તું હિસાબોની બ્હાર રહેવાનો,
શું કરું હું તને ઉધારીને...!
અંકિત ત્રિવેદી

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for June, 2009

વૃક્ષ – રાજેન્દ્ર શુક્લ

[audio:http://dhavalshah.com/audio/Sonet-Vrux-RajendraShukla.mp3]

(કવિના પોતાના અવાજમાં કાવ્યપઠન)

વર્ષો વિતે વૃક્ષ થતું જ વૃદ્ધ;
શાખા-પ્રશાખા અતિશે પ્રવૃદ્ધ,
ફૂલે ફળે ને લચતું રસાળ;
છાયાય કંઈ વિસ્તરતી વિશાળ!

તાપે તપે ને તપ એનું તેજ;
ચોપાસ જાણે ઘટતો જ ભેજ,
પાસેનું સર્વે રસહીન થાય;
તો મૂળ ઊંડા અતિદૂર જાય!

છાયા તળે જીવ બધાં અજાણ,
કોને કયહીંથી કંઈ હોય જાણ?
માળે બધાં પંખી કરે કલોલ,
એ એકલું એમજ કંઈ અબોલ!

જોયાં કરે વાટ, કરાલ કાળ-
ઉન્મૂલ ક્યારે કરશે કૃપાળ!

– રાજેન્દ્ર શુક્લ

વૃદ્ધ વૃક્ષ એના બધા અશ્રિતોની કાળજી કપરા કાળમાં પણ જતનથી કરે છે. પણ એનો જીવ તો પરમતત્વને મળવાની ઇચ્છામાંરહેલો  છે. કવિના પોતાના અવાજમાં કાવ્યની સાંભળવાની ઓર જ મઝા છે. કવિની વેબસાઈટ પર કવિની વધુ રચનાઓ આપ માણી શકો છો.

Comments (22)

હાથને ચીરો તો – રમેશ પારેખ

હાથને ચીરો તો ગંગા નીકળે
છેવટે એ વાત અફવા નીકળે

બૉમ્બની માફક પડે કાયમ સવાર
એ જ કચ્ચરઘાણ ઘટના નીકળે

કોઇ સપનું છીછરું વાગ્યું હતું
ને જનોઇવઢ સબાકા નીકળે

સ્તબ્ધ આંખોની કરો ખુલ્લી તપાસ,
ભોંયરાઓ એના ક્યાં ક્યાં નીકળે ?

એ શું ક્બ્રસ્તાનનું ષડયંત્ર છે ?
મુઠ્ઠીઓ ખૂલે ને મડદાં નીકળે

દાબડીમાં એક માણસ બંધ હોય
ઢાંકણું ખોલો તો લાવા નીકળે

વક્ષની ખંડેર ભૂમિ ખોદતાં
કોઇ અશ્મીભૂત શ્રધ્ધા નીકળે

માર્ગમાં આવે છે મૃત્યુની પરબ
જ્યાં થઇ હરએક રસ્તા નીકળે

‘ર’ નિરંતર મેશ-માં સબડે અને
સૂર્ય પણ નીકળે તો કાળા નીકળે.

– રમેશ પારેખ

ગુજરાતી ગઝલને રમેશ પારેખે કઈ ઊંચાઈ પર પહોંચાડી દીધેલી એની એક વધુ સાબિતિ જેવી ગઝલ.

Comments (19)

સખિ ! જો – – રામનારાયણ વિશ્વનાથ પાઠક ‘શેષ’

(વિયોગિની)

સખિ ! જો ઉદધિ તણે ઉરે,
નભથી કૌમુદી કેવી નીતરે !
દધિ એ ઊછળી પળે પળે
છબી ધારે ઉરને દલે દલે !

ઊઘડે જવ ફુલ્લ પૂર્ણિમા
કરી કલ્લોલ ઊંચા ગિરિ સમા
દધિ ધૂર્જટિ જેમ નર્તતો,
ઉર એ કૌમુદીને સમર્પતો !

જગમાં પણ કોઈને કદી
ન મળે એકલી શુભ્ર કૌમુદી;
અજવાળું પીધેલ ભાજને
ભરી અંધારું પીવાનું છે જ ને !

પણ કૌમુદી લુપ્ત થૈ જતાં,
ઘન અંધાર ઉરેય વ્યાપતાં;
દધિને ગત પર્વ સાંભર્યે,
ભરતી પાછી અમાસની ચડે !

સખિ ! એમ કદી કદી મને
મુજ આ કૌમુદી-અસ્ત જીવને
ઉર આવતી ઊર્મિ ઊછળી,
બનતી સાર્થક તું ભણી ઢળી !

– રામનારાયણ વિશ્વનાથ પાઠક ‘શેષ’

સખીના સંબોધનથી શરૂ થતી વાત તો પ્રેમની જ છે પણ કવિએ સમુદ્ર અને ચાંદનીના પ્રતીક વાપરીને સાવ નોખી રીતે માંડણી કરી છે.  આકાશમાંથી ચાંદની વરસે એને જાણે સમુદ્ર મોજાં ઉછાળી ઉછાળીને હૃદય (પદ્મ)ની પાંદડી-પાંદડીમાં ઝીલવા ન ધારતો હોય એવું મજાનું કલ્પન અહીં રજૂ થયું છે. અને પૂર્ણ પૂર્ણિમાની રાત્રે તો જેમ શંકર તાંડવ ન કરતા હોય એમ ઊંચા પર્વત સમા મોજાં ઊછાળીને પોતાનું હૈયું એને કિલ્લોલપૂર્વક અર્પણ કરે છે.

પણ આ દુનિયામાં જે પાત્રમાં શુભ્ર ચાંદની પીવાની છે ત્યાં એ જ પાત્રમાં કાળું અંધારું પણ પીવાનું છે.  આવા અમાસના સંજોગોમાં પણ ગત પર્વ (અહીં પૂર્ણિમા) યાદ રાખી સમુદ્ર (અમાસની) ભરતીએ ચડે જ છે ! કેવી સુંદર શીખ!!

એ જ રીતે હે પ્રિય સખી ! પૂર્ણિમા જેવી તું નથી હોતી ત્યારે પણ મારું હૃદય તને યાદ કરી કરીને ઊર્મિશીલ થઈ તારા ભણી જ ઢળે છે !

(ઉદધિ= સાગર, દધિ= સાગર, કૌમુદી= ચાંદની, ધૂર્જટિ= શંકર)

Comments (7)

The Pilgrim of the Night – Arvind (રાત્રિનો યાત્રી – અનુ. સુન્દરમ્)

I made an assignation with the night;
In the abyss was fixed our rendezvous:
In my breast carrying God’s deathless light
I came her dark and dangerous heart to woo.
I left the glory of the illuminated mind
And the calm rapture of the divinised soul
And traveled through a vastness dim and blind
To the gray shore where her ignorant waters roll.
I walk by the chill wave through the dull slime
And still that weary journeying knows no end;
Lost is the lustrous godhead beyond time,
There comes no voice of the celestial Friend,
And yet I know my footprints’ track shall be
A pathway towards immortality.

– Maharshi Arvind

રાત્રિનો યાત્રી

નિશા સહ સુયોજ્યું મેં મિલન; ખીણ પેટાળમાં
સુનિશ્ચિત કરાઈ તે મિલનકેરી ભૂમિ અમ:
અને અમર તે પ્રકાશ પ્રભુનો હું ધારી ઉરે
કરાળ તિમિરાળ એનું ઉર જીતવા સંચર્યો.

પ્રભામય મનસ્ તણા સકલ વૈભવોને તજી,
પ્રશાંત રસ દિવ્ય રૂપ થયલા તજી આત્મનો,
વિશાળ પટ ધૂસરા તિમિરના હું વીંધી પળ્યો
તટે ભુખર, જ્યાં જલો છલકી અજ્ઞ એનાં રહ્યાં.

હવાં વિરસ પંક ખૂંદત ભમું હું ટાઢાં જલો
સમીપ, પણ ના સમાપ્તિ ક્યહીં શુષ્ક યાત્રાની આ;
ત્રિકાલ-પર ઓસરી ય પ્રભુતા પ્રભા-સંભૃતા,
અને સ્વર ન દિવ્ય એ સુહૃદનો ય આવે લવ.

છતાં મન વિશે મને જ – પગલાંની કેડી મુજ
મહા સુપથ હા થવાની અમૃતત્વના ધામનો.

– અનુ. સુન્દરમ્

રાત્રિનું કાળું અને ડરામણું હૈયું જીતવા છાતીમાં ઈશ્વરનો અમર્ત્ય પ્રકાશ લઈને હું ખીણમાં જ્યાં અમારી મુલાકાત નક્કી કરાઈ હતી ત્યાં જવા નીકળ્યો. પ્રકાશિત મનનો વૈભવ અને દિવ્ય આત્માના પ્રશાંત આનંદને છોડી દઈ હું વિશાળ ઝાંખા અને આંધળા પટને વીંધીને ભુખર કિનારે જ્યાં રાત્રિનાં અજ્ઞ જળ વહેતાં હતાં ત્યાં પહોંચ્યો. નિરસ કાદવમાં ઠંડાગાર મોજાંઓ કને થઈને હું નીકળ્યો પણ આ શુષ્ક મુસાફરીનો ક્યાંય અંત દેખાતો નહોતો. સમય પારની ઈશ્વરીય પ્રભા પણ ઓગળી ગઈ અને દિવ્ય મિત્રનો કોઈ અવાજ પણ આવતો નહોતો. છતાં મને ખબર હતી કે મારા પગલાંની કેડી મને એ જ મહાપથ ભણી લઈ જઈ રહી હતી જ્યાં અમૃતત્વ છે…

Comments (6)

ગઝલ – જયંત ‘સંગીત’

શ્રી સવા ને શુભ એ લખતા નથી,
મોરચા પર તોય લડખડતા નથી.

શ્વાસ કરતાં પણ ઉપરવટ હોય છે,
સાવ કંઈ સ્હેલાઈથી મળતા નથી.

માછલી દરિયો ગળી જાતી ભલે,
ખારવા એવી રમત રમતા નથી.

રંગ લીલો હોય કે ભગવો, કદી –
વાવટાઓ વા વગર હલતા નથી.

સ્તોત્ર બબડીને બળી ગઈ જીભ પણ,
ભૂખના લોબાન ઓગળતા નથી.

– જયંત ‘સંગીત’

લગભગ બધા જ શેર સુંદર થયા હોય એવી શીરાની જેમ ગળે ઊતરી જતી ગઝલ…

Comments (17)

ગદ્ય સૉનેટ – સુરેશ દલાલ

કોઈ પંખી ચોવીસે કલાક ઝાડની ડાળ પર બેસતું નથી
એને ઊડવા માટે વિશાળ આકાશ તો જોઈએ જ છે,
અને આકાશમાં ઊડે પછી કેવળ આકાશથી ચાલતું નથી
છેવટે એ પોતે પોતાના રચેલા માળામાં પાછું ફરે છે.
જીવવાનો જે આનંદ છે તે ડાળ અને આકાશ વચ્ચેનો
ડાળને વળગી રહેવાથી કે આકાશથી અલગ ન થવાથી,
જીવનમાં જીવવાનો કે મરવાનો કે કયાંય ઠરવાનો
પૂરતો આનંદ કોઈનેય કયારેય મળ્યો હોય એવું જાણ્યું નથી.
મારા કંઠમાં જે ગીત છલકે છે તેને હું ગાઈ નાખું છું
પછી એ જ ગીતને ગળામાં ઘૂંટયા કરું તો નવા,
લયને પ્રગટ થવાનો કદીયે અવકાશ નહીં મળે.
સંબંધોને જકડવાથી કાં તો એ લય પામે છે અથવા પ્રલય.
હું મારામાં રહેલા ગૃહસ્થી અને જિપ્સી બન્નેને જાળવીને
રસ્તા પર ચાલ્યા કરું છું એક પરિવ્રાજકની જેમ.

– સુરેશ દલાલ

સ્થિતિ અને ગતિની વચ્ચેનો મોકળો અવકાશ અને સતત પરિવર્તન એ જીવવાની ચાવી છે. માણસ સ્થિર થઈ જાય તોય ખલાસ અને ગતિમાં જકડાઈ જાય તોય ખતમ. કોઈ પક્ષી એક ડાળ પર પોતાના માળામાં સલામતીની ભાવના ગળે વળગાડીને આખી જિંદગી જીવી શક્તું નથી અને એ જ રીતે મુક્ત આકાશમાં પણ અનવરત રહી શક્તું નથી, એણે સાંજના છેડે પોતાની ડાળે, પોતાના ઘરે પરત આવવું જ રહ્યું.

સૉનેટના બીજા વળાંકમાં કવિ કંઠમાં આવેલ ગીતને ઉલટભેર ગાઈ નાંખવાની વાત કરે છે. ગીત ગમે એટલું મનપસંદ કેમ ન હોય, એને જ ગળામાં સાચવી રાખીએ તો બીજા નવા ગીતને પ્રગટ થવાનો અવકાશ નહીં રહે. એક શેર યાદ આવે છે: હો લાખ પ્યારું પણ યદિ છોડો ન હાથથી, તો વીંધે લક્ષ્ય એવું કોઈ બાણ પણ નથી.

સંબંધોને કચકચાવીને પકડી રાખવાનો કોઈ મતલબ હોતો નથી. દરેક મનુષ્યની અંદર એક ગૃહસ્થ અને એક યાત્રી સાથે જ જીવતા હોય છે, એ બંનેની વચ્ચે પરિવ્રાજક સમું સમતુલન સાધવું એ જ છે સાચી જિંદગી !

Comments (10)

લોહીની સગાઈ – ‘શૂન્ય’ પાલનપુરી

કહે છે કોણ આ ધરતી અમારે મન પરાઈ છે,
અમારા દેહમાં એની જ તો ખુશ્બૂ લપાઈ છે;
ખરેખર તો હવે કૈ રંગમાં આવ્યા છે સંબંધો,
વતન સાથે અમારે ‘શૂન્ય’ લોહીની સગાઈ છે.

– ‘શૂન્ય’ પાલનપુરી

Comments (7)

ઘણીવાર એક વ્યથા – સર્વેશ્વરદયાલ સક્સેના

ઘણીવાર એક વાસ
મારી પાસેથી પસાર થઈ જાય છે,
ઘણીવાર એક નદી
મારી સામે ભરાઈ જાય છે,
ઘણીવાર એક નાવડી
આવીને કિનારે અથડાય છે,
ઘણીવાર એક વાટ
દૂર દૂરથી બોલાવે છે.
હું જ્યાં હોઉં છું
ત્યાં જ બેસી જાઉં છું,
ઘણીવાર ધૂળમાં
એક આકૃતિ રચાઈ જાય છે.

ઘણીવાર ચાંદો ખીસ્સામાં
પડેલો મળે છે,
સૂરજને ખિસકોલી
ઝાડ પર બેઠી બેઠી ખાય છે,
ઘણીવાર દુનિયા
વટાણાનો દાણો થઈ જાય છે,
એક હથેળીમાં
આખી સમાઈ જાય છે.
હું જ્યાં હોઉં છું
ત્યાંથી ઊઠી જાઉં છું.
ઘણીવાર રાત કીડીની જેમ
ઘસડાતી આવે છે.

ઘણીવાર એક હાસ્ય
ઠંડી હવાની જેમ સૂસવાટા મારે છે.
ઘણીવાર દૃષ્ટિ
કાનટોપી પહેરી લે છે,
ઘણીવાર એક વાત
પર્વતની જેમ ઊભી થાય છે,
ઘણીવાર એક મૌન
મને કપડાં પહેરાવે છે.
હું જ્યાં હોઉં છું
ત્યાંથી ચાલી નીકળું છું.
ઘણીવાર એક વ્યથા
યાત્રા બની જાય છે.

– સર્વેશ્વરદયાલ સક્સેના

અર્થને તાણીને – તોડ્યા વગર – કેટલો ખેંચી શકાય એ જોવાની રમત એટલે ‘એબ્સ્ટ્રેકટ’ કવિતા. આજકાલ ‘એબ્સ્ટ્રેક્ટ’ કવિતાઓ જ મનમાં ઘૂમરાયા કરે છે  એટલે સ્વાભાવિક રીતે જ સ.સ.ની આ કવિતા યાદ આવી. વ્યથા-રંજિત મનના psychedelic રંગોને કવિએ અહીં બરાબર પકડ્યા છે. આ કવિતામાં કેટલીય ‘અઘરી’ સાંજને સરળ કરી દેવાની તાકાત છે.

Comments (15)

સાધુ પાછા ક્યાં ફરવાના – શ્યામ સાધુ

મહેક સમા શ્વાસો ભરવાના
દિવસ ગયા તમને મળવાના !

ચંદ્ર શરદનો મઘમઘ કિંતુ
એકલદોકલ શું કરવાના ?

કર્યા છે અળગા અંગેથી પણ,
સ્વપ્નો વચ્ચે ઝળહળવાના !

હા, એકાદી ઘટના પાછળ,
જીવન આખું ટળવળવાના !

આવો, આંખોમાં આંજી લો,
સાધુ પાછા ક્યાં ફરવાના !

– શ્યામ સાધુ

કોઈના ગયા પછી એકલતા ફરકે પણ છતાંય જરા ય એકલું ન લાગે એવી અવસ્થાની ગઝલ.

Comments (14)

મારા ઉરે કોઈ અબૂઝ વેદના – હરિશ્ચંદ્ર ભટ્ટ

મારા ઉરે કોઈ અબૂઝ વેદના
વર્ષો થયાં અંતર કોરતી હતી;
યુગાન્તરોની અણદીઠ વાંછના
મથી રહી સર્જન પામવા નવાં.

તેં મુગ્ધ મારું ઉર ખોલ્યું, ને મને
માતા! કીધો તેં દ્વિજ, દૈન્ય ટાળિયું.
રહે અધૂરાં અવ ગાન મારાં
ફરીફરી જન્મ લઈ કરું પૂરાં.

-હરિશ્ચંદ્ર ભટ્ટ

સર્જનપ્રક્રિયાને બખૂબી વર્ણવતું સચોટ લઘુકાવ્ય.

સર્જન એટલે એક સ્થિતિમાંથી બીજીમાં થતી ગતિ. કવિ કાવ્ય કરે ત્યારે બ્રહ્મા સાથે તાદાત્મ્ય સાધતો હોય છે પણ સર્જન પૂર્ણ થતાં જ એ પાછો સાધારણ મનુષ્ય -ભાવક- બની જતો હોય છે. આ એક સ્થિતિમાંથી બીજીમાં થતી ગતિ એટલે કે યુગાન્તર અણદીઠ છે… આવા અણદીઠની સતત વાંછના અને કળી ન શકાય છતાં વર્ષો સુધી અંતરને તાવ્યા કરતી કોઈક અગમ્ય વેદના એ સર્જનની કાચી સામગ્રી છે. પણ માતા સરસ્વતીની કૃપા વિના બધું અધૂરું છે. માની કૃપા ઉતરે એટલે સર્જક એક ભવમાં જાણે બીજો ભવ પામે અને એનું દારિઢ્ર્ય દૂર થાય છે… વળી અધૂરાં ગીત પૂરાં કરવા ફરી ફરીને જન્મ લેવાની ઈચ્છા સિસૃક્ષાની ચરમસીમાનું દ્યોતક છે.

આ સાથે સર્જનપ્રક્રિયા પર જ બ.ક.ઠાકોરનું ગુજરાતી ભાષાનું સર્વપ્રથમ સૉનેટ ભણકારા પણ જોવા જેવું છે.

(દ્વિજ= બે વાર જન્મેલ, બ્રાહ્મણ, દૈન્ય= ગરીબી)

Comments (5)

થંભી હતી – હર્ષ બ્રહ્મભટ્ટ

મેં જ તો એને સતત ઝંખી હતી,
વેદના મારી જીવનસંગી હતી.

વાંસવન જેવું બનેલું મન છતાં,
વાંસળીની ચોતરફ તંગી હતી.

ડાઘ ક્યાંથી આટલા લાગી ગયા ?
જિંદગી હમણાં જ મેં રંગી હતી !

એક તરણાનો સહારો ના મળ્યો,
કમનસીબી પ્હાડ શી જંગી હતી.

મેં તરાપો પાણીમાં મૂક્યો અને-
એકદમ વહેતી નદી થંભી હતી !

– હર્ષ બ્રહ્મભટ્ટ

તડકા અને છાંયડાની માફક જીવન વેદના અને હર્ષ- બંને રંગોથી સમાનભાવે રંગાયેલું હોવા છતાં કળાના લગભગ તમામ પ્રકારને વેદનાનો ગાઢો રંગ જ હંમેશા વધુ માફક આવ્યો છે. દર્દને ખોતરતા રહેવામાં જ કદાચ આપણને સહુને વધુ આનંદ આવે છે, એ કારણ હશે ? જીવનને ગમે તે રંગે રંગો, દર્દના ડાઘા પડતા જ રહેવાના. વેદના જ કદાચ આપણી સાચી જીવનસંગિની છે… આપણે સહુ અંદરથી વાંસ જેવા પોલા થઈ ગયા છીએ પણ સૂર જન્માવવા માટે માત્ર પોલાપણું કામ નથી આવતું, ભીતર છેદ પણ હોવા જોઈએ તો જ પસાર થતી હવા સંગીત જન્માવી શકે… એક શેર સાથે મૂકવાનું મન થાય છે: સૂર ના જન્મે હવા પોલાણમાંથી ગુજરે પણ, દૃષ્ટિમાં બે છેદ વચ્ચે મૂકી ગઝલો વાંચજો.

‘લયસ્તરો’ને એમના ગુજરાતી કાવ્યસંગ્રહો ‘એકલતાની ભીડમાં’, ‘અંદર દીવાદાંડી’, ‘મૌનની મહેફિલ’ તથા ઉર્દૂ ગઝલસંગ્રહો ‘કંદીલ’, ‘સરગોશી’ અને ઑડિયો સીડી ‘લે, ગઝલ પ્રગટાવ તું’ (કાવ્યપઠન) ભેટ આપવા બદલ કવિશ્રી હર્ષ બ્રહ્મભટ્ટનો આભાર.

Comments (12)

ગીત – મુકુન્દરાય પારાશર્ય

હરિ! મને કોકિલ બનાવી વનમાં મૂકિયો,
વળી તમે વસંત બનીને વિલસ્યા પાસ:
હવે હું મૂંગો કયમ રહું?

હરિ! મને ઝરણ બનાવી ગિરિથી દોડવ્યો,
વળી તમે દરિયો થઈ દીધી દિલે આશ:
હવે હું સૂતો કયમ રહું?

હરિ! મને સુવાસ બનાવી કળિયું ખીલવી,
વળી, તમે પવનો થઈ પ્રસર્યા ચોપાસ:
હવે હું બાંઘ્યો કેમ રહું?

હરિ! મને દીપક પેટાવી દિવેલ પૂરિયાં,
વળી તમે ફરતા ફેલાયા થઈ આકાશ:
હવે હું ઢાંકયો કયમ રહું?

હરિ! મને હુંપદ આપીને પુરુષાર્થી કર્યો,
વળી તમે પરમ પદ થઈ દીધી પ્યાસ:
હવે હું જુદો કયમ રહું?

-મુકુંદરાય પારાશર્ય

મૂળ નામ મુકુંદરાય વિજયશંકર પટ્ટણી. જન્મ: ૧૩-૦૨-૧૯૧૪ના રોજ મોરબી ખાતે. વતન કોટડા.  અવસાન:  ૨૦-૦૫-૧૯૮૫.  બી.એ. સુધીનો અભ્યાસ અને માલવાહક જહાજમાં નોકરી કરી. કાવ્ય સંગ્રહ: ‘અર્ચન’ (૧૯૩૮, પ્રબોધ ભટ્ટ સાથે) અને ‘સંસૃતિ’ (૧૯૪૧), ‘ફૂલ ફાગણનાં’ (૧૯૫૬), ‘દીપમાળા’ (૧૯૬૦), ‘કંઠ ચાતકનો’ (૧૯૭૦), ‘પ્રાણ પપૈયાનો’ (૧૯૭૯), ‘ભદ્રા’ (૧૯૮૧), ‘અલકા’ (૧૯૮૧). ૧૯૭૮માં એમને નર્મદ સુવર્ણચંદ્રક મળ્યો હતો.

પ્રસ્તુત ભજનપદમાં કવિનો તીવ્ર ઈશ્વરાનુરાગ છલકે છે. અલગ-અલગ રીતે કવિ એક જ વાત કરે છે. ઈશ્વરે જીવન આપ્યું છે પણ છોડી મૂક્યા નથી. જીવની ફરતે જ એ વસે છે. કોકિલ અને વસંત, ઝરણું અને દરિયો, સુવાસ અને પવન, દીપક અને આકાશ, હું અને પરમ – પ્રભુ આપણાં હોવાપણાંની ફરતે એ રીતે વિલસે છે કે આપણું વિકસવું સફળ બની રહે. એકબાજુ એણે હુંપદ આપ્યું છે તો બીજી તરફ એણે પુરુષાર્થ આપ્યો છે અને સામે એ ઊભો છે પરમપદ થઈને, જાણે કે આહ્વાન આપે છે કે આવ.. કર પુરુષાર્થ અને બન જીવમાંથી શિવ !

Comments (10)

ગઝલ – મણિલાલ હ. પટેલ

શ્વાસ તો વ્હેતા પવન છે,
ને હૃદય જલતી અગન છે.

ઘાસ જેવી કેટલી ઘટનાઓ સૂકીભઠ પડી છે,
તું આવ ભડભડ દવ બની બળવાનું મન છે.

શ્વાસ વચ્ચે આગ વચ્ચે શ્વાસ વચ્ચે આગ છે,
આખરે તો પાનખર કવિઓનું મન છે.

સાંજનું એવું ગગન છે-
કોઈ પ્રેમીનું જ જાણે કે કફન છે.

ચોતરફ દિશાઓ દાવાનળ બની ઊભી રહી છે,
કાન ફૂંક્યા હોય જાણે એમ રઘવાયો પવન છે.

કારણોની છાતીમાં વિશ્વાસની નદીઓ નથી
કોઈ કહો કેવી તરસનું આ જતન છે ?

તું જળ બનીને આવ, હું તો રેત છું :
ભીનાશને પંપાળવાનું આ સપન છે.

હે શ્વાસ મારા કોઈ ચઢાવે તેમ ના ચઢશો તમે
પ્રેમ તો શાપિત વન છે.

લાગણીઓ લૂંટવા ટોળે મળે :
થાય ઈર્ષા એવું પતંગોનું પતન છે.

પાનખર મેં તો લીધી, અર્પણ વસંતો છે તને
સુખ નામ લે તને મારું વચન છે.

– મણિલાલ હ. પટેલ

ગઝલમાં પ્રયોગખોરી ક્યારથી શરૂ થઈ એવો પ્રશ્ન કોઈ પૂછે તો મને જવાબ આપવાનું મન થાય કે પહેલી ગઝલ લખાઈ ત્યારથી. ઘરેડમાં બંધાઈને જિંદગી જીવવી કદાચ આપણા માટે શક્ય જ નથી… નદીની જેમ માણસ કિનારા બદલતો રહે છે. શરૂઆતની ગઝલોમાં ભાવાભિવ્યક્તિના પ્રયોગ હતા, કદાચ નવ્યતર કલ્પનના પ્રયોગ હતા… સમયની સાથે છંદ-કાફિયા-રદીફ-મત્લા-મક્તાના પ્રયોગો શરૂ થયા… ગઝલમાં આકારના પ્રયોગ થયા… ત્રિકોણ ગઝલ, કુંભગઝલ, હાઈકુ ગઝલ અને યાદી બનાવવા બેસો તો આંગળીના વેઢા ખૂટી પડે… મણિલાલ પટેલની આ ગઝલમાં છંદના ગાલગાગાના અનિયત આવર્તનનો પ્રયોગ ધ્યાનાર્હ બન્યો છે.

Comments (16)

જરાસંઘ છું – ભગવતીકુમાર શર્મા

સમય કેરી મુઠ્ઠીમાં હું બંધ છું
છું સૂરજ, ઘુવડ શો છતાં અંધ છું
કોઈ કૃષ્ણ રેતીનો ઢગલો કરે
હું જીવું છું કિન્તુ જરાસંઘ છું

– ભગવતીકુમાર શર્મા

Comments (3)

સૂર્ય – લાભશંકર ઠાકર

And very luckily for you and me,
the uncivilised sun mysteriously shines
on good and bad alike, he is an artist.

પોષની શીતલ સવારે
આંખમાં કાજળ અને
મુખ પર લપેડા શ્વેત.
ત્યાં
પડતો
(ઈશુની આંખ જેવો)
સૂર્ય.
જે
થોડા દિવસ પર
સાંજના
ગંગાતટે
પાણી ભરી
પશ્ચિમ જનારી
કો’ક કન્યાના
ઘડા પર
શ્રમિત શો
બેઠેલ …
ને આજે અહીં.

– લાભશંકર ઠાકર

કાવ્યની શરૂઆત ઈ.ઈ.કમિંગ્ઝની પ્રખ્યાત પંક્તિઓથી કરી છે. કાવ્ય એ પંક્તિની મિમાંસા સમાન છે. બે તદ્દન અલગ ચિત્રો દોરીને કવિ વિરોધાભાસ ઊભો કરે છે – પહેલું ચિત્ર બજારુ સ્ત્રીનું છે. અને બીજુ ચિત્ર ગંગાતટે પાણી ભરવા આવેલી કન્યાનું છે. સૂર્ય તો બન્ને પર સરખો પ્રકાશે છે. બન્ને સૂર્યની નજરમાં સમાન છે.  કદાચ એની નજરમાં બધા સમાન છે એટલે જ એ સૂર્ય છે.

જોવાની વાત એ છે કે સૂર્યને કમિંગ્ઝ કલાકાર કહે છે. કલાકારને બધુ સરખું – ન સમાજના નિયમ, ન ઊંચ-નીચના વાડા, ન ધરમ-કરમનો ભેદભાવ. જ્યાં બધા સિમાડા ઓગણી જાય તે જ કલા એવો ગર્ભિત ઈશારો પણ એમા સમાયેલો છે.

Comments (9)

શરાબ – જેક્સ પ્રિવર્ટ

ટેબલ પર નારંગી
મારા ધાબળા પર તારાં વસ્ત્રો
મારી શય્યામાં તારો શ્વાસ
ક્ષણની આ મધુર સોગાદ
શાતાદાયક અંધકાર
મારા અસ્તિત્વનો સ્ફુલિંગ.

– ઝાક પ્રિવર્ત
(અનુ. સુરેશ દલાલ)

પ્રેમિકા સાથે મિલનના કાવ્યને કવિ શરાબ નામ આપે છે – ભરપૂર નશાની ક્ષણને બીજું કહી પણ શું શકાય ? ( એમ તો ઘાયલે પણ કહેલું, તને પીતા નથી આવડતું મૂર્ખ મન મારા, પદાર્થ એવો ક્યો  છે કે જે શરાબ  નથી ? ) છેલ્લી પંક્તિમાં મિલનની ક્ષણને કવિએ અજબ સુંદર રીતે વર્ણવી છે – મારા અસ્તિત્વનો  સ્ફુલિંગ !

(સ્ફુલિંગ = અગ્નિનો તણખો, ચિનગારી )

મૂળ કવિતા અહીં જુઓ.

Comments (10)

ગીત – ગૌરાંગ દિવેટિયા

આયનાની ભીતરમાં ફૂટેલા માણસને
પૂછી શકો તો જરી પૂછો,
કોરાકટ કાચમાંથી ઝરતું આ લોહી
લૂછી શકો તો જરી લૂછો.

લીલાછમ વાંસમાંથી ફૂટતા અંકુર
કેમ કરી જીરવ્યા જીરવાય નહીં,
એકાકી વાંસળીની વેદનાના પડછાયા
કેમ કરી ઝાલ્યા ઝલાય નહીં.
સૂરજ વિનાનું પેલું તડકાનું ફૂલ
સૂંઘી શકો તો જરી સૂંઘો.

ભમ્મરિયા કૂવામાં ઘુમરાયા કરતી
એ પથ્થરિયા સમણાંની વારતા,
ફૂલો વિનાના આ બાવળિયા ગામમાં
અત્તરિયા કોઈ નથી આવતા.
દૃષ્ટિ વિનાની કોઈ ખાલીખમ આંખોમાં
ફરકી શકો તો જરી ફરકો.

-ગૌરાંગ દિવેટિયા

ભીતરના ખાલીપાથી ભર્યું ભર્યું આ ગીત આપણી અંદર જ ક્યાંક તૂટી ગયેલા માણસની વેદનાને ઉજાગર કરે છે. વાત અરીસાની ભીતર તૂટેલા માણસને એના ઘાવના કારણ પૂછવાની અને કોરા કાચમાંથી ઝરતા લોહીને લૂછવાની હિંમત કરવાની છે. ‘હિંમત’ શબ્દ એટલા માટે વાપરું છું કે આ કામ સહેલું નથી. કવિ પણ પૂછી શકો તો જરી પૂછો કહી આપણી હિંમતને પડકાર આપે છે. કેમ? કારણ કે ઘાનું કારણ ક્યારેક ઘા સહેવા કરતાં વધુ અસહ્ય હોય છે… ઝરતા લોહીને લૂછવામાં ક્યારેક ઘા ખુલી પણ જાય અને લોહી દડદડ વહી નીકળે એમ પણ બને… સૂરજ વિના વળી તડકો કેવો ? પણ આ કવિતા છે. સૂરજ યાને કે મૂળ નીકળી ગયું હોય એવા ફળસ્વરૂપ નિઃસત્ત્વ તડકાનું ફૂલ કેમ કરી સૂંઘાય ? કેવું દોહ્યલું કામ ! જે ખાલી આંખોમાં દૃષ્ટિ જ નથી રહી ત્યાં કોના આવવાની શક્યતા હોય કે હવે એ ફરકે ? પણ કવિ આપણી વેદનાને પડકારે છે, કહો કે ભાગીદાર બને છે, ફરકી શકાય તો ફરકો કહીને !

Comments (10)

લંડનના ‘ઓપિનિયન’માં લયસ્તરો

નેટ-ગુર્જરીનું આકાશ અને પ્રિન્ટ મિડીયાની ધરતી હવે વધુ ને વધુ એકાકાર થઈ રહ્યા છે.  લંડનથી પ્રકાશિત થતા ‘ઑપિનિયન’માં લયસ્તરોમાં પ્રકાશિત એક રચના એના ટૂંકા આસ્વાદ સાથે અહીં પ્રકાશિત થઈ છે…

Opinion_albert Einstein

(ઓપિનિયન- મે-2009…                …તંત્રી શ્રી વિપુલ કલ્યાણી)

*

આવતા વર્ષે સોળ વરસની સળંગ યાત્રા પછી બંધ થનાર લંડનથી પ્રગટ થતા આ માસિકમાં તંત્રીનોંધ ખાસ વાંચવા જેવી છે. વિદેશમાં ભાષાને જીવતી રાખવાના આટલા સંનિષ્ઠ પ્રયત્ન અને ‘કમિટમેન્ટ’ મેં અન્યત્ર ક્યાંય જોયા નથી. તંત્રી લખે છે: “ભાષા સારી માઠી હશે તેને વિશે લખનારે જરા પણ અચકાવાનું નથી. અમારી શક્તિ પ્રમાણે અમે સુધારી લઈશું. ઓછામાં ઓછી ગુજરાતી જાણનાર વાચક પણ સામયિકની મારફતે જેટલી દાદ લઈ શકે તેટલી દાદ દેવી એ અમારી ફરજ સમજશું“…

…આ નોંધ સામે નતમસ્તક થયા વિના રહી શકાય એમ નથી…

Comments (11)

ગઝલ – ભરત ભટ્ટ ‘પવન’

વાંચવું-લખવું અમારે નિત્યક્રમ જેવું જ છે,
એ ભજન જેવું જ છે ને એ ધરમ જેવું જ છે.

હૂંફ જો ના કોઈ આપે તો રુદન અજમાવજે,
અશ્રુ છો ખારું તો ખારું પણ ગરમ જેવું જ છે.

જોતજોતામાં પહોંચી જાય છે એ દિલ સુધી,
આંગળીની ફાંસનું વર્તન સનમ જેવું જ છે.

તું હતાશાને ત્યજીને છોડ ચિંતાઓ બધી,
હાસ્ય જે તારી કને છે શ્રેષ્ઠતમ જેવું જ છે.

શું ‘પવન’ને અવગણી સામા પ્રવાહે ચાલશો ?
એક રીતે જોઈએ તો એ અહમ્ જેવું જ છે.

– ભરત ભટ્ટ ‘પવન’

શબ્દના આરાધકને શોભે એવા મત્લા સાથે ગઝલની શરૂઆત કરી કવિ જિંદગીની નકારાત્મક અને હકારાત્મ- બંને બાજુઓને બે કાંઠાની જેમ વાપરી વચ્ચે નદીની જેમ અસ્ખલિત વહે છે. એક તરફ પ્રેમના અભાવમાં અશ્રુ જેવા અશ્રુની હૂંફ લેવા જેવો સાવ તરોતાજા અને લવચીક વિચાર છે તો બીજી તરફ હાસ્યની મૂડી પર આખી જિંદગી જીવી લેવાનો શ્રેષ્ઠતમ ઉપદેશ છે…

Comments (11)

ગઝલ – કૈલાશ પંડિત

ચમન તુજને સુમન મારી જ માફક છેતરી જાશે,
પ્રથમ એ પ્યાર કરશે ને પછી ઝખ્મો ધરી જાશે.

અનુભવ ખુબ દુનિયાના લઈને હુ ઘડાયો’તો,
ખબર નહોતી તમારી આંખ મુજને છેતરી જાશે.

ભરેલો જામ મેં ઢોળી દીધો’તો એવા આશયથી,
હશે જો લાગણી એના દિલે પાછો ભરી જાશે.

ફના થાવાને આવ્યો’તો પરંતુ એ ખબર નહોતી,
કે મુજને બાળવા પહેલા સ્વયં દીપક ઠરી જાશે.

મરણને બાદ પણ ‘કૈલાસ’ને બસ રાખજો એમ જ,
કફન ઓઢાડવાથી લાશની શોભા મરી જાશે.

– કૈલાસ પંડિત

આજે કૈલાસ પંડિતની એક ખૂબ જાણીતી ગઝલ… બસ એમ જ ધીમે ધીમે મમળાવીએ…

Comments (23)

મુક્તક – મરીઝ

દિવાનાએ એક વાત કહી મુજને નવીન
અર્થ એમાં છે ગંભીર, મને છે યકીન
તૂટી જો પડે મહેલ તો ખંડેર બને
ઝૂંપડી જો ધસી જાય મળે સાફ જમીન !

– મરીઝ

Comments (8)

હૈયે કુંજગલી – રઘુવીર ચૌધરી

પગલી પારિજાતની ઢગલી !
ઘરમાં આવ્યું વૃંદાવન ને હૈયે કુંજગલી !

કાલ સુધી જે છાયાઓ આંગણ ઘેરી પથરાતી,
શેરીમાં ચિંતાની રજ ઊડતી ઠરતી અટવાતી.
આજ હવા તુલસીક્યારાની ફરતે ગાવા ચલી.
પગલી પારિજાતની ઢગલી !

પંખીએ માળો બાંધ્યો છે કિરણોનાં તરણાંનો
યમુનાને શો ઉમંગ એણે સાદ સૂણ્યો ઝરણાંનો
સંશયની કારા તૂટી ગઈ, દુનિયા સઘળી ભલી.
પગલી પારિજાતની ઢગલી !

ઘેરાયેલા વાદળ ખાસી જાય અને પૂણ્ય-પથ સહજ થઈ જાય એ અવસ્થાનું કોમળ ગાન. ગીતની સાદગી  અને બુલંદ ઉપાડ નિરંજન ભગતના ‘છંદોલય’નાં ગીતોની યાદ અપાવે છે.  ગીતમાં ક્યાંય ગોપી કે કૃષ્ણની વાત આવતી નથી છતાં ગીતની શબ્દપસંદગી (વૃંદાવન, કુંજગલી, તુલસી, યમુના) ગીતને અજાણતા જ ગોપીભાવથી ભરી દે છે.

(કારા=કેદખાનું)

Comments (8)

તો પણ – કુસુમાગ્રજ

સો સો સ્મિતોના
આગળિયા તને
                        વાસ્યા તો પણ

આંખની કટારના
કઠોર પહેરા 
                        રાખ્યા તો પણ

ચંદ્રાળ સ્પર્શના
સંગેમરમરી તટ 
                        બાંધ્યા તો પણ

ખાઈઓ બારણાંની
પાંપણાના ઝાકળથી 
                        ભરી તો પણ

તોફાન સાથેનો સાત
જન્મનો આ સંબંધ 
                        તોડી નાખીશ ?

લલાટનો લેખ
વિનાશ થવાનો : 
                        ભૂંસી નાખીશ ?

– કુસુમાગ્રજ
(અનુ સુરેશ દલાલ)

કાળે પોતાના હાથથી લખેલી ઊંડી તિરાડોને ભૂંસી શકવાનું માણસના હાથમાં હોતું નથી…  જે જવાનું જ છે એને – સ્મિતથી, નજરથી, સ્પર્શથી કે  આંસુંથી – કશાથી રોકી શકાતું નથી એ વાત ને બહુ નાજૂકાઈથી કરી છે.

Comments (7)

ગઝલ – નયના જાની

બત્તી સઘળી પળમાં બંધ,
અજવાળું ઊગે અકબંધ !

બે ક્ષણ વચ્ચે જે અવકાશ,
એનો ક્ષણથી શો સંબંધ ?

રોમરોમ આ હળવો સ્પર્શ,
આછી આછી પમરે ગંધ !

ઓગળતા આ ઘટને ઘાટ,
વહે હયાતી જો નિર્બન્ધ !

શબ્દ તણું ઊઘડ્યું આકાશ,
અજવાળું ઊગ્યું અકબંધ !

-નયના જાની

બે ક્ષણની વચ્ચેના સૂક્ષ્મતમ અવકાશને પણ પકડે એ કવિતા… આગત અને અનાગતની વચ્ચે જે નાનકડી ખાઈ છે એનો આગત કે અનાગત સાથે ખરે જ કોઈ સંબંધ ખરો ? ગઈકાલનો પડછાયો આજ પર પડ્યા કરતો હોય કે પછી આવતીકાલનો વર્તારો આજમાં ડોકાયા કરતો હોય ત્યારે સાચા અર્થમાં આજ મૃત્યુ પામે છે. આજને પૂરા અર્થમાં જીવવી હોય તો ગઈકાલ અને આવતીકાલથી મુક્ત ન થવું પડે ?

Comments (12)

ઝાકળ થયા પછી – રઈશ મનીઆર

ઉમટ્યો ગઝલના ગામમાં વાદળ થયા પછી,
જાઉં તો પાછો જાઉં હવે જળ થયા પછી.

એના ભવનમાં ખૂબ ધીરેથી જવાય છે,
આવ્યો મને એ ખ્યાલ ઉતાવળ થયા પછી.

મારી જ સૌ અંધારી ગુફાઓ ને કંદરા,
દેખાવા માંડી ખુદ મને ઝળહળ થયા પછી.

વિહવળતા જીરવી શકું એ બળ મને મળે,
હા, સ્વસ્થ થઇ શકાય છે વિહવળ થયા પછી.

વિસ્તાર પામશે તું સમેટાઈ જો શકે,
તું યુગ બની શકે છે પ્રથમ પળ થયા પછી.

એ બહુ નજીક છે, છતાં જાણું છું હું ‘રઈશ’,
સ્પર્શી શકાય પુષ્પને ઝાકળ થયા પછી.

– રઈશ મનીઆર

ધીમે ધીમે વાંચીએ તો પહેલી નજરે જ ગમી જતી આ ગઝલ ના બહુઆયામી અર્થ માનસપટ પર વધુ ને વધુ ઉપસતા જાય છે. ગઝલના ગામમાં જવું હોય તો વાદળ જેવી હળવાશ કાંખમાં લઈને જવું પડે અને તૈયારી હોવી જોઈએ સમૂચા વરસી જવાની, નિચોવાઈ જવાની… અને વાત મંઝિલની હોય, પ્રિયતમાની હોય કે ઈશ્વરની હોય, ઉતાવળ ક્યાંય કામ લાગતી નથી અને આપણું દુર્ભાગ્ય તો એ છે કે આ હકીકત ભૂલ કરી દીધા પહેલાં બહુધા સમજાતી પણ નથી… આમતો બધા જ શેર પરંપરાની કેડી પર આધુનિક્તાના ખીલેલા પુષ્પ જેવા છે અને વિજ્ઞાનથી આદરીને જ્ઞાનની વાત કરે છે પણ છેલ્લા બે શેર આપણી ભાષાના ચિરંજીવ શેર થયા છે.

Comments (15)

ગઝલ – મરમી કવિ

હતું તો હણાણું મને એ ખબર છે,
ગહન આ ઉખાણું મને એ ખબર છે.

અને આમ પણ મેં ભરી’તી ઉદાસી,
હતું પાત્ર કાણું મને એ ખબર છે.

તડપતું-તડપતું જખે મૃગ ઝરણને,
તૃષાથી મરાણું મને એ ખબર છે.

દડી જાય સ્મરણોય પાંપણ ઉપરથી,
સરી જાય ટાણું મને એ ખબર છે.

મિલન કાજ ‘મરમી’ નદી પાર કીધી,
કિનારે ડૂબાણું મને એ ખબર છે.

-મરમી કવિ

“जातस्य ही ध्रुवो मृत्यु” ની ફિલસૂફી ગઝલના મત્લામાં કેવી રમતિયાળ રીતે કવિએ કહી દીધી છે ! ‘હતું’ એટલે જ ‘હણાયું’….

Comments (14)

ગઝલ – અલ્પેશ પાગલ

આ જે બધું આગળ જતા દિવાનગી થઈ જાય એ શું ? એક પીડા, એક ઇચ્છા, એક વળગણ, એક હું,
ને બોલકા એકાંતમાં પણ મન મૂકી ચર્ચાય એ શું ? એક પીડા, એક ઇચ્છા, એક વળગણ, એક હું,

આવે જો એ સામે તો એને ઓળખી પણ ના શકું હું, તે છતાં એ યાદ છે ને હુંય એને યાદ છું ,
એક ખાસ ચહેરામાં હજુ પણ આવીને અટવાય એ શું ? એક પીડા, એક ઇચ્છા, એક વળગણ, એક હું,

અહિંયા મહોબ્બત જેવું મારા દોસ્ત કૈ હોતું નથી, ને કોઈ પોતાની કોઈ ઇચ્છા વગર રોતું નથી,
બોલો જગત મધ્યે બજારોમાં બધું વેચાય એ શું ? એક પીડા, એક ઇચ્છા, એક વળગણ, એક હું,

અહીં તરજુમો પણ લાગણીનો હોય છે કેવો સરસ, જો એ સમજવું હોય તો ગઝલો વચાળે આવ મળ,
આ શાયરીમાં આવીને સાવ જ સહજ સચવાય એ શું ? એક પીડા, એક ઇચ્છા, એક વળગણ, એક હું,

સહેલી જ લાગે વાત એ પણ સાવ સહેલી તો નથી, એ શીખવે છે જાતને આ કમનસીબી આપણી,
‘પાગલ’ની અંદર કેટલા યુદ્ધો હજી ખેલાય એ શું ? એક પીડા, એક ઇચ્છા, એક વળગણ, એક હું,

– અલ્પેશ ‘પાગલ’
(અલ્પેશ પી. પાઠક)

લાંબી રદીફની અને લાંબી બહેરની સરસ ગઝલ… દુઃખની નાડ સુધી પહોંચવાની કોશિશ. ભગવાન બુદ્ધે કહ્યું હતું કે અપેક્ષા એ દરેક દુઃખનું કારણ હોય છે.  આ રદીફને ઊલટી વાંચીએ તો ? એક ‘હું’… હોવાપણું… હોવાનો અહમ્… ‘હું’ના હોવાપણાંના કારણે ઊપજતાં વળગણ… વળગણ પછી પલોટાય ઈચ્છામાં અને ઈચ્છા બને કારણ પીડાનું…

Comments (9)

હસતો રહ્યો – જમિયત પંડ્યા

જીત પર હસતો રહ્યો ને હાર પર હસતો રહ્યો,
ફૂલની શૈયા ગણી અંગાર પર હસતો રહ્યો.

ઓ મુસીબત ! એટલી ઝિંદાદિલીને દાદ દે :
તેં ધરી તલવાર, તો હું ધાર પર હસતો રહ્યો !

કોઈના ઈકરાર ને ઈન્કાર પર હસતો રહ્યો,
જે મળ્યો આધાર એ આધાર પર હસતો રહ્યો.

કોઈની મહેફિલ મહીં, થોડા ખુશામદખોરમાં
ના સ્વીકાર્યું સ્થાન, ને પગથાર પર હસતો રહ્યો.

ફૂલ આપ્યાં ને મળ્યા પથ્થર કદી, તેનેય પણ
પ્રેમથી પારસ ગણી દાતાર પર હસતો રહ્યો.

જીવતો દાટી કબરમાં એ પછી રડતાં રહ્યાં;
હું કબરમાં પણ, કરેલા પ્યાર પર હસતો રહ્યો.

નાવ જે મઝધાર પર છોડી મને ચાલી ગઈ-
એ કિનારે જઈ ડૂબી, હું ધાર પર હસતો રહ્યો.

ભોમિયાને પારકો આધાર લેતો જોઈને,
દૂર જઈ એ પાંગળી વણઝાર પર હસતો રહ્યો.

– જમિયત પંડ્યા

વાંચતા વેંત જ પાનો ચડી આવે એવી આ ખુમારીથી નિતરતી આ ગઝલના પહેલા બે શેર વારંવાર મુક્તક તરીકે ટંકાતા જોવા મળે છે.

Comments (10)

(કૂંપળ મળે) – રાજીવ ભટ્ટ ‘દક્ષરાજ’

જેમ ચોખ્ખા આભને વાદળ મળે,
એમ આ એકાંતને કાગળ મળે.

આ હવાને તેં કર્યું ચુંબન હશે,
આંગણામાં એટલે ઝાકળ મળે.

રાતરાણી થઈ અને પથરાઈ જો-
જીવતાં અંધારને પણ બળ મળે !

એમણે ધાર્યો મને સૂરજ સમો –
રોજ એથી આવવા જળ મળે !

હાથમાં લીધા અઢી અક્ષર અમે
ટેરવે ત્યાં સેંકડો કૂંપળ મળે.

–  રાજીવ ભટ્ટ ‘દક્ષરાજ’

આજે આ તરત ગમી જાય એવી ગઝલ માણો. અઢી અક્ષરની વાતને કદી કોઈને સમજાવવી પડતી નથી !

Comments (13)