ઉંબરને- બારણાંને – કે ના ટોડલાને પૂછ – મનોજ ખંડેરિયા
ઉંબરને- બારણાંને – કે ના ટોડલાને પૂછ
ઘરમાં ઉદાસી કેમ છે ? ખાલીપણાને પૂછ
રણ તો કહેશે : કેટલાં હરણાં ઢળી પડ્યાં !
સપનાં ડૂબ્યાં છે કેટલાં તે ઝાંઝવાને પૂછ
નીકળી ગયો છું કેમ તે ના પૂછ તું મને,
ખાલી પડી છે કેમ જગા ? કાફલાને પૂછ
આ ઝાડમાંથી ઝાડપણું તાણી લઈ ગયું ,
પંખી હતું કે પૂર હતું, પાંદડાને પૂછ
આકાશ જેની ગોદમાં જન્મે અને ફૂટે
ખાલીપણાનો અર્થ તું એ બુદબુદા ને પૂછ
વિશ્વો ને હચમચાવતું છે કોણ કેન્દ્રમાં ?
હોવાની જેની શક્યતા તે વેદનાને પૂછ
બાકી ન આવવાનું હવે કોઈ પણ અહીં,
બોલે છે કેમ તો ય હજી કાગડાને પૂછ
-મનોજ ખંડેરિયા
Nehal said,
November 13, 2020 @ 6:43 AM
Waah…khub saras.
preetam lakhlani said,
November 13, 2020 @ 1:35 PM
આ ઝાડમાંથી ઝાડપણું તાણી લઈ ગયું ,
પંખી હતું કે પૂર હતું, પાંદડાને પૂછ
(૨)બાકી ન આવવાનું હવે કોઈ પણ અહીં,
બોલે છે કેમ તો ય હજી કાગડાને પૂછ
-મનોજ ખંડેરિયા
આખી ગઝલ જ ગમતાનો ગુલાલ છે, મનોજભાઈ તો ગઝલ ગીરનારનું સિખર છે