અફસોસ કેટલાય મને આગવા મળ્યા
ગાલિબને મારા શેર નથી વાંચવા મળ્યા !
– ભરત વિંઝુડા

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for November, 2021

ઇચ્છા – ફિલિપ ક્લાર્ક

રણમાં ઊગેલા એક છોડની આંખોમાં
જાગે વગડો જોવાના કંઈ કોડ

રોજ રોજ રેતીમાં જોયા કરે છે એ
મૃગજળની ફેલાતી માયા.
પાન એનાં પળપળ નાખે છે નિસાસા
ને ખુદમાં સમેટે છે છાયા.
પાંદડી ફૂટે ને એના હૈયામાં ફાળ પડે.
ના આવે એને નવો કૈં મોડ;
રણમાં ઊગેલા એક છોડની આંખમાં
જાગે વગડો જોવાના કંઈ કોડ.

ઉપાડી લો કો’ક એને મૂળ સોતો રેતથી
કો’ક વગડામાં દો ને વાવી;
બારે મહિના એને વેઠવી રહી પાનખર
કે છે વસંત ક્યારેય ના આવી.
રેડો લીલાશ કોઈ પીળા પડતા પાનમાં
કે હળવે હાથેથી કરો ગોડ.
રણમાં ઊગેલા એક છોડની આંખોમાં
જાગે વગડો જોવાના કંઈ કોડ.

– ફિલિપ ક્લાર્ક

…..યું હોતા તો ક્યા હોતા…..

Comments (5)

પ્રાર્થના – વિપિન પરીખ

કોઈ વા૨ એવું બને
આપણે જવાની ઉતાવળ ન હોય
છતાં
આપણને જલદીથી ઉપાડી લેવામાં આવે.

‘હમણાં આવશે’ ‘હમણાં આવશે’
કહી નયન કોઈની પળ પળ પ્રતીક્ષા કરતાં હોય
છતાં ત્યારે જ
બળજબરીથી એને બીડી દેવામાં આવે.

આપણે કહેવા હોય માત્ર બેચાર જ શબ્દોઃ
‘હું જાઉં છું, તમે સુખી રહેજો.’
પણ હોઠ બોલે તે પહેલાં જ ઠંડા પડી જાય
ને હવા પૂછ્યા કરે ન બોલાયેલા શબ્દોનાં સરનામાં

એટલા માટે જ
આટલી નાનકડી પ્રાર્થના કરું છુંઃ
મારી વિદાયવેળાએ
તમે હાજર રહેજો.

– વિપિન પરીખ

તાજેતરમાં એક આપ્તજનના અંતિમ સમયના સાક્ષી બનવાનું થયું….આજે આ કવિતા વાંચી…. એક એક અક્ષર નકરું સત્ય છે….હજુ કળ નથી વળી…કદાચ વળશે પણ નહીં.

Comments (4)

ઓણુકા વરસાદમાં – રમેશ પારેખ

ઓણુકા વરસાદમાં બે ચીજ કોરી કટ,
એક અમે પોતે ને બીજો તારો વટ!

નેવા નીચે ઓસરી, આંખો નીચે ગાલ,
નખથી નક્ષત્રો સુધી જળ આંબ્યું આ સાલ.

વાવાઝોડું હોય તો કરીએ બંધ કમાડ,
આ તો ઘરમાં પાડતું જળનું ટીપું ધાડ.

નખ ઉગ્યા અંધારને, ભીંતે ઉગી દાઢ
ઉપર મારે આંચકા અણિયાળો આષાઢ.

તારા વટને કચ્છની સૂડી સરખી ધાર,
અમે કમળની દાંડલી-કરીએ શું તકરાર?

મીરાં કહે કે સાંવરા, વાગે વીજળી બહુ,
બીજું શું શું થાય તે આવ, કાનમાં કહું.

– રમેશ પારેખ

આજે ર.પા.ની જન્મજયંતી નિમિત્તે એક મસ્ત મજાની રચના… છ દોહાઓની સિક્સર પણ કહી શકો એને.

Comments (4)

રૂબાઇયાત – ઓમર ખય્યામ (અનુ.: રૂસ્તમ યે. ભાજીવાલા)

ગર આવે તું મુજ સાથ કોઈ જંગલ અંદર,
લીલોટરીથી ભરપુર કોઈ વેરાણ સુંદર;
ત્યાં શાહ ને ગડા બે જણાએ એક શાંન,
તો જ પાદશાહતના દુઃખોની બુજાએ કદર.

કોઈ સુખ સમજે છે દુનિયામાં બનવે જરદાર,
કોઈ મુફલીશ રહી જીન્નત પર રાખે છે આધાર;
ગુમરાહ બીગાના એ બન્ને ખરા !
ફક્ત સંતોષમાં જ રહ્યાં છે સુખ ને કરાર.

ગર મલે તુંને રહેવા એક ભાંગું મકાન,
ને ખાવાને દરરોજ ફક્ત સુકી એક નાન;
ના ગુલામ કોઈનો હોય તું, ન કોઈ તારો શેઠ,
તો તુજ સમ સુખી નહીં બીજો ઇનશાન.

આ દુન્યાને સમજું છું એક જુન્ની સરાઈ,
રહ્યો નહીં જ્યાં કાયમ કોઈ મુસાફીર ભાઈ;
શાહ ને સુલતાનો બી લાખો હજાર,
આવ્યા ને રહ્યા ને ગયા તનાઈ.

ઓ ખુદા વાસ્તે આટલું તું માનજે જરૂર
ને ફરેબીના સાહ્યાથી રેજે ભાઈ દૂર;
આ દુન્યાના તકલાદી સુખને ખાતર,
હરગીઝ ન ગુમાવીસ અમરગીનું નુર

– ઓમર ખય્યામ
(અનુ.: રૂસ્તમ યે. ભાજીવાલા)

ઓમર ખય્યામની રૂબાઈઓના અનેક અનુવાદો થયા છે. અંગ્રેજીમાં એડવર્ડ ફિટ્ઝગેરાલ્ડનો અને આપણે ત્યાં શૂન્ય પાલનપુરીનો અનુવાદ વિખ્યાત છે. પણ શું આપણે જાણી છીએ કે લગભગ સો વર્ષ પહેલાં ૧૯૨૭ની સાલમાં આ રૂબાઈઓનો અનુવાદ આપણે ત્યાં એક પારસી બાવાએ પણ કર્યો હતો? રૂસ્તમ ભાજીવાલાના અનુવાદમાંથી ચાર રૂબાઈ લયસ્તરોના ભાવકો માટે રજૂ કરીએ છીએ.

પહેલી નજરે અટપટી જણાતી પારસી ગુજરાતી ભાષાની મીઠાશ જરા ધ્યાન આપતાંવેંત હૈયાને સ્પર્શી જશે.

જંગલની અંદર, જ્યાં જંગલ એટલું ગાઢ હોય કે રણ સમું વેરાન લાગે, એવી જગ્યાએ રાજા અને રંક બંને એકસમાન છે. આવી જગ્યાએ જ્યાં રણ અને જંગલ એક થાય છે, ત્યાં તું જો મારી સાથે આવે તો તને પાદશાહના દુઃખોની કદર થશે.

કોઈને લાગે છે કે પૈસાદાર બનવું જ દુનિયાનું ખરું સુખ છે તો કોઈ મુફલિસ રહીને સુખ માટે સ્વર્ગ પર આધાર રાખે છે; પણ આ બંને ખરેખર ગુમરાહ અને બેગાના છે, કેમ કે હકીકતમાં તો સંતોષમાં જ ખરા સુખશાંતિ રહ્યાં છે.

ભલે રહેવાને એક ભાંગ્યું મકાન હોય ને ખાવાને રોજ એક સૂકું નાન મળે, પણ અગર તમે કોઈના ગુલામ ન હો અને કોઈ તમારો શેઠ ન હોય તો તમારા જેવો સુખી બીજો કોઈ ઇન્સાન નથી.

આ દુનિયા એક જૂનું મુસાફરખાનું છે, જ્યાં કોઈ મુસાફર કાયમ રહેવાને આવતો નથી. લાખો હજાર બાદશાહો અને સુલતાનો પણ આવ્યા, રહ્યા અને ચાલ્યા ગયા. આપણે સહુ પળ-બે પળ અહીં રહેવાનાં છીએ.

ખુદાને ખાતર પણ તું ધોખા-ફરેબીના પડછાયાથી દૂર રહેવાની આ સલાહ માનજે. આ દુનિયાનું તકલાદી સુખ મેળવવા માટે સ્વર્ગનું નૂર હરગીઝ ગુમાવીશ નહીં.

Comments (3)

(જમાનો ખરાબ છે) – મરીઝ

બસ ઓ નિરાશ દિલ, આ હતાશા ખરાબ છે,
લાગે મને કે જગમાં બધા કામિયાબ છે.

એમાં કોઈ જો ભાગ ન લે, મારી શી કસુર,
જે પી રહ્યો છું હું તે બધાની શરાબ છે.

કુદરતને એની જાણ છે, બુલબુલને શું ખબર,
કાલે હશે એ શું કે જે આજે ગુલાબ છે.

આઘાત એનો કોઈ સ્વમાની હૃદયને પૂછ,
હમદર્દીઓ જગતની ખરેખર અઝાબ છે.

કંઈ પણ નથી લખાણ છતાં ભૂલ નીકળી,
કેવી વિચિત્ર પ્રેમની કોરી કિતાબ છે.

તુજને ખબર ક્યાં તેજની વધઘટની વેદના,
એ આફતાબ! તું તો ફકત આફતાબ છે.

બે ચાર ખાસ ચીજ છે જેની જ છે અછત,
બાકી અહીં જગતમાં બધુ બેહિસાબ છે.

ખુદને ખરાબ કહેવાની હિંમત નથી રહી,
તેથી બધા કહે છે જમાનો ખરાબ છે.

ચારિત્ર હો ગુલાબની સુરત સમુ ‘મરીઝ’,
જે બાજુથી જુઓ, અતિ સુંદર ગુલાબ છે.

– મરીઝ

મરીઝની આ અતિસુંદર ગઝલ ઇન્ટરનેટ પર આખી જોવા મળતી નથી અને કેટલાક શેર જોવા મળે છે, પણ એય ભૂલભરેલા… અમુક લોકોએ તો મરીઝે લખ્યો નથી એવો મક્તા પણ ઉમેર્યો છે… આજે લયસ્તરોના ભાવકમિત્રો માટે આ ગઝલ આખેઆખી…

Comments (9)

अर्ध सत्य – दिलीप चित्रे

चक्रव्यूह में घुसने से पहले
कौन था मैं और कैसा था
ये मुझे याद ही ना रहेगा
चक्रव्यूह में घुसने के बाद
मेरे और चक्रव्यूह के बीच
सिर्फ एक जानलेवा निकटता थी
इसका मुझे पता ही ना चलेगा
चक्रव्यूह से निकलने के बाद
मैं मुक्त हो जाऊं भले ही
फिर भी चक्रव्यूह की रचना में
फर्क ही ना पड़ेगा
मरूं या मारूं
मारा जाऊं या जान से मार दूं
इसका फैसला कभी ना हो पायेगा
सोया हुआ आदमी जब
नींद से उठकर चलना शुरू करता है
तब सपनो का संसार उसे
दोबारा दिख ही ना पायेगा
उस रोशनी में जो निर्णय की रोशनी है
सब कुछ समान होगा क्या
एक पलड़े में नपुंसकता
एक पलड़े में पौरूष
और ठीक तराजू के कांटे में
अर्ध सत्य.

– दिलीप चित्रे

1983માં આવેલી ફિલ્મ અર્ધસત્યની આ સારરૂપ કવિતા છે, ફિલ્મમાં ઓમ પુરી એનું પઠન પણ કરે છે.

મને ગુજરાતી કાવ્ય સામે આ ગંભીર ફરિયાદ છે – ગુજરાતી કાવ્ય રાજકીય/સામાજિક વિષમતાઓને લગભગ લગભગ સદંતર અવગણે જ છે – જાણે કે એ કોઈ કાવ્યવસ્તુ હોઈ જ ન શકે !! આંગળીના વેઢે પણ નહીં – આંગળીઓએ પણ માંડ ગણાય એટલી રાજકીય/સામાજિક પ્રશ્નોને ઉઠાવતી મજબૂત કવિતા ગુજરાતીમાં સાંપડે !!! ખબર નહીં કેમ આ વિષય-દરિદ્રતા ગુજરાતી કાવ્યને આભડી ગઈ છે…..

કાવ્ય મર્મભેદી છે – આપણે સહુએ શાળા/કૉલેજ છોડીને વ્યવહારુ દુનિયામાં પગ મૂકતાં આ અનુભવેલી જ વાત છે – સાચું શું તે સાથે વ્યવહારુ દુનિયાને ખાસ કોઈ મતલબ નથી, ભૌતિક સફળતા એક જ પારાશીશી હોય છે. સત્યના માર્ગે ચાલવાનું નક્કી કરનાર ક્યાંતો સમય સાથે માર્ગ-વિચલિત થઈને સિસ્ટમમાં વેચાઈ જાય છે, ક્યાંતો ફ્રસ્ટ્રેશનના કળણમાં ખૂંપતો જ જાય છે. ઘણીવાર તો સત્ય શું છે તે પણ નથી સમજાતું એ હદે સત્ય-અસત્યની ભયાનક ભેળસેળ કરી દેવામાં આવતી હોય છે ! સત્યના માર્ગે ચાલવું તો છે પણ સત્યનો માર્ગ કયો ???? કોઈ માર્ગદર્શન પણ હાથવગું હોતું નથી. Greatest good of the greatest number – એ સાચું કે પછી સત્યના માર્ગે ચાલતી વ્યક્તિમાત્રનું હિત સર્વોપરી ?? આવા આવા અસંખ્ય જટિલ મૂંઝવતા પ્રશ્નો સત્ય-માર્ગીએ હલ કરવા રહ્યા. વળી જો એ બિચારો પોતાના જજમેન્ટમાં ભૂલ કરી બેસે તો આજીવન એનો પરિતાપ ભોગવવો રહ્યો ! જમીનથી ચાર આંગળ અધ્ધર ચાલતો યુધિષ્ઠિરનો રથ એક ઝાટકે જમીનસરસો થઈ જાય….જીવનભરની તપશ્ચ્રયા નિરથર્ક નીવડી જાય….

કેટલોક ભાર એક માનવ વેંઢરે !! મોટેભાગે ત્રાસીને સિસ્ટમમાં વેચાઈ જાય – આત્મા ગીરવે મૂકી દે…કોઈક વિરલા માર્ગચ્યુત ન પણ થાય – ફના થઇ જાય જાતે અને ફના કરી દે પોતાના નિકટતમ સ્નેહીઓને પણ – પરંતુ સિસ્ટમ સામે ઝૂકે નહીં… સલામ છે એવા વિરલ યોદ્ધાઓને…..

Comments (3)

મારું હૈયું ખોવાયું એક વેળા… – ગુલાબદાસ બ્રોકર

મારું હૈયું ખોવાયું એક વેળા,
રે રાજ, મારું હૈયું ખોવાયું એક વેળા.

જ્યારે સૂરજદેવ થાકી આકાશથી પચ્છમમાં ઊતરી ગયેલા,
ધરતી રાણીનું હૈયું જ્યારે ઉલ્લાસથી શ્વાસ લેતું આશથી ભરેલા,
એવી એક સાંજ રે ઘેલું બનેલ આ હૈયું ખોવાયું એક વેળા.
રે રાજ, મારું હૈયું ખોવાયું એક વેળા.

ત્યારથી તે આજ સુધી ચૌટે ને ચોકમાં શોધું હું બ્હાવરી શી એને,
સાગરને તીર કે નદીઓનાં નીરમાં તારલાને લાખલાખ નેને,
ક્યાંયે ના ભાળતી સહેજે ગયેલ જે હૈયું ખોવાઈ એક વેળા,
રે રાજ,મારું હૈયું ખોવાયું એક વેળા.

ખોળી ખોળીને એની આશ છોડી આજ હું આવતી’તી સીમમાંથી જ્યારે,
ત્યારે દીઠો મેં કહાન પાવો વગાડતો ઝૂલીને વડલાની ડાળે,
બોલ્યું શું પાવાના મધમીઠા સૂરમાં, જે હૈયું ખોવાયું એક વેળા.
રે રાજ, મારું હૈયું ખોવાયું એક વેળા.

– ગુલાબદાસ બ્રોકર

 

ગુલાબદાસ બ્રોકર ગીત પણ લખતા તે આજે જ ખબર પડી ! મજબૂત માવજતથી રચાયેલું મધુરું ગીત….

Comments (2)

પોતીકું અજવાળું – કિશોર જિકાદરા

બ્હેતર છે કે ખુદના ઘરમાં પાડું બાખું,
શા માટે હું અન્યોનાં જીવનમાં ઝાંખું?

ચોખલિયો છું, કપડાં ધોવા બેસું તો હું,
ભેગાભેગું મેલું મન પણ ધોઈ જ નાખું!

સાચું કહું તો ડાઘ તમારી દૃષ્ટિમાં છે,
ચંદ્રવદન પર અમને તો લાગે છે લાખું!

હાથ નથી હું લાંબો કરતો સૂરજ પાસે,
પોતીકું અજવાળું મારું સાથે રાખું!

મરતાંને ક્યારેય નથી મેં મર કીધું તો,
યાર, તમારું ભાવિ કેમ અમંગળ ભાખું?

તડ ને ફડ કરવામાં પૂરું જોખમ છે પણ,
દાદાગીરી શ્વાસોની હું ક્યાં લગ સાંખું?

ખોવાયેલી ખુશીઓથી મેળાપ કરાવો,
રાજીપામાં ગામ લખી દઉં આખેઆખું!

– કિશોર જિકાદરા

સમાજની તાસીર તો પહેલાં પણ આ જ હતી, પણ સૉશ્યલ મિડીયાની બારીમાંથી ઝાંખતા રહેવાની પડેલી આદતને લઈને બીજાના જીવનમાં ચંચુપાત કરવાની બિમારી જેટલી આજે વકરી છે એટલી આ પહેલાં કદાચ ક્યારેય નહોતી. કવિનો અભિગમ આવા સમયમાં કેવો ઉત્તમ અને ઉમદા છે એ મત્લામાં વર્તાય છે. આખી ગઝલ ધનમૂલક થઈ છે. બધા જ શેરમાંથી ‘પોઝિટિવિટી’ની રોશની ઊઠી રહી છે. પોતીકું અજવાળું વાળો શેર વાંચીએ ત્યારે સહેજે રઈશ મનીઆરનો ‘મારો દીવો તારા ઘરને શી રીતે રોશન કરે? દોસ્ત, સહુનું પોતીકું અજવાળું હોવું જોઈએ’ યાદ આવ્યા વિના રહેતો નથી.

આ પ્રકારના અરુઢ અને ચુસ્ત કાફિયા સથે કામ પાર પાડવું એ સફળ અને સજ્જ કવિકર્મની નિશાની છે.

Comments (10)

મનમોજી – સંજુ વાળા

અમે અમારા મનના માલિક મસ્ત મિજાજી મોજી.
જૂઈ મોગરા પ્હેરી-બાંધી
.             ભરી બજારે નીકળવામાં શું લાગે બટ્ટો જી?

કરું વાયરા સાથે વાતો
ચડે અંગ હિલ્લોળ તો થોડું હીંચું,
કિયા ગુનાના આળ, કહો
ક્યાં લપસ્યો મારો પગ તે જોવું નીચું ?
તેં એને કાં સાચી માની
.             વા-વેગે જે ઉડતી આવી અફવા રોજબરોજી.

અમે અમારા મનના માલિક મસ્ત મિજાજી મોજી.

મંદિરના પ્રાંગણમાં
ભીના વાળ લઈને નીકળવાની બાબત.
રામધૂનમાં લીન જનો પર
ત્રાટકતી કોઈ ખૂશબૂ નામે આફત.
સાંજે બાગ-બગીચે નવરાધૂપ બેસતા
.             નિવૃતોની હું એક જ દિલસોજી

અમે અમારા મનના માલિક મસ્ત મિજાજી મોજી.

– સંજુ વાળા

મનમોજી લલનાનું ગીત… ઊઠાવ જ કેવો પ્રભાવક થયો છે, જુઓ! અમે-અમારામાં ‘અ’ અને ‘મ’ની વર્ણસગાઈથી સરસ ઉપાડ સાથે ગીત પ્રારંભાય છે અને ‘મ’ની વર્ણસગાઈ તો અહીંથી વિસ્તરીને મન-માલિક-મસ્ત-મિજાજી-મોજી અને મોગરા સુધી લંબાય છે. ‘મ’નો આ રણકો ગીતના રમતિયાળ સ્વભાવને અદભુત રીતે માફક આવ્યો અનુભવાય છે.

સ્ત્રીને આપણો પુરુષપ્રધાન સમાજ પરાપૂર્વથી મર્યાદાના ચશ્માંમાંથી જ જોવા ટેવાયેલો છે. એટલે કોઈ સ્ત્રી સમાજે નિર્ધારિત કરેલી રેખા વળોટીને ચાલતી દેખાય કે તરત એની અગ્નિપરીક્ષા લેવા સમાજ તૈયાર થઈ જાય. પણ આપણી કાવ્યનાયિકા તો ‘નિજાનંદે રહેજે બાલ મસ્તીમાં મજા લેજે’નો ગુરુમંત્ર પચાવી ચૂકી છે. એ એના મનની માલિક છે અને આ હકીકતની પૂર્ણતયા જાણતલ પણ છે. એને મન પડે તો એ જૂઈ-મોગરા પહેરીને-બાંધીને ભરી બજારે નીકળેય ખરી. લોક ગમે તે કહે એને આમાં કોઈ બત્ટો લાગવાની ભીતિ નથી. વાયરાના તાલે અંગ હિલ્લોળતી એ ચાલે છે. એને પોતાને ખબર છે કે એનો પગ ક્યાંય લપસ્યો નથી એટલે એ કોઈ ગુનાનું આળ માથે ઓઢવા તૈયાર નથી. પોતાના માટે લોકો જાતભાતની અફવાઓ છો ને ઊડાડે, લોકનિંદાના ડરે પોતાના તોરતરીકા બદલવાની એની લગરિક તૈયારી નથી. એ ભીનેવાન મંદિર જાય ત્યારે રામધૂનમાં લીન હોવાનો ડોળ કરતા બગભગતોનું ધ્યાન રામમાં ઓછું અને ‘કામ’માં વધારે છે એની એને જાણ છે જ. નવરા લોકો જ્યાં-ત્યાં એની જ જિંદગીની કિતાબ ખોલી બેસે છે એ જાણતી હોવા છતાં એ તો એની મસ્તીમાં જ મોજ માણે છે અને માણશે…

દુનિયા પોતાનો નજરિયો બદલવા તૈયાર ન હોય, તો આપણે શા માટે આપણી જાતને બીજાને વશવર્તીને પલોટવી જોઈએ?

Comments (15)

નહીં મળું – કિશોર વાઘેલા

આ પથ ઉપર ફરી હું સફરમાં નહીં મળું;
અર્થો તરફ ગયો છું, શબદમાં નહીં મળું.

એવું બને કે સ્પર્શ થતાં હું ખરી પડું,
આકારના જગતની જણસમાં નહીં મળું.

આધીન તમારે કંઠ બધા હો ભલે સૂરો,
ગાઈ શકો સહજ એ તરજમાં નહીં મળું.

આ સૂર્યના કિરણને પ્રસવ આપજે હવે,
ચમકાર છું જીવનના તમસમાં નહીં મળું.

શોધી શકો કદાચ હવામાં અવાજમાં,
હું સત્ય છું કદીય ભરમમાં નહીં મળું.

– કિશોર વાઘેલા

Comments (3)

તે કોણ છે? – રમેશ પટેલ ‘ક્ષ’

સ્તબ્ધ આંખોથી મને જોયા કરે તે કોણ છે ?
ને પછી દૃષ્ટિ થકી પળમાં સરે તે કોણ છે ?

સાવ સુક્કું વૃક્ષ છે ને સાવ સુક્કી ડાળ છે,
પર્ણ જેવું કંઈ નથી તોપણ ખરે તે કોણ છે ?

મેં અચાનક આંખ ખોલી ને ગગન જોઈઃ કહ્યું,
શર્વરીના કેશમાં મોતી ભરે તે કોણ છે ?

આમ તો ઝરણાં હંમેશાં પર્વતોમાંથી સરે,
તે છતાં આ રણ મહીં ઝરમર ઝરે તે કોણ છે ?

જળ મહીં તરતાં રહે સરતાં રહે એ મત્સ્ય, પણ
મત્સ્યની આંખો મહીં જે તરવરે તે કોણ છે ?

સહુ મને દફ્નાવવાને આમ તો આતુર, પણ
આ ક્ષણે મુજ શ્વાસમાં આવી ઠરે તે કોણ છે ?

– રમેશ પટેલ ‘ક્ષ’

Comments (4)

વરસાદમાં મનને – જયન્ત પાઠક

ધીમું ધીમું વરસત ઘનો, ઉત્સરે માટી ગંધ;
ભીનું ભીનું સ્પરશત હવા પ્રેરતી રોમ સ્પંદ;
ઊંડે ઊંડે ઊતરત પડો ભેદી વારિ પ્રસન્ન;
ફૂટું ફૂટું થત ભીતરનું બીજ-ચૈતન્ય છન્ન.
ફોડી પૃથ્વી-પડ નીકળતો નાનલો એક છોડ,
પ્હેરી માથે પરણ-ફૂલનો રંગબેરંગી મ્હોડ,
રૂપે રંગે રસથી વનના પ્રાન્ત દેતો ઝબોળી,
ઘૂમે જેમાં ભ્રમર-મધુમખ્ખી-પતંગોની ટોળી.

આ ખીલ્યાનો અવસર, ઋતુ પ્રાવૃષી રંગરાગી,
તેમાં મારા મન, દર મહીં કેમ બેઠું ભરાઈ
રોવે ઘેરી ગમગીની, પડ્યું કેમ રે સંકુચાઈ,
મ્હોર્યાં રૂડા જીવનવનના સૌ રસાનંદ ત્યાગી?
તું, હે મારા મન! ઊઘડી જા – એક આનંદ-સ્ફોટ!
ને તારે ના પછી ભ્રમર-મખ્ખી-પતંગાની ખોટ.

– જયન્ત પાઠક

પહેલી આઠ પંક્તિઓમાં વર્ષા ઋતુ અને પ્રકૃતિના પ્રતિસાદનું મનોહર વર્ણન છે. વરસાદ ધીમું ધીમું વરસે છે, ભીની માટીમાંથી ગંધ ઊઠે છે. આછાવરસાદવાળી હવા ત્વચાને સ્પર્શે છે ત્યારે રોમેરોમ સ્પંદન અનુભવે છે. પ્રસન્ન જળ ધરતીના પડો ભેદીને ઊંડે ઊંડે સુધી ઊતરે છે. અને ધરતીમાં છૂપાઈને (છન્ન) બેઠેલ બીજમાંથી ચૈતન્ય ફૂટું-ફૂટું થાય છે. આખરે એક નાનો છોડ પૃથ્વીનું પડ ફોડીને બહાર આવે છે. (નાનલો શબ્દ તળગુજરાતની બોલીનો સંસ્પર્શ પણ કરાવે છે!) આ અંકુર (મ્હોડ)ના માથે રંગબેરંગી પર્ણ-ફૂલનો તાજ ધીમેધીમે ખીલે-ખુલે છે. વરસાદના રૂપરંગમાં સમગ્ર સૃષ્ટિ ઝબોળાઈ જાય છે અને ભમરા-મધુમાખી અને પતંગોની ટોળી મજા લે છે.

પણ કવિનું મન કોઈક કારણોસર આ રંગરાગની વરસાદી (પ્રાવૃષી) ઋતુમાં ખીલવાના અવસરે દર મહીં ભરાઈ ગયું છે. ઘેરી ગમગીની રોઈ રહી છે. જીવનવનમાં મહોરેલ તમામ રૂડાં રસ અને આનંદ ત્યાગીને મન શા માટે સંકોચાઈ પડ્યું છે એ સવાલ કવિને થાય છે. કવિ પોતાના દુઃખી મનને જે રીતે ધરતીનું પડ ફાડીને બીજ ફણગો થઈ બહાર આવે એ જ રીતે આનંદ-સ્ફોટ સાથે ઊઘડી જવા આહ્વાન આપે છે… ભીતર આનંદવર્ષા થવા માંડે પછી ઇચ્છા-સ્વપ્નોના કીટકોની કોઈ ખોટ પડનાર નથી…

પ્રકૃતિ સાથે તાદાત્મ્ય સાધીને અંગત તકલીફો ભૂલી જવાની શીખ આપતી કેવી મજાની આ રચના છે!

અષ્ટકમાં અ-અ બ-બ પ્રકારે ચુસ્ત પ્રાસ પ્રયોજ્યા બાદ ષટકમાં અ-બ-બ-અ ક-ક પ્રમાણે પ્રાસપલટો પણ કવિએ પ્રયોજ્યો છે, જે સૉનેટના અનિવાર્ય અંગ ‘વૉલ્ટા’ (ભાવપલટા)ને બરાબર માફક આવે છે.

Comments (4)

(કવિ સંમેલન કરવું છે) – મુકેશ જોષી

મૃગજળ જેવા મનને મારે એક સરોવર ધરવું છે,
હરિ! તમારા સંચાલનમાં કવિસંમેલન કરવું છે.

સૃષ્ટિમાંના બધા આગિયા દીપ પ્રજ્વલિત કરશે,
તમે રમ્યા જે રાસ,રાતનું ચાંદ વિમોચન કરશે,
આજ લગી પુષ્પો સંભાળે અભિવાદનની બાબત,
કિંતુ હરિવર આપણ કરશું સહુ ફૂલોનું સ્વાગત,
કદંબ ડાળે પાન ફરકતું એ રીતે ફરફરવું છે..

હરિ! તમારા વ્યક્તિત્વોના પાસાં સૂરજ ખોલે,
પછી પવન, આકાશ, ધરા ને પાણી થોડું બોલે,
સહુ કવિઓની બેઠક માટે પાથરશું બે લોચન,
હરિ! તમારી ખાસ વ્યવસ્થા, મારું હૃદય સિંહાસન,
આ જીવનથી પેલું જીવન કવિતાઓથી ભરવું છે..

તુલસી, મીરા, સૂર, કબીરા, વ્યાસ, શુક્ર, ટાગોર,
એવું નહીં કે બબ્બે બોલે, રાખશું ખુલ્લો દોર,
ઉ.જો., સુ.જો., ર.પા., સુ.દ. ને મરીઝની હો છાપ,
ધન્ય ધન્ય એ કવિઓ જેને રજૂ કરી દો આપ,
તમે વખાણો એ પંક્તિનું સ્મિત પછી સંઘરવું છે..

સમય મજાનો કળિયુગથી લઈ સતયુગનો પરવડશે,
છેલ્લી કવિતા તમે બોલશો પછી જ પડદો પડશે,
બધા કવિને પુરસ્કારમાં ખોબો અવસર દઈશું,
પુરસ્કારમાં હરિવર તમને આખું જીવતર દઈશું,
આવા સુંદર અવસર કરવા લખચોરાસી ફરવું છે..

– મુકેશ જોષી

હવે આવા મસ્ત મજાના ગીતમાં ટિપ્પણી શી કરવી? ખુલ્લા ગળે ને મોકળા મને લલકારતા જાવ અને માણતા જાવ, બસ…

Comments (13)

(કંડારવાનું છે) – પૂર્વી અપૂર્વ બ્રહ્મભટ્ટ

આ એક જ જ્ઞાનના આધાર પર ઉન્નત થવાનું છે,
કોઈને કંઈ કહ્યા વિના બધું છોડી જવાનું છે.

ચમક આંખોમાં લઈને દ્વાર પર શું કામ ઉભા છો?
શું અજવાળું લઈને સાંજે કોઈ આવવાનું છે?

ભલે ગુમાવી દઉં હું જાત પણ ચોપાટ નહીં છોડું,
એ ખુશ ના થાય ત્યાં સુધી રમતમાં હારવાનું છે.

સમય-સંજોગની ઠોકરથી જેના થ્યા છે સો ટુકડા,
ખુમારીનો લઈ ધાગો એ સપનું સાંધવાનું છે.

મેં પાછું લઈ લીધું છે ટાંકણું એને જે સોંપ્યું’તું,
નવેસરથી હવે અસ્તિત્વને કંડારવાનું છે.

– પૂર્વી અપૂર્વ બ્રહ્મભટ્ટ

સરસ મજાની ગઝલ… બધા જ શેર મજાના છે પણ મત્લા અને છેલ્લો શેર સ-વિશેષ ધ્યાન માંગી લે એવા.. ત્રીજા અને પાંચમા શેરમાં સ્ત્રીસર્જકની ઉપસ્થિતિ પણ બહુ સરસ રીતે વર્તાય છે…

Comments (9)

સારમાં સાર અબળા તણો – નરસિંહ મહેતા

(રાગ : કેદારો)

સારમાં સાર અવતાર અબળા તણો,
જે બળે બળભદ્ર-વીર રીઝે;
પુરુષ-પુરુષારથે શું સરે, હે સખી?
તેણે નવ નાથનુ કાજ સીઝે. સારમાંo

મુક્તિ પર્યન્ત તો પ્રાપ્તિ છે પુરુષને,
સત્ય જો સેવકભાવ રાખે;
રસભર્યું રૂસણું, નાથ નોહરા કરે,
તે નહીં નારી-અવતાર પાખે. સારમાં o

ઇંદ્ર-ઇંદ્રાદિક અજ અમર મહામુનિ,
ગાપિકા ચરણરજતેહ વંદે;
ગેાપીથી આપનુ અધમપણું લેખવે,
નરપણું નવ રુચે, આપ નં(નિ)દ. સારમાંo

વેદ- વેદાંત ને ઉપનિષદ ખટ મળી,
જે મથીને રસ પ્રગટ કીધો;
તે રસ ભાગ્યનિધિ ભામિની ભોગવે,
અહર્નિશ અનુભવ-સંગ લીધો. સારમાંo

સ્વપ્ન સાચું કરો, ગિરિધર શામળા!
પ્રણમું હું, પ્રાણપતિ ! પાણ જોડી;
પેંધ્યું પશુ જેમ પૂંઠે લાગ્યુ ફરે,
ત્યમ ફરે નરસૈંયો નાથ ત્રોડી. સારમાંo

– નરસિહ મહેતા

શ્રી કૃષ્ણની ભક્તિ કરવાની અનેક રીતોમાંની પ્રમુખ તે પ્રેમલક્ષણા ભક્તિની રીત. અને એમાંય કૃષ્ણની પ્રેમિકા-પત્ની બનવાની ઝંખા ઉમેરાય તો તો સોનામાં સુગંધ ભળે. પ્રેમ ગમે એટલો ઉત્કૃષ્ટ કેમ ન હોય અને પ્રેમનો સ્વીકાર પણ ગમે એટલો સંપૂર્ણ કેમ ન હોય, સ્ત્રી અને પુરુષ જે રીતે એકમેકમાં ઓગાળી જઈ શકે છે, એ રીતે બે પુરુષ કદી એકાકાર થઇ શકતા નથી. એટલે જ પરાપૂર્વથી પુરુષ કવિઓ ઈશ્વરારાધના સ્ત્રી બનીને કરતા આવ્યા છે. નરસિંહ પણ આ જ મતના છે. દયારામની જેમ એમના પણ અસંખ્ય પદોમાં નારીભાવે સમર્પણ જોવા મળે છે.

નરસિંહ કહે છે કે લેવા જેવો કોઈ અવતાર હોય તો તે અબળાનો છે, કેમકે એના જ બળે કૃષ્ણને રિઝવી શકાય છે. વર્ણસગાઈને વધુ અસરદાર બનાવવા માટે કવિ શ્રી કૃષ્ણને બળભદ્રના વીર કહે છે એમાં સાચું કવિકર્મ ઝળકે છે. પુરુષને પણ મુક્તિ તો પ્રાપ્ત થઈ શકે છે પણ ચૌદ ભુવનનો નાથ સામે ચાલીને નોહરા કરે, આજીજી કરે એ તો સ્ત્રી અવતારને જ નસીબ થઈ શકે ને?

ઇન્દ્ર વગેરે દેવો અને મહામુનિઓને પણ ગોપીભાવ હાંસિલ નથી, પરિણામે ગોપિકાની ચરણરજ તેઓ માટે વંદનીય છે. પોતાને સ્વામીથી અલગ રાખતું પોતાનું નરપણું એમને રુચતું નથી. વેદ-ઉપનિષદોમાં જે રસ પ્રગટ થયો છે, એ તો ભાગ્યની બળવાન ભામિની સાથ-સંગાથના અનુભવમાંથી અહર્નિશ મેળવે છે. નરસિંહનું સ્વપ્ન છે કે પોતે આ ગોપીભાવ, અબળા-અવતાર પ્રાપ્ત કરે, અને એ માટે જ જેમ પેંધું પડી ગયેલું જાનવર જે રીતે પૂંઠે પૂંઠે ફર્યે રાખે એમ હાથ જોડીને તેઓ શ્રી કૃષ્ણની પાછળ પાછળ ફરી રહ્યા છે…

સરવાળે, પ્રેમલક્ષણા ભક્તિનું એક અમર પદ…

ઝૂલણાના આવર્તનોની સંગીતાત્મકતાની સાથોસાથ કવિનું ક્રિયાપદ-બાહુલ્ય, પંક્તિએ પંક્તિએ રણકતી વર્ણસગાઈઓ અને આંતરપ્રાસ વગેરે પર એક નજર કરીશું તો સમજાશે શા માટે આપણો આ આદિકવિ આટઆટલી સદીઓના વહાણાં વાઈ ગયાં હોવા છતાં હજીય કવિશ્રેષ્ઠ ગણાય છે!

Comments (4)

એક દીવો છાતી કાઢીને – રમેશ પારેખ

એક દીવો છાતી કાઢીને છડેચોક ઝળહળે,
તો એ અંધારાના સઘળા અહંકારને દળે.

હરેક ચીજને એ આપે
સૌ સૌનું મૂળ સ્વરૂપ
આવું મોટું દાન કરે
તો પણ એ રહેતો ચૂપ
પોતાને ના કૈ જ અપેક્ષા અન્ય કાજ બસ બળે!

અંધકાર સામે લડવાની
વિદ્યા ક્યાંથી મળી?
કિયા ગુરુની કૃપા થકી
આ રીત તપસ્યા ફળી?
હે દીવા, એ શાશ્વત પળ, તું પ્રકટે છે જે પળે…

– રમેશ પારેખ

લયસ્તરો તરફથી સહુ કવિમિત્રો અને વાચકમિત્રોને દિપોત્સવી પર્વની સ્નેહકામનાઓ…

અંધારું ગમે એટલું સર્વવ્યાપી અને ગહન કેમ ન હોય, નાનામાં નાનો એક દીવો સળગ્યો નથી કે એનો omniscient ego ક્ષણાર્ધમાં હણાઈ ગયા વિના રહેતો નથી. અંધારામાં પોતપોતાનું અસ્તિત્ત્વ ગુમાવી બેઠેલ તમામ ચીજોને એ પોતાનું મૂળ સ્વરૂપ ફરી અપાવે છે, અને તોય કોઈ અપેક્ષા રાખ્યા વિના એ મહાદાની ચુપચાપ બીજાઓ માટે જાતને બાળવાનું ચાલુ રાખે છે. આ વિદ્યા એને ક્યાંથી સાંપડી અને કયા ગુરુની કૃપાથી એને આ તપસ્યા ફળી એ કળવું શક્ય નથી. દીવાનું આયુષ્ય ટૂંકું છે પણ જે ક્ષણે એ પ્રકટે છે, એ એક ક્ષણને કવિ શાશ્વત પળ કહીને કવિ એનો જે મહામહિમા કરે છે, ત્યાં સાચી કવિતા સિદ્ધ થઈ છે…

દિવાળીના આ પર્વ પર બસ, કોઈના જીવનમાં વ્યાપ્ત અંધારું દૂર કરી શકીએ તો ઘણું…

Comments (2)

ઘેરે ઘેર દિવાળી – પ્રતાપસિંહ ડાભી ‘હાકલ’

રાજી કરીએ કુંભાર, મેરાઈ, વાળંદ, મોચી, માળી;
એમ નહીં કે મારે ઘેર જ, ઘેરે ઘેર દિવાળી…

આનંદ છે સહિયારી ઘટના -એ મુદ્દે સૌ સંમત,
તડતડ થાતી એક લુમ ને પડે બધાને ગમ્મત;
હોય મુખીનો મનુય ભેગો, હોય ગામ ગોવાળી
એમ નહીં કે મારે ઘેર જ, ઘેરે ઘેર દિવાળી

મે’ર મે’ર રાજાના નાદે, મેરૈયાને ભાળી,
બેઉ બળદની આંખો ચમકે, બોલે ખમ્મા હાળી !
ગવરી ગાય મુખ ચાટે, નાચે ઘોડી ઘુઘરિયાળી
એમ નહીં કે મારે ઘેર જ, ઘેરે ઘેર દિવાળી

સાધુ, બામણ, ગરીબગુરબાં, વણકર, મેતર, ઢોલી;
દરબારી ડેલીમાં જાણે પૂરી છે રંગોળી!
ખાય સહુ સહુના હિસ્સાનું, ખુશીઓની પતરાળી
એમ નહીં કે મારે ઘેર જ, ઘેરે ઘેર દિવાળી

– પ્રતાપસિંહ ડાભી ‘હાકલ’

આજે ગ્લોબલાઇઝએશનના ઈરેઝરથી તહેવારોનું અસલી પોત ઝડપભેર ભૂંસાવા માંડ્યું છે, એટલે મારા પછીની પેઢીને તો આ ગીતની દિવાળી કદાચ સમજાય પણ નહીં. નાનો હતો ત્યારની જૂના શહેરની જૂની શેરીઓમાં આવી દિવાળી કૈંક અંશે જોવા મળતી, તે હજી સાવ વિસરાઈ નથી ગઈ, પણ આજે તો કદાચ ગામડાઓમાં પણ આવી દિવાળી જોવા નહીં મળે.

વાત દિવાળીની છે પણ શરૂઆત રાજી કરવાની વાતથી થાય છે, એ નોંધવા જેવું. અસ્સલની દિવાળીની આ જ તો ખાસિયત હતી ને! એમાં રાજી કરવામાં વધુ રાજીપો હતો. અને આજે? એક-બે નહીં, તમામ જ્ઞાતિના માણસોને રાજી કરવામાં આવે એ જ ખરી દિવાળી. અને ભાવના જુઓ! એમ નહીં કે માત્ર મારા ઘરે જ દિવાળી હોય… ઘેર ઘેર દિવાળી હોય એ જ સાચો તહેવાર. એ જમાનામાં આનંદ પણ સહિયારો હતો. એક લૂમ ફૂટે અને આખું ગામ ખુશ થતું. આજે તો બાજુવાળા કરતાં મારા ઘરે ફૂટતી લૂમ મોટી છે કે કેમ એના પર આવીને આપણો આનંદ સંકોચાઇ ગયો છે.

દિવાળીને દહાડે દીકરો અને નવી વહુ શેરડીના દાંડામાં ટોપરાનો વાટકો રાખી તેમાં ઘી અથવા તેલથી દીવો કરે અને ઘેર ઘેર ઘી-તેલ પુરાવવા નીકળે એને મેરાયું સીંચવું કહેવાય. આ સિવાય શેરડીના સાંઠે છોકરાંઓ કાકડો બાંધી મસાલ કે દીવો કરી ફરે એ મેરમેરૈયું કહેવાય. એક વાયકા એવી પણ છે કે ઇન્દ્રના પ્રકોપથી સહુને બચાવવા શ્રી કૃષ્ણે ગોવર્ધન પર્વત આંગળી પર ઊઠાવી લીધો હતો; અને અંતે, જે ગોવાળિયાઓ વરસાદથી બચવા ગુફાઓમાં સંતાઈ ગયા હતા એમને શોધી કાઢવા મેરૈયો લઈને બાકીના ગોવાળ નીકળ્યા હતા. આ પુરાકથા પણ કદાચ આ રિવાજની પાછળ હોઈ શકે. હશે, પણ મેરૈયાને ભાળીને તો મૂંગા જનાવર પણ ખુશ થઈ જાય છે. મતલબ દિવાળીનો લ્હાવો કવિ કહે છે એમ સૃષ્ટિના તમામ સજીવોને મળી રહ્યો છે. સાચી દિવાળી આને જ તો કહેવાય.

અને આ બધું પતે પછી ગામના દરબારની ડેલીએ નાનાં-મોટાં સૌ ખુશીઓની પતરાળીઓમાં પોતપોતાના હિસ્સાની ખુશીઓથી સંતુષ્ટ થતાં.

સાચે જ, દિ‘ વાળે એ દિવાળી! 

Comments (8)

કોડિયું – રવીન્દ્ર પારેખ

આટલાં કોડિયાં લઈને બેઠો છું
પણ એકકેય વેચાયું નથી
અંધારું થવા આવ્યું
કોઈ તો આવે
ને લઈ જાય થોડાં
તો કેવું સારું!
આ બધાં પ્રગટ્યાં વગર જ રહેશે?
કોડિયું હોય ને પ્રગટે જ નહીં એ કેવું?
અજવાળું કોઈને જોઈતું જ નહીં હોય શું?
આ થોડાં ક્યાંક પ્રગટે
તો મારી ઝૂંપડીમાં દીવો થશે
નાનકાને કેટલું મન છે
કનકતારાનું
એકાદ પેટી લઈ જવાય તો
વગર દીવાએ જ ચહેરો
અજવાળું થઈ જશે
કનકતારા તો નાના હાથોમાં જ શોભેને!
મોટો થાય ને ફટાકડાની ફેકટરી વસાવે તોય
આજે એના હાથમાં કનકતારો
ન હોય તો શું કામનું?
આટલાં બધાં કોડિયાનું નસીબ
આટલું અંધારિયું કેમ?
બહાર તો દીવા પ્રગટવાય લાગ્યા
પણ એ બધાં તો ઇલેક્ટ્રિક છે
સ્વિચ ઓન કરો ને ઝબકે
એમાં તેલ નહીં પૂરવાનું
પણ એમને કેમ કહેવું
કે કોડિયામાં તમે તેલ નહીં પૂરો
તો અમારે આંસુ પૂરવાં પડે છે…

– રવીન્દ્ર પારેખ

કવિતા સ્વયંસ્પષ્ટ છે. ધારદાર છે. રસ્તાની બાજુએ બેસીને માટીના કોડિયાં વેચતાં ગરીબ માણસ પાસે બે ઘડી ગાડી થોભાવીને આ દિવાળીમાં કોઈના જીવનમાં થોડું અજવાળું કરતો દીવો પેટાવી શકીશું?

કવિએ ઉદ્ગારચિહ્ન અને પ્રશ્નાર્થચિહ્ન તો વાપર્યા છે, પણ આખી રચનામાં ક્યાંય અલ્પ કે પૂર્ણવિરામ મૂક્યાં નથી. કદાચ ગરીબ માણસના જીવનમાં કોઈ પ્રકારના વિરામને અવકાશ હોતો નથી એટલે? કવિતાના અંતે કવિએ ગરીબ માણસની આંખમાંથી ટપકતાં આંસુ જેવા ત્રણ ટપકાં મૂક્યાં છે, એ સાચે જ અર્થપૂર્ણ જણાય છે…

લયસ્તરો તરફથી સહુ કવિમિત્રો અને વાચકમિત્રોને દિપોત્સવી પર્વની સ્નેહકામનાઓ…

Comments (5)

બાકી રહે – જયંત પરમાર

આંખમાં ભીંજાયલી કોઈક ક્ષણ બાકી રહે;
ક્યાંક કોઈ શેરમાં તારું સ્મરણ બાકી રહે.

લાગણીની સૂકી ડાળે ફૂલ ક્યાંથી આવશે,
હસ્તરેખાઓની વચ્ચે માત્ર રણ બાકી રહે.

યાદની દીવાલને હા, તોડવી સહેલી નથી,
આંસુઓની રેત પર તારાં ચરણ બાકી રહે.

સાતમા આકાશ પર લઈ જાય છે કોઈ મને,
ને છતાં આ હૉલ વચ્ચે એક જણ બાકી રહે.

ચાંદની લહેરાય છે મારી નસેનસમાં ‘જયંત’,
રક્તમાં એ સ્પર્શનું પહેલું કિરણ બાકી રહે.

– જયંત પરમાર

શાયરનો કોઈ પરિચય નથી. પણ મત્લો જોઈને અટકી જવાયું….

Comments (4)

આકાશ તડ તૂટ્યું ! – હર્ષ બ્રહ્મભટ્ટ

દરિયાના કાળજામાં પડતી તિરાડ જોઈ,
આખું આકાશ તડ તૂટ્યું !

પાણિયારે ઊતર્યાં છે પાણીના રેલા
ને કોરીકટ માટલી તો સળગે.
ત્રોફેલા સાથિયાની પાંખો તૂટે ને પછી
બારીઓય ઉંબરને વળગે.
સ્મરણોના જંગલમાં લાગી ગૈ આગ
અને દુનિયા આખીનું પાણી ખૂટ્યું !
દરિયાના કાળજામાં પડતી તિરાડ જોઈ,
આંખુ આકાશ તડ તૂટ્યું !

દરિયો પહેરીને રણ આંગણમાં આવ્યું
પણ નદીઓ તો ઘરની પછીતે !
આઠમા તે આભને છાપરેથી છેક આજ
પડતું મૂક્યું છે મારા ગીતે !
કાળમીંઢ પાણીમાં વરસોથી જાળવેલું
અજવાળું કાચ જેમ તૂટ્યું !
દરિયાના કાળજામાં પડતી તિરાડ જોઈ,
આખું આકાશ તડ તૂટ્યું !

– હર્ષ બ્રહ્મભટ્ટ

એક તરફ છલોછલ સંસાધન છે અને બીજી તરફ નકરો અભાવ….કદાચ જેની જરૂર છે તે નથી, એ સિવાય અન્ય બધું જ છે.

 

Comments (3)