સૌ ફરે છે આમ તો દેશાવરો,
તોય ઘરને ક્યાં વટાતું હોય છે !
રાકેશ હાંસલિયા

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for ફારૂક શાહ

ફારૂક શાહ શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.




તાલ ક્ષતિનો ☆ ફારૂક શાહ

મંજીરું બજે, ઢાળ વહે ગંગાસતીનો,
પણ જીવમાં પડઘાયા કરે તાલ ક્ષતિનો.

રોકી ન શકાતો કોઈ સંવેદનાનો જન્મ,
ઊતરી ન શકે કોઈ રીતે બોજ મતિનો.

એક મંત્ર તૂટ્યો, તૂટી બધી નાભિક્રીડાઓ,
દદડયા કરે છાતીથી અનલ અથથી ઈતિનો.

વિસ્તારવાનું રોજ બને જળની સપાટી,
તોયે મળે છે ક્યાં મને અહેસાસ ગતિનો.

આંખોથી વહી નીકળ્યા બાહર બધા સંવેગ,
રગરગમાં ફર્યો શાપ કોઈ સ્વપ્નવતીનો.

મસ્તિષ્ક ઉઘાડીને રુધિર હોમ કરી જોઉં,
પણ ચમકે ન વીજળી કે બળે વેશ જતિનો.

☆ ફારૂક શાહ

ખાટલે મોટી ખોડ હોય એ માણસ લક્ષ્મી ચાંદલો કરવા આવે ત્યારે મોઢું ધોવા જાય. ગંગાસતીનો ઢાળ બહેતો હોય અને મંજીરાં રણકતાં હોય એ સમયે આધ્યાત્મના અનવદ્ય પ્રવાહમાં વહી જવાના બદલે આવા માણસ પોતાની ખામીઓના સૂરતાલમાં રત રહે છે. બીજા શેરમાં બુદ્ધિ અને હૃદયનું દ્વંદ્વ નિર્દિષ્ટ છે. લાગણીને અટકાવી શકાતી નથી ને મનને હળવું કરી શકાતું નથી. જીવનની દરેક બાબતમાં એકધ્યાન રહેવું આવશ્યક છે. નજર હટી, દુર્ઘટના ઘટી. જીવને શિવ સાથે બાંધી રાખતો મંત્ર તૂટ્યો નથી કે છાતીમાં આરંભથી આજ સુધીની બળતરા વ્યાપી રહે. ચોથો શેર ઠીકઠાક થયો છે, પણ છેલ્લા બે શેર વળી જોરુકા. એમાંય સ્વપ્નવતી પર તો વારી જવાનું મન થાય.

Comments