બધું ભૂલી જવું છે દોસ્ત! પણ સમય તો લાગશે!
ઉતારી દેવો છે આ બોજ પણ સમય તો લાગશે!
- વિવેક મનહર ટેલર

ઉંબરને- બારણાંને – કે ના ટોડલાને પૂછ – મનોજ ખંડેરિયા

ઉંબરને- બારણાંને – કે ના ટોડલાને પૂછ
ઘરમાં ઉદાસી કેમ છે ? ખાલીપણાને પૂછ

રણ તો કહેશે : કેટલાં હરણાં ઢળી પડ્યાં !
સપનાં ડૂબ્યાં છે કેટલાં તે ઝાંઝવાને પૂછ

નીકળી ગયો છું કેમ તે ના પૂછ તું મને,
ખાલી પડી છે કેમ જગા ? કાફલાને પૂછ

આ ઝાડમાંથી ઝાડપણું તાણી લઈ ગયું ,
પંખી હતું કે પૂર હતું, પાંદડાને પૂછ

આકાશ જેની ગોદમાં જન્મે અને ફૂટે
ખાલીપણાનો અર્થ તું એ બુદબુદા ને પૂછ

વિશ્વો ને હચમચાવતું છે કોણ કેન્દ્રમાં ?
હોવાની જેની શક્યતા તે વેદનાને પૂછ

બાકી ન આવવાનું હવે કોઈ પણ અહીં,
બોલે છે કેમ તો ય હજી કાગડાને પૂછ

-મનોજ ખંડેરિયા

2 Comments »

  1. Nehal said,

    November 13, 2020 @ 6:43 AM

    Waah…khub saras.

  2. preetam lakhlani said,

    November 13, 2020 @ 1:35 PM

    આ ઝાડમાંથી ઝાડપણું તાણી લઈ ગયું ,
    પંખી હતું કે પૂર હતું, પાંદડાને પૂછ
    (૨)બાકી ન આવવાનું હવે કોઈ પણ અહીં,
    બોલે છે કેમ તો ય હજી કાગડાને પૂછ

    -મનોજ ખંડેરિયા
    આખી ગઝલ જ ગમતાનો ગુલાલ છે, મનોજભાઈ તો ગઝલ ગીરનારનું સિખર છે

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment