આપણે પોતાને સમજાયા નથી,
જોઈએ એવા વલોવાયા નથી.
ફૂલ જેવું ખીલવા માટે હજી,
મૂળિયાં માટીમાં ધરબાયાં નથી.
અંકિત ત્રિવેદી

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for આર. જે. નિમાવત

આર. જે. નિમાવત શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.




ઝાંઝવાં – આર. જે. નિમાવત

સ્વપ્નમાં રણ વિસ્તરે તારા વગર,
ઝાંઝવાં બસ તરવરે તારા વગર.

વાદળી એકકેય ક્યાં છે આભમાં?
મોભ કિન્તુ નીતરે તારા વગર!

ટોડલે ટાંગેલ તારા ચાકળે–
આભલાં રુદન કરે તારા વગર.

એકલું એકાંત છે, હું પણ નથી,
શ્વાસ કેવળ હરફરે તારા વગર.

પાણિયારે હેલ ખાલી છે પડી-
કોણ આવીને ભરે તારા વગર?

કોણ ખાલી જિંદગીના ચોકમાં-
અવનવા રંગો પૂરે તારા વગર?

– આર. જે. નિમાવત

પ્રારંભથી જ વિયોગ અને વિષાદ ગઝલનાં પ્રભાવી પહેલુ રહ્યાં છે. અહીં તો આખી ગઝલ જ ‘તારા વગર’ રદીફની ધરી પર ઊભી છે. સ્વપનમાં પણ મુલાકાત થઈ ન શકે એવી રણમાં ઝાંઝવા જેવી પરિસ્થિતિ વિયોગની પરાકાષ્ઠા ચાક્ષુષ કરે છે. મનનું આકાશ તો નિરભ્ર છે, પણ આંખોનો મોભ નીતરી રહ્યો છે. ક્યારેક પ્રિયજને દરવાજાના ટોડલે ચાકળો ટાંગ્યો હશે, એમાંના આભલા આજે રડી રહ્યા છે. ‘તારા’ શબ્દમાં શ્લેષ અનુભવી શકાય છે- એક તો બીજાપુરુષ એકવચન તરીકેનું સંબોધન અને બીજું, ચાકળામાં જે તારા અને આભલાનું ભરતકામ કરાયું હોય એ તારાનો સંદર્ભ. એકાંત એ હદે વ્યાપી ગયું છે કે સ્વયંની ઉપસ્થિતિ પણ અનુભવાતી નથી. જીવન કેવળ શ્વાસની હેરફેર થતી હોય એવી નિષ્પ્રાણ લાશ બનીને રહી ગયું છે.

Comments (1)