હકીકત છે નથી પહોંચ્યો પરમ તૃપ્તિની સરહદ પર,
છતાં છે એય સાચું પ્યાસમાંથી બહાર આવ્યો છું.
મનોજ ખંડેરિયા

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for April, 2015

ગઝલ – પરાજિત ડાભી

લખવા જેવું કાંઈ નથી ને તોય લખું છું – પાગલ છું હું
કહેવા જેવું કાંઈ નથી ને તોય કહું છું – પાગલ છું હું.

ભીડની વચ્ચે જન્મેલો છું, ભીડ મને ભીંસે છે કાયમ,
ખસવા જેવું કાંઈ નથી ને તોય ખસું છું – પાગલ છું હું.

ચારે કોર પડ્યા છે પથ્થર, ચકમકનો આભાસ ધરીને,
ઘસવા જેવું કાંઈ નથી ને તોય ઘસું છું – પાગલ છું હું.

સાચા-ખોટા, અસલી-નકલી, બંધન તોડી મુક્ત થવાને,
મથવા જેવું કાંઈ નથી ને તોય મથું છું – પાગલ છું હું.

ફેલાઈ છે ગંધ હવામાં, મરતા માણસનાં મડદાંની,
શ્વસવા જેવું કાંઈ નથી ને તોય શ્વસું છું – પાગલ છું હું.

આમ જુઓ તો ભીડ શહેરમાં, આમ જુઓ તો ખાલીખમ છે,
વસવા જેવું કાંઈ નથી ને તોય વસું છું – પાગલ છું હું.

– પરાજિત ડાભી

ગઝલની લાંબી રદીફ ક્યારેક મરાલીની ડોકમાં અધમણ દાગીનાની જેમ ગઝલ પર ચડી બેસતી હોય છે. પણ કવિ અહીં લાંબી રદીફની હારોહાર કાફિયા બેવડાવીને ધારી અસર ઉપજાવવામાં અને ગઝલનું અંતર્ગત સૌંદર્ય ઉજાગર કરવામાં સફળ રહ્યા છે.

Comments (6)

ગભરાઈ જાય – હર્ષ બ્રહ્મભટ્ટ

ભીડ દેખીને સદા હરખાઈ જાય,
જો મળે ખુદને જ તો ગભરાઈ જાય.

વીજળીને ક્યાં હવે તકલીફ દઉં ?
તું મને કારણ વગર વીંટળાઈ જાય.

સ્વર્ગમાં બસ એટલે આવ્યો નહીં,
એને ના કહેવાનું કંઈ કહેવાઈ જાય.

રોજ નીકળે છે મને મળવા અને,
ક્યાંક રસ્તામાં કશે રોકાઈ જાય !

ફૂલ આપે કોઈ દર્પણ ના ધરો,
ક્યાંક એવું ના બને કરમાઈ જાય.

– હર્ષ બ્રહ્મભટ્ટ

મત્લાનો શેર જુઓ – આ હકીકત આપણે રોજિંદા જીવનમાં સ્પષ્ટ જોઈ શકીએ છીએ. જરૂર વગરનું બોલવું, કારણ વગર મોબાઈલ ચેક કાર્ય કરવો, ફેસબુક પર બેસી રહેવું……આ બધી પોતાની જાત થી ભાગવાની પ્રવૃત્તિઓ નથી તો બીજું શું છે ! ક્યારેક એરપોર્ટ ઉપર દીર્ઘ રોકાણ હોય ત્યારે નવરાશમાં માણસો હું શું કરતા હોય છે તેનો અભ્યાસ રોચક હોય છે !

Comments (2)

રાત્રિ – રોબર્ટ ફ્રોસ્ટ અનુ – નિરંજન ભગત

I have been one acquainted with the night.
I have walked out in rain—and back in rain.
I have outwalked the furthest city light.

I have looked down the saddest city lane.
I have passed by the watchman on his beat
And dropped my eyes, unwilling to explain.

I have stood still and stopped the sound of feet
When far away an interrupted cry
Came over houses from another street,

But not to call me back or say good-bye;
And further still at an unearthly height,
One luminary clock against the sky

Proclaimed the time was neither wrong nor right.
I have been one acquainted with the night.

ખબર છે મને રાત્રિની
વરસાદમાં બહાર ગયો છું – ને પાછો ફર્યો છું
શહેરના છેક છેલ્લા દીવાની પર ગયો છું હું.

શહેરની સૌથી ઉદાસ શેરીમાં નજર નાખી છે મેં.
પહેરો ભરતા ચોકીદારની પડખેથી પસાર થયો છું હું
અને ખુલાસા ટાળવા આંખો નીચી ઢાળી છે મેં.

હું શાંત ઊભો રહી ગયો છું, પગલાંનો અવાજ દબાવી દીધો છે મેં.
જયારે દૂર-દૂરથી કોઈ અચકાતો અવાજ
બાજુની શેરીમાંથી ઘરો પરથી કૂદીને આવતો હતો.

પણ મને પાછો બોલવવા કે આવજો કહેવાને નહીં.
અને એનાથીયે દૂર કોઈ ઊર્ધ્વ અ-ધર સ્થાને
આકાશમાં એક ઉજ્જવળ ઘડિયાળે

ઉદઘોષ કર્યો હતો કે કાળ ન’તો ખોટો કે ન’તો ખરો.
ખબર છે મને રાત્રિની.

– રોબર્ટ ફ્રોસ્ટ અનુ – નિરંજન ભગત

અનુવાદ સાથે સંમત થઇ શકાતું નથી. મૂળ અંગ્રેજી કાવ્ય વાંચતા કાવ્યનું હાર્દ સરળતાથી પકડાય છે. નીચે ટિપ્પણ અંગ્રેજી મૂળ કાવ્યને આધારે લખ્યું છે :-

પ્રથમ પંક્તિનો શબ્દ ‘one’ અનુવાદમાં ધ્યાનમાં લેવાયો જ નથી તેથી આખો અર્થ જ ફેરવાઈ જાય છે. કૈંક આવો શબ્દાર્થ બેસે છે – ‘ રાત્રિથી પરિચિત હોય એવો એક હું છું.’ પરંતુ આ શબ્દાર્થ મૂકતાં ભાવાર્થ બેસતો નથી. પ્રથમ છ પંક્તિઓમાં એક એકલતા, નિરાશા, કિંકર્તવ્યમૂઢતા, ઉદ્દેશ્યહીનતા અને ઉદાસીનું ભાવવિશ્વ નિર્માય છે. વરસાદી રાતે એકલા નિરુદ્દેશે ચાલવું, કોઈ સાથે આંખો ન મેળવવી, નિર્જન શહેર-ગલીઓ ઈત્યાદિ આ ભાવવિશ્વ નિર્મિત કરે છે. સાતમી પંક્તિથી ભાવ બદલાય છે – દૂર-સુદૂર થી એક ધ્વનિ કવિને અટકાવી દે છે. કવિને ઉદ્દેશતો એ સાદ નથી. આકાશનો ચન્દ્ર એક ઘડિયાળની જેમ સમયની ગતિ ઈંગિત કરતો ઉદઘોષે છે કે – કાળ કદી સાચો કે ખોટો હોતો નથી……અર્થાત આપણું અર્થઘટન જુદું જુદું હોઈ શકે છે. કાળ નિરપેક્ષ છે. પ્રથમ પંક્તિ અંતે પાછી repeat થાય છે મતલબ એનો કૈંક ચોક્કસ સૂચિતાર્થ હોવો જ જોઈએ, પણ મને એ સમજાતો નથી. રોબર્ટ ફ્રોસ્ટ એકપણ શબ્દ બિનજરૂરી ન જ લખે.

આખા કાવ્યની સુંદરતા જે ભાવવિશ્વ ઊભું કરવામાં આવ્યું છે તેમાં જે નિપુણતાથી કાવ્યનો કેન્દ્રીય વિચાર સુપેરે સમાવિષ્ટ કરી લેવામાં આવ્યો છે- વણી લેવામાં આવ્યો છે- તેમાં છે. પ્રત્યેક પંક્તિ એકબીજીની પૂરક છે.

Comments (2)

ગઝલ – દિનેશ ડોંગરે ‘નાદાન’

દર્દનું અસ્તિત્વ પૂછી જાય છે,
કોણ મારાં અશ્રુ લૂછી જાય છે ?

સ્હેજ અમથી એ બતાવે લાગણી
(ને) આખેઆખું અંગ ધ્રુજી જાય છે.

મૌન રહું તો મારો આતમ ડંખે છે,
બોલું તો વિશ્વાસ ઊઠી જાય છે.

સુપ્ત ઇચ્છા સપનું થઈને જાગે છે,
મારું હુંપદ જ્યારે ઊંઘી જાય છે.

હું લખું છું રોજ મારું ભાગ્ય ને –
રોજ આવી કો’ક ભૂંસી જાય છે.

જ્યાં જઉં છું ત્યાં ઉદાસી હોય છે,
કોણ મારાં પગલાં સૂંઘી જાય છે ?

– દિનેશ ડોંગરે ‘નાદાન’

બધા શેર સ-રસ પણ છેલ્લા બે શિરમોર.

Comments (2)

માળો – કૃષ્ણ દવે

થોડો બાવળને આવ્યો કંટાળો.
ઑફિસમાં બોલાવી સુઘરીને પૂછ્યું કે કેટલોક બાકી છે માળો ?
થોડો બાવળને આવ્યો કંટાળો.

સુઘરી કહે કે સાહેબ પોતાનું ઘર છે કાંઈ બિલ્ડરની જેમ થોડું બાંધીએ ?
એક એક તરણાંની રાખીએ ડિટેલ, એને જાતમાં પરોવીએ ને સાંધીએ.
વ્હાલસોયાં બચ્ચાંનો હોય છે સવાલ, એમાં સ્હેજે ના ચાલે ગોટાળો…
થોડો બાવળને આવ્યો કંટાળો…

ધોધમાર ધોધમાર વરસે વરસાદ તોય છાંટાની લાગે ના બીક,
ફલૅટની દીવાલ અને ધાબાં જોયાં છે ! એક ઝાપટામાં થઈ જતાં લીક,
રેતી સિમેન્ટમાં હેત જો ભળે ને, તો જ બનતો આ માળો હૂંફાળો…
થોડો બાવળને આવ્યો કંટાળો…

ક્વૉલિટી માટે તો ધીરજ પણ જોઈએ ને ? બાવળ કહે કે ભાઈ ઑ.કે.,
ચોમાસું માથે છે એટલે કહ્યું જરાક જાવ હવે કોઈ નહીં ટોકે.
ખોટું ના લાગે તો એક વાત કહી દઉં કે –
આ ઊંધા લટકીને જે પ્લાસ્ટર કરો છો, એમાં થોડીક શરમાય છે આ ડાળો…
થોડો બાવળને આવ્યો કંટાળો…

– કૃષ્ણ દવે

સાવ સીધી લાગતી વાત પણ કવિના હાથમાં આવે એટલે કેવી અદકેરી બની જાય છે ! એક લાકડાનો ટુકડો સુથારના હાથમાં આવે ને એમાંથી ખુરશી-ટેબલ બની જાય એ કસબ આ ગીતમાં સુપેરે અનુભવી શકાય છે. (એક જમાનામાં કૃષ્ણ દવે પણ લાકડાંમાંથી ફર્નિચર બનાવવાનું કામ કરતાં હતાં, આજે સંવેદનો સાથે કામ કરીને કવિતાનું ફર્નિચર બનાવે છે)

Comments (11)

(-) – કિશોર શાહ

મેં છત્રીને પૂછ્યું
‘તારી નિયતિ શું?’
મલકાઈને એ બોલી
‘ખૂલવું-બંધ થવું
પલળવું-સુકાવું
અને માળિયાના કોઈક ખૂણે પડી રહેવું.’
મેં પૂછ્યું :
તને સંતોષ છે?
એણે કહ્યું ‘હા’
મેં પૂછ્યું : ‘કેમ?’
એણે શરમાતાં શરમાતાં કહ્યું –
‘આકાશને ઝીલવાનો રોમાંચ
તમે પુરુષો ક્યારેય નહીં સમજી શકો.’

– કિશોર શાહ

છત્રીના રૂપક વડે આખા સ્ત્રીજગતના અંતરંગ મનોભાવોનું અદભુત આકલન આપણને એક પુરુષ કવિ પાસેથી મળે છે.

Comments (11)

કરવું હતું – હેમેન શાહ

આખરી ને એક નાનકડું કથન કરવું હતું ,
એ પછી આ રંગમંડપને નમન કરવું હતું.

પ્રેમની એકાદ કવિતાનું પઠન કરવું હતું,
એમને તો રોજ એનું એ ભજન કરવું હતું.

જાતરા કરવી નહોતી મારે એકે ધામની,
ગૌણ ઝરણાંઓનાં જળનું આચમન કરવું હતું.

એ સમય, એ વય, અને એ બોલવું ઉન્માદમાં,
ક્યાં મનન કરવું હતું ? ક્યાં સંકલન કરવું હતું ?

રાહમાં મળતા રહ્યા’તા નાનામોટા છાંયડા,
બેફિકર લહેરી મુસાફરને સહન કરવું હતું.

શોધવા મથતો હતો કંઈ કેટલાંય મૂળિયાં,
વાંસળીમાંથી ફરીથી વાંસવન કરવું હતું.

સર્વ ઓગળતું રહે, જેમાં અનાદિકાળથી,
હઠ હતી કે એ જ ધુમ્મસનું વજન કરવું હતું.

– હેમેન શાહ

ચોથા શેર થી ગઝલ ઉંચકાય છે. પહેલા ત્રણ શેર નબળા લાગ્યા.

Comments (3)

સત્યનું ગાન – મકરંદ દવે

આજ સૌન્દર્યની છોડ મધુ-રાગિણી
સત્યનું ગાન ગા, લોહ-તાતું !

પ્રાણ, તેં ગીત ગાયાં સુધા-સોમનાં,
સ્વપ્ન જોયા કર્યાં નીલઘન વ્યોમનાં,
આજ તું દેખ, ભડકા જરા ભોમના,
આંખમાં જેમને મેઘ માતો નથી
પેટ પણ તો ય ટાઢું ના થાતું-
આજ સૌન્દર્યની છોડ મધુ-રાગિણી
સત્યનું ગાન ગા, લોહ-તાતું !

આયખું અંધકારે રડે દુઃખણું,
એ ન મને કદી થાય મોંસૂઝણું,
કિરણ એકાદ પ્રગટાવ તો યે ઘણું,
આપબળનું બતાવી દે એમને
છોગલું ફરકતું રંગ-રાતું –
આજ સૌન્દર્યની છોડ મધુ-રાગિણી
સત્યનું ગાન ગા, લોહ-તાતું !

વ્યર્થતા આજ વાજું વગાડી રહી,
ફૂલનાં જખ્મ ફોરમ ઉઘાડી રહી,
આજ તો ચાંદની ચીસ પાડી રહી,
લાવ, સૌન્દર્યને સફળ કરવા હવે
ભાગ્યહીણાં તણું કોઈ ભાતું ! –
આજ સૌન્દર્યની છોડ મધુ-રાગિણી
સત્યનું ગાન ગા, લોહ-તાતું !

– મકરંદ દવે

કહેવાય છે કે ‘ સત્ય સુંદર હોય છે ‘ – વિનયપૂર્વક અસંમત થાઉં છું……..સત્ય એ સત્ય છે…સુંદરતા-અસુંદરતા-કુરૂપતા પરત્વે તે નિરપેક્ષ છે.

Comments (2)

ઉદાસીની આરપાર – પ્રણવ પંડ્યા

ચારે તરફ પીડાની હવાઓ ગતિ કરે
કેવી રીતે પૂજારી પછી આરતી કરે

થોડી અસર છો કામદેવ ને રતિ કરે
બાકી ઘણુંય કામ મધુમાલતી કરે

નાવિક તું નાવનો, હું પવન થઈ વહું છતાં
ખાલી પવન તો માત્ર નાવ ડોલતી કરે

મનના આ જળને માંડ મળે સ્થિર સપાટી
ત્યાં સ્વપ્નનો સપાટો એ ન્હોતી હતી કરે

તારા વિનાની મારી ક્ષણને પૂછ, એક શખ્સ
સ્મરણો સમક્ષ શી રીતે શરણાગતિ કરે

જોઈ શક્યું છે કોણ ઉદાસીની આરપાર
આંસુ તો ફક્ત આંખની ઝળહળ છતી કરે

– પ્રણવ પંડ્યા

છ શેરની ગઝલમાં એકને બાદ કરતાં પાંચ-પાંચ શેર ઉત્તમ મળે એ ઘટના જવલ્લે જ બનતી હોય છે. કામદેવ અને રતિથીય મધુમાલતીને વિશેષ ગણતો શેર, ન્હોતી-હતી જેવો કાફિયો ગોઠવવાની કવિસૂઝ, સ્મરણ સમક્ષની શરણાગતિ જેવું કથન અને ઉદાસીની આરપાર જોવાની વાત – વાહ કવિ!

Comments (6)

ગઝલ – અશરફ ડબાવાલા

દૃશ્ય થઈ દેખાય છે તેનાથી આગળ છે કશું,
આંખ આ અંજાય છે તેનાથી આગળ છે કશું.

એટલે ચુપચાપ બેઠો છું તમારા સાથમાં;
કાનમાં કે’વાય છે તેનાથી આગળ છે કશું.

તું પલળવાની હવે વ્યાખ્યાઓ બદલી નાખજે;
વાદળાં ઘેરાય છે તેનાથી આગળ છે કશું.

નામ એને તું મરણનું આપ કે સપનું કહે;
પાંપણો બિડાય છે તેનાથી આગળ છે કશું.

આમ નહિતર આ દશામાં કેમ દીવાના હસે !
પથ્થરો ફેંકાય છે તેનાથી આગળ છે કશું.

જય-પરાજયથી અલગ અંજામ તારો આવશે;
ખેલ જે ખેલાય છે તેનાથી આગળ છે કશું.

તું ગઝલના તાલ સાથે તાલ આપી જોઈ લે;
છંદ આ જળવાય છે તેનાથી આગળ છે કશું.

– અશરફ ડબાવાલા

ગઝલની રદીફ આખા શેરને દેખીતા અર્થની આગળ એક નવો જ અર્થ આપે છે… પહેલી નજરે વાંચતા જે સમજાય છે તેનાથી આગળ છે કશું…

Comments (6)

અંટાતા પ્રશ્નોનું ગીત – પ્રફુલ્લ પંડ્યા

મારા હાથમાંથી હાથ ગયા નીકળીને
.            પગમાંથી પગલાં ફંટાઈ ગયાં એટલે…
બાકી પ્રવાસ બન્યો નિરર્થક સાવ
.            બધાં સપનાં ખર્ચાઈ ગયાં એટલે…

એવું લાગે છે કૈંક ખોટ્ટું બન્યું છે
.            સતત ખોટ્ટાને પાડી છે “હા”
સાચું કરવામાં કોઈ સાથમાં નહોતું ને
.            પાછી હિંમત પણ પાડતી’તી “ના !”
સંજોગોમાંથી બધા નીકળી ગ્યા યોગ
.            બધા સંબંધ વિખરાઈ ગયા એટલે…

તોડફોડ આટલી મોટી નીકળશે
.            એનો સપને પણ ન્હોતો કોઈ ખ્યાલ…
પહેરી શકાય એવાં વસ્ત્રો લૂંટાઈ ગયાં
.            લૂંટાયા અઘરા સવાલ…

નીકળી ગ્યા એમાંથી સઘળા જવાબ
.            અહીં પ્રશ્નો અંટાઈ ગયા એટલે…

-પ્રફુલ્લ પંડ્યા

જરા નોખી ભાતનું ગીત… કવિ કહે છે કે આ ગીત અંટાતા પ્રશ્નોનું ગીત છે પણ સહજ સમજાય છે કે આ ગીત આપણા બધાનું જ છે.. આપણી જિંદગીનું જ ગીત છે…

Comments (3)

પળની છાયા – મનોજ ખંડેરિયા

પળની છાયા તે હોય આવડી !

વીતકનું ઘાસ ઊગ્યું ખુલ્લે મેદાન
એનું હરિયાળું મૌન બધે ફરકે
ઊડતાં પતંગિયાંના રંગોની ઝાંય પડે
ઝાકળમાં ઓગળતા તડકે
સુગંધનાં પગલાંને સાચવતી બેઠી છે
પાંપણની બેય ભીની પાંદડી.

ઘેનમાં ઘેરાઈ જાઉં એવું ચોમેરથી
નીલું આકાશ મને ઘેરે
પાતળી દીવાલ બધી થઈ જાતી એવી કે
આખુંય ઘર ઊડે લ્હેરે
આભનીયે પ્હાડ દૂર ઘૂમી વળવાને
મારી આંગળીઓ થાય પવનપાવડી……

– મનોજ ખંડેરિયા

અત્યંત મુલાયમ શબ્દોમાં ગહેરી વાત કીધી છે – પળની છાયા અર્થાત કોઈક action અથવા inaction – જેના પરિણામ લંબાતા જતા પડછાયા જેવી છે…..સ્મૃતિમાં સુગંધ પણ છે અને ભીનાશ પણ છે…..કેદ કરતી દિવાલોય છે અને સ્મરણોનો નિ:સીમ વ્યાપ પણ છે…….

Comments (3)

બુઝાવી નાખો – મકરંદ દવે

– અને ફરીથી અવાજ આવ્યો : બુઝાવી નાખો,
તમે જલાવી તે મીણબત્તી બુઝાવી નાખો !

અમે થથરતા રહ્યા સુણી, શું કરીશું, ભાળી
બહાર બેઠી મનુષ્યભક્ષી સમી તલસતી કરાળ કાળી
અઘોર રાત્રી, જરાક અજવાળું ઝૂંપડીમાં,
બહાર ભૂખી ચકોર વાઘણ તણાં શું ધીમાં
સુણાય પગલાં, અને સુણાતો અવાજ મીઠો :
‘ બુઝાવી નાખો તે મીણબત્તી !’ અહા, અદીઠો
સમર્થ કોઈ પુકાર, ને આ અમે પરસ્પર
વધાવવાને, વખાણવાને અવાજને એ સદાય તત્પર.
અરે, શું ભોળા !
તમે જલાવી તે મીણબત્તી બની છે ઓળા
બધા ભયાનક, ‘ બુઝાવી નાખો !’ અવાજ જાણે
ઊગે છે સૂરજ બનીને પ્રાણે.
સહુ વખાણે
અમે કહેતા : અવાજ આવો સુણી પ્રકાશે
જુઓ, વહાણું નવીન વાશે
પરંતુ બત્તી બુઝાવવાને અહીં ન ચાલે અમારી છાતી,
અવાજની પણ આ મીણબત્તી બને બુઝાતી.

– મકરંદ દવે
[ જે. કૃષ્ણમૂર્તિનું વ્યાખ્યાન સાંભળીને ]

જે. કૃષ્ણમૂર્તિનો મુખ્ય સંદેશ હતો કે – પારકા અજવાળે પથ નહીં મળે……મળશે માત્ર આત્મવંચના. સત્ય ભાળવું હોય તો Be a light unto yourself. તેઓ તમામ પ્રકારના ધર્મ, ધર્મગુરુ, ધર્મપુસ્તકો, પંથ, સંપ્રદાય, આધ્યાત્મિક ગુરુ, અવતાર etc etc – સર્વ પ્રકારની કહેવાતી માર્ગદર્શક authorities ના પ્રખર વિરોધી હતા. આ વાક્યની ગંભીરતા સમજો – તેઓના કહેવા અનુસાર ભગવદ ગીતા ઈત્યાદીને ફેંકી દો ….. જે તમને પ્રત્યક્ષ સમજાય-અનુભવાય-આત્મસાત થાય તે જ તમારા માટેનું સત્ય. ‘તમારા માટેનું’…….-અર્થાત તે સત્ય અન્યને કોઈ જ ખપનું નહીં. કૃષ્ણનું સત્ય કૃષ્ણને મુબારક, અર્જુનનું અર્જુનને અને ગાંધીજીનું ગાંધીજીને. ગાંધીજીએ અમુક વાતની તરફેણ કરી તેથી જો તમે એમ કરવા પ્રેરાયા છો તો તે નરી મૂર્ખતા…… જ્યાં સુધી જે સ્પષ્ટતા અને નિ:શંકતાથી તમે એ સમજો છો કે શ્વાસ લેવો અનિવાર્ય છે અને શ્વાસ ન લેવાથી મૃત્યુ નિશ્ચિત છે તે જ સ્પષ્ટતા અને નિ:શંકતાથી પ્રત્યેક સત્યાન્વેષીને જે-તે સત્યનો અંતરના ઊંડાણમાંથી સાક્ષાત્કાર નહીં થાય ત્યાં સુધી કોઇપણ કંઠી બાંધીને ફરવું એ સત્યશોધનના માર્ગ આડેની સૌથી પ્રચંડ અડચણ છે.

જે. કૃષ્ણમૂર્તિ એક જ ઝાટકે આપણી વર્ષોની માન્યતાઓ અને કહેવાતી આસ્થાનો કચ્ચરઘાણ કાઢી નાખે છે. ફરીથી લખું છું- વાતની ગંભીરતા અનુભવો……આંખો બંધ કરીને વિચારો….આપણી core ને challenge છે આ. જયારે આપણે સંપૂર્ણપણે તમામ માન્યતાઓ,રૂઢિઓ,ઉછીના વિચારો, ઠાલાં રિવાજો, ભક્તિ-સમર્પણ ઈત્યાદિના ખ્યાલો વગેરે વગેરેને હ્રદયથી નિર્મૂળ કરી દઈશું ત્યારે તો આપણી યાત્રા માત્ર શરૂ થઇ શકશે !!!! આથી મોટી કોઈ ક્રાંતિ હોઈ ન શકે. આ જ કારણે જે. કૃષ્ણમૂર્તિને સાંભળ્યા-વાંચ્યા અસંખ્યએ પરંતુ તેઓની વાત જીવનમાં ઉતારનાર વેઢે ગણાય એટલા હશે…..તેઓ પોતે જ જીવનની સંધ્યાએ બોલ્યા હતા કે – I am nothing but an entertainer for people who come to listen to me.

જે. કૃષ્ણમૂર્તિનું વ્યાખ્યાન સાંભળ્યા બાદ કવિના મનોભાવ આ કાવ્યમાં આલેખાયા છે – વાત તો તદ્દન સાચી લાગે છે…….પણ……..વહેવારમાં મુકવી તો……. !!! અંતિમ ચરણમાં કવિ કહે છે કે આ અવાજ પોતે પણ એક મીણબત્તી જ નથી શું ?

Comments (4)

મળવા આવ્ય – લોકગીત

મા રે મા ! તું મને મળવા આવ્ય,
કાળી અટલસનું કાપડું લાવ્ય.
કાપડું તો માડી, ફાટી ફાટી જાય,
ગાડું ભરીને ધાન લાવ્ય.
ધાન તો માડી, ચવાઈ જાય,
તાંબા પિત્તળની હેલો લાવ્ય.
હેલ તો માડી, ભાંગી ફૂટી જાય,
પાંચ રૂપિયા રોકડા લાવ્ય.
રૂપિયા તો માડી વપરાઈ જાય,
ડાબલી ભરીને અમલ લાવ્ય.
ઘટ ઘોળું ને ઝટ ઘૂંટડા ભરું,
ને આ જલમનો છૂટકો કરું.

(લોકગીત)

લોકગીત એટલે સમાજનો ખરો પડઘો. કવિની કવિતા ઘણીવાર કળાના રસ્તે ચડીને ગુમરાહ થતી પણ દેખાય પણ લોકગીત એટલે સાંપ્રત સમયનો સીધો અરીસો જ. જુઓ આ ગીત. પહેલી જ પંક્તિમાં પરિણિતાની કાળી વ્યથા ઉજાગર થઈ જાય છે… માનો દ્વિકાર અને રે નો લહેકો દીકરીની પીડાને ધાર આપે છે. દીકરી માને મળવા બોલાવે છે. કેમ ? કેમકે વહુને પિઅર જવાની છૂટ મળી નથી. સાસરામાં પડતી તકલીફોનો ઇલાજ દીકરી દુન્યવી સામગ્રીઓમાં પહેલાં તો શોધવા મથે છે. પણ દીકરી જાણે છે કે કપડું થોડો સમય લાજ ઢાંકી શકશે, અનાજ સમયના ખાડાને ઘડીકભર પૂરશે, વાસણ-રૂપિયા આ બધું દીકરીની સમસ્યાઓનો હંગામી ઈલાજ છે.  કાયમી ઈલાજ તો અમલ ઘોળીને આ ઝેર જેવા જીવતરનો “ઝટ” આણવો એ જ છે…

આજે પણ સ્ત્રીઓની આ પરિસ્થિતિનો ખાલી કલર જ બદલાયો છે, સ્થિતિ તો એની એ જ છે…

Comments (5)

પ્રભુજીને – ઇન્દુલાલ ગાંધી

પ્રભુજીને પડદામાં રાખ મા
પૂજારી, તારા –
આતમને ઓઝલમાં નાખ મા.

વાયુ વીંઝાશે ને દીવડો હોલાશે એની
ભીતિ વંટોળિયાની ભાખ મા,
આડે ઊભો તારો દેહ અડીખમ
બાપુ, ભળી જાશે ખાખમાં.
પૂજારી, તારા –
આતમને ઓઝલમાં નાખ મા.

ઊડી ઊડીને આવ્યાં પંખી હેમાળેથી,
થાક ભરેલો એની પાંખમાં;
સાત સમંદર પાર કર્યા તોયે
નથી રે ગુમાન એની આંખમાં
પૂજારી, તારા –
આતમને ઓઝલમાં નાખ મા.

આંખનાં રતન તારાં છોને હોલાય,
છોને હીરા લૂંટાય તારા લાખના;
હૈયાનો હીરો તારો નહિ રે લૂંટાય કો’થી
ખોટા હીરાને ખેંચી રાખ મા.
પૂજારી, તારા –
આતમને ઓઝલમાં નાખ મા.

– ઇન્દુલાલ ગાંધી

 

કવિની ખૂબ જાણીતી આ રચના આજે લયસ્તરોના ભાવકમિત્રો માટે.

અંતરના દીવડાની સાચી માવજત એ ઈશ્વર સાથેની પારદર્શિતા જ હોઈ શકે પણ આપણને ડગલે ને પગલે જીવનમાં પડદાંઓ જ ઊભા કરતા રહેવાની કુટેવ પડી ગઈ છે…

 

Comments (9)

સુરતાના રંગે રમતાં… – ઊજમશી પરમાર

અમલ ચડે જો અસલ,
આતમો જઈ ચડતો આકાશે.
પરહરવાના પંથક એવા
પથરાતા પગતાશે.

મનમાં મગન થવાને
ખોલો દેહી તણા દરવાજા.

રત થાનારા રડ્યાખડ્યા,
ઝરડે અટવાતા ઝાઝા;
ઊતરે ભારો ભરમ તણો તો
હીંચો જઈ હળવાશે.

અધવચ ઊભા હડી કાઢતા
પોગ્યા જઈ પગપાળા.

આરત અસલી ધરાવનારા
બેઠાં બાંધી માળા;
સુરતા સંગે રમતાં રમતાં
ઝળહળ મારગ થાશે.

– ઊજમશી પરમાર

આંખથી નહીં, અંતરથી વાંચવાની વાત… સંસારના ભ્રમ ત્યાગીને, દુન્યવી ઉપાધિઓમાં અટવાયા કરવાને બદલે દેહના દરવાજા ખોલીને ‘અસલી’ અમલ કરી, સુરતા સાધીએ તો આતમરામ સાચા સરનામે પહોંચે…

(પરહરવું = ત્યાગ કરવો; પગતાશ = મોકળાશ; ઝરડું = (દુન્યવી) લફરાં; સુરતા = લગની, અંતર્વૃત્તિ)

Comments (3)

મને આવો ખ્યાલ પણ નહોતો – પન્ના નાયક

IMG_0491

 

હું જ
      એક ઝાડ છું 
હું જ
      એ ઝાડની ડાળી પર બેઠેલો
      કાગડો
હું જ
      એ કાગડાની ચાંચમાંની
      પૂરી
હું જ
      એ ઝાડની નીચે ઊભેલું
      શિયાળ પણ.

મને કોઈ ખ્યાલ પણ નહોતો
      કે     
મારે જીવવી પડશે
બચપણમાં સાંભળેલી
આ વારતા!

– પન્ના નાયક

 

શેક્સપિયર કહી ગયેલો કે દુનિયા એક રંગમંચ છે અને આપણે બધા પોતપોતાના પાત્ર ભજવી રહ્યા છીએ. પણ એને પણ ખ્યાલ નહીં હોય છે એક જ માણસે એકી સાથે બધા જ પાત્રો ભજવવા પડે તો કેવો હાલ થાય !

Comments (2)

સૃષ્ટિ છે એક કોયડો – રમેશ પારેખ

સૃષ્ટિ છે એક કોયડો ને અણઉકેલ છે
જાણ્યું તો જાણ્યું એ કે તે દુર્ભેદ્ય જેલ છે.

છે પગ તળે પથ્થર તરફ લઇ જાતા માર્ગ, ને
લોકો ખુદાના નકશા લઇ નીકળેલ છે.

ઉઘરાવી ઝેર, વ્હેંચે છે ખૈરાતમાં અમી
– એવું અમે તો સંત વિષે સાંભળેલ છે.

ચહેરો વીંછળતી જેના વડે મારી જિંદગી
એ જળને મૂળસોતાં સૂરજ પી ગયેલ છે.

જે કહેતું’તું – કરીશ તારા જીવમાં મુકામ
એ પંખી એનો વાયદો ભૂલી ગયેલ છે.

પહોંચ્યા છે તરસ્યા પ્રાણ સરોવર સુધી, રમેશ
કોને કહું કે એ બધું જળ ચીતરેલ છે !

                                                                                            – રમેશ પારેખ

 

આમ તો બધા શેર અલગ અલગ રીતે ચોટદાર છે, પરંતુ ત્રીજો શેર ખાસ માર્મિક છે –  ‘ એવું અમે તો સંત વિષે સાંભળેલ છે. ‘ –   અર્થાત, અમને ચોક્કસ જાતમાહિતી નથી, માત્ર આવી વાત સાંભળી છે….

Comments (6)

સપનાં – રાજેન્દ્ર શુક્લ

મ્હેંકનો મૃદુ ભાર, ભીની સ્હેજ ઝૂકી ડાળ, સપનાં,
નિષ્પલક પળની પરી, તે જોઈ રહેતો કાળ, સપનાં.

એક લટને, લ્હેરખીને લ્હેરવું નખરાળ, સપનાં.
ને પલકનું પાંખડી સમ ઝૂકવું શરમાળ, સપનાં.

લાલ, પીળી, કેસરી, નીલી, ગુલાબી ઝાળ, સપનાં,
હું, તમે, ઉપવન, વસંતોનું રૂપાળું આળ સપનાં.

હા, હજુ થાક્યાં ચરણને કોક વેળા સાંભરે છે,
આભને ઓળંગતી એ સ્વર્ણમૃગની ફાળ સપનાં.

જિંદગીને લક્ષ્ય જેવું તો કશું આમે હતું ના,
મદછકેલાં ત્યાં મળ્યાં એ, સાવ અંતરિયાળ સપનાં!

– રાજેન્દ્ર શુક્લ

આખી સુંદરતા શબ્દોના અદભૂત પ્રયોગની છે……

Comments (4)

અંધારું – પુરુરાજ જોષી

અજવાળું
ઘોંઘાટ કરે છે
અંધારું તો પવનલહરના સ્પર્શે
મંદ, મધુર સુરાવલિ છેડતું
વાયોલિન !

અંધારામાં
મઘમઘતી માટી
અંધારાથી
સંગોપિતા પૃથ્વી
પુનર્જન્મની કરે પ્રતીક્ષા…

અંધારું
જળની પાટી પર
પવને પાડ્યા અક્ષર
ભૂંસે,
ગૂંથે
શિશુઓની બીડેલ આંખમાં
સ્વપ્નો.
યુવકો માટે રચતું
વસંતોત્સવ અંધારું
ને વિરહદગ્ધ હૃદયો માટે
પાથરતું
અનંત અંધ સુરંગ.

– પુરુરાજ જોષી

અંધારાના નાના-વિધ shades ઉપસાવી આપતું મજાનું કાવ્ય. અછાંદસ હોવા છતાં કવિતાની ઘણીખરી પંક્તિઓમાં લય જળવાયેલો હોવાથી અંધારાનું સંગીત સાચે જ મંદ, મધુર વાયોલિન જેવું સંભળાય છે. કવિતાનો ઉપાડ વાંચતા જ તાઓ પંથનું મહાન વાક્ય યાદ આવે: “Darkness is eternal, light is a disturbance”

Comments (5)

ગઝલ – મેહુલ પટેલ ‘ઈશ’

તારા વિચારથી ન અહીં મારા વિચારથી
સૃષ્ટિનું ચક્ર ચાલે છે સારા વિચારથી

કોઈ ફૂલ એમાં ખીલશે, સુગંધ આપશે –
ચારે તરફ મેં મૂક્યા છે ક્યારા વિચારથી

મીઠાં પરિણામો મળે મીઠા વિચારના
ખારા રિઝલ્ટ આવશે ખારા વિચારથી

નાહકની વાહ-વાહી લૂંટી રહ્યો છું હું –
ઉંચક્યા છે મેં વિચારો તારા વિચારથી

– મેહુલ પટેલ ‘ઈશ’

કવિનું નામ ન લખ્યું હોય તો મરીઝની ગઝલમાંથી પસાર થયાની અનુભૂતિ થાય એવી સરળ ભાષા અને એવા જ ચોટદાર શેર. પણ ક્યારાવાળો શેર વાંચીએ ત્યારે સહજ વિચાર આવે કે કવિએ કેટલા વિચારપૂર્વક વિચારથી રદીફ ગોઠવી છે !

Comments (9)

Divorcee !! – નેહા પુરોહિત

સવારે એક ચકલી આવીને શાંત ઘરમાં શોર ભરી ગઈ.
ને ગાય આંગણે ઊભીને ભાંભરી,
રાતની વધેલી રોટલીની આશાએ.
કાછિયાએ શાકભાજી વાજબી ભાવે આપ્યા,
ધોબી ઇસ્ત્રી કરીને સમયસર આપી ગયેલો.
સાંજ પણ સમયસર પડેલી,
રાત પણ !
એકાદવાર મારી નજરેય અધખુલ્લા દરવાજે અથડાયેલી, પણ…..
એટલું કહે
આજે તારા પગલાં આ ઘરની દિશામાં સહેજે વળેલા ?

– નેહા પુરોહિત

છૂટાછેડાનો અર્થ પુરુષ માટે ગમે તે હોય, સ્ત્રી માટે કંઈક અલગ જ છે. નેહાની આ કવિતામાં આ સમ્-બંધવિચ્છેદમાં સ્ત્રી-સમ્-વેદન નગ્ન છરીની જેમ આપણા અહેસાસને આરપાર ચીરીને લોહી નીંગળતો કરી મૂકે છે…. ‘એકાદવાર’ ‘અધખુલ્લા’ અને ‘સહેજે’ શબ્દ પર જરા સાચવીને હાથ મૂકજો… કાંટાળી વાડના કાંટાની જેમ એ તમારી અંદર ખૂંપી ન જાય !

Comments (9)

ગઝલ – વજેસિંહ પારગી

શ્વાસ છે ને શરીર આજે છે,
જાત મારી અમીર આજે છે.

આંખ સામે કો લક્ષ્ય મૂકી દે,
હાથમાં મારા તીર આજે છે.

હુંય આસન લાગાવી બેઠો છું,
મારી ભીતર કબીર આજે છે.

દેહ દરગાહ જેવો લાગે છે,
રૂહ પણ જાણે પીર આજે છે.

– વજેસિંહ પારગી

કોઇ કોઇ કવિતા ગાઢ સંતોષમાંથી જન્મતી હોય છે. સંતોષ જ્યારે એક હદ વટાવી જાય ત્યારે માણસ અમીર-પીર-કબીર થઇ જાય છે. અમીર પછી પીર ને પછી કબીર – દિલ તર થઈ જવાની આ ત્રણ અવસ્થાઓ છે. છેલ્લા થોડા દીવસથી આ ગઝલને રોજ વાંચી રહ્યો છું. માણસ આગળના સ્તર પર જવા માટે તૈયાર થઇ જાય ત્યારે કેવી લાગણી થતી હશે એનો આછો અનુભવ આ પંક્તિઓથી પામી રહ્યો છું.

Comments (7)