એ જે અફવા હતી કથા છે હવે,
આવ, જોવા સમી દશા છે હવે.
રશીદ મીર

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for મનોજ ખંડેરિયા

મનોજ ખંડેરિયા શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.




પ્રેરણાપુંજ : ૧૧ : વાચકોની કલમે… : ૦૧

જયશ્રી ભક્ત (ટહુકો ડોટ કોમ) લખે છે-

અમે રાખમાંથીયે બેઠા થવાના,
જલાવો તમે તોયે જીવી જવાના.
ભલે જળ ન સીંચો તમે તે છતાંયે,
અમે ભીંત ફાડીને ઊગી જવાના.
(હર્ષ બ્રહ્મભટ્ટ)

આ ગઝલનું તો પોસ્ટર બનાવીને મારા ઘરમાં મૂકવાની ઇચ્છા થાય છે. દરેક પંક્તિમાં એવી ખુમારીની વાતો છે કે મન જો કશે જરા નબળું પડ્યું હોય તો જુસ્સો પાછો આવી જાય. જિંદગીની આંખોમાં આંખ પરોવીને પૂછવાની ઇચ્છા થાય, ‘બોલ, શું જોઇએ છે તારે ? ‘

રાજકોટથી લયસ્તરોના એક અનામી ચાહક લખે છે-

કાચી ઉંમરે કરેલો પહેલો પ્રેમ ક્યારેક જ પૂરો થાતો હોય છે, અને અધૂરા પ્રેમ ની મજા તો મોટા થઈએ ત્યારે શીખીએ પણ તે ઉમર માં તો એવું જ લાગે કે દુનિયાભરના તમામ કવિઓ , દરેક ભાષામાં , વિયોગ ની , બ્રેક-અપની કવિતાઓ માત્ર ને માત્ર તમારા માટે જ લખે છે! you start relating everything with you! ગોવિંદે જે આપ્યું હતું , જે થોડો સમય તમારી પાસે રહ્યું ને તમે હવે એ જ પાછું સોંપી રહ્યા છો તો પણ માલિકી ભાવ , દુઃખ , ઈગો હર્ટ , રીસ , ગુસ્સો બધું જ આવે ! (રેફ: ત્વદિયમ વસ્તુ ગોવિંદ તુભ્યમેવ સમર્પ્યતે ) And the toughest and the best decision then and even now is to “LET GO” to let your love GO ! set him free on a good note, with the heart right in place , without any hard feelings ! અને ત્યારે મને શ્રી મનોજ ખંડેરિયાનો એક શેર ખુબ કામ લાગ્યો-
“મારો અભાવ મોરની માફક ટહુકશે,
ઘેરાશે વાદળો અને હું સાંભરી જઈશ”

બસ આ શેરના કારણે હું એ પહેલા પ્રેમને સરળતાથી , સુકામનાઓ આપી જવા દઈ શકી !

હિમલ પંડ્યા લખે છે –

જે શોધવામાં જિંદગી આખી પસાર થાય
એ જ હોય પગની તળે – એમ પણ બને;
જ્યાં પહોંચવાની ઝંખના વર્ષોથી હોય ત્યાં
મન પહોંચતાં જ પાછું વળે – એમ પણ બને.

કવિશ્રી મનોજ ખંડેરિયાની ગઝલના આ બે શેરના પરિચયમાં તરુણાવસ્થામાં જ આવવાનું થયેલું. ત્યારથી જ જીવનની અને મનની અવસ્થાઓનો વાસ્તવિક ચિતાર દર્શાવતી આ પંક્તિઓ બહુ કામ લાગી છે. આપણી ઇચ્છાઓ, આપણી તૃષ્ણાઓ કેટલી ક્ષણભંગુર છે! કશુંક પામવાની ખેવના જ્યાં સુધી એ હાથવગું નથી હોતું ત્યાં સુધી જ તીવ્ર હોય છે. તો સાથોસાથ જે સુખની, કે ખુશીઓની આકાંક્ષા હોય એ ઘણીવાર જીવાતાં જીવનની નાની-નાની ઘટનાઓ અને પ્રસંગોમાં સમાયેલી હોય છે.

વિપુલ માંગરોલિયા વેદાંત લખે છે-

વૃક્ષ ઝંઝાવાત નહીં ઝીલી શકે
તરણું ઊખડી જાય તો કે’જે મને
જિંદગી તારાથી હું થાક્યો નથી
તું જો થાકી જાય તો કે’જે મને
(ખલીલ ધનતેજવી)

ખલીલ સાહેબની આ પંક્તિઓ ખરેખર એટલી ખુમારી દર્શાવે છે કે કોઈપણ નાસીપાસ થયેલા વ્યક્તિને ફરીથી બેઠાં થવા મજબૂર કરી દે. જીવનમાં ઘણીવાર આવા ઉતાર ચઢાવ આવ્યા ત્યારે આ પંક્તિઓ ખરેખર કામમાં આવી. લયસ્તરો નો આભાર કે એમણે મને આ પંક્તિઓ થી રૂબરૂ કરાવ્યો.

કવિતા શાહ લખે છે-

તારી જો હાક સુણી કોઈ ના આવે, તો એકલો જાને રે …
– ટાગોર.
(‘જોદી તોર ડાક શુની કેઉ ના આશે તોબે એકલા ચલો રે …’ બંગાળી)

‘નોબેલ’ પુરસ્કૃત અને ‘સર’ની પદવી પ્રાપ્ત તેમજ એશિયાનાં બંને ભારત અને બાંગ્લાદેશને રાષ્ટ્રગીતની ભેટ આપનાર કવિ શ્રી રવિન્દ્રનાથ ટાગોરનું પ્રયાણ ગીત એટલે કે આ ‘ માર્ચ સોંગ ‘ મને ખુદનો સૂરજ ખુદ બનવા આહવાન કરે છે.

કપરા સમયમાં, એકલા પડી ગયાની પીડા વખતે આ ગીતની આ એક લીટી જ આપણને આપણે જ આપણા ઉદ્ધારક બનવાનો જુસ્સો પૂરો પાડે છે. કોઈ રાહબર બને ના બને, પથ પર પ્રકાશ ઘરે ના ધરે, કોઈ તારો પોકાર સુની આવે ના આવે તો અટકી ન જતાં એકલા નીકળી પડવાનું જોમ ભરે છે.
હતાશા ખેરવી દેતું આ ગીત કાયમ મને હાથ પકડી ટેકો પૂરો પાડે છે. ભરોસામંદ ભેરુ છે મારો.

પૂજ્ય બાપુ લખે છે-

અબ મેં ક્યાં કરું મેરે ભાઈ? મૃગલા ગયા ખેત સબ ખાઈ…
પાંચ મૃગ, પચીસ મૃગલી, રહેવે ઈસ વન માંહીં…
યે વનમે હૈં ખેત હમારા, સો વ્હૈ ચરી ચરી જાઈ…
(ગોરખનાથ)

આમ તો દરેક કવિતાને માણવી અને પ્રમાણવી ખૂબ ગમતું કામ છે પણ ગોરખનાથજીની આ કવિતા એવી તો અડી ગઈ કે વાત ના પૂછો. આ પંક્તિ પછી મને શબદગંગા ની પ્રેરણા મળી. અને મનની સ્થિરતા માટે આધ્યાત્મનો એક નવો રસ્તો પણ ખૂલી ગયો.

નાથ પરંપરાના સિદ્ધ યોગી એવા ગોરખનાથજીના આ શબદ સમજાય તો આપણું ખેતર ઉજ્જડ થતાં બચી જાય. અહીં ખેતર એ મન છે અને વન એ મનનું વિશાળ, અફાટ ક્ષેત્ર છે. પાંચ મૃગ એ ઇચ્છાના પ્રકાર છે તો પચીસ મૃગલી અવિનય, અક્રિયા, અજ્ઞાન, સંશય, અધર્મ,અશ્રદ્ધા વગેરે (જૈનધર્મ જેને પચ્ચીસ પ્રકારના મિથ્યાત્વ તરીકે ઓળખાવે છે.) મનની ખેતી માટે તો સ્થિરતાનું સિંચન જોઈએ. જો એને બાંધી શકાય તો ભક્તિનો મબલખ પાક લઈ હરિચરણે ભોગ ધરી શકાય…

ડૉ. પુષ્પક ગોસ્વામી (વડનગર) લખે છે-

નદીની રેતમાં રમતું નગર મળે ન મળે,
ફરી આ દ્રશ્ય સ્મૃતિપટ ઉપર મળે ન મળે.
ભરી લો શ્વાસમાં એની સુગંધનો દરિયો,
પછી આ માટીની ભીની અસર મળે ન મળે.
(આદિલ મન્સૂરી)

જ્યારે આદિલ મન્સૂરી સાહેબની આ ગઝલ વાંચી ત્યારે હું અમદાવાદ રહેતો હતો. શહેરની ઝાક ઝમાળ વચ્ચે શાંતિની શોધમાં શાંતિ ખોઈ બેસેલો હું જ્યારે ગામડામાં જતો, ત્યારે એક અલગ જ પ્રકારની શાંતિ અને આત્મીયતાનો આનંદ મળતો. એક દિવસ ખેતરના શેઢે બેઠા બેઠા આ ગઝલ સાંભળી અને મને થયું કે ખરેખર હું જે નથી તે મેળવવાની લ્હાયમાં, જે છે તેવું ઘણુંબધું ગુમાવી રહ્યો છું. અંતે મેં મારા વતન પરત ફરવાનો નિર્ણય કર્યો અને આજે હું વતનમાં ખૂબ ખુશ છું.

મિત્ર રાઠોડ લખે છે-

હું બહુ નાનો માણસ છું એવું માનતો હતો પરંતુ બરકત વિરાણી ‘બેફામ’ સાહેબની “થાય સરખામણી” ગઝલ વાંચી ત્યારથી નાનો માણસ સૌને કેટલો કામ આવી શકે છે એ વાત પર ધ્યાન ગયું અને બીજાને નાના મોટા દરેક કામમાં હું કામ આવતો ગયો. જેના કારણે આજે હું સૌનો “મિત્ર” બની શક્યો છું.

થાય સરખામણી તો ઊતરતા છીએ
તે છતાં આબરૂ અમે દીપાવી દીધી.
એમના મહેલ ને રોશની આપવા
ઝુંપડી પણ અમારી જલાવી દીધી.
(બરકત વિરાણી ‘બેફામ’)

જોરુભા ખાચર વડોદરાથી લખે છે-

રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની આ અણમોલ કાવ્ય પંકતિ હાડોહાડ હ્રદયમાં ધ્રોપટ આરપાર નીકળી ગઈ અને સમગ્ર મેઘાણી સાહિત્ય વાંચવા પ્રેર્યો

“અગર બહેતર ભૂલી જાજો અમારી યાદ ફાની !
બૂરી યાદે દુભવજો ના સુખી તમ જિંદગાની;
કદી સ્વાધીનતા આવે-વિનંતી,ભાઈ,છાનીઃ
અમોનેય સ્મરી લેજો જરી, પળ એક નાની !

તનસુખ શાહ ‘સ્વપ્નિલ’ લખે છે-

તારાં સ્વપ્નોમાં છું એવો લીન કે,
તું જગાડે તોય હું જાગું નહીં,
તારા સ્મરણોનાં મળે જો ફૂલ તો,
હું સદેહે પણ તને માંગું નહીં.
(ભગવતીકુમાર શર્મા)

કોલેજકાળ દરમ્યાન કવિશ્રીનો ગઝલ સંગ્રહ ‘સંભવ’ ખરીદીને વાંચેલો.એમાંથી પસાર થતાં કવિશ્રી મારા માટે પ્રેરણારૂપ બન્યા.. જે વરસો બાદ 2019 માં મારા પ્રથમ ગઝલ સંગ્રહ ‘આ શેઢે ગરમાળો’ ના પ્રાગટ્ય માટે કારણરૂપ બન્યા.

Comments (9)

અને હું….. – મનોજ ખંડેરિયા

નગર મીણનું : ધોમ તડકા અને હું
પીગળતા રહ્યા મારી છાયા અને હું

આ ચોપાટનાં ખાલી ખાનાં અને હું
સ્મરણના જૂના પંગુ પાસા અને હું

હતું ચિત્ર આ ટ્રેન ગઈ એ પછીનુંઃ
ક્ષિતિજો સુધી જાતા પાટા અને હું

સમયના બધા બંધ દરવાજા જોઉં
લટકતાં નજર સામે તાળાં અને હું

અહીં તો સૂવાનું રહ્યું ભીષ્મ માફક
નીચે શબ્દનાં તીક્ષ્ણ ભાલાં અને હું

એ ઘટનાને કોઈ કહી દેશે મૃત્યુ
અલગ થઈ જતી મારી કાયા અને હું

– મનોજ ખંડેરિયા

“હતું ચિત્ર આ ટ્રેન ગઈ એ પછીનું……..” – જબરદસ્ત !!!

તમામ શેર બળકટ 👍🏻

Comments (2)

લાગણી…… – મનોજ ખંડેરિયા

અર્થોની ગૂંચવણ મહીં ગૂંચવાય લાગણી;
શબ્દોને ઘેર આવતાં કરમાય લાગણી.

રસ્તાની જેમ કૈંક વળાંકે વળીવળી,
ફાંટો પડે છે એ સ્થળે ફંટાય લાગણી.

ભીંતે ખૂણામાં જાળું કર્યું છે કોળિયે,
આખાય ઘરની એ મહીં ગૂંચવાય લાગણી.

વાસી દીધી છે કોઈએ ડેલીની ભોગળો,
માથું પછાડી દ્વારે મરી જાય લાગણી.

સમળીની જેમ ચક્કરો કાપ્યાં કરે નભે,
તપતા બપોરે કેટલી અકળાય લાગણી.

ખંડેરના અવાવરુ એકાંતમાં હજી,
પ્રેતોની જેમ ઘૂમતી દેખાય લાગણી.

કાંઠાની જેમ હું તો પડ્યો રહું ઉદાસ થૈ,
સાગરના જળમાં દૂર જુઓ ન્હાય લાગણી.

– મનોજ ખંડેરિયા

Comments

નજર પહોંચી શકે…..- મનોજ ખંડેરિયા

નજર પહોંચી શકે ત્યાં લગી બસ શુષ્ક ધરણી છે;
વચાળે જિંદગી છે સમજી લે કે ફૂલખરણી છે.

લીલી દુર્વાની જેવાં આપણાં સપનાં ચરી જાતી;
સતત દેખાતી ગભરુ કિંતુ એ છેતરતી હરણી છે.

પુરાયાની પીડા ભૂલી ગયા સહુ બહાર જોવામાં,
જગત આખુંય જાણે કાચની આ એક બરણી છે.

પ્રવેશે છિદ્રમાંથી પાણી ત્યાં બસ આંગળી રાખી,
દીધેલી તેંય જન્મારાની કેવી કાણી તરણી છે.

ગઝલ મારી લખાયા બાદ નીરખીને મને થાતું,
પડી કાગળ ઉપર આ કોની પગલી કંકુવરણી છે.

તમારે મન ફક્ત ગજરો અમારે મ્હેકતો રેલો,
અમારી સાવ જુદી આપથી વિચારસરણી છે.

– મનોજ ખંડેરિયા

બળકટ ગઝલ….

Comments (3)

પૃથ્વી – મનોજ ખંડેરિયા

અહીં ખંડિત થવાનો અર્થ માણસ એટલે માટી
ચહેરો તૂટવાનો અર્થ માણસ એટલે માટી

હજારો સાલ પહેલાંના મળે અવશેષ ભીતરથી
જીવનને ખોદવાનો અર્થ માણસ એટલે માટી

મલય–લ્હેરે સૂકી ઘટનાની કચારી હલબલી ઊઠી
કે ઇચ્છા મ્હોરવાનો અર્થ માણસ એટલે માટી

સતત ફરતા રહે છે ચાકનાં પૈડાંની ઝડપે સહુ
અહીંયા ઘૂમવાનો અર્થ માણસ એટલે માટી

ખૂલી વરસો પછી મુઠ્ઠી તો ચપટી ધૂળ નીકળી’તી
રહસ્યો ખોલવાનો અર્થ માણસ એટલે માટી

ઘણા વખતે અમે ઝીલ્યા છે વ્હેલી વારના છાંટા
ત્વચા મ્હેકી જવાનો અર્થ માણસ એટલે માટી

અમે તો માટીનાં પૂતળાં કે રમતાં રમતાં તૂટવાના
નથી સમજાવવાનો અર્થ માણસ એટલે માટી

– મનોજ ખંડેરિયા

ટૂંકમાં કેટલું બધું કહી દીધું !!!

Comments (4)

…….શૂન્યતા – મનોજ ખંડેરિયા

પથરાઈ ગઈ છે આંખમાં સપનાંની શૂન્યતા
કોઈ વહી ગયું, રહી છાયાની શૂન્યતા

મૂંગો અવાજ આજ હજી કોરતો મને
પોલો બનાવી રહી મને પડઘાની શૂન્યતા

એકાંત કાળું ભીડનું વળગી ગયું મને
મારી જ સાથે આવતી રસ્તાની શૂન્યતા

પગરવની મ્હેક તો હવામાં ઓગળી ગઈ
કણસી રહી છે ધૂળમાં પગલાંની શૂન્યતા

સ્પર્શી રહી નગરનાં મકાનોની ભીંતને
જૂનાપુરાણા ધૂળિયા કિલ્લાની શૂન્યતા

– મનોજ ખંડેરિયા

મત્લાથી આગળ વધાયું જ નહીં જાણે કે મારા થી…..

Comments (4)

એકેય પાન – મનોજ ખંડેરિયા

મનહર છબી લટકતી રહી’તી જે સ્થાન પર
ખીલી જ રહી ગઈ છે હવે એ દીવાલ પર

એ પીછું કે જે આંગણે ખૂણે પડ્યું રહ્યું
માંડીને આંખ બેઠું છે વૃક્ષોની ડાળ પર

સૂની સડકની વેદના અડક્યા કરે મને
પગલુંય સ્પષ્ટ રહી ન શક્યું ફૂટપાથ પર

ખંડિત થયેલ મૂર્તિની છાયામાં ઓગળું
ને મારા ટુકડાઓ તરે ભૂતકાળ પર

એકેય પાન શબ્દનું લીલું નહીં રહે
ઊડી રહ્યાં છે તીડનાં ટોળાંઓ ગામ પર

– મનોજ ખંડેરિયા

ચોતરફ વ્યગ્રતા છવાયેલી છે. જો ઈશ્વર જેવું કોઈ તત્વ હોય તો તે અત્યારે વેકેશન પર છે. ચોપાસ મૃત્યુનું તાંડવ મચ્યું છે. માનવી વામણો તો હતો,છે અને રહેશે જ, પરંતુ જે રીતે સાર્ત્રેએ યહૂદી નરસંહાર માટે કહ્યું હતું – ” Shouldn’t God be held answerable in Neuremberg trials ? ” – તે વાત આજે પણ એટલી જ પ્રસ્તુત છે. આવા માહોલમાં મન મત્લા પર જ અટકી ગયું…..

Comments (1)

જોઈ રહીએ – મનોજ ખંડેરિયા

નેતરનાં વન જેવા પાંખા પરોઢિયામાં
વીખરાતી રાત જોઈ રહીએ
અમે વીખરાતી વાત જોઈ રહીએ

પાંખોની જેમ મારી નીંદરા ફફડે ને
ખરે પીછાં અજવાળામાં ભૂખરાં
ઝાલું ન ઝાલું ત્યાં વહી જાતા આંખમાંથી
સપને મઢેલ ઓલ્યા ડુંગરા

છેલ્લું મહેકીને ખરે રાતરાણી ફૂલ
ખર્યા ફૂલની બિછાત જોઈ રહીએ
અમે વીખરાતી રાત જોઈ રહીએ

તોરણનાં આભલામાં તડકો પડે
મારી એકલતા ઝગમગવા લાગતી
ખાલી હથેળિયુંમાં મોતી ઝીલ્યાની યાદ
બાવળની શૂળ બની વાગતી

ઝંખનાને તીર અમે સરવરનાં દર્પણમાં
ડહોળાતી જાત જોઈ રહીએ
અમે વીખરાતી વાત જોઈ રહીએ

– મનોજ ખંડેરિયા

 

‘મેરા નામ જોકર’નું ગીત યાદ આવી જાય –

” મુઝકો રુલા રુલા દિયા જાતી હુઈ બહાર ને……”

Comments (2)

કોઈને કૈં પડી છે જ ક્યાં…. – મનોજ ખંડેરિયા

સાવ છાના પગે પાનખર ઘર કરી જાય છે, કોઈને કૈં પડી છે જ ક્યાં;
રાતદિ’ હરપળે પાન લીલાં ખરી જાય છે, કોઈને કૈં પડી છે જ ક્યાં.

ફાગણી મરમરો – શ્રાવણી ઝરમરો – કોઈને કૈં અસર ક્યાં કરે છે હવે,
આંખથી વિસ્મયો દૃશ્ય માફક સરી જાય છે, કોઈને કૈં પડી છે જ ક્યાં.

બાળપણની કથાની પરી ઊડી ગઈ, ને રમતની બધી કોડી વેરાઈ ગઈ,
આંખ સામે જ મોંઘી મૂડી પગ કરી જાય છે, કોઈને કૈં પડી છે જ ક્યાં.

કોણે પ્રગટાવિયો, વાટ કોણે મૂકી, તેલ કોણે પૂર્યું કોઈને ક્યાં ખબર,
કૈં સદીનો અખંડ દીપ આજે ઠરી જાય છે, કોઈને કૈં પડી છે જ ક્યાં.

આપણે ખોઈ ચૂક્યા છીએ આંસુઓ, ને ગુમાવી દીધી છે ભીની વેદના,
આપણી માલમતા સમય પરહરી જાય છે, કોઈને કૈં પડી છે જ ક્યાં.

ખળભળે પથ્થરો – ખડખડે બારીઓ – ને પડું રે પડું થઈ રહ્યાં બારણાં,
રોજ લાખો ઊધઈ ભીંતને ખોતરી જાય છે, કોઈને કૈં પડી છે જ ક્યાં.

– મનોજ ખંડેરિયા

કૌતુકવશતાથી મુગ્ધતા અને મુગ્ધતાથી સ્થૂળતા અને સ્થૂળતાથી જડતાની યાત્રા બનીને રહી જાય છે જિંદગી…..

Comments (6)

સવા શેર : ૦૧ : મનોજ ખંડેરિયા

ક્ષણોને તોડવા બેસું તો વરસોનાં વરસ લાગે,
બુકાની છોડવા બેસું તો વરસોનાં વરસ લાગે.
– મનોજ ખંડેરિયા

કેટલીક કૃતિ વાંચતાવેંત કૃતિ, કર્તા અને વિષયવસ્તુ -ત્રણેયના પ્રેમમાં પડી જવાય. ‘વરસોનાં વરસ લાગે’ આવી જ કૃતિ છે. ગઝલનો મત્લા જોઈએ. ‘લગાગાગા’ના ચાર આવર્તનોથી બનેલા મિસરાની મોટા ભાગની જગ્યા ‘બેસું તો વરસોનાં વરસ લાગે’ જેવી લાંબી રદીફે પચાવી પાડી છે. લાંબી રદીફ સિદ્ધહસ્ત કવિઓની ગઝલોમાં પણ બહુધા લટકણિયું બનીને રહી જતી હોય છે. પણ અહીં એ કવિકર્મનૈપુણ્યની દ્યોતક બની છે. રદીફની આગળ ‘તોડવા’, ‘છોડવા’ જેવા હેત્વર્થ કૃદંતના કાફિયા. એમાંય ‘-ડવા’ કાફિયાઓનો સામાન્ય અવયવ, એટલે મત્લામાં તો કવિ પાસે ‘લગાગાગા’ની માત્ર સાત માત્રા જ બચે છે. આવી અતિસાંકડી ગલીમાંથી અર્થચમત્કૃતિ અને કવિતા નિપજાવવાનું ભગીરથકાર્ય અહીં થયું છે.

પ્રથમદર્શી વાત સરળ છે. કવિના મતે ક્ષણોને તોડવાનું અને બુકાની છોડવાનું કામ દેખાય એવું સહેલું નથી, કરવા બેસો તો વરસોનાં વરસ લાગી જાય. પણ આ તો થઈ સપાટી પરની વાત. મહાસુખ તો મહીં પડ્યા તે જ માણે ને?! ડૂબકી જ ન મારો તો મોતી શીદ હાથ લાગે, કહો તો? ક્ષણ યાને કે સમય અમૂર્ત છે પણ એને તોડવાની ક્રિયાનો કાર્યકારણસંબંધ તો મૂર્તતા સાથે છે. ‘બુકાની’ સાથે ‘છોડવા’ની ક્રિયા જેટલી સાહજિક છે, એટલી જ ‘ક્ષણો’ સાથે ‘તોડવા’ની ક્રિયા અસાહજિક છે. પ્રથમ બે જ શબ્દોમાં કવિએ આવનારી અર્થચમત્કૃતિ તરફ કેવો ઈશારો કર્યો! કવિએ ક્ષણ અને વરસ, સૉરી, વરસોને, સૉરી, વરસોનાં વરસને સામસામા (juxtapose) કર્યાં છે. ક્ષણોનો સરવાળો યાને વરસો અને વરસોનો સરવાળો છે જીવન. પણ બધી ક્ષણમાં જીવન નથી હોતું. જન્મથી મૃત્યુ તરફની અનવરત મુસાફરીમાં આપણને જોતરતી અસંખ્ય ક્ષણોમાંની એકાદ ક્ષણ કાયાપલટની હોય છે. એને પકડી શકે એ જ મહાત્મા બની શકે છે. એક ક્ષણમાં વાલિયો લૂંટારો વાલ્મિકીત્વ તરફ ગતિ કરે છે તો બોધિવૃક્ષ તળેની એક ક્ષણ બુદ્ધના જન્મની ક્ષણ બની રહે છે. સ્ટેશન પર ફેંકાવાની એક ક્ષણના ગર્ભમાંથી મહાત્મા ગાંધી જન્મે છે તો ક્ષણાર્ધભર કાબૂ ગુમાવવાના કારણે કોઈક આત્મહત્યા તો કોઈક હત્યા પણ કરી શકે છે. ક્ષણનો યથર્થ મહિમાગાન અહીં કરાયો છે. કવિ અન્યત્ર કહે છે: ‘કહે તે સ્વીકારું શરત માત્ર એક જ, મને મારી ક્ષણ દે પરત માત્ર એક જ.’ પણ અહીં કવિતા ક્ષણોને જોડવાની નહીં, તોડવાની વાતમાં છે. રામસભામાં સીતાએ આપેલી માળાના અમૂલ્ય મોતીઓના હનુમાન તોડીને ફાડિયાં કરે છે. કારણ? એમને એમાં શ્રીરામની તલાશ છે. અહીં પણ આ જ ઇજન અપાયું છે. ક્ષણોને તોડવાની છે, કેમ કે આત્મનિરીક્ષણ કરવાનું છે. અને, ક્ષણોને તોડીને, વિચ્છેદન કરીને જાત સુધીની જાતરા કરવી હોય તો વરસોના વરસ પણ ઓછાં ન પડે? વળી, ક્ષણોના સરવાળા સમી આ જિંદગીને આપણે જેવી છે, શું એવીને એવી જીવીએ છીએ? એક ચહેરો અને હજાર મહોરાં… આપણા વ્યક્તિત્વમાં ક્યાંય એકત્વ કે સમત્વ નથી. પ્રતિપળ આપણે છીએ એનાથી અલગ રજૂ થઈએ છીએ. બુકાની તો ક્ષણભરમાં છૂટી જાય, પણ છીએ તેવા દેખાવું હોય તો? ઓળખ ઉપરના આડંબરો ઉતારી દેવા હોય તો? વરસોનાં વરસ ઓછાં ના પડે? અર્થનાવિન્યની ચમત્કૃતિ સર્જતી આ ગઝલ નિઃશંક માત્ર કવિના સમગ્ર(oeuvre)નું જ નહીં, સમસ્ત ગુજરાતી ગઝલોનું એવરેસ્ટ છે.

– વિવેક મનહર ટેલર

Comments (14)

ઉંબરને- બારણાંને – કે ના ટોડલાને પૂછ – મનોજ ખંડેરિયા

ઉંબરને- બારણાંને – કે ના ટોડલાને પૂછ
ઘરમાં ઉદાસી કેમ છે ? ખાલીપણાને પૂછ

રણ તો કહેશે : કેટલાં હરણાં ઢળી પડ્યાં !
સપનાં ડૂબ્યાં છે કેટલાં તે ઝાંઝવાને પૂછ

નીકળી ગયો છું કેમ તે ના પૂછ તું મને,
ખાલી પડી છે કેમ જગા ? કાફલાને પૂછ

આ ઝાડમાંથી ઝાડપણું તાણી લઈ ગયું ,
પંખી હતું કે પૂર હતું, પાંદડાને પૂછ

આકાશ જેની ગોદમાં જન્મે અને ફૂટે
ખાલીપણાનો અર્થ તું એ બુદબુદા ને પૂછ

વિશ્વો ને હચમચાવતું છે કોણ કેન્દ્રમાં ?
હોવાની જેની શક્યતા તે વેદનાને પૂછ

બાકી ન આવવાનું હવે કોઈ પણ અહીં,
બોલે છે કેમ તો ય હજી કાગડાને પૂછ

-મનોજ ખંડેરિયા

Comments (2)

દરવાજે ઊભો છું….- મનોજ ખંડેરિયા

પીડાના ટાંકણાની ભાત લઈ દરવાજે ઊભો છું;
કળામય આગવો આઘાત લઈ દરવાજે ઊભો છું.

સુકાયો સાવ અશ્રુપાત લઈ દરવાજે ઊભો છું;
સૂતેલો એક ઝંઝાવાત લઈ દરવાજે ઊભો છું.

ન ફાટે કે ફીટે એ જાત લઈ દરવાજે ઊભો છું;
પટોળા પર પડેલી ભાત લઈ દરવાજે ઊભો છું.

કળીની જેમ એનું બંધ છે સૌંદર્ય આજે પણ,
કહેલી કાનમાં તેં વાત લઈ દરવાજે ઊભો છું.

ખબર છે કે લૂણો લાગી ગયો છે એનાં શિલ્પોને,
છતાં એ જર્જરિત જજબાત લઈ દરવાજે ઊભો છું.

તમે જેના અભાવે વાસી દીધાં દ્વાર વરસોથી,
હું એ વિશ્વાસની મિરાત લઈ દરવાજે ઊભો છું.

નથી આવ્યો હું ખાલી હાથ તારા દ્વાર પર આજે,
કવિતાથી સભર દિનરાત લઈ દરવાજે ઊભો છુ.

ઊભો દ્વારે શિશુ ભોળો દયામય મંદિરે, ખોલો,
બચેલા શ્વાસની સોગાત લઈ દરવાજે ઊભો છું.

-મનોજ ખંડેરિયા

આજે પાછી બંધ દ્વારની વાત, પણ અંદાઝ અલગ છે. “તમે જેના અભાવે વાસી દીધાં દ્વાર વરસોથી,
હું એ વિશ્વાસની મિરાત લઈ દરવાજે ઊભો છું….” – અહીં પોઝિટિવિટી છે, પુનર્મિલનનું આહવાન છે.

Comments (2)

ભમ્મરિયું વ્હેણ – મનોજ ખંડેરિયા

આપણી જુદાઈનું આ ભમ્મરિયું વ્હેણ
મને કોણ જાણે ક્યાંય જશે તાણી

ચંપાની ડાળ જેવું અહીંયાં નિત લીલુંછમ
ઝૂલવા છતાં ન કૂલ ઊગ્યું
ઝંખ્યાનો કેવડો તો કૉળ્યો ના કોઈ દિ’
ના એકેય વ્રત મારું પૂગ્યું
સુસવાતા દિવસોએ કાગળના જેવી આ
જાતને ક્યાં આજ મૂકી આણી

જળથી ભીનાશ બધી અળગી થઈ જાય
અહીં ચૈતરના તાપ પડ્યા એવા
અહલ્યાની જેમ મારી ઇચ્છા તો પથ્થર
આ જીવતરના શાપ કોને કે’વા
એકલી કદંબ હેઠ બેઠેલી સૂનંમૂન
ધેનુની આંખનું હું પાણી

– મનોજ ખંડેરિયા

ધીરગંભીર ગીત…..જળથી ભીનાશ અળગી થઈ જાય !!! – વાહ !!

Comments (2)

અવકાશ જેમ આખી અખિલાઈમાં ઊભા – મનોજ ખંડેરિયા

અવકાશ જેમ આખી અખિલાઈમાં ઊભા
ઝળહળતી આસમાની અમીરાઈમાં ઊભા

જે બાજુ જોઉં તે તરફ પ્રતિબિંબ તરવરે
ચોમેર ગોઠવેલી અરીસાઈમાં ઊભા

સમતોલ જાત રાખતાં પણ હાથ ના રહે
લ્હેરાતી સાંજની આ સમીરાઈમાં ઊભા

ક્યારે ઇશારે કોળે ને પગલું ઉપાડીએ ?
અધ્ધર પગે અમે તો અધીરાઈમાં ઊભા

ગૂંથાય ઝીણા તાર તરન્નુમના શ્વાસમાં
વસ્ત્રો સમી વણાતી કબીરાઈમાં ઊભા

આ ખાખી ખાલીપાની ખલક લઈ હરીભરી –
કૈં ફાટફાટ થાતી ફકીરાઈમાં ઊભા

– મનોજ ખંડેરિયા

શાયર સામે તીર ઝાંકે છે, જે અનુભવે છે તે લખ્યું છે…..

Comments (1)

ચાલ્યો જવાનો સાવ – મનોજ ખંડેરિયા

આ સીધી વાટ છોડીને ચાલ્યો જવાનો સાવ
શબ્દો સપાટ છોડીને ચાલ્યો જવાનો સાવ

આ ચાકડેથી ઘટને ઉતારી વિખેરીને
માટી અઘાટ છોડીને ચાલ્યો જવાનો સાવ

જાણું છું મારી માલમત્તા માંહ્ય છે છતાં
ખુલ્લો કબાટ છોડીને ચાલ્યો જવાનો સાવ

ખાલી કડાંનો કાળો કિચુડાટ રહી જશે
હિંડોળા-ખાટ છોડીને ચાલ્યો જવાનો સાવ

મનગમતી અહીંની ધૂળમાં ચાદર રજોટી મેં
એ મેલી-દાટ છોડીને ચાલ્યો જવાનો સાવ

તું છેતરી લે તોલમાં, પણ ભાવ બે ન રાખ
નહીંતર હું હાટ છોડીને ચાલ્યો જવાનો સાવ

સમૃધ્ધિ આ અખંડ દીવાની તને દઈ
ઘર ઝળહળાટ છોડીને ચાલ્યો જવાનો સાવ

– મનોજ ખંડેરિયા

છેલ્લેથી બીજો શેર જુઓ…..આવી અભિવ્યક્તિ મનોજભાઈને જ સૂઝે !!!

Comments (3)

શું ચીજ છે – મનોજ ખંડેરિયા

અસ્તના રંગે ડૂબેલી યાદ પણ શું ચીજ છે ;
દોસ્ત, ઢળતી સાંજનો અવસાદ પણ શું ચીજ છે.

સેંકડો બાંધેલ સાંકળ જેમ ખેંચે છે મને,
જે તમે ના દઈ શક્યા એ સાદ પણ શું ચીજ છે.

તોડી નાખે છે રગેરગ ને ચીરી નાખે ત્વચા,
લોહીમાં એક નામનો ઉન્માદ પણ શું ચીજ છે.

એકલું લાગ્યું નથી ક્યારેય પણ એકાંતમાં
આ મનોમન ચાલતો સંવાદ પણ શું ચીજ છે.

ખોતરે છે જન્મને જન્માંતરોની વેદના,
આ અષાઢી રાતનો વરસાદ પણ શું ચીજ છે.

“મૃત્યુ” જેવો માત્ર ટૂંકા એક શબ્દે તેં કર્યો,
જિંદગીના કાવ્યનો આસ્વાદ પણ શું ચીજ છે.

એ બની રહી આજ પર્યંત મારી સર્જકતાનું બળ,
કોઈએ મૂંગી દીધેલી દાદ પણ શું ચીજ છે.

– મનોજ ખંડેરિયા

સિદ્ધહસ્ત કલમ…….પ્રત્યેક શેર બળકટ

Comments (3)

બરડ-ક્યાંક બરછટ-જરી કૈંક કરડો- મનોજ ખંડેરિયા

બરડ-ક્યાંક બરછટ-જરી કૈંક કરડો-
અમે લાગણીના ચહેરે ઉઝરડો !

ખુલાં દ્વાર તો વાસી દીધા પછી પણ –
સહન થાય છે એની ક્યાં ઝીણી તરડો ?

સતત આર ખૂંચે છે એની રગેરગ,
હજી લોહીમાં એક ફરતો ભમરડો

અમે કોઈ અજગરની અંદર વસેલાં,
પળેપળ રહ્યો રોજ ગુંગળાવી ભરડો

હતું એક કાગળ નીચે લોહ-ચુંબક,
કલમ એના ખેંચાણે લેતી ચકરડો

-મનોજ ખંડેરિયા

 

ઝીણી તરડો…….. કેવી ખૂબીથી બયાન થયું છે !!!!!

Comments (2)

પીડાના ટાંકણાંની….- મનોજ ખંડેરિયા

પીડાના ટાંકણાંની ભાત લઈ દરવાજે ઉભો છું,
કળામય આગવો આઘાત લઈ દરવાજે ઉભો છું.

નથી આવ્યો હું ખાલી હાથ તારા દ્વાર પર આજે,
કવિતાથી સભર દિન-રાત લઈ દરવાજે ઉભો છું.

તમે જેના અભાવે વાસી દીધાં દ્વાર વરસોથી,
હું એ વિશ્વાસની મિરાત લઈ દરવાજે ઉભો છું.

ઉભો દ્વારે શીશુભોળો દયામય મંદિર ખોલો,
બચેલાં શ્વાસની સોગાત લઈ દરવાજે ઉભો છું.

– મનોજ ખંડેરિયા

હું તો મક્તાથી જ ઘાયલ થઇ ગ્યો…..

Comments (1)

ખાલી ગજવામાં – મનોજ ખંડેરિયા

ઝીણી ઝાકળના ઝબકારા ભરું છું ખાલી ગજવામાં
અછડતા આછા અણસારા ભરું છું ખાલી ગજવામાં

પડ્યું છે એક એવું છિદ્ર જેમાંથી બધું સરકે
છતાં હું કૈંક જન્મારા ભરું છું ખાલી ગજવામાં

કરું છું એકઠી વરસોથી મૂડી હું પ્રતીક્ષાની
ખર્યા પાંપણથી પલકારા ભરું છું ખાલી ગજવામાં

ભરું છું એટલું કોઈ રહ્યું સેરવતું ચુપકીથી
છતાં ધીરજના ધબકારા ભરું છું ખાલી ગજવામાં

કશું ઝાલર સમું વાગી રહ્યું નિત સાંજે મારામાં
રગેરગમાંથી રણકારા ભરું છું ખાલી ગજવામાં

કદી આવીશ તો કેવો સમય ગાળ્યો બતા’વાને
સૂનાં દ્વારોના ભણકારા ભરું છું ખાલી ગજવામાં

નગરમાં એકલા ક્યારે પડી જઈએ, ખબર કોને !
હું એથી શબ્દ –સથવારા ભરું છું ખાલી ગજવામાં

-મનોજ ખંડેરિયા

Comments (1)

……શું છે – મનોજ ખંડેરિયા

ઝળહળ ઝબાક ઝળહળ અજવાસ જેવું શું છે
આ બંધ દ્વાર પાછળ અહસાસ જેવું શું છે

હોઠે ધરું જો આસવ પીવા ન થાય ઇચ્છા,
તો કાં ગળું સુકાતું ? આ પ્યાસ જેવું શું છે

એક નામ લેતાં સાથે ભરચક ત્વચાથી પ્રસરે,
અત્તર ની આછી આછી આ વાસ જેવું શું છે

ક્ષણમાં રચાઉં ; ક્ષણમાં વિખરાઈ જઉં હવામાં,
હોવું નથી જ તો આ આભાસ જેવું શું છે

તાજપ-લીલાશ-સળવળ-કુમળાશ ભીની એમાં,
આંખોને અડકી જાતું આ ઘાસ જેવું શું છે

ખુલ્લી છે સીમ-માથે આકાશ ઝૂક્યું-વચ્ચે-
ઊભો છું એકલો પણ સંકડાશ જેવું શું છે

આ હાથ સળગી ઊઠ્યો અ-ક્ષરની લીલા જોતાં,
કાગળની વચ્ચે જામ્યું આ રાસ જેવું શું છે

ટહેલ્યા અમે તો એમ જ કૈં મુક્ત મનથી, એમાં-
કંડારી કેડી શું ને ઇતિહાસ જેવું શું છે

  • મનોજ ખંડેરિયા

Comments (1)

અક્ષરો પડવાની જ્યાં ઘટના બની કાગળ પરે – મનોજ ખંડેરિયા

અક્ષરો પડવાની જ્યાં ઘટના બની કાગળ પરે
ત્યાં તરત અફવા ઊડી કે હાથથી કંકુ ખરે

અર્થની આ આંબલીમાં ભૂતનો વાસો હશે
રોજ મધરાતે દીવાઓ પાંદડા પર તરવરે

ઝંખનાના બંધ ખાલી સાવ જૂના ઓરડે-
કોણ હરતુંફરતું ? ઝીણી ઝાંઝરી રણક્યા કરે !

એક ભડકો થઈ સ્મૃતિ અંધારમાં ઊડી ગઈ
આંખ સામેથી હજી એ દ્રશ્ય આઘું ના સરે

એક કાગળ વાયકાની વાવ શો ઊંડો હતો
લોક કહેતાં : જે જતું એમાં તે પાછું ના ફરે !

– મનોજ ખંડેરિયા

ચોથા શેરની ચમત્કૃતિ જુઓ !!! સ્મૃતિ ઊડી ગઈ પણ એ ઘટનાની સ્મૃતિ રહી ગઈ ! વિચારશૂન્ય થવાના પ્રયત્નોમાં વિચારશૂન્યતાના વિચાર તો રહી જ ગયા……! ત્રીજો શેર પણ લાજવાબ છે.

Comments (4)

મારી આંખમાં – મનોજ ખંડેરિયા

અષાઢી વાદળોનો ઊડ્યો ઉમંગ
મારી આંખમાં ચણોઠિયું ઊગી રે સૈ
આંગળીની જેમ રાખી ઇચ્છાઓ હાથમાં તે
આજ હવે આકાશે પૂગી રે સૈ

મારા કમખાની કસમાં બંધાઈ ગઈ રાત
થાય તૂટું તૂટું રે મારી સૈ
કાચ જેવી હું તો કિરણ જોઈ ઝબકું ને
ફટ કરતી પળમાં ફૂટું રે મારી સૈ

પરસાળે પગલું હું કેમ કરી માંડું કે
મેંદીની ભાત પગે કરડે રે સૈ
મૂઠીની જેમ હું તો થઈ જાઉં બંધ ને
મનમાં પરોઢ રાતું ઊઘડે રે સૈ

નળિયાંને એવું તો થઈ બેઠું શુંય કે
આખો દિ’ કાગ જેમ બોલે રે સૈ
આભને ઊતરતું રોકી લ્યો કોઈ
મારા સપનામાં ડુંગરા ડોલે રે સૈ

– મનોજ ખંડેરિયા

લાંબા વખતે નખશિખ નમણું રૂપાળું ગીત માણવા મળ્યું…..કદાચ સ્વરબદ્ધ થાય તો મજા પડી જાય……

Comments (1)

નખ – મનોજ ખંડેરિયા

ક્યાંક ને ક્યાંક પણ કળાયો નખ
જંગલોથી નગર છવાયો નખ

ઐતિહાસિક સમયના જખ્મોમાં –
માનવીનો જ ઓળખાયો નખ

દોસ્ત, ભ્રમણાની નખલી તૂટી ગઈ,
વાદ્યના તારથી ઘવાયો નખ

એમ છૂટા થવું પડ્યું અહીંથી –
સાવ કાચો કૂણો કપાયો નખ

આ ઉઝરડાના શિલ્પ- સ્થાપત્યે-
ક્યા કલાકારનો છુપાયો નખ ?

એમ રહીએ જગતને વળગીને-
આંગળીથી રહે પરાયો નખ

કોઈને રાવ કરવી કઈ રીતે ?
વસ્ત્રમાં ખુદનો જ્યાં ભરાયો નખ

આમ ખુલ્લે પગે નહીં નીકળ !
માંડ વરસો પછી રુઝાયો નખ

કાવ્ય, કાગળ ઉપરનાં નખચિત્રો !
નોખી નમણાશથી છપાયો નખ

– મનોજ ખંડેરિયા

કવિની વિષયપસંદગી તો જુઓ !!!!!

Comments (3)

જરા નીકળો – મનોજ ખંડેરિયા

વીતેલા બાળપણનો હાથ ઝાલીને જરા નીકળો
નર્યા વિસ્મયની ક્ષણનો હાથ ઝાલીને જરા નીકળો

સમજવા મનને સઘળી શાસ્ત્ર સમજણ ખીંટીએ ટાંગો !
પછી કોઇ અભણનો હાથ ઝાલીને જરા નીકળો.

અટૂલા પાડી દે છે કૈ વખત પોકળ પરિચિતતા
અજાણ્યા કોક જણનો હાથ ઝાલીને જરા નીકળો

જીવનની ભીંસમાં કરમાઇ જાતાં વાર નહિ લાગે
તરોતાજા સ્મરણનો હાથ ઝાલીને જરા નીકળો

ઘડીના માત્ર છઠ્ઠાભાગમાં થાશે જીવન દર્શન
સડક વચ્ચે મરણનો હાથ ઝાલીને જરા નીકળો

પડ્યાં રહેવું ન ઘરમાં પાલવે વરસાદી મોસમમાં
ભીના વાતાવરણનો હાથ ઝાલીને જરા નીકળો

તમારું ખુદનું અંધારું ન ઘેરે તમને રસ્તામાં !
કવિતાના કિરણનો હાથ ઝાલીને જરા નીકળો.

– મનોજ ખંડેરિયા

Comments (3)

શાહમૃગો – મનોજ ખંડેરિયા

શાહમૃગોનાં રૂપે રૂપે વારી ગયાં રે લોક
શાહમૃગોને પકડીને વાડામાં રાખ્યાં
શાહમૃગોની ફરતો દીવાલ કેરો પ્હેરો
શાહમૃગોને જીવ માફક જાળવતાં શહેરો
શાહમૃગોને ઝાંપા કેરી તરડ મહીંથી રોજ હજારો
જોઈ જાતી આંખો
શાહમૃગોને જોવા આવે નગર
શાહમૃગોને જોવા આવે ગામ
ગામની સીમ
સીમમાં ધૂધરિયાળી વેલ
“વેલમાં બેઠો વાણિયો કંઈ કાગળ લખતો
કાગળમાં બે પૂતળિયું કંઈ હસતી રમતી”
વાતો કરતી
વાતોમાં એ શાહમૃગોનાં સપનાં જોતી
શાહમૃગોને રૂપે મ્હોતી
શાહમૃગોને કહેતી
શાહમૃગો ઓ શાહમૃગો, અમને વરવા આવો
અમે તરસીએ રૂપ તમારું, અમને હરવા આવો
પૂતળીઓએ
બાળપણામાં હોળી-ખાડે વ્હેલી સવારે
કંકુ છાંટી – દીવો મૂકી – કરી નાગલા – કર જોડીને
ઘર માગ્યું’નું શાહમૃગોનું
વર માગ્યા’તા શાહમૃગોના.
શાહમૃગો તો બાળકનાં સપનાંમાં આવે
પરીઓ સાથે આવે
શાહમૃગો તો
હવે વૃધ્દ્રની બધી બોખલી વાતવાતમાં આવે
શાહમૃગો પર
મૂછનો બોરો ફૂટ્યો એવા જુવાન ખુશખુશ
શાહમૃગો પર
સોળ વરસની કન્યા ખુશખુશ
શાહમૃગોની પાંખે મોહ્યો તડકો
રોજ સવારે શાહમૃગોનાં પટપટ પીછાં ગણતો
શાહમૃગોની ઋજુ રેશમી પતલી ડોકે
હવા ચૂમતી જાય.
વાડે રાખ્યાં શાહમૃગો તો
લળકત લળકત ડોકે
જુએ દીવાલો
જુએ ઝાંપલો
કદી કદી આકાશે માંડે આંખ
પ્રસારે પાંખ
છતાંયે કેમે ના ઉડાય
શરીર બાપડું ભારે એવું
પાંખ એટલો ભાર ઝીલી શકે ના ભાર.
એક સવારે
આવી નીરખવા આંખો થઈ ગઈ વ્યાકુળ
સાવ ઝાંપલો ખુલ્લો
શાહમૃગો વિણ વાડો ખાલી ખાલી
બુમરાણ મચાવી આંખોએ કે
શાહમૃગો તો ભાગ્યાં.
બૂમ પડીને ઘર કંઈ વ્યાકુળ
બૂમ પડીને ઘર શેરી વ્યાકુળ
આકુળવ્યાકુળ ગામ પકડવા શાહમૃગોને દોડ્યું
ગામે વાત કરી નગરોને
નગર નગરની ભીંતો દોડી
શેરી દોડી
રસ્તા દોડ્યા
મકાન દોડ્યાં
બારી દોડી
ઊંબર દોડ્યા
બાર-ટોડલા દોડ્યા
દુકાન દોડી
દુકાન-ખૂણે પડ્યાં ત્રાજવાં દોડ્યાં
શાહમૃગોનાં રૂપના પાગલ સહુ રે દોડ્યા.
શાહમૃગો તો સહુને પાછળ આમ આવતા જોઈ
બમણી તીર-વછૂટી ગતિએ નાઠા
ક્યાંક ભડકતા ભાગ્યા હફરક….હફરક….
આખા પંથે ધૂળ ઉડાડી હફરક….હફરક….
ધૂળના ઊંચા પ્હાડ ઉડાડી હફરક….હફરક….
ધૂળથી આખું આભ ઢાંકતાં જાય
દોડતા જાય
ક્ષિતિજની પાર નીસરી જાય
દૂર દૂર તે ક્યાંય ઊતરી જાય
ક્યાંય….
શાહમૃગોના પગની ધૂળે
હજીય કંઈ વરસોથી આજે
ગામ ગામ અટવાય
ભીંત ભીંત આટવાય.
શાહમૃગોનાં રૂપની પાગલ આંખે
ધૂળ ભરાતાં થઈ આંધળી-ભીંત
આંખ ચોળતા લોક દોડતા પૂછે :
શાહમૃગો પકડાયાં ?
શાહમૃગોને ઝાંપા કેરી તરડ મહીંથી રોજ હજારો
જોઈ જાતી આંખો પૂછે :
શાહમૃગો એ ક્યાં છે ? ક્યાં છે ?
શાહમૃગોની વાટ નીરખતી પૂછે પૂતળીઓ :
શાહમૃગોને લાવ્યા ?
ઘડી વિસામો લેવા બેઠો
વડની છાંયે વૃધ્દ્ર બબડતો :
આ ચિરકાળથી દોડી રહેલા શાહમૃગો તો
હવે અટકશે ક્યારે, ક્યારે, રામ ?
શાહમૃગોની કરે પ્રતીક્ષા આંખ.

– મનોજ ખંડેરિયા

 

આ કવિ સ્વભાવે ઋજુ છે. કોમળ શબ્દોના પ્રેમી છે. અહીં વાત અત્યંત વેધક કરી છે પણ તે પણ જુઓ કેવા કોમળ શબ્દોમાં !!! માનવસહજ શાહમૃગવૃત્તિને પોતાની આગવી નમણાશ સાથે આલેખી છે……

Comments (3)

(પાનબાઈ) – મનોજ ખંડેરિયા

ઝાકળના જેવી જાતને ધારી છે પાનબાઈ;
ફૂલો ઉપરથી એને નિતારી છે પાનબાઈ.

જેવી છે એવી વાત સ્વીકારી છે પાનબાઈ;
ઓછી કરી ન કે ન વધારી છે પાનબાઈ.

બાજી બગડતી થોડી સુધારી છે પાનબાઈ;
આવડતું એવી ગૂંચ સંવારી છે પાનબાઈ.

જાણી લો પાછી કોક દિવસ આપવાની છે,
આ જિંદગી તો એવી ઉધારી છે પાનબાઈ.

પકડાવો એને પાસા પિયુજીના નામના,
આ જીવ નાતે-જાતે જુગારી છે પાનબાઈ.

સમજીવિચારી મેળવો તુંબડાના તારતાર,
આ શ્વાસ સાવ ઝીણી સિતારી છે પાનબાઈ.

મૂક્યો અલખની લ્હેર્યું ઉપર જેણે પગ જરા
એની પવનથી તેજ સવારી છે પાનબાઈ.

– મનોજ ખંડેરિયા

કવિશ્રી મનોજ ખંડેરિયાનો આજે ૭૪મો જન્મદિવસ છે. સોશ્યલ મિડિયાઝ એમની જૂની ને જાણીતી રચનાઓથી અભરે ભરાઈ રહ્યાં છે એવામાં રાજકોટથી કવિમિત્ર શ્રી સંજુ વાળાએ ઇન્ટરનેટ પર ક્યાંય ન મળે એવી આ મજાની ગઝલ લયસ્તરો માટે મોકલી આપી. આભાર, સંજુભાઈ.

ગંગાસતીએ પુત્રવધૂ (?) પાનબાઈને સંબોધીને અમર ભક્તિપદ આપણને આપ્યાં. મનોજભાઈ ગંગાસતીમાં કાયાપ્રવેશ કરી આજની પાનબાઈ-જાનબાઈને સંબોધીને કેટલીક ગઝલ આપી ગયા, એમાંની આ એક. આખી ગઝલ સંઘેડાઉતાર. એક-એક શેર વીજળીના ચમકારે મોતીડાં પરોવવા જેવા પાણીદાર…

Comments (6)

મળી છે – મનોજ ખંડેરિયા

જરાય દોસ્તો ખબર નથી કે અમોને શાની સજા મળી છે,
કશું જ તહોમત નથી જ માથે, વગર ગુનાની સજા મળી છે.

વિનમ્ર થઈને કદાપિ એકે કરી ન ફરિયાદ જિંદગીમાં,
રહી રહી ને ખબર પડી કે ન બોલવાની સજા મળી છે.

ઘણીય વેળા ઊભા રહ્યા તો અશક્ત માની હટાવી દીધા,
ઘણીય વેળા સમયથી આગળ વધુ થવાની સજા મળી છે.

અમારા ઘરમાં અમારા અવસર ઉપર નિમંત્ર્યા બધાને કિંતુ,
હવે અમારી સભાથી અમને વહી જવાની સજા મળી છે.

સમજ હતી ક્યાં અમોને એવી પૂરી દીધા છે શીશામાં જિનને,
રમત રમતમાં જ બંધ ઢાંકણ ઉઘાડવાની સજા મળી છે.

– મનોજ ખંડેરિયા

પ્રત્યેક શેરમાં ઊંડી વ્યથા છલકે છે…….

Comments (1)

તું ગઝલ તારી રીતે લખ – મનોજ ખંડેરિયા

એ વિરહને ખણે તો ખણવા દે,
રાતે તારા ગણે તો ગણવા દે…

પ્રશ્ન એનો છે કે પચશે તે,
કાગ મોતી ચણે તો ચણવા દે…

તારી ‘ના’ છો દબાઈ જાતી, એ,
હા મહીં હા, ભણે તો ભણવા દે…

ચાડિયો થઈને પોતે ખેતરનો,
મોલ લીલો લણે તો લણવા દે…

એમ થોડા કબીર થાવાના,
તેઓ ચાદર વણે તો વણવા દે…

મોજથી બેસ બાંકડે છેલ્લે,
એ ભણેશ્રી ભણે તો ભણવા દે…

તું ગઝલ તારી રીતે લખ, તેઓ,
ખુદને ગાલિબ ગણે તો ગણવા દે…

– મનોજ ખંડેરિયા

એક નોખા જ અંદાઝની ગઝલ…..જાણે શાયર છેડાઈ ગયા છે…..ક્રોધિત છે !

Comments (4)

પાણી છીએ – મનોજ ખંડેરિયા

કાયમ કાયામાં ખળભળતું પાણી છીએ
પાણીમાં ભળવા ટળવળતું પાણી છીએ

ધ્રુવ-પ્રદેશો જેવી ઠંડી પળમાં ઠીજ્યું,
તડકો અડતાંવેત પીગળતું પાણી છીએ

કાગળની હોડી શી ઇચ્છા સધળી ડૂબે,
એક અવિરત વ્હેતું ઢળતું પાણી છીએ

માધાવાવે સાત પગથિયાં ઊતરે સપનાં,
પાણીની આગે બળબળતું પાણી છીએ

જીવતરના આ ગોખે આંસુ નામે દીવો,
આંખોના ખૂણે ઝળહળતું પાણી છીએ

સાતપૂડાની વ્હેતી જલની ધારા જેવા-
કાળા પથ્થરનું ઓગળતું પાણી છીએ

ક્યાંથી આવ્યા, મૂળ અમારું કૈં ના પૂછો
અંતે પાણીમાં જઈ ભળતું પાણી છીએ

– મનોજ ખંડેરિયા

Comments (5)

બહાર આવ્યો છું… – મનોજ ખંડેરિયા

હું હોવાના હવડ વિશ્વાસમાંથી બહાર આવ્યો છું;
અરીસો ફૂટતાં આભાસમાંથી બહાર આવ્યો છું.

ગમે ત્યારે હું સળગી ઉઠવાની શક્યતામાં છું,
હજી ક્યાં લાક્ષ્યના આવાસમાંથી બહાર આવ્યો છું.

હું વરસાદી લીલુંછમ તૃણ છું સંભાળીને અડજે,
હજી હમણાં જ તો આ ચાસમાંથી બહાર આવ્યો છું.

હવે થોડાં વરસ વિતાવવા છે મ્હેકની વચ્ચે,
હું ગૂંગળામણના ઝેરી શ્વાસમાંથી બહાર આવ્યો છું.

ઘડીભર મોકળાશે મ્હાલવા દે મુક્ત રીતે તું,
હું જન્મોજન્મની સંકડાશમાંથી બહાર આવ્યો છું.

હકીકત છે નથી પહોંચ્યો પરમ તૃપ્તિની સરહદ પર,
છતાં છે એય સાચું પ્યાસમાંથી બહાર આવ્યો છું.

પડ્યો છું શ્હેરમાં ખોવાયેલી નથડીની માફક હું,
ખબર ક્યાં કોઈને કે રાસમાંથી બહાર આવ્યો છું.

સહ્યું છે એનું બહુ ખરડાવું-તરડાવું-તૂટી જાવું,
કલમની ટાંકના આ ત્રાસમાંથી બહાર આવ્યો છું.

– મનોજ ખંડેરિયા

Comments (5)

મળે – મનોજ ખંડેરિયા

કાયમી સમજણથી બસ રુખસદ મળે
થાય છે કે આ પીડા અનહદ મળે

ક્યાં શરૂ થઈ ક્યાં પૂરી થાતી હશે?
એવું છે ભેળાણ કે ના હદ મળે

ક્યાં ગયાં પાદર-નદી ને વડ જૂનો?
ગામ આખું આંસુમાં ગારદ મળે

સ્થિર જીવન થઈ શક્યું ના જે વિષે,
ખોદતાં એ ઘર નીચે પારદ મળે       [ પારદ = પારો , અહીં mercurial અર્થ વધુ બેસે છે ]

શબ્દની પૂરી થતી જ્યાં, તે પછી-
બસ પછી-બસ એમની સરહદ મળે

આ નગરમાં આવીને મનમાં થતું
ક્યાંકથી કોઈ ખૂણે નર્મદ મળે

 

– મનોજ ખંડેરિયા

 

મત્લો જ કેટલો મજબૂત છે !!! મરીઝ યાદ આવી જાય – ‘ દે એક મહાન દર્દ અને પારાવાર દે….’  કવિને અનહદ પીડા જોઈએ છે, કારણકે પીડા વ્યક્તિને સતત વર્તમાનમાં રાખે છે. કવિને ભગવાન બુદ્ધની વાતમાં રસ નથી. શુદ્ધ અનુભૂતિ સિવાય કશામાં કવિને રસ નથી.

Comments (1)

મૃગજળની મિત્રતા – મનોજ ખંડેરિયા

શબ્દોની મિત્રતા અને કાગળની મિત્રતા,
એકાંતે મ્હોરનારી આ હરપળની મિત્રતા.

આ હાંફ-તરફડાટ-તૃષા-થાક-ને તડપ-
કેવી રહી પૂછો નહીં મૃગજળની મિત્રતા.

પ્હેરણથી માત્ર રાખ્યું ન સગપણ ઉપરછલું,
માણી છે એની મેલી સળેસળની મિત્રતા.

આંસુથી રાખ કે પછી દરિયાથી રાખ તું,
ડુબાડી દેશે કોઈ દિવસ જળની મિત્રતા.

ચિરકાળ એની છાપ ફૂલો પર છવાઈ ગઈ,
નહીં તો રહી’તી બે ઘડી ઝાકળની મિત્રતા.

હરજન્મ બંધ દ્વારને ખખડાવતી રહી,
કેવી અતૂટ હાથ ને સાંકળની મિત્રતા.

આદિલ-અનિલ-રમેશ કે લા.ઠા. ચિનુની સંગ
કાયમની લીલી ગૂંજતા કાગળની મિત્રતા.

– મનોજ ખંડેરિયા

મિત્રતા વિશેની એક ચિરકાલિન યુવા ગઝલ. એક-એક શેર ટકોરાબંધ.

Comments (9)

વિકલ્પ નથી – મનોજ ખંડેરિયા

બધાનો હોઈ શકે, સત્યનો વિકલ્પ નથી;
ગ્રહોની વાત નથી, સૂર્યનો વિકલ્પ નથી.

પાતાળે શાખ વધી, મૂળ સર્વ આકાશે,
અમારા બાગના આ વૃક્ષનો વિકલ્પ નથી.

હજારો મળશે મયૂરાસનો કે સિંહાસન,
નયનનાં આંસુજડિત તખ્તનો વિકલ્પ નથી.

લડી જ લેવું રહ્યું મારી સાથે ખુદ મારે,
હવે તો દોસ્ત, આ સંઘર્ષનો વિકલ્પ નથી

કપાય કે ન બળે, ના ભીનો વા થાય જૂનો,
કવિનો શબ્દ છે, એ શબ્દનો વિકલ્પ નથી.

પ્રવાહી અન્ય ન ચાલે ગઝલની રગરગમાં,
જરૂરી રક્ત છે ને રક્તનો વિકલ્પ નથી.

– મનોજ ખંડેરિયા

Comments (5)

કંકુ ને ચોખા – મનોજ ખંડેરિયા

રસમ અહીંની જુદી, નિયમ સાવ નોખા
અમારે તો શબ્દો જ કંકુ ને ચોખા

હવાયેલી સળીઓ જ ભીતર ભરી છે
અહીંના જીવન જાણે બાકસના ખોખા

લચ્યા’તા જે આંખે લીલા મોલ થઈને
હવે એ જ સપના છે સુક્કા મલોખા

તું તરસ્યાને આપે છે ચીતરેલા સરવર
તને ટેવ છે તો કરે કોણ ધોખા

વહાવ્યા કરું આંગળીમાંથી ગંગા
કે ક્યારેક જો હાથ થઈ જાય ચોખ્ખા

– મનોજ ખંડેરિયા

Comments (7)

શ્વાસ લેવા દે – મનોજ ખંડેરિયા

જીવનભર જળમાં સળગ્યો છું ઘડીભર શ્વાસ લેવા દે
ઝીણી ઝાકળમાં સળગ્યો છું ઘડીભર શ્વાસ લેવા દે

અહીં ચોમેર મારી પગલાં પગલાં લાખ પગલાં છે
વીતેલી પળમાં સળગ્યો છું ઘડીભર શ્વાસ લેવા દે

કદી ચકમકના પથ્થર જેમ મારાથી હું અથડાયો
પછી ઝળહળમાં સળગ્યો છું ઘડીભર શ્વાસ લેવા દે

ખૂલેલાં દ્વારનો અજવાસ પ્હેલી વાર સૂંઘ્યો મેં
ભીડી ભોગળમાં સળગ્યો છું ઘડીભર શ્વાસ લેવા દે

સદા શબ્દોના અગ્નિસ્તંભને મેં બાથ ભીડી છે
સતત કાગળમાં સળગ્યો છું ઘડીભર શ્વાસ લેવા દે.

 

-મનોજ ખંડેરિયા

(સૌજન્ય – નેહલ  https://inmymindinmyheart.com )

Comments (2)

શિલાલેખો – મનોજ ખંડેરિયા

સુંવાળા શ્વેત છળમાંથી અમે નીકળી નથી શકતા
બિડાયેલા કમળમાંથી અમે નીકળી નથી શકતા

સદીઓથી શિલાલેખોના અણઉકેલ્યા છીએ અર્થો
તૂટ્યા અક્ષરના તળમાંથી અમે નીકળી નથી શકતા

નદી સરવર કે દરિયો હો તો નીકળી પાર જઈએ પણ
સૂકી આંખોના જળમાંથી અમે નીકળી નથી શકતા

સમય સાથે કદમ ક્યારેય પણ મળશે નહિ મિત્રો
વીતેલી બે’ક પળમાંથી અમે નીકળી નથી શકતા

ઊભા તૈયાર થઈને રંગમંચે ક્યારના કિન્તુ
પડ્યા પડદાની સળમાંથી અમે નીકળી નથી શકતા

-મનોજ ખંડેરિયા

Comments (4)

લઇ ઊભા – મનોજ ખંડેરિયા

ન આવ્યા જે બા’રા બરછટ અવાજો, લઇ ઊભા
અમે આ છાતીમાં જખમ નિત તાજો લઇ ઊભા

પળો જે જે સામે મળતી રહી તે લૂંટતી રહી
અમે આ વેળાનો રસભર તકાજો લઇ ઊભા

હશે કોનો તેની જરી સરખી ના જાણ અમને
અમે તો સ્કંધે કૈં વરસથી જનાજો લઇ ઊભા

નથી તૂટ્યોફૂટ્યો તરડ પણ એકે નથી પડી
મળેલો મૂંઝારો અબતલક સાજો લઇ ઊભા

ગળે ડૂમો એવો હરદમ મળ્યો માપસરનો
નહીં ઓછોયે કે નહીં જરાય ઝાઝો, લઇ ઊભા

પ્રતીક્ષા છે ક્યારે જનમભરનાં લંગર છૂટે
બુઝાતા શ્વાસોના તટ પર જહાજો લઇ ઊભા

અમારાથી થૈ ના કદી પણ અનાવૃત કવિતા
અમે તો ભાષાનો લયમય મલાજો, લઇ ઊભા

– મનોજ ખંડેરિયા

Comments (2)

આસપાસ – મનોજ ખંડેરિયા

કૈ શૂન્યતાના થર ચડ્યા અંબરની આસપાસ
એકલતા કેવી વ્યાપી છે ઇશ્વરની આસપાસ

કૂદી પડે છે કાંટા ઉપરથી પ્રથમ, અને-
રઝળ્યા કરે પળો પછી ટાવરની આસપાસ

નીંદરની સાથ જીવ તો ઊડી ગયા પછી
સ્વપ્નોનાં શબ પડી રહ્યાં બિસ્તરની આસપાસ

એકમેકમાં દીવાલ ઘરોની મળી જશે
પહેરો સતત ભર્યા કરો ઊંબરની આસપાસ

હમણાં જ હું હતો ને અચાનક ગયો છું ક્યાં ?
રખડું છું શોધવા મને હું ઘરની આસપાસ.

– મનોજ ખંડેરિયા

પ્રત્યેક શેરમાં અલગ કથની છે….. ઉદાહરણ તરીકે મત્લાને લઈએ – ‘શૂન્યતા’ શબ્દ ખૂબ વિચારપૂર્વક પ્રયોજાયો છે. ઈશ્વર એટલે સંપૂર્ણતા અને તેથી શૂન્યતા ! સંપૂર્ણતા અને શૂન્યતા ભિન્ન નથી. આ એક અર્થ છે. શૂન્યતાનો બીજો અર્થ થઇ શકે ઈશ્વરને અંધતાપૂર્વક સ્થૂળ રીતે પૂજતી માનવજાતની પ્રજ્ઞા. ઈશ્વર જાણે આવા વિશાળ શૂન્યપ્રજ્ઞોના ટોળામાં સાવ એકલો પડી ગયો છે !

Comments (6)

ગઝલ – મનોજ ખંડેરિયા

તેજના રસ્તા ઉપર દોર્યો મને,
શગની માફક આપે સંકોર્યો મને.

મંજરીની મહેકના ભારે લચું
એક આંબો જાણે કે મ્હોર્યો મને.

ના નીકળતું આંસુ ભમરો થઈ ગયું,
એણે અંદરથી સખત કોર્યો મને.

આ બધા શબ્દોનું ચિતરામણ કરી
મેં જ આ કાગળ ઉપર દોર્યો મને.

ઠોઠને ઠપકો નજાકતથી દીધો,
તેં ગઝલ આપીને ઠમઠોર્યો મને.

– મનોજ ખંડેરિયા

કેવી અદભુત ગઝલ ! શગને યોગ્ય રીતે સંકોરવામાં ન આવે તો દીવો બરાબર પ્રગટી જ ન શકે. દરેકે-દરેક શેરનું નક્શીકામ એવું બારીક થયું છે કે આખી ગઝલ વારંવાર વાંચતા જ રહેવાનું મન થાય.

Comments (11)

યાદ – મનોજ ખંડેરિયા

વૃક્ષ ઊભું યાદ જેવું લાગે છે
કોઇ લીલા સાદ જેવું લાગે છે.

કેમ ફૂલો ભરવસંતે આથમતાં ?
બાગમાં વિખવાદ જેવું લાગે છે.

સાવ ઓચિંતા ફૂટ્યાં તૃણો બેહદ,
માટીમાં ઉન્માદ જેવું લાગે છે.

આમ તો ખાલીપણું રડ્યા કરતું,
જે નગારે નાદ જેવું લાગે છે.

ભયસૂચક થઇ આ સપાટી સ્મરણોની
ક્યાંક બહુ વરસાદ જેવું લાગે છે.

– મનોજ ખંડેરિયા

Comments (7)

પળની છાયા – મનોજ ખંડેરિયા

પળની છાયા તે હોય આવડી !

વીતકનું ઘાસ ઊગ્યું ખુલ્લે મેદાન
એનું હરિયાળું મૌન બધે ફરકે
ઊડતાં પતંગિયાંના રંગોની ઝાંય પડે
ઝાકળમાં ઓગળતા તડકે
સુગંધનાં પગલાંને સાચવતી બેઠી છે
પાંપણની બેય ભીની પાંદડી.

ઘેનમાં ઘેરાઈ જાઉં એવું ચોમેરથી
નીલું આકાશ મને ઘેરે
પાતળી દીવાલ બધી થઈ જાતી એવી કે
આખુંય ઘર ઊડે લ્હેરે
આભનીયે પ્હાડ દૂર ઘૂમી વળવાને
મારી આંગળીઓ થાય પવનપાવડી……

– મનોજ ખંડેરિયા

અત્યંત મુલાયમ શબ્દોમાં ગહેરી વાત કીધી છે – પળની છાયા અર્થાત કોઈક action અથવા inaction – જેના પરિણામ લંબાતા જતા પડછાયા જેવી છે…..સ્મૃતિમાં સુગંધ પણ છે અને ભીનાશ પણ છે…..કેદ કરતી દિવાલોય છે અને સ્મરણોનો નિ:સીમ વ્યાપ પણ છે…….

Comments (3)

રોક્યો છે – મનોજ ખંડેરિયા

ઘડી નિરાંત નથી, હરઘડીએ રોક્યો છે
હું ક્યાંથી આવી શકું, જિંદગીએ રોક્યો છે.

બધા જ રાહ જુએ ક્યારના વિસામા પર
મને ખબર નથી, કોની ગલીએ રોક્યો છે.

કદી ન રોકી શકી આ ફૂલોની સમૃદ્ધિ
મને તો માળીની આ સાદગીએ રોક્યો છે.

બધાને એમ થતું નીકળ્યો છું આગળ પણ
ખરું જો પૂછ, જીવનની ગતિએ રોક્યો છે.

તમારા તર્કના સામ્રાજ્યમાં વસી જઉં પણ-
લીલેરી લોલ લચક લાગણીએ રોક્યો છે.

બધું જ થંભી ગયું લોહી સાંજે ઝાલારમાં
કે તારે હાથે થતી આરતીએ રોક્યો છે.

કરે છે દોસ્ત સહુ ફરિયાદ,બ્હાર આવું ના
ભીતરથી ઊઠી ખલકની ખુશીએ રોક્યો છે.

વધે ન પંક્તિઓ તારા અભાવમાં આગળ
સમયના છંદની આ દ્રઢ યતિએ રોક્યો છે.

– મનોજ ખંડેરિયા

જેમ જેમ ગઝલ આગળ વધે છે તેમ તેમ તે ખૂલે અને ખીલે છે……

Comments (7)

ખેચાઉં છું કા ? – મનોજ ખંડેરિયા

IMG_1752

ઘણી વાર ખુદથી ડરી જાઉં છું કા ?
હું ભાગીને મારામાં સંતાઉ છું કા ?

પ્રબળ ઝંખના જ્યાં જવાની હતી, ત્યાં,
પહોંચીને પાછો વળી જાઉં છું કા ?

બધે હોઉં છું તો કળાતો ન ક્યાંયે,
નથી હોતો ત્યારે જ દેખાઉં છું કા ?

શિલાલેખની હું લિપિ ક્યાં અકળ છું,
સરળ સાવ છૂં પણ ન સમજાઉં છું કા ?

બધી ભૂલભૂલામણી ભેદું છૂં પણ –
સીધાસાદા રસ્તે જ અટવાઉં છું કા ?

તને કાનમાં વાત કહેવી હતી તે,
ગઝલ રૂપે જાહેરમાં ગાઉં છું કા ?

નથી મારે ચાવંડ-લાઠીથી નાતો,
છતાં ત્યાંથી નીકળું તો ખેચાઉં છું કા ?

– મનોજ ખંડેરિયા

કવિ બે બાજુ ખેંચાતા જાય છે. સરળ ને અઘરું અને અઘરાં ને સરળ કરતા જાય છે. આ મથામણ જ સર્જનના રસ્તાની શરુઆત હશે ?

Comments (6)

ક્યાંથી ક્યાં સુધી – મનોજ ખંડેરિયા

IMG_9508

પગલાંનું વ્હેતું જાય ઝરણ ક્યાંથી ક્યાં સુધી
પ્હોંચ્યા હશે તો બોલો ચરણ ક્યાંથી ક્યાં સુધી

તારી ભીની હથેળી સમી તાજગી નથી
પથરાયું શુષ્ક વાતાવરણ ક્યાંથી ક્યાં સુધી

આ શ્વાસમાંય કેટલી કુમળાશ આવી ગઈ
એક વિસ્તરી છે રેશમી ક્ષણ ક્યાંથી ક્યાં સુધી

આંખોમાં સ્વપ્ન ઘાસની લીલાશનું લઈ
દોડે છે ઝંખનાનાં હરણ ક્યાંથી ક્યાં સુધી

સૂરજ તળાવ ફૂલ વગર ને વને વને
ભટક્યાં કરે છે તારાં સ્મરણ ક્યાંથી ક્યાં સુધી

– મનોજ ખંડેરિયા

વિષાદને વરખની જેમ ઓઢીને ફરતો કવિ જ આટલી સહજતાથી અભાવને ગાઈ શકે. હરણને લીલાશનુ સપનું માત્ર નસીબ થાય એ અવસ્થાનો સૂર પકડીને આખી ગઝલ વાંચજો.

Comments (7)

સાવ અટૂલા પડી ગયા – મનોજ ખંડેરિયા

તારી અસરમાં સાવ અટુલા પડી ગયા
ભરચક નગરમાં સાવ અટુલા પડી ગયા

છે કાફલો ને જાણે નથી કાફલામાં કોઇ
આખી સફરમાં સાવ અટુલા પડી ગયા

ન્હોતા અટુલા કિન્તુ અટુલા થશું તો શું ?
શું એ જ ડરમાં સાવ અટુલા પડી ગયા

આત્મીયતા દીવાલ પરથી ખરી પડી
મસમોટા ઘરમાં સાવ અટુલા પડી ગયા

કાયમી કસૂંબી ડાયરે જેના દિવસો વીત્યા
આજે કબરમાં સાવ અટૂલા પડી ગયા

– મનોજ ખંડેરિયા

Comments (9)

ગઝલ – મનોજ ખંડેરિયા

ઇચ્છાનો સૂર્ય અસ્ત થવાની ઘડી છે આ,
અજવાશ અસ્તવ્યસ્ત થવાની ઘડી છે આ.

ધસમસતું ઘોડાપૂર નીરવતાનું આવતું,
કાંઠાઓથી વિરક્ત થવાની ઘડી છે આ.

આવી ગયો છે સામે શકુનિ સમો સમય,
આજે ફરી શિકસ્ત થવાની ઘડી છે આ.

થાકી ગયાં હલેસાં, હવે સઢ ચડાવી દો !
પાછા પવન-પરસ્ત થવાની ઘડી છે આ.

હર ચીજ પર કળાય અસર પક્ષઘાતની,
જડવત નગર સમસ્ત થવાની ઘડી છે આ.

લીલાશ જેમ પર્ણથી જુદી પડી જતી,
એમ જ હવે વિભક્ત થવાની ઘડી છે આ.

પ્રગટાવ પાણિયારે તું ઘીનો દીવો હવે !
ઘર અંધકાર-ગ્રસ્ત થવાની ઘડી છે આ.

– મનોજ ખંડેરિયા

નખશિખ આસ્વાદ્ય રચના…

Comments (12)

ગઝલ – મનોજ ખંડેરિયા

યાદ ભૂંસાતી રહી કે હું – ખબર પડતી નથી
જ્યોત બુઝાતી રહી કે હું – ખબર પડતી નથી

હું થતો ભરચક ફૂલોની સાવ વચ્ચેથી પસાર
મ્હેક વીંધાતી રહી કે હું – ખબર પડતી નથી

કૈં યુગોથી છું સફરમાં તોય પ્હોંચાયું નહીં
કેડી રોકાતી રહી કે હું – ખબર પડતી નથી

ક્યાં હવે પળને લીલીછમ રાખનારાં આંસુઓ
આંખ સુકાતી રહી કે હું – ખબર પડતી નથી

એક લક્કડખોદ ઘસતો ચાંચ સૂની સાંજ પર
ડાળ છોલાતી રહી કે હું – ખબર પડતી નથી

– મનોજ ખંડેરિયા

ગઝલના પહેલા શેરમાં બંને કડીમાં તથા પછીના બધા શેરના અંતે જે શબ્દાંશ, શબ્દ કે શબ્દસમૂહ પુનરાવર્તિત થાય એને “રદીફ” કહે છે, જેમ કે આ ગઝલમાં “રહી કે હું – ખબર પડતી નથી” રદીફ છે…

ગઝલમાં લાંબી રદીફ નિભાવવી આમેય કપરું કામ છે. મોટાભાગની ગઝલમાં આવી રદીફ લટકણિયું બનીને જ રહી જતી હોય છે. આવી લાંબી અને પ્રમાણમાં અટપટી રદીફ અદભુત રીતે નિભાવવી એ ખરા કવિકૌશલ્યની સાબિતી છે… માટે જ મ.ખ. ગુજરાતી ગઝલનું ગિરિશિખર ગણાય છે.

Comments (8)

પ્હોંચ્યા – મનોજ ખંડેરિયા

સતત ડહોળાતી ઘટનામાંથી નીતર્યા જળ સુધી પ્હોંચ્યા
બિલોરી કાચ જેવી પારદર્શક પળ સુધી પ્હોંચ્યા

બીડેલાં દ્વાર વરસોથી નથી થઇ ખોલવાની ઇચ્છા
નહીંતર હાથ તો કૈં વાર આ સાંકળ સુધી પ્હોંચ્યા

અકારણ ત્યાંથી ઓચિંતા અમે પાછા વળી ચાલ્યા,
કદી પ્હેલી વખત જ્યાં ગમતીલા એ સ્થળ સુધી પ્હોંચ્યા

તને પામી જવા હર એક સત્યોની ક્ષિતિજ તોડી-
પછી પ્હોંચીને જોયું તો રૂપાળા છળ સુધી પ્હોંચ્યા

વટાવી મનની મૂંઝારી ને ગૂંગળામણની સીમાઓ,
ખબર શું કોઈને કે કઈ રીતે કાગળ સુધી પ્હોંચ્યા

-મનોજ ખંડેરિયા

એક વાત માર્ક કરજો- મનોજ ખંડેરિયાની ઘણીબધી ગઝલોના મક્તાનો શેર શબ્દ,કાગળ અથવા ગઝલિયત ઉપર હોય છે !!

Comments (4)

કોઈ કહેતું નથી – મનોજ ખંડેરિયા

લાલઘૂમ તાપમાં મ્હોરતો, મસ્તીનો તોર તે ક્યાં ગયો કોઈ કહેતું નથી
આ નગરની વચોવચ હતો એક ગુલમ્હોર તે ક્યાં ગયો કોઈ કહેતું નથી

પૂછું છું બારને-બારીને-ભીંતને લાલ નળિયા-છજાં-ને વળી ગોખને-
રાત દિ’ ટોડલે બેસીને ગ્હેકતો મોર તે ક્યાં ગયો કોઈ કહેતું નથી

કૈં જ ખૂટ્યું નથી, કૈં ગયું પણ નથી જરઝવેરાત સહુ એમનું એમ છે;
તે છતાં લાગતું સઘળું લૂંટી અને ચોર તે ક્યાં ગયો કોઈ કહેતું નથી

સાવ સૂની બપોરે ઘડી આવીને એક ટહુકો કરી, ફળિયું ભરચક ભરી
આંખમાં આંસુ આંજી અચાનક શકરખોર તે ક્યાં ગયો કોઈ કહેતું નથી

કેટલાં વર્ષથી સાવ કોરાં પડ્યાં ઘરનાં નેવાં ચૂવાનુંય ભૂલી ગયા
ટપકતો ખાલીપો પૂછતો : મેઘ ઘનઘોર તે ક્યાં ગયો કોઈ કહેતું નથી

જિંદગીના રૂપાળા ચહેરા ઉપર ઉઝરડા ઉઝરડા સેંકડો ઉજરડા
કોણ છાના પગે આવી મારી ગયું ન્હોર, તે ક્યાં ગયો કોઈ કહેતું નથી

પાછલી રાતની ખટઘડી એ હજી એ તળેટી ને એ દામોદર કૂંડ પણ-
ઝૂલણા છંદમાં નિત પલળતો પ્રથમ પ્હોર તે ક્યાં ગયો કોઈ કહેતું નથી

– મનોજ ખંડેરિયા

Comments (6)

અરધી રાતે – મનોજ ખંડેરિયા

અરધી રાતે
સૂના ઢોલિયે ભરત ભરેલા
મોર અચિંતા એકસામટા સીમ ભરીને ટહુકે….

ઘરના ખૂણે પડેલ હુક્કે
સમય ફરી  ઝગમગતો
તાજી  ગડાકુની કૈં વાસ પ્રસરતી વહે રક્તમાં
અંધકારની  હૂંફ ભરેલી ફૂલ-શય્યામાં
પર્ણ સમો  ફરફરતો તરતો ચ્હેરો
ચ્હેરો પીવા મન ભરીને આખું રે નભ ઝૂકે
રે  કૈં ઝૂકે….
પ્રાણ ઘાસની તાજીતમ લીલાશે
ભાન ભૂલી આળોટે
ગલગોટા શો શ્વાસ ભીતરથી ફોરે
મ્હોરે લજ્જાની મંજરીઓ
મહક મહકતી મંજરીઓની વચ્ચે બેસી
ધીમું ધીમું મૃદુ ટહુકતાં કોકિલ-કંઠી !
આજ તમે તો
અજાણ એવી કોક ઘટામાં જઈને બેઠાં
ને અહીં આજે
અરધી રાતે જુઓ ઢોલિયે
મોર અચિંતા એકસામટા આભ ભરીને ગ્હેકે….ગ્હેકે.

-મનોજ ખંડેરિયા

વિરહની વસમી રાત્રે અચાનક મોરલાંની જેમ ટહુકી ઊઠતાં સ્મરણમાત્રથી આખો પરિવેશ કેવો બદલાઈ જાય છે ! એક-એક કલ્પન કાબિલે-દાદ ! કટાવછંદની લયબદ્ધ ગતિમાં કવિતા એમ વહે છે જાણે કે સ્મૃતિ હિલ્લોળાં ન લેતી હોય!

Comments (5)