ઈનકાર એના હોઠ ઉપર ધ્રુજતો હતો
અમને અમારી વાતનો ઉત્તર મળી ગયો.
મનહરલાલ ચોક્સી

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for દિનેશ મોદી

દિનેશ મોદી શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.




સ્થૈર્ય – દિનેશ મોદી

(પૃથ્વી)

મકાન, ઘર, માણસો સકલ નષ્ટ સૃષ્ટિ જ્યમ!
ભૂકંપ! કશું સ્થિર ના; હલબલે સ્વયં જ્યાં ક્ષણો!
દીસે પ્રકૃતિ-રાજ્ઞી પૂર્ણ-જયી, માનવી પામર-
મહાત? કદી જીતશે મનુજ ઈશ-પ્રકૃતિને?
ભૂકંપ, કરી પૂર્ણ ધ્વંસ, જયી-હાસ્ય સાથે જહીં
દીસે પૂછંત, ‘…કોઈ વા કશું રહ્યું નથી ને બાકી…?!’

– તહીં અકળ અસ્થિરે સ્થિર કશુંક ભાળું જહીં
વિનાશ-તિમિરે રહ્યું ચમકી- કૈં ન જાણે પડી:
પરોપકૃતિ, માણસાઈ, કરુણા અહીં વર્ષતાં!
સહાનુભૂતિ ને ઉદાર-સહકાર રેલાય હ્યાં…
-અહો! અકળ, સર્વશક્ત જ ભૂકંપ છો વ્યાપક-
અબાધિત જ ધ્વંસ-શક્તિ પર આટલો અંકુશ!

ધરા-પ્રકૃતિ ના શકે ધ્રુજવી ભાવના શુભ, તો
અજેય બસ! માનવી; પ્રકૃતિ વિજયી પૂર્ણ ના…

– દિનેશ મોદી

પ્રકૃતિની વિનાશક તાકાત સામે મનુષ્યની હેસિયત શું? ભૂકંપનો એક આંચકો આવે એટલે ઘર-બાર, ઝાડ-પાન, માણસો- બધું જ ધૂળમાં મળી જાય. શું મનુષ્ય કદી ઈશ્વરને, પ્રકૃતિને જીતી શકવા સમર્થ થશે ખરો? પહેલાં ષટકમાં આ પ્રશ્ન ઊભો કરી કવિ બીજા ષટકમાં મનુષ્યમાં રહેલા પરોપકાર, માણસાઈ, કરુણા જેવા સદગુણોની વાત કરે છે, જેને પ્રકૃતિના કોઈ પરિબળ મિટાવી શકતાં નથી. પ્રકૃતિ મનુષ્યની શુભ ભાવનાને ધ્રુજાવી પણ શકતી નથી એ અર્થમાં માનવી અજેય છે અને પ્રકૃતિ પૂર્ણ વિજયી નથી જ નથી…

સૉનેટની પારંપારિક ભારઝલ્લી ગુજરાતી ભાષા અને બિનજરૂરી વિરામચિહ્નોની ભરમાર કવિતાની ગતિમાં ખલેલ પહોંચાડે છે એ ટાળી શકાયું હોત તો કૃતિ વધુ આસ્વાદ્ય બની શકી હોત.

Comments (1)