એમ કોઈ બહાર રહીને આપણી ભીતર રહે,
જેમ ઊડતા પંખીનો પડછાયો ધરતી પર રહે.
આમ અંદર બ્હાર એકાકાર થઈ જાશે પછી,
શો ફરક કે કોઈ મારી બ્હાર કે ભીતર રહે.
મુકુલ ચોક્સી

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for અછાંદસ

અછાંદસ શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.




મૌનનો પડઘો : ૦૩ : અસ્તિત્વ છે ઘર આપણું – હોફુકુ સૈકાત્સુ

lake-landscape-rachel

મને ન કહો કે રસ્તો કેટલો મુશ્કેલ છે !
પક્ષીનો પથ, વાંકોચૂકો દૂર સુધી
તમારી સામે જ છે.

તાપી નદીનું પાણી
તમે સમુદ્રને પરત કરો
હું પર્વતને.

– હોફુકુ સૈકાત્સુ
(અનુ. વિવેક મનહર ટેલર)

ઝેન કવિતા એટલે એક જીવંત શબ્દ-ચિત્ર. ઝેન કવિતામાં શબ્દ તો ઓછાં હોય છે પણ શબ્દોની વચ્ચેનો અવકાશ વધુ હોય છે. આ અવકાશ વાંચવાની કળા એટલે જ ઝેન. ઝેન કાવ્ય વાચક સમક્ષ એક દૃશ્ય યથાતથ મૂકે છે અને  વાચકે એ દૃશ્યમાં ઊતરીને એનો જાદુ અનુભવવાનો હોય છે.

આ કવિતા આપણા મૂળ ઘરની કવિતા છે. આપણી સ્વયંસ્ફૂર્તતા આપણને જ્યાં લઈ જાય એ જ આપણું ઘર. પક્ષી કદી પોતાનો રસ્તો ભૂલતું નથી. નદીનું પાણી કોઈ સમુદ્ર સુધી લઈ જાય છે, કવિ પર્વત સુધી. નદીનું ઘર કોઈને સમુદ્ર લાગે તો કોઈને પર્વત. નદીનું પાણી સમુદ્રમાર્ગેથી બાષ્પીભૂત થઈ વાદળમાં ભળી અંતે પર્વત પર જ પહોંચે છે એ વાસ્તવિક્તા વિચારીએ ત્યારે આ કવિતાનો મર્મ પકડાય.

અંતે તો આપણું હોવું એ જ છે આપણું સાચું ઘર.

Comments (5)

મૌનનો પડઘો : ૦૨ : કવિતા – રિઓકાન

ryokan bowl tsukioka

કોણ કહે છે કે મારી કવિતા કવિતા છે?
એ કવિતા છે જ નહીં.

જ્યારે તમને સમજાય કે મારી કવિતા કવિતા નથી
ત્યારે આપણે કવિતા વિશે વાત કરીશું.

– રિઓકાન

આગળ જતા પહેલા બે વાર કવિતા વાંચી જાવ. પહેલી નજરે શબ્દોની રમત લાગે એવી કવિતા છે. પણ એના અનેક અર્થ નીકળી શકે એમ છે.

એક અર્થ: કવિતા કવિ માટે અહમ(ego)નું સાધન હોય છે. કવિને કવિતા જેટલું પણ અહમનું સાધન ખપતું નથી. એ અહમને ટાળવા પોતાની કવિતાને કવિ અ-કવિતા જાહેર કરે છે. હવે જો તમે પણ એ કવિતાને અ-કવિતા માનો તો પછી કવિ માટે અહમનું કારણ જ રહેતું નથી. એમના પરથી ‘કવિ’ના ‘લેબલ’ ને દૂર કરો તો પછી, કશા બંધન વિના, કવિ તમારી સાથે કવિતા વિશે નિરાંતે ગપ્પા મારવા તૈયાર છે.

બીજો અર્થ: કવિતા પોતે કશું છે જ નહીં. એ તો ચેતના સુધી પહોંચવાનું સાધન માત્ર છે. એટલું બન્ને પક્ષ સ્વીકારે નહીં ત્યાં સુધી કવિને આગળ વાત કરવામાં કોઈ રસ નથી.

ત્રીજો અર્થ: કોઈ પણ ચીજને સમજવી હોય તો પહેલા સમજવું પડે કે એ ચીજ- કે બીજું કશુંય- ખરેખર તો અસ્તિત્વ ધરાવતું જ નથી. આટલું ન સમજો ત્યાં સુધી તમારી સાથે વાત કરવી પણ નકામી છે.

હવે તમે પૂછશો કે ભાઈ, આ બધા અર્થમાંથી કયો અર્થ સાચો છે ? ખરી વાત તો એ છે કે કયો અર્થ ખરો છે એ આ કવિતાનો મુદ્દો છે જ નહીં. આ કવિતા એ તમને આટલો વિચાર કરવા માટે ઉશ્કેર્યા એ જ એનો ખરો મુદ્દો છે 🙂 

Comments (5)

મૌનનો પડઘો : ૦૧: ચંદ્ર અને આંગળી – રિઓકાન

167547_full_1024x655

તમે ઊભા ઊભા ચંદ્ર તરફ આંગળી કરો છો,
પણ ચંદ્રના પ્રકાશ વગર આંગળી તો આંધળી છે.

એક ચંદ્ર, ને એક બેખબર આંગળી-
આ બે અલગ છે કે એક જ છે ?

આ સવાલ જ શિખાઉને અજ્ઞાનના
ગાઢ ધુમ્મસમાંથી રસ્તો ચીંધવા પૂરતો છે.

ઊંડા ઉતરો. રહસ્યો તમને સાદ કરે છે.
ન તો ચંદ્ર છે, ન આંગળી છે – ન તો કશું છે.

– રિઓકાન

રિઓકાન જાપાનના અલગારી કવિ હતા. લગભગ આખું જીવન એમને પર્વત પર મઢુલીમાં એકલા રહી પસાર કરેલું.

ઝેન વિચારધારામાં કવિતા ચેતના સુધી પહોંચવાનો એક માર્ગ ગણાય છે. કવિતા દ્વારા ગુરુઓ ઝેન વિચારને -શબ્દના બંધનમાં બને તેટલો ઓછો બાંધીને- વ્યક્ત કરવાની કોશિશ કરે છે.

અહીં ચંદ્ર જેને સમજવા માંગો છો એ ચીજનું પ્રતિક છે. અને આંગળી સમજવાની કોશિશ કરતા મનનું પ્રતિક છે. પહેલી જ પંક્તિમાં કવિ કહે છે કે તમે આંગળીનો ઉપયોગ કરો છો પણ એ આંગળી તો ચંદ્રના પ્રકાશ વગર આંધળી છે. એટલે કે જે ચંદ્ર(ના પ્રકાશ) વગર આંગળી નકામી છે તો પછી એનો ઉપયોગ ચંદ્રને સમજવા કઈ રીતે કરી શકાય ? Circular logicની સીમાને બે જ લીટીમાં અદભૂત રીતે વ્યક્ત કરી છે.

બીજી પંક્તિમાં કવિ પૂછે છે કે ચંદ્ર અને આંગળી અલગ છે કે એક જ છે? દર્શક અને દ્રશ્ય વચ્ચેની સીમા કેટલી પાતળી અને કેટલી આભાસી છે એ આપણે પહેલા સમજવાની જરૂર છે. આ સવાલ માત્ર અજ્ઞાનીને સાચો રસ્તો ચીંધવા પૂરતો છે.

પણ કવિ અહીં અટકતા નથી. એ એનાથી એક આપણને ડગલું આગળ  લઈ જાય છે. એ આહવાન કરે છે કે હજુ ઊંડા ઉતરો. જ્યારે તમે ખરી સમજણના તીરે પહોંચશો ત્યારે ન તો ચંદ્ર રહેશે, ન તો આંગળી રહેશે કે ન તો બીજું કંઈ. ચેતનાની ક્ષણે (જેને ઝેન ભાષામાં સટોરી કહે છે) કશું ય બચતું નથી. માણસનો ego નાશ પામે પછી હું અને વિશ્વ વચ્ચે કોઈ ફરક રહેતો નથી. બધુ હોવા અને કશું ન હોવા વચ્ચેનો ફરક રહેતો નથી.

Comments (7)

હોટેલનો આ રૂમ ખાલી કરતાં… – પ્રબોધ ર. જોશી

c472e4c8da162035ac1ebddf6a263df6

હોટેલનો આ રૂમ –
જલદી ખાલી કરી શકતો નથી
ફરી ફરી અથડાય છે ચીજો બધી
… કશુંક ક્યારેક આડુંઅવળું રહી ગયું
તો વળી કોઇકે કર્યું ઠીક –
અને આ વૃક્ષ લીલુંછમ સતત ડોક્યા કરે…
મોડી સાંજે પડદો પાડું
તો આવીને ગોઠવાઈ જાય રૂમમાં ચૂપચાપ
ને આ એકાંત મારું પ્યારું હવે બાવરું !
બધાં સાથે મળી આપે છે વિદાય.
આંખમાં ઝળઝળિયાં
ક્ષણ બે ક્ષણ એ દશ્યને મનમાં રહું મઢી
ને ચાલી નીકળું પુનઃ પ્રવાસે-
ભૂલી રહું એ રૂમ ને એ વૃક્ષ ને કૈં કેટલુંય !
કૈં કેટલા આ – લખચોરાસી – રૂમની છે
વિસ્મૃતિ!

– પ્રબોધ ર. જોશી (૧૯૫૩-૨૦૧૨)
(‘પાછો ઉઘાડ નીકળ્યો આ’)
સાભાર: વર્ડનેટ, મુંબઈ સમાચાર

કવિ પ્રબોધ ર.જોશીનું ૧૮મી નવેમ્બરે ૫૯ વર્ષની ઉંમરે અવસાન થયું છે. આપણા વેઢે ગણાય એટલા સત્વશીલ સામાયિકોમાંથી એક ઉદ્દેશના એ તંત્રી હતા. પાછો ઉઘાડ નીકળ્યો આ સિવાય એમનો બીજો સંગ્રહ છે મારે કોઈ નામ આપવું બાકી છે.

હોટેલનો રૂમ અહીં જીંદગીનું પ્રતિક છે અને કવિતા ખરેખર મૃત્યુ વિશે છે. વૃક્ષ જીવનમાં જે બધું વહાલું-પ્યારું લાગે છે એનુ પ્રતિક છે. આ રીતે વાંચો તો કવિતા વાગે એવી ધારદાર છે. હોટેલના રૂમ કે વૃક્ષ – બધાનું એક જ ગંતવ્ય છે – વિસ્મૃ તિ.

Comments (9)

એક કવિતા પૂરી કરું છું કે – સંસ્કૃ તિરાણી દેસાઈ

હું જેવી એક કવિતા પૂરી કરું છું કે
તે આખો આકાર લઈ ઊભી થઈ જાય
કાગળ ઉપરથી.

સ્વપ્નપરીની વાત કરું તો
તેનું આકર્ષક રૂપ લઈ
મોહક અદાથી ચાલવા માંડે છે મારી સામે
આંખોથી ઈશારા કરતી.

મશ્કરા શબ્દોની વાત કરું તો
પાંચસાતની ટોળી ઊભી થઈ
મારી સામે મશ્કરી અને ટીખળ કરવા માંડે છે
ને પછી બધા જ નીકળી પડે છે વિશાળ દુનિયામાં.

એક દિવસ મેં રાક્ષસની વાત કરી કવિતામાં
ને તે ધીમે ધીમે આકાર લેવા માંડ્યો.

એટલો બધો ભયાનક ચીતર્યો હતો કે
મને થયું કે જેવી હું પૂર્ણ કરીશ કે
કૂદી પડશે મારા ઉપર જ.

હવે હું ગભરાઈ, શું રસ્તો છે એનાથી બચવાનો?
ને મેં છેલ્લી પંક્તિ લખી જ નહીં.
પૂરી જ ન કરી કવિતા.

રાક્ષસ બિચારો હજી ઊભો છે
કાગળ સાથે પગ જકડાયેલો
છેલ્લી પંક્તિની રાહ જોતો.

– સંસ્કૃ તિરાણી દેસાઈ

દરેક કવિતાના મૂળમાં એક વિચાર હોય છે. દરેક વિચાર એક વાયરસ સમાન હોય છે. કવિતા લખી નાખો પછી એ છૂટી ગયેલા તીર જેવા વિચાર-વાયરસ પર કવિનો કોઈ અંકુશ રહેતો નથી. જે વિચારથી કવિ પોતે ગભરાય એને માટે એક જ રસ્તો છેઃ કવિતા ન લખવી. પણ આ રાક્ષસ તો ખરેખર કવિના મનની જ ઉપજ છે. બીજા બધા તો બચી શકે, પણ એ વિચાર-રાક્ષસથી કવિ પોતે કેવી રીતે બચી શકશે ?

Comments (11)

પહેલાં જેવું – જયન્ત પાઠક

કયાં ગયા એ લીલાછમ પ્હાડ
ને અંધકારભર્યાં વન
નદીઓ જલ-છલોછલ?!
પહાડોમાં દવ
વનોમાં પંખીઓનો કલરવ
નદીમાં તરણીઓ તરલ?!
સ્મરું છું
– સ્મરણોય ક્યાં રહ્યાં છે હવે પ્હેલાં જેવાં
પહેલાં જેવો હું ય ક્યાં છું?!

– જયન્ત પાઠક

પહેલા એવું લાગે કે આ કવિતામાં કવિ વન, નદી, પહાડો વિશે ફરીયાદ કરે છે. પણ એ વાત ખોટી ઠરે છે. કવિને ખ્યાલ આવે છે કે જે સ્મરણો માટે વલોપાત હતો એ પણ પહેલાં જેવાં નથી રહ્યાં. અને સૌથી છેલ્લી પંક્તિમાં કવિને ખ્યાલ આવે છે કે પોતે પણ પહેલાં જેવા નથી રહ્યા. આપણને બધું અલગ લાગવાનું કારણ જ કદાચ આ છે : આપણે પોતે જ બદલાતા જઈએ છીએ.

Comments (6)

કવચ – હરીન્દ્ર દવે

તમે શરસંધાન કરો છો ?
તો જરા ખમો,
મને મારું કવચ ઉતારી લેવા દો.

મારા પડછાયામાં
પતંગિયું સૂતું છે:
હવે બળતા સૂરજથી કેમ કરીને ભાગું ?

દીવાલો ટેવાઈ છે ગણેલા ચહેરાઓથી
માપેલાં સ્મિતોથી,
દરવાજો ખૂલતાં જ
ત્રણ દીવાલો ધસી આવે છે
એની પશ્ચાદભૂમિમાં રહેલી વ્યક્તિ
ચોથી દીવાલ બનીને ઊભી રહે
ત્યારે રંગભૂમિ તો નથી જ રચાતી.

શૂન્ય દ્રષ્ટિઓની ગીચ ઝાડીમાં
ક્યાંય દેખાતી નથી અદ્રષ્ટની કેડી.

કોઈનીયે વેદનાનો ઓથાર
ઓઢીને ફરીએ
ત્યારે કોઈનીયે વેદના રજમાત્ર,
ઓછી થતી નથી.
આ દુનિયા સાથે સમાધાન પર આવવું
અસંભવિત ભલે ન હોય,
અશક્ય જરૂર છે.

ના,
તમે શરસંધાન નહીં,
શબ્દસંધાન કરો છો :
મારી બરછટ ત્વચા પરથી તો એ
પથ્થર પરના પાણીની જેમ સરી જશે.
ચાલો, ત્વચાને ઉતરડી
થોડાંક મર્મસ્થાનો પ્રગટ કરું.

હું હસું છું
કારણકે મને રડવાનો કંટાળો છે.
બોલું છું
કારણકે ચૂપ રહેવાનો થાક છે.
ચાલુ છું
કારણકે અગ્નિનું રહસ્ય
મને સમજાયું નથી.
મારી આસપાસ ઘૂમે છે,
પૃથ્વી,બ્રહ્માંડ.
અને હું સ્થિર થવાનો કીમિયો શોધવા
કીમિયાગરનાં ચરણ તળાસું છું.

હવે વાર કરવામાં વાર શેની છે ?
કલ્પનામાં વીંઝાતો હાથ
સાચેસાચ વીંઝાય ત્યારે
હું ચિત્કાર કરીને કહીશ :
‘હું જીવતો નથી.’

-હરીન્દ્ર દવે

ગુજરાતી સાહિત્યમાં હરીન્દ્ર દવે જેટલી વિશાળ range ભાગ્યે જ કોઈ સર્જકની હશે. આ અછાંદસ paradox દ્વારા તીવ્ર અભિવ્યક્તિ જન્માવે છે. વિરોધાભાસ જયારે સત્યને વધુ સચોટ રીતે પ્રકટ કરી શકે ત્યારે કવિ તેનો ખૂબીપૂર્વક ઉપયોગ કરતા હોય છે. Walt Whittman નું કથન છે – ” Do I contradict myself ? Very well, then I contradict myself, [ I am large, I contain multitudes. ]

કાવ્ય પ્રમાણમાં સરળ છે. આ કાવ્ય ત્રણ અછાંદસ સ્તોત્રોમાંનું પ્રથમ કાવ્ય છે. સમયાંતરે બાકીનાં બે પણ પ્રસ્તુત કરીશ.

Comments (5)

બે લઘુકાવ્યો – પન્ના નાયક

બારણું બંધ
તો
બારણું શાને?

બારણું ખુલ્લું
તોય
બારણું શાને?

બંધ કે ખુલ્લું
બારણું શાને?
કોઈ આવ-જા વિના?
કોઈ આવ-જો વિના?

*

સરોવરના
નિષ્કંપ જળમાં
ચંદ્રની
પ્રદક્ષિણા ફરતી
માછલીને
કુતૂહલ થાય છે –

તરતો કેમ નથી?

– પન્ના નાયક

પન્ના નાયકની કવિતામાં અભાવ છલકાય છે. બારણું તો આવ-જાથી ખરેખર બારણું બને છે…ને ‘આવજો’થી પણ. આવ-જા અને આવજો બન્ને એક જ ઘટના છે. ખાલી આપણો જોવાનો દૃષ્ટિકોણ અલગ છે. ચંદ્રનું તેજ તો આમ પણ ઊછીનું છે  અને પાણીમાં તો છે એનું ય પ્રતિબિંબ. ચંદ્રના રૂપ સાથે જ  એની પરવશતા જડાયેલી છે.

Comments (7)

તને ચાહવી છે મારે તો – પ્રિયકાન્ત મણિયાર

હવે આકાશના સર્વ તારકોને જોઈ લઉં
ને જાણી લઉં કેટલું શ્વેત – કેટલું સ્વચ્છ થવું પડશે મારે.
તને ચાહવી છે મારે તો
જગતનાં સર્વ વૃક્ષોનાં ફરફરતાં પર્ણને પૂછી લઉં :
કેટલું સતત ને સદ્ય સ્પંદિત થવું જોઈએ મારે
અવિરામ લયની માધુરી જન્માવવા ?
તને ચાહવી છે મારે તો
પૃથ્વીની સઘળી ધૂલિ – જે વારંવાર વેગીલા વાયરામાં
ઊડી જાય –
તેને મારા સંપુટમાં સમાવવા શીખી લઉં
કારણ કે તારે કાજે કેટલી એકાગ્રતા
ઘટ્ટ કરવી પડશે મારે –
અને છતાં ઘડીભર થોભું,
સકલ ક્ષારમય આ મને મળેલા સાગર સામે
શક્ય એટલી શર્કરા લઇ આવું –
ત્યાં સુધી તું પણ થોભીશ ને ?
મલકાયેલા લોચનમાં
ત્યાં તો વાંચું ભાવિની સ્પતપદીની અગ્નિવેદી,
હસતા હોઠમાં હસ્તમેળાપ –
અને જો આપણે ચાલ્યાં
યુગોથી ઠરતા હિમાલયના શિખરને હૂંફ આપવા.

– પ્રિયકાન્ત મણિયાર

અદભૂત પ્રણય અનુભૂતિની અદભૂત અભિવ્યક્તિ…

Comments (6)

ઘાસ – કાર્લ સેન્ડબર્ગ

ઢગલો કરજો લાશોનો કુરુક્ષેત્ર ને પાણીપતમા. 
બસ માટીમાં ઊતારી દેજો અને પછી છોડી દેજો મારા પર - 
        હું ઘાસ છું; હું બધું આવરી દઉં છું.

ને કરજો ઊંચો ઢગલો હલ્દીઘાટીમાં
ને કરજો ઊંચો ઢગલો કારગિલમાં ને પ્લાસીમાં.
બસ માટીમાં ઊતારી દેજો અને પછી છોડી દેજો મારા પર.
બે-પાંચ વરસમાં તો આવતા જતા લોકો પૂછશે: 
        આ વળી કઈ જગા છે?
        આપણે ક્યાં છીએ?

        હું ઘાસ છું. 
        મને કરવા દો મારું કામ.

– કાર્લ સેન્ડબર્ગ
(અનુવાદ – ધવલ શાહ)

માણસ પોતાની તાકાતનું સૌથી મોટું પ્રદર્શન યુદ્ધ કરીને કરે છે. ખડકે છે લાશો ને સીંચે છે લોહી. જીતનાર હરખાય છે અને હારનાર બીજા યુદ્ધની તૈયારીમાં લાગી જાય છે. પણ આ બધી સિદ્ધિઓનું સમયની આગળ કોઈ મૂલ્ય નથી. જે ભૂમિ માટે આટલું લોહી વહ્યું એનો તો ઉત્તર એક જ રહેવાનો છે : ધીમે ધીમે એ જમીન ઘાસથી આચ્છાદિત થઈ જાય છે. જે યુદ્ધ ખૂબ જરૂરી લાગતું હતું, જે યુદ્ધ જીવનમરણનો ખેલ લાગતું હતું એ પણ છેવટે ઈતિહાસનું એક પાનું જ થઈ જવાનું છે. તમને ગમે કે ન ગમે, કાળ બધાને એકસરખા કરી નાખે છે. નાનકડી કવિતામાં તુચ્છ ઘાસના પ્રતિકથી કવિ વિશ્વને બદલી નાખનારી ઘટનાઓનું ક્ષુલ્લકપણું છતું કરે છે. 

Comments (9)

સમયની ઓળખ – પન્ના નાયક

આપણે
ઘણું સાથે ચાલ્યાં
પણ પછી
આપણો પ્રવાસ અટક્યો…

સારું જ થયું ને !

તારી પાસે
જતાંઆવતાં વેરેલા
અઢળક સમયે
મને મારી ઓળખાણ તો કરાવી !

પન્ના નાયક

પ્રવાસ શબ્દ એ ગાળેલા સમયનાં માધૂર્ય તરફ ઈશારો કરે છે.  પણ અહીં જો એ ‘પ્રવાસ’નાં અંતથી જાત સાથે ઓળખાણ થતી હોય તો કવિને એય મંજૂર છે! ….. અને ‘વેરેલો અઢળક સમય’ એટલે કે એક વખત મધુરા ભાસેલા સમયની કડવી હકિકત….?

પન્નાઆંટીનો નવો કાવ્યસંગ્રહ ‘ગુલમ્હોરથી ડેફોડિલ્સ’ તાજેતરમાં પ્રગટ થયો… અને આ એક અછાંદસ-બુંદ પણ એમનાં જ એ સાગરમાંની એક છે.  નવતર કાવ્યસંગ્રહ માટે કવયિત્રીને અઢળક અભિનંદન.

Comments (10)

એ જ રાત – યાનિસ રિતસોસ

જ્યારે એણે પોતાના રૂમની બત્તી બુઝાવી નાખી’તી, ત્યારે
તરત જ એ જાણી ગયો’તો કે આ એ પોતે જ હતો
પોતાના અવકાશમાં, રાત્રિની અનંતતાથી
અને લાંબી ડાળીઓથી વિખૂટો પડેલો. એ
ઊભો’તો અરીસાની સામે પોતાની સાબિતી માટે
પણ એના ગળામાં ગંદી
દોરીએ ગંઠાયેલી આ લટકતી ચાવીઓનું
શું ?

– યાનિસ રિતસોસ
(અનુવાદ – સુરેશ દલાલ)

ઊછીના પ્રકાશનું અવલંબન છૂટે એ રાતની વાત છે. બાહ્ય આવરણોથી નિરપેક્ષ એ રાત્રિમાં પ્રવેશતા જ ખ્યાલ આવે છે – હા, આ જ ખરો હું છું. સઘન અંધકારમાં ઓગળતી જાત, પોતાની સામે, પોતાની ઓળખાણ પામે એ રાતની વાત છે. અવકાશમાં છૂટ્ટો પડેલો, સિમાઓથી જ નહીં પણ અનંતતાથી પણ વિખૂટો પડી ગયેલો માણસ, પોતાની નાળ(લાંબી ડાળીઓ)થી વિભક્ત માણસ જ પોતાની જાતની સામે પ્રગટ થવાની હિંમત કરી શકે છે. એ ક્ષણે, આ જો સામાન્ય કવિતા હોય તો, માણસને જ્ઞાન અને મુક્તિનો અનુભવ થાય. પણ અહીં ? અહીં તો એને પોતાના ગળે ગંદી દોરીથી લટકતી ચાવીઓનો લોહકણિકા જેવો ભાર ઘેરી વળે છે. ચાવીઓનો સંબંધ તાળાઓ સાથે છે, ચાવીનો સંબંધ બંધ દરવાજાઓ સાથે છે, ચાવીઓનો સંબંધ સંકિર્ણ ને અભેદ્ય વાસ્તવિકતા સાથે છે. એની સામે, આત્મદર્શની ક્ષણે પણ, માણસ સર્વથા અસમર્થ છે. 

Comments (7)

કોરો કાગળ – વિજય જોષી

કોરા કાગળનો એક ટુકડો.
મુસલમાને લખ્યું, “કુરાન”,
ખ્રિસ્તીએ લખ્યું, “બાઈબલ”,
યહૂદીએ લખ્યું, “ટોરાહ”,
અને હિંદુએ લખ્યું, “ગીતા”.
દરેકે પોતાનો જ શબ્દ
સાચો હોવાનો દાવો કર્યો.
ધાંધલ મચી.
મિજાજ ભડક્યા.
અચાનક,
તીવ્ર વેદનામાં
કાગળે ચીસ પાડી-
બસ કરો,
દખલ ન કરો,
રહેવા દો મને માત્ર,
એક કોરો ટુકડો કાગળનો.

– વિજય જોષી

*

મૂળ અંગ્રેજીમાં લખેલી કવિતાનો કવિએ પોતે જ ગુજરાતી અનુવાદ પણ કર્યો છે. સાવ સીધી અને સરળ વાત પણ કેવી હૃદયદ્રાવક ! રજનીશે એની જિંદગીમાં એક જ વાક્ય કહ્યું હોત તો પણ એ ઉત્તમ ફિલસૂફ ગણાયા હોત એ વાક્ય અહીં ટાંકવાનું મન થાય છે: “Kill the religion”.

કોરા કાગળનો એક ટુકડો અને કાગળનો એક કોરો ટુકડો – અહીં ‘કોરા’ શબ્દનો સ્થાનવ્યત્યય પણ ધ્યાન માંગી લે છે. કવિના પોતાના શબ્દોમાં, ‘કાગળ કોરો હોય ત્યારે વિચારોને આમંત્રે છે પણ વિચારો પૂરા થઈ જાય ત્યારે કાગળ નહીં પણ ટુકડો જ કોરો નજરે ચડે છે.’

*

A piece of blank paper.
A Muslim wrote “Quran”,
A Christian wrote “Bible”,
A Jew wrote “Torah”,
A Hindu wrote “Gita”,
Everyone claimed
his own to be the truth
& the only truth.
A pandemonium ensued,
tempers flared
suddenly,
in great agony,
the paper screamed,
stop it,
leave me alone,
let me just be,
a blank piece of paper.

– Vijay Joshi

Comments (12)

ઈથાકા – સી. પી. કેવેફી

ઈથાકાની સફ્રરના આરંભે
આશા રાખો કે તમારી મજલ લાંબી હોય,
સાહસ અને શોધથી ભરીભરી.
લેઈસ્ટ્રોગોનિયનો, સાયક્લોપ્સ કે
ક્રોધિત પોસાઈડન – કોઈથી ડરતા નહીં:
એમાંથી એકેય તમારો રસ્તો આંતરશે નહીં
જ્યાં સુધી તમારા વિચારો ઉન્નત હશે,
જ્યાં સુધી વિરલ ઉત્સાહ
તમારા દેહ અને આત્મામાં છલકાતો હશે.
લેઈસ્ટ્રોગોનિયનો, સાયક્લોપ્સ કે 
જંગલી પોસાઈડન – તમારી નજીક પણ નહીં ફરકે
સિવાય કે તમે જ એમને તમારા હ્રદયમાં લઈને આવો,
સિવાય કે તમારો આત્મા જ એમને સાક્ષાત કરે.

આશા રાખો કે તમારી મજલ લાંબી હોય.
ગીષ્મની એવી અનેક  પરોઢ હો,
જ્યારે અનેરા આનંદ અને હર્ષ સાથે, 
તમે નવીન નગરીઓમાં પહેલા કદમ માંડો; 
તમે ફિનિશિયન બજારોમાંથી  
ઉમદા ચીજો ખરીદો,
મોતી ને પરવાળાં, અંબર ને અબનૂસ,
ને વળી ભાતભાતના મોહક અત્તર; 
વિદ્યા માટે પહોંચો ઈજીપ્તના મહાનગરોએ
ને શીખો વિદ્વાનો પાસેથી. 

ઈથાકાને ચિત્તમાંથી જરાય ચસવા ન દેતા. 
ત્યાં પહોંચવું તો તમારી નિયતિ છે. 
રખે સફરમાં ઉતાવળ કરતા.
ભલે ને વર્ષો લાગી જાય,
ત્યાં પહોંચતા સુધી તમારી ઉમ્મર થઈ જાય
એટલા સમૃદ્ધ થઈ ગયા હો તમે સફરના અનુભવોથી,
કે ઈથાકા પાસે તમને કશાની આશા ન રહે.

ઈથાકાએ તો આપી તમને અદભૂત સફર.
એના વગર તો તમે એક પગલું પણ ન માડ્યું હોત.
એણે હવે તમને કશું વધારે આપવાનું રહેતું નથી.

ઈથાકા તમને રુચે નહીં તો ઈથાકાએ તમને જરાય ઠગ્યા નથી.
તમને શાણપણ જે લાધ્યું અનુભવોથી છલોછલ સફરમાં, 
એનાથી તમને સમજાય ગયું જ હશે કે ઈથાકાનો મર્મ શું છે.

– સી. પી. કેવેફી
(અનુ. ધવલ શાહ)

આ પ્રખ્યાત કવિતા ગ્રીક મહાકાવ્ય ‘ઓડિસી’ પર આધારિત છે. ઓડેસિયસ લાંબા સંગ્રામને અંતે પોતાની જન્મભૂમિ ઈથાકા તરફ પોતાની યાત્રા આરંભે છે. એ અનેક આફતો ને સંકટોનો સામનો કરીને પોતાને દેશ -ઈથાકા- પહોંચે છે એ દીર્ધ સફરની કથા ‘ઓડિસી’માં છે.

પણ અહીં કવિ દરેક માણસના પોતાના ‘ઈથાકા’ની વાત કરે છે. દરેકને પોતાનું એક ધ્યેય, એક સ્વપ્ન, એક મંઝિલ હોય છે. સફરનો મહિમા હંમેશા મંઝિલથી વધારે જ હોય છે. સફરનો ખરો લાભ એ મંઝિલ નથી બલ્કે સફરમાં જે અનુભવો મળ્યા એ છે. મંઝિલ તો માત્ર એક મુકામ છે. ત્યાં સુધીની સફર જ ખરો સરપાવ છે.

Comments (7)

વિફલ – રવીન્દ્રનાથ ટાગોર (અનુ. દક્ષા વ્યાસ)

હું તેના હાથ ઝાલું છું
અને
મારી છાતી સરસા ચાંપું છું.

મથું છું
તેના વહાલથી મારી ભૂજાઓને ભરી લેવા,
ચુંબનોથી તેના મધુર સ્મિતને લૂંટી લેવા,
તેનાં કાજળકાળાં નેત્રોના દૃષ્ટિક્ષેપને
નજરથી પી લેવા.

કિન્તુ હાય !
ક્યાં છે એ સઘળું ?
કોણ ખેંચી કાઢી શક્યું છે
આકાશમાંથી આસમાની રંગછાયાને ?

મથું છું
સૌંદર્યને ઝીલવા
અને એ કુશળતાથી છટકી જાય છે
મારા હાથમાં માત્ર એનો સ્થૂળ દેહ મૂકીને.

પાછો ફરું છું હું
વિફલ અને હતાશ થઈ.

જેને માત્ર આત્મા જ સ્પર્શી શકે
તે પુષ્પને
દેહ શી રીતે સ્પર્શી શકે ?

– અનુ. દક્ષા વ્યાસ

*

પ્રેમની ઉત્કટ આત્મીય અનુભૂતિનું કાવ્ય. લતા મંગેશકરનું “સિર્ફ અહેસાસ હૈ યે રુહ સે મહસૂસ કરો” ગીત યાદ આવી જાય…

*

I hold her hands and press her to my breast.
I try to fill my arms with her loveliness,
to plunder her sweet smile with kisses,
to drink her dark glances with my eyes.
Ah, but, where is it?
Who can strain the blue from the sky?
I try to grasp the beauty, it eludes me,
leaving only the body in my hands.
Baffled and weary I come back.
How can the body touch the flower
which only the spirit may touch?

– Ravindranath Tagore

Comments (7)

વિકાસ – શુન્તારો તાનિકાવા

ત્રણ વર્ષે
મને ભૂતકાળ જેવું કંઈ હતું જ નહીં

પાંચ વર્ષે
મારો ભૂતકાળ ગઈકાલ સુધી જ પહોંચતો

સાત વર્ષે
મારો ભૂતકાળ પહોંચતો રાણા પ્રતાપ સુધી

અગિયાર  વર્ષે
મારો ભૂતકાળ પ્રસર્યો છેક ડાયનોસોર સુધી

ચૌદ વર્ષે
મારો ભૂતકાળ સંમત હતો પાઠ્યપુસ્તકો સાથે

સોળ વર્ષે
ભૂતકાળની અનંતતા સામે જોતા મને ડર લાગતો

અઢાર વર્ષે
મને સમય વિશે કશુંય જ્ઞાન નથી

– શુન્તારો તાનિકાવા
(અનુ. ધવલ શાહ)

માણસની સમજના વિકાસનો ગ્રાફ દોરી આપતું નવી જાતનું કાવ્ય.

નાની ઉંમરે સમયનો કંઈ ખ્યાલ ન હોય. પછી ધીમે ધીમે ગઈકાલનો, વિતેલી સદીઓનો, વિતેલા યુગોનો અને છેવટે પાઠ્યપુસ્તકમાં હોય એવી બધી જ ઘટનાઓનો ખ્યાલ આવતો જાય. ને પછી એક દિવસ ખ્યાલ આવે કે પાઠ્યપુસ્તક્નો પનો તો ભૂતકાળને માપવા માટે બહુ ટૂંકો પડે છે. ને છેલ્લે ખબર પડે કે સમયની આખી વિભાવના જ કેટલી તકલાદી છે … ને પછી જ (કદાચ) માણસના વિકાસની ખરી શરૂઆત થાય !

Comments (10)

નવનિર્માણ – રૂમી – અનુ-વસંત પરીખ

આતમનો મારગ પ્રથમ તો
દેહનો ભાંગીને ભૂકો કરે છે
અને પછી તેને નવી તાજગીથી બેઠો કરે છે.
જેના પાયામાં ખજાનો દટાયો છે
તે મકાનને પહેલાં તો જમીનદોસ્ત કરવામાં આવે છે
અને પછી
એ ખજાનાથી એનું નવનિર્માણ કરવામાં આવે છે !

હીરાના તેજને નિખારવા માટે
તેને ખૂબ ઘસવો પડે છે.
એમ આત્માની શુદ્ધિ માટે
કષ્ટોમાંથી ગુજારવું પડે છે.
પણ એ કષ્ટની સાધક જો ફરિયાદ કરે છે
તો મને નવી લાગે છે કે એ શુદ્ધિનો આગ્રહ જ
કેમ રાખે છે ?
પ્રેમ-ન્યાયાલયમાં દાખલ થયેલો છે દાવો,
અને ત્યાં છે પીડા એ જ પુરાવો.
જો તમે એ પુરાવો રજૂ નહીં કરી શકો,
તો તમે દાવામાં સફળતા ક્યાંથી મેળવશો?
કાજી જયારે પુરાવો માગે
ત્યારે તમે અકળાતા નહીં.
કરી લેજો સાપને પણ ચુંબન
અને મેળવી લેજો મહામૂલું પ્રેમધન.

સંકટોનો પ્રહાર તમારી નબળાઈ પર છે,
નહીં કે તમારા પર.
ગાલીચાને કોઈ સખ્તાઈથી ઝાપટે છે ત્યારે
એ પ્રહારો ગાલીચાને દંડવા માટે નથી હોતા,
એ તો હોય છે તેમાં ભરાયેલી ધૂળની સામે.

– જલાલુદ્દીન રૂમી

અહીં જે પીડામાંથી પસાર થવાની વાત છે તે બંને ક્ષેત્રમાં લાગુ પડે છે – બાહ્ય અને આંતરિક. બાહ્ય પીડાની વાત સમજી શકાય તેમ છે પરંતુ આંતરિક વેદના ઘણી વધારે પડકારજનક હોય છે. આપણાંથી આપણી એક સામાન્ય માન્યતા બદલી શકાતી નથી હોતી, તો સમગ્ર આંતરિક ઢાંચો કે જે સંપૂર્ણપણે વિચાર-ભૂતકાળની યાદો-મગજની તિકડમબાજી પર અવલંબિત છે તેને ધ્વસ્ત કરવો કેટલો કઠિન હશે ! અને આ ઢાંચાની નિરર્થકતાનું સુપેરે જ્ઞાન હોવા છતાં તેને તોડી ન શકવાની સ્થિતિમાં જે guilt ઉદભવે છે તે એથી વધુ કષ્ટદાયક હોય છે. આ એક વિષચક્ર છે જે સાધકને કદી જંપવા નથી દેતું.

Comments (8)

સાન્નિધ્ય-સમજ – અશરફ ડબાવાલા

મારે કોઈ ન જુએ તેમ,
છીપમાં મૂંઝારે મરવું છે.
ભલે, હું છીપમાં છેલ્લા શ્વાસો ભરતો હોઉં
અને
પાણીને મોતી સાચવી રાખ્યાનો
અનુભવ થતો હોય.

મારે વાસણ જેમ પડી જઈને
હાથનો દોષ નથી કાઢવો.
મારે તો સ્પર્શની નિકટતા મુઠ્ઠીમાં બીડી
બસની જેમ દૂર દૂર નીકળી જવું છે.

મારે કાળજીથી કરેલા સરનામા જેમ
ઊકલી જઈને સાર્થકતા નથી અનુભવવી.
મારે તો પત્રમાં ન લખી શકાયેલ બાબતની જેમ
આમતેમ ગૂંચવાવું છે.

હે મારા નિ:શ્વાસો!
પાણીને ખબર ન પડવા દેશો કે
મારે કોઈ ન જુએ તેમ
છીપમાં મૂંઝારે મરવું છે.

– અશરફ ડબાવાલા

કારણ વિના પ્રગટ થઈને ચવાયેલી ઘટના થઈ જવા કરતા તો સારું છે છીપમાં મૂંઝારે મરવું. એવા મૂંઝારામાં જે નિકટતા, જે રોમાંચ, જે ગડમથલ, જે ટીસ છે એ અમૂલ્ય છે. કવિએ કવિતાનું શીર્ષક આપ્યું છે સાન્નિધ્ય-સમજ. અને એ રીતે કવિતાનો બૃહદ અર્થ ઊઘાડી આપ્યો છે. 

Comments (4)

સપ્ટેમ્બર 11નો ફોટોગ્રાફ – વિસ્વાવા શિમ્બોર્સ્કા

The_Falling_Man
(The Falling Man, Photograph by Richard Drew)

એ બધાએ ઝંપલાવ્યું છે બળતા મજલેથી
એક, બે, કે થોડા વધારે,
વત્તા કે ઓછા.

ફોટોગ્રાફે એમને જીંદગીમાં કેદ કરી લીધા છે,
અને ટીંગાડી રાખ્યા છે
જમીનથી અધ્ધર જમીન તરફ.

બધા હજુ સાંગોપાંગ છે,
સર્વથા ગોપિત છે
એમના ચહેરા અને લોહી.

પૂરતો સમય હતો
કેશના છૂટી જવા માટે,
પરચૂરણ અને ચાવીઓ
ગજવામાંથી પડી જવા માટે.

એ હજુ હવાની સીમામાં છે
દિશામાં છે ગંતવ્યની,
જે તાજા જ ખૂલ્યા છે.

હું એમના માટે બે જ ચીજ કરી શકું એમ છું –
આ ઉડ્ડયનની વાત માડું
ને છેલ્લી લીટી લખવાનું સદંતર ટાળું.

– વિસ્વાવા શિમ્બોર્સ્કા
( અનુવાદ: ધવલ શાહ)

આમ તો 9/11ના ફોટોગાફસ તો બધાય છે તીણી ચીસ જેવા. એમાં સૌથી વધારે હચમચાવી નાખતી તસવીરો છે બળતા ટ્વીન ટાવરમાંથી નાછૂટકે કૂદી પડેલા માણસોની તસવીરો. સો મજલેથી કૂદવાનો વિકલ્પ પણ સારો લાગે એ ક્રૂર સ્થિતિની એ બધા ફોટોગ્રાફસ ગવાહી છે. કવિએ એ ફોટોગ્રાફસ પર આ કવિતા લખી છે. 9/11ની વેદનાને એક ફોટોગ્રાફિક કવિતામાં કેદ કરી છે.

હવામાં લટકતા આ માણસોનું ગંતવ્ય છે મોત. મોતનું નામ પાડવાને બદલે કવિએ ‘તાજા જ ખૂલેલા ગંતવ્ય’ પ્રયોગ કર્યો છે. છેલ્લે કવિ કહે છે, આ માણસને સલામ કરવા માટે પોતે બે જ વાત કરી શકે એમ છે. એક તો આ ઘટનાનું વર્ણન કરે. બીજું કે એ છેલ્લી લીટી – કે જેમાં સામાન્ય રીતે કવિઓ આખી કવિતાની ચોટ મૂકતા હોય છે- એ લખવાનું ટાળે. 9/11ની આ તસવીર કોઈ પણ શાબ્દિક ચોટથી પર છે. એને કોઈ પંચલાઈનની જરૂર જ નથી એને કોઈ વધારે શબ્દોની આવશ્યકતા જ નથી એ વાત કવિ વધારે ચોટદાર રીતે – ન કહીને -કહે છે.

અંગ્રેજી અનુવાદ (મૂળ કવિતા પોલિશ ભાષામાં છે) અહીં વાંચી-સાંભળી શકો છો.

Comments (13)

અછાંદસ – સુરેશ દલાલ

ચિતાનાં
લાકડાં ગોઠવ્યાં હોય એમ
ઓશીકાં
મારી પથારી પર….
તારું સ્મરણ
મને અગ્નિદાહ આપે
અને ભડભડ બળે મારી રાત
સવારે હું રાખ, રાખ….

-સુરેશ દલાલ

Comments (8)

એક ટેલિફોન ટોક – ચન્દ્રકાન્ત ટોપીવાળા

હલ્લો સાગર !
કાંઠાના વેલાફાંસામાં ગળાડૂબ
મોઢે ફરતા ફૂફવતા ફીણના હલ્લા વચ્ચે હલ્લો સાગર
હું તમારું પાણી બોલું છું.
હલ્લો હલ્લો સાગર, હું તમારું પાણી બોલું છું.
તમારી વાણી અહીં સુધી નથી પહોંચતી
તમારું પાણી બોલું છું, તમારી વાણી નથી બોલી શકાતી.
હલ્લો સાગર !
નીલ્લો તમારો કિલ્લો તોડી આવો બહાર.
રેતીનો ખીલ્લો ખીલ્લો બાંધી રાખે છે પાણીપંથા અશ્વો
પાણીપોચાં વિશ્વોનાં સપનાંઓનો ભય
તમારા પાણીને પાણી પાણી કરી નાખે છે,
તમારી વાણી નથી બોલી શકાતી.

ઠાલા છીપોના દ્વીપો ઠેલ્લો મારે છે, હલ્લો સાગર
હલ્લો સાગર
નીલ્લો તમારો કિલ્લો તૂટે
તો રેતીનો ખીલ્લો ખીલ્લો છૂટે
હલ્લો સાગર, નીલ્લો તમારો કિલ્લો તોડી આવો બહાર.
અગસ્ત્યના પેટસૂતું હું તમારું પાણી
વડવાનલની જીભે જલતું હું તમારું પાણી
ચૌદ રત્નના ઘામાં ગભરું તમારું પાણી બોલું છું.

– ચન્દ્રકાન્ત ટોપીવાળા

કવિતા કાનની કળા છે એ વાત આ કવિતા વાંચતાવેંત સમજાય. પાણી-વાણી, હલ્લા-હલ્લો-ઠેલ્લો, હલ્લો-કિલ્લો-ખીલ્લો-નીલ્લો, છીપો-દ્વીપો: આખી કવિતા સતત તમારા કાનની અંદર રેડાતી રહે છે. આ સિવાય પાણી સાથે સંકળાયેલ આપણા સંસ્કારો અને સંદર્ભો અલગ અલગ રૂપમાં સતત ડોકાતા રહે છે જેમ કે પાણીપંથુ, પાણીપોચું, પાણી પાણી થઈ જવું, અગસ્ત્ય, વડવાનલ, ચૌદ રત્નો વગેરે…

દરિયાનું પાણી દરિયાથી છૂટું થઈને દરિયા સાથે જે સંવાદ કરે છે એ જાઅણે આપણી અંદરનું કોઈક બિંદુ આપણા સમગ્રને ઝંઝોડતું કેમ ન હોય એ રીતે એકતરફો ટેલિફોન ચાલે છે… જ્યાં સમગ્રનો અવાજ શૂન્ય છે. બિંદુ હલ્લો હલ્લો કરે છે પણ સિંધુની વાણી એના સુધી પહોંચી શકતી નથી. બિંદુ સિંધુને આહ્વાન કરે છે કે રેતીના ખીલે બંધાઈ રહેલા પાણીપંથા અશ્વો યાને કે મોજાંઓને મુક્ત કરો… જે સ્વપ્નાંઓ પોતે જ પાણીપોચાં છે એનો ભય રાખીને પાણી પાણી થઈ જવાને બદલે અસ્તિત્ત્વના કાંઠાઓ તોડીને આવો, મુક્ત ભ્રમણ કરવાને…

Comments (7)

કિંમત – જયશ્રી ભક્ત

OLYMPUS DIGITAL CAMERA
(આ સ્મિત રહે સનાતન….                       …હેપ્પી બર્થ ડે, જયશ્રી)

*

તારા પ્રેમની કિંમતમાં
તું તને જ માંગી લે,
તો
ક્યાંથી આપું?

જિંદગી આખી લઈ લે,
પણ તું
મારી એ પળ માંગી લે,
તો
ક્યાંથી આપું?

– જયશ્રી ભક્ત

આમ જોઈએ તો બે જ પંક્તિની કવિતા. પણ વિચારીએ તો બે છીપની વચ્ચે એક અણમોલ મોતી. સાચો પ્રેમ એટલે એ અવસ્થા જ્યાં બે જણ એકમેકમાં ઓગળી જાય… ઓગળી ગયા પછી પરત શી રીતે કરી શકાય? હા, મારી જિંદગી માંગે તો આપી દઉં… પણ પ્રેમની એક ‘પળ’ જે આખા ‘જીવતર’થી પણ વિશેષ છે એ શી રીતે આપી શકાય?

હા, આજે ટહુકો.કોમની જયશ્રીની વર્ષગાંઠ પણ છે… એને લયસ્તરો પરિવાર તરફથી જન્મદિવસની ખૂબ ખૂબ વધાઈ…

ધરા, ઘટા, હવા રહ્યાં ઝૂમી કે આજે તારી વર્ષગાંઠ છે,
સમગ્ર કાયનાત છે નવી કે આજે તારી વર્ષગાંઠ છે.

Comments (20)

એક કાવ્ય – મનીષા જોષી

હવે તો કરવી જ પડશે રતિ,
આ રાત સાથે,
હંમેશા મારી ઉપર પથરાયેલી રહેતી આ રાતને
એકવાર મારી નીચે સુવડાવીને જોવી છે
આખરે ક્યાં સુધી માન્યાં કરવાનાં
પવિત્ર, આ અંધારાને ?
હવે એકવાર આંખો ખુલ્લી રાખીને
કરી મૂકવી છે, હતપ્રભ, આ રાતને.
રાતનો વિનયભંગ કરવાની રીત તો જોકે ઘણી છે,
એક વાર બસ,
રાતરાણીની સુગંધથી મોહિત થયા વગર,
મારે જોવું છે,
રાતરાણીના લીલા બીજમાંથી
કેવી રીતે ખીલે છે આ સફેદ ફૂલ

-મનીષા જોષી

એકથી વધુ રીતે આ કાવ્યનો અર્થ માણી શકાય તેમ છે. ‘અંધારા’ એટલે રૂઢિચૂસ્ત જડ માન્યતાઓ. રાત એટલે જડસુ સમાજરચના. બીજો અર્થ આંતરિક સંઘર્ષને લગતો થઇ શકે- અંધારા એટલે અસંખ્ય પૂર્વગ્રહો,માન્યતાઓ,અર્ધજ્ઞાન… અંતિમ પાંચ પંક્તિઓ awareness ને ઈંગિત કરે છે.

Comments (12)

(ઇનકાર) – ભાગ : ૨

ગયા અઠવાડિયે ત્રણ જ પંક્તિની આ નાનકડી કવિતા વિશે ચર્ચા કરવા માટે લયસ્તરોના વાચકોને આહ્વાન આપવામાં આવ્યું હતું. કેટલાક અપવાદોને બાદ કરીને મોટા ભાગના વાચકો ચર્ચાથી દૂર રહ્યા… આજે એક તબીબ જેમ ડિસેક્શન કરે એમ આ કવિતાનું ડિસેક્શન કરી જોઈએ તો કેમ?

*

લીલી દ્રાક્ષ, અને તેં મને ઠુકરાવ્યો,
પાકી દ્રાક્ષ, અને તેં મને પાછો મોકલી આપ્યો,
કિસમિસના એક બટકા માટેય મને નકારવું શું જરૂરી જ હતું ?

– અનામી (ગ્રીક)

*

Green grape, and you refused me.
Ripe grape, and you sent me packing.
Must you deny me a bite of your raisin?

– Dudley Fitts (Eng. Translation from Greek)

*

તું લીલી દ્રાક્ષ જેવી યુવાન હતી ત્યારે તેં મને ઠુકરાવ્યો હતો. પાકી દ્રાક્ષ જેવી પરિપક્વ સ્ત્રી બની ત્યારેય તેં મને ના પાડી. આજે તું વૃદ્ધ છે, કરચલિયાળી કિસમિસ જેવી અને તું હજી મને તારા અસ્તિત્વનો એક ભાગ આપવાનીય ના પાડે છે… શું આ અસ્વીકાર જરૂરી હતો?

*

પ્રિયતમાના પ્રતીક તરીકે દ્રાક્ષ જેવો ખાદ્યપદાર્થ શા માટે? કારણ કે પ્રેમ આત્માનો ખોરાક છે. મા-બાપ સંતાનને કે પ્રિયતમ પ્રિયતમાને વહાલના અતિરેકમાં ખાઈ જવાની વાત નથી કરતા? એ રીતે જોતાં દ્રાક્ષનું કલ્પન ચસોચસ બેસતું નજરે ચડે છે. બીજું કારણ છે જીવનચક્ર. અલ્લડ યુવાની, પીઢ પરિપક્વતા અને વૃદ્ધાવસ્થા – આ ત્રણેય તબક્કા લીલી દ્રાક્ષ, પાકી દ્રાક્ષ અને ચિમળાયેલ કિસમિસ સાથે કેવા ‘મેચ’ થાય છે !

બીજી પણ કેટલીક વાતો ધ્યાનાર્હ છે. દ્રાક્ષ તો ઝુમખામાં હોય અને ઝુમખાઓની આખી વાડી હોય. કવિ માત્ર એક જ દ્રાક્ષની વાત કરે છે અને વળગી રહે છે. વાડીમાં કેટલા ઝુમખા છે અને ઝુમખામાં કેટલી દ્રાક્ષ છે એની એને તમા નથી. વૈશ્વિક રીતે જોઈએ તો એક દ્રાક્ષની કિંમત કેટલી? પણ વૈયક્તિક રીતે જોઈએ તો આ એક દ્રાક્ષ નથી, પ્રેમીનો આખો સંસાર છે. અને જીવનની સંધ્યાએ તો આ અપેક્ષા ‘એક’ દ્રાક્ષમાંથી એક ‘બટકા’ સુધી સીમિત બની રહે છે…

જીવન નાશવંત છે પણ પ્રેમ અમર છે અને પ્રતીક્ષા ચિરંતન છે. યુવાની અને પ્રૌઢાવસ્થામાં ઠુકરાવાયા હોવા છતાંય પ્રેમીની આશા વૃદ્ધાવસ્થા સુધી પણ યથાતથ્ રહે છે અને પ્રેયસી આવા શાશ્વત પ્રેમીને અને એના પ્રેમને સમજી શકવામાં સરિયામ નિષ્ફળ જાય છે એ વાસ્તવિક્તા આ લઘુ કાવ્યનો પ્રાણ છે.

આપણે ત્યાં કમનસીબે કવિતા વિશે વિશદ ચર્ચા કરવાની વૃત્તિ ઓછી જોવા મળે છે પણ વિદેશી સાહિત્યજગતમાં આવું નથી. આ કવિતા વિશેની કેટલીક રસપ્રદ ચર્ચાઓ અને અલગ-અલગ અંગ્રેજી અનુવાદ આપ અહીં માણી શકો છો.

Comments (16)

હું – ફકીરમહંમદ મનસુરી

હું
તારા
અંગથી અળગું કરેલું વસ્ત્ર
લોચો થૈ લટકતું વળગણીએ…

ઘડિયાળ હું કાંટા વિનાનું
શ્વાસ ને ઉચ્છ્વાસનો આ ટકટકારો…

જીવ્યે જાઉં છું.
રૂંવાટીએ રૂંવાટીએ
કૈં કેટલાં આકાશ
એવું
પાંખમાંથી
ખેરવી દીધેલ હું પીંછું…
વાયરે લેતું ઘુમરિયો ને રજોટાતું.
સંદર્ભથી છુટ્ટું પડેલું વાક્ય હું…
‘હું’ હવે તો
શિર તણા મણિ વિણ ફણી શો…
કણસતા અસ્તિત્વના
ઉંકારથીયે રહિત !
કેવળ બસ હકાર !

– ફકીરમહંમદ મનસુરી

પ્રિય પાત્ર વિનાની જિંદગી કેવી હોઈ શકે એનો અદભુત ચિતાર કવિ અહીં જૂજ પંક્તિઓ અને સશક્ત રૂપકો વડે આપે છે. અંગથી ઉતારી દીધેલું વસ્ત્ર, કાંટા વિનાનું ઘડિયાળ, અસીમ આકાશની અનંત શક્યતાઓ અને આશાઓ એક-એક રૂંવાટી પર ભર્યું ભર્યું પણ પંખીના શરીર પરથી ખરી ગયેલું અને હવે પરિસ્થિતિના વાયરાની દયા પર અટવાતું પીંછું, સંદર્ભ ગુમાવી બેસેલું વાક્ય અને મણિ વિનાનો ફણીધર… પ્રિય પાત્રની અનુપસ્થિતિમાં અસ્તિત્વ કેવું સ્થગિત નિર્જીવ બની રહે છે- એક ઉંહકારો પણ કરી શકાતો નથી ! કેવળ શરીરનું હોવું રહી જાય છે.. શ્વાસ અને ઉચ્છ્વાસની ટકટક રહી જાય છે… બસ !

Comments (8)

કેટલાંક બાળકો – નરેન્દ્ર સક્સેના (અનુ. નૂતન જાની)

કેટલાંક બાળકો બહુ જ સારાં હોય છે
તેઓ બૉલ કે બલૂન માંગતા નથી
નથી માગતા મિઠાઈ કે નથી કરતા જીદ્દ
હેરાન તો થતા જ નથી
મોટાઓનું કહ્યું માને છે
આટલાં સારાં હોય છે
આટલાં સારાં બાળકોની તપાસમાં રહીએ છીએ
આપણે
અને મળતાં જ એમને ઘરે
લઈ આવીએ છીએ
ત્રીસ રૂપિયા મહિને અને ખાવાના પર.

– નરેન્દ્ર સક્સેના (હિંદી)
(અનુ. નૂતન જાની)

આજે બાળનોકરોનો પગાર કદાચ ત્રીસના બદલે હજાર-બે હજાર થયો હશે પણ આપણી માનસિક્તા ?

Comments (7)

(ઇનકાર) – અનામી (ગ્રીક) (અંગ્રેજી અનુ.: ડુડલી ફિટ્સ) (અનુ. વિવેક મનહર ટેલર)

લીલી દ્રાક્ષ, અને તેં મને ઠુકરાવ્યો,
પાકી દ્રાક્ષ, અને તેં મને પાછો મોકલી આપ્યો,
કિસમિસના એક બટકા માટેય મને નકારવું શું જરૂરી જ હતું ?

– અનામી (ગ્રીક)
(અંગ્રેજી અનુ.: ડુડલી ફિટ્સ)

“લયસ્તરો” પર આજે ફરી એકવાર ‘ફોર-અ-ચેઇન્જ’ આ ત્રણ લીટીઓ વાચકમિત્રોના હવાલે… આ ત્રણ લીટીઓમાં આપ શું અનુભવો છો એ અમને જણાવો. આપને આ ત્રણ લીટીઓમાં બકવાસ નજરે ચડે તો પણ કહો અને કવિતા દેખાય તો એ પણ જણાવો…

Comments (17)

સુ.દ. પર્વ :૦૭: Pre-scription – સુરેશ દલાલ

Suresh-Dalal (1)

 

[audio:http://dhavalshah.com/audio/prescription.mp3]

 

તમને તારાઓની બારાખડી ઉકેલતાં આવડે છે?
– તો લખો.

તમને ફૂલોની પાંખડીમાં પ્રવેશતાં આવડે છે?
– તો લખો.

તમને ક્ષણની આંખડીમાં કશુંક આંજતાં આવડે છે?
– તો લખો.

તમને રણના વિષાદને મૃગજળથી માંજતાં આવડે છે?
– તો લખો.

તમને આંખમાં આવેલા વાદળને નહીં વરસાવતાં આવડે છે?
– તો લખો.

તમને મેઘધનુષને સુક્કી ધરતી પર વાવતાં આવડે છે?
– તો લખો.

તમને લોકોની વચ્ચે તમારી સાથે રહેતાં આવડે છે?
– તો લખો.

તમને તમારાથી છૂટાં પડતાં આવડે છે?
– તો લખો.

તમને કંઈ પણ આવડતું નથી
એ અવસ્થા પર ઊભા રહેતાં આવડે છે?
– તો લખો.

– સુરેશ દલાલ

સુરેશ દલાલની બહુ લોકપ્રિય કવિતા કવિના પોતાના અવાજમાં સાંભળો.

Comments (6)

સુ.દ. પર્વ :૦૬: (હું છું કોણ ?) – સુરેશ દલાલ

sureshdalal-300x270

હું વિચારોના વમળમાં ફસાયેલો હેમ્લેટ નથી. ‘ટુ બી ઓર નોટ ટુ બી’ના
સરકસી હિંચકા પર હું અહીંથી તહીં સામસામે અથડાતો અટવાતો નથી
કે નથી હું ઑથેલો – કે સીધો જ આચારમાં પકડાઈ જાઉં કે જકડાઈ
જાઉં અને પછી પસ્તાયા કરું. હું શંકા-કુશંકાથી ઘેરાયેલો અર્જુન નથી
– કે લડું કે ન લડુંની દ્વિધામાં રહેંસાતો, ભીંસાતો હોઉં. મારા સ્વારથ
પર કૃષ્ણ તો હોય જ ક્યાંથી ? હું રોમિયો નથી કે ભોમિયો નથી.

તો પછી, હું છું કોણ ?

હું છું આજનો માણસ. સવારથી રાત સુધી ઘણું બધું કરતો અને કશુંય
ન કરતો. એના નામને અને ઈતિહાસને સ્નાનસૂતકનો સંબંધ નથી. એનું
નામ તો રેશનકાર્ડમાં જ રોશન થાય. બહુ બહુ તો પાસપોર્ટમાં લખાય.
એને આંતરયુદ્ધ કે બાહ્ય્યુદ્ધનો પરિચય છે અને નથી. એ તો માત્ર મરણ
સુધી જીવવું પડે એટલા માટે જીવે છે. એક વાર એનું નામ કંકોતરીમાં
છપાયું તે છપાયું અને મરણનોંધમાં છપાશે ત્યારે એ હશે પણ નહીં.
જીવન મારું અંધ છે, મરણ મારો સ્કંધ છે, લૌકિક વહેવાર બંધ છે.

– સુરેશ દલાલ

સુરેશ દલાલની કલમ જલદીથી કડવી ન થતી. એ આશાના કવિ હતા, હતાશા જવલ્લે જ દેખાવા દેતા. અહીં કવિનો એ રંગ દેખાય છે. બધાને જીંદગી જીતવાની જડીબુટ્ટી શીખવતો ‘ઝલક’નો લેખક અહીં કડવી હકીકતને સલામ કરી લે છે. એ લખી નાખે છે : જીવન મારું અંધ છે, મરણ મારો સ્કંધ છે, લૌકિક વહેવાર બંધ છે.

Comments (3)

સુ.દ. પર્વ :૦૫: મધુમાલતી – સુરેશ દલાલ

suresh-dalal001

ઘાસમાં આળોટતાં
પવનને પકડવા
સૂર્યનાં કિરણોએ દોડાદોડ કરી મૂકી.

*

રાખમાંથી અગ્નિ તરફ
મહાપ્રસ્થાન કરે
તે કવિ.

*

મારી પ્રત્યેક પળ
એ તુલસીપત્ર
એ જ વિષ્ણુસહસ્ત્રનામ
અને એ જ સત્યનારાયણ.

*

જ્ઞાની સૂરજને એમ હતું
કે ઝાકળના વેદ વાંચું
ઝાકળને તો એમ થયું
કે અભેદ થઈને રાચું

*

એક નદીકિનારે
મંદિરોનું ટોળું
એમાં ક્યાંથી ઈશ્વર ખોળું

– સુરેશ દલાલ

‘મધુમાલતી’ નામનો સુરેશ દલાલનો ટચુકડો કાવ્યસંગ્રહ છે. બે-ત્રણ લીટીના દરેક મુક્ત કાવ્યમાં સુરેશ દલાલનું અલગારી ચિતન છલકે છે. એમાંથી થોડીક કવિતાઓ અહીં મૂકી છે. ત્રણ-ચાર ડગલામાં અર્થવિશ્વને માપી લેવાની કવિની હથોટી અહીં ચમકતી દેખાય છે.

Comments (10)

વસંતનું પરોઢ – મેંગ હો-જાન

સુતો છું વસંતમાં, પરોઢથી અજાણ  
સંભળાય બધે  પક્ષીઓનો અવાજ 
ગઈ રાતના પવન ને વરસાદ થકી 
વિચારું: ખર્યાં હશે કેટલા પુષ્પ પછી

– મેંગ હો-જાન

કવિતા ચીનની છે. કવિ વસંતની પરોઢે પંખીઓના કલરવથી સહસા જાગે છે. પણ વસંતના ઉલ્લાસસભર વાતાવરણમાં પણ એમને પહેલો વિચાર ગઈકાલે રાતના તોફાનમાં કેટલા ફૂલ ખરી ગયા હશે એનો જ આવે છે. કવિનું મન આપમેળે જ દુ:ખતી રગને શોધી લે છે. મનનું એવું  જ છે: ભારે સુખમાં પણ ગમતી વ્યક્તિનું જરા જેટલું દુ:ખ પણ આપણને સુવા દેતું નથી. એક કોમળ અનુભૂતિ કેટલી સહજ રીતે કવિતા થઈ જાય છે એનુ આ ઉત્તમ ઉદાહરણ છે.

Comments (6)

પૂર્વગ્રહ – શમ્સુર રહેમાન (અનુ. ઉત્પલ ભાયાણી)

ઘાસમાં સંતાઈ રહેલા ઝેરીલા સાપને હું ચાહું છું.
લુચ્ચા દોસ્તોથી એ કંઈ વધુ ક્રૂર નથી.
આંધળી વાગોળને હું ચાહું છું,
ટીકા કરનારાથી એ વધુ ભલી છે.
રોષે ભરાયેલા વીંછીના ડંખને હું ચાહું છું,
એનો દઝાડતો ઘા, પ્રેમમાં હોવાનો દાવો કરતી,
બેવફા સ્ત્રીના ચુંબનથી વધુ સારો હોય છે !
ગાઢ જંગલમાં છુપાયેલા દેખાવડા વાઘને હું ચાહું છું,
સરમુખત્યારની જેમ એ એની હત્યાઓની યોજના ઘડતો નથી.

– શમ્સુર રહેમાન (ઉર્દૂ)
(અનુ. ઉત્પલ ભાયાણી)

ભલે “પૂર્વગ્રહ”નો અર્થ “આગળથી બાંધેલો ખોટો મત” થતો હોય, દરેક પૂર્વગ્રહની પાછળ એક કારણ જરૂર હોવાનું. કવિ સાપ, વાગોળ, વીંછી અને વાઘને ચાહે છે પણ મનુષ્યથી દૂર રહે છે. આ પૂર્વગ્રહની પાછળના કારણો ચર્ચવાની કોઈ જરૂર ખરી?

Comments (5)

મુક્તિ – રવીન્દ્રનાથ ઠાકુર – અનુ.નગીનદાસ પારેખ

વૈરાગ્યસાધને મુક્તિ, સે આમાર નય.

અસંખ્ય બન્ધન-માઝે મહાનન્દમય
લભિબ મુક્તિર સ્વાદ. એઇ વસુધાર
મૃત્તિકાર પાત્રખાનિ ભરિ વારમ્વાર
તોમાર અમૃત ઢાલિ દિબે અવિરત
નાનાવર્ણગંધમય. પ્રદીપેર મતો
સમસ્ત સંસાર મોર લક્ષ વર્તિકાય
જ્વાલાયે તુલિબે આલો તોમારિ શિખાય
તોમાર મન્દિર-માઝે.

ઇન્દ્રિયેર દ્વાર
રુદ્ધ કરિ યોગાસન,સે નહે આમાર.
યે-કિછુ આનન્દ આછે દ્રશ્યે ગન્ધે ગાને
તોમાર આનન્દ રબે તાર માઝખાને.

મોહ મોર મુક્તિ રૂપે ઉઠિબે જ્વલિયા,
પ્રેમ મોર ભક્તિ રૂપે રહિબે ફલિયા.

 

વૈરાગ્યની સાધના દ્વારા મળતી મુક્તિ મારે માટે નથી.

અસંખ્ય બંધનોમાં જ હું તો મહાનંદમય
મુક્તિનો સ્વાદ પ્રાપ્ત કરીશ.
આ વસુધાના માટીના પાત્રને વારે વારે
નાના વર્ણગંધમય તારું અમૃત
તું અવિરત રેડતો રહેશે.
પ્રદીપની પેઠે મારો સમસ્ત સંસાર
લાખ્ખો વાટોએ
તારી શિખાથી તારા મંદિરમાં
દીવા પેટાવી દેશે.

 

ઇન્દ્રિયોના દ્વાર રૂંધીને યોગાસન જમાવવું
એ મારું કામ નથી.
દ્રશ્યમાં, ગંધમાં, ગીતમાં
જે કાંઈ આનંદ રહેલો છે,
તેમાં તારો આનંદ વ્યાપી રહેશે.

મારો મોહ મુક્તિરૂપે સળગી ઊઠશે,
મારો પ્રેમ ભક્તિરૂપે ફલિત થશે.

-રવીન્દ્રનાથ ઠાકુર – અનુ.-નગીનદાસ પારેખ.

 

અત્યંત ક્રાંતિકારી વાત છે – જરાક સૂક્ષ્મતાથી તપાસશો તો રજનીશના ચર્ચાસ્પદ વિધાન ‘સંભોગથી સમાધિ સુધી’ નો ધ્વનિ પ્રતિપાદિત થાય છે ! કોઈ દમનની વાત નથી,કોઈ અકુદરતી ત્યાગના માયાવી મૃગ પાછળની દોટની વાત નથી. વિશ્વમાં જ વિશ્વાત્માના દર્શનની વાત છે….સર્જનમાં જ સર્જકની ઝાંખી કરવાની વાત છે. સર્જન અને સર્જક જુદા નથી,માત્ર આપણી દ્રષ્ટિ સીમિત હોવાથી તે દર્શન આપણને સહજ નથી – આ ધ્વનિ છે……

Comments (6)

મોર સાથે રમતી કન્યા – વિદ્યાપતિ (અનુવાદ: સુરેશ દલાલ)

આવતી કાલે પાછો આવીશ એવું મને કહીને ગયો
મેં મારા ઘરની બારી પર
ફરી ફરીને લખ્યા કર્યું, બસ લખ્યા કર્યું
આવતી કાલે, આવતી કાલે…
આ શબ્દોથી ઢાંકી દીધી જમીન.
જયારે સવાર ઊગી ત્યારે તો
બધા મને બસ પૂછ્યા કરે :
સખી ! કહેને…એટલું તો કહેને
આવતી કાલ તારી આવશે ક્યારે?
કાલની મેં તો છોડી દીધી તમામ આશા
મારો પ્રિયતમ પાછો નહીં આવ્યો તે નહીં આવ્યો.
વિદ્યાપતિ કહે : સાંભળ સુંદરી : કટુવચન આ, ક્રૂર
અન્ય સ્ત્રીઓએ લલચાવીને એને રાખ્યો દૂર.

– વિદ્યાપતિ (ભાષા: મૈથિલી)
(અનુવાદ: સુરેશ દલાલ)

(સૌજન્ય: ક્રિષ્ણા તારા નામનો આધાર)

ગયા અઠવાડિયે ચૌદમી સદીમાં મૈથિલિ ભાષાના કવિ વિદ્યાપતિની એક રચના આપણે માણી. આજે એમની વિરહરસભરી એક રચનાનો આનંદ લઈએ.  “ઇસ જમીં પે લિખ દૂઁ નામ તેરા, આઅસમાઁ પે લિખ દૂઁ નામ તેરા” જેવા ગીતો આજે આપણે સાંભળીએ છીએ પણ છસો વર્ષ પહેલાંનો આ કવિ તારું નામ લખીને આખી જમીન ઢાંકી દીધી જેવી કલ્પના કરે છે એ જાણીએ ત્યારે કેવું લાગે ! કવિતા પોતે પણ આખી આસ્વાદ્ય છે…

 

 

Comments (9)

યુવાન ગૃહિણી – વિલિયમ કાર્લોસ વિલિયમ્સ (અનુ. વિવેક મનહર ટેલર)

સવારે દસ વાગ્યે યુવા ગૃહિણી
તેના પતિના ઘર પછીતેની લાકડાની દીવાલો વચ્ચે
પાતળા ગાઉનમાં આંટા મારી રાહી છે.
હું મારી ગાડીમાં એકલો પસાર થાઉં છું.

અને ફરી તે વાડ પાસે આવે છે
બરફવાળા અને માછલીવાળાને બૂમ પાડવા માટે, અને ઊભી રહે છે
શરમાતી, અંતર્વસ્ત્રહીન, માથાના
ખુલ્લા વાળને અંદર દબાવતી, અને હું એને સરખાવું છું
ખરી ગયેલા પાંદડા સાથે.

મારી ગાડીના નીરવ પૈડા
તડતડ અવાજ સાથે દોડી રહ્યા છે
સૂકા પાંદડા પરથી અને હું નમું છું અને સ્મિત આપતો પસાર થઈ જાઉં છું.

– વિલિયમ કાર્લોસ વિલિયમ્સ
(અનુ. વિવેક મનહર ટેલર)

પહેલી નજરે સાવ સાદું દેખાતું આ દૃશ્ય જરા હળવા હાથેથી ઉઘાડીએ ત્યાં જ દામ્પત્યજીવનની ખરી ભાતો ઉપસી આવે છે. ‘તેના પતિના ઘર’ શબ્દ પ્રયોગ જ આંચકાની શરૂઆત કરે છે. જે ઘરમાં લગ્ન કરીને ગૃહિણી આવી છે એ ઘર હજી એનું થયું નથી. ગૃહિણી હજી યુવાન છે એનો અર્થ એ કે લગ્નજીવનને હજી ઝાઝા વર્ષો પણ નથી થયા. શરૂઆતનું દામ્પત્યજીવન તો બાકી પ્રેમના વાવાઝોડા જેવું મદમસ્ત હોવું જોઈએ… પણ એક જ શબદનો પ્રયોગ તમામ શક્યતાઓનો છેદ ઊદાડી વાચકને શરૂઆતમાં જ સ્તબ્ધ કરી દે છે.

કાવ્યનાયક ત્યાંથી ગાડીમાં એકલો પસાર થાય છે. ગૃહિણી એના વાડામાં અને નાયક એની ગાડીમાં – બંને પોતપોતાની રીતે કેદમાં છે.

ગૃહિણી ફેરિયાઓને બૂમ પાડવાના બહાને વાડની નજીક સરે છે. એ શરમાય છે. વિખરાઈ ગયેલી લટોને સરખી કરે છે. નાયક એની સરખામણી ખરેલા પાંદડા સાથે કરે છે. ખરેલું પાંદડું ક્ષણિક ચારિત્ર્ય સ્ખલન તરફ સંકેત કરે છે. જેમ પહેલા ફકરામાં husband’s house શબ્દપ્રયોગ તેમ અહીં uncorseted શબ્દ આંચકો આપે છે. (corset આપણી સંસ્કૃતિ માટે નવું અંતર્વસ્ત્ર છે. પાશ્ચાત્ય સ્ત્રીઓ પોતાના નિતંબ અને સ્તનના ઉભારને વધુ આકર્ષક ઘાટ આપવા માટે ખાસ પ્રકારનું કડક અંતર્વસ્ત્ર કસીને પહેરે છે. અહીં કાવ્યનાયિકાને આ કડક, કસાયેલું અંતર્વસ્ત્ર પહેર્યું નથી એ એના પતિના પ્રભાવ અને પ્રભુત્વમાંથી બે ઘડીની મુક્તિ સૂચવે છે.)

કાવ્યાંતે અવાજ કર્યા વિના સરી જતી ગાડીના વિરોધાભાસમાં કચડાતા સૂકા પાંદડાના અવાજને મૂકીને કવિ આપણને સરી જતા અટકાવે છે. એકવાર કાવ્યનાયિકાની સરખામણી પાંદડા સાથે કર્યા બાદ તરત જ કવિ નાયકની ગાડી નીચે કચડાતા પાંદડાનો નિર્દેશ સાયાસ કરે છે. પાશ્ચાત્ય સંસ્કૃતિ પ્રમાણે એ નમે છે કેમકે બંને જણ એક-મેકને ઓળખતા નથી પણ એ સ્મિત આપીને પસાર થાય છે… આ સ્મિત બંનેજણ વચ્ચે જન્મેલા ક્ષણિક આકસ્મિક sexual tensionને ઈંગિત કરે છે અને ખરેલા પાંદડાને પોતાની ગાડી તળે કચડીને નાયક એકીસાથે આ તણાવનું નિર્મૂલન પણ કરતો જાય છે.

*

At ten A.M. the young housewife
moves about in negligee behind
the wooden walls of her husband’s house.
I pass solitary in my car.

Then again she comes to the curb
to call the ice-man, fish-man, and stands
shy, uncorseted, tucking in
stray ends of hair, and I compare her
to a fallen leaf.

The noiseless wheels of my car
rush with a crackling sound over
dried leaves as I bow and pass smiling.

– William Carlos Williams

Comments (21)

(ઉસ્તાદ) – જયશ્રી ભક્ત

તારી સાથે વાત કરવી
નથી ગમતી
આજ-કાલ.
‘કેમ છે?’
એવું તું પૂછી લઈશ તો ?

હું શું જવાબ આપું?

હું ગમે એ કહું,
પણ મારા અવાજની ધ્રુજારીમાં
જે મારે નથી કહેવું
એ તું સાંભળી જ લઈશ
એટલે જ હું કશું બોલતી નથી..

પણ તુંય હવે ઉસ્તાદ થઈ ગયો છે.
કશું પૂછતો જ નથી
બસ, મારો હાથ પકડી લે છે,
અને કહે છે –
મારી આંખો માં જો..!

– જયશ્રી ભક્ત

સારી કવિતા ક્યારે કઈ જગ્યાએથી મળી આવે એ કહેવું અશક્ય હોય છે. શબ્દ અને સંગીતની દિવસ-રાત આરાધના કરતાં કરતાં ટહુકો.કોમની સંચાલિકા જયશ્રી અચાનક જ આ કવિતા મને મેલમાં મોકલે છે અને હું તાત્ક્ષણિક જવાબ આપું છું કે આ હું લયસ્તરો માટે રાખી શકું? બરાબર બે અઠવાડિયા પછી એ સંમતિ આપે છે…

સાવ સરળ કવિતા પણ કેવી મર્મવેધક ! દરિયાના મોજાંની જેમ પ્રેમમાં લાગણીઓ અને મન-મેળ પણ આવ-જા અને ભરતી-ઓટને અનુસરતા હોય છે. ભીતરની અવઢવ વ્યક્ત કરી પ્રિયજનને તકલીફ ના પહોંચાડે એ સાચો પ્રેમ અને એ શબ્દાતીત અવઢવને સામે ચાલીને સમજી-વાંચી લે એ વળી સાચા પ્રેમની જ ઉત્કટતા…

મને તો કવિતામાં વચ્ચે વચ્ચે આવતી ખાલી જગ્યા પણ સતત બોલતી હોય એમ લાગી…

Comments (68)

મૃત્યુ – જયંત પાઠક

જે જાણે તે જાણેઃ
મૃત્યુ એટલે કાચબો
ધીમે ધીમે ચાલીને એ હંમેશાં
સસલાને હરાવે છે.

મૃત્યુ એટલે સોનાનું પતરું
એ કાટથી ખવાતું નથી;
લખેલા અક્ષર
કદી ભુંસાતા નથી.

મૃત્યુ એટલે ફૂલ પર
ગણગણતો ભમરો નહિ;
મૃત્યુ એટલે મધમાખી
મૂંગીમૂંગી જે રચે મધપૂડો.

મૃત્યુ એટલે એક અજાણ્યું ઈંડું
ફૂટ્યા વગર એના ગર્ભને
પામી શકાતો નથી.

– જયંત પાઠક

મૃત્યુ વિશે વિશ્વમાં હજારો કવિતા લખાઈ હશે. અ કવિતાની જેમ જ દરેક કવિતા પોતાની રીતે વિશિષ્ટ હોવાની. જેના વિશે આપણે સીધું જાણી શકવાના જ નથી એના વિશે મનોરમ્ય કલ્પનાઓ કર્યે રાખ્યે જ છૂટકો. આ કવિતા ધીમે ધીમે વાંચો અને મૃત્યુનો અહેસાસ કરો…

Comments (8)

માતૃભાષા – પન્ના નાયક

આપણને
જે ભાષામાં સપનાં આવે

આપણી માતૃભાષા.
મને
હજીય ફિલાડેલ્ફીઆમાં
સપનાં
ગુજરાતીમાં આવે છે.
પણ
મારી આસપાસના
ગુજરાતીઓ
ઉમાશંકરની છબિ જોઈને
સતત પૂછ્યા કરે છે :
‘આ કોની છબિ છે ?’

અને
મારું સપનું નંદવાઈ જાય છે.
(સપનાંનાં હૈયાંને નંદવામાં વાર શી?)

– પન્ના નાયક

આટલા વરસ અમેરિકામાં રહીને  અમને તો ભાઈ સબટાઈટલવાળા સપનાંની આદત પડી ગઈ છે. ઓરીજીનલ સપનાં કેવા હતા એ તો કોઈ વાર સપનામાં જોવા મળે તો ખરું 🙂

Comments (5)

રાહ જોઉં છું – પ્રફુલ્લ રાવલ

હું તો તૈયાર જ બેઠો છું
બારણું ખખડે એટલી જ વાર
મારું પોટલું ઉપાડીને જ ચાલવા માંડીશ,
મારી જાતે જ.

મારે ક્યાં કોઈની રાહ જોવાની છે ?
ક્યાં કોઈ આંખમાં આંજીને બેઠું છે
મારી પ્રતીક્ષાનું કાજળ ?

વળી મેં તો ક્યારનોય મારા તરફનો ભાવ
ઓછો કરી નાખ્યો છે,
વાદળ તો ક્યારનું વિખરાઈ ગયું છે,
હવે તો માત્ર હું જ છું,

પણ કોઈ ખખડાવતું નથી બારણું,
મારું પોટલું હું આઘું કરી શકતો નથી
ને નથી તસુયે ખસી શકતો હું.

– પ્રફુલ્લ રાવલ

આત્મખોજની યાત્રા એ ન નીકળવાના બહાનાઓ અનેકવિધ છે….. મગજ અત્યંત ચાલક અંગ છે. મગજની ચાલ સમજવી અને સમજીને પછી તેને અતિક્રમવી તે પ્રજ્ઞા….

Comments (6)

સપનાં – નીતિન મહેતા

ક્યારેક આપણા સપનાંને
ઝાંખપ વળે
કરચલીઓ પડે
વળી ક્યારેક સપનાં
થરથર કાંપે
ડગુમગુ ચાલે
પણ પ્રવાસ ન છોડે

ક્યારેક આ સપનાં
રોજરોજ સૂર્યપ્રકાશમાં
આપણા કેટલાયે
વિચારોને તરછોડી દે
ને કયારેક
સૂર્યકિરણની જેમ એક ડાળેથી
બીજી ડાળે ફર્યા કરે

જોકે સપનાં
ક્યારેક બરફ
ક્યારેક ધુમ્મસ
ક્યારેક વરાળ
ક્યારેક તરસ
ક્યારેક સત્તા
ક્યારેક શોષણ
સપનાં
ક્યારેક સજાવાય
ક્યારેક દેખાડાય
ક્યારેક ડહોળાય
ક્યારેક છીનવાય

તો સપનાં
ક્યારેક છબીમાં તડ પાડે
ક્યારેક વાતોમાં રંગ પૂરે
ક્યારેક મોઢાનું નૂર હરે

આ સપનાંઓની કોઈ ઓળખ?
હા, એ થોડા સાઈકોસોમેટિક
ને એના મરણની પણ વસંત.

– નીતિન મહેતા

સપનાં-પુરાણ એ માનવીપણાનો આખોય ઈતિહાસ છે. સપનાં જોતા શીખ્યા પહેલા જે પ્રાણી હતો, એ સપનાં જોતા શીખ્યા પછી માનવ થયો. સપનાંએ આપણને અઢળક આશાથી ભરી દીધા અને એ સપનાંએ જ નિરાશા શું એ સોટી મારીને શીખવાડ્યું. સપનાં બધા સુખોમાં ઉત્તમ સુખ છે અને સપનાં જ બધા દુ:ખોમાં સૌથી તીણું દુ:ખ છે. જે એને પાર કરી જાય એ તો ઓલિયો થઈ જાય.

(સાયકોસોમેટિક = એવી બિમારી જેનું કારણ ખાલી માનસિક જ હોય)

Comments (5)

અ-પ્રતિભાવ – જગદીશ જોષી

તારા ખોબામાં પારિજાત હશે
એમ માની હું પાસે આવ્યો.
પણ તારા ખાલી ખોબામાં
ઝાકળના બિંદુનોય કંપ નહોતો.

થોર જેવી તારી હથેલીમાં
સ્પર્શનું પંખી ટહુકવાનું ભૂલીને
સૂનમૂન પડ્યું હતું.

તારી કનેથી
પાછો વળી જોઉં છું તો
મારી એકલતાનું વૃક્ષ
પારિજાત ઝરે છે.

-જગદીશ જોષી

જે અંતરમાં નથી, તે ક્યાંય નથી…..

Comments (3)

…અથવા પ્રભુ તું ન મળે તો સારું – દિનેશ દલાલ

હે પ્રભુ!
જો તું કોઈક વાર મને ક્યાંક મળી જાય
અને કહે કે,
‘માગ, માગ, જે માગે તે આપું.’
ત્યારે, હે પ્રભુ,
મને મૂઢ બનાવી દેજે.
જેથી હું કાંઈ બોલી ના શકું.
ફક્ત તારી સામે નજર માંડી રહું.
કારણ… તું તો અંતરયામી છે…
અને જો આપણું મળવાનું
નિશ્ચિત જ હોય
ને મને મૂઢ બનાવી દેવાનો ન હોય
તો, હે પ્રભુ,
તું મને ન મળે તે જ બહેતર છે,
…કારણ કે મારાથી કાંઈક મગાઈ જશે
તો હું કેવો ઉઘાડો…

– દિનેશ દલાલ

ઈશ્વરના સાક્ષાત્કારની ક્ષણને શા માટે કશું માગવા સાથે સાંકળવી ? એ તો મુક્તિની ક્ષણે સોનાની સાંકળ માગવા બેસવા જેવી વાત થઈ.

Comments (10)

પ્રેમની પાર- ઓક્તોવિયો પાઝ – અનુ.- નલિન રાવળ

આપણે માટે પ્રત્યેક પદાર્થ ભયપ્રદ છે.
છેદે છે સમય મારા વિગત અને અનાગતને
કરી મૂકે છે મને છિન્નભિન્ન
જેમ
સર્પને ખંજર કટકે કટકે છેદી નાખે,
અને તમે –
જેને તૂરીનો કોઈ ઘોષ તોડી ન શકે એવી
પોકળ દીવાલો
અસંખ્ય ખંડિત ચિત્રોવાળું સ્વપ્ન
કે પયગંબરી વાણીના છાકવાળી લવરી
કે નહોર-દાંત વાળો પ્રેમ
કશું જ આપણે માટે પૂરતું નથી
આપણીયે પાર
પ્રાણ અને મહાપ્રાણની સરહદ રેખા ઉપર
અતીવ ચૈતન્યમય એવું જીવન
આપણને આવકારી રહ્યું છે
બહાર રાત્રિ પાસે છે – લંબાવે છે,
ઉષ્માભર્યા પર્ણો,પ્રતિસ્પર્ધી દર્પણો,
એની પારદર્શક ત્વચા છેદાઈ જાય
જે અંધ છે
તે જુએ છે
શબ્દો : ચૈતન્યની વિસ્તીર્ણ માયાજાળ –
હું
ફળો,નહોરો,નેત્રો
પસાર થવા મથતાં શરીરો
આ બધાંથી ભરી રાત્રિ બહાર ભાસે છે – લંબાવે છે

ફીણભર્યા કાંઠાની બહાર તમારો પગ ઉઠાવો,
આ જીવન કે જે જીવન શું તે જાણતું નથી
અને
જે તમને પ્રેરે છે રાત્રિને સમર્પિત થવા,
હાંફતી-ધબકતી ધવલતા, ઓહ વિભક્ત તારક,
સવાર તરફ પલ્લું નમાવતો રોટલાનો ટુકડો,
આ સમય અને અનંત સમય વચ્ચેનો
મૂર્ત વિરામ.

– ઓક્તોવિયો પાઝ

અભિવ્યક્તિ જરા અટપટી છે…. મૂળ વાત છે શબ્દોની નિરર્થકતાની અને મિથ્યા પ્રેમની મોહજાળ ની… fear -ભય -એ આપણાં જીવનને સતત ગ્રસે છે. નહોર અને દાંત વાળો પ્રેમ પ્રેમીજનને જ ખાઈ જાય છે. અહી મિથ્યા પ્રતિબિંબોને પ્રસરાવતા પ્રતિસ્પર્ધી દર્પણો છે. સર્વત્ર મોહ રાત્રિ પથરાઈ છે. ‘જે અંધ છે તે જુએ છે’- આ વાચાળ વિરોધાભાસ ઉપનિષદવાક્ય યાદ કરાવી દે છે-બોલનાર જાણતો નથી અને જાણનાર બોલતો નથી…. મૂર્ત સમય દર ક્ષણે આપણને છેદે છે,છળે છે.

આ સઘળું અતિક્રમીને આપણે પ્રાણ અને મહાપ્રાણ ની સરહદ રેખા ઉપર જે અતીવ ચૈતન્યમય જીવન છે ત્યાં પહોંચવાની યાત્રા પ્રારંભવાની છે…..

આ તો થઈ theory – ઘણીવાર વિચાર આવે કે બધા જ વિચારકો આ જ વાત કરે છે. આ વાતની practical applicability કેટલી ? શું આ વાત કોઈ નક્કર હકીકત છે કે ઠાલાં પોથીમાંનાં રીંગણાં ? – આ વાતનો જવાબ મને કંઈક આવો અનુભવાય છે- દરેક વ્યક્તિની અંગત યાત્રા તેની ‘બ્રહ્મ-જિજ્ઞાસા’ ઉપર અવલંબે છે. જેને પ્રશ્નો થશે તે જવાબ શોધશે….

Comments (1)

રાત્રીની આંખોમાં – સુધીર દેસાઈ

મડદાંઓ તરી રહે
રાત્રીની કૂવા જેવી આંખોમાં.

વહી જતો પ્રવાહ સ્થિર થઈ જાય
એમ સામે સ્થિર થઈ જાય રાત્રી.

મૂળાક્ષરો જેવી આ મૃત આંખોમાં
છુપાયેલ અનેક દુનિયાઓ
ઉકેલી નથી શકતો હું એમને.

ક્યારેક પટપટાવી કોઈ આંખ
ઊભો કરે ભ્રમ.
થંભી જાય મારો શ્વાસ.
ને દોડી જાઉં અંદર.

અરીસામાં જોઉં
કૂવા જેવી મારી આંખો
ને એમાં તરી રહેલા મડદાંઓ
હું થઈ જાઉં
સ્થિર.

– સુધીર દેસાઈ

રાત્રી તો વાંક નથી. એ તો પોતાની આંખોનું જ પ્રતિબિંબ છે.

Comments (3)

-મળશે ત્યારે – જગદીશ જોષી

તમને ટપાલમાં કાગળ નહીં,
ફૂલો મોકલવાનું મન થાય છે.
અને….જયારે તમને ફૂલો મળશે
ત્યારે એ કરમાઈ ગયાં હશે…..
અત્યારે
તમારા વિનાની
મારી સાંજની જેમ.

– જગદીશ જોષી

Comments (8)

અંધકાર – સુરેશ જોષી

આજે હું તારા અંધકાર સાથે બોલીશ.
તારા હોઠની કૂણી કૂંપળ વચ્ચેનો આછો કૂણો અંધકાર.
તારા કેશકલાપનો કુટિલ સંદિગ્ધ અંધકાર.
તારા ચિબુક પરના તલમાં અંધકારનું પૂર્ણવિરામ.
તારી શિરાઓના અરણ્યમાં લપાયેલા અંધકારને
હું કામોન્મત્ત શર્દૂલની ગર્જનાથી પડકારીશ;
તારા હૃદયના અવાવરુ કૃપણ ઊંડાણમાં વસતા જરઠ અંધકારને
હું ઘુવડની આંખમાં મુક્ત કરી દઈશ;
તારી આંખમાં થીજી ગયેલા અંધકારને
હું મારા મૌનના ચકમક જોડે ઘસીને સળગાવી દઈશ;
વ્રુક્ષ ની શાખામાં ઓતપ્રોત અંધકારનો અન્વય
તારાં ચરણોને શીખવીશ.
આજે હું અંધકાર થઈને તને ભેદીશ.

– સુરેશ જોષી

અહીં ગુહ્ય સાથે લડાઈની વાત છે. સામે પક્ષે માશૂકા પણ હોઈ શકે,પોતાની જાત પણ હોઈ શકે. અંધકાર એટલે અજાણ્યો પ્રદેશ… જ્ઞાનનો અભાવ આજ સુધી ભય પ્રેરતો હતો. અંધકારનો ડર લાગતો હતો. હવે આ ભયને અતિક્રમવા સિવાય કોઈ ઉપાય નથી. તે હું કઈ રીતે કરીશ ? – તેનું વર્ણન શી અદભૂત છટાથી થયું છે અહીં !
‘આજે હું અંધકાર થઈને તને ભેદીશ……’

Comments (2)

પથ્થર – ફૂયુહિકા કિટાગાવા – અનુ. જગદીશ જોષી

પથ્થર ઠંડોગાર છે;
એ ખરબચડો,ખૂણાળો અને કઠોર.

પણ નદીના વ્હેણમાં
એણે ગોળ થયે જ છૂટકો,
વહી જાતાં વર્ષોમાં
બીજાઓ સાથે અથડાતાં-કુટાતાં,
એવું નથી કે પથ્થરને ઉષ્માળો ન જ હોય.
તમે જો એને હૃદયને ગજવે-છાતીસરસો-રાખો તો
તે હૂંફાળો થશે જ, થશે.

માત્ર એટલું જ, કે એની ટાઢીબોળ જડતાને ખંખેરવા મથતાં
તમારે ધરપત રાખવી પડે.

-ફૂયુહિકા કિટાગાવા [ જાપાન ]

Comments (6)

ફફડાટ – ઇન્દુકુમાર ત્રિવેદી

ઘરે
રજાના દિવસે બપોરે
થયું મને
કૈં ઠીકઠાક ગોઠવું,
ત્યાં છાજલીમાં ચીજને ખસેડતાં
અજાણતાં સહેજ અડી જતાંમાં
ઈંડું દડ્યું નીડથી ભોંય, ફૂટ્યું :
હૈયે થયો ત્યાં ફફડાટ પંખીનો.

કવિનો હૈયે થયેલો ‘ફફડાટ’ કલાપીનાં હૈયે થયેલા ‘એક ઘા‘ની યાદ અપાવે છે…

– ઇન્દુકુમાર ત્રિવેદી

Comments (10)

શાંત કોલાહલ – રાજેન્દ્ર શાહ

રમી રહ્યાં કોમલ રશ્મિ સૂર્યનાં
આ ગુલ્મને આંગણ
પારિજાતની સુગંધ મીઠી ઝરી પ્રસન્નતા.
પણે ચણે ધૂલિથી ધાન્યના કણ
ટોળે મળી કાબર, ચાષ;
કલબલ તે કેટલી ?
ચંચલ કૈં !
અકારણ ઊડી જતાં ડાળ વિશે
અને ફરી તુરંત ભેળાં વળી એ જ ધૂળમાં !
ને માર્ગથી ગૌચરની ભણી ધણ વસંત
હંભારવમાં બધા ય તે અવાજ ઝાંખા
ઘર,હાટ, ઘાટના.
આ વ્યોમનો ઝાકળ-ધૌત નિર્મલ
ડહોળાય આખો અવકાશ,
રૂપ શું પ્રકાશનું એથી વિશેષ ઉજ્જવલ !
સુષુપ્તિનો જે અનુબોધ
કર્મને કોલાહલે તે લહું શાન્તિ ગોચર !

– રાજેન્દ્ર શાહ

[ ગુલ્મ = સ્થાન,જગ્યા. ચાષ = એક કાબર જેવું પંખી ]

આખેઆખાં વહી જવાય એવું ઊર્મિકાવ્ય…..

 

Comments (4)

કાળને – : મહેન્દ્ર અમીન

કાળને
બાઝી ગયેલાં
વિરતિનાં જાળાં
હવે તો
સાફ કરવાં પડશે
નહિ તો,
મારા અસ્તિત્વની
ધાર
કાટ ખાઈ જશે :
લાવ,
કેટલાંક જૂના થઈ ગયેલાં
કાર્યો –
ભલે એનાં એ જ –
જરીક નોખી રીતે કરું :
ઈશુને ગોળીએ વીંધુ
અને
ગાંધીને ખીલે ઠોકું.

– મહેન્દ્ર અમીન

[ વિરતિ = વિશ્રામ, અટકવું તે ]

એક સરળ પરંતુ ધારદાર વ્યંગ કાવ્ય……પેલું વાક્ય યાદ આવે છે-‘ માનવી ઈતિહાસમાંથી એટલું જ શીખ્યો છે કે માનવી ઈતિહાસમાંથી કંઈ જ શીખતો નથી.’

Comments (4)