જે રીતે ટોચથી એકધારું પડે છે ઝરણ,
એમ મારામાં તારું સ્મરણ.
વિવેક મનહર ટેલર

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for May, 2009

શાશ્વતી – સિતાંશુ યશશ્ચંદ્ર

સૂરજને તો ટેવ છે
લાલ રંગની લૉલીપૉપ આપીને માણસને ફોસલાવવાની.

દિવસ તો માનો ખોળો  – એના રંગબેરંગી છાપેલા સાળુમાં
મોં સંતાડીને પડ્યા રહેવાનું ગમે.

આખો  દિવસ
નાની મોટી ચીજોની આડાશ લઈને આપણે સંતાઈ રહીએ છીએ.

પણ રાત.

મેનહટ્ટનના એક યહૂદી કવિએ મારી હાજરીમાં એની પત્નીને કહ્યું હતું :
I love you, but I don’t like you.
રાત્રિના કામ્ય દેહમાં પ્રગટી જતા બ્રહ્માંડને
જ્યારે ચાહું છું ત્યારે હું નથી હોતો.

શાશ્વત તારાઓની વચ્ચે
વારંવાર મૃત્યુ પામીને વારંવાર જન્મ પામતો ચંદ્ર
કેટલી શરમથી રહેતો હશે !

અને તોપણ
વદ ચૌદશની રહીસહી આડશ પણ ફેંકી દઈને
અમાસની રાત
તારાઓના અઢળક રૂપથી ભરી ભરી પોતાની કાયાને
મારી સામે નિર્લજ્જતાથી ધરી દે છે.

ત્યારે મારીયે ભીતરથી પ્રગટી પડે છે
અરે મનેયે ના ગણકારતો
માણસાઈ વિનાનો કોઈ અતિમાનવ;

આવતા પરોઢ સુધી પંજો લંબાવીને
ઝડપી લે છે એ તાજા સૂરજને
ને રાત્રિના કમનીય પણ અગોચર અવકાશમાં
કરે છે એનો ઘા…

– સિતાંશુ યશશ્ચંદ્ર

અમુક કવિતાઓનું પોત અંગત વાત જેવું હોય છે  જે કોઈ તમને કાનમાં કહેતું હોય. આ એવી કવિતા છે. વળી સિ.ય.નું કાવ્ય છે એટલે બહુઆયામી જ હોવાનું.

રાત્રિની કમનીયતાના આ કાવ્યનું નામ કવિ શાશ્વતી આપે છે.  કવિને દિવસ ગમે છે પણ પ્રેમ રાત્રિ સાથે છે. દિવસમાં તો ખાલી પૃથ્વી દેખાય છે જ્યારે રાત્રે તો સમગ્ર બ્રહ્માંડનો વરદ દેહ ઉજાગર થાય છે. રાત્રિના સથવારે પોતાની અંદરથી જે ઊગે છે એને કવિ ‘માણસાઈ વિનાનો કોઈ અતિમાનવ’ કહે છે… એના હાથે જ રાત્રિનો – અને રાત્રિ સાથે સંકળાયેલી અનંત સંભાવનાઓનો – અંત લખાયેલો હોય છે.

Comments (7)

ગઝલ – નીતિન વડગામા

કાનમાં કોઈ કશું કહી જાય છે,
એ પછી આખી ગઝલ સર્જાય છે.

મૌનનો માળો અહીં બંધાય છે,
એ પછી આખી ગઝલ સર્જાય છે.

આભ આખું એમ ગોરંભાય છે,
એ પછી આખી ગઝલ સર્જાય છે.

સાવ ભીતર કૈંક ભીનું થાય છે,
એ પછી આખી ગઝલ સર્જાય છે.

કોઈ આવી આંગણે કંઈ ગાય છે,
એ પછી આખી ગઝલ સર્જાય છે.

ડાળ પરથી મૂળમાં પ્હોંચાય છે,
એ પછી આખી ગઝલ સર્જાય છે.

આપમેળે મર્મ એ સમજાય છે,
એ પછી આખી ગઝલ સર્જાય છે.

ટોચને તળિયું બધું દેખાય છે,
એ પછી આખી ગઝલ સર્જાય છે.

આંખમાં ભગવી ધજા લ્હેરાય છે,
એ પછી આખી ગઝલ સર્જાય છે.

-નીતિન વડગામા

થોડા દિવસ પહેલાં ગઝલ બનતી નથીની ગઝલ પર લાં..બી ચર્ચા ચાલી. આજે ગઝલ કેમ કરતાં બને છે એની થોડી વાત. ગઝલ-સર્જનની ખૂબી બ-ખૂબી વર્ણવતી આ ગઝલમાં એક વાત ખાસ છે. અહીં આખેઆખો સાની મિસરો રદીફ તરીકે વપરાયો છે. ગઝલવિદ્દ કદાચ આને અ-ગઝલ પણ કહે પણ આપણને તો એક જ વાત આવડે છે, ગમી તે ગઝલ !

Comments (14)

નશો – હેમેન શાહ

હજી જીભમાં વાસના છે અધૂરી
ઊગે છે હજી આંખમાં પણ ખજૂરી
ફક્ત નામ ઉચ્ચારવાનો નશો છે
અલંકાર કે ના વિશેષણ જરૂરી

– હેમેન શાહ

Comments (1)

(થૂકદાની નથી) – ભરત વિંઝુડા

ના ગમે તો વાત સાંભળવી નથી
કાન એ કોઈની થૂકદાની નથી

અણગમો આવે તો તોડી નાખીએ
શબ્દ કંઈ જાત ઈન્સાની નથી

બસ નથી ગમતું અને પીતો નથી
આ કોઈ મારી મુસલમાની નથી

પેટ ફૂટે તોય ના ભાગી છૂટે
એટલો આ જીવ અજ્ઞાની નથી

સ્પર્શની એકેય નિશાની નથી
આ ત્વચામાં એવી નાદાની નથી

– ભરત વિંઝુડા

થોડા દિવસ પહેલા જયશ્રીએ પહેલો શેર યાદ કરાવ્યો અને આ ગઝલ આખી યાદ આવીને ઊભી રહી. લોકો કારણ વિના જે બોલ્યા કરે એ આપણે કારણ વિના સાંભળ્યા કરવાની કોઈ જરૂર નથી.  બાકીના શેર પણ એકથી એક વધારે અલગારી થયા છે.  છેલ્લા શેરમાં કવિ જતા જતા એક વ્યંગનો ચાબખો મારતા જાય છે. પણ એનો કોઈ સોળ આપણી ચામડી પર દેખાવાની શક્યતા નથી… આપણી ચામડીમાં પણ એવી નાદાની ક્યાં છે ?

Comments (14)

કરું છું – ગૌરાંગ ઠાકર

હું દુર્ભાગ્યને ધૂળધાણી કરું છું,
જ્યાં પાણી નથી ત્યાં ઉજાણી કરું છું.

મેં ભીતરનો આનંદ માણી લીધો છે,
હવે વહાલની રોજ લહાણી કરું છું.

કલમ માત્ર શાહીનો ખડિયો ન માંગે,
હું તેથી આ લોહીનું પાણી કરું છું.

દશાને દિશા આપશે પૂરતું છે,
આ ગઝલો લખી ક્યાં કમાણી કરું છું ?

તું આદમ વખતથી મને ઓળખે છે,
અને ભૂલ પણ હું પુરાણી કરું છું.

– ગૌરાંગ ઠાકર

ગઝલ-કવિતા કમાણીનું સાધન નથી પણ એ ભીતરી દશાને યોગ્ય દિશા આપવામાં મદદરૂપ થાય તોય ઘણું… કવિએ બે લીટીમાં કેવી ઊંચી વાત કરી દીધી !

Comments (26)

તારો વૈભવ – જયન્ત પાઠક

(પૃથ્વી)

અહો જલની ઉગ્રતા !
તૂટી મૂશળધાર, તોડી તટકેરી માઝા, ધસી
રચે પ્રલયકાળ; વજ્ર નિજ અદ્રિશૃંગે ઝીકે;
પ્રચંડ બની ધોધ રેત કરી દેતું ગ્રાવા ધસી
ચરાચર સમસ્તનાં કરત સ્તબ્ધ હૈયાં બીકે.

અહો જલનું માર્દવ !
ઊંચેથી ઊતરી ધીમે કુસુમથી ય હળવા બની
હથેલી મહીં પુષ્પની જેવું ઝીલાઈ, વા પૃથ્વીની
રજે ભળી જઈ ઊંડે ઊતરી બીજને ભીંજવી
સુકોમલ તૃણોરૂપે પ્રગટવી નવી જિંદગી.

અહો જલની ઉગ્રતા, જલતણું અહો માર્દવ !
વિનષ્ટિ સૃજને કશો પ્રગટ તાહરો વૈભવ !

– જયન્ત પાઠક

જળના બે આંત્યંતિક સ્વરૂપોને સામસામે ગોઠવી કવિ મજાનું કાવ્ય કરે છે ! મૂશળધાર વરસીને કાંઠા તોડી પર્વતના શિખરોને ય તહસ-નહસ કરી નાંખી રેતી-રેતી કરી દે એવું સમસ્ત સૃષ્ટિના ધબકારા અટકાવી દે એવું જળનું સ્વરૂપ એક સામે છે તો બીજી તરફ હળવેથી જેમ ફૂલ હથેળીમાં ઝીલાય છે એ રીતે ધરતીમાં ભળી જઈ એક બીજને નવાંકુરિત કરી નવી જિંદગી જન્માવતું ઋજુદિલસ્વરૂપ છે… બંને સ્વરૂપે ઈશ્વરનો જ ખરો વૈભવ પ્રગટ થાય છે…

(અદ્રિશૃંગ = પર્વતની ટોચ; ગ્રાવા = પર્વત, પથ્થર; ચરાચર = જડ-ચેતન; વિનષ્ટિ= વિનાશ)

Comments (8)

ધૂળને ઉદબોધન – રમેશ પારેખ

પુષ્પ લિપિમાં હું તારું અધિકરણ વાચું
ને મ્હેકમ્હેકમાં હું રંગીન વ્યાકરણ વાચું
અરે ઓ ધૂળ ! છે તારી નિશાળ અલગારી
રંગને, મ્હેકને, ફૂલોને હું અભણ વાચું !

– રમેશ પારેખ

Comments (6)

પાનું – કિરણસિંહ ચૌહાણ

નથી માત્ર મારું, આ દુ:ખ છે બધાનું,
ઉતાવળમાં કોરું રહી જાય પાનું.

જરા સ્થિર થઈએ તો સરનામું થઈએ,
પછી કહી શકીશું તને આવવાનું.

જે આયાસપૂર્વક તે કાઢ્યું ગળેથી,
ગળે કેમ ઊતરી શકે એ બહાનું ?

ઘણાં દર્દ વેઠીને આવ્યો છું અહીંયાં,
નથી ગમતું તેથી આ પાછા જવાનું.

ન માનો તો ગાયબ ને માનો તો હાજર,
હે ઈશ્વર ! તું તો શિલ્પ જાણે હવાનું.

– કિરણસિંહ ચૌહાણ

ઉતાવળમાં કોઈ પાનું કોરું રહી જાય એનો વસવસો તો જીંદગીભર રહી જાય છે. સૌથી મઝાનો શેર જે આયાસપૂર્વક… થયો છે.

Comments (24)

() – સુરેશ દલાલ

જાતને અમુક હદથી વધુ છેડવા જેવી નથી
હોતી અને જગતને છંછેડવા જેવું નથી
હોતું. જાત હોય કે જગત હોય –
અમુક હદથી વધુ કોઈની પણ નજીક
જવાય નહીં. નજદીક જવાનો
અર્થ એટલો જ કે ક્યારેક એનાથી
દૂર જવું પડશે. ભાગ્યે જ કોઈનો
સંબંધ અકબંધ રહે છે. સંબંધનો
એક અર્થ ઉઝરડા કરીએ તો
આપણે કદાચ ખોટા નહીં પડીએ.
સંબંધનો જોડણીકોશનો અર્થ
અને જીવનકોશનો અર્થ એક નથી હોતો.

-સુરેશ દલાલ

અછાંદસના કેટલાક આયામોમાંથી એક સિદ્ધ કરતું સરસ કાવ્ય. પહેલી દસ લીટીમાં જે રીતે કાવ્યનો પિંડ અનવરત બંધાય છે અને આખરી બે લીટીમાં જે રીતે સોનેટની જેમ ચોટ ઉપસી આવી છે એ જોતાં એમ વિચાર આવે કે જો બે લીટી વધુ લખાઈ હોત તો આજકાલ સુરેશભાઈ જેના પર વધુ હાથ અજમાવી રહ્યા છે, એ મુક્ત સૉનેટ આપણને મળી શક્યું હોત.

ધ્યાનથી જોઈએ તો પહેલી દસ લીટીમાં કવિતા એક જ લયમાં વહેતી રહે છે. નદી જેમ પથરાની પરવા કર્યા વિના વહેતી રહે છે એમ દરેક કડી બીજી કડીમાં અટક્યા વિના વહેતી રહે છે. પંક્તિ પૂરી થાય છે ત્યાં વાક્ય પૂરું થતું નથી અને વાક્ય પૂરું થાય છે ત્યાં પંક્તિ ચાલુ જ રહે છે. એક લય આ પણ છે અછાંદસનો !

Comments (19)

SIX -ભાષી ગઝલ – કિસ્મત કુરેશી

जब इबादत की हमें फ़ुरसत मिली,                    (ઉર્દૂ)
ચાલતા’તા શ્વાસ ત્યારે આખરી.                        (ગુજરાતી)

मन खुदारा दोस्ते मन दारम हनोज़,                   (ફારસી)
ના મને એથી તો દુનિયાની પડી.                     (ગુજરાતી)

In the desert stream I couldn’t find,   (અંગ્રેજી)
પ્રાણ મુજ તરસ્યા રહ્યા’તા તરફડી.                    (ગુજરાતી)

तस्य वचनम् – संभवामि युगे युगे,                    (સંસ્કૃત)
આશ દર્શનની ન શાને રાખવી ?                        (ગુજરાતી)

प्राप्त की किस्मत ने ईश्वर की कृपा,                      (હિન્દી)
SIX-ભાષી આ ગઝલ એણે રચી.                      (ગુજરાતી)

– કિસ્મત કુરેશી

લયસ્તરો પર આજકાલ મિશ્રભાષી ગઝલો ની મોસમ ખીલી છે. ક્યારેક ઝફર ઈકબાલની ગુજરાતી રદીફવાળી ઉર્દૂ ગઝલ, ઊર્મિની હિંદી રદીફવાળી तेरे जाने के बाद અને तेरे आने के बाद તો પંચમની ગઝલ બનતી નથીની વાત પર સત્તર શેરની લાં..બીલચ્ચ ગઝલ. આવી ઋતુમાં IPL 20-20 મેચના DLF maximum જેવો એક છગ્ગો… એક જ ગઝલમાં છ-છ ભાષાઓ વણી લઈને 1989માં લખાયેલી કિસ્મત કુરેશીની એક મજાની ગઝલ…

(मन खुदारा दोस्ते मन दारम हनोज़, ના મને એથી તો દુનિયાની પડી = હું ખુદા માટે છું અને અત્યાર સુધી ઈશ્વરને જ મારા મિત્ર તરીકે રાખ્યો છે એથી જ તો મને આ દુનિયાની કંઈ પડી નથી. ) (આ ફારસી મિસરાના મૂળ સુધી પહોંચવામાં મદદ કરવા બદલ આઝમ ઘડિયાળી અને રઈશ મનીઆરનો આભાર!)

Comments (20)

કવિતાની તાકાત – મદન ગોપાલ લઢા (અનુ. સુશી દલાલ)

કવિતાને કારણે
વરસાદ નહીં વરસે
કવિતાને કારણે
સૂરજ નહીં ઊગી શકે
કવિતાને કારણે
નહીં ભરી શકાય પેટ.
પણ કવિતા
જરૂર બતાવી શકે છે રસ્તો –
પાણી લાવવાનો
રાત પસાર કરવાનો
ભૂખ ભાંગવાનો

– મદન ગોપાલ લઢા
(અનુ. સુશી દલાલ)

કવિતા પ્રકટપણે કોઈ ચમત્કાર કરી શક્તી નથી એમ લાગે પણ હકીકતમાં જે ચમત્કાર અપ્રકટપણે કવિતા સર્જી શકે છે એ અતુલ્ય અને અમાપ છે… કવિતાની ખરી તાકાતનો સાચો નિચોડ આ રાજસ્થાની કવિએ થોડી જ પંક્તિમાં કેવો સચોટ કાઢી બતાવ્યો છે !

Comments (14)

(હયાતી છે) – મુકુલ ચોકસી

પૂછ્યું મેં કોણ છે ! ઉત્તર મળ્યો યયાતિ છે,
ને બહાર જોઉં તો આખી મનુષ્યજાતિ છે.

બીજાને તૂટતા જોવા કરે છે આવું એ ?
આ આયનાનું વલણ કેમ આત્મઘાતી છે ?

ને આભ જેવા નિસાસાઓ ઢાંકવા માટે,
આ નાના-નાના પ્રપંચોની ખૂબ ખ્યાતિ છે.

સૂરજનું ખૂન થયું હોય એવો સંભવ છે,
આ ઢળતી સાંજે ક્ષિતિજ આખી કેમ રાતી છે ?

ભરાઈ ગઈ’તી એની પીઠ આખી જખ્મોથી,
બધાને લાગ્યું બહુ મજબૂત એની છાતી છે.

જો સ્થિરતા જ અનિવાર્ય હોય, હે મિત્રો,
ઢળી જવાની જરૂરિયાત પણ તો તાતી છે.

જીવન થકી જ જણાયું કે અહીં મરણ પણ છે,
થઈ મરણને લીધે જાણ કે હયાતી છે.

– મુકુલ ચોકસી

માણસમાત્રના યયાતિપણાથી શરૂ થતી આ ગઝલ મરણ ને હયાતિના અવિચ્છિન્ન સંબંધ પર આવીને અટકે છે ત્યાં સુધીમાં બહુ વિશાળ ફલકને આવરી લે છે. પહેલો શેર વધુ અર્થ ઊઁડાણ ધરાવે છે. પણ મારા પોતાના પ્રિય શેર (કારણ કે વારંવાર ટાંકવામાં વપરાય છે) આ છે – ભરાઈ ગઈ’તી... અને જો સ્થિરતા જ…

Comments (16)

ગઝલ બનતી નથી – પંચમ શુક્લ

બે વિરોધી વાતથી ગઝલ બનતી નથી,
સ્પંદના ઉત્પાતથી ગઝલ બનતી નથી.

ખોખલા જઝબાતથી ગઝલ બનતી નથી,
પાંગળા પરિત્રાતથી ગઝલ બનતી નથી.

શ્યામ કે અવદાતથી ગઝલ બનતી નથી,
ઉષ્ણથી કે શાતથી ગઝલ બનતી નથી.

તુચ્છ તહેકીકાતથી ગઝલ બનતી નથી,
પારકી પંચાતથી ગઝલ બનતી નથી.

છંદની બિછાતથી ગઝલ બનતી નથી,
પ્રાસની તહેનાતથી ગઝલ બનતી નથી.

શેરની તાકાતથી ગઝલ બનતી નથી,
બેતની તાદાતથી ગઝલ બનતી નથી.

મીરની મીરાતથી ગઝલ બનતી નથી,
ખુદાઈ ખેરાતથી ગઝલ બનતી નથી.

ખ્યાત કે અખ્યાતથી ગઝલ બનતી નથી,
જ્ઞાત કે અજ્ઞાતથી ગઝલ બનતી નથી.

સાથ કે બાકાતથી ગઝલ બનતી નથી,
એકથી કે વ્રાતથી ગઝલ બનતી નથી.

અર્થ કે અર્થાત્-થી ગઝલ બનતી નથી,
તર્કના ઉધમાતથી ગઝલ બનતી નથી.

કેમ ને કસ્માત્-થી ગઝલ બનતી નથી,
પ્રશ્નના વરસાતથી ગઝલ બનતી નથી.

બુદ્ધિના ધણિયાતથી ગઝલ બનતી નથી,
ઊર્મિની બારાતથી ગઝલ બનતી નથી.

શબ્દની સોગાતથી ગઝલ બનતી નથી,
મર્મની ઓકાતથી ગઝલ બનતી નથી.

એકલા આઘાતથી ગઝલ બનતી નથી,
રોકડા રળિયાતથી ગઝલ બનતી નથી.

ધ્યાત કે આધ્યાતથી ગઝલ બનતી નથી,
ગુહ્યથી યા વ્યાત્ત્-થી ગઝલ બનતી નથી.

સ્થૂળ યાતાયાતથી ગઝલ બનતી નથી,
પ્રાયઃ ઇષ્ટ સ્યાત્-થી ગઝલ બનતી નથી.

એમ કહીએઃ જાતથી ગઝલ બનતી નથી,
એમ નહિઃ જગ-તાતથી ગઝલ બનતી નથી!

– પંચમ શુક્લ

આ ગઝલમાં ‘ગઝલ’ શબ્દ ગઝલ માટે જ નહીં પણ જીવનમાં જે કાંઈ સૂક્ષ્મ અને સુંદર છે એ બધા માટે વપરાયો છે. જ્યાં સુધી ‘ગઝલ’ની ‘રેસિપી’માં કોઈ અગમ્ય અને અદભૂત રસ ન ભળે ત્યાં સુધી ખરા અર્થમાં સર્જન શક્ય જ નથી.

(ત્રાત=રક્ષણ, બચાવ; અવદાત=શ્વેત, વ્રાત= સંઘ, સમૂહ, કસ્માત્= શાથી, કયે કારણ; વ્યાત્ત્= ખુલ્લું, ઉઘાડું; સ્યાત્= કોઈ પ્રકાર, કોઈ અપેક્ષા, કોઈ માર્ગ)

Comments (46)

શોધે છે – મરીઝ

પ્રસ્વેદમાં પૈસાની ચમક શોધે છે
હર ચીજમાં એક લાભની તક શોધે છે;
આ દુષ્ટ જમાનાનું રુદન શું કરીએ?
આંસુમાં ગરીબોના નમક શોધે છે.

– મરીઝ

Comments (6)

तेरे आने के बाद – ઊર્મિ

gazal-mona-handwriting2

(ઊર્મિની એક અક્ષુણ્ણ કૃતિ એના હસ્તાક્ષરમાં પહેલવહેલીવાર લયસ્તરો માટે)

આખું નભ પગ તળે तेरे आने के बाद,
ને બધું ઝળહળે तेरे आने के बाद.

સાવ ઉજ્જડ હતું એ બધું મઘમઘે,
પાનખર પણ ફળે तेरे आने के बाद.

કાળી ભમ્મર હતી રાત એ ઝગમગે,
સ્વપ્ન ટોળે વળે तेरे आने के बाद.

આંખમાં ઊમટે સાત રંગો સતત
અશ્રુઓ ઝળહળે तेरे आने के बाद.

શબ્દ કે અર્થ કૈં પૂરતું ના પડે,
કાવ્યમાં શું ઢળે, तेरे आने के बाद ?!

તું અહીં, તું તહીં, તું તહીં, તું અહીં,
ક્યાંય ‘હું’ ના મળે तेरे आने के बाद.

ઉર મહીં ‘ઊર્મિ’ તું, મારો પર્યાય તું,
તું બધે ખળભળે तेरे आने के बाद.

ઊર્મિ (૭ મે ૨૦૦૯)

ગયા અઠવાડિયે જ મૂકેલી અને બધાને ખૂબ ગમી ગયેલી तेरे जाने के बाद  ગઝલ ના બીજા ભાગ જેવી આ ગઝલ હિન્દી અને ગુજરાતી બન્નેના ઉપયોગ ઉપરાંત ‘ગઝલ-બેલડી’ના આ નવા પ્રયોગને કારણે પણ યાદ રહેશે.  શબ્દ અને કલ્પનોની સાદગી આખી ગઝલને ઉષ્મા અને ઘેરી અસરકારકતા બક્ષે છે. પાંપણ પર તગતગતા આંસુમાં પણ કોઈના આવવાથી સાતે રંગ દેખાવા માંડે એ આ ભાવવિશ્વની ચરમસીમા છે !

Comments (14)

ગઝલ – પંકજ વખારિયા

Pankaj Vakharia_shikhvi gayi kaik parda Ni kala
(ખાસ લયસ્તરો માટે પંકજ વખારિયાના પોતાના અક્ષરોમાં એક અક્ષુણ્ણ ગઝલ)

*

શીખવી ગઈ કૈંક પરદાની કળા
દૃશ્યથી પર થઈને જોવાની કળા

દ્વારથી પાછા જવાનું મન થતું
એવી એની આવ કહેવાની કળા

ક્યાં હવે એ બાજુથી થઈએ પસાર ?!
યાદ ક્યાં છે રસ્તો ભૂલવાની કળા

કેટલાં દિવસે મળી બારીમાં સાંજ !
તાજી થઈ પાછી ઝૂરાપાની કળા

દોસ્ત ! તું પણ લખ ગઝલ, અઘરી નથી
આમ જોકે શ્વાસ લેવાની કળા

શબ્દની કરતાલમાં રણકી ઊઠી
જિંદગી નામે ભરોસાની કળા

એક-બે વાતો અધૂરી રાખીએ
બીજી તો કઈ પાછા મળવાની કળા

-પંકજ વખારિયા

દુલા ભાયા કાગની પંક્તિ યાદ છે?- હે જી તારા આંગણિયા પુછીને જે કોઈ આવે રે, આવકારો મીઠો આપજે રે… પણ આજે જમાનો જરા જુદો છે.  આજે ‘આવ’ માંથી ‘ભાવ’ સાવ જ નીકળી ગયો છે. અપેક્ષાથી વિપરીત સૂકો અને સૂનો આવકાર મળે ત્યારે દરવાજેથી જ પાછા વળી જવાનું મન ન થાય ?

Comments (12)

ગઝલ – આબિદ ભટ્ટ

આવ લઈ, જે વાતને સમજી શકે,
દર્દ, એની જાતને સમજી શકે.

ચાંચ એમાં સૂર્યની ડૂબે નહીં,
લાવ કે જે રાતને સમજી શકે.

કંટકો સાથે રહ્યા જે ડાળની,
પાનખરની ઘાતને સમજી શકે.

શ્વાસ લેતા પત્થરો છે સૌ અહીં,
એ વળી જઝબાતને સમજી શકે ?

તારલાનો તું હશે આશિક ભલે,
બોલ, ઉલ્કાપાતને સમજી શકે ?

હોય શ્રદ્ધાનાં સુમન જેની કને,
એ જ મારા તાતને સમજી શકે.

– આબિદ ભટ્ટ

શીઘ્ર પ્રત્યાયનક્ષમતાની શરતને પૂરી કરતી મજાની ગઝલ… બહુધા પરંપરાને અનુસરતી આ ગઝલના બીજા શેરનું કલ્પન એને આધુનિક ગઝલની કક્ષાએ લઈ જાય એટલું સશક્ત છે…

Comments (12)

ગઝલ – ડૉ. જગદીપ નાણાવટી

રસ્તો થવું ગમે છે મને ભીડની તળે
મંઝિલ બનું તો લોક ફકત એક બે મળે

છળના અફાટ રણમાં પીગળતો આ આયનો
મૃગજળ થઈને આજ ફરીથી મને છળે

વાતો તણો સબંધ હવે ક્યાં રહ્યો છતાં
અફવા જરાક અમથી બધા કાન સાંકળે

પીળા કરમ કરીને બધાં પાંદડાં ખરે
લીલું મઝાનું પુણ્ય ઊગે એક કૂંપળે

તુલસી નહીં, ન જળ કોઈ જીહ્વા ઉપર હશે
રમતું તમારું નામ સતત આખરી પળે

– ડૉ. જગદીપ નાણાવટી

મુસાફરીમાં જે મજા છે એ મંજિલમાં નથીની વાત કવિ સાવ અનૂઠી રીતે જ લાવ્યા છે. ટોચ પર હંમેશા એકલતા જ હોવાની. વળી કવિની વાતમાં જે સમર્પણની ભાવના છે એની અહીં ખરી મજા છે. કવિ પોતે નથી મુસાફર કે નથી મુસાફરીમાં, પણ અન્યની મુસાફરીમાં પાયાનો આધાર- રસ્તો-બનવાની ખેવના કરે છે અને રસ્તો પણ એટલા માટે બનવા ચહે છે કે અનેકોને ધ્યેયપૂર્તિમાં કામ આવી શકે, મંઝિલ બની જાય તો એકાદ-બે જણને જ સંતોષનો ઓડકાર અપાવવાનું નિમિત્ત બની શકે…

Comments (11)

ગઝલ – સુરેન્દ્ર કડિયા

પ્રથમ એક બારી ઉઘાડીને રાખી,
પછી આંખ વચ્ચે લગાડીને રાખી.

ભીતરથી હતી સાવ ભીની એ ઘટના,
વળી ફૂલ વચ્ચે ડૂબાડીને રાખી.

અમે સાચવ્યો શબ્દ-વનનો મલાજો,
અમે ખૂબ કોમળ કુહાડીને રાખી.

તમે છાતીએ લહેરખીઓ લપેટી,
અને આખી મોસમ દઝાડીને રાખી.

ગઝલ એક કસ્તૂરી-મૃગ છે ખરેખર,
નથી કોઈ અફવા ઉડાડીને રાખી !

– સુરેન્દ્ર કડિયા

નાજૂક કલ્પનોથી સજાવેલી ગઝલ. અમે સાચવ્યો … અને તમે છાતીએ… શેર ખાસ સરસ થયા છે.

Comments (9)

લઘુકાવ્ય – કાસા (અનુ.સુરેશ દલાલ)

મને એવું સ્વપ્ન આવ્યું
કે મેં મારી સામે જ
તલવાર ઉગામી છે.
આનો અર્થ શું ?
એટલો જ કે હું તને
થોડીક વારમાં જ મળી શકીશ

કાસા

પોતાની જાતને ઓગાળી નાખવાની તૈયારી એ ગમતા માણસને મળી (-માં ભળી) જવાનું પહેલું પગથિયું છે એ વાતમાં કવિએ બહુ સહજતાથી કરી છે.

Comments (6)

કળાનો અંત – રેઈનર કુંજે

ઘુવડે શિખર પરના કૂકડાને કહ્યું
તારે સૂરજને કદી ગાવો નહીં
સૂરજ કંઈ મહત્વનો નથી

શિખરના કૂકડાએ પોતાની કવિતામાંથી
સૂરજની બાદબાકી કરી

ઘુવડે શિખરના કૂકડાને કહ્યું
તું કલાકાર નથી
અને ત્યાં ચારે બાજુ
કેવળ અંધકાર હતો

– રેઈનર કુંજે

કળા તો સંસ્કૃતિનો આત્મા છે. કળાને રાજકીય અભિપ્રાયો અને ‘વાદ’થી મુક્ત રાખવી એ આપણી સામાજીક જવાબદારી છે. રાજ્યને ગાવા માટે કળા નથી હોતી, કળાને ગાવા માટે રાજ્ય હોય છે. જ્યાં રાજ્ય કળાના ધોરણો ઘડવા માડે તે સંસ્કૃતિનો અસ્ત નિશ્ચિત જ સમજવો.

Comments (3)

तेरे जाने के बाद – ઊર્મિ

gazal-mona-handwriting
(ઊર્મિની એક અક્ષુણ્ણ કૃતિ એના હસ્તાક્ષરમાં પહેલવહેલીવાર લયસ્તરો માટે)

આભ ઝરમર ઝરે तेरे जाने के बाद,
રોજ પીંછાં ખરે तेरे जाने के बाद.

સ્તબ્ધ સૃષ્ટિ સકળ ને અકળ સ્તબ્ધતા,
ના હવા મર્મરે तेरे जाने के बाद.

મેં મને ખોળી પણ ક્યાંયે હું ના મળી,
શૂન્યતા થરથરે तेरे जाने के बाद.

તારું ચાલ્યા જવું- એક પ્રસવયાતના,
કાવ્ય કૈં અવતરે तेरे जाने के बाद.

તું નથી, તું નથી, તું નથી, તું નથી,
તું બધે તરવરે तेरे जाने के बाद.

‘ઊર્મિ’ કેવી તરંગી હતી પણ હવે-
ના જીવે, ના મરે तेरे जाने के बाद.

ઊર્મિ  (૬ મે ૨૦૦૯)

સ્નિગ્ધ એકલતાની નખશિખ સુંદર ગઝલ. ગયા અઠવાડિયે મૂકેલી ઝફરસાહેબની ગુજરાતી રદીફવાળી હિન્દી ગઝલ જોઈ લઈ, એની સાથે સરખાવશો.

Comments (25)

પ્રેમ – પાબ્લો નેરુદા (અનુ. હેમન્ત દવે)

હું ચાહું તને
જાણું નહીં – કેમ, ક્યારે, ક્યાંથી
હું ચાહું તને –
સરલપણે, ન સંકુલતા ન અહંકાર
એમ હું ચાહું તને –
કારણ કે એ સિવાય બીજી કોઈ રીત જાણતો નથી:
અસ્તિત્વ મારું ન હોય ને તારું યે ન હો
એટલાં નિકટ કે મારી છાતી પરનો
તારો હાથ મારો હોય,
એટલાં નિકટ કે ઊંઘમાં
સરી હું પડું ને
નેત્ર બંધ તારાં થાય…

-પાબ્લો નેરુદા
અનુ. : હેમન્ત દવે

પ્રેમની સાવ સાદી અને સહજ વાત પણ અનુભવવી અને અમલમાં મૂકવી એટલી જ કપરી… પ્રેમને કારણો સાથે સંબંધ કાંઈયે નથી… પણ પ્રેમનો સીધો અર્થ એટલે ઓગળવું. એવી રીતે ઓગળવું કે એકબીજામાં ભળી જવાય. એવી રીતે ભળી જવું કે છૂટા જ ન પડી શકાય…

Comments (9)

કીડી – મનહર મોદી

મારું નામ
કીડી.
હું આઠ માળ ચઢી
તો પણ
હાંફી નહીં
ને
પડી
તો
છેક નીચે ગઈ
પણ
મરી નહીં.
મારું બળ મારી ગતિ છે
હું ચાલું છું
ધીમી
પણ
દોડું છું પૂરપાટ.
મને કોઈ કહે કે માણસ થવું છે ?
તો
હું ના પાડું.
માણસ થવાથી
આઠ માળ ચઢીને
હાંફવું પડે છે
અને
પડી જઈને
છેક નીચે જઈ શકાતું નથી
અને
અધવચ્ચે જ
અથડાઈ-કુટાઈને મરવું પડે છે.
એથી તો ભલી
હું
કીડી
નાની
ને
અમથી.
મારો કોઈને ભાર નહીં,
મને પણ.

– મનહર મોદી

આ ‘ટૂંકી બહેર’નું અછાંદસ સ્વયંસિદ્ધ છે… એને એમ જ માણીએ… હું કીડી નાની ને અમથી. મારો  કોઈને ભાર નહીં, મને પણ – આટલી વાત પણ સમજી શકાય તો ઘણું !

Comments (14)

સાંજ પડે ને… – રિષભ મહેતા

સાંજ પડે ને તું યાદ આવે; સાંજ પડે ને…
ટહુકો પણ પાંખો ફફડાવે ! સાંજ પડે ને…

મન હવે છે પાંખ વગરના પંખી જેવું
ઝાડ ભલેને ડાળ નમાવે; સાંજ પડે ને…

કટાઈ ગયેલી એકલતા સાથે જીવવાનું
દીવો એકાંતો ચળકાવે સાંજ પડે ને…

શબ્દો ગોઠવતા રહેવાનો યત્ન કરું છું
થાકેલી એક પંક્તિ આવે સાંજ પડે ને…!

કેવળ તારા એક જવાથી શું શું ખોયું ?
સરવાળો કરતાં ન ફાવે સાંજ પડે ને…

શ્વાસ કહો; નિશ્વાસ કહો; ભરતા રહેવાનું
હવા મને એવું સમજાવે સાંજ પડે ને…

પડછાયો પણ ઘરમાં મારી સાથ ન આવે
ઉજ્જડતા એને અકળાવે સાંજ પડે ને…

– રિષભ મહેતા

સાંજનો રંગ ઉદાસીનો રંગ છે. સાંજના રંગ જેમ જેમ વધુ ઘુંટાતા જાય છે, પ્રિયજનની યાદ બળવત્તર બનતી જાય છે. ઝાડ ભલે ઝુકીને આમંત્રણ આપે પણ પાંખ વગરના પંખી જેવું મન ક્યાંથી ઊડી શકવાનું ? સાંજના અંધારામાં પંડનો પડછાયો પણ અદૃશ્ય થઈ જાય છે, કદાચ પ્રિયજનના ન હોવાની ઉજ્જડતા એને અકળાવતી હશે ?

Comments (25)

શ્વાસ, નિ:શ્વાસ, ઉચ્છવાસ – રાધેશ્યામ શર્મા

કબરનાં જર્જર પેટાળમાંથી ફૂટેલાં
અજાણ્યાં ફૂલોની મત્ત ગંધનો
શ્વાસ લેનાર

ચૂડો ફૂટ્યો એ રાતે
સ્વપ્નમાં, પોતાના સ્તનોને
હંસયુગલ બનીને ઊડી જતાં જોતી
જુવાન વિધવાના ધ્રુજતા
નિ:શ્વાસ નાખનાર

અને
અલકાનગરીનેય કાળકોટડીમાં
ફેરવી નાખતી મિલની
ચીમનીઓની વરાળના
ઉચ્છવાસ કાઢનાર

મને – અહીં
કામનાના ક્રોસ ઉપર
નામના ખીલા વડે
ખોડી દેવામાં આવ્યો છે.

– રાધેશ્યામ શર્મા

શોક-ટ્રીટમેન્ટ જેવા કાવ્યમાં કવિ – શ્વાસ, નિ:શ્વાસ અને ઉચ્છવાસ – એ ત્રણ પગલાનું કાળુભમ્મર ચિત્ર દોરે છે.  આવી ગતિનું ગંતવ્ય પોતાની કામનાનો ક્રોસ જ હોઈ શકે. યાદ રહે કે માણસ આખી જીંદગી આ જ ક્રોસને કાળજીથી પોતાના ખભે ઊંચકીને ફરે રાખે છે.

Comments (3)

લઘુકાવ્યો – મિકાતા યામી (અનુ. : હરીન્દ્ર દવે)

મારી પ્રિયતમા માટે
પામ વૃક્ષની ટોચ પરથી
ફૂલો ચૂંટું છું ત્યારે
નીચેની ડાળીઓ
મને ઝાકળથી ભીંજવી દે છે.

*

ગ્રીષ્મના ખેતરમાં
અફવાઓ ઝાંખરાંની જેમ  ઊગે છે:
મારી પ્રિયતમા અને હું સૂઈએ છીએ
બાહુપાશમાં બંધાઈને.

*

બાંધે
ને છૂટા થઈ જ જતા:
ન બાંધે તો કેટલા લાંબા રહેતા !
કેટલાય દિવસોથી
હવે હું તારી સામે નથી –
તારો અંબોડો અકબંધ રહે છે ?

– મિકાતા યામી
(અનુવાદ – હરીન્દ્ર દવે)

જાપાની કવિતાઓ એટલે લાઘવ અને અનુભૂતિની સચ્ચાઈ. એક ક્ષણના આશ્ચર્યને જાણે સદાને માટે શબ્દોમાં કેદ કરી લીધું હોય એવી સ્ફટિકસમ રચનાઓ તરત જ દિલને અડકી લે છે.

Comments (10)

(સતત) – પન્ના નાયક

તારી સાથે
સતત
પ્રેમની વાતો કરવી ગમે છે
જાણે કે
હું
વરસાદમાં વસ્ત્રો સૂકવવાનો પ્રયત્ન કરું છું.

– પન્ના નાયક

સત્તર શબ્દમાં ઘેરો સૂનકાર ઘેરી વળે એટલી અસરકારક વાત કરી છે. જે રંગ ચડતા પહેલા જ ધોવાતો જાય એની વાત કોને કરવી ? પણ જોવાની વાત એ છે કે આ પરિસ્થિતિમાં પણ કવિને તો પ્રેમની વાતો કરવી ગમે છે. આવો નિરર્થક પ્રયત્ન કરવો ભલે દુ:ખદાયક હોય, પણ આવો પ્રયત્ન ન કરવો એનાથી પણ વધારે દુ:ખદાયક હોય છે.

Comments (21)

ગઝલ – ઝફર ઈકબાલ

ખાલી લગા મકાન તમારા ગયા પછી
ગેહરા થા આસ્માન તમારા ગયા પછી

જૈસે ગયે નહીં હો અભી પૂરી તરહ સે
ઐસા રહા ગુમાન તમારા ગયા પછી

સિગરેટને કુછ મઝા ન દિયા દેર તક મુઝે
કડવા લગા થા પાન તમારા ગયા પછી

સારી સુની સુનાઈ કિનારે લગી કહીં
થી ખત્મ દાસ્તાન તમારા ગયા પછી

ઐસી ઉઠી કે બૈઠ ગયા સબ ગુબારે દિલ
ઇક દર્દ કી ઉઠાન તમારા ગયા પછી

બે પર હી રહ ગયા થા સચ્ચી કહું તો મેં
ભૂલી થી હર ઉડાન તમારા ગયા પછી

સારી ખુદાઈ પર કોઈ પરદા સા તન ગયા
દેખી ખુદા કી શાન તમારા ગયા પછી

ઐસા હુવા કે નીંદ નહીં આઈ ફિર મુઝે
દેના પડા લગાન તમારા ગયા પછી

કદમોં કી ચાપ સાફ ‘ઝફર’ કો સુનાઈ દી
બજને લગા થા કાન તમારા ગયા પછી

– ઝફર ઈક્બાલ

ઉર્દૂના સમર્થ શાયર અને આદિલ મન્સૂરીના ખાસ મિત્ર ઝફર ઈકબાલે આદિલસાહેબના આગ્રહને માન આપી ગુજરાતી રદીફવાળી ઉર્દૂ ગઝલોનો વિશિષ્ટ પ્રયોગ કરી આવી ૧૨૧ ગઝલોનો સંગ્રહ ‘તરકીબ’ આપણને ભેટ આપ્યો છે. નવાઈ લાગે પણ આ કવિના આ પહેલાં ૨૭ ગઝલસંગ્રહ તથા ચાર સમગ્ર ગઝલસંચય બહાર પડી ચૂક્યા છે…

‘તમારા ગયા પછી’ – આ ગુજરાતી રદીફ કવિએ ઉર્દૂ ગઝલમાં એવી બખૂબી વણી લીધી છે કે બે ભાષાઓનો અહીં સંગમ થાય છે ત્યારે કોઈ સાંધો કે રેણ નજરે ચડતાં નથી. બધા જ શેર સુંદર છે પણ મને છેલ્લા બે શેર એકદમ ગમી ગયા. તમારા ગયા પછી જે ઉજાગરા થાય છે એ તમારી સાથે આટલો સમય રહ્યા હતા એનું લગાન છે!!! વાહ…

(ચાપ= પગરવ)

Comments (21)

ગુજરાત – ચંદ્રવદન ચી. મહેતા

ભમો ભરતખંડમાં સકળ ભોમ ખૂંદી વળી,
ધરાતલ ઘૂમો ક્યહીં નહિ મળે રૂડી ચોતરી
પ્રફુલ્લ કુસુમો તણી, વિવિધરંગ વસ્ત્રે ભરી,
સરોવર, તરુવરો, જળભરી નદીઓ ભળી
મહોદધિ લડાવતી નગરબદ્ધ કાંઠે ઢળી
પ્રદેશ પરદેશના સહુ થકી અહીં ગુર્જરી !
ભરી તુજ કૂખે મનોરમ વિશાળ લીલોતરી
સદા હૃદય ઠારતી; અવર કો ન તું પે ભલી.

નહીં હિમસમાધિમાં શિખર નીંદરે, કે ખરે
ઉષાકમળની અહીં ધ્રુવપ્રદેશની લાલિમા
નથી, ઘણું નથી: પરંતુ ગુજરાતના નામથી
સદા સળવળે દિલે ઝણઝણે ઊંડા ભાવથી
સ્ફુરે અજબ ભક્તિની અચલ દીપરેખા, અરે
લીધો જનમ ને ગમે થવું જ રાખ આ ભૂમિમાં.

– ચંદ્રવદન ચી. મહેતા

આજે પહેલી મે. ગુજરાત સ્થાપના દિન. ગરવી ગુજરાતના ગરવા ગુજરાતી હોવાનો ગર્વ કોના હૈયે ન હોય? કવિ મજાની વાત લઈને આવે છે. આખાયે ભારતદેશની એક-એક જગ્યાઓ ખૂંદી વળી બધી જગ્યાની તમામ લાક્ષણિક્તાઓ જોઈ વળો તો પણ જે વાત ગુજરાતમાં છે એ તમને બીજે ક્યાંય નહીં જ મળે એ હકીકત પર કવિ મુશ્તાક છે. અન્યત્ર હોય એવું ઘણું અહીં નથી છતાં ગુજરાતના નામમાત્રથી જે ભાવ અને ભક્તિ હૃદયમાં જાગે છે એ બીજે ક્યાંય નથી અને એથી જ તો કવિ મૃત્યુ પણ આજ ભૂમિમાં મળે એવી અભીપ્સા વ્યક્ત કરે છે.

Comments (11)