ઘસાતો હોય જળ માટે ને જળ ના આંગળી ઝાલે,
હવામાં હોય ખામોશી ખડક દ્વારા, ખડક માટે !
નિર્મિષ ઠાકર

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for January, 2009

પંચમી આવી વસંતની – ઉમાશંકર જોશી

કોકિલ, પંચમ બોલ બોલો
.                કે પંચમી આવી વસંતની.
દખ્ખણના વાયરાનાં આ શાં અડપલાં !
ઊઘડ્યાં લતાઓનાં યૌવનનાં સપનાં,
.                લાગ્યો જ્યાં એક વાયુઝોલો –
.                                કે પંચમી આવી વસંતની.

મંજરી, મત્ત થઈ ડોલો
.                કે પંચમી આવી વસંતની.
આંબે આંબે હસે રસની કટોરીઓ,
ગાતા ભમતા ભૃંગ પ્રેમ તણી હોરીઓ.
.                આછો મકરંદ મંદ ઢોળો
.                                કે પંચમી આવી વસંતની.

આતમ, અંતરપટ ખોલો
.                કે પંચમી આવી વસંતની.
ચેતના આ આવી ખખડાવે છે બારણાં,
હેતે વધાવી એને લો રે ઓવારણાં.
.                ઝૂલે શો સૃષ્ટિનો હિંડોળો !
.                               કે પંચમી આવી વસંતની.

-ઉમાશંકર જોશી

આજે વસંતપંચમીના દિવસે ઋતુરાજ વસંત વિશેનું મારું સૌથી વધારે મનગમતું અને મેં સૌથી વધારે સાંભળેલું આ ગીત… ગણગણીને કે ગાઈને આ ગીત ન વાંચો તો એનું સૌંદર્ય નજર બહાર રહી જવાની પૂરી શક્યતા છે…

આજે વસંતપંચમી એટલે વસંતના આવણાંનો પહેલો પડઘમ. ઝાડોએ રંગોના નવા વસ્ત્રો પહેરવાની મોસમ. વસંતપંચમી એટલે કામદેવ અને રતિના પ્રથમ મિલનનો દિવસ અને એટલે જ એને મદનોત્સવ પણ કહે છે. આજ દિવસે શબરીના એંઠા બોર શ્રી રામચંદ્રે પણ ખાધા હતા. આજ દિવસે ચાંદકવિની કવિતાના દોરે બંધાઈને અંધ મહારાજ પૃથ્વીરાજ ચૌહાણે શબ્દવેધી બાણની મદદથી મોહમ્મદ ઘોરીનો વધ કર્યો હતો… વસંતપંચમી એટલે સૂર અને શબ્દના દેવી મા સરસ્વતીનો જન્મદિવસ પણ. વસંતપંચમી એટલે સાચા અર્થમાં ભારતીય ‘વેલેન્ટાઈન ડે’.

ભૃંગ=ભમરો, મકરંદ= પુષ્પરસ/પરાગ/સુવાસ,

Comments (13)

ગાંધીને પગલે પગલે – ઉમાશંકર જોશી

ગાંધીને પગલે પગલે તું ચાલીશ ને ગુજરાત ?

કૃષ્ણચરણથી અંકિત ધરતી તણી બની આ કાયા;
પવિત્ર જરથુષ્ટ્રી આતશ બહેરામ અહીં લહેરાયા.
અશોકધર્મલિપિથી ઉર પાવન;
જિનવર-શિષ્યોની મનભાવન.
સત્ય-અહિંસાની આંખે તું ભાળીશ ને ગુજરાત ?
ગાંધીને પગલે પગલે તું ચાલીશ ને ગુજરાત ?

નરસિંહ-મીરાંની ગળથૂથી, ઘડી શૂર સરદારે,
મૃદુલ હૃદય તું, તોયે નિર્ભય સિંહડણક ઉદગારે.
મસ્જિદ મંદિર વાવ તોરણે
લચે રમ્યતા તવ વને-રણે.
બિરુદ ‘વિવેકબૃહસ્પતિ’નું જે, પાળીશ ને ગુજરાત ?
ગાંધીને પગલે પગલે તું ચાલીશ ને ગુજરાત ?

-ઉમાશંકર જોશી

આજે ત્રીસમી જાન્યુઆરી, ગાંધીનિર્વાણદિને લયસ્તરો તરફથી આ યુગમાનવને શત શત કોટિ વંદન…

પોતાના ગુજરાત રાજ્યને ગાંધીના પગલે પગલે ચાલવાનું આહ્વાન આપતા કવિ આ ધરતી કૃષ્ણ, જરથુષ્ટ્ર, ભગવાન બુદ્ધ અને મહાવીર સ્વામીના સંસ્કારોથી સિંચિત હોવાનું અને નરસિંહ-મીરાં જેવા ભક્તકવિઓ અને સરદાર જેવા શૂરાઓની સિંહડણક અને ગાંધીના સત્ય-અહિંસાની આંખે દેખતી હોવાનું યાદ કરાવે છે.

ગુજરાતના જન્મસમય સમીપે લખાયેલા આ ગીતમાં કવિ ગુજરાતને મળેલા ‘વિવેકબૃહસ્પતિ’ બિરુદની વાત કરે છે. આ વિશેનો સંદર્ભ શોધવામાં હું નિષ્ફળ રહ્યો છું. કોઈ સુજ્ઞ વાચકમિત્ર એના વિશે જાણકારી આપશે તો અહીં સાભાર નોંધ લઈશું…

Comments (10)

હળવે હળવે હળવે હરજી – નરસિંહ મહેતા

હળવે   હળવે   હળવે  હરજી  મારે   મંદિર   આવ્યા  રે;
મોટે    મોટે    મોટે    મેં    તો    મોતીડે    વધાવ્યા    રે.     ૧

કીધું    કીધું    કીધું    મુને    કાંઇક    કામણ    કીધું    રે;
લીધું    લીધું    લીધું    મારું    મન    હરીને    લીધું   રે.      ૨

ભૂલી   ભૂલી   ભૂલી   હું   તો   ઘરનો   ધંધો   ભૂલી   રે;
ફૂલી   ફૂલી   ફૂલી   હું   તો    હરિમુખ    જોઇ    ફૂલી   રે.      ૩

ભાગી   ભાગી   ભાગી  મારા  ભવની ભાવટ ભાગી રે;
જાગી  જાગી   જાગી   હું   તો   હરિને   સંગે   જાગી  રે.      ૪

પામી  પામી  પામી  હું  તો   પૂરણ   વરને   પામી  રે;
મળિયો મળિયો મળિયો મહેતા નરસૈંયાનો સ્વામી રે.       ૫

– નરસિંહ મહેતા

નરસિંહ મહેતાનું આ અતિ જાણીતું ભક્તિપદ એના સશક્ત લય અને લહેકાને લીધે સહજ આસ્વાદ્ય બની રહે છે. દરેક કડીમાં એક જ શબ્દના ત્રણ-ત્રણવાર કરાતા આવર્તનને વળી કડીના અંતે એજ શબ્દ સાથે સાંકળી લેવાતા મધુરો સૂર જન્મે છે. દરેક શબ્દનું આ ત્રણવારનું પુનરાવર્તન ત્રણ લોકના સ્વામીને સમાવી લેવાનો આડકતરો ઈશારો તો નથીને? વળી મંદિર શાનું? હરિ પધાર્યા એટલે જ આ જીવતરનું કાચું ઈંટ-માટીનું મકાન મંદિર બને છે ને !

Comments (5)

મુક્તિ-મંત્ર – શૂન્ય પાલનપુરી

સહન ચુપચાપ કરવાથી જીવન ફોગટ વહી જાશે.
કદમની  બેડીઓ  ‘કાયર’  સમા શબ્દો  કહી જાશે.
જવાંમર્દીથી   એક  જ  કૂદકે   અવરોધ  ટાળી  દે,
નહીંતર   મંઝિલો  દીવાલની  પાછળ  રહી   જાશે.

– શૂન્ય પાલનપુરી

Comments (10)

તારે નામે લખું છું – કુમાર પાશી

તારે નામે લખું છું : સિતારા, પતંગિયા, આગિયા
તારા રસ્તાઓ સીધા સરળ હોય
એના પર છાયા હોય ઝગમગતા આકાશની
અણદેખ્યા વિશ્વનાં રૂપાળાં રહસ્યો ખૂલતાં જાય તારા પર
જેથી આંખોમાં તારી સ્વપ્નો હોય ઊંચેરી ઉડ્ડયનનાં

તારે નામે લખું છું : આનંદ, આરજૂ, ખુશબૂ
તારો એકએક દિવસ ખૂબસૂરત હોય, નમૂનેદાર હોય
તારી કોઈ પણ રાત ચાંદ-તારાથી ખાલી ન હોય
સવાર થતાં જ્યારે તું ઊઠે
તારી સામે ફેલાયેલી હોય દિશાઓ ફૂલોની
જ્યારે રાત આવે
તારી આંખોમાં સ્વપ્ના હોય હિંડોળાના

તારે નામે લખું છું : એ આખુંય ખુશનુમા શહેર
જે મેં જોયું નથી
તારે નામે લખું છું સઘળાએ ખૂબસૂરત શબ્દો
જે મેં લખ્યા નથી

તારે નામે ઊજળી સવાર, રંગીન સાંજ લખું છું
સનાતન જામ લખું છું
જે સુખની ક્ષણો મને પ્રાપ્ત થઈ છે એ બધી જ તારે નામે લખું છું
તારે નામે લખું છું.

– કુમાર પાશી
( અનુવાદ- સુરેશ દલાલ)

કવિ પ્રિયજને ભેટ કરવા માટે સૌથી મોંઘેરી ચીજો એકઠી કરે છે. બધું એમા મૂક્યા પછી છેલ્લે ઉમેરે છે… પોતાને પ્રાપ્ત થયેલી સુખની બધી ક્ષણો !

Comments (8)

૨૬-૧-૧૯૫૦ – વેણીભાઈ પુરોહિત

અમાવસ્યા નથી, પૂનમ નથી, રજની રૂપાળી છે,
ગુલામીને પ્રજળતી જ્યોતની આજે દિવાળી છે.

હજી એ યાદ છે જુલ્મો ને ઝિન્દાબાદ જખ્મો છે,
સિતમની સેંકડો ગોળી કલેજામાં રમાડી છે.

શહીદીની અને એ ઈન્કિલાબીની કથા વાંચો:
કથાઓ લાલ છે, એની વ્યથાઓ ક્રૂર છે, કાળી છે.

જુઓ ગાંધીની હત્યા પણ શહીદીના મુગટમાં છે,
બધી ગમખ્વાર ગાથાઓ સગી આંખે નિહાળી છે.

ઠરી જઈને પ્રગટ થાનાર દીવડાઓ શહીદો છે,
અને એ દીપમાળાએ બધી આલમ ઉજાળી છે.

નથી હીરા, નથી મોતી, નથી રાજા, નથી રાણી :
અમારા તાજમાં વનકેસરીની કેશવાળી છે.

અમારા દિલના તખ્તા પર અને દિલ્હીના તખ્તા પર
બિરાજે છે સદા ભારત, જમાનો ભાગ્યશાળી છે.

હજારો વાતમાંથી વાત એક જ યાદ રાખી લે :
કે એકએક બચ્ચો દેશના ગુલશનનો માળી છે.

કે સત્તાવન થી સુડતાલીસ – ! કતલની રાત ગાળી છે,
અને ઈતિહાસમાં આજે દિવાળીની દિવાળી છે.

– વેણીભાઈ પુરોહિત

ઘણા વખતથી શોધતો હતો એ ગઝલ આજે બરાબર મોકાના સમયે મળી ગઈ ! ઓગણસાઠ વર્ષ પહેલા પ્રજાનો મિજાજ કેવો હશે એ આ ગઝલમાં દેખાઈ આવે છે – એક તરફ છે લોહી વહાવીને આઝાદી મેળવી એનું ગૌરવ અને બીજી તરફ છે નવી શરૂઆતનો નશો. આજનો દિવસ દુનિયાના ઈતિહાસમાં સૌથી અનોખા દેશને ઊજવી લેવાનો દિવસ છે…બધાને ભારત મુબારક !

Comments (11)

અગમ અવતાર છે – ‘અગમ’ પાલનપુરી

શબ્દ ભીતર પ્રાણ નો સંચાર છે;
હર ગઝલ મારો અગમ અવતાર છે.

એટલે નિત શેર શ્વસતો હોઉં છું,
શ્વાસ મુજ અસ્તિત્વનો આધાર છે!

ના લખું તે હાથ છો તૂટી પડે;
જ્યાં ખતા છે ત્યાં સજા હકદાર છે!

મૃત્યુની પણ હું કરી નાખું ગઝલ;
ક્ષણ સતત… કાગળ-કલમ તૈયાર છે.

છું ‘અગમ’ તો શું થયું; મારા વિશે
શાયરી પોતે પરખનો પાર છે!

– ‘અગમ’ પાલનપુરી

કવિતા લખવાના અનુભવ પર અનેક કવિતાઓ લખાઈ છે અને એ છતાં ગઝલ નવી લાગે છે. ‘અગમ’ને સમજવા માટે એની ગઝલથી વધારે સારો રસ્તો શું હોઈ શકે ?

ગઝલ મોકલવા માટે આભાર, તાહા મન્સૂરી.

Comments (11)

વૃક્ષ નથી વૈરાગી – ચંદ્રેશ મકવાણા

Chandresh Makwana_Vruksh nathi vairagi

(લયસ્તરો માટે ચંદ્રેશ મકવાણાના પોતાના હસ્તાક્ષરમાં એમનું મનગમતું ગીત)

વૃક્ષ નથી વૈરાગી,
એણે એની એક સળી પણ ઈચ્છાથી ક્યાં ત્યાગી ?
વૃક્ષ નથી વૈરાગી.

જેમ ખૂટ્યાં પાણી સરવરથી
જેમ સૂકાયાં ઝરણાં,
જેમ ભભકતી લૂ લાગ્યાથી
બળ્યાં સુંવાળાં તરણાં

એમ બરોબર એમ જ એને ઠેસ સમયની લાગી
વૃક્ષ નથી વૈરાગી

તડકા-છાંયા-અંદર હો
કે બ્હાર બધુંયે સરખું
શાને કાજે શોક કરું હું ?
શાને કાજે હરખું ?

મોસમની છે માયા સઘળી જોયું તળ લગ તાગી
વૃક્ષ નથી વૈરાગી

-ચંદ્રેશ મકવાણા

વૃક્ષના ત્યાગ અને સમર્પણની વાત કોઈ કરે તો લાગે કે કદાચ હજારમી વાર આ વાત સાંભળીએ છીએ પણ વૃક્ષ વૈરાગી નથી, સંત નથી એવી વાત કોઈ કરે તો બે ઘડી આંચકો લાગે કે નહીં ? જિંદગીની કલ્પી ન શકાય એવી તડકી-છાંયડી નિહાળીને આપબળે ઊભા થયેલા ચંદ્રેશ મકવાણા અમદાવાદમાં હાલ શિક્ષક તરીકે સેવા બજાવે છે. વૃક્ષને સંત તરીકે જોવાની આપણી દૃષ્ટિનો છેદ ઊડાડી કવિ આખા ઘટનાચક્રને સમયની બલિહારી ગણાવે છે. કદાચ આપણી વચ્ચે સંત થઈને જીવતા કેટલાક લોકોની આ વાત છે જેઓ સમયના કે સંજોગોના માર્યા વૈરાગી બને છે…

Comments (15)

એક માણા તે જેવડું મોતી રે – લોકગીત

એક માણા તે જેવડું મોતી રે,
.                         તેને સાત ગાડે ઘાલી આણ્યું રે.
તેને બાર બળદિયે તાણ્યું રે,
.                         તેને સાત સુંડલિયે સાર્યું રે.
તેને સાત વીંધારાયે વીંધ્યું રે,
.                         એક ભાલાં તે સોય મંગાવો રે.
પેલા ……નું નાક વીંધાવો રે,
.                         એને નાકે તે નથડી પેરાવો રે.
એને ઘરઘરતો ઘાઘરો પેરાવો રે,
.                         એને ચસચસતો કમખો પેરાવો રે.
એને આછી પછેડી ઓઢાડો રે,
.                         તેનું ઠાંસીને માથું ગૂંથાવો રે.
તેને આછી તે પિયળ કઢાવો રે,
.                         એને કાળી કળાઈ રાતો ચુડો રે.

(લોકગીત)

કવિતા અને લોકગીતની વચ્ચે આમ જોવા જઈએ તો ડાયરી અને અખબાર જેવો ફરક હોઈ શકે. કવિતા કવિની અંગત અનુભૂતિ ઝીલે છે જ્યારે લોકગીત પ્રવર્તમાન સમાજની સામૂહિક ચેતનાને પ્રતિબિંબિત કરે છે. લોકગીતમાં જન્મ થી મરણ સુધીના બધા જ અવસરો સંજિદી હળવાશથી અને ક્યારેક કલ્પનોની તાજપ સાથે વ્યક્ત થતા જોવા મળે છે.  લોકગીતની મોટી ખાસિયત લોકબાનીના સહજ અને સરળ શબ્દોની સાથે શીરાની જેમ ગળે ઉતરી જાય એવા લય અને લહેકાની ગૂંથણી છે.  ઠઠ્ઠામશ્કરી કરતાં કરતાં હળવા હૈયે આવેલ પ્રસંગને ઉકેલવામાં લોકગીત મદદરૂપ નીવડે છે.

પ્રસ્તુત લોકગીત લગ્નના અવસરે સંધ્યાટાણે જે સાંઝીના ગીતો ગવાય છે એમાંનું એક છે. સાત-સાત ગાડાંમાં તેડીને લાવવું પડે એવા ગાગર સરીખા મોતીને ભાલાં જેવડી સોય વડે સાત-સાત વીંધનારા વડે વીંધાવવાની વાત હળવો હાસ્યરસ ઊભો કરે છે. અને જેની મશ્કરી કરતા હોય એને આવા અતિશયોક્તિસભર દાગીનાં-કપડાં પહેરાવવાની આ વાત ગાનાર અને સાંભળનાર બંનેના હોઠે સ્મિતનો લય રેલાવી રહે છે.

(માણો= મોટી ગાગર, પિયળ= સ્ત્રીના કપાળમાં કંકુ વગેરેનો કરાતો લેપ;  કળાઈ=કોણીથી કાંડા સુધીનો હાથનો ભાગ, કલાઈ)

Comments (9)

એક દરિયો – સંધ્યા ભટ્ટ

એક દરિયો આંખ સામે ઊછળે છે,
એક દરિયો ભીતરે પણ વિસ્તરે છે.

હર ક્ષણે દરિયો કિનારાને મળે છે,
ને કિનારાને પ્રતીક્ષા હર ક્ષણે છે.

એક દરિયો આંખની અંદર હશે ને !
આંસુ એમાંથી જ તો છૂટાં પડે છે.

નાવનું અસ્તિત્વ દરિયાથી સભર છે,
ને દરિયો નાવથી શું સૂચવે છે !

શાંત ને ધ્યાનસ્થ મુદ્રામાં કદી એ,
તો કદી એ ખૂબ તોફાને ચઢે છે.

-સંધ્યા ભટ્ટ

સંધ્યા ભટ્ટ (જન્મ: ૩૦-૦૬-૧૯૬૪) બારડોલીની કોલેજમાં અંગ્રેજીના વ્યાખ્યાતા તરીકે કાર્યરત્ છે અને સુંદર ગીત-ગઝલ લખે છે. પ્રસ્તુત મુસલસલ ગઝલમાં દરિયાની અલગ અલગ રંગછટા એમણે બખૂબી ઉપસાવી છે. નાવનું સાચું સાફલ્ય દરિયામાં ઉતર્યા પછી જ છે એ વાત તો ઘણા લોકો કરી ગયા પણ નાવના દરિયામાં હોવા અંગે દરિયાના દૃષ્ટિકોણની એક અલગ જ વાત કવિ અહીં લાવ્યા છે એ એમની પ્રતિભા સૂચવે છે. આપણું હોવાપણું વિરાટકાય ઈશ્વર અને એની અનંત સૃષ્ટિથી સભર થાય છે પણ આ વિશાળ ઈશ્વરીય સૃષ્ટિમાં આપણા હોવાપણાંનું એક નાનકડું બિંદુ પણ કદાચ એટલું જ મહત્વનું છે…

Comments (19)

રીત – પરાગ ત્રિવેદી

આ તે
શાંતિ સ્થાપવાની
કેવી
રીત
છે ?
પહેલાં તેઓ
કબૂતરોને પકડે છે,
દિવસો સુધી તેમને પૂરી રાખે છે,
અને પછી
કોઈ એક ચોક્કસ સમયે
તેમને ઉડાડીને
શાંતિનો
સંદેશો આપે છે !

– પરાગ ત્રિવેદી

‘શાંતિદૂતો’ ખરેખર કંઈ શાંતિની શોધમાં ઊડી જતા નથી હોતા, એ તો બને તેટલા દૂર ભાગી જવાની કોશિશમાં હોય છે એટલું જ !

Comments (7)

સાવ અંગત – હરિશ્વન્દ્ર જોશી

સાવ અંગત એક સરનામું મળ્યું
આજ વર્ષો બાદ એ પાનું મળ્યું

મેં લખેલી ડાયરી વાંચી ફરી,
યાદની ગલીઓમાં ફરવાનું મળ્યું.

સોળમા પાને પતંગિયું સળવળ્યું,
જીવવા માટે નવું બહાનું મળ્યું.

જાણ થઈ ના કોઈને, ના આંખને,
સ્વપ્ન એ રીતે મને છાનું મળ્યું.

એક પ્યાસાને ફળી સાતે તરસ,
બારણા સામે જ મયખાનું મળ્યું.

– હરિશ્ચન્દ્ર જોશી

સહજ શબ્દો, કોમળ ભાવ, સુંવાળી ગઝલ.

Comments (21)

ઘર અશ્રુનું – નિર્મિશ ઠાકર

જાઉં છું મારે ઘરે કહી
પાલવથી આંખ લૂછતાં
નારી જાય છે
ક્યારેક સાસરે
તો ક્યારેક પિયર.
‘આ મારું ઘર’ના ભ્રમ સાથે
એ થાક ખાતી હોય છે
ક્યારેક ‘અખંડ સૌભાગ્યવતી’ના
તો ક્યારેક ‘ગંગાસ્વરૂપ’ના છાપરા હેઠે.
સ્કૂટર, ફ્રીઝ, ટીવીના જાહેરખબરવાળા
છાપાના પાનામાં ‘લગ્નવિષયક’ના મથાળા હેઠે લખાય છે:
… જોઈએ છે કન્યા – સુંદર, સુશીલ, ભણેલી, ઘરરખ્ખુ.
ઘરની શોધ લઈ જાય છે નારીને
અહીંથી ત્યાં, ત્યાંથી અહીં, અહીંથી…
સમગ્ર જગમાંયે ઘર ન પામનાર સીતાને
સમાઈ જવું પડે છે ધરતીમાં.
અશ્રુને વળી, ઘર કેવું ?

– નિર્મિશ ઠાકર

આ જ વાત આપણે બધાએ ઘણી ઘણી વાર સાંભળી છે. કવિતા ગમે તેટલી અસરકારક હોય, એ કશું બદલી શકતી નથી. એ કામ તો આપણું – મારું ને તમારું – આપણા બધાનું છે.

Comments (25)

મૌન બોલે છે – ‘આદિલ’ મન્સૂરી

તિમિર પથરાય છે તો રોશનીનું મૌન બોલે છે,
મરણ આવે છે ત્યારે જિંદગીનું મૌન બોલે છે.

મિલનની એ ક્ષણોને વર્ણવી શકતો નથી જ્યારે
શરમભારે ઢળેલી આંખડીનું મૌન બોલે છે.

વસંતો કાન દઇને સાંભળે છે ધ્યાનથી એને,
સવારે બાગમાં જ્યારે કળીનું મૌન બોલે છે.

ગરજતાં વાદળોન ગર્વને ઓગાળી નાખે છે,
ગગનમાં જે ઘડીએ વીજળીનું મૌન બોલે છે.

ખરેખર તે ઘડી બુદ્ધિ કશું બોલી નથી શકતી,
કે જ્યારે પ્રેમની દીવાનગીનું મૌન બોલે છે.

સમય પણ સાંભળે છે બે ઘડી રોકાઇને ‘આદિલ’,
જગતના મંચ પર જ્યારે કવિનું મૌન બોલે છે.

– આદિલ મન્સૂરી

મૌનની વાણીની ઓળખાણ કરાવતી બોલકી ગઝલ.

ગઝલ મોકલવા માટે આભાર : તાહા મન્સૂરી

Comments (17)

આંગળી અડાડી છે – હર્ષવી પટેલ

Harshavi Patel_chotarf maatra bekarari chhe
(લયસ્તરો માટે હર્ષવી પટેલની એક અક્ષુણ્ણ કૃતિ એમના જ હસ્તાક્ષરોમાં…)

ચોતરફ માત્ર બેકરારી છે,
બંધ મુઠ્ઠીને મેં ઉઘાડી છે.

છે સ્મરણ એનું દુઃખતી રગ ને
મેં સતત આંગળી અડાડી છે.

શબ્દ અમથા નહીં સજે અર્થો
કૈંક ધક્કે કલમ ઉપાડી છે.

તક અહલ્યાની જેમ શાપિત છે
આપણે ઠેસ ક્યાં લગાડી છે ?

આપમેળે ગમે તો છે અચરજ
આપણે જિંદગી ગમાડી છે.

– હર્ષવી પટેલ

A genuine poetry is one which is communicated even before it is understood. કવિતાની આ પરિભાષામાં હર્ષવીની આ ગઝલ જડબેસલાક બંધ બેસી જાય છે. એક પણ શેર એવો નથી જે હર્ષવી બોલે અને વાહ…વાહના ઉદગાર શ્રોતાજનોના મોઢેથી ન સરે… પણ પ્રથમ શ્રવણ કે પ્રથમ પઠન પછી પણ આ સંઘેડાઉતાર ગઝલમાં એવું ઘણું બધું છે જે ફરી ફરીને વાહ…વાહ કહેવા આપણને મજબૂર કરે…

Comments (29)

કેમે કર્યો આ હાથ – જગદીશ ત્રિવેદી

ફૂલનો ગુચ્છો લઈને એક ડાળી પાતળી
રોજ બારીમાં રહે છે ઝૂમતી-
આ હાથ ફેલાવું અને
આવી પડે-
એટલું- બસ એટલું અંતર,
કેમે કર્યો પણ હાથ ફેલાયો નહિ.

એક અણિયાળું શિખર
મુજ આંખને તેજલ તળાવે
રોજ તરવા ઊતરે-
કાંઠે પડેલો હાથ તરસ્યો તાકતો એવી રીતે
કેમે કર્યો આ હાથ લંબાયો નહિ.

ક્યારેક તો મુજ શીર્ષને સ્પર્શી જતું
આકાશ આવે છે ઝૂકીને એટલું નીચું-
એક્કેય પણ તે તારલાને ચૂંટવા
કેમે કર્યો આ હાથ ઊંચકાયો નહિ.

-જગદીશ ત્રિવેદી

ત્રણ અલગ અલગ પ્રતીકો સાથે કવિ નિષ્ક્રિય પડેલા હાથની નિષ્પ્રાણતા સંયોજી અદભુત કાવ્યતત્ત્વ સિદ્ધ કરે છે. ‘કેમે કર્યો આ હાથ ફેલાયો/લંબાયો/ઊંચકાયો નહીં’ પંક્તિને કવિતાના ત્રણે ભાગના અંતે માત્ર એક જ શબ્દફેર સાથે ગીતમાં ઉપાડ તરીકે આવતી ધ્રુવપંક્તિની જેમ પ્રયોજીને કવિ જે કહેવા માંગે છે એને સતત ઘૂંટતા રહે છે.

આપણી આંખની સામે, આપણી આંખની અંદર અને આપણી આંખની ઉપર એમ આપણી અંદર-બહાર-ચોતરફ વ્યાપ્ત સત્ત્વ કે ઈશ્વર કે તકો કે ખુશીને આપણે તરસ્યા થઈને જોતા જ રહીએ છીએ. એને પામવા માટેનો યોગ્ય પુરુષાર્થ કરવાની આપણી વૃત્તિ જ મરી પરવારી છે જાણે.

Comments (8)

ભૂરા પતંગિયા – અખિલ શાહ

હરિયો નવો નવો પતંગ ચડાવતા શીખ્યો’તો
એટલે આખો દિવસ બસ
એ અને એના પતંગ.

એના બધા પતંગ એક જ રંગના – ભૂરા.
એ વળી ચગાવતા પહેલા
એના પર જાતે ચિતરામણ કરે.

એ પહેલા આખા ફળિયામાં દોડતો બધાને કહી આવે,
‘જો જો, મારી સાથે કોઈ પેચ ના લેતા’
ને પછી પતંગ ઊંચે ને ઊંચે ચગાવે રાખે.

મોડી સાંજે
મા બૂમો પાડી બોલાવે ત્યારે
એ પતંગને જાળવીને ઊતારી લે
ને જતનથી ઘરે લઈ જાય.
એની કાળજી જોઈને લોકો હસતાં,
હરિયા આ પતંગ છે, પતંગિયા નથી’

ગઈકાલે એક અવળચંડાએ
ભાર દોરીએ એનો પતંગ કાપી નાખ્યો.
પોતાની અડધાથી વધારે દોરીને જતી જોઈને
પલકવાર માટે હરિયાની આંખો તગતગી ગઈ,
પણ એકેય આંસુ નીકળ્યું નહીં.
હરિયો કદી રડતો નહીં.

સૂતી વખતે હરિયાએ
મનમાં ને મનમાં
બાકી બચેલી દોરીની ગણતરી કરી.
ઝાંખા ફોટામાંની
ભૂરું ખમીસ પહેરેલી આકૃતિને
જોતા જોતા એ ગણગણ્યો,
‘પપ્પા કંઈ એટલા બધા ઉપર તો નહીં ગયા હોય’

– અખિલ શાહ

જે વાત કહેવામાં શબ્દો અને આંસુ નિષ્ફળ જાય તે વાત કહેવામાં કોઈ વાર પતંગ કામ લાગી જાય છે.  નાના હાથ માટે આકાશને અડકી લેવાનો એક જ રસ્તો છે – પતંગ !

Comments (35)

કાઈપો ! – રમેશ પારેખ

RAMESH_PAREKH4

(લયસ્તરોના વાચકો માટે પતંગપર્વ નિમિત્તે રમેશ પારેખ જેવા દિગ્ગજ કવિના હસ્તાક્ષરમાં એક અછાંદસ)

‘કાઈપો !’
‘શું-શું ? પતંગ ?’
‘ના, આજનો દિવસ’
‘એમાં રાજીના રેડ થવાનું ?’
‘તમને ખુશી ન થઈ ?’
‘દિવસ વીતે એમાં ખુશી શાની ?’
‘લાઈફનો એક દિ’ ટુંકાયો ને !’
‘લાઈફ તો અમૂલ્ય છે’
‘તો ?’
‘એ ઘટે એ તો ખિન્નતાની બાબત છે’
‘તમને ખિન્ન થવાની છૂટ…’
‘વાત ઉડાવો છો !’
‘ખિન્નતાપર્વ ઉજવો કે મોદપર્વ, શું ફરક પડવાનો, મૂળમાં ?’
‘પણ લાઈફ જેવી લાઈફ આમ ચાલી જાય…’
‘પકડી લો એને, મૂઠીમાં, બંધુ !’
‘એ જ તો આપણા હાથની વાત નથી’
‘તમારી સત્તા ન ચાલે ત્યાં હથિયાર હેઠાં મૂકી દેવાનાં’
‘એ તો આત્મદૌર્બલ્ય’
‘હં’
‘પલાયનવૃત્તિ’
‘હં’
‘નામર્દાઈ’
‘એ તો નિયતિદત્ત છે’
‘આપણી કને કંઈ ઉપાય નહીં આનો ?’
‘છે ને !’
‘શું ?’
‘પ્રામાણિકપણે સગર્જન નિનાદ કરો’
‘શું ?’
‘કાઈપો !’

– રમેશ પારેખ
(૨૮-૧૨-૨૦૦૪/મંગળવાર)

Comments (10)

પતંગનો ઓચ્છવ – રમેશ પારેખ

પતંગનો ઓચ્છવ
એ બીજું કંઈ નથી, પણ
મનુષ્યના ઉમળકાઓનો છે ઘૂઘવતો વૈભવ !

નભની ઊંડીઊંડી ઉદાસીઓને લૂછવા
નભની ભડભડતી એકલતા ભૂંસવા
જુઓ, મનુષ્યો-
ઉંમગના રંગોમાં ઝબકોળી-ઝબકોળી
પ્રીતિની પીંછી ફેરવતા ઉજ્જડ-ઉજ્જડ નભમાં.

ઉજ્જડ નભને નમણું નજરાણું
ઉર્ફે આ પતંગ !

હરેક જણના પતંગ પર
લખિયો છે આ સંદેશો કે
હે નભ ! તું નીચે આવ !
આવ નીચે ને જરાક હળવું થા…
માર નગારે ઘા,
ગમગીનીનો ગોટો વાળી
જલદી કૂદ કછોટો વાળી
ઓચ્છવના આ રંગકુંદમાં ડૂબકી મારી ગા !
આવ, આવ, તું જરાક નીચે આવ ને હળવું થા…

આભ, તને
આ પતંગ રૂપે છે નિમંત્રણ-
નીચે આવી ચાખ ઉમળકો,
ચાખ જુવાની, ચાખ લાગણી
ચાખ પ્રેમ ને ચાખ હૃદયના ભાવ
આભ, તું જરાક નીચે આવ…

– રમેશ પારેખ

ઉતરાણ વિશેની બધી પ્રચલિત માન્યતાઓને ‘કાઈપોચ’ કરીને કવિ ઉતરાણનો તદ્દન નવો અર્થ બતાવે છે.

Comments (16)

‘ત્રિવેણી સંગમ’ : ત્રણ કવિઓની રચનાઓનો સ્વરસંગમ

TRI 2 2-1

[audio:http://tahuko.com/gaagar/layastaro/08 Lahar Lahar Na Pravaho Alag-HimanshuBhatt.mp3]

લહરના લહરના પ્રવાહો અલગ છે, પિગળતો પળેપળ કિનારો અલગ છે
સ્વભાવો અલગ છે, વિચારો અલગ છે, મનુષ્યે મનુષ્યે લલાટો અલગ છે

ગુલોગુલ અલગ છે, બહારો અલગ છે, નજર જ્યાં પડે ત્યાં નજારો અલગ છે
અણુમાંથી સર્જન થયું આ બધું પણ, ગગનમાં સિતારે સિતારો અલગ છે

ક્ષણોની સફરમાં ભલે સાથ હો પણ, રહે યાદ સહુને બનાવો અલગ છે
ઘડી કારમી પણ, વિતાવી હો સાથે, પડે છે જે દિલ પર પ્રભાવો અલગ છે

સખી પ્રેમ મારો, હજુ એનો એ છે, પ્રદર્શિત થવાના પ્રકારો અલગ છે
હવે લાગણી સાથે સમજણ ભળી છે, અને મહેફિલોનો તકાજો અલગ છે

જીત્યો કૌરવોને જે, કાબાથી હાર્યો, પળે પળ વિધીનો ઈરાદો અલગ છે
ક્દી વાંદરો છું, કદી છું મદારી, છે ડમરું તો એકજ તમાશો અલગ છે

– હિમાંશુ ભટ્ટ

ગઈકાલે જ મુંબઈમાં આ ત્રિવેણી સંગમ આલ્બમનું વિમોચન થયું છે. એમાં ત્રણ કવિઓનાં ગીતો અને ગઝલોને સ્વરબદ્ધ કરાયા છે : ડૉ. દિનેશ શાહ, રમેશ પટેલ ‘પ્રેમોર્મિ’ અને હિમાંશુ ભટ્ટ. આ પ્રસંગે હિમાંશુભાઈની ગઝલ સંગીત સાથે માણો .

સંગીત: કર્ણિક શાહ અને કનુભાઈ ભોજક
સ્વર: કર્ણિક શાહ

Comments (13)

ગઝલ – અંકિત ત્રિવેદી

Ankit Trivedi_Etlu aakash felaavi shaku
(એક અક્ષુણ્ણ ગઝલ ખાસ લયસ્તરો માટે અંકિત ત્રિવેદીના પોતાના અક્ષરોમાં)

એટલું આકાશ ફેલાવી શકું
વાદળોને પાંખ પ્હેરાવી શકું.

રેતશીશીમાં સરકતી રેત છું
વાયરાને કેમ સમજાવી શકું ?

જેમ પંખી માળો શોધે સાંજના
એમ તું આવે તો અપનાવી શકું.

હું ઊગાડું છું તને ખુશબૂસભર,
મૂળમાંથી બીજ પ્રગટાવી શકું.

હાથમાં સરનામું છો તારું રહ્યું,
મન ન હો તો ક્યાંથી હું આવી શકું ?

– અંકિત ત્રિવેદી

પંખી માટે સાંજના ટાણે માળાની જે અનિવાર્યતા છે એવી અને એટલી તીવ્રતા ઝંખનામાં આવે તો જ પ્રિયપાત્રને અપનાવવાની વાત લઈ આવતી એક મનભાવન ગઝલ આ સપ્તાહાંત માટે…

Comments (23)

ધબકતી ઝંખના – કવિતા મૌર્ય

પળેપળ છેતરાવાના જ આઘાતે  લખું છું,
કલમ ત્યાગી હવે  હું  ટેરવાં  વાટે લખું છું.

નથી સંભવ શબદમાં લાગણીઓને કહેવી,
છતાં  કૈં  ભાર હળવો થાય એ માટે લખું છું.

અમારે  કાજ સઘળી વેદના આશા બરાબર,
કહેશો નહિ કદી પણ ભાગ્યના ઘાતે લખું છું

ધરા પર હું લખું છું,આ ગગન પર હું લખું છું,
લખું છું  હા,પ્રથમ વરસાદના  છાંટે  લખું છું

અમારી  જિંદગીમાં પણ ફુલો  ખીલી શકે છે,
ધબકતી  ઝંખના  હર  પાંદડે, કાંટે  લખું છું.

– કવિતા મૌર્ય

કવિતા મૌર્યની એક સીધીસટ સાદ્યંત સુંદર ગઝલ સીધેસીધી જ આપના માટે, મારા શબ્દોનું વ્યવધાન ઊભું કર્યા વિના…

Comments (12)

વહાણવટું – રમેશ પારેખ

પછી તો
નાંગરેલું વહાણ છોડીને ધક્કેલ્યું.
ચાલ્યું.
અર્ધેક પહોંચતાં
સમુદ્રે પૂછ્યું : ‘થાક્યો ને ?’
‘તેથી શું ? જવું જ છે આગળ.’ મેં કહ્યું.
‘આટલા વજન સાથે ?’ સમુદ્ર હસ્યો.
જવાબમાં, હલેસાં વામી દીધાં.

એક તસુ આગળ.
સમુદ્ર ખડખડ હસ્યો.
પગ તોડીને વામી દીધા.

સમુદ્ર હસ્યો ખડખડ
કોણી સુધીના હાથ વામ્યા.
એક તસુ આગળ
ખડખડ હસ્યો સમુદ્ર.

કબંધ વામ્યું તે ક્ષણે
હવાઓ ચિરાઈ ગઈ.
રંગો ભર ભર ખરી પડ્યા આકાશના.
દિશાઓનાં થયાં ઊભાં ફાડિયાં.

સમુદ્ર ચુપ.
થરથરતો જુએ.
વહાણમાં આરૂઢ શેષ મસ્તકને,
જેમાં વળુંભે છે કાળી વીજળીઓ.

-રમેશ પારેખ

ર.પા.નું આ અછાંદસ કાવ્ય ખરી કવિતાની વિભાવના સમજવામાં ખાસ્સી મદદ કરે એવું છે. કવિતાનો ઉપાડ ‘પછી તો’ થી થાય છે એ કવિતા શરૂ થતા પહેલાના કાવ્યનાયક અને સમુદ્ર વચ્ચે થયેલા વણકહ્યા સંવાદ સાથે ભાવકનો સેતુ બાંધી આપે છે. ધક્કેલ્યુંમાં આવતો બેવડો ‘ક’કાર નાવને સમુદ્રમાં આગળ ધકેલવાની ક્રિયાને વધુ વેગવંતી બનાવી કાવ્યને વધુ દૃશ્યક્ષમ બનાવે છે અને નાયકના જોશ અને નિર્ધારને દ્વિગુણિત કરે છે. કાવ્યનાયકના વહાણવટાની ઈચ્છા સામે સમુદ્ર પડકાર સમો ઊભો છે અને હોડીમાંના વધારે પડતા વજન સામે ઉપાલંભભર્યું હાસ્ય વેરે છે. નાયક એક પછી એક વસ્તુ સમુદ્રમાં પધરાવતા જઈને પણ પોતાના આગળ વધવાના મક્કમ સંકલ્પને -ભલેને તસુભર જ કેમ ન વધાય- સતત જીવતો રાખે છે અને સમુદ્રને સામો પડકારતો રહે છે. પહેલાં એ હલેસાં હોમે છે, પછી પોતાના પગ, પછી હાથ અને છેલ્લે આખેઆખું ધડ હોમી દે છે.

આ આખી ક્રિયા દરમિયાન સમુદ્ર હસતો રહે છે. ત્રણવાર પુનરાવર્તિત થતા એક જ વાક્યમાં ખડખડ શબ્દનું સ્થાન બદલીને કવિ સમુદ્ર દ્વારા નાયકની ઊડાડાતી ઠેકડીને ઉત્તરોત્તર તીવ્રતર બનાવે છે. આ જ કવિકર્મ છે. કવિતા ભલે અછાંદસ હોય, સાચો શબ્દ સાચા સમયે સાચી જગ્યાએ આવે તો અને તોજ એ ગૌરવાન્વિત થાય છે.

ધડના હોમવાની ક્ષણે કવિતામાંથી સમુદ્ર હટી જાય છે અને આખી સૃષ્ટિ આવી ઊભે છે. હવાઓનું ચિરાઈ જવું, આકાશના રંગોનું ભર ભર ખરી પડવું અને દિશાઓનાં ઊભાં ફાડિયાં થવાં આ ઘટનાઓ કવિ શબ્દમાં આલેખે છે પણ એક સક્ષમ ચિત્રકારની પીંછીના બળે આખેઆખું દૃશ્ય શ્રુતિસંવેદન અને ગતિવ્યંજનાથી આપણી સામે મૂર્ત થાય છે, સાકાર થાય છે. આ કવિના શબ્દની સાચી તાકાત છે. કવિનો શબ્દ છંદના પહેરણનો મહોતાજ નથી એ વાત અહીં ખુલે છે.

અંતે નાયકની સતત હાંસી ઊડાવતો સમુદ્ર થરથરીને ચુપ થઈ જાય છે. આગળ વધવાની ઈચ્છાની પરિપૂર્તિ માટે નાયકનું આવું બલિદાન જોઈ પ્રકૃતિ અને સમુદ્ર બંને નમી જાય છે. વહાણમાં પડી રહેલા બચેલા મસ્તક માટે કવિ ‘આરૂઢ’ શબ્દ પ્રયોજે છે જે સિંહાસનારૂઢ શહેનશાહ જેવું ગૌરવ નાયકને બક્ષે છે. અને એ માથામાં થતી વીજળીઓને કાળી સંબોધીને કવિ વહાણવટા પાછળના આંધળૂકિયા સાહસ સુધી અર્થવલયોનું વિસ્તરણ કરે છે.

અહીં મનુષ્યને તમે ખતમ કરી શકો પણ એને તમે પરાસ્ત નહીં કરી શકો એવી વિભાવના ઉજાગર થાય છે….

Comments (24)

પડઘો – હેમેન શાહ

ટહુકો જો ગૂંગળાય તો પડઘો નહીં પડે
કે સૂર્ય અસ્ત થાય તો પડઘો નહીં પડે
સાંનિધ્યમાં ન આવશે અંદાજ પ્રેમનો
અંતર અમુક સિવાય તો પડઘો નહીં પડે

– હેમેન શાહ

Comments (6)

પડઘાનું શહેર છે – જવાહર બક્ષી

પળપળ પડે ને ઊઘડે પર્દાનું શ્હેર છે
અદૃશ્યતાના અવનવા  ચહેરાનું શ્હેર છે

સાચાં જ પાડવા હોત તો એક જ ઉપાય છે
આંખો ઉઘાડી રાખ કે સપનાંનું શ્હેર છે

છે રાતભર આ રેશમી વૈભવ ભીનાશનો
ઝાકળ છું ફૂલ પર અને તડકાનું શ્હેર છે

માણું છું ઠાઠમાઠ તણખલાના મ્હેલમાં
ચારે તરફ પવન અને તણખાનું શ્હેર છે

અહીં એક અવાજ થાય તો હદપારની સજા
સાથે સ્મરણ છે બોલકાં… પડઘાનું શ્હેર છે

– જવાહર બક્ષી

શ્હેર નામનો સતત ખૂંચ્યા કરતો જોડો – જે ન કાઢી શકાય અને ન પહેરી શકાય – એવી અવસ્થાને વર્ણવતી ગઝલ.

Comments (6)

અશ્વમેધયજ્ઞ – અમૃતા પ્રીતમ

ચૈત્રની એક પૂનમ હતી
અને દૂધિયો શ્વેત મારા પ્રેમનો અશ્વ
દેશ અને વિદેશમાં વિચરવા નીકળ્યો…

આખું શરીર સત્ય જેવું શ્વેત
અને શ્યામ કર્મ વિરહી રંગના…

એક સ્વર્ણપત્ર એના મસ્તક પર
‘આ દિગવિજયનો અશ્વ –
કોઈ બળવાન હોય તો એને પકડે અને જીતે’

આ યજ્ઞનો નિયમ છે એ પ્રમાણે
એ ઊભો રહ્યો ત્યાં ત્યાં
મેં ગીતોનું દાન કર્યું
અને કેટલીક જગાએ હવન કર્યા.
એટલે જે કોઈ જીતવા આવ્યું તે હારી ગયું.

આજે જિંદગીની અવધિ સમાપ્ત થઈ ગઈ છે
એ સહીસલામત મારી પાસે પાછો આવ્યો છે,

પણ કેવી અસંભવ વાત –
પુણ્યની ઈચ્છા નથી,
નથી ફળની લાલસા બાકી
આ દૂધિયો શ્વેત મારા પ્રેમનો અશ્વ
મારી નહીં શકાય … મારી નહીં શકાય
બસ આ જ સલામત રહે
પૂરેપૂરો રહે !
મારો અશ્વમેધયજ્ઞ અધૂરો છે,
ભલે અધૂરો રહે !

– અમૃતા પ્રીતમ
(અનુ. – જયા મહેતા)

વિશ્વવિજય કરવા માટે રાજાઓ અશ્વમેધયજ્ઞ કરતા. યજ્ઞ કર્યા પછી એક અશ્વ છૂટો મૂકવામાં આવતો. એ જે જે પ્રદેશમાં જાય તે પ્રદેશના રાજાને ક્યાંતો શરણાગતિ સ્વિકારવાની ક્યાં તો યુદ્ધ વહોરી લેવાનું. અશ્વ પૃથ્વીની પરિક્રમા કરીને પાછો આવે તો વિશ્વવિજય કરેલો ગણાય. આ પૌરાણિક કથાના આધારે અમૃતા પ્રીતમે એમની લાક્ષણિક શૈલીમાં આ કવિતા રચી છે.

કવયત્રિ પોતાના પ્રેમના અશ્વને છૂટો મૂકે છે, જગ આખાને જીતી લેવા. જ્યાં જ્યાં અશ્વ ઊભો રહે ત્યાં ગીતોનો ઓચ્છવ કરીને તે બધાને જીતી લે છે.  જીવનના અંત ભાગમાં અશ્વ પાછો આવે છે. અશ્વ અવિજિત પાછો આવે તો અશ્વમેધયજ્ઞ પૂરો થયો ગણાય. પણ આ ક્ષણે હવે કવયત્રિને કોઈ ઈચ્છા કે લાલસા રહ્યા નથી. ને એ ક્ષણે તેમને મૂળ સત્ય સમજાય છે : પ્રેમ સલામત હોય તો પછી જગતમાં બાકી બધુ અધૂરું રહે તો ચાલશે.

Comments (4)

સમય નામની કણી – એસ. એસ. રાહી

આવેલી એક તક મેં અમસ્તી જ અવગણી
ખટકે છે તે દિવસથી સમય નામની કણી.

કાગળનો શ્વેત રંગ પછી લાલ થઈ જશે,
એ બીકે આંગળીની નથી કાઢતો અણી.

સંતાડી રાખ ધાબળામાં સૂર્યની ઉષ્મા,
જો હું અમીર થઈ ગયો તડકો વણી વણી.

જખ્મો વિશેના અલ્પ પરિચયમાં આટલું:
બિનવારસી છે લાશ ને કોઈ નથી ધણી.

નવરાશ મળી છે એ ક્ષણે વાંચી છે ડાયરી,
મેં રાત વિતાવી નથી તારા ગણી ગણી.

– એસ. એસ. રાહી

ગઝલમાં બધે દુ:ખ, નડતર, અભાવની વાત છે પણ છતાંય એમાં એક જાતનો સંતોષ વરતાય છે.  એક નિરાંત અનુભવાય છે. જાત સાથે સમાધાન કરી ચૂકેલો માણસ જ તારા ગણવાને બદલે ડાયરી વાંચીને નવરાશ વિતાવે ને ?

Comments (7)

સમુદ્ર કાવ્ય- રાજેશ પંડ્યા

આંખના પાણી તરવાં સહેલાં નથી
તું કહે તો સાતે દરિયા તરી બતાવું હું
રાતદિવસ હંકાર્યા કરું વહાણ
સઢની પાછળ ઊગતા ને
આથમતા ચાંદા સૂરજને જોઈ જોઈ
ફૂંફાડતા પવન ને ઊછળતાં મોજાં વચાળ
હલેસાં મારતો રહું સતત
જે કાંઠે તું છે ત્યાં પહોંચવા
એક પછી એક સાતેય દરિયાને વીંધીને છેવટ
આવી પહોંચ્યા પછીય
તારી આંખનાં પાણી તરી શકું નહીં.

-રાજેશ પંડ્યા

ગણિતમાં પ્રમેય ભણતા ત્યારે પ્રથમ પૂર્વધારણા બાંધીને પછી એને સાબિત કરવાનું રહેતું. આ નાનકડા અછાંદસમાં વડોદરાના રાજેશ પંડ્યા પ્રેમનો પ્રમેય સાબિત કરતા હોય એમ લાગે છે. કવિતાની શરૂઆત જ આંખના પાણીનું ઊંડાણ અને એને પાર તરવાની સંપૂર્ણ વિવશતાની પૂર્વધારણા સાથે થાય છે. લાગણીને ઓળંગવી એના કરતાં સાત-સાત દરિયા ઉલેચવા કદાચ વધુ આસાન છે. ‘રાતદિવસ’ વહાણ હંકારવાની અનવરત તૈયારી ચાંદા-સૂરજ-પવન-મોજાંની વચ્ચે થઈને હલેસાંના ‘સતત’ મરાવાના સાતત્ય સુધી પહોંચી કવિતાને એક લય, ગતિ, પ્રવેગ આપે છે. અને આખી દુનિયા તરી જવાનું જેના બાવડાંમાં કૌશલ ભર્યું છે એ કાવ્યનાયક પણ પ્રિયતમાના એક આંસુ સમક્ષ તો પોતાની હાર સ્વીકારી જ લે છે. કદાચ આ હારમાં જ પ્રેમની જીત છુપાયેલી છે !

Comments (5)

જૂનું તો થયું રે દેવળ – મીરાંબાઈ

જૂનું તો થયું રે, દેવળ જૂનું તો થયું;
મારો હંસલો નાનો ને, દેવળ જૂનું તો થયું.

આ રે કાયા રે હંસા, ડોલવાને લાગી રે;
પડી ગયા દાંત, માંયલી રેખું તો રહી. -મારો૦

તારે ને મારે હંસા, પ્રિત્યું બંધાણી રે;
ઊડી ગયો હંસ, પિંજર પડી રે રહ્યું -મારો૦

બાઈ મીરાં કે પ્રભુ ગિરિધરના ગુણ;
પ્રેમનો પ્યાલો તમને પાઉં ને પીઉં-મારો૦

-મીરાંબાઈ

મીરાંબાઈની પ્રેમલક્ષણા ભક્તિનું એક લોકપ્રિય પદ. જીવને જીવન સાથે ગમે એટલી પ્રીત કેમ ન થઈ જાય, દેવળ જૂનું થાય એટલે હંસ તો ઊડી જ જવાનો… જીવન ટૂંકું અને ક્ષણભંગુર છે. શરીર ડોલવા માંડે, મોઢું બોખું થઈ જાય પણ દાંતની નિશાની મહીં રહી જવાની… આપણે તો જવાના પણ ટૂંકા આ જીવતરમાં ગિરિધરના પ્રેમનો પ્યાલો ખુદ પીએ અને સૌને પીવડાવીએ એ જ આપણી નિશાની કાયમ રહી જવાની…

Comments (10)

મુક્તક – સૌમ્ય જોશી

કલમ પકડી કરું છું હું અનોખા પ્રાસની ઈચ્છા,
જગતની સર્વ ઊર્મિના સખત અહેસાસની ઈચ્છા.

પ્રતિભા સ્હેજ ઓછી છે છતાં હું એજ રાખું છું,
હતી જે વ્યાસની ઈચ્છા ને કાલિદાસની ઈચ્છા.

-સૌમ્ય જોશી

ગઈકાલે ધવલે છાંડી દીધેલી એંઠની વાત કરી જેના અનુસંધાનમાં ’व्यासोच्छिष्ठं जगत् सर्वम्।’ જેવાપ્રતિભાવ મળ્યા એટલે તરત જ સૌમ્ય જોશીનું આ મુક્તક યાદ આવી ગયું.’ઈમેજ પબ્લિકેશન’ દ્વારા સુરત ખાતે છવ્વીસમી તારીખે એકસાથે છ કાવ્યસંગ્રહ અને છ વાર્તાસંગ્રહનું વિમોચન બાર સાહિત્યરસિકોના હાથે થયું જેમાં સૌમ્ય જોશીના ‘ગ્રીનરૂમમાં’નું વિમોચન મારા હાથે થયું એ પ્રસંગના આનંદને વાગોળતા વાગોળતા આ મુક્તક આજે રજૂ કરું છું.

Comments (9)