-તો દોસ્ત, હવે સંભળાવ ગઝલ, બહુ એકલવાયું લાગે છે,
લે મૂક હથેળી પર મખમલ, બહુ એકલવાયું લાગે છે.
હેમેન શાહ

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for August, 2023

હરિ, હું તો એવું જ માગું મોત! – કરસનદાસ માણેક

એવું જ માગું મોત,
.                  હરિ, હું તો એવું જ માગું મોત!

આ થયું હોત ને તે થયું હોત, ને જો પેલું થયું હોત,
અંત સમે એવા ઓરતડાની હોય ન ગોતાગોત!
.                           હરિ, હું તો એવું જ માગું મોત!

અંતિમ શ્વાસ લગી આતમની અવિરત ચલવું ગોતઃ
ઓતપ્રોત હોઉં આપ મહીં જ્યારે ઊડે પ્રાણ-કપોત!
.                           હરિ, હું તો એવું જ માગું મોત!

કાયાની કણીકણીથી પ્રગટે એક જ શાન્ત સરોદઃ
જોજે રખે પડે પાતળું કદીયે આતમ કેરું પોત!
.                           હરિ, હું તો એવું જ માગું મોત!

ઘનવન વીંધતાં ગિરિગણ ચડતાં, તરતાં સરિતા સ્ત્રોતઃ
સન્મુખ સાથી જનમજનમનોઃ અંતર ઝળહળ જ્યોત!
.                           હરિ, હું તો એવું જ માગું મોત!

– કરસનદાસ માણેક

જીવનના બે અફર અંતિમો – જન્મ અને મરણ. બેમાંથી એકેય પર આપણી મનમરજી ચાલતી નથી એટલે આ બે અંતિમ વચ્ચેની જિંદગી આપણે કેવી જીવીએ છીએ એ જ અગત્યનું છે. જિંદગી સારી રીતે અને સંતોષપૂર્વક જીવ્યાં હોઈએ તો અંત ટાણે આ કે પેલું થયું હોત કે કર્યું હોતવાળા ઓરતાઓની ભૂતાવળ પજવે નહીં. છેલ્લા શ્વાસ સુધી પરમ-આતમની અવિરત શોધ ચાલુ રહે અને પ્રાણપંખેરું ઊડે એ સમયે પણ પોતે હરિસ્મરણમાં જ ઓતપ્રોત હોય એવું મૃત્યુ કવિ ઈશ્વર પાસે માંગે છે. અસ્તિત્ત્વ આખું શાતાનું સંગીત બની રહે એ જ એમની આરત છે. ઝાડીજંગલ-નદી-પર્વત એમ સંસારમાં કવિ જ્યાં જ્યાં ગયા ત્યાં ત્યાં એમણે પરમેશ્વરને પોતાના જન્મોજનમના સાથી તરીકે સદૈવ સન્મુખ જ અનુભવ્યા છે. મૃત્યુ ક્યારે અને કઈ રીતે આવશે એ તો કોઈ કહી કે કળી શકતું નથી, પણ માણસ કેવા મૃત્યુની આશા રાખે છે એના પરથી એ કેવું જીવન જીવતો કે જીવ્યો હશે એની પ્રતીતિ અવશ્ય થઈ શકે છે. કવિએ મુખડાની પંક્તિઓમાં જે પ્રાસ વાપર્યો છે એ જ પ્રાસપ્રયોજન ગીતના ચારેય અંતરામાં કર્યું હોવાથી ગીતનું નાદસૌંદર્ય પણ ઓર દીપી ઊઠ્યું છે.

Comments (6)

એકસૂરીલું – નિરંજન ભગત

એ જ તેજ
એ જ ભેજ
એ જ સેજ
એ જ એ જ
એ જ બે પગા
લગા લગા લગા લગા…

– નિરંજન ભગત

વિચાર કરતાં કરી દે એવી સાવ નાની રચના. માણસની આભા, લાગણીની ભીનાશ કે ઇચ્છાઓની સેજ – કશું બદલાતું નથી… બધું એનું એ જ રહે છે. વિસ્તૃત અર્થમાં જોઈએ તો બધાય બે પગા એકસરખા જ હતા, છે અને રહેશે. ‘એકસૂરીલું’ શીર્ષક કાવ્યાર્થને દૃઢીભૂત કરવામાં મદદ કરે છે. યાદ આવે: ‘બધા ગતાનુગતિક ચિત્તવૃત્તિના છે શિકાર, ઉપર ઉપરથી ફકત હાલચાલ નોખા છે.’ આખી રચના ગુલબંકીના ગાલ ગાલની ત્રિકલ ચાલમાં લેફ્ટ રાઇટ લેફટ રાઇટની માર્ચ ચાલતી હોય એમ ચાલે છે પણ છેલ્લે ‘પગા’ પર પહોંચીને છેલ્લી પંક્તિ અચાનક ગાલ ગાલના સ્થાને લગા લગાની રવાની પકડે છે ત્યારે પઠનમાં જે લયપલટો થાય છે એ જ કદાચ રચનાને કવિતા સુધી પહોંચાડવાની ચાવી ગણી શકાય.

Comments (7)

ઠેસ… – પ્રફુલ્લા વોરા

અમથો બાંધ્યો હીંચકો ને અમથી હૈયે ફાળ,
કે સૈયર શું કરું?
અમથો વાયો વાયરો ને અમથી ઝૂલી ડાળ,
કે સૈય૨ શું કરું?

સૈયર મૂકી હથેળીયું પર અમથી મેંદી-ભાત,
ત્યાં તો સૈયર ટેરવે ટહુકી છાનીછપની વાત;
અમથી વાગી ઠેસ જરા ને રૂમઝૂમ ઘૂઘરમાળ
કે સૈય૨ શું કરું?

સૈયર અમથો આંખે આંજ્યો ઉજાગરો અધરાતે,
ત્યાં તો સૈયર અઢળક ઊગ્યાં સમણાંઓ પરભાતે;
અમથું ઝીલ્યું અજવાળું ત્યાં તૂટી પાંપણપાળ,
કે સૈયર શું કરું?

– પ્રફુલ્લા વોરા

પ્રેમમાં કશુંય અમથું અમથું થતું નથી, પણ બધું જ અમથું અમથું –આપોઆપ થઈ રહ્યું હોવાની ભ્રમણા સેવવાનું આપણને ગમે છે. કાવ્યનાયિકા સહેલી સામે હૈયું ઠાલવવા બેઠી હોવાની પળનું આ ગીત છે. હીંચકો બે કડે બંધાય… પ્રેમની દોરી બે હૈયે પરોવીને નાયિકાએ ઝૂલવું શરૂ કર્યું કે હૈયામાં ફાળ પડી. બે જણની આંખ મળે, અમથી એક ડાળ ઝૂલે, અને એ બે જણને ખબર પડે એ પહેલાં તો વાયરો ગામ આખમાં વાય વળે… હથેળી પર મૂકેલી મેંદી પણ છાનીછપની વાતો જાહેર કરવા માંડે છે. પ્રેમ એટલે સાનભાન ભૂલી જવાય એ સમાધિ. પગ તો જમીન પર ચાલતા હોય પણ હૈયું કોઈ બીજી જ દુનિયામાં હોવાથી હાલતાંચાલતાં ઠેસ વાગવી કંઈ નવું નથી હોતું. વળી નવાનવા પ્રેમમાં તો નાનામાં નાની વાતના મસમોટા પડઘા ઊઠવાના. જરી અમથી ઠેસ વાગી નથી કે ઘૂઘરમાળ રૂમઝૂમ થઈ નથી. ઉજાગરા આંજેલી ખુલ્લી આંખે અઢળક સપનાંઓ જોઈજોઈને રાત પસાર થાય છે. અને સવાર પડતાં મનના માણીગરના દર્શનનું જરા અમથું અજવાળું આંખે ઝીલાતાંવેંત રાતભરના વિયોગને લઈને ભરાઈ આવેલું હૈયું પાંપણની પાળ તોડીને છલકાઈ ન ઊઠે તો જ નવાઈ…

Comments (5)

પેલી બારીએ – પ્રભુરામ જયશંકર જોષી

પેલી બારીએ રે પેલી બારીએ રે,
હાં અટારીએ રે
ઝૂલે જોબન ગુલાલ!

જોબન ગુલાલ,
એના ગોરા ગોરા ગાલ;
પેલી બારીએ રે, પેલી બારીએ રે,
હાં અટારીએ
ઝૂલે જોબન ગુલાલ !… ટેક.

ઝૂલે કટિએ કલાપ, ચાંદ મલકે અમાપ;
એનાં નૈનનમાં મન્મથનાં ચાપ,
પેલી બારીંએ રે!…

ઝૂલે નથનો હિંડોળ, ઝૂલે કુંડળ વિલોલ,
ઝૂલે હૈડામાં હેમલ હિંડોળ,
પેલી બારીએ રે!…

ઝૂલે કિનખાબી ખાલ, ઝૂલે ચૂંદડલી લાલ;
ઝૂલે ચણિયાશું પાની પ્રવાલ
પેલી બારીએ રે!…

ઝૂલે કંકણ સિંગાર, કટિમેખલાની હાર;
ઝૂલે નખીંયા ઝાંઝરનાં ઝંકાર,
પેલી બારીએ રે!…

તજો દાદાના મ્હોલ, સજો સાજન હિંડોળ;
ઝૂલો ભવ ભવ હૈયાને હિંડોળ,
પેલી બારીએ !…

– પ્રભુરામ જયશંકર જોષી

मेरे सामनेवाली खिडकी માં વસતા चांद का टुकडा તરફના અનુરાગની ઘણી કવિતાઓ આપણે સહુએ માણી હશે. એમાં આ એક રચનાનો ઉમેરો. ભાષા એવી તો સહજ અને સરળ છે કે રચના કવિહૈયેથી આપોઆપ સરી આવી હોવાનું અનુભવાય. ત્રેવડા પ્રાસને હિંડોળે ઝૂલતા બબ્બે પંક્તિના છ બંધમાં સુંદરીના સૌંદર્ય અને શૃંગારનું વર્ણન ખાસ્સું હૃદ્ય થયું છે. આમ જોઈએ તો વાતમાં કશું નવું નથી. આ પ્રકારની સૌંદર્યપ્રસંશા કવિઓ સદીઓથી કરતા આવ્યા છે, પણ રજૂઆતની સરળતા અને સચ્ચાઈ આપણને સ્પર્શ્યા વિના રહેતાં નથી. ખરું ને?

Comments (5)

શેર – જૌન એલિયા

अहद-ए-रिफ़ाक़त ठीक है लेकिन, मुझ को ऐसा लगता है !
तुम तो मिरे साथ रहोगी, मैं तन्हा रह जाऊंगा !!

– जौन एलिया

अहद-ए-रिफ़ाक़त – દોસ્તીનો સમય ( અહીં એવો અર્થ છે કે અત્યારે આપણી દોસ્તીનો સમય છે, કબૂલ… પણ મને એવું લાગે છે કે તું તો મારી સાથે હશે, છતાં હું તન્હા રહી જઈશ… )

જૌન એલિયા પાકિસ્તાની વામપંથી શાયર છે અને બડો અચ્છો શાયર છે. એની સળંગ ગઝલ કરતાં એના છૂટાછવાયા શેર બહુ મજબૂત હોય છે. પાકિસ્તાનમાં એના શેર ઘણાં જાણીતા છે.

આ શેરનો એક ગૂઢાર્થ જૂઓ ( બીજા પણ બે-ત્રણ અર્થ કાઢી શકાય તેમ છે ) – માશૂકા સાથે છે પણ શાયરના દિલે કંઈ બીજી જ ખલિશ છે…એ અનુભવે છે કે મારી તન્હાઈની વજહ કંઈક અલગ જ છે ! તું સાથે છે, છતાં હું તન્હાઈ અનુભવું છું….મતલબ કે હું કંઈ બીજું જ તલાશું છું. શું ? – કદાચ શાયરને પણ તે ખબર નથી.

આ કોઈ શાયરનો ખયાલી પુલાવ નથી – તીવ્ર સંવેદનશીલતા ધરાવનાર વ્યક્તિ માટે આ અનુભવ અજાણ્યો નથી. આથી જ કોઈ વસ્તુ કે વ્યક્તિ કે ઈશ્વરના વિરહમાં જે અનુભૂતિ થાય તે ચીજ કે વ્યક્તિ કે પછી ઈશ્વર જ્યારે પામી જવાય ત્યાર પછીની અનુભૂતિ સ્થાયી આનંદ અને સંતોષની ન પણ હોય…..!!!!

આલ્બર્ટ કામુનું એક વાક્ય યાદ આવે –

“ I was with them and yet I was alone. “

Comments (2)

મેલ હવે મન ઝાવાં – ફકીરમહંમદ મનસૂરી

મેલ હવે મન ઝાવાં,
દૂરનું ઓરું લાવવાના સૌ ફોગટ તારા લ્હાવા.

ધરી હથેળી ઉલટાવીને,
આંખે છાજલી કરવી,
દેખાય તેટલી દૂરથી એને
સજલ આંખે ભરવી,
ઓસને બિન્દુ આભ છતાંયે કેમ ચહે બંધાવા?

વરસી રહેતી વાદળી ભલે
અહીંથી જોજન દૂર,
આવશે વહી વાયરે એનું
મ્હેકતું ઉરકપૂર,
એય ગનીમત સમજીને તું છોડ હવે સૌ દાવા.

– ફકીરમહંમદ મનસૂરી

પાસે હોય એના પર ધ્યાન ન દેવું અને જે પાસે ન હોય એના માટે તડપતા રહેવું એ મનુષ્યનો મૂળભૂત સ્વભાવ છે. દૂર હોય એને નજીક લાવવાના તમામ ઓરતા ફોગટ જ છે એમ કહીને કવિ મનને વલખાં મારવાનું છોડવા સમજાવે છે. હથેળી કૃપાનિધાનની મહેરબાનીને ઝીલવા માટે છે પણ આપણે એને ઉલટાવીને આંખે છાજલી કરી દૂરનું વધારે સાફ દેખાય એવી આરતમાં છેવટે નિરાશાના આંસુઓથી જ ભરીએ છીએ. પોતાની અસીમ વિશાળતાને વિસરીને આકાશ ઓસના એક બુંદમાં બંધાવા શા માટે ઝંખે છે એ કવિ માટે એક કોયડો છે. ઝાકળના એક બુંદમાં આખું આકાશ નજરે ચડે એ હકીકતને કવિએ કેવી સ-રસ રીતે રજૂ કરી છેમ નહીં! (યાદ આવે- તમે કહો છો ભલે બુંદ પણ અમે કહીશું, તરી રહી છે સકળ કાયનાત ફૂલો પર!) વાદળ ભલે જોજનો દૂર કેમ ન હોય એ વરસીને ધરતી પર આવશે ત્યારે માટીના હૈયામાંથી જે સુગંધ ઊઠવાની છે એ આપણા અસ્તિત્ત્વને મહેંકાવ્યા વિના રહેવાની નથી. જે મળવાનું હશે એ આપોઆપ દૂરથી નજીક આવશે જ પણ એને નજીક લાવવા માટેના ધમપછાડા અને દાવા જતા કરી સાહજિક બનીને જીવન જીવીએ એમાં જ ખરો આનંદ છે. કેવી સરસ વાત!

Comments (6)

પ્રકાશના પગથારે – ડૉ. બટુકરાય પંડ્યા

આ પ્રકાશના પગથારે !
કો’ અંગુલિના અણસારે!
કોણ રહ્યું આકર્ષી મુજને અભિનવ આંખ ઇશારે? — આ.

સૂનાં અંતર, સૂનાં આંગણ,
નીંદર ઘેન ઢળી’તી પાંપણ;
કોણ ગયું ખખડાવી સાંકળ બંધ હૃદયના દ્વારે? — આ.

શ્યામ તિમિર પથ આગળપાછળ,
ગરજે ઘોર નિરાશા વાદળ;
કોણ અગોચર માર્ગ ઉજાળે વીજ તણા ચમકારે? — આ.

નાદબ્રહ્મ શાશ્વત હે સુંદર!
અચળ સત્ય હૈ ષડ્જ શિવંકર!
છેડો ભૈરવ રાગ વાદ્ય આ રોમેરોમ પુકારે! — આ.

– ડૉ. બટુકરાય પંડ્યા

દિવ્ય પ્રકાશની અનુભૂતિથી જાગેલી ચેતનાનું આ ગાન છે. એક અણસારો માત્ર પ્રાપ્ત થઈ જાય પછીના આકર્ષણને કોણ રોકી શકે? અંતર અને આંગણ – બધું જ સૂનું હતું અને માંહ્યલો ઊંઘતો હતો એવામાં કોઈક ગેબી વટેમાર્ગુ આવીને હૃદયના દ્વાર ખખડાવી ગયું હોવાનો અહેસાસ થયો. જીવનનો માર્ગ આગળપાછળ બધેથી અંધારાથી ભર્યો હતો અને આકાશમાંય નિરાશાના વાદળો જ ગર્જ્યાં કરતાં હતાં. આવામાં કોઈક અગોચરે વીજળીના ઝબકારે પ્રકાશનો પગથાર દેખાડી દીધો, આંખના ઈશારે આમંત્રણ દીધું. આંગળીનો અણસારો દેનાર આ બીજું તો કોણ હોય? સત્યમ્ શિવમ્ સુંદરમ્ જ ને! જીવનમાં પ્રભાત થાય, જ્ઞાનનો સૂર્યોદય થાય ત્યારે દેહના વાદ્યમાં રોમરોમેથી શિવારાધના કરતો ભેરવ રાગ જ ઊઠે ને !

Comments (8)

તું નાનો, હું મોટો – પ્રેમશંકર ન. ભટ્ટ

તું નાનો, હું મોટો –
એવો ખ્યાલ જગતનો ખોટો ;
આ નાનો, આ મોટો –
એવો મૂરખ કરતા ગોટો.

ખારા જળનો દરિયો ભરિયો,
મીઠા જળનો લોટો ;
તરસ્યાને તો દરિયાથીયે
લોટો લાગે મોટો.

નાના છોડે મહેકી ઊઠે
કેવો ગુલાબગોટો !
ઊંચા ઊંચા ઝાડે તમને
જડશે એનો જોટો ?

મન નાનું તે નાનો,
જેનું મન મોટું તે મોટો.

– પ્રેમશંકર નરભેરામ ભટ્ટ ‘પ્રેમ’
(જન્મ: ૧૫–૦૩–૧૯૧૦, ભાવનગર; અવસાન: ૧૧-૧૦–૨૦૧૬, ગાંધીનગર)

ગયા અઠવાડિયે આપણે પ્રેમશંકર હ. ભટ્ટની રચના વાંચી. આજે વાંચીએ પ્રેમશંકર ન. ભટ્ટની એક રચના. કવિએ કેવળ અઢી વરસની વયે માતાને ગુમાવ્યાં. દાદા અને પિતાએ ઉછેર્યા. દાદા હતા પોલીસમાં પણ કવિતા એમણે જ કવિને વારસામાં આપી. પ્રહલાદ પારેખ, કૃષ્ણલાલ શ્રીધરાણી અને પ્રેમશંકરની ત્રિપુટી દક્ષિણામૂર્તિ, ગૂજરાત વિદ્યાપીઠ અને શાંતિનિકેતનમાં સાથે જ ભણ્યા હતા. સાથે સ્નાતક થયા અને સાથે જેલમાં પણ ગયા અને સાથે માર પણ ખાધો. રાજાએ ખાસ સ્કોલરશીપ આપીને જર્મની બાળકેળવણી વિશે ભણવા મોકલ્યા. મોટાભાઈ માનભાઈના ‘શિશુવિહાર’ સાથે જીવનના છેલ્લા શ્વાસ સુધી સંકળાયેલા રહ્યા. ૧૦૬ વર્ષનું વિરલ દીર્ઘાયુષ્ય એમણે ભોગવ્યું. કવિનું વિશેષ પદાર્પણ બાળકાવ્યોની દુનિયામાં. સાવ સરળ અને નાના-મોટા સૌના મનમાં ઘર કરી જાય એવો પ્રવાહી લય, નાના બાળકોનેય તરત સમજ પડી જાય એવું શબ્દચયન અને જીવનભર કામ લાગે એવો બોધ એમના કાવ્યવિશેષ ગણી શકાય.

Comments (11)

કોણ ચલાવે રાજ, બોલો! – સરૂપ ધ્રુવ

ચાળીસમે પણ ચલકચલાણું?
થતાં રહ્યાં તારાજ, બોલો!
અમેય રૈયત, તમેય રૈયત!
કોણ ચલાવે રાજ, બોલો!

મતપેટી કે મંત્રતંત્રથી
ફાટફૂટ ભઈ, ફૂલફટાક!
માણસથી મત મોટા કીધા;
નેવે મૂકી લાજ, બોલો!

ટળવળતી, તરફડતી
સગ્ગી જનતા સામે મીંચી આંખ,
થર્ડ વર્લ્ડના ચક્કરવરતી!
જાતે પ્હેર્યા તાજ, બોલો!

દેશવિદેશે ધજા ફરકતી;
સ્વીસબેન્કમાં આણ વરતતી;
સબમરીન સગતળિયે હોંચી;
કોનાં સરતાં કાજ, બોલો!

શ્હેર સળગતાં, નદીઓ મેલી;
સડતી લાશો, જંગલ ખાલી;
ગંગાજળથી શબ નવડાવ્યું,
પછી સજાવ્યા સાજ, બોલો!

સપના ઉપર સપનું મૂકી,
ચાળીસ માળ ચડાવ્યા ભારે!
ભૂખ્યાં પેટે ભમતાં માથાં,
હવે તો આવ્યાં વાજ, બોલો!

કેટલું કહેવું? કયાં લગ સ્હેવું?
નથી થવું નારાજ, બોલો!
ચલો, ઉગામો મુક્કી સાથી!
રગદોળીશું તાજ, બોલો!

– સરૂપ ધ્રુવ
(૧૫ ઑગષ્ટ, ૧૯૮૭)

આઝાદી મળ્યાના ચાળીસ વર્ષ પછી લખેલી આ રચના આજે બીજા છત્રીસ વરસ વીતી ગયાં હોવા છતાંય એટલી જ પ્રસ્તુત લાગે છે. સાચી કવિતા જ એ જે સમયના સીમાડાઓને વળોટી જાય…સપનાં ઉપર સપનું મૂકીને ચાળીસ માળ ચડાવવાની વાતનો ઇનકાર કોઈ કરી શકે એમ નથી…

Comments (4)

એ તો વાયરાની પાંખે ઊડી જાય રે! – પ્રેમશંકર હ. ભટ્ટ

ફૂલડાંની ફોરમને કેમ રે ઝલાય,
એ તો વાયરાની પાંખે ઊડી જાય રે!
વીજળીનું તેજ થીર કેમ કરી થાય,
એ તો આભ કેરા હૈયે વેરાય રે!
– ફૂલડાંની ફોરમને.

નાનેરાં નવાણ દૈને ડૂબકી તગાય,
ઊંડા સમદર શેણેથી મપાય રે!
નીરના પિયાસી તરસ્યા કંઠ કેરી લાય,
ટોયે ઝાંઝવાનાં જળ શેં બુઝાય રે!
– ફૂલડાંની ફોરમને.

ઊંચી મ્હોલાતો, મંદિર, માળિયા, ઝરૂખડે,
ચાકળા ને ચંદરવા બંધાય રે;
આભ કેરા ટોડલે તોરણો ટીંગાડવાના,
મનસૂબા કેમ પૂરા થાય રે!
– ફૂલડાંની ફોરમને.

અણજાણી લિપિ, ભાષા, કિતાબો પઢાય,
ગૂઢા ભાગ્ય કેમ કરીને વંચાય રે!
દર ને દાગીના ઝીણું રેણ દૈ સંધાય,
તૂટ્યા આયખાને શી વિષે તુણાય રે!
– ફૂલડાંની ફોરમને.

– પ્રેમશંકર હ. ભટ્ટ

મુખડા વિનાના ચાર બંધમાં વિસ્તરેલું ગીત સંભવિત-અસંભવિતના સમાંતર પાટા પર ગતિ કરે છે. જેમ પવનની પાંખે ઊડી જતી ફૂલની ફોરમને ઝાલવી શક્ય નથી, એમ જ આભના હૈયે વેરાતી વીજળીના તેજને સ્થાયી ન કરી શકાય. નાનાં નવાણનો તાગ ડૂબકી દઈને કાઢી શકાય પણ સમુદ્ર તો અતાગ છે. ઝાંઝવાનું જળ ટીપેટીપે પીવડાવવાથી તરસ્યાના કંઠની લ્હાય શાંત થતી નથી. મહેલ-મંદિર બધું બાંધવું શક્ય છે પણ આભના ટોડલે તોરણો તાંગવાના મનસૂબા તો કેમ કરીને પૂરા થાય? લિપિ-ભાષા અજાણ્યા હોય તોય અભ્યાસ કરીને વાંચી શકાય પણ ભાગ્યને કોણ વાંચી શકે? દરદાગીનાને રેણ કરીને સાંધી શકાય પણ તૂટ્યા આયખાને કઈ રીતે સાંધી શકાય? સાવ સરળ દાવાદલીલોની ઇબારત પર ગીત રચાયું છે, પણ કવિને જે કહેવું છે એ કદાચ એ છે કે જિંદગીનો તાગ મેળવવો સંભવ નથી. પ્રકૃતિના નાનામોટા ચમત્કાર હોય કે આપનાં જીવન-મૃત્યુ -સઘળું આપણી પહોંચ કે સમજણથી બહુ દૂર છે. તો જે આપણા હાથમાં જ નથી એવા ઝાંઝવા પાછળ દોડવાના બદલે, આભ પર તોરણ બાંધવાની મંશા સેવ્યા વિના આયખું ખૂટી જાય એ પહેલાં જીવવાનું શીખી લઈએ તોય ઘણું…

કવિ વિશે- (સૌજન્ય: https://gujarativishwakosh.org)

(જન્મ: 30 ઑગસ્ટ 1914; નિધન: 30 જુલાઈ 1976, અમદાવાદ)

કવિ, નવલકથાકાર અને વિવેચક. ધ્રાંગધ્રા પાસેના રાજસીતાપુર ગામના વતની. ભાવનગરની શામળદાસ કૉલેજમાંથી એમ.એ. થઈને આરંભમાં બર્મા શેલ કંપનીના પ્રકાશન અધિકારી તરીકે અને પછી મુંબઈની ખાલસા, સોફિયા અને સિદ્ધાર્થ કૉલેજમાં ગુજરાતીના અધ્યાપક તરીકે તેમણે કાર્ય કર્યું હતું; પાછળથી અમદાવાદની સ્વામિનારાયણ કૉલેજ, ધ્રાંગધ્રાની આર્ટ્સ કૉલેજ અને પછી દહેગામની કૉલેજમાં આચાર્ય હતા.

કાવ્યસંગ્રહો: ‘ધરિત્રી’ (1943), ‘તીર્થોદક’ (1957), ‘મહારથી કર્ણ’ (1969), ‘અગ્નિજ્યોત’ (1972) અને ‘દીપ બુઝાયો’ (મરણોત્તર : 1977)

Comments (4)

આખું આકાશ તારી આંખમાં – ઉષા ઉપાધ્યાય

મારી નજરુંના નાજુક આ પંખીના સમ
.                એનું આખ્ખું આકાશ તારી આંખમાં…

અમથા અબોલાની ઉજ્જડ આ વેળામાં
.                પથ્થરિયા પોપટ શાં રહીએ,
થોડી વાતોનો ઢાળ તમે આપો તો સાજનજી
.                ખળખળતા ઝરણાં શાં વહીએ,
ટોળાબંધ ઊડતાં આ સાંભરણના સમ
.                એનું આખ્ખું આકાશ તારી આંખમાં…

સાંજુકી વેળાનું ઝરમરતું અંધારું
.                મ્હેકે જ્યાં મોગરાની ઝૂલમાં
હળવે આવીને ત્યારે કહેતું આ કોણ
.                મને બાંધી લે અધરોનાં ફૂલમાં,
ને પછી, પાંપણિયે ઝૂલતા આ સૂરજના સમ
.                એનું આખ્ખું આકાશ તારી આંખમાં…

– ઉષા ઉપાધ્યાય

પ્રેમ નામની અનુભૂતિનો ખરો ચમત્કાર જ એ કે એ હોય ત્યારે માણસને એમ જ લાગે કે પોતે પોતાનામાં નહીં, પણ સામામાં જીવે છે. પોતાની આખી દુનિયાનું સરનામું સામી વ્યક્તિના અસ્તિત્વમાં લખાયેલ હોવાની લાગણીનું જ બીજું નામ તે પ્રેમ. આપણી કાવ્યનાયિકાની દુનિયા પણ એનો પ્રિયતમ જ છે. પ્રિયતમની આંખ એ જ એની નજરના નાજુક પંખીનું આખેઆખું આકાશ. એક તરફ નજર માટે ‘નાજુક’ વિશેષણ વાપરીને કવયિત્રીએ પ્રણયની કુમાશ આબાદ મૂર્ત કરી બતાવી છે, તો બીજી તરફ આકાશને ‘આખ્ખું’ કહીને પ્રિયજન સિવાયની કોઈ પણ જગ્યાએ પોતાના ઉડ્ડયનનો અવકાશ શૂન્ય કરી દઈને સમર્પણની ચરમસીમા પણ આંકી બતાવી છે. ગીતની બંને પૂરકપંક્તિઓમાં કવયિત્રીએ પ્રાસની પળોજણ પડતી મૂકી હોવા છતાં ગીત આખું આસ્વાદ્ય બન્યું છે.

Comments (6)

E=MC2* – હરીશ મીનાશ્રુ

જૈ આઈન્સ્ટાઈનને ઘેર ઈ’ઝ ઇક્વલ ટુ એમસીસ્ક્વેર
ઉર્જા બોલી કે આઈ સ્વેર ઈ’ઝ ઇક્વલ ટુ એમસીસ્ક્વેર

કિસ્સો રેરેસ્ટ ઑફ ધ રેર ઈ’ઝ ઇક્વલ ટુ એમસીસ્ક્વેર
દર્પણ મેં દીઠું ખંડેર ઈ’ઝ ઇક્વલ ટુ એમસીસ્ક્વેર

મૃગજળની ઠંડક ચોમેર અગનિની મધ્યે અંધેર
પૃથ્વી હોળીનું નાળિયેર ઈ’ઝ ઇક્વલ ટુ એમસીસ્ક્વેર

બ્રહ્માની તકલાદી ચેર સકલ કમલદલ વેરવિખેર
દૂંટીમાં બોન્સાઈ ઉછેર ઈ’ઝ ઇક્વલ ટુ એમસીસ્ક્વેર

હરિશ્ચંદ્ર હેરી પોટેર બની કરે બંધારણ ફેર
તદા ચાકડે ઊતરે સ્ક્વેર ઈ’ઝ ઇક્વલ ટુ એમસીસ્ક્વેર

પોતીકું પણ પળમાં ગેર નથી કોઈનું સગલું શ્હેર
માણસ મળે તાંબિયે તેર ઈ’ઝ ઇક્વલ ટુ એમસીસ્ક્વેર

થવાકાળ તે થાશે, ખેર, મરતાંને ના કહીએ મેર
મન મનખો મોહનજોડેર ઈ’ઝ ઇક્વલ ટુ એમસીસ્ક્વેર

ચાચર ચોક ટ્રફલ્ગર સ્ક્વેર તાબોટા તાળી તાશેર
લખચોરાશીનો ફનફેર ઈ’ઝ ઇક્વલ ટુ એમસીસ્ક્વેર

બાવા તે આદમનું વેર જુગજૂનું પ્રકરણ જાહેર
અદકપાંસળીનું એફેર ઈ’ઝ ઇક્વલ ટુ એમસીસ્ક્વેર

સેન વનલતા નાટોરેર હજી સફરજન મીઠું ઝેર
કલવામાં પીરસાઈ કુલેર ઈ’ઝ ઇક્વલ ટુ એમસીસ્ક્વેર

હરખ-શોક જૂતિયાંની પેર એ જ અહીં આદિમ ફૂટવેર
સત્ય ઢસરડો ઠૂણકાભેર ઈ’ઝ ઇક્વલ ટુ એમસીસ્ક્વેર

કાગા બૈઠા ફિર મુંડેર વાટ જુએ તે વ્લાદિમેર
કોઈ કદી નહીં આવે ઘેર ઈ’ઝ ઇક્વલ ટુ એમસીસ્ક્વેર

સ્ટ્રોબેરી શેતૂર બ્લૂબેર ખટ્ટે હૈં શબરી કે બેર
કાન રામના મત ભંભેર ઈ’ઝ ઇક્વલ ટુ એમસીસ્ક્વેર

મંદિર મસ્જિદ દેવળ દહેર ભટકી થાક્યા મણકા મેર
રહ્યું ટેરવું ઠેરનું ઠેર ઈ’ઝ ઇક્વલ ટુ એમસીસ્ક્વેર

ઐરા ગૈરા નથ્થુ ખેર વણચંચુ વેરે ચોમેર
કલ્પવૃક્ષના થડનો વ્હેર ઈ’ઝ ઇક્વલ ટુ એમસીસ્ક્વેર

શેખચલ્લી બજવે રણભેર રિન્ગટોનથી દુનિયા બહેર
કરાંગૂલિએ કોમ્પ્યુટેર ઈ’ઝ ઇક્વલ ટુ એમસીસ્ક્વેર

બુદ્બુદ લેવા શેરબશેર બજાર બોલે બુલ કે બેર
ગજવામાં બીટ્કોઈન્સ ઢેર ઈ’ઝ ઇક્વલ ટુ એમસીસ્ક્વેર

મુલ્લા ગઝલુદ્દીનનો કેર: તરન્નુમ વીંઝે શમશેર
ઝબ્બે થૈ જા કે કર જેર ઈ’ઝ ઇક્વલ ટુ એમસીસ્ક્વેર

દીર્ઘ કવિતા ટૂંકી બ્હેર રદીફ કાફિયે સુખિયો શેર
બોલે બાવન બ્હાર બટેર ઈ’ઝ ઇક્વલ ટુ એમસીસ્ક્વેર

વૉટ વ્હાય હૂ વ્હેન એન્ડ વ્હેર અતિપ્રશ્નથી જમ ના ઘેર
રૂક જા થામ્બા થોભ ઠહેર ઈ’ઝ ઇક્વલ ટુ એમસીસ્ક્વેર

હિટલરબિટલર ટોની બ્લેર ક્લિન્ટન હોય કે હોય હિલેર
ચઢ્યા મુખવટે સહુના ચ્હેર ઈ’ઝ ઇક્વલ ટુ એમસીસ્ક્વેર

કોણ તાણશે તારી ભેર દીવા તળે નગરી અંધેર
ચલ ગંડુ, રાજાને ઘેર ઈ’ઝ ઇક્વલ ટુ એમસીસ્ક્વેર

કચ્છ મચ્છ કે વચ્છ વછેર બામણ મીર મિયાણાં મેર
હોય વાણિયો કે વણિયેર ઈ’ઝ ઇક્વલ ટુ એમસીસ્ક્વેર

હું વોન્ટ્સ ટુ બી અ મિલિયોનેર ચોગરદમ માટીની મ્હેર
કબર તળે તો કોણ કુબેર ઈ’ઝ ઇક્વલ ટુ એમસીસ્ક્વેર

અવળસવળ કુળ ઈકોતેર કરે અળસિયાં, છે માહેર
તુ ભી આ જા દેરસબેર ઈ’ઝ ઇક્વલ ટુ એમસીસ્ક્વેર

ખટપટ છોડી ખાંપણ પ્હેર મરઘટ પ્હોંચી કર ડિકલેર
આજ આનેમેં હો ગઈ દેર ઈ’ઝ ઇક્વલ ટુ એમસીસ્ક્વેર

અલ્લા, તુ આળસ ખંખેર મુર્ગા બોલા હુઆ સબેર
મુલ્લા ક્યું પીટે ઢંઢેર ઈ’ઝ ઇક્વલ ટુ એમસીસ્ક્વેર

વીજમાં પ્રોઈ કીડિયાસેર કરે પાનબઈ લીલાલ્હેર
તું ય લીસ્ટમાં નામ ઉમેર ઈ’ઝ ઇક્વલ ટુ એમસીસ્ક્વેર

મસ્તક શ્રીફળ જેમ વધેર પંડ-પલીતે અગન ઉછેર
બળે દીવો મુરશિદને ઘેર ઈ’ઝ ઇક્વલ ટુ એમસીસ્ક્વેર

અખા લખાવટ ચેરાચેર બુદ્ધિ પણ મારી ગૈ બ્હેર
સાઠ કડીની ગૂંથી સેર ઈ’ઝ ઇક્વલ ટુ એમસીસ્ક્વેર

– હરીશ મીનાશ્રુ
(*પુણ્યસ્મરણ : આલ્બર્ટ આઈન્સ્ટાઈન)

ગુજરાતી ભાષાને ગઝલકારો તો સેંકડો મળ્યા છે, પણ ભાષાને અછોઅછો વાનાં લાડ કરીને એનો વધુમાં વધુ ક્યાસ કાઢવાની વૃત્તિ ધરાવતા ગઝલકારો તો જૂજ જ સાંપડ્યા છે. આવા ગઝલકારોમાં કવિશ્રી હરીશ મીનાશ્રુનું નામ અગ્રસ્થાને મૂકી શકાય. આઇન્સ્ટાઇનના સાપેક્ષવાદના પ્રખ્યાત સિદ્ધાંત E = mc2 ને રદીફ બનાવવાનો વિચાર જ કેવો અનૂઠો અને અભૂતપૂર્વ છે! બીજું, મોટાભાગના સર્જક પાંચ-સાત શેરની ગઝલ લખીને ઓડકાર ખાઈ લેતા હોય એવા સમયમાં સાંઠ શેરની ગંજાવર ગઝલ આપવી એય નાનીસૂની વાત નથી. ત્રીજું, મત્લાને બાદ કરતાં ગઝલમાં કાફિયો સામાન્ય રીતે દરેક શેરમાં રદીફની આગળ એક વાર જ પ્રયોજાતો હોય છે. પરંતુ પ્રસ્તુત ગઝલમાં કવિએ રદીફ સિવાયના શેરને ત્રણ ભાગમાં વહેંચી દઈ ત્રણેય ભાગમાં કાફિયો વાપરી મજાની આંતર્પ્રાસસાંકળી રચીને ગઝલની રવાનીમાં ચાર ચાંદ લગાવી દીધા છે. આપણને દસ-બાર કાફિયા શોધવામાં પસીનો પડતો હોય એવામાં કવિએ લગભગ એકસો એંસી કાફિયાથી ગઝલ શણગારી બતાવી છે. આ થઈ ગઝલસ્વરૂપની વાત… એના કાવ્યત્વને માણવું-પ્રમાણવું ભાવકો પર છોડી દઈએ…

Comments (21)

એટલા દૂર ન જાઓ – ઉશનસ્

વિનવું: એટલા દૂર ન જાઓ,
કે પછી કદી યે યાદ ના આવો;

માનું, અવિરત મળવું અઘરું,
માગ્યું કોને મળતું સઘળું?
કગરુંઃ એટલા ક્રૂર ન થાઓ,
કે પછી ક્દી યે યાદ ન આવો…વિનવું…..

જાણું: નવરું એવું ન કોઈ
કેવળ મુજને રહે જે જોઈ;
તો યે આવા નિષ્ઠુર ન થાઓ,
કે પછી ક્દી યે યાદ ન આવો…વિનવું….

રાહ જોઈ જોઈ ખોઈ આંખ્યું,
પણ શમણું તમ સાચવી રાખ્યું;
છેલ્લું એ હરી નૂર ન જાઓ
કે પછી ક્દી યે યાદ ન આવો…વિનવું…..

આ વેલ મુજ અંસવન ટોઈ,
રહી ફળની આશ ન કોઈ;
પણ છેક ન નિર્મૂળ થાઓ.
કે પછી ક્દી યે યાદ ન આવો,

વિનવું, એટલા દૂર ન જાઓ
કે પછી ક્દી યે યાદ ન આવો.

– ઉશનસ્

बेशक मंदिर-मस्जिद तोड़ो,बुल्लेशाह ये कहता
पर प्यार भरा दिल कभी न तोड़ो,इस दिल में दिलबर रहता

 

Comments (3)

યામિની – યૉસેફ મૅકવાન

વહે અશબ્દ યામિની!
સુમંદ છંદ ગંધમાં તરંત તારલા,
અકથ્ય હેત નેત્રમાં ઝગે ઝલાંમલાં,
પ્રસન્ન થાવ આજ અંતરે છલાંછલાં.
અહીં શ્વસંત સંગ કામિની!
વહે અશબ્દ યામિની!

સમસ્ત સૃષ્ટિ શાંતિના સરોવરે સરે,
સમીર સુપ્ત પર્ણમાં ફરે, ઝરા ઝરે,
અષાઢ અભ્ર જેમ આજ સોણલાં ઠરે,
અહીં તગત નંદ-દામિની!
અહીં અશબ્દ દામિની?

– યૉસેફ મૅકવાન

આજે તો નગરજીવન એવું થઈ ગયું છે કે ચોવીસ કલાકમાં એક પળની નિરાંત દેખાતી નથી, પણ ગામડાંઓમાં હજીય રાતની ચાદર પથરાતાંવેંત બધું શાંત થઈ જાય છે. રાત્રિનો કાળો કામળો ઓઢીને સૂતી સૃષ્ટિનું સાવ ટૂંકું પણ અસરદાર આલેખન કવિએ કર્યું છે. કવિતામાં દરેક શબ્દનો મહિમા છે. કવિએ ‘નિઃશબ્દ’ના બદલે પ્રમાણમાં ઓછો વપરાતો ‘અશબ્દ’ શબ્દ વાપર્યો છે. કારણ? આખું ગીત લગા લગા લગા લગાની ત્રિકલ ચાલે ગતિ કરતું હોય ત્યારે ‘નિઃશબ્દ’માં વિસર્ગને લઈને ‘નિ’નો માત્રાભાર જરૂરી લઘુના બદલે ગુરુત્વ તરફ વધારે ઢળી જવાથી લયની પ્રવાહિતા જોખમાઈ શકે છે. કવિએ બાહોશીપૂર્વક એ ટાળ્યું છે. આખી રચનામાં કુલ ત્રેંસઠ લઘુ અક્ષરને સ્થાન છે, જેમાંથી કેવળ સાત સ્થાને કવિએ ‘ઇ’કારાંત લઘુ માત્રા પ્રયોજી છે અને બાકીના છપ્પન સ્થાને શુદ્ધ ‘અ’કારાંત લઘુ માત્રા વાપરી હોવાથી ગીતનો લય અભૂતપૂર્વ રીતે પ્રવાહી થયો છે. છે ને ઉમદા કવિકસબ? ‘લગા લગા’ના ત્રિકલ માત્રામેળને કારણે ગીત સવારના હાથમાંના પાણીના કટોરામાંનું બુંદેય હલે નહીં એવી ઘોડાની રેવાળ ચાલ જેવી રવાની પણ સતત વર્તાય છે.

વાતાવરણમાં વ્યાપ્ત મંદ સુગંધ જાણે કે આકાશની છબડીમાં તરતા તારલાઓમાંથી આવી રહી છે. તારાઓનો ઝબક-ઝબક પ્રકાશ હેતાળ સ્વજનની આંખમાં ટમટમ થતાં ઝળઝળિયાં જેવો ભાસે છે. કથક ઘરની અગાશીમાં સૂતો હોવો જોઈએ કારણ આકાશમાંના તારા નજરે ચડે છે અને પડખે પત્ની શ્વસી રહી છે. બીજો બંધ બ.ક.ઠાકોરના ‘ભણકારા’ની યાદ અપાવે એવો છે. સૃષ્ટિ જાણે કે નૌકા છે અને શાંતિના સરોવરમાં ધીમેધીમે સરી રહી છે. સૂઈ ગયેલ પાંદડાઓની નીંદર ઊડી ન જાય એ રીતે પવન એમની વચ્ચેથી પસાર થઈ રહ્યો છે. અષાઢના વાદળોની જેમ સપનાંઓ ઠરી રહ્યાં છે. નંદ-દામિનીવાળી પંક્તિમાં એક લઘુ ખૂટે છે, ત્યાં કવિતા છાપવામાં કંઈક ભૂલ થઈ હોવાનો સંભવ છે. જાણકાર ભાવક ભૂલસુધાર કરવામાં મદદ કરશે તો ગમશે.

Comments (5)

(ભણતી સાં મેં કાનડ કાળા રે) – પુનમતી ચારણ

ભણતી સાં મેં કાનડ કાળા રે, મીઠી મીઠી મોરલીવાળા રે!

પાંચસે તો મુંહે પોઠીડા દેજે, પાંચસે ગોણાળા,
લાંબી બાંયાળો ચારણ દેજે, ત્રિકમ છોગાળા.
ભણતી સાં મેં…

પાંચ તો મુંહે પૂતર દેજે, પાંચેય પાઘાળા,
તે ઉપર એક ધેડી દેજે, આણાત ઘોડાળા.
ભણતી સાં મેં…

કાળિયું ને ઘણી કુંઢીયું દેજે, ગાયુંનાં ટોળાં,
વાંકે નેણ વાઉવારુ દેજે, ઘૂમાવે ગોળા.
ભણતી સાં મેં…

ઊંચી ઓસરીએ ઓરડા દેજે, તલક ગોખાળા,
સરખી સાહેલીનો સાથ દેજે, વાતુંના હિલોળા.
ભણતી સાં મેં…

ગોમતી કાંઠે ગામડું દેજે, જ્યાં અમારો નેહ,
પુનમતી ચારણ વિનવે કાના, માગ્યા વરસે મેહ.
ભણતી સાં મેં…

– પુનમતી ચારણ

પુનમતી ચારણ વિશે કોઈ વિશેષ માહિતી મળી શકી નથી, પણ પદાંતે પુનમતી ચારણ નામ લખ્યું છે એ કવિનું નામ હોવાનું ધારી શકાય. લોકગીતના ઢાળમાં રમતી મજાની રચનામાં શ્રી કૃષ્ણ પાસે કવિ જાતભાતની માંગણીઓ કરે છે. કહે છે, હે મીઠી મીઠી મોરલીવાળા કાળા કાનુડા, મને પાંચસો બળદ આપજે અને પાંચસો ગુણી અનાજ આપજે. સાથે છેલછબીલો ચારણ પતિ તરીકે આપજે. પતિ વળી એને લાંબી બાંયોવાળો જોઈએ છે, મતલબ એના હાથ વધારે લાંબા હોય, જેથી એ મહેનત કરવામાં પાછો ન પડે. પાંચ જુવાનજોધ દીકરા અને એક દીકરી જેનાં સાસરિયાં ઘોડાવાળાં મતલબ સમૃદ્ધ હોય. કાળી ભેંસો અને ટોળાબંધ ગાયો પણ આપજે. સાથે જ કવિ નેણમટક્કા કરી શકે એવી રૂપાળી વહુવારુ પણ માંગે છે, જે આ ગાય-ભેંસોને દોહી શકે, મતલબ ઘરકામમાં પ્રવીણ હોય. મોટું ઘણા ઓરડાવાળું ઘર પણ સર્જક માંગે છે. સાથે જ માંગે છે જેની સાથે વાતોના હિલોળા લઈ શકાય એવી પોતાના ‘સ્ટેટ્સ’ને બરાબર સહેલીઓ. પવિત્ર ગોદાવરી નદીના કાંઠેના ગામડામાં પોતાનો નેસ હોય એવી માંગણી કવિ કરે છે, જેથી કરીને પૂજા-અર્ચનમાં પણ સરળતા રહે. આટલું ઓછું હોય એમ સર્જક માંગ્યા મેહ વરસે એવું વરદાન પણ ઇચ્છે છે, જેથી કરીને આ સુખસમૃદ્ધિને કદી દુષ્કાળ કે પ્રતિકૂળતાનો સામનો કરવાનો ન રહે.

પહેલી નજરે માનવસહજ લોભીવૃત્તિ નજરે ચડે પણ સહેજ વિચારતાં જ સમજાય કે ભક્ત ભગવાન પાસે માંગવા બેસે ત્યારે કૃપણતા શીદ કરવી? ઈશ્વર સાથે દિલનો નાતો હોય ત્યારે જ આટઆટલી માંગ શ્વાસ જેવી સહજતાથી થઈ જાય… ઈશ્વર બધી જ માંગ પૂરી કરશે એ ભરોસો પણ આ પદનો પ્રાણ છે.

Comments (6)

સુખનું શબ્દચિત્ર – મધુસૂદન પટેલ ‘મધુ’

આ શબ્દચિત્ર મારા સુખનું છે, લો જુઓ જી,
બે પાંદડે થયો છું, છું જન્મજાત મોજી.

નાના પ્રસંગ સુખના મોટા કર્યા છે આમ જ,
લાંબી રદીફ લીધી, લાંબી બહર પ્રયોજી.

લય-છંદ જાળવીને પણ તીવ્રતા વધારી,
મિસરાને અંતે મૂકી મુસ્કાનની ઇમોજી

પામું છું નિત નવું કૈં, છોડું છું કૈંક જૂનું,
બન્નેનું એક કારણ; કાયમ રહું છું ખોજી.

ત્યાં શબ્દ, અર્થચ્છાયાની વાતમાં શું પડવું ?
થઈ જાય જ્યાં ‘મધુડા’ ભાષા જ હે જી… હો જી !

– મધુસૂદન પટેલ ‘મધુ’

સાદ્યંત સુંદર રચના… મુસ્કાનની ઇમોજીની મોજ લ્યો કે હે જી-હો જીની, એ આપના પર…

Comments (7)

વાત છે ને….- રમેશ પારેખ

વાત છે ને વાત માટે એક પણ મુદ્દો નથી
એક માણસ છે, અરીસા છે ને બે આંખો નથી

મનમાં ખોવાયો છે એની શ્હેરભરમાં શોધ છે
એટલે કે એક દરવાજો હજી જડતો નથી

ટેવ પડવાની ગતિ વધતી કે ઓછી હોય છે
ઘોર અંધારામાં માણસ આંધળો હોતો નથી

છેવટે વાયુ પકડવાની શરત હારી ગયો
આખરે તો હાથ કેવળ હાથ છે, ફુગ્ગો નથી

ફૂલથી આગળ જતા ના હોય અર્થો ફૂલના
તો ધડક છે વક્ષની કેવળ ધડક, ગજરો નથી

હોવું ઉર્ફે શોધ પોતાના અડધિયાની, રમેશ
કોણ એવો શખ્સ છે કે જે સ્વયં અડધો નથી?

– રમેશ પારેખ

મક્તાએ મને જકડી લીધો….શું શેર છે !!!!

Comments