નથી એક માનવી પાસે બીજો માનવી હજી પહોંચ્યો,
‘અનિલ’, મેં સાંભળ્યું છે, ક્યારનો બંધાય છે રસ્તો !
રતિલાલ 'અનિલ'

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for October, 2007

કોડિયું – ઝવેરચંદ મેઘાણી

અસ્ત જાતા રવિ પૂછતા અવનિને :
‘સારશો કોણ કર્તવ્ય મારાં ?’
સાંભળી પ્રશ્ન એ સ્તબ્ધ ઊભાં સહુ,
મોં પડ્યાં સર્વનાં સાવ કાળાં.

તે સમે કોડિયું એક માટી તણું
ભીડને કોક ખૂણેથી બોલ્યું :
‘મામૂલી જેટલી મારી ત્રેવડ, પ્રભુ !
એટલું સોંપજો, તો કરીશ હું’

– ઝવેરચંદ મેઘાણી
(રવિન્દ્રનાથ ઠાકુરની કૃતિ ‘કર્તવ્યગ્રહણ’ પરથી)

Comments (8)

શબ્દ – ઉમાશંકર જોશી

શબ્દને ખોલીને જોયું,
મળ્યું મૌન.

શબ્દ થઈ બેઠો દુર્ભેદ્ય
અર્થનો પ્રકાશ
અર્ધઝાઝેરો
ખૂંતી ન શકે આરપાર.
નવલ એ આભા-વલય
બન્યું રસનું આધાન.

શબ્દ, ગર્ભદશા મહીં કર્મ.
ક્યારેક તો સ્વયં કૃતિ,
આત્માની અમરાકૃતિ.

શબ્દ, ચિરંતન જ્યોતિસ્તંભ.

– ઉમાશંકર જોશી

શબ્દમાં કવિને માત્ર મૌન જ મળે છે. શબ્દ તો ઉઘડવાનું નામ લેતો નથી. અર્થનો પ્રકાશ શબ્દને ભેદી શકતો નથી. એ ગૂઢ રહસ્યની આભા જ શબ્દને વધુ રસપ્રદ બનાવે છે. શબ્દ વિષે ઉત્તમ ચિંતન જેવી ત્રણ અદભૂત પંક્તિ કવિ મૂકે છે. શબ્દના મૂળમાં તો કર્મ રહેલું છે – શબ્દ પોતે જ એ સંપૂર્ણ રચના છે – એ આત્માની સૌથી મહાન રચના છે. છેલ્લે ઉપનિષદમાંથી ઊતરી આવી હોય એવી પંક્તિથી કાવ્ય પૂરું થાય છે – શબ્દ એટલે તો હંમેશા પ્રકાશ પાથરનારો, પથદર્શક, અવિચલ માર્ગદર્શક !
(આધાન=ધારણ કરવું, ગર્ભ )

Comments (14)

સરનામું – અજય પુરોહિત

ફૂલોનું સરનામું
શોધવા
ડાયરીના પત્તાં
ઉથલાવ્યે જાઉં છું
ત્યાં જ
મળી આવ્યું
મરેલું પતંગિયું !!!

– અજય પુરોહિત

વિદેશી કાવ્યોમાં માત્ર juxtapositionથી કાવ્યમાં અર્થ ઉપજે એવા કાવ્યો ઘણા જોવા મળે છે. આ કાવ્ય એનો સારો પ્રયોગ કરે છે. ‘મરેલુ પતંગિયું’ એકી સાથે કેટલીય અર્થ-છાયાઓ રચી આપે છે.

Comments (9)

ગઝલ – જવાહર બક્ષી

ઉપેક્ષામાં નહિ તો બીજું તથ્ય શું છે, છે બસ એક એની મનાનો અનુભવ,
મળ્યાનો વળી બીજો આનંદ શું છે, સિવાય કે એની રજાનો અનુભવ.

હવે જો હું માનું તો ખોટું નથી, કે હતું એને મારા તરફ પ્રેમ જેવું,
ગમે તેમ હો પણ મને છોડી દઈને, કરે છે એ કોઈ ગુન્હાનો અનુભવ.

કદાચિત્ તને ભૂલવામાં મજા હો, એ માની ઘટાડ્યે ગયો યાદ તારી,
હજી પણ મને યાદ આવી રહ્યો છે, તને ભૂલવાની દશાનો અનુભવ.

કદી હું તને મેળવી પણ ચૂક્યો છું, એ ત્યારે જ સાચી પ્રતીતી તો થઈ’તી,
મને જે ક્ષણે થઈ ગયો’તો અચાનક, તને ક્યાંક ખોઈ દીધાનો અનુભવ.

મેં હમદર્દીની દોસ્ત તારીય પાસે, પ્રથમથી જ ક્યાં કંઈ અપેક્ષા કરી’તી
ફકત દેવા માટે દિલાસાઓ દે નહિ, તને ક્યાં છે મારી દશાનો અનુભવ.

હરણ તરસે માર્યું આ હાંફી રહ્યું છે, પ્રથમ એને પાણી પિવાડો ઓ લોકો,
તરત એ બિચારાને એ તો ન પૂછો, કે કેવો રહ્યો ઝાંઝવાનો અનુભવ.

મને થોડી અગવડ પડી રહી’તી એથી ‘ફના’ ઘર બદલતાં મેં બદલી તો નાંખ્યું,
પરંતુ નવા ઘરના સામાન સાથે મેં બાંધ્યો છે જૂની જગાનો અનુભવ.

– જવાહર બક્ષી

જવાહર બક્ષી (19-2-1947) એટલે ખરા અર્થમાં ગઝલના મર્મજ્ઞ. એમની ગઝલ ઊંડાણ, ચિંતન અને મનનથી સાવ જુદી તરી આવે છે. ચાળીસ વર્ષ સુધી અક્ષરની આરાધના કર્યા પછી ફક્ત 108 મણકાંની માળા આપીને બાકીની છસોથી વધુ ગઝલોને સમયના ગર્ભમાં વિલય કરી દે એવો આખો માણસ આજે ક્યાં મળે જ છે? એના જ શબ્દમાં: “ગઝલ મારે માટે મર્યાદામાં રહીને અનંતને પામવાની યાત્રા છે. અવ્યક્તને વ્યક્ત અથવા વ્યક્તને ભિન્ન ભિન્ન દ્રષ્ટિકોણથી પુનર્વ્યક્ત કરવાની અને વળી તેને વિલક્ષણતાપૂર્વક કાવ્યમય સૌંદર્યથી ઢાંકી દેવાની લીલા એટલે ગઝલ”. નરસિંહ મહેતાના વંશજ જવાહર વ્યક્તિ નથી, વાતાવરણ છે. એક જ સંગ્રહ: ‘તારાપણાના શહેરમાં’.

Comments (9)

ગઝલ – મુકુલ ચોક્સી


(મુકુલ ચોક્સીએ સ્વહસ્તે લયસ્તરો માટે લખી આપેલી અપ્રગટ રચના)

फिर से आ जाओ ज़िन्दगानी में,
जैसा होता है इक कहानी में ।

मेरी नज़रों में एक है दोनों
अश्क में डूबना या पानी में ।

फर्क क्या है कि दोनों रोयेंगे
तुम बूढापे में हम जवानी में ।

जो थे जिन्दा तेरी ज़फा में भी
मर गये तेरी महेरबानी में ।

-मुकुल चोक्सी

મહિના પહેલાં મુકુલ ચોક્સીની ‘ખબર છે તને?‘ ગઝલ પૉસ્ટ કરી હતી ત્યારે આ હિંદી ગઝલનો ઉલ્લેખ થયો હતો. જયશ્રી ભક્ત ભારત આવી હતી ત્યારે અમે બધા – હું, મિત્ર મનીષ ચેવલી, મેહુલ સુરતી અને મુકુલ ચોકસી -સહપરિવાર તાજમાં જમતા ગયા હતા. ત્યાંના ગાયકે મુકુલભાઈને જોઈને આ હિંદી ગઝલ ગાવાની શરૂ કરી અને મુકુલભાઈ સાશ્ચર્યાનંદ ઊછળી પડ્યા. લાંબા સમય પહેલાં આવી જ કોઈ સાંજે આ જ ગાયકે મુકુલભાઈ પાસે કોઈ ‘તાજા કલામ’ની માંગ કરી હતી અને મુકુલભાઈએ ત્યાંને ત્યાં જ આ હિંદી ગઝલ લખી આપી હતી. કવિના રૂદિયામાંથી તો આ રચના ભૂલાઈ અને ભૂંસાઈ ગઈ હતી પણ આ ગાયકે એ કૃતિને મરતાં બચાવી લીધી. વિસ્મૃતિની ગર્તામાં ડૂબી ગયેલી એ ગઝલ સમીસાંજનું અજવાળું બનીને બત્રીસ કોઠે ઝળહળી ઊઠી. આ આખી ગઝલ મેં એક કાગળ પર લખી લીધી. થોડા દિવસ પછી મુકુલભાઈને મોક્લી આપી અને મુકુલભાઈએ એના સ્વહસ્તે લખીને પાછી લયસ્તરો માટે મોકલી આપી, ફિનિક્સ પક્ષીની જેમ પોતાની જ રાખમાંથી પુનર્જીવીત થયેલી આ ગઝલ…

Comments (11)

ગઝલ- પ્રમોદ અહિરે

અમારા તડપવાનું કારણ સ્મરણ છે;
અને રોજ મરવાનું કારણ સ્મરણ છે.

નથી   આગ  જેવું  કશું   જિંદગીમાં,
અમારા સળગવાનું કારણ સ્મરણ છે.

નદી હું સરજવા ગયો તો બન્યું રણ,
હવે ત્યાં ભટકવાનું કારણ સ્મરણ છે.

બધું   સર્વસામાન્ય   છે  એ  ગલીમાં,
છતાં ત્યાં અટકવાનું કારણ સ્મરણ છે.

ઘણાં  રોજ ગઝલો લખે છે સ્મરણમાં,
ઘણાંનું ન લખવાનું કારણ સ્મરણ છે.

-પ્રમોદ અહિરે

ગુજરાતી ગઝલના મક્કા કે કાશી ગણાતા સૂરતની ગઝલ-સંસ્કૃતિને બરકરાર રાખી શકે અને એનું અજવાળું દિનોદિન ઊજાળી શકે એવા નવી પેઢીના માંજેલા ગઝલકારોમાંના એક એટલે પ્રમોદ અહિરે. સ્મરણને કેન્દ્ર સ્થાને રાખી લખેલી આ ગઝલ વાંચો અને કાયમ માટે સ્મરણમાં ન જડાઈ જાય તો જ નવાઈ.

Comments (7)

ગઝલ – હર્ષદ ત્રિવેદી

સોગઠી મારી અને તારી, નિકટ આવી હશે,
એ ક્ષણે નાજુક રમતને મેં તો ગુમાવી હશે.

ના ઉઘાડેછોગ નહીંતર આમ અજવાળું ફરે,
કોઈએ ક્યારેક છાની જ્યોત પ્રગટાવી હશે.

હાથમાંથી તીર તો છૂટી ગયું છે ક્યારનું,
શું થશે, જો આ પ્રતીક્ષા-મૃગ માયાવી હશે !

આપણે હંમેશ કાગળનાં ફૂલો જેવાં રહ્યાં,
તો પછી કોણે સુગંધી જાળ ફેલાવી હશે ?

હું સળગતો સૂર્ય લઈને જાઉં છું મળવા અને,
શક્ય છે કે એણે ઘરમાં સાંજ ચિતરાવી હશે !

છેવટે વ્હેલી સવારે વૃક્ષ આ ઊડી શક્યું,
પાંખ પંખીઓએ આખી રાત ફફડાવી હશે !

– હર્ષદ ત્રિવેદી

સુરેન્દ્રનગરના ખેરાળી ગામના અને હાલ ગાંધીનગર મુકામે સ્થિત હર્ષદ ત્રિવેદી આજના અગ્રણી કવિ, સંપાદક અને વાર્તાકાર છે. ગુજરાત સાહિત્ય અકાદમીના મુખપત્ર ‘શબ્દસૃષ્ટિ’ના સંપાદક. સાહિત્ય તરફની એમની ચીવટાઈ કેવી હશે એ તો શબ્દસૃષ્ટિનો એક અંક હાથમાં લઈએ કે તરત જ સમજાઈ જાય. એમની કવિતામાં અભિવ્યક્તિની નવીનતા અને પ્રયોગશીલતા ઊડીને આંખે વળગે છે. પ્રસ્તુત ગઝલ આમ તો આખી જ મજેદાર છે પણ જરા આખરી શેર ફરીથી વાંચો તો…..

(જન્મ: ૧૭-૦૭-૧૯૫૮, કાવ્યસંગ્રહો: ‘એક ખાલી નાવ’, ‘રહી છે વાત અધૂરી’, ‘તારો અવાજ’.)

Comments (13)

પ્રેમ ( એક પ્રસ્તાવના ) – સુન્દરમ્

આ પ્રેમ,
કેમ આવે છે એ ?
નથી એને પાંખો,
            નથી આંખો,
નથી પગ, નથી હાથ

તોયે કેવું પકડે છે એ ?
                        કેવો પકડે છે એ ?
                        કેવો પાડે છે એ ?
                        કેવો ઉપાડે છે એ ?

આંખો મીંચો ને કહો જા
તો પાંપણની પૂંઠળ પહોંચી જાય છે.

તમે કહો ગા,
       તો વગર કંઠે ગાય છે.

સવારની એ સાંજ બનાવી દે છે,
અને સાંજને સમે
       ઉષાઓ ઉગાડી દે છે.

એને આંધળો કોણે કહ્યો ?
       આંખ તો એની જ છે
કોઈએ તમારી આંખમાં
       શું આંખ માંડી નથી ?

– સુન્દરમ્

પ્રેમ વિષે સુન્દરમે અનરાધાર લખ્યું છે. મેરે પિયા !, હું ચાહું છું  કે તને મેં ઝંખી છે જુઓ તો એમની સૂક્ષ્મ દૃષ્ટિનો ખ્યાલ આવે. એમણે જ આ એમના સમય અને શૈલીથી હટીને આ અછાંદસ કાવ્ય પણ લખ્યું છે. કાવ્યની રચના તદ્દન સરળ છે અને વાત સીધી વર્ણનાત્મક રીતે જ આવે છે, છતાંય કાવ્ય એની પોતાની રીતે મોહક છે. પ્રેમ આંધળો હોય છે એ માન્યતાની સામે કવિએ બહુ ઊંડી વાત કરી છે.

Comments (12)

મુક્તક – રિષભ મહેતા

કોઈ પણ રીતે મળી શકતાં નથી,
એકબીજામાં ભળી શકતાં નથી.
થઈ ગયાં શું આપણે પથ્થર સમા ?
કે જરા પણ ઓગળી શકતાં નથી ?

– રિષભ મહેતા

Comments (6)

પ્રેમઘટા ઝૂક આઈ – જયન્ત પાઠક

સંતો પ્રેમઘટા ઝૂક આઈ.

સઘન ગગનથી સુન્દર વરસ્યો પ્રેમામૃતની ધારા,
જીવનની જમનાના છલકી ઊઠ્યા બેઉ કિનારા;
                                        મુદિત રહ્યુ મન ન્હાઈ – સંતો..

મ્હેકી ઊઠી ઉરધારા, છવાઈ હર્ષ તણી હરિયાળી,
વાદળઉરને વીંધતી આંખો વીજલની અણિયાળી;
                                             પ્રગટ પ્રેમગહરાઈ – સંતો…

ગહન તિમિરને અંક સપનમાં ઢળી સૃષ્ટિની કાયા,
સકલ ચરાચર પરે અકલની ઢળી અલૌકિક છાયા;
                                             ભેદ ગયા ભૂંસાઈ – સંતો…

– જયન્ત પાઠક

અંદરના આનંદને વ્યક્ત કરવા સિવાયના કોઈ કારણ વિના આ ગીત લખ્યું હોય એવું તરત જ દિલને લાગે છે. હિન્દી શબ્દોનો પ્રયોગ મીરાંના પદમાં આવે એટલી જ સહજતાથી અહીં પણ આવે છે. નકરા આનંદથી નીતરતું આ ગીત મોટેથી ગાઈને વાંચો તો જ લયની ખરી મઝા આવે એમ છે.

Comments (4)

ગઝલ – રઈશ મનીઆર

ગોપિત રહે કદી, કદી સાક્ષાત્ હોય છે,
મારી ગઝલમાં તારી રજૂઆત હોય છે.

ફરિયાદ લઈને આવું છું હું તારે આંગણે,
નીકળે જે કંઠમાંથી કબૂલાત હોય છે.

લાગે છે જ્યારે કંઈ જ જીવનમાં બચ્યું નથી;
જીવનની એ નવી જ શરૂઆત હોય છે.

આપી દે એકવાર… આ જીવન એ આપનાર,
બાકીની જિંદગી તો વસૂલાત હોય છે.

દરિયો જ શાંત હોય એ પૂરતું નથી ‘રઈશ’,
ક્યારેક માત્ર નાવમાં ઉત્પાત હોય છે.

– રઈશ મનીઆર

રઈશભાઈ આજકાલ અમેરિકાને રસતરબોળ કરી રહ્યા છે ત્યારે ‘લયસ્તરો’ બાકી રહી જાય તો કેમ ચાલે? એક મજાની ગઝલ એમના ગણતરીના દિવસોમાં વતન પરત આવવાની તૈયારીની ખુશીમાં…

Comments (13)

મારી જ મુશ્કેલીઓ – ઉશનસ


(કવિશ્રી ઉશનસે સ્વહસ્તે ખાસ લયસ્તરો માટે લખી આપેલ અક્ષુણ્ણ કૃતિ)

(શિખરિણી સૉનેટ)
તમે તો આખું યે ગગન મુજને દૈ મફતમાં
દીધું’તું ! દાખ્યું’તું પ્રીત પરમનું પોત પરમ;
ઉડાઉ પ્રીતિના ધણી ! પણ મહારાં જ કરમ
ફૂટેલાં ને; એનો કરી શકું પૂરો ભોગ ન; ક્ષમા.

જુઓ ને : એને ના ભજી શકું; ન તો ભોગવી શકું;
પડી ર્.હે છે આખું વગર વપરાશે જ અમથું;
તમે તો પૃથ્વીનું ઘર દીધું મને એમ જ દઈ;
પરંતુ મારાંસ્તો કરમ ફૂટલાં છે પ્રથમથી,
તમે આપેલી તે પૃથવી ય પૂરી ભોગવી નથી;
નડયો છે આ નાના કૃપણ મનનો શાપ જ કંઈ.

નહીં તો આપ્યાં’તાં અભિમુખ મને, આંખની કને
પહાડો, મેદાનો, ગગન, વગડો અર્ણવ; મને
તમે તો ઔદાર્યે સકલ જગ વચ્ચોવચ મૂક્યો;
મહારાં ફૂટ્યાં’તાં; હું જ ક્યહીં ન પ્રીતિ કરી શક્યો.

-ઉશનસ
૨૩-૦૯-૨૦૦૭

22મી સપ્ટેમ્બરના રોજ વલસાડ ખાતે શ્રી રમેશભાઈ શાહે લાયન્સ ક્લબ ઑફ વલસાડના ઉપક્રમે ‘ઈન્ટરનેટ પર ગુજરાતી સાહિત્ય અને સંગીત’ પર એક કાર્યક્રમ યોજ્યો હતો. મારે ‘ઈન્ટરનેટ-ગુજરાતી ભાષાનું નવું સરનામું’વિશે અને જયશ્રી ભક્તે ‘ટહુકો.કોમ‘ વિશે બોલવાનું હતું. સાથે જ મારા કાવ્યપઠનનો કાર્યક્રમ પણ હતો. વલસાડ ઉતરીને હું મારા સંબંધીના ઘરે ગયો અને જ્યારે રમેશભાઈને મને કયા સરનામે લેવા આવવું એ સમજાવ્યું તો આકાશમાં એ દિવસે થઈ રહેલી ભારે ગાજ-વીજ અને મુશળધાર વરસાદને પણ ઝાંખા પાડી દે એવો ચમકારો એમણે કર્યો- ‘એટલે ઉશનસના ઘરની સામે?’ હું ચમક્યો. મેં મારા યજમાનને પૂછ્યું અને પાંચ મિનિટમાં હું ગુજરાતી કવિતાની જીવંત દંતકથા સમાન કવિરાજનો ચરણસ્પર્શ કરી રહ્યો હતો. મારા યજમાને કવિ તરીકે મારી ઓળખાણ કરાવી પણ સિંધુ સામે બિંદુની અનુભૂતિ મને થઈ રહી હતી. એમના જ ટેબલ પર પડેલા ‘કુમાર‘નો એક અંક ખોલીને મેં મારી છપાયેલી ગઝલ એમને બતાવી અને એ ખુશ થઈ ગયા. એમના ચહેરા પરની એ ખુશી જ મારા માટે તો મોંઘેરું ઘરેણું હતું પણ હું રહ્યો લોભી જીવડો. મેં ‘લયસ્તરો’ની વાત માંડી અને એમની અપ્રગટ રચના એમના હસ્તાક્ષરમાં માંગી લીધી. બીજા જ દિવસે એમણે આ સૉનેટ ખાસ ‘લયસ્તરો’ માટે લખીને મારા સંબંધી હસ્તક મોકલાવી પણ આપ્યું… કવિવરનો આભાર માનવા માટે અમને હવે શબ્દો ન જડે તો આપ અમને ક્ષમા કરશો ને?


(દિવ્ય ભાસ્કર….                               ….૦૧-૧૦-૨૦૦૭)

Comments (10)

ગઝલ – રવીન્દ્ર પારેખ

ડૂબવાનું હોય જાણે કે જગત,
એટલો વરસાદ વરસે છે સખત.

બારણાં, બારી બધું વરસાદનું,
ને ઉપર વરસાદની એકાદ છત.

જળ ભલે આપે મને વરસાદ તું-
લે, ઉમેરી અશ્રુ આપું છું પરત.

હોય કોરું તોય હું તરબોળ છું,
યાદમાં એવું બધું તો હસ્તગત.

હું મને મળવા મથું પણ ના મળું,
એટલો વરસાદ વચ્ચે છે સતત.

ના કશેથી આવવું કે ના જવું –
ને ઉપરથી જાય ના ભીનો વખત.

શક્ય છે એ રીતથી મળવું બને,
લે; લખ્યો આજે મને એકાદ ખત.

સાવ લીલું ઘાસ ફેલાયું બધે,
દેવકાવ્યોની ખૂલી છે હસ્તપ્રત.

ભીની આંખે કેમ ઉકેલું કહે,
વીજળી છે કે કોઈના દસ્તખત !

-રવીન્દ્ર પારેખ

આ ગઝલ વાંચી એના વિશે બે શબ્દો લખવા બેઠો તો જબરદસ્ત મુંઝારો થયો. કયા શેરની વાત માંડું અને કયા શેરને છોડી દઉં? ગઝલના આસ્વાદમાં આખેઆખી ગઝલ જ ફરીથી લખી નાંખવી પડે એવી સરળ છતાં પ્રબળ આ રચના છે. વરસાદના અલગ-અલગ રૂપ કવિએ જે રીતે અલગ-અલગ આંખથી જોયા છે એ વાંચતાં-વાંચતાં જ અંદર ક્યાંક કશુંક ગચકાબોળ થઈ જતું અનુભવાય…

Comments (11)

ગઝલ – -અહમદ મકરાણી

કોઈને જોયા હશે-ની યાદ છે,
મેળવી ખોયાં હશે-ની યાદ છે.

છે હરણની છાપ રણમાં તો હજી,
ઝાંઝવે ટોળાં હશે-ની યાદ છે.

ટેરવાંનાં તોરણો અટકી ગયાં,
સ્પર્શને પ્રોયાં હશે-ની યાદ છે.

આયનામાં ડાઘ કાજલનો હતો,
બિંબ ખુદ મોહ્યાં હશે-ની યાદ છે.

-અહમદ મકરાણી

આંગળીના ટેરવાંમાં સ્પર્શ પરોવાઈ જાય તો ટેરવાં તોરણ બનીને બારસાખ પર સ્થિર લટકી-અટકી જાય-ની વાત કેવી મસૃણતાથી અહીં રજૂ થઈ છે ! અને બાકીના ત્રણ શેર પણ એવા જ મજાનાં નથી?

Comments (7)

લાગણીની તિજોરી – સરૂપ ધ્રુવ

સતતનું સ્મરણ છે, સતતનો ધખારો,
આ શાની અગન છે ? આ શાનો ધખારો ?

અડાબીડ રેતી પૂછે છે ખુલાસો;
ફરી કોનાં પગલાં ? ફરી શો તમાશો ?

મળ્યાં રોજ રસ્તે બરફના જ લોકો;
અરે ! પીગળી ક્યાં બરફની વખારો ?

હતી ચોતરફ બસ, સફેદી-સફેદી…
અહીં ગોઠવી’તી મેં મારી જ લાશો.

કશે લાગણીની તિજોરી ખૂટી ગૈ,
અને શબ્દ આપી શક્યા ના દિલાસો.

ચલો ! લો, ઊઠાવો આ લંગર ગઝલનું,
અન્જળ ઊઠયાં છે, રુઠ્યો છે કિનારો !

– સરૂપ ધ્રુવ

જ્યારથી સળગતી હવાઓ વાંચી છે ત્યારથી સરૂપ ધ્રુવની રચનાઓ માટે મનમાં ખાસ જગા થઈ ગઈ છે. એમની રચનામાં વિચારો જ નહીં, પ્રતિકો અને શબ્દ-પસંદગી પણ અલગ જાતના જ હોય છે. અંદરનો ખાલીપો અને સંબંધોની રિક્તતા એવા બહુ ખેડાયેલા વિષય પર પણ અહીં એ પોતાની અલગ જ છાપ છોડે છે.
(ધખારો=(1)ઝંખના, મનમાં સતત ફરતી વાત (2)બાફ,ગરમી – પહેલી પંક્તિમાં પહેલો અર્થ અને બીજી પંક્તિમાં બીજો અર્થ બેસે છે. એક જ શબ્દ એક જ શેરમાં બે જુદા જુદા અર્થમાં વાપરેલો છે !, અડાબીડ=ભય ઉપજાવે તેવું મોટું)

Comments (10)

યુક્તિ – ઘાયલ

કામમાં એક પેરવી લઉં છું,
યુક્તિથી તૃપ્તિ સેરવી લઉં છું.
થાય છે જ્યારે ઈચ્છા પીણાની,
હોઠ પર જીભ ફેરવી લઉં છું.

– ઘાયલ

Comments (4)

જિંદગી – ઉશનસ્

ઊંચકો, ઊઠવાની છે,
જામ લ્યો, લ્યો જવાની છે.

આમ તો સાવ ફાની છે,
બુદબુદી જ હવાની છે.

દ્રવ્ય છે, ફાંટ ફાટેલી;
નીતરી જ જવાની છે.

ક્યાય એ અટકી જોઈ ?
નામ જેનું રવાની છે.

આ જ છે, આટલી છે, ને
એ ય ક્યાં રુકવાની છે ?

છે ક્ષત્યું, કાકવંઝા છે,
ક્યાં ફરી ફૂટવાની છે ?

ઊંચકો, વાર શાની છે ?
સામટી પી જવાની છે.

– ઉશનસ

બેફામને શોભે એવી મગરૂરીથી લખેલી ગઝલ તરત જ ગમી ગઈ.  બુદબુદી શબ્દ પણ તરત જ દીલમાં વસી ગયો ! ફરી ફરી ગણગણવાની અને ટાંકવાની ગમે એવી ગઝલ થઈ છે.

(કાકવંઝા=એક જ વાર ફળે એવી વનસ્પતિ)

Comments (8)

ઝાકળબુંદ : _૧૪ : વ્યાપાર ચલાવો છો તમે – હેમંત પૂણેકર

મન ભલેને રહે બીમાર, ચલાવો છો તમે
ને સતત દેહના શણગાર ચલાવો છો તમે

અમને આપીને કસમ ધાર્યું કરાવી લો છો
પ્રેમની આડમાં વ્યાપાર ચલાવો છો તમે

સામી છાતીએ કદી એની ચમક દેખાડો
પીઠ પાછળથી શું તલવાર ચલાવો છો તમે

એ નિરાકાર છે એ વાત વિસારે પાડી
એના નામે ઘણા આકાર ચલાવો છો તમે

એ શું આધાર હવે કોઈને આપી શકશે
ટેકા લઈ-લઈને જે સરકાર ચલાવો છો તમે

હેમંત પૂણેકર

હેમંત પૂણેકરે આ ગઝલ જ્યારે એમના બ્લૉગ પર મૂકી હતી, ત્યારે પ્રતિભાવમાં મેં લખ્યું હતું, “…અને ગુજરાતીમાં પ્રમાણમાં ઓછા ખેડાયેલા આ થોડા અઘરા અને ખાસ્સું કૌશલ્ય માંગી લેતા છંદમાં આટલા ઊંડા અર્થવાળી રચના એ કવિની સજ્જતાનું પ્રમાણ છે.” રઈશભાઈએ પણ એમાં સૂર પૂરાવ્યો હતો એ કવિ અને કવિતાનું ખરું પ્રમાણપત્ર!

હેમંતભાઈની આ રચના સાથે ‘સદ્યશબ્દેલ’ કવિઓની સંગતના બે સપ્તાહ આજે પૂરા થાય છે. પુષ્પની પાંદડી પર ઝાકળબુંદનું અવતરણ કદી અંત પામતું નથી એ જ રીતે આ વિરામને પૂર્ણ ન ગણતાં, અલ્પ જ ગણવો… આ બે અઠવાડિયામાં લયસ્તરો પર વાચકમિત્રો તરફથી મળેલા અભૂતપૂર્વ પ્રતિભાવથી એ વાતની પ્રતીતિ થઈ કે તાજગી એ કવિતામાં ભાવકને સ્પર્શી જતી પહેલી બાબત છે. અહીં એક જ મંચ પર કેટલાક નીવડેલા તો વળી કેટલાક સાવ જ નવા કવિ-કવયિત્રીઓને સાંકળવાની કોશિશ કરવા પાછળનો અમારો મૂળ ઉદ્દેશ એકમેકને પરસ્પર પ્રોત્સાહન મળે એજ હતો એટલે કોઈ મોટા ગજાના કવિને પોતાનું નામ અહીં જોઈ દુઃખ થયું હોય તો ફરી એકવાર અમે ક્ષમા પ્રાર્થીએ છીએ.

અને ઝાકળબુંદોના આ મહોત્સવદને ફૂલની ફોરમની જેમ વધાવી લેવા બદલ સૌ કવિમિત્રો અને વાચકમિત્રોનો ફરીથી અંતઃકરણપૂર્વક આભાર માનીએ છીએ…

-લયસ્તરો ટીમ

Comments (9)

ઝાકળબુંદ : _૧૩ : ગઝલ – ગુંજન ગાંધી

એક ટીપું આંખથી સરકી ગયું તો શું થયું?
એક જણ પાછું ફરી જીવી ગયું તો શું થયું?

જાગતા હોવા છતા મેં ડોળ ઊંઘ્યાનો કર્યો
એક સપનુ ભૂલથી આવી ગયું તો શું થયું?

લાગણી મારી ટકોરા બારણે પાછી વળી
ખોલવામાં સહેજ મોડું થઈ ગયું તો શું થયું?

જીંદગી આખી વીત્યું મારા ઉપર જે એ બધું,
એક પળ તારી ઉપર વીતી ગયું તો શું થયું?

કેટલી ઈચ્છાની ઉંમર ખૂબ મોટી થઈ હતી
એક-બે ઈચ્છાનું સગપણ થઈ ગયું તો શું થયું?

-ગુંજન ગાંધી

અમદાવાદના ગુંજન ગાંધીની એક ગઝલ કોઈ પૂર્વભૂમિકા વિના જ માણીએ.

Comments (16)

ઝાકળબુંદ : _૧૨ : કેક – હિરલ ઠાકર ‘વાસંતીફૂલ’ ‍

જન્મદિવસ પર
કેક કાપતાં-કાપતાં
જિંદગીનું એક વર્ષ કપાય છે.
પ્રત્યેક વર્ષ મીણબત્તીની સંખ્યા વધે છે
ને તેને ઓલવવા જેટલો શ્વાસ ઘટે છે.
કેકની મીઠાશ માણ્યા પછી
જિંદગીની કડવાશ ઉભરાય છે.
આમ જ જિંદગી પૂરી થાય છે.

-હિરલ ઠાકર ‘વાસંતીફૂલ’

હિરલ ઠાકરનું આ લઘુકાવ્ય મને વાંચતાની સાથે ગમી ગયું. વધતી ઉંમર અથવા વૃદ્ધાવસ્થા વિશે બધા જ વાત કરે છે પણ અહીં મીણબત્તીની સંખ્યાના વધતા જવાની સાથે શ્વાસના ઘટતા જવાની વાત જે રીતે કવયિત્રીએ કરી છે એ કદાચ સાવ નવી જ અને તરત જ મનને સ્પર્શી જાય એવી છે. વાક્યે-વાક્યે વિરોધાભાસ સર્જીને નાનકડી જગ્યામાં મોટી વાત કરવામાં કવયિત્રી સફળ રહ્યાં છે અને એજ તો ખરી કવિતા છે…ખરું ને?

Comments (10)

ઝાકળબુંદ : _૧૧ : ‍પડઘો – કવિ રાવલ

મૌનનો અતિરેક પડઘો
સાંભળો ક્યારેક પડઘો

સૂર્ય ડૂબીને બને છે
રોજ સાંજે એક પડઘો

નભ બનીને વિસ્તરે છે
ક્ષિતિજ લગ છેક પડઘો

કેમ પડઘાતો રહે છે ???
એકલો પ્રત્યેક પડઘો

જો લગોલગ પાસ આવી
સ્પર્શતો હળવેક પડઘો

કવિ રાવલ

કવિ રાવલની કૃતિઓ લયસ્તરો પર આપણે અગાઉ પણ માણી ચૂક્યા છીએ. આજે એક ટૂંકી બહેરની ફિલસૂફીસભર રચના વાંચીએ. પહેલા શેરની ફક્ત પહેલી જ લીટી (ઉલા મિસરો) વાંચો અને…

Comments (11)

ઝાકળબુંદ : _૧૦ : ‍મારો સૂર – લતા હિરાણી

તેં મને પૂછ્યું,
”તારી ઉંમર શું છે ?”
”કોણ જાણે ?”
મારા સઘળા સૂર
એકસામટા બોલી ઉઠયા.
તેં મને પૂછ્યું, ”તું આવી કેમ છે ?”
ને આંખોના અડાબીડમાં
ઊગી પડ્યો એક વિસ્મયનો સૂર્ય.
”મને કંઇ જ ખબર નથી
તેં જોયું છે કદી ?
મારી ફરતે વીંટળાયેલું મેઘધનુષ ?”

– લતા હિરાણી

આ કવિતામાં કવિ શું કહેવા માંગે છે એના કરતા તમને શું સમજાય છે એનું વધારે મહત્વ છે. કોઈ માણસને ઓળખવું, એનો સૂર પકડવો એટલે એની ફરતે વિટળાયેલું – આગવું – મેઘધનુષ જોવું ! કેટલી સરસ વાત છે !! લતાબેનના કાવ્યો અલગ જ ભાત પાડે છે. એમની રચનાઓનો બ્લોગ છે ‘સેતુ’.

Comments (10)

ઝાકળબુંદ : ૯ : …કે બેઠો મૂંછોના ખેતરમાં બગલો – વિવેક મનહર ટેલર

ઉંમરના કબાટમાં સાચવીને રાખ્યો’તો, કાઢ્યો એ બ્હાર આજે ડગલો,
કે બેઠો મૂંછોના ખેતરમાં બગલો.

મ્હેંદી વાવીને તમે ખેતરને રંગી દો,
તો યે બગલાના પગલાનું શું?
નાદાની રોપી’તી વર્ષો તો આજ શાને
સમજણનું ઊગ્યું ભડભાંખળું?
ચાલ્યું ગયું એ પાછું ટીપુંયે આપો તો બદલામાં ચાહે રગ-રગ લો…
કે બેઠો મૂંછોના ખેતરમાં બગલો.

અડસટ્ટે બોલ્યા ને અડસટ્ટે ચાલ્યા
ને અડસટ્ટે ગબડાવી ગાડી,
હમણાં લગી તો બધું ઠીક, મારા ભાઈ !
હવે જાગવાની ખટઘડી આવી.
પાંદડું તો ખર્યું પણ કહેતું ગ્યું મૂળને, હવે સમજી વિચારી આગે પગ લો.
કે બેઠો મૂંછોના ખેતરમાં બગલો.

એકધારું સરકતો રસ્તો અચાનક
માઈલોનો પથ્થર થઈ બેઠો,
અટકી જઈને એણે પહેલીવાર જાતને
કહ્યું આજે કે થોડું પાછળ જો.
વીતેલા વર્ષોના સરવાળા માંડું ત્યાં તો આંખ સામે થઈ ગયો ઢગલો.
કે બેઠો મૂંછોના ખેતરમાં બગલો.

-વિવેક મનહર ટેલર

વિવેક વિષે આ બ્લોગના વાંચકોને કાંઈ કહેવાનું જ હોય નહીં. વિવેકના બ્લોગ ‘શબ્દો છે શ્વાસ મારા’થી અહીં કોઈ અજાણ્યું નથી. આમ તો એ ગઝલનો માણસ છે. પણ હવે એનું રચના-ફલક વધુ ને વધુ વિસ્તરી રહ્યું છે. મારા માટે વિવેકની રચનાઓમાંથી એકની પસંદગી કરવી એ બહુ અઘરું કામ છે. ઘણી ગડમથલ પછી મેં આ ગીત પસંદ કર્યું છે કારણ કે આ ગીત વિવેકની બીજી રચનાઓથી તદ્દન જુદું તરી આવે છે. વિષય અને માવજત બન્ને નવા અને તાજા છે. ‘મૂંછોના ખેતરમાં બગલો’ જેવા રમતિયાળ ઉપાડથી શરૂ થતું ગીત સહજતાથી ભાવ અને અર્થના ઊંડાણમાં ખેંચી જાય છે.

Comments (14)

ઝાકળબુંદ : ૮ : ગુલોગુલ અલગ છે – હિમાંશુ ભટ્ટ

લહરના લહરના પ્રવાહો અલગ છે, પિગળતો પળેપળ કિનારો અલગ છે
સ્વભાવો અલગ છે, વિચારો અલગ છે, મનુષ્યે મનુષ્યે લલાટો અલગ છે

ગુલોગુલ અલગ છે, બહારો અલગ છે, નજર જ્યાં પડે ત્યાં નજારો અલગ છે
અણુમાંથી સર્જન થયું આ બધું પણ, ગગનમાં સિતારે સિતારો અલગ છે

ક્ષણોની સફરમાં ભલે સાથ હો પણ, રહે યાદ સહુને બનાવો અલગ છે
ઘડી કારમી પણ, વિતાવી હો સાથે, પડે છે જે દિલ પર પ્રભાવો અલગ છે

સખી પ્રેમ મારો, હજુ એનો એ છે, પ્રદર્શિત થવાના પ્રકારો અલગ છે
હવે લાગણી સાથે સમજણ ભળી છે, અને મહેફિલોનો તકાજો અલગ છે

જીત્યો કૌરવોને જે, કાબાથી હાર્યો, પળે પળ વિધીનો ઈરાદો અલગ છે
ક્દી વાંદરો છું, કદી છું મદારી, છે ડમરું તો એકજ તમાશો અલગ છે

હિમાંશુ ભટ્ટ

Comments (8)

ઝાકળબુંદ : ૭ : ઊર્મિચિત્રો – ઊર્મિ

ચલચિત્રની જેમ
ક્ષણે ક્ષણે
બદલાતી
મારી ઊર્મિનાં

ચિત્રો છે…
જેને મેં
માત્ર
મારા શબ્દોની
ફ્રેમમાં મઢ્યા છે…
એને કાંઈ
કાવ્યો થોડા કહેવાય?!!

– ‘ઊર્મિ’

અમેરિકા સ્થિત આ ‘સદ્યશબ્દેલ’ કવયિત્રીને ગુજરાતી નેટ-જગતના નિયમિત વાચકો ભાગ્યે જ નહીં જાણતા હોય. ‘ઊર્મિનો સાગર‘ નામે વેબસાઈટ હેઠળ એ પોતાની રચેલી અને પોતાને ગમેલી કવિતાઓના બે બ્લૉગ્સ ઉપરાંત સર્વપ્રથમ ઓનલાઈન ગુજરાતી પોએટ્રી વર્કશૉપ પણ ચલાવે છે. છંદના કુછંદે ચડ્યા પછી એમની રચનાઓમાં ઉત્તરોત્તર નિખાર આવી રહ્યો છે પણ આ અછાંદસ કવિતા મને ખૂબ જ ગમી ગઈ. કવિતાની વ્યાખ્યા કરતી ઘણી કવિતાઓ આપણે અવારનવાર વાંચતા હોઈએ છીએ. પણ ‘નન્નો’ પરખાવીને રોકડી વાત કરતું આ લઘુકાવ્ય સિદ્ધહસ્ત કવિઓની પંગતમાં બેસી શકે એવું મજાનું અને અર્થસભર થયું છે…

Comments (14)

ઝાકળબુંદ : ૬ : કોણ કહે હું કડકો – ડૉ. જગદીપ નાણાવટી

ચપટી ધરતી, નભ આંખોમાં, વાયુ કેરો ઝટકો
ઝાકળ નામે જળ લીધું મેં અગન સરીખો તડકો
.                            વાલમ કોણ કહે હું કડકો….

કલરવ છે કલદાર અમારા, ગિરિ કંદરા મહેલો
સમજણ ને સથવારે ચાલું, પંથ નથી કંઈ સહેલો
હરિયાળી પાથરણું મારું, સહેજ ન લાગે થડકો
.                          વાલમ કોણ કહે હું કડકો…

લાગણીઓના તોરણ લટકે, પ્રેમ અમારા વાઘા
સૂર્ય-ચંદ્ર ની સાખે જીવીએ, ભલે રહ્યા સૌ આઘા
ધકધકતી છાતીએ અમને એક વખત તો અડકો
.                             વાલમ કોણ કહે હું કડકો…

આંસુના તોરણ બંધાયા, ધૂપસળી મઘમઘતા
કાંધે લેવા મને નગરજન, હુંસાતુંસી કરતા
સન્નાટો છે ગામ ગલીમાં, સૂની છે સૌ સડકો
.                          વાલમ કોણ કહે હું કડકો…..

-જગદીપ નાણાવટી

અમદાવાદમાં મેડીકલ એસોસિએશનના ઉપક્રમે યોજાયેલા કવિસંમેલનમાં ડૉ. જગદીપ નાણાવટીના મુખે આ રચના સાંભળીને ખંડમાં ઉપસ્થિત મેદની શબ્દશઃ હિલ્લોળે ચડી હતી. સૌરાષ્ટ્રમાં જેતપુર ખાતે ફિઝિશ્યન (M.D. Medicine) તરીકે સેવા આપતા તબીબ કડકા તો ન જ હોય પણ આ ગીત લખતીવેળા એ એમના મગજમાં સ્પષ્ટ છે: “સામાન્ય રીતે એક એવી યુનિવર્સલ માન્યતા છે કે કવિ એટલે હમેશા ‘કડકો’…! ! તો, હું એક કવિ હોવાને નાતે, સર્વ કવિઓ વતી આ ગીતમાં બધાંને જવાબ આપુ છું કે કવિ પાસે શું શું અમૂલ્ય મિલ્કતો રહેલી છે…..ગમે તો બિરદાવજો, નહીં તો અમથાયે કડકાજ છીએ….”

Comments (13)

ઝાકળબુંદ : ૫ : ગઝલ – સુનીલ શાહ

જગતના માણસો મારી કદર કરશે નહીં તો શું?
સરકતી રેતની સંગે સમય ફરશે નહીં તો શુ?

બહુ ઓછાં ફુલોને સ્પર્શવાનું ભાગ્ય પામ્યો છું
સુગંધોના બજારે જો પવન મળશે નહીં તો શુ?

દુવાઓ આમ કરવાની સમજ હોતી નથી ત્યારે
ગગનના પાલવેથી તારલા ખરશે નહીં તો શું?

ખુશીની કોઈ પળ આવે સદા બસ, એમ ચાહીએ
છતાં પડઘા દીવાલે આથડી ફરશે નહીં તો શું?

ઘણી સંભાળ રાખીને લખી છે આ ગઝલ આજે
દફન વેળા જરા અજવાળું પાથરશે નહીં તો શું?

– સુનીલ શાહ

સુગંધોના બજારની ખરી કિંમત પવનથી છે. પવન ન અડે તો સુગંધનું વળી મૂલ્ય શું? સૂરતના જ નવા ગઝલકાર સુનીલ શાહની આ ચિંતા પણ વ્યાજબી લાગે છે. ગઝલ તો ઘણી કાળજી રાખીને લખી છે, પણ એ મૃત્યુવેળાએ પ્રકાશ નહીં આપે તો શું અર્થ? દુઆવાળો શેર પણ સરસ થયો છે. એક બાજુ દુઆ કેવી રીતે કરવી તેની સમજ નથી અને બીજી બાજુ કોઈ તારા પણ ખરતા નથી- દુર્ભાગ્ય બે બાજુએથી કરડે ત્યારે માણસ શું કરે?

Comments (13)

ઝાકળબુંદ : ૪ : મુક્તક અને ગઝલ- કવિતા મૌર્ય

મુકતક

અહમથી જ્યારે અહમ ટકરાય છે,
પ્રેમનો આ સાથ છૂટી જાય છે,
ડાળ પરથી પાંદડું ખરતું અને,
જિંદગી આ રણસમી પથરાય છે.

ગઝલ

કૈંક ક્ષણની યાદ લઇને બેઠી છું,
હોઠ પર ફરિયાદ લઇને બેઠી છું.

આવશે, વિશ્વાસ પાકો છે છતાં,
શ્વાસમાં હું સાદ લઇને બેઠી છું.

આગમન ટાણે અબોલા લઇ લીધા,
મૌનમાં સંવાદ લઇને બેઠી છું.

કેટલી નાજુક પળો સર્જાઇ ગઇ ,
ભીતરે ઉન્માદ લઇને બેઠી છું.

-કવિતા મૌર્ય

કવિતા મૌર્ય વિનાયક શાખાના સ્નાતક છે અને સૂરતમાં જ રહે છે. મુક્તકમાં ડાળ પરથી એક પાંદડું ખરવાની ઘટનાને જિંદગીના રણ સમા બની જવા સાથે કેટલી અર્થગહનતાસભર સાંકળી લેવાઈ છે!અને ભીતરી ઉન્માદથી ભરપૂર ચાર જ શે‘રની ગઝલ પણ એટલી જ આસ્વાદ્ય બની છે…

Comments (10)

ઝાકળબુંદ : ૩ : અખતરો છે – સુધીર પટેલ

પગ પર ચાલવું અખતરો છે,
ત્યાં સુધી પ્હોચવું અખતરો છે.

એય ખતરાથી ખાલી તો ક્યાં છે ?
એમના થૈ જવું અખતરો છે !

ખાતરી જો ના હોય તો કરજો,
મૌનને પાળવું અખતરો છે.

હો ભલે બસ તમે ને દિવાલો,
કંઈ પણ બોલવું અખતરો છે !

મૃત્યુની વાત તો પછીની છે,
આ જીવન જીવવું અખતરો છે.

એ છે ઘટના સમયથી પર ‘સુધીર’
ખુદ મહીં જાગવું અખતરો છે !

– સુધીર પટેલ

Comments (4)

ઝાકળબુંદ : ૨ : ચાડી ખાય છે – ડો. હરીશ ઠક્કર

હાલ મારા એજ ચાડી ખાય છે
દર્દ છાનું કોઈ ફાડી ખાય છે

શાયરી જીવતા નથી જે શાયરો
શબ્દને ઠાલા રમાડી ખાય છે

ઝૂલ્ફમાં ને પાલવે અટવાય છે
ઠોકરો કેવી અનાડી ખાય છે

કોઈના હાથે ચડી વીંઝાય છે
લાકડાને ક્યાં કૂહાડી ખાય છે

કૈંકની થાળી ઊજાડી ખાય છે
અન્ન જે આંખે અડાડી ખાય છે

– ડો. હરીશ ઠક્કર

Comments (6)

ઝાકળબુંદ : ૧ : સમજણ પડી – સુરેશ પરમાર

ડગલે ને પગલે નડી છે;
જ્યારથી સમજણ પડી છે.

વાંચ ને ઉકેલતો જા;
પત્રમાં જે એક ગડી છે.

એના જેવી, આહ ભરતાં;
ક્યાં મને પણ આવડી છે ?

આંખ કેવી, જળકમળવત !
સાવ કોરી રહી, દડી છે.

એ કહે છે: “મૌનને ગા”;
‘સૂર’ સંકટની ઘડી છે.

– સુરેશ પરમાર

એક જ શેર મારે માટે તો ઘણો છે… ખરી વાત છે, પોતાની સમજણ માણસને જેટલી નડે છે એનાથી વધારે કોઈ ચીજ નડતી નથી ! આંખ કેવી… શેર પણ ખૂબ સરસ થયો છે.

Comments (8)