ખુદ તો બની શકું છું હું, છોને ખુદા નથી,
કણ થઈ શકું તો ખૂબ, ભલે અર્બુદા નથી.
વિવેક મનહર ટેલર

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for August, 2008

આપણા કાવ્ય-સામયિક – ૦૪ :શહીદે ગઝલ

Shahide-ghazal_Cover page

“શહીદે ગઝલ” એટલે વડોદરાથી પ્રગટ થતું શકીલ કાદરીનું ગઝલની સાચી વિભાવનાને વરેલું ત્રૈમાસિક. શરૂઆતના માત્ર બીજા વર્ષમાં જ પગ મૂકતું આ ત્રૈમાસિક એક જ વર્ષમાં ગઝલ ચાહકો અને ગઝલકારોમાં સમાન લોકચાહના પ્રાપ્ત કરી શક્યું છે એ એની ગુણવત્તાનું ખરું પ્રમાણપત્ર છે. નોંધપાત્ર જાણીતા-અણજાણીતા ગઝલકારોની ઢગલાબંધ ગઝલોના મઘમઘતા રસથાળ ઉપરાંત અહીં ઘણું એવું છે જે આ સામયિક તમારા ઘરે આવતું ન હોય તો તમને અધૂરપની લાગણી જન્માવી શકે છે. ગઝલ અને ગઝલના બાહ્ય-આંતર્સ્વરૂપ, છંદશાસ્ત્રની તબક્કાવાર છણાવટ દરેક અંકે કોઈને કોઈ રૂપે થતી હોવાથી ભાવકની ગઝલ વિશેની વૈજ્ઞાનિક સમજ અંગેની શોધ અહીં અંત પામતી લાગે. ગઝલના ક્ષેત્રમાં થતા વિવાદો વળી સંપાદકનો પ્રિય વિષય છે અને સ્વસ્થ ચર્ચા જ જ્ઞાનમાર્ગની શ્રેષ્ઠ કેડી હોઈ શકે, ખરું ને? ગઝલ ઉપરાંત અહીં નઝમ, ઉર્દૂ ગઝલ, ગઝલ વિવેચન-આસ્વાદ,  ગઝલને લગતા પુસ્તકોની સમીક્ષા જેવા ચમકદાર મોતીઓ પણ છે… ટૂંકમાં, સાચી ગઝલના ચાહકની ગઝલયાત્રા શહીદે ગઝલ વિના અધૂરી જ રહેવાની…
*

“શહીદે ગઝલ” – ત્રૈમાસિક
સંપાદક: શ્રી શકીલ કાદરી

લવાજમ : વાર્ષિક – દેશમાં રૂ. 200/-, પરદેશ: રૂ. 600/-, શુભેચ્છક લવાજમ: રૂ. 2000/-
લવાજમ ‘એમ.એ.કાદરી’ના નામે રોકડેથી, ડિમાંડ ડ્રાફ્ટ અથવા મની ઑર્ડરથી જ મોકલવું. (’લયસ્તરો.કોમ’ના સૌજન્યથી લખવાનું ન ભૂલાય!!!)

સરનામું: મોહંમદ શકીલ એ કાદરી (Mohammed Shakeel A. Kadri), ડી-114, મધુરમ સોસાયટી, તાંદલજા રોડ, વડોદરા- 390012.

Comments (2)

ગઝલ – શેખાદમ આબુવાલા

દર્દ આપ મુજને એવું કે ત્યાગી શકાય ના,
ઊંઘી શકાય ના અને જાગી શકાય ના.

એ બેવફાનો પ્રેમ મળે એ રીતે મને,
ઈચ્છા તો હોય ખૂબ ને માંગી શકાય ના.

આપે તો આપ સ્વર્ગ મને એ પ્રકારનું,
હું પાપ પણ કરું અને ભાગી શકાય ના.

એવું મિલન ન ભાગ્યમાં ‘આદમ’ કદી મળે,
એને મળું અને ગળે લાગી શકાય ના.

-શેખાદમ આબુવાલા

ચાર શેરની આદમની આગવી શૈલીની મનહર ગઝલ… કવિ સ્વર્ગ માંગે છે પણ પાપ કરવાની છૂટ હોય એવું. અને પાપ કર્યા પછી ભાગી ન શકાય એ માંગવાની ફિતરત પણ એ ધરાવે છે. કરેલાનું ફળ વેઠવાની તૈયારી સાથે કરવા ન મળે તો જીવવું વ્યર્થ લાગે એવા કેટલાક ‘પાપ’ સ્વર્ગમાં પણ છોડવા તૈયાર ન હોય એવો કોઈ માણસ તમને રસ્તે મળે તો એના ઑટોગ્રાફ માંગી લેજો- એ શેખાદમ જ હોવાનો!

Comments (11)

ગઝલ – નયન દેસાઈ

Mahesh Davadkar - painting2

(…              …ચિત્રાંકન : મહેશ દાવડકર, સુરત…           …)

હોવાનો બોજ આ રીતે  ઊંચકી શકાય છે
સમજી શક્યા નથી અને સમજી શકાય છે

શમણાંઓ એનાં એ જ છે પાંપણની ધાર પર
ચાદર પથારી પરની તો બદલી શકાય છે

ચાદર બદલવા જાવ તો શમણાં ઉડી જશે
શમણાં વગર તો ક્યાં કદી ઊંઘી શકાય છે ?

આ એજ છે નદી કે જે વહેતી હતી કદી
આ ચિત્ર સાથે નોંધમાં વાંચી શકાય છે.

-નયન દેસાઈ

હોવાપણાંનો બોજ જીવનના આરંભથી મનુષ્યને સતાવતો આવ્યો છે. અસ્તિત્વને સમજી શકવાની મથામણ અને વ્યથા જીવનના દરેક સ્તરે નાનાવિધ આયામથી સતત પ્રકટ થતી રહી છે. આ પ્રશ્ન વિશે મહદ્ અંશે એટલું જ સમજી શકાય છે કે એ સમજી શકાતો નથી…

સમયની સાથે કેટલાક સંબંધો સૂકાઈ જાય છે અને રહી જાય છે જીવનના ચિત્ર પર ક્યારેક એના હોવાપણાં વિશેની નોંધ માત્ર…

Comments (9)

ગઝલ – વિનોદ ગાંધી

આમ તો નાચીજ છે આખું જગત,
લોભવે એ ચીજ છે આખું જગત.

ચૌદ આની હોય છે ઢંકાયલું,
આભમાંની બીજ છે આખું જગત.

છોડવું ગમતું નથી હર કોઈને,
આ કયું તાવીજ છે આખું જગત ?

નામ લેતાં એક જણ ગિન્નાય છે,
એક જણની ખીજ છે આખું જગત.

ચોતરફ કાદવ રહે છે હરઘડી,
એટલે સરસિજ છે આખું જગત !

-વિનોદ ગાંધી

(સરસિજ=કમળ)

Comments (11)

શાયર છું – ‘ઘાયલ’

જેવો તેવોય એક શાયર છું,
દોસ્ત, હું જ્યાં છું, ત્યાં બરાબર છું.

શબ્દ છું-ક્ષર નથી, હું અક્ષર છું,
યાને હું નિત્ય છું, નિરંતર છું.

હું સ્વયં ફૂલ છું, હું અત્તર છું,
જે કશું છું, હું દોસ્ત, અંદર છું.

સત્ય છું, શિવ છું, હું સુંદર છું,
પરથી પર યાને હું પરાત્પર છું.

હું હતો, છું, હજીય હોવાનો;
હું સનાતન છું, હું સદંતર છું.

બે ધડક પૂછ કોઈ પ્રશ્ન મને;
કોઈ પણ પ્રશ્નનો હું ઉત્તર છું.

હું છું સંદેશ ગેબનો સંદેશ;
પત્ર વાહક નથી, પયંબર છું.

ઉન્મત્ત આનંદનો છું હું સાગર;
દત્ત અવધૂત છું, દિગમ્બર છું.

ધૂર્જટીથી નથી કમ ‘ઘાયલ’,
રિન્દાના-સ્વાંગમાં હું શંકર છું.

– ‘ઘાયલ’

ખૂમારીનું બીજુ નામ એટલે ‘ઘાયલ’ … એ જ શાયર થી શંકર બધુ ય હોવાનો દાવો કરી શકે !

Comments (6)

દશા અને દિશા – વેણીભાઈ પુરોહિત

દશા પર દાઝનારા ને દશા પર દૂઝનારાઓ,
નથી હોતા ખુમારીથી જીવનમાં ઝૂઝનારાઓ.

દિશા જાણ્યા વિનાના છે દશાથી ધ્રુજનારાઓ !
કહી દો   એમને  કે,  હે દશાના  પૂજનારાઓ !

દશા તો છે સડક જેવી, સડક ચાલી નથી શકતી,
સડકને  ખૂંદનારાને  સડક  ઝાલી નથી શકતી.

– વેણીભાઈ પુરોહિત

પ્રારબ્ધને ઠોકર મારી પુરુષાર્થ પર આધાર રાખી જીવો. પવનથી ધ્રુજતા તણખલાની જેમ નહીં, ખુમારીથી ઉડતા બાજની માફક જીવો !

Comments (4)

જળકમળ છાંડી… – નરસિંહ મહેતા

જળકમળ છાંડી જાને, બાળા! સ્વામી અમારો જાગશે;
જાગશે, તને મારશે, મને બાળહત્યા લાગશે.

કહે રે બાળક! તું મારગ ભૂલ્યો? કે તારા વેરીએ વળાવિયો?
નિશ્ચે તારો કાળ જ ખૂટ્યો, અહીંયા તે શીદ આવિયો?

‘નથી નાગણ! હું મારગ ભૂલ્યો, નથી મારા વેરીએ વળાવિયો;
મથુરાનગરીમાં જુગટું રમતાં નાગનું શીશ હું હારિયો.’

‘રંગે રૂડો, રૂપે પૂરો, દીસંતો કોડીલો કોડામણો;
તારી માતાએ કેટલા જન્મ્યા, તેમાં તું અળખામણો?’

‘મારી માતાએ બેઉ જન્મ્યા, તેમાં હું નટવર નહાનડો,
જગાડ તારા નાગને, મારું નામ કૃષ્ણ કહાનડો.

‘લાખ સવાનો મારો હાર આપું, આપું રે તુજને દોરિયો,
એટલું મારા નાગથી છાનું, આપું તુજને ચોરિયો.’

‘શું કરું, નાગણ! હાર તારો? શું કરું તારો દોરિયો,
શાને કાજે, નાગણ! તારે ઘરમાં કરવી ચોરિયો?’

ચરણ ચાંપી, મૂછ મરડી, નાગણે નાગ જગાડિયો:
‘ઊઠો રે બળવંત, કોઈ બારણે બાળક આવિયો.’

બેઉ બળિયા બાથે વળગ્યા, કૃષ્ણે કાળીનાગ નાથિયો,
સહસ્ત્ર ફેણા ફૂંફવે જેમ ગગન ગાજે હાથિયો.

નાગણ સહુ વિલાપ કરે છે: નાગને બહુ દુ:ખ આપશે,
મથુરાનગરીમાં લઈ જશે, પછી નાગનું શીશ કાપશે.

બેઉ કર જોડી વીનવે: ‘સ્વામી! મૂકો અમારા કંથને;
અમો અપરાધી કાંઈ ન સમજ્યાં, ન ઓળખ્યા ભગવંતને.’

થાળ ભરી શગ મોતીએ શ્રીકૃષ્ણને રે વધાવિયો;
નરસૈંયાના નાથ પાસેથી નાગણે નાગ છોડાવિયો.

– નરસિંહ મહેતા

લયસ્તરોના વાચકવૃંદને જન્માષ્ટમી મુબારક…!

Comments (10)

એક ચોમાસું – કરસનદાસ લુહાર

એક ચોમાસું કે, તું તું-થી સભર;
એક ચોમાસું કે, હું મારા વગર.

એક ચોમાસું કે, ઉનાળાઉં હું;
એક ચોમાસું કે, તું છે તરબતર !
એક ચોમાસું કે, તું બસ પર્ણ-પર્ણ;
એક ચોમાસું કે, હું છું પાનખર.
એક ચોમાસું કે, તું અલકાપુરી,
એક ચોમાસે હું રામાદ્રિ ઉપર !

– કરસનદાસ લુહાર

કાલે એક ચોમાસું ગીત વાંચ્યું, આજે એક ચોમાસું ગઝલ… ટૂંકી બહરની અને ઓછા શેરની આ ગઝલમાં કવિ મનભરીને વરસ્યા છે. બે અંતિમ છેડાની સરખામણીઓમાં વિરહની વેદનાને ધાર મળે છે અને એ ધારને ઓર તીક્ષ્ણ બનાવે છે ચોમાસાંની મૂલભૂત મિલનની ઋતુમાં થતી વાત. અંતિમ શેરમાં અલકાપુરી અને રામાદ્રિની વાતમાં કવિ કાલિદાસના મેઘદૂતને પણ અછડતું સ્પર્શી લે છે…

Comments (4)

નભ વચ્ચે આ કયો ખલાસી… – ઉષા ઉપાધ્યાય

નભ વચ્ચે આ કયો ખલાસી
જળની જાળ ગૂંથે છે ?!

જાળ ગૂંથીને ઊભો થતાંમાં
ખેસ જરા ખંખેરે,
પલક વારમાં ગોરંભાતાં
નભને ઘન વન ઘેરે,
ફર-ફર ફર-ફર ફોરાં વરસે
જાણે કતરણ ખેરે,
નભ વચ્ચે આ કયો ખલાસી
જળની જાળ ગૂંથે છે ?!

ત્રમઝૂટ વરસે નભથી જ્યારે
જાળ ધીવરની ભાસે,
ફંગોળી ફેલાવી નાખી
મહામત્સ્ય કો ફાંસે,
અરે ! પલકમાં મત્સ્ય ધરાનું
આભે ખેંચી જાશે !
નભ વચ્ચે આ કયો ખલાસી
જળની જાળ ગૂંથે છે ?!

-ઉષા ઉપાધ્યાય

એકધારા વરસતા વરસાદની જેમ અનવરુદ્ધ લય સાથે છમ્…છમ્… નાચતું આ ગીત ગાયા વિના વાંચવું અશક્ય છે. જળની જાળનો પ્રયોગ જેટલો અપૂર્વ છે એટલું જ મનહર છે માછીમારની પરિભાષામાં રચાયેલું આ ગીત… એને એમ જ વરસવા દઈએ? છત્રી-રેઈનકોટ ફેંકીને આવ્યા છો ને?!

(કતરણ=કાપડ, કાગળ, પતરું ઇત્યાદિ કાપતાં પડતો કચરો; ધીવર=ધીમર, માછી)

Comments (5)

ભૂલ – ઓકતે રિફાત

રોટલી મારા ખોળામાં
અને તારાઓ દૂરદૂર
હું તારાઓને તાકતો-તાકતો રોટલી ખાઉં છું
ક્યારેક વિચારોમાં એટલો ખોવાયેલો –
ભૂલથી હું તારા ખાઉં છું
રોટલીને બદલે.

– ઓકતે રિફાત
(તુર્કીમાંથી અનુવાદ : ઉત્પલ ભાયાણી)

હકીકતને ભૂલીને સપનાને આલિંગવામાં આપણે બધા જ પાવરધા છીએ !

Comments (3)

ક્યાં જશે – દિલીપ મોદી

મોરને છોડીને ટહુકા ક્યાં જશે ?
આ ધરાથી દૂર દરિયા ક્યાં જશે ?

શ્વાસના સામીપ્યમાં તો કૈંક છે.
શબ્દથી અકબંધ રેખા ક્યાં જશે ?

ક્ષુબ્ધ ઘટના ચોતરફથી ઘૂઘવે,
હાથમાં મેંદીની છાયા ક્યાં જશે ?

હું પરિચિત ભીંતમાં ડૂબી શકું,
ભાગ્યના ખંડેર પડઘા ક્યાં જશે ?

લ્યો, હકીકત ધૂળમાં છુપાઈ ગઈ,
પારદર્શક શ્વેત પગલાં ક્યાં જશે ? 

– દિલીપ મોદી

અભાવની અભિવ્યક્તિ…. ત્રીજો અને ચોથો શેર વધુ સરસ થયા છે.

Comments (5)

ગઝલ – રઈશ મનીઆર

મને હૃદય ન ચલાવે, ન મન ચલાવે છે
તમારી આંખનું નમણું ઇજન ચલાવે છે.

સ્વથી અલિપ્ત, ચરણહીન થઇને બેસું તો
ઉઠાવી પાંપણે મુજને સ્વજન ચલાવે છે.

સફળતા અંત છે, રસ્તાની વચ્ચે ક્યાંથી મળે
લગન જ્યાં મંદ પડે, ત્યાં શુકન ચલાવે છે.

દુ:ખોનાં દળમાં એ બળ ક્યાં કે જિંદગી અટકે!
સુખોનું સ્વપ્ન અને સાંત્વન ચલાવે છે.

એ બાહુઓના ભરોસે જગતનું ભાવિ છે
જે ગેમ બોય ઉપર ટોયગન ચલાવે છે.

ગતિ બધાંએ વખાણી, દિશા ન ખુદને ખબર
ખરેલા પર્ણને જાણે પવન ચલાવે છે.

ભવન આ મનનું , હજારો અસભ્ય લાલસાઓ
સભાપતિ કઇ રીતે સદન ચલાવે છે!

છું ધન્ય ધન્ય જ્વલનશીલ જાત પામીને,
કૃપા છે એની યુગોથી હવન ચલાવે છે.

જગત ચલાવવાની વાત પડતી મૂક તું મન!
મળ્યા છે શ્વાસ ગણેલા, જે તન ચલાવે છે.

રદીફ સ્થાને હું બેસું, તો કાફિયા ખેંચે
અરુઝ મારે છે ધક્કો, કવન ચલાવે છે.

‘રઇશ’ એ તને ક્યાંથી ઠરીને બેસવા દે?
ગ્રહો જે ઘૂમતા રાખી ગગન ચલાવે છે.

-રઈશ મનીઆર

આજે ઓગણીસમી ઓગસ્ટે કવિમિત્ર રઈશ મનીઆરને ‘લયસ્તરો’ તરફથી વર્ષગાંઠની હાર્દિક શુભકામનાઓ અને એમની એક દીર્ઘ ગઝલ વાચકમિત્રો માટે….

Comments (16)

આવ, સખી, આવ – નિરંજન ભગત

આવ, સખી, આવ,
          વહી જશું ધીરે ધીરે,
મિલનની નાવ, 
          વિરહને તીરે તીરે !

હો વેળુથી વેરાન બેઉ તટે
          વૈશાખની અગનછટા,
વા પૂરથી પાગલ જલપટે
          આષાઢની સઘન ઘટા;

ધૂપ હો વા છાંવ,
          સહી જશું નત શિરે;
મિલનની નાવ
          વહી જશું ધીરે ધીરે !

– નિરંજન ભગત

સ્નિગ્ધ-સૂર, મોહક ગીત… મનની તૃપ્તિ ! 

Comments (3)

આપણા કાવ્ય-સામયિક – ૦૩ :ગઝલવિશ્વ

Ghazalvishwa-title page

કેટલાક બાળકોની પ્રતિભા પારણાંમાંથી જ પરખાઈ જતી હોય છે. ‘ગઝલવિશ્વ’ ગુજરાતી કાવ્યસામયિકોની દુનિયામાં આવું જ એક નવજાત શિશુ છે. પ્રકાશનના પહેલા જ વર્ષથી એણે કવિઓ અને ભાવકવૃંદમાં એક સન્માનનીય સ્થાન પ્રાપ્ત કરી લીધું છે. ગુજરાત સાહિત્ય અકાદમીના નેજા હેઠળ વલી ગુજરાતી ગઝલકેન્દ્ર તરફથી પ્રગટ થતું આ ત્રૈમાસિક સામયિક ગઝલ, ગઝલ અને માત્ર ગઝલનું સામયિક છે. એના દરેક અંક એક આખા ગઝલસંગ્રહની ગરજ સારે છે. નવા-જૂના ગઝલકારોની પચાસ જેટલી ગઝલ ઉપરાંત ગઝલને લગતી ‘ક’થી ‘જ્ઞ’ સુધીની માહિતી આ લગભગ નિઃશુલ્ક ગણી શકાય એવા સામયિકના બે પૂંઠા વચ્ચે ખીચોખીચ ઠાંસેલી હોય છે. ગઝલના છંદશાસ્ત્રને લગતા લેખ અને ચર્ચાઓ, જૂના મુલ્યવાન સંગ્રહોમાં લબ્ધપ્રતિષ્ઠ સાહિત્યકારોએ લખેલી દુર્લભ પ્રસ્તાવનાઓ, ગઝલ વિષયક અભ્યાસ અને સંશોધનાત્મક લેખો, અનુવાદ, નવા પ્રકાશિત સંગ્રહોનું આચમન, આસ્વાદ ઉપરાંત ગઝલકારોની જૂની-નવી અને ગુજરાતી સાહિત્યની અલભ્ય તસ્વીર પણ તમને અહીં મળશે. ટૂંકમાં, ગઝલવિશ્વને આપ સમયની એરણ પર ટિપાઈ-ટિપાઈને તૈયાર થઈ રહેલો એક સંપૂર્ણ ગઝલ-વિષયક એન્સાઈક્લોપીડિયા ગણી શકો છો…

*

“ગઝલવિશ્વ” – ત્રૈમાસિક
સંપાદક: શ્રી રાજેશ વ્યાસ ‘મિસ્કીન’, શ્રી અંકિત ત્રિવેદી
પરામર્શક: જલન માતરી, યોગેશ જોષી

લવાજમ : વાર્ષિક – દેશમાં ફક્ત 40/-રૂ., પરદેશ: રૂ. 500/-

લવાજમ ‘ગુજરાત સાહિત્ય અકાદમી’ના નામે રોકડેથી, ડિમાંડ ડ્રાફ્ટ અથવા મની ઑર્ડરથી જ મોકલવું. (’લયસ્તરો.કોમ’ના સૌજન્યથી લખવાનું ન ભૂલાય!!!)

સરનામું: 1) ગુજરાત સાહિત્ય અકાદમી, અભિલેખાગાર ભવન, ગુલાબ ઉદ્યાન સામે, સેક્ટર-17, ગાંધીનગર-382017.
.          2) ‘ગ્રંથમાધુર્ય’, ‘રજવાડું’, મલાવ તળાવ પાસે, જીવરાજપાર્ક રોડ, અમદાવાદ-380051.

Comments (5)

ઓળખાવી રહ્યો છું – ડૉ. મહેશ રાવલ

Mahesh Rawal - Vakhat jem khud Ne

(ખાસ લયસ્તરો માટે ડૉ. મહેશ રાવલના હસ્તાક્ષરમાં એક ગઝલ)

વખત જેમ ખુદને વિતાવી રહ્યો છું,
મને હું જ જાણે નિભાવી રહ્યો છું !

બદલતી રહે છે દશા હર તબક્કે
અને હું તબક્કા વટાવી રહ્યો છું !

ખબર છે નથી કંઈ ઉપજવાનું, તો પણ
ઉલટભેર સપનાંય વાવી રહ્યો છું.

કદી સાવ સીધા, કદી આડકતરા
કદી ભાર અંગત ઉઠાવી રહ્યો છું !

જતી હોય કે આવતી હર ક્ષણોને
સહજભાવે મસ્તક નમાવી રહ્યો છું.

નથી જે મળ્યું તે અને જે મળ્યું તે
મુકદ્દર ગણીને વધાવી રહ્યો છું !

પછી એ બધા ડાઘુઓ થઈ જવાનાં
સ્વજન જેને હું ઓળખાવી રહ્યો છું !

-ડૉ. મહેશ રાવલ

વખત જેમ ખુદને વિતાવવાની વાત કરતા ડૉ. મહેશ રાવલની આ ગઝલ એમના ખુદ્દારીસભર મિજાજની મુખર તસ્વીર છે. મનુષ્યની દશા સતત બદલાતી રહે છે અને આપણે ખાસ એ વિશે કરી પણ શક્તા નથી. બસ એક પછી એક તબક્કા પસાર કરીને જે મળે કે જે ન મળે એ બધાને મુકદ્દર ગણીને વધાવતા રહેવું પડે છે. ક્યારેક વાત સીધી હોય, ક્યારેક આડકતરી. ક્યારેક બોજ પોતાનો હોય ક્યારેક અવરનો- ઉઠાવતા રહેવું પડે છે, બસ…

Comments (9)

ભારતમહિમા – ન્હાનાલાલ

પ્રાચીનોમાંયે પ્રાચીન,
પૃથ્વીની પહેલી પુત્રી
છે આર્યાવર્તની આર્યપ્રજા.

જગતના મહાધર્મોની ધાત્રી,
પૃથ્વીના તત્વજ્ઞાનની જનની
પ્રેમશૌર્યના રણશિંગડા સરિખડી
ગગનભેદી સદા કવિતા ગાતી,
વેદોચ્ચારિણી યશસ્વિની અંબા
ભારતમાતા બીજી નથી અવનિ ઉપર.

એના વિજયટંકાર રક્તરંગી નથી,
દેહના નહીં, પણ દૈવી છે;
આત્માની પરમ શાન્તિના છે;
જડના નથી, ચેતનના છે
માટે જ દૃશ્ય છે ચેતનદ્રષ્ટાને.

યુગયુગથી લૂંટાય ત્હોય
સદા શણગારવતી શોભતી :
સૈકે-સૈકે ઘવાય ત્હોય
સદાની એ સજીવન.

નક્ષત્રમાલાની પરંપરા સમી
ત્હેના ધર્મોદ્ધારકોની પરંપરા
બીજું આકાશ હોય
તો દાખવાય ત્હેમાં.

સમસ્ત દુનિયાના ઈતિહાસનું
મધ્યબિંદુ છે એશિયા :
ને ભરતખંડની મહાકથા છે
એશિયાના ઈતિહાસનું કેન્દ્ર.

પૂર્વ અને પશ્ચિમનાં પલ્લાંની
દાંડી ભારત છે;
ને ઉભય ગોલાર્ધની દૈવી સંપત્તિ
તોળશે તે નજીકના ભવિષ્યમાં.

– ન્હાનાલાલ

લયસ્તરોના વાચકમિત્રોને સ્વાતંત્ર્ય દિનની હાર્દિક શુભકામનાઓ !

છંદના ઝાંઝર બંધનરૂપ લાગતાં કવિ ન્હાનાલાલે નાની-મોટી પંક્તિઓમાં આંતરિક લય જાળવીને ડોલનશૈલીની રચના કરી હતી જે કદાચ આપણી ભાષામાં છંદ-મુક્તિનો પ્રથમ પ્રયોગ હતો. આ શૈલીમાં ભાવનાતત્ત્વને કેન્દ્રમાં રાખી લખેલાં કેટલાક નાટકોમાંના “ઇન્દુકુમાર અંક:1″માંનો અછાન્દસ ખંડ અહીં લીધો છે. દેશભક્ત નેપાળી જોગણ નામની સંન્યાસિની ભારત અને એની પ્રાચીનતમ સંસ્કૃતિની લાગણીસભર પ્રશંસા કરી ભારતમહિમા ગાય છે. એમાં સ્વદેશવત્સલતા છે અને સચ્ચાઈનો ભાવ પણ છે. ભારતની અહિંસા, સત્ય, ધર્મ, આધ્યાત્મિક્તા વગેરેની સંપત્તિને કવિએ છટાદાર વાણીમાં વ્યક્ત કરીને પોતાનો દેશપ્રેમ-સંસ્કૃતિપ્રેમ સબળ રીતે વ્યક્ત કર્યો છે.

(કાવ્ય અને ટૂંકનોંધ ‘ગુજરાતી વાચનમાળા’ ધોરણ-૯, ૧૯૮૧માંથી સાભાર)

(ધાત્રી=પોષણ આપનારી, ઉભય=બંને)

Comments (5)

ગઝલ – બી.કે.રાઠોડ ‘બાબુ’

ખુશી કેટલી દુશ્મનોને મળે છે?
તમારી કથામાં મને સાંકળે છે.

કરું તો કરું વાત કેમે તમારી ?
હવા કાન દઈને બધું સાંભળે છે.

નથી સ્વપ્ન મારા થયા કે થવાના,
બધા જેમ એ પણ મજેથી છળે છે.

મને જોઈ વળતો તમારી ગલીમાં,
તમારા તરફ કાં નજર સૌ  વળે છે?

બચાવી રહ્યો છે મને માત્ર ઈશ્વર,
નહીં તો સતત શીશ ખંજર તળે છે.

મને સાંત્વના દઈ હવે ના સતાવો,
વળે સ્હેજ ટાઢક તો જખ્મો કળે છે.

નથી ‘બાબુ’ અમથી જ રાતી-ગુલાબી,
હૃદયની ગલીથી ગઝલ નીકળે છે…

– બી.કે.રાઠોડ ‘બાબુ’

સુરેન્દ્રનગરના ઓછાબોલા પણ જબરા પ્રેમાળ કવિ બી. કે. રાઠોડ ઓરિએંટલ ઇન્સ્યોરન્સ કંપની હસ્તક ગામ આખાના વીમાના પ્રીમિયમ જમા કરતા રહે છે પણ પોતે ગઝલની કંપનીનું પ્રીમિયમ નિયમિત અને દિલથી ભરે છે. સરળ બાનીની એમની ગઝલો વાંચીએ ત્યારે સહજ એમ થાય કે અરે, આતો મારી જ વાત ! આ પોતીકાપણાનો કાકુ પ્રગટાવવામાં એ ખાસ્સા સફળ થયા છે એની ખાતરી આ ગઝલ વાંચતાવેંત થાય એમ છે. પ્રણયની પીડાની વાત આ કવિ કેવી મધુરતાથી કહી શકે છે! – મને સાંત્વના દઈ હવે ના સતાવો… આ જખમ તો આમેય રહી રહીને કળતા જ રહે છે… એમની ગઝલ એમના હૃદયની ગલીઓમાંથી નીકળી છે અને એટલે જ લોહીભીની લાલ-ગુલાબી છે…

(જન્મ: ૦૬-૦૪-૧૯૬૫, ગઝલ સંગ્રહ: ‘અહીંથી ત્યાં સુધી…’)

Comments (10)

ચ્હેરો મરણનો.. – હરેશ ‘તથાગત’

ખાલી કરી, પાછો ભરી, ખાલી કરું છું હું મને
બસ, સાવ અમથો કોઈ વેળા સાંભરું છું હું મને.

પાટો સખત બાંધી લઉં છું બેય આંખો પર પછી,
એવું બધું ભૂલી જઈ દર્પણ ધરું છું હું મને. !

ધમકી મને મોકલું છું હર પળે એકાદ-બે
ને હર પળે પગમાં પડીને કરગરું છું હું મને !

છૂટી જવાના યત્નમાંયે હું જ હોઉં છું સદા,
ને એય સાચું કે હંમેશા આંતરું છું હું મને !

ચ્હેરો તમસનો ઉપસે છે કોણ જાણે કેમ ત્યાં ?
પ્રત્યેક વેળા આમ જોકે ચીતરું છું હું મને !

– હરેશ ‘તથાગત’

જાતને વલોવવાની મથામણ ચિતરતી અંતર્મુખ ગઝલ.

(તમસ=અધંકાર)

Comments (6)

આધુનિક વધસ્તંભ – વાસુદેવ નિર્મળ

મુંબઈની લોકલગાડીના
ડબ્બાની વચ્ચે
લોખંડના સળિયાઓ લટકે છે
જેમાં
લટકે છે હાથકડીઓ.
કેટલાક યાત્રી,
તે કડાંને પકડીને ઊભા છે.

ના, ના
તેઓ ઊભા નથી
લટકે છે
માનો કે એક જ સમયે
કોઈ
સાદો ઈન્સાન,
લાચાર ઈન્સાન,
ઈશુની જેમ,
શૂળી પર લટકાવી દીધો છે.
દરેક ઈસુને
પોતપોતાનો વધસ્તંભ હોય છે.

– વાસુદેવ નિર્મળ (સિંધીમાંથી અનુવાદ સુજાતા ગાંધી)

સામાન્ય માણસના લાચારીઓના વહેણમાં ખેંચાઈ જવાની ઘટના મહાનગર (કે મહા-મગર) માટે નવી નથી. પણ કવિએ સૌથી અસરકારક વાત છેલ્લી લીટીમાં કરી છે. ફરી વાર વાંચી જુવો – દરેક ઈસુને પોતપોતાનો વધસ્તંભ હોય છે. એ વાક્યએ મને વિચારતા કરી દીધો કે મારો વધસ્તંભ ક્યો છે ? ખરી વાત છે; આપણે બધા આપણા પોતાના અંગત વધસ્તંભને ઊંચકીને જ ચાલી રહ્યા છીએ. કોઈ વધસ્તંભો જોઈ શકાય છે જ્યારે કોઈનું તો ખાલી વજન જ અનુભવી શકાય છે…. છાતી ઉપર.

Comments (5)

આપણા કાવ્ય-સામયિક – ૦૨ : "કવિલોક"

Kavilok - Title page

કવિલોક એટલે ખરા અર્થમાં ‘ગુજરાતી કવિતાનું ઋતુપત્ર’. છેલ્લા એકાવન વર્ષથી પ્રગટ થતું માત્ર કવિતાને વરેલું આ દ્વિમાસિક શિશિર, વસંત, ગ્રીષ્મ એમ ઋતુ પ્રમાણે તમારા દરવાજે ટકોરા મારે છે અને ઋતુ-ઋતુનો ફાલ લઈ તમને આલિંગે છે. કવિવર રાજેન્દ્ર શાહે શરૂ કરેલ આ સામયિક આજે ‘કુમાર’ના તંત્રી શ્રી ધીરુ પરીખ ચલાવે છે. ગઝલ, અછાંદસ, ગીત, ઊર્મિકાવ્ય, સૉનેટ, હાઈકુ, મુક્તક જેવા તમામ પ્રકારના કાવ્ય-પ્રકાર અહીં એકસાથે માણવા મળે છે અને ગુજરાતી ભાષાની કસાયેલી કલમ અહીં બાળસૂર્યના પહેલાં કિરણ સાથે એક જ પંગતમાં બેઠેલી જોવા મળે છે. કવિઓના આખા જીવનકાર્ય ઉપર દૃષ્ટિપાત કરાવતા લેખ ઉપરાંત કાવ્યાસ્વાદ, ગ્રંથાવલોકન અને અનુવાદ પણ આ ખજાનામાં સામેલ છે. ગુણવત્તા અને જથ્થો એ સિક્કાની બે વિપરિત બાજુઓ અહીં એકસાથે વિદ્યમાન છે એ જોતાં આ સામયિક આપણી ભાષાનો એક નોખો સિક્કો ગણી શકાય અને કવિતાની દુનિયામાં એ અલગ જ રુક્કો ધરાવે છે… કવિતાપ્રેમીઓના ઘરનું પુસ્તકાલય ‘કવિલોક’ વિના કદી પૂર્ણ ગણી નહીં શકાય…

*

“કવિલોક” – દ્વિમાસિક
તંત્રી: શ્રી ધીરુ પરીખ

લવાજમ : વાર્ષિક- દેશમાં 100/-રૂ., પરદેશ: અમેરિકા- 7 $ અથવા રૂ. 350/-, ઇંગ્લેન્ડ: 6 પાઉન્ડ
આજીવન- દેશમાં 1500/-રૂ., પરદેશ: અમેરિકા- 150 $, ઇંગ્લેન્ડ: 100 પાઉન્ડ

લવાજમ ‘કુમાર ટ્રસ્ટ’ના નામે ડિમાંડ ડ્રાફ્ટ અથવા મની ઑર્ડરથી જ મોકલવું. (‘લયસ્તરો.કોમ’ના સૌજન્યથી લખવાનું ન ભૂલાય!!!)
સરનામું: કુમાર ટ્રસ્ટ, 1454, રાયપુર ચકલા, અમદાવાદ – 380001.

Comments (7)

શ્યામ ! તારા રંગે રંગાઈ હું તો આખી (કાવ્યપઠન) -વિવેક મનહર ટેલર

Shyaam taara range
(વિવેકની એક અક્ષુણ્ણ કૃતિ એના હસ્તાક્ષરમાં પહેલવહેલીવાર લયસ્તરો માટે)

[audio:http://urmisaagar.com/saagar/audio/ShyamTaaraRange-VivekTailor.mp3]

શ્યામ ! તારા રંગે રંગાઈ હું તો આખી,
પોતીકા રૂપની આયને ઊભીને હવે કઈ રીતે કરું હું ઝાંખી ?

કમખામાં, ઘાઘરીમાં, ઓઢણીમાં, આંખડીમાં,
આયખામાં જેટલાં યે સળ છે;
તારા જ દીધા સૌ વળ છે.
કિયા છેડેથી બાકી તેં રાખી ?
મુને અંગ-અંગ રોમ-રોમ ચારે તરફથી તેં દોમ-દોમ દોથ-દોથ ચાખી.

શીકાંઓ તોડ, મારાં વસ્તર તું ચોર,
મારી હેલ્યુંની હેલ્યું દે ભાંગી;
કુણ મુંથી તે મોટું બડભાગી ?
વરણાગી, મુંને બ્હાવરી કરીને તેં રાખી,
દરવાજા દીવાલો ઓગાળી બેઠી હું, બારી ય એકે ન વાખી.

-વિવેક મનહર ટેલર
(૧૭-૦૭-૨૦૦૮)

“શ્યામ!” સંબોધન વાંચતા જ આપણી આંખ આગળ ગોપી આવી જઈને આપણને પણ એના રંગમાં એવા રંગી દે છે… કે પછીનું આખું કાવ્ય આપણે ગોપી બની ગયા વગર જાણે માણી જ ન શકીએ ! શ્યામનાં રંગમાં રંગાઈને લથબથ અને તરબતર થયેલી ગોપી અહીં રંગાવાનાં અલૌલિક આનંદની સાથે સાથે વળી “કિયા છેડેથી બાકી તેં રાખી” કહીને રંગાવાની જ મધમીઠી રાવ પણ કરે છે. અને બ્હાવરી તો કેવી, કે દલડાંનાં દરવાજા ને દીવાલો બધુયે ઓગળી ચૂક્યું છે ને તો યે હજી એ બારી ન વાખવાની ઘેલી ચિંતા કરે છે. શું શ્યામે એને પોતાના રંગમાં રંગી છે ?… કે પછી શ્યામનાં રંગમાં એ પોતે પોતાની મરજીથી જ રંગાઈ ગઈ છે? શું એ ફરિયાદ કરે છે કે એણે રંગાવું ન્હોતું તો ય રંગાઈ ગઈ ? જો કે, આવા પ્રશ્નોનાં જવાબો તો રાધા યે આપી ન શકે… એટલે આપણે થોડીવાર માટે ગોપી બની જઈ માત્ર આ કાવ્યનાં રંગમાં રંગાઈએ તો કેવું ?!!

લયસ્તરોનાં સાગરમાં આપણે ઘણાં પ્રિય કવિઓનાં હસ્તાક્ષરોનાં મોતીઓ ભર્યા છે અને એમાં આપણા ઘરનાં જ કવિનાં હસ્તાક્ષરનું મોતી ના હોય એ કેમ ચાલે? ખરું ને મિત્રો?! વળી આ કવિ મહાશય પાસેથી તો એમનાં હસ્તાક્ષરની સાથે સાથે બોનસ તરીકે મેં હક્કથી એનાં સ્વરનું મોતી પણ માંગી લીધું છે (જરા દાદાગીરીથી સ્તો!)… તો ચાલો આજે સાંભળીએ આ કાવ્યનું પઠન, કવિ વિવેક ટેલરના જ અવાજમાં !

Comments (24)

અજાણ વિદ્યા – ધીરુ મોદી

ફાનસ ફૂટી ગયું
ત્યાં સુધી
મને ખબર જ ન્હોતી
કે મારી અંદર
અંધારું નહીં
પણ પ્રકાશ ભરેલો હતો.

-ધીરુ મોદી

ગાગરમાં સાગર જેવું એક નાનકડું અર્થગહન અછાંદસ. છેલ્લે સુધી અંદરના પ્રકાશથી અનભિજ્ઞ રહેવાનો કોઈ શાપ છે કે શું આપણા સૌના માથે જેને પરિણામે આખું જીવન અંધકારની ગલીઓમાં ભટકતા રહેવામાં જ નીકળી જાય છે ?! જાતનું ફાનસ ફૂટતું નથી ત્યાં સુધી સતનો પ્રકાશ સમજાતો નથી.

Comments (3)

અષાઢે – ઉશનસ્

અષાઢે તણખલું ના તોડીએ જી,
એ જી, એ તો ફૂટતું ઘાસ,
એમાં ધરતીના શ્વાસ,
એની પત્તીની પીમળમાં પોઢીએ જી. અષાઢે0

પ્રભાતે પછેડિયું ના ઓઢીએ જી,
એ જી, આવ્યાં અજવાળાં જાય,
આવ્યા વાયુયે વળી જાય,
આવ્યા રે અતિથિ ના તરછોડીએ જી. અષાઢે0

તારે આંગણિયે ઊગ્યું એ પરોઢિયે જી,
એ જી, એ તો ફાગણ કેરું ફૂલ,
એમાં એવી તે કઈ ભૂલ ?
પરથમ મળિયા શું મુખ ના મોડીએ જી. અષાઢે0

-ઉશનસ્

એક નાનું અમસ્તું કાવ્ય પણ કેવું મીઠું ! અષાઢથી ફાગણ સુધી લંબાતી આખી વાતમાં કવિ પ્રેમ, વર્ષા અને વસંતને એક જ તાંતણે કેવી હોંશિયારીથી બાંધી દે છે ! ઘાસના તણખલાંમાં તો ધરતીના શ્વાસ કહી એને તોડવાની ના ફરમાવી કવિ ખરેખર શું કરવું જોઈએ એ પણ તુર્ત જ કહી દે છે. અષાઢના ભીના-ભીના ઘાસમાં તો આડા પડીને એની સુગંધ માણવાની હોય. હું તો સુરતી બોલીમાં વપરાતો ‘પીમળ’ શબ્દ ગુજરાતી કવિતામાં પહેલવહેલી વાર વાંચીને જ આ કવિતાના પ્રેમમાં પડી ગયો…

આખા કાવ્યમાં સવારનો જ મહિમા છે. પરોઢની ખટઘડીએ સૂઈ ન રહેવાનું તો આદિ કવિ નરસિંહ મહેતાએ પણ કહ્યું છે. ઉશનસ્ એમની જ વાતમાં સૂર પુરાવતા હોય એમ કહે છે કે પ્રભાતે પછેડી ઓઢીને સૂઈ રહીએ તો પ્રકાશ અને વાયુ બંને પાછાં વળી જઈ શકે છે. આત્માને ઉજાળવો હોય કે શ્વાસને સીંચવો હોય, મનુષ્યનું ‘જાગવું’ ખૂબ જરૂરી છે અને એથી વધુ જરૂરી છે અજ્ઞાનની પછેડી માથેથી હટાવવાનું…

Comments (8)

ગયા તે ગયા – દિવા ભટ્ટ

ગયા તે ગયા
ઘોડાના ડાબલા પાછા ન ફર્યા.
અહીંથી જે ધૂળ ઊડી હતી
તે પણ આઘી જઈને બેઠી.
હવે સૂરજ લંગડાતો ચાલે છે.
હું રમી તો શકું
પણ સૂરજ સાથે લંગડી રમતા હારી જાઉં તો ?
અને સૂરજ મને તેના ખૂટતા ઘોડાના સ્થાને
જોતરી દે તો ?
તો પછી
ઘોડાના ડાબલાના પાછા ફરવાની વાટ
અહીં કોણ જોશે ?

– દિવા ભટ્ટ

વિતેલા પ્રસંગોની પાછળ ઊડેલી ધૂળ તો સમય જતા શમી જાય છે પણ એની ભૂતાવળ શમાવવી અઘરી છે. કોઈક પ્રસંગો પછી વાટ જોવા સિવાય બીજું કશું કરવાનું ન ગમે એવું આપણે બધાએ અનુભવેલું છે. સૂરજના ઘોડા થવા – એટલે કે ફરી રોજીંદી જીંદગીમાં જોતરાવા – કરતા કવિ ખાલી રાહ જોવાનું વધારે પસંદ કરે છે.

Comments (5)

જવા પહેલાં – જવાહર બક્ષી

પ્રસંગો થાક ઊતારી જશે અવસ્થાનો
સંબંધ ફીણના ગોટા થઈને ઊડવાનો

લખાતું રહેશે વિરહની હવામાં તારું નામ
અને હું અક્ષરોમાં ગૂંચવાતો રહેવાનો

પવન ઉઠાવી જશે લાગણીના પડછાયા
ફરીથી આંખમાં તડકો ભરાઈ રહેવાનો

અરીસો ફોડશે તારા અભાવનો સૂરજ
હું કાચ કાચમાં કિરણ બનીને ઊગવાનો

સમયના ઠંડા ઝરણમાં વહીશ તું જ્યારે
તને હું સ્થિર પ્રતિબિંબ થઈ વળગવાનો

– જવાહર બક્ષી

કવિની વાચાળ ઉદાસી આપણા માટે ગઝલ તરીકે ફળે છે. વિરહના ચિત્રો તો કવિતાઓમાં ભારોભાર જોવા મળે છે પણ એમ છતાં, આ ગઝલ નવા કલ્પનો અને સ્પંદનો જન્માવવામાં સફળ રહે છે. છેલ્લા શેરમાં ‘સ્થિર પ્રતિબિંબ થઈ વળગવાનો’ પ્રયોગ બહુ અસરકારક થયો છે.

Comments (4)

આપણા કાવ્ય-સામયિક – ૦૧ : “કવિતા”

Kavita - Title page

‘લયસ્તરો’ પર નિયમિતપણે કવિતા અને કાવ્યાસ્વાદની વાત કરતા રહીએ અને આપણી ભાષાના અગ્રગણ્ય કાવ્ય-સામયિકોને ન સ્મરીએ એ કેમ ચાલે? ગુજરાતી ભાષાના અગ્રગણ્ય અને/અથવા નોંધપાત્ર કાવ્યસામયિકોનો ટૂંક-પરિચય કરવાના અમારા આ અભિગમમાં આપ સૌને જોડાવાનું અમારું સહૃદય આમંત્રણ છે. પણ સામયિકનો પરિચય વાંચીને આપને એમ લાગે કે આ સામયિક વિના મારા ઘરની લાઈબ્રેરી અધૂરી છે તો એનું લવાજમ તાત્કાલિક ભરીને થોડા વધુ ગુજરાતી હોવાનો અહેસાસ મેળવો અને આપની આવનારી પેઢી આ ભાષાનો વારસો જાળવી રાખશે એની ખાતરી પણ મેળવો. (હા, લવાજમ ભરતી વખતે ‘લયસ્તરો.કોમ’ના સૌજન્યથી એવું લખવાનું ભૂલશો નહીં. પુસ્તકોના પાનાંઓમાં કેદ આપણી ભાષાના સુસજ્જ સંપાદક-મિત્રોને એ વાતની જાણ થવી જરૂરી છે કે ગુજરાતી ભાષા પુસ્તકના પાનાંનો ઉંબરો વળોટીને ક્યારનીય ગ્લોબલ-ગુજરાતી બની ગઈ છે!!)

મુંબઈથી છેલ્લા એકતાળીસ વર્ષોથી નિયમિતપણે પ્રગટ થતું ‘કવિતા’ એ આપણા કાવ્ય-સામયિકોમાં હાલની તારીખે મોખરાનું સ્થાન ધરાવે છે. એકતાળીસ વર્ષોની યાત્રા દરમિયાન આ દ્વિમાસિકે આજપર્યંત 245 મનભાવન અંકો કાવ્યરસિકોને પીરસ્યા છે. અગ્રગણ્ય કવિઓ અને નવોદિતોને કાળા-ધોળાના ભેદભાવ વિના એક જ પંગતમાં બેસાડતા આ સામયિકમાં ગીત-ગઝલ-સૉનેટ, મુક્ત સૉનેટ, ઊર્મિકાવ્ય, અછાંદસ, મુક્તક અને તમે નામ દઈ શકો એ તમામ પ્રકારના કાવ્ય-પ્રકાર કોઈ પણ છોછ રાખ્યા વિના અનવદ્યપણે પ્રગટ થાય છે. વિશ્વના શ્રેષ્ઠ કવિઓની શ્રેષ્ઠ કાવ્યકૃતિઓના ગુજરાતી અનુવાદ, ઉત્તમ કવિતાઓના અર્થગહન કાવ્યાસ્વાદ, દેશ-વિદેશના કવિઓના ફૉટોગ્રાફ્સ, કાવ્યસંગ્રહોનો ટૂંક-પરિચય પણ અહીં સામેલ છે. દરેક અંકનું મુખપૃષ્ઠ પોતે પણ એક કવિતાથી કંઈ કમ નથી હોતું !

“કવિતા” – દ્વિમાસિક
તંત્રી: શ્રી સુરેશ દલાલ, સહયોગી તંત્રી: શ્રી હિતેન આનંદપરા, મુખપૃષ્ઠ સજાવટ: શ્રી સંદીપ ભાટિયા.
લવાજમ : વાર્ષિક- દેશમાં 200/-રૂ., પરદેશમાં સી-મેલ 280/- રૂ., ઍરમેલ 425/- રૂ.
લવાજમ ‘સૌરાષ્ટ્ર ટ્રસ્ટ’ના નામે ડિમાંડ ડ્રાફ્ટ અથવા મની ઑર્ડરથી જ મોકલવું. (‘લયસ્તરો.કોમ’ના સૌજન્યથી લખવાનું ન ભૂલાય!!!)
સરનામું: સર્ક્યુલેશન મેનેજર, જન્મભૂમિ ભવન, જન્મભૂમિ માર્ગ, કોટ, પોસ્ટ બૉક્સ નં. 62, મુંબઈ-400001

Comments (15)

ગઝલ – ગૌરાંગ ઠાકર

Gaurang Thakar - Chal ne maanas ma thodu
(ફરી એકવાર ખાસ ‘લયસ્તરો’ માટે ગૌરાંગ ઠાકરે પોતાના અક્ષરોમાં લખી આપેલ એક ગઝલ)

ચાલને માણસમાં થોડું વ્હાલ વાવી જોઈએ,
ને પછીથી વાડ થઈ વેલા ટકાવી જોઈએ.

બસ બને તો એક દીકરાને મનાવી જોઈએ,
એ રીતે ઘરડાઘરો ખાલી કરાવી જોઈએ.

કેવી રીતે જળ અહીં આંસુ બને તે જાણવા,
વ્હાલસોયી દીકરીને ઘરથી વળાવી જોઈએ.

કાખઘોડી લઈ અહીં ચાલે નહીં સંબંધ દોસ્ત,
એકબીજાનાં ખભે એને ચલાવી જોઈએ.

બહુ સરળતાથી જગત જીતી જવાતું હોય છે,
આપણી આ જાતને પહેલાં હરાવી જોઈએ.

-ગૌરાંગ ઠાકર

ઘરડાઘરો ખાલી કરાવવાનો અક્સીર કિમીયો શીખવાડતા ગૌરાંગ ઠાકરના આ શે’રને મુશાયરાના મુશાયરાઓ લૂંટી લેતો જોવાની પણ એક અલગ મજા છે પરંતુ મુશાયરા પૂરા થયા પછી રાતના એકાંતમાં આ શેરની ખરી ગહેરાઈ સમજાય ત્યારે ખબર પડે કે મૂળે તો આપણે આપણામાં કોઈને વ્હાલ જ ક્યાં વાવવા દીધું છે કદી ? વાડ વગરના વેલા જેવું જીવતા આપણને ઘરડા મા-બાપની એકલતાની વ્યથા સમજાઈ શકે એવું ક્યાં રહ્યું જ છે ? આપણે તો આખી જિંદગી સંબંધોને કાખઘોડી આપીને જ ચલાવ્યા છે. પોતાની જાતને હરાવીને એક-મેકમાં વિશ્વાસ મૂકી બે ડગલાં પણ સાથે ચાલ્યાં હોત તો આખું વિશ્વ ય જીતવું ક્યાં દોહ્યલું જ હતું ?!

Comments (20)

જોઈ નથી શકાતું – નિનાદ અધ્યારુ

સામે જ હો છતાં યે જોઈ નથી શકાતું,
તૈયાર આંસુઓથી રોઈ નથી શકાતું.

ગંગા જ ખુદ શાપિત થઈને વહે છે આજે,
એક પાપ પણ કરેલું ધોઈ નથી શકાતું.

લોકો સદાય અવળું સમજ્યા કરે છે અહીંયાં,
કે હોઈએ ને એવું હોઈ નથી શકાતું.

મારાં જ આંસુઓમાં હું તરબતર છું એવો,
બીજાનું એક આંસુ લોઈ નથી શકાતું.

‘નિનાદ’ સાચવેલું સચવાઈને ક્યાં રહેતું ?
ફેંકી દીધેલ કૈં પણ ખોઈ નથી શકાતું.

-નિનાદ અધ્યારુ

ગઝલનો હાંસિલ-એ-ગઝલ શેર એના મક્તાનો શેર છે. કોઈ વસ્તુ કહો કે કે કોઈ સંબંધ- આપણે ભલેને સાચવી સાચવીને રાખવાની કોશિશ કેમ ન કરીએ, એ યથાવત્ સચવાઈ રહેવાની શક્યતા શૂન્યવત્ જ છે અને એ રીતે દરેક ફેંકી દીધેલી-ઉતરડી દીધેલી વસ્તુઓ પણ પૂરેપૂરી ક્યાં ફેંકી જ દેવાય છે? ચોકલેટની જેમ જેટલું વધારે ચગદોળો એટલો વધુ રસ ઝરે એવો મીઠો આ શેર છે…

Comments (12)