એ જ આશા રાખવામાં સાર છે,
બંધ છે એ શક્યતાનું દ્વાર છે.

આપણી બારી ઉઘાડી રાખીએ,
તો બધે અજવાસ પારાવાર છે.
હર્ષા દવે

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for મનોહર ત્રિવેદી

મનોહર ત્રિવેદી શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.




જાગે છે – મનોહર ત્રિવેદી

ઊંઘ ખેંચું ને રામ જાગે છે
શ્વાસ પ્રત્યેક આમ જાગે છે

દેશ અથવા ન ગામ જાગે છે
જાગ તું, તો તમામ જાગે છે

રાતનું આ વજૂદ સમજી લે
સૂર્ય જોતાં જ હામ જાગે છે

માર્ગ રોકાય કેમ પળભર પણ
મીટ માંડી મુકામ જાગે છે

રાખ ચિંતા ન દ્વાર ખૂલવાની
એક ત્યાં મુક્તિધામ જાગે છે

– મનોહ૨ ત્રિવેદી

ઊંઘ અને મૃત્યુ વચ્ચે એક જ ફરક છે કે ઊંઘમાંથી જાગી શકાય છે. જીવન ઉપરની શ્રદ્ધા કહો કે રામ ઉપરનો ભરોસો, ઊંઘતી વખતે આપણે સવારે આંખ નહીં ખૂલે તો શું થશે એવું વિચારતા નથી. જીવનની આ રોજિંદી હકીકતને ઉપાદાન બનાવીને કવિએ મજાનો મત્લા સિદ્ધ કર્યો છે. જાગવું અને જાગૃતિ વચ્ચે પણ બહુ મોટો તફાવત છે. આજે પરિસ્થિતિ એવી છે કે ઘર, ગામ કે દેશ આખામાં કોઈ જાગતું નજરે ચડતું નથી. દરેક જણ કોઈ તો કરશે, કોઈ તો જાગશેની આશામાં ઊંઘી રહ્યા છે. કવિ બહુ સચોટ ટકોર કરે છે. બીજાના જાગવાની રાહ કેમ જોવી? જાતે જ ન જાગી જઈએ? દરેક માણસ પોતાના ઘરનું આંગણું સ્વચ્છ રાખે તો દેશ આખો સ્વચ્છ થઈ જાય. આખી ગઝલ જ સહજસાધ્ય થઈ છે.

Comments (1)

પંખી બેઠું ડૂંડે – મનોહર ત્રિવેદી

કવિના નવ્ય કાવ્યસંગ્રહની સર્વપ્રથમ પ્રત કવિહસ્તે પ્રાપ્ત કરવાની ધન્ય ક્ષણ..

*
પંખી બેઠું ડૂંડે*
ખેડુ નજરું માંડે જાણે ભથવારીના સૂંડે.

નળ્ય વળગાડે છાતીસરસી
બેઉ તરફની છાંય
ખૂણેખાંચરે જઈને થંભ્યા
તડકાઓના પાય

ગાડામારગ જાય ઊતરતો પોતામાં શું ઊંડે?

આભ નમીને રહ્યું નીરખી
લચી પડેલો મૉલ
વહુવારુની જેમ લ્હેરખી
ઘૂમે ઓળેઓળ

જુઓ, સીમને શણગારી છે પતંગિયાંના ઝુંડે
પંખી બેઠું ડૂંડે

– મનોહર ત્રિવેદી

(*. કવિમિત્ર રમણીક સોમેશ્વરના અછાંદસની પ્રથમ પંક્તિ)

કવિના નૂતન કાવ્યસંગ્રહ ‘કહો કે ના કહો’નું લયસ્તરો પર સહૃદય સ્વાગત.

બપોરીવેળાના ખેતરનું દૃશ્યચિત્ર કવિએ કલમના જૂજ લસરકા માત્રથી આબાદ ઉપસાવી આપ્યું છે. જે રીતે વહેલી સવારથી એકધારો પરિશ્રમ કરીને ભૂખ્યો-તરસ્યો થયેલો ખેડૂત બપોરે ભાથું લઈને આવતી ભથવારીના ટોપલા તરફ આતુર મીટ માંડે એવી જ પરિતૃપ્તિની અપેક્ષા લઈને ડૂંડા પર આવી બેઠેલા પંખીની ઉપસ્થિતિથી કાવ્યારંભ થાય છે. બે ખેતર વચ્ચેની કાંટાળા થોરની સરહદની વચ્ચે પસાર થતો સાંકડો રસ્તો એટલે નળ્ય. બેઉ તરફની છાંયને નળ્ય છાતીસરસી વળગાડે છે –આ એક જ પ્રતીક બપોરી તાપની પ્રખરતા મુખરિત કરવા સક્ષમ છે. ખૂણાખાંચરાઓને બાદ કરતાં તડકો સમસ્ત સૃષ્ટિમાં પગપેસારો કરી ચૂક્યો છે. છાંયડો એટલો ઓછો થઈ ગયો છે કે નળ્યના બે છેવાડા સિવાય ક્યાંય નજરે ચડતો નથી. ખૂણાખાંચરાઓને બાદ કરતાં સૃષ્ટિમાં બધી જગ્યાએ કેવળ તડકાનું જ સામ્રાજ્ય છે. આ જ કવિના ‘તડકા! તારા તીર’ ગીતમાં પણ આવું જ કલ્પન જોવા મળે છે: ‘છાંયડા જેવા છાંયડાએ પણ વાડયની લીધી ઓથ.’ વળી, ‘તડકા’ બહુવચન ઓછું પડ્યું હોય એમ કવિ પોએટિક લાઇસન્સ વાપરી પાછળ ‘ઓ’ ઉમેરી બહુવચનનો પણ વિસ્તાર કરે છે. નજર પહોંચે ત્યાં સુધી પથરાયેલ નિર્જન માર્ગ જાણે છેવાડે જઈને પોતાની જ અંદર ઊંડે ન ઉતરી જતો હોય એવો ભાસે છે. પંખીના બેસવાથી સજીવન થયેલ ખેતરની બપોરી દુર્દશા વર્ણવ્યા બાદ કવિ પુનઃ આવા વાતાવરણમાં સૃષ્ટિના ધનમૂલક પરિબળો સાથે સંધાન કરવું ચૂકતા નથી. લચી પડેલ મૉલને જોવા જાણે આભ માથે ઝળુંબી રહ્યું છે. વહુવારુ જે રીતે મર્યાદા જાળવીને ચાલે, એમ પવનની લહેરખી પણ ઓળેઓળે- ચાસેચાસે ઘૂમી રહી છે. કેવું અદભુત કલ્પન! બાકી હતું તે પતંગિયાના ઝુંડે સીમને શણગારી છે. આવા ખેતરમાં જઈ દિવસ ગાળવાનું મન ન થય તો જ નવાઈ…

*

Comments (10)

પગને પરખી – મનોહર ત્રિવેદી

પગને પરખી પથની ધૂલિ રે
મને લૈ ગઈ દૂર મઢૂલી રે

મારી પાછળ વહી આવતો સાંજ સમેનો શોર
ગયો ઓસરી હોવાની સમજણનો જૂઠો તોર
તરત જ ની૨વ વાણી ખૂલી રે

કોણ ખેંચતું રહ્યું ને આવ્યો કિયા જનમના ઋણે?
અળવીતરી મેં મૂકી દુવિધા અહીં સાંઈના ધૂણે
ભીતરે ટાઢક ફાલીફૂલી રે

ઓછપ જેવું કશું બચ્યું નઈં : ભરચકતાની પાર –
આંખે દેખ્યો પેલવારુકો અદીઠનો અંબાર
પડી ત્યાં દુનિયા સાવ અટૂલી રે
પગને પરખી પથની ધૂલિ રે
મને લૈ ગઈ દૂર મઢૂલી રે

– મનોહર ત્રિવેદી

*

સિંહણ કેરું દૂધ હોય તે સિંહણસુતને જરે,
કનકપાત્ર પાખે સહુ ધાતુ ફોડીને નીસરે. (દયારામ)

– ઈશ્વરની કૃપા ઝીલવા માટે પાત્રતા જરૂરી છે. ભક્તિ અને તડપ સાચા હોય તો માર્ગની ધૂળ સુદ્ધાં પગને ઓળખી લઈ વટેમાર્ગુને દૂર આવેલી મઢૂલી સુધી પહોંચાડી આપે છે. ગનીચાચા પણ યાદ આવે: ‘શ્રદ્ધા જ મારી લઈ ગઈ મંઝિલ ઉપર મને, રસ્તો ભૂલી ગયો, તો દિશાઓ ફરી ગઈ!’ખરું ને? એકવાર સુરતા જાગી ગઈ, તો પાછળથી વહેરે આવતો સાંજનો શોર અને સમજણનો જૂઠો તોર-બધું જ ઓસરી જાય છે. વૈખરી પણ ખરી જાય છે અને પરા વાણી ખૂલી-ખીલી ઊઠે છે. ચોર્યાસી લાખ ભવના આંટાફેરામાં પોતાને કોણ અને કયા જન્મનું ઋણ ખેંચી લાવ્યું છે એ અળવીતરી દુવિધા સાંઈના ધૂણે મૂકી દેતાંમાં જ સંસારના ત્રિવિધ તાપ શાંત થઈ ભીતરે શાતા ફરી વળે છે. ઈશ્વરનો દરબાર ભરચકતાનો- અપારનો દરબાર છે. અહીં ઓછપને કોઈ સ્થાન નથી. અદીઠનો અંબાર પહેલવહેલીવાર નજરે ચડે એ પળે જ દુનિયા પાછળ છૂટી જાય છે. સરળ ભાષામાં ઊંડી અભિવ્યક્તિ!

Comments (4)

તડકા! તારાં તીર – મનોહર ત્રિવેદી

તડકા! તારાં તીર,
વીંધતો જાય કોઈ શિકારી કોયલ-કાબર-કીર.

દૂર ભાઠોડે આંખ માંડીને ઘાસનો વાળ્યો સોથ,
છાંયડા જેવા છાંયડાએ પણ વાડયની લીધી ઓથ;
તરકોશીએ તરસ્યા એમાં ગોતવાં ક્યાંથી નીર?

હળખેડુની ધૂંસરી ઉપર સૂરજ બેઠો હોય,
ભોંયના કૂણા દેહને એની ત્રોફતી તીણી સોય,
પગ પડે તે મલક એનો, જાય ત્યાં ત્યાં જાગીર..

વાયરા સીમે સૂસવે: હડી કાઢતી આ બપ્પોર,
ઝીંક ઝીલે છે તોય ત્યાં પેલી ટેકરીનો ગુલમ્હોર;
ઝૂંટવે તું શું જોર? તું તારે લાવજે તારો પીર..
તડકા! તારાં તીર…

– મનોહર ત્રિવેદી

કોઈ શિકારી એક પછી એક પક્ષીઓનો શિકાર કરતો જતો હોય એમ તડકાનાં તીર અંગાંગને વીંધી રહ્યાં હોવાનું ચિત્ર કવિએ દોઢ જ પંક્તિમાં આબાદ દોરી બતાવ્યું છે. ભાઠોડામાંનું ઘાસ પણ તડકાના તાપને લઈને સૂકાઈ ગયું છે. સૂર્ય માથે ચડ્યો હોય ત્યારે પડછાયો લગભગ ગાયબ જેવો થઈ જાય છે. છાંયડા જેવો છાંયડો પણ વાડની ઓથ લેવા નજીક જઈ ભરાયો છે, મતલબ વાડનો પડછાયો નહીંવત્ જેવો રહી ગયો છે એમ કહીને કવિ કેવી અદભુત રીતે ભરબપોરની વેળા થઈ હોવાનું કહી દે છે! તરકોશી એટલે એકસાથે ત્રણ-ત્રણ કોશ સાથે ચાલી શકે એવું વિશાળ નવાણ! પણ તડકાના કારણે તરકોશીએ પણ પાણી નસીબ નથી એમ કહીને કવિએ તડકાના તીરને વધુ ધાર કાઢી છે.

આમ તો શતસહસ્રો કિલોમીટર દૂર પ્રકાશતો સૂર્ય જાણે બળદગાડાની ધૂંસરી પર આવી બેઠો હોય એમ એકદમ નજીક આવીને ધરતીને તાવી રહ્યો છે. તડકાની દાદાગીરીનો કોઈ પાર નથી. જ્યાં જ્યાં એ પગ મૂકે તે તે જગ્યા એની જાગીર બની જાય છે. સીમમાં વાયરા સૂસવાટા મારતા હોય અને બપ્પોર હડી કાઢતી હોય એ વચ્ચે પણ ટેકરી પરનો ગુલમહોર બાકીની સમગ્ર સૃષ્ટિની જેમ નમતું જોખી દેવાના બદલે એકલવીરની જેમ ઝીંક ઝીલે છે, ખીલે છે. ગુલમહોરની ઓથ લઈને આખી રચનામાં તડકાને સર્વોપરી સ્વીકારી લેનાર કવિ કાવ્યાંતે તડકાને પડકારે છે…

Comments (9)

માતૃમહિમા : ૦૮ : શેર-સંકલન

સત્તરમી વર્ષગાંઠ અને ૫૦૦૦ પૉસ્ટસ – આ બેવડી સિદ્ધિની ઉજવણી નિમિત્તે આદરેલ ‘માતૃમહિમા’ કાવ્યશ્રેણીમાં આજે છેલ્લો મણકો… ભાગ્યે જ કોઈ કવિ આપણે ત્યાં એવા હશે જેણે માનો મહિમા નહીં કર્યો હોય. ઘણા બધા કવિમિત્રોએ મા વિષયક શેર-ગીત-અછાંદસ મોકલી આપ્યાં હતાં, પણ અહીં માત્ર શેર-સંકલનનો જ ઈરાદો હોવાથી ગીત-અછાંદસને પડતાં મૂકવા પડ્યાં છે. જગ્યાના અભાવે ઘણા ગઝલકાર મિત્રોના શેર પણ અહીં સમાવી શકાયા નથી. એ તમામ મિત્રોનો દિલગીરીપૂર્વક આભાર… કેટલાક ઉમદા શેર માણીએ:

સોયમાં દોરાને બદલે બા હતી;
ગોદડીમાં હૂંફ પણ સીવાઈ ગઈ.
– ગૌરાંગ ઠાકર

શીતળતા પામવાને માનવી તું દોટ કાં મૂકે
જે માની ગોદમાં છે એ હિમાલયમાં નથી હોતી
– સુરેન ઠાકર ‘મેહુલ’

મોહબ્બતના દુ:ખની એ અંતિમ હદ છે,
મને મારી પ્રેમાળ મા યાદ આવી.
– મરીઝ

સ્વર્ગ જેવા શહેરથી પાછો વળ્યો હું ગામમાં,
મા વગર ત્યાં કોણ દેશી ગોળ દે ઘીમાં, મિયાં?
– મનોહર ત્રિવેદી

ચોરખિસ્સામાં બધાંયે આંસુઓ સંતાડી રાખે છે,
મા સતત પાંપણની પાછળ એક એવું પર્સ રાખે છે.
– અનિલ ચાવડા

રાજી કે ગુસ્સે હવે થાતી નથી
મા અહીં જ છે પણ એ દેખાતી નથી
– ચંદ્રેશ મકવાણા ‘નારાજ’

શ્વાસ મારા એમ કૈં અમથા વધ્યા છે ક્યાં ?
રોજ ખરચાતી રહી છે થોડી થોડી મા.
– અશોક ચાવડા ‘બેદિલ’

તીર્થો બધાય પૂજ્યા, તીરથ ઘણાંય કીધાં,
એકેય જાતરામાં માનો વિકલ્પ ક્યાં છે?
– નીતિન વડગામા

જગતનાં સર્વ સુખોથી ભલે જીવન સભર લાગે
ખજાનો સાવ ખાલી મા મને તારા વગર લાગે.
– કિશોર બારોટ

સાવ ખાલીખમ હતું; પણ તું હતી તો,
એમ લાગે ખોરડું પગભર હતું, મા !
– રતિલાલ સોલંકી

રહી ના શક્યો સાથે એની શરમ મોકલે છે,
હવે દીકરો શહેરમાંથી રકમ મોકલે છે.
– ડૉ.મનોજ જોશી ‘મન’

છે ખાતરી કે વ્હાલ મા જેવુ જ આપશે;
મળશે જો મોત તો મને રડવા દે નહીં જરાય.
– સર્જક

ત્વચા કપાય તો લોહી અપાર નીકળે છે, ને બુંદ-બુંદથી માનું ઉધાર નીકળે છે;
ભલેને સાત જનમની મૂડી લગાવી દઉં, છતાંય માવડી તો લેણદાર નીકળે છે
– શોભિત દેસાઈ

આમ કંઈ ટૂંકૂ પડે તો કોઈને ગમતું નથી
મા છતાં રાજી હતી કે પારણું ટૂંકું પડ્યું
– ભાવિન ગોપાણી

હજી પણ પાતળાં કપડાંથી સૂરજને એ હંફાવે,
હજી મારી મા, પાલવ એટલો દમદાર રાખે છે.
– વિપુલ માંગરોલિયા-વેદાંત

મા વિશે હું કંઈ લખું,
એટલું છે ક્યાં ગજું!
– ચેતન ફ્રેમવાલા

સ્વર્ગમાં હાલરડા એને સંભળાવે કોણ?
તેથી ઇશ્વર પણ કનૈયો થઈને આવે છે
– સુરેશ વિરાણી

ઠેસ વાગે સાઠ વર્ષે જો અચાનક,
તો ય જોજો ‘ઓય મા’ બોલી જવાશે.
– ભરત ભટ્ટ ‘પવન’

એક વિધવા મા તો બીજું શું કરે?
ધીમે ધીમે બાપ બનતી જાય છે.
– મધુસૂદન પટેલ

‘મ’ને જ્યારે કાનો લાગે,
દરિયો સુદ્ધાં નાનો લાગે.
– જગદીપ

Comments (12)

વ૨સ મેઘ! તું વરસ – મનોહર ત્રિવેદી

વરસ મેઘ! તું વરસ, કહું છું, વ૨સી જાને….
આંખ માંડીએ… રિઝવીએ… પણ ધરે નહીં કાં કાને?

રેલા દડતાં જોઈ હોંશથી ગો૨ કહેશેઃ થેંક્યૂ…!
નહીં તો કહેશે ગામ કે: આણે તી૨ હવામાં ફેંક્યું
હશે ભરોસો… ભાખ્યું… ભોંઠપ થાશે ઈ ભોળાને…

વૈશાખે તો સમજ્યા કિન્તુ અષાઢમાં વંટોળ?
અવળે હાથે ક્યાં મૂકી છે વીજળીઓ, તું ખોળ
હમણાં રહો અલોપઃ કહેજે, સૂર્ય-ચન્દ્ર-તારાને….

વ૨સી જા તો ખેત૨-શેઢા દેશે સામો સાદ
ધરતી પર જે વળ્યા, હમેશાં તે જ મેળવે દાદ
શીતળ થાશે કણકણ, તારા નેહ-નીતરતાં ગાને.………
વરસ, મેઘ! તું વરસ, કહું છું, વ૨સી જાને…!

– મનોહર ત્રિવેદી

વરસાદ પડવાનું કામ ગેરવલ્લે મૂકીને બેઠો હોય, વૈશાખના સ્થાને અષાઢમાં પણ ઊના વંટોળ જ ફૂંકાતા હોય, આકાશમાંથી વીજળીના ઝબકાર ગાય્બ થઈ ગયા હોય અને સૂર્ય-ચંદ્ર-તારા વાદળોમાં છૂપાઈ જવાના બદલે પૂર્ણપ્રકાશિત રહેતા હોય ત્યારે માત્ર ચાતક કે ખેડૂતના હૈયા જ સાદ નથી પાડતાં, કવિ પણ આર્તસ્વરે ચિત્કારી ચિત્કારીને કહે છે કે વરસ મેઘ, તું વરસ! પણ મેઘને વરસવા માટે કવિ પાસે જે કારણો છે એ અદભુત છે. ગોરની ભવિષ્યવાણી ખોટી પડે અને ગામ આખું એને હવામાં તીર ફેંક્યું એમ કહીને મશ્કરી ન કરે અને એ ભોળાને ભોંઠપ ન થાય એ કારણોસર કવિ મેઘને વરસવાનું આહ્વાન દે છે. કેવી મજાની વાત!

Comments (9)

છાંયડાનો જવાબ – મનોહર ત્રિવેદી

તોછડા આ તડકાએ છાંયડાને કીધું કે છોડી જો ઝાડવાની ઓથ
પાંદડાંએ સૂરજના તાપથી ઉગાર્યો તે એમાં તેં મારી શી મોથ?

છાંયડાએ હળવેથી પૂછ્યું કે જોર તારું
કિયા ખીલે બાંધ્યું છે, બોલ?
સાંજ પડ્યે રઘવાયો રઘવાયો થૈશ અને
ઝાડ કને માગીશ બખોલ
પીળુંપચ્ચ મુખ થાય રાતુંચટ્ટાકઃ જાણે મારી હો કો’કે અડબોથ?

અંધારે એકલુંઅટૂલું ના લાગે કે
રાતે ના પડવાનો ફેર
આઠે પહોર ઝૂલું ડાળીને સંગ
અને આઠે પહોર લીલાલહેર
ડુંગર ને સીમ-ગામ-રણમાં રઝળીને તારે થાકીને થાવાનું લોથ

ઊંચે અંકાશે મીટ માંડીએ તો કિરણો પણ
ભોંય ઉપર ચાંદરણાં પાથરે
ઓછું આવે ન મને આટલીક વાતે તે
શીતળતા ભરી અહીં વાયરે
આષાઢી બીજ, અખાત્રીજ : તમે, શ્રીગણેશ! જુદી શું માનો છો ચોથ?
પાંદડાંએ સૂરજના તાપથી ઉગાર્યો તે એમાં તેં મારી શી મોથ?

– મનોહર ત્રિવેદી

આમ તો છાંયડાનું અસ્તિત્વ તડકાને આધારે હોય પણ કવિના તો ચશ્માં જ અલગ. તોછડો તડકો છાંયડાને ઝાડની ઓથ છોડી દેવાનું આહ્વાન આપતાં કહે છે કે તને ઝાડના પાંદડાંઓએ સૂરજના તાપથી બચાવી લીધો એમાં તેં એવું તે શું ભારી પરાક્રમ કરી નાંખ્યું? આ થયું ગીતનું મુખડું… અહીંથી આગળ સળંગ ગીત છાંયડાએ તડકાને દીધેલા જવાબનું ગીત છે અને રચનાનું શીર્ષક પણ એ જ છે. તડકાની તોછડાઈનો જવાબ છાંયડો હળવેથી આપે છે, એટલું કહીને કવિ બંનેની પ્રકૃતિ વચ્ચેનો ભેદ કેવો સ્પષ્ટ કરી બતાવે છે!

છાંયડો તડકાને હળવેથી ડામ દે છે કે બહુ જોર ના કર. સાંજ પડતાં જ તું રઘવાયો થઈ જશે ને તારું પીળું મુખ કોઈએ થપ્પડ મારી હોય એમ રાતુંચટાક થઈ જશે. છાંયડો એટલે અંધારું અને અંધારાને અંધારાથી શો ફેર પડે? તકલીફ તો તડકાને છે. દિ’ આખો રઝળી-રઝળીને લોથ થવાનું એના નસીબે લખાયું છે. ઊંચા આકાશેથી આવતાં કિરણો ધરતી પર ચાંદરણાં પાથરે એનાથી છાંયડાને ક્યાંક ઓછું ન આવી જાય એટલે શીતળ વાયરો વાય છે. અંતે પોતાનો કક્કો ખરો કરાવવા છાંયડો વળી આદ્યદેવ ગણપતિને વચ્ચે લાવે છે. ઈશ્વરને મન જેમ કોઈ તિથિઓમાં ભેદ નથી, એમ છાંયડાને દિવસ-રાત અને આઠે પહોરોમાં કોઈ અંતર નથી. એ તો બસ નકરી મોજમાં જ રહે છે…

બપોરનો પીળો તડકો, સાંજની લાલિમા, છાંયડાનું અંધારું અને ઠંડક – બંનેના મૂળભૂત ગુણોનો કવિએ કવિતામાં કેવો ચાતુર્યસભર વિનિયોગ કર્યો છે!

Comments (8)

થોડા દિવસો પહેલાં તો… – મનોહર ત્રિવેદી

થોડા દિવસો પહેલાં તો*
વૃક્ષ પરથી સૂરનો પગરવ ફળિયે આળેખાતો.

પાન છાંયડા ઢોળે
નીચે ઘરના બાળક ન્હાય
કોરી કરતો પવન હંમેશા
રજોટાયેલી કાય

ચાંદરણાં થૈ વચ્ચે-વચ્ચે તડકો ઉલેચાતો.

ઠીબ, નીડ ડાળી પંખીનાં
દૃશ્યો ભેળાં રમતા
આજ હવે ખંડેર : ઘૂમતી
કેવળ ખાલીખમતા

ચુડેલ કે હશે ચન્દ્રીનો – ત્યાં પાલવ લહેરાતો !

હુક્કામાંથી ઊઠે ધુમાડા
એમાં ઊઠે પ્રેત
દાદાજીની કથા નહીં :
ભીંતેથી ખરતી રેત

જૂના ઘરથી પાછા વળતાં પથ પગમાં અટવાતો
થોડા દિવસો પહેલાં તો…

– મનોહર ત્રિવેદી

(*યોગેશ જોશીના હેલોવીન અછાંદસની પ્રથમ પંક્તિ)

સમય અને માણસ –આમ તો બંને આગળ વધ્યે રાખે છે, પણ બંનેમાં નોંધપાત્ર ફરક એ છે કે સમય કદી પાછો વળી શકતો નથી. ગામનું જૂનું ઘર ત્યાગી દઈ નાયકનો પરિવાર કદાચ શહેર સ્થળાંતરિત થઈ ચૂક્યો છે અને કોઈક કારણોસર આજે એ ગામ પરત ફરી જૂના ઘરની ઊડતી મુલાકાત લે છે એનું આ ગીત છે. થોડા દિવસો પહેલાં આ ઘરનું આંગણું પક્ષીઓના ચહચહાટથી ગૂંજતું હતું. કવિ કહેતાં નથી કે ત્યાં આજે સૂનકાર છે પણ એ સન્નાટો આપણને પહેલી પંક્તિથી જ સંભળાવા માંડે છે. જે વૃક્ષના છાંયડામાં અને ધૂળમાં મસ્તીમાં આળોટતાં બાળકોને સાફ કરી આપતો પવન, તડકાનાં ચાંદરણાં, અને ઠીબ-માળો-પંખીઓ ભેળાં મળી મજાનાં દૃશ્યચિત્રો આળેખતાં હતાં, એ જગ્યાએ હવે ખાલીખમતા ઘૂમી રહી છે. ખાલીખમતા કવિએ કૉઇન કરેલો શબ્દ છે. ચાંદનીનો પાલવ ચુડેલ જેવો ભાસે છે અને દાદાજીના હુક્કાના ધુમાડામાંથી વાર્તાના સ્થાને પ્રેત ઊઠી રહ્યાં છે. સમય આગળ વધી ગયો છે, માણસ પણ કદાચ આગળ વધી ગયો છે પણ આગળ વધતી વખતે રસ્તો પગમાં અટવાતો હોય એમ ચાલવામાં તકલીફ વર્તાય છે. બાલમુકુન્દ દવેનું ‘જૂનું ઘર ખાલી કરતાં’ સૉનેટ –ઉપાડેલા ડગ ઉપર શા લોહ કેરા મણીકા- તરત યાદ આવી જાય છે.

Comments (8)

(પ્રેમ) – મનોહર ત્રિવેદી

ના પ્રાપ્તિ : બસ પ્રેમ
હો વ્યાપ્તિ પ્રિય, એમ

.       શું ઊગમણે?
.       શું આથમણે?
સૂરજ દેશે હેમ

.       હળિયે મળિયેં
.       માર્ગ બદલિયેં
તોય ન જાગે વ્હેમ

.       આજુ-બાજુ
.       તાજું-તાજું
હોય પુષ્પની જેમ

.       આંસુ લૂછો
.       કશું ન પૂછો
કશું ન પૂછો : કેમ?

– મનોહર ત્રિવેદી

કેવું ટૂંકુ-ટચરક ગીત! વાંચતા જ ઇમેજિસ્ટ પોએટ્રી યાદ આવી જાય. ઓછા શબ્દો પણ વાત મજાની! પ્રેમની અદભુત વિભાવના! કશુંય પ્રાપ્ત નથી કરવું, બસ, પ્રિયજનમાં વ્યાપ્ત થવું છે… એકમેકમાં પથરાવું છે. જિંદગી ગમે એ દિશામાં કેમ ન જાય, સાથ હાથ હશે તો હાથ હેમ જ લાગશે. કંઈ કરીએ, ન કરીએ પણ વ્હેમ વિના. કેમકે શંકાની ઉધઈ તો જિંદગીના વટવૃક્ષને મૂળમાંથી ખાઈ જાય છે. પ્રેમમાં બધું જ તાજું લાગવાનું. યુનિવર્સલ ફ્રેશનેસ એ પ્રેમની સહજ અનુભૂતિ છે. પ્રેમમાં પ્રિયજનની આંખમાં આંસુ આવે તો આપણું કામ એને લૂંછી દેવાનું છે. આંસુ કેમ આવ્યાં, કોના કારણે આવ્યાં વગેરેની પળોજણમાં પડવાનું નથી. પ્રિયપાત્રને હૈયું ખોલવું હશે તો એ આપોઆપ ખોલશે, આપણે ખોદકામ કરવાની જરૂર નથી. સાવ ટૂંકી કવિતામાં પણ કવિ ‘કશું ન પૂછો’ની દ્વિરુક્તિ કરીને પ્રિયજનના મૌનને માન આપવાની વાતને અધોરેખિત કરે છે… કેમકે સાચો પ્રેમ આ જ છે!

Comments (6)

મેં તો- – મનોહર ત્રિવેદી

મેં તો આંખોને કહી દીધું સાનમાં :
નજરુંને વાળી લ્યો, પાંપણને ઢાળી દ્યો, એવું શું દીઠું છે ક્હાનમાં?

ગાયોની વાંભ પડી કાનમાં તો કાલિન્દી
ઊછળતી જોઉં છું અચંબે,
વાંસળીના સાંભળ્યા જ્યાં સૂર ત્યાં તો
ડાળીને નીચે નમાવી કદંબે,
લ્હેરખીને એવું શું સૂઝ્યું કે વાલામૂઈ અટવાતી આમ પાનેપાનમાં.
મેં તો આંખોને કહી દીધું સાનમાં

છેટાં રહેવાનું સુખ જાણે ના એ જ
રહે નિકટ ને ઝંખે સહવાસ,
માથે ઝળૂંબતાં જ સમજાયું એટલે
ઊંચે જઈ ઊભું આકાશ,
સહેજ સાજ અડક્યાં તો ફેરવાઈ જાવાનું અમથું અમથું રે એના વાનમાં.
મેં તો આંખોને કહી દીધું સાનમાં.

– મનોહર ત્રિવેદી

કૃષ્ણ સાથે મીઠો ઝઘડો હંમેશથી કવિઓનો ચહીતો વિષય રહ્યો છે. કવિશ્રી મનોહર ત્રિવેદી જરા અલગ રીતનો ઝઘડો માંડે છે. એ કૃષ્ણ સાથે લડવાના સ્થાને પોતાની આંખોને જ ફટકારે છે કે ક્હાનમાં એવું તે શું જોઈ ગઈ છો? નજર બીજી તરફ વાળી લ્યો અને પાંપણ નીચી ઢાળી દ્યો. કાનુડાની ગાયોનો અવાજ સાંભળતાવેંત કાલિંદી નદી રમણે ચડે છે, વાંસળીના સૂર સાંભળી કદંબની ડાળેડાળ નીચી નમે છે, જાણે કાન દઈ રસપાન ન કરતી હોય! અને પવનની લહેરખી પણ વાવાનું છોડીને પાનેપાન અટવાઈ રહી છે. કવિનો કૃષ્ણપ્રેમ પણ આ જડને ચેતન બનાવતી સૃષ્ટિનો જ એક અંશ હોવા છતાં બધાથી અલગ છે. કવિ છેટાં રહીને મિલન કરતાંય મિલનઝંખનામાં જે વિશેષ આનંદ છે એ જાણી ચૂક્યા છે એટલે કહે છે કે આઘે રહેવાનું સુખ જેણે ચાખ્યું નથી એ જ નજીક રહેવાની આરત કરવાની મૂર્ખામી કરે. આકાશ આ વાત બરાબર સમજી ગયું છે. એકવાર એ માથે શું ઝળૂંબ્યું કે વાદળાંઓ કાળાં થઈ ગયાં. જાતને ગુમાવવી એ કાનજીની નજીક જવાનું સૌથી મોટું જોખમ છે. તમે જરા એની નજીક ગયાં નથી, જરા અમથો એનો સ્પર્શ પામ્યાં નથી કે એનો વાન તમારો વાન થયો નથી… એટલે થોડા આઘા, થોડા અળગા રહીને ચાહવામાં જ મજા છે…

Comments (5)

બાઈ, કિયાં તે… — મનોહર ત્રિવેદી

બાઈ કિયાં તે કામણ ને કારણે
બારસાખ ઝાલીને ઊભી’તી ક્યારની બે લોચનને ધક્કેલી બારણે

અડાઝૂડ ઝાંખરાંની વચ્ચે લ્હેરાય દૂર વાયરાની ભૂરી પછેડી
ઉઘાડેછોગ પણે વગડે ઉતાવળી જાય નહીં અમથી કો’ કેડી
ખેંચાતી જાઉં તેમ ગૂંથાતી જાઉં હુંય કાચી તે અટકળને તાંતણે.

સીમે ત્યાં ધોધમાર વરસ્યો વરસાદ એનું ઉંબર લગ પૂગ્યું ખેંચાણ
કોણ આમ મારામાં હેલે ચડ્યું કે જેની પોતાને હોય નહીં જાણ?
લથબથ ભીંજાઈ પ્હેલવેલ્લી : ભીંજાઈ નો’તી આવું હું સોળસોળ શ્રાવણે

— મનોહર ત્રિવેદી

વરસાદ પ્રેમની ઋતુ છે, પણ સોળમા શ્રાવણે અચાનક ભીંજાવાની વ્યાખ્યા જ બદલાઈ જાય છે. મર્યાદા બારસાખથી આગળ વધવા દેતી નથી પણ અટકળના તાંતણે બંધાઈને ષોડશીની આંખો અને મન ઉતાવળે વગડે દોડતાં જાય છે. કોઈક સીમમાં વરસ્યું છે પણ એનું ખેંચાણ ઘરના ઉંબર સુધી પહોંચ્યું છે. પોતાની જાણ બહાર જ નાયિકા કોઈકથી એ રીતે લથબથ ભીંજાય છે, જે રીતે ભીંજાવાનું સોળ વર્ષોમાં કદી બન્યું નહોતું.

મુખડામાં ‘કામણ’ અને ‘કારણે’ની વચ્ચે કવિએ ‘ને’ મૂક્યો છે. છઠ્ઠી વિભક્તિ તરીકે એ લખાઈ જાય તો અર્થ બદલાઈ જાય અને વચ્ચે કવિએ પ્રયોજી છે એ મુજબ જગ્યા રાખવામાં આવે તો અર્થ અલગ થાય છે એ સમજવું જરૂરી છે. પહેલા વિકલ્પમાં ‘કોઈક કામણને કારણે’ની વાત છે, તો બીજા વિકલ્પમાં ‘કામણ અને કારણ’ બન્ને અલગ પડી જાય છે. વાત એની એ જ રહે છે પણ અર્થ બેવડાઈ છે એની મજા છે. ને એક અક્ષરની હેરફેરથી ભાષા કેવું વૈવિધ્ય સર્જી શકે છે એનો પ્રત્યક્ષ દાખલો મળે છે.

Comments

(ચરણ સરતાં જાય મિતવા) – મનોહર ત્રિવેદી

(શિખરિણી)

ચરણ સરતાં જાય મિતવા…
ઉઘાડું આંખો ત્યાં દિવસ ફરતા જાય મિતવા…

અને સામે કૅલેન્ડર ઉપરથી સૂર્ય ખરતો
સવારે તક્તામાં કુમકુમ મુખે શો છલકતો
હવામાં મીરાંનાં પદ ટપકતાં જાય મિતવા…
ચરણ સરતાં જાય મિતવા…

વળાંકો, છાયાઓ, નભ, પથ અને ઢાળ નમણાં
કરે ઊંચા બાહુ હરખવશ, આ ઘાસ-તરણાં
મને ભીની ભીની લહર ધરતાં જાય મિતવા…
ચરણ સરતાં જાય મિતવા…

પ્રવેશું ઝાંપામાં અઢળક અહો, વહાલ વરસે
ભર્યાં એકાંતોમાં મખમલ સમી દૃષ્ટિ પરસે
દિનાન્તે ગોખોના દીપ પ્રગટતા જાય મિતવા…
ચરણ સરતાં જાય મિતવા…

– મનોહર ત્રિવેદી

ક્યાંક અખંડ તો ક્યાંક ખંડિત લયના ગીતોની ભરમારની વચ્ચે શુદ્ધ શિખરિણી છંદમાં લખાયેલું આવું મજાનું ગીત માણવા મળી જાય તો આખો દિવસ જ સુધરી જાય… પણ રહો! આ ગીત વાંચવા માટે નથી, એને તમે ગાઈને સાંભળશો તો જ એની ખરી મજા માણી શકશો.

એક તરફ કવિને કૅલેન્ડર જેવો શબ્દ વાપરવામાંય છોછ નથી તો બીજી તરફ લગભગ વિસરાઈ ગયેલો તક્તા જેવો શબ્દ (જેનો કદાચ આજની પેઢીને તો અર્થ પણ સમજાવવો પડે!) વાપરવાનો બાધ પણ નથી… બે અલગ પેઢીના શબ્દોને કવિ જેરીતે એક દોરામાં પરોવી શકે છે જ ખરા કવિકર્મની સાહેદી છે.

સવારથી શરૂ થતો દિવસ સાંજે ફરી ઘરે પાછો વળે એ કાળક્રમને કવિનો કેમેરા બખૂબી ઝીલે છે. સવારે ઘરવાળી તક્તામાં કુમકુમનો ચાંલ્લો કરતાં-કરતાં મીરાંના પદ ગાતી જાય છે… દિવસ સૃષ્ટિના ખોળે વીતે છે અને દિવસના અંતે ઝાંપામાં પ્રવેશતાં જ વહાલના દીપ પ્રગટી ઊઠે છે…

Comments (4)

નિરાંતે એ જ ઊંઘે છે – મનોહર ત્રિવેદી

તમા રાખે વખતસરની નિરાંતે એ જ ઊંઘે છે,
કરે પરવા ન બિસ્તરની નિરાંતે એ જ ઊંઘે છે.

અહીંથી ત્યાં, ઉતારો ક્યાં? નથી ચિન્તા થતી જેને-
હતી ના યાદ પણ ઘરની નિરાંતે એ જ ઊંઘે છે.

ક્ષણો જેવી મળી એવી સહજભાવે જ સ્વીકારી –
પ્રથમની હો કે આખરની, નિરાંતે એ જ ઊંઘે છે.

તમે ઈશ્વર વિશેના વાદમાં જાગ્યા કરો પંડિત!
ખબર રાખી ન ઈશ્વરની, નિરાંતે એ જ ઊંઘે છે.

કબીરે શાળ પર બેસી કહ્યું : મંદિર કે મસ્જિદને –
ગણે જે કેદ પથ્થરની નિરાંતે એ જ ઊંઘે છે.

પ્રશંસા કે પ્રતિષ્ઠાના નથી ઉદગાર બે માગ્યા
મજા જે લે છે અંદરની નિરાંતે એ જ ઊંઘે છે.

– મનોહર ત્રિવેદી

જીવનમાં આવનારી ક્ષણ પહેલી છે કે છેલ્લી, એની પળોજણમાં ન પડીને જે ક્ષણ, જે તક જીવનમાં જે સ્વરૂપે આવે એને એ જ સ્વરૂપે સ્વીકારી લે એ માણસને કદી ઊંઘની ગોળી લેવી નથી પડતી. આખી જ ગઝલ ધ્યાનાર્હ થઈ છે…

Comments (10)

લગ્ન ગીત – મનોહર ત્રિવેદી

ઊડી ઊડી રે એક ચરકલડી ઊડી, એની પછવાડે ઊડ્યું આ આંગણું –
એનાં હરિયાળાં આ પગલાંની ભાત્યે તો આજ લગી રાખ્યું રળિયામણું

સીમમાંથી આવેલી કિરણોની પોટલીને
ખોલે હળવેથી મોંસૂઝણે
વ્હેલી સવાર કદી કલરવમાં ન્હાય :
કદી ઘરને ઘેર્યું’તું એનાં રૂસણે
દિવસો તો ઊગે ને ઝાંખા થૈ જાય : પડે ઝાંખું ના એક્કે સંભારણું
ઊડી ઊડી રે એક ચરકલડી ઊડી, એની પછવાડે ઊડ્યું આ આંગણું

પંખી કહેતાં જ હોય આંખ સામે દીકરી
ને હોય એક તુલસીનો ક્યારો
પાદરની ગોધૂલિવેળા છે દીકરી
કે વ્હેતિયાણ સરિતા-કિનારો
દીવો ઝાલીને અહીં માડીના વેશમાં સૂનું ઝૂરે છે હવે બારણું
ઊડી ઊડી રે એક ચરકલડી ઊડી, એની પછવાડે ઊડ્યું આ આંગણું

-મનોહર ત્રિવેદી

વહાલસોયી દીકરી સાસરે જાય એટલે પિયરની તો જાણે કે બધી ખુશી જ ઊડી જાય… માત્ર સંભારણાં જ રહી જાય, બસ!

Comments (7)

બાઈ કિયા તે … – મનોહર ત્રિવેદી

બાઈ કિયા તે કામણને કારણે
બારસાખ ઝાલીને ઊભી’તી ક્યારની બે લોચનને ધક્કેલી બારણે !

અડાઝૂડ ઝાંખરાંની વચ્ચે લ્હેરાય દૂર વાયરાની ભૂરી પછેડી
ઉઘાડેછોગ પણે વગડે ઉતાવળી જાય નહીં અમથી કો’ કેડી
ખેંચાતી જાઉં તેમ ગૂંથાતી જાઉં હુંય કાચી તે અટકળને તાંતણે.

સીમે ત્યાં ધોધમાર વરસ્યો વરસાદ એનું ઉંબર લગ પૂગ્યું ખેંચાણ
કોણ આમ મારામાં હેલે ચડ્યું કે જેની પોતાને હોય નહીં જાણ,
લથબથ ભીંજાઈ પેલવેલ્લી : ભીંજાઈ નો’તી આવું હું સોળસોળ શ્રાવણે !

– મનોહર ત્રિવેદી

પ્રેમ એટલે પ્રતીક્ષા… અને કોઈ ષોડષી પ્રેમમાં પડે તો એની પ્રતીક્ષા કેવી હોય ! ઊભીહોય બારસાખ પર પણ નજરને ધકેલી હોય ઠેઠ બહાર રસ્તા પર… ક્યારે આવશે મારા મનનો માણીગર ? ઝાંખરા, કેડી અને સીમ ગામડાનું દૃશ્યચિત્ર ખડું કરે છે. ગમે તેમ ઊગી આવેલ ઝાંખરા ભૂરા આકાશની અસીમ શક્યતાઓના વાયરાની પછેડી ઓઢી ઊભા છે… પિયુના પગલાં પડે એ કારણસર કેડી પણ ઉતાવળે દોડતી જાય છે અને કન્યા આશાની કેડી પર જેમ આગળ ખેંચાતી જાય છે એમ જ અટકળના તાંતણે બંધાતી પણ જાય છે…

સોળ સોળ શ્રાવણ વરસી ગયા પણ આ શ્રાવણ જ કંઈ ઓર આવ્યો છે જેમાં એ પહેલવહેલીવાર પોતાની જાણ બહાર આમ લથબથ ભીંજાણી છે…

Comments (6)

તો, પપ્પા, હવે ફોન મૂકું ? – મનોહર ત્રિવેદી

તો, પપ્પા, હવે ફોન મૂકું ?
તમને   યે મૉજ  જરી આવે  તે  થયું મને !  STDની ડાળથી ટહૂકું…..

હૉસ્ટેલને ? …   હૉસ્ટેલ તો ફાવે છે….   જેમ કે કાંટામાં સચવાતું ફૂલ
તોય એ તો ઊઘડે છે… રંગભર્યું મહેકે છે…. ડાળખીમાં કરે ઝૂલાઝૂલ.
ફાગણના લીલાકુંજાર કોઈ ઝાડવાનું પાન એમ થાય નહીં સૂકું……..
તો, પપ્પા, હવે ફોન મૂકું ?

મમ્મીબા જલસામાં ?…બાજુમાં ઊભી છે? ના ના… તો વાસણ છો માંજતી
કે’જો   આ  દીકરી  યે તારાં  સૌ સપનાંઓ  રાત પડ્યે  નીંદરમાં  આંજતી
સાચવજો… ભોળી છે… ચિન્તાળુ… ભૂલકણી… પાડજો ના વાંકું કે ચૂંકું…
તો, પપ્પા, હવે ફોન મૂકું ?

શું  લીધું ?… સ્કૂટરને ?… ભારે   ઉતાવળા… શમ્મુ  તો   કેતો’તો   ફ્રીજ
કેવા છો જિદ્દી ?… ને હપ્તા ને વ્યાજ ?… વળી ઘર આખ્ખું ઠાલવશે ખીજ
ઝાઝી   તો   વાતુંનાં  ગાડાં   ભરાય : કહું  હાઈકુમાં … એટલે   કે   ટૂંકું…
તો, પપ્પા, હવે ફોન મૂકું ?

– મનોહર ત્રિવેદી

ગીતો એટલે જાણે તળપદી ભાષા જ મીઠા લાગે એ વાત ખોટી છે. ગીત હોય મઝાનું તો ‘આજની ગુજરાતી’માં પણ એટલું જ મીઠુ લાગે. પોતે પપ્પાની પણ મમ્મી હોય એવી સ્ટાઈલથી વાત કરતી, દૂરથી ય ચિંતા કરે રાખતી, ફોન મૂકું મૂકું કહીને STDના મીટર ફેરવે રાખતી દિકરીની વાતો સ્વયંભૂ જ એક ગીત બની જાય છે.

Comments (19)