એ વાત છે અલગ કે તમે ચાહતા નથી,
તૂટી શકે છે આમ તો કોઈ દીવાર પણ.
મનહરલાલ ચોક્સી

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for September, 2009

હાથ – યજ્ઞેશ દવે

આ હાથ
આજે કોઈ પંખી નહીં પાડે,
કોઈ ધાન નહીં વાઢે,
કોઈ ઘડો નહીં ઘડે,
કોઈ ચિત્ર નહીં દોરે,
કોઈ સ્ક્રૂ નહીં ખોલે,
કે
નહીં ખોલે કોઈ વેબસાઈટ;
આ હાથ,
આજે, સ્પર્શશે તને.

– યજ્ઞેશ દવે

Comments (8)

એ લોકો – વિપિન પરીખ

મકાન પડી ગયું
બાળક દટાઈ ગયું ને
ડોસી બચી ગઈ.
‘આમ કેમ?’ એ પ્રશ્નને
એ લોકો કાટમાળ સાથે ઉપાડી ગયા.

– વિપિન પરીખ

Comments (9)

વેચવા માંડો – શેખાદમ આબુવાલા

તિમિરના હાથે સૂરજના ઈશારા વેચવા માંડો
ગગન ખાલી કરી દો ચાંદતારા વેચવા માંડો

કિનારાની જરૂરત ક્યાં રહી છે ડૂબનારાને
કે એ ડૂબી જશે હમણાં કિનારા વેચવા માંડો

કે ઓ સોદાગરો લાચારીના સોનેરી તક આવી
ઘણી મજબૂર છે દુનિયા સહરા વેચવા માંડો

કે આ દૂરત્વના બદલામાં છે નૈકટ્યનો સોદો
કે આંસુના બદલામાં સિતારા વેચવા માંડો

જો વેચી નાખો તો સારું કે એ છે વિઘ્ન રસ્તાના
તકાદો મંઝિલોનો છે ઉતારા વેચવા માંડો

હવે બાગોને ભડકા જોઈએ ફૂલો નહીં આદમ
બુઝાઈ જાય તે પહેલા તિખારા વેચવા માંડો

હકીકતનો તો એવો તાપ છે લાચાર દુનિયામાં
કે આદમ સ્વપ્નના શીતલ ફુવારા વેચવા માંડો

– શેખાદમ આબુવાલા

તકવાદીઓની છે આ દુનિયા. અહીં તક જોઈને દિશા બદલનારા જ ફાવે છે. સમય આવે દરેક વસ્તુ પર ‘ફોર સેલ’નું લેબલ લગાડવાની તૈયારી રાખનાર તકસાધુઓ પર કવિનો કટાક્ષ છે. પ્રેમના કવિ શેખાદમે, સમય આવે રાજકિય કટાક્ષ કાવ્યો પણ ખૂબ લખેલા. કટોકટીના અરસામાં લખાયેલો એમનો સંગ્રહ ‘ખુરશી’ કદાચ આપણી ભાષાનો એકમાત્ર રાજકિય કટાક્ષ કાવ્યસંગ્રહ છે.

Comments (9)

મારી ગઝલમાં – મકરંદ દવે

અનાદિ મથામણ છે મારી ગઝલમાં,
નશીલું નિવારણ છે મારી ગઝલમાં.

અનામીની થાપણ છે મારી ગઝલમાં,
અભાગીનું ખાંપણ છે મારી ગઝલમાં.

ઉઘાડા ગગનનો શિરે આશરો છે,
ને ધરતીનું ધાવણ છે મારી ગઝલમાં.

નથી જેની માસૂમ નજર નંદવાણી,
કુંવારું એ કામણ છે મારી ગઝલમાં.

તમારી જ ભીતર બિરાજે છે તેની,
ભવોની ભલામણ છે મારી ગઝલમાં.

ફરી દિલની પાંખો ફડફડશે સુણીને,
કંઈ એવું કારણ છે મારી ગઝલમાં.

– મકરંદ દવે

ગઝલના નામે કવિ પોતાની કેફિયત બખૂબી રજૂ કરે છે. પહેલા બે શેર અર્થની દ્રષ્ટિએ સૌથી ઊંડા છે – બંને પર કવિના ઊંડા તત્વચિંતનની છાપ છે. પણ મારો સૌથી પ્રિય શેર તો છેલ્લો શેર છે.

Comments (8)

મિલનનું સ્વપ્ન – સ્નેહરશ્મિ

ત્યજીને ખોળો કો ગિરિવરતણો ને વન વનો-
તણાં ગાનો કેરા નિજ લહરમાં ઝીલી પડઘા,
કદી વા ઊંચા કો ખડક કપરા કાળ સરખા,
ગજાવીને દોડે કો તરલ મીઠી કન્યાસમ અને
ઘડીમાં ફેલાતી ઉભય તટપે, ગૌરવભરી
મહારાજ્ઞી જેવી, વહતી સરિતા જેમ ચમકે
સુણીને પ્હેલાં તો રવ ઉદધિનો – કિન્તુ ઉછળી
પછી રે’તી તે જ્યાં જ્યમ ગહનના ભવ્ય સપને,
પ્રભો ! તેવી રીતે કદી સરળ વા કષ્ટ વહતી,
કદી કાન્તારોમાં પરમ સુખના વા ખડક પે
મહા દુઃખો કેરા, ફુદડી ફરતી, જીવન-નદી
સુણે આઘાતે જ્યાં ગહન ગહરો કાળરવ ત્યાં
લખાશે ના ભાગ્યે મિલન-સપનાં તું – ઉદધિનાં ?

-સ્નેહરશ્મિ

પહાડનો ખોળો ત્યજીને અને વનોના ગીતોના પડઘા પોતાની લહેરોમાં ઝીલતી ઝીલતી નદી કદી ચંચળ કન્યાસમી ઊંચા કપરા ખડકોને ગજવતી તો કદી ગૌરવવંતી મહારાણી જેવી બંને કાંઠા છલકાવતી વહે છે અને સાગર નજીક આવતાં પહેલાં તો ઘુઘવાટા સાંભળી ચમકે છે પણ પછી ગહનમાં ભળી જવાના સપનાંનું સાફલ્યપણું નજરે ચડતા ઉછળીને દોડે છે એમ જ આ જીવનની નદી પણ કદી સરળ તો કદી કષ્ટપૂર્ણરીતે, કદી પરમ સુખના કોતરોમાં તો કદી મહાદુઃખના ખડકો વચ્ચે ફુદરડી ફરતી વહેતી રહે છે. કાળનો ગહન નાદ સંભળાય ત્યારે આઘાતથી ચમકે છે કે શું આ જીવનનદીના ભાગ્યમાં ઈશ્વરરૂપી સાગરના મિલનના સ્વપ્નનું સાફલ્ય લખાયું નથી?

Comments (4)

ગણિતનું ગીત – ગૌરાંગ ઠાકર

વરસાદી છાંટાને ગણવા શીખવાડો સરવાળો
આ બીજગણિત ને ભૂમિતિમાં આવે  છે કંટાળો

પૂછો ના બસ એક મીટરના થાય કેટલા ફૂટ,
વાદળની ટાંકીના કહો તો દઈ દઈએ ઘનફૂટ.
આ સ્ક્વેરરૂટ ને ક્યુબરૂટમાં થાય બહુ ગોટાળો.
વરસાદી છાંટાને ગણવા શીખવાડો સરવાળો

મિલકતની ખાતાવહીમાં લખવાની છે બૂમો,
વ્યાજ અમારા આંસુ છે, ને મુદ્દલમાં છે ડૂમો.
રોજમેળ શીખવોને માસ્તર માથું ના ખંજવાળો
વરસાદી છાંટાને ગણવા શીખવાડો સરવાળો

કૂટપ્રશ્નો લઇ ઝાડ ઊભું, ઉત્તરની પૂછે રીત,
વિસ્તરણ સમજાવો, મારે ફેલાવાની પ્રીત.
જગ આખામાં છાંયો કરવા જોશે કેટલી ડાળો ?
વરસાદી છાંટાને ગણવા શીખવાડો સરવાળો

આ સંબંધોના સમીકરણમાં આવે મોટી બાધા
વહાલ ઉમેરી આપો અમને બાદ કરી દો વાંધા
મારાથી માણસને ગુણું તો શું મળશે તાળો?
વરસાદી છાંટાને ગણવા શીખવાડો સરવાળો

-ગૌરાંગ ઠાકર

આજે ગૌરાંગભાઈનું એક તરોતાજા ગાણિતીક ગીત. આખા વિશ્વમાં છાંયડો કરવા કેટલી ડાળ જોઈશે એટલી સમજણ જેટલું ઝાડત્વ પણ આપણામાં ઊગી નીકળે તો સંસાર સ્વર્ગ બની જાય. ગીત ખૂબ જ સાહજિક છે એટલે વધુ પિષ્ટપેષણ નહીં કરું પણ આ સંદર્ભમાં નયન દેસાઈની ભૌમિતિક ગઝલ અને ગઝલ પ્રમેય જોવા જેવી રચનાઓ છે.

Comments (25)

ડોશી – રમેશ પારેખ

ડોશી હાડકામાં ભળભાંખળાનું કાચું અંધારું મમળાવે
પ્રભાતિયાંમાં ઘરડી જીભ ઝબોળે
નાવણનાં પાણીમાં ગંગા-જમનાનાં પુણ્ય ફંફોસે
પૂજામાં લાલાને કરચલિયાળ ચામડીનો ઉપરણો ધરે.
માગણના ખલતામાં વાડકો એક ધ્રૂજારી ઠાલવે.
ગાયકૂતરાંને બીક ચોપડેલી ચાનકી નીરે.
ઊગતા સૂરજને ઝાંખાં ઝળઝળિયાંથી વાંદે
ઘરને છીંકણીના સડાકામાં મૂંગીમૂંગી ભોગવે
ગળા નીચે ઊતરી ગયેલી વાચાનો વાછૂટમાં મોક્ષ કરે
આખ્ખું જીવતર બીજાઓના ભોગવટામાં ભાળે
જગતભરની એકલતા ઉપાડી-
વાંકી વળી ગયેલી પોતાની પીઠ અઢેલવાને
ફળિયાની ધૂળમાં શોધે ખોવાયેલા ડોસાને.

– રમેશ પારેખ

ર.પા.ની આ સંવેદનદ્યોતક કવિતામાંથી પહેલીવાર પસાર થતી વખતે એક લખલખું આખા શરીરમાં દોડી વળ્યું. વૃદ્ધાવસ્થા અને એકલતા અને લાચારીનું કેવું સજ્જડ આલેખન! ઘડપણ આવી ઊભું છે એટલે હવે ઊંઘે સાથ છોડી દીધો છે અને સૂરજ ઊગે એ પહેલાં જ પથારી છૂટી જાય છે એ વાત કવિએ પહેલી જ પંક્તિમાં કેવી મર્માળી રીતે ચાક્ષુષ કરી છે! ભળભાખળું થાય ત્યારના આછાં અંધારાને કાચું કહીને અને સામા છેડે હાડકાંનો સંદર્ભ સીવીને કવિ શરીરની નબળી કાઠીનો પણ ચિતાર વાચકને આપી દે છે. આખી કવિતામાં એક એકલી ડોશીની દિનચર્યાથી વધુ કંઈ નથી પણ આ દિનચર્યાથી વિશેષ પણ એની જિંદગીમાં બીજું કંઈ નથી. એનો સૂરજ રોજ આજ સરનામેથી ઊગવાનો અને આજ સરનામે આથમવાનો. કવિતા જેમ જેમ આગળ વધે છે એમ એમ ડોશીનું એકાંત, એકલતા અને નિઃસહાયતા વધુ ને વધુ ધારદાર બનતી જાય છે. આખા ઘરનો બોજ મૂંગા મોઢે વેંઢારવો પડે છે અને મૂંગાપણાંનો ભાર જાણે જીરવાતો ન હોય એમ આફરે ચડેલા ન કહેવાયેલા શબ્દોનો વાછૂટમાં મોક્ષ કરવાની વાત આવે ત્યારે ર.પા.ની કાવ્યશક્તિનો ચમકારો આપણને હચમચાવી દે છે. દુનિયા આખાનો બોજ ઝીલીને વાંકી વળી ગયેલી કમરથી જાણે કે ડોશી એના ખોવાઈ ગયેલા જીવનસાથીને શોધી રહી છે, કેમકે હવે એ સ્મરણો જ તો આ જિંદગીનો એકમાત્ર અને સાચો સધિયારો છે…

Comments (20)

મુક્તક – એસ. એસ. રાહી

કોને ખબર કે કેવો ખુલાસો મળ્યો હશે ?
કિન્તુ એ નક્કી છે કે દિલાસો મળ્યો હશે.
નહીં તો આ દોડતું હરણ ઊભું રહે નહીં
મૃગજળ તરફથી નક્કી જાસો મળ્યો હશે.

– એસ. એસ. રાહી

Comments (7)

તડકો – મનહર મોદી

તારો વિશેષ સ્પર્શ ફરી માણવા મળે
આકાશ હોય આંખમાં ને ચાલવા મળે

તડકો ટચાક ટેરવે ઝૂલે ને ગણગણે
મારી સમીપ એમ મને આવવા મળે

ખખડે છે દ્વાર એમનાં આવાગમન સમાં
સાચે કશું ન હોય છતાં આવ-જા મળે

ટુકડો સુંવાળું સુખ મને ના કામનું જરા
આખું મળે તો થાય, તને આપવા મળે

ઊગે છે કોઈ આંખમાં એવાંય સ્વપ્ન બે
એક દેખવા મળે ને બીજું દાઝવા મળે

– મનહર મોદી

ગઝલનું નામ છે – તડકો. સુંવાળા તડકા જેવી સંતૃપ્ત સુખની અવસ્થાની આ ગઝલ છે. મારો સૌથી પ્રિય શેર – તડકો ટચાક ટેરવે ઝૂલે – એ છે. કોઈનો સ્પર્શ કવિને પોતાની જાતની નજીક લાવે છે એ સંતોષની પળનું આવું વર્ણન કવચિત જ જોવા મળે છે. અને છેલ્લો શેર તો યાદગાર છે જ.

Comments (9)

વટાવે છે મને – હેમંત ઘોરડા

નોટોમાં વાળે છે સિક્કામાં ચલાવે છે મને
યાદ આવું છું તો સસ્તામાં વટાવે છે મને

લાલ બત્તીમાં મને ઑન કરે સાંજ ઢળે
મોડી રાતે એ વળી પાનમાં ચાવે છે મને

દિવસે કચરામાં વાળે છે એ મારા અવશેષ
રાતે બારીમાં નવેસરથી સજાવે છે મને

મારો ઉલ્લેખ થતાં એનું હસીને થૂંકવું
નામથી ગાળ સુધી ગળફામાં લાવે છે મને

કાળા લોહીનું ફરી ઘૂમરાવું પરસેવામાં
સ્પર્શ-પાતાળકૂવામાં એ તરાવે છે મને

– હેમંત ઘોરડા

કવિનો શબ્દ સચ્ચાઈ ચૂકતો નથી, સ્વસ્થતા ચૂકતો નથી ને ચોટ પણ ચૂકતો નથી… સલામ !

Comments (18)

મારું આગણ, મારું ઝાડ – જાવેદ અખ્તર

મારું આંગણ,
કેવડું મોટું, કેટલું ફેલાયેલું હતું
એમાં
મારી બધીય રમતો
સમાઈ જતી
ને આંગણની સામે હતું એ ઝાડ
જે મારાથી ઘણું ઊચું હતું
છતાં
મને વિશ્વાસ હતો કે
જ્યારે હું મોટો થઈશ
આ ઝાડની ટોચને અડકી લઈશ
વરસો બાદ
હું ઘરે પાછો આવ્યો છું
જોઈ રહ્યો છું
આ આંગણ
કેટલું નાનું છે
પણ ઝાડ તો  પહેલાં કરતાં પણ થોડું ઊંચું છે.

– જાવેદ અખ્તર

કવિ કહેવા માંગે છે કે માણસ ગમે તેટલો મોટો થાય, પોતાની યાદોથી અને સપનાઓથી મોટો કદી થતો નથી. કે પછી એ કહેવા માંગે છે કે તમે મોટા થાવ એમ એમ તમારા સપનાઓ પણ મોટા થતા જાય છે, અને છેવટે પાહોમની જેમ, આપણા ભાગે માત્ર એકથી એક વધારે મોટા સપનાઓ પાછળ દોડવાનું જ લખાયેલું હોય છે ? એક નાની કવિતામાં કવિએ ઘણા મોટા પ્રશ્નો છૂપાવેલા છે …  તમને શું લાગે છે ?

Comments (7)

વિસર્જન – ચંદ્રવદન મહેતા

પ્રભો ! છંકારી દે સકળ ગ્રહ, તારા, ઉદધિમાં,
અને સંકેલી લે ઘડીક મહીં આ રાસ રમવા;
ચઢી ચોપાસે જો, પ્રલયપૂર વ્યાપે પલકમાં,
ગ્રહી લેજે મારું દૃગજલ, ખૂટ્યે શક્તિમહિમા !

ત્રુટે ગેબી ગુહા, અનલ સરખા વિશ્વ ફરતા
ફરે ઝંઝાવાતો, ફરી ફરી બધુંયે જગ સીઝે;
ખૂટે એ વાયુ તો હૃદયભરમાં દાહ દવતા
નિસાસામાંથીયે પ્રલયપૂર તો એક ગ્રહજે !

અને પ્હાડોના જો, વીજતણખથી કોઠ જ ફૂટે,
ઊના અંગારાથી ગગનપટ વ્યાપે રજેરજે,
પરંતુ વજ્રો-શા દૃઢ વીજકડાકા કદી ખૂટે,
અરે આ હૈયાની ઉરધબક એકાદ ગ્રહજે !

નિસાસા, આંસુ ને ઉરધબક સર્વે મુજ વહી
થશે નક્કી દેવા ! તુજમય નવા સર્જન મહીં.

– ચંદ્રવદન મહેતા

થોડા દિવસો પહેલાં ધવલે એક ગઝલમાં વિસર્જનને સર્જનની પૂર્વભૂમિકારૂપે આલેખી હતી ત્યારે મને આ સૉનેટ યાદ આવ્યું હતું.

આજે ગઝલ-અછાંદસની દેમાર વર્ષામાં સૉનેટ લગભગ મૃતઃપાય થઈ ગયાં છે. અમારી કોશિશ છે કે કઠે નહીં એ રીતે આ કાવ્યપ્રકાર ભાવકો સમક્ષ નિયમિત પ્રસ્તુત કરતા રહેવો…

અહીં કવિ ઇશ્વરને પ્રલય કરવા આહ્વાન આપે છે અને બધા ગ્રહો, બધા તારાઓ સમુદ્રમાં સમાવી લેવા કહે છે અને આમ કરવામાં જો એની પ્રલયશક્તિ ઓછી પડે તો પોતાનાં આંસુઓ પણ કવિ મદદ માટે આપવા તૈયાર છે.  બધાને ભસ્મીભૂત કરતા અગ્નિને ઠારવા ઝંઝાવાતોનો વાયુ જો ખૂટી પડે તો કવિ પોતાના હૈયાના ઊના નિસાસાઓ પણ સહાયમાં દેવા તત્પર છે.  સૃષ્ટિસંહાર કાજે જો વીજતણખા ખૂટી પડે તો કવિ પોતાના હૃદયના ધબકારા આપવા ચહે છે.  કારણ કે કવિ જાણે છે કે આજની આ દુનિયામાં ઘણુંબધું બરાબર નથી અને આ વિશ્વનો પૂરો નાશ થાય તો જ નવું સર્જન સર્જનહાર પોતાની ઇચ્છા પ્રમાણે કરી શકે…  સર્જનહારના વિરાટને સાહવા પોતાના સૂક્ષ્મતમની પણ ભેટ આપવાની તીવ્રેચ્છા એ આ કવિતાનો પ્રાણ છે !

Comments (5)

સમરથ સાથ સગાઈ – ગિરીશ ભટ્ટ

કીધી – એ સમરથ સાથ સગાઈ;
એની ઊંચી ઊંચી મેડી, ઊંચી છત્તર લગાઈ.

તાણો જોડ્યો, વાણો જોડ્યો, ચિત્ત જોડ્યું સાંવરિયે;
અનહદના સ્વામીને જોડ્યો, ભીતરના મંદિરિયે.

કેવી ફૂલી-ફાલી-હું થઈ, સગપણ થકી સવાઈ !
કીધી – એ સમરથ સાથ સગાઈ.

પ્રેમ-વેલ વાવી સાંવરિયે, ને મેં સીંચ્યાં આંસુ;
પરબારું મંડાયું ઘેઘૂર ઘેઘૂર એક ચોમાસું.

તૂટી તંદરા મનની, ભાગી ભવની બધી ભવાઈ;
કીધી – એ સમરથ સાથ સગાઈ.

એવી શણગારી સ્વામીએ- જેમ ઓકળી ભીંતો;
હશે હાથ પીંછી કોમળ કે કોઈ અમૂલખ કિત્તો !

પળેપળે પામું મબલખને પળપળ થાતી નવાઈ;
કીધી – એ સમરથ સાથ સગાઈ.

– ગિરીશ ભટ્ટ

મીરાંની પ્રેમલક્ષણા ભક્તિ યાદ આવી જાય એવું અદભુત ભક્તિગીત… સમર્થ સાથે સગાઈ માંડીએ એટલે ચિત્તના એક-એક તાણાવાણા એની સાથે જોડી દેવા પડે તો જ એ અનહદનો સ્વામી ભીતરના સિંહાસને આરુઢ થાય. ભવની ભવાઈ ભાંગે ને અંદરની ને અંતરની તંદ્રા તૂટે ને આંસુઓનું સીંચન થાય ત્યારે વાત આગળ વધે… અને આટલું થાય પછી તો આપણે કશું કરવાનું બાકી જ રહેતું નથી. એના કોમળ હાથે એ જ આપણને જેમ કોઈ ભીંત ઓકળતું હોય એમ આપણને એ રીતે શણગારે છે કે આપણને દરેક પળે મબલખ મળતું જણાય અને દરેક પળ સાનંદાશ્ચર્યની ભેટ બની રહે…

Comments (6)

ચિતારમાં આવી – દિવ્યા મોદી

ભીડ પહેરી બજારમાં આવી,
યાદ તારી હજારમાં આવી.

રાત  જાણે  ખુમારમાં આવી,
ઓસ લઈને સવારમાં આવી.

ઘાસ પર છે પવનની પગલીઓ,
જોઈને હું નિખારમાં આવી.

મેઘ થઈ આંગણામાં વરસે તું,
હુંય બારીથી દ્વારમાં આવી.

રાતરાણી હસે છે પ્રાંગણમાં,
મ્હેંકની હું વખારમાં આવી.

જ્યાં પ્રવેશી ગઝલના ઘરમાં હું,
આ કલમ તેજ ધારમાં આવી.

‘પ્રેમ’ નામે અહી ઘટી ઘટના,
એ જ મારા ચિતારમાં આવી.

– દિવ્યા મોદી

યાદ ક્યારેક માણસને હજારોની ભીડમાં પણ પ્રગાઢતમ એકાંત આપી શકે છે તો ક્યારેક નીરવ એકલતામાંય ગૂંગળાવી દઈ શકે છે. યાદ વિશેનો આવો અદભુત મત્લા કદાચ આ પહેલાં ભાગ્યે જ લખાયો હશે. ભીડ પહેરીને હજારોની વચ્ચે યાદનું બજારમાં આવવાનું કલ્પન જ એટલું પ્રબળ છે કે એ શેરથી આગળ વધવાની ઇચ્છા જ ન થાય. બારીથી દ્વારમાં આવવાની વાત અને કલમના તેજ ધારમાં આવવાની વાત પણ એવી જ રોચક થઈ છે…

Comments (22)

મુક્તક – ઘાયલ

ઉપેક્ષા નથી ક્યારે પણ એની કીધી,
અમે સૌ અવસ્થાની ઈજ્જત કરી છે;
શરાબીની યૌવનમાં સોબત કરી છે,
ફકીરોની ઘડપણમાં ખિદમત કરી છે.

– ઘાયલ

Comments (4)

આયામ – મનિષા જોષી

સમયનો આયામ
વિસ્તરીને પડ્યો છે, આપણી વચ્ચે.
તું મને જીવનની ઉત્કટતાથી ઝંખે છે
અને હું મૃત્યુથી આકર્ષાઈને
તારી પાસે આવવા માગું છું.
હું રાહ જોઉં છું
તારી ભડકે બળતી ચિતા જોવાની.
સ્મશાનમાંથી પાછી આવીને
હું ફરી થોડું જીવીશ.
તારી ચિતામાં ઝંપલાવ્યા વિના જ
મારી ચામડી પર ઊઠી આવશે
દાઝવાના નિશાન.
શિશુની કુમળી ત્વચા લઈને તું ફરી જન્મશે
અને પ્રેમ કરશે એક દાઝેલી ત્વચાવાળી સ્ત્રીને.
આપણે નિયતિનાં સંતાનો છીએ
સમયનો આયામ  ભલે રહેતો આપણી વચ્ચે.

– મનિષા જોષી

અહીં મોતથી ડરવાની નહીં પણ એને સામે ચાલીને ચકાસી લેવાની તૈયારી છે – મોતનું તો આકર્ષણ છે. બે જણ વચ્ચેના – સમય અને સ્થળના અંતરનો પ્રેમમાં કોઈ મતલબ રહેતો નથી – મોતનો પણ નહીં. નિયતિના સંતાનો માટે નિયતિને અતિક્રમી જવાની એક જ સીડી છે – પ્રેમ.

Comments (11)

ટીપાંની વાત એ જ સમંદરની વાત છે – હેમેન શાહ

મુફલિસની વાત છે કે સિકંદરની વાત છે,
અંતે બહારનાં જ ક્લેવરની વાત છે.

દાવા-દલીલ-માફી-ખુલાસાનું કામ શું ?
પ્રેમી છીએ અમે ને પરસ્પરની વાત છે.

મેં પણ કરી અતીત ઉપર ભૂલથી નજર,
પથ્થર બની ગયેલ મુસાફરની વાત છે.

ઊભા રહેવા જેને મળી સોયની અણી
માલિક એ વિશ્વનો છે, મુકદ્દરની વાત છે.

જીવન સમજવું હોય તો ક્ષણનો ખયાલ કર,
ટીપાંની વાત એ જ સમંદરની વાત છે.

– હેમેન શાહ

ક્ષણનું ધ્યાન રાખી લેવાની આપણી જવાબદારી છે, સદીઓ તો એમનું પોતાનું ધ્યાન રાખી જ લેવાની છે.

Comments (15)

ચીતરું છું – નિર્મિશ ઠાકર

સવારે સવારે હ્રદય ચીંતરું છું
નર્યા ઝાકળોનો જ લય ચીતરું છું

હતી સાંજ તે અસ્ત પામી, હવે ત્યાં
નવો સૂર્ય છે તો હ્રદય ચીતરું છું

જડી આખરે એક પીંછી ક્ષણોની
હતી કલ્પના, તે સમય ચીતરું છું

નવાં સર્જનોનાં જ એંધાણ છે આ
હજી એકધારા પ્રલય ચીતરું છું.

લઘુતા તણી ‘ફ્રેમ’ માગી નથી મેં
મને હું અજય ને અભય ચીતરું છું

– નિર્મિશ ઠાકર

દરેક માણસ પોતાની જાતને મનની અંદર અજય અને અભય (અને અમર) ચીતરવા માંગતો હોય છે. કવિએ આ વાતનો પોઝિટિવ રીતે ઉપયોગ કર્યો છે. અને એનાથી આગલા શેરમાં વિસર્જનને સર્જનના એક ભાગ રૂપે જોવાની વાત પણ સરસ રીતે આવી છે.

Comments (15)

વિરહિણી – કાલિદાસ (અનુ. કિલાભાઈ ઘનશ્યામ)

નિશ્ચે એની રડી રડી હશે આંખ સૂજી ગયેલી,
ફીકા લૂખા અધર અરુણા ઉષ્ણ નિશ્વાસ નાખી;
હાથે ટેક્યું મુખ જરી જરી કેશમંથી જણાતું
મેઘે છાયું કલુષિત દિસે બિંબ શું ચન્દ્રમાનું !

બેઠેલી એ નજર પડશે દેવપૂજા વિશે કે,
કલ્પી મારી કૃષ છબી, હશે કાઢતી ચિત્રમાંહે,
કિવા હોશે પૂછતી મધુરું બોલતી સારિકાને,
સંભારે છે અલિ ! તું પિયુને લાડકી બ્હૌ હતી તે !

ઝાંખા અંગે વસન ધરીને અંકમાં રાખી વીણા,
મારા નામે પદ રચી હશે ઇચ્છતી, સૌમ્ય ! ગાવા;
તંત્રી ભીની નયનજળથી લૂછી નાખી પરાણે,
આરંભે ને ઘડી ઘડી વળી મૂર્છના ભૂલી જાયે.

પેલાં બાંધી અવધ મહીં જે માસ બાકી રહેલા,
બેઠી હોશે ગણતી, કુસુમો મૂકીને ઉંબરામાં,
કિંવા હોશે ઝીલતી રસમાં કલ્પી સંયોગ મારો,
હોયે એવા પિયુવિરહમાં કામિનીના વિનોદો.

(મેઘદૂત – ઉત્તર મેઘ, શ્લોક: ૨૪-૨૭)

– કાલિદાસ
અનુ. કિલાભાઈ ઘનશ્યામ

લગભગ બેએક હાજર વર્ષ પૂર્વે કવિ કાલિદાસે રચેલ મેઘદૂત વિરહનું મહાકાવ્ય છે. કુબેરના શ્રાપના કારણે વિરહ પામેલો અર્ધમાનવ-અર્ધદેવ સમ યક્ષ રામગિરિના આશ્રમોમાં ભટકે છે અને અષાઢના પહેલા દિવસે આકાશમાં ઘેરાયેલા વાદળો મારફતે પોતાની પ્રિયાને  પ્રેમસંદેશ મોકલાવવા જે સંવાદ કરે છે એ પ્રણયોર્મિની કાલાતીત અને શાશ્વત કવિતા છે.

પ્રસ્તુત ચાર શ્લોકોમાં કવિ યક્ષને એની પ્રિયાનું વિરહાસન્ન ચિત્ર દોરતો બતાવે છે.

હાથ ઉપર ટેકવેલું મોઢું વિખેરાઈ ગયેલા વાળ (વિરહવ્યાકુળ સ્ત્રી કેશગુંફન કરેય કોના માટે?) વચ્ચેથી જરા-જરા દેખાતું હશે, જાણે મેઘછાયા કાળા વાદળો વચ્ચેથી ડોકાતો ચન્દ્ર ! આંખોય રડી રડીને સૂજી ગયેલી હશે અને લાલ હોઠ પણ ફીકા-લૂખા પડે ગયા હશે.

યક્ષને ખાતરી છે કે વિયોગની આ વસમી ઘડીઓનો વેળાસર અંત આવે એ માટે એ પ્રોષિતભર્તૃકા બહુધા દેવપૂજામાં જ એનો સમય વ્યતીત કરતી હશે. અથવા એના વિના હું કેવો કૃષ થઈ ગયો હોઈશ એની કલ્પના મારું ચિત્ર દોરી કરતી હશે કે પછી પાંજરામાં પૂરેલ સારિકાને પૂછતી હશે કે તું તો એમની બહુ લાડકી હતી ને ? હવે એમને યાદ કરે છે ? આ સારિકા દેહના પંજરામાં કેદ આત્મા હોઈ શકે ?

અંગ પર એણે વસ્ત્રો પણ ઝાંખા જ પહેર્યા હશે… વિરહાસક્ત સ્ત્રી શણગાર પણ કોના માટે સજે ? અને ખોળામાં વીણા મૂકી એ મારા નામના પદ રચીને ગાવા ઇચ્છતી હશે પણ એકધારા વહેતા આંસુઓના કારણે તાર ભીનાં જ થયા કરતા હશે. વળી વળીને તાર લૂછીને એ ગાવું આરંભતી પણ હશે પણ આરોહ-અવરોહ સઘળું ભૂલી જતી હશે…

શાપ મુજબ વિરહની બાંધી મુદત પૂરી થવામાં કેટલા મહિનાની વાર છે તે એ ઉંબરે બેસીને ફૂલો ગોઠવીને ગણે છે. પ્રતીક્ષાની ચરમસીમાનું ઉત્કટોત્તમ ચિત્ર કવિ અહીં દોરે છે. મિલન થવા આડે તો હજી કેટલાય મહિના બાકી છે પણ એ તો અત્યારથી જ ઉંબરા પર જઈ બેઠી છે !

(અરુણા= લાલ, કલુષિત= મલિન, કૃષ= નિર્બળ, હોશે= હશે, વસન= વસ્ત્ર, તંત્રી=વીણાનો તાર, મૂર્છના=સાત સ્વરોનો ક્રમસર આરોહઅવરોહ કે થાટ, અવધ=અવધિ)

Comments (10)

પ્રતીતિ -પન્ના નાયક

પ્રેમ કરતાં કરતાં
તને થયેલા પરસેવાને
કદાચ
મારા છેલ્લા શ્વાસ
પંખો નાખી રહ્યાની
તને પ્રતીતિ થશે
ત્યારે પણ
તું
મને હડસેલીને
સહજ ઊઠી
તારાં શર્ટ કોટ ટાઈ
ને
ચકચકતાં શૂઝ પહેરી
ગાડીની ચાવી કાઢી
બંધ કરેલી બ્રીફકેઈસને ઝુલાવતો
મારા અનાવરણ મૃતદેહ તરફ
આંખથી
એકેય હરફ ઉચ્ચાર્યા વિના
વર્ષોના સહવાસને
રાખમાં ઢબૂરી દઈ
વ્યવસ્થિત મનોદશામાં પ્રતિષ્ઠિત ગૃહસ્થી બની કંઈ જ ન બન્યું હોય એમ
સડસડાટ
દાદર ઊતરી જશે…!

-પન્ના નાયક

દૈહિકરીતે યા ઐહિકરીતે અવસાન પામતી નાયિકાની આ સ્વગતોક્તિ છે. આ અછાંદસની ખૂબી એ છે કે એ સળંગ એક જ સંકુલ વાક્યનું બનેલું છે. કદાચ જીવનના આખરી શ્વાસે નાયિકાને જે વાત એ આજીવન કદાચ જાણતી જ હતી એની પાકી પ્રતીતિ થાય છે એટલે એક શ્વાસની જેમ આ આખું અછાંદસ માત્ર એક જ વાક્યમાં કોઈપણ વિરામચિહ્ન વિના જ પૂરું થાય છે.

નાયકને અપ્રતિમ પ્રેમ કરતી નાયિકા દેહસંબંધ (કદાચ પરાણે?!) બાંધવાથી નાયકને થયેલા પરસેવાને સૂકવવા આખરી શ્વાસનો પણ પંખા તરીકે ઉપયોગ કરે છે તેમાં એના પ્રેમ અને સમર્પણની ચરમસીમા એક તરફ વ્યક્ત થાય છે તો બીજી તરફ એના અનાવૃત્ત દેહ સામે ‘આંખથી’ એક હરફ પણ ઉચ્ચાર્યા વિના રોજીંદી ક્રિયાઓમાં પ્રવૃત્ત થઈ જતા સંવેદનહીન નાયકની દાદર સડસડાટ ઉતરી જવાની ક્રિયા ધારદાર વિરોધ સર્જી વાચકના સંવેદનતંત્રને હચમચાવી દે છે…!

Comments (21)

શગને સંકોરો – ગિરીશ ભટ્ટ

છોડ્યો અમે બાળપણાનો દેશ;
વેલ્યું ઉતરાવો, મારા સાહ્યબા !

ઝળહળ ઝળહળ છે રામણ-દીવડો,
ઝળહળ ફળિયા ને પરસાળ;
થનગન નાચંતો મનનો ઓરડો,
ઉંબરેથી હૈયું ભરતું ફાળ !

ઊભી છું હું લજામણી વેલ;
શરમુંને છોડાવો, મારા સાહ્યબા !

પાડે ચાંદરડાં કમખલ આભલાં,
ઝબકીને જાગે ચારે ભીંત્ય;
અચરજમાં ડૂબેલા બે ટોડલા,
ક્યાં જાણે, જગની કેવી રીત્ય ?

સાવ રે અધૂકડા, બેય કમાડ;
હળવેથી સંચરજો, મારા સાહ્યબા !

સાગ-સીસમનો જડિયલ ઢોલિયો,
ઓશિકે ઓરતાના વંન;
ખનકે કડલાં ને ધીંગી કાંબીયું
એથીયે અદકરું ખનકે મંન.

ઘૂંઘટ ખૂલવાની આવી વેળ;
શગને સંકોરો, મારા સાહ્યબા !

-ગિરીશ ભટ્ટ

પરણીને સાસરિયે જતી નવોઢાનો ઉલ્લાસ અને સંકોચ – બંને તળપદી બોલીમાં અહીં સાંગોપાંગ વ્યક્ત થયા છે. એક તરફ બાળપણ છૂટી ગયાનો મીઠો ડંખ છે તો બીજી તરફ પગ ઉંબરો ઓળંગે એ પહેલાં ફાળ ભરીને પ્રિયતમ પાસે દોડી જતું હૈયું છે. નવલા જીવનના બેય દ્વાર અધૂકડાં જ છે એટલે પરણ્યાને હળવેથી પધારવાનું લજામણી જેવું લવચીક ઇજન એક તરફ છે તો બીજી તરફ કાંબા-કડલાંના ખણકાર કરતાંય વધુ ખણકતું ઉલ્લાસોત્સાહસભર મન છે.

Comments (10)

વહેંચાઇ જવામાં લિજ્જત છે – અમૃત ‘ઘાયલ’

ગભરૂ આંખોમાં કાજળ થઈ લહેરાઈ જવામાં લિજ્જત છે;
ચર્ચાનો વિષય એ હોય ભલે ચર્ચાઈ જવામાં લિજ્જત છે.

વેચાઈ જવા કરતાંય વધુ વહેંચાઇ જવામાં લિજ્જત છે;
હર ફૂલ મહીં ખુશબો પેઠે ખોવાઈ જવામાં લિજ્જત છે.

પરવાના પોઢી જાયે છે ચિર મૌનની ચાદર ઓઢીને,
હે દોસ્ત, શમાની ચોખટ પર ઓલાઈ જવામાં લિજ્જત છે.

દુ:ખ પ્રીતનું જ્યાંત્યાં ગાવું શું? ડગલે પગલે પસ્તાવું શું?
એ જોકે વસમી ઠોકર છે પણ ખાઈ જવામાં લિજ્જત છે.

જે અંધ ગણે છે પ્રેમને તે આ વાત નહીં સમજી જ શકે,
એક સાવ અજાણી આંખથી પણ અથડાઈ જવામાં લિજ્જત છે.

બે વાત કરીને પારેવાં થઈ જાયે છે આડાંઅવળાં,
કૈં આમ પરસ્પર ગૂંથાઈ, વીખરાઈ જવામાં લિજ્જત છે.

સારાનરસાનું ભાન નથી પણ એટલું જાણું છું ‘ઘાયલ’,
જે આવે ગળામાં ઊલટથી એ ગાઈ જવામાં લિજ્જત છે.

– અમૃત ‘ઘાયલ’

આખી જીંદગી લિજ્જતપૂર્વક જીવનારા ઘાયલસાહેબને શેનામાં લિજ્જત આવે છે ?

Comments (11)

મૃત્યુ -ચંદુ મહેસાનવી

મૃત્યુ
અખબાર છે,
વહેલી સવારે તમારા ઘરમાં ઘૂસી શકે છે.

મૃત્યુ લજ્જા વગરની લલના છે,
એ તમારો હાથ ભરબજારે પકડી શકે છે.

મૃત્યુ
ખુદાબક્ષ મુસાફર છે,
વગર ટિકિટે મનફાવે ત્યાં જઈ શકે છે.

મૃત્યુ રીઢો ગુનેગાર છે
ગમે તે સ્ટેશને તમારી જિંદગીનો સામાન લઈને
ગમે ત્યારે ઊતરી શકે છે.

મૃત્યુ શર્મિલી નર્સ છે,
બીમારને આખી રાત જગાડી શકે છે.

મૃત્યુ મહાનગરનો બેશરમ તબીબ છે,
તાજી લાશ પાસે પણ બિલ માગી શકે છે.

મૃત્યુ મકાનમાલિક નથી, મૃત્યુ શહેરમાલિક છે,
મનફાવે ત્યારે નોટિસ વિના શહેર ખાલી કરાવી શકે છે.

મૃત્યુ પાગલ ખૂની છે,
ભરબપોરે સૂરતથી બૉમ્બે સેન્ટ્રલની ફ્લાઇટ કેન્સલ કરાવી શકે છે.  છતાંયે,
માત્ર મૃત્યુ જ એક વફાદાર મિત્ર છે
જે તમારો હાથ ગમે ત્યારે ગમે ત્યાં…!

-ચંદુ મહેસાનવી

થોડા દિવસ પહેલા લયસ્તરો પર જ્યારે રાવજીભાઈનાં ‘આભાસી મૃત્યુનાં ગીત’ માટે (વાચકોનાં અને વિદ્વાનોનાં) આસ્વાદની શૃંખલા ચાલી ત્યારે મને એકવાર વાંચેલું આ અછાંદસ યાદ આવ્યું હતું.  આજે અનાયાસે મળી પણ ગયું.  મૃત્યુ તો સનાતન છે, પરંતુ સરખામણીમાં એ કોના કોના જેવું છે- એની અટકળોમાં દરેક વખતે કવિ પાસે કંઈક તો કહેવાપણું છે જ. પરંતુ આ બધાનાં જેવું હોવા છતાંયે અંતે કવિને એ એક વફાદાર મિત્ર જેવું લાગે છે. અને મિત્રની સાથે મૃત્યુની સરખામણી કરતાંની સાથે જ જાણે કવિ કલમ મૂકી દે છે એમ નથી લાગતું…?   વાતેય સાચી, મૃત્યુ જો એક સાચા મિત્ર જેવું જ હોય તો પછી આગળ એની અટકળ કરવાનીયે કોઈ જરૂર રહે ખરી ?!   મને તો લાગ્યું કે અધૂરા વાક્યનાં ત્રણ ટપકાંમાં જ કવિએ કમાલ……!

કવિશ્રીનું મૂળ નામ : ચંદુલાલ ઓઝા   ::  કાવ્યસંગ્રહો: ‘તારી ગલીમાં’, ‘લક્ષ્યવેધ’, ‘પડઘા પેલા મૌનના’

Comments (15)

(સાત તાળી લીધી ને) -મનોજ્ઞા દેસાઈ

સાત તાળી લીધી ને પછી ઊંચે જોયું ને ફરી જોયું તો બાળપણું ગુમ,
આખ્ખાય ઘરના હું ખૂણાઓ જોઈ વળી ફેંદી કાઢ્યા બધા રૂમ.

ઢીંગલીની આંખો મેં સાત વાર ખોલી ને પાંચીકા ખખડાવી લીધા,
જે જે જગ્યાએ હું સંતાતી ત્યાંય મેં સાદ જો ને કેટલાય દીધા !
ચૌદે ભાષામાં બોલાવી જોયું- વ્હેર આર યુ ? કહાં ગયે તુમ ?

આંધળિયો પાટો તો રમશે કદાચ ને આવશે કે કરી દઈશ થપ્પો,
રોકી પાડીશ એને ચીતરવા ઘર અને હોડી ને દડો ગોળગપ્પો;
હોળીમાં ફુગ્ગા ને દિવાળી આવતાં શું ફોડીશ લવિંગયા કે લૂમ.

સોનાની ચરકલડી ઊડી ગઈ દૂર ને ભમરડો ભમવાનું ભૂલ્યો,
મોટેથી સાદ મેં જે દીધો આકાશે તે વાદળના ઝૂલણામાં ઝૂલ્યો;
સોનપરી, નીલપરી આવી કહે ‘બાય’ એનું પડઘાતું રૂમઝૂમ રૂમઝૂમ.

-મનોજ્ઞા દેસાઈ (૨૫ મે, ૧૯૫૮ : ૧૩ જાન્યુઆરી, ૨૦૦૯)

કાયમ માટે પિયર છોડીને જતી કન્યાની નાજુક મનોદશા કવયિત્રીએ આ ગીતમાં ખૂબ જ સુંદર રીતે આલેખી છે.  યૌવનનાં મબલખ કંકુવરણા શમણાંઓનો સાદ પણ છે પરંતુ છૂટતા બચપણનું ન છૂટતું વળગણ પણ છે.  આગળ તો જવું છે, પરંતુ પાછળનું બધું છૂટી જવાનો રંજ પણ છે.  પરણીને  સાસરે જતી કન્યા જાણે ફરી એકવાર પોતાના બાળપણાને મન ભરીને માણી લેવા માંગે છે પરંતુ ત્યારે જ એને સમજાય છે કે યૌવનની આંગળી ઝાલતાની સાથે જ એનું બાળપણું તો ક્યાંક ગુમ થઈ ગયું છે… જે હવે એને એની ઢીંગલીની આંખોમાં કે પાંચીકામાં પણ નઈં મળે.  સાસરે જનારી બધી કન્યાઓને અર્પણ કરવા જેવું ખૂબ જ મજાનું ગીત… 🙂

Comments (15)

(જે થવાનું થૈ ગયું છે) -આતિશ પાલનપુરી

જે થવાનું થૈ ગયું છે, થાય શું !
ને હવે એના ગયાની લ્હાય શું !

એમણે દીધું અમોને કૈં ઘણું,
ખોબલામાં માય તોયે માય શું !

જીવ લેશે જે અમારો એક દિન,
એ ફરેબી જિંદગીની હાય શું !

જે અહમ્ ની આગ ખુદ પીધા કરે,
એ અમોને પાય તોયે પાય શું !

સાવ ખાલી હાથ ‘આતિશ’ જન્મવું,
કોઈ પણ લૈ જાય તો લૈ જાય શું !

-આતિશ પાલનપુરી

સીધી સોંસરવી ઉતરી જતી આ ગઝલમાં મને તો કવિની નફકરાઈ ખૂબ જ મજાની લાગી.  આવી નફકરાઈથી જીવી શકનારા કદાચ જૂજ માણસો જ હશે!  જે થવાનું થૈ ગયું છે, થાય શું !-એવું તો કદાચ આપણેય  કાયમ કહેતા હોઈશું, પરંતુ તોયે એ ‘થઈ ગયા’ પછી લ્હાય કરવાની ટેવ તો આપણે બધાને જ પડી ગઈ છે.  જગતમાં ખાલી હાથે આવ્યા હતા ને ખાલી હાથે જવાનું છે– ની ફિલોસોફી રજૂ કરતો મક્તાનો શેર ખૂબ જ મજાનો થયો છે.  જો કે આવી ખૂબ જ સરળ લાગતી ફિલોસોફીઓ તો આપણે બહુ સારી રીતે જાણીએ અને સમજીએ છીએ, પરંતુ એને જીવનમાં કેટલે અંશે ઉતારી શકીએ છીએ…?

Comments (9)

(કંકુના સૂરજ આથમ્યા) – રાવજી પટેલ (ઉત્તરાર્ધ)

મારી આંખે કંકુના સૂરજ આથમ્યા…
મારી વે’લ શંગારો વીરા, શગને સંકોરો
રે અજવાળાં પહેરીને ઊભા શ્વાસ !
મારી આંખે કંકુના સૂરજ આથમ્યા…

પીળે રે પાંદે લીલા ઘોડા ડૂબ્યા;
ડૂબ્યાં અલકાતાં રાજ, ડૂબ્યાં મલકાતાં કાજ
રે હણહણતી મેં સાંભળી સુવાસ !
મારી આંખે કંકુના સૂરજ આથમ્યા…

મને રોકે પંછાયો એક ચોકમાં;
અડધા બોલે ઝાલ્યો, અડધો ઝાંઝરથી ઝાલ્યો
મને વાગે સજીવી હળવાશ !
મારી આંખે કંકુના સૂરજ આથમ્યા…

– રાવજી પટેલ
(જન્મ: ૧૫-૧૧-૧૯૩૯, મૃત્યુ: ૧૦-૦૮-૧૯૬૮)

‘લયસ્તરો’ પર પહેલીવાર ગયા અઠવાડિયે નવા પ્રયોગ તરીકે કવિતાનો આસ્વાદ તૈયાર આપવાના બદલે વાચકોને આ કાવ્યનો આસ્વાદ કરાવવા માટે ઇજન અપાયું હતું જેના સુંદર પ્રતિસાદ બદલ સહુ મિત્રોનો આભાર…

રાવજી પટેલનું આ અમર કાવ્ય અમરગઢમાં જીંથરીના રુગ્ણાલયના ખાટલે મૃત્યુને ઢૂંકડું આવી ઊભું જોઈને લખાયું છે. અહીં લય લોકગીતનો છે પણ ભાવ છે શોકગીતનો. મૃત્યુની સાક્ષાત્ અનુભૂતિ તો કદાચ અકળ છે પણ એ આંખ સામે આવીને ઊભું હોય ત્યારે જે સંવેદના થાય એનો મૃત્યુના સાક્ષાત્કાર સમો લવચિક છતાં બળકટ ચિતાર ચિત્કાર કર્યા વિના કવિએ અહીં આપ્યો છે. આ ગીતને રાવજીએ કોઈ શીર્ષક આપ્યું નથી પણ આપણે સહુ એને ‘આભાસી મૃત્યુના ગીત’ તરીકે ઓળખીએ છીએ. ઉમાશંકર જોશીએ આ રચનાને ‘રાવજીનું હંસગીત’ કહી વધાવ્યું હતું.

સુરેશ દલાલ, હરીન્દ્ર દવે જેવા ખ્યાતનામ કવિઓ અને થોડી મારી સમજણની ભેળસેળ કરીને આ ગીત ફરીથી માણીએ:

સમજાય એવું છે કે કાવ્યનાયક કવિ પોતે જ છે. એ ગૃહસ્થ છે, જુવાન છે અને આંખ સામે અડીખમ મૃત્યુ છે. આવા માણસના શ્વાસ સમેટાવાના હોય ત્યારે પહેલો વિચાર પત્નીનો, એના સૌભાગ્યનો જ આવે. સૌભાગ્ય સામે વૈધવ્ય જીતતું દેખાય ત્યારે સૌભાગ્યના પ્રતીક જેવો- કંકુના સૂરજ જેવો ચાંદલો પોતાની સગી આંખે- આથમતી આંખે દેખાય છે. ‘આથમ્યા…’ પછીનાં ત્રણ ટપકાં એ આંસુના ચિહ્ન હોઈ શકે છે અથવા કંઈક કહેવું છે અને કહેવાતું નથી એની વ્યથાના સંકેત પણ…

લગ્નગીતના લયમાં ફોરતું આ મૃત્યુગીત લગ્નની તૈયારીની જેમ જ પોતાના મૃત્યુના સામૈયાની તૈયારી કરે છે. વીરાને વે’લ શણગારવાનું અને રામણદીવડાની શગ (જ્યોત) સંકોરવાનું આહ્વાન આપી કવિ વેદનાને વલૂરે છે. લોકગીત કે લગ્નગીતમાં સામાન્યરીતે પંક્તિના અંતે આવતો ‘રે’ અહીં પદારંભે વપરાયો છે. દુઃખની વાત હોય ત્યારે આપણે ‘રે..રે… આ શું થઈ ગયું?’ કહીએ, શું એ અહીં કવિને અભિપ્રેત હશે? સૂરજ આથમે ત્યારે અંધારું થાય પણ દેહ આથમે ત્યારે શ્વાસ અજવાળાં પહેરીને ઊભા રહે છે. પાસે બળતા દીવાનું અજવાળું? ક્ષરલોકના અંધારેથી નીકળીને અક્ષરલોકના અજવાળાંની યાત્રા? तमसो मा ज्योतिर्गमय ?

પીળો રંગ રોગનો રંગ છે. પાનખરનો રંગ છે. લીલો રંગ તાજગીનો, વસંતનો, યૌવનનો રંગ છે. ઘોડો પ્રતીક છે શક્તિનો, તાકાતનો, સવીર્યતાનો. બેલગામ યૌવનના ઘોડા એક પીળા પાંદડામાં જ્યારે ડૂબી જાય છે ત્યારે માત્ર કવિ કે કાવ્યનાયક જ નહીં એની સાથે યૌવનના અગણિત સપનાંઓ, અલકાતાં-મલકાતાં રાજ-કાજ બધું જ ડૂબે છે. આનંદમાં હોઈએ ત્યારે આપણે ક્યારેક શબ્દોને બેવડાવીને બોલીએ છીએ.. અલક-મલકની વાતો… કવિ અહીં દુઃખના પ્રસંગે અલકાતાં સાથે મલકાતાં અને રાજ સાથે કાજનો માત્ર પ્રાસ નથી બેસાડતા, દુઃખની દ્વિરુક્તિ પણ કરે છે… હણહણતી સુવાસમાં ઘોડા સાથે હનહણવાનો સંદર્ભ તરત પકડાઈ જાય છે પણ જ્યાં ‘હણહણતી’ સુવાસને ‘સાંભળવા’ની વાત આવે છે ત્યાં દૃશ્ય, શ્રાવ્ય અને ઘ્રાણ સંસ્કારોનો ઇન્દ્રિયવ્યત્યય થયેલો અનુભવાય છે.  સુવાસ નિરાકાર છે. હવે તો દેહનો પણ કોઈ આકાર રહેવાનો નથી… કરેલા કર્મ જ પ્રિયજનને સુવાસરૂપે સંભળાતા રહેશે !

દીકરીને વિદાય કરતી વખતે મા-બાપ કહે છે, ‘તારા પતિનો પડછાયો થઈ રહેજે સદાયે સાથે…’ યુવાન પતિને મરતાં અટકાવવા કોણ સહુથી વધુ ઝંખે? પત્ની જ સ્તો ! સત્યવાનની સાવિત્રી જ ને ! અને પત્ની કેવી રીતે રોકવા મથે છે ? ડૂમો ભરેલા ગળેથી અડધોપડધો બોલ માંડ નીકળે છે.. ડગલું ભરવા ઊંચકેલ પગ આગળ વધે એ પહેલાં આઘાતથી અટકી જાય છે એટલે ઝાંઝર પણ અડધું જ બોલે છે.  ઘા જોરથી થાય તો એની વેદના ક્ષણજીવી રહે પણ હળવા ઘા ચિરંજીવી બની રહે છે. નાયક મૃત્યુનો સાક્ષાત્કાર કરવા તો જઈ રહ્યો છે પણ આવી સજીવ હળવાશ એને હજી પણ અટકાવી રહી છે… સ-જીવી હળવાશમાં કદાચ, બે જીવ-સોતી પત્નીના ભાવિમાં ઝળુંબતા વૈધવ્યની વેદનાનોય સંકેત હોય. રાવજીના મૃત્યુ સમયે, એમની પત્ની એવી અવસ્થામાં હતીય ખરી.

વ્યથાને હદમાં રહીને તો સૌ કોઈ શબ્દમાં કંડારે છે; ક્યારેક અનહદ વ્યથાનું પૂર શબ્દોના અર્થના સીમાડાને તોડીને ફેલાઈ જતું હોય છે. પાંપણ ભીની કર્યા વિના ક્યારેય વાંચી ન શકાય એવા આ કાવ્યમાં એવું બન્યું છે!

Comments (18)

એ મુસાફર હશે એકલો – હરીન્દ્ર દવે

લ્યો, રવાના થયો
દૂરની સફર પર શ્વાસનો કાફલો.

સ્નેહીઓનાં નયન સ્હેજ ઝાકળભીનાં
સમયના સૂર્યના તાપથી સૂકશે;
સ્હેજ થંભી, સમાચાર પૂછી લઈ
રાહદારી રવાના થશે;
અગ્નિના વાહને દેહ સોંપી દઈ
સૌ સગાં પણ જશે,
માર્ગ મુશ્કેલ આરંભ પામે ત્યહીં
એ મુસાફર હશે એકલો.

લ્યો, રવાના થયો
દૂરની સફર પર શ્વાસનો કાફલો.

– હરીન્દ્ર દવે

મૃત્યુ અનિવાર્ય છે છતાં અકળ છે એટલે એ મનુષ્યજાતને આદિમકાળથી સતત આશ્ચર્યચકિત કરતું રહ્યું છે. એની અનુભૂતિ ગોપનીય છે એટલે જ એના રહસ્યના દરિયામાં મરજીવા થઈ કવિ સતત ડૂબકી મારતા આવ્યા છે અને ફલતઃ આપણને ક્યારેક પ્રાપ્ત થાય છે આવી ઉત્તમ સંવેદનશીલ કૃતિ.

જીવતા અને મરેલા માણસ વચ્ચે દેખીતો ફેર છે શ્વાસની હાજરી અને ગેરહાજરીનો. (આત્માનું આવાગમન તો કોણે જોયું જ છે?) એટલે જ કવિ લ્યો કહીને (અલ્પવિરામ સાથે) પોરો ખાઈને કહે છે કે હવે શ્વાસનો કાફલો દૂ…રની સફર પર જવા રવાના થયો છે. સ્નેહીઓના આંસુ તો સમય સાથે સૂકાઈ જ જવાનાં છે એટલે કવિ એના માટે ઝાકળ-સૂર્યનું સુંદર કલ્પન પ્રયોજે છે. આપણા ગયા બાદ પણ સૃષ્ટિનું ચક્ર અનવરુદ્ધ અને અનવરત ચાલુ જ રહેવાનું છે…

Comments (8)

સોદો – વિપિન પરીખ

ચોર બજારમાં
બુદ્ધની એક સુંદર મૂર્તિ મળી ગઈ
નાની ને સુરેખ
થોડુંક ‘બારગેઇન’ કરવું પડ્યું પણ
બહુ સસ્તામાં સોદો પતી ગયો !
ઑફિસમાં ટેબલ પર જ રાખી છે
‘ડેકોરેટિવ’ તો લાગે જ છે પણ
પેપરવેઇટ તરીકે પણ કામ આપે છે !
તમને ગમી ?

-વિપિન પરીખ

આ કવિતા વાંચો અને એક ચાબખાનો સોળ પીઠ પર ન અનુભવાય તો જ નવાઈ ! ચોરબજારથી વાત શરૂ થાય છે ત્યારથી આખું કાવ્ય તિર્યક વ્યંજના સ્વરૂપે ‘વહેતું’ રહે છે. ઈશ્વરને ચોરબજારમાંથી ‘બરગેઇન’ કરીને સસ્તામાં ખરીદીને ‘ટેબલ’ પર શો-પીસ તરીકે તો ક્યારેક પેપરવેઇટ તરીક ગોઠવી દેવાની વાત છે. તમને ગમી (?)ના પ્રશ્ન સાથે કવિ એક વ્યક્તિગત અનુભૂતિને સાર્વત્રિક જડત્વનું રૂપ આપી દે છે. સાચો ઈશ્વર આજે આપણા કોઈના પણ દિલમાં વસે છે ખરો ? અખાનો ‘એક મૂરખને એવી ટેવ, પથ્થર એટલા પૂજે દેવ’ વાળૉ છપ્પો યાદ આવી જાય છે… સાથે જ હરિવંશરાય બચ્ચનની ‘બુદ્ધ’ વિશેની એક કવિતા જે ‘બચ્ચન રિસાઇટ્સ બચ્ચન’ સીડીમાં અમિતાભે સ્વરબદ્ધ કરી છે એ પણ સાંભળવા જેવી છે.

Comments (14)

જેસલમેર – ગુલામ મહોમ્મદ શેખ

મરુસ્થલે મોતીમઢ્યું આ નગર,
એને ટોડલે મોર અને ભીંતે ફરે હાથી,
ઝરૂખે ઝરૂખે પથ્થરનું હીરભરત.
બારીએ બારીએ બુઠ્ઠી તરવારોના તોરણ.
સાંજના અજવાળે ભીંતો નારંગી ચૂંદડીની જેમ ફરફરે,
બારણે લોઢાના કડે
આઠ પેઢીના હાથનો ઘસરકો.

ફળિયે ફરે બેચાર બકરાં શ્યામ
ડેલી બા’ર ડહેકાર દે કામઢું ઊંટ.

વચલી વંડીએ સુકાય રાતા ચીર
અંદરને ઓરડે ફુગાઈ ગયેલા અંધારે
ફરફરે ઢીલી વાટ.
લાલચટાક ચૂલાની ઝાળ અને ચૂંદડીના અજવાળે
રોટલા ટીપતી સોનેરી કન્યા.

– ગુલામ મોહમ્મદ શેખ

સમયને અતિક્રમી જાય એટલું સૌંદર્ય જેસલમેરની ભીંતોમાં આ શહેરને બનાવનારાઓએ જડી દીધેલું. પણ છતાંય – બીજા બધાય સૌંદર્યોની જેમ જ – જેસલમેરને પણ સમય સામે આખરે ઝૂકી જવું પડ્યું છે. પથ્થરનું સૌંદર્ય, ઈતિહાસનો ભાર અને રોજીંદા જીવનની વાસ્તવિકતા – બધાને કવિએ ફોટોગ્રાફરની કુશળતાથી શબ્દોમાં કેદ કરી લીધા છે.

આવા વિષય પર આપણે ત્યાં કાવ્યો ઓછા જ લખાયા છે અને એમાં પણ આ સ્તરના તો ભાગ્યે જ જોવા મળે છે. એટલે તો ખાસ આ કાવ્યને ચૂમી લેવાનું મન થાય છે.

Comments (7)

લ્યો, કાગળ આપું કોરો ! – ભગીરથ બ્રહ્મભટ્ટ

લ્યો, કાગળ આપું કોરો
સોળ વરસનો એક જ ટૌકો એમાં લથબથ દોરો !

નજર નામની સેંથી પૂરો
મૌન મઢેલા હીરા
પાંપણ ઉપર કાનો દોરો
આંસુઓમાં મીરાં!
ઝંખનજળની પાળે રહીને ઝબક જીવતર બોળો

સૂરજ ભાલે સંતાયેલો
ને પગલિયુંમાં ભોર
આછાઆછા અજવાળામાં
ઝરમર ઝાકળ દોર!
કૂંપળની ગલીગલીમાં સૌરભછોળો ઢોળો!

લ્યો કાગળ આપું કોરો.

– ભગીરથ બ્રહ્મભટ્ટ

તદ્દન નવા કલ્પનોથી સજાવેલું, એક કોરા કાગળ પર નવી ને નમણી સૃષ્ટિ સર્જવા ઉશ્કેરતું ગીત.

Comments (15)