August 30, 2026 at 11:26 AM by વિવેક · Filed under ગઝલ, રઘુવીર ચોધરી
કોના સ્મરણમાં આજ આ એકાન્ત ઓગળે?
કોની નજર વાતાવરણમાં એકલી તરે?
દર્પણમાં શોધવા જતાં પોતાને, શી ખબર-
– એનું એ પ્રતિબિમ્બ પરાયું બની જશે!
અંતે તો નામરૂપ હશે, કલ્પના ભલે,
વીતી જવામાં એય કયાંક સાથમાં હશે.
ઝંખે છે એક સ્થિર ઘડી આ તરલ સમય,
મારી અધૂરી વાત અટકતાં પૂરી થશે.
ડૂબી ગયું વહાણ કિનારાને જોઈને,
મોજાં પડ્યાં છે શાન્ત, હવે જળ વિરામશે.
– રઘુવીર ચૌધરી
ગાંધી-અનુગાંધી યુગમાં ઉમાશંકર, સુન્દરમ્, નિરંજન ભગત જેવા મોટા કવિઓનો એક વર્ગ ગઝલથી આભડછેટ રાખતો હતો, તો ઉશનસ, જયન્ત પાઠક, રાજેન્દ્ર શાહ જેવા કવિઓએ ગઝલને અપનાવવા-અજમાવવાની કોશિશ યથામતિ કોશિશ પણ કરી હતી. રઘુવીર ચૌધરીએ પણ કેટલીક ગઝલો આપી છે. જો કે સૉનેટ, ગીત તેમજ અન્ય છાંદસ ઊર્મિકાવ્યોથી ટેવાયેલી કલમોએ ગઝલના આંતર-બાહ્ય સ્વરૂપને સમજવામાં ઘણી જગ્યાએ ગોથું ખાધું છે. પ્રસ્તુત ગઝલમાં મત્લા તેમજ બીજા શેરના સાની મિસરામાં છંદ જળવાયો નથી, પણ એ સિવાય ગઝલ સરસ થઈ છે. વાત તો એકલતાની છે, પણ પ્રિયપાત્રના સ્મરણનો સથવારો થતાં જ એકાંત એકાંત રહેતું નથી. દર્પણમાં આપણે સ્વયંને જોઈએ તો છીએ, પણ ઉપલક જ. દર્પણમાં દેખાતા શખ્સને ઓળખવા જઈશું તો ખુદનું પ્રતિબિંબ પણ પરાયું લાગવાની ભીતિ છે. ત્રીજો શેર સહેજ ઠીકઠાક છે, પણ છેલ્લા બે શેરમાં ખરી ગઝલિયત ઊભરી આવી છે. સમય તરલ છે, સતત વહેતો રહે છે, પણ એને એક જ સ્થિર ઘડીની તલાશ છે. આપણી વારતા નિરંતર ચાલતી રહે છે. પણ જે ઘડીએ સમયને પળભર માટેય સ્થિરતા સાંપડશે એ ઘડીએ મૃત્યુ આપણી છેવટ સુધી અધૂરી રહેલી વાર્તાને પૂરી કરી દેશે. ગઝલનો એક મિજાજ છે- કિનારો જોઈ જે પાછો વળી જાયે સમંદરમાં (શૂન્ય પાલનપુરી), અને બીજો મિજાજ છે કિનારાને જોતાવેંત, કિનારો જો આ જ છે તો તરીને કરવું શુંના વિચારે વહાણનું ડૂબી જવું. અસ્તિત્ત્વનો અંત આવતાં જ મોજાંય શાંત થઈ જાય છે, અને જળ પણ વિરામ લે છે.
Permalink
August 29, 2026 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, સોલિડ મહેતા
આકાશ આખ્ખું ચકરાય ત્યારે
ચારે દિશાઓ તરડાય ત્યારે
ફૂંકાય છે લૂ હર એક શ્વાસે
ઇચ્છા વ્રણોમાં ઠલવાય ત્યારે
ડૂબી જશે આ ઘરમાં ઉદાસી
સાતે સમુદ્રો છલકાય ત્યારે
હોવાપણાનો કરશું ખુલાસો
એકાન્ત ભીનું પડઘાય ત્યારે
સદર્ભ સાચો મળશે મને ત્યાં
સંકેતમા કૈં. સમજાય ત્યારે
હું હસ્તરેખા સળને ઉકેલું
ખુલ્લી હથેળી થઈ જાય ત્યારે
ઊઠાડશો ના ભરઊંઘમાંથી
જાગીશ સૂર્યોદય થાય ત્યારે
– સોલિડ મહેતા
ઘણા ગઝલકારોએ પ્રચલિત સંસ્કૃત છંદોને ગઝલમાં અજમાવ્યા છે. વધુ એક કવિની વૃત્ત ગઝલ આજે માણીએ. છંદનું નામ કવિએ શીર્ષકમાં જ જાહેર કરી દીધું છે. ગઝલનો મત્લા ભાવકને કોઈક રીતે પાશમાં જકડી લે તો ભાવક આખી ગઝલમાંથી પસાર થવાની જહેમત કરે. આ ગઝલમાં કમનસીબે એવું થયું નથી. જ્યારે આખું આકાશ ચકરાય છે, ત્યારે ચારે દિશાઓ તરડાય છે એ વિધાન શેર બની શકતું નથી. વળી, બેમાંથી એક મિસરામાં રદીફ બિનજરૂરી લટકણિયું બની રહે છે. વાક્યની રચના જ એવી છે કે એકવાર જ્યારે અને એકવાર ત્યારેના સ્થાને બે વારના ‘ત્યારે’નો બોજ સહી ન શકે. ઘા પોતે લૂ જેવા દાહક છે, એમાં વળી ઇચ્છા પણ ભળે એટલે દુકાળમાં અધિક માસ ને પડ્યા પર પાટુ. ઉદાસીના અજગરભરડામાંથી ઘર ત્યારે જ બચી શકશે જ્યારે સાતે સમુદ્રો છલકાશે, બધી જ મુરાદો બર આવશે. ભીનું એકાન્ત વિયોગ અને રુદન બંનેને ઈંગિત કરે છે. એકાંત પણ છે અને રુદન પણ છે, પણ બંને મૂંગા છે. અવાજ ઊઠે તો પડઘો પડે ને પડઘો પડે તો સામી વ્યક્તિ સુધી પહંચે. જીવનમાં આવું કશું ઘટવાનું નથી એની ખાતરી હોવા છતાં કવિ ઠાલો સધિયારો આપે છે કે આવું કશું થશે ત્યારે અમે અમારા હોવા વિશે ખુલાસો કરીશું, કારણ હાલમાં તો અમારું હોવું ન હોવા બરાબર જ છે. રહસ્યો છતા થઈ જવાની પળે તકદીરને સમજવાની મથામણ કરવાવાળો શેર સરસ થયો છે, પણ હસ્તરેખા સાથે છંદાનુવર્તી શબ્દ ‘સળ’ ભરતીનો પ્રતીત થાય છે. છેલ્લો શેર પણ ભાવગહન થયો છે.
(છંદવિન્યાસ: ગાગા લગાગા લલગા લગાગા)
Permalink
August 28, 2026 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, રાવજી પટેલ
આવકારો આ ઝરણ પામી ગયાં,
પ્હાડમાંથી સાંભળી જાગી ગયાં.
લો, ચલો ઊઠો અભાગી ઓ ચરણ,
ક્યાંક મંઝિલ ધારશે- થાકી ગયાં.
રણ, તને કેવી મળી છે પ્રેયસી?
ઉમ્રભરની જે તરસ આપી ગયાં.
આવતાં’તાં હર વખત તોફાન લઈ,
સાવ ખામોશી અહીં રાખી ગયાં.
આવનારા કોઈ નવતર માફ કર,
આવનારાં જે હતાં આવી ગયાં.
– રાવજી પટેલ
રાવજી પટેલે એના ટૂંકા આયખામાં ચાર જ ગઝલ કહી છે, એટલે સમજી શકાય કે ગઝલ એમના માટે ડાબા હાથે કવિતા લખવા માટેના અખતરાથી વિશેષ નહીં હોય. આનંદ એ વાતનો છે કે ગઝલના મિજાજને ક્ષતિ પહોંચાડ્યા વિના આ કામ થયું છે. પહાડોની ભીતર સૂતેલાં ઝરણા અચાનક જાગી જાય એ સ્વયંસ્ફુર્ય ઘટનામાં આવકારો તો કવિ જ પામી શકે. બીજો શેર બહુ સરસ થયો છે. થાકી ગયેલાં ચરણોને કવિએ એક જ પંક્તિમાં લો-ચલો-ઊઠો-ઓ એમ ચતુર્વિધ આહ્વાન આપીને વાતને યથોચિતપણે અધોરેખિત કરી બતાવી છે. ચરણ અભાગી પણ છે અને થાકી પણ ગયાં છે. પણ હામી ગુમાવી બેઠેલ ચરણોને શબ્દોના ચાબુકથી દોડાવવાની નવતર કળ કવિને હાથ લાગી છે. ચાલો ભાઈ ચાલો… ક્યાંક મંઝિલ એવું ન ધારી લે કે તમે થાકી ગયાં છો… રણની સુક્કાશ પાછળનું કારણ પણ કવિએ મજાનું શોધી કાઢ્યું છે. ‘આવતાં’તાં હર વખત તોફાન લઈ’ –મતલબ, આવતાં તો હતાં, પણ કદી કાયમ માટે રહી જવા માટે નહીં… આવી આવીને ચાલ્યા જવા માટે જ. જે વ્યક્તિ કાયમ તોફાન લઈને-થઈને આવતી, એના ચાલી ગયાં પછી હવે અહીં કેવળ ખામોશી બચી છે. હવે આ જીવનમાં કશા નવતરને કોઈ અવકાશ નથી. જેમણે આવવું જોઈતું હતું એ તો આવી ગયાં…
Permalink
August 27, 2026 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, પંથી પાલનપુરી
ઝરણું સમાન્તરે, કદી મૃગજળ સમાન્તરે,
તૃષ્ણાનું બીડ, તૃપ્તિનું ઝાકળ સમાન્તરે.
ચાલ્યા કરે સમાન્તરે ચહેરોય સૂર્યનો,
કાસાર ક્યાંક, ક્યાંક કમળદળ સમાન્તરે.
તડકો ને છાંયડેો રહ્યા સાથે પ્રવાસમાં,
સ્મરણો, સપન ઉભય રહ્યાં સમથળ સમાન્તરે.
શબ્દો સમાન ઘર અહીં ઊભાં છે હારબંધ,
ખુલ્લાં જ દ્વાર ક્યાંક ને સાંકળ સમાન્તરે.
પડછાયો થાય છે કદી આગળ, કદી પછીત,
અણજાણ આવકારતાં કૈં સ્થળ સમાન્તરે.
‘પંથી’ ખભેથી સાંજ ઉતારી સરાઈમાં,
કર યાદ કોણ એ હતું પળપળ સમાન્તરે ?
– પંથી પાલનપુરી
ગઝલની વિચ્છૃંખલતાને બારીક તો બારીક પણ એકસૂત્રે બાંધી રાખવાની જવાબદારી રદીફના ભાગે ગણાય. રદીફ જેટલી વિશિષ્ટ એટલી આ જવાબદારી તો વધે જ, એને નિભાવવુંય મુશ્કેલ બને. પ્રસ્તુત ગઝલમાં કવિ ઉભય કસોટીએ પાર ઉતર્યા છે. મત્લા જુઓ. પહેલી નજરે સાધારણ લાગે, પણ સહેજ વિચારતાં જ રોમાંચ થઈ જાય. ક્યારેક ઝરણું તો ક્યારેક મૃગજળ જીવનની સમાંતરે રહે છે. ઝરણું ખળખળ થતી વાસ્તવિક્તા છે, જ્યારે મૃગજળ નકરો આભાસ. ઝરણું લાગણીઓની આર્દ્રતા અને વહન બંને સૂચવે છે, જ્યારે મૃગજળ ઉજ્જડતા અને સુક્કાશ. આ જ રીતે એક તરફ તૃષ્ણાનું બીડ છે અને બીજી તરફ એને જ સમાંતરે તૃપ્તિનું ઝાકળ છે. ઇચ્છાઓ કદી ખતમ થતી નથી અને તૃપ્તિ કદી લાંબુ ટકતી નથી, માટે જ ઇચ્છાઓનું જંગલ અને સંતુષ્ટિનું પળમાં ઊડી જનાર ઝાકળ. હવે ફરીથી ઉલા મિસરો વાંચો. આવી મજા? બધા જ શેર સરસ થયા છે, પણ મત્લા-મક્તાની જોડી સર્વોપરી છે.
Permalink
August 26, 2026 at 11:10 AM by વિવેક · Filed under ગઝલ, પથિક પરમાર
હું છવ અકરમી તૈં પિયુ બારે ગિયો છ બૈ,
વાણા વયા છ તોય ન ચ્યમ આવિયો છ બૈ?
‘લ્યી એય ગોવાલણિયું! ઊભી તો ર્યો ની જરી,
મારા ભેરુને ચ્યાંય તમે ભાળિયો છ બૈ?
નૈતર ન ડાબી આંખ થરુકે થરક-થરક,
લાગે છ દખનો ડુંગરો આવી રિયો છ બૈ!
બથમાં વલખતી રાત લઈને ઝૂર્યા કરું,
સૂરજને કુંણે છાબડીમાં ઢાંકિયો છ બૈ?
પૂરી કરીને કાપણી ખડકું કડબના ગંજ,
સેતર વચાળ કાંય રૂંવે ચાડિયો છ બૈ!
પાણી ભરેલ ભાંભલી રઈ હાથમાં, છતાં-
તરસી મરું ને કંઠમાં ભડકો થિયો છ બૈ!
– પથિક પરમાર
જેનો પતિ વિદેશ ગયો હોય એવી વિરહિણી તે પ્રોષિતભર્તૃકા. પ્રતીક્ષારત વિયોગિનીની આ ગઝલ ને તેય જાનપદી બોલીમાં. નાયિકા બઈ એટલે કે સહેલી અથવા સાસુ સાથે એકતરફી સંવાદ સાધે છે. એક જમાનો હતો જ્યારે બે પૈસા રળવા પતિદેવો બહારગામ કે વિદેશ જતા અને પત્નીઓ મહિનાના મહિનાઓ રાહ જોઈ સૂકાઈને કાંટો થતી. વહાણા6 વાઈ જવા છતાં ઘરે પરત ન ફરેલ પતિના વિદેશગમન પાછળ નાયિકાને તો એક જ કારણ ભળાય છે-પોતાનું અક્કરમી હોવું તે. ગોવાલણીઓને ઊભી રહેવા હાકલ કરતો શેર શેરકક્ષાએ પહોંચી શક્યો નથી, ડાબી આંખ ફરકે તો મનગમતી વ્યક્તિ આવવાની વકી ગણાય, પણ અહીં તો દુઃખનો ડુંગરો આવતો હોવાના ભણકારા થાય છે, મતલબ વહાલમ આવવાની વાત પરથી ભરોસો જ ઊઠી ગયો છે. સૂરજને કોઈએ છબડીથી ઢાંકી ન દીધો હોય, એમ જીવનમાં હવે એકધારી રાત જેવા અંધારા સિવાય કશું નથી. પોતે તરસી મરતી હોવા છતાં ને પાણી ભરેલ ભાંભલી નદી હાથવગી હોવા છતાં કંઠમાં ભડકા કરતી તરસ છિપાવી શકાતી નથી. હાથવગી નદી માટે કવિએ નદી હાથમાં જ હોય એવો કાવ્યાત્મક પ્રયોગ કર્યો છે.
Permalink
August 25, 2026 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, હર્ષદેવ માધવ
(મત્સ્ય)
સાત દરિયામાં સંબંધો વિસ્તરે
સર્વ તટ એને હવે ટૂંકા પડે
(કચ્છપ)
હું ભુવન મારી ધુરાવશ થૈ ધરું
ધરણીધરની કાંકરી ખૂંચે મને?
(વરાહ)
હે તિમિરિ! પેટાળને ખુલ્લાં કરો
એક પરપોટેય માયા ફૂટશે
(નૃસિંહ)
લોહી ઊગ્યું નખની ડાળે પુષ્પવત્
હિંસ્રતા અડધી ક્લેવરનાં વને
(વામન)
હેય! નક્ષત્રો છે મારી પાનીએ
ક્યાં ઉપાડેલું ચરણ મૂકું હવે?
(પરશુરામ)
શસ્ત્રધારા આંખમાં સળગી અને
વક્ષ વડવાનલ બનીને ઊછળે
(રામ)
વાસનાને શિર દસ, શત હાથ છે
ક્ષાર જલ આ ચોરફ બસ ઘૂઘવે….
(કૃષ્ણ)
ક્યાંય વૃંદાવન નથી, ગોકુલ નથી
દ્વારિકાવત્ જીવ શેમાં ડૂબશે?
(બુદ્ધ)
નિષ્ક્રમણ પૂરું નથી થાતું અહીં
શૂન્ય પણ શોધ્યા કરે છે શૂન્યને
(કલ્કિ)
આવવું પાછું ફરી…. પાછું ફરી….
ખાંધ પર ઊંચકી જવા કયા ભારને?
– ડૉ. હર્ષદેવ માધવ
કવિ દશાવતારને ગઝલાવતાર આપવાનું વિચારે ત્યારે પુરાણના સંદર્ભો અને સાંપ્રત સમય વચ્ચે સાયુજ્ય ન સાધી શકાય તો ગઝલ ગઝલ ન રહેતાં, પુરાણકથા બનીને રહી જાય. સાવ અલગ પ્રકારની ગઝલમાં અદભુત કવિકર્મ કરીને કવિએ આપણને યાદગાર ગઝલ આપી છે.
• મત્સ્ય અવતાર: સત્યવ્રત રાજા (મનુ વૈવસ્વત)ને હાથ લાગેલ મત્સ્ય ક્રમશઃ સમુદ્ર જેટલું વિરાટ થઈ જાય છે, એમ માનવસંબંધોમાં અપેક્ષાઓ સાત દરિયાય નાના પડે છે.
• કચ્છપ (કૂર્મ) અવતાર: સમુદ્રમંથન વખતે કચ્છપે મંદરાચળને પીઠ પર ધારણ કર્યો હતો એમ દરેક માણસ વિપદાઓની કાંકરીઓના ખૂંચવાની ફરિયાદ કર્યા વિના પોતપોતાના સંસારનો ભાર ઊઠાવીને જીવી રહ્યો છે,
• વરાહ અવતાર: વરાહ ભગવાને અંધકારમય જળના પેટાળમાંથી પૃથ્વીનો ઉદ્ધાર કર્યો હતો, એમ મોહમાયાના પરપોટાને ફોડી પેટાળમાંથી પ્રકાશ/સત્ય બહાર લાવવાની વાત છે.
• નૃસિંહ અવતાર: અર્ધ નર- અર્ધ સિંહ (હિંસ્રતા) બનીને નૃસિંહના નખની ડાળે પુષ્પવત્ ઊગતું લોહી પ્રેમ અને રક્ષણની ભાવાભિવ્યક્તિ છે.
• વામન અવતાર: સાચા કવિની વિરાટ ચેતના નક્ષત્રોય પગ નીચે આવી જાય એ હદે વિસ્તરતી હોય છે,
• પરશુરામ અવતાર: પરશુરામના ક્રોધાગ્નિની જેમ અહીં આંખોમાં શસ્ત્રધારા અને છાતીમાં વડવાનલ જેવો આક્રોશ ઊછળે છે. અહીં શેરિયતનો અભાવ ખલે છે.
• રામ અવતાર: દસ માથાં અને સો હાથવાળા રાવણ સમી વાસનાની ચોતરફ કેવળ ક્ષારયુક્ત દુઃખનો દરિયો ઘૂઘવે છે.
• કૃષ્ણ અવતાર: ગામડાંની નૈસર્ગિક્તા અને પ્રેમ શહેરોની ભૌતિકતામાં ક્યાં મળવાની? આ જીવ હવે શેમાં ડૂબશે?
• બુદ્ધ અવતાર: મહાભિનિષ્ક્રમણ કરો કે ન કરો, આ જગતમાં માનવનો આંતરિક શોધનો પ્રવાસ ક્યારેય પૂરો થતો નથી.
• કલ્કિ અવતાર: ઈશ્વરને પણ વારંવાર અવતાર લેવા પડે છે અને આપણાં તો ચોર્યાસી લાખ ફેરા લખાયેલા જ છે. સંસારનો એવો તે કયો ભાર છે, જેને ઊંચકી જવા માટે વારંવાર પાછા આવવું પડે છે?
Permalink
August 24, 2026 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, પાર્ષદ પઢિયાર
શરણાઈ છેડે ગમ-સા-સારે-
શમણાં રુવે અંતર-દ્વારે.
આંસુ ખૂટયાં આંખ્યુંમાંથી
આહ! નિસાસા! આવો વ્હારે!
સપનાં જેવું સગપણુ રાખી-
સાથે રમવું તારે-મારે.
ઇચ્છાઓનું ટોળું હાલ્યું-
નાતો તોડી હૈયા હાર્યે.
– પાર્ષદ પઢિયાર
આવી ગઝલ હાથ ચડે ત્યારે કવિ ચાર શેર કહીને અટકી ગયા હોવાનો વસવસો અવશ્ય થાય. પણ સાથોસાથ સંયમને દાદ પણ દેવી રહી, કારણ આવી જ ક્ષમતાવાળા બીજા શેર આવવાના ન હોય તો આગળ વધવાથી ગઝલને જ નુકશાન થાય. સંગીતના સાત સૂરો –સારેગમપધનિ-ને તો ઘણા કવિઓએ પ્રયોજ્યા હશે. પણ અહીં જે કમાલ છે એ કમાલની છે. શરણાઈ સારેગમસા સૂર છેડવાના વદલે ગમ-સા-સારે સૂર છેડી રહી છે. કન્યાવિદાયના ટાણે આંખો આંસુ સારે એ રીતે શરણાઈ ‘ગમ’ ‘સારે’ છે એવો શ્લેષ અહીં સર્જાયો છે. રડતાં રડતાં આંખો ખાલી થઈ જાય પછી? આંખોનું રડવાનું પૂરું થાય એ પછી દિલના રડવાનો વારો છે. એટલે જ કવિ આહ અને નિસાસાઓને પોતાની વહારે આવવા આહ્વાન દે છે. કેવો અદભુત શેર! આખી ગઝલને કન્યાવિદાયની ગઝલ ગણી લઈએ તો બાપ-દીકરી, મા-દીકરી કે બે સહેલીઓ હવે સપનાંમાં જ રમવાને ભેળાં થઈ શકશે એ અર્થઘટન ગમી જાય એવું છે, અંતિમ શેર પણ એ પરિપ્રેક્ષ્યમાં આસ્વાદી શકાય. ચારેય શેરને સ્વતંત્ર રીતે પણ માણી શકાય. અંતિમ શેરમાં “હાર્યે”ના સ્થાને “હારે” કરીને કાફિયાચૂક ટાળવામાં આવી હોત તો ગઝલ અનવદ્યપણે આસ્વાદ્ય થઈ હોત.
Permalink
August 22, 2026 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, હેમંત ઘોરડા
વીતે ન એક ઘડીથી ઘડી એક ક્ષણથી ક્ષણ
હું ઓગળી ન જાઉં અને રાત પણ કઠણ.
સુક્કા અધર પરે ન કોઈ શબ્દ કલરવે
ઊડી ન જાય ખુલ્લાં નયનથી કોઈ વલણ.
પથરાળ ટેરવામાં કોઈ સ્પર્શ ના વહે
બસ વિસ્તરે ઉદાસ હથેળીમાં રણનાં રણ.
અંતર કદી રુવાંથી રુવાંનું તૂટે નહીં
લીરા કરી ત્વચાના ઊડાવે ન કોઈ વ્રણ
ટપકે ન આંખથી કે એ છલકે ન લિંગથી
અવગત રુધિરને તો ન મળે કોઈ ઘાવ પણ.
– હેમંત ધોરડા
રાતની વાત છે, પણ રાત શેની છે એ વાત કવિએ અધ્યાહાર રાખી છે. ગઝલનો મિજાજ આપણને કહે છે કે આ રાત વિયોગની-વેદનાની રાત છે. અને એટલે જ આ રાત અકાટ્ય બની રહી છે. ઘડી તો દૂરની વાત છે, ક્ષણ પણ અટકી પડી છે. નથી સ્વયંનું અસ્તિત્ત્વ ખતમ થતું, નથી રાત ખતમ થતી. રાત માટેનું ‘કઠણ’ વિશેષણ સમયના જડત્વ-સ્થૈર્યની પરાકાષ્ઠા નિર્દેશે છે. લકવાગ્રસ્ત સંવેદના સૂકાયેલ હોઠેથી તો નથી જ ટહુકતી, ખુલ્લી આંખોથીય વ્યક્ત થવાને સક્ષમ નથી રહી. પથ્થર જેવા બધિર થઈ ગયેલ ટેરવાં સ્પર્શની ભીનાશ અનુભવી શકે એમ નથી. સતત વિસ્તરતા જતાં રણ જેવી ઉદાસીએ અસ્તિત્ત્વ પર કબ્જો કરી લીધો છે. રુવાંથી રુવાંના અંતરવાળો શેર પ્રથમ નજરે સહેજ દુર્બોધ લાગે. પીડાના ‘मुश्किलें मुझ पर पडी इतनी’ના ન્યાયે કોઠે પડી જવાની આ વાત છે. હવે કોઈ વેદના બૉમ્બની જેમ અસ્તિત્ત્વના લીરેલીરાં ઊડાવી શકતી નથી એ વાત બે રુંવાડા વચ્ચેનું અંતર ‘તૂટતું’ ન હોવાના રૂપકની મદદથી કવિએ કહી છે. વેદનાના અવિર્ભાવનો અભાવ અંતિમ શેરમાં સ્ફુટ થયો છે. વેદના ક્યાં તો આંખોથી વહી નીકળે, ક્યાં તો જાતિય આવેગ થઈને સ્ફોટ પામે. પણ થીજી ગયેલા લોહીને વહેતું કરી શકે એવો કોઈ ઘા અવગતિએ ગયેલા જન્મારાને નસીબ થતો નથી. આંખથી રુધિરના ન ટપકવાની વાતે મિર્ઝા ગાલિબ અવશ્ય યાદ આવે:
रगों में दौड़ते फिरने के हम नहीं क़ाइल,
जब आँख ही से न टपका तो फिर लहू क्या है।
Permalink
August 21, 2026 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, હરિકૃષ્ણ પાઠક
રંગ કોના છે, રાગ કોના છે?
આ ફટાણાં ને ફાગ કોનાં છે?
ફાટ ને ફૂટ સૌ ફરેબી છે;
લૂંટમાં લાગ-ભાગ કોના છે?
અલ્પમતને અપાર તોષીને
દૂધ પાયેલ નાગ કોના છે?
હાંડીઓ ઝૂલતી હવાલાની,
તળિયાં એનાં અતાગ કોનાં છે?
રામનું નામ શુક નથી લેતા,
ને સતત રટે છે કાગ, કોના છે?
સત્યને ઠેર ઠેર ઠમઠોર્યું;
ઠેકા—ઠૈયા ને ઠાગ કોના છે?
જંગલો ને વનો ઉજાડીને
ખીલવ્યા છે એ બાગ કોના છે?
ઢોરની ચાર્ય પણ ચરી ચાલ્યા;
જાંગલે તેડ્યા જાગ કોના છે?
દેશ આખાને દોદળો કીધો,
કાળજે દીધા દાગ કોના છે?
– હરિકૃષ્ણ પાઠક
શાસકપક્ષ કોઈ પણ હોય, રાજકારણ કાયમ સ્વકારણ બનીને જ રહી જાય છે. સમય સમયાંતરે કવિઓ પ્રજાસત્તાકને સ્વસત્તાક બનાવી બેઠેલા ભ્રષ્ટાચારીઓનો ઉધડો લેતા રહે છે. નવેનવ શેર નાની પણ ધારદાર છરી જેવા. કવિ એવા સવાલો કરે છે જેના જવાબ બધા જ જાણે છે, પણ તોય આ સવાલો અનિવાર્ય છે. કારણ કે આવા સવાલ જ લોકશાહીનો પ્રાણવાયુ છે. પોપટ ભલેને રામનામ જપવાના બદલે કાગડાનું નામ લે, પણ આપણે સવાલો પૂછવાનું બંધ કરી દઈશું તો આપણાં જંગલો-વનોને ઉજાડીને નિભ્ભર રાજકારણીઓ પોતાના બાગ ખીલવવાનું બંધ નહીં કરે. (કાગવાળા શેરમાં ‘રટે’નો સાંકડો ઉચ્ચાર કરી એને એક ગુરુ તરીકે સ્વીકારવાનું સહેજ કઠિન થઈ પડે છે.)
Permalink
August 20, 2026 at 12:30 AM by વિવેક · Filed under આર. જે. નિમાવત, ગઝલ
સ્વપ્નમાં રણ વિસ્તરે તારા વગર,
ઝાંઝવાં બસ તરવરે તારા વગર.
વાદળી એકકેય ક્યાં છે આભમાં?
મોભ કિન્તુ નીતરે તારા વગર!
ટોડલે ટાંગેલ તારા ચાકળે–
આભલાં રુદન કરે તારા વગર.
એકલું એકાંત છે, હું પણ નથી,
શ્વાસ કેવળ હરફરે તારા વગર.
પાણિયારે હેલ ખાલી છે પડી-
કોણ આવીને ભરે તારા વગર?
કોણ ખાલી જિંદગીના ચોકમાં-
અવનવા રંગો પૂરે તારા વગર?
– આર. જે. નિમાવત
પ્રારંભથી જ વિયોગ અને વિષાદ ગઝલનાં પ્રભાવી પહેલુ રહ્યાં છે. અહીં તો આખી ગઝલ જ ‘તારા વગર’ રદીફની ધરી પર ઊભી છે. સ્વપનમાં પણ મુલાકાત થઈ ન શકે એવી રણમાં ઝાંઝવા જેવી પરિસ્થિતિ વિયોગની પરાકાષ્ઠા ચાક્ષુષ કરે છે. મનનું આકાશ તો નિરભ્ર છે, પણ આંખોનો મોભ નીતરી રહ્યો છે. ક્યારેક પ્રિયજને દરવાજાના ટોડલે ચાકળો ટાંગ્યો હશે, એમાંના આભલા આજે રડી રહ્યા છે. ‘તારા’ શબ્દમાં શ્લેષ અનુભવી શકાય છે- એક તો બીજાપુરુષ એકવચન તરીકેનું સંબોધન અને બીજું, ચાકળામાં જે તારા અને આભલાનું ભરતકામ કરાયું હોય એ તારાનો સંદર્ભ. એકાંત એ હદે વ્યાપી ગયું છે કે સ્વયંની ઉપસ્થિતિ પણ અનુભવાતી નથી. જીવન કેવળ શ્વાસની હેરફેર થતી હોય એવી નિષ્પ્રાણ લાશ બનીને રહી ગયું છે.
Permalink
August 19, 2026 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, વારિજ લુહાર
એક ભીના સ્પર્શનો દરિયો તરીને.
આવ! પીળા અર્થનો દરિયો તરીને.
રાહ જોતી શૂન્યતા ઉભી કિનારે,
આવ! કો’ સંદર્ભનો દરિયો તરીને.
ફૂલથી કોમળ છવિ મેં સાચવી છે,
આવ! મબલખ ગંધનો દરિયો તરીને.
પાંપણોમાં પીગળી જાશે પહાડો,
આવ! થીજયા બર્ફનો દરિયો તરીને.
શક્યતા છે ભીંતને નડશે તિરાડો,
આવ! સઘળી શર્તનો દરિયો તરીને
– વારિજ લુહાર
આમ તો ગઝલ પણ એક પ્રકારનું ઊર્મિકાવ્ય જ છે, પણ ગઝલમાં ઊર્મિઓ ઉપરાંત ચિંતન-વિચાર. અવલોકન વગેરેને પણ અવકાશ રહેલો છે. આમ તો સર્જન સમયનું કવિસંવેદન ભાવક યથાતથ અનુભવી શકે એ જ કવિતાનું સાર્થક્ય, પણ ગઝલમાં કેવળ ભાવસંવેદન જ પ્રત્યાયિત થાય એ આવશ્યક નથી. ગઝલને કદાચ ભાવાર્થ વધારે અભિપ્રેત છે. વિચારપ્રધાન ગઝલો શીઘ્ર પ્રત્યાયન સાધે એ જરૂરી નથી. આ ગઝલ જુઓ. દરેક શેરના સાની મિસરાની શરૂઆત ‘આવ’થી થતી હોવાથી ગઝલની રદીફ ‘આવ’ અને ‘દરિયો તરીને’ -એમ દ્વિભાજિત થયેલી પ્રતીત થાય છે. દરિયો તરીને આવવા માટેનું ઇજન છે, મતલબ બે જણ વચ્ચે દરિયાભરનું અંતર પડી ચૂક્યું છે. અને ભીતરના હનુમાનને જગાવીને એ પાર કરવાનું છે. મિલન માટે આતુર તો છે, પણ સ્વંય દરિયો તરીને જવા તૈયાર નથી. જે ગયું છે એણે જ દરિયા તરીને આવવાનું છે. કથક પ્રતીક્ષામાં શૂન્યવત થઈ, હૃદયમાં ફૂલશી સુકોમળ છબી સાચવીને, પાંપણોના પહાડ ઓગાળવા ને સઘળી શરતોને વિસારે પાડવા આ કાંઠે તૈયાર ઊભો છે. એ મિલન માટે આતુર તો છે, પણ સ્વંય દરિયો તરીને જવા તૈયાર નથી. જે ગયું છે એણે જ દરિયા તરીને આવવાનું છે. કવિ સ્પર્શ માટે ‘ભીનો’ વિશેષણ પ્રયોજે છે, ત્યારે સ્પર્શ ઉપલક કે ઔપચારિક ન રહેતાં લાગણીભર્યો ને ભીતરનો બની રહે છે. પણ બીજી પંક્તિમાં જે દરિયો તરવાનો છે એ પીળા અર્થનો છે, ઉદાસીનતાનો છે. ક્યારેક જે સ્પર્શ લાગણીભીના હતા એ હાલમાં ગ્લાનિની પીળાશ બની ગયા છે… નાયિકા હવે દરિયા પાર કરીને આ તરફ આવે તો જ સંદર્ભો અને મબલખ ગંધના દરિયા સજીવન થાય.
Permalink
August 15, 2026 at 12:42 PM by વિવેક · Filed under ઊર્મિકાવ્ય, જયન્ત પાઠક

(અભ્યસ્ત મનહર)
હે ભારતદેશ સર્વરાષ્ટ્રશિરોમણિ!
ન્યાળી તને વેદનાવ્યાકુલ થાય વાણી.
સુજલા હે! સુફલા હે! આર્ય તપોવન
વહેતો જ્યાં સંસ્કૃતિનિર્ઝર મુક્તમન.
સઘન કાનન વિષે ઋષિકુલવાસે
યજ્ઞધર્મ ઉત્સરત ધૂસર આકાશે.
વિશ્રબ્ધ હરિણ ચરે કૂળાં તૃણાંકુર
રણઝણી રહે જહીં નિર્ઝરનૂપુર.
મંત્રધ્વનિમુખરિત જ્યાં પ્રભાત સંધ્યા
ફલફૂલપલ્લવે જ્યાં પ્રકૃતિ અવંધ્યા.
અરુણ-ઉદય આવકારે પંખીસૂર
શ્યામઘનગર્જને નાચી રહેતા મયૂર.
વૈભવમાં હતી ત્યારે આત્માની સુગંધ
આનંદમાં ભળ્યો હતો તપ કેરો રંગ.
અને આજે! દીન હીન ભારત વિદીર્ણ
કાલના કુઠારઘાતે બન્યું જીર્ણ શીર્ણ.
શમ્યાં સહુ કલગાન સ્રોતનાં મધુર
વાઈ રહ્યો હિમવાયુ વ્યગ્રતાનો ક્રૂર.
પ્રજા રહી આજ તારી મિથ્યાત્વને ભજી
રહેતી કપટવેશ વિધવિધ સજી.
જુલ્મનાં સિંહાસનોને કરે પ્રણિપાત
સત્યના કલેવરે કરંત ક્રૂર ઘાત.
ભોગનું મંગલ ભૂલી ત્યાગનું ગૌરવ
મહાભારતે શું મચ્યા પાંડવ કૌરવ!
હે ઉદાર દેશ! તારા અનુદાર સુત
ભ્રષ્ટ કરી રહ્યા નિજ ધર્મ પરિપૂત.
સ્થલ સ્થલ થઈ રહી અસત્યની પૂજા
પરાજિત આત્મગઢે ઊડે પાપધજા.
ભૂલી મુક્ત પંથ, મુક્ત વિહંગડયન
જીવી રહ્યા આજ સહુ પિંજરજીવન.
સિદ્ધિઓમાં નથી રહી શુદ્ધિની સુવાસ
પ્રવૃત્તિમાં રહ્યો નથી હૃદયનો પાસ.
ક્ષુલ્લકના ગૌરવનું ગાઈ રહ્યા ગાન
બુદ્ધિસર હોળી કરી રહ્યા જલપાન.
હે પ્રિય ભારત! સર્વરાષ્ટ્રશિરોમણિ!
ક્યારે તારા વિક્રમનો હય હણહણી
દિગ્વિજય અર્થ ધાશે દિગન્તની ભણી
ગાજી રહેશે ગાથા તારા પુરુષાર્થ તણી?
તારો મુક્ત કંઠ ક્યારે ગાશે મુક્ત ગાન?
ક્યારે સ્હોશે, સ્મિતે તારી અધર કમાન?
ઉષાના મંગલ સ્મિતે તારી સ્વર્ણકાય
ક્યારે સ્હોશે, લેશે ક્યારે તિમિર વિદાય?
– જયન્ત પાઠક
આઝાદી મળ્યાંને હજી દસ વર્ષ જ થયાં હતાં એ સમયે ૧૯૫૭ની સાલમાં પ્રગટ થયેલ સંગ્રહમાં આ કૃતિ છે. મતલબ, આ કવિતા તો આઝાદી મળ્યાંના થોડાં જ સમયમાં લખાઈ હશે. આઝાદી મળ્યાંને આજે એંસી વર્ષ થયાં, પણ કવિતા સમયની સાથે વાસી થવાના બદલે વધુને વધુ તાજી અને સાંપ્રત અનુભવાય છે. જે ભારતદેશને સર્વરાષ્ટ્રોમાં શિરોમણિ લેખ્યો છે એની દુર્દશા જોઈને કવિવાણી વેદનાથી વ્યાકુળ થઈ રહી છે. પહેલી બાર પંક્તિમાં કવિ ‘સોને કી ચિડિયા’ ગણાતા ભારતવર્ષના ભવ્ય ભૂતકાળ અને સંસ્કૃતિનું ભવ્યાતિભવ્ય વર્ણન કરે છે. ‘અને આજે!’ કહીને વાસ્તવિક દારુણતાથી મુખામુખ થાય છે. મિથ્યાને ભજતી ને કપટવેશ સજતી પ્રજા જુલ્મી સિંહાસનોને નમન-વિનવણી કરતી થઈ ગઈ છે. વિશુદ્ધ ધર્મ ભ્રષ્ટ થઈ રહ્યો છે ને અસત્યની પૂજા થઈ રહી છે. સિદ્ધિઓમાં શુદ્ધિ નથી ને પ્રવૃત્તિઓમાં પ્રાણ નથી. હતાશ થવા છતાં કવિએ આશ ત્યજી નથી. અંતિમ બંધમાં પ્રિય ભારત દેશ ફરી એકવાર દિગ્વિજય પામી, ઉષાના કિરણોથી સુવર્ણદેહ ધારશે અને અંધારું વિદાય લેશે એ અભિપ્સા કવિકલમેથી ટપકી રહી છે.
(ન્યાળવું= નિહાળવું; નિર્ઝર=ધોધ, ઝરો; કાનન= જંગલ; ઉત્સરત= ઊંચે જવું; ધૂસર= ધુમાડાવાળું; વિશ્રબ્ધ=નિર્ભય; અવંધ્યા=ફળદ્રુપ; વિદીર્ણ= ચીરેલું, નાશ કરેલું; પ્રણિપાત=સાષ્ટાંગ નમન; અનુદાર=ઉદાર નહીં તેવા, કૃપણ; પરિપૂત=સર્વથા પવિત્ર; હય=અશ્વ; દિગન્ત=દિશા; સ્હોશે=શોભશે)
Permalink
August 14, 2026 at 11:36 AM by વિવેક · Filed under ગીત, દાન વાઘેલા
આધિ-વ્યાધિ-ઉપાધિનો હિસાબ સઘળો સોપું!
જનમ-મરણની વચ્ચે અનહદ ઇચ્છાના મૂળ રોપું!
મારો રામ કરે રખોપું… મારો રામ કરે રખોપું !
અંતરમાંથી ઓઘ ઉછળે ને રુંવાડાં રણઝણતા;
વાદવિવાદના વંટોળિયા પણ મીણ સમા ઓગળતા!
જળથી ઝગમગ જ્યોત જોઈને ધન્ય સમય સંગોપું!
મારો રામ કરે રખોપું… મારો રામ કરે રખોપું!
મન લોચન પર મેઘ ઝળુંબે હૈયે અમી છલકાય;
ધીરગંભીરા સપનાં નવરંગ રૂપ-અનુપમાં ન્હાય!
વ્યોમ હોય કે ભોમ અવિચળ નિજાનંદ આટોપું!
મારો રામ કરે રખોપું… મારો રામ કરે રખોપું!
– દાન વાઘેલા
શ્રદ્ધાથી મોટી અવર કોઈ શક્તિ નથી. શ્રદ્ધાપૂર્વક સ્વયંનો હવાલો રામને આપી દેવાય પછી શું આધિ, શું વ્યાધિ ને શું ઉપાધિ? હરિશરણમાં જતાં જ રોમહર્ષણ સાથે અંતરમાંથી ફુવારા ફૂટી નીકળે છે, તમામ વાદવિવાદ શમી જાય છે. હરિનામનું કોડિયું મળે તો અસ્તિત્વની જ્યોત ઘી નહીં, જળથી પણ ઝગમગ થાય. આવી ઝળહળ ધન્યતા અનુભવાય એ સમય આ ધરતી પરથી પોતાની લીલાને સંગોપવાનો સમય છે. આખું ગીત સરસ થયું છે, પણ મુખડામાં જનમ મરણની વચ્ચેના જીવનમાં અનહદ ઇચ્છાઓ રોપવાની વાત સહેજ સ્થાને લાગી.. રામનામની તાળી લાગી ગઈ હોય, હૈયું અમીથી છલકાતું હોય અને અવિચળ નિજાનંદ અનુભવાતો હોય એ માણસ ઇચ્છાઓ ત્યાગે કે બીજમાંથી વૃક્ષ બનાવવા પ્રયત્ન કરે? મૂળ રોપવું પ્રયોગ પણ સંદિગ્ધ લાગ્યો. બીજ કે કૂંપળ તો રોપી શકાય, મૂળ શી રીતે રોપી શકાય?
(રખોપું=રક્ષણ; ઓઘ=ધોધ; સંગોપવું= છુપાવી રાખવું; અનુપ= અજોડ)
Permalink
August 13, 2026 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, બકુલેશ દેસાઈ
હળવી પળો વચાળ સૈ, વાગી ગઈ હલક,
એકાંતઘેરી મેડીએ સ્મરણો છલક…છલક.
બળબળતું દશ્ય પાંપણે હરએક મોડ પર,
અમને બતાવ જિંદગી, જાવું કયે મલક?
ભીડયાં કમાડ પાર જુઓ, છે અધીર મન!
અવસરપણાની વાટમાં આંખોય નિષ્પલક!
‘બકુલેશ,’ ધન્ય પળ હતી જ્યારે એ આંખમાં,
નામ જ તમારું સાંભળી આવી ગઈ ચમક!
– બકુલેશ દેસાઈ
સર્જક પુરુષ છે, પણ અભિવ્યક્તિ સ્ત્રીની જણાય છે. કારણ મત્લાનો ઉઘાડ ‘સૈ’ સાથેના સંવાદ તરીકે થાય છે અને પુરુષ પરત ફરે એની પ્રતીક્ષામાં આંખો બંધ કમાડની આરપાર તાકી રહી છે. સ્મરણોનું પોતાનું આગવું જ ગણિત છે. એ ક્યારે ખુશીના સરવાળા કરી બેસે ને ક્યારે દુઃખના ગુણાકાર એ ખબર જ ન પડે. હલવી પળોમાં છલક છલક થતાં સ્મરણો એકાંતઘેરી મેડીના એકાંતને ઓર ગાઢું કરી દે છે. જ્યાં જુઓ, લ્હાય જ લાગી છે. કઈ તરફ જવું એ કેમ સૂઝે! જિંદગી પોતે કોઈ રસ્તો બતાવે તો ઠીક, બાકી… મિલનના અવસરની વાટમાં આંખો પલકવું ભૂલી જઈ ભીડ્યાં કમાડની આરપાર પહોંચી ગયેલ અધીરા મનને જોઈ રહી છે. પ્રિયજનનું નામ સાંભળતાવેંત આંખોમાં ચમક આવી ગઈ હતી એ ધન્ય પળ ભૂતકાળ બની ગઈ હોવાના ભાર ન અનુભવાય એવા હળવા વજન સાથે ચાર જ શેરમાં ગઝલ પૂરી થઈ જાય છે. ચારેય શેર આંખ અને પ્રતીક્ષાના એક જ તાંતણે બંધાયા છે. (હલક-છલક-મલક સાથે ચમક કાફિયા અનિર્વાહ્ય. એકાક્ષરી ગુરુને ગઝલમાં લઘુકરાર આપી શકાય, પણ ‘સૈં’ જેવા એકાક્ષરી જોડાક્ષરને લઘુ તરીકે ન લેવાય.)
Permalink
August 12, 2026 at 10:44 AM by વિવેક · Filed under ગઝલ, રમેશ પારેખ
(પ્રલંબતોટક)
હજુ આંખ ખૂલે ન ખૂલે અડધું પડધું, મનજી
થઈ જાય બધાં સપનાં ભડથું ભડથું, મનજી
નદીઓ ઉમટ્યાની ઊડી અફવા ગલીએ ગલીએ
જરી પાંપણમાં ચીતર્યું અમથું રડવું, મનજી
પડવાની અણી પર હોય છતાં ન પડે ફડકો
બનતાં બનતાં અટકી પડવું બનવું મનજી
જડ હાથ રહે જડ, ના કદી યે બનતો ઘટના
સરખું જ બધું, પથરો અથવા સસલું મનજી
પડવું, દડવું, ચડવું, ખડવું, રડવું, સડવું બસ,
આમ ક્રિયાપદભેર ક્રિયાપદવું, મનજી
ચકલા પર ઊભી રહે છે ઉઘાડી ઉઘાડી ચીસો
મળ્યું ષંઢ શહેર વિષે ભડવા બનવું, મનજી
– રમેશ પારેખ
સમર્થ સર્જક સતત નવું શું કરી શકાય એની મથામણમાં રહેતો હોય છે. ગઝલ વિદેશથી આપણે ત્યાં આવી તો પોતાના છંદ સાથે લેતી આવી, પણ આપણી કાવ્યપરંપરા પાસે તો પોતાના વૃત્તોની સમૃદ્ધ પરંપરા હતી જ… ઘણા સર્જકોએ આ બંનેનું કોકટેલ કરી જોયું છે. ર.પા.એ પણ કેટલીક વૃત્ત ગઝલો લખી છે. નવ વૃત્ત ગઝલોના ગુચ્છમાંથી નવમી ગઝલ આજે અહીં રજૂ કરીએ છીએ. સામાન્યરીતે તોટક છંદમાં સ,સ,સ, એમ કુલ બાર ગણ હોય, પણ કવિએ બે આવર્તન વધારે પ્રયોજી પ્રલંબતોટક છંદ બનાવ્યો છે. મનજીને સંબોધીને લખાયેલ આ વૃત્ત ગઝલ છંદવ્યાયામ કે ફ્યુઝન-એક્સપરિમેન્ટ ન બની રહેતાં ગઝલિયતને વરી છે એનો સવિશેષ આનંદ.
(છંદવિન્યાસ: લલગા લલગા લલગા લલગા લલગા લલગા)
Permalink
August 8, 2026 at 12:40 PM by વિવેક · Filed under અછાંદસ, ભરત ત્રિવેદી
બારણાને હાથ લાગતાં જ
હાથ પકડી લે છે
બાઝેલાં જાળાં
અજાણ્યો ધારીને મને.
ભીતર
પૂર્વજોના ચહેરા પરની કરચલીઓ
ફોટામાંથી
ખરતી રહી ફેલાઈ ગઈ છે
કમરાની દીવાલ પર
ને
દર્પણમાં થીજી ગઈ છે
ઘરવખરી.
બારી ખોલતાં જ
વર્ષોથી ભરાઈ પડેલું
એકાંત
બહાર કૂદી પડે છે .
– ભરત ત્રિવેદી
કવિએ જે કહ્યું નથી એ કવિતા આપણને કહે છે. કાવ્યનાયક વર્ષો પછી (વતનમાં) ખાલી પડેલ ઘરે પરત આવ્યો છે. ઘરના મોભીઓ હવે હયાત નથી. વિદેશમાં અથવા શહેરમાં નાયકનું જે કુટુંબ હશે, એમને આ ઘર સાથે કોઈ સંબંધ કે લાગણી ન હોવાથી નાયકને એકલા જ આવવાની ફરજ પડી છે. બારણાં પર વિગત સમય જાળાં બનીને ફેલાઈ વળ્યો છે, અને દીવાલો પર ફોટામાંના પૂર્વજોના ચહેરા જેવી જ તિરાડો પડી ગઈ છે. દર્પણમાં થીજી ગયેલી ઘરવખરી થીજી ગયેલ સમયને ઈંગિત કરે છે. બારી ખોલતાં જ ઘરમાં વર્ષોથી પૂરાઈ રહેલું એકાંત જાણે કે બહાર કૂદી પડે છે… કાવ્યનાયક અહીં રહેશે, ત્યાં સુધી આ ઘર ફરી થોડા સમય પૂરતું સજીવન થઈ જશે… ઘરમાં વરસોથી પૂરાઈ રહેલ એકાંત બારીમાં થઈને આપણી ભીતર કૂદી પડ્યું હોય એવો વિષાદ રચનામાં સાદ્યંત અનુભવાયા કરે છે.
Permalink
August 7, 2026 at 12:30 AM by વિવેક · Filed under કાબિલ ડેડાણવી, ગઝલ
કલા સાથે વ્યથાનું આ રીતે એકીકરણ આવ્યું,
કે કસ્તૂરીને સાથે લઈ ફફડતું કો’ હરણ આવ્યું.
બધાને એમ લાગ્યું પ્રેમમાં એકીકરણ આવ્યું,
ખબર કોને, મિલનરૂપે સરિતાનું મરણ આવ્યું
મહોબતના જગતમાં ખેલદિલી હોય છે આવી,
હતો સાગર જો બેપરવા તો દોડીને ઝરણ આવ્યું.
કદી સુંદર દિસે છે તો કદી નિષ્ઠુર લાગે છે,
તમારા રૂપમાંયે કેવું આ વર્ગીકરણ આવ્યું?
તમારી યાદ આવી તો હું સમજ્યો કે તમે આવ્યા,
મને લાગ્યું સૂરજ આવ્યો નજરમાં જ્યાં કિરણ આવ્યું.
ખુશી તારા વિચારે થાય છે તો એમ લાગે છે,
જીવનની રાહમાં ખળખળ થતું કોઈ ઝરણ આવ્યું.
તમે લાંબે જનારી મારી દષ્ટિને કરી ટૂંકી,
તમે આવ્યા ને દૃષ્ટિ પર તમારું આવરણ આવ્યું.
મહોબતમાં પ્રવેશ્યા બાદ મુજને સત્ય સમજાયું,
છલોછલ ઝાંઝવાનાં જળ ભરેલું કોઈ રણ આવ્યું.
ખુશીની વાત એથી તો નથી લખતો કવિતામાં,
કોઈ કહેશે કે ‘કાબિલ’ની ગઝલમાં અવતરણ આવ્યું
– કાબિલ ડેડાણવી
વાયકા છે કે કસ્તૂરીમૃગ જીવનભર કસ્તૂરીની સુગંધના સ્રોતને શોધવા આકળવિકળ દોડતું રહે છે. હકીકતમાં એ તો એની નાભિમાં જ હોય છે. કસ્તૂરીમૃગના સંદર્ભે કલા અને વ્યથાના અવિનાભાવી સંબંધને કવિએ કેવી કાબેલિયતથી દર્શાવી દીધો! નદી અને સાગરના મિલનમાં નદીનું મરણ થતું તો કોઈ સંવેદનશીલ કવિ જ જોઈ શકે. જે કવિ એક શેરમાં સાગરમાં ભળી જતી નદીમાં મરણ જુએ છે એ જ કવિ બીજા શેરમાં સાગરની બેપરવાહી જોઈને દોદી આવતા ઝરણની વાત કરે છે. બંને વળી, પ્રેમના સંદર્ભે જ. મતલબ, એક જ અહેસાસને એક જ કવિ અલગ-અલગ રીતે પણ જોઈ શકે છે. પ્રેમ છે જ ક્લાઇડોસ્કૉપ જેવો. ભાતીગળ. સતત પરિવર્તનશીલ. ખરું ને?
Permalink
August 6, 2026 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, ફારૂક શાહ
મંજીરું બજે, ઢાળ વહે ગંગાસતીનો,
પણ જીવમાં પડઘાયા કરે તાલ ક્ષતિનો.
રોકી ન શકાતો કોઈ સંવેદનાનો જન્મ,
ઊતરી ન શકે કોઈ રીતે બોજ મતિનો.
એક મંત્ર તૂટ્યો, તૂટી બધી નાભિક્રીડાઓ,
દદડયા કરે છાતીથી અનલ અથથી ઈતિનો.
વિસ્તારવાનું રોજ બને જળની સપાટી,
તોયે મળે છે ક્યાં મને અહેસાસ ગતિનો.
આંખોથી વહી નીકળ્યા બાહર બધા સંવેગ,
રગરગમાં ફર્યો શાપ કોઈ સ્વપ્નવતીનો.
મસ્તિષ્ક ઉઘાડીને રુધિર હોમ કરી જોઉં,
પણ ચમકે ન વીજળી કે બળે વેશ જતિનો.
☆ ફારૂક શાહ
ખાટલે મોટી ખોડ હોય એ માણસ લક્ષ્મી ચાંદલો કરવા આવે ત્યારે મોઢું ધોવા જાય. ગંગાસતીનો ઢાળ બહેતો હોય અને મંજીરાં રણકતાં હોય એ સમયે આધ્યાત્મના અનવદ્ય પ્રવાહમાં વહી જવાના બદલે આવા માણસ પોતાની ખામીઓના સૂરતાલમાં રત રહે છે. બીજા શેરમાં બુદ્ધિ અને હૃદયનું દ્વંદ્વ નિર્દિષ્ટ છે. લાગણીને અટકાવી શકાતી નથી ને મનને હળવું કરી શકાતું નથી. જીવનની દરેક બાબતમાં એકધ્યાન રહેવું આવશ્યક છે. નજર હટી, દુર્ઘટના ઘટી. જીવને શિવ સાથે બાંધી રાખતો મંત્ર તૂટ્યો નથી કે છાતીમાં આરંભથી આજ સુધીની બળતરા વ્યાપી રહે. ચોથો શેર ઠીકઠાક થયો છે, પણ છેલ્લા બે શેર વળી જોરુકા. એમાંય સ્વપ્નવતી પર તો વારી જવાનું મન થાય.
Permalink
August 5, 2026 at 12:08 PM by વિવેક · Filed under ગઝલ, પ્રફુલ્લ નાણાવટી
પાત્ર છલકાતું રહ્યું પીધું નહિ,
આચમન સરખુંય કૈં લીધું નહિ.
આંખમાં આદર દીઠો તો એટલો,
ખાસ જે કહેવા ગયો કીધું નહિ.
આજ વસ્તુની ખટક રહી ઉમ્રભર,
જે તમે માગ્યું અમે દીધું નહિ.
એ જ એની ખાસિયત કાયમ રહી,
સોંપવું છે પણ કદી સીધું નહિ.
ઘૂંટ કડવા કેટલા પીશે પ્રફુલ્લ,
વેણ કડવું કોઈને કીધું નહિ.
– પ્રફુલ્લ નાણાવટી
પરંપરાની ગઝલોની મજા એ છે કે તેઓ એક બેઝ-લાઇનની ઉપર રહીને સતત કંઈક સારું કહેવાની મથામણમાં રહેતી હતી. આધુનિક ગઝલો આવી કોઈ આધાર-રેખાની આસપાસ ફરતી ન હોવાથી ક્યારેક એમાં એવરેસ્ટની ઊંચાઈ જોવા મળે તો ક્યારેક પાતાળનું ઊંડાણ પણ હાથ લાગે. પ્રસ્તુત ગઝલના પાંચેય શેર ઉત્તમ નહીં હોવા છતાં પરંપરાની મૂળભૂત ખુશબૂ સતત જળવાઈ રહી હોવાથી મનભર જણાય છે. છલકાયે રાખતા પાત્રમાંથી કવિએ આચમન સુદ્ધાં કેમ ન લીધું એનો મત્લામાં ફોડ પડાયો ન હોવાથી મત્લામાં ચમત્કૃતિ વર્તાતી નથી. મક્તા પણ ઊંચી ઉડાન ભરી શક્યો નથી, પણ વચ્ચેના ત્રણેય શેર સ્વયંસ્પષ્ટ અને સરસ થયા છે.
Permalink
August 1, 2026 at 11:21 AM by વિવેક · Filed under ગઝલ, શિલ્પીન થાનકી
હર સુંવાળા શબ્દ પર પેશાબ કર,
બેધડક પેશાબ કર, પેશાબ કર.
હો બુઝુર્ગી બોર્ડ – ‘મૂતરવું નહીં’-
એ જ સ્થળ પર તાઉમર પેશાબ કર.
શ્વેત અધિવેશન થશે કર્બુર જરા,-
મંચ પર તું રાત ભર પેશાબ કર.
આ પરબ! આહા પરબ! ઓહો પરબ!
મન થયે શામોસહર પેશાબ કર.
બાઅદબ મધુમેહિયા સાહિત્ય પર
યૂરિયાથી તરબતર પેશાબ કર.
– શિલ્પીન થાનકી
શિલ્પીન થાનકી . મૂળ નામ લલિતકુમાર પુરુષોત્તમ થાનકી. લયસ્તરો પર આ કવિની હોવી જોઈએ એટલી રચનાઓ નથી, પણ એમાં કવિનો નહીં, અમારો જ વાંક છે. કવિનું ભાષાકર્મ અને વિષયવિવિધ્ય –બંને ધ્યાનાર્હ છે. આ ગઝલ જુઓ. આજથી લગભગ પાંચ દાયકા પહેલાં ૧૯૭૯ની સાલમાં લખાયેલી ગઝલ હકીકતમાં કાલાતીત છે. આજેય એ એટલી જ સમસામયિક લાગે છે, જેટલી પચાસ વર્ષ પહેલાં હશે. ગુજરાતી ગઝલે આવી ભાષા ભાગ્યે જ જોઈ હશે. સાહિત્યની દુનિયામાં જુગુપ્સાપ્રેરક લાગે એવી પેશાબ કરવાની પ્રક્રિયા ગઝલના કેન્દ્રમાં છે. પાંચ શેરની ગઝલમાં કવિએ સાતવાર પેશાબ કરવાની સૂચના આપી છે. સૂચના ગણો તો સૂચના અને આદેશ ગણો તો આદેશ, પણ એ બીજા માટે ઓછો અને સ્વયં માટે વધુ છે. ગુજરાતી કવિતાને શરૂઆતથી જ સુષ્ઠુ સુષ્ઠુ વલણ જ વિશેષ માફક આવ્યું છે. કડક વિવેચકો થયા જ નથી, એમ નહીં, પણ એમની સંખ્યા એક હાથની આંગળીઓના વેઢાય વધી પડે એટલી ઓછી રહી છે. કવિ આવા સુંવાળા વલણ સામે તીવ્રતમ આક્રોશ વ્યકત કરવા આહ્વાન કરે છે. બુઝુર્ગી બૉર્ડ વાંચતા જ પગ કબરમાં લટકતા હોવા છતાં પદપિપાસા ત્યાગી ન શકનાર જમાત નજર સામે તરવરે. કડવા સત્યને સંતાડી રાખી અદબપૂર્વક મધમીઠા જૂઠાણાં પીરસતા મધુમેહિયા સાહિત્ય પરનો હલ્લો પચાસ વરસોમાં તો અસર કરી શક્યો નથી, હવે કરે તો રચના સાર્થક થાય…
Permalink