તુજ દર્દ જોઈએ છે મગર આટલું નહિ,
થોડી કચાશ કર, મને પૂરી દવા ન દે.
મરીઝ

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for આદિલ મન્સૂરી

આદિલ મન્સૂરી શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.

(યાદના છાંટા ન મોકલાવ) -આદિલ મન્સૂરી
અમર હોય જાણે - આદિલ મન્સૂરી
આ જિંદગીયે.... - આદિલ મન્સૂરી
આપણી યાદગાર ગઝલો : ૧૨ : મળે ન મળે - આદિલ મન્સૂરી
આવશે - આદિલ મન્સૂરી
એક બેઠક આદિલ મન્સૂરી સાથે
કબૂલાત -'આદિલ' મન્સૂરી
કબૂલાત - 'આદિલ' મન્સૂરી
ગઝલ - આદિલ મન્સૂરી
ગઝલ - આદિલ મન્સૂરી
ગઝલ - આદિલ મન્સૂરી
ગઝલ ગુર્જરીનો નવો અંક : આદિલ મન્સૂરી સપ્તતિ પર્વ વિશેષ
જ્યારે પ્રણયની જગમાં - આદિલ મન્સૂરી
દિગ્ગજ શાયરોની મનભાવન મહેફિલ...
પરંતુ - 'આદિલ' મન્સૂરી
ભાગ્યમાં જે હોય છે તે થાય છે - 'આદિલ' મન્સૂરી
મળે ન મળે -'આદિલ' મન્સૂરી
મૌન બોલે છે - 'આદિલ' મન્સૂરી
રોકો - આદિલ મન્સૂરી
રોકો - 'આદિલ' મન્સૂરી
વર્ષાકાવ્ય: ૬ :વરસાદમાં - આદિલ મન્સૂરી



(યાદના છાંટા ન મોકલાવ) -આદિલ મન્સૂરી

તું વાતે વાતે શબ્દના ભારા ન મોકલાવ
તારા વિશેના અમને દિલાસા ન મોકલાવ

મંઝિલ તો ઝાંઝવાનું બીજું રૂપ છે અહીં
તું એને શોધવા વધુ રસ્તા ન મોકલાવ

જે આંખમાં રહેતો હતો ચહેરો કોઈનો
વેરાન એવી આંખમાં સપના ન મોકલાવ

આકાશ લઈને ચાંદ તો ડૂબી ગયો, હવે
અવકાશ ભરવા અમથા સિતારા ન મોકલાવ

છલકે છે બેઉ કાંઠે હજી પૂર શબ્દનાં
તળિયેથી તારા મૌનના પડઘા ન મોકલાવ

આંસુ વહીને જાય છે પગલાંની શોધમાં
બીજી તરફથી એને તું પાછાં ન મોકલાવ

બેસી પલાંઠી વાળીને સૂરજની વચ્ચોવચ
છ અક્ષરોના નામના દીવા ન મોકલાવ

હંધાય આલા ખાચરો જે બેઠા ડાયરે
તે સૌને ઘોળી ઘોળી કહુંબા ન મોકલાવ

પૂરી થઈ નથી હજી જીવનની આ ગઝલ
અધવચ્ચે આમ અટકીને મક્તા ન મોકલાવ

વરસ્યો’તો ધોધમાર તો વરસ્યા જ કર હવે
આદિલના દિલમાં યાદના છાંટા ન મોકલાવ.

-આદિલ મન્સૂરી (રમેશ પારેખની યાદમાં… ૫ જૂન, ૨૦૦૬, ન્યુ જર્સી)

છઠ્ઠી નવેમ્બરે જનાબ આદિલસાહેબની પ્રથમ પુણ્યતિથિ હતી… ર.પા.ની યાદમાં એમણે લખેલી આ ગઝલ આજે એમને અને એમનાં છ અક્ષરોનાં નામને પણ એટલી જ લાગુ પડે છે!  અધવચ્ચે અટકીને મક્તા લખી દઈ જીવનની ગઝલને પૂરી કરીને આપણી વચ્ચેથી ચાલ્યા ગયેલા શ્રી આદિલભાઈને લયસ્તરો અને લયસ્તરોનાં વાંચકો તરફથી હૃદયપૂર્વકની સાદર શ્રદ્ધાંજલિ.

Comments (9)

અમર હોય જાણે – આદિલ મન્સૂરી

સંબંધોય કારણ વગર હોય જાણે,
આ માણસ બીજાઓથી પર હોય જાણે.

ઉદાસી લઇને ફરે એમ પાગલ,
રહસ્યોની એને ખબર હોય જાણે.

મકાનોમાં લોકો પુરાઇ ગયા છે,
કે માણસને માણસનો ડર હોય જાણે.

હવે એમ વેરાન ફાવી ગયું છે,
ખરેખર આ મારું જ ઘર હોય જાણે.

પવન શુષ્ક પર્ણો હઠાવી જુએ છે,
વસંતોની અહીંયા કબર હોય જાણે.

કરે એમ પૃથ્વી ઉપર કામનાઓ,
બધા માનવીઓ અમર હોય જાણે.

ક્ષિતિજરેખ પર અર્ધડૂબેલ સૂરજ,
કોઇની ઢળેલી નજર હોય જાણે.

- આદિલ મન્સૂરી

કોમળ શબ્દોમાં કવિએ બહુ ઊંડા સત્યો છૂપાવ્યા છે.  કરે એમ પૃથ્વી પર કામનાઓ મારો પ્રિય શે’ર છે. ભગવાન બુદ્ધે કહેલું કે મૃત્યુની આંખમાં જોઈને જીવે એ જ જિંદગીને સમજી શકે. આજે આપણે બધા સામૂહિક રીતે એ વાત ભૂલી ગયા છીએ જાણે.

ગઝલ મોકલવા માટે આભાર, તાહા મન્સૂરી.

Comments (15)

મૌન બોલે છે – ‘આદિલ’ મન્સૂરી

તિમિર પથરાય છે તો રોશનીનું મૌન બોલે છે,
મરણ આવે છે ત્યારે જિંદગીનું મૌન બોલે છે.

મિલનની એ ક્ષણોને વર્ણવી શકતો નથી જ્યારે
શરમભારે ઢળેલી આંખડીનું મૌન બોલે છે.

વસંતો કાન દઇને સાંભળે છે ધ્યાનથી એને,
સવારે બાગમાં જ્યારે કળીનું મૌન બોલે છે.

ગરજતાં વાદળોન ગર્વને ઓગાળી નાખે છે,
ગગનમાં જે ઘડીએ વીજળીનું મૌન બોલે છે.

ખરેખર તે ઘડી બુદ્ધિ કશું બોલી નથી શકતી,
કે જ્યારે પ્રેમની દીવાનગીનું મૌન બોલે છે.

સમય પણ સાંભળે છે બે ઘડી રોકાઇને ‘આદિલ’,
જગતના મંચ પર જ્યારે કવિનું મૌન બોલે છે.

- આદિલ મન્સૂરી

મૌનની વાણીની ઓળખાણ કરાવતી બોલકી ગઝલ.

ગઝલ મોકલવા માટે આભાર : તાહા મન્સૂરી

Comments (17)

એક બેઠક આદિલ મન્સૂરી સાથે

વડોદરાની એક ચેનલે લીધેલો ઈંટરવ્યૂ જેમા આદિલસાહેબ દિલ ખોલીને જૂની યાદો તાજી કરે છે. આભાર: તાહા મન્સૂરી, અમદાવાદ.

ભાગ એક:

ભાગ બે:

Comments (7)

આપણી યાદગાર ગઝલો : ૧૨ : મળે ન મળે – આદિલ મન્સૂરી

નદીની રેતમાં રમતું નગર મળે ન મળે,
ફરી આ દૃશ્ય સ્મૃતિપટ ઉપર મળે ન મળે.

ભરી લો શ્વાસમાં એની સુગંધનો દરિયો,
પછી આ માટીની ભીની અસર મળે ન મળે.

પરિચેતોને ધરાઈને જોઈ લેવા દો,
આ હસતા ચહેરા; આ મીઠી નજર મળે ન મળે.

ભરી લો આંખમાં રસ્તાઓ, બારીઓ, ભીંતો,
પછી આ શહેર, આ ગલીઓ, આ ઘર મળે ન મળે.

રડી લો આજ સંબંધોને વીંટળાઈ અહીં,
પછી કોઈને કોઈની કબર મળે ન મળે.

વળાવા આવ્યા છે એ ચ્હેરા ફરશે આંખોમાં,
ભલે સફરમાં કોઈ હમસફર મળે ન મળે.

વતનની ધૂળથી માથુ ભરી લઉં ‘આદિલ’,
અરે આ ધૂળ પછી ઉમ્રભર મળે ન મળે.

- આદિલ મન્સૂરી (જન્મ: ૧૮ મે ૧૯૩૬ – મૃત્યુ: ૬ નવેમ્બર ૨૦૦૮)

સ્વર-સંગીત: પુરુષોત્તમ ઉપાધ્યાય

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

મૂળ નામ ફરીદ મહમ્મદ ગુલામનબી મન્સૂરી. પાસપોર્ટ વિના આદિલ મન્સૂરીના પિતા 1948માં અમદાવાદથી પાકિસ્તાન ગયા. આઠ વર્ષે અમદાવાદ પરત આવ્યા ત્યારે ખબર પડી કે ભારતીય નાગરિકત્વ ગુમાવી બેઠા છે. વીસ વર્ષ સુધી કોર્ટમાં નાગરિકત્વ પરત મેળવવા માટે કેસ ચાલ્યો. ખબર પડી કે હવે સરકાર પકડીને સામા કિનારે મૂકી આવશે જ્યાં પાકિસ્તાન સરકાર પાસપૉર્ટ સમય પર રિન્યુ ન કર્યો હોવાના ગુનાસર ધરપકડ કરશે. આ સંજોગોમાં લખાઈ આ ગઝલ… કોઈ એક ગઝલના કારણે કોઈ કવિને એમના દેશનું ગુમાઈ ગયેલું નાગરિકત્વ પરત મળ્યું હોય એવી ઘટના તો કદાચ વિશ્વભરના સાહિત્યજગતમાં નહીં બની હોય. આ ગઝલ પાછળનો આખો ઈતિહાસ આદિલસાહેબના સ્વમુખે જ સાંભળીએ…

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

આદિલ મન્સૂરીની શ્રેષ્ઠ ગઝલ વિશે વિચારવાનું થયું ત્યારે અન્ય કોઈ કૃતિનો વિચાર જ ન આવ્યો. આ ગઝલ કલમથી નથી લખાઈ, વતન છૂટી જવાની વેદનાના વલોપાતભર્યા આંસુઓ અને બળબળતા હૈયાના ધગધગતા શોણિતથી લખાઈ છે અને એટલે જ આ ગઝલ આદિલસાહેબની સર્વશ્રેષ્ઠ ગઝલ છે.

Comments (12)

પરંતુ – ‘આદિલ’ મન્સૂરી

સતત એક પળ વિસ્તરે છે, (પરંતુ;)
સમય – રિક્તતાને ભરે છે, (પરંતુ.)

કોઈ એક છાયા, કોઈ એક છાયા,
દીવાલોને તોડી સરે છે, (પરંતુ.)

આ ઊંડાણ તારું, સમંદરનું મારું,
સપાટી થઈને તરે છે, (પરંતુ.)

તિમિર પ્યાલીઓમાં ઠરે રાત ઢળતાં,
કોઈ રોજ સૂરજ ધરે છે, (પરંતુ.)

નહીંતર કશો ભય નથી જીવવામાં,
કશુંક છે કે લોકો ડરે છે, (પરંતુ.)

બધી સરહદો ઓગળી જાય આખર,
ક્ષિતિજ માથું ઊંચું કરે છે, (પરંતુ.)

કશું શબ્દ અને અર્થની વચ્ચે હરપળ,
નથી જન્મતું ને મરે છે, (પરંતુ.)

- ‘આદિલ’ મન્સૂરી

આદિલ મન્સૂરી માટે આજે ‘હતા’ કહેવું પડે છે. એ અવાજ જે ગુજરાતી ગઝલની આધુનિક યુગમાં દોરી લાવ્યો એ હવે આપણી વચ્ચે નથી. એમની હસ્તી શબ્દરૂપે તો સતત આપણી વચ્ચે રહેશે જ. આજે એમની યાદમાં એમની જ આ ગઝલ. આદિલસાહેબની કૃતિઓમાંથી મારી સૌથી પ્રિય કૃતિ કોઈ ગઝલ નથી, એ છે આ અછાંદસ : કબૂલાત. એ પણ સાથે જોશો.

Comments (4)

વર્ષાકાવ્ય: ૬ :વરસાદમાં – આદિલ મન્સૂરી

કેટલી   માદકતા  સંતાઈ   હતી   વરસાદમાં !
મસ્ત થઈ સૃષ્ટિ બધી ઝૂમી ઊઠી  વરસાદમાં !

રેઇનકોટ, છત્રીઓ, ગમ શૂઝ, વોટરપ્રૂફ હેટ્સ
માનવીએ  કેટલી   ભીંતો   ચણી  વરસાદમાં !

કેટલો  ફિક્કો  અને  નિસ્તેજ  છે  બીમાર ચાંદ
કેટલી  ઝાંખી  પડી  ગઈ  ચાંદની  વરસાદમાં !

કોઈ  આવે  છે  ન  કોઈ  જાય છે સંધ્યા થતાં
કેટલી  સૂની  પડી  ગઈ  છે  ગલી વરસાદમાં !

એક તું છે કે તને  કંઇ  પણ નથી થાતી અસર,
ભેટવા  દરિયાને  ઊછળે  છે  નદી વરસાદમાં.

લાખ  બચવાના  કર્યા  એણે  પ્રયત્નો  તે છતાં
છેવટે  ‘આદિલ’ હવા  પલળી  ગઇ વરસાદમાં.

- આદિલ મન્સૂરી

માનવીએ કેટલી ભીંતો ચણી વરસાદમાં – આપણને સહુને આપણા ભૌતિક્તાવાદી હોવાનો અહેસાસ કરાવી ભીતર, ઠે…ઠ ભીતર કારી ચોટ પહોંચાડે એવો આ શેર ! શહેરીકરણ, દોડધામની જિંદગી અને મકાનો-ગાડીઓથી છલોછલ વૈભવી જીવનને વેંઢારવાની અને નિભાવવાની જવાબદારીઓથી આપણે સહુ આજે એવા ભીંજાઈ ગયાં છીએ અને ભીંજાયેલા જ રહીએ છીએ કે વરસાદનું ભીંજાવું તો જાણે આપણા જીવનકોશમાંથી જ નીકળી ગયું છે… પણ આપણે સૌ ભૂલી બેઠાં છીએ કે લાખ કોશિશ કેમ ન કરીએ, છેવટે તો હવા જેવી હવા પણ પલળીને જ રહે છે ને !

Comments (13)

દિગ્ગજ શાયરોની મનભાવન મહેફિલ…

શનિવાર, 07/06/2008ની સાંજનો સૂર્યાસ્ત યાદગાર રંગો લઈને સૂરતની ક્ષિતિજને અડ્યો… ‘બુક વર્લ્ડ’નામની પુસ્તકોની દુકાન ચલાવતા રિટાયર્ડ પોલીસ ઈન્સ્પેક્ટર શ્રી સરવૈયાના આયોજન હેઠળ ‘પસંદગીના શ્વાસ’ કાર્યક્રમનું ‘સમૃદ્ધિ’ સભાગૃહમાં આયોજન કરવામાં આવ્યું હતું. જનાબ શ્રી આદિલ મન્સૂરી, શ્રી જલન માતરી અને શ્રી રાજેશ વ્યાસ ‘મિસ્કીન’ -એમ ત્રણ પેઢીના ગઝલકારોની ગઝલ ગોષ્ઠી મંડાણી.

કાર્યક્રમની પ્રારંભમાં આદિલભાઈને મળવા ગયો. મને હતું કે મને નામથી તો એ ઓળખતા જ હશે પણ ચહેરાથી તો કેમ કરી ઓળખે? હું મારી ઓળખાણ આપું એ પહેલાં જ મને જોઈને એ જાતે જ આગળ આવ્યા અને કેમ છો વિવેકભાઈ કહી હસ્તધૂનન માટે લંબાવેલા મારા હાથને અતિક્રમીને એમણે મને એક ગાઢ ઉષ્માસભર આલિંગન પણ આપ્યું. આ અણધાર્યું આલિંગન અને મારી બન્ને વેબ સાઈટ્સ – શબ્દો છે શ્વાસ મારા અને લયસ્તરો- વિશે જે ઉમળકાથી એમણે વાત કરી એ મારા માટે કોઈ પણ પુરસ્કારથી વિશેષ હતા.

ગઝલોની આ રંગારંગ મહેફિલમાં એમણે વચ્ચે-વચ્ચે મુકુલ ચોક્સી, એષા દાદાવાલા, ગૌરાંગ ઠાકર અને મને પણ પોતાની ગઝલોનું પઠન કરવા નિમંત્ર્યા. કાર્યક્રમના અંતે ત્રણેય દિગ્ગજ શાયરો, મુકુલભાઈ અને હું અમારા જીવનસાથીઓ સાથે, રઈશભાઈ, એષા, રાજકોટના કુ. કવિ રાવલ હોટલમાં જમવા ગયા. અને ત્યાં રાત્રે દોઢ વાગ્યા સાથે ગઝલોની રમઝટ ચાલી. આશ્ચર્ય તો ત્યારે થયું જ્યારે મોડી રાત્રિના ભોજન બાદ રેસ્ટૉરન્ટના માલિકે બિલ પેટે એક પણ રૂપિયો ન લીધો… આદિલ મન્સૂરીના પગલાં પડે એ ઘટનાને પોતાનું અહોભાગ્ય ગણાવી પોતાનું આખ્ખું બિલ જતું કરનાર હૉટેલિયર્સ પણ જ્યાં સુધી જીવે છે ત્યાં સુધી ગુજરાતી કવિતા અને ભાષાને વાંધો આવે એવું લાગે છે, ખરું?

P1011107
(ડાબેથી આદિલ મંસૂરી, જલન માતરી, રાજેશ વ્યાસ ‘મિસ્કીન’)

*

P1011138
(દુન્યવી અંધેર વચ્ચે મૂકી ગઝલો વાંચજો…       …મારું ગઝલવાચન)

*

P1011140
(હું, વચ્ચે એષા દાદાવાલા અને આદિલ મન્સૂરી)

*

With Adil mansuri
( જનાબ આદિલ સાહેબ સાથે હું…)

*

P1011153
(ડાબેથી ગુલ અંકલેશ્વરી, એષા દાદાવાલા, મુકુલ ચોક્સી, ગૌરાંગ ઠાકર, આદિલ મન્સૂરી, જલન માતરી, હું, બુક વર્લ્ડવાળા સરવૈયા સાહેબ અને રાજેશ વ્યાસ ‘મિસ્કીન’)

Comments (19)

ગઝલ – આદિલ મન્સૂરી

કેમ   પડતું  નથી  બદન  હેઠું,
ક્યાં સુધી જીવવાનું દુ:ખ વેઠું.

દેહમાંથી માંડ બ્હાર આવ્યો ત્યાં,
અન્ય   બીજું  કોઈ  જઈ   પેઠું.

અગ્નિજ્વાળા શમી ગઈ અંતે,
કોણ  આ  રાખથી  થતું  બેઠું.

કોને મોઢું બતાવીએ આદિલ,
માટીનું   ઠીકરું   અને   એઠું.

- આદિલ મન્સૂરી

આ ગઝલ તદ્દન કાળીમેશ નિરાશામાંથી જન્મેલી છે. છેલ્લો શેર બહુ સરસ થયો છે… પોતાની જાતને માટીના ઠેકરા, અને એ પણ એઠા, સાથે સરખાવીને કવિએ સરસ ચોટ ઉપજાવી છે.

Comments (6)

ગઝલ – આદિલ મન્સૂરી

દિનરાત વધતો જાય છે વિસ્તાર શબ્દનો
ફાવી ગયો બધાયને વ્યાપાર શબ્દનો

ને મૌન દ્વારા વાત હું સમજાવી ના શક્યો
લેવો પડ્યો ન છૂટકે આધાર શબ્દનો

વાણીનું રણ સતત હજી ફેલાતું જાય છે
ઊંચકીને ક્યાં લગી હું ફરું ભાર શબ્દનો

થાકીને અંતે આંગળા થીજી ગયાં બધાં
બંધાયો ક્યાં છતાંય તે આકાર શબ્દનો

જ્યાં અર્થ અંધકારની ભીંતો ચણી રહ્યા
ત્યાં કેવી રીતે થઈ શકે વ્હેવાર શબ્દનો

-આદિલ મન્સૂરી

ગઈકાલે આપણે મનોજ ખંડેરિયાની આટલા જ શેરવાળી, આ જ છંદ, આ જ રદીફ અને બહુધા આવા જ કાફિયાવાળી એક શબ્દ-ગઝલ માણી. આજે વાંચીએ આદિલ મન્સૂરીના શબ્દને…

અવાજને જ્યારે અર્થ મળ્યો ત્યારે એ શબ્દ થયો પણ એજ શબ્દને જ્યારે દુન્યવી ‘અર્થ’નો-વિનિમયનો સ્પર્શ થયો ત્યારે એનું સૌંદર્ય મરી પરવાર્યું. પહેલી કડીમાં કવિ જ્યારે શબ્દના વિસ્તારના વધતા જવાની વાત કરે છે ત્યારે ક્ષણાર્ધભર માટે લાગે છે કે કવિ શબ્દનો મહિમા કરી રહ્યા છે પણ બીજી કડી કવિએ કરેલા ઉપાલંભને ખુલ્લો કરે છે. શબ્દની શક્તિથી અજાણ લોકો જ્યારે શબ્દને શસ્ત્ર બનાવી દુનિયાના મેદાનમાં ઊતરે છે ત્યારે કેવા દુષ્પરિણામ આવી શકે છે ! અને વાત શબ્દની હોય અને કવિ મૌનનો ઉલ્લેખ ન કરે એમ કેમ બને ? પણ આજે આપણો માંહ્યલો એટલો છીછરો બની ગયો છે કે કોઈ વાત માંડીને ન કહેવામાં આવે તો આપણને ટપ્પી પડતી નથી.
નાછૂટકે ત્યારે શબ્દનો આધાર લેવો પડે છે પણ એમાં કેટલી પીડા છે એ તો આ શેર વાંચતા જ અનુભવાય છે. અને આખરે કવિ ફરીથી શબ્દના વહેવારની વાત પર આવી જાણે કે એક વર્તુળ પૂરું કરે છે. આજનો શબ્દ અર્થના અંધારાઓમાં એ રીતે ગુમાઈ ગયો છે કે એનું પોતીકું ગૌરવ જ ગુમાવી બેઠો છે…

Comments (9)

« Previous entries Next Page » Next Page »