તું જો આજે મારી સાથે જાગશે
ચાંદ થોડો ચાંદ જેવો લાગશે !
અદી મિર્ઝા

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for રૂસ્તમ યે. ભાજીવાલા

રૂસ્તમ યે. ભાજીવાલા શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.




રૂબાઇયાત – ઓમર ખય્યામ (અનુ.: રૂસ્તમ યે. ભાજીવાલા)

ગર આવે તું મુજ સાથ કોઈ જંગલ અંદર,
લીલોટરીથી ભરપુર કોઈ વેરાણ સુંદર;
ત્યાં શાહ ને ગડા બે જણાએ એક શાંન,
તો જ પાદશાહતના દુઃખોની બુજાએ કદર.

કોઈ સુખ સમજે છે દુનિયામાં બનવે જરદાર,
કોઈ મુફલીશ રહી જીન્નત પર રાખે છે આધાર;
ગુમરાહ બીગાના એ બન્ને ખરા !
ફક્ત સંતોષમાં જ રહ્યાં છે સુખ ને કરાર.

ગર મલે તુંને રહેવા એક ભાંગું મકાન,
ને ખાવાને દરરોજ ફક્ત સુકી એક નાન;
ના ગુલામ કોઈનો હોય તું, ન કોઈ તારો શેઠ,
તો તુજ સમ સુખી નહીં બીજો ઇનશાન.

આ દુન્યાને સમજું છું એક જુન્ની સરાઈ,
રહ્યો નહીં જ્યાં કાયમ કોઈ મુસાફીર ભાઈ;
શાહ ને સુલતાનો બી લાખો હજાર,
આવ્યા ને રહ્યા ને ગયા તનાઈ.

ઓ ખુદા વાસ્તે આટલું તું માનજે જરૂર
ને ફરેબીના સાહ્યાથી રેજે ભાઈ દૂર;
આ દુન્યાના તકલાદી સુખને ખાતર,
હરગીઝ ન ગુમાવીસ અમરગીનું નુર

– ઓમર ખય્યામ
(અનુ.: રૂસ્તમ યે. ભાજીવાલા)

ઓમર ખય્યામની રૂબાઈઓના અનેક અનુવાદો થયા છે. અંગ્રેજીમાં એડવર્ડ ફિટ્ઝગેરાલ્ડનો અને આપણે ત્યાં શૂન્ય પાલનપુરીનો અનુવાદ વિખ્યાત છે. પણ શું આપણે જાણી છીએ કે લગભગ સો વર્ષ પહેલાં ૧૯૨૭ની સાલમાં આ રૂબાઈઓનો અનુવાદ આપણે ત્યાં એક પારસી બાવાએ પણ કર્યો હતો? રૂસ્તમ ભાજીવાલાના અનુવાદમાંથી ચાર રૂબાઈ લયસ્તરોના ભાવકો માટે રજૂ કરીએ છીએ.

પહેલી નજરે અટપટી જણાતી પારસી ગુજરાતી ભાષાની મીઠાશ જરા ધ્યાન આપતાંવેંત હૈયાને સ્પર્શી જશે.

જંગલની અંદર, જ્યાં જંગલ એટલું ગાઢ હોય કે રણ સમું વેરાન લાગે, એવી જગ્યાએ રાજા અને રંક બંને એકસમાન છે. આવી જગ્યાએ જ્યાં રણ અને જંગલ એક થાય છે, ત્યાં તું જો મારી સાથે આવે તો તને પાદશાહના દુઃખોની કદર થશે.

કોઈને લાગે છે કે પૈસાદાર બનવું જ દુનિયાનું ખરું સુખ છે તો કોઈ મુફલિસ રહીને સુખ માટે સ્વર્ગ પર આધાર રાખે છે; પણ આ બંને ખરેખર ગુમરાહ અને બેગાના છે, કેમ કે હકીકતમાં તો સંતોષમાં જ ખરા સુખશાંતિ રહ્યાં છે.

ભલે રહેવાને એક ભાંગ્યું મકાન હોય ને ખાવાને રોજ એક સૂકું નાન મળે, પણ અગર તમે કોઈના ગુલામ ન હો અને કોઈ તમારો શેઠ ન હોય તો તમારા જેવો સુખી બીજો કોઈ ઇન્સાન નથી.

આ દુનિયા એક જૂનું મુસાફરખાનું છે, જ્યાં કોઈ મુસાફર કાયમ રહેવાને આવતો નથી. લાખો હજાર બાદશાહો અને સુલતાનો પણ આવ્યા, રહ્યા અને ચાલ્યા ગયા. આપણે સહુ પળ-બે પળ અહીં રહેવાનાં છીએ.

ખુદાને ખાતર પણ તું ધોખા-ફરેબીના પડછાયાથી દૂર રહેવાની આ સલાહ માનજે. આ દુનિયાનું તકલાદી સુખ મેળવવા માટે સ્વર્ગનું નૂર હરગીઝ ગુમાવીશ નહીં.

Comments (3)