીનાં ઘેરાં પડળ ખસક્યાં – કૈંક હળવા
મિજાજે માતેલી કુદરત રહી શ્વાસ નરવા
ભરી, લ્યો લીલેરી ખૂબસૂરત ઓઢી ચુનરીને
ધરાને અંગાંગે તૃણ તૃણત રોમાંચ ગરવા !

રહસ્યો આ કેવાં, પ્રહર પૂરવે પ્હાડ-વગડા
ધખેલા, અંઘોળે નભ શત કરે શીતળ કરે !
રહ્યા વાતા શીળા પવન, વન વૃંદાવન બન્યાં !
ઉમંગે ઓચિંતા પલટઈ ગયાં દૃશ્ય સઘળાં !

જુદાઈવેળાના જડ, કુરૂપ ચ્હેરા સજ ધજી
રહ્યા સૌંદર્યોના અસલ અમલે ઘૂંટ ભરવા…

-દેવેન્દ્ર દવે

વરસાદના નિતાંત સૌંદર્યસભર ભીનુંછમ્મ સૉનેટ. ઘડીક નભનું વહાલ ઝરમર ઝરી જાય છે એવામાં તો પોચી થયેલી પૃથ્વી મધ જેવી મખમલી સુગંધથી તો મોર અને દેડકાં પોતાના અવાજથી તારસ્વરે વાતાવરણને ભરી દે છે. માતેલી સૃષ્ટિ હળવા મિજાને નરવા શ્વાસ ભરે છે અને ઉદાસીના ઊંડા પડ ખસકી જાય છે. લીલી તૃણની ચાદર જાણે કે ધરતીનો રોમાંચ ન હોય! થોડી વાર પહેલાં ભડભડ બળી રહેલ પ્રકૃતિ અચાનક વનમાંથી વૃંદાવન બની જાય આ કેવું રહસ્ય છે! એક નાનકડો ઉમંગ શું આપણી જિંદગીના દૃશ્ય પણ સમૂચા બદલી નથી નાંખતો? ઉમાશંકરે ખરું જ કહ્યું છે ને કે સૌંદર્ય પી, ઉર ઝરણ પછી ગાશે આપમેળે…

Comments (9)

ઉમાશંકર વિશેષ :૦૬: રહ્યાં વર્ષો તેમાં –

UJ1

Rahya varsho tema

રહ્યાં વર્ષો તેમાં હૃદયભર સૌન્દર્ય જગનું
ભલા પી લે; વીલે મુખ ફર રખે, સાત ડગનું
કદી લાધે જે જે મધુર રચી લે સખ્ય અહીંયાં;
નથી તારે માટે થઈ જ નિરમી ‘દુષ્ટ’ દુનિયા.
– અહો નાનારંગી અજબ દુનિયા ! શે સમજવી ?
તને ભોળા ભાવે કરું પલટવા, જાઉં પલટી;
અહંગર્તામાં હા પગ, ઉપરથી, જાય લપટી !
વિસારી હુંને જો વરતું, વરતે તું મધુરવી –

મને આમંત્રે ઓ મૃદુલ તડકો, દક્ષિણ હવા,
દિશાઓનાં હાસો, ગિરિવર તણાં શૃંગ ગરવાં;
નિશાખૂણે હૈયે શશિકિરણનો આસવ ઝમે;
જનોત્કર્ષે–હ્રાસે પરમ ૠતલીલા અભિરમે.
–બધો પી આકંઠ પ્રણય ભુવનોને કહીશ હું –
મળ્યાં વર્ષો તેમાં અમૃત લઈ આવ્યો અવનિનું.

– ઉમાશંકર જોશી

21 જુલાઈ, 1952ના રોજ પોતાની 41મી વર્ષગાંઠે કવિએ ‘ગયાં વર્ષો-’ લખ્યું અને એ જ દિવસે આ સૉનેટ પણ લખ્યું. બંનેમાં કવિનો જીવન અને પ્રકૃતિ તરફનો નિરર્ગળ નિતાંત પ્રેમ જ વ્યક્ત થાય છે.

વીલે મોઢે જીવવાને બદલે લગ્નના સાત ફેરા ફરી જગ આખાનું સૌંદર્યપાન કરવા આહ્વાન કરે છે. દુઃખીજનને કાયમ એવું જ અનુભવાતું હોય છે કે આખી દુનિયા મારી જ દુશ્મન છે. હકીકત એવી નથી. પોતાના ‘હું’ને વિસારીને વરતીએ તો દુનિયા વધુ મીઠી લાગશે. જે વર્ષો રહ્યાં છે તેમાં અવનિના કણ-કણમાં વસેલું સૌંદર્ય શા માટે આકંઠ ન પીવું !

**

કવિના શબ્દો, ‘સર્જક કલાકાર તરીકે મને હમેશ લાગ્યાં કર્યું છે કે કવિતા પોતાનું ઘણું કામ લય દ્વારા કાઢી લેતી હોય છે. શબ્દના અર્થ-અંશ કરતાં નાદ-અંશનું મહત્ત્વ ઓછું નથી. એ નાદ-અંશ, કવિતા કાનની કળા હોઈ, અર્થ-અંશનો આધાર તો છે જ, પણ અર્થ-અંશને પ્રસ્તુત કરીને એ વિદાય લેતો નથી, કૃતિના સમગ્ર પિંડનો સ્વયં આવશ્યક ભાગ બની રહે છે. કવિતામાં શબ્દનો નાદ-અંશ અનુપ્રાસ, કાકુ, શબ્દક્રમ આદિની મદદથી અર્થના આરોહ-અવરોહમાં અનુપ્રવેશ સાધતો સમગ્ર સંદર્ભના – આખી કલાકૃતિના અવયવવિન્યાસના જ નહીં, અર્થવિન્યાસના બલકે રહસ્યવિન્યાસના હિલ્લોલ રૂપે, લય રૂપે પ્રતીત થાય છે. લય અંગેની આ વાત જેટલી ગીત અને છંદ અંગે સાચી છે તેટલી જ ગીત અને છંદ કરતાં વધુ મુશ્કેલ (કેમકે ગીત અને છંદની પહોંચમાં ન આવી શક્તા કશાકને પકડવા મથનાર) ‘અછાન્દસ’ માટે સાચી છે.’

Comments (5)

ઉમાશંકર વિશેષ :૦૫: ગયાં વર્ષો –

Umashankar1

Gaya varsho

ગયાં વર્ષો તે તો ખબર ન રહી કેમ જ ગયાં !
ગયાં સ્વપ્નોલ્લાસે, મૃદુ કરુણહાસે વિરમિયાં !
ગ્રહ્યો આયુર્માર્ગ સ્મિતમય, કદી તો ભયભર્યો;
બધે જાણે નિદ્રા મહીં ડગ ભરું એમ જ સર્યો !
ઉરે ભારેલો જે પ્રણયભર, ના જંપ ક્ષણ દે.
સ્ફુર્યો કાર્યે કાવ્યે, જગમધુરપો પી પદપદે
રચી સૌહાર્દોનો મધુપટ અવિશ્રાંત વિલસ્યો.
અહો હૈયું ! જેણે જીવવતર તણો પંથ જ રસ્યો.

ન કે નાવ્યાં માર્ગે વિષ, વિષમ ઓથાર, અદયા
અસત્ સંયોગોની; પણ સહુય સંજીવન થયાં.
બન્યા કો સંકેતે કુસુમ સમ તે કંટક ઘણા.
તિરસ્કારોમાંયે કહીંથી પ્રગટી ગૂઢ કરુણા.
પડે દૃષ્ટે, ડૂબે કદીક શિવનાં શૃંગ અરુણાં –
રહ્યો ઝંખી, ને ના ખબર વરસો કેમ જ ગયાં !

– ઉમાશંકર જોશી

‘ગયાં વર્ષો-’ અને ‘રહ્યાં વર્ષો તેમાં-’ આ બે સૉનેટ કવિ ઉમાશંકરની કલમની ઓળખ આપી શકે એવાં છે. ઉમાશંકર સિક્કાની બંને બાજુને સમાનપણે ચાહી શક્તા. સ્વાભાવિકપણે ચડાવ એમને વહાલો હતો તો ઉતાર પણ એમને વર્જ્ય નહોતો. જે વર્ષો વીતી ગયાં છે એનો વસવસો આ સૉનેટમાં ક્યાંય નજરે ચડતો નથી કેમકે કવિ એને પણ બિનશરતી ચાહે છે ! સમય પસાર થાય છે ત્યારે એ માંડમાંડ વિતતો હોવાનું અનુભવાય છે પણ વીતેલા વખત પર નજર માંડીએ ત્યારે આટલો સમય કેમનો વીતી ગયો હશેનું આશ્ચર્ય જ અનુભવાય છે. કદી તો એવું લાગે છે જાણે ઊંઘમાં ચાલતાં ન હોઈએ એમ વરસો વીતી ગયાં. હૈયામાં જે પ્રણયોર્મિ છલોછલ હતી એ જ ડગલે ને પગલે જીવાડતી હતી. માર્ગમાં મુસીબતો પણ આવી પણ કો’ક અકળ સંકેતે જાણે કાંટા પણ ફૂલ બની બેઠાં…

**

કવિ પોતે શબ્દ વિશે શું કહે છે, જાણીએ? :’ગામથી શબ્દ લઈને નીકળ્યો હતો. શબ્દ ક્યાં ક્યાં લઈ ગયો ? સત્યાગ્રહ છાવણ્રીઓમાં, જેલોમાં, વિશ્વવિદ્યાલયમાં, સંસદમાં, દેશના મૂર્ધન્ય સાહિત્યમંડળમાં, રવીન્દ્રનાથની વિશ્વભારતીમાં, વિદેશના સાંસ્કૃતિક સમાજોમાં, – એટલે કે વિશાળ કાવ્યલોકમાં, માનવ હોવાના અપરંપાર આશ્ચર્યલોકમાં, તો ક્યારેક માનવમૂલ્યોના સમકાલીન સંઘર્ષોની ધાર પર, કોઈક પળે બે ડગલાં એ સંઘર્ષોના કેન્દ્ર તરફ પણ. …     … પ્રામાણિકપણે કહી શકું કે શબ્દનો વિસારો વેઠ્યો નથી….   …શબ્દને વીસરવો શક્ય નથી. વરસમાં એક જ કૃતિ (જેવી ‘અમે ઈડરિયા પથ્થરો’ છે) રચાઈ હશે ત્યારે પણ નહીં, બલકે ત્યારે તો નહીં જ.’

Comments (1)

મારામાં તું જ ઊમટે – મકરંદ દવે

હું તો તારા સમયનિધિનું ક્ષુદ્ર એકાદ બિંદુ,
ઝીણી લાગે તપન તણી જ્યાં ઝાળ,ઊડી જવાનું.
તો યે સૂતા મુજમહીં નિહાળું સદા સાત સિંધુ
કોઈ એવું ગહન મુજમાં નિત્ય,નિ:સીમ,છાનું.

હું તો નાનું હિમકણ,હિમાદ્રિ તું સ્થાણું સદાય,
હું તો પાલો પલકમહીં આ,પીગળી અસ્ત પામું,
તોયે મારે તવ થકી રહ્યો ભેદ અંતે ન ક્યાંય!
ઊડ્યો ઊંચે ઘનદલ બની અંક તારે વિરામું.

હું તો નાનું અમથું વડનું બીજ ને બીજમાં તો
ઊભો ધીંગો વડ,શું વડવાઈ જટાજૂટ ઝૂલે,
જ્યાં જોઉં ત્યાં અચળ પડદો એક સાથે ભૂંસાતો,
મારો તારો વિરહમિલને ખેલતો રંગ ખૂલે.

મહાઆશ્ચર્યથી આગે, મહદાનંદને તટે.
હું તને પામવા ઝંખુ,મારામાં તું જ ઊમટે.

– મકરંદ દવે

અનંત સાગરમાં એક અનંત બિંદુ…..
-ખલીલ જિબ્રાન.

Comments (13)

આંસુ – જયન્ત પાઠક

હશે આંસુ જેવી કઠણ -કુમળી કોઈ ચીજ કે !
ડુબાડે પોતાને શીતલ જલ ને ટાઢક કરે;
ડુબાડે પોતાને જળ ફફળતે, દાહક ઠરે;
પડે વર્ષા થૈને, પડત થઈને ઉગ્ર વીજ કે.

કશું રોવું ! ધોવું હૃદય ભીતરી સ્વચ્છ જલથી,
વહાવી દેવું સૌ મલિન નિજ મૂગા પ્રવાહમાં
તટોને તોડીને ઊછળવું થઈ વ્હેણ વસમાં;
લહેરો જેવી કે અલસ જળલીલા જ અમથી.

તમે આવો આંસુ ! નયન અધીરાં રાહ નીરખે
થવા ખારો ખારો અતલ ગહનાબ્ધિ, લહરમાં
રમે જેની નૌકા તનુ, પ્રબલ લોઢે વળી ડૂબે
જહાજો, મોતી ને માછલી ધસતાં કૈં ભીતરમાં.

અહો, આંસુ જેવી અજબ ચીજ લાવણ્યમય જે
ક્ષતોમાં પીડે ને બની સદય જિવાડીય શકે !

– જયન્ત પાઠક

ગઈકાલે જ આંસુ વિશે શ્રી ઉશનસે લખેલ એક સૉનેટ માણ્યું. આજે આંસુ વિશે જ એક બીજું સૉનેટ જયન્ત પાઠકની કલમે. એક જ પદાર્થને બે અલગ અલગ માણસો કેવી સંવેદનાથી આળખે છે એ સરખાવવા જેવું છે.

આંસુ એકી સાથે કઠણ અને કુમળું છે. એકી સાથે શીતળ અને દાહક છે. એ વર્ષા પણ છે અને વીજળી પણ છે. એ મૂંગા મોંએ ભીતરના મેલને ધોઈને હૃદયને સ્વચ્છ પણ કરે છે અને કાંઠા તોડીને ભીતરના ભલભલા જહાજ-મોતી ને માછલીઓને ડૂબાડી પણ દે છે. આંસુ પીડે પણ છે અને દયા દાખવી જીવાડી પણ શકે છે…

Comments (8)

આંસુ – ઉશનસ્

(વસંતતિલકા)

આંસુ લઘુતમ સ્વરૂપ સમુદ્ર કેરું :
લાવણ્ય એવું, વડવાગ્નિય કૈંક એવો;
એને રહ્યા મથી યુગોથી અસુર-દેવો;
પામી શક્યા ન તળિયું હજી એનું ઘેરું !

નાનું ટીપું જ, તટ જેવું કશું ન એને,
તોયે ન પાર હજી કોઈ ગયેલ, જાણું;
આ તો નરી જ મઝધાર બધે ! પ્રમાણું,
ઘૂંટાયલી ભરતીનું રૂપ માત્ર જેને;

ના ટેરવું પણ શકે ડૂબી આંગળીનું,
તેમાં ગયાં સકલ વ્હાણ ડૂબી મહારાં;
તેમાં થયાં વિલીન ક્ષુબ્ધ તુફાન સારાં;
ના કો નિશાની શમણાંની ડૂબી તરીનું !
એવું અબોલ ઘન મૌન મુખે ધરીને
બેઠું, યથા શબ્દકોશ પૂરો ગળીને !

– ઉશનસ્

આંસુ ઉપર લખાયેલી કદાચ સર્વશ્રેષ્ઠ ગુજરાતી કવિતા !!

આંસુ જાણે કે સમુદ્રનું જ નાનકડું સ્વરૂપ છે, એ જ સૌંદર્ય અને એ જ એની ભીતરમાં ભારેલો અગ્નિ.. અને સમુદ્ર પણ કેવો! યુગોથી એનું તળિયું કોઈ પામી શક્યું નથી. એને કોઈ કિનારો નથી પણ તોય એવો કોઈ ભડવીર જાણમાં છે જે એને પાર તરી શક્યો હોય? જેમાં આંગળીનું તેરવુંય ન ડૂબે એમાં આખા જ્ન્મારાનાં વહાણ અને તોફાન અને સ્વપ્નાંઓ ડૂબી જાય છે પણ ક્યાંય કોઈ નિશાની જડતી નથી… આંસુ ભલે મૌન હોય પણ એના પેટમાં જાણે કે જીવતરની આખી ભાષા ભરી પડી છે…

Comments (18)

જીવો ને જીવવા દ્યો ! – કરસનદાસ માણેક

નાની શી હોડલીની લલિત ગતિ રૂંધે લંગરો જંગી જેમ;
ખેંચાયે જેમ ભારી દીપકવજનથી પૃથ્વી પ્રત્યે પતંગો;
ઓચિંતા ને અકાળે અચિર જીવી ખરી જેમ કાળે શમાય
ચિંતાની ઝેરી ફૂંકે સ્વપ્નરુચિર આદર્શ કેરા તરંગો;
વૃત્તિ ગંભીર અંતર્મુખ,હરિણસમા ઉરના તરવરાટો
દાબી,પીડી,રીબાવી,રણભૂમિ કરી દે આત્મ લીલાંગનાનો;
નાની શી બંસરીમાં હઠ કરી કવિ કોઈ મહાકાવ્ય ઠાંસી
બંસીની,કાવ્યની ને નિજ જીવનનીયે વ્યર્થ વ્હોરે ખુવારી !

તેવી ભાસે મને કદીક જીવન સાર્થક્યની સર્વ વાતો:
ડાહી ડાહી સલાહો મથી મથી ગ્રહવા વિશ્વના સૌ પદાર્થો !
ધર્મોની ધાંધલો ને અરથ અવરથા,કીચ્ચડો કામના યે,
પોલી લાગે મને તો-મર સહુ સ્તવતા-મોક્ષની નામના યે !

શાના ઉદ્દેશ,શાની ફરજ ? સરજી સૌ આપદા અર્થહીણી;
જીવો અને જીવવા દ્યો મરણ લગણ આ જિંદગી ચાર દિ’ની !

– કરસનદાસ માણેક

ઘણીવાર સ્પષ્ટ દેખાતું હોય છે કે આદર્શોની વાતો વાસ્તવિકતાથી કેટલી અળગી હોય છે ! અસ્તિત્વવાદ ઘણીવાર મન ઉપર આધિપત્ય જમાવી દેવામાં સફળ થતો લાગે છે ! મોક્ષ જેવું ખરેખર કંઈ છે ખરું કે પછી તે પણ એક વધુ મૃગજળ જ છે ?

Comments (6)

સૉનેટ – ઉમાશંકર જોશી

કહું કે ચાહું છું જગ સકલમાં એક જ તને,
રખે માને વ્હાલી ઇતર પ્રણયો ના મુજ ઉરે;
રખે વાંછે,ભોળી,ઇતર પ્રણયો ના ટકી શકે
ઉરે મારે, તારા અનુભવ પછીયે સુમૃદુલ!
બિછાવે છોને સૌ પ્રણયની જગે રમ્ય ભ્રમણા,
અનન્યાસક્તિની વિતથ કરી વાતો પ્રિય કને.
સખી, હૈયાની જે અમિત ધબકો ઊઠી શમતી,
કહે શું ખોટું જો કદીક મળી કોને મહીંથી બે ?

કહું સાચ્ચું વ્હાલી,મુજ હૃદય જાગ્યા અણગણ્યા,
હજી જાગે,જાગ્યા હજીય કરશે કૈંક પ્રણયો,
અજાણી કો બાલા સ્મિત દઈ ગઈ,કો દૃગ મૃદુ,
અમી શબ્દો,સૂરો ક્યમ કરી સહુ એ ભૂલી જવું ?
ગણું સૌનો એવો તું પણ સખી અહેસાન ગણજે,
રહસ્યો તારાં હું લહું પરમ એ સર્વ થકી તો.

– ઉમાશંકર જોશી.
[1937]

પ્રણયની ચરિતાર્થતા શેમાં ? વ્યક્તિનિષ્ઠ પ્રણય એ સમષ્ટિનિષ્ઠ પ્રણય ના માર્ગની બાધા બને તે કવિને રુચતું નથી. શું વ્યક્તિ એક જ પાત્રને ચાહી શકે ? માની લો કે બીજા પાત્ર માટે પ્રણયની તીવ્ર લાગણી થાય તો આત્મવંચના કરી પ્રથમ પાત્ર માટે જ પ્રેમ છે તેવું સેલ્ફ-હિપ્નોસીસ કરવું , કે ખુલ્લા દિલે વાસ્તવિકતાનો સ્વીકાર કરવો ? પ્રશ્નોના સર્વસ્વીકાર્ય ઉત્તર કદાચ ન હોઈ શકે – તુંડે: તુંડે: મતિ: ભિન્ના: …… પરંતુ પ્રશ્ન અત્યંત પ્રસ્તુત છે. જાતને છેતરવાનો આસાન રસ્તો લેવો કે ચીલો ચાતરવાની તૈયારી સાથે road less travelled ઉપર ચાલી નીકળવું તે દરેક વ્યક્તિની ફિતરત ઉપર છોડવાની વાત છે……

Comments (17)

(વિ) ચિત્ર – જગદીશ જોષી

વેરાનોમાં તરસ-તરસી ચીસ થીજી,અને આ
વૃક્ષો કેરી હરિત ભ્રમણા : આંખમાં રેત સુક્કી,
મેઘો ગાજે અજલ, વળથી ઊછળીને સમુદ્રો
કાંઠે આવી વ્યરથ પટકે શ્વેત, ફેનિલ મુઠ્ઠી.

ઊગે-ડૂબે અવિરત નભે સૂર્ય આ અંધ, મારો
ઝાંખો-પાંખો સતત કરતો ચંદ્ર આક્રંદ મંદ.
તોયે વૃક્ષો,ખળખળ વહતી આ નદી,ખેતરોયે
ઝૂલે-ખૂલે, ગગન-ધરતીનો કશો આ સંબંધ!

ઊગે લીલી કૂંપળ જડ આ ભીંત ફાડી અચિન્તી,
કંપે એના હલચલ થતી પિંડ-બ્રહ્માંડમાં આ :
આવેગે કે અરવ પગલે આવવાનો ફરીને,
ભીડ્યાં દ્વારો પરિમલ થઇ ખોલવાનો,ઝરીને !

તારી આંખે તગતગ થતા તારલાઓ નિહાળું
કે આ મારું હરણ-સપનું…ચીસ થીજી,અને આ….

-જગદીશ જોષી.

પ્રકૃતિના તત્વોના સ્વ-ભાવને કેટલી સુંદરતાથી કવિએ ઉપયોગમાં લીધા છે ! પ્રચંડ શક્તિશાળી તત્વોની નપુંસકતા એક ઘેરી નિરાશાની લાગણી સૂચવે છે. અચાનક મધ્યકાવ્યમાં સૂર બદલાય છે અને એક કૂંપળ ફૂટે છે-એક શાંત ક્રાંતિ થાય છે જાણે… અંતિમ બે પંક્તિઓ એક અનુત્તર પ્રશ્ન છોડી દે છે… જગદીશ જોષીની વીણાને સામાન્યત: કરુણ ગાન વિશેષ રુચે છે પરંતુ અહીં કંઈક અનોખી છટા ખીલી ઊઠી છે.

Comments (8)

ગાંધી-વિશેષ:૧: ગાંધી જયંતી – નાથાલાલ દવે

તાત તુજ જ્યોત નિર્મલ જગે ઝળહળે,
મનુજના દિલદિલે દીપ તારો જલે,
જીવનની વેલ નવપલ્લવે પાંગરે,
સર્વ માંગલ્ય તુજ સાધનાના બળે.
તેં પીધાં ગરલ, આપ્યાં જગતને અમી,
સત્ય વિજયી થયું, પાપ-આંધી શમી,
વિસ્તરી આત્મની શાંત નિર્મલ પ્રભા.
માનવી-હૃદયની તપ્ત જે મરુભૂમિ
ભીંજવી તેં કીધી આર્દ્ર કરુણાજલે.
તાત તારે પદે નમ્ર હો વંદના,
સ્વપ્ન તારાં, બને એ જ અમ સાધના,
સકલ પુરુષાર્થ અમ તે નિરંતર બનો
તુજ આદેશની મૂક આરાધના.

-નાથાલાલ દવે

આજે ગાંધીજયંતીના વિશેષ અવસરે ત્રણ કાવ્યોનું એક નાનકડું બીલીપત્ર…

શંકરની પેઠે જાતે ઝેર પીને પણ જગતને પ્રેમ,અહિંસા અને સત્યનું અમૃતપાન કરાવનાર આવો વીરલો જવલ્લે જ પાકે છે. છેલ્લા સો-સવાસો વર્ષનો ભારતનો ઇતિહાસ એના પ્રતાપે દસ મહાભારત લખવા પડે એવો ભવ્ય થયો છે…  ઝુલણા છંદના ‘ગાલગા’ના આવર્તનોના કારણે આ સૉનેટ સ-રસ રીતે લયબદ્ધ પણ થયું છે.

Comments (9)

મિલનનું સ્વપ્ન – સ્નેહરશ્મિ

ત્યજીને ખોળો કો ગિરિવરતણો ને વન વનો-
તણાં ગાનો કેરા નિજ લહરમાં ઝીલી પડઘા,
કદી વા ઊંચા કો ખડક કપરા કાળ સરખા,
ગજાવીને દોડે કો તરલ મીઠી કન્યાસમ અને
ઘડીમાં ફેલાતી ઉભય તટપે, ગૌરવભરી
મહારાજ્ઞી જેવી, વહતી સરિતા જેમ ચમકે
સુણીને પ્હેલાં તો રવ ઉદધિનો – કિન્તુ ઉછળી
પછી રે’તી તે જ્યાં જ્યમ ગહનના ભવ્ય સપને,
પ્રભો ! તેવી રીતે કદી સરળ વા કષ્ટ વહતી,
કદી કાન્તારોમાં પરમ સુખના વા ખડક પે
મહા દુઃખો કેરા, ફુદડી ફરતી, જીવન-નદી
સુણે આઘાતે જ્યાં ગહન ગહરો કાળરવ ત્યાં
લખાશે ના ભાગ્યે મિલન-સપનાં તું – ઉદધિનાં ?

-સ્નેહરશ્મિ

પહાડનો ખોળો ત્યજીને અને વનોના ગીતોના પડઘા પોતાની લહેરોમાં ઝીલતી ઝીલતી નદી કદી ચંચળ કન્યાસમી ઊંચા કપરા ખડકોને ગજવતી તો કદી ગૌરવવંતી મહારાણી જેવી બંને કાંઠા છલકાવતી વહે છે અને સાગર નજીક આવતાં પહેલાં તો ઘુઘવાટા સાંભળી ચમકે છે પણ પછી ગહનમાં ભળી જવાના સપનાંનું સાફલ્યપણું નજરે ચડતા ઉછળીને દોડે છે એમ જ આ જીવનની નદી પણ કદી સરળ તો કદી કષ્ટપૂર્ણરીતે, કદી પરમ સુખના કોતરોમાં તો કદી મહાદુઃખના ખડકો વચ્ચે ફુદરડી ફરતી વહેતી રહે છે. કાળનો ગહન નાદ સંભળાય ત્યારે આઘાતથી ચમકે છે કે શું આ જીવનનદીના ભાગ્યમાં ઈશ્વરરૂપી સાગરના મિલનના સ્વપ્નનું સાફલ્ય લખાયું નથી?

Comments (4)

વિસર્જન – ચંદ્રવદન મહેતા

પ્રભો ! છંકારી દે સકળ ગ્રહ, તારા, ઉદધિમાં,
અને સંકેલી લે ઘડીક મહીં આ રાસ રમવા;
ચઢી ચોપાસે જો, પ્રલયપૂર વ્યાપે પલકમાં,
ગ્રહી લેજે મારું દૃગજલ, ખૂટ્યે શક્તિમહિમા !

ત્રુટે ગેબી ગુહા, અનલ સરખા વિશ્વ ફરતા
ફરે ઝંઝાવાતો, ફરી ફરી બધુંયે જગ સીઝે;
ખૂટે એ વાયુ તો હૃદયભરમાં દાહ દવતા
નિસાસામાંથીયે પ્રલયપૂર તો એક ગ્રહજે !

અને પ્હાડોના જો, વીજતણખથી કોઠ જ ફૂટે,
ઊના અંગારાથી ગગનપટ વ્યાપે રજેરજે,
પરંતુ વજ્રો-શા દૃઢ વીજકડાકા કદી ખૂટે,
અરે આ હૈયાની ઉરધબક એકાદ ગ્રહજે !

નિસાસા, આંસુ ને ઉરધબક સર્વે મુજ વહી
થશે નક્કી દેવા ! તુજમય નવા સર્જન મહીં.

– ચંદ્રવદન મહેતા

થોડા દિવસો પહેલાં ધવલે એક ગઝલમાં વિસર્જનને સર્જનની પૂર્વભૂમિકારૂપે આલેખી હતી ત્યારે મને આ સૉનેટ યાદ આવ્યું હતું.

આજે ગઝલ-અછાંદસની દેમાર વર્ષામાં સૉનેટ લગભગ મૃતઃપાય થઈ ગયાં છે. અમારી કોશિશ છે કે કઠે નહીં એ રીતે આ કાવ્યપ્રકાર ભાવકો સમક્ષ નિયમિત પ્રસ્તુત કરતા રહેવો…

અહીં કવિ ઇશ્વરને પ્રલય કરવા આહ્વાન આપે છે અને બધા ગ્રહો, બધા તારાઓ સમુદ્રમાં સમાવી લેવા કહે છે અને આમ કરવામાં જો એની પ્રલયશક્તિ ઓછી પડે તો પોતાનાં આંસુઓ પણ કવિ મદદ માટે આપવા તૈયાર છે.  બધાને ભસ્મીભૂત કરતા અગ્નિને ઠારવા ઝંઝાવાતોનો વાયુ જો ખૂટી પડે તો કવિ પોતાના હૈયાના ઊના નિસાસાઓ પણ સહાયમાં દેવા તત્પર છે.  સૃષ્ટિસંહાર કાજે જો વીજતણખા ખૂટી પડે તો કવિ પોતાના હૃદયના ધબકારા આપવા ચહે છે.  કારણ કે કવિ જાણે છે કે આજની આ દુનિયામાં ઘણુંબધું બરાબર નથી અને આ વિશ્વનો પૂરો નાશ થાય તો જ નવું સર્જન સર્જનહાર પોતાની ઇચ્છા પ્રમાણે કરી શકે…  સર્જનહારના વિરાટને સાહવા પોતાના સૂક્ષ્મતમની પણ ભેટ આપવાની તીવ્રેચ્છા એ આ કવિતાનો પ્રાણ છે !

Comments (5)