ઢળતી બેલા પીળા પાને કાગળ આવ્યા આયે ન બાલમ;
કા કરું સજની હમને દિલનો દીપ જલાવ્યા આયે ન બાલમ.
– નયન દેસાઈ

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for March, 2018

શ્યામ! હું તારી ગાયો ચરાવું – પરવીન શાકિર (અનુ. વિવેક મનહર ટેલર)

આંખ દર્પણથી જ્યારે ખસેડી,
.          શ્યામસુંદરને રાધા મળી આવી.
આવ્યા સપનામાં ગોકુળના રાજા,
.          આપવા સહિયરોને વધાઈ.
પ્રેમજળથી ભરું આખી ગાગર,
.          વાદળે આજે માયા લૂંટાવી.
કોને પનઘટ જવાની હતી જિદ્દ?
.          ગાગરે કોને વિનતિ કરાવી?
વહેવા લાગ્યું જો ખોબેથી પાણી!
.          પ્યાસ ગિરધરની શી રીતે છીપી?
જળનો જ આંચલ બનાવી હવે લઉં
.          ઝાડ પર કેમ ચુનરી સૂકાવી?
નીંદ પણ આપશે એ જ બાળક
.          જેણે માથાની બિંદીને ચોરી.
મારો આત્માય રંગી દીધો છે!
.          શી મનોહરને મન વાત આવી?
મેં સખીઓને ક્યારે કહ્યું કંઈ?
.          વેરી પાયલને લૈ વાટ લાગી
ગોપી સંગેય ખેલે કનૈયો,
.          મારી જોડેય મીઠી લડાઈ.
લાગશે કોઈ તો ખુશબૂ સારી!
.          ભરી-ભરી ફૂલ આંચલમાં લાવી.
શ્યામ! હું તારી ગાયો ચરાવું
.          મોલ લઈ લે તું મારી કમાઈ.
કૃષ્ણ ગોપાલ બસ, માર્ગ ભૂલ્યા
.          રાધા પ્યારી તો સૂધ ભૂલી આવી.
સૂર સૌ એક મુરલીની ધૂનમાં
.          આવી રચના ભલા, કોણે ગાઈ?
શ્યામ! બંધાયું આ કેવું બંધન!
.          વાત તારી સમજમાં ન આવી.
હાથ ફૂલથી પહેલાં બન્યા કે
.          ફૂલમાંથી જ ફૂટી કલાઈ!

– પરવીન શાકિર
(અનુ. વિવેક મનહર ટેલર)

પાકિસ્તાનની ધરતી પર જન્મેલી, બેહદ ખૂબસુરત અને અકાળે મૃત્યુ પામેલી મુસલમાન શાયરા પરવીન શાકિરની નખશિખ કૃષ્ણપ્રેમની નઝ્મનો અનુવાદ આજે માજે માણીએ. પહેલો બંધ જ એટલો આકર્ષક છે કે એનાથી આગળ વધીએ જ નહીં તો પણ સાર્થક છે. પરવીન દર્પણમાં પોતાની આંખોને જોઈ રહેલી રાધાની વાત કરે છે. આંખ દર્પણ સામેથી હટાવી લેવાઈ છે એ વાતને પરવીન રાધા કૃષ્ણના મિલનના અંત સાથે કેવી ખૂબસૂરતીથી સાંકળે છે! રાધા અરીસામાં પોતાને જુએ છે. આંખની કીકી શ્યામ રંગની છે એટલે અરીસામાં રાધા પોતાની આંખોને નહીં, શ્યામસુંદરને જ જોઈ રહી છે જાણે. આગળ વધીને એમ પણ કહી શકાય કે રાધા અરીસામાં જુએ છે ત્યારે એને પોતાની જાતને બદલે શ્રીકૃષ્ણ જ નજરે ચડે છે. એટલે એ અરીસામાં પોતાને જ્યાં સુધી જોયા કરે છે ત્યાં સુધી શ્યામ સાથેનું મિલન ચાલુ અને જેવી અરીસા સામેથી શ્યામ આંખો હટાવી નથી કે મિલન પણ પૂરું. અરીસાની સામે કોઈ આજીવન ઊભા રહી શકતું નથી, ભલે સ્વમાં શ્યામ કેમ ન દેખાતા હોય?! ટોચ ગમે એટલી વહાલી કેમ ન હોય માણસ ટોચ પર કાયમી ઘર કરી શકતો નથી એટલે રાધાએ પણ અરીસાથી નજર હટાવીને દુનિયામાં પરત તો આવવું જ પડે છે. મિલન ગમે એવું મધુરું કેમ ન હોય, એ કદી સનાતન હોઈ શકતું નથી. કેવું અદભુત કલ્પન! શ્યામમિલનની આવી ઉત્તમ કલ્પના તો આપણા વ્રજકવિઓએ પણ કદાચ નહીં કરી હોય. દેહથી બહાર નીકળીએ ત્યારે એહની પ્રાપ્તિ થાય એ વાત તો હજારો સંતો ને કવિઓ કરી ગયા છે. પણ સ્વમાં જ સર્વેશ્વરને જોવાની પરવીનની આ વાત યજુર્વેદના अहं ब्रह्मास्मि  અને ભગ્વદગીતામાંના શ્રીકૃષ્ણના ઉચ્ચારણ -सर्वस्य चाहं हृदि सन्निविष्टो (હું બધા પ્રાણીઓના દિલમાં વસું છું)-ની યાદ પણ અપાવે છે. બીજું, પરવીન અહીં શ્યામસુંદર વિશેષણ વાપરે છે, જે કૃષ્ણ માટે જેટલું સાચું છે એટલું જ અરીસા સામે ઊભેલી રાધા માટે પણ સાર્થક છે.

श्याम! मै तोरी गईयाँ चराऊँ

आँख जब आईने से हटाई
.          श्याम सुन्दर से राधा मिल आई
आये सपनो में गोकुल के राजा
.          देने सखियों को बधाई
प्रेम-जल ख़ूब गागर में भर लूँ
.          आज बादल ने माया लुटाई
किसको पनघट पे जाने की ज़िद थी
.          किससे गागर ने विनती कराई
ओक से पानी बहने लगा तो!
.          प्यास गिरधर की कैसे बुझाई
अब तो जल का ही आँचल बना लूँ
.          पेड़ पर क्यों चुनरिया सुखाई
उसी बालक से निन्दिया मिलेगी
.          जिसने माथे की बिन्दिया चुराई
रंग डाली मेरी आत्मा तक!
.          क्या मनोहर के मन में समाई
मैंने सखियों को कब कुछ बताया
.          बैरी पायल ने ही जा लगाई
गोपियों से भी खेले कन्हैया
.          और हमसे भी मीठी लड़ाई
कोई ख़ुशबू तो अच्छी लगेगी!
.          फूल भर-भर के आँचल में लाई
श्याम! मै तोरी गईयाँ चराऊँ
.          मोल ले ले तू मेरी कमाई
कृष्ण गोपाल रास्ता ही भूले
.          राधा प्यारी तो सुध भूल आई
सारे सुर एक मुरली की धुन में
.          ऐसी रचना भला किसने गाई
कैसा बंधन बंधा श्याम मोरे
.          बात तेरी समझ में न आई
हाथ फूलो से पहले बने थे
.          या कि गजरे से फूटी कलाई!

– परवीन शाकिर

Comments (5)

નિસાસો – નેહા પુરોહિત

બળતરા, જરા જેવી કળતર.. નિસાસો,
ગળે શ્વાસને, જાણે અજગર નિસાસો.

ઝરણ જેવું હળવેકથી હું વહું ત્યાં,
ભરે બાથમાં થઈને સમદર નિસાસો.

તમે રોજ આવો ન સ્વપ્નોમાં મારા,
મજાનું મિલન, પણ છે વળતર નિસાસો.

ગળે હાર હીરાનો સૌને દીસે છે,
ન દેખાય ભીતરનું જડતર – નિસાસો.

દિવસભર તો નાચ્યા કરે શહેરભરમાં,
રમે રાસ રાતેય ઘરઘર નિસાસો.

જરા સમતા આંજી કરી આંખ રાતી,
જુઓ, કેવો થાતો ત્યાં થરથર નિસાસો.

ફર્યો શું યયાતિનો કર એના માથે?
જરાયે નથી થાતો જરજર નિસાસો.

– નેહા પુરોહિત

નિસાસો એટલે આર્તનાદ. દુઃખની પરાકાષ્ઠાના સમયે જે નિઃશ્વાસ ઠે..ઠ નાભિમાંથી નીકળે એ નિસાસો. તો નિસાસાની ગઝલ પણ જો ઠે..ઠ નાભિમાંથી ઊઠીને આવી ન હોય તો સ્પર્શે નહીં. આ ગઝલ વાંચતાવેંત એક ડચૂરો ગળે અટકી જતો અનુભવાય, જાણે આપણા શ્વાસોને અજગર ગળતો ન હોય! પ્રિયતમને સ્વપ્નમાં પણ આવવાની કવયિત્રી મનાઈ ફરમાવે છે કેમકે સ્વપ્નમાં થતું મિલન તો મધુરુ લાગે છે પણ આંખ ખુલ્યા પછી એના વળતરરૂપે જે નિસાસા નાંખવા પડે છે એ કેમ સહેવા?! લોકોની નજરે સમૃદ્ધિ તો તરત જ ચડે છે પણ બહારથી નજરે ચડતી એ સાહ્યબીની પાછળ અથવા બીજી રીતે જોઈએ તો એ સાહ્યબી મેળવવા પાછળ જે એકલતા, તકલીફો, સંઘર્ષો વેઠવા પડ્યા છે એ કોણ જુએ જ છે? પોતાના મૃત દીકરાને પુનર્જીવિત કરાવવા બુદ્ધના શરણે આવેલ માને આખા ગામમાં એકે ઘર એવું મળતું નથી જ્યાં કોઈ અવસાન પામ્યું જ ન હોય; દુઃખની આ યુનિવર્સાલિટીને કવયિત્રી નિસાસો શરેઅભરમાં રાત-દિવસ રાસ રમે છે એમ લહીને કેવી સ-રસ રીતે રજૂ કરી શક્યાં છે! દુઃખના માથે અજરામર યયાતિનો હાથ ફર્યો છે કે શું, નિસાસો કદી જર્જરિત થતો જ નથી…

Comments (6)

(તમે કરી’તી-અમે વિતાવી) – ભરત વાઘેલા

તમે કરી’તી સૂક્કી સૂક્કી મિલન કેરી વાતો જી,
અમે વિતાવી ભીની ભીની ઝાકળવરણી રાતો જી.

એક ખીલેલું ફૂલ અમે તો ડાળીએથી તોડ્યું જી,
નામ તમારું લઈને એને ખુદની સાથે જોડ્યું જી.
શું ખબર એ સુગંધ સાથે વિખશે એની ભાતો જી,
તમે કરી’તી સૂક્કી સૂક્કી મિલન કેરી વાતો જી.

એમ હતું કે વસંત આવે ખીલશે એને પત્તા જી,
એક નવી ડાળીને ઉગવા કરશે થડમાં વત્તા જી.
શું ખબર એ થડે કર્યો છે ઉધઈ સાથે નાતો જી.
તમે કરી’તી સૂક્કી સૂક્કી મિલન કેરી વાતો જી.

– ભરત વાઘેલા

ગીત પુરુષે લખ્યું છે પણ સંવેદના એક સ્ત્રીની છે અને સ્ત્રીના ઋજુ મનોભાવ કવિ સુપેરે ઝીલી શક્યા છે. પુરુષને માત્ર મિલનમાં રસ છે, પણ મિલનનો સ્વાર્થ અને ગરજ હોવા છતાંય પણ એ એની વાતોમાં ભીનાશ લાવી શકતો નથી. સ્ત્રી આ સમજે છે એટલે એની રાતો આંસુથી ભીની ભીની વીતે છે. પિયરની ડાળીએ ખીલેલું ફૂલ સાસરે આવે છે ને પતિના નામ સાથે જાતને જોડે છે. ફૂલ બિચારું ખુશબૂ વેરવા ને વહેંચવામાં જોતરાઈ ગયું છે પણ સાસરાની સૂકી આબોહવામાં એની ભાત વિંખાવા માંડી છે, કરમાવા માંડ્યું છે. હવે જીવનમાં નવી વસંત, પરિવારમાં નવા સદસ્યનું આગમન જ એની એકમાત્ર આશા છે. નવોઢા વિચારે છે કે પરિવારવૃક્ષનો પાયો યાને કે પતિ નામના થડમાં નવી ડાળીનો સરવાળો થશે તો વૃક્ષ ફરી લીલુંછમ થઈ જશે પણ એને ખબર નથી કે જેની પાસે એને નવજીવનની આશા છે એ થડ ઉધઈ (સૌતન?/ખરાબ સોબત?/ખોટી આદતો?) સાથે નાતો જોડી બેઠું છે…

Comments (13)

मैं और मेरी तन्हाई – अली सरदार जाफ़री

आवारा हैं गलियों में मैं और मेरी तनहाई
जाएँ तो कहाँ जाएँ हर मोड़ पे रुसवाई

ये फूल से चहरे हैं हँसते हुए गुलदस्ते
कोई भी नहीं अपना बेगाने हैं सब रस्ते
राहें हैं तमाशाई राही भी तमाशाई

मैं और मेरी तन्हाई

अरमान सुलगते हैं सीने में चिता जैसे
कातिल नज़र आती है दुनिया की हवा जैसे
रोती है मेरे दिल पर बजती हुई शहनाई

मैं और मेरी तन्हाई

आकाश के माथे पर तारों का चरागाँ है
पहलू में मगर मेरे जख्मों का गुलिस्तां
है आंखों से लहू टपका दामन में बहार आई

मैं और मेरी तन्हाई

हर रंग में ये दुनिया सौ रंग दिखाती है
रोकर कभी हंसती है हंस कर कभी गाती है
ये प्यार की बाहें हैं या मौत की अंगडाई

मैं और मेरी तन्हाई

– अली सरदार जाफ़री

‘સિલસિલા’ પિક્ચરનું ગીત યાદ આવી જાય શીર્ષક વાંચતા…પણ આખું કાવ્ય અલગ જ છે. આ એક બહુ જ મજબૂત શાયરનો કલામ છે – સરળ હિન્દી છે, અનુવાદની જરૂર નથી લાગતી.

Comments (3)

વર્ષો પછી પ્રેમિકાને મળતાં…- અનિલ ચાવડા

ઓળખ્યોને કોણ છું?
પાંપણ પર ઝૂલતો ‘તો, તમને કબૂલતો ‘તો, આભ જેમ ખૂલતો ‘તો એ જ હું;
ઓળખ્યોને કોણ છું?

ચોપડીના પાનાંમાં સૂક્કું ગુલાબ થઈને રહેવાને આવ્યું ‘તું કોણ?
તમને વણબોલાવ્યે મારી આ શેરીમાં બોલાવી લાવ્યું ‘તું કોણ?
કળી જેમ ફૂટતો ‘તો, તમને જે ઘૂંટતો ‘તો, તોય સ્હેજ ખૂટતો ‘તો એ જ હું;
ઓળખ્યોને કોણ છું?

લાગતો ‘તો જીવનમાં તમને દુકાળ ત્યારે આવ્યો તો થઈને વરસાદ,
સૂક્કા ભઠ ખેતરમાં ત્યારબાદ મોલ ખૂબ ખીલ્યો ‘તો આવ્યું કંઈ યાદ?
યાદ ન’તો રહેતો જે, આંસુ થઈ વહેતો જે, તોય કંઈક કહેતો જે, એ જ હું;
ઓળખ્યોને કોણ છું?

-અનિલ ચાવડા

Comments (11)

ક્યારેક – શીનાઘ પ્યુ (અનુ. વિવેક મનહર ટેલર)

ક્યારેક બદમાંથી ચીજો બદતર નથી બનતી કદી,
ને કંઈક વર્ષો દ્રાક્ષ પણ હંફાવે છે હિમપાતને;
હરિયાળી ફૂલે-ફાલે, નિષ્ફળ પાક પણ જાતો નથી,
ક્યારેક માણસ ઊંચું તાકે, ને બધું સારું બને.

ક્યારેક લોકો પાછી પાની પણ કરે છે યુદ્ધથી;
ચૂંટે છે પ્રામાણિકને, ને કાળજી પૂરતી કરે,
કે કોઈ અણજાણ્યો ગરીબીમાં ન સબડે ભૂલથી.
કેટલાક લોકો જે થવાને જન્મ્યા છે, બસ, એ બને.

ક્યારેક કોશિશ શ્રેષ્ઠતમ એળે ન જાતી આપણી,
ક્યારેક જે કરવા વિચાર્યું હોય એ કરીએ છીએ.
સંતાપનું મેદાન જે થીજ્યું પડ્યું હો કાયમી
પીગાળશે ક્યારેક સૂરજ: આવું તમને પણ ફળે.

– શીનાઘ પ્યુ
(અનુ. વિવેક મનહર ટેલર)

ક્યારેક કવિતા કવિને પણ અતિક્રમી જતી હોય છે. કવિતાના વિરાટસ્વરૂપ સામે સર્જક અને એનું અન્ય તમામ સર્જન વામણા બનીને રહી જતા હોય છે. શીનાઘ પ્યુની આ નાની અમથી કવિતા ‘ક્યારેક’ અભૂતપૂર્વ લોકપ્રિયતા પામી છે અને લોકોએ જીવનના દરેક તબક્કામાં અને દરેક પ્રસંગોમાં, ખાસ કરીને શોકસભાઓમાં તથા શાળાઓએ અભ્યાસક્રમમાં ને પરીક્ષામાં આ કવિતા સેંકડોવાર વાપરી છે, વાપરી રહ્યા છે. હકીકત એ છે કે સર્જક શીનાઘ પ્યુ આ કવિતાને બેહદ નફરત કરે છે. કહે છે કે એ આ કવિતાને એટલા માટે નફરત કરે છે કે એ એમનું પ્રતિનિધિ કાવ્ય નથી. આ કાવ્ય એમની સાચી શૈલી અને સર્ગશક્તિ રજૂ કરતું નથી. પણ આ કવિતાએ નિષ્ફળતાની ચરમસીમા પર ઊભેલા ઢગલાબંધ લોકોનો હાથ ઝાલીને સંજીવની બક્ષી છે. એટલે જ ક્યારેક કળા કળાકાર કરતાં મહાન સિદ્ધ થાય છે. હા, ‘ક્યારેક.’

ક્યારેક’ કાવ્ય મૂળભૂતરીતે કવયિત્રીએ એંસીના દાયકામાં એક ઓળખીતા ખેલાડી માટે લખ્યું હતું. આ ખેલાડીને કોકેનનું વ્યસન હતું અને આ કવિતા એ ખેલાડી ગમે તે ભોગે વ્યસનમુક્ત થઈ શકશે એવી આશા સાથે લખાઈ હતી. શીનાઘની આ કવિતા આશાનો બુસ્ટર ડોઝ છે. એ ‘ક્યારેક’ ‘ક્યારેક’ની આલબેલ પોકારે છે પણ આપણને એમાંથી ‘હંમેશા’ ‘હંમેશા’નો જ પડઘો સંભળાય છે.

*

Sometimes

Sometimes things don’t go, after all,
from bad to worse. Some years, muscadel
faces down frost; green thrives; the crops don’t fail,
sometimes a man aims high, and all goes well.

A people sometimes will step back from war;
elect an honest man, decide they care
enough, that they can’t leave some stranger poor.
Some men become what they were born for.

Sometimes our best efforts do not go
amiss, sometimes we do as we meant to.
The sun will sometimes melt a field of sorrow
that seemed hard frozen: may it happen for you.

– Sheenagh Pugh

Comments (2)

(આ વ્યક્તિ, આ ટોળું) – નયન હ. દેસાઈ

આ વ્યક્તિ, આ ટોળું, આ શબ્દો, ધુમાડો,
આ આંખો, આ દૃશ્યો ને ઊંડી કરાડો.

હા, એકાંત કણસે છે છાતીમાં ઊંડે,
આ હોઠો આ હસવું ને મૂંગો બરાડો.

લે, પડછાયા, ડાઘુ થૈ બેઠા છે ઘરમાં,
આ પગરવ, આ ઊંબર ને ભાંગ્યાં કમાડો.

તો પોતાનું સરનામું મળવાનું ક્યાંથી?
આ દર્પણ, આ ચહેરા ને ઝાંખા પહાડો.

હું સૂરજનો કોઈ આઠમો અશ્વ છું,
આ રસ્તો, આ ચાબુક ને વાંસો ઉઘાડો.

ને ચપ્પુ તો છાતીમાં ઊતરે, પરંતુ,
આ હાથો, હથેળી ને એમાં તિરાડો.

કે તૂટી પડ્યો છે પુરાણો ચબુતરો,
આ શેરી, આ સંધ્યા ને સંભળાય ત્રાડો

– નયન હ. દેસાઈ

જેમ વિશ્વ કવિતામાં એમ જ ગુજરાતી કવિતામાં સમય સમયાંતરે વહેણ બદલાતાં રહ્યાં છે. ઉર્દૂ-ફારસી બનીમાંથી ક્રમશઃ શુદ્ધ ગુજરાતી તરફ ગઝલનું પ્રયાણ થયું એ પછી વચ્ચે ગઝલ પરંપરાથી કંટાળી અને આધુનિકતા, સરરિઆલિઝમ, મેટાફિઝિકલ, એબ્સર્ડ, પ્રયોગો – આમ ગઝલ અલગ અલગ નવી ફ્લેવર ચાખવાની કોશિશ કરી ચૂકી છે. નયન દેસાઈ એમના જમાનામાં ખાસ્સા પ્રયોગખોર રહ્યા છે. એમણે ઢગલાબંધ એબ્સર્ડ ગઝલો પણ લખી છે. એબ્સર્ડ ગઝલ એટલે એવી ગઝલ જેમાંથી દેખીતો અર્થ તારવવો મુશ્કેલ થઈ પડે પણ એમાંથી પસાર થતી વખતે ભાવકને એક અનૂઠી અનુભૂતિ થાય. આમેય કહ્યું છે ને કે, A poem has to be, not mean. અર્થાત્, કવિતાનું હોવું જ જરૂરી છે, અર્થ નહીં.

આ ગઝલ એબ્સર્ડિટી અને આધુનિકતાના સંધિસ્થળ પર ઊભેલી ગઝલ છે. કવિ આખી ગઝલમાં ક્રિયાપદોનો ભાગ્યે જ પ્રયોગ કરે છે. અને ‘આ’ એકાધિકવાર -૧૭ વાર- વાપરીને અલગ-અલગ ટુકડાઓ આપણને આપે છે અને કહે છે કે આ ટુકડાઓ ગોઠવીને જિગ-સૉ પઝલ પૂરી કરો. આખી ગઝલ એક રીતે જોઈએ તો દૃશ્ય ગઝલ છે. કવિનો કેમેરા અલગ અલગ દૃશ્યોને એક બીજાની અડખે પડખે juxtapose કરીને એક નવું જ દૃશ્ય રચે છે. કેલિડોસ્કૉપને જેટલીવાર ફેરવો, એક નવી જ ડિઝાઇન સામે આવે, એવું જ કંઈક આ ગઝલ વિશે કહી શકાય.

એક જ શેર હાથમાં લઈએ:

આ વ્યક્તિ, આ ટોળું, આ શબ્દો, ધુમાડો,.
આ આંખો, આ દૃશ્યો ને ઊંડી કરાડો.

એક શેરમાં સાત દૃશ્યો એકબીજાની બાજુબાજુમાં મૂકી દેવાયા છે. બધા જ દૃશ્યો સાથે ‘આ’ લગાડાયું છે એટલે જે પણ કંઈ છે એ આપણી આંખોની સામે એકદમ નજીક છે, કદાચ અડી શકાય એટલું નજીક. પહેલું દૃશ્ય આ વ્યક્તિનું છે. બીજું આ ટોળાનું. સમજી શકાય છે કે ‘લોગ સાથ આતે ગયે ઔર કારવાઁ બનતા ગયા’ની વાત કવિને અભિપ્રેત છે. ત્રીજું અને ચોથું દૃશ્ય અનુક્રમે પહેલાં અને બીજા દૃશ્ય સાથે જોડાયેલ છે. વ્યક્તિ બોલે એ શબ્દો છે પણ ટોળું બોલે એ? શબ્દો કે ધુમાડો? ટોળાંનો અવાજ ધુમાડા જેવો છે, એ સાફ નથી, તરત વિખેરાઈ જાય છે, એમાંથી કોઈ નિશ્ચિત અર્થ તારવવો અશક્ય છે. બીજા મિસરામાં કવિ ભાવકને પણ સાંકળી લે છે અને બે સામસામે ઊભેલા દૃશ્યો વચ્ચે એક સંબંધ પ્રસ્થાપિત કરે છે. આપણી આંખો આ દૃશ્યો જુએ છે પણ ટોળું એ અનિર્ણાયકતાનું પ્રતીક છે એટલે આ દૃશ્યોમાં ઊંડી કરાડો પડેલી નજરે ચડે છે… કરાડ એટલે ઊંચી ભેખડની ઊભી કોર, અર્થાત બે ઊંચા પર્વતો વચ્ચે રચાતી ખાઈ… આ ખાઈ અહીં ઊંડી પણ છે… અર્થાત્, ભલે સામેના દૃશ્ય અને ભાવકની વચ્ચે જોવાનાર અને જોનારનો એક સંબંધ કેમ ન બંધાયો હોય, સરવાળે તો ઊંડી ખાઈ છે… ભાવક સામા ટોળાં કે વ્યક્તિનો એક ભાગ બની શકતો નથી… એ તટસ્થતાથી શબ્દોને ધુમાડો થઈ ઊડી જતા જોઈ રહ્યો છે…

આખી ગઝલને આ રીતે ખોલી શકાય…

Comments (3)

(ત્રિપદી પ્રયોગ ગઝલ) – જગદીપ નાણાવટી

મૃગજળમાંથી મૃગજળ પી તું
મૃગજળમાંથી મૃગ જળ પીતું
કેવું અા સૂઝ્યું અોચિંતુ !!

સમજણ સરરર સર સરકી તું
સમજણ સરરર સર સર, કિંતુ
હરદમ અાડો અાવે ‘કિંતુ’

સારેગમ પધનીસા ની ઝણણ ઝટ
સારેગમ પધની શાની ઝંઝટ?
મારે ક્યાં ગાવા છે ગીતુ ??

દર્પણ સામે દર્પણ લાગે
દર્પણ સામે ડર પણ લાગે
માણસ થઈ માણસથી બ્હી તું?

શતરંજોમાં જીવતું પ્યાદું
શત રંજોમાં જીવતું પ્યાદું
હારીને અંતે હું જીતું

– જગદીપ નાણાવટી

અચાનક વૉટ્સ-એપના એક ગ્રુપમાં આ ગઝલ રમતી જડી આવી. કવિ આને ત્રિપદી પ્રયોગ ગઝલ તરીકે ઓળખાવે છે, જેમાં દરેક શેરની પહેલી બે કડી આંતર્પ્રાસ મેળવીને ચાલે છે અને ત્રીજી પંક્તિ હમરદીફ હમકાફિયાનો હાથ ઝાલીને ચાલે છે… પહેલી બે પંક્તિ વાંચતા જ સ્તબ્ધ થઈ જવાયું. ચિત્રકાર રંગોની એમ કવિ શબ્દોની રમત શરૂથી કરતો આવ્યો છે પણ એક જ પંક્તિમાં શબ્દો વચ્ચેના અવકાશની જગ્યાની ફેરબદલી અને નાની અમથી જોડણીની હાથચાલાકી કરીને અર્થસભર શેર નિપજાવવા એ કેટલું મોટું કામ કહેવાય! કુશાગ્ર બુદ્ધિમતા વિના આ કામ શક્ય જ નથી… ગઝલ વાંચતાવેંત હું તો આફરીન-આફરીન પોકારી ગયો… આપણી ભાષામાં આવી ઉત્તમ શબ્દ-ચમત્કૃતિવાળી રચના ભાગ્યે જ જોવા મળશે…

Comments (11)

અંદર અંદર કણસે…- મુકેશ જોષી

કેટકેટલાં વાવાઝોડાં ને વંટોળો પીને માણસ
અંદર અંદર કણસે
છાતી વચ્ચે ફેલાતું હો ફાટફાટ વેરાન ને
માણસ મહેફિલ માટે તરસે

સમય નામનો સાંઢ જ જોને ચાવી જાતો
ફૂલગુલાબી તડકાઓને, છોડી જાતો અંધકાર એ ગાઢ
લીલા છાંયે ભર્યાં સરોવર ગટગટ કરતો પી જાતો ને
માણસ પીતો તરસ નામની થરથરતી કો ટાઢ
એક સામટા સાત ઉનાળા છાતીમાં ધરબાઈ જાય
રે વાદળ જેવા ભીના ભીના સંબંધોય વણસે …છાતી વચ્ચે

જૂની દીવાલોથી ખરતી રેતી જેવું માણસમાંથી
કશું ખરે દરરોજ ને માણસ ચોમેરે કોરાય
ઈશ્વરના સંતાન અરે આ માણસના બે હાથ વચાળે
કલમ છતાંય સુખની રેખા જાતે ના દોરાય
થોકબંધ એ શરદપૂનમને આંખ વચાળે રોપે ને પંપાળે
તોય આંખ ખૂલતાં ધડામ કરતી અમાસ વરસે …

છાતી વચ્ચે ફેલાતું હો ફાટફાટ વેરાન ને
માણસ મહેફિલ માટે તરસે

 

– મુકેશ જોષી

 

કેવી નકરી વાસ્તવિકતા ગવાઈ છે !!!

Comments (4)

ચર્ચમાં – આર. એસ. થોમસ (અનુ. વિવેક મનહર ટેલર)

ઘણીવાર હું મથું છું
એની ચુપકીઓની ગુણવત્તાનું
વિશ્લેષણ કરવા. શું અહીં જ ભગવાન છુપાયો છે
મારી શોધખોળથી? મેં સાંભળવી બંધ કરી છે,
કેટલાક લોકોના ચાલી ગયા પછી,
એ હવાઓને જે પુનર્ગઠિત કરે છે પોતાને
નિગરાની માટે. એણે આ જ રીતે પ્રતીક્ષા કરી છે
પથ્થરો એની ફરતે ટોળું બનાવી બેઠા છે ત્યારથી.
આ છે કઠણ પાંસળીઓ
એક શરીરની જેને આપણી પ્રાર્થનાઓ જીવંત કરવામાં
નિષ્ફળ નીવડી છે. પડછાયાઓ આગેકૂચ કરી રહ્યા છે
તેમના ખૂણાઓમાંથી, એ જગ્યાઓનો કબ્જો મેળવવા માટે
જે પ્રકાશે બાનમાં રાખ્યો છે
એક કલાક સુધી. ચામાચીડિયાઓ
એમના ધંધે લાગી ગયાં છે. બાંકડાઓની બેચેની
શમી ગઈ છે. બીજો કોઈ જ અવાજ નથી
અંધારામાં સિવાય કે એક માણસના
શ્વસનનો, એના વિશ્વાસને ચકાસતો
આ ખાલીપે, એના પ્રશ્નોને એક પછી એક
ખીલે ઠોકતો એક ભાડૂતવિહોણી શૂળી પર.

– આર. એસ. થોમસ
(અનુ. વિવેક મનહર ટેલર)

*
ઈશ્વર. શું છે ઈશ્વર? સત્ય કે અસત્ય? વાસ્તવ કે કલ્પના? સધિયારો કે ડર? જગન્નિયંતા કે કથપૂતળી માત્ર? આપણે એનું સર્જન છીએ કે એ આપણું? કોઈએ જોયો નથી, કોઈએ અનુભવ્યો નથી, કોઈએ જોયાનો દાવો કર્યોય હોય તો એ દાવાની સત્યાનૃતતા કોઈએ કરી નથી ને તોય માનવજાતે આજસુધીના ઇતિહાસમાં સૌથી વધુ વિશ્વાસ આ સંપૂર્ણતઃ ઇન્દ્રીયાતીત વિભાવનામાં જ મૂક્યો છે, ને મૂકતી રહેવાની છે. માણસે જે દિવસે પહેલવહેલીવાર ડર અનુભવ્યો હશે એ દિવસે કદાચ ઈશ્વરનો જન્મ થયો હશે.

ચર્ચનો ધર્મનાદ ટાઢો પડી ગયો છે. લોકો ચાલ્યા ગયા છે. સ્થગિત હવા ત્યાંને ત્યાં ઘુમરાઈ રહી છે. પથ્થરો વધુ નિર્જીવ ભાસી રહ્યા છે. ઘડી પહેલાં જે સ્થાન પ્રકાશના તાબામાં હતું એને હડપવા ખૂણાઓના અંધારા આગેકૂચ કરી રહ્યાં છે. અંધારામાં બધું જ ઓગળી ગયું છે, અવાજ સુદ્ધાં. એકમાત્ર માણસના શ્વસનનો અવાજ એકમાત્ર અપવાદ છે. આ એક માણસ કવિનો આભ્યંતર અહમ્ (Alter ego)પણ હોઈ શકે છે. પથ્થરોની નિર્જીવ વસ્તીમાં ખાલી ક્રોસની ઉપર એ એક માણસ પોતાના શ્વાસોચ્છ્વાસ વડે પોતાના પ્રશ્નો, પોતાની શંકાઓ, પોતાની શ્રદ્ધાઓને એક પછી એક ખીલે ઠોકી રહ્યો છે. આ કવિતાને તમે નાસ્તિકતાનું રણશિંગુ પણ કહી શકો અને આસ્તિકતાનો શંખનાદ પણ; કેમકે ગ્લાસ અડધો ભરેલો છે કે અડધો ખાલી છે એ માત્ર ને માત્ર જોનારાની નજર ઉપર જ અવલંબિત હોઈ શકે. તમે ખોબામાં જે અંજલિ ભરી છે, એ શ્રદ્ધા હશે તો સાક્ષાત્ ગંગાજળ છે, ને શ્રદ્ધા ન હોય તો નકરું પાણી…

*
In Church

Often I try
To analyse the quality
Of its silences. Is this where God hides
From my searching? I have stopped to listen,
After the few people have gone,
To the air recomposing itself
For vigil. It has waited like this
Since the stones grouped themselves about it.
These are the hard ribs
Of a body that our prayers have failed
To animate. Shadows advance
From their corners to take possession
Of places the light held
For an hour. The bats resume
Their business. The uneasiness of the pews
Ceases. There is no other sound
In the darkness but the sound of a man
Breathing, testing his faith
On emptiness, nailing his questions
One by one to an untenanted cross.

– R S Thomas

Comments (2)

એક જણ પાસે ગયો – આબિદ ભટ્ટ

હૂંફ હળવી પ્રાપ્ત કરવા એક જણ પાસે ગયો,
પણ મને તો એમ લાગ્યું કેમ રણ પાસે ગયો?

છળ નવું સમજી અને મુખ ફેરવી લીધું તરત,
જળ ખરેખર પ્રેમથી પાવા હરણ પાસે ગયો.

હાથ લાગી છે નિરાશા પર નિરાશા હરવખત,
હું ખુદાને પામવા જ્યારે રટણ પાસે ગયો.

શબ્દ પોલા બોલવાની ના મને આદત નથી,
સિદ્ધ કરવા આ હકીકત આચરણ પાસે ગયો.

ને સદીનું પ્રાપ્ત થાશે મૂળ એના ગર્ભમાં,
હું કલાકો, વર્ષ છોડી માત્ર ક્ષણ પાસે ગયો.

સૂનકારાની પળો જ્યાં ભીંસવા લાગી મને,
થાય રાહત એમ સમજીને સ્મરણ પાસે ગયો.

કામયાબી ના મળી જ્યાં તર્કને તારા વિશે,
એક સીધી દોત મૂકી શાણપણ પાસે ગયો.

– આબિદ ભટ્ટ

મત્લા જ મન મોહી લે એવો મજાનો થયો છે. એ પછીના બધા જ શેર પણ તરત જ ગમી જાય એવા. આખી ગઝલમાંથી પસાર થતી વખતે જો કે એવું પણ લાગ્યું કે મોટાભાગના શેર ભાષાની થોડી વધુ સફાઈ માંગતા હતા, જે થઈ શકી હોત તો ગઝલ વધુ ઉત્તમ થઈ શકી હોત.

Comments (7)

(સમજાઈ ગઈ) – રાહુલ શ્રીમાળી

વાત આખી એ રીતે પલટાઈ ગઈ,
એક ક્ષણમાં જિંદગી બદલાઈ ગઈ.

દોસ્ત અફવા ઊડતી આવી અને,
આગ માફક એ બધે ફેલાઈ ગઈ.

દૃશ્યનો દરબાર સૂનો થઈ ગયો,
આરસી તૂટી અને વેરાઈ ગઈ.

છે અષાઢી મેઘના દિવસો અહીં,
લો, ગગનમાં વાદળી ઘેરાઈ ગઈ.

શબ્દે શબ્દે મૌન વાણી હોય છે,
કાવ્યની ભાષા મને સમજાઈ ગઈ.

– રાહુલ શ્રીમાળી

બધું જ સમૂસુતરું પાર પડતું હોય કે એક લીટીમાં સીધેસીધું જતું હોય એવામાં અચાનક એક વળાંક આવી ચડે અને એક જ ક્ષણમાં આખી જિંદગી બદલાઈ જાય એવો અનુભવ એક યા બીજી રીતે કદાચ બધાને થયો જ હશે ને! દૃશ્યના દરબારવાળું રૂપક પણ અદભુત છે. અને આખરી શેર તો ઉત્તમોત્તમ. કવિતામાં કવિ જેટલું બોલીને બતાવે છે એથી વધારે બોલ્યા વિના બતાવતો હોય છે. લખાયેલા શબ્દોના અવકાશની વચ્ચે છૂપાયેલી શક્યતા જ ખરી કવિતા હોય છે. આ વાત કવિ કેવી હળવાશથી કહી દે છે! કવિતાની ઉત્તમ વ્યાખ્યાઓમાં સમાવિષ્ટ કરવો પડે એવો બળકટ શેર…

Comments (3)

રમ્ય શાંતિ – રાવજી પટેલ

એક પંખીની પાંખ હલે ખેતર પર મંથર
પવન પણે જો પાળ ઉપર ગોવાળ સરીખો સ્તબ્ધ
ઘાસ અવલોકે !

વૃક્ષ છાંયમાં બળદ ભળી જઈ
લુપ્તકાય વાગોળે….
જાગે સૂર્ય એકલો.

નજર પહોંચે ત્યાં લગી વિચારો જંપ્યા.
તળાવનું પોયણ જલ સ્વપ્નવધૂના પેટ સરીખું હાલે !
પણે ચરાના શાંત ઘાસમાં સારસ જોડું
એકમેક પર ડોક પાથરી સૂતું.
ઉદગાર કાઢી ન શકું
એટલી રમ્ય શાંતિ
ઘડીભર આવી’તી…

– રાવજી પટેલ

અદભૂત શબ્દચિત્ર છે…..પ્રત્યેક શબ્દને કલ્પી જુઓ…..મનોહર સમો બંધાય છે…ખરેખર વિચારો જંપી જશે – સાચું મૌન અનુભવાશે

Comments (1)

ક્યારેક અંધકારે ટહુકો કરી લીધો – શ્યામ સાધુ

ક્યારેક અંધકારે ટહુકો કરી લીધો
ક્યારેક સૂની યાદના દીવા બળી ગયાં

એકેય રંગ આપણે પ્હેરી શક્યા નહીં,
સો વાર પેલા મોરનાં પીંછા મળી ગયાં

આંસુની હર દીવાલે હજુ એના ડાઘ છે
કૈં કેટલાંય મીણનાં પૂતળાં ગળી ગયાં

શોધું છું બારમાસીની ડાળીને ક્યારનો
કોને ખબર છે ફૂલના દિવસો ઢળી ગયાં

બારી બહાર શૂન્યતા ખડખડ હસી પડી,
ઘરમાં ઉદાસ મૌનનાં ટોળાં હળી ગયાં

– શ્યામ સાધુ

Comments (1)

કવિની અનિશ્ચિતતા – વેન્ડી કોપ (અનુ. વિવેક મનહર ટેલર)

(The Uncertainty of the Poet 1913, Giorgio de Chirico)

*

એક કવિ છું.
હું ખૂબ શોખીન છું કેળાંની.

હું કેળાં છું.
હું ખૂબ શોખીન છું એક કવિની.

હું એક કવિ છું કેળાંની.
હું ખૂબ શોખીન છું.

એક શોખીન કવિ ‘હું છું, હું છું’ની-
ખૂબ કેળાં.

શોખીન છું ‘શું હું કેળાં છું?
છું હું?’ની- એક ખૂબ કવિ.

કેળાં એક કવિના!
શું હું શોખીન છું? શું હું ખૂબ?

કવિ કેળાં! હું છું.
હું શોખીન છું ‘ખૂબ’ની.

હું ખૂબ શોખીન છું કેળાંની.
શું હું કવિ છું?

– વેન્ડી કોપ
(અનુ. વિવેક મનહર ટેલર)

*
તમાચાનો જવાબ તમાચાથી ન આપો તો જીવવું દોહ્યલું થઈ પડે એવા (અ)સમાજમાં આપણે જીવી રહ્યાં છીએ. પણ શું કવિતા આવું કામ કરે ખરી? શું કવિતા એના કપડાં કાઢનારનાં કપડાં ઊતારે ખરી? વેન્ડી કોપની પ્રસ્તુત રચના આનો જવાબ આપે છે.

‘કવિની અનિશ્ચિતતા’ (The Uncertainty of the Poet) શીર્ષક જૉર્જો ડિ કિરિકો (Giorgio de Chirico) નામના ઇટાલિઅન ચિત્રકારે ૧૯૧૩ની સાલમાં ૨૫ વર્ષની નાની વયે બનાવેલા ચિત્રના નામ પરથી લેવામાં આવ્યું છે. ચિત્રમાં હાથ-પગ અને માથું કપાયેલ સ્ત્રીનું ધડ નજરે ચડે છે, જે કમરમાંથી જોનાર તરફ વળેલ છે. માનવામાં આવે છે કે આ પ્રેમ અને કામની દેવી એફ્રૉડાઇટનું ધડ છે. એની બરાબર સામે જ પાકાં મોટા કદના કેળાંઓની એક લૂમ પડી છે, જે શિશ્નનો આભાસ પણ ઊભો કરે છે. જમણી બાજુએ દરવાજા વગરની ત્રણ ગોળ કમાનોવાળી ભીંત નજરે ચડે છે અને એ ભીંત જ્યાં પૂરી થાય છે ત્યાં ચિત્રના મથાળે ચિત્રના આ નાકેથી પેલા નાકા સુધી ખેંચાયેલી ઈંટોની બનેલી નાનકડી દીવાલ છે જેની પેલે બાજુ એક ટ્રેન ધુમાડા છોડતી દોડતી, ચિત્રની છેક ડાબી કિનારી સુધી પહોંચી ગયેલી નજરે ચડે છે. મનાય છે કે સ્ત્રીનું ધડ અને પાકાં કેળાં ની પાછળ કમાનમાંથી નીકળી આગળ ધસતી દેખાતી ટ્રેન ઇન્દ્રિયજન્ય સુખ, એની નશ્વરતા અને બૌદ્ધિક તથા આધ્યાત્મીક મુસાફરી ઈંગિત કરે છે.

અંગ્રેજીમાં જેમ bananas શબ્દને ગાળ તરીકે પણ લેવામાં આવે છે એ જ રીતે ગુજરાતીમાં પણ ‘કેળાં’ શબ્દપ્રયોગ લગભગ એવી જ અર્થચ્છાયા સાથે વપરાતો હોય છે એટલે આ અનુવાદ સંભવ થયો…

 

*
The Uncertainty of the Poet

I am a poet.
I am very fond of bananas.

I am bananas.
I am very fond of a poet.

I am a poet of bananas.
I am very fond.

A fond poet of ‘I am, I am’-
Very bananas.

Fond of ‘Am I bananas?
Am I?’-a very poet.

Bananas of a poet!
Am I fond? Am I very?

Poet bananas! I am.
I am fond of a ‘very.’

I am of very fond bananas.
Am I a poet?

– Wendy Cope

Comments (1)

એક ટોળામાં – મેહુલ ભટ્ટ

ન આદિલ થવાયું, ન ઘાયલ થવાયું,
ફક્ત એક ટોળામાં સામિલ થવાયું.

છે દાનતની બાબતમાં હાલત લટકતી,
ન વલ્કલ થવાયું, ન મલમલ થવાયું !

સદા કશ્મકશમાં રહે માંહ્યલો, દોસ્ત,
ન કાશી થવાયું, ન ચંબલ થવાયું !

ડહાપણનું ટીલું કપાળે કર્યું’તું,
કોઈનીય પાછળ ન પાગલ થવાયું !

સદા એક અફસોસ રહેશે જીવનમાં,
ન ‘હા’ પાડવામાં મુસલસલ થવાયું !

ભર્યું ત્યાં સુધી તો અધૂરા રહ્યા, પણ
કરી મનને ખાલી છલોછલ થવાયું !

આ છાતી વચોવચ છે રજવાડું રણનું,
મળ્યું નામ, ક્યાં તોય ‘મેહુલ’ થવાયું ?

– મેહુલ એ. ભટ્ટ

સાદ્યંત સુંદર ગઝલ… બધા જ શેર પાણીદાર અને મનનીય થયા છે. માત્ર બીજો અને ત્રીજો શેર અર્થની દૃષ્ટિએ એક સરખા છે એ સિવાયના બધા જ શેર મજબૂત છે. જ્યાં સુધી નિતનવા ગઝલકારો પાસેથી આવી તરોતાજા અને સંતર્પક રચનાઓ મળતી રહેશે ત્યાં સુધી તો ગઝલગઢ સલામત જ રહેશે…

Comments (9)

(કંઈ નથી) – મધુમતી મહેતા

સાથ કાયમનો છતાં સહવાસ જેવું કંઈ નથી,
સૂર્યનો આભાસ છે અજવાસ જેવું કંઈ નથી.

તેં નકાર્યું જ્યારથી રંગોભર્યા અસ્તિત્વને,
રક્તની આ દોડમાં ઉલ્લાસ જેવું કંઈ નથી.

કોઈ પણ આવી શકે ને આવીને જઈ પણ શકે,
જિંદગી છે આ દીવાનેખાસ જેવું કંઈ નથી.

જ્યાં મળ્યો છે આવકારો ત્યાં અમે રોકાઈ ગ્યા,
ગામ ઘર શેરી અને વનવાસ જેવું કંઈ નથી.

હું નથી દરિયો કે દટ્ટાયેલ મોહેં-જો-દડો,
હું નદીનું વહેણ છું ઇતિહાસ જેવું કંઈ નથી.

જે સજા ગણતો હતો તું તે જ મુક્તિ થઈ જશે,
રહી શક્યો પળમાં તો કારાવાસ જેવું કંઈ નથી.

– મધુમતી મહેતા

મજાની ગઝલ…

Comments (3)

ઠુમરી – નયન દેસાઈ

ઢળતી બેલા પીળા પાને કાગળ આવ્યા આયે ન બાલમ;
કા કરું સજની હમને દિલનો દીપ જલાવ્યા આયે ન બાલમ.

ચાર દીવાલોની બગિયાંમાં ઝૂલત એકલતાનો ઝૂલો;
બાબુલ મોરા સુખી ડારન પે ફૂલ લગાવ્યા આયે ન બાલમ.

આંખ હમારી ટપટપ ચૂઇ લૈ ઔર બાજી ઊઠે છે પાંપણ;
સાજ કરૈ કા ? સૂર ન અજહૂ સમ પર આવ્યા આયે ન બાલમ.

સંગ હમારે પડછાયો ખેલાત હૈ હમ તો ઊબ ગઈ સજની;
ઈક ઈક પલ દસ્તકમેં હમને દાવ લગાવ્યા આયે ન બાલમ.

સાંજ હૂઈ ઔર કાંચ કા સૂરજ રાત કે આંગન શીશ પછાડે;
છત પૈ જૂઠી ભોર ભઈ ઔર કાગ ઉડાવ્યા આયે ન બાલમ.

શ્વાસની ઠુમરી ગાતાં ગાતાં છેલ્લી થાય હૂઈ હૈયા પર;
ચાર કહારોં કે કંધે પર રાગ સજાવ્યા આયે ન બાલમ.

– નયન દેસાઈ

નવતર પ્રયોગ !!!!!!!

Comments (3)

ભીના સમયની આણ – ચિનુ મોદી

આપણી વચ્ચે અબાધિત કાળનાં પોલાણ છે
આપને પણ જાણ છે ને હા, મને પણ જાણ છે.

છિન્ન પડઘાઓ થઈને મૌનમાં ઢળતાં પ્રથમ
આપણી વાણીનું પ્હાડોમાં જરી રોકાણ છે.

દૂર સાથે ચાલીને પાછો વળું છું એકલો
આપણી વાટે ગરમ વંટોળનાં મંડાણ છે.

ધૂળની ડમરી થઇ પગલાં બધાં ઊડી ગયાં
આપણી વીતી ક્ષણોનું આ નવું પરિમાણ છે.

હું સમયથી પર થવાનાં યત્ન પણ કરતો નથી
આપણે માથે હજી ભીના સમયની આણ છે.

– ચિનુ મોદી

શુદ્ધ પ્રેમની વાત છે….’દર્શક’ પ્રેમને કાલાતીત કહે છે. પણ કવિ કૈંક જુદી વાત કરે છે. કાળ તો પોતાનું કામ કરતો જ રહે છે-આપણે તેને કઈ રીતે react કરીએ તે આપણા હાથમાં છે. પ્રથમ અછડતા સ્પર્શની ઘડી દાબડીમાં બંધ કરીને સાચવી રાખતી હોય તો કેવું અદભૂત……!!!

Comments (3)

એ દેશની દયા ખાજો – ખલિલ જિબ્રાન (અનુ. વિવેક મનહર ટેલર)

એ દેશની દયા ખાજો જે માન્યતાઓથી ભરેલો અને ધર્મથી ખાલી છે.

એ દેશની દયા ખાજો જે પોતે નથી વણ્યું એ કાપડ પહેરે છે
અને એ રોટલી ખાય છે જે એણે નથી લણી
અને એ શરાબ પીએ છે જે એના શરાબખાનાંમાંથી નથી વહી.

એ દેશની દયા ખાજો જે લફંગાની નાયક તરીકે જયકાર કરે છે,
અને જે ઝાકમઝોળવાળા વિજેતાને ઉદાર સમજે છે.

એ દેશની દયા ખાજો જે પોતાના સ્વપ્નમાં આવેશને તિરસ્કારે છે,
અને જાગૃતિમાં તાબે થઈ જાય છે.

એ દેશની દયા ખાજો જે પોતાનો અવાજ ઊંચો નથી કરતો
સિવાય કે અંતિમયાત્રામાં હોય,
ઇતરાતો નથી સિવાય કે એના ખંડેરોમાં હોય,
અને બળવો નથી કરતો સિવાય કે
એની ગરદન પર તલવાર તોળાઈ હોય.

એ દેશની દયા ખાજો જેનો વેપારી લુચ્ચો હોય,
જેનો ફિલસૂફ કીમિયાગર હોય,
અને જેની કળા થીંગડિયાળ અને નકલચી હોય.

એ દેશની દયા ખાજો જે એના નવા શાસકને વાજતેગાજતે આવકારે,
અને હુરિયો કરીને વિદાય આપે,
ફક્ત બીજાનું ફરીથી વાજતેગાજતે સ્વાગત કરવા માટે.

એ દેશની દયા ખાજો જેના સાધુઓ વર્ષોથી ગૂંગા છે
અને જેના મહારથીઓ હજી પારણાંમાં છે.

એ દેશની દયા ખાજો જે ટુકડાઓમાં વહેંચાયેલો છે,
દરેક ટુકડો પોતાને એક દેશ ગણતો હોય.

– ખલિલ જિબ્રાન
(અનુ. વિવેક મનહર ટેલર)

*
રામરાજ્યની સ્પૃહા કોણે ન હોય? પણ રામરાજ્ય તો રામના નસીબમાંય નહોતું. એનેય કૈકયી-મંથરા, રાવણ ને અંતે ધોબી નડ્યા હતા. મનુષ્યજાતિને આદર્શ રાજ્ય -‘યુટોપિયા’ (આદર્શ કલ્પદ્વીપ) -ની ખેવના કાયમ રહી છે. ખલિલ જિબ્રાન દેશને આદર્શ બનાવવો હોય, રામરાજ્ય સ્થાપવું હોય તો કઈ કઈ કમજોરીથી બચીને રહેવું જોઈએ એની વાત પ્રસ્તુત રચનામાં કરે છે.

આ ગદ્યકવિતાનો સાછંદ પદ્યાનુવાદ જાણીતા કવિશ્રી મકરંદ દવેએ પણ કર્યો છે, જે લયસ્તરો પર જ આપ અહીં – https://layastaro.com/?p=1911 – માણી શકશો.

*
Pity the nation

Pity the nation that is full of beliefs and empty of religion.

Pity the nation that wears a cloth it does not weave
and eats a bread it does not harvest
and drinks a wine that flows not from its own wine-press.

Pity the nation that acclaims the bully as hero,
and that deems the glittering conqueror bountiful.

Pity a nation that despises a passion in its dream,
yet submits in its awakening.

Pity the nation that raises not its voice
save when it walks in a funeral,
boasts not except among its ruins,
and will rebel not save when
its neck is laid between the sword and the block.

Pity the nation whose statesman is a fox,
whose philosopher is a juggler,
and whose art is the art of patching and mimicking

Pity the nation that welcomes its new ruler with trumpeting,
and farewells him with hooting,
only to welcome another with trumpeting again.

Pity the nation whose sages are dumb with years
and whose strongmen are yet in the cradle.

Pity the nation divided into fragments,
each fragment deeming itself a nation.

― Khalil Gibran

Comments (7)

હોળીથી હેઠા બધા! – રામનારાયણ વિ. પાઠક

(સોરઠા)

બ્રાહ્મણ ગાતા વેદ, બળેવને દિન નાહી ધોઈ;
પણ નાતજાતના ભેદ : હોળીથી હેઠા બધા!
દિવાળીને તહેવાર, પ્હેરી ઓઢી સૌ ફરે;
પણ ભેદ ગરીબ શાહુકાર : હોળીથી હેઠા બધા!
લે ને આપે પાન, પણ વરસ વધે એક આયખે;
બુઢ્ઢા બને જુવાન : હોળીથી હેઠા બધા!
સૌ સૌએ તહેવાર, એક લાલ ટપકું ભાલે ધરે,
આ તો રેલે અબીલ ગુલાલ : હોળીથી હેઠા બધા!

– રામનારાયણ વિ. પાઠક

બધા તહેવારોમાં હોળીનો તહેવાર શ્રેષ્ઠ છે એ વાત રા. વિ. પાઠક હોળીના રમતિયાળ હળવા હાસ્યવિનોદ સાથે કેવી સરસ રીતે સમજાવે છે!

લયસ્તરોના સહુ વાચક-ચાહક મિત્રોને હોળી-ધૂળેટીની રંગારંગ સ્નેહકામનાઓ…

Comments (4)

મોજું સભાનતાનું – જવાહર બક્ષી

દર્પણ બિચારું કૈં કરી શકતું નથી હવે
અંધારે એના ચ્હેરા બદલતું નથી હવે

આંખોને ઢાળી હું હવે આપું છું આવકાર
શણગાર એટલે કોઈ કરતું નથી હવે

આખો દિવસ હું એ જ ઘરે રહેતો હોઉં છું
આખો દિવસ એ ઘર રહી શકતું નથી હવે

તારા વિચારમાંય કોઈ તડ પડી ગઈ
મોજું સભાનતાનું અટકતું નથી હવે

શ્વાસોમાં વિસ્તરી છે ઘટાદાર સ્તબ્ધતા
શબ્દોનું એક ચકલું ફરકતું નથી હવે

– જવાહર બક્ષી

ઊંડાં ચિંતનની પળે આવું કૈક સર્જાતું હશે……ખાસ તો ત્રીજો અને ચોથો શેર

Comments (5)