કોઈ બીજાના ફોનનો નંબર લગાડતાં
આવીને મારા ટેરવે જોડાઈ જાય તું.
અંકિત ત્રિવેદી

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for February, 2010

ઊંડી વાવમાં તડકો પેસવા જાય – મકરંદ દવે

ઊંડી વાવમાં તડકો પેસવા જાય
          તો તડકો કેટલો ઊંડે પેસે ?
   પાંચ,પચીસ કે ત્રીસ પગથિયે
           બહુ બહુ ચાલીસ પગથિયે
               બહુ થયું માનીને તડકો
                           બસ કહીને બેસે;
                          કેટલો ઊંડે પેસે ?

તડકો    માપે   એટલી  ઊંડી   વાવ,
તડકો આપે  એ જ  ખરો સિરપાવ,
સાવ સાચા આ જગમાં તડકા રાવ;

તડકાને પણ તડકે મેલી કોઈ
અંદરની આંખમાં આંજી તેજ
                  આગળ વધે સ્હેજ;
ઘોર અંધારી વાવનું એને નોતરું આવે,
નોતરા સાથે કોઈ તેડાગર સાથ પુરાવે
            લો,આમ ભાળે તો ગોખમાં બેઠી
                                              મૂરતિ હસે,
જ્યાં જુએ ત્યાં વાવમાં જળના
                              દેવતા વસે,
વાવ તો લાગે જીવતી જાણે
                             નસે નસે.

પાછો વળ્યો એ જ તો પાગલ સાવ,
વાવને કહે, વાવ નહીં દરિયાવ,
તડકો પૂછે : ફૂટપટી તું લાવ !

તડકાના આ રાજમાં વાવની
                       વારતા માંડી !
હાય રે સુરતા , હાય રે ગાંડી !
                             આછી પાંખી,
આ પુરાતન વાવની ઝાંખી,
એની એકલી આંખ પુરાવે સાખી.

-મકરંદ દવે

કહેવા માટે એક નક્કર વાત છે, સુંદર કાવ્યાત્મક અભિવ્યક્તિ છે – ઇન્દ્રિયો વડે અનુભવી શકાતું જ્ઞાન એટલે તડકો અને વાવ એટલે બ્રહ્મજ્ઞાન – ઠોસ અનુભૂતિ જયારે કાવ્ય ના સ્વરૂપે બહાર આવે ત્યારે આવું સહજ કાવ્ય સર્જાતું હોય છે. આવી કવિતા ભાવક વ્યક્તિને કાવ્યપ્રેમી બનાવી દેતી હોય છે. નોંધપાત્ર પંક્તિ એ છે કે જેને ઘોર અંધારી વાવ નું નોતરું આવે તે બડભાગી જ બ્રહ્મજ્ઞાન પામવાના રસ્તે આગળ સુદ્ધાં વધી શકે – તે સિવાય નહિ. વળી ‘તેડાગર’-ગુરુ ની ભૂમિકા સ્પષ્ટ કરી છે. ત્યાંથી પાછો ફરનાર ‘પાગલ’ કહેવાયો – સ્વાભાવિક જ છે, તેના દ્રષ્ટિકોણ ધરમૂળ બદલાઈ જ ગયા હોયને !  આવા ‘પાગલો’ એ જ તો દુનિયા બદલી છે…

Comments (10)

ગઝલ – અશરફ ડબાવાલા

અર્જુને તો માત્ર એના લક્ષ્યની પૂજા કરી,
આપણે વીંધાયેલા એ મત્સ્યની પૂજા કરી.

બેઉ છેડા પર પતનની શક્યતા ભારે હતી;
એટલે સમજી વિચારી મધ્યની પૂજા કરી.

હું સમર્પિત થઈ ગયો નખશિખ શમણાંઓ ઉપર,
એણે તો સન્મુખ કે બસ શક્યની પૂજા કરી.

ટેવવશ તેં તો ‘તથાસ્તુ’ કહી મને ટાળ્યો હશે,
મેં તથાસ્તુમાં રહેલા તથ્યની પૂજા કરી.

છે અનુયાયી ગઝલના પંથનો ‘અશરફ’ ખરો,
એણે જીવનભર હૃદયના સત્યની પૂજા કરી.

– અશરફ ડબાવાલા

આમ તો આખી ગઝલ ધ્યાનાર્હ થઈ છે પણ મને ફક્ત મત્લાના શેર વિશે વાત કરવાનું મન થાય છે… આપણી ‘સામાન્ય’ નજરમાં રહેલી ખામીને કવિએ સરળતાથી વર્ણવી દીધી છે. આપણી સૌથી મોટી નબળાઈ મૂળભૂત લક્ષ્ય ચૂકી જઈને રસ્તામાં અટવાઈ પડવાની છે… સદીઓનો ઇતિહાસ તપાસો… આ જ નજરે ચડશે… આપણે ઈશ્વરને ભૂલી જઈ એના સાચા ભક્તોની ભક્તિ કરવા જ મચી પડીએ છીએ. સાધ્ય કરતાં સાધક મોટો બની બેસે છે… ગૉડ ભૂલાઈ જાય છે અને ઈશુ ખ્રિસ્ત કેન્દ્રમાં આવી જાય છે… ઈશ્વર ને અલ્લાહનું સ્થાન સાધુ-સંતો, કબીર કે મોહંમદ લઈ લે છે…

…અને છતાં આપણે કશું શીખતાં જ નથી…

Comments (13)

ગઝલ – અનિલ ચાવડા

એકધારા દોડવાની તું મૂકી દે ટેક, પ્લીઝ !
રાખ તારી સ્પીડ પર થોડીઘણી તું બ્રેક, પ્લીઝ !

રોક, મારામાં પડેલી આ તિરાડો રોક, દોસ્ત !
ભીતરેથી રોજ થાતો જાઉં છું હું ક્રૅક, પ્લીઝ !

પહાડ જેવી ભૂલ પણ ક્ષણમાં જ ઓગાળી શકે,
બે જ શબ્દો- એકનું છે નામ સૉરી, એક પ્લીઝ.

કેટલા વરસે ગયું આંખોનું વાંઝિયાપણું,
ખાવ મારા આંસુઓના બર્થ-ડેની કેક, પ્લીઝ !

જિંદગીભર જે શ્વસ્યો’તો એ કરું છું હું પરત,
હે પ્રભુ ! સ્વીકાર મારા શ્વાસનો આ ચેક, પ્લીઝ !

-અનિલ ચાવડા

દરેક યુગમાં દરેક સંસ્કૃતિમાં કવિતાએ (વ્યાપક અર્થમાં જોઈએ તો તમામ કળાઓએ) સાંપ્રત સમયનું પ્રતિબિંબ ઝીલેલું જોવા મળે છે. કોઈ પણ કળા અને એના કાળનું મૂલ્યાંકન કરીએ એટલે જે તે દેશની જે તે સમયની સભ્યતા વિશે બખૂબી જાણી શકાય…

અનિલ ચાવડાની આ ગઝલ વિશે બીજું કંઈ લખવાની જરૂર ખરી ?

Comments (34)

ફાગણ ફટાયો આયો -બાલમુકુંદ દવે

ફાગણ ફટાયો આયો, કેસરિયા પાઘ સજાયો
જોબનતા જામ લાયો, રંગ છાયો રંગ છાયો રે

પાંદરડે ઢોલ પિટાયો, વગડો મીઠું મલકાયો
શમણાની શાલ વીંટાયો, કીકીમાં કેફ ધૂંટાયો
ગોરી ધૂંઘટ ખોલાયો, નેણમાં નેણ મિલાયો
વરણાગી મન લુભાયો, રંગ છાયો રંગ છાયો રે.

કો રંગ ઊડે પિચકારીએ, કેસૂડે કામણ ઘોળ્યા
કો પાસેવાળા પડી રહ્યા, આઘાને રંગે રોળ્યા
કોઈનો ભીંજે કંચવો, કોઈના સાડી-શેલા
કોઈ ના કોરૂ રહી જશે, જી કોઈ મોડા કોઈ વ્હેલા!

-બાલમુકુંદ દવે

એમ તો હોળીને હજી થોડા દિવસોની વાર છે પણ ફાગણ તો આવી જ ગયો છે ને… તો બાલમુકુન્દ દવેના આ ખૂબ જ મજાનાં ફાગણિયા ગીતને માણવા માટે હોળીનાં દિવસ સુધી શા માટે રાહ જોવી ?  🙂

Comments (6)

હ્રદયની વાત – ખલીલ ધનતેજવી

રગ રગને રોમ રોમથી તૂટી જવાય છે,
તો પણ મઝાની વાત કે જીવી જવાય છે;
ખાલી ગઝલ જો હોય તો ફટકારી કાઢીએ,
આ તો હ્રદયની વાત છે, હાંફી જવાય છે !

– ખલીલ ધનતેજવી

Comments (13)

હસ્તક્ષેપ – ચંદ્રકાંત ટોપીવાળા

જૂનું તો થયું
દેવળ જૂનું; એમાં
તારું શું ગયું ?

દિલમાં દીવો
કરો રે દીવો કરો;
રાડો ન પાડ.

બ્રહ્મ લટકાં
કરે બ્રહ્મ પાસે; તું
ચાડી ન કર.

આ તન રંગ
પતંગ સરીખો; તો
ઊડ, રાજી થા.

તરણાં ઓથે
ડુંગર કો ન દેખે;
સાલ્લાં આંધળાં.

વ્રજ વહાલું રે
વૈકુંઠ નહિ આવું;
મેં ક્યાં બોલાવ્યો ?

ઊભા રહો તો
કહું એક વાત; હું
નવરો નથી.

પ્રેમની પીડા
તે કોને કહીએ ? ભૈ
કોઈને નહીં.

મને લાગી રે
કટારી પ્રેમની; હા
કાટ ખાધેલી.

જાગીને જોઉં
જગત દીસે નહિ;
પાછો સૂઈ જા.

-ચંદ્રકાંત ટોપીવાળા
(‘પરબ’ ફેબ્રુઆરી 2010માંથી)

આપણા બહુશ્રુત ભક્તિપદોની હાઈકુના સ્વરૂપે હળવી ઠેકડી કરવાનો આ પ્રયોગ મને તો બહુ જ ગમી ગયો. કવિતામાં બધુ ગંભીર જ હોવું જોઈએ એવો તો કોઈ નિયમ  નથી, છતાંય કેટલાય કવિઓ કારણ વગર ગંભીર રહેવાની કોશિશ કર્યા કરે છે. કવિએ આ પ્રયોગથી એ બધા ‘ચહેરા-ભારે’ (માથા-ભારે જેવું ચહેરા-ભારે)  કવિઓને ‘ટોપી’ પહેરાવવાની કોશિશ કરી છે એવું લાગે છે 🙂

Comments (30)

ધીમે ધીમે વાગ – શેખાદમ આબુવાલા

બંસી ધીમે ધીમે વાગ
મારે અંતર ભરવા રાગ
                                   બંસી….

રાગ સુણી મુજ અંતર નાચે
સૂરતણી રમઝટમાં રાચે
કેવાં મુજ ધનભાગ
                                  બંસી….

સ્મૃતિ વેરણછેરણ જાગી
રડી ઊઠ્યું મુજ હૈયું અભાગી
ઉજ્જડ મુજ ઉરબાગ
                                 બંસી….

પૂનમની એ રસભર રજની
બંસી હું ને સ્નેહલ સજની
ક્યાં એ જીવનરાગ

બંસી ધીમે ધીમે વાગ
મારે અંતર લાગી આગ

– શેખાદમ આબુવાલા

પ્રથમ પંક્તિમાં ‘રાગ’ છે અને અંતિમમાં ‘આગ’ છે અને વચ્ચે આ મધુરું કાવ્ય છે… વાત harmony ની છે, વાત ઋજુ યાદોની છે…

Comments (8)

જનની – દામોદર બોટાદકર

મીઠાં મધુ ને મીઠા મેહુલા રે લોલ,
એથી મીઠી તે મોરી માત રે,
જનનીની જોડ સખી ! નહી જડે રે લોલ.

પ્રભુના એ પ્રેમ તણી પૂતળી રે લોલ,
જગથી જુદેરી એની જાત રે … જનનીનીo

અમીની ભરેલી એની આંખડી રે લોલ,
વ્હાલનાં ભરેલાં એનાં વેણ રે … જનનીનીo

હાથ ગૂંથેલ એના હીરના રે લોલ,
હૈયું હેમંત કેરી હેલ રે … જનનીનીo

દેવોને દૂધ એનાં દોહ્યલાં રે લોલ,
શશીએ સિંચેલ એની સોડ્ય રે … જનનીનીo

જગનો આધાર એની આંગળી રે લોલ,
કાળજામાં કૈંક ભર્યા કોડ રે … જનનીનીo

ચિત્તડું ચડેલ એનું ચાકડે રે લોલ,
પળના બાંધેલ એના પ્રાણ રે … જનનીનીo

મૂંગી આશિષ ઉરે મલકતી રે લોલ,
લેતાં ખૂટે ન એની લ્હાણ રે … જનનીનીo

ધરતીમાતાયે હશે ધ્રૂજતી રે લોલ,
અચળા અચૂક એક માય રે … જનનીનીo

ગંગાનાં નીર તો વધે-ઘટે રે લોલ,
સરખો એ પ્રેમનો પ્રવાહ રે … જનનીનીo

વરસે ઘડીક વ્યોમવાદળી રે લોલ,
માડીનો મેઘ બારે માસ રે … જનનીનીo

ચળતી ચંદાની દીસે ચાંદની રે લોલ,
એનો નહીં આથમે ઉજાસ રે
જનનીની જોડ સખી ! નહી જડે રે લોલ.

– દામોદર ખુ. બોટાદકર

જનનીની સ્તુતિ કઈ ભાષામાં કયા કવિએ નથી કરી? પણ તોય લોકપ્રિયતાની ચરમસીમાઓ અડી ચૂકેલું બોટાદકરનું આ ગીત એક અલગ જ ‘ફ્લેવર’ સર્જે છે…

મધથી મીઠું તે વળી શું હોય ? અને તરસી ધરતી માટે મેઘથી અદકેરું ગળ્યું શું હોય ? પણ જગતની સઘળી મીઠાશથીય મીઠી તો મા જ હોય ને ! ગંગાના નીરમાં વધ-ઘટ થઈ શકે, વાદળના વરસવાની મોસમ હોઈ શકે, ચંદ્રની ચાંદની કળાનુસાર ક્ષીણ થઈ શકે પણ માનો પ્રેમ તો અનર્ગળ અનવરત એકધારો વહેતો જ રહેવાનો… મા તો પ્રભુના પ્રેમની પ્રસાદી છે સાક્ષાત્ ! એની જોડ ક્યાંથી જડી શકે ?

Comments (21)

ગઝલ – સ્મિતા પારેખ

જિંદગી કેવી અધૂરી હોય છે !
ક્યાં પિછાણી એને પૂરી હોય છે ?

એક હો તો મૂલ્ય છે આ શૂન્યનું,
પ્રેમ જીવનમાં જરૂરી હોય છે.

કોણ જાણે કેવી મજબૂરી રહી ?
હોય પાસે તોય દૂરી હોય છે.

વાતવાતે આમ હસતી હોઉં છું ,
વેદના ભીતર ઢબૂરી હોય છે.

રોજ આવે રક્તવર્ણી સાંજ આ ,
એક ઇચ્છા રોજ ઝૂરી હોય છે.

– સ્મિતા પારેખ

એક સરળ સહજ ગઝલ… અધૂરી ઇચ્છાના ઝૂરાપા સાથે સંધ્યાના રાતા થવાની વાત કવિએ કેવી સુંદર રીતે વણી લીધી છે!

Comments (35)

મુક્તક -સૈફ પાલનપુરી

માર્ગદર્શક બને એ સર્વ સહારા લઈ લે !
ઈશ ! તેજસ્વી બધા તારા – સિતારા લઈ લે !
તારી શક્તિનો હું એ રીતે અનુવાદ કરીશ,
મંઝિલો આવશે સામે, તું ઉતારા લઈ લે !

-સૈફ પાલનપુરી

Comments (11)

નભ ખોલીને જોયું -ચંદ્રકાન્ત શેઠ

નભ ખોલીને જોયું, પંખી નથી નથી;    
જળ ખોલીને જોયું, મોતી નથી નથી. –

સતત છેડીએ તાર,           
                       છતાં કંઈ રણકે નહીં;
આ કેવો ચમકાર ! –         
                                કશુંયે ચમકે નહીં !

ખોલી જોયા સૂર, હલક એ નથી નથી;    
ખોલી જોયાં નૂર, નજર એ નથી નથી. –

લાંબી લાંબી વાટ,              
                          પહોંચતી ક્યાંય નહીં;
આ પગલાં ક્યાં જાય ?
                              મને સમજાય નહીં;

આ તે કેવો દેશ ?! – દિશા જ્યાં નથી નથી !   
આ મારો પરિવેશ ? – હું જ ત્યાં નથી નથી ! –

-ચંદ્રકાન્ત શેઠ

ઘોર નિરાશાનું છતાંયે પોતીકું લાગતું ગીત.  આખા ગીતમાં  ‘નથી નથી’ ની પુનરોક્તિ નિરાશાને સતત ઘૂંટી ઘૂંટીને એવી ઘોળે છે કે જેની ઘેરી અસર ભાવકનાં મન-હૃદય સુધી પહોંચ્યા વિના રહેતી જ નથી…

Comments (9)

સ્વમાન – કૃષ્ણલાલ શ્રીધરાણી

માન તમારે હાથ ન સોંપ્યું;
                  કેમ કરી અપમાનશો ?
વજ્ર સમું અણભેદ હ્રદય આ,
                  શર સૌ પાછાં પામશો.

ઘન ગરજે, વાયુ ફૂંકાયે,
                 વીજળી કકડી ત્રાટકે;
બાર મેઘ વરસી વરસીને
                  પર્વત ચીરે ઝાટકે               – માન…

હિમાદ્રિ અમલિન સુહાસે
                 ઊભો આભ અઢેલતો;
આત્મા મુજ તમ અપમાનોને
                 હાસ્ય કરી અવહેલતો          – માન…

રેતી કેરા રણ ઉપર ના
                બાંધ્યા મ્હેલ સ્વમાનના;
શ્રદ્ધાના અણડગ ખડકો પર
                પાયા રોપ્યા પ્રાણના !

માન તમારે હાથ ન સોંપ્યું,
                કેમ કરી અપમાનશો ?
વજ્ર સમું અણભેદ હ્રદય આ,
                શર સૌ પાછાં પામશો.

– કૃષ્ણલાલ શ્રીધરાણી

આ ગીતની ધૃવપંક્તિનો કહેવત સમાન થઈ ગઈ છે. એલેનોર રૂઝવેલ્ટની પ્રખ્યાત વાત યાદ આવે છે, No one can make you feel inferior without your permission.

Comments (11)

ખાલી ઘડો – રાજેશ વ્યાસ ‘મિસ્કીન’

શ્વાસ ખખડે છે અને વાગે છે,
સાવ ખાલી ઘડો આ લાગે છે.

કોણ તારા વિશે ગઝલ લખવા-
આમ મારામાં રોજ જાગે છે ?

ઓણ ચોમાસું ઝટ ગયું બેસી,
ને બધાં સ્વપ્ન તો નિભાડે છે.

એક વેળા ફૂટી જઈ માણસ,
જિંદગીભર કરચ ઉપાડે છે.

ટેવવશ સાવ કાચા નખ જેવી-
રોજ મિસ્કીન રાત કાપે છે.

–  રાજેશ વ્યાસ ‘મિસ્કીન’

કાચી ઈંટોને હજુ નિભાડામાં સીંચી માંડ હોય અને ત્યારે જ વરસાદ પડે તો કાચી ઈંટોની માટી બધી પાણી સાથે વહી જાય. આ વાતને સાંકળી લઈને કવિએ ગઝલનો શીરમોર શેર ઓણ ચોમાસું… બનાવ્યો છે. અને જે કોઈએ એકાદ રાત પણ તાજી ઉદાસીના સથવારે કાપી હોય, એ બધાને છેલ્લો શેર તો પોતીકો જ લાગવાનો.

Comments (17)

સ્વર્ગ મારું – રવીન્દ્રનાથ ઠાકુર

સ્વર્ગ મારું
સ્વર્ગ ક્યાં છે જાણે છે તું એ ભાઈ ?
તેનું ઠામઠેકાણું નાહીં.
તેનો આરંભ નાહીં,નહીં રે એનો છેડો,
ઓરે, નહીં રે તેનો કેડો,
ઓરે, નહીં રે એની દિશા
ઓરે નહીં રે દિવસ, નહીં રે તેની નિશા.
ફર્યો છું તે સ્વર્ગે શૂન્યે શૂન્યે
ખાલી છલનાભર્યું ફાનસ,
કૈંક યુગયુગાંતરો ના પુણ્યે
જન્મ્યો છું આજ માટી ઉપર ધૂળ માટીનો માણસ.
સ્વર્ગ આજે કૃતાર્થ મારા દેહે,
મારા પ્રેમે, મારા સ્નેહે,
મારા વ્યાકુળ હૈયે,
મારી લાજે,મારા સાજે,મારાં દુઃખેસુખે.
મારા જન્મમૃત્યુ તરંગે
નિત્યનવી રંગછટાઓ ખેલાવે એ રંગે.
મારા ગાને સ્વર્ગ આજે
કેવું ગાજે !
મારા પ્રાણે સ્થાન પામે એ એનું,
આકાશભર્યા આનંદે એથી જોઈ મને એ રહ્યું.
દિગંગનાના આંગણે એથી બજી ઉઠ્યો આજ શંખ,
સપ્ત સાગર બજવે વિજયડંક;
એથી ફૂટી રહ્યા છે ફૂલ,
વનનાં પાને, ઝરણા ધારે, એથી આ સૌ હલચલ.
સ્વર્ગ મારું જન્મ્યું છે આ ધરતીમાતને ખોળે,
વાયરે એની ખબર છૂટી છે આનંદ-કલ્લોલે.

-રવીન્દ્રનાથ ઠાકુર (‘બલાકા’માંથી)
(અનુવાદ – ઉમાશંકર જોશી)

જીવનોત્સવનો આનંદ માણતા રવિબાબુ આ મધુર કાવ્યમાં દ્રષ્ટિગોચર થાય છે. સ્વર્ગ શોધવા આ ધરતી છોડીને કશે જવાની જરૂર શી ? એથી પણ આગળ વધીને કવિ ગાય છે કે સ્વર્ગ મારા દેહરૂપે મૂર્ત થઇને કૃતાર્થ થયું છે – સ્વર્ગ કૃતાર્થ થયું છે !!! મારા પ્રાણમાં સ્થાન પામેલું સ્વર્ગ આકાશમાં પણ ન સમય તેવડા આનંદથી મને જોઈ રહ્યું છે અને તેની અસર આ પ્રકૃતિ પર કેવી અદભૂત થઇ છે તે નિહાળો… સુખમાં સ્વર્ગ તો સૌને અનુભવાય, કવિને દુઃખમાં પણ ઈશ્વરકૃપા અનુભવાય છે.

(દિગંગના = દિક+અંગના = દિશારૂપી સુંદરી)

Comments (5)

सरहद की दोनों ओर चहकता चमन रहे (भाग – २)

ટાઇમ્સ ઑફ ઇન્ડિયા‘  અને ‘જંગ’ અખબારના ઉપક્રમે ભારત અને પાકિસ્તાન વચ્ચે હાલ ‘અમન કી આશા’નું જતન થઈ રહ્યું છે.. આ નિમિત્તે યોજવા વિચારેલ ફિલબદી મુશાયરામાં ઘણા ભારતીય કવિઓએ પોતાની રચનાઓ મોકલાવી. ગયા શનિવારે આપે આ ઉપક્રમે ભાગ – ૧ માણ્યો. આજે બીજો અને અંતિમ ભાગ…

કેટલીક રચનાઓ સરસ હોવા છતાં કવિતાના નિયમોને અનુસરતી ન હોવાના કારણે અહીં સમાવી શકાઈ નથી. આજે બારડોલી અને સુરતના કવિઓની કૃતિઓ માણીએ:

કવિ મુકુલ ચોક્સીને ગોળી-દારૂખાનાના રૂઢ થઈ ગયેલા ચલણના સ્થાને દિલોના-પ્રેમના અરૂઢ ચલન અપેક્ષિત છે:

बारूद गोलियों का न नामोनिशां रहे,
ऐसा करो की सिर्फ दिलो का चलन रहे  |

लाशें वहाँ गिरे तो यहाँ आँसू गिर पड़े,
हो जख्म इस तरफ तो वहाँ पर रुदन रहे |

બારડોલીના સંધ્યા ભટ્ટ કાંટા વિનાના ચમન અને ટુકડા વિનાના ભુવનના હિમાયતી છે:

કંટકને ચાલો આપણે ઉખાડી ફેંકીએ,
ધરતી ઉપર ફૂલોથી ચહેકતું ચમન રહે.

ટુકડાથી અહીં ચાલશે ન આપણું કશું,
બસ, આપણું તો આખું ને આખું ભુવન રહે.

ગૌરાંગ ઠાકર પ્રેમથી આગળ વધીને ઈંસાનિયત સુધી પહોં ચે છે:

उस पार तुझ में मैं रहुं, ईस पार मुझ में तुं
कुछ युं करे, हमारा मुहब्बत में मन रहे

मझहब की बात छोड के ईन्सानीयत लिखेँ
कोशिश हमारी है यहाँ शेरो-सुखन रहे

-સુરતના અગ્રસર કવિ કિરણકુમાર ચૌહાણ પણ બે દેશો વચ્ચેના સતત તણાવથી વ્યથિત છે અને ફૂલની જેમ કાંટાઓની વચ્ચે પણ મહેંકવા ઇચ્છે છે:

कब तक डरे यूँ और दिलो में घुटन रहे,
कब तक यूँ रोता और बिलखता ये मन रहे ?

आतंक से भी पेश चलो आयें इस तरह,
काँटों के बीच जैसे महकता सुमन रहे |

– સુરતના કવયિત્રી દિવ્યા મોદી સાંપ્રત ધારામાં વહી રહ્યા હોવાની પ્રતીતિ ‘ટશન’ જેવા કાફિયાપ્રયોગ વડે કરાવે છે.  એમની ગઝલમાં જે બદલાવની વાત છે એ તાજગીકર છે:

बदली  हुई  हवाए  हैं , बदली है हर  दिशा,
बदली हुई फिज़ाओमें  बदला पवन रहे.

संसार को  दिखा  दें  के  हम एक हैं सभी,
अपना ये भाईचारा ही अपना टशन रहे.

રઈશ મનીઆર સરહદની વાસ્તવિક્તા અને અનિવાર્યતા સ્વીકારી લઈને વધુ તાર્કિક વાત કરે છે:

કેવી રીતે આ વાડના વશમાં પવન રહે ?
વાદળ તો વરસે એમ ઉભયનું જતન રહે;
સરહદની આ લકીર જરૂરી ભલે ને હોય,
સરહદની બંને બાજુ મહેકતું ચમન રહે !

– અંતે ઉર્દૂ અને ગુજરાતી- મિશ્ર ભાષામાં લખેલી મારી એક બિનસરહદી ગઝલના બે શેર:

सरहद की दोनों ओर चहकता चमन रहे,
એક જ રહે હૃદય, ભલે નોખાં વતન રહે.

તારામાં મારું હિંદ ને મારામાં તારું પાક,
हर दिल में इसी आस का आवागमन रहे ।

-વિવેક મનહર ટેલર

Comments (10)

ગઝલ – વજેસિંહ પારગી

સપનાં કમળનાં દઈને વધુ ના સતાવ રે,
છે આંખ મારી જન્મથી સૂકું તળાવ રે.

છૂટી ગયાં સગપણ પછી ઘરનો લગાવ શું ?
વણજાર છૂટી ને રહ્યો સૂનો પડાવ રે.

ના હાથ મારે બાગ, ના હૈયે વસંત છે,
તું ના હવે મારી કને ગજરો મગાવ રે.

હસવું પડે તો હસ અને રડવું પડે તો રડ,
કરવું પડે તે કર, નથી બીજો બચાવ રે.

મરજી જણાવી કોઈને હું શું કરું ભલા ?
મરજી મુજબ બનતો નથી એકે બનાવ રે.

– વજેસિંહ પારગી

વિષાદના કાળા રંગે રંગાયેલી ગઝલ… જીવનની વાસ્તવિક્તાને શબ્દો વડે કવિ જાણે વધુ નજીકથી અડે છે.

Comments (22)

અજવાળાનું – રતિલાલ બી. સોલંકી

કાયમ હો કે વચગાળાનું,
વળગણ સૌને અજવાળાનું.

સંબંધોને અંકગણિત બસ,
માફક આવે સરવાળાનું.

લગભગ ચોરી એ જ કરે છે,
કામ કરે જે રખવાળાનું.

શત્રુની તાકાત નથી આ,
કાવતરું છે ઘરવાળાનું.

સોળ અહીં ને આંસુ ત્યાં છે,
કેવું બંધન વરમાળાનું !

ભર બપોરે ટાઢક-ટાઢક,
શમણું આવ્યું ગરમાળાનું.

– રતિલાલ બી. સોલંકી

કયા શે’ર વિશે લખવું એની મૂંઝવણ થઈ આવે એવા બળુકા એકેક શે’ર… સૌને અજવાળાનું જ વળગણ હોવાની કેવી સાચુકલી વાત !

Comments (3)

ગઝલ – સુરેશ વિરાણી

ખુદની કિંમત જો તમે આંકી શકો,
શક્ય છે બ્રહ્માંડને માપી શકો.

કાળમીંઢા કાળજા કૂણા પડે !
સાવ સાચું સ્મિત જો આપી શકો.

આવનારી પેઢીઓ લણતી રહે,
સદવિચારો જો તમે વાવી શકો.

માછલીએ પૂછ્યું માછીમારને :
આખ્ખો દરિયો બાનમાં રાખી શકો ?

આ પવનની પાલખી તૈયાર છે,
પુષ્પતાને જો તમે પામી શકો.

– સુરેશ વિરાણી

પોતાની જાતની ‘સાચી કિંમત’ આપણે આંકી જ ક્યાં શકીએ છીએ?  કાળમીંઢા કાળજાને કૂણા પાડી શકતા સાચા સ્મિતવાળી વાત પણ ખૂબ જ સ્પર્શી  જાય છે…

Comments (24)

એક વરસાદી ગઝલ – રઈશ મનીઆર

જો અડે જળ માટીને, નીપજે છે અડવાનો અવાજ,
તૃણ પણ ચક્ચૂર છે, સાંભળ ! લથડવાનો અવાજ.

પાંદડાં વર્ષાભીનાં, પાણી દદડવાનો અવાજ…
શાન્ત થઈ વર્ષા સુણે વરસાદ પડવાનો અવાજ.

વાદળોનું મૌન પાણીદાર છે, સાબિત થયું,
મૌનનો પણ હોય છે સાચા નીવડવાનો અવાજ.

આટલાં આંસુ અહીં આકાશનાં ઊમટી પડ્યાં,
કોણ જાણે તોય ના સંભળાયો રડવાનો અવાજ.

મેં ગણ્યો જેને વરસવાનો અવાજ, એ તો હતો-
જળશીકરનો જળશીકર સાથે ઝઘડવાનો અવાજ.

એ નથી વંટોળ, એ ઘરની દશાનો શોર છે,
બારીઓનો, બારણાંઓનો ખખડવાનો અવાજ.

એક સન્નાટો વસે મ્હારી ભીતર કોરોકટાક,
સાંભળે મોડે સુધી વરસાદ પડવાનો અવાજ.

– રઈશ મનીઆર

વરસાદમાં મન, અંતર અને આત્મા બધુ પલળે – અને પીગળે છે. અને એ ઓગળવાની ક્ષણની સાહેદીએ જ આવી ગઝલ રચાવી શક્ય છે.  કલ્પનોની રેલમછેલથી શોભતી આ ગઝલ વરસાદના અવાજની સાથે કવિના romantic affair જેવી છે.  હવે પછી જ્યારે જ્યારે વરસાદ પડવાનો અવાજ સાંભળો ત્યારે આ ગઝલ ન યાદ આવે તો પૈસા પાછા 🙂

Comments (16)

ના ખપે – ‘કાયમ’ હજારી

પાંદડાઓની વ્યથા એ કઈ રીતે કાને ધરે ?
એક ખુરશી કાજ આખા વૃક્ષને જે  વેતરે !

ભગ્ન ચૂડી, ખાલી ખોળો ને બળેલી રાખડી
જડ બનેલી જિંદગી કઈ વાતનું માતમ કરે ?

જોઈને મોટાઓનાં આ સાવ હીણાં કરતૂતો !
બાળકો મોટા થવાના ભયથી આજે થરથરે !

લાખ યત્નો આદરી આ આગને તો ઠારશું
પણ, ધુમાડો જે થયો એ કઈ રીતે પાછો ફરે ?

હોય આનાથી વધુ સંતાનનું બીજું પતન ?
ભરબજારે માતનાં વસ્ત્રો હરી ગૌરવ કરે !

માનવીની પાશવી-ખૂની લીલાઓ જોઈને
મંદિરો ને મસ્જિદોના પથ્થરો હીબકાં ભરે !

ના ખપે, એ રામ અલ્લાહ ના ખપે, હા ના ખપે
નામ માનવતાનું જેના નામથી ‘કાયમ’ મરે !

– ‘કાયમ’ હજારી

આકરા આક્રોશથી અવતરેલી આ ગઝલના સંદેશને મારે કેવી રીતે સમજાવવો ? જે સમય નથી સમજાવી શક્યો, એ સમજાવવાનું મારું શું ગજુ ?

Comments (17)

ગઝલ – મુકુલ ચોકસી

અમે માણસ વગરના ગામમાં બનશું મુખી પાછા
અમે માની લઈશું જાતને થોડા સુખી પાછા.

ફરી ગુલમહોર પીગળશે ને લાવારસ બની જાશે,
ભભૂકી ઉઠશે ઋતુઓના સૌ જવાળામુખી પાછા.

હલેસાંઓના આંસુથી નદીમાં પૂર નહિ આવે,
એ જાણી હોડીમાં બેઠેલા થઈ ચાલ્યા સુખી પાછા.

તમે આગળ વધી જઈને, અમે પાછા વળી જઈને,
બની શકીએ ના બંને પોતીકી રીતે સુખી પાછા ?

– મુકુલ ચોકસી.

માણસ સુખની શોધમાં ભટકે છે,છલનાઓને સત્ય સમજી વળગે છે. પણ તે માટે માણસને દોષ કેમ કરી દેવો ? સીમિત ઇન્દ્રિયો દ્વારા નિ:સીમ જ્ઞાનનો તાગ મેળવવો શક્ય છે શું ? સમાધાન કરીને જીવે તે વ્યવહારડાહ્યો અને જે સમાધાન ન કરી શકે અથવા તો જેનો માંહ્યલો સમાધાન કરતા ચિત્કારી ઉઠે તે સર્જક…..

Comments (13)

सरहद की दोनों ओर चहकता चमन रहे (भाग – १)

ટાઇમ્સ ઑફ ઇન્ડિયા‘ ના ઉપક્રમે ભારત અને પાકિસ્તાન વચ્ચે હાલ ‘અમન કી આશા’ નામના બીજનું સંવર્ધન પાકિસ્તાનના ‘જંગ’ અખબારના સંયુક્ત ઉપક્રમે થઈ રહ્યું છે. આ અન્વયે બે દેશના શાયરો વચ્ચે ફિલબદી (પાદપૂર્તિ) યોજવાની વિચારણા હતી અને ઇન્ટરનેટના માધ્યમનો હવાલો મને સોંપવામાં આવ્યો. કમનસીબે પાકિસ્તાનની વેબસાઇટ્સ અને અખબારોના તંત્રીઓને લખેલા એક પણ ઇ-મેલનો જવાબ સરહદપારથી હજી આવ્યો નથી… આ કાર્યક્રમને ઘણા લોકોએ વખોડ્યો પણ ખરો, પણ અમે તો એટલું જ માનીએ છીએ કે દુર્યોધન ભલે યુધિષ્ઠિર ન થાય પણ યુધિષ્ઠિર તો દુર્યોધન ન જ થાય…

દેશ-વિદેશમાં વસતા ભારતીય કવિઓએ સરહદની પેલે પાર પ્રેમભર્યો હાથ લંબાવ્યો છે… એની થોડી ઝલક:

યુ.કે.થી ગુજરાતી લિટરરી ગ્રુપ ઑફ લેસ્ટરના સેક્રેટરી દિલીપ ગજ્જર વિખરાયેલા બે દાણાઓને તસ્બીમાં પરોવી દેવા જેવી ઉદાત્ત ભાવના સાથે આવે છે:

सीमीत मनकी  पंखका निस्सीम हो विस्तार,
अब  घोंसला  है  विश्व  सभीका  सदन  रहें

तस्बीमें   पीरों   दूँ में ये  बिखरे  हुए   दाने
हरदम  खुशीमें चुरचुर  मन  और  तन  रहें

ફ્લોરિડા, અમેરિકાથી જૈફ શાયરા નઈમ ફાતિમા તૌફિક એકતાની આહલેક જગાવે છે:

हम एक हैं, हम एक हैं – नारा बुलंद हो,
सरहद की दोनों ओर चहकता चमन रहे

વડોદરાના મીનાક્ષી ચંદારાણા ગઝલની પંક્તિને બખૂબી ગીત બનાવીને પીરસે છે અને બે ધર્મ, બે પ્રાંત અને બે માણસોના મીઠા મિલનથી વાતાવરણને રંગી દે છે:

कविता हो शायरी हो, गाना हो, हो तरन्नुम,
हो भक्ति, हो तसव्वुफ, हो प्रेम, हो तगझ्झुल,
आझान आरती का मीठा मिलन रहें…
सरहद की दोनो और चहकता चमन रहें ।

-તો અમિત ત્રિવેદી સરહદને જોનારી આંખોને અંધકરાર આપે છે:

अंधी जो आंखे  देख  सके उस  लकीर को –
बोलो क्युँ देखे हम भी वो जिस पर कफन रहे

– યુ.કે.થી ગુજરાતી રાઈટર્સ ગિલ્ડના માનદ્ સેક્રેટરી શ્રી સિરાઝ પટેલ ‘પગુથનવી’ પણ કાયમી શાંતિની આશાને પુષ્ટિ આપે છે:

सरहदकी   दोनों    और   चहकता  चमन  रहे’
बेसाखता    हे    हसरत   अमनो    अमन   रहे

અમેરિકાથી ‘ઊર્મિ’ પણ અંતરો વચ્ચેના અંતરને ઓછું કરવાના મતની છે અને માથા પર કોઈ સીમા વિના વિસ્તરેલા આકાશના વિશાળ ઐક્યને દિલોમાં ઉતારવાની મધુરી વાત કરે છે:

हर दिलसे ये दुआ उठे की दूरियां हो कम,
दोंनो तरफको चैन मिले और अमन रहे.

तो क्या हुआ अलग है जमीं और अलग धरम,
यु इक बने रहे सभी जैसे गगन रहे.

-જેતપુરના તબીબ કવિ ડૉ. જે.કે. નાણાવટીનો અંદાજ-એ-બયાઁ બધાથી નિરાળો છે. એમની પંક્તિઓ દિલ પર સદાકાળ માટે અંકિત થઈ જાય અવી છે:

आदाब एक हाथ से, या दो से नमस्ते
दिलमे जरुरी खास, खयाले नमन रहे

भंवरे तो गुनगुनायेंगे, आदत ही डाल दो
मक़सद यही रहे की सलामत सुमन रहे

-અમેરિકાથી સુધીર પટેલ પણ એમની હળવી સરળ બાનીમાં ઊંડી અને ઊંચી વાત કરે છે:

हद की लकीर चाहे रहे नक़्शे पे यहां ,
दिल पे मगर ना कोइ भी हद का चलन रहे |

– સુરતના કવિઓના દિલની વાત આવતા શનિવારે….

Comments (10)

ગઝલ – શબ્દપ્રીત

નામ તારું ટેરવે સંભળાય છે
ને હથેળી સ્પર્શથી છલકાય છે

ઝાડ, માળો, ડાળને છોડ્યા પછી
એ જ પંખી આભનું થઈ જાય છે

લાગણીની લોકશાહી જોઈ લે
પાનખરમાં પર્ણ સૌ મલકાય છે

જે નથી વાંચી શકાતું શબ્દમાં
એ જ તારી આંખમાં વંચાય છે

જે મને ઉદગાર થઈ ભેટયા હતા
એ હવે પ્રશ્નાર્થ થઈ પરખાય છે

– શબ્દપ્રીત

ટેરવાં સાંભળે અને હથેળી અમૂર્તને અનુભવે એ વાત કેવી મજાની છે અને કવિએ કેવી સરસ રીતે કરી છે ! સંબંધોના અલગ-અલગ સમીકરણોને તાગવા મથતી ખૂબસુરત ગઝલ…

Comments (4)

પ્રેમમાં કયાં જાણકારી જોઈએ – મૂકેશ જોશી

પ્રેમમાં કયાં જાણકારી જોઈએ,
બસ હૃદય વરચે કટારી જોઈએ.

શ્રીહરિ ને છોકરીમાં સામ્યતા,
બેઉ પણ માટે પૂજારી જોઈએ.

આપણા ઘરમાં જ હો ચાલે નહીં,
એમના ઘરમાંય બારી જોઈએ.

નાગ ને નાગણ હવે ઘરડાં થયાં,
દીકરા જેવો મદારી જોઈએ.

એ અગાસીમાં સૂતેલાં હોય તો
ચાંદ પર મારે પથારી જોઈએ.

– મૂકેશ જોશી

આજે મૂકેશ જોશીની એક રમતિયાળ ગઝલ માણો. પહેલો શેર તો  આપણા બધાયનો માનીતો  શેર છે. એ સિવાય આપણા ઘરમાં… શેર પણ મારો ગમતો શેર છે.

Comments (7)

ગઝલ – કવિ રાવલ

ઘર છે જ નહિ – તો બોલ, ક્યાંથી હોય સરનામું ? !
આ સ્પષ્ટતા મારી – બની ગઈ એક ઉખાણું…

આંખોં જરા પહોળી કરી – પાછા જુવે સામું –
વણઝારને હોતું હશે ક્યારેય ઠેકાણું ? !…

જીવન ગતિ છે – ચાલ તેની માપતા લોકો..
જાણે કરે ધંધો, હિસાબો ને લખે નામુ…

મારી ફકીરી જાતનો સૌ ધર્મ પૂછે છે…
મન થાય તે કરવાનું ને હરવાનું, ફરવાનું..

અટકળ અને પ્રશ્નાર્થ ને આશ્ચર્યની વચ્ચે –
વ્યાખ્યા કરી – “મારાપણું” હું કેમ સમજાવું ? ! ? !

– કવિ રાવલ

જીવન પરત્વે પારદર્શક કાચ જેવો સ્પષ્ટ અને સાફ અભિગમ ધરાવતા સીધી લીટી જેવા લોકો ક્યારેક સમાજ માટે એક કોયડો બની રહે છે. કવિની એક જ હથેળીની પાંચ આંગળી સમા આ ગઝલના પાંચેય શેરમાંથી આ જ વાત ટપકી રહી છે…

Comments (14)

શોધ – પન્ના નાયક

આ મારું ઘર.
એમાં ઘણી હતી
અવરજવર,
દોડધામ.
ધીરે ધીરે ધીરે
બધા અદ્રશ્ય.
ઘર વચ્ચોવચ
હું સાવ એકલી.

આ ઘર
મેં બારીકાઈથી
ક્યારેય જોયું નહોતું.
હવે
મને દેખાઈ એની
ઊંચાઈ, પહોળાઈ, લંબાઈ.
દીવાલનો રંગ
આટલો મેલો હતો પહેલાં ?
અને
દેખાતી ઝીણી ઝીણી તિરાડો
ત્યાં હતી ખરી ?
આ ઓરડાને
બારીબારણાં હતાં ?

હું અંદર આવેલી
એ બારણું ક્યાં છે ?

– પન્ના નાયક

એક સન્નાટાની જેમ ત્રાટકતી કવિતા. મૂળસોતા ઊખડેલા મનની વિપદાનું ધારદાર વર્ણન. આ ‘શોધ’ શેની શોધ છે ? પોતાના ઘરની, પોતાના મૂળની કે પોતાની જાતની ?

Comments (5)

હવે – નિરંજન યાજ્ઞિક

ક્યાંક હળવું ક્યાંક મળવું ક્યાંક ઝળહળવું હવે
ક્યાંક ભીની રેતીમાં પગલાંનું ટળવળવું હવે

ક્યારનાં ટાંપી રહ્યાં શબ્દોને માટે ટેરવાં
ક્યાંક લીલા તૃણનું પથ્થર જેમ પાંગરવું હવે…

દૂર ટીંબે સૂર્યના કિરણોનું ડોકાવું જરા
પ્હાડમાં પથરાયેલા ધુમ્મસનું ઓગળવું હવે…

એક બાજુ હાથની નિસ્તેજ આંખો તગતગે
એક બાજુ શબ્દનું બેફામ વિસ્તરવું હવે…

રોજ ઘરની ચાર ભીંતોને ઉદાસી ઘેરતી
રોજ અવસાદી સ્વરોનું ઉંબરે ઢળવું હવે…

– નિરંજન યાજ્ઞિક

અભાવના અનુભવની, ઘેરા રંગને ઘુંટતી ગઝલ.

Comments (9)