જીવનમાં એક પળ કદી એવી ય આવશે,
પાછાં જવાય નહિ અને આગળ વધાય નહિ.
વિવેક મનહર ટેલર

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for June, 2008

પછાત માણસ – સર્વેસ્વરદયાલ સક્સેના

બધા બોલતા હતા.
ત્યારે તે ચૂપ રહેતો હતો,
બધા ચાલતા હતા
ત્યારે તે પાછળ ખસી જતો હતો,
બધા ખાવા પર તૂટી પડતા હતા
ત્યારે તે અલગ બેસીને થોડું થોડું ખાતો હતો,
બધા થાકીને સૂઈ જતા
ત્યારે તે શૂન્યમાં ટગર ટગર જોયા કરતો
પણ જ્યારે ગોળી ચાલી
ત્યારે સૌથી પહેલાં
તે મરી ગયો.

– સર્વેસ્વરદયાલ સક્સેના
(અનુ. સુશીલા દલાલ)

અઢળક કમનસીબીને વારસામાં લઈને જન્મેલા એક આખા સમાજની વાર્તા આ જ છે. ભારતમાં જ નહીં, આખી દુનિયામાં.

Comments (7)

મુક્તક – શેખાદમ આબુવાલા

હસું  છું  એટલે  માની  ન  લેશો કે  સુખી છું હું,
રડી શક્તો નથી એનું મને દુઃખ છે, દુઃખી છું હું;
દબાવીને  હું  બેઠો  છું  જીવનના કારમા ઘાવો,
ગમે   ત્યારે  ફાટી  જાઉં  એ  જવાળામુખી છું હું.

– શેખાદમ આબુવાલા

એક આખો રવિવાર કોઈ ચાર જ પંક્તિ પર મારે કાઢવાનો હોય તો હું આ મુક્તક પસંદ કરું. શેખાદમ આબુવાલાની કલમમાં શાહી નહોતી, તેજાબ હતો અને એ તેજાબ વળી જમાનાની નિષ્ઠુરતાનો પરિપાક હતો. આ ચાર લીટી નથી, આ ચાર ચાબખા છે અને એ આપણી જ પીઠ પર ચમચમતા સોળની જેમ ઊઠે છે. વળી ચાબખા મારનારના હાથ તપાસીએ તો ખબર પડે કે એ હાથ પણ આપણા જ છે…

Comments (10)

દીવાનખાનામાં

દીવાનખાનાને
વ્યવસ્થિત કરું છું
ઘડી અહીં, ઘડી તહીં
વિવિધ ફેરફારથી-
વસ્તુનું મન પૂછી પૂછી
ગોઠવણી કરું છું.
સોફા અને લૅમ્પને નવું સ્થાન આપ્યું
બારીના પડદા બદલી કાઢ્યા
જૂના ગાલીચાની જગ્યાએ
Wall to wall કારપેટ નખાવી દીધી.
સુશોભને પ્રસન્ન થાય છે દીવાનખાનું
સઘળું બરાબર થાય છે ત્યારે જ
છટકે છે મારું મન-
આ બધામાં મને ક્યાં ગોઠવું ?
કેન્દ્ર શોધું છું.
જ્યાં હું સરખું બેસી શકું…
-પણ બારી કનેથી રસ્તો નિહાળતી
હું ઊભી જ રહું છું.

-પન્ના નાયક

પન્ના નાયકના અછાંદસ ગુજરાતી સાહિત્યમાં એક આગવી જ ભાત નિપજાવે છે. સરળ અને સહજ ભાષામાં લખાયેલી આ કવિતાઓમાં ક્યાંય ભારીખમ્મ કવિત્વનો બોજ વર્તાતો નથી. અભૂતપૂર્વ શબ્દાલેખનનો બોજ એ કદી વાચકોના મન પર થોપતા નથી. આપણી રોજિંદી જિંદગીના જ એકાદ-બે સાવ સામાન્ય ભાસતા ટુકડાઓને એ અનાયાસ એ રીતે કાવ્યમાં ગોઠવી દે છે કે દરેકને એ પોતાની જ વાત કરતા હોય એમ લાગે છે. પન્ના નાયકના કાવ્ય કદી પન્ના નાયકના લાગતા નથી, આ કાવ્યો દરેક ભાવકને સો ટકા પોતાના અને માત્ર પોતાના જ લાગે છે.

અહીં દીવાનખાનાને વ્યવસ્થિત કરવા જેવડી નાની અમથી ઘટનામાંથી કવિ આપણા આધુનિક જીવન પર કારમો કટાક્ષ કરવામાં સફળ થાય છે. કવિતાની ખરી શરૂઆત થાય છે વસ્તુનું મન પૂછી પૂછીને કરવામાં આવતી ગોઠવણીથી. વસ્તુને ગોઠવવી અને વસ્તુને એમનું મન પૂછી પૂછીને ગોઠવવી એ બેમાં જે બારીક ફરક છે એ આ કવિતાની પંચ-લાઈન છે. કવિ જ્યારે ‘વૉલ ટુ વૉલ’ શબ્દ પ્રયોગ અંગ્રેજી લિપિમાં કરે છે ત્યારે કદાચ વાચકને આ લિપિપલટા વડે એ અહેસાસ કરાવવામાં સફળ થાય છે કે આ છેડાથી પેલા છેડા સુધી બધું જ હવે બદલાઈ ગયું છે. સમગ્ર વાતાવરણ હવે નવું અને વધુ સુંદર બની ગયું છે પણ ત્યારે જ એમનું મન છટકે છે. આખું દીવાનખાનું પ્રસન્ન થાય છે એ જ ઘડીએ કવિ વિષાદયોગનો તીવ્ર આંચકો અનુભવે છે અને ‘છટકે છે’ જેવો હટકે શબ્દપ્રયોગ કરી કવિ એમની વેદનાનો કાકુ યોગ્ય રીતે સિદ્ધ કરે છે. આ નવી ગોઠવણમાં પોતાને ક્યાં ગોઠવવું કે પોતાનું કેન્દ્ર કે પોતાનું ખરું સ્થાન કયું એ નક્કી કરવામાં કવિ નિષ્ફળ નીવડે છે અને બારી પાસે રસ્તો નિહાળતા ઊભા જ રહે છે. બારી એ પ્રતીક છે નવા વિકલ્પની, નવી આશાની અને રસ્તો પ્રતીક લાગે છે નવી શોધનો. કદાચ હજી સાવ જ નિરાશ થવા જેવું ન પણ હોય…

સુખસમૃદ્ધિસભર અત્યાધુનિક જીવનવ્યવસ્થાની વચ્ચે પણ આજનો મનુષ્ય પોતાની જાતને સુસંગતતાથી સુમેળપૂર્વક ગોઠવી શક્તો નથી એ જ આજના સમાજની સૌથી મોટી વિડંબના નથી?

Comments (8)

ગઝલ – ગૌરાંગ ઠાકર

ટોચ માટે પ્રયાસ લાગે છે.
ખીણમાં
પણ ઉજાસ લાગે છે

આભ આખું ઉદાસ લાગે છે.
દોસ્ત
આજે અમાસ લાગે છે.

પર્ણ તાળી પવનને આપે છે.
ઝાડ
પર જાણે રાસ લાગે છે.

પ્હાડ ઝરણાંને ખોઈ બેઠો છે,
એને
ખળખળનો ભાસ લાગે છે.

પાનખરમાં વસંત જેવું કેમ?
કયાંક
તું આસપાસ લાગે છે.

સ્નેહ ઓછો નથી કોઈનો પણ,
એક
જણ કેમ ખાસ લાગે છે?

ફાંસ ફૂલોની અમને વાગી છે.
શ્વાસ
એથી સુવાસ લાગે છે.

-ગૌરાંગ ઠાકર

એક સાદ્યંત સુંદર ગઝલ… બધા જ શેર એવા સ્વયંસ્પષ્ટ થયા છે કે કવિ અને ભાવકની વચ્ચે કોઈ વિવે(ચ)કની જરૂર જ ક્યાં જણાય છે ?  

 

Comments (15)

ગઝલ – ‘અમીન’ આઝાદ

લજ્જત મળે તો એવી કે આઠે પ્રહર મળે,
હર દર્દની છે માગણી, મારું જિગર મળે.

આંખોની જિદ કે અશ્રુ નિરાધાર થઈ જશે,
અશ્રુની જિદ કે તેમના પાલવમાં ઘર મળે.

મારી નજરને જોઈને દુનિયા ફરી ગઈ,
દુનિયા ફરી વળે જો તમારી નજર મળે.

ભટકી રહ્યો છું તેથી મહોબ્બતના રાહ પર,
પગથીઓ આવનારને આ પંથ પર મળે.

ઓછી નથી જીવનને કટુતા મળી છતાં,
હર ઝેર પચતું જાય છે જે પ્રેમ પર મળે.

અલ્લાહના કસમ કે એ રહેમત ગુનાહ છે,
રહેમત કદી ન લઉં જો ગુનાહો વગર મળે.

મંજિલ મળી જશે તો ન રહેશે કશું પછી,
મુજને સતત પ્રવાસ એ ઠોકર વગર મળે.

ઈચ્છાઓ કેટલી મને ઈચ્છા વગર મળી,
કોને કહ્યું ‘અમીન’ ન માંગ્યા વગર મળે.

-‘અમીન’ આઝાદ

પરંપરાના શાયર શ્રી અમીન આઝાદ (૧૯૧૩-૧૯૯૨)ની આ ગઝલ પરંપરાની ગઝલોનું એક સુંદર ઉદાહરણ છે. ગઝલ ઉર્દૂ મટીને ગુજરાતી થઈ રહી હતી એ કાળની આ ગઝલ. શબ્દોના પુનરાવર્તન વડે અનેરી અર્થચ્છાયાઓ નિપજાવવાની જે પ્રણાલી એ સમયે ખૂબ પ્રચલિત હતી અને મુશાયરાઓ ડોલાવતી હતી એ અહીં ભરપૂર જોવા મળે છે. જિદ-અશ્રુ-અશ્રુ-જિદ, નજર-દુનિયા-દુનિયા-નજર, રહેમત-ગુનાહ, ઈચ્છાઓ-ઈચ્છા આવા કેટલા બધા શેર અહીં ધારી ચોટ નિપજાવવામાં સફલ નીવડ્યા છે !

(કવિનું મૂળ નામ તાહેરભાઈ બદરુદ્દીન. કાવ્ય સંગ્રહ: ‘સબરસ’, ‘રાત ચાલી ગઈ’)

Comments (6)

ભીના સ્મરણનાં શુકન – જવાહર બક્ષી

ધાર્યા મુજબ સંબંધના સૂરજ ઊગ્યા નહીં
સ્વપ્નો હવે હું ભૂલી શકું નહિ તો ના નહીં

આખા દિવસની શુષ્ક ઉદાસી તૂટી નહીં
તારાં ભીના સ્મરણના શુકન પણ ફળ્યાં નહીં

નહિ તો જીવનમાં શું હતું નિષ્ક્રિયતા સિવાય
પણ બે ઘડી નિરાંતથી બેસી શક્યા નહીં

તસતસતા મૌનને મેં ગઝલમાં ભરી દીધું
ને એ કહે છે મને શબ્દો મળ્યા નહીં !

એને મળો ને જો કશું બોલી શકો ‘ફના’
એના વિષે કશુંય કહી બેસતા નહીં.

– જવાહર બક્ષી

કવિએ જાણે એક એક શેરને અર્થના અનેક પાશ ચડાવીને ગઝલ સવારીમાં બેસાડ્યા છે. ભીના સ્મરણના શુકનની કલ્પના જ અદભૂત છે. પણ સૌથી સરસ તો છેલ્લો શેર થયો છે. મિલનની અભિપ્સા, અકળામણ અને વિશદ કૃત્રિમતા, એકી સાથે બે લીટીમાં ચાબૂકના સળની માફક ઉપસી આવે છે.

Comments (7)

સફળ માણસો – વિપિન પરીખ

એક રવિવારની સાંજે
અમે બસ આમ જ ચર્ચામાં ઊતરી પડ્યા :
‘ક્યો માણસ જિંદગીમાં સફળ થાય છે ?’
એકે કહ્યું, ‘એ જ માણસ સફળ થાય છે –
જે પોતાના ધ્યેય પાછળ રાતદિવસ મંડી રહે છે.’
તો બીજો કહે: ‘જે સંજોગોને સમયસર ઝડપી લે છે
તે જ સફળ થાય છે.’
તો વળી કોઈ કહે: ‘ગમે તે હો ભાગ્ય વિના અહીં
કોઈને કશું મળતું નથી.’
પણ એકે જે કહ્યું તે સાંભળીને બધા હસી પડ્યા.
એણે કહ્યું:
‘સફળ માણસો કવિતા નથી લખતા.’

-વિપિન પરીખ

આ કવિતા વાંચતા પહેલી નજરે જ ખરી જ લાગે છે… કે ખરી નથી લાગતી ? … કે ખાલી હસવુ જ આવે છે ?… કે ગુસ્સો આવે છે ? …. કે પછી બગાસુ આવે છે ? ….. યારો, કવિતાની વાત છે … જરા દિલ પર હાથ રાખીને જવાબ આપજો !

Comments (19)

તારા પગ – પાબ્લો નેરુદા

જ્યારે હું તારા ચહેરાને નથી જોઈ શક્તો
તારા પગ જોઉં છું.
મરોડદાર હાડકાવાળા તારા પગ,
નાના અને સખત તારા પગ.
હું જાણું છું કે તેઓ તને આધાર આપે છે
,
અને એ પણ કે તારું મીઠડું વજન પણ
તેઓ જ ઉપાડે છે.

તારી કમર અને તારા સ્તન,
તારા સ્તનાગ્રના બેવડા જાબુંડી,
હમણાં જ દૂર ઊડી ગયેલ
તારી આંખોના ગોખલાઓ,
ફળની પહોળી ફાડ સમું તારું મોં,
તારા રાતા કેશ,
મારો નાનકડો મિનાર
પણ હું તો તારા પગને પ્રેમ કરું છું
ફક્ત એ કારણે કે તેઓ ચાલે છે
ધરતી ઉપર અને ચાલે છે
પવન પર અને પાણી પર
,
ત્યાં સુધી જ્યાં સુધી તેઓ મને શોધી નથી લેતા.

-પાબ્લો નેરુદા
(અંગ્રેજી અનુવાદના આધારે ગુજરાતી અનુવાદ: વિવેક મનહર ટેલર)

થોડા સમય પહેલાં ધવલે El Postino (The Postman) ફિલ્મની ડીવીડી મોકલી હતી. એ ફિલ્મ જોઈ ત્યારે પાબ્લો નેરુદાના વધુ પરિચયમાં આવ્યો. ચીલીના પારેલ ગામમાં ૧૨-૦૭-૧૯૦૪ના રોજ જન્મેલા પાબ્લો નેરુદા વીસમી સદીના સૌથી સશક્ત કવિઓમાંના એક છે. રાજકારણમાં શરૂથી અંત સુધી સક્રિય રહેનાર આ કવિની કવિતાઓ અત્યંત મસૃણ પ્રણયોર્મિની દ્યોતક છે. દક્ષિણ અમેરિકાના જંગલાચ્છાદિત ગ્રામ્ય વિસ્તારમાં વીતેલ એમનું બાળપણ એમની કવિતાઓમાં સતત ડોકાતું રહે છે. પ્રકૃતિ, પ્રણય અને જીવન-દર્શન એમની કવિતાના પ્રધાન કાકુ. ગઈ સદીના કવિતાના મહાસાગર સમા આ કવિના કાવ્ય-સાગરમાં શંખ-છીપલાં, પરવાળાં, અદભુત વનસ્પતિઓ, સપ્તરંગી માછલીઓ ઉપરાંત ઘણું બધું એવું છે જે અલૌકિકને લૌકિકતા બક્ષે છે… ઈ.સ. ૧૯૫૦માં એમને વિશ્વ શાંતિ પુરસ્કાર મળ્યો. ૧૯૭૩માં એમને કવિતા માટે નોબલ પુરસ્કાર મળ્યો અને એ જ વર્ષે ૨૩-૦૯-૧૯૭૩ના રોજ એમનું નિધન થયું.

Comments (6)

ગઝલ – ઉર્વીશ વસાવડા

Urvish Vasavada - Zankhana sahu kare chhe
(ખાસ લયસ્તરો માટે ઉર્વીશ વસાવડાના હસ્તાક્ષરમાં એમની અક્ષુણ્ણ કૃતિ)

*

ઝંખના સહુ કરે છે સરવરની
ક્યાં તમા કોઈને છે જળચરની.

રાઈ મુઠ્ઠી ન એક આપી શકે
વેદના એ જ તો છે ઘરઘરની.

ક્યાંક તોરણથી આંસુઓ ટપકે
એટલી ફળશ્રુતિ છે અવસરની.

દ્વાર મારું મને મળ્યું આખર
ઠોકરો ખાઈ લાખ દરદરની.

જાત તોડી ધનુષ્યને બદલે
એ કથા આપણા સ્વયંવરની.

-ઉર્વીશ વસાવડા

સરળતા અને હૃદયંગમતા ઉર્વીશ વસાવડાની ગઝલોની ખાસિયત છે. મનુષ્ય આજે જેટલો પરિણામલક્ષી બન્યો છે એ ટલો પહેલાં ક્યારેય નહોતો. આજે સૌને પરિણામમાં રસ છે, માર્ગમાં કોનો કેવો ભોગ લેવાય છે એની કોઈને તમા રહી નથી. સરોવર પર દૃષ્ટિ છે, જળચરની ચિંતા કોણ કરે છે?

ગઝલના બીજા શેરમાં ઉર્વીશભાઈ એમની ખાસિયત મુજબ પુરાકલ્પન લઈ આવે છે. સુજાતા નામની સ્ત્રી એના મૃત પુત્રને લઈને ગૌતમ બુદ્ધ પાસે આવી ભાંગી પડે છે એની આ વાત છે. પુત્ર વિના જીવવું અશક્ય છે કહીને તથાગત પાસે પોતાના પુત્રને પુનર્જીવિત કરવાની જિદ્દ પકડતી માને કેવી રીતે સમજાવવું કે મરી ગયેલ પાછાં નથી આવતાં?! અંતે તથાગત એના પુત્રને એક શરત પર જીવાડવાનું વચન આપે છે કે એક મુઠ્ઠી રાઈ એવા ઘરમાં જઈને લઈ આવ કે જે ઘરમાં કદી કોઈ અવસાન થયું જ ન હોય… પુત્રઘેલી સુજાતાને સાંજના છેડે સત્ય સમજાય છે કે મૃત્યુ એ જીવન સાથે જ ઘડાઈ ગયેલી અનિવાર્ય ઘટના છે…

છેલ્લા શેરમાં ફરીથી સ્વયંવરનું પૌરણિક કથાબીજ. પણ અહીં કવિ સાવ અલગ જ વાત કરે છે. અહીં ધનુષ્ય નથી તૂટતું, શરસંધાન કરનાર પોતે જ તૂટી જાય છે. કેમકે આ અર્જુન-દ્રૌપદી કે રામ-સીતાના સ્વયંવરની વાત નથી. આ વાત છે આજના યુગના ઘર-ઘરના રામાયણ-મહાભારતની. જીવન અને જીવવાની પળોજણો અંતે આપણને જ તોડી નાંખે છે અને આપણા મોટાભાગના દાંપત્યજીવન તૂટેલા ધનુષ્યને બદલે તૂટેલા મનુષ્ય જેવા ખોડંગાતા રહે છે એ જ આપણા સૌની આજની વ્યથાની કથા છે.

Comments (14)

ગઝલને આંગણે – અહમદ ‘ગુલ’

શબ્દ પણ જડ છે ગઝલને આંગણે,
ક્યાંક ગડબડ છે ગઝલને આંગણે.

તીર તાકીને ઊભો છે પારધી,
પાંખ ફડફડ છે ગઝલને આંગણે.

ફૂલ કાંટાને જરા અળગા કરો,
એ અડોઅડ છે ગઝલને આંગણે.

એટલે તો આ ઝરણની થઈ નદી,
આંસુ દડદડ છે ગઝલને આંગણે.

કંઈ અમંગળ સમ થવાનું છે જરૂર,
આંખ ફડફડ છે ગઝલને આંગણે.

પીળું પીળું પીળું પીળું થઈ ગયું,
પાન ખડખડ છે ગઝલને આંગણે.

શબ્દના તંબુ બધાં સળગી જશે,
સૂર્ય ભડભડ છે ગઝલને આંગણે.

કોઈ સમજાવે મને ‘ગુલ’ આટલું,
કેમ ચડભડ છે ગઝલને આંગણે.

-અહમદ ‘ગુલ’

ગઝલના વિષય પર લખાયેલી એક વધુ ગઝલ… સંગીતમય કાફિયાના કારણે ગઝલનું આ આંગણું વધુ રળિયામણું બન્યું હોય એવું નથી લાગતું?

Comments (4)

ગમે ત્યારે – મકરંદ મુસળે

કશું કે’વાય ના આવી પડે એ પળ ગમે ત્યારે,
સુલભ વાતાવરણ છે ફૂટશે કૂંપળ ગમે ત્યારે.

અમે સચ્ચાઈને ક્યારેય પણ જીરવી નથી શક્તા,
બને તો રણ મહીં મૃગજળ બનીને મળ ગમે ત્યારે.

તમારી યાદની કેવી અસર છે જોઈ લો જાતે,
ધ્રુજી ઊઠશે અમારી પીઠના સળ ગમે ત્યારે.

ભલે હો એક ટીપુ પણ નજરઅંદાજ ના કરતાં,
સમંદરમાં ભળી એ બોલશે ખળ ખળ ગમે ત્યારે.

અમે તો દૂધનો પ્યાલો થઈને ક્યારના બેઠાં,
હવે તું આવ ને સાકર બનીને ભળ ગમે ત્યારે.

-મકરંદ મુસળે

લયસ્તરો પર આજની તારીખે સવા ચારસો જેટલા કવિઓની અગિયારસોથી વધુ કવિતાઓ ઉપલબ્ધ છે. અમારી સતત કોશિશ છતાં આપણી ભાષાના ઘણા દિગ્ગજ કવિઓ અહીં સમાવી શકાયા નથી. વડોદરાના કવિ મકરંદ મુસળે આવું જ એક નામ છે. લયસ્તરો પર ભલે આજની તારીખમાં આ એમની પ્રથમ કૃતિ હોય, ગુજરાતી કાવ્યરસિક મિત્રોમાં એમને કોઈ ઓળખતું ન હોય એવું જવલ્લે જ હશે. આજે માણીએ એમની એક મજેદાર ગઝલ… વળી મારે આજે એમની ઓળખાણ આપવી છે જરા અલગ રીતે. માત્ર નવ વર્ષની નૈસર્ગી મુસળેની એક ગઝલ આપણે અગાઉ અહીં વાંચી ચૂક્યા છીએ. મકરંદ મુસળે નૈસર્ગીના પિતા છે…

Comments (13)

રુબાઈ – શૂન્ય – ખૈયામ

બુદ્ધિના પ્યાલે ભરીને લાગણી પીતો રહે,
છે સુરાલય જિંદગીનું, જિંદગી પીતો રહે;
કોઈની આંખોથી આંખો મેળવી, પીતો રહે,
દિલના અંધેરા ઉલેચી, રોશની પીતો રહે.

– ખૈયામ – શૂન્ય પાલનપુરી

Comments (2)

સાધુ – અશોકપુરી ગોસ્વામી

જીવવું ઊંઘું જાગું સાધુ;
શું ભિક્ષામાં લાવું ? સાધુ.

ભૂખ હજી પણ ક્યાં ભાગે છે ?
સપનામાં જ્યમ ખાધું સાધુ.

ધ્યાન ધર્યું છે ખરી ભીડમાં
ના, નહીં ઘરથી ભાગુ સાધુ.

અડધો કોરો, અડધો ભીનો
કેમ મને હું લાગુ ? સાધુ.

ત્યાગ્યાનો અહંકાર આવશે,
ત્યાગું તો શું ત્યાગું ? સાધુ.

જેમ અચાનક નીકળી ગ્યો’તો;
એમ અચાનક આવું સાધુ.

– અશોકપુરી ગોસ્વામી

ગઝલ સાધુ (એટલે કે સજ્જન)ને સંબોધીને લખી છે. આસક્તિની સિમાને વળોટી જવા મથતા મનની મૂંઝવણ આ ગઝલમાં આવી છે. અને એ માધ્યમથી એ આપણને પોતાની સિમાઓથી વધારે અવગત કરી જાય છે.  ધ્યાન ધર્યું છે ખરી ભીડમાં / ના, નહીં ઘરથી ભાગું સાધુ અને ત્યાગ્યાનો અહંકાર આવશે /ત્યાગું તો શું ત્યાગું ? સાધુ – બન્ને શેર તરત દિલને અડકી જાય છે. 

Comments (8)

લે પૂળો મૂક્યો – રન્નાદે શાહ

સંબંધોના ચાસ ઉપર લે પૂળો મૂક્યો
ચકરભમર આ શ્વાસ ઉપર લે પૂળો મૂક્યો

ચારે પગમાં બાંધી જળને દોડે છે એ, દોડે છે એ, દોડે છે : છો દોડે
ચરણ પીગળી રેત સોંસરા પીગળે છે એ, પીગળે છે એ, પીગળે છે : છો પીગળે

મૃગ-મૃગના ભાસ ઉપર લે પૂળો મૂક્યો
તરસ-તરસના માસ ઉપર લે પૂળો મૂક્યો

બંધ નગરની રોજ વધે છે, રોજ વધે છે,રોજ વધે દીવાલો
બહાર, નગરની બહાર, નગરની બહાર, એકલા સાવ એકલા ચાલો

નગર-નગર આ ખાસ ઉપર લે પૂળો મૂક્યો
ખાલીખમ આવાસ ઉપર લે પૂળો મૂક્યો

-રન્નાદે શાહ

‘લે પૂળો મૂક્યો’ કહીને કવિ જે લય અને ઉપાડ લઈ ગીત જન્માવે છે એ એની અનવરુદ્ધ ગતિના કારણે વાંચતી વખતે શ્વાસ અટકાવી દે એવું મજાનું થયું છે. પંક્તિએ પંક્તિએ શબ્દ-પ્રયોગોનું અલગ-અલગ રીતે પણ એકધારું થતું રહેતું અનવદ્ય પુનરાવર્તન મજાના અર્થવલયો પણ સર્જે છે.

Comments (10)

દિગ્ગજ શાયરોની મનભાવન મહેફિલ…

શનિવાર, 07/06/2008ની સાંજનો સૂર્યાસ્ત યાદગાર રંગો લઈને સૂરતની ક્ષિતિજને અડ્યો… ‘બુક વર્લ્ડ’નામની પુસ્તકોની દુકાન ચલાવતા રિટાયર્ડ પોલીસ ઈન્સ્પેક્ટર શ્રી સરવૈયાના આયોજન હેઠળ ‘પસંદગીના શ્વાસ’ કાર્યક્રમનું ‘સમૃદ્ધિ’ સભાગૃહમાં આયોજન કરવામાં આવ્યું હતું. જનાબ શ્રી આદિલ મન્સૂરી, શ્રી જલન માતરી અને શ્રી રાજેશ વ્યાસ ‘મિસ્કીન’ -એમ ત્રણ પેઢીના ગઝલકારોની ગઝલ ગોષ્ઠી મંડાણી.

કાર્યક્રમની પ્રારંભમાં આદિલભાઈને મળવા ગયો. મને હતું કે મને નામથી તો એ ઓળખતા જ હશે પણ ચહેરાથી તો કેમ કરી ઓળખે? હું મારી ઓળખાણ આપું એ પહેલાં જ મને જોઈને એ જાતે જ આગળ આવ્યા અને કેમ છો વિવેકભાઈ કહી હસ્તધૂનન માટે લંબાવેલા મારા હાથને અતિક્રમીને એમણે મને એક ગાઢ ઉષ્માસભર આલિંગન પણ આપ્યું. આ અણધાર્યું આલિંગન અને મારી બન્ને વેબ સાઈટ્સ – શબ્દો છે શ્વાસ મારા અને લયસ્તરો– વિશે જે ઉમળકાથી એમણે વાત કરી એ મારા માટે કોઈ પણ પુરસ્કારથી વિશેષ હતા.

ગઝલોની આ રંગારંગ મહેફિલમાં એમણે વચ્ચે-વચ્ચે મુકુલ ચોક્સી, એષા દાદાવાલા, ગૌરાંગ ઠાકર અને મને પણ પોતાની ગઝલોનું પઠન કરવા નિમંત્ર્યા. કાર્યક્રમના અંતે ત્રણેય દિગ્ગજ શાયરો, મુકુલભાઈ અને હું અમારા જીવનસાથીઓ સાથે, રઈશભાઈ, એષા, રાજકોટના કુ. કવિ રાવલ હોટલમાં જમવા ગયા. અને ત્યાં રાત્રે દોઢ વાગ્યા સાથે ગઝલોની રમઝટ ચાલી. આશ્ચર્ય તો ત્યારે થયું જ્યારે મોડી રાત્રિના ભોજન બાદ રેસ્ટૉરન્ટના માલિકે બિલ પેટે એક પણ રૂપિયો ન લીધો… આદિલ મન્સૂરીના પગલાં પડે એ ઘટનાને પોતાનું અહોભાગ્ય ગણાવી પોતાનું આખ્ખું બિલ જતું કરનાર હૉટેલિયર્સ પણ જ્યાં સુધી જીવે છે ત્યાં સુધી ગુજરાતી કવિતા અને ભાષાને વાંધો આવે એવું લાગે છે, ખરું?

P1011107
(ડાબેથી આદિલ મંસૂરી, જલન માતરી, રાજેશ વ્યાસ ‘મિસ્કીન’)

*

P1011138
(દુન્યવી અંધેર વચ્ચે મૂકી ગઝલો વાંચજો…       …મારું ગઝલવાચન)

*

P1011140
(હું, વચ્ચે એષા દાદાવાલા અને આદિલ મન્સૂરી)

*

With Adil mansuri
( જનાબ આદિલ સાહેબ સાથે હું…)

*

P1011153
(ડાબેથી ગુલ અંકલેશ્વરી, એષા દાદાવાલા, મુકુલ ચોક્સી, ગૌરાંગ ઠાકર, આદિલ મન્સૂરી, જલન માતરી, હું, બુક વર્લ્ડવાળા સરવૈયા સાહેબ અને રાજેશ વ્યાસ ‘મિસ્કીન’)

Comments (20)

જીવવું શું કોઇ રડનારા વગર ? – મીનાક્ષી ચંદારાણા

જીવવું શું કોઇ રડનારા વગર?
શ્વાસ, માંડો ચાલવા મારા વગર.

મેઘ શાણા થઇ વરસશો મા હવે,
ઓણ ચોમાસું ભલું ગારા વગર.

ભ્રાંતિના ભ્રમરોય પરદેશી થયાં,
આંગણું સૂનું છે ભણકારા વગર.

કો’ સુનામી જેમ લો પથરાય છે,
દર્દ ઓવારા અને આરા વગર.

ગાંઠ-ગઠ્ઠા ભીતરે કંઇ અટપટા,
ને નથી ઉદ્ધાર પિંજારા વગર.

ચાંદની ખીલી રહી પૂરબહારમાં,
રાત સંતાણી છે અંધારા વગર.

કોક વીજ કે આગિયાની રાહમાં,
આયખું વીત્યું છે ઝબકારા વગર.

શબ્દ લુખ્ખા થઇ ગળે અટકે હવે,
ને ભજન સોતરાય એકતારા વગર.

આવવાનું જો બને તો આવજે,
કોઇ એંધાણી કે અણસારા વગર.

-મીનાક્ષી ચંદારાણા

ગુજરાતમાં કેટલા કવિ-દંપતિઓ હશે એ વિષય સંશોધન કરવા જેવો છે. ગઈકાલે આપણે અશ્વિન ચંદારાણાની ગઝલ વાંચી. આજે માણીએ એમના શ્રીમતિજીની ગઝલ. શ્વાસને પોતાના વિના જ ચાલી નીકળવાનું ફરમાન કરતા આ કવયિત્રી આરા-ઓવારા વિના ત્રાટકતા સુનામીને પણ શેરમાં બ-ખૂબી વણી લે છે. પારકી વીજળીની કે આગિયાના ઝબકારાની પ્રતીક્ષામાં રહેનાર પોતાનું તેજ જન્માવવામાં ભલે વિફળ રહી જતા હોય, મીનાક્ષીબેને અહીં કાવ્યત્વનો ઝબકારો મજાનો કર્યો છે…અને આ ઝબકારનું તેજ લાં…બું ચાલે એમ પણ છે…

Comments (16)

કો મળતું નથી – અશ્વિન ચંદારાણા

શૈશવે છુટી ગયું, એ ફેર કો મળતું નથી,
આપણે મળતા હતાં, એ પેર કો મળતું નથી.

હાથ ફરકાવે જતાં-વળતાં બધાં આ શહેરમાં,
બે ઘડી નિરાંતે આવી ઘેર કો મળતું નથી..

બાવળોની વારસાઈ ભોગવું છું પ્રેમથી,
આમ્રફળ ઉગવા સમું નાઘેર કો મળતું નથી.

ભોગળો ભીડી સબંધોના કમાડો બેસશે,
હાથ ફેલાવી સમાવે, શહેર કો મળતું નથી.

કોઈને કોઈ સગાઈ ગાંઠ વાળી બેસતી,
ગાંઠ છોડી ભૂલવાને વેર કો મળતું નથી.

પોતપોતાની પીડા વીંટી બધાં ફરતાં અહીં,
તારનારું કુળ એકોતેર કો મળતું નથી.

– અશ્વિન ચંદારાણા

વડોદરાના કવિ અશ્વિન ચંદારાણાને પહેલવહેલીવાર મહુવાના અસ્મિતાપર્વમાં મળવાનું થયું. ઘાસમાં આડા પડીને ચંદ્રની શીતળ ચાંદનીમાં એમની રચનાઓ સાંભળવાનું થયું. પહેલી મુલાકાતમાં પ્રેમ થઈ જાય એવા આ માણસની કાવ્યરચનાઓ પણ એવી જ રસાળ હોય છે. અભિવ્યક્તિની નવીનતા અને અગાઉ ન વપરાયા હોય એવા કાફિયા પ્રયોજવાની એમની હથોટી કાબિલે-દાદ છે. પેર-એકોતેર-નાઘેર જેવા કાફિયા ગુજરાતી ગઝલમાં કદાચ જ વપરાયા હશે…

નાઘેર શબ્દ કેટલા વરસે વાંચ્યો ! નાઘેર એટલે સૌરાષ્ટ્રમાં પ્રભાસપાટણની આજુબાજુનો ફળદ્રુપ વિસ્તાર. કવિ નાનાલાલની એક રચનામાં એનો આ રીતે ઉલ્લેખ છે:

લીલી નાઘેર છે ત્યહાં,
સુભગ ઢળકતી સાડીની કોર શી,
ને એ કોરે બુટ્ટીના કો
લીલમ સરીખડું છે ચોરવાડ.

Comments (14)

સરહદ થઈ – હેમેન શાહ

બોલ નહિ તું આટલો ગદગદ થઈ,
આ તને શોભે નહીં, કાસદ થઈ.

ભિન્નતા વધતી ગઈ એવી રીતે,
દૂધ-સાકર વચ્ચોવચ સરહદ થઈ.

પૃથ્વી પરના રંગ કાચા નીકળ્યા,
આખરે લીલાશ પણ રૂખસત થઈ.

આમ ન્હોતો શ્વાસ લેવાનો સમય,
પૂતળું જ્યારે બન્યો, ફુરસદ થઈ.

એક પણ તૈયાર કેડી ના ગમી,
ત્યારથી યાત્રા શરૂ શાયદ થઈ.

– હેમેન શાહ

કાસદ એટલે સંદેશો લઈ જનાર. એણે તો માત્ર સંદેશો વાંચી બતાવવાનો હોય છે. એને વધુ પડતા ‘ઈમોશનલ’ થવાનું ના પોષાય. નાની વાત કેટલી સરસ રીતે કરી છે ! એ પછી એક વધુ મઝાનો શેર… દૂધ-સાકર વચ્ચોવચ સરહદ થઈ ! … સાથે રહીને અલગ પડવાનું થાય એના માટે આનાથી વધુ સારુ રૂપક ભાગ્યે જ જોવા મળશે. પણ સૌથી સરસ શેર છેલ્લો શેર થયો છે. માણસની ‘નવી કેડી’ શોધવાની ઈચ્છામાંથી જ દરેક શોધ-યાત્રાની શરૂઆત થતી હોય છે….  ઘણા વખતે હેમેન શાહની ગઝલ હાથમાં આવી એટલે ‘હેમેન શાહ’ કેટેગરીમાં જઈને જૂની પ્રિય ગઝલો પણ માણી લીધી ! એમાં લયસ્તરો પર બહુ શરૂઆતમાં મૂકેલી એમની જ બહુ નાજુક, મારી ખૂબ પ્રિય ગઝલ પણ જોવામાં આવી ગઈ… એ પણ સાથે માણશો.

Comments (6)

મુક્તક – સાગર સિદ્ધપુરી

બને તો આપબળથી તું તરી જા તારો ભવસાગર,
કિનારા પર ડુબાડે છે, ઘણાએ તારનારાઓ.
બધાએ જીતનારાઓ વિજેતાઓ નથી હોતા,
જીવનમાં દાવ જીતે છે ઘણાએ હારનારાઓ !

– સાગર સિદ્ધપુરી

Comments (5)

(શાપિત પાત્રોની ગઝલ) – હરેશ ‘તથાગત’

અહીં તો બધામાં સિસિફસ વસે છે,
જુદા શાપવત સૌ શિલા ઊંચકે છે !

નથી દૂત થાતું હવે કોઈ વાદળ,
અહીં યક્ષ, ત્યાં યક્ષિણી ટળવળે છે !

અહલ્યા બની ગઈ બધી લાગણીઓ,
કહો કોઈ રામ નજરે ચડે છે  ?

દ્વિધાગ્રસ્ત સહદેવ જેવો સમય આ –
જુએ છે બધું, કાંઈપણ ક્યાં કહે છે ?

– હરેશ ‘તથાગત’

પુરાણકથાઓના શાપિત પાત્રોની મદદથી આજની હકીકતોને મુલવતી ગઝલ. સિસિફસ = ગ્રીક કથાઓમાં આવતું રાજાનું પાત્ર. એને અનાદિકાળ સુધી પથ્થર ઊંચકીને પર્વત ચડ્યા કરવાનો શાપ હતો.

Comments (11)

ગઝલ – ચિરાગ ત્રિપાઠી

ફૂલની સાથે અણી તો જોઈએ
છે ગઝલ, એમાં ટણી તો જોઈએ

સ્વપ્ન છે, એક આંખમાં રહેતું હશે ?
એને જગ્યા બે ગણી તો જોઈએ

કો’ક આવીને ઈમારત બાંધશે
આપણે પાયો ચણી તો જોઈએ

હું ઈબાદત એટલે કરતો નથી
કોક એવી માંગણી તો જોઈએ

શક્ય છે કે દુઃખ પછી આવે જ નહિ
એક સુખને અવગણી તો જોઈએ

જેમ બાળક શબ્દ પહેલો મા ભણે
એમ ગુજરાતી ભણી તો જોઈએ

-ચિરાગ ત્રિપાઠી

કેરીના રસની જેમ સીધીસટ્ટ ગળે ઊતરી જાય એવી મજાની રસદાર ગઝલ… ઈશ્વરની ભક્તિ નહીં કરવાનું કારણ પણ કેટલું મજાનું છે ! અને મને તો ગુજરાતી ભણાવવાની આ રીત પણ ખૂબ અસરદાર લાગી…

Comments (15)

તાન્કા – પરાગ મ. ત્રિવેદી

શીત સવારે
આ સરવરજળે
શા સળ પડે ?
આહા ! આ તો પવન
જરા પડખું ફરે !

– પરાગ મ. ત્રિવેદી

5-7-5-7-7 એમ એકત્રીસ અક્ષર અને પાંચ લીટીના ટૂંકા કદમાં મૂળે જાપાનીઝ કાવ્યપ્રકાર એવું તાન્કા ક્યારેક મજાનો અને સશક્ત ફોટોગ્રાફ પણ ઉપજાવી શકે છે. પરાગ ત્રિવેદીના આ તાન્કામાં સવારની ઠંડકમાં સરોવરના પાણી પર હળું-હળું વાતા પવનના કારણે ઊઠતા તરંગોનું મનોરમ્ય શબ્દ-ચિત્ર એવી નજાકતથી આલેખાયું છે કે જાણે આલ્બમ ખોલીને કોઈ ફોટો જોતા હોવાની સહજ અનુભૂતિ થઈ આવે છે !

Comments (10)

કાચનદીને પેલે કાંઠે – સંદીપ ભાટિયા

કાચનદીને  પેલે  કાંઠે  શબ્દ  ઉભો   અજવાળા  લઈને
થરથરતા  હિમયુગોને  છેડે  સપનાઓ  હુંફાળા  લઈને

કાચનદીને  પેલે  કાંઠે  કોઈ  આપણી   રાહ   જુએ  છે
ચાલ આંખમાં ભીનાશ લઈને
છાતીમાં ગરમાળા લઈને

કાચનદીને  પેલે   કાંઠે   નામ   ધૂંધળું   ચહેરા  ઝાંખા
આ  કાંઠે  ચૂપચાપ  ઉભો છું
શ્વાસોની જપમાળા લઈને

કાચનદીને  પેલે  કાંઠે  કોની  પહેલી  તરસ  પહોંચશે
જલપરીઓની રાણી  ઉભી  હાથોમાં  વરમાળા  લઈને

કાચનદીને  પેલે  કાંઠે  ગણિત  બધાંયે  સાવ નકામા
તરી ગયા એ શૂન્ય ઉંચકી ડૂબી ગયા સરવાળા લઈને

કાચનદીને  પેલે  કાંઠે   પાગલ   પંખી   માળો  બાંધે
ડાહ્યા  લોકો  ભેટ  આપવા  આવે   કૂંચીતાળા  લઈને

સંદીપ ભાટિયા
pencamerabrush@rediffmail.com

પેનકેમેરાબ્રશ જેવા ઈ-મેઈલ આઈડીથી પોતાનું ત્રેવડું વ્યક્તિત્વ છતું કરતા સંદીપ ભાટિયાને આપણે માણસના ધુમાડા કરનાર ગીતકાર તરીકે ઓળખીએ છીએ. અહીં એ કાચનદીની વાત લઈને આવ્યા છે. કાચનદી શબ્દ જ ગઝલમાં પ્રવાસ આદરતા પહેલાં આપણને અટકવાની ફરજ પાડે છે. કાચની બનેલી આ કઈ નદી છે એનો ખુલાસો કરવા જેટલા મુખર કવિ બનતા નથી. નદીની આ વિભાવના વાચકે પોતે જ સ્થાપિત કરવાની રહે છે.

છ શેરની આ ગઝલ આખી વાંચીએ ત્યારે આ કાચનદી એટલે આ વિશ્વ એવી વિભાવના સૌથી વધુ ઉજાગર બને છે. અને કાચ શબ્દ પ્રતીક બને છે વિશ્વની ભંગુરતાનું. કદાચ બરડતા અને જડતાનું પણ.

શબ્દ હંમેશા અજવાળાનું પ્રતીક ગણાયો છે. સાચો શબ્દ જ મૌનના અંધારામાં યુગોથી થીજી ગયેલા અસ્તિત્વને હૂંફાળા સપનાંની ઉષ્મા આપી અજવાળી-પીગાળી શકે છે. આ ક્ષણભંગુર નદીના પેલે કાંઠે કોઈ આપણી શાશ્વત પ્રતીક્ષામાં છે પણ એ પ્રતીક્ષા કોરી નથી, વાંઝણી નથી. ત્યાં આપણું કોરાપણું પણ કોઈ ખપનું નથી. એ પ્રતીક્ષાનો કાચ તોડવો-પીગળાવવો હોય તો આંખોમાં સંવેદનાની ભીનાશ અને છાતીમાં ગરમાળાની ઉષ્ણ શીતળતા હોવી અનિવાર્ય છે. ગરમાળો જ કેમ? કોઈ અન્ય વૃક્ષ કેમ નહીં? કવિ શું માત્ર કાફિયા મેળવવા માટે જ ગરમાળાનો પ્રયોગ કરે છે? કે કવિને છાતીમાં શ્વાસની આવન-જાવન, હૃદયના ધબકારા અને રુધિરના પરિભ્રમણની ગરમી પણ અહીં અભિપ્રેત છે? ગરમાળો જ એક એવું વૃક્ષ છે જેનું નામસ્મરણ માત્ર બળબળતા ઉનાળા અને આંખોને ટાઢક આપતા પીળચટ્ટા ફૂલોના સહૃદય વિરોધાભાસને તાદૃશ કરી શકે છે.

બટકણી આ કાચનદીની બાકીની વાતો ભાવકો પર છોડીએ?

Comments (24)

ગુણગાન – નગીન મોદી

મડદાંના ઢગ પર બેસી
નીરો ફીડલ વગાડતો હતો
તેમ, તારો વધ કરી, તારા લાકડાના
માવામાંથી બનાવેલા કાગળ પર
હું કવિ, તારા ગુણગાન ગાઉં છું !

-નગીન મોદી

આજે ‘વિશ્વ પર્યાવરણ દિવસ’ નિમિત્તે શ્રી નગીન મોદીની વધુ એક વૃક્ષ-કવિતા. કવિપણાના કોઈપણ ભાર વિના લખાયેલી આ કવિતા જેટલી ટૂંકી છે એટલી જ વેધક પણ છે. રોમ ભડકે બળતું હતું ત્યારે નીરો ફીડલ વગાડતો હતો એ ઐતિહાસિક ઘટનાને નિરંકુશ થતા વૃક્ષછેદન સાથે સાંકળી કવિ સરસ ચોટ સર્જે છે…

Comments (12)

જિવાડી શકે નહીં – કિસન સોસા

આ ‘જીવતું શહેર’ જિવાડી શકે નહીં;
જિજીવિષાને ઘૂંટ પીવાડી શકે નહીં.

ખામોશી ઓઢી સૂતું ઠંડુંગાર ‘માર્ગ’માં;
એને કશો જ દાહ દઝાડી શકે નહીં.

જાહેરમાં સરાહતું, ખૂણે વખોડતું;
ચહેરેથી મુખવટા એ ઉખેડી શકે નહીં.

છે છીછરી તરસ, ક્ષુધા… સ્વપ્નો… છે સાંકડા;
ખુદને સમષ્ટિમાં એ જગાડી શકે નહીં.

વાળી લે લાગણીની નદી દૂર દૂરથી;
મિલાવો હાથ, હૈયે લગાડી શકે નહીં.

માણસનું ખોળિયું ઠઠાડી નીકળે ભલે,
માણસપણાનો શબ્દ ઉપાડી શકે નહીં.

– કિસન સોસા

કવિ મારા શહેરના – એટલે કે સુરતના રહેવાસી છે. એમના પોતાના શબ્દોમાં ‘આ ગઝલ એવા વરવા વાસ્તવના દૂઝતા જખ્મો વચ્ચે પ્રગટી છે. કકળતી… કાળઝાળ…’

Comments (1)

પ્યારું ઉપનામ – શૂન્ય પાલનપુરી

જેટલું   છે   બધું   જ   તારું  છે,
કૈં   ન   હોવાપણું  જ   મારું   છે.
‘શૂન્ય’ અવમૂલ્યનોની દુનિયામાં
તારું   ઉપનામ  કેવું  પ્યારું  છે !

– શૂન્ય પાલનપુરી

Comments (5)

(કેમ ? ) – પ્રીતમ લખલાણી

ક્યારેક
કુંભાર પણ
મૂછમાં હસતો હશે
કે
માટલાંને
ટકોરા મારીને ચકાસતો
માણસ
કેમ
આટલો જલદી
ફૂટી જતો હશે !

-પ્રીતમ લખલાણી

કાશ માણસને ટકોરા મારીને ચકાસી શકાતો હોત ! અને કાશ દરેક માણસ હાથમાંથી ‘છૂટી’ જાય તો ય ન ટૂટવાની ગેરેન્ટી સાથે આવતો હોત ! … પણ એવું તો હોત તો આ બધી કવિતાઓ કોણ લખત 🙂 🙂

Comments (13)

સમજી ગયાં હશે – નિનાદ અધ્યારુ

થોડે સુધી જઈને અટકી ગયાં હશે,
મારો વિચાર નક્કી સમજી ગયાં હશે !

સપનામાં કંકુવરણી કંકોતરી પઢું,
મનમાં ને મનમાં એ પણ પરણી ગયાં હશે.

નહિતર ન હોય આવો માહોલ રણ મહીં,
હરણાંઓ નક્કી મૃગજળને પી ગયાં હશે.

એકાન્તમાં એ રડતાં જોવા મળી શકે,
મહેફિલ ખુમારીથી જે ગજવી ગયાં હશે !

સૂરજને માત્ર જોઈ પરસેવે ન્હાય છે,
એ વાદળોને જોઈ, પલળી ગયાં હશે.

આ પથ્થરોમાં કૂંપળ કેવી રીતે ફૂટી ?
બાળકના હાથ એને અડકી ગયાં હશે !

‘નિનાદ’ એમ મયખાને જાય ના કદી,
મિત્રો જ હાથ પકડીને લઈ ગયાં હશે !

-નિનાદ અધ્યારુ

Comments (12)